Showing posts with label Business Today. Show all posts
Showing posts with label Business Today. Show all posts

Tuesday, February 7, 2012

ભારતના ટોચના મુખ્ય પ્રબંધન અધિકારીઓ


૧૯૯૫થી ૨૦૧૧ દરમ્યાન સહુથી વધારે મૂલ્યવૃધ્ધિ કરનારાઓની BT- INSEAD- HBR દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસિકા
'બીઝનેસ ટુ ડે'ના વર્ષ ૨3 ના ૫ ફેબ્રુઆરી, ૨૦૧૨ના ૩જા અંકની cover story ના સ્વરૂપમાં પ્રસ્તુત થયેલ ઉપરોક્ત નિરીક્ષણ અભ્યાસ તેની સંશોધનની પ્રક્રિયા, યોગ્યતા માપદંડ, તેના માર્ગદર્શકોનો આ વિષયબાબતે બહોળો વ્યાવહારિક અનુભવને કારણે અન્ય આ પ્રકારના અભ્યાસ કરતાં અલગ તરી આવે છે, જેની સીધી અસર અભ્યાસની સર્વગ્રાહિતા અને ઉંડાણ તેમ જ પસંદ થયેલા સીઇઓની પરિચયાતત્મક રૂપરેખાપર દેખાઇ આવે છે.
પ્રત્યેક સીઇઓની પરિચય રૂપરેખામાં તેમની કાર્યશૈલી, અંગત લાક્ષણિકતાઓ તેમ જ તેમના કાર્યકાળના પ્ર્ભાવકારી પડકારોને મહદ અંશે સંતુલિત નિષ્પક્ષતાથી આવરી લેવાયેલ છે. 
અહીં તે દરેક રૂપરેખા વિષે વાત કરવાનો આશય નથી - તેનામાટે તો આ લેખને અંતે મૂકેલ મૂળ કડી ની કે મૂળ અંકની જ મદદ લેવી હિતાવહ છે. અહીં આ અભ્યાસનાં તારણો અને તેના પરથી કેટલીક અન્ય સાંપ્રત લાગતી વળગતી ઘટનાઓ વિષે વાત કરીશું.
કોઇપણ સંસ્થાની લાંબા ગાળાની તંદુરસ્તી અને સંસ્થાનાં હિતધારક ઘટકોનાં હિતની જાળવણી એ બન્ને કંઇક અંશે મુખ્ય સંચાલકમાટે વિરોધાભાસી પરિણામો પરવડી શકે. તે બન્ને વચ્ચેનાં નાજૂક સંતુલનને જાળવીને બન્ને પરિણામોના માપદંડ પર ખરા ઉતરવામાં વ્યક્તિની નેતૃત્વની ક્ષમતાની ગુણવત્તા, વિવેકબુધ્ધિની પ્રગલભ્તા અને દીર્ઘદ્રષ્ટિના વ્યાપની કસોટી છે.મૂલ્યવૃધ્ધિમાં વર્ષોવર્ષ થતા વધારાની સાથે સસ્થાના મૂળભૂત ઉદ્દેશ્યો, તેની સ્પર્ધાત્મકતા અને નૈતિક મૂલ્યો જાળવવાં તે પણ મહત્વનું બની રહે છે. 
એ દ્રષ્ટિએ આ અભ્યાસમાટે યથાયોગ્ય લાંબો સમયગાળો પસંદ કરાયો છે. આ અભ્યાસમાં આ સમય દરમ્યાન જ જેમનો કાર્યકાળ રહ્યો હોય તેવા જ મુખ્ય સંચાલકોને આવરી લેવાયા છે. તદુપરાંત,આ સમયકાળ ભારતના રાજકીય અને આર્થિક વિકાસમાં 'ઉદારીકરણ'નો સમય હોવાને કારણે તે સમયના સમષ્ટિક પડકારો [macro-challenges] પણ અનોખા જ રહયા.
  • મૂલ્યવૃધ્ધિના માપદંડની દ્રષ્ટિએ આ યાદીમાં આવરી લેવાયેલ ૩૭૪ મુખીયાઓ પૈકી ટોચના ૫૦ મુખ્ય સંચાલકોની કંપનીની શૅરહૉલ્ડર્સની મૂડીમાં ૧૯૯૫થી ૨૦૧૧ના સમયગાળા દરમ્યાન વાર્ષિક ૫૯% ના ચક્રવૃધ્ધિ દરે વધારો થયો, જેની સરખામણીમાં છેલ્લ ૫૦ મુખ્ય સંચાલકોની કંપનીની શૅરહૉલ્ડર્સની મૂડીમાં દર વર્ષે ૧૬%ના ચક્રવૃધ્ધિ દરે ઘટાડો થયો.
  • આ યાદીના મુખ્ય સંચાલકોની સરેરાશ આયુ ૫૩.૨ વર્ષ છે. [રાજકારણનાં ક્ષેત્રએ આ ખાસ નોંધ લેવા લાયક માપદંડ છે.!] જે મુખીયાઓએ આ સરેરાશ આયુ કરતાં ૧૦ વર્ષની ઓછી ઉંમરે ટોચની જવાબદારીની ધુરાઓ સંભાળી હતી તેઓ આ યાદીમાં લગભગ ૧૫ સ્થાન આગળ રહેલા જણાયેલ છે. તે જ રીતે જેઓ ખ્યાતનામ સંસ્થાની   ડીગ્રી ધરાવતા હતા તે પણ લગભગ ૧૫ સ્થાન આગળ રહેલા જણાય છે. આમ યુવાનીનાં તરોતાજાંપણાં અને અસરકારક શિક્ષણની સીધી જ અસર તેમની કામગીરીપર પડી હોય તેમ જણાય છે.
       અહીં આપણે નોંધીએ કે આપણે સંચાલકની સફળતામાં મૅનૅજમૅન્ટ શિક્ષણના સંભવતઃ ફાયદાની વાત કરી રહ્યા   છીએ  ત્યારે એવું માની લેવાની ભૂલ તો નહીં જ કરીએ કે મૅનૅજમૅન્ટ શિક્ષણ એ પોતે સાધ્ય નથી, તેથી કોઇ પણ, ગમે તેટલાં શક્તિશાળી, સાધનની સફળતા તેના ઉપયોગ કરનારની ક્ષમતા પર બહુધા આધાર રાખે છે તે ફરીથી યાદ કરવું સમયોચિત ગણાશે.
  •  પુરોગામીની નબળી કામગીરી પછીથી પદભાર સંભાળનાર મુખ્યાધિકારી વધારે સારી કામગીરી કરી શકતા જણાય છે. આ તારણો  આ પ્રકારના ૨૦૧૦ના એચબીઆરના લેખની સાથે સુસંગત તેમ કહેવામાં આવ્યું છે પરંતુ આમ થવા માટેનાં પરિબળો બાબતે કોઇ વધારે પ્રકાશ પાડવામાં નથી આવ્યો.
  • આ અભ્યાસ નિરીક્ષણમાટે એક અન્ય રસપ્રદ માપદંડના પ્રયોગના સંદર્ભે મહત્વની માહિતિ આપે છે. બહુરાષ્ટ્રિય કંપની કે કૌટુંબીક ઔદ્યોગીક જૂથની વંશ પરંપરા, તેનાં આગવાં લાક્ષણિક સંસ્થાગત માળખાં કે કાર્ય પધ્ધતિની સંસ્કૃતિની અસરોથી આ અભ્યાસમાં આવરી લેવાયેલા મુખ્યાઅધિકારીઓની કામગીરી મહદ અંશે પ્રભાવિત જણાતી નથી, પરંતુ જાહેર ક્ષેત્રના મુખ્યાધિકારીઓપર જાહેર ક્ષેત્રનાં કામ કાજનાં પર્યાવરણની અવળી અસર થઇ છે તેમ જરૂર જણાય છે.
         જાહેર ક્ષેત્રના પદાઅધિકારીઓ તેમના ખાનગી ક્ષેત્રના પ્રતિરૂપની સરખામણીએ ઓછા કાર્યદક્ષ હોય તેમ તો ન જ હોઇ શકે. તેથી ૧૯૯૧ પછીથી આર્થિક ક્ષેત્રમાંનું ઉદારીકરણ કેટલી હદે આંશિક રહ્યું છે તે વિચારાધીન જરૂર થઇ રહે. જાહેર ક્ષેત્રના સહુથી મોટા શૅરહૉલ્ડર તરીકે સરકાર - એટલે કે, બીજા શબ્દોમાં, રાજકારણીઓ અને  અમલદારશાહી- ની બેદરકારીભરી સ્વાર્થપ્રચુર નિયત દેશને કેટલી મોંઘી પડી રહે તે આના પરથી સમજી શકાય છે. જો કે એક સિધ્ધાંત એવો પણ છે કે ખાનગી ક્ષેત્ર એ જાહેર ક્ષેત્રની કામગીરી નબળી રહે તેમ ઘાલમેલ કરવામાં પણ [રૂશ્વતકીય]પ્રાવિણ્ય ધરાવે છે જેથી તેમને સહેલાઇથી સ્પર્ધાત્મક સરસાઇ મળી રહે. આ બધાં પાસાંઓ પૂર્ણ સમયના અભ્યાસના વિષય બની રહે છે.

આ અભ્યાસનાં પરીણામોથી એવું પણ ફલિત થતું જણાય છે કે છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતીય ઔદ્યોગિક અને વ્યાવસાયિક સમુદાય તેનાં ટોચનાં નેતૃત્વનાં સ્થાનો પર સંચલનની દક્ષતાને પોષક વાતાવરણ પેદા કરી શકેલ છે,જેમાં ઉભરતા કુટુંબના સભ્યને કે તે ઔદ્યોગિક પરિવાર સાથે ન સંકળાયેલ વ્યાવસાયિક સંચાલકને સમાન પડકારો  ઝીલવા પડ્યા છે અને સમાન તકો પણ મળી છે. 

જાહેર ક્ષેત્રમાં પણ આ જ પ્રકારનું વતાવરણ બની રહે તેમ કરવાની સમજ સત્તારૂઢ તેમ જ સમગ્ર રાજકીય સમુદાય દર્શાવે તેવી આશા રાખીએ. છેલ્લાં થોડાં વર્ષોમાં રાજકારણમાં વંશપરાગત અને તે સિવાયના પણ -શિક્ષિત-યુવા વર્ગ અને નારી શક્તિનો  પ્રવાહ આવતો જણાયો છે. હજૂ તેઓ પ્રભાવજનક સ્થાનોએ કે કક્ષાએ પહોંચી શક્યા હોય કે તેઓ પહેલાંની પૅઢીથી અલગ અભિગમ અને મૂલ્યો ધરાવતા હોય તે પણ સુનિશ્ચિતપણે તો જણાતું નથી, પણ આશા સાવ છોડી દઇએ તેવું પણ સાવ નથી જણાતું.

એકંદરે હજૂ ઘણું સારૂં થશે તે અપેક્ષાના આશાવાદના રંગોથી મિશ્રિત ચિત્ર દેખાઇ રહ્યું છે.