Showing posts with label Gujarat Steel Tubes. Show all posts
Showing posts with label Gujarat Steel Tubes. Show all posts

Sunday, August 2, 2015

શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબને આખરી વિદાય



શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબની સદા સકારાત્મક સૂરમાં છેલ્લાં થોડાં વર્ષોથી કુદરત સાથે ચાલી રહેલી લડાઈ જુલાઈ, ૨૦૧૫ની ૩૧મી તારીખે સંકેલાઈ ગઈ. છેલ્લાં થોડાં વર્ષોની તેમની નાનીમોટી બીમારીઓ, તેમનાં પત્ની (સુરેખાભાભી)ની પણ નિષ્ફળ પરિણામ સામે દેખાતી બીમારી અને આખરે સંગાથ છોડીને લીધેલી કાયમી વિદાય બીજાં કોઈમાં નિરાશા, ચીડ કે હાર કબુલી લેવાની લાગણી જન્માવી જ દે. પરંતુ આ બધાં વર્ષોમાં જ્યારે તેમને મળવાનું થયું છે કે તેમની સાથે વાત કરવાનું થયું છે, ત્યારે પરીખ સાહેબની સકારાત્મકતા અને જીવનની પ્રત્યેક અપેક્ષિત કે અનઅપેક્ષિત ઘટના પ્રત્યેની વિધેયકતામાં એક અંશ પણ કમી નથી અનુભવાઈ.  
એમની આ લાક્ષણિકતા તો સ્વાભાવિક જ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોના તેમના સંજોગોને કારણે વધારે નજરે ચડે. છેલ્લે જ્યારે ગયે અઠવાડિયે તેમની સાથે વાત કરી ત્યારે તેમના અવાજ કે સૂરમાં જરા સરખો પણ અંદાજ ન આવે કે પછીના અઠવાડીયે તેઓ હશે પણ નહીં! એ વાત કર્યા પછી તેમને તરત જ મળવા ન જઇ શકવાનો રંજ હંમેશાં મનમાં ખટક્યા કરશે.
આજે હવે ગુજરાત સ્ટીલ ટ્યુબમાં તેમની સાથે કામ કરવા મળેલાં ૧૯૭૩થી ૧૯૭૯નાં વર્ષો યાદ આવે છે ત્યારે પણ તેમની આ લાક્ષણિકતાનાં તો કેટકટલાંય ઉદાહરણો યાદ આવે છે. કોઈ જે કામ કરી શકે તેમ ન હોય (કે કરવા માગતું ન હોય) તે પરીખ સાહેબને ફાળે આવતું. માંડ કરીને એક આવા પ્રશ્નનો નીવેડો આવ્યો હોય, ત્યાં બીજા પ્રશ્નનું માથે આવી પડવું પણ સાવ સહજસામાન્ય હતું.  આવી આકસ્મિક, પહેલાં ક્યારે પણ કામ ન પડ્યું  હોય એવી ઘટનાઓને વિધેયાત્મકતાથી અવલોકવાની, ઘટનાની આસપાસ અને અંદર-બહારના પ્રવાહોને સમજી લેવાની અને પછી નવા જ દૃષ્ટિકોણથી તેની સાથે કામ પાર પાડવાના નિર્ણયો લેવાના તેમના અભિગમમાં ક્યારે પણ ફરક પડ્યો હોય તેમ યાદ નથી આવતું. સાવ જ બીનપરંપરાગત નિર્ણયો લેવામાં પણ તેમણે કદી પાછી પાની નહોતી કરી. આ કારણે દરેક વખતે બધાં જ લાગતાં વળગતાં લોકોને ખૂબ જ વિગતથી, ચીવટથી અને ઘણી બધી સરળતાથી આવા નિર્ણયો સમજાવવા પણ પડતા. પણ એવી કોઈ પણ વાત સમજાવતી વખતે તેમનામાં કંટાળો કે નિરાશા કે ચીડ નહોતી ભાળી.
અંગત રીતે, મને તો તેમની ખોટ બહુ જ સાલશે. મારી વ્યાવસાયિક કારકીર્દીના પાયાનું તેમણે ખૂબજ પ્રેમ અને ધીરજપૂર્વક જતનથી ઘડતર કર્યું છે. એ માટે હું કેટલાય જન્મો સુધી તેમનો ૠણી રહીશ એ શબ્દો પણ મારી અંદરની ભાવનાનો બહુ જ થોડો અંશ વ્યકત કરી શકે છે.
સ્ટીલ ટ્યુબ ઉદ્યોગને ફાળવવામાં આવેલ સ્ટીલ અને ઝિંકના આંકડાઓને કોઠામાં ગોઠવવાનું કામ સોપતા ત્યારે એ ખ્યાલ નહોતો આવતો કે મને આ કામ તેઓ શા કારણથી સોંપતા હશે. તે પછી જ્યારે તેની વિગતે ચર્ચા કરે ત્યારે સરવાળામાં ભૂલો જેવી બાબતો એટલી સરળતાથી બતાવતા કે બીજી વાર એ અને એવી કોઈ ભૂલ ન કરવાની ચીવટની મનોમન ગાંઠ વળી જ જતી. એ સાથે કાચામાલની ફાળવણીની નીતિના પ્રવાહો આ કોઠાઓમાંથી કેમ સમજવા, કંપની પર કે સમગ્ર ઉદ્યોગ પર નજીકના સમયમાં કે દૂરગામી તેનાં કેવાં પરિણામો , શા માટે આવી શકે તે અંગે તેમના અનુભવોનો નિચોડ પણ એટલી જ સહજતાથી સમજાવતા. જીવનમાં સફળ થવા માટે મોટી મોટી આવડતો સાથે નાની નાની બાબતોની કાળજીના પાઠ કોઈ જ ભાર રાખ્યા સિવાય (કે કોઈ ભાર પડવા દેવા સિવાય) તેમણે ભણાવ્યા.
જ્યારે જ્યારે તેમણે મને કોઈ નવું કામ સોંપ્યું હતું ત્યારે ત્યારે તેમના કહ્યાં કે વણકહ્યાં પીઠબળની મને જાણ તો થઈ જ જતી.તો બહારનાં લાગતાં વળગતાં લોકોને પણ એ પીઠબળ અને અધિકાર ખ્યાલ આવે તેવી ભૂમિકા પણ તેમણે ગોઠવી જ રાખી હોય. તેમણે જે બાબતોમાં મારા પર વિશ્વાસ મૂક્યો, તેમાં ક્યારે પણ અધૂરાશ તો છોડતા જ નહીં.મારી કારકીર્દીમાં મારા કેટલાય સાથીદારો સાથે હું પણ આ જ પ્રકારે કામ કરી શક્યો છું, અને એ રીતે તેમની મહેનતનું કંઈક વળતર હું વાળી શક્યો છું તેનો થોડો સંતોષ છે.
આવી તો કેટલીય વાતો મારી યાદપટ્ટી પર આજે તાજી થાય છે, જે એ સમયે કદાચ સાવ સામાન્ય જણાઈ હશે, પણ મારી કારકીર્દીના પાયાનાં ઘડતરમાં એ દરેકનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
તેમણે તેમના કામના ગાણાં કદી પણ ગાયાં નહોતાં. બીજાંએ એ કામોની કેટલી કદર કરી કે ન કરી તે વાત પણ તેમને ભાગ્યે જ સ્પર્શતી. એ ખરા અર્થમાં કર્મયોગીનો ભેખ લઈને બેઠા હતા.
ખેર, જેનો આદિ છે તેનો અંત પણ છે જ. પરીખ સાહેબનું જીવન એવી સુવાસ છોડી ગયું છે જેની નોંધ કહ્યે વણકહ્યે તેમની સાથે સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિનાં મનમાં ઊંડે ઊંડે રહી જ ગઈ છે.