Friday, August 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાનાં આ સંસ્કરણમાં હિંદી ફિલ્મમાં નૃત્યગીતો વિશે બહુ રસપ્રદ ફાલ આપણને જોવા મળશે. 
Dances on Footpathભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના આ મહિનાને Ten Favorite Songs and/or Dances from The Year 1947  વડે યાદ કરે છે.
તે ઉપરાંત પોતાના બ્લૉગનાં મૂળ વિષયને સાર્થક કરે તેમ રાજકુમારીના અવાજમાં ગવાયેલ એકલ નૃત્યો , બે એક સુંદર યુગલ ગીતો, અરધાપરધા મુજરા અને શેરી નાટક જેવા, ૧૯૪૦ અને ૫૦ના દાયકાનાં નત્ય ગીતોને પણ, ‘Dances on Footpath  Five Favorite Dances to the Voice of Rajkumariમાં પ્રસ્તુત કરે છે.
Minai's Cinema Nritya Gharana,   તેમના Vyjayanthimala's Devadasi Dance in Piya Milan (Choreographed by V.S. Muthuswami Pillai) લેખમાં દેવદાસીની નૃત્ય શૈલીનાં આજા કહું કાના અને ભરતનાટ્યમ શૈલીનાં ચિત્તુર રાણી પદ્મિનીનાં, વૈજયંતીમાલા દ્વારા અભિનીત, વંશપરંપરાગત નૃત્ય જેમની સંસ્કૃતિ છે તેવા વી. એસ. મુથ્થુસ્વામી પિલ્લૈ દ્વારા નિર્દેશીત એવાં બે નૃત્યોની ચર્ચા કરે છે, અને આપણાં જેવાં બહુ શાસ્ત્રીય બાબતો ન સમજનારને પણ નૃત્ય ગીતોનો આનંદ માણવામાટેની સમજ તો પાડી જ રહે છે.
નૃત્ય વિશેની આપણી સફરમાં આપણે બહુ ઘણા સમયથી જેમાં ઇંઇ ઉમેરાયું નથી જણાતું એવા બ્લૉગ A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ પર Some of my favourite song-dance combinationsમાં, હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસના 'પ્રાચિન કાળ' - ૧૯૫૦ પહેલાનાં દાયકાઓનાં- નૃત્યગીતોને માણી શકીશું.
મધુલિકા લિડ્ડલ, તેમના "ડસ્ટેડ ઑફ" પર વિષયોની વિવિધતા પર તો ક્યારેય ધૂળ એકઠી થવા નથી દેતાં. ગાયક-પાત્ર ગીતમાં "હું છું"ની  શબ્દબાંધણીમાં પોતાનાં નામને વણી લે તે વિષય પર, તેમના લેખ Ten of my favourite “I am -” songsમાં  મજેદાર ગીતોની સાથે સાથે 'કૉમેન્ટ્સ'માં પણ બીજાં ઘણાં ગીતોની મોજ કરાવે છે. 
'ડસ્ટેફ ઑફ' આ મહિનાના "લવ ઇન બોમ્બે"ના ફિલ્મ-રીવ્યુમાં, બે-ત્રણ કારણો સર ધ્યાન ખેચે છે - એક તો એ કે ફિલ્મ રજૂ થઇ ૨૦૧૩માં પણ તે બનાવાઇ હતી ૧૯૭૧માં અને ૧૯૭૪માં રજૂ થવાની હતી. પરંતુ તેના નાયક - નિર્માતા જોય મુખર્જીની તે સમયની નાણાંભીડને કારણે ફિલ્મ શીતાગારમાં જતી રહી હતી. બીજું એ કે આટલાં વર્ષો, જોય મુખ્રજી તેની બરાબર મરમ્મત કરાવતા રહ્યા અને આખરે જ્યારે તે પ્રસિધ્ધિને આરે હતી ત્યારે જોય મુખર્જીની આ દુનિયાના પડદા પરથી વિદાય થઇ ચૂકી હતી. અને ત્રીજું એ કે ફિલ્મમાં શંકર - જયકિશનનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો છે. જોય મુખર્જીનાં 'લવ ઇન ટોકિયો'નાં બેગહ્દ સફળ ગીતોને પગલે શંકર-જ્યકિશન આ ફિલ્મને ન્યાય આપવાના હતા.આ છે એ ગીતો
શિલ્પી બોઝના તેમના પિતા, તરૂણ બોઝ,ની યાદને તાજી કરાવતા બ્લૉગ ‘Tarun Bose and The World of Cinema’ પર  આ વખતે ૧૯૬૫ની "ઊંચે લોગ"ની વાત રજૂ કરાઇ છે. મને તો ઊંચે લોગની યાદ સાથે મારા કૉલેજ કાળનાં પહેલાં વર્ષના વલ્લભ વિદ્યાનગર (આણંદ, ગુજરાત)ના દિવસો યાદ આવી જાય છે. દર બીજે કે ત્રીજે અઠવાડીયે આણંદનાં થીયેટરોમાં જે કોઇ નવી ફિલ્મ રજૂ થઇ હોય તેને શનિવારના રાતના શૉમાં જોવા માટે, આઠ-આનાનાં ભાડાંની સાઇકલની ડબલ સવારીએ, અમે હૉસ્ટેલના મિત્રો નીકળી પડતા. ઊંચે લોગ જોવામાં રસ તો અશોક કુમાર અને રાજ કુમારની અદાકારીની ટક્કરને કારણે જ હતો, પણ ફિલ્મ જોયા પછી તરૂણ બોઝની અદાકારી અને ચિત્રગુપ્તનાં ગીતો એ પણ અમાર્યં દિલ જીતી લીધાનું સ્મરણ એટલું જ તાજું છે. એ લાજવાબ ગીતો છેઃ જાગ દિલ-એ-દિવાના ( મોહમ્મદ રફી); આજા રે, મેરે પ્યારકે રાહી, રાહ નિહારૂં બડી દેરસે (મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર); હાય રે તેરે ચંચલ નૈનવા, કુછ બાત કરે રૂક જાયે (લતા મંગેશકર) અને કૈસી તૂને રીત રચી ભગવાન, પાપ કરે પાપી ભરે પુણ્યવાન (મન્ના ડે, આશા ભોસલે).
Coolone160ના Sadhana- an elegant and timeless actress  લેખમાં સાધનાની અદાકારીનાં વૈવિધ્યને ઉજાગર થતું જોવા મળે છે.
આજની આ સફરમાં આપણે બે બ્લૉગની પહેલી મુલાકાતનો લહાવો પણ માણીશું.
મુક્તાર શેખના My Vision of the Songsપરથી આપણે આ વખતે રુદાલી ફિલ્મનાં, ગુલ્ઝારે લખેલ, ભૂપેન હઝારીકાએ સવ્રબધ્ધ કરેલ, આશા ભોસલેના અવાજમાં ગવાયેલ SAMAY O DHEERE CHALOની મજા માણીશું. હવે પછીનાં સંસ્કરણોમાં આપણે અહીથી ઘણી રસપ્રદ સામગ્રી મળતી રહેશે.
બહુ સમય થી ભલે તાજી સામગ્રી ઉમેરાઇ ન હોય પણ A lovely Mohammed Rafi - Suraiya duet from Sanam (1951) and My favourite Rafi songsનાં રૂપમાં A Blog Of My Favourite Vintage Bollywood Stuff’ની મુલાકાત તો મનને તર કરી જ દે છે.
૨૦મી ઑગસ્ટ અવિનાશા વ્યાસની પુણ્યયતિથિ હતી. તે નિમિત્તે ગુજરાતીમાં અવિનાશ વ્યાસનાં હિંદી ફિલ્મ ગીતો  અને Songs of Yoreપર મહેમાન લેખના સ્વરૂપે, અંગ્રેજીમાંForgotten Composers Unforgettable Melodies (8): Avinash Vyas  લેખ કર્યા. SoY પર તો, ત્યાંનાં બહુશ્રુત સક્રિય વાચકોએ કૉમેન્ટ્સમાં પણ અવિનાશ વ્યાસનાં બીજાં અનેક યાદગાર હિંદી ગીતોને યાદ કર્યાં છે.
Songs of Yore પર ૧૯૫૩નાં શ્રેષ્ઠ ગીતો પરના શીર્ષ લેખ પર તો વાંચકોની બહુજ વિશદ, રસપ્રદ અને માહિતિસભર ચર્ચાઓ થઇ રહ્યા પછી હવે, SoYના સર્જક શ્રી'એકે'ની વિચક્ષણ સમાપનની મજા માણવાનો પ્રારંભ, Best songs of 1953: Wrap Up 1 લેખથી થઇ ચૂક્યો છે. જો કે આપણે તો એ સમીક્ષાને સર્વગ્રાહી સ્વરૂપે એક જ સંસ્કરણમાં, આ મંચ પર માણીશું.

હિંદી ફિલ્મના સુવર્ણ યુગનાં ગીતો પર તો અનેક વિધ ચર્ચાઓ થતી જ હશે.... તમે પણ એ ચર્ચાઓને ખોળી, અને આ મંચ પર રજૂ કરવામાં મદદ કરશો ને?........

Saturday, August 24, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ઑગસ્ટ, ૨૦૧૩



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થોડા થોડા સમયે કેટલીક પાયાની સમજણો અને સિધ્ધાંતોની ફેર-મુલાકાત લેતા રહેવું જોઇએ. તે સમય દરમ્યાન થયેલા આપણા અનુભવોને કારણે બદલાયેલી આપણી વિચારસરણીને પરિણામે,પાયાની વાતોનાં અર્થઘટનમાં શું ફેર પડ્યો છે, તેની સાથે તાલ મિલાવતાં રહેવું જોઇએ. અને વિચારસરણીમાં, કે અર્થઘટનમાં, કોઇ જ ફરક ન પડ્યો હોય, તો તે ખુદ એક સ્વતંત્રપણે વિચાર માગી લે તેવી બાબત બની રહે છે.
આ માસનાં બ્લૉગૉત્સવ સંસ્કરણની શરૂઆત ગુણવતાની એક મહત્વની મૂળ કડી - આઇઝૉ ૯૦૦૧-ને લગતા કેટલાક પાયાના મુદ્દાઓની વાતથી કરીશું.
પ્રક્રિયા, કાર્ય પધ્ધતિ અને કાર્ય સૂચના વચ્ચે તફાવત, તેમાં આવરી લેવાયેલ સામગ્રીની ઊંડાઇ અને વિસ્તારનો છે. સંસ્થાગત અને / અથવા ગુણવત્તા સંચાલન તેમ જ અન્ય સંચાલનતંત્ર સાથેનાં અન્ય જોડાણો, હેતુ, વ્યાપ, માપણીનાં પરિમાણો, જવાબદારીઓ અને અધિકારો જેવા મુખ્ય મુદ્દાઓને, વિશાળ કેન્વાસ પર આવરી લેતાં બૃહદ ચિત્રને 'પ્રક્રિયા' રજૂ કરે છે. કાર્ય પધ્ધતિ એ બધાં ઘટકોનું, વધારે ઊંડાઇએ લઇ જતું, વિગતવાર દસ્તાવેજીકરણ છે.જ્યારે કાર્ય સુચના તો તે પૈકી, જવાબદારીઓની વહેંચણી, હેતુઓ, કામ કરવાની રીત જેવી કોઇ પણ એક પ્રવૃત્તિને સાવ નજદીકથી જૂએ છે, અને તે અંગે કામ કરવાની તબક્કાવાર સૂચનાઓનો દસ્તાવેજ છે. કાર્ય સુચના, નામને અનુરૂપ કાર્ય કરવાઓની સુચનાઓ જ છે, તેથી ISO 9001 clause 7.5.1 work instructions લેખ, આઇઝૉની કલમ ૭.૫.૧માં 'કાર્ય સૂચના'નો સમાવેશ શા માટે નથી કરાયો તેની ચર્ચા કરે છે.
તે જ રીતે, તેટલા જ પાયાના અને એટલાજ રસપ્રદ અને બહુ ચર્ચિત વિષય - પ્રશિક્ષણ-બાબતે પણ આપણે કેટલાક લેખ જોઇશું.
ASQની ગુણવત્તાની વૌશ્વિક પરિસ્થિતિ પરનાં એક સંશોધનનો આધાર લઇને ગુણવત્તાની વૈશ્વિક પરિસ્થિતિ - વ્યાવસાયિક પ્રશિક્ષણ\ Global State of Quality: Professional Training માં કેટલાં રસપ્રદ વિશ્લેષણો અને તારણો જોવા મળે છે:
# “જે સંસ્થાઓમાં કોઇ વરિષ્ઠ અધિકારી ગુણવત્તા સંચાલન કરી રહેલ હોય તેની સરખામણીમાં જે સંસ્થાઓમાં ગુણવતા પ્રક્રિયાનું નિયંત્રણ કેન્દ્રસ્થ સમુદાય વડે કરવામાં આવતું હોય, તેમાં ત્યાંના કર્મચારીઓને ગુણવતા અંગેનું પ્રશિક્ષણ અપાતું હોય તેવી શક્યતાઓ ૩૦% વધારે જોવા માળે છે."
અને
# સંશોધન વડે એમ જોવા મળે છે, મોટા ભાગની સંસ્થાઓમાં, ગુણવત્તા સાથે સીધી રીતે સંકળાયેલાં કર્મચારીઓને, બહુ જ મર્યાદીત અવકાશના વિષયો વિશે જ આ પ્રશિક્ષણ કાર્યકમમાં આવરી લેવાતાં હોય છે. બહુ જ ગણી ગાંઠી સંસ્થાઓ દરેક ક્ષેત્રનાં કર્મચારીઓને વ્યાપક વિષયો પર પ્રશિક્ષણ આપતી જોવા મળે છે.
આમ થવાનું કારણ, કર્મચારીઓનાં સંસ્થા સાથે એક રસ થવાનાં પ્રોત્સાહક પરિબળ તરી કે નહીં તો કમ સે કમ પ્રશિક્ષણને કર્મચારીઓનો પોતાનાં કામમાં રસ ટકાવી રાખવાનાં પ્રેત્સાહક પરિબળ રૂપે જોવાને બદલે આઇઝૉ ૯૦૦૧ની પ્રશિક્ષણની જરૂરીયાતની પૂર્તતા કરવાના સાધન તરીકે તો જોવામાં આવતું હોય તેમ તો નહીં હોય ને?
બહુ જ ખુશી સાથે સંસ્થામાં ટકી રહેલાં કર્મચારી, અને તેમનાં કામ અને સંસ્થાપ્રત્યેની તેમની સ્વૈચ્છીક તદ્રુપતા, ઉત્પાદનો કે સેવાઓ કે ગ્રાહક સંભાળ કે અન્ય હિતધારકોનાં હીતની સંભાળ કે કાર્યસ્થળ પર જરૂરી એવાં પ્રેરક વાતાવરણની જાળવણી જેવાં ગુણવત્તાનાં અનેક સ્વરુપોને નીખારવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ વિષયને ચરિતાર્થ કરતા ટીમ મૅક્મોહનના લેખ-The Worst Waste of All: Lack of Employee Involvementમાંના બે કથનો જ લેખનાં વસ્તુ - "આપણે નહિં કરી શકીએ તેમ માનવું એ સહુથી ખરાબ પ્રકારનો વ્યય છે, કારણકે તેને કારણે અન્ય, વધારે જાણીતા વ્યયને પણ પહોંચી વળવામાં પણ અંતરાય જ પેદા થાય છે"- ને સ્પષ્ટ કરી આપે છેઃ "આપણે કંઇક કરી જ શકીશું અથવા તો કંઇ નહીં કરી શકીએ એમ કંઇ પણ વિચારીશું તો તેમ જ થઇને રહેશે" (હેન્રી ફૉર્ડ) અને “ન તો બહુ ખુશ થતી હોય કે ન તો બહુ દુઃખી, તેવી હાર અને જીતના સંધ્યાકાળમાં ખોવાયેલ વ્યક્તિઓની હરોળમાં ઊભા રહેવા કરતાં, થોડી ઘણી અસફળતાઓમાં રંગાઇને પણ મોટીમસ વસ્તુઓ કરવાની હામ ભીડવી કે મહા યુધ્ધો જીતવામાટેની કમર કસવી તે વધારે ઇચ્છનીય છે.(થીયૉડર રૂઝવેલ્ટ).
આ જ વાતને નીકૉલ રૅડઝીવીલ તેમનાં બ્લૉગ Quality and Innovationમાં, સામાજીક-તકનીકી તંત્રમાં ગુણવત્તા અને ઉત્પાદકતાની ખોજને ચાલુ રાખતાં રાખતાં, મૅક્ષનાં રેસ્તરાંમાં, ગુણવત્તાના માપદંડોને કર્મચારીઓ અને ગ્રાહકની વચ્ચેની સહભાગી મેળવણી વડે "એક વિશિષ્ઠ ગુણવત્તાનીષ્ઠ અભિગમ'નું જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે.
કર્મચારીઓનાં સંસ્થા સાથેના લગાવની વાતની સાથે 'મુંબઇના ડબ્બાવાળા' - સંસ્થા તરીકે અને વ્યક્તિ તેમ જ કાર્યકર્તા તરીકે- યાદ આવ્યા વગર ન રહે. સ્લાઈડ શૅર પર શોધતાં બહુ જ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન જોવા મળે છે. તેમાંથી મને, Targetseo ના પ્રવીણ સોલંકીએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન -The Wonder of Mumbai Dabbawalas - મને પસંદ પડ્યું હતું.
ગુણવત્તા વ્યાવસાયિકોને થશે કે આજનાં ગુણવતાને લગતા વિષયમાં વળી લોકો વિશે આટલી બધી વાત કેમ કરી રહ્યાં છીએ. આ શંકાનાં સમાધાન પેટે, આવો તન્મય વોરાના તેમના બ્લૉગ QAspire પરનો લેખ, SHRM Top 20 Indian HR Influencers Active on Social Media 2013, જોઇએ. પરિવર્તન લાવનારાંઓ માટે, પ્રભાવનાં વર્તુળો બનાવવાના મહત્વના પડકારની વાત, સામાજીક માધ્યમોના ઉપયોગના સંદર્ભમાં, તેમણે આ લેખમાં કહી છે.તે સાથે તેઓ નિશ્ચિતપણે માને છે કે ઉત્કૃષ્ટતા એ લોકોને પૂરી પાડેલી શ્રેષ્ઠ દોરવણીની આડપેદાશ છે, અને તે સંદર્ભમાં દરેક ગુણવત્તા વ્યાવસાયિક એ માનવ સંસાધન સંચાલક તો છે જ.તેઓ આ બાબતે આગળ કહે છે કે સંસ્થામાં ઉત્કૃષ્ટતાનુ વાતવરણ બનાવવાની જવાબદારી માત્ર માનવ સંસાધન વિભાગની જ નહીં, પરંતુ તે તો દરેકનું ઉત્તરદાયીત્વ છે. અને આ વાતની સાહેદી તરીકે તેમને વર્ષ ૨૦૧૩ માટે પણ "સામાજિક માધ્યમો પર કાર્યરત ભારતના ૨૦ સર્વોચ્ચ માનવ સંસાધન પ્રભાવકો"ની યાદીમા ત્રીજું સ્થાન પુરસ્કૃત થયું છે. શ્રી તન્મય વોરાને મળેલું આ સન્માન, સહુ ગુણવત્તા વ્યાવસાયિકાઓ માટે ગર્વ લેવા લાયક ઘટના છે, આ પ્રસંગે આપ સહુ વતી, અને મારા વતી, તન્મય વોરાને, તેમની આ ઊંડાણપૂર્વકની મૂળભૂત માન્યતાને, વ્યવહારમાં અસરકારક રીતે અમલ કરી શકવા બદલ, આપણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ.
ગુણવત્તા વિચારધારાની સાથે સુસંગત એવી એક વધારે પાયાની વાત - આપણને જે જોઇતું હોય, તે બીજાં સાથે વહેંચીએ - ડૅન રૉકવેલ How to Get What You Want માં રજૂ કરે છે.
આપણાં 'સાથી' ક્ષેત્રોમાંથી કેટલાક બીજા પણ રસપ્રદ લેખ આપણી આ સંસ્કરણમાં માણીએ.
Marketing driven or Market driven?માં સૅથ ગૉડીન તેમની આગવી લાઘવ સભર શૈલીમાં જણાવે છે કે વેચાણ,માલિકીઅંશધારકો સાથેના સંબંધો, ઉત્પાદને કે સેવાઓને લગતી કામગીરી કે ટેક્નૉલૉજી જેવાં પાસાંઓને મહ્ત્વ મળતું હોય તેવી સંસ્થાઓ તો જોવા મળે. ક્યાંક સાથે કર્મચારીની ખુશીને પણ મહ્ત્વ મળતું હોય. જો કે એવી સંસ્થાઓ તો થોડી જોવા મળશે. આ બધા જ કિસ્સાઓમાં બજાર-ઉન્મુખતાનો વિકલ્પ તો હંમેશાં ઉપલબ્ધ રહેતો જ હોય છે. અને તે માટે સહુથી પહેલું કામ તો છે, (યોગ્ય) બજાર નક્કી કરવું અને શોધવું.... "
અંદરના છેલ્લાં પડ સુધી રંગાયેલ ગુણવત્તા વ્યાવસાયિક પણ ખરા અર્થમાં અપનાવાયેલ ગ્રાહક-ઉન્મુખતાને પરિણામે હંમેશાં બની રહેતી વ્યૂહાત્મક સરસાઇના ફાયદાને તો સ્વિકારે જ છે.
The most MEANINGFUL competitive advantageમાં રાજેશ સેટ્ટી કાળજી લેવાની ક્ષમતાનાં ખરાં ધોરણ અપનાવાની વાત ભારપૂર્વક કહે છે, કારણ કે બહુ બધાં લોકો તો આ બાબતે દેખાવ જ કરતાં રહેતાં હોય છે.
(કાળજી લેવાની ક્ષમતા)ની વાત આપણને HCL ટેક્નૉલૉજીના વિનીત નાયરના લેખ -Three Differences Between Managers and Leaders - માં પણ જોવા મળે છે. અહીં તેઓ એ એવી ત્રણ લાક્ષણિકતાઓ વર્ણવી છે, જે ગુણવતા ક્ષેત્ર સહિતના કોઇ પણ સંચાલકનાં 'મેનેજર'માંથી 'લીડર' થઇ ચૂક્યાની કસોટી સ્વરૂપ ગણી શકાય:
§ મૂલ્ય ગણત્રી વિ. મૂલ્ય સર્જન
§ સત્તાનાં વર્તુળ વિ. પ્રભાવનાં વર્તુળ
§ કામની વ્યવસ્થા વિ. લોકોને દોરવણી
જે. બી. સ્ટૅમ્પીંગ, ક્લીવલૅન્ડના ગુણવત્તા નિયામક માર્ક નૅટ્ઝૅલે લિંક્ડ ઈન પર સ્પેસ શટલ ચૅલૅન્જરના અકસ્માત વિશેનાં રાષ્ટ્રપતિ આયોગના અહેવાલને "વર્ષો પહેલાં થયેલા એક અકસ્માતનાં મૂળ કારણ વિશ્લેષણનાં એક અનુકરણીય ઉદાહરણ" તરીકે સૂચવે છે. એ સાઈટની મુલાકતા લેવાથી આપણને આયોગની કાર્યવાહીનો વિગતવાર અહેવાલની સાથે Actions to Implement the Recommendations અને IMPLEMENTATION OF THE RECOMMENDATIONS પણ જોવા મળે છે.
અને હવે, આપણે આ સંસ્કરણના અંતની શરૂઆત હવે નિયમીત કરાયેલા વિભાગોથી કરીએ.
ASQ TV વૃતાંત ૬ -પ્રમાણીકરણો \ Certificationsમાં ભૂતપૂર્વ અધ્યક્ષ જીમ રૂની વ્યાવસાયિક પ્રમાણીકરણનાં મૂલ્યની સમજણ પાડે છે અને જણાવે છે કે તે અન્ય પ્રમાણપત્રોથી શી રીતે અલગ છે. યોગ્ય પ્રમાણીકરણ શી રીતે પસંદ કરવું તેની પણ ચર્ચા આ વૃતાંતમાં જોવા મળશે. અત્યાર સુધીના કેટલાંક પ્રમાણીકરણ-ધારકો પણ, તેમના અભિપ્રાય મુજબ ,આ પ્રમાણીકરણોએ તેમની કારકીર્દીમાં ભજવેલ મહત્વની ભૂમિકા તેમ જ પરીક્ષા માટે કરવાની ખાઅસ તૈયારીઓ વિશે ચર્ચા કરે છે.
ASQ's Influential Voicesમાં, આપણે આ મહિને ASQના મુખ્ય પ્રબંધક અધિકારી પૉલ બોરવ્સ્કીના બ્લૉગ, A View from the Qની મુલાકાત લઇશું. જે રીતે બ્લૉગનું શિર્ષક જ સૂચવે છે તેમ ગુણવત્તા વિષય પરની ચર્ચાઓ અને પ્રવાહોનું આ બ્લૉગ જન્મસ્થાન કહી શકાય. વૈશ્વિક ગુણવત્તા સમુદાયને આ ચર્ચાઓમાં આવરી લેવાતા હોય છે, તેથી ગુણવત્તાની સમગ્ર વિશ્વ પર જે કંઇ અસરો થઇ રહી હોય, તેનાં પ્રતિબિંબ અહીં ઝીલાય છે.
ASQના મુખ્ય પ્રબંધક હોવાને નાતે, પૉલ બોરવ્સ્કીનાં પ્રગતિશીલ સંચાલન વિચારધારાનો પ્રભાવ વિશ્વના ગુણવત્તા બાબતે ઉત્સુક અને વિચારશીલ સમુદાય પણ પડતો રહે છે.
તેમની આ ભૂમિકામાં બોરવ્સ્કી, ASQનાં મેક્સિકો, ચીન અને ભારતનાં કાર્યાલયો સહિત સંસ્થાના વૈશ્વિક વિકાસની વ્યૂહ રચનાઓ ઘડે પણ છે, અને તેના અમલની દેખરેખ પણ કરે છે. RABQSA International અને ANSI-ASQ National Accreditation board પણ ASQ પરિવારનાં મહત્વનાં અંગ છે.
યુરૉપીયન સમુદાયમાટેનાં તેમનાં યોગદાન પેટે European Organization for Qualityએ તેમને વર્ષ ૨૦૦૬નો બૉરેલ પદક પણ એનાયત કરેલ છે.ક્વૉલીટી ડાયજેસ્ટ સામયિકે તેમને વર્ષ ૨૦૦પમાં "ગુણવત્તા ક્ષેત્રના વિશ્વના સહુથી અધિક પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક" તરીકે બહુમાન કરેલ છે.
ગુણવત્તા માટે પૉલનો પોતાનો જુસ્સો પણ પોતાની ઑફિસની દિવાલાને અલંકૃત કરતાં સૂત્રોથી ઘણો આગળ વહી રહ્યો છે.હવે પછીના નવા વિચારની ખોજમાં રહેતાં લોકોમાંથી પૉલ તેમની પોતાની ઊર્જા અને ઉત્સાહ મેળવતા રહે છે અને તેમ કરીને જીવનનાં બધાં જ પાસાંઓમાં ગુણવત્તાને આવરી લેવા પ્રયત્નશીલ રહે છે.જ્ઞાનનો જ્યાં વિકાસ થતો હોય અને પોતાનાં ભવિષ્યનાં સર્જન માટે જ્યાં લોકો એકબીજાં સાથે સહયોગ કરતાં હોય છે એ વાતાવરણમાં પૉલ નીખરી ઊઠે છે.
આ લેખમાં પ્રશિક્ષણની ચર્ચા દરમ્યાન આપણે બોરવ્સ્કીના બ્લૉગની એક બાજુને તો જોઇ ચૂક્યાં છીએ.અહીં આપણે એમના બ્લોગની અન્ય બાજુઓને જોઇએઃ
ચર્ચાઃ ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યોમોનો કેમ અને શી રીતે ઉપયોગ કરે છે - સામાન્ય રીતે ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યમોનો વ્યવસ્યાનાં માળખાંનાં ગઠનમાં ઉપયોગ કરતાં હોય તેમ નથી માનવામાં આવતું.પરંતુ ASQનાં પ્રભાવકારી અભિપ્રાય સ્વરૂપ બ્લૉગર્સના મંત્વય મુજબ, મોટા ભાગનાં વ્યાવસાયિકો એમ જ કરે છેઅને બ્લોગ ઉપરાંત સામાજીક માધ્યમોનો પણ બહુ જ ઉપયોગ કરે છે.
અને હવે આ સંસ્કરણનું સમાપન કરીએ
Management Improvement Carnival #198 થી.
આ સંસ્કરણમાં આને આપણા મૂળભૂત વિષયને સાથી ક્ષેત્રોનાં લેખમાં થતા સીધા કે આડકતરા ઉલેખની મદદથી જોયો છે.
આપને આપ્રકારના દ્રષ્ટિકોણથી પસંદ કરેલા લેખ આ મચ પર વાંચવાનું પસંદ પડશે?

