Showing posts with label Nassim Nicholas Taleb. Show all posts
Showing posts with label Nassim Nicholas Taleb. Show all posts

Thursday, November 27, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – ઉત્તરાર્ધ

લેખના પૂર્વાર્ધમાં આપણે નસ્સીમ તાલેબના યાદૃચ્છિકતા વિષેના વિચારોનો પરિચય કર્યો. તાલેબનાં અત્યાર સુધીનાં છેલ્લાં બે પુસ્તકો અને કેટલીક સંલગ્ન રસપ્રદ આડવાત વિષે જાણવા માટે આજના આ ઉત્તરાર્ધને વાંચીએ...

clip_image002
પ્રોક્રસ્ટીઝની પથારી : દાર્શનિક અને વ્યવહારુ સૂત્રો \ The Bed of Procrustes: Philosophical and Practical Aphorisms. [2010]
 
clip_image004તાલેબના મત મુજબ મોટા ભાગની આજની દુનિયા, અને તેમાં પણ નાણાં વિશ્વ તો ખાસ, પ્રોક્રસ્ટીઝની પથારી જેવી છે. આજની સંકુલ વાસ્તવિકતાઓને અનુરૂપ સિદ્ધાંતો અને મૉડેલમાં ઢાળવાને બદલે આપણે મૉડેલ કે સિદ્ધાંત પ્રમાણે વાસ્તવિક જગતને વેતરવાની વેતરણમાં રહેતાં હોઈએ છીએ; અને પછી જ્યારે તેમાં સફળ ન થઈએ ત્યારે મૉડેલ કે સિદ્ધાંતની અધૂરપ કે ત્રુટિને સ્વીકારવાના બદલે પહેલેથી પારખી ન શકાયેલાં બાહ્ય પરિબળોને 'આ કાળા હંસ જેવી ઘટનાઓ તો આપણા કાબૂમાં જ કયાં હતી !' એમ કહીને દોષ દેવા બેસી જઈએ છીએ.

‘પ્રોક્રસ્ટીઝની પથારી’ જીવનની યાદૃચ્છિકતાની સરાહનાનો ઢંઢેરો નથી, કે નથી તે તેની મગરૂરી (અને અજ્ઞાન)ની આલોચના. નાણાં કે રોકાણ જેવા વિષય પરનાં થોથાંને બદલે ઓસ્કાર વાઈલ્ડના કટાક્ષમાં ઝબોળેલા ચાબખાઓના સંકલન જેવું આ પુસ્તક વધારે જણાશે. આવો, તેમાંનાં કેટલાક વિચારપ્રેરક ચાબખાની આપણે મજા પણ ઉઠાવીએ :
  •  “જગતને સમજવા વિજ્ઞાન જોઈએ, પણ વ્યાપાર જગતમાં તો લોકોમાં ગેરસમજ ઊભી કરવા માટે તે વધારે કામ આવે છે.“
  •  “ભણતર સમજુને થોડો બધુ સમજુ બનાવે છે, પણ મૂર્ખાઓને તો બહુ જ જોખમી બનાવી મૂકે છે.”
  •  “કુદરતમાં કોઈ પણ ગતિ બેવડાતી નહીં જોવા મળે, પણ ઑફિસ, વ્યાયામશાળા, દરરોજની કામ પર આવવાજવાની સફર કે ખેલકૂદ જેવી બંધક પ્રવૃત્તિઓમાં તો ફરીફરીને એનું એ જ થતું રહે છે, કોઈ જ પ્રકારની યાદૃચ્છિકતા માટે ત્યાં જગ્યા જ નથી.”
  • “જ્યાં સુધી કોઈની જાત પર હુમલો ન લઈ જાઓ, ત્યાં સુધી કોઈ દલીલ જીતી જ નથી શકાતી.”
  • “અખબારોથી કાયમી છૂટકારો મેળવવો હોય, તો એક વર્ષ પૂરતી ગયા અઠવાડિયાનાં અખબાર વાંચવાની આદત કેળવો.”
  •  “સામાન્યતઃ લોકો કોઈ આદર્શ વ્યક્તિત્વ જેવાં થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે; પણ મોટાં થતાં અસરકારક નીવડી રહેવા માટે આનાં જેવાં જ ન થવાય તેવા પ્રતિઆદર્શોને નજરમાં રાખવા જોઈએ.”
  • "હેરોઈન, કાર્બોહાઈડ્રેટ અને દર મહિને મળતો પગાર એ ત્રણ સહુથી વધારે હાનિકારક વ્યસનો છે. મારી સફળતાનું માપ તો એક જ છે - મારી પાસે માખીઓ મારવા માટે કેટલો સમય છે.”
  •  “પદ્ય કે બહુ જ ઉત્કૃષ્ટ સાહિત્યનાં ટુંકાવી ન શકાય એવાં પુસ્તકો તો જૂજ હોય છે, ઘણાંને દસ પાનામાં ટુંકાવી દઈ શકાય અને મોટા ભાગનાંને કોરાં પાનાંમાં જ ટુંકાવી દઈ શકાય.”
  •  “કહે છે કે રૂખ પરથી સુસંગતતાને પારખવામાં સમજદારી છે (ઘટનાઓનાં), પણ આજના અટપટા વિશ્વમાં ખરી સમજદારી તો ભૂલથાપ ખવડાવતી રૂખને નજરઅંદાઝ કરીને જે અપ્રસ્તુત છે તેને પારખવામાં છે.”
  •  “શું ન કરવું તે સ્પષ્ટ પણે કહેવાને બદલે, આપણે શું શું કરવું જોઈએ એ કહેનારા જ વ્યાપાર જગતના ખરા ઊંટવૈદો છે.”
  • “સરકારી ખૈરાત અને ધૂમ્રપાન વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ‘આ મારી છેલ્લી સિગારેટ છે’ ગણ્યાગાંઠા કિસ્સાઓમાં પણ સાચું ઠરતું વિધાન છે.”
() () () ()
પ્રતિનાજુક - અવ્યવસ્થામાં લાભમાં રહેતીવસ્તુઓ \Antifragile: Things That Gain from Disorder [૨૦૧૨]
 
‘ધ બ્લેક સ્વાન’ અને ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’ જેવાં પહેલાંનાં પુસ્તકોમાં પ્રસ્થાપિત કરી ચૂકેલ વાતને આગળ ધપાવતાં, તેમના સહુથી છેલ્લા પુસ્તક ‘Antifragile’ માં તાલેબનું કહેવું છે કે ભવિષ્યની સહુથી મહત્ત્વની ખૂબી એ છે કે તેની આગાહી કરવી બહુ જ મુશ્કેલ, લગભગ મૂર્ખામી ભરેલ,કામ છે. એના કરતાં અનિશ્ચિતતા, યાદૃચ્છિકતા કે ઉથલપાથલ થતા સંજોગોને સ્વીકારી લેવામાં શાણપણ છે.

clip_image006"નાજુક'', ‘અડો તો પણ કરમાઈ જાય તેવું'-નો વિરૂદ્ધાર્થ શું કરવો ? મોટાભાગે જવાબમાં, 'મજબૂત કે 'ટકાઉ' કે 'બરછટ' સાંભળવા મળશે. 'મજબૂત' કે 'ટકાઉ' કે 'બરછટ' અચાનક થતાં પરિવર્તનો સાંખી જરૂર લઈ શકે - આકમિકતા સાથે તેમને કંઈ જ લેવાદેવા નથી હોતી. પરંતુ ‘નાજુક'નો ખરો વિરૂદ્ધાર્થ તો અચાનક જ આવતા આંચકાઓમાં મહોરી ઊઠવામાં જ ચરિતાર્થ થઈ શકે. અને તેથી તાલેબ 'પ્રતિનાજુક' શબ્દ પ્રયોગ કરે છે.

તાલેબનાં સહુથી છેલ્લા પ્રકાશિત થયેલ પુસ્તક Antifragileમાં નાજુકતાને ઘટાડવા માટે ભવિષ્યની યોજનાઓ ઘડ્યા કરવી, અને પછી અણકલ્પ્યાં પરિણામોને સમજાવ્યા કરવાને બદલે 'પ્રતિનાજુક' થવાની વાત છે.

તાલેબનું કહેવું છે કે જે ખરા અર્થમાં પ્રતિનાજુક છે તે અચાનક આવી પડેલ (અવળા) સંજોગોમાં પણ નીખરે છે કારણકે બીજાં બધાંની જેમ બાહ્ય દબાણ તેને પણ અસર તો કરે છે, પણ પછી ફરી સુવ્યવસ્થિત પણ તે જાતે જ થતાં રહે છે.

તેમનું માનવું છે કે સજીવ સૃષ્ટિ કે પછી બહુ જ જટિલ તંત્રવ્યવસ્થા મોટાભાગે 'પ્રતિનાજુક' જોવા મળે છે. જૈવિક ઉત્ક્રાંતિ, ટેક્નોલોજિનો વિકાસ કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાઓ ગડબડીયા, પડ-આખડ જેવાં અણકલ્પ્યાં વાતાવરણથી ટેવાઈ ગયેલી કહી શકાય. કુદરતી અનિશ્ચિતતાઓથી બચવામાં સરવાળે જોખમ જ છે. તેઓ કહે છે કે ત્સુનામી કે ધરતીકંપ ક્યારે આવી પડશે તે કદાચ ભલે કહી ન શકાય, પણ તેની અસર સામે ભાંગી પડે તેવાં બાંધકામ કરવાં એ તો નરી મૂર્ખામી જ છે. પ્રતિનાજુકતાને આપણી જીવનપદ્ધતિમાં સમાવી લેવી એટલે 'કાળા હંસ' જેવી આકસ્મિક ઘટનાઓથી ઓછામાં ઓછું નુકસાન વેઠી, તેનો બને તેટલો લાભ ઊઠાવી લેવો.

પુસ્તકમાં આ માટેના અલગ અલગ શક્ય ઉપાયોની પણ ચર્ચા જોવા મળે છે. "'અજમાયશ અને ભૂલ' (માંથી શીખવાની) પડઆખડ"ને, આપણા વિશ્વને કેટલું ઓછું જાણીએ, સમજીએ છીએ અને એટલી પણ સમજણ પર વધારે પડતા મદારનાં કેવાં પરિણામો ભોગવીએ છીએ તેની અલગારી રખડપટ્ટી પણ કહી શકાય. “આપણા વિશ્વનાં એવાં કેટલાંય રહસ્યો છે જે જાતે અભ્યાસ કર્યા સિવાય, માત્ર બીજાંના અભિપ્રાયના જોરે સમજવાં અશક્ય છે.:

પ્રતિનાજુક તંત્ર વ્યવસ્થામાટે નિષ્ફળતાઓનું પણ બહુ મહત્ત્વ છે, એ વાત પણ પુસ્તકમાં વારંવાર કહેવાતી રહી છે. વ્યક્તિગત રીતે કે સામૂહિક સ્તરે, સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણે ઘણું વધારે શીખી શકીએ. કોઈ સિપાહી નિષ્ફળ નથી હોતો, તે કાં તો તે લડાઈની તૈયારીઓમાં જીવતો રહે કે કાં તો લડાઈમાં મરણ પામે; ભાગ્યે જ કોઈ સિપાહી નામર્દાઈની જિંદગી જીવવાનું પસંદ કરશે. એ જ સૂરમાં તાલેબ કહે છે કે નિષ્ફળ જતા ઉદ્યોગ સાહસિકો કે વૈજ્ઞાનિક સંશોધકોને, તાર્કિક ભૂમિકાએ, શહીદ થતા લશ્કરના જવાન જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.

તાલેબને ખુરશીમાં બેસીને સિદ્ધાંતોની ચર્ચાઓ કરતાં લોકોને બદલે તેને વાસ્તવિક જીવનમાં અમલમાં ઉતારતાં એવાં લોકો માટે વધારે લગાવ છે જે પ્રયાસોમાંથી મળતા પદાર્થપાઠને આગળ જવા માટેનાં હોકાયંત્ર તરીકે વાપરે છે. ઉથલપાથલના પ્રવાહો સાથે લવચિકતા અને ઉત્પાદકતાનો સંબંધ કેળવવામાં ખરી ખૂબી રહેલ છે.

ઉથલપાથલ સાથે કેમ કામ લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કુદરત પૂરું પાડે છે. તે આકસ્મિક ઘટનાઓની સાથે કામ લેવા માટે આગાહીઓનો આશરો લેવાને બદલે પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેને પચાવી લે છે. એમ કહી શકાય કે નાની નાની આપત્તિઓ તો જાણે કુદરતને ગમે છે.

નાની આપત્તિઓથી કુદરત પોતાના તંત્રને સાજું નરવું કરી લે છે. કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી રાખી મૂકવાથી તેને કોહવાટ કે કાટ જ લાગશે. ત્રણ અઠવાડિયાં કંઈ જ કર્યા સિવાય પથારીમાં પડી રહો પછી શું હાલત થશે તે કહેવાની જરૂર છે ખરી ?

[] [] [] [] []

'મજબૂતીકરણ' અને 'પ્રતિનાજુકતા" જેવા વિચારોને હજુ વધારે સરળ રીતે સમજાવી શકાય તે રીતે કેમ રજૂ કરવા એને આજની તારીખમાં તાલેબ પોતાના માટે સહુથી મોટો પડકાર ગણે છે. અત્યારસુધી પ્રયોજેલ શબ્દ પ્રયોગોની ભાષામાં કહીએ તો 'કાળા હંસ' સમી આકસ્મિક, આત્યંતિક અને થયા પછી જ સમજાવી શકાય તેવી ઘટનાઓને જીરવવા અને તેમાંથી નીખરી ઉઠવા માટે પ્રતિનાજુકતા કેમ કેળવવી એ 'પોતે કેટલું જાણે છે તે જાણવાથી તે હકીકતે ઓછું જાણનાર' વિદ્વાનોને કેમ સમજાવવું એ તેમની સામેનો પડકાર છે.

તેઓ મધ્યમ માર્ગને બદલે જોખમના બે અંતિમોની વચ્ચેના ખેલના સંતુલનના પુરસ્કર્તા છે. દા. ત. જોખમ અસ્પષ્ટ હોય તેવા સંજોગોમાં ૧૦૦ રૂપિયા 'મધ્યમ જોખમી' રોકાણમાં કરી બધી જ મૂડીને જોખમમાં મૂકી દેવાને બદલે ૯૦ % એક્દમ સલામત સ્વરૂપ (જેવું કે રોકડ) અને ૧૦% ભલે ખાસ્સું જોખમી પણ ઘણું જ સારું વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવાથી સરવાળે જોખમ તો મૂડીના ૧૦%નું જ રહ્યું અને નફો થાય તો સહુથી સારા વળતરનો લાભ ક્યાં નથી !
{} {} {} {}

Ø નસ્સીમ તાલેબનાં વ્યકતવ્યોની વીડિયો ક્લિપ્સને, Nassim Nicholas Taleb -LARGE AGGREGRATION OF NASSIM TALEB VIDEOS GENERATED BY YOUTUBE, પર એકત્રિત કરાઈ છે.

Ø નસ્સીમ નિકોલસ તાલેબ વિષે વધારે, તાજી, માહિતી મેળવતાં રહેવા માટે તેમની વેબસાઈટ, NASSIM TALEB .org (UNOFFICIAL news site), ની મુલાકાત લેતાં રહેશો.

ખરા અર્થમાં તો આપણા માટે આયોજન કરવું શક્ય જ નથી,કારણે કે ભવિષ્યને તો આપણે પુરેપુરૂં ક્યાં જાણીએ જ છીએ. જો કે, આપણી એ મર્યાદાને ધ્યાનમાં રાખીને જરૂર આયોજન કરી શકાય. હા, એ માટે જીગરમાં હામ જોઈએ !

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૨૬-૯-૨૦૧૪

Wednesday, November 26, 2014

મૅનેજમૅન્ટ ગુરુઓ : નસ્સીમ નિકોલસ તાલેબ – પૂર્વાર્ધ

-
clip_image002
clip_image003
નસ્સીમ નિકોલસ તાલેબ (ઍરેબિક : نسيم نيقولا نجيب طالب‎) લિબનીઝ-અમેરિકન નિબંધકાર, તજજ્ઞ અને આંકડાશાસ્ત્રી છે. યાદૃચ્છિકતા, સંભાવના અને અનિશ્ચિતતા તેમનાં અભ્યાસ, વ્યવસાય અને લખાણોમાં કેન્દ્રસ્થાને રહે છે. તેમનું સહુથી વધારે જાણીતું પુસ્તક 'ધ બ્લૅક સ્વાન' બીજા વિશ્વયુદ્ધ પછી પ્રકાશિત થયેલ સહુથી વધારે પ્રભાવશાળી ૧૨ પુસ્તકોમાં ગણના પામે છે. તેમનાં બધાં જ પુસ્તકો અને લેખો બહુ જ વંચાય અને ચર્ચાય છે.

તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં અધ્યાપન પણ કર્યું છે. પરંતુ તેમના મૂળ વ્યવસાયની શરૂઆત બજારોમાં લેવેચના સોદા કરતા ડેરિવેટીવ ટ્રેડર તરીકે થયેલી. આગળ જતાં હેજ ફંડ મૅનેજર, ગાણિતિક નાણાંશાસ્ત્રના તજજ્ઞ જેવી ભૂમિકાઓ પણ ભજવી. રિસ્ક એન્જિનિયરીંગ તેમનો પ્રિય વિષય રહ્યો છે. સંભાવના [Probability] અંગેની પ્રાયોગિક, ગાણિતિક અને દાર્શનિક સમસ્યાઓ તેમનાં કામના કેન્દ્રમાં છે. રાજકીય સ્થિરતા, જોખમ અંગેનાં પગલાંઓનું કેન્દ્રાભિસરણ, આંકડાકીય યંત્રવિજ્ઞાન, મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો અને નીતિને લગતી જોખમ-આધારિત તંત્રવ્યવસ્થાઓ જેવા વિષયો, જોખમ અંગેનાં તેમનાં કામમાં પ્રધાન સ્થાને છે.

તેઓ વર્તમાન નાણાકીય વિશ્વની રિસ્ક મૅનેજમેન્ટની પદ્ધતિઓના બહુ જ આકરા આલોચક રહ્યા છે. કોઈપણ આદર્શ બજાર વ્યવસ્થામાં યાદૃચ્છિકતાનાં મહત્ત્વને અવગણીને સુરેખ રૂખની મદદથી કરાતી આગાહીઓ માટેનો આગ્રહ તેમની નાપસંદનો કેન્દ્રવર્તી દૃષ્ટિકોણ રહ્યો છે.તેમના ટ્રેડીંગના દિવસોમાં તેમણે આ આગાહીવાદીઓથી અલગ હટીને કરેલા સોદાઓની અઢળક કમાણીને કારણે જ તેમની પાસે ફુરસદનો સમય આવી શક્યો તેવું તેઓ દરેક મંચ પર ભારપૂર્વક કહેતા રહ્યા છે. એ રીતે મળી ગયેલ અનઅપેક્ષિત ફુરસદના સમયને કારણે જ તેઓ ડૉકટરેટ સુધીનો અભ્યાસ અને આટલું બધું લખી/ વિચારી શક્યા છે, તે ખુદ પણ એક કાળા હંસ સમાન ઘટના જ છે તેમ પણ તેઓ હળવી ગંભીરતાથી કહેતા રહે છે.

આગાહી કરવી મુશ્કેલ હોય તેવી ઘટનાને સારી રીતે જીરવી શકતો હોય તેવા સમાજની તેઓ ખેવના કરે છે. તેઓ તંત્ર વ્યવસ્થાઓમાં 'પ્રતિનાજુકતા' [Antifragility]ના પ્રખર હિમાયતી છે. તેઓ એવાં તંત્ર વ્યવસ્થાપનની તરફેણ કરે છે જે અમુક કક્ષાની યાદૃચ્છિક ઘટનાઓ, ભૂલો કે વધઘટની ઉથલપાથલોને કારણે ફાયદામાં રહે અને તેના કારણે વિકસે. તેઓ બહિર્મુખ ખાંખાંખોળાની વૈજ્ઞાનિક શોધખોળની એવા મહત્ત્વના માર્ગ તરીકે હિમાયત કરે છે, જેમાં દિશાનિર્દિષ્ટ સંશોધનને બદલે અનેકવિધ વિકલ્પ વ્યવસ્થાના પ્રયોગો પણ યાદૃચ્છિક સંભાવનાઓના બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં ઉપયોગમાં લેવાતા હોય.
= = =

કૌટુંબિક પશ્ચાદ્‍ભૂમિકા અને અભ્યાસ
clip_image005
યુવાન નસીમ
નસ્સીમ તાલેબનો જન્મ લેબનોનનાં અમ્યૂંમાં થયો હતો. તેમનાં માતા, મીનરવા ઘોસ્ન, અને પિતા નજીબ તાલેબ ગ્રીક રૂઢિચુસ્ત લેબનાની સમાજજીવન વ્યતીત કરતાં હતાં. નસ્સીમના પિતા ઑન્કૉલોજીના તબીબ અને નૃવંશશાસ્ત્રના સંશોધક હતા. નસ્સીમ તાલેબનાં કુટુંબનું રાજકીય મહત્ત્વ અને સંપત્તિ, ૧૯૭૫માં શરૂ થયેલ લેબનાની આંતરવિગ્રહ દરમ્યાન ઘસાઈ ગયાં હતાં.

