Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts
Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts

Sunday, May 30, 2021

'નવચેતન' - ૧૦૦ વર્ષે પણ હજુ નવચેતનવંત છે

 એપ્રિલ ૧૯૨૧માં ચાંપશીભાઈ ઉદેશીએ શરૂ કરેલ ગુજરાતી સામયિક 'નવચેતન' તેના એપ્રિલ ૨૦૨૧ના અંકથી તેનાં સક્રિય જીવનકાળનાં એક સોમાં વર્ષમાં પવેશ કરે છે.



સો વર્ષનો આંકડો આમ પણ નાનો નથી. તેમાં પણ ચાંપશીભાઈએ તો એકલા હાથે, સ્વખર્ચે આ સાહસ માંડ્યું હતું. ક્યાંક એવું વાંચ્યાનું પણ યાદ છે કે શ્રી રવિશંકર રાવળે તેમને એ સમયે જ આવું 'જોખમ' ન ખેડવાની સલાહ આપી હતી, એવા સંજોગોમાં આ આંકડો એક અકલ્પનીય સિમાચિહ્ન બની રહે છે.

'૬૦ના દાયકામાં અમે જે સરકારી કોલોનીમાં રહેતાં હતાં તેમાં વસતાં પંદરેક કુટુંબોએ મળીને એક સર્ક્યુલેટીંગ લાયબેરી શરૂ કરેલ. જેમાં 'નવચેતન',  'અખંડ આનંદ', 'આરામ'. 'ચાંદની', ‘સરિતા’, 'આરસી' જેવાં મુખ્યત્વે નવલિકાભિમુખ સામયિકો આવતાં. મને યાદ  છે કે 'નવચેતન'ની ત્યારે પણ માંગ ઘણી રહેતી. અમારી ઉમર તો એ વાર્તાઓનું સાહિત્યિક સ્તર કે વાર્તાતત્ત્વની ખુબીઓ સમજવા જેવડી નહોતી, એસ એસ સી સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા છતાં પણ એ બધાં વાંચનને કારણે - ભાષાની શુદ્ધતા અને વિષય સામગ્રીની રસજ્ઞતા એમ બન્ને સંદર્ભે - 'સારાં' ગુજરાતીનો પાયો મનને એક ખૂણે જરૂર પડ્યો એટલું તો આજે સમજાય છે.

એ સમયે પણ ચાંપશીભાઈ ફિલ્મોના રીવ્યૂ લખતા. અમને તો તેઓ જે રીતે ફિલ્મોનાં છોતરાં કાઢી નાખે તેમાં જ રસ રહેતો કેમકે એ જ ફિલ્મો અમે તો હોંશે હોશે જોઈ પણ આવ્યા હોઇએ. આજે સમજાય છે કે એ ફિલ્મોમાં છોતરાં કાઢવા સિવાયના 'મસાલા' સિવાય કંઈ જ હોતું નહીં, અને અમે એ પણ એ ફિલ્મો મૂળ તો તેનાં ગીત સંગીતને જોરે જ જોતા.

'૮૦-'૯૦ના દાયકામાં જ્યારે તે સમયની સામયિકોની સ્થિતિઓ વિશે થતી ચર્ચાઓ વાંચતા કે સાંભળતા ત્યારે સમજાવા લાગ્યું કે સંપાદક તરીકે 'નવચેતન'માં શું રજૂ કરવું તે વિશે ચાંપશીભાઈનાં ધોરણો કેટલાં સ્પષ્ટ હોવાની સાથે સાથે કેટલાં ઊંચાં અને અને 'કડક' હતાં.

આ સામયિકોના શ્રેષ્ઠ સમયમાં પણ તેમાં જે પ્રકારનું વાંચન પીરસાતું તે વાંચનારો વર્ગ તો બહુ  નાનો જ હતો. એટલે તે સમયે પણ આ સામયિકોના વેંચાણનો આંકડો આમ પણ અધધધ કહી શકાય એવો તો નહીં જ હોય. વળી મોટા ભાગના પ્રકાશક-તંત્રીઓ તેને સફળ વાણિજ્યિક ઉપક્રમ બનાવવાની દિશામાં વિચારવાની વાતે તેમનાં આદર્શ અને સ્વમાનની અવહેલના પણ કદાચ ગણતા. એટલે મોટા ભાગનાં સામયિકોના બે આર્થિક છેડા મંડ માંડ જ ભેગા થતા હશે. તેમાં પણ, ગુજરાતી વાંચકના બદલાતી અભિરુચિઓ, સંસ્થાપકોની વધતી વય અને સામયિકોની કથળતી જતી આર્થિક પરિસ્થિતિને કારણે એ બધાં જ સામયિકો  ધીરે ધીરે બંધ  પડતાં ગયાં.

ચાંપશીભાઈ પછી તેમના જ સહતંત્રી જેવા મુકુંદ શાહે 'નવચેતન'ને ખુબ જહેમતથી, એ જ સ્તરે ચલાવ્યું.  આજે પણ કેટલાંક સુજ્ઞ ગુજરાતીઓની આર્થિક મદદ અને ગાંઠનાં ગોપીચંદનના જોરે શ્રી હેંમંત શાહ (મો. નં.+૯૧ ૯૮૭૯૧ ૪૭૯૩૩) તંત્રીની ભૂમિકામાં, શ્રી યશવન્ત મહેતાની સંપાદકની ભૂમિકાના સહયોગથી, 'નવચેતન'ને ધબકતું રાખી રહ્યા છે. તેમની નિષ્ઠા, ધૈર્ય અને ખમીરને શત શત સલામ.

ગુજરાતી ભાષાને જ જીવંત કેમ રાખવી એ ચર્ચાઓને આરે જ્યારે આપણે આવી ઊભાં છીએ ત્યારે ગુજરાતી ભાષાની આવી એક અતિ મહત્ત્વની ઐતિહાસિક ગણી શકાય એવી કડીના 'નવચેતન' મોટાભાગના જૂના અંકો તો આજે અપ્રાપ્ય હશે. પણ જે કંઈ ઉપલબ્ધ છે તેને ડિજિટલ સ્વરૂપમાં સાચવવામાં અને 'નવચેતન' હજુ પણ આ જ ખુમારીથી તેની આગવી કેડી પર આગળ વધતું રહે તે માટે આ લેખ લખવા કે વાંચવાથી કે તેના નિયમિત ગ્રાહક થવાથી પણ ઘણું વધારે આપણે બધાંએ કરવાનું રહે છે………...

Sunday, May 3, 2020

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ


સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ  [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ]
બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે
(પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત)
લેખક ડૉ. શેરોન મોએલેમ - સહલેખક જોનાથન પ્રિન્સ
પ્રકાશક હાર્પર કૉલિન્સ, ન્યુ યોર્ક, NY 10022
© ૨૦૦૭ શેરોન મોએલેમ
પુસ્તકનું શીર્ષક બીજી વાર તો વાંચવું જ પડે કેમકે આપણી આંખો તો આ પ્રકારના શબ્દપ્રયોગ જોતાંવેંત 'ધ સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ' તરીકે અતિજાણીતા ઉત્ક્રાંતિવાદના પ્રશિષ્ટ  સિધ્ધાંતની જ વાત
હશે એમ માનવા ટેવાયેલાં છીએ. વાંચવા જ ટેવાયેલ છે. પ્રસ્તુત  પુસ્તક બીનસાહિત્યિક રચના છે પરંતુ તેનાં આ નવાઈ પાડતાં શીર્ષકને કારણે પણ જો તે વાંચવાનું શરૂ કરશો, તો કોઈ થ્રીલર વાંચતાં હો તેમ પુસ્તક પૂરૂં કર્યા સિવાય હાથમાંથી મુકી નહીં દઈ શકાય. લેખકનો આશય જો આટલો જ હોત તો પણ તેમને પોતાના ઉદ્દેશ્યસિધ્ધિમાં સફળતા તો મળી જ રહેત.
પ્રસ્તુત પુસ્તકનો સંબંધ જેટલો તબીબીશાસ્ત્ર સાથે છે તેટલો જ સંબંધ પરંપરાગત માન્યતા સાથે પણ છે. પુસ્તકના લેખક ડૉ શેરોન મોએલેમ પુસ્તકને 'શા માટે' એમ વિચારતાં કરવા માટે,અને સાથે સાથે 'એમ કેમ નહીં'   એમ પ્રશ્ન કરતાં કરવા માટે, રજૂ કરે છે.  એકંદરે, પુસ્તક 'દિલકશ તબીબી રહસ્યમય સફર' તરીકે રજૂ થાય છે, જેમાં આપણે અહીં સુધી શી રીતે પહોંચ્યાં , હવે પછી ક્યાં જશું અને એ બન્ને બાબતે આપણે કંઈ પણ કરી શકીએ તેમ છીએ કે કેમ તે વિશેની ખોજ છે.
આપણાં શરીર, આપણી તબિયત, આપણા આરોગ્ય તેમજ પૃથ્વી પરની લગભગ દરેક સજીવ હસ્તી સાથેના સંબંધ વિશે મૂળૂળતપણે નવેસરથી આપણને વિચારતાં કરવાનો ડૉ. શેરોન મોએલેમનો પડકાર છે.  પરિચય, તકનીકી ચર્ચાનાં આઠ પ્રકરણો અને ઉપસંહાર જેવા ત્રણ અલગ વિભાગનાં લગભગ ૨૦૮ પાનાંનાં પુસ્તકનાં મૂળ વસ્તુ દ્વારા  લેખક આપણને ઉત્ક્રાંતિના ઈતિહાસની અભિનવ અને ચિત્તાકર્શક તપાસચર્ચામાં જકડી રાખે છે. એમ કરતાં કરતાં ડૉ. મોએલેમ આપણી સમક્ષ રજૂ કરે છે કે આપણે જેને આજે રોગ કહીએ છીએ તેવી કેટલીય તબીબી પરિસ્થિતિઓએ આપણા વડવાઓને અસ્તિત્વની ચોપાટમાં ટકી રહેવાની તક પૂરી પાડી છે.  તે સાથે, પુસ્તક એ પણ જાણ કરે છે કે આટઆટલાં સંશોધન પછી પણ, આધુનિક તબીબીશાસ્ત્ર માનવ આરોગ્યની બાબતમાં ખરેખર કેટલું ઓછું જાણે છે. 'પરિચય'માં જ વર્ણવેલા બે કિસ્સાઓ આપણને તંદુરસ્ત દીર્ઘાયું જીવન ભોગવવા માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ આપે છે.
તે પછીનાં આઠ પ્રકરણોમાં એકેક બીંમારી કે આનુવાંશિક વિકારની વિગતે ચર્ચા રજી કરવામાં આવી છે. એ ચર્ચાનો સુર પુસ્તકના કેન્દ્રવર્તી વિચાર - ઉત્ક્રાંતિને એવાં જ આનુવંશિક લક્ષણો પસંદ છે જે સજીવોને ટકી રહેવામાં અને પ્રજનન કરવાંમાં મદદરૂપ હોય; જે લક્ષણો સજીવોને નબળાં પાડે કે આપણાં આરોગ્યને જોખમકારક હોય તે તેને પસંદ નથી. આપણને ટકી રહેવામાં કે પ્રજનન કરવામાં સ્પર્ધાત્મક સરસાઈ આપતાં જનીનને મળતી અગ્રપસંદને પ્રાકૃતિક પસંદગી કહેવામાં આવે છે - ની વિગતે છણાવટ કરવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, 'જે જનીન એવું લક્ષણ પેદા કરે જે સજીવને ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના ઘટાડે છે તે, - બહુ લાંબા સમય પુરતું તો નહીં જ - ફેલાઈ નથી શકતું.
આ આઠ પ્રકરણો શરૂ કરતાં પહેલાં લેખકે આપણી કેટલીક પૂર્વમાન્યતાઓને કોરાણે મુકવાની શરત કરી છે –
  •      આપણે એકમેવ નથી - દરેક સજીવ તેની અંદર કે તેની આસપાસ હજારો બેક્ટેરીઆ કે જીવજંતુઓ કે ફૂગ જેવી ભાતભાતની સજીવ, અજીવ વસ્તીથી ઘેરાયેલ છે.
  •       ઉત્ક્રાંતિ આપમેળે નથી થતી. - દરેક સજીવમાં ટકી રહેવાની અને પ્રજનન કરવાની વૃતિ ઠાંસી ઠાંસીને  ભરી દેવામાં આવી છે. જ્યારે કોઈ પણ સજીવ પોતાના ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના વધારવા પ્રયત્ન કરે ત્યારે ત્યારે ઉત્ક્ર્રાંતિ થવા લાગે છે. અત્યારે જેમ કોવિડ-૧૯ વાઈરસની પ્રજનન વૃધ્ધિ માનવ જાત માટે મોતનું કારણ બને છે તેમ ક્યારે એક સજીવની ઉત્ક્રાંતિ બીજાં સજીવનાં મોતનું કારણ પણ બને. આને પરિણામે હજારો લાખો સજીવોમાં પોતાને ટકાવી રાખવા માટેનાં ઓજાં મોટૉ જલપ્રપાત પણ સર્જી શકે છે. 
  •      કોઈ સજીવનું બીજાં સજીવ સાથેનું આદાનપ્રદાન જ માત્ર તેમની ઉત્ક્રાંતિ પર અસર નથી કરતું - પૃથ્વી સાથેનાં તેનાં આદાનપ્રદાનની પણ એટલી જ અસર પડી શકે છે.

તકનીકી બારીકીઓથી અજાણ એવો સામાન્ય વાચક એના જેવા જ અન્ય સામાન્ય વાચકોને પુસ્તકનો પરિચય કરાવે ત્યારે તકનીકી બાબતોને તે યથાતથ ઉઠાવીને પણ રજૂ કરે તો પણ એ વિષય બાબતે વાચકના જ્ઞાનમાં તસુભારનો પણ વધારો શક્ય નથી. પ્રસ્તુત પુસ્તક માટે પણ આ વાત જેટલી લાગુ પડે છે તેટલી જ નક્કર બીજી પણ વાત છે કે આઠ પ્રકરણ જેવી ચર્ચાને તે તકનીકી બાબત છે એમ વિચારીને છોડી દેવા જેવી પણ નથી. લેખકે બહુ જ સરળ ભાષામાં આ ખી ચર્ચા આપણી સમક્ષ રજૂ કરી છે તેમાંના વિષય બાબત સમજણ પડે કે નહીં, કે ઘણાં તારણો સાથે દેખીતી રીતે આપણે સહમત થઈએ કે નહીં, પણ એટલું તો ચોક્કસ છે કે પુસ્તકના મૂળ હેતુ વિશેના આપણા દૃષ્ટિકોણને સમજવામાં તો જરૂરથી મદદ મળશે.
હાલ તો અહીં દરેક પ્રકરણનું શીર્ષક અને તેમાં આવરી લેવાયેલ બીમારી કે આનુવંશિક વિકારની યાદી  અહીં રજૂ કરી છે -
§  પ્રકરણ ૧ : Ironing it out - હેમોક્રોમેટોસિસ (Hemochromatosis), લોહી ચુસવું કે વહેડાવવું, માનવ શરીરમાં લોહનો વપરાશ
§  પ્રકરણ ૨  : A spoonful of sugar helps the temperature go down - મધુપ્રમેહ, આબોહવામાં ફેરફારો, અને બદામી ચરબી (brown fat)
§  પ્રકરણ ૩ : The cholesterol also rises – સૂર્યપ્રકાશ,  વિટામીન ડી, કોલેસ્ટરોલ અને જાતિનું શારીરીક ઘડતર
§  પ્રકરણ ૪ : Hey, Bud, can you do ma a Fava - શાકભાજી, ફૅવા (fava) કઠોળ અને મેલેરીઆનો ફેલાવો
§  પ્રકરણ ૫ : Of microbes and man - બેક્ટેરીઆની પ્રાણઘાતકતા, ગીનીઆ કૃમિઓ, અને પરજીવી બીમારીઓ
§  પ્રકરણ ૬ : Jump into the gene pool - ડીએનઍ પરિવર્તનો અને કુદાકુદ કરતાં (jumping)” જનીનો
§  પ્રકરણ ૭ : Methyl madness : અંતિમ (phenotype) તરફનો માર્ગ = આનુવંશિક રીતે દબાવી દેવું અને બાળપણની સ્થૂળતા
§  પ્રકરણ ૮ : That’s life: Why you and your iPod must die  - કેન્સર કોષો અને બાળકજન્મ:
પુસ્તકની ચર્ચાનું તારણ કરતાં કરતાં લેખકો એટલી અપેક્ષા રાખે છે કે આપણે આ ત્રણ બાબતોને જરૂરથી સમજીશું -
  •       જીવન સતત સર્જનની સ્થિતિમાં જ હોય છે. ઉત્ક્રાંતિ ક્યારે પણ અટકતી નથી. સમયની સાથે તેનું સ્વરૂપ અને વ્યાપ બદ્લતાં રહે છે.
  •       આ પૃથ્વી પર પોતાનો અલગ ચોકો કરીને કોઈ  પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે. પૃથ્વી પરનાં દરેક સજીવ એકબીજાંની સાથે સાથે જ વિકાસ પામ્યા કરે છે.
  •       બીમારી સાથેના આપણા સંબંધ વિશે આપણે જેટલી કલ્પના કરી શકીએ, કે આટઆટલાં વર્ષોની પ્રગતિને કારણે જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકી હશે, તે બધાં કરતાં પણ બીમારી સાથેનો આપણો સંબંધ વધારે સંકુલ છે.

દરેક સજીવની જીંદગી એક એવું અદ્‍ભૂત સંપૂર્ણ એકમ છે જે તેનાં ઘટકોના સરવાળા કરતાં અનેક ઘણું મોટું છે. વળી, કુદરતને તો સ્વ્હાભાવિક્પણે જ અવ્યવસ્થા પેદા કરવાની એવી રઢ હોય છે કે અપણાં જીવનજીવનનો નાનામાં નાઓ અંશ થોડી પણ વ્યવસ્થિત હાલતમાં જોવા મળે તો તે એક ચમત્કાર જ કહી શકાય. એ ચમત્કાર ઉત્ક્રાંતિનું કૌતુક છે. આ બધી પરિસ્થિતિઓમાં આમ કરવાથી કે તેમ ન કરવાથી, પેલું ખાવાથી કે આ ન ખાવાથી સાજાં રહેવાશે કે માંદાં પડાશે  જેવી ધારણાઓ વડે આપણી તંદુરસ્તી વિશે આશ્વસ્ત બની બેસવાને બદલે તે જેટલાં માન માટેની હકદાર છે કમસે કમ તેટલા આદરથી તેને જોવાનું આવશ્યક બની રહે છે. એ સમજી લેવું જોઈએ કે બીમારીઓ કોઈ અલગ પરિસ્થિતિ નથી, કે નથી તે પોતાની આગવી રીતે પોતાનું અસ્તિત્વ બનાવી રાખતી. કોઈ પણ બીમારીની શરૂઆત, પ્રસાર કે લોપનો સીધો અને ગાઢ સંબંધ આ પૃથ્વી પરનાં દરેક પ્રકારનાં જીવનનાં, દરેક પ્રકારનાં અને બધાં જ,એકમેક સાથેનાં જોડણ પર જ છે.
શક્ય છે કે આ પ્રકારની સમજણને કારણે, કદાચ, આપણે સંક્રમણકારક પ્રતિબળોની ઉત્ક્રાંતિ કે લોપ માટેની આપણી શોધ તેમની પ્રાણઘાતકતાથી હટાવીને તેમની નુકસાન ન કરતી બાજુ તરફ વાળીએ, જેથી આપણી તેમની સાથેની લડાઈ માટે રોગપ્રતિરોધક રસીઓની શસ્ત્ર દોડને બદલે આપણે આપણાં જીવન જીવવાની રીતને નવા દૃષ્ટિકોણથી જોવાનું શીખતાં રહી શકીએ - આમ પણ રોગની સામેની પ્રતિરોધકતાની લડાઈ આપણે ખરેખર જીતી શકીશું તે કોઈને પણ પાકી ખબર છે ખરી?
આખી વાતનો સાર એ છે કે ઉત્ક્રાંતિ જેટલી હદે ગજબ વિસ્મ્યકારી લાગે છે તેટલી , સ્વઅભાવિકપણે, તે સંપૂર્ણ કે ખામીરહીત છે નહીં. તેમાં થતાં દેખાતાં દરેક અનુકૂલનમાં ક્યાંકને ક્યાંક તો, કંઈકને કંઈક તો, સમાધાન થયું જ છે. 'સર્વાઈવલ ફૉર ધ સિકેસ્ટ'નું આ જકડી રાખતું વાંચન આપણને બીમારીઓ વિશેના આપણા અભિગમને અને જનીનશાસ્ત્રનાં આપણા ં જીવનમાં મહત્ત્વ વિશેના આપણા દૃષ્ટિકોણને નવી નજરે જોવામાં માદદરૂપ જરૂર થઈ શકશે.
+         +        +
લેખકનાં અન્ય પુસ્તકો
1.     How Sex Works: Why We Look, Smell, Taste, Feel, and Act the Way We Do (published: April 2008)
2.     Inheritance: How Our Genes Change Our Lives—And Our Lives Change Our Genes (Published: April 2014)
3.     The Better Half: On the Genetic Superiority of Women (Published: April, 2020)

+         +        +
ઋણસ્વીકાર - DNVGL Business Assurance India, Sri Lanka and Bangladesh Region ના મારા સમવ્યવસાયિક સાથી  ડૉ. દિલીપ અંધારે દર મહિને વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષયને લગતો એક  વીજાણુ જ્ઞાનવર્ધકપત્ર મોકલે છે. એપ્રિલ ૨૦૨૦ના તેમના પત્રમાં તેમણે હાલની પરિસ્થિતિમાં 'સર્વાઈવલ ફોર ધ સિકેસ્ટ' વિશે બહુ જ રસપ્રદ રજૂઆત કરી હતી. તેમની એ રજૂઆતને કારણે મને આ પુસ્તક વાંચવાની પ્રેરણા મળી તે માટે હું ડૉ. દિલીપ અંધારેનો ઋણસ્વીકાર કરૂં છું. ડૉ. અંધારે વ્યાવસાયિક અને પર્યાવર્ણીય આરોગ્યના ક્ષેત્રાંમાં સક્રિય તબીબ છે. - અશોક વૈષ્ણવ

Sunday, January 26, 2020

હરેશ ધોળકિયા - ‘વહાલનું અક્ષયપાત્ર’


પુસ્તકનાં શીર્ષક,'વહાલનું અક્ષયપાત્ર', સાથે ઉપશીર્ષક તરીકે 'એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ' એટલું તો જ્ણાવી જ દે છે કે આ પુસ્તક કોઈ એક વ્યક્તિની જીવનગાથા હોવું જોઇએ. પુસ્તક એક વ્યક્તિ - હરેશ ધોળકિયા- વિશે જરૂર છે, પરંતુ પુસ્તકની પ્રસ્તાવના વાંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય હરેશ ધોળકિયાનાં વિદ્યાર્થીઓની  તેમની શિક્ષક તરીકેની યાદો અને પોતાનાં જીવનમાં શિક્ષક તરીકેના તેમનાં યોગદાનને ગ્રંથસ્થ કરીને હરેશ ધોળકિયાનાં ૭૫ વર્ષ થવાના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે.
શિક્ષક તરીકેની વ્યાવસાયિક કારકીર્દી હરેશ ધોળકિયા (જન્મ- ૩૦-૬-૧૯૪૬)ની સ્વૈચ્છિક પસંદગી હતી. તેમણે શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, ભૂજ (ક્ચ્છ)માં ૧૯૬૬થી ૧૯૮૬ સુધી ૨૦ વર્ષ સુધી પ્રત્યક્ષ શિક્ષક  તરીકે કામ કર્યું. તે પછી શ્રી વી ડી હાઈસ્કૂલ, ભુજ (કચ્છ)માં ૫ વર્ષ આચાર્ય તરીકે શિક્ષણ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા. ૩૧ જુલાઇ, ૧૯૯૧ના રોજ એ વ્યવસાયમાંથી નિવૃતિ પણ સ્વેચ્છાથી જ લીધી.
નિવૃત્તિ પછીથી હરેશભાઈનો ઈરાદો વાંચવાનો અને નિજાનંદે અંગત જીવન જીવવાનો હતો. પરંતુ નિયતિએ તેમના માટે બીજી પણ ભુમિકા લખી રાખી હતી. ભૂજથી પ્રકાશિત થતાં, સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટનાં વર્તમાન પત્ર 'કચ્છમિત્ર'માં લખવાની શરૂઆત ૧૯૭૦થી થઈ હતી. આમ એક તરફ તેઓ પધ્ધતિસરનાં લેખન તરફ ઢળતા ગયા, તો બીજી તરફ શાળાઓ અને શિક્ષણ સાથે સંકલાયેલી સંસ્થઓના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષણેતર વિકાસ માટે શિબિરો કરવાની તકો - આમંત્રણો મળતાં ગયાં. એ સંબંધોનાં મૂળમાંથી ધીમે ધીમે શિવામ્બુ ચિકિત્સા, કુદરતી ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય, કચ્છના ઇતિહાસ અને સાહિત્યનાં સંશોધનાત્મક દસ્તાવેજીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓની પ્રશાખાઓ વિકસતી ગઈ.
પ્રસ્તુત પુસ્તકમાં તેમનાં સમગ્ર જીવનમાં તેમની સાથે સંપર્કમાં આવેલ, વિવિધ ક્ષેત્રોનાં,૧૩૫ જેટલાં લોકોના તેમની સાથેના અનુભવોની વાત વિષય અનુરૂપ ૭ ખંડોમાં વહેંચી નાખવામાં આવી છે.
¾    'વિશેષ પ્રીતિ વિદ્યાર્થીઓનીમાંતેમના હાલમાં દેશવિદેશમાં, પોતાની અલગ અલગ કારકીર્દીઓ વિકસાવી ચૂકેલ વિદ્યાર્થીઓની વાતમાં તેમના શિક્ષણ અંગેના અનોખા પ્રાયોગિક અભિગમ ઉપરાંત, માર્ગદર્શક, શુભચિંતક અને મૈત્રીપૂર્ણ અભિગમ વિશેની ઝલક અનુભવાય છે.
¾    'ઉર્મિઓ ઉત્તમ કેળવણીકારોની'માં  મોતીભાઈ ચુધરી, પી.જી.પ્ટેલ, રતીલાલ બોરીસાગર, રમેશ દવે, રણ્છોડભાઈ શાહ, રમેશ સંધવી જેવા શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રમા પ્રત્યક્ષ સંકલાએલા તેમના સમકાલીન વડીલો/સાથીઓ/ સહયોગીઓએ હરેશભાઈને 'કરકસરથી જીવતા કંજૂસ' પણ 'લક્ષ્ય સમર્પિત' કર્મયોગી, 'હાડે' શિક્ષક તરીકે જોયા છે. વર્ગશિક્ષક તરીકે સેક્સ એજ્યુકેશન, ફિલ્મો કેમ જોવી જેવા તેમના પ્રયોગોની પણ ખાસ નોંધ પણ તેઓ લે છે.
¾    'સંભારણાં સ્વજનો'માં હરેશભાઈનાં પરિવારનાં તેમનાં માસી જેવાં વડીલ, પીતરાઈ ભાઈઓ / બહેન જેવા સમકાલીન અને તેમનાંથી સોળ વર્ષ નાનાં બહેન તેમ જ તેમનાં ભત્રીજી જેવાં વિવિધ ઉમર અને ક્ષેત્રનાં સ્વજનોની નજરે હરેશભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખુલે છે તેમાં જોવા મળે છે કે દેખીતી રીતે પોતાના શિક્ષણ અને લેખનના વ્યવસાયને જીવનની સાર્થકતા માટે અગ્રતાક્રમે મૂકવાની સાથે સાથે તેઓ અપ્રત્યક્ષ જણાય તેવી રીતે કુટુંબ ભાવનાને પણ ન્યાય  આપતા રહ્યા છે.
¾    'મતવ્યો મિત્રોનાં'માં તેમના બાળપણ, શાળા જીવન અને તે પછીના સમયકાળમાં વિકસેલા મેત્રી સંબંધોમાં ઝીલાયેલાં હરેશભાઇનાં મિત્ર તરીકેનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઝીલાયાં છે.
¾    તે ઉપરાંત પરિશિષ્ટમાં હરેશભઈનાં શિક્ષણ અને સાહિત્ય જીવન તેમજ શિવામ્બુ પદ્ધતિ, શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (માંડવી -ક્ચ્છ), શ્રી વિજયરાજજી લાયબ્રેરી (ભૂજ -ક્ચ્છ) પુનઃનિર્માણ, ક્ચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો પરિચય મળી રહે તે મુજબના લેખો / વાર્તાલાપો અને તેમનાં પ્રકાશિત ૧૬૦ પુસ્તકોની સૂચિ જેવી સામગ્રી આવરી લેવાઈ છે.
કોઈ એક વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગને અનુલક્ષીને જ્યારે આ પ્રકારની કોઈ પરિયોજના સાકાર થાય તેમાં કાંઇક અંશે એકતરફી ગુણગાનનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળતું હોય છે. પરંતુ, વહાલનું અક્ષયપાત્ર'માં વાંચવા મળતી રજૂઆત મોટા ભાગે જેમને પધ્ધતિસરનાં લેખન સાથે દૂર દૂરનો સંબંધ નથી એવી વ્યક્તિઓની અનુભવોક્તિઓ હોવાને કારણે બહુ સહજ અને આત્મીય બની રહી છે.
પુસ્તકનું સંકલન કાર્ય તેમના વિદ્યાર્થી વીરેન શેઠ અને વીરેનનાં પત્ની જીના શેઠે એટલી ચીવટ, મહેનત, લગન અને ભાવથી કર્યું છે કે પુસ્તકની કોઈ સ્થૂળ કિંમત જ નથી રખાઈ. આમ ખરા અર્થમાં આ પુસ્તક બન્ને સંપાદકોની તેમના ગુરુ-મિત્ર-વડીલ હરેશ ધોળકિયા પ્રત્યેનાં ઋણ-સ્વીકાર અને તેના કરતાં પણ વધારે તો જીવનમાં એક 'અતિ ઉત્તમ વ્યક્તિ' મળ્યાની "અમૂલ્ય" પ્રસન્નતાને વહેંચવાની ભાવનાને મૂર્ત કરી રહે છે.
+    +     +     +
વહાલનું અક્ષયપાત્ર - પૃષ્ઠ સંખ્યા ૧૬+૪૨૪

સપાદકો - વીરેન શેથ, જીના શેઠ

પ્રકાશકઃ સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવા - ફોન +૯૧ ૭૯ ૨૧૧૫૦૯૦૩

કિંમત - સંપાદકોના સૌજન્યથી, સહૃદયી સ્વજનોને સપ્રેમ
+    +     +     +
શ્રી વીરેન શેઠ / જીના શેઠનાં સંપર્કસૂત્રો
સેલ ફોન+ ૯૧૭૪૦૫૦૭૪૧૪૦ | ઈ-મેલઃ  virenssheth@hotmail.com  

શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ
નિવાસ સ્થાન - ન્યુ મિન્ટ રોદ, ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Sunday, September 15, 2019

પ્રકાશ ન. શાહ - ઉર્વીશ કોઠારીની સાથે સંવાદમાં


'સાર્થક સંવાદ શ્રેણી' હેઠળ શ્રી ઉર્વીશ કોઠારીની પ્રકાશ ન. શાહ સાથે જીવનચરિત્રાત્મક સવાદ સ્વરૂપની મુલાકાતોનાં શબ્દાંકનમાંથી 'પ્રકાશ ન. શાહ'નાં વ્યક્તિત્વનાં અનેક બહુરંગી પાસાંઓનું દસ્તાવેજીકરણ થયેલ છે. પ્રકાશભાઈને 'નિરીક્ષક'ના તંત્રી લેખોમાં કે 'દિવ્યભાસ્કર'માં તેમની અઠવાડીક નિયમિત કોલમના વાંચકો વિશિષ્ટ શબ્દપ્રયોગો સાથેની તેમની અટપટી ભાષાના સર્જક તરીકે ઓળખે. તેમના લેખોમાં રજૂ થતી વિવિધ વિષયોની ચર્ચાઓમાં પ્રકાશભાઈની રાજકારણ, સમાજ, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને સાહિત્યકારો, જાહેર જીવનમાં પ્રવૃત્ત વ્યક્તિત્વો સાથેના સંબંધ જેવા અનેક વિષયોનીસૂક્ષ્મ સમજ પણ દેખા દેતી રહે. એ હિમશીલાની ટોચ જેવાં ઉપરથી દેખાતાં પત્રકાર જીવન અને જાહેરજીવન સાથે સંકળાયેલાં પ્રકાશ ન. શાહનાં વ્યક્તિત્વની અંદર પ્રસ્તુત પુસ્તક વાચકને લઈ જાય છે.
આપણે ઉર્વીશ કોઠારીસાથેના સંવાદની મદદથી ‘પ્રકાશ ન શાહ’ નો ટૂંક પરિચય કરીએ.

‘પ્રકાશભાઈ કેવા?’ તેના જવાબમાં પ્રકાશભાઈનું કહેવું છે કે 'જીવનનો ઉલ્લાસ સમજાય તે રીતે બધાં ક્ષેત્રોને માણનાર તે વ્યક્તિ છે. તેઓ કોઈ પક્ષની કે સંસ્થાની કે 'વાદ'ની રૂઢિગત વ્યાખ્યામાં બંધ થયા સિવાય ન્યાયી સમાજરચનાવાળી નવી દુનિયાની રચનામાં સહભાગી થવાય તેવી જાહેર જીવનની સાહજિક પ્રવૃત્તિઓ તેમની પ્રાથમિકતાઓમાં રહે છે. વાંચનના સંસ્કાર તેમનામાં નાનપણથી ઘૂંટાયા છે.

બી.એ. થયા ત્યાં સુધી ડૉ. રાધાકૃષ્ણનનાં પુસ્તક 'હિંદુ વે ઑફ લાઈફ', ગાંધીજીનાં 'હિંદ સ્વરાજ' અને રવીન્દ્રનાથ ઠાકુરનાં 'સ્વદેશી સમાજ'નાં વાંચને તેમનાં વૈચારિક ઘડતરનો પાયો ઘડ્યો. પણ તેઓ કહે છે તેમ ગાંધીજી માટેની તેમની સમજ ડૉ. રામ મનોહર લોહિયાને વાંચવાથી અને માર્ક્સની સમજ જયપ્રકાશ નારાયણને વાંચવાથી સ્પષ્ટ થઈ. જોકે તેમના વિચારોની પ્રતીતિ, અભિવ્યક્તિ અને ભાવ તેમનાં પોતાનાં આગવાં વિકસ્યાં.

પ્રકાશ શાહ જ્યારે એમ.એ.નાં પહેલાં વર્ષમાં હતા ત્યારે મહાદેવભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં 'સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન છે કે નથી?' એ વિષય પર તેમણે સીધાં પગલાંની હિમયાત કરી હતી. એકાદ દાયકા પછીથી શરૂ થનાર જાહેર જીવનના તેમના વિચાર અને વ્યવહાર, તેમની સાથે પરિચયમાં આવનારાં વ્યક્તિત્વો સાથે તર્જ મેળવતાં રહેવા છતાં, કેમ તેમના પોતાના આગવા રહ્યા તે વાતનો પહેલો અણસાર અહીં જોવા મળે છે.

આચાર્ય કૃપાલાણી સાથે પ્રકાશ ભાઇનો પ્રત્યક્ષ પરિચય ૧૯૬૮-૬૯માં થયો કૃપાલાણીજી એ સમયે અમદાવાદમાં રહ્ય અત્યારે તેમની સાથે વાતચીત કરવા અને પુસ્તકો વાંચી સંભળાવવા પ્રકાશભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં જતા, તેમાં તેમના 'તાર મળી ગયા'. વાંચતાં વાંચતાં કે સાંભળતાં સાંભળતાં કૃપાલાણીજી બહુ ઊંડા વિચારમાં પડી જાય, કોઈ વાતચીત ન કરે. તેઓ જ્યારે આનંદમાં હોય તો વચ્ચે વચ્ચે ટહુકો કરી લે. તેમની વાતોમાં સિંધી કહેવતો અને લોકગીતની પંક્તિઓ આવે. અનુભવના આધારે માર્મિક અવલોકનો આવે. તેમનાં પત્ની સુચેતાજી જોડે તેમનો પ્રેમ અલૌકિક સ્તરની ગાઢતાનો ઉમળકાનો હતો. સરદાર પટેલ માટે દિલથી માન હોવા છતાં તેમના વિચારોમાં જ્યારે તફાવત હોય ત્યારે સરદાર પટેલ વિષે તેઓ સ્પષ્ટ ટીકા કરી શકતા.

(ઈંદિરાજીએ ૧૯૭૫માં જાહેર કરેલ આંતરિક) કટોકટીના સમયમાં રાજકારણ સાથે સંકળાયેલી ખુલ્લી સંસ્થાઓમાંથી જે બેચાર જણાને સૌથી વધારે જેલવાસ થયો હશે તેમાંના એક પ્રકાશભાઈ પણ હતા. એ માટે સૌથી વધારે કારણભૂત થવા પાછળનું કારણ હતું જયપ્રકાશ નારાયણ અને તેમની ચળવળના ગુજરાતના છેડાના સીધા સંપર્ક તરીકે પ્રકાશભાઈની ભૂમિકા. જેલવાસ દરમ્યાન વાંચન ખુબ કર્યું પણ પોતાનાં પત્ની અને દીકરીઓને કૌટુંબીક ભાવનાથી લખેલ પત્રો સિવાય, રાજકરાણની બાબતો પર પોતાના સ્વતંત્ર, ગંભીર વિચારોને વ્યકત કરતું, બીજું ખાસ કંઈ તેમણે લખ્યું નહીં. જેલવાસમાં તેમના અન્ય સાથીઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સર્વોદયની વિચારધાળા પણ કેટલા અન્ય લોકો સાથે હતા, એટલે તેમની માનસીક વિચારધારાને બહુ નજદીકથી જોવા જાણવાની એક તક પ્રકાશભાઈને ત્યાં મળી હતી. જેલવાસ દરમ્યાન ચાર દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા ત્યારે તેમને મળવા આવનાર ઘણા લોકોમાં નરેન્દ્ર મોદી પણ હતા. તેમના તે પછીના સંબંધો ભૌતિક રીતે એક હાથનું અંતર રાખીને એકબીજાના વિચાર પર આલોચનાત્મક નજર રાખવાના રહ્યા છે એમ કહી શકાય.

પ્રકાશભાઈની રાજકીય વિચારસરણીની મૂળ તરજ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાની વિચારધારા સાથે મેળમાં બેસે એટલે તેઓ જનસંઘની વિચારધારાના જેટલા ટીકાકાર તેવા જ કોંગ્રેસના પણ ટીકાકાર હતા. જનતા પાર્ટીના તૂટ્યા પછી પ્રકાશભાઈની જે સૈધ્ધાંતિક અને વ્યાવહારિક ભૂમિકા રહી તેમાં તેમની કોગ્રેસના ટીકાકાર હોવાની છાપ ભુંસાઈ ગયાનું તેમને યાદ આવે છે.

એક સમય ગાળામાં પ્રકાશભાઈને શ્રી લાલ કૃષ્ણ અડવાણીને અનૌપચારિક રીતે મળવાના પ્રસંગો બનતા. એવી એક મુલાકાત સમયે વાતવાતમાં અડવાણીજીને પૂછવામાં આવ્યું કે આર્થિક સુધારાને વરેલી કોંગ્રેસ અને ભાજપામાં તાત્વિક અંતર શું રહ્યું છે? તેના જવાબમાં એમણે કહ્યું હતું કે 'અમારા આર્થિક વિચારો તો એક જ છે..લેકિન હમારી પહેચાન હિંદુત્વમેં હૈ.' ભાજપની મૂળ વિચારધારાનું આ અંગ પ્રકાશભાઈ જેવા સ્વતંત્ર મિજાજવાળા વિચારકને વિરોધ પક્ષની ભૂમિકામાં ખડા કરી દેવા પૂરતું બની રહે.

રામ મનોગર લોહિયા જેવા જ ઉદ્દામ વિચારો એક સમયે ધરાવતા જયપ્રકાશ નારાયણ (જેપી) લોહિયાજીની દૃષ્ટિએ સર્વોદય પ્રવૃતિઓમાં સક્રિય થવાને લીધે 'ઘીસાઈ' ગયા હતા, તેમ છતાં જો કોઈ પરિવર્તન લાવી શકે તેમ હોય તો તે માત્ર જેપી જ છે તેમ લોહિયા માનતા હતા. ૧૯૭૨ કે ૧૯૭૩ના વર્ષોની એક જાહેર ચર્ચામાં પ્રકાશભાઈએ નોંધ્યું હતું કે જેપી કોંગ્રેશ, પછી સમાજવાદી પક્ષ અને પછી સર્વોદય, સિવાયના નવા પરિમાણની શોધમાં જણાય છે. પોતાનાં જીવનનાં નવા વળાંક પર ઊભા જોવા મળે છે.


પ્રકાશભાઈની વૈચારિક ભૂમિકાના વિકાસમાં અને લેખનમાં તેમના આ બધા અનુભવોની ઓછી વત્તી અસર રહી છે. તેમનું લેખન શરૂ થયું તો તેમના શાળાજીવનથી જ હતું, તે પછી જૂદી જૂદી વિચારધારાઓ ધરાવતાં સામયિકોમાં તેમણે અલગ અલગ વિષયો પર પોતાની લેખનીને અજમાવી, જે 'નિરીક્ષક'ના વિકાસ સાથે સાથે એક ચોક્કસ દિશામાં ઢળતી ગઈ. એ બે વચ્ચે 'વિશ્વમાનવ' કે 'જ્ઞાનગંગોત્રી' ગ્રંથ શ્રેણી કે ઇન્ડિયન એક્સપેસ જૂથનાં 'જનસતા' કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જૂથનાં ગુજરાતી અખબારો સાથેના તેમના વિધિસરના વ્યાવસાયિક અનુભવોમાં તેમની લેખન કળા અને લેખનના વિષયોની પસંદગી ઘડાતી રહી.

પ્રકાશભાઈનો સક્રિય રાજકારણ સાથેનો નાતો ગુજરાત અને બિહારનાં આંદોલન (જાન્યુઆરી-માર્ચ ૧૯૭૪), ગુજરાતમાં જનતા મોરચો (આશરે જૂન ૧૯૭૬), કટોકટી (જૂન ૧૯૭૫- ૧૯૭૭), જનતા પાર્ટનો ઉદય (૧૯૭૭)ની આખી પ્રક્રિયા દરમ્યાન બની રહ્યો હતો. રાજકારણની સાથે સાથે તે નાગરિક શક્તિના ઉદયનો પણ સમય હતો. ૧૯૮૭ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પ્રકાશભાઈ અને સમાન વિચાર ધરાવનારા સાથીઓએ નાગરિક સમિતિનો પ્રયોગ પણ કર્યો . તેમના આ અનુભવમાંથી ૧૯૯૩માં તેમણે સેક્યૂલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સૅક્યૂલર ડેમૉક્રસી)ની સ્થાપના કરી. આ સંસ્થાના ઉપક્રમે પ્રકાશભાઈએ ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા ઘટનાક્રમમાં બિનસાંપ્રદાયિક ભૂમિકાએ માનવ અધિકાર પંચ, ચૂંટણી પંચ કે ક્રિષ્ણા અય્યર પંચ સમક્ષ રજૂઆતો જેવા સાંપ્રત વિષયો પર રજૂઆતો દ્વારા નાગરિક હસ્તક્ષેપની ભૂમિકા નિભાવતા રહ્યા છે. 

પ્રકાશભાઈનું જાહેર જીવનના મહત્ત્વના મુદ્દાઓ જેટલો જ મહત્ત્વનો, ચર્ચાસ્પદ અને રસપદ પણ, મુદ્દો તેમની લેખનીની ભાષા રહી છે. સામાન્યપણે પત્રકારત્વ કે સાહિત્યનાં લખાણોમાં ન વપરાતા નવા શબ્દો તેમના લેખોમાં બહુધા જોવા મળે. પ્રકાશભાઈના વિચારો સાથે અસહમતિ ધરાવતા લોકો માટે તેમની આ ભાષા પણ અસહમતિ ધરાવવા માટેનો મહત્ત્વનો મુદ્દો બની રહે. તેમની શૈલી બહુ સરળ અને વિષયની રજૂઆત એકદમ સ્પષ્ટ હોય,પણ વચ્ચે વચ્ચે સહજપણે પ્રયોજાયેલા તેમના પોતાના આગવા શબ્દપ્રયોગોને કારણે તેમના ચાહક વાંચકોને પણ તેમના લેખ સહેલાઈથી સમજાય નહી એવી એક ફરિયાદ તેમની સામે રહે.

આજે હવે જીવનના આઠમા દાયકામાં પ્રવેશદ્વારે તેમનાં સ્વપ્નની વાત કરતી વખતે તેમને યાદ આવે છે કે યુવાનીમાં તેમને કાઉન્ટેસનાં દૃષ્ટિબિંદુથી તૉલ્સ્તોય વિષે નવલકથા લખવાની ખેવના હતી. તે પછી, ૧૯૭૫થી ૧૯૯૦ના અરસામાં, જેપી મૂવમેન્ટમાં સક્રિય હતા ત્યારે ગાંધીજી હયાત હોય, પટેલ -નહેરુ સરકારમાં હોય અને ગાંધીજી લોહિયા અને જયપ્રકાશ નારાયણને લઈને નવી શરૂઆત કરે છે એવી વાર્તા લખવાની ઈચ્છા હતી. આજે હવે તેમને તેમના વિચારો વ્યક્તવ્યો દ્વારા વધારે વ્યક્ત કરવાના અવસર સાંપડે છે, ત્યારે તે 'સરખું ગોઠવી'ને મૂકવાની તેઓ આશા સેવે છે, જેથી વર્તમાન દુનિયામાં રહીને જે બધા વિચારપ્રવાહોમાં પસાર થવાનું થયું એમાંથી નિપજતી એક સામાન્ય સમજ નવી દુનિયા માટે મૂકી જવાય અને તેની અસરો થોડો સમય ટકી પણ રહે …..

એકંદરે, ઉર્વીશ કોઠારીનું ‘પ્રકાશ ન શાહ’માં રજૂ થયેલ પ્રકાશભાઈનાં જાહેર જીવનના અગત્યના તબક્કાઓનું આલેખન પ્રકાશભાઈનાં બહુરંગી વ્યક્તિત્વને આપણી સમક્ષ રજૂ કરવામાં સુપેરે સફળ રહે છે.
પ્રકાશ ન. શાહ
લેખક ઉર્વીશ કોઠારી © July 2019
ISBN: 978-93-84076-37-5
પૃષ્ઠ સંખ્યા ૧૬૦ કિંમત રૂ.૧૫૦
પ્રકાશક: સાર્થક પ્રકાશન ,અમદાવાદ
મુખ્ય વિક્રેતા: બુક શૅલ્ફ, અમદાવાદ

પરિચયકર્તા: અશોક વૈઃણવ