Tuesday, August 20, 2013

અવિનાશ વ્યાસનાં હિંદી ફિલ્મ ગીતો




તેમનાં નામને અનુરૂપ, ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે ૧૨૦૦૦ જેટલાં ગીતોથી, અવિનાશ વ્યાસ (૧૯૧૨ - ૧૯૮૪) તેમની અવિનાશી છાપ મૂકતા ગયા છે. ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મોનાં ૧૨૦૦ જેટલાં ગીતોના પ્રમાણમાં ૬૨ હિંદી ફિલ્મોનાં ૫૦૦થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર જણાય. હિંદી ફિલ્મ જગતના ખાસ્સા સફળ સંગીતકારો, ખય્યામ (આશરે ૪૨ ફિલ્મ), મદન મોહન (આશરે ૯૫ ફિલ્મ), રોશન (૫૭ ફિલ્મ), સલિલ ચૌધરી (૭૦ ફિલ્મ)નાં પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિંદી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં, કે કાર્યકાળ (૧૯૪૩થી ૧૯૮૪-૮૫)ની દ્રષ્ટિએ, નગણ્ય ગણાય એટલું નથી, તેમ છતાં, માત્ર તેમનાં પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યાવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાય છે.

અવિનાશભાઇને તો ક્રિકેટર થવું હતું, પણ નિયતી તેમને સંગીતની દુનિયામાં ખેંચી ગઇ. તેમની શરૂઆતની તાલિમ, તેમણે ઉસ્તાદ અલ્લાઉદીન ખાં સાહેબ જેવા ગુરૂ પાસેથી લીધી.કારકીર્દીનો પ્રારંભ એચ.એમ.વી.ના 'યુવા સંગીત' વિભાગથી થયો. ત્યાં તેઓ (ફિલ્મ સંગીતમાં એ. આર. કુરેશી તરીકે જાણીતા) ઉસ્તાદ અલ્લારખા સાહેબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે ૧૯૪૩માં 'મહાસતી અનસૂયા'નું સંગીત આપવાની તક મળી. શરૂઆતનાં વર્ષોમાં તેમને ભાગે કઠણાઇઓ અને અડચણો તો આવી, પણ અવિનાશ વ્યાસે, ન તો વિપરીત સંજોગોમાં કે ન તો સાફલ્ય ઘડીઓમાં, તેમની સર્જનાત્મકતાને કુંઠીત થવા ન દીધી.

ગીતા દત્તના અવાજમાં , પૌરાણિક ફિલ્મોનાં તેમનાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં.

નાગમણી(૧૯૫૭)નાં "આજ નહીં તો કલ" જેવાં અનેક કર્ણપ્રિય, અને બેહદ લોકપ્રિય, ગીતોને કારણે અવિનાશ વ્યાસ-ગીતા દત્તની, એ પ્રકારનાં ગીતોની એક આગવી ઓળખ ઊભી થઇ ચૂકી હતી, પણ અવિનાશભાઇ ગીતા દત્તના કંઠમાં 'આધી રોટી' (૧૯૫૭)નું હાલરડું "સો જા મેરે લાલ" પણ એટલી જ ખૂબીથી રજૂ કરતાં અચકાયા નહોતા.

ગીતા દત્ત સાથેના તેમના સહપ્રવાસના પ્રભાવ હેઠળ તો ગીતા દત્તે તેમની પોતાની બંગાળી ભાષા કરતાં (બંગાળી લિપિમાં લખીને) ગુજરાતીમાં વધારે ગીતો ગાયાં તેમ કહી શકાય. જો કે અવિનાશભાઇના હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધો કેટલા ગાઢ હશે કે હિંદી ફિલ્મ જગતનાં દરેક પાર્શ્વગાયકે ગુજરાતી ગૈર-ફિલ્મી ગીતો પણ તળ ગુજરાતી લઢણમાં ગાયાં.

અવિનાશભાઇને તેમની ફિલ્મો માટે બજૅટ તો હંમેશ મર્યાદીત જ મળતું, કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. "અધિકાર" (૧૯૫૪)માં મીના કપુરના કંઠમાં ગવાયેલું એક ધરતી હૈ એક ગગન; સુધા મલ્હોત્રાનું "અંધેરી નગરી ચૌપટ રાજા"(૧૯૫૫)નું કોઇ દુખિયારી આઇ તેરે દ્વાર; શમશાદ બેગમના કંઠમાં "ભક્ત રાજ"(૧૯૬૦)નો મુજરો તેરે બંગલેકી મૈં મૈના; ઝોહરાબાઇ અંબાલાવાલીના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું રીતુ અનોખી પ્યાર અનોખા; મધુબાલા ઝવેરીના સ્વરમાં "રાજરાણી દમયંતી"(૧૯૫૨)નું ચમક રહે તારે જેવાં વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે.

જ્યારે પણ તક મળી ત્યારે તેમણે આશા ભોસલે સાથે હળવા મુડનાં "અધિકાર" (૧૯૫૪)નાં બી.એ. એમ.એ. બી. એડ જેવાં ગીત કર્યાં તો "મલ્લિકા-એ-આલમ નુરજહાં" (૧૯૫૪)નાં સુન ભી લે પરવરદિગાર, દિલ કી ઇતની સી પુકાર જેવાં દર્દીલાં ગીતોના પ્રયોગ પણ એટલી જ આસાનીથી કર્યા. લતા મંગેશકરના અવાજનો, તેમણે કૈલાશપતિ (૧૯૬૨)નાં જા રે બાદલ જા જેવાં ગીતોમાં પણ એટલો જ સ્વાભાવિક ઉપયોગ કર્યો.

પુરૂષ પાર્શ્વગાયકોમાં કિશોર કુમારની તે સમયની તોફાની ઓળખને "અધિકાર" (૧૯૫૪)નાં તિકડમ.. બાજી... મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી જેવાં ચુલબુલાં ગીતમાં તેટલાં જ પ્રાવીણ્યથી ઉજાગર કરી, તો "અંધેરી નગરી , ચૌપટ રાજા" (૧૯૫૫)ની ગઝલ - દિલ જલ રહા હૈ -માં તલત મહમુદના સ્વરને પણ પૂરતો ન્યાય આપ્યો.

કવિ પ્રદીપજીના સ્વરમાં તેમણે રચેલાં તેરે દ્વાર ખડા ભગવાન (વામન અવતાર - ૧૯૫૫) જેવાં ગીતોપર તો સિક્કા પડતા. તો તે સાથે તેમણે પ્રથમ હરોળના અન્ય ગાયકો, મોહમ્મદ રફી (પોલં પોલ - લક્ષ્મી - ૧૯૫૭), મન્ના ડે (જાને ભી દે કિસ્મતકી નાવ - ભાગ્યવાન - ૧૯૫૩), હેમંત કુમાર (બડે બડે ઢૂંઢે પહાડ - જગદ્‍ગુરૂ શંકરાચાર્ય - ૧૯૫૫) સાથે પણ એટલી જ સ્વાભાવિક હથોટીથી કામ કર્યું છે.

"અધેરી નગરી, ચૌપટ રાજા”નું સુધા મલ્હોત્રા અને તલત મહમુદ નું એક બાર તો મિલ લો ગલે, સુલોચના કદમ અને મુકેશના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું ટીમ ટીમા ટીમ તારે જેવાંતેમનાં યુગલ ગીતો પણ તેમનાં લોકપ્રિય એકલ ગીતો જેટલાં પ્રયોગશીલ, તેટલાં જ સિધ્ધહસ્ત, જણાય છે.

હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે અવિનાશ વ્યાસની કુલ્લ ફિલ્મોની અડધાથી વધારે ફિલ્મોની ૧૯૫૩ થી ૧૯૬૨ ના સમયકાળ દરમ્યાન થઇ. આમ તે સમયગાળો તેમની હિંદી ફિલ્મ જગતમાં વ્યસ્તતાનો ઉત્તમ સમય કહી શકાય.૧૯૫૭માં એક જ વર્ષમાં ૭ ફિલ્મોની શીરમોર કામગીરીની સાથે ૧૯૫૪, ૧૯૫૫ અને ૧૯૫૮માં દરેક વર્ષની પાંચ પાંચ ફિલ્મોએ તેમની કુલ્લ ફિલ્મોનો ત્રીજા ભાગ જેટલો ફાલ આપ્યો. જો કે એ સિવાયનાં વર્ષોમાં પણ તેમની હાજરી નિયમિત સ્વરૂપે તો જોવા મળતી જ રહી.

૧૯૫૩માં આવેલી વી. શાંતારામની અનોખી સામાજીક ફિલ્મ, "તીન બત્તી, ચાર રસ્તા"નાં, ભારતીય પ્રાંતોની અલગ અલગ લાક્ષણિકતા રજૂ કરતાં બહુભાષી ગીતમાં (@૪.૦૦) ગુજરાતી સમાજનાં નિરૂપણ સમો ટુકડો રચવા માટે અવિનાશભાઇને મળેલું આમંત્રણ, તેમના હિંદી ફિલ્મ જગતના પદાર્પણના એક જ દાયકામાં તેમણે ઊભાં કરેલાં તેમનાં આગવાં સ્થાનનો પુરાવો ગણી શકાય.

"મહેંદી રંગ લાગ્યો" (૧૯૬૦)ની ગુજરાતી સિનેમા ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાને કારણે, અવિનાશ વ્યાસનું ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ વધારે ઢળ્યું હશે.ત્યાં પણ ૭૦ના દાયકામાં લોકકથા આધારીત ફિલ્મોના જુવાળમાં અવિનાશ વ્યાસ એક દીવાદાંડી બની રહ્યા. સ્થાનિક લોકગાયકોને ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં લાવવાનો તેમણે બહુ જ સ્તુત્ય પ્રયોગ પણ સુપેરે આદર્યો હતો.

અવિનાશ વ્યાસના જન્મ દિવસ નિમિત્તે અતુલ'સ સૉન્ગ-અ-ડે એ તેમનાં લતા મગેશકરના સ્વરનાં "કૈલાશપતિ (૧૯૬૨)નાં હે પર્વત તુમસે પાર્વતી પૂછ રહી હૈ કરકે બિનતી વડે અંજલિ આપી છે. અવિનાશભાઇની આ જગતપરથી ભૌતિક વિદાયના ૨૦મી ઑગસ્ટના દિવસે, તેમની સંગીત સફરના સમગ્ર કાર્યકાળને આવરી લેતાં તેમનાં મુંબઇ અને અમદાવાદ શહેરો પરનાં ગીતોની આ ગીતોને યાદ કરીએઃ

અમે મુંબઇનાં રહેવાસી - મંગળફેરા (૧૯૪૯) - ગીતા દત્ત, ચુનીલાલ પરદેશી, એ આર ઓઝા

આ મુંબઇ છે, જ્યાં ભૈ કરતાં જાજી બૈ છે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) - મન્ના ડે

અમે અમદાવાદી - સંજય ઓઝા

હું અમદાવાદનો રીક્ષાવાળો - મા બાપ (૧૯૭૭) - કિશોર કુમાર

હું અમદાવાદની નારી - કંકુની કિમત (૧૯૮૩)

Thursday, August 1, 2013

"વેબ ગુર્જરી"નાં નવી દિશામાં પ્રયાણ - "સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"

ઘોષણાપત્ર
શિર્ષકઃ
સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ
લક્ષ્ય અને વ્યાપઃ
વેબ ગુર્જરી પર શરૂ થતો સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ વિષય સામુદાયિક મૅનેજમૅન્ટ તંત્રના, વિચારસરણીના વિજ્ઞાનથી લઈને અમલીકરણકૌશલ્યના આધુનિક સિદ્ધાંતો અને સાંપ્રત વ્યવહારો વિષે પ્રસિદ્ધ થઈ રહેલા સંરચિત જ્ઞાનને ગુજરાતી ભાષામાં એક છત્ર હેઠળ રજૂ કરશે.
'મૅનેજમૅન્ટ' શબ્દ, સહુથી વધારે વેપાર અને ઉદ્યોગજગતની ગતિવિધિઓ જોડે સંકળાયેલો માની લેવામાં આવે છે. તેથી, વ્યાપાર-ઉદ્યોગના મૅનેજમૅન્ટમાં ચર્ચામાં રહેતા સિદ્ધાંતો અને તેના વ્યવહારમાં થતા અમલની વાત તો આપણે કરીશું જ, પણ આપણો ઉદ્દેશ એટલા સુધી સીમિત થવાનો નથી. જીવનના દરેક ક્ષેત્રમાં, જાણ્યે અજાણ્યે, કોઈને કોઈ સ્તરે, મૅનેજમૅન્ટ વણાયેલું તો છે જ. ક્યાંક તે પ્રબુદ્ધ સાહિત્ય સ્વરૂપે ઉજાગર થયું છે, તો ક્યાંક તે ઇતિહાસમાં કે લોકકથાઓ કે પૌરાણિક ગ્રંથોમાં તેનો સંદર્ભ જોવા મળે છે. તો વળી કોઠાસૂઝ અને હૈયા ઉકલતોમાં પણ મૅનેજમૅન્ટ અભિપ્રેત હોય જ છે. આ દરેક ક્ષેત્રમાં મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે, "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ થનાર સામગ્રી આપણી માતૃભાષામાં માણવા માટેનો રસથાળ બની રહેશે. તદુપરાંત, વેગુના અન્ય વાચકો માટે અહીં રજૂ થનારી વાંચનચિંતન સામગ્રીનું  વૈવિધ્ય તેમનાં જ્ઞાન અને રસની ક્ષિતિજને વિસ્તારવામાં મદદરૂપ થઈ શકે. 
આ પ્રસ્તાવની બીજી બાજુએથી જોતાં એમ કહી શકાય કે, આપણે આપણી અંગત અને વ્યાવસાયિક જિંદગીમાં ' મૅનેજમૅન્ટના પ્રયોગો'ને "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ કરતાં રહીશું.
કેટલાંક અખબારો કે સામયિકો કે મૌલિક કે અનુવાદિત પુસ્તકો દ્વારા મુદ્રિત પ્રકાશન માધ્યમ પર મૅનેજમૅન્ટનું ગુજરાતી ભાષામાં ખેડાણ નવી વાત નથી. પરંતુ, ઇન્ટરનેટ કે ડિજીટલ માધ્યમો પર આ વિષય પર 'ગુજરાતી' ભાષામાં બહુ કામ થયેલું જોવા નથી મળતું.
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" આ બધા જ પ્રયાસો અને પ્રયોગવીરોને એક સૂત્રે પરોવાયેલા રાખવાની ભૂમિકા પણ ભજવવાનો એક પ્રયાસ બની રહેશે.
મૅનેજમૅન્ટના સિદ્ધાંતોની ટૅકનિકલ ચર્ચાથી લઈને તે સિદ્ધાંતોના વ્યવહારમાં થતા અમલીકરણના કૌશલ્ય સુધીના ફલકને આ મંચ પર આવરી લેવાશે.
તે સાથે પોતાની વ્યાવસાયિક જીંદગીની રોજબરોજની સ્પર્ધાત્મક હરીફાઇઓની તાણમાં અટવાઇ પડેલ સર્જનાત્મકતાને ખીલી શકવાની તક આ મચપર સક્રિય યોગદાન કરનાર  'મેનેજમેન્ટ વ્યાવસાયિક' પૂરી પાડી શકશે. તેમ જ સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"નાં વાચક માટે આ મચ તાણમુક્તિ મા્ટેનું  આ સરળ માધ્યમ બની રહેશે.
માળખું:
કોઈ એક કેન્દ્રવર્તી વિષય કે વિચારના આધારે, વેગુના "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" શીર્ષકથી પ્રકાશિત થતી સામગ્રી અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરીશું. દરેક 'વિભાગ' હેઠળ, જરૂર મુજબ, કોઈ ચોક્કસ, વધારે કેન્દ્રિત વિષયને લગતી સામગ્રીને તે 'વિભાગ'ના પેટા વિભાગરૂપે ગોઠવીશું.
પ્રકાશિત થયેલ દરેક પોસ્ટના લેખક, એ વિભાગના સંકલનકાર, પોસ્ટનો વિષય વગેરે જેવી માહિતી ટૅગ દ્વારા અંકિત કરીશું. તે ઉપરાંત દરેક પોસ્ટમાં તે પોસ્ટના યોગદાતાનાં વેબ-વિશ્વ અને ઇ-મેલ સંપર્કસૂત્રો તેમજ સંદર્ભોની હાયપર લિંક પણ હશે.
કેટલાક સૂચિત વિભાગો / પેટા-વિભાગો
વ્યવહારમાં સંચાલન સિધ્ધાંતો
સ્વવિકાસની વાટે
સાંપ્રત સંચાલન સાહિત્ય
-         પુસ્તક, સામયિક, લેખ, વીડીયો, ફિલ્મ, બ્લૉગ, વેબસાઇટ્ની સમીક્ષા
પરિચય {જ્યાં સુધી શક્ય હોય ત્યાંસુધી ગુજરાતી, તે પછીથી ભારતીય અને તે પછી આંતરરાશ્ટ્રીય સમુદાય એ ક્રમમાં પ્રાથમિકતા પણ આપવાનું વિચારી શકાય.]
-         સંસ્થાઓ
-         વ્યક્તિઓ -ઉદ્યોગસાહસિકો, સંચાલકો, કેળવણીકારો, શિક્ષકો, પ્રશિક્ષકો,લેખકો
-         દ્રશ્ય-શ્રાવ્ય મુલાકાતો
અધિવેશનો, સમારંભો અને પરિસંવાદોના અહેવાલો
શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રની ગતિવિધિઓ
-         મૅનેજમૅન્ટ શિક્ષણ અને પ્રશિક્ષણ
-         તકનીકી શિક્ષણ
-         વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ
બીનવર્ગીકૃત / પ્રકીર્ણ સામગ્રી
મુખ્ય સંકલન ટીમઃ
હાલના તબક્કે કેટલાક મિત્રોએ પોતાની પ્રાથમિક વ્યસ્તતાઓ વચ્ચે પણ કોઈ ને કોઈ વિભાગ સંભાળવાની તૈયારી બતાવી છે. પરંતુ, આપ સહુને વિદિત છે તેમ, વેગુનું 'સંસ્થાગત' માળખું એ સૂર્યમાળાના મૉડલ પર વિકસાવાઈ રહેલું છે. એ મુજબ, 'વેગુ'ની મુખ્ય ધરીની આસપાસ, વેગુનાં પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની "મુખ્ય સંકલન ટીમ", વેગુની 'કોર સમિતિ'ના સહયોગમાં કાર્યરત રહેશે.
દરેક વિભાગનું સંચાલન જે તે વિભાગના સંલકનકાર કરશે. દરેક વિભાગ જરૂર મુજબ સક્રિય સહયોગીઓની પેનલ  બનાવશે.
"સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ" ના મંચ પર યોગદાન:
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" પર આપ વાચક અને/અથવા યોગદાતા એમ બે ભૂમિકામાં આપનું યોગદાન આપી શકો છો.
શક્ય હોય તો વાચકને બદલે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની લિંકને આપ 'ફેવરિટ્સ'માં બુકમાર્ક કરીને આપ નિયમિત વાચક બની શકો છો.
તેથી આગળ વધીને, અહીં પ્રસિદ્ધ થતી સામગ્રી આપની પાસે, આપનાં ઇનબોક્સમાં નિયમિત પહોંચતી રહે તે માટે, જમણી બાજુએ ઉપર દર્શાવેલા "ઇ-મેઇલ દ્વારા વે.ગુ. સંપર્કમાં તમારું ઇ-મેઇલ સરનામું લખીને વેગુસભ્ય બની શકો છો.
'સક્રિય વાચક' તરીકે અહીં પ્રસિદ્ધ થતા દરેક લેખ પર આપ આપના પ્રતિભાવો કૉમેન્ટદ્વારા જણાવી શકો છો અથવા આ સમુદાય માટે સીધા પત્રસંપર્ક માટે શરૂ કરેલા ઇ-સરનામે[webgurjarim@gmail.com ] પણ જણાવી શકો છો. આપનાં મંતવ્યો, વિષય પર અન્ય ઉપલબ્ધ સામગ્રીની રજૂઆત વગેરે પ્રતિભાવોને એક બહુ જ મૂલ્યવર્ધક ચર્ચાના સ્તરે લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ માધ્યમો ઉપરાંત ગુગલ+ પર "અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ પ્રવાહો", ગુગલ પેજ અને લિંક્ડ ઇન પર "વેબ ગુર્જરી"નું 'અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ' ગ્રુપનું ગઠન પણ કરેલું છે. ત્યાં પણ ચર્ચામાં ભાગ લઈને આપ  "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" અને તેના પર રજૂ થતા વિચારો અને સામગ્રીનો પ્રસાર કરવામાં પણ આપનું યોગદાન આપી શકો છો. 
તે જ રીતે, આપના 'યોગદાતા' તરીકેના સહયોગ વડે આપ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ને વધારે પ્રભાવશાળી બનાવી શકો છો.
આપ જો કોઈ વિભાગ સંભાળી શકો તેમ હો તો તેમ અથવા ક્વચિત કે નિયમિત લેખક તરીકે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની આપણી આ સફરના સક્રિય યાત્રી બની શકો છો. એ માટે webgurjarim@gmail.com    અથવા web.gurjari@gmail.com  પર આપના સંપર્ક કરી શકાશે.