Showing posts with label Kantiprasad Antani. Show all posts
Showing posts with label Kantiprasad Antani. Show all posts

Monday, November 27, 2017

શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા - ત્રીજો મણકો – ‘કચ્છની ગુજરાતી કવિતા :થોડા મહત્વના મુકામ’



ઈન્સ્ટિટ્યુટ ઑફ યુથ ડેવલેપમેન્ટ, ભુજ (કચ્છ- ગુજરાત) દ્વારા કચ્છના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી કાન્તિપ્રસાદ અંતાણીની સ્મૃતિમાં શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ કરાઇ છે.આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજવામાં આવે છે.
૧૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ભુજ(ક્ચ્છ, ગુજરાત) ખાતે આ વ્યાખ્યાનમાળાના ત્રીજા મણકાના વક્તા ગુજરાતના મુર્ધન્ય કવિ અને વિવેચક શ્રી રમણીક સોમેશ્વર  હતા. 

તેમણે કચ્છની ગુજરાતી કવિતા થોડા મહત્વના મુકામ' વિષે તેમના મનનીય વિચારો રજૂ કર્યા હતા.
તેમનાં વ્યક્તવ્યમાં રમણીકભાઇ પદ્યમાંથી કવિતાને તારવી કચ્છની ગુજરાતી કવિતાનો પ્રવાસ  ખેડે છે.
કચ્છી લોકસાહિત્યનો એક સરસ દોહરો
'ઢકે ઢકે ને ઢકી જ, નિયાંઈ ઢકજે જીં,
બાફ નિકટ ઘી બાર, તથાં પચંધા કી.'
                     ટાંકીને તેઓ જણાવે છે કે "નીંભાડાની આંચમાં વાસણ બરાબર પાકવાં જોઈએ, જો વરાળ, વચ્ચે જ નીકળી જાય તો વાસણ કાચાં રહી જાય." કવિતાનો શબ્દ પણ એ ઊર્મિઓ કે ભાવનાઓની વરાળ વડે પાકવો જોઈએ. જે ટકોરાબંધ હોય તેનાં  મૂલ થાય.
તેમનાં ખૂબ વિદ્વતાપુરણ વ્યક્તવ્યમાં, તેઓ શ્રોતાઓને કચ્છની ગુજરાતી કવિતાનાં કેવાં કેવં મૂલ થયાં છે તેનું વિહંગાવલોકન કારાવે છે.
'કચ્છની ગુજરાતી કવિતા'નાં વ્યાપક ચિત્માં તેઓએ ૧૪૦ વર્ષ પહેલાંના ક્ચ્છી કવિથી લઈને છેક વર્તમાન સમયના કવિઓ, છેલ્લા બેએક દાયકાં પ્રકાશમાં આવેલ કવયિત્રીઓ અને કચ્છની બહાર રહીને ગુજરાતી કવિતા દ્વારા કચ્છ સાથે મૂળિયાંનો સંબંધ જાળવી રાખતા કવિઓનાં સાહિત્યનો પરિચય રમણીકભાઈએ બહુ જ સરળ શૈલીમાં રજૂ કર્યો હતો.  


રમણીકભાઇ સોમેશ્વરનાં વ્યક્તવ્યને કે પુસ્તિકા સ્વરૂપે દસ્તાવેજિત પણ કરાયેલ છે. જે માટે પ્રકાશક શ્રી હરેશ ધોળકિયાનો 'ન્યૂ મિન્ટ રોડ, ભુજ (ક્ચ્છ) - ૩૭૦૦૦૧' અથવા dholakiahc@gmail.com  પર સંપર્ક કરી શકાય છે.
 

Tuesday, December 6, 2016

કચ્છ: એક જીવંત મ્યુઝિયમ - પ્રો. ડૉ. મહેશ ઠક્કર



શ્રી કાન્તિપ્રસાદ અંતાણી કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે..... પાંચથીય વધારે દાયકાથી તેમનો કચ્છ સાથે જીવંત, સીધો જ સંબંધ રહ્યો હતો.....   તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા હતા ! સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને સ્વાતંત્ર્યોત્તર કચ્છની પ્રગતિમાં તેમનું પ્રદાન અનેક રીતે મહત્ત્વનું રહ્યું છે.
તેમની સ્મૃતિમાં 'કાન્તિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાન માળા' શરૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજાશે. આ વ્યાખ્યાનમાળાનાં બીજાં પ્રવચન - કચ્છ: એક જીવંત મ્યુઝિયમ[i] © ડૉ. મહેશ ઠક્કર -માં પ્રો. ડૉ.મહેશ ઠક્કર  કચ્છની ઘણી જાણીતી-ઓછીજાણીતી બાબતોને કચ્છના ભૌગોલિક ઈતિહાસના અભ્યાસ દ્વારા આલેખે છે.
પ્રો.ડૉ.મહેશ ઠક્કર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભૂસ્તર શાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા છે. ડો. મહેશ ઠક્કરના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : mgthakkar@gmail.com | mgthakkar68@yahoo.co.in
ઉપગ્રહોથી લેવાયેલ તસ્વીરોમાં કચ્છની ભૂ-આકૃતિ કચ્છના અખાતમાં ઊંધી પડેલ કાચબાની ઢાલ
તરતી હોય એવી દેખાય છે. વાગડનો ઉચ્ચ પ્રદેશ કાચબાની બહાર નીકળેલી ડોક અને માથાનો ભાગ તેમ જ પચ્છમ, ખડીર, બેલા અને ચોચર જેવા ખડકાળ દ્વીપ સમૂહો કાચબાના પગ જેવા જણાય છે.આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે 'આભીર' તરીકે ઓળખાતા પ્રાન્તનું નામકરણ 'ક્ચ્છ' તરીકે પ્રસ્થાપિત થયાનું ઈતિહાસવિદો માને છે.
જોકે કચ્છના ધોળાવીરામાં મળી આવેલા સિંધુ ખીણના અવશેષો ૫૫૦૦ વર્ષ પહેલાનાં ઈતિહાસની ગવાહી પૂરે છે.હરપ્પાની લિપિ હજૂ પણ વણઉકાયેલ રહી હોવાને કારણે કચ્છ વિશેના ઘણા ખ્યાલ થવા જોઈએ તેટલા સ્પષ્ટ નથી થઈ શક્યા.  ધોળાવીરા સિવાય કાનમેર, કુરન, ખીરસરા જેવાં નાનાથી મધ્યમ કક્ષાનાં નગરોના અવશેષો આજે પણ વણઉકેલ્યું રહસ્ય જ રહ્યાં છે.
પાંચથી છ હજાર વર્ષના ઈતિહાસથી આગળ વધતાં નિયોલિથીક તથા પાષાણ યુગ વિશેપણ જો સંશોધન કરવામાં આવે તો કચ્છમાં સેંકડો જગ્યાઓ મળી આવે તેમ છે.પાંચ હજારથી એક લાખ વર્ષના વિવિધ વાતાવરણીય ફેરફારોની સાથે થયેલ આદિમાનવના ઈતિહાસનાં સોપાનોનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટેની પણ અઢળક શક્યતાઓ કચ્છમાં રહેલ છે.
કચ્છના ભૂભૌગોલિક જીવંત મ્યુઝિયમનો બીજો મહત્ત્વનો તબક્કો છે ૬૫ કરોડથી એક લાખ વર્ષના સમયગાળામાં બનેલા જળકૃત ખડકો (sedimentary rocks). ભૂસ્તરીય સમયસારણિ પ્રમાણે તેને તૃતીય મહાયુગ (Tertiary Age)ના નામથી ઓળખાય છે. આ જ સમયમાં ભારતની હિમાલય પર્વતમાળા પણ સમદ્રમાંથી ઉત્થાન પામી રહી હતી. આજે લિગ્નાઈટ તરીકે ઓળખાતાં ખનીજના નિર્માણમાં ખંડીય છાજલી વિસ્તારોમાં એ સમયે વિચરતાં અગણિત અપૃષ્ઠવંશી [Invertebrate] પ્રાણીઓનું ઈયોસીન યુગના વિશાળ કાર્બનેસીયસ શેલ ખડકોમાં થયેલું રૂપાંતરણ છે. તે જ રીતે ફોરામીનીફેર તરીકે ઓળખાતાં સૂક્ષ્મ પ્રકારના અપૃષ્ઠવંશી પ્રાણીઓના ખર્વોની સંખ્યામાં જમા થયેલ અવશેષો કાળક્રમે ક્ચ્છના ચૂના ખડકોના વિશાળ વિસ્તારમાં રૂપાંતર થયા.
કચ્છના ખડકો અને તેમાં આવેલ ખનીજો અને અશ્મિઓના અભ્યાસથી ભૂસ્તરશાસ્ત્રીઓ ૧૮ કરોડ વર્ષના ભૂસ્તરીય, ભૂકંપીય અને પર્યારવણીય ઈતિહાસ નોંધી અને ઉકેલી શક્યા છે.આ  સમયમાં કચ્છ વિસ્તાર આફ્રિકા ખંડથી છૂટો પડી પૂર્વ તરફ ખસી રહ્યો હતો એવાં તારણો નીકળે છે. ક્ચ્છના ખડકોમાં એ યુગની સમગ્ર ભારતીય ખંડની પ્લેટની મહત્ત્વની હલનચલનની જાણકારી જોવા મળે છે.કચ્છની ડુંગરમાળાઓ, ટેકરીઓ,નદીઓની ઊભી ભેખડો જ્યુરાસિકથી ટર્શીયરી યુગનો ઈતિહાસ સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 
રૂંવાડાં ઊભા કરી દેતા કચ્છના આ પૃષ્ઠવંશી ઈતિહાસ જેટલો અનેરો ઇતિહાસ પૃષ્ઠવંશી [Vertebrate]  પ્રાણીઓનો જ્યુરાસિક અને ટર્શિયરી ઇતિહાસ પણ છે. એ સમયે જ્યારે ડાયનોસોર જમીન પર અસ્તિત્ત્વમાં હતાં ત્યારે કચ્છના પત્થરો મહ્દ્‍અંશે દરિયાઈ વાતાવરણ સૂચવે છે. એટલે કચ્છમાં ખડીરની ઉત્તરે ચેરિયા બેટ કે ખાવડાની ઉત્તરે આવેલા કુંવારબેટ જેવા જૂજ પ્રદેશોમાં ઘસડાઈને આવેલાં ડાયનોસોર જેવાં પાણીઓનાં કંકાલોના અવશેષો મળી આવે છે. સમગ્ર એશિયામાં મહત્વનું સાબિત થયેલું આવું એક ઈકથીયોસોરસ નામે જાણીતાં ડોલ્ફીન જેવાં દેખાતાં પ્રાણીનું સંપૂર્ણ કંકાલ કચ્છ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીઓની એક ટીમને પ્રો. મહેશ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ કરાયેલ એક સંશોધન દરમ્યાન મળી આવેલ છે.
જેમ કચ્છના જળકૃત ખડકો કરોડો વર્ષ પુરાણા છે અને જેમ એ સમયે થયેલા વાતાવરણના ફેરફારો સૂચવે છે, તે જ રીતે, કચ્છના રણના અને ખડકીય ઉચ્ચ પ્રેદેશો વચ્ચે આવેલા માટીયુકત વિશાળ વિસ્તારો  'ક્વાર્ટનરી ભૂસ્તરશાસ્ત્ર'તરીકે ઓળખાતા છેલા ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ વર્ષના સમયકાળના ભૂસ્તરીય, ભૂકંપીય અને વાતાવરણના ફેરફારોના અભ્યાસ માટેની જીવંત પ્રયોગશાળા નીવડેલ છે. આ ઉપરાંત કચ્છના રણમાં આવેલ અલ્લાહ બંધનો વિસ્તાર છેલ્લા બસ્સો વર્ષના ભૂકંપીય હલનચલનથી બનતી ધરાકૃતિના અભ્યાસનું ઉત્તમ સ્થાન છે.  

અલ્લાહ બંધ અને સિંદરી સરોવરનું સ્થાન બતાવતી સેટલાઈટ તસવીર

ભૂસ્તરશાસ્ત્રની આ અઢળક ખૂબીઓ ઉપરાંત કચ્છને પક્ષી પ્રેમીઓ માટેનું પણ સ્વર્ગ માનવામાં આવે છે. ખડકાળ ડુંગરાળ પ્રદેશના,બન્નીના ઘાસીયા મેદાનોના, મીઠાયુકત વિશાળ રણ પ્રદેશના, વિવિધ દરિયાકાંઠાના પ્રદેશો અને વેટલેન્ડ વિસ્તારોમાં અનેકવિધ પક્ષીઓ જોવા મળે છે. વળી આ વિસ્તારોમાં આવતાં યાયાવરી પ્રકારનાં સાઈબિરીયાથી આવતાં સુરખાબ જેવાં પક્ષીઓ તો કચ્છની આગવી ઓળખ બની રહ્યાં છે.
પક્ષીઓની જેમ પ્રાણીઓમાં મહદ્‍ અંશે કચ્છના નાના રણમાં જોવા મળતા વિશ્વની અજોડ પ્રજાતિ સમ જંગલી ગધેડા (ઘુડખર)ની જેમ જ નીલગાય કે કચ્છી વાઈલ્ડ બોર જેવાં પ્રાણીઓ પણ હવે કચ્છના જીવંત ઇતિહાસની એક અલગ તવારીખનાં પૃષ્ઠો છે.
  
રણ પરિસર વિજ્ઞાન, કાંઠાળ પ્રદેશ પરિસર વિજ્ઞાન, જળપ્લાવિત જમીન પરિસર વિજ્ઞાન, પર્વતીય પરિસર વિજ્ઞાન કે દરિયાઈ પરિસર વિજ્ઞાન જેવા વિષયો માટે કચ્છ એક આદર્શ પ્રયોગશાળા છે. ૨૧મી સદીના ઔદ્યોગિક 'વિકાસ'ને કારણે દરિયાઈ પ્રદેશોના પરિસરનાં એક મહત્ત્વના અંગ સમાં ચેરીયાંના જંગલો હાલે નાશના જોખમના ઉંબરે ઊભાં છે.
કચ્છનાં માનવ જીવનની મૂળભૂત શૈલીઓ, ભાતીગળ સંસ્કૃતિઓ અને તેની સાથે જોડાયેલ કચ્છી ભરતકામ, કાપડ પરનાં રંગકામ, શાલ-ધાબળી જેવાં ગરમ વસ્ત્રોનું વણાટકામ કે પશુપાલન જેવા આજિવિકા પૂરા પાડતા વ્યવસાયો કે ભૂંગા જેવાં ઘરો, ઘરોની ભીતો પરનાં વિશિષ્ટ ચિત્રકામ કે ઘર સજાવટમાં વપરાતાં હાથગુંથણકામ જેવાં અનેકા પાસાંઓનો પણ અધાર આ વિવિધ પ્રકારનાં પરિસર છે. ઉદાહરણ તરીકે,૫૦૦-૭૦૦ વર્ષો પૂર્વે આવીને સ્થાયી થયેલ બન્ની પ્રદેશના જત લોકો અહીંના રબારી-ભરવાડ લોકથી ઘણી રીતે જૂદા છે. એ જ રીતે ક્ચ્છનાં સમગ્ર પરિસરમાં ઘાટાં અને તેજસ્વી રંગો ધરાવતાં ફૂલો કે વનસ્પતિઓનો અભાવ છે. આ ભાવની પૂર્તતા કરવા માટે અહીંનાં ભરતકામ અને રંગકામમાં ઘાટા અને ભડકીલા રંગોનું પ્રભુત્વ વધારે જોવા મળશે.
કચ્છના ગામડે ગામડે ગામનાં નામો, પાળિયાઓ, લોક સંસ્કૃતિ, લોકબોલી, લોકકલા, લોકમેળાઓમાં કચ્છનો ઇતિહાસ ધરબયેલો પડ્યો છે. અહીંના ગ્રામ્યજનોની ગાથાઓ અને લોકકથાઓના અરીસામાં અહીંના રાજવી કુટુંબ અને તેના અત્યાચારી કાયદાઓ અને કડક શાસનનાં પ્રતિબિંબ પડે છે.
આમ કચ્છની જીવંત પ્રયોગશાળા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂકંપશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, જીવાવશેષશાસ્ત્રીઓ, પરિસર વિજ્ઞાનીઓ, પુરાતત્ત્વવિદો, ભૂગોળશાસ્ત્રીરસાયણ વિજ્ઞાનીઓ, સમુદ્રકીય જીવશાસ્ત્રીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, પક્ષીવિદો, પ્રાણીવિદો, સમાજ શાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, અર્થશાસ્ત્રીઓ, વ્યવસ્થાપનવિદો, પર્યાવરણવિદો જેવા તજજ્ઞો માટે ગહન અભ્યાસ અને સંશોધન માટે અફાટ ખજાનો પૂરો પાડે છે.


સંકલનકારની નોંધઃ
૧. અહીં મૂકેલ અલ્લાહ બંધની તેમ જ ઘુડખર અને નીલગાયની તેમ જ અન્ય તસવીરો  વિકીપીડિયા પરથી લેખના વિષયની સાથે સંકળાતી હોવાથી પૂરક માહિતી અર્થે સાભાર લીધેલ છે.
૨. વિશ્વવિખ્યાત પક્ષીવિદ્યાનિષ્ણાત સલીમ અલીનું પુસ્તક 'The Birds of Kutch' (1945)  એક સિમાચિહ્નરૂપ સંદર્ભગ્રંથ છે.


[i]  આ પ્રવચનનું  પુસ્તિકા રૂપે પ્રકાશન હરેશ ધોળકિયાએ [સંપર્ક સરનામું ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ) ૩૭૦ ૦૦૧] કરેલ છે.