Showing posts with label Dilip Kumar. Show all posts
Showing posts with label Dilip Kumar. Show all posts

Monday, March 23, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૪ /૪ ǁ સંસ્મરણો

તારીખ ૯ ફેબ્રુઆરી, અને ૨૩ ફેબ્રુઆરી અને ૯ માર્ચ ૨૦૧૫ના પહેલા ત્રણ મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો','દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' અને 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન' વિષે વાત કરી હતી. આજના આ ચોથા અને અંતિમ મણકામાં પોતાનાં કથાનકમાં પોતા વીશે જે વાતો કરવાનું તેમણે ટાળ્યું છે તેમાંની કેટલીક બાબતોને તેમનાં સહકલાકારો, મિત્રો અને કુટુંબીજનોની નજરે જાણીશું.



દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સંસ્મરણો
clip_image002

પોતાની વાત કરતી વખતે દિલીપ કુમારે પોતાની સિદ્ધિઓ કે તેમનાં સામાજિક કામોની વિગતો બાબતે ખપ પૂરતી જ વાત કરી છે. એટલે તેમનાં સહકલાકારો, નિર્દેશકો, મિત્રો અને સગાં સંબંધીઓના આ વિભાગમાં તેમનાં અંગત અને વ્યાવસાયિક જીવનનાં પાસાંઓની કેટલીક પૂરક માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો છે.

આપણે અહીં તેમાંથી કેટલાંક સંસ્મરણોના અંશ પર નજર કરીશું. રૈહાન અહમદ - સાયરા બાનુના ભાઇ સુલતાનનો દીકરો
યૂસુફ ચાચા સાથે મુસાફરીએ નીકળવું એટલે મોજમસ્તી તો નક્કી...તેમાં પણ રોડ પરની સફરમાં તો રસ્તે મળતી બધા જ પ્રકારની ખાવાપીવાની વસ્તુ તે ચખાવીને જ રહે.. કોઇ પણ વયના જૂથમાં તેઓ બહુ જ સહેલાઇથી ભળી જઈ શકે. તેમની સાથે પતંગ ઉડાડવાની મજા તો જે નસીબદાર હોય તેને જ મળે..બહુ ઓછાંને ખબર હશે કે યૂસુફ ચાચા બહુ અચ્છા જાદુગર પણ છે અને ભાતભાતની ચાલાકીઓનો તેમની પાસે ખજાનો છે...
શબાના આઝમી
તેમની સહુથી પહેલી તસવીર જે નજર સામે આવે... તે મોભાદાર વ્યક્તિત્વની છે...તેમણે પોતાની અદાકારીમાં સ્થૂળતાનો સહારો ક્યારે પણ લીધો નથી...દિલીપ કુમારે આપણને બતાવ્યું કે સંવાદની નીચે છુપાયેલા ભાવને કેમ વ્યક્ત કરવો, લાગણીની સાથે સીન કેમ ભજવવો, ઓછું બોલીને વધારે કેમ કહી જવું અને બનાવટી સ્વયંસ્ફુરણાને કેમ વાસ્તવિકપણે રજૂ કરવી....
વી. બાલાસાહેબ - ખ્યાતનામ ફિલ્મ સિનેમેટોગ્રાફર, ‘ગંગા જમનાના ફિલ્મકાર
દિલીપ સાહેબ જે રીતે વિચારતા હતા તે રીતે ફિલ્મનાં દૃશ્યો કેમેરામાં ઝડપી લેવાં એ બહુ મોટી સિદ્ધિ થશે તે મને સમજાતું હતું...ટ્રેનની ઝડપ અને દોડતા ઘોડાઓની ઝડપની તેમણે બરાબર ગણતરી કરી હતી... સાહેબે પછી મને સમજાવ્યું કે ટ્રેનના ડબ્બાના દરવાજા નીચે કૅમેરા કેવી રીતે બાંધવો જેથી ટ્રેનને સમાંતરે દોડતા ઘોડાની ખરીઓથી ઉડતી ધૂળનાં દૃશ્યને કેમ ઝીલી લેવાય... દરવાજાના નીચેના ભાગ સાથે મને તેમણે એવી રીતે બાંધી દીધો કે હું કૅમેરા બરાબર ચલાવી શકું અને જે રીતે નક્કી કર્યું હતું તે મુજબ શૉટ લઈ શકું...ગંગાનાં મૃત્યુનું જે દૃશ્ય કૅમેરામાં કંડાર્યું છે તે તો કદી ભૂલાય તેમ નથી... 
 તેઓ દોડીને સ્ટુડિયોનાં થોડાં ચકકર મારવાના હતા.. જેથી સરખી હાંફ ચડી આવે.. પછી એ જેવા સેટ પર આવીને પડે એવો જ મારે એ શૉટ ઝડપી લેવાનો હતો...પહેલી વાર તો તેમની આ કરામત જોવામાં ને જોવામાં હું એ ઘડી ચૂકી ગયો..બીતાં બીતાં મેં તેમને કહ્યું. તેઓ થોડા ગુસ્સે પણ થયા, પણ પછી બીજી વાર આ આખી કવાયત ફરીથી કરી.. અને પહેલાંથી પણ વધારે ઉત્કટતાથી એ દૃશ્ય ભજવાયું અને કૅમેરામાં ઝીલી લેવાયું.
અમિતાભ બચ્ચન
..મારૂં માનવું છે કે શ્રી દિલીપ કુમારનું જે સ્થાન છે, તે સાચું, યોગ્ય અને શ્રેષ્ઠ હતું અને છે... ભારતની સિનેમાનો ઇતિહાસ.. દિલીપ સાહેબ પહેલાંનો અને દિલીપ સાહેબ પછીનો એમ બે ભાગમાં જ વહેંચી શકાશે.
જયા બચ્ચન
તેમના પહેલાંના કોઇ કલાકારે ન કરી શકેલ હોય તેટલી નિપુણતાથી દિલીપ સાહેબે મૌનની વાકપટુતાના પ્રયોગ કર્યા છે.
ચંદ્રશેખર
..(દિલીપ કુમાર) જરૂરતમંદ કલાકારો અને કારીગરો માટે નાણાં એકઠાં કરવા માટે પણ એટલા જ તત્પર રહ્યા છે; પહેલો ચેક તેમનો જ હોય...ફિલ્મ ઇન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટ અને મોટી ઉંમરના અને નિવૃત્ત કલાકારો માટેની વય-નિવૃત્તિ યોજના તેમની પહેલને આભારી છે.
યશ ચોપડા
ઘણા લોકો માને છે તેમ દિલીપ કુમાર મૅથડ એક્ટર નથી. તે સ્વયંસ્ફુરણાપ્રેરિત અભિનેતા છે જે અભિનય કરતી વખતે તેમની અંદરની લાગણીના ભંડારમાંથી ભાવ ખેંચી લાવે છે…નાટકીય દૃશ્યોમાં તો તેઓ અદ્‍ભૂત જ છે…પોતાના કામ અંગે તેઓ બહુ જ સંન્નિષ્ઠ છે; કૅમેરાની સામે તેમની લાગણીઓ એકદમ સ્વાભાવિક હોય છે. એટલે આખરી ‘ટેઇક’માં તેઓ હંમેશાં પોતાને જે શ્રેષ્ઠ લાગે તે જ આપતા હોય છે.
સુભાષ ઘઈ
મારી પાસે તેમને લાયક વિષય હતો..મને સાંભળી લીધા બાદ તેઓ કંઇ બોલ્યા નહીં.. આમ ચાર દિવસ સુધી ચાલ્યું..પછી તેઓ ધીરેથી મુસ્કરાયા અને કહ્યું કે વાર્તામાં દમ છે અને તેઓ તેમાં કામ કરવા વિચારશે..લોકોએ હવે આ સાચું હતું કે કેમ તે વિષે મને સવાલો કરવા માંડ્યા હતા..લોકોના ચહેરા પર તો દેખાતું કે, 'તારી કારકિર્દીનો આ હવે અંત છે'.. તને બહાર ક્યાંક ખૂણામાં બેસાડી અને ફિલ્મનું નિર્દેશન એ પોતાના હાથમાં લઇ લેશે..ફિલ્મ પૂરી થશે ત્યાં સુધી ઘરડોખખ્ખ થઇ ગયો હોઇશ, કેમ કે આમને તો ફિલ્મ પૂરી કરતાં વર્ષો લાગે છે’...વિધાતા (૧૯૮૨) બની હતી ત્યારે તેમણે દૃશ્યોને મારી નજરે જ જોયાં અને એટલી હદે સહકાર આપ્યો કે ફિલ્મ એક મહિનો વહેલી પૂરી કરી શકાઈ...મને ગર્વ છે કે તેમને કેન્દ્રમાં રાખીને મેં વિધાતા, કર્મા અને સૌદાગર બનાવી.
ડૉ. શ્રીકાંત ગોખલે - ચાર દાયકાથી તેમના અંગત ફિઝીશ્યન તેમ જ મિત્ર
મેં હમેશાં તેમનામાં તેમના ચાહકો માટે માન જ જોયું છે...જ્યારે ટ્રાફિક સિગ્નલ પાસે ગાડીના કાચ પાસે મોં દબાવીને ગરીબ છોકરાંઓને ભીખ માગતાં જુએ, ત્યારે તેઓ બહુ ઉદાર હાથે તેમને મદદ કરે..પણ આ બાળકોને એ ખબર નથી હોતી કે તેમની આ નિરાધાર દશાને કારણે તેઓ કેટલા ચિંતિત અને વ્યથિત થઇ આવે છે...
કમલ હાસન
પશ્ચિમના અભિનેતાઓ અને તેમની અભિનયકળાની બારીકીઓને હું દિલીપ કુમારની ફિલ્મો જોયા બાદ વધુ સારી રીતે સમજી શક્યો.માત્ર એક નજર કે મૌનના માધ્યમ દ્વારા કેટલું બધું, કેટલા પ્રભાવથી, કહી જઇ શકાય તે મને બહુ જ સ્પષ્ટપણે જણાઇ આવ્યું.
clip_image006

મુગલ-એ-આઝમના પ્યાર કિયા તો ડરના ક્યા ગીતમાં શાહજાદા સલીમ તરીકે રાજ્ય દરબારમાં કંઇ પણ કહ્યા કે કર્યા વગર તેઓએ દર્શકોનાં મનમાં લાગણીનાં કેટલાં સ્તર ખોતરી કાઢ્યાં હતાં તે યાદ કરીને હું હંમેશાં અભિભૂત થતો રહ્યો છું.
અનિલ કપૂર
મારા પિતા, સુરિંદર કપૂર, મને કહેતા કે દિલીપ કુમાર ફાલતુ ગપસપમાં ક્યારે પણ સમય વેડફતા નથી...તેઓ તેમનો સમય લેખકો અને બૌદ્ધિક સ્તરે આગળ પડતા લોકો સાથે વાત કરવાનું અને અર્થપૂર્ણ વિચારોના આદાનપ્રદાનમાં જ પસાર કરવાનું પસંદ કરે છે... એમની એ વાતો કરવાની અને જી-હજૂરિયાઓની સોબત ટાળવાની તેમની પસંદને કારણે જ કદાચ તેમના ફિલ્મ ઉદ્યોગને બદલે બહારના મિત્રો વધારે છે...
ઋષિ કપૂર
યૂસુફ ચાચા અને પાપા (રાજ કપૂર)એક શાશ્વત ભ્રાતૃ સંબંધે બંધાયેલા હતા, જેને બીજું કોઇ ન તો માની શક્યું કે ન તો તેનો તાગ પામી શક્યું. કલાકાર તરીકે બંને એકબીજાના હરીફ જરૂર હતા, પણ તેમનો આપસી પ્રેમ સગા ભાઇઓ જેટલો ગાઢ હતો... પ્રેમ રોગ (૧૯૮૨)નાં શૂટિંગ વખતે મારે નાઉમ્મિદ પ્રેમીના ભાવ ચહેરા પર લાવવાના હતા. મારા બધા જ પ્રયત્નો છતાં નિર્દેશક રાજ કપૂરને જે જોઇતું હતું તે ધરાર નહોતું કરી શકાતું...અકળાઈને ગુસ્સે થયેલા પાપાએ બૂમ પાડીને કહ્યું,'મારે યૂસુફ જોઇએ છે'...જ્યારે યૂસુફ ચાચા પાકિસ્તાન સરકારે એનાયત કરેલ નિશાન-એ-આઝમના ખિતાબ સ્વીકારવાને કારણે બાળાસાહેબ ઠાકરેના આક્રોશનો સામનો કરી રહ્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં યૂસુફ ચાચાએ કહ્યું હતું કે આજ જેટલી રાજની કમી મેં ક્યારે પણ મહેસૂસ નથી કરી. મારા, કે કોઇ પણ અન્ય કલાકારની, વિરુદ્ધના આવા આંદોલનનો જવાબ આપ્યા વિના બેસી રહેવાવાળાઓમાંનો એ નહોતો..
મનોજ કુમાર
સાથી કલાકારો માટે કોઇ જ જાતના દ્વેષભાવ ન રાખવો અને તેમની સિદ્ધિઓને માન આપવું એ દિલીપ સાહેબની બહુ જ મોટી ખૂબી રહી છે. ક્રાંતિ (૧૯૮૧)નાં શૂટિંગ દરમ્યાન એક ઇન્ટરવ્યુ દરમ્યાન તે ફિલ્મ જગતની આવનારી પેઢીઓને પ્રેરણાની મિસાલ રાજ કપૂર કેમ બની શકે તેમ છે એ સમજાવતા હતા.
લતા મંગેશકર
..યૂસુફ ભાઇએ જ્યારે જાણ્યું કે હું મહારાષ્ટ્રીયન છું એવી મારી સભાનતા મને મારાં હિંદી અને ઉર્દુ ઉચ્ચારોમાં શુદ્ધતા લાવવા માટે જોશ પૂરું પાડે છે, ત્યારે બહુ જ સહજતાથી તેમણે જણાવ્યું હતું કે જે ગાયકોને ઉર્દુ આવડતું ન હોય તે ઉર્દુ શબ્દોના સાચા ઉચ્ચારોમાં હંમેશાં ભૂલ કરવાનાં જ. આને કારણે જે લોકો ગીતમાં ગીતનાં માધુર્યની સાથે તેના શબ્દોની પણ મજા માણવા માગતાં હોય તેમની મજા કીરકીરી થઇ રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે...આમ પહેલી જ મુલાકાતમાં યૂસુફ ભાઇએ, અજાણતાં જ, કોઇ જ ખચકાટ વિના મને આ શીખની મહામૂલી ભેટ આપી દીધી હતી...મુસાફિર (૧૯૪૭)માં સલીલ ચૌધરીએ યૂસુફ ભાઇ સાથે 'લાગી નહીં છૂટે..' એ ગીત ગાવાની તક આપી.

કોઇ જ જાતની કચાશ વિના એ ગીત ગાવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.
રામ મુખર્જી - 'લીડર'ના નિર્દેશક
પોતાના ચાહકો માટે જેટલો પ્રેમ દિલીપ સાહેબને છે તેની તોલે ન તો તેમના સમયના કે ન તો તેમના પછીના સમયના કોઇ કલાકાર આવી શકશે. તેઓ કહે છે :'જ્યારે કોઇ અજાણ્યો હાથ મારો હાથ પકડે છે તેમાં જે સાચી લાગણી મને અનુભવાય છે; તેમાં મારી મહેનતનો સાચો પુરસ્કાર મળ્યાની જે ભાવના અનુભવાય છે તે બીજા કોઇ પુરસ્કારમાં નથી અનુભવાતી..
વીરા રાવ-અગ્રણી સામાજિક કાર્યકર
જ્યારે દિલીપ સાહેબે NABનું અધ્યક્ષ પદ સંભાળ્યું ત્યારે નાણાં ભંડોળ એકઠું કરવું એ અમારી સામે સૌથી મોટો પડકાર હતો....એ બાબતે કોઇ પણ સારા સુઝાવને સ્વીકારી લેવામાં તેમને જરા પણ વાર ન લાગતી... NAB ટ્રેન જેમાં લોકો દિલીપ કુમારની સાથે મુંબઇથી પુના સુધીની સફર કરે એ પરિયોજનાને લાગલગાટ દસ વર્ષ સુધી ચલાવી...એક વાર બ્રેબોર્ન સ્ટેડીયમમાં છોકરાંઓ માટેના એક બહુ મોટા કાર્યક્રમમાં…બધાં જ લોકો ગોગલ્સ પહેરીને આવ્યાં હતાં, એક માત્ર દિલીપ સાહેબ એમ ને એમ આવ્યા હતા.. (સૂર્ય) પ્રકાશથી બચવા તેઓ ગોગલ્સ કેમ નથી પહેરતા એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, 'લોકો સાથે વાત કરતી વખતે મને નજર ચોરાવવાનું પસંદ નથી.'
વહીદા રહેમાન
મારા માટે રહસ્ય જ રહ્યું છે કે કૅમેરા પાછળ આટલી મહેનત કરવા છતાં દિલીપ સાહેબે ફિલ્મના નિર્દેશકની ક્રેડિટ્સમાં પોતાનું નામ કેમ નથી આવવા દીધું...બે બાબતે અફસોસ રહેશે.. દિલીપ સાહેબ સત્યજીત રોયની ફિલ્મમાં અને 'પ્યાસા' (૧૯૫૭)માં કામ ન કરી શક્યા ....
હરીશ સાળવે
God gave His children memory / ઇશ્વરે તેનાં બાળકોને યાદશક્તિ આપી છે
That in life’s garden there might be / જેથી જીવનના બાગમાં
June roses in December…… / ડીસેમ્બરમાં પણ જુનનાં ગુલાબ રહે...
શર્મિલા ટાગોર
પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'ના સાત દાયકા અને તેમની છેલ્લી ફિલ્મનાં ૧૬ વર્ષ પછી પણ દિલીપ કુમાર ફિલ્મના પરદા પરના અભિનયનો આખરી શબ્દ બની રહ્યા છે, જેમની હાજરી અહોભાવ અને માન પેદા કરતી રહે છે.... મોતીલાલ અને અશોક કુમાર જેવા અભિનેતાઓએ ૧૯૪૦ના દાયકામાં અભિનયમાંથી નાટકીયતા દૂર કરવાની શરૂઆત તો કરી જ દીધી હતી, પણ દિલીપ કુમારે તેને સ્વીકૃત ધોરણ તરીકે પ્રસ્થાપિત કર્યું...તેમણે બતાવી આપ્યું કે અવાજ ઊંચો કર્યા સિવાય પણ લોકોને ધ્યાનથી સાંભળતાં કરી શકાય છે...કૅમેરા સામે પીઠ રાખીને માત્ર પોતાના સંવાદ દ્વારા જ ભાવ વ્યક્ત કરવા જેવા નવા પ્રયોગો પણ તેમણે જ કર્યા...અત્યાર સુધી જે સભાન અભિનય જ ગણાતો તેને તેમણે એક બહુસ્તરીય ધાર બક્ષી. ઘણા કલાકારોએ તેમની નકલ કરવાના પ્રયાસ કર્યા છે, અને એમાં મને કશું ખોટું પણ નથી દેખાતું કારણ કે અદાકારીની પાઠશાળામાં તેમની પાસેથી હજી ઘણું શીખવાનું બાકી રહે છે...
વૈજયંતિમાલા
દેવદાસમાં દિલીપ સાહેબ સાથે પહેલવહેલું જે દૃશ્ય ભજવવાનું થયું હતું તેની વાત કરીશ...મારે એક બહુ જ સાદો સંવાદ જ બોલવાનો હતો. નશામાં ધૂત દેવદાસ લડખડાતો મારી સામે આવે ત્યારે ' અબ પીના બંધ કરો, દેવદાસ' એ વાકય તેને કહેવાનું હતું. કૅમેરા દેવદાસની સામે હોય અને ફરતો ફરતો મારી સામે આવે ત્યારે વ્યથિત લાચારી મારા ચહેરા પર દેખાવી જરૂરી હતી.. શૉટની તૈયારી થઇ ચૂકી હતી, પણ દિલીપ કુમાર જ ગાયબ હતા...એક મદદનીશે મને કાનમાં કહ્યું કે તે સ્ટુડિઓની આસપાસ ઝડપથી દોડી રહ્યા છે જેથી ખુબ થાકેલા અને કંતાયેલા ચહેરે સેટ પર દાખલ થાય… તે જ સમયે કૅમેરા શરૂ કરી દેવાની તેમની સૂચના હતી...કૅમેરા શરૂ થતાં જ મારી સામે આવેલા દિલીપ સાહેબના ચહેરા પર જે વાસ્તવિકતા મને જોવા મળી તેનાથી ચકિત થયેલી દશામાં હું માંડ માંડ મારો સંવાદ બોલી શકી... બિમલદાને મારા ચહેરા પર જે લાચારી જોવી હતી, તે સાવ સ્વાભાવિકપણે જ હું વ્યક્ત કરી શકી...

Monday, March 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૩ /૪ ǁ સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન

-પરિચયકર્તા - અશોક વૈષ્ણવ

તારીખ ૯ ફેબ્રુઆરી અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા બે મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' અને  'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' વિષે વાત કરી હતી. આજના આ ત્રીજા મણકામાં તેમનાં પત્ની સાયરા બાનુ સાથેના જીવનની મધુરી પળોના આપણે પણ ભાગીદાર થઇએ.



દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન
imageimage
મારી જિંદગીની સ્ત્રી / The Woman In My Life, લગ્નનો દિવસ / The Big Day, ઉજવણીઓ / Celebrations Galore, સાયરાની સાર સંભાળ / Taking Care Of Saira અને પતિ-પત્નીની ટીમ / The Husband And Wife Team શીર્ષક હેઠળનાં પાંચ પ્રકરણમાં દિલીપ કુમાર અનુક્રમે લગ્ન માટેનો પ્રસ્તાવ, લગ્ન સમયનું ખુશહાલ વાતાવરણ , લગ્નવિધિઓ , દાંપત્યજીવન અને સાયરા બાનુ સાથે કરેલી ચાર ફિલ્મોની વાત બહુ જ લાગણીથી, વિગતે કરે છે.
દિલીપ કુમારનાં મોટાં બહેનનું સાયરા બાનુનાં મા, નસીમ બાનુ, માટે આમંત્રણ સદાય ખુલ્લું જ રહેતું. એવી એક સાંજની મુલાકાત વખતે તેની શાળાની રજાઓમાંથી બ્રિટનથી આવેલી સાયરા પણ નસીમ બાનુ સાથે ખાન કુટુંબના ઘરે આવેલ. આન જોયા પછી સાયરાના મનમાં દિલીપ કુમાર માટે પ્રેમની આંધી ચડી હતી. કદાચ એટલે જ તેણે શુદ્ધ ઉર્દુ અને પર્શિયન શીખવા માટે ખાસ તાલીમ પણ લીધી હતી. જો કે શરૂઆતના આ તબક્કામાં દિલીપ કુમારે આ લગાવને બહુ મહત્ત્વ નહોતું આપ્યું.
થોડાં લંબાણે પડ્યા પછી ૧૯૬૬માં રજૂ થયેલ દિલ દિયા દર્દ લિયામાં સાયરા બાનુને નાયિકા તરીકે લેવાના પ્રસ્તાવને દિલીપ કુમારે એટલે રોળીટોળી નાખ્યો હતો કે એ તો પોતાથી 'સાવ અડધી ઉમર'ની જ છે.જંગલી (૧૯૬૧)દ્વારા ફિલ્મોને પરદે સફળ પદાર્પણ કર્યા બાદ સાયરા બાનુની આગળ વધી રહેલી કારકિર્દી ફાલવા લાગી અને એ રાજ કપૂર, દેવ આનંદ, સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, જોય મુખર્જી, મનોજ કુમાર જેવા તે સમયના બધા જ પ્રમુખ પુરુષ કલાકારો સાથે કામ કરી ચૂક્યાં હતાં. દિલીપ કુમારની સામે ભૂમિકા કરવા માટે ઘણા પ્રસ્તાવો પણ આવતા રહેતા હતા. એવો એક પ્રસ્તાવ હતો, કાશ્મીરની લોકકથા પર આધારિત પ્રણયકથા પર અધારિત ફિલ્મ હબ્બા ખાતુન માટે. જો કે દિલીપ કુમારે તે ફિલ્મમાંથી ખસી જવાનું નક્કી કર્યું કારણ કે હબ્બા ખાતુનના ખાવિંદ, યૂસુફ ચકના કંઈક અંશે નકારાત્મક પાત્રમાં તે પોતાને બંધબેસતા જોઇ શકતા નહોતા. તેમના વિચારમાં પોતાની આ જોડી માટે એક ચોક્કસ વિષય જરૂર રમતો હતો, પણ સમય ખેંચાતો જવાને કારણે સાયરા બાનુ દિલીપ કુમારથી ચીડાયેલાં હતાં. 'નમ્ર, સભ્ય અને ખાનદાન રીતભાતથી પેશ આવતી સુંદર યુવતી ગુસ્સાથી તંગ થતી જતી વાઘણ બનતી જતી હતી..'
રામ ઔર શ્યામમાં પણ જોડિયા ભાઇઓમાંના ભીરુ ભાઇની સામેની નાયિકા માટે પણ તેમનું નામ સુચવાયું હતું. જો કે ફિલ્મના નિર્માતાને દિલીપ કુમારે અભિપ્રાય આપ્યો હતો કે એ પા ત્રમાટે તો કામણગારી આભાવાળી બિંદાસ લાગતી, શરીરે થોડી ભરેલી, યુવતી શોભે તેમ છે, જ્યારે સાયરા એ માટે થોડી દુબળી અને સરળ, સીધી સાદી દેખાય છે. આમ એ ભૂમિકા માટે આખરે મુમતાઝની પસંદગી કરાઈ.
imageરામ ઔર શ્યામના ઝપાટાબંધ થઇ રહેલા શૂટિંગ દરમ્યાન દિલીપ કુમારને નસીમ બાનુ તરફથી સાયરા બાનુના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું. નસીમ બાનુના ઘરના વિશાળ બાગમાં દાખલ થતાં જ દિલીપ કુમારની નજર 'શ્વાસ અધ્ધર કરી નાખે' એવી સુંદરતાની સ્વામિની સાયરા બાનુ પર અટકી ગઈ. કાલ સુધી પોતાથી સાવ નાની લાગવાને કારણે જેને પોતાની સામે નાયિકા તરીકે સ્વીકારવામાં અચકાટ થતો હતો તે યુવતી ઓચિંતી પૂર્ણ સ્ત્રીત્વને આંબી ગઇ હતી અને નરી આંખોની સામે ઘણી વધારે સુંદર દેખાતી હતી. આશ્ચર્યમાં વિભ્રાંત દિલીપ કુમાર એક ડગલું આગળ વધ્યા અને સાયરાનો હાથ થામી લીધો. સમય થોડી વાર માટે થંભી ગયો. એ પછી દિલીપ કુમારને સમજતાં એક ક્ષણ પણ ન લાગી કે 'નિયતિએ પોતા માટે નક્કી કરી રાખેલ જીવનસાથી આ જ છે, ભલે ને પરદા પર સાથે લેવામાં તે નનૈયો ભણતા રહ્યા હોય.' આ યુવતી પોતાના ખાનદાની મૂળમાં ઊંડે સુધી પાંગરેલી સંપૂર્ણ ભારતીય સ્ત્રી દેખાતી હતી.
'આઝાદ'નાં શૂટિંગ સમયે દિલીપ કુમારનો ભેટો એક જ્યોતિષી સાથે થઇ ગયો હતો. એ જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું હતું કે દિલીપ કુમાર તેમની ચાલીસીમાં પરણશે; તેમની પત્ની તેમનાથી અડધી ઉમરની હશે, ચાંદ જેવી સુંદર એવી એ યુવતી તેમના જ વ્યવસાયમાં કામ કરતી હશે. લગ્ન પછી તરત જ તેના પર દિલીપ કુમારનાં કર્મોની ઘાત રૂપે લાંબી, લગભગ મરણતોલ માંદગીમાં સપડાઇ પડશે. જો કે તે વિષે તેને પોતાને જરા પણ કચવાટ નહીં હોય.' ભવિષ્યવાણીનો પહેલો ભાગ તો સાચો પડ્યો, બીજો ભાગ પણ શું સાચો પડશે?
પણ, આ બધી વાતોને અંતે, મહત્ત્વનું તો એ જ રહ્યું કે દિલીપ કુમારે સાયરા બાનુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી જ દીધો. આ સમાચાર ચારે તરફ જંગલની આગની જેમ ફેલાઈ ચૂક્યા !image
તેમનાં લગ્ન ૧૧ ઑક્ટોબર ૧૯૬૬ના રોજ સંપન્ન થયાં. પહેલા પ્રેમના ઝણઝણાટ પછી પણ લગભગ બે દાયકા સુધી કુંવારા રહેવાનું જ નક્કી કરતા રહ્યા પછી તેમને દાંપત્ય જીવનમાં કદમ રાખતી વખતે ધાસ્તી કે ખટકો હતો ખરો? દિલીપ કુમારનો જવાબ ભારપૂર્વકનો નકાર છે. એમને તો સ્વર્ગીય ચૈનની પ્રશાંત સ્વસ્થતા અને પરમ શાંતિ અનુભવાતી હતી, કારણ કે હવે પોતાનું જ કહી શકાય એવાં સાથે તેતેમની જિંદગી વહેંચી શકવાના હતા.

તેમને નજીકથી ઓળખતાં બધાં જ માટે લગ્નનો આ નિર્ણય અચરજનો વિષય તો હતો જ, પરંતુ તે કોઇ ભૂલ તો નથી કરી રહ્યા ને, એવું તો એક માત્ર નૌશાદ જ એમને સીધે સીધું પૂછી શક્યા હતા. દિલીપ કુમાર તેમની માન્યતામાં બહુ ચોક્કસ હતા કે તેમનો આ નિર્ણય ખાસ્સા એવા આંતરમંથન બાદ લેવાયેલો પુખ્ત નિર્ણય હતો. નિકાહ બહુ જ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. તેમનાં બધાં જ નજીકનાં સગાં અને મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલો. રાજ કપૂરે તો એક ક્ષણના અચકાટ વિના દિલીપ કુમાર લગ્ન કરે તો ભાંખોડિયાં ભરીને તેમના ઘરે આવવાની બાધા પણ પૂરી કરી.

તેમના ભુટાનના હનીમૂન સમયે લાકડાની કેબીનમાં તાપણાંના ધુમાડાથી ગુંગળાવાને કારણે સાયરા બાનુ અચાનક જ બહુ ગંભીરપણે બીમાર પડી ગયાં. પેલા જ્યોતિષીની આગાહી સાવ ખોટી તો નહોતી તેનાં એંધાણ તો નથી દેખાતાં ને!

લગ્ન જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં દિલીપ કુમારનાં કૌટુંબિક વાતાવરણે પણ સાયરા બાનુની તબિયત પર અવળી અસર કરી હતી. એ તણાવને કારણે આંતરડામાં ચાંદાં પડી ગયાં. લંડનની એક સૌથી મોટી ઇસ્પિતાલમાં વિશ્વ પ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટેરો્લૉજિસ્ટની સારવાર હેઠળ તેમને ખસેડવાં પડ્યા. સાયરાની તબિયત ચમત્કારની જેમ સુધરવા લાગી, અને ત્યાં એકાદ મહિનાની સારવાર અને આરામ બાદ તેમણે પૂરબ ઔર પશ્ચિમ માટે શૂટિંગમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. ફિલ્મના નિર્માતા મનોજ કુમારે આ સમય દરમિયાન બહુ જ ધીરજ અને સમજપૂર્વક સાયરા બાનુ સાજાંનરવાં થાય તેની રાહ જોઇ હતી. આ અહેસાનના બદલા સ્વરૂપે દિલીપ કુમારે મનોજ કુમારનાં ક્રાંતિ (૧૯૮૧)માટે વાર્તાનો સાર સાંભળીને જ કામ કરવાની હા પાડી દીધી હતી.

પાછા ફર્યા પછી પતિપત્ની સાયરા બાનુનાં પાલી હિલના ઘરમાં રહેવા ગયાં. સાયરા બાનુને હજી પણ ખાસ સંભાળ અને ખોરાકની જરૂર હતી જે તેમને નસીમ બાનુની નિગરાનીમાં જ મળી શકે તેમ હતું. બહુ થોડા સમયમાં સાયરાએ દિલીપ કુમારની જીવનશૈલી અને ગતિ સાથે તાલમેળ કરી લીધો. 'લાંબા સમયના સુખશાંતિપૂર્ણ રહેતા લગ્નજીવનમાં પણ, દંપતીની બધી જ શુદ્ધ દાનત છતાં, બંને સાથીદારો માટે એકબીજાંને નિભાવવાં એ આસાન કામ નથી.' આ દંપતીને પણ તેમના અનેક વાળાઢાળા આવ્યા છે, પરંતુ બંને વચ્ચે દેખાતા વ્યક્તિત્વોના બાહ્ય તફાવત છતાં, તેઓએ સાથેની પળોને માણી છે. જે છોકરીને પોતાની ટાપટીપ કરવામાં કલાકો જતા તેણે, હવે સાવ જ બદલી જઇને, ગૃહસ્થીની અને દિલીપ કુમારના જીવનની, બાગડોર સંભાળી લીધી હતી. સાયરા બાનુની જન્મજાત સાદગી અને હૃદયની ઋજુતા દિલીપ કુમારને અંતરથી સ્પર્શી રહી છે. પતિ-પત્ની ટીમ / The Husband-Wife Team તરીકે દિલીપ કુમારને પત્નીમાં કડી મહેનત કરવાની અને ત્રુટિરહિત કામ કરવાની અદમ્ય ભાવના દૃષ્ટિગોચર થવા લાગી હતી. અદાકારીને લગતાં સલાહ સૂચન તે સ્વીકારવા તૈયાર રહેતાં અને જે જે દૃશ્યોમાં તેમણે સાથે કામ કરવાનું હતું તેમાં તેમના માર્ગદર્શનને પણ તે બહુ જ સારી રીતે અમલમાં મૂકી શકતાં હતાં. બંને જણાંએ ગોપી (૧૯૭૦), સગીના(૧૯૭૪) જેનું મૂળ બંગાળી સ્વરૂપ સગીના મહાતો ૧૯૭૦માં રજૂ થયું હતું), બૈરાગ (૧૯૭૬) અને દુનિયા (૧૯૮૪) એમ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું.

હવે પછી, ૨૩ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો અંતિમ મણકો 'સંસ્મરણો' વાંચી શકાશે.

Monday, February 23, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૨ /૪ ǁ દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ


તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે,  'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' વિષે વાત કરી હતી. આજના આ બીજા મણકામાં 'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ'ને તેમના દૃષ્ટિકોણથી જોઇશું.

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ
clip_image002


હિંદી સિને જગતમાં દિલીપ કુમારના જીવન અને સમયની વાત બીજાં આઠ પ્રકરણોમાં આવરી લેવાઈ છે. પુસ્તક પ્રકાશિત થયું ત્યારના કેટલાક સમીક્ષાત્મક લેખોમાં ફરિયાદનો એક સૂર રહ્યો હતો કે એમના બહુચર્ચિત પ્રેમ સંબંધો કે તેમની કેટલીક સીમાચિહ્ન રૂપ ફિલ્મો વિષે વધારે ઊંડાણથી વાત નથે કરી એ આ પુસ્તકની કચાશ અનુભવાય છે. જો કે ઉદયતારા નાયરે તો પુસ્તકના પરિચયાત્મક પ્રકરણમાં જ કહ્યું છે કે દિલીપ કુમારની આ ઉંમરે, અને જીવનના આ તબક્કે, તેમણે ૬૦થી વધારે ફિલ્મો કરી છે અને કદાચ તેનાથી પણ વધારે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. એવી દીર્ઘ કારકિર્દીમાંની ઘણી બાબતોની વાત કરવા વિષે તેમની ચોક્કસ પસંદનો આગ્રહ રાખ્યો જ છે. ખેર, આપણે તો તેમની પસંદ-નાપસંદને સ્વીકારવી જ રહી!

યૂસુફ ખાનને કૅમેરાની સામે કિરદારને કેમ નીભાવવું એ વિષે કોઇ જ કલ્પના પણ નહોતી . એ સ્થિતિમાં બોમ્બે ટૉકીઝના અનુભવો એ સંજોગોની બહુ જ ઉત્તમ દેન કહી શકાય. અશોક કુમારે તેમને શીખવાડ્યું કે 'અમુક પરિસ્થિતિમાં આપણે જેમ ખરેખર વર્તીએ એમ જ કેમેરા સામે પણ કરવું.જો તેને અદાકારીનાં સ્વરૂપમાં ભજવવાની કોશિશ કરીશ, તો તે સાવ વાહિયાત અને અવાસ્તવિક લાગશે.' જેની સાથે તચાહક વર્ગ તાદાત્મ્ય અનુભવી શકે તેવી ફિલ્મના પરદા પરની ભાવનાપ્રધાન ભાવિ ઇમેજને અનુરૂપ નામકરણ પણ દેવીકારાણીએ કર્યું અને અમીય ચક્રવર્તીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' (૧૯૪૪)થી
દિલીપ કુમારની છાયા વિરાટ થતી જશે એવા સંકેત મળ્યા. લાઈટ્સ, કૅમેરા,ઍક્શન / Lights, Camera, Actionની દુનિયામાં આ એમનું પહેલું ડગ હતું.. જો કે એ તબક્કામાં જ દિલીપ કુમારને સમજ પડી ગઈ હતી કે આ કામ એટલું આસાન નહીં રહે, અને માટે જ તેમાં ટકી રહેવા માટે તેમણે પોતાની કેડી જાતે જ કંડારવી પડશે. કલાકારે 'પોતાની સહજ પ્રેરણાને બળવત્તર કરવી પડે છે, કારણ કે વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનું દ્વંદ્વ, કોઇ પણ પરિસ્થિતિને સત્ય અને તર્કથી સમજવાની કોશીશ કરતા દિમાગની પહોંચની બહાર છે.'

દેવિકારાણીએ દિલીપ કુમાર તરીકે આપેલી ઓળખની અસરને કારણે જે જોવા કે અભ્યાસ માત્રથી આવડે એ બધું તેમને નવી આકાંક્ષાઓ અને નવા અનુભવો / New Aspirations, New Experiencesના રૂપમાં કૅમેરાની સામે લાગણીઓ, સંભાષણ અને કાલ્પનિક પાત્રોનાં વર્તનની પરિભાષામાં શીખવાનું અને એકઠું કરવાની મોકળાશ મળી. 'જુગનુ'માં તેમનું કામ પૂરૂં થયું ત્યાં સુધી હજી લોકોની નજરે ચડ્યા નહોતા. જ્વાર ભાટા (૧૯૪૪), પ્રતિમા (૧૯૪૫) અને મિલન (૧૯૪૬) એમ ત્રણ ત્રણ ફિલ્મો રજૂ થઇ ચૂકી હતી તો પણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની પગદંડી પર એ ચાલતા જતા હોય ત્યારે લોકો તેમની હાજરીની નોંધ લેતાં નહોતાં. પરંતુ ૧૯૪૭માં જુગનુની સફળતાને કારણે તેમના પોસ્ટરમાં તેમની તસવીરોની તેમનાં કુટુંબીજનો સુદ્ધાંએ નોંધ લીધી.પૃથ્વીરાજ કપૂરની મધ્યસ્થીના કારણે તેમના અબ્બાજાને પણ સ્વીકારી લીધું કે તેમણે કદી પણ કલ્પ્યું ન હોય તેવા કામને (આખરે) તેમના દીકરાએ સ્વીકારી લીધું હતું.

એ પછીના અંગત અને વ્યાવસાયિક જીવનમાંના (Between The Personal And The Professional) અનુભવોમાં તેમણે તેમના પ્રિય એવા ભાઇ અયુબ ખાનના ફેફસાની લાંબી માંદગીને કારણે દેહાંત અને ૨૭ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ તેમનાં અમ્માની 'જીવનની અશાંતિમાંથી ચિરઃ શાંતિ' તરફની વિદાયની પીડા ભોગવવી પડી. આ આઘાત સહન કરીને ભાઇબહેનોને માટે મા અને બાપ બંનેની ભૂમિકા અદા કરવા, તેમણે પોતાની અંદરની પીડાને મક્કમતાથી દબાવવી પડી.

વ્યાવસાયિક ક્ષેત્રે, તેમનો બૉમ્બે ટૉકીઝ સાથેનો કરાર પૂરો થયો એ સમયે સ્ટુડિઓની પદ્ધતિથી કામ કરવાની પ્રથા પણ અસ્ત પામી રહી હતી. કલાકારો અને કસબીઓ હવે સ્વતંત્રપણે કામ કરતા હતા. દિલીપ કુમારે એસ. મુખર્જીના ફિલ્મિસ્તાનના શહીદ (૧૯૪૮)માં કામ કરવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં તેમની સાથે સમજુ અને દેખાવડી સહકલાકાર કામિની કૌશલ (મૂળ નામ ઉમા કશ્યપ) હતાં. કામિની કૌશલ નિર્દેશકની જરૂરિયાત વિષે ખાસ ધ્યાન આપવાની કે બહુ જ લાગણીશીલ પ્રસંગોની આંતરિક સંવેદનશીલતાને ઝીલવા જેવી બાબતોમાં બહુ જ કામયાબ જણાયાં. 'શહીદ'ની સફળતાને પગલે ફિલ્મિસ્તાને દિલીપ કુમાર-કામિની કૌશલની જોડીને લઇને રવિન્દ્રનાથ ઠાકુરની 'નૌકા ડૂબી' પરથી નદિયા કે પાર (૧૯૪૮) અને શબનમ (૧૯૪૯) બનાવી.

છવીસ-સત્તાવીસ વર્ષનો, તેના જેવાં જ પ્રતિભાશાળી અને ભણેલાં સાથીદારોની સંગત પસંદ કરતો યુવાન કામિની કૌશલ તરફ, કદાચ લાગણીથી નહીં તો પણ બૌદ્ધિક સ્તરે પણ ન આકર્ષાય તો જ નવાઇ કહેવાય ! 'એને જો કોઇએ પ્રેમ કહેવો હોય તો ભલે તેમ'. દિલીપ કુમારને એક ખણખોદિયો સવાલ હંમેશાં પુછાતો રહ્યો છે કે ‘બહુ જ આત્મીય પ્રસંગોને પરદા પર ભજવતી વખતે, જો કલાકારો વાસ્તવિક જીવનમાં પણ એકબીજાની લાગણીના ગાઢ પરિચયમાં હોય તો જ લાગણીની ઉત્કટતા સહજ બની શકે – કે એવું જરૂરી નથી?' દિલીપ કુમાર આનો જવાબ 'હા અને ના'માં આપે છે અને એના સંદર્ભમાં મુગલ-એ-આઝમ(૧૯૬૦)માં પોતાના શાહજાદા સલીમ અને અનારકલી તરીકે મધુબાલાના અભિનયને તેઓ ટાંકે છે. આ પ્રસંગનું વિગતે વર્ણન પછીનાં "મધુબાલા / Madhubala " પ્રકરણમાં કરાયું છે.

આ સમય દરમ્યાન જ તેમને મહેબુબ ખાન અને નૌશાદ મિયાંને મળવાનું થયું. આ પરિચય જીવનપર્યંતની અંગત મૈત્રી અને વ્યાવસાયિક સંબંધમાં વિકસી રહ્યો, જેના પરિપાક રૂપે દિલીપ કુમારે મેલા (૧૯૪૮)માં આ જોડીની સાથે કામની શરૂઆત કરી.નીતિન બોઝ જેવા નિર્દેશકો કે દેવિકા રાણી જેવાં વરિષ્ઠ કલાકારો સાથે કામ કરતાં કરતાં જે પાઠ મળ્યા એ વિષે દિલીપ કુમાર નોંધે છે કે કોઇ પણ કલાકાર માટે ફિલ્મની સ્ક્રિપ્ટથી ઉપર ઊઠવું આમ તો મુશ્કેલ ગણી શકાય, પણ જો લેખક, કલાકાર અને નિર્દેશક સારી રીતે એકસૂત્રતાથી કામ કરે તો તેમ કરવું અશક્ય પણ નથી. વળી, કોઇ એક શૉટથી નિર્દેશક ભલે સંતુષ્ટ હોય, પણ તેને કારણે કલાકારે પોતાનું શ્રેષ્ઠ કામ કરવા માટે તેનાથી પણ વધારે મહેનત કરવાનો બાધ ન રાખવો જોઇએ. એ માટે ફરીથી શૉટ લેવો પડે તો તે કલાકારની મુન્સફીના દાયરામાં જરૂરથી આવે.

રીલમાં વ્યક્ત થયેલ અને ખરેખર જીવાયેલ જીવન /Reel Life versus Real Lifeની બહુ જ મધુરી યાદો 'મેલા' ફિલ્મ તાજી કરી મૂકે છે - પહેલી તો એ કે દિલીપ કુમારના પિતાજીએ સિનેમા હૉલમાં બેસીને આ ફિલ્મ જોઇ અને બીજી યાદ તેમની અને નૌશાદની અમીટ મિત્રતા તેમ જ તેમની અને નરગીસની બે વ્યાવસાયિક વ્યક્તિઓ વચ્ચે શકય ન હોય તેવી મિત્રતા. રાજ કપૂર અને નરગીસના સંબંધો તેમના પરદા પરના એક સાથેનાં દશ્યોને અનેરી આભા આપે તે કક્ષાના બની રહ્યા હતા. પણ દિલીપ કુમાર સાથે નરગીસનું કેમેરાની સામેનું સમીકરણ અલગ જ કક્ષાનું બની રહ્યું. તરાના (૧૯૫૧)માં મધુબાલા સાથે પણ એવું જ કંઇ સમીકરણ ગોઠવાઇ શક્યું. 'તરાના'ને દિલીપ કુમાર ઘણી દૃષ્ટિથી તેમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંથી એક યાદગાર ફિલ્મ ગણે છે. ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં હળવી ભૂમિકાઓ કરવાનું પણ તેમને અંગ્રેજ માનસચિકિત્સકે સૂચવ્યું. ડૉક્ટરનું ચોક્કસપણે માનવું હતું કે પોતાના (ગંભીર ભૂમિકાઓના) કામને દિલીપ કુમાર તેમના અર્ધજાગૃત મનમાં ઘરે લઇ જાય છે અને સંવાદો અને દૃશ્યો તેમના મનમાં અનેક વાર ભજવાયા જ કરતાં રહે છે. જો કે દિલીપ કુમાર પોતે એ વાત તરફ સભાન હતા કે ફિલ્મોમાં તેઓ જે કંઇ કરી રહ્યા હતા તે સાવ જ કાલ્પનિક અને તેમની વાસ્તવિક જિંદગીથી, અને પોતાની જાતથી, તદ્દન વિપરીત જ હતું.

આમ દિલીપ કુમારે એમ જી રામચંદ્રન (એમજીઆર) અભિનિત તમિળ ફિલ્મ મલૈકલ્લન (૧૯૫૪)નાં હિંદી સંસ્કરણ આઝાદ (૧૯૫૫)માં કામ કરવાનું નક્કી કર્યું.આ ફિલ્મમાં મીના કુમારી સાથે કામ કરવાનો અનુભવ પણ બહુ સરસ રહ્યો. 'શબનમ'ની સફળતા બાદ તેમણે પોતાને નવી કારની ભેટ આપી હતી, તો 'આઝાદ' પછી તેમણે મુંબઇમાં પોતાનું ઘર (૪૮, પાલી હિલ) ખરીદ્યું. દિલીપ કુમાર સ્વીકારે છે આ તબક્કે તેમને મધુબાલા પ્રત્યે એક સુંદર સાથી કલાકાર તરીકે આકર્ષણ થયું હતું . એ સમયે અને ઉંમરે એક જીવનસાથીમાં અપેક્ષિત હોય તેવી ઘણી ખૂબીઓ મધુબાલામાં તેમને જોવા મળતી હતી. તેમના આ સંબંધની અફવાને કારણે ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ કરવા ધારેલાં મુગલ-એ-આઝમની ચર્ચા ચોરે ને ચૌટે થઇ હતી. જો કે, જ્યારે મધુબાલાના પિતાની આ સંબંધમાંથી વાણિજ્યિક ફાયદો કાઢવાની દાનત નજરે પડવાને કારણે તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. ફિલ્મ બનવાના એક તબક્કે તો બંને વચ્ચે વાત કરવાના સંબંધ પણ નહોતા રહ્યા. 
અનારકલીને સલીમ સાથે તેની છેલ્લી રાત ગુજારવાની રજા મળી હતી ત્યારે તેમના પ્રેમની પ્રગાઢતાની વચ્ચે આવી પડનાર અંતરના પ્રતિક સમું એક પીછું તેમની વચ્ચે આવીને પડે છે. ફિલ્મનાં આ બહુ જ માર્મિક દૃશ્ય સમયે તો બંને વચ્ચે એકબીજાંને 'કેમ છો?' પૂછવા જેટલા સંબંધો પણ નહોતા રહ્યા. કૅમેરામાં ઝડપાતાં દૃશ્યો અને કલાકારનાં વાસ્તવિક જીવન વચ્ચેનાં અંતરનું આ એક બહુ જ અસાધારણ ઉદાહરણ ગણી શકાય.

દિલીપ કુમાર પોતાના કથાનકમાં મધુબાલા વિષે એક આખું પ્રકરણ ફાળવે છે. સામાન્ય માન્યતાથી વિપરીત, મધુબાલાના પિતા, અતા-ઉલ્લાહ ખાન, આ લગ્નસંબંધના વિરોધી નહોતા. તેમની પોતાની ફિલ્મ પ્રોડક્શનની કંપની હતી. એ સમયનાં બે સહુથી લોકપ્રિય કલાકારો તેમની કારકિર્દીના અંત સુધી તેમની કંપનીમાં બનેલી ફિલ્મોમાં હાથમાં હાથ મેળવીને ગીત ગાતાં રહે એ તેમને જોઇતું હતું. પરંતુ, દિલીપ કુમારની કામ કરવાની એક બહુ ચોક્કસ કાર્યપદ્ધતિ હતી, જેમાં એ પોતાની કંપનીની ફિલ્મ માટે પણ કોઇ જ બાંધછોડ કરે નહીં. મધુબાલાએ સમજાવવા બહુ કોશિશ કરેલ. તેનું માનવું હતું કે આ બધી બાબતો પર તો લગ્ન પછી પણ નિરાંતે વિચારી શકાય. આ સંજોગોમાં એ બંને લગ્ન ન કરે એટલું જ નહીં પણ એ વિષે જરા સરખી પણ ફેરવિચારણા કરવાનો અવકાશ ન રહે એ એક જ ઉકેલ બંને કલાકારો માટે શ્રેષ્ઠ માર્ગ હતો. દિલીપ કુમાર એ બાબતે પણ બહુ સ્પષ્ટ છે કે આ વિચ્છેદે તેમના પર કોઇ અવળો પ્રભાવ નહોતો પાડ્યો. આ પછીથી સાયરા બાનુ સાથે લગ્ન કરવાની ઘડી સુધી ન પરણવાના તેમના નિર્ણયની પાછળ પોતાની નાની બહેનોનાં લગ્ન જેવા પ્રશ્નો માટે ધ્યાન આપવા સિવાય અન્ય કોઈ કારણ નહોતું. તેમના માટે તેમનાં ભાઈ બહેનનાં સુખ અને કલ્યાણ હંમેશાં મુખ્ય રહ્યાં છે. મધુબાલાના પિતાએ તેને બી આર ચોપરાની નવી ફિલ્મ નયા દૌરના આઉટડોર શુટિંગના મુદ્દે કાયદાની લડતમાં ઉલઝાવી નાખી. નયા દૌર આખરે, મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાને લઈને ૧૯૫૭માં થિયેટરોમાં રજૂ થયું. પ્રચાર માધ્યમોમાં એમ ચીતરવામાં આવ્યું કે આની પાછળ દિલીપ કુમારનો દોરી સંચાર હતો, પણ હકીકત તો એ છે કે મધુબાલાના પિતાને પોતાની દીકરી પર હકુમત સાબિત કરવાનું ઝનૂન ચડ્યું હતું; તેમાં, મધુબાલાની કારકિર્દી પર અવળી અસર પડી.

વૈજયંતિમાલા સાથેના વ્યાવસાયિક સંબંધો માટે પણ દેવદાસ, નયા દૌર અને તે પછી/ Devdas, NayaDaur and Beyond જેવાં શીર્ષક હેઠળના પ્રકરણમાં ખાસ સ્થાન ફાળવવામાં આવ્યું છે. વૈજયંતિમાલા સાથે સાત ફિલ્મો પૈકી પહેલી ફિલ્મ, દેવદાસ (૧૯૫૫), માટે હા પાડવામાં દિલીપ કુમાર થોડા દ્વિધામાં હતા. એક બાજુ એક એવું પાત્ર હતું જે પોતાના પ્રેમની નિષ્ફળતાને દારૂના નશામાં ડુબાડીને ભુલાવવા માગે છે, જે યુવા દર્શક વર્ગ પર ખાસી અવળી છાપ પાડી શકે. આમ આ કલાકારની નૈતિક જવાબદારીની ચિંતા હતી. તો બીજી તરફ કે એલ સાયગલ જેવા અભિનેતાએ હાંસિલ કરેલી બુલંદીની સામે પોતાની અભિનયક્ષમતાને ચકાસવાની એક જીવનમાં એક જ વાર આવતી એવી આગવી તક હતી. ફિલ્મ જગતના ઇતિહાસમાં એક અનોખો માપદંડ ઊભો કરી શકાય એવી એ તક હતી.. ખ્યાતનામ સાહિત્યકાર રાજિંદર સિંહ બેદીની કલમે લખાયેલા, ફિલ્મમાંના કેટલાક સંવાદ તો સમયના કેટલાય વાળાઢાળા પછી પણ યાદ કરાય છે. (સંવાદ રજૂ કરવાની આગવી કળા એ દિલીપ કુમારની ખાસ ઓળખ રહી છે. આવા કેટલાય યાદગાર સંવાદો પૈકી પાંચ સંવાદો અહીં રજૂ કરેલ છે.)

દેવદાસ પછી આ જોડી બિમલ રોયની જ નવી ફિલ્મ, મધુમતી (૧૯૫૮)માં ફરીથી પેશ થઇ. આ ફિલ્મમાં વૈજયંતિમાલાની અદાકારી દિલીપ કુમારનાં ખાસ વખાણ મેળવી ગયેલ છે. ફિલ્મમાં આમ તો ત્રણ ત્રણ પુનર્જન્મોના પાત્રને કારણે વૈજયંતિમાલાનાં પાત્રને મહત્ત્વ મળે તેમ માનવામાં કંઈ ખોટું નથી, પણ આ આખી વાત ફિલ્મના નાયક (દિલીપ કુમાર)ની આંખેથી રજૂ કરાયેલ છે એટલે દિલીપ કુમારનું પાત્ર પણ ફિલ્મના કેન્દ્રમાં બની રહે છે. વૈજયંતિમાલા કરતાં એક ડગલું આગળ રહેવાની બીજી એક ઘટના પયગામ (૧૯૫૯)ના શૂટિંગ દરમિયાન બની હતી. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સૅટ્સની મુલાકાતે આવવાના હતા. બધાંને એમ હતું કે નહેરુને મુખ્યત્વે તો વૈજયંતિમાલાની નૃત્યકળા જ ખેંચી લાવતી હશે. પણ નહેરુજી એ તો આવતાંની સાથે જ યુસુફને યાદ કરીને દિલીપ કુમારનો છાકો પાડી દીધો હતો. ‘નયા દૌર’ના શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે વૈજયંતિમાલાની ગ્રામીણ યુવતીને આત્મસાત કરી શકવાની આવડતની ખાસ નોંધ લીધી અને તેમના મનમાં રમી રહેલી ગંગા જમુના(૧૯૬૧)ની ભાવિ મુખ્ય નાયિકા માટે તેને નક્કી કરી લીધી.

અહીં સુધી પહોંચીને દિલીપ કુમાર ફરી એક વાર કૌટુંબિક મોરચે/ On The Domestic Front બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ તરફ નજર કરી લે છે. ૫ માર્ચ ૧૯૫૦ના રોજ તેમના પિતાજીનો દેહવિલય થયો. દિલીપ કુમારને આ તબક્કે એ વાતનો સંતોષ રહ્યો છે કે તે પિતાજીની અપેક્ષાઓએ ખરા ઉતરી શક્યા હતા.

ગંગા જમનાનું મહત્ત્વ દિલીપ કુમારની કારકિર્દીનું એક અંગત સીમાચિહ્ન હતું, એટલે ગંગા જમના બનાવવાની સખત મહેનત અને તે પછીની ઘટનાઓ / Travails of Film Making: “Gunga Jumna And After ને બહુ જ વિગતે યાદ કરવામાં આવે તે બહુ સ્વાભાવિક છે. દિલીપ કુમારનું પાત્ર, સમાજમાં તેનો જે કાયદેસરનો હક હતો તે માત્ર તેની ગરીબીને કારણે તેની પાસેથી છીનવાઈ જતાં ડાકુ બની જતા ગંગાનું છે. જે સમાજ કે કાયદો પૈસા અને સત્તાનો પક્ષ લઇને ગરીબ અને અસહાયને અન્યાય કરે છે તેની સામે બગાવત કરતા મોટા ભાઇ અને કાયદાની રખવાળીની જવાબદારી નિભાવતા પોલિસ ઑફિસર નાના ભાઈની લાગણી અને ફરજનો વિરોધાભાસ વાર્તાની કેન્દ્રીય વિચારધારા છે. દિલીપ કુમાર આ પહેલાં પણ 'એન્ટી-હીરો'ની નકારાત્મક છાંયવાળી ભૂમિકાઓ અમર (૧૯૫૪) અને ફુટપાથ (૧૯૫૩)માં ભજવી ચૂક્યા હતા. પરંતુ આ ભૂમિકા એ સમયના સામાજિક જીવનની એક કડવી બાજુને પ્રતિબિંબિત કરતી હતી. ખેર, જીવનમાં નવાઇભર્યા વળાંકો તો આવતા જ રહે છે. દિલીપ કુમારનાં જીવનમાં બહુ મહત્ત્વની ઘટનાઓ સાથે સંકળાવાની હતી તેવી ૧૯૬૭ની ફિલ્મ રામ ઔર શ્યામની શરૂઆતમાં વિવાદનાં વમળ ઊઠ્યાં હતાં. ફિલ્મમાં નાયિકાની ભૂમિકા માટે વરાયેલ વૈજયંતિમાલાને ફિલ્મ નિર્માતા સાથે કોઇ બાબતે મતભેદ પડ્યો, જેને કારણે તેને ફિલ્મમાંથી જ દૂર કરી અને એ પાત્ર વહીદા રહેમાનને ફાળવી દેવામાં આવ્યું. આમ સાત સાત ફિલ્મોમાં સાથે કામ કરવાના સંબંધનો અંત કડવાશના સૂરમાં આવ્યો.

'મને સમજ નથી પડતી કે આ મને મારા વારસામાં મળેલ છે કે મારાં ઉછેરનાં વાતાવારણમાંથી મારામાં ઉતરી આવેલ છે.' એવો વિચાર જાહેર જીવનમાં ઉમદા કાર્યો કરવામાટેની નવી ભૂમિકા / A New Role: Taking Up Noble Causes વિષે દિલીપ કુમારના મનમાં રમ્યા કરે છે. આચાર્ય જે બી કૃપલાણીની સામે વી કે કૃષ્ણ મેનન માટે, ૧૯૬૨ની લોકસભાની ચુંટણીમાં મુંબઈની બેઠક માટે પ્રચારમાં સક્રિય ભાગ લેવાથી માંડીને ૧૯૮૦માં મુંબઇના શેરિફ સુધીની ભૂમિકા કે નેશનલ એસોશિએશન ઑફ બ્લાઇન્ડ(NAB)ના અધ્યક્ષ તરીકે કે સન ૨૦૦૦-૨૦૦૬માં રાજ્યસભાના સભ્ય તરીકેની કામગીરીની વાત બહુ રસપ્રદ રહે છે.

રામ ઔર શ્યામ પછી ફિલ્મક્ષેત્રમાંથી સક્રિય કક્ષાએ નિવૃત્તિ લેવી કે કેમ એ વિમાસણમાં હતા તેવી જ વિમાસણના ત્રિભેટે દિલીપ કુમાર બૈરાગ (૧૯૭૬) બાદ ફરીથી અટવાઈ ગયા હતા. જો કે પહેલી વાર તો સાયરાબાનુની આગ્રહપૂર્વકની સમજાવટથી જ એમણે ફરીથી સ્ક્રિપ્ટ જોઈ તો એમને એમાં ઊંડાણ દેખાયું. ‘બૈરાગ’ પછીના લગભગ પાંચ વર્ષના અર્ધસંન્યાસનું કારણ એ આર કારદારે તેમના પર ઠોકી બેસાડેલ કાયદાકીય વિવાદ હતો. આ લડતના અંત ભાગમાં મનોજ કુમાર તેમની પાસે ક્રાંતિ (૧૯૮૧)નો પ્રસ્તાવ લઇને આવ્યા, જે દિલીપ કુમારની કારકિર્દીની બીજી ઇનિંગ્સ / The Second Inningsનો પ્રારંભ બની રહી.એ પછી સુભાષ ઘઈની વિધાતા (૧૯૮૨) આવી જેમાં તેમણે એન્જીન ડ્રાઇવરના જીવનની વાસ્તવિકતાઓને પરદા પર જીવંત કરી.
clip_image015

તે પછી સુભાષ ઘઈ સાથે તેમણે કર્મા (૧૯૮૬) અને સૌદાગર (૧૯૯૧)માં પણ કામ કર્યું. ‘સૌદાગર’માં રાજ કુમાર સાથે કામ કરવા અંગે એ સમયે ખાસી કાનાફૂસીઓ થઇ હતી! એ જમાનાના 'એન્ગ્રી યંગમેન' અમિતાભ બચ્ચન સાથેની તેમની શક્તિ(૧૯૮૨)ની ભૂમિકાની સરખામણીએ પણ ચર્ચાજગતને ગરમ રાખેલું. મશાલ (૧૯૮૪)માં તેમના નિર્ભીક, સાચા અને આખાબોલા પત્રકાર-તંત્રી, વિનોદ કુમારના પાત્રને તેમણે જે રીતે જીવંત કર્યું હતું તેને દર્શકો અને વિવેચકોએ ખૂબ પસંદ કર્યું હતું. દિલીપ કુમાર યાદ કરે છે કે આ ફિલ્મમાં તેમની પત્નીને બચાવવા માટે રસ્તેથી પસાર થતા ગાડીવાળાઓને કાકલૂદી કરવાનો જે હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો ત્યારે તેમનાં માતાને આવેલા દમના હુમલા વખતે તેમના પિતાજીનો દાકતરને બોલાવવા માટેનો વલોપાત તેમની નજર સામે તરી રહ્યો હતો.




દિલીપ કુમારની ફિલ્મ સફર અહીં વાંચી શકાશે.


હવે પછી, ૯ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો ત્રીજો મણકો 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન'  વાંચી શકાશે.

