Showing posts with label ઉર્વીશ કોઠારી. Show all posts
Showing posts with label ઉર્વીશ કોઠારી. Show all posts

Sunday, September 15, 2019

પ્રકાશ ન. શાહ - ઉર્વીશ કોઠારીની સાથે સંવાદમાં


'સાર્થક સંવાદ શ્રેણી' હેઠળ શ્રી ઉર્વીશ કોઠારીની પ્રકાશ ન. શાહ સાથે જીવનચરિત્રાત્મક સવાદ સ્વરૂપની મુલાકાતોનાં શબ્દાંકનમાંથી 'પ્રકાશ ન. શાહ'નાં વ્યક્તિત્વનાં અનેક બહુરંગી પાસાંઓનું દસ્તાવેજીકરણ થયેલ છે. પ્રકાશભાઈને 'નિરીક્ષક'ના તંત્રી લેખોમાં કે 'દિવ્યભાસ્કર'માં તેમની અઠવાડીક નિયમિત કોલમના વાંચકો વિશિષ્ટ શબ્દપ્રયોગો સાથેની તેમની અટપટી ભાષાના સર્જક તરીકે ઓળખે. તેમના લેખોમાં રજૂ થતી વિવિધ વિષયોની ચર્ચાઓમાં પ્રકાશભાઈની રાજકારણ, સમાજ, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને સાહિત્યકારો, જાહેર જીવનમાં પ્રવૃત્ત વ્યક્તિત્વો સાથેના સંબંધ જેવા અનેક વિષયોનીસૂક્ષ્મ સમજ પણ દેખા દેતી રહે. એ હિમશીલાની ટોચ જેવાં ઉપરથી દેખાતાં પત્રકાર જીવન અને જાહેરજીવન સાથે સંકળાયેલાં પ્રકાશ ન. શાહનાં વ્યક્તિત્વની અંદર પ્રસ્તુત પુસ્તક વાચકને લઈ જાય છે.
આપણે ઉર્વીશ કોઠારીસાથેના સંવાદની મદદથી ‘પ્રકાશ ન શાહ’ નો ટૂંક પરિચય કરીએ.

‘પ્રકાશભાઈ કેવા?’ તેના જવાબમાં પ્રકાશભાઈનું કહેવું છે કે 'જીવનનો ઉલ્લાસ સમજાય તે રીતે બધાં ક્ષેત્રોને માણનાર તે વ્યક્તિ છે. તેઓ કોઈ પક્ષની કે સંસ્થાની કે 'વાદ'ની રૂઢિગત વ્યાખ્યામાં બંધ થયા સિવાય ન્યાયી સમાજરચનાવાળી નવી દુનિયાની રચનામાં સહભાગી થવાય તેવી જાહેર જીવનની સાહજિક પ્રવૃત્તિઓ તેમની પ્રાથમિકતાઓમાં રહે છે. વાંચનના સંસ્કાર તેમનામાં નાનપણથી ઘૂંટાયા છે.

બી.એ. થયા ત્યાં સુધી ડૉ. રાધાકૃષ્ણનનાં પુસ્તક 'હિંદુ વે ઑફ લાઈફ', ગાંધીજીનાં 'હિંદ સ્વરાજ' અને રવીન્દ્રનાથ ઠાકુરનાં 'સ્વદેશી સમાજ'નાં વાંચને તેમનાં વૈચારિક ઘડતરનો પાયો ઘડ્યો. પણ તેઓ કહે છે તેમ ગાંધીજી માટેની તેમની સમજ ડૉ. રામ મનોહર લોહિયાને વાંચવાથી અને માર્ક્સની સમજ જયપ્રકાશ નારાયણને વાંચવાથી સ્પષ્ટ થઈ. જોકે તેમના વિચારોની પ્રતીતિ, અભિવ્યક્તિ અને ભાવ તેમનાં પોતાનાં આગવાં વિકસ્યાં.

પ્રકાશ શાહ જ્યારે એમ.એ.નાં પહેલાં વર્ષમાં હતા ત્યારે મહાદેવભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં 'સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન છે કે નથી?' એ વિષય પર તેમણે સીધાં પગલાંની હિમયાત કરી હતી. એકાદ દાયકા પછીથી શરૂ થનાર જાહેર જીવનના તેમના વિચાર અને વ્યવહાર, તેમની સાથે પરિચયમાં આવનારાં વ્યક્તિત્વો સાથે તર્જ મેળવતાં રહેવા છતાં, કેમ તેમના પોતાના આગવા રહ્યા તે વાતનો પહેલો અણસાર અહીં જોવા મળે છે.

આચાર્ય કૃપાલાણી સાથે પ્રકાશ ભાઇનો પ્રત્યક્ષ પરિચય ૧૯૬૮-૬૯માં થયો કૃપાલાણીજી એ સમયે અમદાવાદમાં રહ્ય અત્યારે તેમની સાથે વાતચીત કરવા અને પુસ્તકો વાંચી સંભળાવવા પ્રકાશભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં જતા, તેમાં તેમના 'તાર મળી ગયા'. વાંચતાં વાંચતાં કે સાંભળતાં સાંભળતાં કૃપાલાણીજી બહુ ઊંડા વિચારમાં પડી જાય, કોઈ વાતચીત ન કરે. તેઓ જ્યારે આનંદમાં હોય તો વચ્ચે વચ્ચે ટહુકો કરી લે. તેમની વાતોમાં સિંધી કહેવતો અને લોકગીતની પંક્તિઓ આવે. અનુભવના આધારે માર્મિક અવલોકનો આવે. તેમનાં પત્ની સુચેતાજી જોડે તેમનો પ્રેમ અલૌકિક સ્તરની ગાઢતાનો ઉમળકાનો હતો. સરદાર પટેલ માટે દિલથી માન હોવા છતાં તેમના વિચારોમાં જ્યારે તફાવત હોય ત્યારે સરદાર પટેલ વિષે તેઓ સ્પષ્ટ ટીકા કરી શકતા.

(ઈંદિરાજીએ ૧૯૭૫માં જાહેર કરેલ આંતરિક) કટોકટીના સમયમાં રાજકારણ સાથે સંકળાયેલી ખુલ્લી સંસ્થાઓમાંથી જે બેચાર જણાને સૌથી વધારે જેલવાસ થયો હશે તેમાંના એક પ્રકાશભાઈ પણ હતા. એ માટે સૌથી વધારે કારણભૂત થવા પાછળનું કારણ હતું જયપ્રકાશ નારાયણ અને તેમની ચળવળના ગુજરાતના છેડાના સીધા સંપર્ક તરીકે પ્રકાશભાઈની ભૂમિકા. જેલવાસ દરમ્યાન વાંચન ખુબ કર્યું પણ પોતાનાં પત્ની અને દીકરીઓને કૌટુંબીક ભાવનાથી લખેલ પત્રો સિવાય, રાજકરાણની બાબતો પર પોતાના સ્વતંત્ર, ગંભીર વિચારોને વ્યકત કરતું, બીજું ખાસ કંઈ તેમણે લખ્યું નહીં. જેલવાસમાં તેમના અન્ય સાથીઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સર્વોદયની વિચારધાળા પણ કેટલા અન્ય લોકો સાથે હતા, એટલે તેમની માનસીક વિચારધારાને બહુ નજદીકથી જોવા જાણવાની એક તક પ્રકાશભાઈને ત્યાં મળી હતી. જેલવાસ દરમ્યાન ચાર દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા ત્યારે તેમને મળવા આવનાર ઘણા લોકોમાં નરેન્દ્ર મોદી પણ હતા. તેમના તે પછીના સંબંધો ભૌતિક રીતે એક હાથનું અંતર રાખીને એકબીજાના વિચાર પર આલોચનાત્મક નજર રાખવાના રહ્યા છે એમ કહી શકાય.

પ્રકાશભાઈની રાજકીય વિચારસરણીની મૂળ તરજ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાની વિચારધારા સાથે મેળમાં બેસે એટલે તેઓ જનસંઘની વિચારધારાના જેટલા ટીકાકાર તેવા જ કોંગ્રેસના પણ ટીકાકાર હતા. જનતા પાર્ટીના તૂટ્યા પછી પ્રકાશભાઈની જે સૈધ્ધાંતિક અને વ્યાવહારિક ભૂમિકા રહી તેમાં તેમની કોગ્રેસના ટીકાકાર હોવાની છાપ ભુંસાઈ ગયાનું તેમને યાદ આવે છે.

એક સમય ગાળામાં પ્રકાશભાઈને શ્રી લાલ કૃષ્ણ અડવાણીને અનૌપચારિક રીતે મળવાના પ્રસંગો બનતા. એવી એક મુલાકાત સમયે વાતવાતમાં અડવાણીજીને પૂછવામાં આવ્યું કે આર્થિક સુધારાને વરેલી કોંગ્રેસ અને ભાજપામાં તાત્વિક અંતર શું રહ્યું છે? તેના જવાબમાં એમણે કહ્યું હતું કે 'અમારા આર્થિક વિચારો તો એક જ છે..લેકિન હમારી પહેચાન હિંદુત્વમેં હૈ.' ભાજપની મૂળ વિચારધારાનું આ અંગ પ્રકાશભાઈ જેવા સ્વતંત્ર મિજાજવાળા વિચારકને વિરોધ પક્ષની ભૂમિકામાં ખડા કરી દેવા પૂરતું બની રહે.

રામ મનોગર લોહિયા જેવા જ ઉદ્દામ વિચારો એક સમયે ધરાવતા જયપ્રકાશ નારાયણ (જેપી) લોહિયાજીની દૃષ્ટિએ સર્વોદય પ્રવૃતિઓમાં સક્રિય થવાને લીધે 'ઘીસાઈ' ગયા હતા, તેમ છતાં જો કોઈ પરિવર્તન લાવી શકે તેમ હોય તો તે માત્ર જેપી જ છે તેમ લોહિયા માનતા હતા. ૧૯૭૨ કે ૧૯૭૩ના વર્ષોની એક જાહેર ચર્ચામાં પ્રકાશભાઈએ નોંધ્યું હતું કે જેપી કોંગ્રેશ, પછી સમાજવાદી પક્ષ અને પછી સર્વોદય, સિવાયના નવા પરિમાણની શોધમાં જણાય છે. પોતાનાં જીવનનાં નવા વળાંક પર ઊભા જોવા મળે છે.


પ્રકાશભાઈની વૈચારિક ભૂમિકાના વિકાસમાં અને લેખનમાં તેમના આ બધા અનુભવોની ઓછી વત્તી અસર રહી છે. તેમનું લેખન શરૂ થયું તો તેમના શાળાજીવનથી જ હતું, તે પછી જૂદી જૂદી વિચારધારાઓ ધરાવતાં સામયિકોમાં તેમણે અલગ અલગ વિષયો પર પોતાની લેખનીને અજમાવી, જે 'નિરીક્ષક'ના વિકાસ સાથે સાથે એક ચોક્કસ દિશામાં ઢળતી ગઈ. એ બે વચ્ચે 'વિશ્વમાનવ' કે 'જ્ઞાનગંગોત્રી' ગ્રંથ શ્રેણી કે ઇન્ડિયન એક્સપેસ જૂથનાં 'જનસતા' કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જૂથનાં ગુજરાતી અખબારો સાથેના તેમના વિધિસરના વ્યાવસાયિક અનુભવોમાં તેમની લેખન કળા અને લેખનના વિષયોની પસંદગી ઘડાતી રહી.

પ્રકાશભાઈનો સક્રિય રાજકારણ સાથેનો નાતો ગુજરાત અને બિહારનાં આંદોલન (જાન્યુઆરી-માર્ચ ૧૯૭૪), ગુજરાતમાં જનતા મોરચો (આશરે જૂન ૧૯૭૬), કટોકટી (જૂન ૧૯૭૫- ૧૯૭૭), જનતા પાર્ટનો ઉદય (૧૯૭૭)ની આખી પ્રક્રિયા દરમ્યાન બની રહ્યો હતો. રાજકારણની સાથે સાથે તે નાગરિક શક્તિના ઉદયનો પણ સમય હતો. ૧૯૮૭ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પ્રકાશભાઈ અને સમાન વિચાર ધરાવનારા સાથીઓએ નાગરિક સમિતિનો પ્રયોગ પણ કર્યો . તેમના આ અનુભવમાંથી ૧૯૯૩માં તેમણે સેક્યૂલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સૅક્યૂલર ડેમૉક્રસી)ની સ્થાપના કરી. આ સંસ્થાના ઉપક્રમે પ્રકાશભાઈએ ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા ઘટનાક્રમમાં બિનસાંપ્રદાયિક ભૂમિકાએ માનવ અધિકાર પંચ, ચૂંટણી પંચ કે ક્રિષ્ણા અય્યર પંચ સમક્ષ રજૂઆતો જેવા સાંપ્રત વિષયો પર રજૂઆતો દ્વારા નાગરિક હસ્તક્ષેપની ભૂમિકા નિભાવતા રહ્યા છે. 

પ્રકાશભાઈનું જાહેર જીવનના મહત્ત્વના મુદ્દાઓ જેટલો જ મહત્ત્વનો, ચર્ચાસ્પદ અને રસપદ પણ, મુદ્દો તેમની લેખનીની ભાષા રહી છે. સામાન્યપણે પત્રકારત્વ કે સાહિત્યનાં લખાણોમાં ન વપરાતા નવા શબ્દો તેમના લેખોમાં બહુધા જોવા મળે. પ્રકાશભાઈના વિચારો સાથે અસહમતિ ધરાવતા લોકો માટે તેમની આ ભાષા પણ અસહમતિ ધરાવવા માટેનો મહત્ત્વનો મુદ્દો બની રહે. તેમની શૈલી બહુ સરળ અને વિષયની રજૂઆત એકદમ સ્પષ્ટ હોય,પણ વચ્ચે વચ્ચે સહજપણે પ્રયોજાયેલા તેમના પોતાના આગવા શબ્દપ્રયોગોને કારણે તેમના ચાહક વાંચકોને પણ તેમના લેખ સહેલાઈથી સમજાય નહી એવી એક ફરિયાદ તેમની સામે રહે.

આજે હવે જીવનના આઠમા દાયકામાં પ્રવેશદ્વારે તેમનાં સ્વપ્નની વાત કરતી વખતે તેમને યાદ આવે છે કે યુવાનીમાં તેમને કાઉન્ટેસનાં દૃષ્ટિબિંદુથી તૉલ્સ્તોય વિષે નવલકથા લખવાની ખેવના હતી. તે પછી, ૧૯૭૫થી ૧૯૯૦ના અરસામાં, જેપી મૂવમેન્ટમાં સક્રિય હતા ત્યારે ગાંધીજી હયાત હોય, પટેલ -નહેરુ સરકારમાં હોય અને ગાંધીજી લોહિયા અને જયપ્રકાશ નારાયણને લઈને નવી શરૂઆત કરે છે એવી વાર્તા લખવાની ઈચ્છા હતી. આજે હવે તેમને તેમના વિચારો વ્યક્તવ્યો દ્વારા વધારે વ્યક્ત કરવાના અવસર સાંપડે છે, ત્યારે તે 'સરખું ગોઠવી'ને મૂકવાની તેઓ આશા સેવે છે, જેથી વર્તમાન દુનિયામાં રહીને જે બધા વિચારપ્રવાહોમાં પસાર થવાનું થયું એમાંથી નિપજતી એક સામાન્ય સમજ નવી દુનિયા માટે મૂકી જવાય અને તેની અસરો થોડો સમય ટકી પણ રહે …..

એકંદરે, ઉર્વીશ કોઠારીનું ‘પ્રકાશ ન શાહ’માં રજૂ થયેલ પ્રકાશભાઈનાં જાહેર જીવનના અગત્યના તબક્કાઓનું આલેખન પ્રકાશભાઈનાં બહુરંગી વ્યક્તિત્વને આપણી સમક્ષ રજૂ કરવામાં સુપેરે સફળ રહે છે.
પ્રકાશ ન. શાહ
લેખક ઉર્વીશ કોઠારી © July 2019
ISBN: 978-93-84076-37-5
પૃષ્ઠ સંખ્યા ૧૬૦ કિંમત રૂ.૧૫૦
પ્રકાશક: સાર્થક પ્રકાશન ,અમદાવાદ
મુખ્ય વિક્રેતા: બુક શૅલ્ફ, અમદાવાદ

પરિચયકર્તા: અશોક વૈઃણવ

Tuesday, May 12, 2015

સાર્થક જલસો - ૪



'સાર્થક જલસો’નો ચોથો અંક વાંચવાનું શરૂ કર્યું ત્યારે આ પહેલાંના ત્રણ અંક્ની જેમ કંઇ નવી ભાતનું વાંચવા મળવાનું છે તે તો નક્કી જ હતું. ત્રણ બેઠકમાં જ આખો અંક પૂરો કરી જવામાં જે જલસો પડી ગયો તે વધારાનો ફાયદો હતો.

છ છ મહિના સુધી નવા અંકની રાહ જોવા તૈયાર હોય એવો એક ચોક્કસ વાચક વર્ગ કેમ બની ચૂક્યો હશે તે પણ ' સાર્થક જલસો -૪'ના લેખો વાંચવાથી સમજાઇ શકે તેમ છે.

ખેર, અંગત મંતવ્યોની આડ વાતે ઉતરી જતાં પહેલાં આપણે ' સાર્થક જલસો -૪'ની સામગ્રી પર એક સરસરી નજર કરી લઇએ. 

ઉર્વીશ કોઠારીએ લીધેલી 'મહેન્દ્ર મેઘાણીની મોકળાશભરી મુલાકાત'માં મહેન્દ્ર મેઘાણી ની અનેક દૃષ્ટિકોણથી જ ઓળખી શકાય એવી લાંબી ઓળખનાં બધાં જ ઘટકોને ખાસ્સી મોકળાશથી આવરી લેવાયાં છે. દરેક વિષયો પર મહેન્દ્રભાઇની બીજી ઓળખ સમી 'સંક્ષેપ' શૈલીની સફળતાનો પૂરેપૂરો પરિચય મળી રહે છે. તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના તાણાવાણાની ભાત જોવા (વાંચવા)માં તેમની બાળકો માટે ખાસ વિકસાવેલી 'ફિલ્મમિલાપ' પ્રવૃત્તિ નજરઅંદાજ ન થઇ જાય એટલી તાકીદ કરી લઇએ.'

'પોળના અવશેષો'માં પ્રણવ અધ્યારુએ પોળની 'પથ્થર' યુગમાં પાંગરેલી નિરાંતની સંસ્કૃતિની સમી વાતો કરતાં કરતાં એ દરેક વાતે આજની પોળ આજે હવે 'ડામરના થર વચ્ચે' ક્યાં છે તેનો પરિચય પૂરી આત્મીયતાથી કરાવેલ છે.

(ડૉ.) હેમંત મોરપરિયાની મૂળ અંગ્રેજીમાં લખેલ ' ડૉક્ટર બનવા છતાં હું કાર્ટૂનિસ્ટ કેવી રીતે થયો ?' દાસ્તાનના બીરેન કોઠારીએ કરેલ અનુવાદમાં હેમંત મોરપરિયાની શૈલીની ફાઈડાલિટી સુપેરે જળવાઈ છે. ડૉ. મોરપરિયા લેખનાં અતે તેમના લેખના શીર્ષકના જવાબ રૂપે લખે છે કે, 'જિંદગી જિવાય છે આગળ જોઈને, પણ એને સમજવી હોય તો પાછળ નજર કરવી પડે....આપણે પ્રત્યેક ક્ષણે અડસટ્ટે કામ કરતાં બળોને આશરે હોઇએ છીએ... આ બળોના પ્રતાપે જ..કેટલાક સંગીતકાર બને છે, તો બાકીના શ્રોતા... કોઇ અદૃશ્ય સંગીતકાર આપણને 'નચાવે છે'...દુનિયા સાથે (બંધાતો) ઊંડો અને ઉત્કટ નાતો ..અજબગજબની ચીજને રસપ્રદ બનાવે છે.'

'પ્રખર અભ્યાસી, બૌદ્ધિક, કર્મશીલ અને સંસ્થાશિલ્પી રજની કોઠારી સાથેનાં અંતરંગ સંભારણાં- અને તેની સમાંતરે પૉલિટિકલ સાયન્સના અભ્યાસમાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીના મહત્ત્વપૂર્ણ પ્રદાનની વિશિષ્ટ વિગતો ઘનશ્યામ શાહના 'રજની કોઠારી: મારા ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ'માં અને સુરભિ શેઠના 'અમારા કોઠારી'માં આવરી લેવાઇ છે.

વિવેક દેસાઇ તેમની માર્મિક 'અનાવિલી' શૈલીથી 'અનાવિલોક : અનાવિલોની ચટાકેદાર સૃષ્ટિ'ની સૈર કરાવે છે.

લદ્દાખની ઉજ્જડતામાં છલકતાં કુદરતી સૌંદર્ય અને વેરાનીમાં સમાયેલાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓની રોમાંચક સફર માટે ન વાંચવો હોય, તો હર્ષલ પુષ્કરણાનો લેખ 'લદ્દાખ : દુનિયાથી અલિપ્ત દુનિયામાં ખેડેલી 'રફ ટ્રિપ'નું સફરનામું' જીવનની ધારી અણધારી મુશ્કેલીઓમાં સુંદરતા, આનંદ અને મોજ કેમ માણી શકાય, અને તેમાંથી વિકસતી 'જીવન જોવાની નવી દૃષ્ટિ'ને શબ્દોમાં કેમ વર્ણવી શકાય તે માટે પણ વાંચવો રહ્યો.

આશિષ કક્કડનાં 'મરમિયાં : હસી લીધા પછી'માં માત્ર ખડખડાટ હાસ્ય પેદા કરતી જોક્સમાં પણ કેટલી ગૂઢ સમજ સમાવાયેલી છે તેનો વિચાર 'ખુલ્લા મને' રમતો મેલે છે.

હર્ષલ પુષ્કરણાના લેખમાં જો ઍડવેન્ચરની થ્રીલ છે તો દીપક સોલિયાના 'ડૉલર સામે જંગ : એક રુકા હુઆ ફૈસલા'માં અમેરિકી 'અંકલ સૅમ' અને રશિયન 'રીંછ'ની વચ્ચે રમાયેલી મેદાન પરની, અને મેદાનની બહારની, રસ્સાખેંચના ડર દેખાડવાના આશયનો નહિં, પણ કાનાફુસીથી થતીચર્ચાઓને જાહેરમાં ચર્ચવાનો ઇરાદો છે. દાયકાઓથી કૃત્રિમ સ્ટીરોઈડનાં જોરથી ચમકી રહેલ યુરોપ અને અમેરિકાનાં અર્થતંત્રોની નીચેથી જાજમ ખસેડી લેવાની પુતિનની 'ચૅકમૅઇટી' ચાલ બુમરેંગ થશે કે કેમ તેના જવાબમાં નક્કર સોનાની સામે કાગળનો ડૉલર હારી શકે છે તેવું તારણ ખેંચતા દીપક સોલિયા ખચકાયા નથી. કોણ અને શું સાચું એ જાણવા માટે બહુ લાંબી રાહ જોવી નહીં પડે એ તો નિશ્ચિત જ છે.

દિલધડક વાત હૈયાં સોંસરવી ઉતરી ગઇ હોય તો હળવાં કરવામાટે અશ્વિનકુમારનું 'ળ'ની સામૂહિક ધરપકડ અને ''ર'નરનો 'ર''ની વિનય કાનૂનભંગની હાજરીનું રસાળ વર્ણન આપણને જળલમળવત્‍ રહેવું હોય તો પણ જરકમરવત્‍ કરી મૂકે છે.

'રૅલવૅના પાટે જીવનના આટાપાટા'માં અમિત જોશી તેમનાં તલોદનાં કિશોરાવસ્થાના ટ્રેકની યાદોના, 'ત્રણે ત્રીજું, પાંચે બીજું, એક આવ્યુ, બે એ ગયું'ના રૅલવેમાં જ વપરાતી લોખંડની કોઇ ચીજમાંથી બનાવેલા દસ્તાના 'પાટા'ના ટુકડાના 'ઘંટ' પર ગૂંજતા સંકેતોને મમળાવે છે.

ભારત ભણી ત્રાંસી નજર કરીને કોઈ 'ગ્રેટ બ્રિટનમાંના 'ગ્રેટર'ને ગ્રેટ' સમજતું હોય એવી ટિપીકલ અંગ્રેજી સલૂકાઇ, રીતભાત અને શિષ્ટાચારને સમજવામાં લાગેલ એકાદ બે વર્ષને ઋતુલ જોશી 'ઇગ્લેન્ડમાં બધું ઑરરાઇટ છે' માં ત્રણ ઝૂમખાંઓની મદદથી સમજાવી રહ્યા છે. 'સમાજઃ લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું તે ભાતના જાતિભેદ જેવો મુદ્દો છે. 'વિજ્ઞાનઃ તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી'એ ઇંગ્લૅન્ડમાના વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવા માટેના મોકાનો મુદ્દો છે.'ઇતિહાસ : સિપાઈ બળવો કે સ્વાતંત્ર્યસંગ્રામ'ન મુદ્દાને ત્યાં મૂકાયેલાં જવાહરલાલ નહેરુનાં એક અવતરણથી જોઇ શકવા જેટલી મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન આપવાના પ્રયાસ ચાલુ જ છે.

'આનંદ', 'રજનીગંધા', 'છોટીસી બાત', 'મીલી', 'મંઝિલ'જેવી ફિલ્મોમાં મનના ઊંડા ભાવ વ્યકત કરતાં, કાવ્યતત્ત્વથી સમૃદ્ધ ગીતાના સર્જક યોગેશ (ગૌડ) સાથે ત્રણેક દાયકા જૂના, અંગત પરિચયના આધારે લખાયેલી હૃદયસ્પર્શી એવી સત્યકથા 'ગીતકાર યોગેશ'માં બકુલ ટેલર માત્ર ગીતકાર યોગેશનાં જીવનની તડકી છાંયડીની જ વાત નથી કહેતા, તે સાથે ફિલ્મ જગતની ચિત્રવિચિત્રતાઓના પડદા પણ ખોલી આપે છે.

'ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ'ની શરૂઆત ચંદુભાઇ મહેરિયા મિત્રો વચ્ચે ઉમરના તફાવતના ફાયદા ગેરફાયદાની વિમાસણથી કરે છે. સમાજના વંચિત અંગમાં ઉછરતાં બાળપણની કેટલીક કારમી તો કેટલીક ભાવિ ઘડતરના પાયા જેવી યાદોને બહુ જ સ્વસ્થ ભાષામાં રજૂઆત લેખકે કરી છે.

સમગ્રપણે જોઇએ તો આ અંકમાં પણ વિષયોનાં વૈવિધ્ય અને તેમાં રજૂ થયેલા વિચારોનાં ઊંડાણની ગુણવત્તા રસપ્રદ સ્તરે જળવાઈ રહી છે.

પ્રકાશન સંસ્થાની વેબસાઈટ પર જણાવાયું છે કે એપ્રિલ ૨૦૧૪ના અંકની ૧૦૦૦ જેટલી નકલો જાહેર પુસ્તકાલયો સુધી પહોચાડી શકાયેલ. ગુજરાતની દરેક શાળા અને પુસ્તકાપયમાં આ સામયિક પહોંચે તેવી વ્યવસ્થા સુધી પહોંચી શકાય તેવી શુભેચ્છા પણ જરૂરથી પાઠવીએ અને તેમાં યથાશક્તિ સહભાગી બનીએ.

'સાર્થક જલસો'ના ત્રીજા અંક સમયે પ્રકાશકોએ એસ ટી બસ સ્ટેન્ડના પુસ્તકોના સ્ટૉલ પર પણ આ સમાયિક મળે તેવી વેંચાણ વ્યવસ્થા ગોઠવી હતી. આમાં જેટલો વાણિજ્યિક આશય છે તેનાથી વધારે 'ક્લાસ'માટે જ નહીં પણ 'માસ' માટે પણ આ સામયિક ઉપભોગ્ય છે તેવો વિશ્વાસ પણ જોઇ શકાતો હતો. એ પ્રયોગ વાણિજ્યિક રીતે સફળ રહ્યો હોય અને એ રીતે દરેક સામાન્ય વાચકને પણ આ સામયિક હાથવગું બન્યું હોય તો તે સામયિકની અને વાચકની તંદુરસ્તી માટે ઉપકારક પરવડશે. વેંચાણ માટેની જે કંઇ નવી ચૅનલ્સ પ્રકાશકોને સૂઝે અને તે પ્રયોગો સફળ થાય તે પણ સામયિક અને વાચક એમ બંને પક્ષે ફાયદાકારક જરૂર નીવડશે.

'સાર્થક જલસો'ના આ પહેલાના અંકો ઇ-સંસ્કરણ સ્વરૂપે પણ ઉપલબધ હતા. એ પરંપરા 'સાર્હક જલસો ૪'માં પણ ચાલુ જ રહે તે પણ સ્વાભાવિક છે. (અહીં ઇ-નકલ મેળવી શકાય છે.)

'સાર્થક જલસો' મેળવવા માટે પ્રકાશનની વેબસાઈટ પર પણ વીજાણુ વ્ય્વસ્થા છે. તદુપરાંત spguj2013@gmail.com કે + 91 98252 90796 કે બુકશેલ્ફ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

Thursday, December 15, 2011

gujarati world: ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’

જેવાં માતબર સામયિક માટે એટલીજ જીવંત શૈલિમાં આ લેખમાળા થઈ છે.

ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’   [gujarati world: ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’: "
'via Blog this']

આ છે બીજો મણકોઃ

‘લાઇફ’ની સામગ્રીઃ હરીફોને આઘાતના અને વાચકોને આશ્ચર્યના આંચકા http://urvishkothari-gujarati.blogspot.com/2011/12/blog-post_15.html





આ લેખમાળાને કારણે ઇન્ટરનૅટપર ખાંખાંખોળાં કરતાં મૂળ સામયીકની ગરજ સારે તેવી જ website [http://www.life.com/ ]પણ મળી.

Tuesday, December 13, 2011

gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ

gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ:

'via Blog this'


શ્રી ઉર્વીશ કોઠારીએ શ્રી મારિયોને છાજે અને તેમને પૂરેપૂરો ન્યાય આપતી આ પૉસ્ટ કરી છે.

આ જ સંદર્ભમાં શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં [દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી]કરેલ લેખ અત્રે યાદ કરવો જોઇએ. [સંદર્ભઃ આ બ્લૉગ પર જ ૪-૧૨-૨૦૧૧ના રોજ લખેલ આ પૉસ્ટ http://ashokvaishnavliesureshare.blogspot.com/2011/12/blog-post.html