Monday, October 20, 2014

'કલમ કાંતે કચ્છ': ગ્રંથ - ૫: જળ - મૃગજળ

શ્રી કીર્તિ જયંત ખત્રીનાં 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળના અનુભવોને માનવીય ભાષામાં શબ્દદેહે રજૂ કરતા લેખોનું સંકલન ૮ +૧ ગ્રથમાં શ્રી માણેકલાલ પટેલે કર્યું છે.

"જળ-મૃગજળ" આ સંપૂટનું પાંચમું પુસ્તક છે.

શક્ય છે કે સંકલન સમયે દરેક પુસ્તકના વિષયને કોઇ ક્રમમાં મૂકીને પુસ્તકોના ક્રમાંક નક્કી થયા હોય. પરંતુ આ પરિચયકર્તા પોતાને જે પ્રશ્નોની અગત્ય સમજાય છે તે ક્રમમાં આ પુસ્તક સંપુટને વાચક સમક્ષ રજૂ કરી રહેલ છે.

આ સમગ્ર પુસ્તકશ્રેણીમાં સમાવાયેલા કીર્તીભાઈના લેખો જે તે સમયે જે સ્વરૂપે લખાયા હતા તે જ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ થયેલ છે.આને કારણે ઘણી જગ્યાએ પૂર્વાપર વિગતો ખૂટતી કે તૂટતી જણાય છે. તે જ રીતે મૂળ વિષય, તેમાંના પેટા વિષયોની રજૂઆતમાં પણ ક્યાંક એકસૂત્રતા કે સમયક્ર્માનુસારતા પણ ચુકાતી હોય તેવું પણ અનુભવાય છે. જો કે પુસ્તક્શ્રેણીના સંપાદક્શ્રી તેમનાં સંપાદકીય નિવેદનમાં કહે છે, "ગ્રામીણ પત્રકારત્વના અભ્યાસીઓને જે તે સમયે સ્થિતિનો ખ્યાલ આવે એ માટે (લેખોને... અલબત્ત)સંપાદિત જરૂર કર્યા છે, પણ એમાં કોઈ સુધારા વધારા (અપડેટ) કર્યા નથી'”, તે મર્યાદા સ્વીકારીને આપણે આ પુસ્તકોને વાંચવાં અને સમજવાં રહ્યાં.

ગ્રંથ ૫નું શીર્ષક "જળ-મૃગજળ" કચ્છના એક બહુ જ મહત્ત્વના પ્રશ્નને 'ઊંડાણપૂર્વક જોવાનો" પ્રયાસ છે.

'જળ-મૃગજળ'ના સમય કાળની શરૂઆત તકનીકી રીતે તો કીર્તિભાઈની 'કચ્છમિત્ર'ની ઈનિંગ્સના સમયથી પણ પહેલાંથી થાય છે. સ્વાભાવિક છે કે આટલું મહત્ત્વ ધરાવતો, પુસ્તકનો પહેલો જ, લેખ "કાળમુખા દુકાળની ચપેટ" (૨૭-૯-૧૯૭૪ )નો જ હોય. લેખનું પહેલું જ વાકય - કચ્છ માટે દુષ્કાળ એ કંઈ નવી બાબત નથી....પણ (વીસમી સદીના) સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળના સિતમગર સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો..માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બની રહ્યું છે - પ્રશ્નનાં મહત્વની સાથે સાથે તેના કચ્છનાં જનજીવન પર સમગ્રતયા પડતી અસર બહુ જ સ્પષ્ટ કરી મૂકે છે.

પુસ્તકના વિષયોનાં ફલકને સમજવાનો પ્રયાસ કરતાં એમ જોઈ શકાય છે કે 'દુકાળ' શબ્દ લેખનાં શીર્ષકમાં જ હોય તેવા ૧૨ લેખોનો સમયકાળ ૧૯૭૪ થી ૨૦૧૩ સુધીનો જોવા મળે છે. તે પૈકી ૧૯૭૪ના વર્ષના ફેલા લેખ પછીથી કીર્તિભાઇના'કચ્છમિત્ર'ના સમય સાથે શરૂ થતાં ૧૯૮૭ના વર્ષના ત્રણ, ૧૯૯૬,૧૯૯૭ ના દર વર્ષના એક, ૧૯૯૮ના વર્ષના બે , ૨૦૦૨ અને ૨૦૦૩ના દરેક વર્ષના એક અને છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષનો એક લેખ છે. આમ એમ સમજી શકાય છે કે ૧૯૮૭થી લગભગ ૨૦૦૩ સુધી મોટા ભાગના સમયમાં ઓછે વત્તે સમયે દુકાળની પરિસ્થિતિ રહ્યા બાદ, અચાનક જ ૨૦૦૩ પછી સળંગ એક દસકા સુધી ચોમાસાં સારાં ગયાં. તેમ શરુઆતના લેખ '૮૦ના દાયકાના છે તેનું કારણ એ સમયમાં જ કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ની કારકિર્દીની શરૂઆત સમજીએ તો પછી લગભગ દસ વર્ષનો ગાળો કેમ પડી જાય છે તે ક્ચ્છના સમયકાળની તવારીખથી પરિચિત ન હોય તેવા વાચકને માટે, લેખો વાંચવા માત્રથી કદાચ ન સમજાય.

કચ્છની એક ચિરંતર સમસ્યા,અનિયમિત અને અપૂરતાં ચોમાસાં અને તેને સંલગ્ન અન્ય બાબતોનો વ્યાપક ચિતાર રજૂ કરવાનો પુસ્તકનો મૂળ આશય છે. કેટલાક લેખોમાંના અવતરણો વડે આપણે પણ અહીં પુસ્તકમાંની રજૂઆતોનું વિહંગાવલોકન કરીએઃ

'ક્ચ્છ કાળમુખા દુષ્કાળની ચપેટમાં' (૨૭-૯-૧૯૭૪)
"સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળોના..સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો...માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બન્યું છે.

"ધાવણહીન માતા જેવી ધરતી પર મીટ માંડતા, માભોમના સૂકાભઠ્ઠ બદનમાંથી ઊઠતા ફળફળતા નિઃસાસા જેવી લૂ હજૂયે ક્યાંક વાતી રહે છે. દુષ્કાળના રાક્ષસી પંજાએ પહેલા મરણતોલ ફટકામાં દોઢ બે માસના ટૂંકાગાળામાં અંદાજે ૧૩થી ૧૫ હજાર ઢોરોને મોતના ખપ્પરમાં હોમી દીધાં છે.(પૃ. ૩૭)

"રાહત કામ પર મજૂરી કરતા...લોકોના ચહેરા જોઈએ છીએ તો...તેમની આંખોના ડોળામાં સફેદ રંગ તો ભાગ્યે જ જોવા મળે છે, માટી ખોદી ખોદીને તેમની આંખો ધગધગતા અંગારા જેવી લાલચોળ બની ગઇ છે.શરીર પર પહેરેલાં કપડાં તો જાણે કોઇ હાડપિંજર પર લટકી રહેલાં દેખાય છે...કદાચ એટલે જ રતાંધળાપણાના કેસો...ક્ષયરોગનું પ્રમાણ ચોકાવનારું છે." (પૃ. ૬૮)

"જ્યાં જૂઓ ત્યાં અછત બસ અછત. છત છે માત્ર ભૂખ્યાંતરસ્યા જીવની લાશો જેવા માનવીઓની, ઘાસપાણી વિના મોત તરફ આગેકદમ કરતા હજારો ઢોરોની, પોષણયુક્ત આહાર વિના મૂરઝાતાં માસૂમ બાળકોની અને મરેલાં ઢોરોના દેહ ચૂંથતાં ગીધ-કાગડા-કૂતરાંઓની." (પૃ. ૩૯)
'ખુદાકી શાન આપ હમારે ઘર આયે, કભી હમ અપને આપકો કભી ઘરકો દેખતે હૈં' (તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧-૩-૧૯૮૬થી ત્રણ દિવસની મુલાકાત સમયે)
"આવું છે અમારૂં વતન : આઝાદી પછીના ચાર પૈકી ત્રણ દાયકા અછતમાં વીતાવ્યા છે...માનવી કરતાં ઢોરોની સંખ્યા વધુ છે....અફસોસ અપેક્ષિત અને સમતોલ વિકાસ એક યા બીજા કારણસર થઈ શક્યો નથી તેનો છે... રાજય અને કેન્દ્રની કેટલીક યોજનાઓ અમલમાં મુકાઇ પરંતુ તેના પ્રામાણિક અને ઝડપી અમલના અભાવે યા તો રકાસ થયો છે અગર તો તેનાં ફળ છેવાડાનાં આદમીના મોં સુધી પહોંચ્યાં નથી. (પૃ. ૪૮)

"એશિયાના ઉત્તમ ધાસિયા મેદાન તરીકે જાણીતા બનેલા બન્ની વિસ્તારમાં શરૂ થયેલું ગાંડા બાવળોનું આક્રમણ રોકવા હજુ કોઇ પગલાં જ વિચારાયાં નથી (પૃ. ૪૯)

"કચ્છના ૯૬૭ ગામોમાંથી પચાસ ટકા ગામોંમાં સસ્તા અનાજની દુકાન નથી... જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકી જો ૨૮૦ પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક્થી ચાલતી હોય અને ૧૦૮૮ ઓરડા તેમજ ૧૩૨ શિક્ષકોની ઘટ હોય....(પૃ. ૪૯)
'ક્ચ્છમાં ચોથા દુકાળનાં ડાકલાં : ઘાસની બૂમ ‘ (૨૫-૭-૧૯૮૭)
"..અમે જોયું તો ત્રણ ઓરતો માથે પાનની ભારી નાખી જઈ રહી હતી.અમે એમને કંઇ પૂછીએ એ પહેલાં જ એમાંની એકે ભારી ફેંકી ચાલતી પકડી. બીજી યુવતીની આખોમાં ભય નજરે ચડ્યો. વાત એમ હતી કે, ઢોરો માટે કંઇ ન મળતાં આ ત્રણ ઓરતો કોઇની વાડીમાં ઘૂસી જઇ રજા લીધા વિના આંબાના ઝાડનાં પાન ઉતારી ઢોરોને ખવડાવવા લઇ જઇ રહી હતી. કેવી લાચારી ! સામાન્ય સંજોગોમાં આ ઓરતો પોતાના ગામમાં કોઇ બહારનો આદમી આવે તો ઘરની બહાર પગ ન મૂકે. અને આજે કુદરતની ક્રૂરતાને પરિણામે પોતાના ઢોર માટે પાંદડાની ચોરી કરવા ગઇ!" (પૃ.૫૭)

'ઢોરવાડાનો વિકલ્પ' (૨૩-૯-૧૯૯૭)
"દુષ્કાળ પડે ત્યારે દાતાઓ દાનની પુનિત ગંગા વહેવડાવે છે. તેઓ જો આ નાણાં સારા વર્ષમાં ઘાસ બૅંક માટે ખર્ચે તો એક જ વારના ખર્ચમાં હંમેશની મુશ્કેલી દૂર થઇ શકે." (પૃ. ૧૧૦)

'દુકાળ આપત્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં સમાવી લો.' (દીપોત્સવી : ૨૦૦૨)
"દુકાળના કાયમી નિવારણ માટે કૂવા રિચારજીંગની, જળ સંરક્ષણ અને સંચય, ઘાસ બેંક, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ખેત તળાવડી વગેરે યોજનાઓ છે અને બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી લોકભાગીદારીથીતેનો અમલ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે....ક્ચ્છમાં દશમાંથી સાત વર્ષ દરમ્યાન (દુકાળ રાહતકામ અને) પશુરક્ષા પ્રવૃત્તિ કરવી જ પડે છે.. તેન કારણે સમયાંતરે સ્થાપિત હિત ઊભાં થયાં છે...ભ્રષ્ટાચાર સામે તમામ તાકાત સાથે લડવાનું મનોબળ કોઇ પણ સરકાર દાખવી શકી નથી એ આપણા જાહેરજીવનની સૌથી મોટી કમનસીબી છે."

'દુકાળ સાથેનો પનારો ભૂલીને આપણે મોટી ભૂલ કરી છે' (૨૩-૦૮-૨૦૧૨)
"ભૂકંપ પછી ૨૦૦૨માં અછત સર્જાઈ ત્યારે અગાઉની જેમ ફરી દુકાળ નિવારણ કાર્યક્ર્મ ઘડાયો, પણ પછી સતત વરસાદ પડતાં બધું ભૂલાઇ ગયું.... જોકે જળ સંચય-સંરક્ષણના કામ સારાં થયાં છે...હવે પ્રજા, સંસ્થાઓ અને સરકારે અભિગમ બદલવો પડશે." (પ. ૧૫૫)

'અતિવૃષ્ટિની શક્યતા વિચારાય તો દુકાળની કેમ નહીં ?' (૨-૬-૨૦૧૩)
"કચ્છમાં ૨૦૧૩માં અછતનું વર્ષ એના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યું છે... ૧૯૮૪થી ક્ચ્છમાં દુકાળની પરંપરા શરૂ થઈ તે સમયે પણ આવી જ સ્થિતિ હતી....પૂર અને અતિવૃષ્ટિના તો સીધા અણસાર મળતા હોય છે,છતાં આગોતરી તૈયારી કરાય, પણ જેના અણસાર મળતા નથી અને અનિશ્ચિતતાઓ છવાઇ રહેલી હોય એના સામનાની કે શક્યતાની કોઇ વિચારણા જ કરાય નહી...અછત, દુકાળ કે અર્ધદુકાળ વખતે એની વ્યાખ્યા..તો અંગ્રેજોના સમયના નિયમો છે....સાચી વાત એ છે કે અંગ્રેજોએ આપેલી આનાવારી પદ્ધતિથી અછતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા જ ભૂલભરેલી છે....ખરેખર તો આજના ઇન્ટરનેટ અને (અવકાશ વિજ્ઞાનના યુગમાંઅત્યાધુનિક ઢબે વરસાદ, ખેતી અને ઘાસનો અંદાજ કાઢીને આનાવારી નક્કી થઇ શકે છે....સરકાર જૂની પદ્ધતિને તિલાંજલી આપે એ સમયની માંગ છે." (પૃ. ૧૬૦-૧૬૩)

દુકાળને લગતા વિષયની આ ચર્ચા પછીથી સીધી કોઇ ચર્ચા જોવા નથી મળતી.

અહીં સુધીના લેખોમાં વચ્ચે વચ્ચે પાંજરાપોળો, ઘાસ બેંક, ઢોરવાડા, રાહતકામો , જળસંરક્ષણ જેવા સંલ્ગન વિષયોને સ્પર્શતા લેખો પણ આવરી લેવાયા છે.

અહીંથી હવે પછી કચ્છમાં પાણીના પ્રશ્નનાં નર્મદા જળનાં નવાં પરિમાણનાં મંડાણ 'નર્મદાનાં મૃગજળ ' (૧-૨-૧૯૮૬) લેખમાં ‘દુકાળીયા મુલકને ધોરીધરાર અન્યાય ‘ (પૃ. ૧૭૧)ની તીખી રજૂઆતથી થાય છે.

તે પછી લેખ ૬-૮-૧૯૯૨, ૬-૮-૧૯૯૩ના છે, જ્યાં સુધી પણ સૂર 'અન્યાયોની વણઝાર'નો જ જણાય છે. ૨૫-૯-૧૯૯૪ના લેખ 'નર્મદા પ્રશ્ને સંવાદની પહેલ' શરૂ થવાથી "સરકારનું મન ખુલ્લું છે એની પ્રતીતિ" થતી જણાય છે. ૨૮-૭ -૧૯૯૫ના 'પાઇપલાઇન યોજના અને કચ્છ'માં પાઈપલાઇન કે કેનાલ વડે પાણી પહોંચાડવાની દ્વિધામાં પણ આશાવાદ જીવંત જણાય છે.

૨૪-૮-૧૯૯૬ના લેખ 'ગ્રેવિટી ફ્લોથી નર્મદાનું પાણી'માં ગ્રેવિટી ફ્લોની માગણીની ગાડી પાટે ચઢી છે તેની સહર્ષ નોંધ લેવાની સાથે અંતિમ પરિણામ સુધી જાગૃત રહેવાની ટકોર પણ છે.

૧૨-૭-૨૦૦૨ના લેખ 'કચ્છનાં નર્મદાનાં નીરહરણ માટે જવાબદાર કોણ?'માં "'વિતતી નથી વેદનાની એક પણ, પણ વર્ષો પળવારમાં વીતી ગયાં' જેવા મરીઝની ગઝલના શેરને ટાંકીને ૨૦૦૧ના ધરતીકંપ પછીના બચાવ-રાહતથી નવસર્જન સુધીનાં વિ સ્તૃત લેખાંજોખાં (કરવાના સમયે લેખક નોંધે છે કે) ૧૭મી સદીમાં ગુલામ શાહ કલોરાએ સિંધુનું કચ્છનું વહેણ અટકાવવા બંધ બાંધ્યા હતા, પછી ધરતીકંપે 'અ લ્લાહબંધ' સર્જી દીધો. ૨૦મી સદીમાં નર્મદાનાં પૂરતાં પાણી કચ્છ તરફ વહેડાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતાની નોંધ પણ, પચાસ સાઠ વર્ષ પછી ઇતિહાસમાં કદાચ એ જ રીતે લેવાશે." (પૃ. ૨૧૫થી ૨૧૭)

૧૭-૫-૨૦૦૩ના લેખ 'ક્ચ્છમાં નર્મદાનાં જળ અને મૃગજળ'માં "વર્ષ ૨૦૦૩માં ૬૫૦ કિ.મી.નો ...પંથ કાપીને… નર્મદાનાં નીરના કચ્છ આગમનને ઉમળકાથી (વધાવતાં) સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી એ મૃગજળ જ રહેવાનું છે' એ ફરિયાદનો સૂર કાયમ રહે છે.

નર્મદાનાં પાણીની ફાળવણી કે તેને કચ્છ સુધી પહોંવાડવાના મુદ્દા પર બીજા લેખોમાં ચર્ચાઓનો આવો જ દૌર ચાલતો જોવા મળે છે.

વર્ષ પ્રમાણે ગોઠવાયા હોત તો પુસ્તકના અંતમાં હોય તેવા ૧૨-૧-૨૦૧૪ના લેખ 'નર્મદા કેસના ચુકાદામાં સુપ્રીમની ટકોર ગળે ઉતરે તેવી નથી'માં પણ ઉકેલ અસંતુષ્ટ સ્તરે જ રહેલો જણાય છે.

પણ જો કચ્છને વરસાદની અનિયમિતતા કે બાહ્ય સ્ત્રોતની અપૂરતી અને સમયસર ન હોય તેવી આપૂર્તિ ન કનડે તો કચ્છનું સ્વરૂપ કેવું હોઇ શકે તેનું વર્ણન 'મેઘરાજાની અસીમ કૃપાએ ધીણોદરને હિમાલય જેવું સૌંદર્ય બક્ષ્યું છે...લીલુંછમ કચ્છઃ મૃગજળ નહીં હકીકત'માં જોવા મળે છે : "કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા મેઘરાજા છ-છ દાયકામાં ન વરસ્યા હોય એવી ઠાવકી અદાથી વર્ષ ૧૯૯૪ના ઓક્ટોબરમાં વરસી પડતાં કચ્છની નખશિખ કાયાપલટ થઇ ગઇ...દૂર દૂર રણના કાંધીએ ખારી જમીનમાં પણ રામમોલ લહેરાઇ રહ્યો છે. ડુંગરો પર ઉતરી આવેલી હરિયાળીએ કાળમીંઢ પથ્થરોનેય સૌંદર્ય બક્ષી દીધું છે..ઝરણાં દોડવા લાગ્યાં છે...ડુંગરોને બબ્બે મહિના સુધી બાથ ભીડનાર ભારેખમ વાદળ હવે હલકાંફૂલ બની ગયાં છે. એ હવે વરસાદનાં નહીં ઝાકળનાં (સફેદ) વાદળ બની ગયાં છે...કચ્છના વિખ્યાત ડુંગર ધીણોદર..ને વીંટળાઇ વળેલાં ઝાકળનાં વાદળ.. સોળે શણગાર સજેલી નવોઢાના ગળાંમાં લટકતા હાર જે(વાં ભાસે છે.)...જેમ જેમ ઉપર ચડતા જઇએ તેમતેમ ઝાકળ-ઝંઝા (હા, ઝાકળનાં ઝાંઝવાં)નો પ્રત્યક્ષ અનુભવ થતો જાય...વધુ કંઇ વિચાર કરીએ એ પહેલાં જ તો પશ્ચિમ દિશાએથી હવાનું એક જોરદાર ઝોકું આવી જાય છે અને એના પર સવાર થઇને આવેલું ધુમ્મસ ડુંગર સાથે અથડાઇ પડે છે. એવું લાગ્યું જાણે ઝાકળની ડમરી ઊઠી અને કાળમીંઢ પથ્થરો સાથે અથડાઇને ચૂપકીથી સરી ગઇ.....માતૃભૂમિ આવી લીલીછમ બને એ જ આપણું સપનું છે...પણ મેઘરાજા તો આવી છટાથી આઠ વર્ષમા એકવાર રીઝે છે, તેનું શું કરવું?....આ સવાલનો જવાબ કચ્છીઓ જળસંરક્ષણનાં કામોને આગળ ધપાવીને અને કોટિવૃક્ષ અભિયાન સફળ બનાવીને આપી શકે છે." (૯-૧૦-૯૪)

કચ્છનાં જનજીવન પર પર્યાવરણ અને તેની વિષમતાઓની અસર રૂપે, એક તરફ માનવ સર્જીત ભાતીગળ હસ્તકળા તો બીજી તરફ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિની અચરજ સમાણી કુદરતી વ્યવસ્થાઓ અને તેને અનુરૂપ પશુપાલન જેવા વ્યવસાયોની જીવનનિર્વાહની સકારાત્મક અસરોનું ચિત્રણ આ પુસ્તકમાંથી દૃષ્ટિગોચર થતું રહે છે. તેની સાથે સાથે રાજકીય તંત્રની દૂરંદેશિતાનો અભાવ, તેમાંથી જન્મતી અમલીકરણની શિથિલતા અને સત્તા તેમ જ પ્રજાની 'ખાયકી' અને 'ઓછી દાનત' જેવા નકારાત્મક રંગ પણ પ્રામાણિકતાથી સંકોરાયેલા છે. આનંદ સાથે આશ્ચર્ય પમાડે તેવાં ઉદાહરણો અને કુદરતની મહેરનાં દિલખુશ કરે તેવાં વર્ણનો વાચકમાં પણ આશાવદનાં કિરણો જગાડી મૂકવામાં સફળ રહે છે.



'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી || ગ્રંથ - ૫: જળ –મૃગજળ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
પૃષ્ઠ : ૩૧૨ મૂલ્ય : રૂ. ૨૩૦/-
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 7, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

No comments: