Thursday, November 27, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – ઉત્તરાર્ધ

લેખના પૂર્વાર્ધમાં આપણે નસ્સીમ તાલેબના યાદૃચ્છિકતા વિષેના વિચારોનો પરિચય કર્યો. તાલેબનાં અત્યાર સુધીનાં છેલ્લાં બે પુસ્તકો અને કેટલીક સંલગ્ન રસપ્રદ આડવાત વિષે જાણવા માટે આજના આ ઉત્તરાર્ધને વાંચીએ...

clip_image002
પ્રોક્રસ્ટીઝની પથારી : દાર્શનિક અને વ્યવહારુ સૂત્રો \ The Bed of Procrustes: Philosophical and Practical Aphorisms. [2010]
 
clip_image004તાલેબના મત મુજબ મોટા ભાગની આજની દુનિયા, અને તેમાં પણ નાણાં વિશ્વ તો ખાસ, પ્રોક્રસ્ટીઝની પથારી જેવી છે. આજની સંકુલ વાસ્તવિકતાઓને અનુરૂપ સિદ્ધાંતો અને મૉડેલમાં ઢાળવાને બદલે આપણે મૉડેલ કે સિદ્ધાંત પ્રમાણે વાસ્તવિક જગતને વેતરવાની વેતરણમાં રહેતાં હોઈએ છીએ; અને પછી જ્યારે તેમાં સફળ ન થઈએ ત્યારે મૉડેલ કે સિદ્ધાંતની અધૂરપ કે ત્રુટિને સ્વીકારવાના બદલે પહેલેથી પારખી ન શકાયેલાં બાહ્ય પરિબળોને 'આ કાળા હંસ જેવી ઘટનાઓ તો આપણા કાબૂમાં જ કયાં હતી !' એમ કહીને દોષ દેવા બેસી જઈએ છીએ.

‘પ્રોક્રસ્ટીઝની પથારી’ જીવનની યાદૃચ્છિકતાની સરાહનાનો ઢંઢેરો નથી, કે નથી તે તેની મગરૂરી (અને અજ્ઞાન)ની આલોચના. નાણાં કે રોકાણ જેવા વિષય પરનાં થોથાંને બદલે ઓસ્કાર વાઈલ્ડના કટાક્ષમાં ઝબોળેલા ચાબખાઓના સંકલન જેવું આ પુસ્તક વધારે જણાશે. આવો, તેમાંનાં કેટલાક વિચારપ્રેરક ચાબખાની આપણે મજા પણ ઉઠાવીએ :
  •  “જગતને સમજવા વિજ્ઞાન જોઈએ, પણ વ્યાપાર જગતમાં તો લોકોમાં ગેરસમજ ઊભી કરવા માટે તે વધારે કામ આવે છે.“
  •  “ભણતર સમજુને થોડો બધુ સમજુ બનાવે છે, પણ મૂર્ખાઓને તો બહુ જ જોખમી બનાવી મૂકે છે.”
  •  “કુદરતમાં કોઈ પણ ગતિ બેવડાતી નહીં જોવા મળે, પણ ઑફિસ, વ્યાયામશાળા, દરરોજની કામ પર આવવાજવાની સફર કે ખેલકૂદ જેવી બંધક પ્રવૃત્તિઓમાં તો ફરીફરીને એનું એ જ થતું રહે છે, કોઈ જ પ્રકારની યાદૃચ્છિકતા માટે ત્યાં જગ્યા જ નથી.”
  • “જ્યાં સુધી કોઈની જાત પર હુમલો ન લઈ જાઓ, ત્યાં સુધી કોઈ દલીલ જીતી જ નથી શકાતી.”
  • “અખબારોથી કાયમી છૂટકારો મેળવવો હોય, તો એક વર્ષ પૂરતી ગયા અઠવાડિયાનાં અખબાર વાંચવાની આદત કેળવો.”
  •  “સામાન્યતઃ લોકો કોઈ આદર્શ વ્યક્તિત્વ જેવાં થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે; પણ મોટાં થતાં અસરકારક નીવડી રહેવા માટે આનાં જેવાં જ ન થવાય તેવા પ્રતિઆદર્શોને નજરમાં રાખવા જોઈએ.”
  • "હેરોઈન, કાર્બોહાઈડ્રેટ અને દર મહિને મળતો પગાર એ ત્રણ સહુથી વધારે હાનિકારક વ્યસનો છે. મારી સફળતાનું માપ તો એક જ છે - મારી પાસે માખીઓ મારવા માટે કેટલો સમય છે.”
  •  “પદ્ય કે બહુ જ ઉત્કૃષ્ટ સાહિત્યનાં ટુંકાવી ન શકાય એવાં પુસ્તકો તો જૂજ હોય છે, ઘણાંને દસ પાનામાં ટુંકાવી દઈ શકાય અને મોટા ભાગનાંને કોરાં પાનાંમાં જ ટુંકાવી દઈ શકાય.”
  •  “કહે છે કે રૂખ પરથી સુસંગતતાને પારખવામાં સમજદારી છે (ઘટનાઓનાં), પણ આજના અટપટા વિશ્વમાં ખરી સમજદારી તો ભૂલથાપ ખવડાવતી રૂખને નજરઅંદાઝ કરીને જે અપ્રસ્તુત છે તેને પારખવામાં છે.”
  •  “શું ન કરવું તે સ્પષ્ટ પણે કહેવાને બદલે, આપણે શું શું કરવું જોઈએ એ કહેનારા જ વ્યાપાર જગતના ખરા ઊંટવૈદો છે.”
  • “સરકારી ખૈરાત અને ધૂમ્રપાન વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ‘આ મારી છેલ્લી સિગારેટ છે’ ગણ્યાગાંઠા કિસ્સાઓમાં પણ સાચું ઠરતું વિધાન છે.”
() () () ()
પ્રતિનાજુક - અવ્યવસ્થામાં લાભમાં રહેતીવસ્તુઓ \Antifragile: Things That Gain from Disorder [૨૦૧૨]
 
‘ધ બ્લેક સ્વાન’ અને ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’ જેવાં પહેલાંનાં પુસ્તકોમાં પ્રસ્થાપિત કરી ચૂકેલ વાતને આગળ ધપાવતાં, તેમના સહુથી છેલ્લા પુસ્તક ‘Antifragile’ માં તાલેબનું કહેવું છે કે ભવિષ્યની સહુથી મહત્ત્વની ખૂબી એ છે કે તેની આગાહી કરવી બહુ જ મુશ્કેલ, લગભગ મૂર્ખામી ભરેલ,કામ છે. એના કરતાં અનિશ્ચિતતા, યાદૃચ્છિકતા કે ઉથલપાથલ થતા સંજોગોને સ્વીકારી લેવામાં શાણપણ છે.

clip_image006"નાજુક'', ‘અડો તો પણ કરમાઈ જાય તેવું'-નો વિરૂદ્ધાર્થ શું કરવો ? મોટાભાગે જવાબમાં, 'મજબૂત કે 'ટકાઉ' કે 'બરછટ' સાંભળવા મળશે. 'મજબૂત' કે 'ટકાઉ' કે 'બરછટ' અચાનક થતાં પરિવર્તનો સાંખી જરૂર લઈ શકે - આકમિકતા સાથે તેમને કંઈ જ લેવાદેવા નથી હોતી. પરંતુ ‘નાજુક'નો ખરો વિરૂદ્ધાર્થ તો અચાનક જ આવતા આંચકાઓમાં મહોરી ઊઠવામાં જ ચરિતાર્થ થઈ શકે. અને તેથી તાલેબ 'પ્રતિનાજુક' શબ્દ પ્રયોગ કરે છે.

તાલેબનાં સહુથી છેલ્લા પ્રકાશિત થયેલ પુસ્તક Antifragileમાં નાજુકતાને ઘટાડવા માટે ભવિષ્યની યોજનાઓ ઘડ્યા કરવી, અને પછી અણકલ્પ્યાં પરિણામોને સમજાવ્યા કરવાને બદલે 'પ્રતિનાજુક' થવાની વાત છે.

તાલેબનું કહેવું છે કે જે ખરા અર્થમાં પ્રતિનાજુક છે તે અચાનક આવી પડેલ (અવળા) સંજોગોમાં પણ નીખરે છે કારણકે બીજાં બધાંની જેમ બાહ્ય દબાણ તેને પણ અસર તો કરે છે, પણ પછી ફરી સુવ્યવસ્થિત પણ તે જાતે જ થતાં રહે છે.

તેમનું માનવું છે કે સજીવ સૃષ્ટિ કે પછી બહુ જ જટિલ તંત્રવ્યવસ્થા મોટાભાગે 'પ્રતિનાજુક' જોવા મળે છે. જૈવિક ઉત્ક્રાંતિ, ટેક્નોલોજિનો વિકાસ કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાઓ ગડબડીયા, પડ-આખડ જેવાં અણકલ્પ્યાં વાતાવરણથી ટેવાઈ ગયેલી કહી શકાય. કુદરતી અનિશ્ચિતતાઓથી બચવામાં સરવાળે જોખમ જ છે. તેઓ કહે છે કે ત્સુનામી કે ધરતીકંપ ક્યારે આવી પડશે તે કદાચ ભલે કહી ન શકાય, પણ તેની અસર સામે ભાંગી પડે તેવાં બાંધકામ કરવાં એ તો નરી મૂર્ખામી જ છે. પ્રતિનાજુકતાને આપણી જીવનપદ્ધતિમાં સમાવી લેવી એટલે 'કાળા હંસ' જેવી આકસ્મિક ઘટનાઓથી ઓછામાં ઓછું નુકસાન વેઠી, તેનો બને તેટલો લાભ ઊઠાવી લેવો.

પુસ્તકમાં આ માટેના અલગ અલગ શક્ય ઉપાયોની પણ ચર્ચા જોવા મળે છે. "'અજમાયશ અને ભૂલ' (માંથી શીખવાની) પડઆખડ"ને, આપણા વિશ્વને કેટલું ઓછું જાણીએ, સમજીએ છીએ અને એટલી પણ સમજણ પર વધારે પડતા મદારનાં કેવાં પરિણામો ભોગવીએ છીએ તેની અલગારી રખડપટ્ટી પણ કહી શકાય. “આપણા વિશ્વનાં એવાં કેટલાંય રહસ્યો છે જે જાતે અભ્યાસ કર્યા સિવાય, માત્ર બીજાંના અભિપ્રાયના જોરે સમજવાં અશક્ય છે.:

પ્રતિનાજુક તંત્ર વ્યવસ્થામાટે નિષ્ફળતાઓનું પણ બહુ મહત્ત્વ છે, એ વાત પણ પુસ્તકમાં વારંવાર કહેવાતી રહી છે. વ્યક્તિગત રીતે કે સામૂહિક સ્તરે, સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણે ઘણું વધારે શીખી શકીએ. કોઈ સિપાહી નિષ્ફળ નથી હોતો, તે કાં તો તે લડાઈની તૈયારીઓમાં જીવતો રહે કે કાં તો લડાઈમાં મરણ પામે; ભાગ્યે જ કોઈ સિપાહી નામર્દાઈની જિંદગી જીવવાનું પસંદ કરશે. એ જ સૂરમાં તાલેબ કહે છે કે નિષ્ફળ જતા ઉદ્યોગ સાહસિકો કે વૈજ્ઞાનિક સંશોધકોને, તાર્કિક ભૂમિકાએ, શહીદ થતા લશ્કરના જવાન જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.

તાલેબને ખુરશીમાં બેસીને સિદ્ધાંતોની ચર્ચાઓ કરતાં લોકોને બદલે તેને વાસ્તવિક જીવનમાં અમલમાં ઉતારતાં એવાં લોકો માટે વધારે લગાવ છે જે પ્રયાસોમાંથી મળતા પદાર્થપાઠને આગળ જવા માટેનાં હોકાયંત્ર તરીકે વાપરે છે. ઉથલપાથલના પ્રવાહો સાથે લવચિકતા અને ઉત્પાદકતાનો સંબંધ કેળવવામાં ખરી ખૂબી રહેલ છે.

ઉથલપાથલ સાથે કેમ કામ લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કુદરત પૂરું પાડે છે. તે આકસ્મિક ઘટનાઓની સાથે કામ લેવા માટે આગાહીઓનો આશરો લેવાને બદલે પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેને પચાવી લે છે. એમ કહી શકાય કે નાની નાની આપત્તિઓ તો જાણે કુદરતને ગમે છે.

નાની આપત્તિઓથી કુદરત પોતાના તંત્રને સાજું નરવું કરી લે છે. કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી રાખી મૂકવાથી તેને કોહવાટ કે કાટ જ લાગશે. ત્રણ અઠવાડિયાં કંઈ જ કર્યા સિવાય પથારીમાં પડી રહો પછી શું હાલત થશે તે કહેવાની જરૂર છે ખરી ?

[] [] [] [] []

'મજબૂતીકરણ' અને 'પ્રતિનાજુકતા" જેવા વિચારોને હજુ વધારે સરળ રીતે સમજાવી શકાય તે રીતે કેમ રજૂ કરવા એને આજની તારીખમાં તાલેબ પોતાના માટે સહુથી મોટો પડકાર ગણે છે. અત્યારસુધી પ્રયોજેલ શબ્દ પ્રયોગોની ભાષામાં કહીએ તો 'કાળા હંસ' સમી આકસ્મિક, આત્યંતિક અને થયા પછી જ સમજાવી શકાય તેવી ઘટનાઓને જીરવવા અને તેમાંથી નીખરી ઉઠવા માટે પ્રતિનાજુકતા કેમ કેળવવી એ 'પોતે કેટલું જાણે છે તે જાણવાથી તે હકીકતે ઓછું જાણનાર' વિદ્વાનોને કેમ સમજાવવું એ તેમની સામેનો પડકાર છે.

તેઓ મધ્યમ માર્ગને બદલે જોખમના બે અંતિમોની વચ્ચેના ખેલના સંતુલનના પુરસ્કર્તા છે. દા. ત. જોખમ અસ્પષ્ટ હોય તેવા સંજોગોમાં ૧૦૦ રૂપિયા 'મધ્યમ જોખમી' રોકાણમાં કરી બધી જ મૂડીને જોખમમાં મૂકી દેવાને બદલે ૯૦ % એક્દમ સલામત સ્વરૂપ (જેવું કે રોકડ) અને ૧૦% ભલે ખાસ્સું જોખમી પણ ઘણું જ સારું વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવાથી સરવાળે જોખમ તો મૂડીના ૧૦%નું જ રહ્યું અને નફો થાય તો સહુથી સારા વળતરનો લાભ ક્યાં નથી !
{} {} {} {}

Ø નસ્સીમ તાલેબનાં વ્યકતવ્યોની વીડિયો ક્લિપ્સને, Nassim Nicholas Taleb -LARGE AGGREGRATION OF NASSIM TALEB VIDEOS GENERATED BY YOUTUBE, પર એકત્રિત કરાઈ છે.

Ø નસ્સીમ નિકોલસ તાલેબ વિષે વધારે, તાજી, માહિતી મેળવતાં રહેવા માટે તેમની વેબસાઈટ, NASSIM TALEB .org (UNOFFICIAL news site), ની મુલાકાત લેતાં રહેશો.

ખરા અર્થમાં તો આપણા માટે આયોજન કરવું શક્ય જ નથી,કારણે કે ભવિષ્યને તો આપણે પુરેપુરૂં ક્યાં જાણીએ જ છીએ. જો કે, આપણી એ મર્યાદાને ધ્યાનમાં રાખીને જરૂર આયોજન કરી શકાય. હા, એ માટે જીગરમાં હામ જોઈએ !

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૨૬-૯-૨૦૧૪

No comments: