Monday, December 15, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ અને ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

આપણે 'કલમ કાંતે ક્ચ્છ"શ્રેણીના ૮+૧ પુસ્તક સંપુટનો પરિચય કરી રહ્યાં છીએ.

શ્રેણીમાંનાં આઠ પુસ્તકોમાંથી ચાર પુસ્તકો રણ (૩), દરિયા કિનારો (૪), જળ(નો અભાવ) (૫) અને ધરતીકંપ (૬) જેવી કચ્છનીઅનોખી ભૌગોલિક હકીકકતની, તેને લગતા પ્રશ્નો અને ઉકેલોના સંદર્ભમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ લખાયેલા અગ્રલેખોમાં રજૂ થયેલાં તારણો અને મંતવ્યોની આત્મીય ચર્ચાને આવરી રહ્યાં હતાં.

આજે આપણે 'ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ' અને 'ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ'એમ બે પુસ્ર્તકોની એક સાથે વાત કરીશું. પુસ્તક શ્રેણીના સંપાદક શ્રી માણેકલાલ પટેલ આ પુસ્તકોના કેન્દ્રવર્તી થીમ વિષે કહે છે કે," આઝાદી પહેલાં સ્વતંત્ર રાજ્ય એવું કચ્છ કદની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં ગુજરાત સાથે જોડાયા પછી એનું અસ્તિત્ત્વ એક જિલ્લામાં સમેટાઇ જતાં અનેક અણધારી મુશ્કેલીઓ રોજબરોજના કારોબારમાં ઊભી થવા લાગી હતી. તાલુકાથી જિલ્લાસ્તરે ઊભા થતા પ્રશ્નો અને એના નિવારણની ચર્ચા સાથેના આ પુસ્તકમાં સમાવેશ કરાયેલા લેખો અને અગ્રલેખો ગ્રામ્ય પત્રકારિતાની દીવાડાંડી સમાન છે."

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્યત્વે સામાજિક, આર્થિક કે રાજકીય માનવસર્જિત પ્રશ્નો અને તેના સંભવિત ઉકેલો, કે પછી વિચારાયેલા અને અમલ કરાયેલા (અને ન વિચારાયેલા કે ન અમલ થયેલા)ઉકેલો પરથી ફરી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેના ઉકેલોનાં અનેકવિધ પાસાંઓની રજૂઆત આ બે પુસ્તકોમાં કરાઇ છે. આ સમગ્ર ચર્ચામાં કચ્છ જેવા આગવા ઐતિહાસિક વારસા, ભૌગોલિક પર્યાવરણ અને રાજકીય/સામાજિક પરંપરાઓ કે આર્થિક વિટંબણાઓ અને શક્યતાઓ ધરાવતા વિસ્તારના પ્રશ્નોને લોકજીવનની વાચા મળે તે રીતની આત્મીય છતાં વિધેયાત્મક અખબારી ભાષામાં ગ્રામીણ પત્રકારિતાની આગવી કેડી પણ કંડારાતી જોવા મળશે.

'ગ્રંથ -૭: પાંજી પીડા પાંજી ગાલ'નાં ૨૧૫ પાનામાં ૧૦૩ લેખો અને 'ગ્રંથ - ૮: પાંજા પ્રશ્ન પાંજી ગાલ'નાં ૨૨૨ પાનામાં ૧૦૧ લેખો છે. પુસ્તકનાં શીર્ષકો પરથી જ સમજી શકાય છે કે આ પહેલાંનાં પુસ્તકોની જેમ કોઇ એક વિષયનાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓના ઊંડાણથી અભ્યાસનો અહીં પ્રયાસ નથી કરાયો, પરંતુ અનેકવિધ બાબતોની કૉલાજ સ્વરૂપની રજૂઆત વડે એક બૃહદ ચિત્ર ખડું કરાયું છે.

બંને પુસ્તકોની અનુક્ર્મણિકાઓની મદદથી જો પુસ્તકોમાં સમાવાયેલા વિષયોની યાદી બનાવવા પ્રયત્ન કરીએ તો કચ્છમાં ઉદ્યોગો, ખનિજ ખનન અને તેને સંલગ્ન બાબતો, નમક ઉદ્યોગ, કચ્છના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ રાજકીય કે શાસકીય નીતિઓ, રેલવે કે બસ કે વિમાની જેવી માળખાકીય પરિવહન સેવાઓ, કચ્છના પર્વતો, કંડલા બંદર, કચ્છમાં શાળા કક્ષા તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, કચ્છનાં પ્રાકૃતિક ક્ષેત્રોની જાળવણી અને તેની સાથે સંકળાયેલ માનવ વસ્તીની સમસ્યાઓ જેવા વિષયો એ કૉલાજમાં નજરે ચડવા લાગે છે.

પુસ્તકની પહેલી આવૃત્તિ સમયે તો કચ્છમિત્રના આશરે ૩૦થી વધુ વર્ષના ૧૧,૫૦૦થી પણ વધુ અંકોમાં ફેલાયેલા ૩૦૦૦થી પણ વધુ લેખોમાંથી ૬૩૯ જેટલા લેખોને અલગ વર્ગીકરણ મુજબ તારવવા, અને પછી સંકલિત કરીને પુસ્તકના સ્વરૂપે મૂકવા, એ પણ કચ્છની બહુઆયામી તાસીરને એક બેઠકે સમજવાનું ભગીરથ કાર્ય છે તે વિષે તો કોઇ બે મત જ ન હોઇ શકે.

જેમ 'કચ્છમિત્ર' કચ્છના લોકોના લોહીમાં ભળી ગયું છે તેમ જ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી પણ કચ્છને સમજવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપી તેમ શકે છે. તેમાં પણ કચ્છનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના છેલ્લાં ત્રીસ વર્ષના પ્રવાહોને એક જ છાપરા હેઠળ રજૂ કરતાં આ બે પુસ્તકોની ઉપયોગિતા સમગ્ર ગ્રંથ શ્રેણીના સંદર્ભે મહત્ત્વની બની રહે છે.

આ બંને પુસ્તકોમાં પણ અન્ય પુસ્તકોની જેમ સ્વાભાવિક જ રીતે, ૧૯૮૦થી માંડીને છેક ૨૦૧૩ સુધીનો સમય આવરી લેવાયો છે. એટલે પુસ્તકના લેખો અનેક પ્રશ્નોને સ્પર્શે તે પણ સ્વાભાવિક છે. તો આ જ કારણોસર આ બંને પુસ્તકો એ આ સમયખંડના પ્રકાશનોની તવારીખનું દસ્તાવેજીકરણ માત્ર નથી પણ, એક ચિંતક, હિતેચ્છુ અને તળથી જાણકાર તેવા તંત્રીની વિધેયાત્મક દૃષ્ટિએ ચકાસાયેલાં મંતવ્યો અને તારણોના માધ્યમથી કચ્છના આ સમયખંડનાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રજાજીવનનું પ્રતિબિંબ છે. તેથી આ પુસ્તકો વિષેની અપેક્ષા અન્ય પુસ્તકો કરતાં અલગ જ કક્ષાની બની રહે છે.આ પુસ્તકોનાં વાચકોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય : કચ્છના સાંપ્રત પ્રવાહો સાથે ન સંકળાયેલ હોય એવાં વાચક; કચ્છના સાંપ્રત પ્રવાહોની સાથે સંકળાયેલા હોય તેવાં વાચક અને કચ્છના પ્રશ્નોનાં અભ્યાસુ વાચકો કે ખાસ જાણકારી ધરાવતાં વાચકો. દરેક શ્રેણીનાં વાચકોની આ પુસ્તકોની મૂલવણી પણ અલગ અલગ સ્તરની હશે.

કેટલાય પ્રશ્નો એવા હશે જે આ સમયમાં ક્યાં તો હલ થઇ ચૂક્યા હશે, ક્યાં તો શરૂઆતમાં જે સ્વરૂપે હશે તેમાંથી સમયની સાથે સાથે નવાં સ્વરૂપ પણ લેતા ગયા હશે કે હલ થઇ ગયા પછી ફરીથી એ જ અથવા નવા સ્વરૂપે ફરીથી પેદા થયા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. કચ્છની સમસ્યાઓના જાણકાર માટે તો આ પુસ્તકો સંદર્ભ તરીકે પણ કામ આવી શકે તેમ છે પરંતુ કચ્છના સાંપ્રત પવાહો સાથે ન સંકળાયેલ હોય એવા વાચકને આ પુસ્તકોના વાચન પછી આવા પ્રશ્નોના જવાબ શોધવામાં મુશ્કેલી પડશે..

આ બંને પુસ્તકોના સંદર્ભમાં, દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રવેશકની ભૂમિકાઓમાં મુકાયેલા લેખોની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે. જેમ કે કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિનો લેખ પુસ્તકના થીમના પરિચયની ભૂમિકા ભજવે અને 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરનો લેખ પુસ્તકના સમયખંડ દરમ્યાન વિષયના વિકાસની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે હાલ તે અંગે શું પરિસ્થિતિ છે તે રજૂ કરી શકે. આમ થવાથી કચ્છ સાથે સાવ જ અપરિચિત વાચક સમક્ષ પણ પુસ્તકના થીમના સંદર્ભમાં કચ્છનું પૂરેપુરું ચિત્ર ખડું થઇ જઇ શકે છે.

તે ઉપરાંત પુસ્તકમાં વર્ષવાર, વિષયવાર ઇન્ડેક્સિંગ પણ ઉમેરવામાં આવે તો જો કોઇ ચોક્કસ સમયખંડમાંના કોઇ ચોક્કસ વિષય વિષે ઊંડાણમાં જવા માગતું હોય, તેને માટે તો ખજાનાના અનેક દરવાજાઓમાંથી જોઇતા દરવાજાની ચાવી મળી જાય.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ
અને
કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

No comments: