Showing posts with label Book Review. Show all posts
Showing posts with label Book Review. Show all posts

Sunday, October 30, 2022

વિરાટનો સ્પર્શ – હરેશ ધોળકિયા

 

૨૧મી સદીની Out of Box કથા

હરેશ ધોળકિયા વિરાટનો સ્પર્શા પુસ્તકની પ્રસ્તાવનામાં જ ખેલદિલીથી સ્વીકારે છે કે તેઓ મૂળત: : વિચારપ્રેરક નિબંધો લખનાર વ્યક્તિત્વ છે, નવલકથા જેવા સાહિત્ય પ્રકાર માટે તેઓ એટલા સજ્જ નથી. તેમ છતાં અમુક અમુક સમયે તેમના મનનો કબજો  જ્યારે એવો કોઈ વિચાર લઈ લે છે જે નિબંધ સ્વરૂપે મૂર્ત ન જ થઈ શકે ત્યારે તેમની લેખની કોઈક અવશ પ્રેરણાથી પ્રેરાઈને જ કંઈ લખવા લાગે છે તેનું સ્વરૂપ નવલકથાનું હોય છે, આ રીતે  તેમના મૂળ વિચાર કાલ્પનિક પાત્રો અને પરિવેશના માધ્યમથી તેઓ રજૂ કરે છે.


વિરાટનો સ્પર્શ તેમના આવા જ મનોવ્યાપારની નીપજ છે. આ નવલકથાનો કેન્દ્રીય  વિચાર  એકવીસમી સદીમાં પ્રવર્તી રહેલ ખૂબ ઝડપી પરિવર્તનો માટે જે મુક્ત માનસ હોવું જોઈએ તે ‘‘મુક્ત માનસ એટલે ખરા અર્થમાં કેવાં બંધારણના પાયા પર ચણાયેલું વ્યક્તિત્વ હોવું જોઈએ?’ તે વિશે છે. આજની પરિસ્થિતિ સાથે અનુકૂલન કરી શકે તેવું કે આવતી કાલના પડકારો ઝીલી શકે તેવું એ માનસ હોવું જોઈએ? અતિ ઝડપી ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટફોન વડે, દુનિયા આખીના ખબરોને  હથેળીમાં સમાવી લેવાની ભૌતિક ક્ષમતા ધરાવતી  ભારતીય યુવાન પેઢી તેનાં કુટુબના સંસ્કારો અને સામાજિક, કે ધાર્મિક કે રાજકીય માન્યતાઓની કે આર્થિક મર્યાદાઓની અડચણોને અતિક્રમવા જેટલો માનસિક રીતે આધુનિક બની શકેલ છે? આજનાં ભણતર દ્વારા  તેને જે તાલીમ મળે છે તેનાથી તે પોતાનાં પારંપારિક મૂલ્યોને વૈશ્વિક વિચાર પ્રક્રિયાનાં ધોરણોને સમજવા અને પોતાની જીવન પદ્ધતિને તે માપદંડોને પાર કરી શકવાને સક્ષમ બની રહ્યો છે ખરો?

રૂઢિચુસ્તતાની સામેની લડત સમાજના અમુક તમુક વર્ગથી થોડાં વર્ષો સુધી ચાલતી ઝુંબેશોમાં સમેટાઈ જતી ઈતિહાસે જોઈ છે. આવતી કાલની સાથે કદમ તાલ મિલાવી શકવાની કુશળતા સમાજમાં રહેલ વ્યક્તિઓનાં  વર્તન માત્રમાં થતાં ફેરફારોથી નહીં, પણ સમગ્ર સમાજની સામૂહિક વિચારસરણીમાં થતાં, લાંબા ગાળે પણ ટકી રહી શકનારાં, દરેક ક્ષેત્રોમાં થતાં, પરિવર્તનોમાંથી આવી શકશે.

આ દિશામાં, સામાજિક રીતે વિકટ પરિસ્થિતિમાંથી, માર્ગ કાઢી રહેલ એક સિંગલ પેરંટ માનો પ્રયાસ એ આ  નવલકથા વિરાટનો સ્પર્શનું કથાવસ્તુ છે. પરંપરાગત રિવાજોના સામાજિક દૌરમાંથી પોતાની જીવન નૌકાને ખેડતી એક મા અનાથાશ્રમમાંથી દત્તક તરીકે સ્વીકારેલ પોતાનાં દીકરી અને દીકરાને કેવું વાતાવરણ પૂરું પાડે છે, જેની નીપજથી દીકરી એક અવકાશયાત્રી બને અને દીકરો સંયુક્ત રાષ્ટ્રસંઘનો સેક્રેટરી જનરલ બને  એવું એનું એ સ્વપ્ન તે સિદ્ધ કરી શકે છે તેનો ઘટનાક્રમ એ ત્રણેય પાત્રો દ્વારા જ કરાયેલ વર્ણનોમાં વણી લેવાયો છે. 

દીકરી અવકાશયાત્રી થઈને જ નથી અટકી ગઈ પણ અવકાશ યાત્રા દ્વારા અથાગ વિશ્વને સમજતાં રહેવા માટે નિરંતર વિદ્યાર્થિની બની રહેવા માગે છે. દીકરો માત્ર સેક્રેટરી જનરલની કક્ષાએ પહોચીને સંતોષ માની લેવાને બદલે સમગ્ર વિશ્વ હમેશાં માનવીય મૂલ્યોની સમજને ભૂલી ન જાય તેવી સમયોચિત વ્યવસ્થા બની શકે તે માટે પ્રયાસ કરતો રહેવા માગે છે. તેમના વિચારોને આમ વર્તમાનનાં ભૌતિક સાધ્યોની સિદ્ધિઓને  અતિક્રમીને ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણલક્ષી બનાવવામાં મા દ્વારા રચવામાં આવેલાં  વાતવારણમાંથી મળેલા સંસ્કારોનું ઘડતર તેમનાં પોતપોતાનાં જીવનના સારા અને નરસા કેવા કેવા વળાંકોમાંથી પસાર  થતાં થતાં આકાર લે છે તે વિષે નવલકથાનું પોત થોડું પાતળું પડતું  જણાય છે. સામાજિક, આર્થિક, રાજકીય કે પ્રાદેશિક વાડાબંધીની ભુલભુલામણીમાં નાની નાની, પ્રમાણમાં છીછરી કહી શકાય તેવી સફળતા મેળવવાની દોડમાં વ્યસ્ત બનેલ આજની પેઢી આવા વિશાળ, આદર્શ, દૃષ્ટિકોણને પામવા માટેના માર્ગ આટલી સંક્ષિપ્તમાં કહેવાયેલી વાર્તાનાં માધ્યમથી સમજી જઈ શકશે કે કેમ તે સવાલ મનના કોઈ ખૂણામાં રહી જતો  જણાય છે.

નવલકથાના અંતમાં કથાનાં મુખ્ય પાત્રોના સત્કાર સમારંભમાં હાજર શ્રોતાગણ દ્વારા કરાયેલા રૂઢિગત સવાલોનાં એ પાત્રો દ્વારા અપાયેલા જવાબોને બદલે આપણે, દરેક વાચક, એ સવાલોના જવાબો પોતાનાં જીવનના સંદર્ભમાં ખોળતાં થઈએ  તો ગઈકાલની, આજની અને નવી પેઢીને પોતાનાં વિચારોને નવાં પરિપેક્ષ્યમાં વિચારતાં કરવાનો  નવલકથાનો મૂળ હેતુ ખરેખર બર આવશે. જોકે એક જ બેઠકે વાંચી  જવાય એવી ચુસ્ત શૈલીમાં લખાયેલ આ (લઘુ) નવલકથા જો વ્યાપક વાચક વર્ગની પસંદ બની રહેશે તો અનેક વ્યક્તિઓની થોડી થોડી સમજનાં  ઝરણાઓમાંથી પણ જે એક શક્તિશાળી પરિવર્તક વિચારસરણી  બની શકે, એવી આશા સેવવી આ નવલકથા વાંચ્યાં પછી સાવ અસ્થાને નથી લાગતી                 

0        -         0        -         0        -

વિરાટનો સ્પર્શની અન્ય વિગતોઃ

લેખકહરેશ ધોળકિયા

પ્રથમ આવ્રુતિ : જુલાઈ ૨૦૨૨

પૃષ્ઠસંખ્યા૧૫૧ કિંમત:  રૂ. . ૧૭૫   /-

પ્રાપ્તિસ્થાન: આર આર શેઠ એન્ડ કંપની, અમદાવાદ ૩૮૦૦૧ -મેઈલ sales@rrsheth.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Sunday, March 28, 2021

ક્ષમસ્વ – હરેશ ધોળકિયા

‘રામાયણ’ આપણું એવું પ્રાચીન મહાકાવ્ય છે જેનું પેઢી દર પેઢી હસ્તાંતરણ મૌખિક રીતે થતું આવ્યું છે. ‘રામાયણ’નું સૌથી પ્રચલિત સ્વરૂપ વાલ્મીકિ રામાયણ રહ્યું છે. પરંતુ આપણા દેશના દરેક પ્રાંતમાં જે તે સમયની સાંપ્રત પરિસ્થિતિ અનુસાર રામાયણપઠન કરનાર કથાકારો તેને પોતાની રીતે મૂલવતા આવ્યા છે. સ્વાભાવિક છે કે ‘રામાયણ’નું કથાવસ્તુ મૂળતઃ તેનાં મુખ્ય પાત્ર રામની આસપાસ ગુંથાતું હોય. રામ સિવાયનાં અન્ય મુખ્ય પાત્રોને યાદ કરીએ તો સીતા, લક્ષ્મણ, રાવણ કે હનુમાનથી આગળ યાદી ભાગ્યે જ લંબાય. કથાવસ્તુમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય પણ તે પાત્ર વિષે સીધી રીતે બહુ કહેવાયું ન હોય એવાં અનેક પાત્રો છે. આ બધાં પાત્રો માટે કથાવસ્તુમાંની તેમની ભૂમિકાની સાથે સુસંગત એક ખાસ છાપ પણ સામાન્ય વાંચકનાં મનમાં અંકિત થયેલી હોય છે.

એવાં બે પાત્રો છે મહારાજ દશરથની ત્રીજી પત્ની કૈકેયી અને તેની દાસી મંથરા. કે કૈકેયી એવી વીરાંગના હતી જે દશરથની સાથે યુધ્ધમાં સાથે રહેતી. એવાં એક યુદ્ધમાં તેણે પોતાની આગવી સૂઝ વડે દશરથના રથનાં ધરીમાંથી નીકળી પડેલા પૈડાંને પોતાની આંગળી મૂકીને કાર્યરત રાખેલું. આથી ખુશ થઈને મહારાજા દશરથે તેને બે વરદાન માંગવા કહેલું. કૈકેયીએ ત્યારે ને ત્યારે વરદાન માંગવાને બદલે યોગ્ય સમયે પોતે એ માંગશે એમ જણાવ્યું. એ અનુસાર રામના રાજ્યાભિષેકની જાહેરાત થવા સાથે તેણે, તેની કુટિલ મનોભાવના ધરાવતી – તેને કારણે મહદ અંશે શરીરે પણ કુબડી બતાવાતી – તેની ખાસ દાસી મંથરાની ચડામણીથી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને રાજગાદી મળે તેવાં વરદાન માંગેલાં.

તુલસી કૃત રામાયણ તેમ જ 'રામાયણ’નાં અન્ય અનેક લોકકથા સ્વરૂપમાં સ્વીકારાયું છે કે કૈકેયીને રામ માટે અનન્ય પુત્રપ્રેમ હતો. તેમને એ પણ ખ્યાલ હતો કે રામનાં જીવનનો મૂળ હેતુ આર્યાવર્તમાં ધર્મનાં પુન:સ્થાપનનો
છે. આ વાતને હરેશ ધોળકિયા તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘લઘુ’ નવલકથા ‘ક્ષમસ્વ’ માં રજૂ કરે છે. જો કે પુસ્તકનાં નિવેદનમાં હરેશ ધોળકિયા કહે છે તેમ તેમને કોઈ ‘ગેબી’ શક્તિએ પ્રેરણા આપી અને તેમના હાથે આપોઆપ જ કૈકેયીના પાત્રની અલગ જ કેફીયત કહેતી વાર્તા લખાતી ગઈ.પ્રસ્તુત નવલકથા ‘ક્ષમસ્વ’નો પ્રારંભ કૈકેયી દ્વારા માંગવામાં આવેલાં બે વરદાનના ઘટનાક્રમથી થાય છે, પણ તેનો સંદર્ભ અલગ છે. આમ થવા પાછળના તર્કને પણ લેખકે પ્રારંભમાં જ સ્પષ્ટ કરી દીધો છે. તેઓ કૈકેયીનાં પાત્રનાં મનોજગતને સ્વાભાવિક ક્રમમાં વિકસવા દેવા માટે, કલ્પનાના માધ્યમ વડે નવલકથાના સ્વરૂપમાં આ આગવી કેફીયત કહે છે.

હરેશ ધોળકિયાનાં પાત્રાલેખનો વર્ણનો વડે નથી વિકસતાં. તે માટે તેમણે ઘટનાક્રમની ગૂંથણી અને પાત્રો વચ્ચેના સંવાદોને માધ્યમ તરીકે લીધાં છે. વળી, મૂળતઃ પોતે વાર્તાનો જીવ ન હોવાથી, તેમના પાત્રો વચ્ચેના સંવાદોમાં શબ્દોની કાવ્યમય રસિકતા પણ સ્વાભાવિકપણે નથી. તેમ છતાં, ૧૪૨ જેટલાં જ પાનાંમાં કહેવાયેલી આ નવલકથા કૈકેયીનાં પાત્રના, ઓછા જાણીતા પાસાને પુરેપુરો ન્યાય મળી રહે તે રીતે રજૂ કરે છે.

કૈકેયીનાં પાત્રની નકારાત્મક ભૂમિકા સામાન્ય વાચકના મનમાં એટલી દૃઢ થઈ ગઈ છે કે પ્રસ્તુત નવલકથાનાં વીસ પ્રકરણમાં ઉઘડતા કૈકેયીનાં સાવ અલગ વ્યક્તિત્ત્વને વાચકનું મન કદાચ સમજી શકે એમ બને, પણ મનથી સ્વીકારી ન શકે એ શક્ય છે. એટલે તર્કબધ્ધ લખવા કેળવાયેલો હરેશ ધોળકિયાનો ‘સ્વ’ તેમને લેખક તરીકે પણ સમગ્ર નવલકથાના ઘટનાક્રમને તર્કબધ્ધ રજૂ કરવા પ્રેરતો જણાય છે. તે ઉપરાંત, લેખક એકવીસમા પ્રકરણમાં બધાં પાત્રોને એકઠાં કરીને પોતપોતાની મુંઝવણો અને મંતવ્યો રજૂ કરવાની તક આપે છે. તેમાં કૈકેયી સિવાયનાં જે જે પાત્રોએ તેને ‘કુટિલ’, ‘સ્વાર્થી’ વગેરે કહી હતી તે કૈકેયીની ક્ષમા માગે છે. સામે કૈકેયી પણ પોતાના આદર્શને નક્કર સ્વરૂપ આપવા માટે પોતે પસંદ કરેલા માર્ગ માટે ક્ષમા પ્રાર્થે છે.

સમગ્ર નવલકથામાં ‘રામાયણ’ જેવાં મહાકાવ્યને કહેવા માટે ભારેખમ શબ્દો અને સંબોધનો વાપરવાને બદલે લેખકે પોતાની સરળ શૈલીનો જ પ્રયોગ કર્યો છે. સંવાદો ટુંકા છતાં સરળ છે. છતાં કથાવસ્તુમાં પાત્રોનાં આપસી સંબંધોને છાજે એવી ગરિમા જળવાઈ છે. ઉદાહરણ સ્વરૂપ એક સંવાદ જોઈએ –

અવતરણ શરૂ -

કૈકેયી હાથ જોડીને બોલી, “અને મને માફ કરશો ?”

કૌશલ્યા અને સુમિત્રા બોલ્યાં, “કૈકેયી, તને માફ કરવાની અમારી લાયકાત નથી. છતાં કહીએ કે છીએ કે “ક્ષમસ્વ”. તું મહાન છો. તું અદભૂત છો. તું જ રામને અવતાર બનાવનાર છો. તેથી આત્યંતિક પ્રિય છો. તું જ અમને માફ કર.”

અવતરણ પુરૂં.

હરેશ ધોળકિયાનું પ્રકાશિત લેખન વિષયવૈવિધ્ય અને સંખ્યાત્મક દૃષ્ટિએ વિપુલ છે. પણ તેમનાં લગભગ દરેક પુસ્તકો બસો પાનાંની અંદર અંદર જ પુરાં થઈ જાય છે. તેમની આ નવમી નવલકથા છે. દરેક નવલકથાનો વિષય અને તેની રજૂઆત સાવ બીનપરંપરાગત કહી શકાય તેવી છે. તે કારણે તેમની નવલકથા ‘પસંદ’ કરવાવાળો વર્ગ પણ બીનપરંપરાગત વાચકનો રહ્યો છે. લગભગ એક જ બેઠકે પુરી થઈ શકે તેવી કથાની ગતિ અને કથનની લંબાઈ છે.

ક્ષમસ્વની અન્ય વિગતોઃ

લેખકહરેશ ધોળકિયા

પૃષ્ઠસંખ્યા+૧૪૬ કિંમતરૂ. ૧૭૦/-

પ્રાપ્તિસ્થાન: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ ૩૮૦૦૧ -મેઈલgoorjara@yahoo.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ

નિવાસસ્થાન ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Sunday, December 16, 2018

હિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના પ્રારંભના ૩૫ અવિલાપિત-અલ્પજાણીતાં કલાકારોનાં જીવનપર ફ્લૅશબૅક : इन्हें न भुलाना - હરીશ રઘુવંશી

હિંદી ફિલ્મ સંગીતના ચાહકોની ઘણી પેઢીઓ માટે હિંદી ફિલ્મ સંગીતની કંઈ કેટલીય વાતો, દસ્તાવેજો અને ઘટનાઓની તવારીખના સંન્નિષ્ઠ સંગ્રાહક, સંશોધક અને લેખક તરીકે શ્રી હરીશ રઘુવંશીનું નામ અજાણ્યું નથી. ક્ષતિહિન પૂર્ણતાના તેમના અંગત આગ્રહને પરિણામે તેમની પાસે માહિતીસામગ્રીનો જેટલો ખજાનો છે, તેમાંનો બહુ જ થોડો કહી શકાય એવો ભાગ તેઓએ લેખો / પુસ્તકોમાં ઉતારવાનું મુનાસિબ મન્યું છે. પરંતુ તેઓએ જ્યારે પણ લખ્યું છે ત્યારે તે લેખન શતપ્રતિશત ખરી માહિતી પૂરૂં પાડવાની સાથે સાથે ખૂબજ રસાળ શૈલીમાં રજૂ થયું છે.

શ્રી હરીશ રઘુવંશીની કલમેથી એક એવું નીવડેલું પસ્તક હતું 'ઈન્હેં ના ભુલાના', જે ૨૦૦૩માં પ્રકાશિત થયેલુ, પણ હવે તેની નકલો અપ્રાપ્ય છે. હિંદી ફિલ્મ સંગીતના ચાહકો માટે આનંદના ખબર છે કે શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણીએ ખૂબ ચીવટથી તેનો હિન્દીમાં હવે અનુવાદ કર્યો છે જે સપ્ટેમ્બર, ૨૦૧૮માં इन्हें न भुलाना શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે.

હિંદી ફિલ્મોનો ઈતિહાસને ૧૦૦ની ઉપર બીજાં લગભગ છ વર્ષ પુરાં થવામાં છે. સ્વાભાવિક છે કે આટલાં વર્ષોની સફરમાં હિંદી ફિલ્મ ઉદ્યોગના પરદા પર, અને પરદાની પાછળ,સાથે કંઈ કેટલાંય નામી/ અનામી વ્યક્તિઓએ સમયે સમયે જૂદી જૂદી ભૂમિકાઓ ભજવી છે. જૂજ અપવાદોને બાદ કરતાં મોટા ભાગની આ વ્યક્તિઓએ આ કામ વ્યવસાય કરતાં નીજાનંદ અર્થે કલા ઉપાસનાનાં સ્વરૂપે કર્યું છે. આ પૈકી કેટલાંક નામો એવાં હતાં કે એ સમયે બહુ જાણીતાં થયાં હતાં. પરદા પર નાની કે મોટી ભૂમિકાઓ કરનાર એ દરેક વ્યક્તિની કેટલીક આગવી લાક્ષણિકતાઓ લોકોનાં મન પર ઊંડી અસર કરી જતી. એમાંથી જેમનાં નામ સમયની સાથે લોકોની યાદમાંથી ઓજલ ન થઈ ગયાં હોય એવાં ભાગ્યશાળી નામો તો તો સાવ જૂજ હોય, બાકી તો બધાંની નિયતિ આંખોની સામે દૂર થવાથી યાદમાંથી પણ દૂર થઈ જવાની જ લખાયેલી હોય છે.

इन्हें न भुलानाમાં હરીશભાઈએ એવાં ૩૫ ફિલ્મ કલાકારોનાં જીવનની ફિલ્મના પર્દા પરની અને પર્દા બહારની વિગતોને સામેલ કરી છે જેમનાં યોગદાન ઉલ્લેખનીય હોવા છતાં જેમના વિષે કંઈ ખાસ લખાયું નથી. આ કલાકારોની ફિલ્મ કારકીર્દીની મહત્વની વિગતો રજૂ કરવાની સાથે તેમની જન્મ તરીખ, દેહાવસાન તારીખ, જનમ-અવસાન સ્થળ જેવી માહિતી બહુ જ ચોક્કસપણે રજૂ કરવામાં હરીશભાઈનો ક્ષતિરહિત ચોક્સાઈનો આગ્રહ જોવા મળે છે. જે કલાકારોની સ્મૃતિને તાજી રાખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરાયો છે તેમની યાદી આ મુજબ છે –
प्रेम अदीब; रुपहले पर्देके रामगोप; मेरे पिया गये रंगूनक़मर जलालाबादी: इक दिलके टुकडे हज़ार हुए
श्याम: रंगीन तबीअतका जामकरण दीवान: चाक्लेटी हीरोभरत व्यास: तुम गगनके चन्द्रमा हो
कन्हैयालाल: मदर इण्डियाका अकेला 'सुखालाल'जयन्त: गब्बर सिंह के पिताखुमार बाराबंकवी: तस्वीर बनाता हूं
मज़्हर खान: पुलिस विभाग से रुपहले पर्दे तक वास्ती: एक याद किसीकी अती रहीपं. नरेन्द्र शर्मा: ज्योति कलश छलके
नूर मुहम्मद: चार्ली पलट तेरा ध्यान किधर हैडी बीलीमोरिया: र्रुपहले सलीमकी सुनहरी सफलताप्रेम धवन: गीत, संगीत और नृत्यकी त्रिवेणी
मास्टर निसार: अब वो मुक़दर नहीं रहा...ई. बीलीमोरिया डोर कीपर से हीरोमास्टर फिदा हसैन बने 'प्रेम शंकर नरसी'
पी. जयराज : ऐतिहासुक पात्रोंके रुपमें इतिहासमें स्थान बनाने वालेनिगार सुल्ताना: पिन अप गर्लमाधुलाल मास्टर: संगीतके नींवके पत्थर परन्तु संयोगो के समक्ष कठपूतली
कृष्णकान्त उर्फ के.के.: चिरवृध्द अभिनेता कुलदीप कौर: क़ातिल नज़रकी कटारवी. बलसारा: सात दशकका स्वर-संसार
रंजन: 'तलवारबाज़ के रुपमें मान्य प्रतिभाशालीनसीम बानो : 'परी-चेहरा'अल्ला रखा अर्थात तबला
महीपाल: फिल्ममें गीत लीखनेवाळे एकमात्र 'राम'लीला मेहता: स्लीवलेस ब्लाउज़ वाला रोल ठुकराने वालीद्वारकादास सम्पत: मूक फिल्मों का गुजराती मान्धाता
नासिर ख़ान: ट्रेजॅडी-किंगका भाई होनेकी ट्रेजेडीशक़ीळा: बाबूजी धीरे चलनामोहनलाल दवे: हिन्दी फिल्मोंकी पटकथा के गुजराती पितामह
याकूब: रहे नाम अल्लाह कादुलारी: साढे पांच दस्गक का फ़िमी सफर


અહીં જે કલાકારોનાં નામ વાંચવા મળે છે તેની સાથે ઓળખ આપતાં વિશેષણમાં તેમની ફિલ્મ જગત કારકીર્દીની નોંધપાત્ર લાક્ષણિકતા પણ જાણવા મળે છે. હરીશભાઈની ગાગરમાં સાગર સમાવી શકવાની ક્ષમતાની આટલી નિશાની જ આખાં પુસ્તકને વાંચવા માટે આપણી ઉત્સુકતા વધારી મૂકવા માટે પૂરતી બની રહે છે. જૂની અને નવી બન્ને પેઢી માટે જે નામ અલ્પપરિચિત હોવાની શકયતા વધારે છે તેવાં કલાકારો વિષે પ્રસ્તુત પુસ્તકમાં કેવી સ-રસ માહિતી પીરસવામાં આવી છે તેની આછેરી ઝલક જોઈએ –

'હિંદી ફિલ્મોમાં 'ખાન'ની બોલબાલાની પરપરામાં મહત્વનું અગ્રિમ સ્થાન ધરાવતા મજ઼હર ખાન (જન્મઃ ૧૮-૧૦-૧૯૦૫ની અભિનય કળા ૧૯ મૂક અને ૫૨ બોલતી ફિલ્મોમાં પ્રસરી છે.મુકેશને પ્રથમ હરોળના ગાયક તરીકે મુકી દેનાર ગીત દિલ જલતા હૈ તો જલને દે જે ફિલ્મમાં હતું એ ફિલ્મ 'પહલી નજ઼ર' (૧૯૪૫)નાં દિગ્દર્શક મજ઼હર ખાન હતા.

- પોરબંદર પાસે રાણાવાવમાં મેમણ કુટુંબમાં ૧૯૧૨માં જન્મેલા નૂર મહમ્મદની હાસ્ય કલાકાર તરીકેની સફળતામાં પોતાના નામ સાથે પોતાના
આદર્શ ચાર્લી ચેપ્લીનનાં નામને અને કામ સાથે ચેપ્લીનની વેશભૂષાને જોડી દેવાની તરકીબ કારગત થઈ હતી તેમ માની શકાય. ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટેના પ્રયાસનાં પહેલે પગથિયે તેમને પૂછવામાં આવ્યું 'ગાતાં આવડશે?' તો તેમનો જવાબ હતો : ગાવું, રોવું, દોડવું, ઝાડ પર ચઢવું, નાચવું વગાડવું, ઝઘડવું, તરવું, કાંપવું, બધું આવડશે.

- હિંદી ફિલ્મોમાં ભાઈઓની જોડીઓમાં સૌથી વરિષ્ઠ ગણી શકાય એવી જોડી ડી.(દિનશા) બિલીમોરિયા અને ઈ.(એડી) બિલીમોરિયા ભાઈઓની જોડી હતી. ડી. બિલીમોરિયાની ખ્યાતિ
૧૯૨૮માં મૂક અને પછી ૧૯૩૫માં બોલતી 'અનારકલી" ફિલ્મોમાં સુલોચના (રુબી માયર્સ) ની અનારકલીની ભૂમિકા સામે સલીમની ભૂમિકાની યાદગાર અદાકારી માટે છે, જેમાં કંઈક ફાળો અનારકલી અને સલીમનાં ઉત્કટ ચૂમ્બન દૃશ્યોનો પણ રહ્યો હશે !. ઈ. બિલીમોરિયા એમના સમયના 'હી-મેન' હતા. રેલ્વેમાં ફાયર્મેન બનવા માટે ઘર છોડ્યું,અને નસીબે નોકરી અપાવી પૂનાનાં સિનેમાગૃહમાં ડોરકીપરની.ત્યાંથી મુંબઈ આવ્યા તો એક દિવસ તેમનો કોટ, બૂટ અને ટોપી ચોરાઈ ગયાં. એ હાલતમાં પ્રોજેક્ટરના વિક્રેતાએ તેમને નોકરીએ રાખ્યા. એક વાર ભાઈ દિનશાને મળવા ગયા હતા, તો મેકઅપ મૅને તેમને દીનશા સમજીને મેકઅપ કરી નાખ્યો, અને ત્યાંથી તેમની ફિલ્મ અભિનયનો 'પંજાબ મેલ' ચાલી નીકળ્યો.

- અહીં રજૂ થયેલં ૩૫ કલાકારોમાંથી આજની તારીખમાં હયાત એવાં એક માત્ર લીલા મહેતાને ૧૯ વર્ષે 'રાણક દેવી'ની ભૂમિકા ભજવવા આમંત્રણ મળ્યું. પણ આવી કિશોરી બે બાળકોની માતા રાણક્દેવીનાં પાત્રમાં નહીં શોભે તેમ જણાતાં તેમને બીજું પાત્ર અપાયું. એ પછીથી રેડીયોનાટકોમાં કામ કરતાં કરતાં તેમણે ગાયન કળા પર પણ વિધિપુરઃસરનું શિક્ષણ લીધું અને સેઠ સગાળશા, ગુણસુન્દરી, સત્યવાન સાવિત્રી, કન્યાદાન જેવી ગુજરતી
ફિલ્મોનાં ગીતો ગાયાં. 'ગુણસુંદરી'માં 'ભાભી તમે થાઓ થોડાં થોડાં વરણાગી' કહી શકે એવી આધુનિક નણંદનું પાત્ર ભજવવા માટે તેમને સ્લીવલેસ બ્લાઉસ પહેરવું પડે તેમ હતું એટલે તે ભૂમિકા તેમણે ન સ્વીકારી. સંજોગોનો યોગાનુયોગ કેવો થતો હોય છે - લીલ મહેતાએ દ્વિઅર્થી સંવાદો માટે ખૂબ ચર્ચાસ્પદ બનેલ, મરાઠી નાટક 'સકારામ બાઈન્ડર'માં એક બહુ 'બોલ્ડ' ભૂમિકા પણ નિભાવી !

જે પેઢીએ આ કલાકારોની ફિલ્મો જોઈએ છે તેમને માટે આ પુસ્તક એ ભૂતકાળની એમ મીઠી સફર બની રહે છે, તો નવી, અને આવનારી, પેઢી માટે હિંદી ફિલ્મ જગતની ભવ્ય ઈમારતના પાયામાં કેવાં કેવાં અવિલાપિત-અલ્પજાણીતાં લોકોનાં યોગદાન રહ્યાં છે તે જાણ કરતા રહેવા માટેનો એક સંવેદનશીલ દસ્તાવેજ બની રહેશે.

સંખ્યાની દૃષ્ટિએ, સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે, પણ એ વિષયનું જે ક્ક્ષાનું અને જે વ્યાપનું દસ્તાવેજી કરણ થવું જોઈએ તે હજૂ આજે પણ નથી થતું. શ્રી હરીશ રગુવંશીનાં 'મુકેશ ગીતકોશ' કે તેમના મિત્ર અને સહધર્મી હરમિંદર સિંહ 'હમરાજ઼'નાં હિંદી ફિલ્મ ગીતકોશ'જેવાં સંશોધનાત્મક પુસ્તકોએ હિંદી ફિલ્મોની ગ્લેમર ઉપરાંત હકીકકત-પરસ્ત માહિતીનાં દસ્તાવેજી કરણ કરવાની પ્રક્રિયાનો પાયો નાખ્યો છે.

આ પ્રકારનાં, અને કક્ષાનાં, પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી, લાંબા સમય સુધી પહોંચતાં રહે તે માટે તેનું ડીજિટલાઈઝેન થાય એ બહુ ઈચ્છનીય છે. જોકે એ હાલ પૂરતા તો એટલા આનંદના સમચાર છે કે 'મુકેશ ગીત કોષ'ની નવી આવૃતિ પકાશનાધીન છે. તે ઉપરાંત, હિંદી સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર ૧૦૩ ગુજરાતી ફિલ્મી હસ્તિયોની બહુ રસપ્રદ માહિતી પૂરી પાડતા, 'દિવ્ય ભાસ્કર'માં હિંદી સિનેમા ગુજરાતી મહિમા' શીર્ષક હેઠળ, ૨૦૦૮ થી ૨૦૧૦ દરમ્યાન,પ્રકાશિત થયેલ લેખોનું સંકલન પણ પ્રકાશાનાધીન છે.

હરીશ રઘુવંશીનાં 'મુકેશ ગીત કોશ' ગુજરાતી ફ઼િલ્મ ગીત કોશ'ની ફોટોકૉપી આવૃતિઓ તેમ જ હરમિન્દર સિંહ 'હમરાઝ' સાથે લખાયેલ 'જબ દિલ હી ટૂત ગયા' અને હરમિન્દર સિંહ 'હમરાઝ'નાં હિન્દી ફિલ્મ ગીત કોષના વિવિધ ભાગ મેળવવા માટે આ પુસ્તકનાં પ્રકાશકનો સંપર્ક કરવો રહે છે..


* * *


પુસ્તકની હિંદી આવૃતિ અંગેની માહિતી

સપ્ટેમ્બર, ૨૦૧૮ ║ પૃષ્ઠ ૧૫૫ ║ મૂલ્ય રૂ. ૩૦૦ /-

પ્રકાશક: શ્રીમતી સતિન્દર કૌર, એચ. આઈ. જી. - ૫૪૫, રતન લાલ નગર, કાનપુર ૨૦૮૦૨૨

મો./વ્હૉટ્સઍપ્પ +૯૧ ૯૪૧૫૪૮૫૨૮૧ ઈ-મેલ: hamraaz18@yahoo.com


* * *

પુસ્તકના લેખકોનાં સંપર્ક સૂત્ર:

શ્રી હરીશ રઘુવંશી: harishnr51@gmail.com

શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણી: sundergohrani@yahoo.co.in


* * *

નોંધ : અહીં લીધેલ કલાકારોની તસ્વીરો નેટ પરથી સાભાર લીધેલ છે, તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Saturday, May 28, 2016

સારાં વાચનની ભૂખ જગાડતું,અને સાથે સાથે સારા વાચનનો સંતોષ પણપૂરૂં પાડતું,‘પુસ્તક’: ‘સાર્થક જલસો–૬’ - મે ૨૦૧૬


જે સામયિક દર છ મહિને પ્રકાશિત થતું હોય, જેની સામગ્રી લોકપ્રિયતાની સામાન્યપણે સ્વીકૃત માન્યતામાં સીધે સીધી બંધ ન બેસતી હોય, જેનો પ્રચાર મોટે ભાગે સમાન વાચનશોખ ધરાવતાં વાચકોની મુંહજબાની વધારે થતો હોય તેવાં‘પુસ્તક’કક્ષાનાં સામયિકનો છઠ્ઠો અંક બહાર પડી ચૂક્યો છે. આજની દોડભાગની, મોટામસ આંકડાઓ દ્વારા મપાતી સફળતાની, દુનિયામાં આ ઘટના જેટલી નોંધપાત્ર, તેટલી જ તેના ચાહકો માટે પરીક્ષાનો તત્પુરતો અંત લાવતી આનંદદાયકપણછે.
'સાર્થક જલસો'ના છઠ્ઠા અંકમાં રજૂ થયેલ સામગ્રી એકબીજાથી અલગ વિષયને ખેડતા ૧૪ લેખોમાં પ્રસરેલ છે.દેખીતી રીતે 'સાર્થક જલસો'માં રજૂ થતા વિષયો પ્રણાલિકાગત ઢાંચામાં બંધ નથી બેસતા, અને તેથી એ વૈવિધ્ય વાચકને દરેક અંક વાંચતી વખતે તાજગીની અનુભૂતિ કરાવે છે. દરેક લેખનું વસ્તુ અને પોત દરેક લેખને બહુ જ નિરાંતે વાંચવા અને વાગોળવા માટેનાં કારણો પણ પૂરાં પાડી આપે છે. 
જો કે આ બધાં પાસાં તો 'સાર્થક જલસો'ને પહેલી વાર વાંચનારમાટે મહત્ત્વનાં. આપણે તો 'સાર્થક જલસો'ના  સીધો જ પરિચય આપણે અહીં - Saarthak Jalso  - કરતાં જ રહ્યાં છીએ. એટલે આપણને તો હવે આ છઠ્ઠા અંકના લેખોનો પરિચય કરવામાં જ વધારે રસ હોય તે તો સ્વાભાવિક છે.

તો ચાલો, 'સાથક જલસો'ના અંક ૬ની પરિચય સફરે.....

‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઇશું' - અનુષ્કા જોષી
બીજાં વિશ્વયુદ્ધની લશ્કરી વિગતોની સાથે સાથે એ સમયની સામાજિક, કે સાંસ્કૃતિક ઘટનાઓ સાથે વણાયેલી એ સમયનાં લોકોનાં વ્યક્તિગત પાસાંઓની કહાનીઓ આજે લગભગ સાત દાયકા પછી, ચર્ચામાં તો રહેલ જ છે. પરંતુ, રેડ ક્રોસની ટુકડી સામે બધું આનંદમંગળ છે એવા પ્રચાર અર્થે તૈયાર થયેલ એક બાળ નૃત્યનાટિકાનો વીડિયો જોઈને લગભગ ૨૧મી સદીમાં જ ઊછરેલ એક કિશોરીને તેના પરથી એક કાવ્ય સ્ફુરે એ વાત પણ સાવ સામાન્ય તો ન જ કહેવાય. એ વિષે વધારે શોધખોળ કરતાં એ નૃત્યનાટિકામાં બિલાડીનું પાત્ર ભજવનાર બાળકી,એલા વિસબેર્ગર, જે આજે ૮૬ વર્ષનાં થઈ ચૂક્યાં છે, સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવો, એ સંપર્કપછીની કડીરૂપ,તેમનાં તે સમયનાં, છેક ઝેકોસ્લોવાકીયાનાં પાટનગર પ્રાગમાં રહેતાં, મિત્ર - કૉન્સન્ટ્રેશન કૅમ્પનાં સાથીદાર-હેલ્ગા હોસ્કોવા સાથે રૂબરૂ મુલાકાત કરવાનો ખંત દાખવવો એ પણ સાનંદ આશ્ચર્યની જ વાત છે. એ મુલાકાતોના અનુભવોને અનુષ્કા જોષીએ આ લેખમાં સહજ આત્મીયતાથીઅનેબહુ જ રસપ્રદ રીતેવર્ણવેલ છે. એ મુલાકાતના અંતસમયની વાત આ આખીય કહાનીને એક અનન્ય આભા બક્ષી રહે છે.એક રશિયન માતાના પાંચ વર્ષના છોકરાનાં પ્રાગમાં વીતેલ બાળપણ પરની રમૂજના ઢાળ પર ૧૯૯૬માં બનેલી ફિલ્મ 'કોલ્યા' વિષે લેખિકા હેલ્ગાને પૂછી બેસે છે. સવારની મુલાકાત દરમ્યાન કૉન્સન્ટ્રેશન કૅમ્પની યાદોમાંથી થયેલ ભારે વાતાવરણ એ વાતના જવાબમાં સાવ હળવું થઈ જાય છે. 'અમે છેલ્લાં છીએ'નો હેલ્ગા અને ઍલાનો આશાવાદ, માનવજાતને ભવિષ્ય માટેનો સંદેશ પણ કહી શકાય.
વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની,લાગણીસભર સ્વપ્નદૃષ્ટા રવજીભાઈ સાવલિયા - હર્ષલ પુષ્કર્ણા
૧૯૯૬ની એક સવારે તેમને ઘરે સવારના નાસ્તા માટે રવજીભાઈનું આવવું એ પહેલો યોગાનુયોગ, એ મુલાકાતને અંતે બીજે જ અઠવાડીએ પોતાને ઘેર જમવા આવવાનું રવજીભાઈનું અત્મીય આમંત્રણ એ બીજો યોગાનુયોગ અને રિઝર્વ્ડ પ્રકૃતિના નગેન્દ્ર વિજયનું એ આમંત્રણ સ્વીકારી લેવું એ ત્રીજા યોગાનુયોગથી શરૂ થયેલ સંબંધના વિકાસની ગાથા વર્ણવતાં વર્ણવતાં,તેમની નપીતુલી શૈલીને ભાવવાહી પ્રવાહમાં વહેવડાવીને બહુ જ સચોટ આલેખનથી હર્ષલ પુષ્કર્ણાએ સમજાવ્યું છે કે કોઈ એક વ્યક્તિને એક સાથે આટઆટલાં વિશેષણો કેમ લાગૂ પડી શકે……[પરિચયકારની નોંધ: અમેરિકા જેવા દેશમાં જો રવજીભાઈએ કામ કર્યું હોત તો તેમનાં છાશ વલોણાં યંત્ર કે હવા ભરવાનો ફૂટ પમ્પ કે સમાનકેન્દ્રી નસદાર એલ્યુમિનિયમ તવો, મૉનોબ્લૉક ઘરેલુ ઘરઘંટી અને તેમનાં એવાં અનેક ઉપકરણો વિશ્વ કક્ષાએ પહોંચી ચૂક્યાં હોત. પણ આમ ન થયું કારણકે રવજીભાઈ વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની વગેરે વગેરે પહેલાં હતા, અને વ્યાપારી તો તેનાથી બહુ જ પછી.નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાને ચોપડે રવજીભાઈની કેટલીક નોંધ જોવા મળે છે, એવી શોધખોળ કરતાં ક્યાંકથી સંતાઈ ગયેલી એક નોંધ હાથ ચડી ગઈ, જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાય છે.]
એકવીસમી સદીમાં 'ભાર વિનાનું ભણતર' - ઋતુલ જોષી, મીરાં થૉમસ
'ભાર વિનાનાં ભણતર'ની બહુ ચોટદાર 'વ્યાખ્યા'થી લેખની શરૂઆત થાય છે - 'જો તમારા ભણાવ્યા મુજબ બાળક ન શીખી શકતું હોય, તો બાળક શીખી શકે તે મુજબ તેને ભણાવો'.આ પ્રકારનાં ભણતરની વ્યવસ્થામાં બાળક કર્તા છે. લેખમાં આ વિભાવના બાબતે આપણને વિચાર કરતાં કરી મૂકવા માટે પૂરતી સામગ્રી છે. બસ, હવે તેનો વ્યાપકપણે અમલ કરવા હવે કઈ પ્રેરણા, કે ફરજ, કામ કરશે તે જોવાનું રહ્યું.
શીખવતાં શીખવા મળેલા જીવનના પાઠ - આરતી નાયર
હાંસિયામાં ધકાયેલાં લોકોને શિક્ષણ આપવાની 'સેવા'નું કામ કરવામાં કેવા કેવા અનુભવો થાય, અને એ અનુભવો માત્ર એ સેવા કરવાની બાબતે જ નહીં પણ જીવનનાં કેટકેટલાં પાસાં વિષે કેવું કેવું શીખવાડી જાય તેના લેખિકાના સ્વાનુભવોની રજૂઆત એ માત્ર આ પ્રકારનાં કામ જોડાયેલ વ્યક્તિઓ માટે જ નહીં પણ સમાજના દરેક “ઉચ્ચ સ્તર”નાં લોકો માટે ઘણા પાઠ શીખવાડી શકે છે.
જુહાપુરાના રોજિંદા જીવનની કશ્મકશ - શારીક લાલીવાલા
અમદાવાદમાં થતાં રહેલાં કોમી રમખાણોની નિપજ સમી બસ્તી જુહાપુરાના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક સમુદાયમાં વસ્તી વ્યક્તિઓની ભાવનાઓનો બહુ જ નિરપેક્ષ ચિતાર આ લેખ આપણી સમક્ષ રજૂ કરે છે.લેખની પાદનોંધ વાંચીએ તો ખ્યાલ આવે છે કે આ લેખનો લેખક એ ૧૯ વર્ષનો એક યુવાન છે જે ખુદ ‘રૂઢિચુસ્ત જેને કાફિર ગણે અને કાફિર જેને મુસલમાન ગણે’ એવા મનોસાંસ્કૃતિક ત્રિભેટેથી હવે પોતાનાં જીવનની રાહ કંડારવાનો છે.
પ્રકાશ ન. શાહ કટોકટી પહેલાં અને પછી... - ઉર્વીશ કોઠારી
'સાર્થક જલસો'ના દરેક અંકનું એક આગવું આકર્ષણ હોય છે તેમાં પ્રકાશિત થતી દીર્ધ મુલાકાત. આ પ્રકારની દીર્ઘ મુલાકાતમાં ચર્ચાયેલી વાતોને આ પ્રકારનાં સામયિકમાં ઠીક ઠીક જગ્યા આપીને પ્રકાશિત કરાય એટલે એ વ્યક્તિનું સમાજમાં કંઈક વજન હોય તે તો સ્વાભાવિક છે, પણ એનો અર્થ એમ પણ નહીં કે બધાંને એ વ્યક્તિની સાથે અહીં ચર્ચાયેલી બધી જ બાબતોની ખબર હોય. આમ આ મુલાકાત આપણી સમક્ષ એ વ્યક્તિસાથે નજદીકી પરિચય કરાવે જ, પણ સાથે સાથે એ મુલાકાતમાં રજૂ થયેલ વિષયનો પણ વિગતે પરિચય કરાવે છે. પ્રસ્તુત મુલાકાતમાં પ્રકાશ ન. શાહનાં ૭૫ વર્ષનાં જીવનનાં આરંભિક વર્ષો, ઘડતર તેમ જ રાજ્ય-દેશના જાહેર જીવનનાં કટોકટી અને જેલવાસ જેવા ઘણાં પાસાં સમાવાયાં છે.
આંબેડકર-ગંગા - ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી
'લાંબા લાંબા લેખને બદલે નાની નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની જુદી, બહુરંગી છબી' ઉપસાવવાના પ્રયાસરૂપે 'આંબેડકર-ગંગા' પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત લેખમાં તેની ઝાંખી રજૂ કરાઈ છે.
સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી 'દુર્ઘટના' - બીરેન કોઠારી
૧૮૫૦થી ૧૮૬૫ વચ્ચેનાં, નર્મદની ૧૭થી ૩૨ વર્ષની વય દરમિયાનનાં લખાણના સંગ્રહની(પહેલી) આવૃત્તિ તો ૧૮૬૫માં આવી અને ખપી ગઈ. ૧૮૭૪માં આવેલી બીજી, સરકારી, અને તે પછી ૧૮૮૦માં આવેલી ત્રીજી આવૃત્તિમાં 'શૈક્ષણિક દૃષ્ટિ અને ફરજપાલન' જેવા - 'સર્જક કે સર્જનને અન્યાય હરગિજ ન કરવાના’ - સરકારી નીતિના આશયથી કરવામાં આવેલા ફેરફારો અને સામાન્યપણે પોતાના ‘જોસ્સા’ માટે જાણીતા નર્મદે આ ફેરફારો સામે સેવેલા મૌનનો રોચક ઘટનાક્રમ પ્રસ્તુત લેખમાં વર્ણવાયો છે.
તમારું ખાહડું અને અમારું માથું - ચંદુ મહેરિયા
પોતાના મોટા ભાઈ-બહેનનાં બાળ લગ્ન નિમિત્તે પોતાને વતન ગયેલ લેખકની બાલ્યાવસ્થાનો એ પ્રસંગ આજે પણ લેખકનાં ઘરે યાદ કરાય છે. એ પ્રસંગની મદદથી લેખકે હજૂ બહુ જૂનો થઈ ગયો ન કહેવાય એવો, ૧૯૬૪-૬૫નાં વર્ષોના, સમયનાં સામાજિક જીવનનો ઇતિહાસ બહુ સહજપણે દસ્તાવેજ કરેલ છે. એ દિવસે (બાળ) લેખક પોતાના પગમાં ચંપલ પહેરીને સૂઇ ગયા હતા. તેમના મા મનાવી પટાવીને પણ એ ચંપલ કઢાવી નથી શકતાં, કેમ કે અમદાવાદની મિલમાં કામ કરતા પિતાનાં એ સંતાનને જિંદગીમાં પહેલી વાર ચંપલ પહેરવા મળી હતી ! સામાજિક જીવનના પ્રવાહનાં એક પ્રતિક તરીકે ચંપલનું અહીં રજૂ થયેલ ચિત્ર આજે પણ આપણી આંખ ઉઘાડી કાઢી શકે છે.
અજાણ્યા ઇશાન ભારતનો આત્મીય પ્રવાસ - લતા શાહ, અશોક ભાર્ગવ
'સાર્થક જલસો'ની સામગ્રીમાં અનોખી ભાતનું પ્રવાસ વર્ણન નિયમિતપણે જોવા મળતાં ઘટક તરીકે સ્થાન પામી ચૂક્યું જણાય છે.જોવાનાં સ્થળોની યાદી કે શું ખાધુંપીધું એવાં 'ભ્રમણસંગી (ટુરિસ્ટ ગાઈડ) જેવા શુષ્ક દસ્તાવેજ નહીં, પણ 'કોઈ આયોજનપૂર્વક', પ્રવાસની મજાનાં 'આત્મીય' વર્ણનો હોવાને કારણે એ સ્થળોએ આપણે જાતે ફરી રહ્યાં હોઈએ તેવી લાગણી પણ અનુભવાય એ કક્ષાનાં આ વર્ણનો બની રહે છે. પ્રસ્તુત પ્રવાસ ઇશાન ભારતનાં તેજપુરથી શરૂ થઈને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માજુલી બેટ, ગુવાહાટી,દિમાપુર (નાગાલૅન્ડ), ઈટાનગર-જીરો (અરુણાચલ પ્રદેશ), અને મેઘાલયનાં શિલોંગ, ચેરાપુંજીને આવરી રહ્યો છે.
ગાંધીવાદી 'અનુવાદ સેનાપતિ' નગીનદાસ પારેખ - મારો અનુવાદ એ જ મારું જીવન - હસિત મહેતા
નગીનદાસ પારેખનાં બહુમુખી વ્યક્તિત્ત્વને વર્ણવવા માટે લેખની શીર્ષનોંધમાં 'સન્નિષ્ઠ અનુવાદક, શિક્ષક, સંપાદક, વિચારક, મીમાંસક, વિવેચક, સંશોધક, પ્રતિકાવ્ય કવિ, ચરિત્રકાર, વિદ્યાપુરુષ' એવાં વિશેષણો પ્રયોજાયાં છે. આખો લેખ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એ દરેક વિશેષણ એક અલગ અભાસનોંધનો વિષય છે. તેમ છતાં સામયિકના એક લેખમાં તેને સમાવવાની હિંમત કરવી અને પૂરતો ન્યાય કરી શકવો એ બંને બાબતો કાબિલે-દાદ છે. અહીં તો આપણે પ્રસ્તુત લેખની બહુ જ સરસરી ઝલક જ લઈશું. નગીનદાસ પારેખ મરાઠી, સસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી સહિતની છ જેટલી ભાષાઓમાં 'આત્મસાત્‍' કક્ષાના પારંગત હતા. તેમને ફાવતી ભાષા અંગ્રેજી હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસમાટે તેમણે બંગાળ સાહિત્ય પસંદ કર્યું ત્યારે તેમણે બંગાળીના કક્કાબારાખડીથી શરૂઆત કરવાની હતી. ૧૯ વર્ષની ઉંમરે એમણે બંગાળની 'ઉપેન્દ્રનાથની આત્મકથા'નો ગુજરાતી અનુવાદ કર્યો. 'ગીતાંજલી'નાં કાવ્યો, 'ડાકઘર' જેવાં નાટકો અને 'ઘરે-બાહિર'જેવી નવલકથાઓ સહિતનાં રવિન્દ્રસાહિત્યનાં ૩૦થી વધુ પુસ્તકો ઉપરાંત શરદબાબુ, મૈત્રેયીદેવી,સુરેન્દ્રનાથ ગુપ્તા, અતુલચંદ્ર ગુપ્ત, દિલીપકુમાર રૉય, ચારુચંદ્ર ચક્રવર્તી, અબૂ સઈદ અય્યૂબ, લીલા મજુમદાર, સૌમ્યેન્દ્રનાથ જેવાઓની રચનાઓના પણ અનુવાદ તેમણે કર્યા છે. બાઈબલ, સમાજકારણ અને રાજકારણના અનેક સંદર્ભો સાથે 'ગાંધીજીનો અક્ષરદેહ’, કે મૂળ અંગ્રેજી પ્રતમાં પણ ભૂલો દૂરકરવા માટે જેનો સંદર્ભ લેવાયો હતો તેવી આચાર્ય કૃપલાણીની આત્મકથા ઉપરાંત 'પ્રિન્સિપલ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ'નો 'સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો' કે 'જજમેન્ટ ઈન લિટરેચર'નો 'સાહિત્યનો વિવેક' જેવા અગ્રેજીમાંથી કરાયેલા અનુવાદો વિશ્વસ્તરના અનુવાદોમાં નોંધપાત્ર કક્ષાનાં સીમાચિહ્નો ગણી શકાય તેમ છે. આવા ૧૦૦ અનુવાદોતેમ જશિક્ષણ, વિવેચન, ચિંતન-વિચાર કે કિશોર-બાળ સાહિત્યનાં બીજાં દસેક પુસ્તકો ઉપરાંત કંઈ કેટલાંય સામયિકોમાં પડેલું તેમનું અનેકવિધ સાહિત્ય હજૂ અગ્રંથસ્થ છે ! આ તમામ પાસાં ઉપરાંત તેમના ઉમદા માનવીય પાસાંઓનો પરિચય આ લેખમાં મળી રહે છે..
જો હૈ બદનામ..વો હીતો નામવાલા હૈ ! - હિંદી ફિલ્મી વિલનોનાં નામની કહાની - સલિલ દલાલ
હિંદી ફિલ્મોના વિલનોનાં નામો પરનો લેખ ફિલ્મ ઇતિહાસમાં જેમને રસ હોય તેમને માટે એક સંદર્ભ બનીરહે તેટલો વિગતપ્રચૂરહોવા છતાં નામાવલીનો એક શુષ્કદસ્તાવેજ બની રહેવાને બદલે, ખરેખર, રસપ્રચૂર 'કહાની' બની રહેલ છે.
:):):) - કિરણ જોષી
સામાજિક માધ્યમો પર ગાંડાંતુર વહેતાં રહેતાં રમૂજકડાંઓમાંથી કિરણ જોષીએ ચાળીનેમૂકેલ નોંધો મજા પડી જાય તેવી છે. જેમ કે - 'સામાન્ય માણસોને તેમના જેવાજ બીજા સામાન્ય માણસો નડે છે: સત્તાધારીઓને તેઓ વિપક્ષમાં હતા ત્યારે પોતે જ કરેલી ટ્વીટ્સ નડે છે.' કે પછી,'આજકાલ લોકો ભગવાન કરતાં વધારે સેલફોનની બેટરી ઉતરી જાય એનાથી ડરે છે.'
મારી પ્રેમિકાઓ ! - દીપક સોલિયા

છઠ્ઠાં ધોરણમાં 'જો સમય ન હોય તો' જેવા "વકૃત્ત્વ" સ્પર્ધાના વિષય થકી સમયમીમાંસા સાથે થયેલ અચાનક પરિચય પછી, લગભગ દરેકનાં જીવનમાં બનતું જ હોય છે તેમ કાળક્રમે લેખકનાં જીવનમાં પણ વિજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, ફિલોસોફી જેવા વિષયો આવતા ગયા, જીવનની ઘટમાળની સાથે સાથે જીવનનીપ્રાથમિકતાઓ બદલતી ગઈ. એ દરેક વિષય સાથે ગાઢ પ્રેમ બંધાય બંધાય ત્યાં તો વિચ્છેદ પણ થતોગયો. કોલેજ કાળમાં આંણદ બસ સ્ટેન્ડપર સવારે સાડા નવથી સાંજના છેક છ વાગ્યે કચ્છ જતી બસ માટે રાહ જોવાનો એક પ્રસંગ બન્યો. એ પ્રસંગમાંથી મળ્યો એક 'મૌલિક વિચાર' - "રાહ જોવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે રાહ ન જોવી." રાહ જોવાથી રાહ જોવા બાબતે જે કંટાળો જન્મે છે તેનું નીવારણ રાહ જોવાની રાહ ન જોવામાં છે. એ સમયે થતી બીજી દરેક ઘટનાઓ વિષે વિચાર કરવાથી, તેઘટનાઓમાં રસ લેવાથી, રાહ જોવી એ એક સુખદ, ઉપયોગી (ક્યારેક અણધારી રીતે, ઉત્પાદક) પાઠ બની રહી શકે છે. બસ, એ અનુભૂતિને કારણે લેખક આજે પણ જીવનની વ્યાખ્યા 'આવો, જુઓ, જાવ'એવી કરે છે.જિંદગીના સિક્કાની એક બાજૂએ દુઃખ છે તો બીજી બાજૂએ પ્રસંગમાંથી પસાર થતી વખતે કોઈ પણ વિચાર ન થવાથી નીપજતું સુખની તેમ જબીજે પક્ષે વિચારમાંથી જ જન્મતું સુખ,એવીબે છાપ છે. ગાંડુંઘેલું, ચિત્રવિચિત્ર, ઉત્પાદક-બિનઉત્પાદક વિચારોમાં 'રાચવા'માં પણ સુખ છે, બશર્તે તેની સાથે સંબંધ પ્રેમનો હોય.

દીપક સોલિયાએ તેમના લેખમાં મૂકેલ ફિરાક ગોરખપુરીના શેર અને તેના સંદર્ભથી જલસો પાડી શકાય -
પાલ લો એક રોગ નાદાં ઝિંદગી કે વાસ્તે,
સિર્ફ સેહત કે સહારે ઝિંદગી કટતી નહીં.
'સાર્થક જલસો'નાં લખાણને તેમનાં કદથી નહીં, પણ "વાચકને શું ગમે છે એનો વિચાર બીજા ક્રમે રાખીને પાઠકને શું ગમાડવાની જરૂર છે"નામાપદંડની ગુણવત્તાથી માપવાની સંપાદકોની નેમ પણ હવે બહુ જ પ્રસ્થાપિત પ્રણાલીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે. હવે,આ ખાસ પ્રકારના વાચનના ચાહક વર્ગ સુધી પહોંચવાની વિતરણ વ્યવસ્થાનો કોઠો પણ પ્રકાશકો નજદીકના ભવિષ્યમાં જ ભેદી શકે તેવી,પ્રકાશકો તેમ જ સંભાવિત દરેક પાઠકોને, શુભેચ્છા સાથે…..અંક ૭ની... રાહ જોઈએ .....
/\/\/\/\/\/\
 સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
  • બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા
  •  ઈ-પુસ્તક રૂપે ખરીદવા માટે - SaarthakJalso 6, અથવા
  • ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

Thursday, May 5, 2016

એકલો જાને રે ....- ડૉ. એચ એલ ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત (નવલકથા) - ડૉ. શરદ ઠાકર





@ ડૉ. શરદ ઠાકરǁ  પ્રથમ આવૃત્તિ ડીસેમ્બર, ૨૦૧૫  ǁ કિંમત રૂ, ૪૫૦ ǁ પૃષ્ઠ +૪૨૪
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરǁ info@navbharatonline.com






લેખક ડૉ. શરદ ઠાકર તેમનાં પ્રાસ્તાવિક નિવેદનમાં (ડૉ. એ એલ ત્રિવેદીની સંઘર્ષ ગાથા વિષે) લખે છે કે "શું આ બધું સાચું હોઈ શકે? ભ્રષ્ટાચાર અને કામચોરીથી ખદબદતા આ દેશમાં કોઈ એક મરદ માણસ આખી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં ચાલીને, આટલો કપરો સંઘર્ષ ખેડીને, પોતાના આદર્શ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ઝનૂનપૂર્વક લડતો રહી શકે ખરો?!? અને અંતે એ સફળ પણ થઈ શકે? અસંભવ!"

આ નિવેદન પછીના ૪૨૪ પાનામાં કોઈ થ્રીલર કથાની અદાથી આપણી સમક્ષ ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનમાં બનતી રહેલી એક એક અવળી,અણધારી, તેમનાં મનોબળની તાકાતની સીમાઓને પડકારતી રહેતી ઘટનાઓ અને તેમાંથી નીકળેલા એટલા જ આશ્ચર્યજનક, સુખદ માર્ગોની તવારીખના પાનાં બદલતાં રહે છે.

આપણી સમક્ષ વાતની શરૂઆત થાય છે આજના સમયથી ચાર-સાડા ચાર દાયકા પહેલાનાં, અને આઝાદીના ત્રણ દાયકા પછી પણ આધુનિકતાથી ચાર ડગલાં પાછળ ચાલી રહેલાં, સુરેન્દ્રનગરની એક સાંજથી. સફેદ ખાદીનો આર કરેલો ઝભ્ભો, ધોતી અને ગાંધી ટોપીથી સજ્જ નખશિખ ગાંધીવાદી વડીલ અને તેમની સાથે માન્ચેસ્ટરનાં વૂલન ફેબ્રિકમાંથી જર્મન બ્રાન્ડેડ ટેલર્સ પાસે સીવડાવેલા સ્યૂટ,દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી નીકળેલ સોનામાંથી બનેલી ટાઈપિન અને ટાઈપિનમાં વચ્ચોવચ્ચ સોલીટેર ડાયમન્ડ, સ્નેક લેધરના બેલ્ટ અને એન્ટીલોપનાં ચામડામાંથી બનેલા મુલાયમ બૂટ જેની પહેચાન હતી, સવારના યુરોપિયન બ્રેકફાસ્ટ, દિવસ દરમ્યાન સુગંધીદાર તમાકુની પાઈપ અને સાંજે ફ્રેંચ વાઈનની સંગતની સંસ્કૃતિમાં પળોટાયેલો એવો યુવાન શહેરની બહાર આવેલી નદીમાં 'ઈવનીંગ વૉક' માટે નીકળી પડ્યા છે. સામેથી ડાઘુઓ એક યુવાનની અંતિમ મંઝિલે પહોંચાડવાની વિધિમાં છે. મૃત્યુ પામેલા યુવાનના 'નખમાંય રોગ જ ન હતો...ખાલી છ મહિનાથી આખા ડીલ પર સોજા હતા'. પાશ્ચાત્ય રંગમાં પળોટાઈ ચૂકેલો આપણો નાયક એ સાંભળીને સ્વગત બબડી ઊઠે છે : ક્રોનિક રીનલ ફેઈલ્યોર. ડાયાલિસીસ જેવી સારવાથી બચી શકી હોત એવી એક જિંદગી...'

ખેલના નિયમ બદલી નાખે તેવી ઘટનાની પાછળ પાછળ જ એવી બીજી એક ઘટના આપણા નાયકને ગૌતમમાંથી બુદ્ધમાં રૂપાંતરિત કરવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. જો કે આ ઘટનાઓ પછી નાયકની તેની તેની કર્મભૂમિ, હેમિલ્ટન, કેનેડા તરફની સફરનાં વર્ષો સાથે સાથે, પોતાના જન્મથી માંડીને આજ સુધીની ઘટનાઓ કલ્પનાચક્ષુની સામે ખૂલતી જાય છે.

ઈ.સ. ૧૯૩૨ના ઑગસ્ટ મહિનાની એક કાળી અંધકારભરી રાત્રે, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદથી ચારેક કિલોમીટર દૂર આવેલા ચરાડવામાં નાનજીભાઈ ત્રિવેદીના શિક્ષકપુત્ર લક્ષ્મીશંકર ત્રિવેદીનાં પત્ની શારદાને પુત્ર જન્મ્યો. એ પુત્ર તે આપણી કથાના નાયક હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી. તેમના જન્મ સમયે કેસરીની ત્રાડ અને હાથીની ચિંધાડને સમાવતો ગજકેસરીયોગ હતો, જેને કારણે એ છોકરો જ્યાં પણ જાય ત્યાં રાજાની સમકક્ષ બનીને માન, પાન અને સ્થાન પ્રાપ્ત કરતો રહેવાનો હતો.

પણ એચ એલ ત્રિવેદીનાં જીવનમાં તો તકલીફોની કેસરી-ત્રાડ અને વિઘ્નોની હાથી-ચિંધાડ પણ પહેલે પગથિયેથી લખાયેલી જ હશે. પિતાજી બહુ જ આદર્શ શિક્ષક, પણ ૧૯૩૦-૫૦ના સમયના શિક્ષક એટલે જ્ઞાનદાનમાં કુબેર પણ અંગત જીવનમાં આર્થિક સંકડામણો પારાવાર જ હોય. સાત માણસોની ભીડવાળાં કુટુંબની રાતોના દીવાના પીળા ધ્રુજતા પ્રકાશમાં કિશોર હરગોવિંદ પોતાનાં ડૉક્ટર બનવાનાં સ્વપ્નોને કંડારવાના પરિશ્રમમાં ખૂંપી જતો. ૧૬મા વર્ષે માને ધનુર્વાના ચેપમાં ખોયાં. ૧૧મા ધોરણમાં સારા માર્ક્સથી ઉત્તિર્ણ થયા પછી સાયન્સ કૉલેજમાં એડમિશન મેળવવા માટે નાણાં ઊભાં કરવા આખાં કુટુંબે જે યજ્ઞ કર્યો તેમાં કુટુંબના દરેક સભ્યએ પોતપોતાની ઈચ્છાઆકાંક્ષાઓની આહુતિ આપી. કૉલેજની એક નિર્ણાયક પ્રાયોગિક પરીક્ષામાં જે પાવડરનો ગ્રેવીમેટ્રી ટેસ્ટ કરવાનો હતો તે ભરેલું પાત્ર જ પડી ગયું અને પાવડર ઢોળાઈ ગયો. બાયોલોજી વિષયનું જર્નલ જ મૌખિક પરીક્ષાની આગલી રાત્રે ચોરાઈ ગયું. તો પણ બે ફક્કડ પેન્ટ-શર્ટ, કપડાંલતાં વગેરે મૂકવાની પતરાંની રંગીન પેટી અને પહેલે જ દિવસે ફોઈનાં ઘરેથી કૉલેજ ચાલતાં જતાં પડેલાં આંટણને કારણે જે હાથમાં ઉપાડવાનો વારો આવ્યો હતો તેવા ચામડાના સુંદર બૂટની ભૌતિક મૂડીની મદદથી એચ એલ ત્રિવેદી દાક્તરીની વૈતરણી પણ વટથી પાર કરી ગયા. ડૉક્ટર થઈ ગયા પછી તેરમી ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ તેમણે સુનિતાબહેન (મૂળ નામ શારદા) સાથે સંસાર માંડ્યો.

અમેરિકામાં આગળ અભ્યાસ માટે ભણવા જવા ઈચ્છતા વિદેશી ડૉકટરોનું સ્તર ચકાસવા માટેની ઈ.સી.એફ.એમ.જી. કસોટીથી માંડીને ક્લીવલેન્ડની લેઈકવૂડ હોસ્પિટલના પ્રારંભના દિવસોમાં જ ઈ.સી.જી. મશીનનું તેમના હાથે બળી જવું,તેમની સહકાર્યકર નર્સના પિતાને ડી-ફિબ્રિલેટરના પાંચમા આંચકે મોતના મોંમાંથી બચાવી લાવવા, પોતાના હાથ નીચેના જુનિયર ડૉક્ટરની ભૂલને કારણે એક દરદીનું બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ થઈ જવું, કેનેડા જવા માટે અરજી કરેલ તે દસ્તાવેજો જ ઈન્ટરવ્યુના ટાંકણે ટપાલમાં ગેરવલ્લે ચડી જાય એવા તો અનેક નાના મોટા અવળા સવળા પ્રસંગો ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનને કસોટીએ ચડાવતાં રહ્યાં. કેનેડાનાં હેમિલ્ટન શહેરની સેન્ટ જૉસેફ હોસ્પિટલની તેમની કારકીર્દી પણ આવી અનેક તડકી છાંયડીઓમાંથી પસાર થઈ. ગજકેસરીયોગ ફળવાને કારણે, કે ડૉ. ત્રિવેદીની નિષ્ઠા, કુનેહ અને સૂઝને કારણે, સેન્ટ જૉસેફ હૉસ્પિટલમાં આવતાં તેમનાં દર્દીઓ તેમને પૂજતાં.

સફળતા અને શોહરતની ટોચે પહોંચેલા ડૉ. એચ એલ ત્રિવેદીના મનમાં પેલે દિવસે ક્રોનિક રીનલ ફેઈલ્યોરથી મૃત્યુ પામેલો એ યુવાન અને તે સમયે પેલા ગાંધીવાદી વડીલ સાથે થયેલા સંવાદ તો ઘુમરાયા જ કરતા હતા.

અમદાવાદની જ હોસ્પિટલમાં જ તેમનાં દેશબંધુઓની સારવાર કરવાનો યજ્ઞ માંડવા માટેનો એક પૂર્વ પ્રયોગ કરવા માટે તેઓ ત્રણ મહિનાની રજા લઈને કામ કરી ગયા. જતી વખતે તત્કાલીન આરોગ્ય સચિવ શ્રીમતી શિંગલાને મળ્યા. તે પછીથી નિયમિત સમયે કેનેડાથી સ્મૃતિપત્રો લખતા રહ્યા પણ સરકારના જાડી ચામડીના તુમારને તેઓ હજૂ વીંધી નહોતા શક્યા. તેવામાં શ્રીમતી શિંગલાની ઑફિસમાંથી એક તાર દ્વારા તેમને આગળ વિચારણા કરવા માટે તાત્કાલિક ધોરણે બોલાવાયા, એ મુલાકાતમાં પાંચ જ મિનિટમાં તેમને અહીં જોડાવા માટેનો નિર્ણય લેવા જણાવાયું, એ નિર્ણયના હવનમાં જે હાડકાં પડ્યાં તેને શ્રીમતી શિંગલાએ હસેડી ફેંક્યાં. હવે આપણને થાય કે હાશ, ચાલો હવે ડૉ. ત્રિવેદીની કસોટીઓનો કાળ પૂરો થયો. હવે તો તેઓ વિના કોઈ વિઘ્ને તેમનાં સ્વપ્નાને સિદ્ધ કરવા માટેની કેડી કંડારી શકશે.

પણ કોઈ પણ સફળતા પહેલાં ભારોભાર અવળા સંજોગોવડે ડૉ. ત્રિવેદીના જુસ્સાને આકરામાં આકરી કસોટી વડે ચકાસવાનો કુદરતનો (કે તેમના વિઘ્નસંતોષી વિરોધીઓનો) સીલસિલો ચાલુ જ રહેવાનો હતો. પુસ્તકનાં હવે પછીનાં લગભગ ૧૦૦ - ૧૫૦ પાનામાં એક પછી એક વિધ્ન અને વિઘ્નોના સમાધાનની રોમાંચક ઘટનાઓની દિલધડક દાસ્તાનો ભરી પડી છે. રાજકારણીઓ, બાબુશાહી, સહવ્યવસાયીઓ,ભૂતકાળના મિત્રો, નવા સંબંધો એ બધામાં ડૉ. ત્રિવેદીને અતિ કડવા અનુભવો પણ થયા અને બહુ સુખદ અનુભવો થયા. એક સામાન્ય વાચક તરીકે દુનિયા તો આવી નઠારી જ છે એમ માનીને તેમને થયેલા કડવા અનુભવો આપણને કદાચ હચમચાવી ન જાય, કે તેમને થયેલા સુખદ અનુભવો ડૉ.ત્રિવેદીનાં સદ્‍કાર્યોનાં ફળ તો ક્યારેક તો મળે જ તેમ માનવા પ્રેરે. એ ઘટનાઓનો આસ્વાદ તો પુસ્તક વાંચીને જ કરાય.

તેમનાં સ્વપ્નની કિડની ઈન્સ્ટિટ્યૂટ ઈંટ, રેર્તી અને સિમેન્ટથી ચણાયેલ એક હોસ્પિટલમાંથી હવે દર્દીઓ અને ડૉક્ટરોથી ધમધમતું એક મંદિર બની ચૂકી હતી.ઈન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે કૂદકેભુસકે વધતો જતો હતો, પથરી તોડવાના દર્દીઓ હોય કે ડાયાલિસીસ માટે આવતા દર્દીઓ, કિડની પ્રત્યારોપણનાં ક્ષેત્રેના કેસ સ્ટ્ડીઝ હોય, સંસ્થાનું નામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનથી ગાજવા લાગ્યું હતું. પણ ડૉ. એચ એલ ત્રિવેદીની કહાનીએ વિરામ નથી લીધો.

કિડનીનાં પ્રત્યારોપણ માટે બહુ જ મહત્ત્વની જરૂરિયાત છે 'ફુલ હાઉસ મેચિંગ' થાય તેવી વ્યક્તિની પોતાની સાજી કિડનીનું દાન. એ કામ કેટલું મુશ્કેલ હશે તે તો આપણે જ્યારે એ હાલતમાં મુકાઈએ ત્યારે જ ખરા અર્થમાં કદાચ સમજાય. જનસામાન્યની જાગૃતિ પેદા કરવાનું અને ફેલાવવાનું પણ આવું આ મહાકાર્ય આ ૠષિ તેમની આગવી રીતથી કરી રહ્યા છે. એક વાર સફળ પ્રત્યારોપણ થયા પછી દુનિયાભરના તમામ દેશોના તમામ દર્દીઓએ અતિખર્ચાળ દેવાઓ લેતાં રહેવું પડતું હતું. આ માટે ડૉ. ત્રિવેદીએ જે સંશોધન હાથ પર લીધું તે સમગ્ર વિશ્વ માટે ક્રાંતિકારી નીવડ્યું. પ્રત્યારોપણ થયેલી કિડનીનો સ્વીકાર ન કરવાની માનવ શરીરની નૈસર્ગિક પ્રતિક્રિયાને રોકવા તેમણે ૧૯૯૮માં બહુ જ જટિલ એવી 'સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ'નો પ્રારંભ કર્યો. આ કાર્યમાં વધારે સંશોધન શક્ય બનાવાવા માટે તેમણે અત્યાધુનિક 'સ્ટેમ સેલ લેબોરેટરી'ની પણ રચના કરી.મિજેન્કાયમલ સ્ટેમ સેલ્સને માનવ શરીરમાંની ચરબીમાંથી અલગ તારવીને પરંપરાગત સારવારમાં આ નવા સ્ટેમસેલ્સ ઉમેરી દેવાથી હવે કીડની પ્રયારોપણનો ખર્ચ હવે લગભગ અડધો થઈ ગયો. સમગ્ર વિશ્વમાં સારવારની આ પદ્ધતિ આજે 'અમદાવાદ પ્રોટોકોલ' તરીકે ઓળખાય છે.

આ સંશોધન કરતાં કરતાં તેમની ટીમને ઈન્સ્યુલિન પેદા કરતા કોષો પણ મળી આવ્યા. આ નવા કોષોને દર્દીના સાથળમાં આવેલી મોટી રક્તવાહિની (ફીમોરલ આર્ટરી)માં નાખી સી-આર્મ ટેકનિકથી દાખલ કરવાના પ્રયોગ જન્મજાત ડાયબિટીસથી પીડાતાં નાનાં બાળકો પર કરાયા. આ સારવારનું પરિણામ ચમત્કારિક રહ્યું. ડૉ. ત્રિવેદી, તેમની ટીમ અને તેમની સંસ્થાને આજે પણ નડતી રહેતી નાણાંભીડને કારણે આ પ્રયોગો અટકી પડ્યા. ૨૦૦૭ની આ ઘટના ૨૦૧૫માં પણ જગતને સાવ નજીવાં ખર્ચે ડાયાબિટીસ-મુક્ત કરી દેવા માટે ડૉ. ત્રિવેદીના ખંત અને ઉત્સાહને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે જરૂરી ભૌતિક સાધનોની રાહ જોવડાવે છે.

ડૉ. એચ એલ ત્રિવેદીની પોતાના નિશ્ચયની મજબૂત કલમથી ભવિષ્યને લખવાની ગાથામાટેની સ્યાહી તેમનાં સાત રંગોનાં મેઘધનુ્ષી વ્યક્તિત્વએ પૂરી પાડી છે. પ્રથમ રંગ છે તેમનું ઉચ્ચ કક્ષાના નેફ્રોલોજિસ્ટ હોવું.બીજો રંગ છે જાહેર સંચાર માધ્યમોનો સાથ કેળવવાનું કૌશલ્ય, જેને કારણે તેમની સંસ્થાની પ્રવૃત્તિઓ સામાન્ય લોકો સુધી પહોંચે છે. ત્રઓ રંગ છે દાતાઓ પાસે દાન મેળવવાની કળા.ચોથા રંગથી તેઓ દરેક વિચારસરણીના રાજકારણીઓ્નો સમભાવ પ્રાપ્ત કરી શકયા છે. પાંચમા રંગે તેમની ટીમને બનાવી અને ટકાવી છે. તેમનાં વ્યક્તિત્ત્વનો છઠ્ઠો રંગ છે નવાં નવાં સંશોધનો કરતાં જ રહેવાની તેમની ક્ષમતા. અને આ બધા રંગોની મિલાવટને એકસૂત્રતા બક્ષે છે દર્દીઓ સાથે અંતરંગ આત્મીયતા જાળવી રાખતો એ સાતમો રંગ.

આજથી ચોર્યાશી વર્ષ પહેલાં ચરાડવા ગામની એક મેઘલી રાતે શરૂ થયેલી તેમની આ જીવનગાથા અહીં જ અટકતી નથી - અટકશે નહીં. શાળાના ભણતર સમયે મળેલ કાકા-કાકીની હુંફ, સાયન્સ કૉલેજમાં દાખલ થવા માટે કુટુંબના દરેક નાનાંમોટાં સભ્યએ કરેલ પોતાની અંગત અપેક્ષાઓનાં બલિદાન, અમેરિકા જવાના નિર્ણયથી માંડીને જીવનના તબક્કે તેમનાં પત્ની સુનિતાબહેનનો સાથ, અમેરિકાની લેઈકવુડ હોસ્પિટલમાં ડૉ. સેટેલીન કે કેનેડાની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં ડૉ. વિલિયમ ગોલ્ડબર્ગ કે પ્રત્યારોપણ સર્જ્યન ડૉ. પીટર નાઈટની મદદ કે ગુજરાત સરકારનાં શ્રીમતી શિંગલા કે એમ. એસ. દયાલ કે (તત્કાલીન આરોગ્ય મંત્રી)વલ્લભભાઈ પટેલ કે બાળપણના મિત્ર રસિકલાલ દોશીની સહાય કે લિથોટ્રીપ્ટર મશીનનાં ઉદ્‍ઘાટન માટે સ્વયંભૂ આવી ગયેલ પ્રમુખસ્વામી મહારાજની હાજરી કે ડો. વીણા દેસાઇ કે ડૉ. પ્રાંજલ મોદી કે ડૉ. વિરેન ત્રિવેદી કે ડૉ. વિનીત મિશ્રા કે ડૉ. અરુણા વણીકર કે નલીની પટેલ જેવાં તેમનાં સાથીઓનો ટેકો જેવાં અનેક સકારાત્મક પરિબળોએ તેમની સામે મોરચો માંડીને બેઠેલાં અનેકાનેક નકારાત્મક પરિબળો સામે ટકી રહેવાનું બળ ડૉ. એચ એલ ત્રિવેદીને પૂરૂં પાડ્યું હશે કે તેમણે સેવેલ એક નેક સ્વપ્નનાં જોશે આ પરિબળોને તેમની આસપાસ કવચ પૂરૂં પાડ્યું હશે !

ખબર નથી.

આપણે આવા કોઈ પણ એકલવીરને તેની દોડમાં પ્રત્યક્ષ મદદ ન પણ કરી શકીએ તો, કમ સે કમ, જાણ્યે અજાણ્યે તેમના રસ્તામાં આવતું વિઘ્ન તો ન બનીએ !

એટલું તો જરૂર યાદ અને ધ્યાન રાખી જ શકીએ.

ડૉ. એચ એલ ત્રિવેદી અને તેમના જેવા એકલવીર મરજીવાઓનાં કામને આપણે આટલું તો બીરદાવી જ શકીએ.....

ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવન અને તેમના મેડીકલ પ્રયોગો વિષેનાં સાહિત્યની ઉપલબ્ધિ ઘણી પાંખી જણાય છે તેની સખેદ નોંધ લેવી રહી. ડૉ. ત્રિવેદીની આત્મકથા “Tryst with Destiny” નવજીવન ટ્રસ્ટની સાઈટ પરથી ઑનલાઈન ખરીદી શકાય તેમ છે, પણ તેમનો ડૉ. શરદ ઠાકરે કરેલ ગુજરાતીમાં અનુવાદ ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ કે પછી આપણે આજે જે પુસ્તકનો પરિચય કર્યો તેની જ ઉપલ્બધિ પરંપરાગત વેચાણ વ્યવસ્થાને આધીન જણાય છે. એટલે જ ડૉ. એચ એલ ત્રિવેદીનાં કામને તેમના આંતરરાષ્ટ્રીય સહવ્યાવસાયિકો જાણતા હશે તેટલું કદાચ આપણા દેશના આ વ્યવસાયનાં લોકો નહીં જાણતાં હોય. આવા સંજોગોમાં તેમની સાથે સંપર્કમાં આવેલ સામાન્ય પ્રજા સિવાયનાં આપણા સૌની તો વાત કરવાની જ ક્યાં રહે !

જો આ બાબતને આજના સમયને અનુરૂપ યોગ્ય માર્કેટીંગ માવજત મળે તો તેમનું કાર્ય તો આવનારી પેઢીઓ સુધી પહોંચે જ એટલું જ નહીં તેમના જેવા ભાવિ એકલવીરોને પથદર્શક પણ નીવડે અને તેમનાં આસપાસનાં પર્યાવરણ માટે બોધવાચક પણ નીવડી શકે.