Showing posts with label Dilip Dholakia. Show all posts
Showing posts with label Dilip Dholakia. Show all posts

Sunday, January 29, 2017

દિલીપ ધોળકિયા - કિસ્મતે યારી ન આપેલ કાબેલ સંગીતકાર



૧૫મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ આપણે દિલીપ ધોળકિયાનો ગાયક તરીકે સુપેરે પરિચય કર્યો છે. આજે આપણે તેમની સંગીતકાર તરીકેની કારકીર્દીથી અવગત  થઈશું.
ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો અને આધા તેલ ઔર આધા પાની એ બે ગીતો દિલીપ ધોળકિયાની સંગીતકાર તરીકે સફરનાં પહેલાં બે છડીદાર હતાં.
હિંદી ફિલ્મ સંગીતની નસીબ દેવીની કેવી બલિહારી છે કે સંખ્યાની દૃષ્ટિએ દિલીપ ધોળકિયાના નામે ગણીને  ૮ હિંદી અને ૧૧ ગુજરાતી ફિલ્મોનું સંગીત દિગ્દર્શન બોલે છે. નોંધપાત્ર વાત એ છે કે આટલી મર્યાદીત તકો દરમ્યાન પણ તેમણે એ સમયનાં દરેક પાર્શ્વ ગાયકો પાસે પોતાનાં ગીતો ગવડાવીને પોતાનાં કૌશલ્યનો પૂરતો પરિચય દુનિયા સમક્ષ મૂકી આપ્યો છે.
ગાયક તરીકે કે પછી સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકીર્દી રંગ લે ત્યાં સુધી રાહ જોવાને બદલે દિલીપ્ભાઇએ એસ એન ત્રિપાઠી સાથે અને પછી ચિત્રગુપ્ત સાથે સહાયકની ભૂમિકા સ્વીકારીને હિંદી ફિલ્મ જગત સાથે તેમનો સંબંધ જાળવી રાખ્યો.
આપણે આજે તેમણે રચેલાં હિંદી ફિલ્મનાં ગીતોની વાત કરીશું.
સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને પહેલો મોકો મળ્યો ૧૯૬૦ની એક ધાર્મિક ફિલ્મ 'ભક્ત મહિમા'માટે. એમણે આ ફિલ્મ માટે ૧૬ ગીતોની રચના કરી.કમનસીબે નેટ પર આમાનું એક ગીત પણ ઉપલ્બધ નથી જણાયું.
તે પઃઈ ૧૯૬૧માં તેમને 'તીન ઉસ્તાદ' ફિલ્મમાં સંગીત દિગ્દર્શનની તક મળી. તલત મહમૂદ-સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફી-સુમન કલ્યાણ્પુરનું એક એક યુગલ ગીત અને લતા મંગેશકર અને ઉષા મંગેશકરે ગાયેલાં એક એક સૉલો ગીતોની નોંધ નેટ પર લેવાયેલી જોવા મળે છે. પરંતુ સાંભળવા માટે આ પૈકી એક પણ ગીતનું ડિજીટલ વર્ઝન મળી શક્યું નથી.
એ જ વર્ષમાં તેમનૅ 'સૌગંધ' માટે પણ સંગીત આપ્યું. આ ફિલ્મ તમિળ ફિલ્મની હિંદીમાં રીમેક હતી.ફિલ્મમાં તેમણે તલત મહમૂદ અને લતા મંગેશકરનાં બે યુગલ ગીતો, લતા મંગેશકરનાં બે સૉલો ગીતો રેકર્ડ કર્યાં મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીત  - ખનકે કંગના ખન ખન રે   - માં તેઓ ખુદને અને ગીતકાર પ્રેમધવનને પણ ગાયનમાં જોડવાનો અનોખો પ્રયોગ પણ તેમણે કર્યો.
આજા રે ચાંદ મેરે આજા રે, ચાંદ મેરે ચાંદ મેરા દિલ યે તેરા રે - સૌગંધ (૧૯૬૧) - તલત મહમૂદ, લતા મંગેશકર - ગીતકાર પ્રેમ ધવન
પછીનાં વર્ષે દિલીપભાઈને 'બગદાદકી રાતેં'નાં સંગીતનું નિદર્શન કરવાની તક મળી.ગીતા દત્ત અને લતા મંગેશકર અ બન્નેનાં ત્રણ ત્રણ સૉલો ગીતોની સાથે મોહમ્મદ રફી+શમશાદ બેગમ અને મોહમ્મદ રફી-ગીતા દત્તનું એક એક યુગલ ગીત તેમણે રજૂ કર્યું. અહીં ગાયકોની પસંદગીમાં બજેટની સંકડાશ ઉપરાંત દિલીપભાઈની આગવી દૃષ્ટિ પણ જોઈ શકાય છે. અહીં પસંદ કરેલ ગીત એકદમ હળવા મુડનું છે, એટલે રફી અને શમશાદ બેગમને પોતપોતાની હરકતો કરવા માટે પૂરતી મોકળાશ કરી આપી છે.
ઝુલ્ફોંવાલો સે ન ભૂલ કે ભી પ્યાર કિજિયે જી - બગદાદકી રાતેં - મોહમ્મદ રફી, શમશદ બેગમ અને સાથીઓ - ગીતકાર - પ્રેમ ધવન 
અને આ ગીતમાં મધ્ય-પૂર્વ એશિયામાં પ્રચલિત ધુન અનેવાદ્યસજ્જાની પૂરતી છાંટ લેવાની સાથે ગીતા દત્તની રેશમી મુલાયમતાને જરા પણ ઝાંખી નથી પડવા દીધી.
કિસી સે પ્યાર હો તો દિલ બેક઼રાર હો તો આઓ જરા લેતે જાઓ અજી દિલકી દવા - બગદાદકી રાતેં - ગીતા દત્ત - ગીતકાર પ્રેમધવન 
૧૯૬૨માં દિલીપભાઈનાં સંગીત નિદર્શનવાળી હજૂ એક ફિલ્મ - પ્રાઈવેટ સેક્રેટરી-  પણ રજૂ થઇ હતી. ફિલ્મમાં અશોક કુમાર હીરો છે, મરાઠી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી , જયશ્રી ગડકર, હીરોઈન છે,ફિલ્મની વાર્તા એક થ્રીલર છે. આમ 'સામાન્ય' સંગીતકારની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જવા માટે જે કંઇ હોવું જોઈએ એ બધું જ આ ફિલ્મમાં હતું. અને દિલીપભાઈએ આ પડકાર ઝીલ્યો પણ એટલી જ અદાથી. ફિલ્મમાં ૭ ગીતો હતાં અને દરેક ગીત દાદ આપવાને યોગ્ય હતું. લતા મંગેશકરના સ્વરમાં કુલ ચાર ગીતો હતાં. એ સમયે લતા મંગેશકરનાં જે કંઈ ગીતો બન્યાં એમાનાં મોટા ભાગનાં ગીતોની તોલે આવે એવું એક  ગીત છે - જા જા રે ચંદા જા રે તેરી ચાંદની મોરા જિયરા જલાયે જા..