Monday, February 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૧/૪ ǁ યૂસુફ ખાનના જીવનની અંગત વાતો





-પરિચયકર્તા  - અશોક વૈષ્ણવ
દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869


હિંદી ફિલ્મ જગતના એક બહુ જ ખ્યાત વ્યક્તિત્વ, દિલીપ કુમાર, પર આ પહેલાં બે પુસ્તકો લખાયાં છે -બન્ની રુબેનનું Dilip Kumar: Star Legend of Indian Cinema અને લૉર્ડ મેઘનાદ દેસાઇનુંNehru’s Hero: Dilip Kumar In The Life Of India .

જો કે DILIP KUMAR - THE SUBSTANCE AND THE SHADOW - An Autobiographyપુસ્તક લખાવાનાં બીજ પણ એ વાતમાં જ છે કે દિલીપ કુમાર વિષે જે કંઇ લખાયું છે તેમાં મૂળ વાતના તોડમરોડ કે ગેરમાહિતી વધારે રહ્યાં છે. સરવાળે, હાર્દ સમા યૂસુફ ખાન વિષે તો ખાસ કંઇ જાણવા મળ્યું જ નથી, અને એટલે છાયા સમા, હિંદી ફિલ્મ જગતના સર્વકાલીન મહાન કલાકારો પૈકી બહુ જ અગ્રીમ સ્થાન ધરાવતા, દિલીપ કુમાર વિષે તો કંઇ કેટલીય કપોળકથાઓ જ ઘુમરાયા કરે તે કદાચ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં બહુચર્ચિત, પરદા પર અનેક સ્વરૂપે જોવા મળેલ, પોતાના જીવનકાળમાં જ દંતકથા સમાન બની રહેલા અભિનેતાનું અધિકૃત, દિલની ગહરાઈમાંથી ફૂટી નીકળેલ, ઝકડી રાખે તેવું આત્મકથાનક વૃત્તાંત પ્રકાશિત થાય તો તેના વિષે વધારે વિગતે જાણવાની ઉત્સુકતા થાય જ.

આપણે અહીં ન તો આ પુસ્તકની કે ન તો અભિનેતા દિલીપ કુમારની પરદા પરની કામગીરીની સમીક્ષા કરીશું. આપણે તો આખું પુસ્તક વાંચ્યા બાદ તેમાંથી જે જે વાતો તારવીને નોંધી લેવા જેવી જણાઈ છે તેની અહીં પરિચયાત્મક નોંધ ટપકાવવી છે, જેના વડે ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવર (તે સમયના હિંદુસ્તાનમાં), એક બહુ જ સાલસ, નેક, ખુદાપરસ્ત પઠાણ યુગલ - મોહમ્મદ સરવર ખાન અને આયેશા બીબી-ને જન્મેલ ૧૧ બાળકો પૈકી ચોથા બાળક મોહમ્મદ યૂસુફ ખાનનાં હાર્દ અને તેમાંથી વટવૃક્ષ થયેલ છાયા, દિલીપ કુમારને,તેમની પોતાની નજરથી, સમજવાની કોશિશ કરીશું.

પુસ્તકને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય તેમ છેઃ
  • દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ;
  • સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન, અને
  •  સાથી કલાકારો તેમ જ સગાસંબંધીઓની યાદો.
આપણે આપણી આ પરિચયાત્મક નોંધને આ મુજબ ભાગોમાં વહેંચીને દર અઠવાડિયે એક એક ભાગને માણીશું.આ પરિચયમાં, પુસ્તકમાંનાં પ્રકરણોનાં શીર્ષકો ઘાટા અંગ્રેજી અક્ષરોમાં રાખ્યાં છે.
૦-૦-૦

ફળોના વેપારીના પુત્ર યૂસુફખાનની ભારતીય ફિલ્મ જગતના કિવદંતિ સમાન મહાન અભિનેતા દિલીપ કુમાર સુધીની સફર

image


પુસ્તકના આમુખ/Forewordમાં સાયરા બાનુની કેફિયત દ્વારા દિલીપ કુમારનાં વ્યક્તિત્વનાં કેટલાંક ખાસ પાસાંનો પરિચય થાય છે :
§ દિલીપ કુમાર વાચનના જબરા શોખીન છે. તેમનું વાચન બહુ આયામી છે. પદ્ય સાહિત્ય, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય તેમના ખાસ શોખના વિષય છે.

§ તેમનું વ્યક્તિત્વ પ્રદેશો, ધર્મો અને નાતજાતનું મોહતાજ નથી રહ્યું. કોઈની પણ નબળી બાજુ તો તેમને દેખાતી જ નથી.

§ તેમની બિનસાંપ્રદાયિક માન્યતાઓ તેમના દિલના ઊંડાણમાંથી પેદા થયેલી છે. દરેક ધર્મ, જાત, સમુદાય કે પંથ માટે તેમને એક સરખું માન છે. તેમના બહુ જ નજદીકના મિત્રોમાં પારસીઓ આગવું સ્થાન ધરાવે છે.

§ પોતાના કુટુંબ માટે તેમને બહુ જ લગાવ છે.

§ કુદરત સાથે માણવાનો એક પણ મોકો ચૂકવાનું તેમને બિલકુલ પસંદ નથી.

§ આખું કુટુંબ સાથે હોય અને તેઓ પતંગ ઉડાડતા હોય તે તેમના માટે દૈવી આનંદ છે. જાત જાતના પતંગો અને માંજાઓના ખજાનાની તેઓ તેમના અંગત પોષાકના જેટલી જ માવજત રાખે છે.


દિલીપ કુમારે વર્ણવેલા આ આત્મકથાનકને પુસ્તકના દેહે મૂર્ત કરનારાં ઉદયતારા નાયર બહુ જાણીતાં લેખક અને પત્રકાર તો છે જ, પણ તે સાથે તેઓ દિલીપકુમાર દંપતીનાં બહુ જ લાંબા સમયનાં સારાં મિત્ર પણ છે. સ્વાભાવિક જ છે કે આ પુસ્તક કરવાની તકને તેઓ તેમના પ્રવેશાત્મક સંપાદકીયને A Dream Come True/ સાચું નીવડેલું સ્વપ્ન કહે. દિલીપ કુમારે પોતાની દાસ્તાન કહેવાનું કબૂલ્યા પછી પણ તેમની પાસેથી જ તેમની અંતરંગ બાબતો વિષે વિગતે કઢાવવી એ પડકાર તો લેખિકાની સામે હતો જ, પણ તે સાથે તેમણે જે કંઈ કહ્યું તે બહુ જ શુદ્ધ ઉર્દુમાં કહેવાયું હતું, તેને સ્વાભાવિક પ્રવાહમાં વહેતી અંગ્રેજીમાં રજૂ કરવું તે પણ એટલું જ મુશ્કેલ કામ નીવડ્યું હતું. આ અનુભવમાં તેમને દિલીપ કુમારની એક સાચા વ્યાવસાયિકની લગનથી ફિલ્મ બનાવવાના સંચાલનના કૌશલ્યને અંકે કરવાની પદ્ધતિ તેમ જ ખ્યાતિ પામેલા કળાકારની સામાજિક જવાબદારીઓ અંગેની સભાનતા ખાસ આકર્ષે છે. આન(૧૯૫૨)માં એ પહેલાં મુખ્ય ભૂમિકાઓ ભજવતા પ્રેમનાથને નેગેટિવ ભૂમિકા આપવાની વાતને ફિલ્મની જાહેરાતની મુખ્ય ધરી બનાવવી કે "તેમણે કોઇ બાબતે દેખાડો નથી કર્યો, પછી એ કોઈ માટે માન કે સાથી કલાકાર માટે ની ચિંતા હોય".. કે સ્ક્રિપ્ટનો તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાના કિરદારને બરાબર સમજીને પોતાની આસપાસની ઘટનાઓને એ પાત્રને અનુરૂપ બનાવવા જેવી તેમની માર્મિક ખૂબીઓ વગેરે તેમની વ્યાવસાયિક સજ્જતાને પુસ્તકમાં સારી રીતે રજૂ કરવામાં લેખિકા સફળ રહ્યાં છે.

પહેલાં આઠ પ્રકરણમાં યૂસુફ ખાનના દિલીપ કુમારમાં રૂપાંતરણની ભૂમિકાનું સવિસ્તર વર્ણન કરાયું છે.

એ સમયનાં વિભાજન પહેલાંનાં હિંદુસ્તાનના ઉત્તરપશ્ચિમી સરહદી પ્રાંતના રળીયામણા શહેર , પેશાવરના કિસ્સા ખ્વાની બજારના ઘરમાં યૂસુફખાનના જન્મ /Birthની તારીખ ઇતિહાસને ચોપડે જરૂર નોંધાઈ હશે - ફિલ્મજગતના ભવિષ્યના ધ્રુવતારકની યાદમાં નહીં, પણ તે દિવસે ત્યાંની સોની બજારમાં લાગેલી ભીષણ આગને કારણે. આગ અને તોફાન જેવા ખાસ સંજોગોમાં જન્મેલો દૌહિત્ર અસામાન્ય છે તેવી નાનીની માન્યતાને, તે પછી થોડા જ દિવસોમાં આવી ચડેલા એક ફકીરની, આ બાળક 'બહુ નામના કમાશે અને અપ્રતિમ સિદ્ધિઓ પામવા સર્જાયેલ છે એટલે બૂરી નજરોથી તેને હંમેશાં બચાવતાં રહેજો’, એવી ભવિષ્યવાણીએ પાકું સમર્થન પૂરૂં પાડ્યું હતું. બૂરી નજરથી ઓજલ રાખવાના દાદીના અવનવા અને જડબેસલાક પ્રયત્નોને કારણે બાળક યૂસુફ શાળામાંથી જ એકાંતપ્રિય બનતો ગયો અને તેને સચિત્ર પુસ્તકોની કાલ્પનિક દુનિયા વધારે ગોઠવા લાગી હતી.

કુટુંબનાં સૂત્રધાર માતામહી અને એમનો દૌહિત્ર (The Matriarch and Her Brood) અભિન્ન હતાં. બાળકના ઉછેરના સમયમાં, તેને દુનિયાની બૂરી નજરથી બચાવી રાખવાના એમણે જે પ્રયાસો કર્યા તેની બાળક યૂસુફના કુમળા મન પર જે અસરો થઈ તે દિલીપ કુમારના પ્રબુદ્ધ મનમાંથી તેની કારકીર્દીના શરૂઆતના સમયમાં ભજવેલા કરૂણ પાત્રોમાં ઝલક પામી, જેને કારણે તેમને કારકીર્દીના બહુ જ શરૂના તબક્કામાં જ 'કરૂણાંતિકાના રાજા' (Tragedy King)નું બિરૂદ પણ મળી ચૂક્યું હતું. શાળામાં યૂસુફના અતડાપણાની અસર તેના ઘરમાંના બાળપણના વ્યવહારો પર પડી નહોતી, પણ પરદા પર કરુણ રસને વહાવતા તેમના મન પર જે અસરો પડી તેણે તેમને માનસચિકિત્સકની મદદ લેવા મજબૂર જરૂર કરી દીધા હતા.

