Showing posts with label Dr. C K Prahlad. Show all posts
Showing posts with label Dr. C K Prahlad. Show all posts

Tuesday, August 19, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : ડૉ.સી. કે. પ્રહલાદ

'મૅનેજમૅન્ટ ગુરુઓ' શ્રેણીનો પ્રાસ્તાવિક પરિચય:
[પ્રસ્તુત શ્રેણી દ્વારા મૅનેજમૅન્ટવિશ્વના ખ્યાતનામ ચિંતકો અને તેમણે પ્રતિપાદિત કરેલ સિધ્ધાંતો (કે વિચારસરણીઓ)નો પરિચય આપણે કરીશું.

સામાન્યતઃ,"ગુરુ" ખિતાબ માત્ર પોતાનાં નામ સાથે લગાડવાથી 'ગુરૂપણા’નો બૌદ્ધિક કે લાગણીસભર સ્વીકાર મળી નથી જતો. જેમના સિધ્ધાંતો કે વિચારસરણીઓનો કોઇ એક વિશ્વવિદ્યાલય કે સંશોધન પ્રયોગશાળા કે કોઇ એક પ્રકારના વ્યાપાર કે ઉદ્યોગની બહાર, વાસ્તવિક વિશ્વમાં, વ્યાપકપણે અમલ કરાયો હોય તેવી વ્યક્તિઓને જ સામાન્યતઃ 'મૅનેજમૅન્ટ ગુરુ'નો ખિતાબ અપાતો હોય છે. આ સિધ્ધાંતો કે વિચારસરણી શાશ્વત કે સાવેસાવ નિરપેક્ષ જ હોય તેવું જરૂરી નથી. ઘણીવાર અમુક સિધ્ધાંતો બહુ જ વિવાદાસ્પદ રહ્યા હોય તેમ પણ બને !

‘મૅનેજમૅન્ટ’ એ સંદર્ભ-આધારિત પ્રાયોગિક શાસ્ત્ર છે, તેથી અહીં રજૂ થનારા સિધ્ધાંતો (કે વિચારસરણીઓ) ઘણી વાર બહુ જ મર્યાદિત સંદર્ભમાં જ પ્રસ્તુત હોય તેવું પણ બને !

એ દરેક સિધ્ધાંત, ભલે ને ગમે તેટલા મર્યાદિત સમય માટે કે મર્યાદિત સંદર્ભમાં બહુ જ પ્રસ્તુત રહ્યો હોય, તો પણ તે સ્વીકારાએલો જ ગણાય. આજે એ સિધાંતને જાણવાથી, કાલે ઊભા થનારા કોઇ એવા સંદર્ભમાં તે સમયનો આપણો દૃષ્ટિકોણ, આપણા એ મર્યાદિત સંદર્ભ માટેના કોઇ એક ઉપાયની એક મહત્ત્વની કડી બની રહી શકે છે.

વાચક (કે વપરાશકાર) એવા અણીના સમયે, આ સિધ્ધાંતોનાં જ્ઞાન અને સમજનો યથોચિત ઉપયોગ કરશે તેવી અપેક્ષા અહીં અભિપ્રેત છે.
]


ડૉ.સી. કે. પ્રહલાદ
 
Dr. C K Prahlad 01


પૂરૂં નામ : કૉઇમ્બતુર ક્રિશ્નરાવ પ્રહલાદ
જન્મઃ ૮ ઑગસ્ટ, ૧૯૪૧॥ અવસાનઃ ૧૬ ઍપ્રિલ, ૨૦૧૦






સી. કે. પ્રહલાદ સંસ્કૃતના પારંગત અને ન્યાયધીશનાં નવમાંનું એક સંતાન હતા. તેમણે તેમની શૈક્ષણિક કારકિર્દી બહુ સફળ માપદંડોથી પૂર્ણ કરી. ૩૩ વર્ષની તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં તેઓ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં નિયામક મડળોમાં તેમ જ વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયોમાં બહુ જ સન્માનીય સ્થાન પર રહીને મૅનેજમૅન્ટ શાસ્ત્રના વિકાસમાં સક્રિય યોગદાન આપતા રહ્યા.
પોતાના કામ માટે બહુ અભ્યાસી અને સંશોધનો કે વ્યક્તવ્યો માટે બહુ જ મુસાફરી કરતા રહેતા; પણ અન્યથા બહુ મિતભાષી એવા ડૉ. પ્રહલાદને પક્ષીઓનાં સ્થળાંતર અંગેની લાક્ષણિકતાઓ, ઐતિહાસિક નકશાઓના અભ્યાસ અને ભાષાપ્રસાર જેવા વિવિધ આયામી અને સારગ્રાહી શોખ પણ હતા.
તેમના વિચારો તેમ જ વિચારોની રજૂઆતો થકી તેઓ સંચાલકોને તેમની પ્રસ્થાપિત તર્કઘરેડમાંથી હચમચાવતા રહેતા હતા. તેમની વેધક વિચારસરણી અને આંતરસૂઝ સંચાલકોને ઊભા પગે જ રાખતી.
તેમની વિદ્યાવ્યાસંગની દીર્ઘ કારકિર્દી દરમ્યાન, તેઓએ વ્યૂહરચનાના વિષય પર વિચાર-પ્રજનક પાંચ પુસ્તકો, સંશોધન-આધારિત અનેક શ્વેતપત્રો / લેખો અને બહુ જ ચિંતનપ્રેરક વ્યક્તવ્યો આપ્યાં છે.
ડૉ. સી. કે. પ્રહલાદનાં પુસ્તકો:
તેમનાં પુસ્તકો, વ્યક્તવ્યો કે લેખનાં પ્રકાશન સાથે જ મૅનેજમૅન્ટ વિશ્વમાં ગરમાગરમ ચર્ચાઓ થતી; પણ જેમજેમ સમય જાય, તેમ બધા જ લોકો તેમના વિચારોનો પોતપોતાની રીતે અમલ કરતા પણ જોવા મળતાં.
તેમના લેખો કે વ્યક્તવ્યો અને પુસ્તકો રમતના નિયમો બદલી નાખનાર ગણાયાં છે.
મે, ૧૯૯૦માં હાવર્ડ બિઝનેસ રિવ્યૂમાં ડો. સી કે પ્રહલાદ અને ગૅરી હૅમલે વ્યૂહાત્મક દૂરદર્શિતાના ક્ષેત્રમાં હલચલ core-competenciesમચાવી નાખતો લેખ - The Core Competence of the Corporation - રજૂ કર્યો., જેના પરથી ૧૯૯૪માં Competing for the Future પુસ્તક પણ બન્યું. હાર્દ ક્ષમતા [Core Competence] એ ત્યારે( ત્યાર સુધી) એકચક્રી પ્રભાવ ધરાવતા બજારોન્મુખ વ્યૂહાત્મક આયોજનતંત્રની વિચારધારા માટે પડકાર હતો. બજારોન્મુખ વ્યૂહાત્મક આયોજનની વિચારધારા કંપનીના લાંબા ગાળાની રૂપરેખાને વર્તમાન બજારોની ભાવિ રૂખને અનુરૂપ કરતા રહેવાનો અભિગમ સૂચવે છે, જ્યારે હાર્દ ક્ષમતાનો અભિગમ કંપનીની મૂળભૂત ક્ષમતાઓના આધારે કંપનીના વિકાસની લાંબા ગાળાની નીતિઓ અને સજજતાને ઘડવાનું સૂચવે છે. બજારોન્મુખ વિકાસને કારણે કંપનીનાં વિવિધ વ્યાવસાયિક