આ સિવાયનાં લતા મંગેશકરનાં બીજાં ત્રણ સૉલો ગીતો યુ ટ્યુબ પર સાંભળવા મળે છે.

મન્નાડે નું સૉલો ગીત  જા રે બેઈમાન તૂઝે જાન લિયા જાન લિયા આપણે'જાણીતાં ગીતોના ઓછાં જાણીતાં કળાકારો'ના  ૬-૮-૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ અંકમાં સાંભળી ચૂક્યાં છીએ. આજે મન્ના ડે અને મોહમ્મદ રફીનું એક સાવ હળવા મૂડનાં યુગલ ગીત - પ્યાર કા મારા હું મેં જૂલી -ની મજા માણીએ - 


કોઈ પણ સંગીતકારના હાથે એક આદર્શ મધુર રચના સર્જવા માટે બધાં જ તકનીકી પરિબળો હોય પણ જો તેમાં કંઈક એવીં ખાસ તત્વ ખૂટતું હોય છે જે ગીતને તકનીકી કક્ષાની સાથે લોકચાહનાની પણ ઊંચી ક્ક્ષાએ લાવી મૂકે. 'પ્રાઈવેટ સેક્રેટરી'નાં ગીતોએ સાબિત કરી આપ્યું હતું કે દિલીપ ધોળકિયા પાસે જાદુઈ સ્પર્શ છે. તે પછી ૧૯૬૩માં આવેલ ગુજરાતી ફિલ્મ 'સત્યવાન સાવિત્રી"નાં ગીતોમાં પણ એ સ્પર્શ જોવા મળવાનું ચાલુ રહ્યું.
આવી રસીલી ચાંદની, વન વગડો રેલાવતી - સત્યવાન સાવિત્રી (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - ગીતકાર ભાસ્કર વોરા
મોહમ્મદ રફીનું સૉલો ગીત મીઠડી નજરૂં વાગી, એ ઝૂકી ઝૂકી શરમાય, મલકી હૈયું નચવી જાય, માંયલી ભરમું ભાંગી ગુજરાતી ગીતોમાં અગ્ર હરોળનું ગીત ગણી શકાય તે કક્ષાનું બન્યું છે.
હિંદી ફિલ્મોમાં સાંભળવાં મળે એ કક્ષાનાં ગીતો ગુજરાતી ફિલ્મોમાં પણ આપી શકાય એ  દિલીપભાઈએ કરી બતાવ્યું.
ખેર, આપણું ધ્યાન તો તેમનાં સંગીત નિદર્શનવાળી હિંદી ફિલ્મો પર છે એટલે આપણે પાછા મૂળ પાટે ચડીએ.
'પ્રાઈવેટ સેક્રેટરી'ની કમાલ છતાં દિલીપભાઈને તે પછીની હિંદી ફિલ્મ - વીર ઘટોત્કચ - છેક ૧૯૭૦માં આવી. ફિલ્મમાં મુકેશનું સૉલો ગીત - ઉસ પ્રથમ પ્રથમ પરિચયમેં હી મૈને ખોયા થા અપનાપન - ધ્યાનાકર્ષક જરૂર હતું, પણ પ્રાઈવેટ સેક્રેટરી'વાળો સ્પર્શ ક્યાંક ખૂટતો જણાવા લાગે છે.
૧૯૭૦માં જ દીલીપભાઈનાં સંગીત દિગ્દર્શનવાળી એક વધારે ફિલ્મ - દગાબાઝ - પણ રજૂ થઈ. ફિલ્મમાં મુકેશના સ્વરમાં હમ મનમૌજી રાહી મસ્તાને રાહોંમેં રૂકના ના જાને - બે અલગ મૂડમાં ગવાયેલું એક સૉલો ગીત હતું - 

મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં ફિલ્માવાયેલું આ મેરી બાહોંમેં ઝૂલ જા ચંદ્ર શેખર અને હેલન પર ફિલ્માવાયું છે. દિલીપભાઈની જેમ આ બન્ને કલાકારોમાં પણ હુન્નરની કમી નહોતી પણ સાથે સાથે તેમને પણ નસીબનો સાથ  નહોતો.
દિલીપભાઈની સંગીતકાર તરીકેની ભ્રમણકક્ષામાં ધાર્મિક ફિલ્મોનું બળ એટલું હશે કે ૧૯૭૨માં રજૂ થયેલ તેમની આઠમી હિંદી ફિલ્મ ફરી એકવાર એક ધાર્મિક ફિલ્મ - માતા વૈશ્નોદેવી - હતી. ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં ફિલ્માવાયેલું ગીત મન કે કોરે કાગઝ પર ખીંચ લો તસવીર રામ કી  બહુ જાણીતા ચરિત્ર કલાકાર જીવન પર ફિલ્માવાયું છે. જીવન જેમ વીલનની ભૂમિકાઓની છાપ મીટાવી ન શકયા તેમ દિલીપભાઈ ધાર્મિક ફિલ્મો માટે જ પોષાય તેવા સંગીતકારની છાપ ભુંસી ન શકયા !

નસીબની આ વક્રતા આ જ ગીતનાં આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ ગીત સાથે પણ વળગી રહી છે. ફિલ્મમાં આ ગીત જયશ્રી ગડકર પર ફિલ્માવાયું છે જેઓ પણ હિંદી ફિલ્મોમાં ધાર્મિક ફિલ્મોની ભ્રમણકક્ષામાંથી બહાર ન આવી શકયાં.
આજના આ અંકનો આપણો મુખ્ય આશય દિલીપ ધોળકિયાનાં સ્વરબધ્ધ કરેલાં હિંદીફિલ્મોનાં ગીતો સાંભળવાનો છે તેમ છતાં લેખના અંતમાં તેમનાં હરીન્દ્ર દવે રચયિત ચાર ગૈરફિલ્મી ગુજરાતી ગીતોને યાદ કરવાની લાલચ નથી રોકી શકાતી.
કોઇ આઘે આઘેથી વેણુ વાય છે, રે મને જતી રહું, જતી રહું થાય છે. - સ્વર : કૌમુદી મુન્શી - રચના : હરિન્દ્ર દવે

ના ના નહીં આવું મેળાનો મને થાક લાગે - લતા મંગેશકર

રૂપલે મઢી છે રાત એનું ઢૂંકડું ન હોજો પ્રભાત - સ્વરઃ લતા મંગેશકર

અને દિલીપ ધોળકિયાની અને ગુજરાતી સુગમ સંગીતમાં ટોચની રચનામાં જેનું સ્થાન રહેશે તેવું એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે પલકમાં ઢળી પડે આથમણે

આમ જોઈશું તો નસીબે દિલીપ ધોળકિયાને દુન્યવી દૃષ્ટિએ યારી કદાચ ન આપી હોય, પણ સંગીત સાથેની લેણાદેણીમાં તેણે ક્યાંય હાથ ટૂંકો નથી કર્યો.

Sunday, January 15, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૭



દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ
દિલીપ ધોળકિયા [જન્મઃ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ǁ અવસાન: ૨ જાન્યુઆરી, ૨૦૧૧]નું સંગીત વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ધરાવતું હતું એ વાત કહેવાની ભાગ્યેજ જરૂર પડે. તેમની સુદીર્ઘ કારકીર્દીમાં તેમણે ગાયક, સંગીતકાર અને સંગીત અને ધુનની વાદ્યસજ્જાનાં સંકલન જેવા જે પાઠ ભજવ્યા તેમાં તેમની છાપ અમીટ રહી. તેમણે આ બધાં સાથે ક્યાંક ગીત લેખન કે નાનકડી ભૂમિકા ભજવવામાં પણ હાથ અજમાવવામાં હામ ભીડવામાં પાછી પાની નથી કરી.
આજના આપણા અંકમાં આપણે તેમની ગાયક તરીકેની પ્રતિભા વિષે વાત કરીશું.
દિલીપ ધોળકિયાનો ગાયન કળા સાથેનો સંગાથ બહુ નાની ઉમરે જ થઈ ચૂક્યો હતો. બાળક દિલીપ તેમનાં જન્મશહેર જૂનાગઢમાં તેના દાદા સાથે સ્વામીનારાયણ મંદિર જતો અને ત્યાં ગવાતાં ભજન કિર્તનમાં જોડાતો. તેમના પિતા વાંસળી વગાડે અને દાદા ભજન કિર્તન ગાય. બાળક દિલીપ મોકો મળ્યે પખવાજ વગાડવાની તક પણ ઝડપી લેતો. મોટા થતાં તેમણે ખાંસાહેબ અમન અલી ખાનના શિષ્ય પાંડુરંગ આંબેરકર પાસે શાસ્ત્રીય સંગીતની પધ્ધતિસરની તાલીમ પણ લીધી.નોકરી માટે કરીને મુંબઈ આવી પહોંચ્યા પછી તેમનો સંગીતનાં વિશ્વ સાથેનો સંપર્ક બની રહ્યો.
તેમને ઑલ ઈન્ડિયા રેડીયોમાં ગાયક તરીકે મળેલી તકને કારણે તેઓ ખેમચંદ પ્રકાશના સંપર્કમાં આવ્યા, અને તેમને કે એક સાયગલ સાથે 'ભંવરા (૧૯૪૪)માં 'ઠુકરા રહી હૈ દુનિયા હમ હૈ કે સો રહેં હૈ માં સમૂહ ગાન માટે (@૨.૨૪) મોકો મળ્યો.ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલનાં સંગીત નિદર્શનમાં તેમણે 'કિસ્મતવાલા' (૧૯૪૪) 'ગોરી ચલો ના સીના તાનકે" અને "દેખો હમસે ન આંખે લડાયા કરો' જેવાં રમતિયાળ ગીતો ગાયાં. આમ દિલીપ ધોળકિયાની સંગીત કારકીર્દીમાં કિસ્મત મહેરબાન બને એવા સંજોગો થતા હોય તેમ દેખાવા લાગ્યું. ૧૯૪૬માં તેમણે સી. રામચંદ્રના નિદર્શનમાં 'લાજ'માટે 'દુખકી ઈસ નગરીમેં બાબા કોઈ ન પૂછે બાત' ગાયું. ૧૯૪૭માં 'જુગનુ' માટે ફિરોઝ નિઝામીએ તે સમયની ડામાડોલ પરિસ્થિતિમાં જાલંધરમાં ફસાઈ પડેલા મોહમ્મદ રફીની જગ્યાએ દિલીપ ધોળકિયા સાથે 'યહાં બદલા વફા કા બેવફાઇ કે સીવા ક્યા હૈ' માટે રીહર્સલ પણ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ વાણિજ્યિક સફળતાનો કળશ વિધાતાએ મોહમ્મદ રફી પર ઢોળવાનું નક્કી કર્યું હશે, એટલે રફી સમયસર પહોંચી આવ્યા અને એ ગીતે રફીનો સીતારો ચમાવવામાં અદ્‍ભૂત ફાળો નોંધાવ્યો.
એ અરસામાં દિલીપ ધોળકિયા એ સમયે એચ એમ વી સ્ટુડિયોમાં કામ કરતા સ્નેહલ ભાટકર સાથે સંપર્કમાં આવ્યા અને તેમને પોતાના નામે નોંધાયેલી પહેલી સ્વતંત્ર રેકર્ડ માટે ગાવાની અને સંગીત પણ આપવાની તક મળી.એ ગીતો ગુજરાતી સાહિત્યના સિધ્ધહસ્ત કવિ વેણીભાઈ પુરોહિતે લખેલ હતાં. 

                 _____________


                  _________________
૧૯૪૮માં ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં નવા ઉભરી રહેલા સંગીતકાર અવિનાશ વ્યાસે તેમને અમીરબાઈ કર્ણાટકી સાથે 'સતી સોન'માં બે યુગલ ગીતો ગાવા માટે પસંદ કર્યા. આ બે યુગલ ગીતો પૈકીનું શ્રાવણની વાદલડી તૂ જા.. તૂ જા...જા સંદેશો લઈ યુ ટ્યુબ પર સાંભળવા મળે છે.
દિલીપ ધોળકિયાને પહેલી વાણિજ્યિક સફળતા મળી ૧૯૫૦માં. 'દિવાદાંડી'માં અજિત મર્ચંટે તેમના 'તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી' સ્વરમાં રેકર્ડ કર્યું. આપણને સૌને તો સુવિદિત જ છે કે આ ગીત ગુજરાતી સુગમ સંગીતના રંગપટ પર એક અમીટ સીમાચિહ્ન બની રહ્યું. દિલીપભાઇએ પછીથી તેમના મિત્રો સાથે આ ગીતની બે એક પંક્તિઓ આ રીતે ગાઈબતાવી હતી
આ ધુનને બીજા સંગીતકારોએ અજમાવી જોઈ છે, પણ એ ગીતો મૂળ ગીત જેટલાં પ્રસિદ્ધિ અને લોકચાહના ન મેળવી શક્યાં, જેમ કે - ચંદા લોરીયાં સુનાયે હવા ઝૂલના જુલાયે મેરે લાલ કો (નયા સંસાર,૧૯૫૯, ગાયકઃ લતા મંગેશકર,સંગીતકાર ચિત્રગુપ્ત)
આ જ ફિલ્મમાં દિલીપ ધોળકિયાએ રોહિણી રોય સાથે ગાયેલું, બાલમુકુંદ દવે રચિત, યુગલ ગીત સાંભળીએ અને દિલીપભાઇના સ્વરની એક વધારે ખૂબીને માણીએ -
વગડા વચ્ચે તલાવડીને તલાવડીને કોર,

ઉગ્યો વનચંપાનો છોડ

જલ પાનેતર લહેરિયાને કમલીની મલકાય

કે ભમરો ભૂલી ભૂલી ભરમાય.
આટલા સમયમાં કદાચ દિલીપભાઇના મનમાં કંઇક હિસાબ બેસી ગયો હશે કે હિંદી ફિલ્મ જગતની ગાયકોની સ્પર્ધામાં પોતાનું સ્થાન જમાવવામાં મહેનત કરવા કરતાં સંગીતકાર થવા તરફ ધ્યાન આપવા જેવું છે.૧૯૫૨માં પહેલાં એસ એન ત્રિપાઠીના અને પછી જ્યારે ચિત્રગુપ્તે સ્વતંત્રપણે વધારે કામ કરવા માંડ્યું ત્યારે તેમના મદદનીશ તરીકે સંગીતકાર થવા માટેની તકની રાહ જોવા લાગ્યા.
તેમની સંગીતકાર તરીકેની સફર એ એક અલગ લેખનો વિષય છે, જે આપણે ૨૮-૧-૨૦૧૭ના રોજના અંકમાં અલગથી જોઈશું. આજના આ લેખમાં તેમની ગાયક તરીકેની સફરને આગળ ધપાવીશું.
એસ એન ત્રિપાઠી અને ચિત્રગુપ્ત સાથે સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવતાં ભજવતાં જ્યારે જ્યારે દિલીપભાઇને ખુદ ગીત ગાવાની તક મળી ત્યારે તે તક તેમણે ઝડપી લીધી.
દુર ગગન પે ચમકે સીતારે...પાસ હમારે ચમકે ચાંદ હમારે - રામ હનુમાન યુધ્ધ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર એસ એન ત્રિપાઠી - ગીતકાર રમેશ ચંદ્ર પાંડે
એસ એન ત્રિપાઠીની સીગ્નેચર ધુન કહી શકાય એવું ગીત. આ પ્રકારની રચનાઓ માટે એસ એન ત્રિપાઠી પાસે કામ કરવાની અસર ચિત્રગુપ્ત પર અને ક્યાંક ક્યાંક દિલીપભાઇનાં સર્જનો પર પણ અસર જોવા મળે છે. પ્રસ્તુત ગીતમાં ગીતા દત્તની આગવી સ્વરછટાની સાથે સુર મેળવવા માટે દિલીપભાઇએ ખાસ નીચા સુરમાં ગાવાનો સફળ પ્રયોગ કર્યો છે.
આજ અગર મેરી લાજ ગઈ, સમઝ લે તેરી લાજ ગયી - રામ હનુમાન યુધ્ધ - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: રમેશ ચંદ્ર પાંડેય
ફરજ પરસ્ત રાણી મહેલાં રાજાની રાહ જોતામ જોતાં પોતાની લાજની ફિકર ભગવાન પર આજીજીભરી ધમકીના સૂરમાં રજૂ કરે છે તો બીજી બાજૂ રાજા નાવની સહેલગાહમાં ઓજમસ્તીમં મસ્ત છે. એ મસ્તીના ભાવ દિલીપ ધોળકિયાના સ્વરમાંથીફલિત થાય છે.
રુન ઝુન બાજે પૈંજનિયાં - સાક્ષી ગોપાલ (૧૯૫૭)- સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: ભરત વ્યાસ
ગીતની રચના કાઠિયાવાડના ચારણોના પરંપરાગત દુહા શૈલીમાં, ધીમા તાલમાં, થયેલી જોવા મળે છે. દિલીપભાઈની કળાના સંસ્કારોમાં તેમની જન્મભૂમિના રંગ ન ભળ્યા હોય તો જ નવાઈની વાત કહેવાય.
ખનકે કંગના ખન ખન કે, છનકે ઘુંઘરૂ છન છન કે - સૌગંધ (૧૯૬૧) - લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતમાં દિલીપ ધોળકિયા અને પ્રેમ ધવનનો સાથ
ફિલ્મોમાં દિલીપભાઇએ પોતાનાં સંગીતમાં ગીત ગાવાનું જવલ્લે જ પસંદ કર્યું છે. પ્રસ્તુત ગીત મુખ્યત્તવે તો લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું એકદમ જોશભર્યું નૃત્ય યુગલગીત છે, જેમાં એક સાવ અભિનવ પ્રયોગ સ્વરૂપે સંગીતકાર (દિલીપ ધોળકિયા) જ નહીં પણ ગીતકાર (પ્રેમ ધવન) પણ @૨.૨૨થી ૨.૪૦ના એક નાનકડા ટુકડામાંમાં સંગાથ કરે છે.
અર્ધી રાતલડીએ રે મને જગાડી - મેના ગુર્જરી (૧૯૭૫) - ઉષા મંગેશકર સાથે
સામાન્યપણે પોતાનાં સંગીત નીદર્શનમાં ગીત ગાવાનું ઓછું પસંદ કરતા દિલીપ ધોળકિયાએ પોતે ગાવાનું તો નક્કી કર્યું જ છે, પણ સાથે ઉષા મંગેશકરનો સ્વર લઇને નિર્માતાનાં બજેટનું સંતુલન પણ કર્યું હોય તેમ લાગે છે.જોકે આપણે તો સંબંધ છે તેમની ગાયન શૈલીની વિવિધતા માણવા સાથે, જે બહુ સુપેરે બર આવે છે.
એમ્બેડ કરવાનું વર્જિત કરેલ હોવાથી ગીત સાંભળવા માટે આ લિંક ક્લિક  કરશો. : https://youtu.be/VcYxyjQ6kgM
૧૯૪૮માં દિલીપભાઇએ ગાયેલાં ગૈર ફિલ્મી ગીતો સાંભળ્યા પછી તેમની કારકીર્દીના (લગભગ) અંત ભાગમાં તેમણે ફરી એક વાર તેમના ખુદનાં સંગીતબધા કરેલ ગીતો તેમણે પોતાના સ્વરમાં Various Gujarati Non Film Songs આલ્બમમાં રેકર્ડ કર્યાં. તેમાંનાં એક ગીતનું આચમન કરીએ -
તેં પૂછ્યો પ્રેમનો મર્મ ને હું દૈ બેઠો આલીંગન
દિલીપભાઈની સ્વામીનારાયણ મંદિરની બાળપણની મુલાકાતોની યાદ તાજી કરાવે એવું એક ભજન
લાગી રે મોહે નૈન નજરીયા ...
મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાથે આપણો દરેક અંક સમાપ્ત કરવાની આપણી પરંપરા ચાલુ રાખતાં આપણે દિલીપ ધોળકિયાએ સ્વર બધ્ધ કરેલ મોહમ્મદ રફીનાં સ્વરનાં બે ગીતો સાંભળીશું.
પહેલું છે ભાસ્કર વોરાનું લખેલું, સત્યવાન સાવિત્રી(૧૯૬૩)નું  ગીત, જે મોહમ્મદ રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન મેળવવાનું હકદાર બની શકે એ કક્ષાનું રચાયું છે –
મીઠડી નજરૂં વાગી, એ ઝૂકી ઝૂકી શરમાય

મલકી હૈયું નચવી જાય માંયલી ભરમું ભાંગી
બીજું ગીત બરકત વિરાણી 'બેફામ'ની ગૈર ફિલ્મી રચના છે 
મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે,

વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે.


દિલીપ ધોળકિયાનાં સંગીત નિદેર્શક તરીકેનાં પાસાંનો પરિચય ૨૮-૧-૨૦૧૭ના લેખમાં કરીશું.


નોંધઃ તેમના ખજાનામાંથી 'ભીત ફાડીને પીપળો' અને 'આધા તેલ ઔર આધા પાની' આપણા માટે ખોળી આપવા માટે ભાઈશ્રી બીરેન કોઠારીનાં સૌજન્યની હાર્દિક સાભારસહ નોંધ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……