યૂસુફના બાળપણની શરારતો અને સાહસો /Escapades and Adventuresને કારણે દિલીપ કુમારની (ફિલ્મોની) વાર્તા કહેવા સમજવાની સૂઝને જરૂર ચેતના મળી હશે. નાનો યૂસુફ દરરોજ પિતાની આંગળી પકડીને શહેરના ચોકમાં જતો અને કોઇને કોઇ મૌલાનાએ માંડેલી વાતને રસપૂર્વક સાંભળતો. વાત સાંભળવાની મજા માણ્યા બાદ ઘરે આવી, પોતાની ફળદ્રુપ કલ્પનાના રંગ તેમાં ઉમેરીને એ વાતોનાં પાત્રોના પાઠ પણ તે હોંશે હોંશે કરતો. વર્ષો બાદ આ અનુભવો દિલીપ કુમારને ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળવાની બેઠકોમાં વાર્તાની ખુબીઓને સમજી લેવામાં બહુ મદદરૂપ થઈ. તેમનાં નાની તેમના જીવનનું પહેલું સેન્સર બૉર્ડ બન્યાં. સગડીના અંગારાની ગરમી માણતાં કુટુંબીજનો ભાત ભાતની વાતોની મજા માણતાં. એ બેઠકોમાં ઘરની સ્ત્રીઓ અને છોકરાંઓ પણ હોય. એટલે જો કોઇ વાત તેમની હાજરીમાં કરવા જેવી ન હોય, તો નાનીનું કડક મનાઈ ફરમાન ફરી વળતું. પોતાના એકાંતના સમયમાં બાળ યૂસુફ તેનાં માબાપને મળવા આવતાં લોકોની સાંભળેલી વાતોની નકલ કરીને પોતાના અભિનયના પ્રયોગો કરીને સમય પસાર કરતો. આ મુલાકાતીઓમાં યૂસુફના પિતા, આગાજી,ના મિત્ર બશવેશ્વરનાથ કપૂરનો દેખાવડો એવો મોટો દીકરો પણ હતો. એ જ, યુવાન દિલીપ કુમારના ભવિષ્યના મિત્ર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર !

થોડા સમય બાદ વિશ્વ યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગ્યાં એટલે ધંધાના વિકાસની નવી તકના એક નવા પ્રકરણની શરૂઆત(Off To Bombay: A New Chapter Begins) કરવા યૂસુફના પિતાજી મુંબઈ ગયા. મુંબઈ તરફની ફ્રંટીઅર મેલની મુસાફરી દરમ્યાન, તેમના ઘણા હિંદુ તેમ જ મુસ્લિમ મિત્રો સ્ટેશને સ્ટેશને તેમના માટે નાસ્તા અને ભાત ભાતનું ખાવાનું લઈને મળવા આવતાં હતાં. જ્યારે ટ્રેન સ્ટેશને ઊભી રહેતી ત્યારે વેચવાવાળાઓ 'હિંદુ ચાય, હિંદુ પાની, મુસ્લિમ ચાય, મુસ્લિમ પાની'ની ટહેલ નાખતા જોવા મળતા. જો કે મુસાફર ખાન કુટુંબ તો આવા કોઇ ફરક વિષે સભાન નહોતું. કિશોર યૂસુફ આવાં હુંફ અને પ્રેમના વાતાવરણમાં ઉછરી રહ્યો હતો. શરમાળ ઘણો, પણ નાખુશ તે બિલ્કુલ નહોતો. હવે (૧૯૩૭માં) તેના માથાના વાળનો ટકલો ન કરી દેવાતો. કાળાં ઘુંઘરાળાં ઝુલ્ફાં તેને ત્યાં આવતી ઔરતો માટે ખાસ આકર્ષણ બની રહેતું. આને કારણે તેનાં અમ્માજી નજર ઉતારવાની વિધિઓમાં જ વ્યસ્ત રહેતાં. આજે ૯૨ વર્ષે પણ, જ્યારે કોઇ મુલાકાતી તેમની તબિયત કે દેખાવ માટે બે સારા શબ્દો કહે કે જે દિવસે તેમના હસ્તાક્ષર માગનારાઓની ભીડ વધારે થઈ હોય કે વધારે પડતાં વખાણ થયાં હોય ત્યારે તેમનાં પત્ની, સાયરા બાનુ, પણ એવાં જ વિધિવિધાનો કરતાં રહે છે !

કિશોરાવસ્થાનાં ઉછેરનાંવર્ષો / The Growing Up Years દરમ્યાન ખાન કુટુંબ મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર, ગિરિ મથક દેવલાલી રહેવા ગયું. અહીં લશ્કરનું થાણું હતું, એટલે યૂસુફને શાળામાં અંગ્રેજોની જેમ અંગ્રેજી વાંચતાંબોલતાં શીખવા મળ્યું.તેને ફુટબૉલમાં પણ એટલી હદે દિલચશ્પી જાગી કે તેને તો મોટા થઈને ફુટબોલના શિરતાજ ખેલાડી બનવું હતું. જો કે તેના પિતાજીની દિલી તમન્ના હતી કે પુત્રના નામની સાથે બ્રિટિશ રાજનો ખિતાબ લાગે. યૂસુફ જ્યારે મુંબઈની ખાલસા કૉલેજમાં ભણવા ગયો ત્યારે તેને રાજ કપૂરની સાથે કૌટુંબિક મિત્રતાની દોર સાંધવાની તક મળી. રાજ ક્પુરને ક્રિકેટનો ગાંડો શોખ હતો. આ મિત્રતા આગળ જતાં એક જ વ્યવસાયમાં પ્રવૃત્ત બે વ્યક્તિ વચ્ચેનાં આત્મીય સંબંધથી આગળ વધીને આપસી ભરોસો અને માન પર આધારિત આગવું બંધન બની રહી. યૂસુફ હવે તેના પિતાજીને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યો હતો, એવામાં નિયતિ કંઇ ક નવું જ નક્કી કરી રહી હતી.

પુનાના અંતર્વિરામે(The Poona Interlude) હવે વીસીમાં પ્રવેશેલા યૂસુફને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તક અને હિંમત આપી. એ પણ જીવનનો બહુ મહત્ત્વનો અનુભવ રહ્યો. એ સમય દરમ્યાન જે થોડી સ્વતંત્રતા ચાખવા મળી તેને કારણે પિતાની આકાંક્ષાઓ પૂરી કરવા અને તેમનો વારસો સ્વીકારી લેવા તે માની જશે કે કેમ તે વિષે પિતાને હવે થોડી શંકા હતી.

સંજોગોએ બદલેલી કરવટોને કારણે ઠાઠમાઠથી રહેવાની કક્ષાએ પહોંચેલ દીકરો મુંબઇ પરત આવ્યો (The Return of The Prodigal). કુટુંબની જે અવર્ણનીય સલામતી અને હુંફ, તેમજ જાણીતા વાતાવરણને તે ઝંખતો હતો તે અહીં તેને પોતાનામાં સમાવી લેવા હાથ ફેલાવી રહ્યું હતું.

મુંબઇ આવ્યા પછી હવે યૂસુફ કોઈક અર્થપૂર્ણ વ્યવસાયની શોધમાં લાગી ગયો. સંજોગવશાત, એક દિવસ તેની મુલાકાત પિતાજીના એક ઓળખીતા ડૉ. મસાણી સાથે થઇ ગઇ. તે પછી, એક પછી બીજી ઘટના બનતી ગઈ અને યૂસુફને પહેલી જ મુલાકાતમાં બોમ્બે ટૉકીઝનાં માલિક અને તે સમયનાં ખૂબ જ ખ્યાતનામ કલાકાર અને ફિલ્મ નિર્માતા દેવિકારાણીએ મહિને રૂપિયા ૧૨૫૦ના પગારથી કામે રાખી લીધો ! યૂસુફના જીવનના આ વળાંક/ The Turning Point પર તેની મુલાકાત અશોક કુમાર સાથે પણ થઈ જે જીવનપર્યંતની મિત્રતામાં પાંગરી રહી.

ફિલ્મ જગતમાં દાખલ થયા પહેલાનાં જીવનની અંતરંગ વાતો કહેતાં આ પ્રકરણો ઉપરાંત પુસ્તકના અંતમાં દિલીપ કુમાર કૌટુંબિક બાબતો / Family Mattersની વાત પણ રજૂ કરે છે, જેમાં તેમણે તેમના જીવનમાં અફસોસજનકઅને જીવનમાંથી ભૂંસી નાખવા જેવી બાબતો વિષે સતત પુછાતા રહેતા સવાલોનો જવાબ આપ્યો છે. આવો એક કિસ્સો છે તેમનાં પરાણે 'ભરાઇ પડવા'નો - આસ્મા રહેમાન સાથેના 'બીજાં લગ્ન'નો. દિલીપ કુમાર તેને કોઈ પણ મનુષ્યનાં જીવનની કાચી ક્ષણમાં થતી કેટલીક ભૂલો પૈકી એક ભૂલ ગણે છે. અંગતપણે બહુ જ ધક્કો લાગ્યા છતાં, પોતાના પતિ માટે અપાર શ્રદ્ધા હોવાને કારણે, સાયરા બાનુએ આ મામલે તેમનો બરાબર સાથ આપ્યો. આ સમયે એક વાત એ પણ ઊછળી હતી કે આ બધું થવા માટે સાયરા બાનુને બાળક ન થવું પણ કારણભૂત હતું. પણ હકીકત એ છે કે ૧૯૭૨માં આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ કેટલીક તબીબી મુશ્કેલીઓને કારણે તેમને મૃત બાળકનો જ્ન્મ થયો હતો.

પોતાનાં ભાઇઓ બહેનો પણ પોતાનાં જીવનમાં ખૂબ જ આગળ વધે અને નામ રોશન કરે તે માટે દિલીપ કુમારે કરેલા પ્રયત્નોની યાદ પણ તેમને લાગણીવશ કરી મૂકે છે. દિલીપ કુમાર બાહુ દુલારથી લત મંગેશકરને ‘નાની બહેન’ કહે છે.લતા મંગેશકરે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સમક્ષ જાહેરમાં અય મેરે વતનકે લોગો ગાયું તેની આગલી સાંજે જ દિલીપ કુમારને ફોન પર અલ્લાહ તેરો નામ સંભળાવ્યું. એ દિલીપ કુમારના જીવનની ધન્ય ઘડી હતી; તેમને ડૂમો ભરાઇ આવ્યો હતો.

૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ આપણે આ પરિચયાત્મક લેખમાળાના બીજા મણકા - દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ-ની વાત કરીશું.