એકમોમાં સઘન એકસૂત્રતા અને હરીફાઇના પડકારોને ઝીલી લેવાની પ્રકૃતિક શક્તિ જોવા નથી મળતી. જ્યારે હાર્દ ક્ષમતાની વિચારસરણીને અપનાવેલ સંસ્થાઓ, એ ક્ષમતાઓની આસપાસ પોતાનાં સંસાધનોના વિકાસ માટેનાં રોકાણ કરે છે; તેથી નવાંનવાં ઉપયોગોને લાયક ઉત્પાદનો કે સેવાઓ મૂકતા રહેવું, બજારોની રૂખમાંથી પોતાના લાંબા ગાળાના ફાયદાઓને પારખી કાઢવા જેવી સ્પર્ધાત્મક સરસાઇઓ આ કંપનીઓ કુદરતી રીતે જ હસ્તગત કરતી જણાય છે.
'પિરામિડનાં તળિયાં' [Bottom of Pyramid] ના (સૌથી ગરીબ) લોકોને રાજ્યાશ્રય તેમ જ બહુ વિકસિત દેશોની સખાવતના આધારે 'ગરીબી રેખા'ની ઉપર લઇ જવાના પ્રયાસો અને અભિગમની સામે, ડૉ. પ્રહલાદ 'પિરામિડનાં તળિયાં'ના લોકોને 'ગ્રાહક'ની દૃષ્ટિએ જોવાની વિચારસરણી રજૂ કરે છે. ૨૦૦૯માં જ્યારે આ વિચારધારાની અસરોને આવરી લેતી આ પુસ્તકની સંશોધિત આવૃત્તિ બહાર પડી, ત્યારે ડૉ. પ્રહલાદ અને તેમની સંશોધન ટીમો આ વિચારસરણીને અનુરૂપ અનેક દેશોમાંનાં વિવિધ ઉદાહરણ સ્વરૂપ કેટલીય સંશોધન કેસસ્ટડી પણ એકઠી કરી હતી. તે કેસસ્ટ્ડીઓ દ્વારા તેમણે પ્રતિપાદિત કર્યું કે એ વર્ગને Fortune @ BoPપરંપરાગત નજરોથી 'ગરીબ' જોવાને બદલે, બજારવાદી અભિગમ અને બહુરાષ્ટ્રીય કે દેશની મોટી કંપનીઓની મૂડી રોકાણ અને સંચાલનીય કાર્યશક્તિ દ્વારા જોવાથી, આ વર્ગ નવોત્થાનનું એક બહુ જ મહત્વનું ચાલકબળ બની શકે છે.
તેમનું ભારપૂર્વકનું કહેવુ રહ્યું છે કે 'પિરામિડનાં તળિયાં'નાં લોકોને 'ગ્રાહક' તરીકે જોવાની સાથેસાથે તેમને 'માનવી' તરીકે પણ સ્વીકારવા જોઈએ કે જેથી કરીને તેમની માનવસહજ શક્તિઓનો ગ્રાહક, ઉત્પાદક કે ઉદ્યોગ સાહસિક કે આર્થિક પુરવઠાની સાંકળની એક અવિભાજ્ય કડી તરીકેનો ઉપયોગ સમસ્યાનિવારણ માટેના ઉપાયોનાં સહસર્જનમાં કરી શકાય.
આ બાબતનો વિચાર કરવા માટે 'કોરી પાટી'થી શરૂઆત કરવી પણ આવશ્યક બની રહે છે. ભૂતકાળના સફળ કે નિષ્ફળ પ્રયાસો પર થોડાઘણા ફેરફારોનાં થીગડાં મારીને એ સમસ્યાઓનું ટૂંકા ગાળાનું નિવારણ કદાચ શક્ય બને; પરંતુ સફળતાના એ પર્યાવરણને ટકાવી રાખીને લાંબા ગાળે મૂળ પરિસ્થિતિ મુજબ ચક્ર ફરીથી ત્યાં જ આવી ન જાય તેમ કરવા માટે સાવેસાવ નવા, સર્જનાત્મક, અભિનવ, નવપલ્લિત પ્રયાસો જ આવશ્યક બની રહેશે.
'પિરામિડનાં તળિયાં'નાં લોકોની જરૂરિયાતો અને સમસ્યાઓ વિષે પૂર્વાનુમાનો કરી લેવાને બદલે તેમને તેમની જ ભાષામાં સમજવાં પણ પડશે.
BoPતેમના પુસ્તક, The Fortune At The Bottom Of The Pyramid માં ડૉ. પ્રહલાદે આ વિષયનાં અનેક પાસાંઓની વિગતે ચર્ચા કરી છે. તદુપરાંત પુસ્તકની બીજી સંશોધિત આવૃત્તિ માટે જે કોઈ પ્રયોગો (કે પરિયોજનાઓ) પર સંશોધનો કરવામાં આવ્યાં તેની કેસસ્ટડી પણ પુસ્તકમાં રજૂ કરાઇ છે. (આ કેસસ્ટડી અહીં પણ જોઇ શકાય છે.)
તેમનાં પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે કહ્યું છે એ મુજબ, આ બાબતે શું / કોણ સાચું છે કે શું /કોણ ખોટું છે તેની ચર્ચા અસ્થાને છે. આ દિશામાં જે કંઈ પ્રયોગો થયા છે, કે થઈ રહ્યા છે, કે થશે; તેમાં શું ખોટું થયું કે શું ખામીઓ રહી જશે તે ચર્ચાઓ પણ વ્યર્થ છે. ઘણું ખોટું થયું હશે, ઘણી ભૂલો પણ થઈ હશે; પરંતુ મહત્ત્વનું એ છે કે જે પ્રયોગો સફળ થયા છે તેની સફળતાનાં, કે જે સફળ ન રહ્યા તેનાં કારણોમાંથી હવે પછીથી આપણે શું શીખી શક્યાં છીએ, અને જે શીખ્યાં છીએ તે જાણીને તેને હવે પછીથી કઈ રીતે કામે લગાડીશું.
'પિરામિડનાં તળિયાં'ના સિધ્ધાંતનાં કેટલાંક ઉદાહરણો :
  • ભારતમાં એક સમયનું મોભાનું પ્રતિક મૉબાઈલ ફૉન આજે સંદેશાવ્યવહારના માધયમથી માંડીને નાનામાં નાની વ્યક્તિ માટે પોતાના વ્યાવસાયિક સંપર્કો જાળવી રાખવા અને બજારની છેલ્લાંમાં છેલ્લી માહિતી મેળવવા માટે એક મહત્ત્વનું સાધન બની ગયું છે; એટલું જ નહીં, પણ એ 'ફોન' હવે 'ફોન' નથી રહી ગયો, પણ એક કેમેરા, માહિતીઓનું એક ચાલતુંફરતું સંગ્રહસ્થાન, રેલ્વે ટિકિટ નોંધાવવા કે નાણાંની હેરફેર કરવા માટેનું સાધન જેવાં કેટલાંય કામો કરતું થઈ ગયું છે. તેની બહુ જ સરળતાથી, સાવ જ ઓછાં ખર્ચનાં રોકાણથી, મળી જતી ઉપલબ્ધતાને કારણે 'પિરામિડનાં તળિયાં'ના લોકો માટે તો કેટલીક અતિ મહત્ત્વની એવી સેવાઓ હાથવગી કરી આપતું સાધન બની રહ્યું છે. આમ એક તરફ આવા ફોન બનાવનારી કંપનીઓ કે સંદેશાવ્યવહારની સેવાઓમાં પ્રવૃત્ત કંપનીઓ માટે એક બહુ જ મોટું બજાર ખુલી ગયું, તો બીજી બાજૂ 'પિરામિડનાં તળિયાં'નાં લોકો માટે તેના કારણે જીવનની એક નવી દિશા મળી છે.
  • એક જ વાર ઉપયોગમાં લઇ શકાય તેવાં પડીકી [Sachet] ના માપનાં વપરાશનાં એકમો બિસ્કીટ, શૅમ્પૂ અને મોંઘી કક્ષાના ડીટર્જન્ટ પાવડરની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને નાનામાં નાના વપરાશકાર સુધી પહોંચાડે છે.
  • ‘અરવિંદ આઈ કેર’ જેવી સંસ્થાઓએ મોતિયાનાં ઑપરેશનોની ટેકનોલોજિને તળિયાનાં દર્દી સુધી પહોંચાડી આપી છે.
