Showing posts with label Jug Suraiya. Show all posts
Showing posts with label Jug Suraiya. Show all posts

Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