  • પીવાના પાણીને શુદ્ધ કરવાનાં ગૃહોપયોગી ઉપકરણોને ૧૦૦૦ રૂપિયાથી ઓછી કિંમત અને વીજળીનો વપરાશ નહીં એવી લાક્ષણિકતાઓનાં ધ્યેય વડે હિંદુસ્તાન લીવરે ભારતમાં તો એક નવી વેપારશક્યતા ઊભી તો કરી જ, પણ સાથે આ પ્રયોગને તેઓ વિશ્વનાં અન્ય કેટલાંય બજારોમાં લઇ જઈ શક્યા.
  • 'અમુલ'ની શ્વેતક્રાંતિએ તેના મૂળ આશય, પ્રમાણિત ગુણવત્તાવાળા દૂધની સહજ ઉપલબ્ધિને અતિક્રમીને, ગામડાંઓમાં મહિલા સશક્તિકરણના નવા આયામ પ્રસ્થાપિત કરી નાખ્યા છે.
  • બહુ જ ટાંચાં સાધનોવાળાં, સ્વરોજગારી પર નભતાં પિરામીડનાં તળીયાનાં લોકોને સૂક્ષ્મ લધુ નાણાંધીરાણનો પ્રયોગ બાંગલાદેશની 'ગ્રામીણ બેંકે બહુ જ અસરકારક સફળતાથી અમલ કરી બતાવ્યો. અહીં પણ મૉબાઇલ સંદેશા વ્યવહારના નવા જ પ્રકારના અભિગમથી થયેલા અમલને કારણે સૂક્ષ્મ લઘુધિરાણમાં નાણાં પરત કરવાની ટકાવારી ઉપર બહુ જ ક્રાંતિકારી અસરો પડતી જોવા મળી. આ જ પ્રયોગ જ્યારે ભારતમાં કરવામાં આવ્યો, ત્યારે ટુંકાગાળામાં મહત્તમ લાભ લેવાની 'દાનત'ને કારણે બહુ વિપરીત પરિણામો પણ જોવા મળ્યાં
આમ જ્યારે 'પિરામિડનાં તળિયાં'ને બજારનાં સ્વરૂપે જોઇ અને તેના વડે ગરીબી નિર્મૂલનની વાત ડૉ. પ્રહલાદે કહી હતી, ત્યારે આ વિચારધારાને વિકાસસશીલ દેશોમાં એક વધારે મૂડીવાદી અને સંસ્થાનવાદી વિચારધારા કહીને ઉતારી પાડવામાં આવી હતી, તો વિકસિત દેશોમાં 'આદર્શવાદી હવાઈ સ્વપ્ન' તરીકે તેને હાંસિયામાં ખસેડાઈ દેવામાં આવી હતી. આજે એ જ વિચારધારા ગરીબીનિર્મૂલન માટે એક સશક્ત, ટકાઉ, રચનાત્મક, સ્વયંસંચાલિત બની શકે તેવી વ્યૂહરચના તરીકે, અને મોટી કંપનીઓ માટે લાંબા ગાળાનાં પોષણક્ષમ બજારો માટે અને સ્પર્ધાત્મક સરસાઇની વ્યૂહરચનાતરીકે સ્વીકારાઈ ગઈ છે.
ઘણા દેશોમાં સમાજના તળિયાંના ગણાતા વર્ગનું મોટી બહુ જ શક્તિશાળી ગણાતી કંપની દ્વારા ગ્રાહક તરીકે સામર્થ્યીકરણ થવાને કારણે તેમને મળતી તે અને અન્ય સેવાઓમાં જે ભ્રષ્ટ શિથિલતા જોવા મળતી હતી તે પણ મહદ અંશે દૂર થયેલી પણ જોવા મળી છે.
ટીવી, ઇન્ટરનૅટ અને મૉબાઇલ સંદેશા વ્યવહાર સેવાઓના છેલ્લા દાયકામાં થયેલા વ્યાપક પ્રસારને કારણે પણ આ 'ખેલ'માં નવા નિયમો લખાઇ રહ્યા છે. અહીં એવી પણ કેટલીક પ્રક્રિયાઓ પરિવર્તીત થશે જેનાં પરિણામો બહુ જ દૂરગામી નીવડી શકે છે.
આમ દાયકાઓ સુધી જેની અસરો ગૂંજતી રહી (અને હજુ પણ ગુંજતી રહેશે) એવી આ બે બહુ જ મહત્ત્વની વિચારધારાઓને ડૉ. સી. કે. પ્રહલાદ આપણી સમક્ષ મૂકી ગયા છે.


(આ લેખ વેબ ગુર્જરી પર ૧૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ પ્રસિધ્ધ થયેલ.)