નસ્સીમ તાલેબ બહુ ભાષાઓના જાણકાર છે. અંગ્રેજી ફ્રેંચ,અને પ્રાચીન ઍરેબિકમાં તેઓ પ્રાવીણ્ય ધરાવે છે, તો તે સાથે ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓમાં વાતચીત કરવા જેટલી અને ગ્રીક, લેટિન, ઍરેબિક અને પ્રાચીન હિબ્રુના પ્રાચીન ગ્રંથો વાંચી શકવાની કુશળતા ધરાવે છે.
0000


નસ્સીમ નિકોલસ તાલેબનાં પુસ્તકો બહુ જ વંચાયાં અને ચર્ચાયાં છે.

તાલેબનાં લખાણોમાં જે તાજગી જોવા મળે છે તેનું એક કારણ ક્દાચ એ પણ છે કે આ પ્રકારનાં પુસ્તકોના અન્ય લેખકો કરતાં તેમની પશ્ચાદભૂમિકા મહદ્ અંશે અલગ છે - મોટી કંપનીની નોકરી તેમણે લાંબા સમય પહેલાં છોડી દીધી છે, શિક્ષણ જગત સાથે તેમનો સંબંધ બહુ ગાઢ નથી, પત્રકારત્વ તેમનો વ્યવસાય નથી, તેમનાં લખાણનું પ્રાથમિક ધ્યેય આર્થિક ઉપાર્જન પણ નથી. પોતે જે અનુભવ્યું તેને પોતાનાં લખાણો અને વિચારો દ્વારા લોકો સાથે વહેંચવું તેને તેમની પ્રેરણાનું મૂળ કહી શકાય.

‘એન્ટીફ્રેજાઈલ’, ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’, ‘ધ બ્લેક સ્વાન’, અને ‘ફૂલ્ડ બાય રેન્ડમનેસ’ – પોતાનાં આ ચાર પુસ્તકસમૂહને તાલેબ ઇટાલિયન ભાષાના શબ્દ પ્રયોગ, INCERTO [જેનું બહુ જ નજીકનું ગુજરાતી "અનિશ્ચિતતા' કરી શકાય] વડે વર્ણવે છે. અપારદર્શકતા, નસીબ,અનિશ્ચિતતા, સંભાવના, માનવીય ત્રુટિઓ અને જ્યારે આપણને કંઈ જ સમજણ ન પડતી હોય ત્યારે લેવાતા નિર્ણયોની તપાસની, એક બીજાથી અલગ રીતે, દાર્શનિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક ચર્ચાઓને આવરી લેતાં આ ચાર પુસ્તકોની શૈલી, આ પ્રકારના વિષયની ગંભીર ચર્ચા માટે ઘણી જ નવી કહી શકાય તેવી આત્મકથાનક વાતો અને બોધકથાઓનાં સ્વરૂપની છે.

Incertoનું મુક્તપણે ડાઉનલોડ કરાઈ શકે તેવું સમાંતર ગાણિતિક સ્વરૂપ Silent Risk પણ તેમણે રજૂ કરેલ છે, જેની એક સંક્ષિપ્ત કહી શકાય તેવી ટીવી ચર્ચા અહીં જોઈ શકાય છે.

નસ્સીમ તાલેબની વિચારસરણીને સમજવા માટે આપણે તેમનાં આ ચાર પુસ્તકોની સંક્ષિપ્ત ચર્ચા કરીશું.

યાદૃચ્છિકતાની છેતરામણી- (આકસ્મિક) ઘટનાનું જિંદગી અને બજારમાં મહત્ત્વ\ Fooled by Randomness: The Hidden Role of Chance in Life and in the Markets [2005]
clip_image008
‘યાદૃચ્છિકતાની છેતરામણી \ Fooled by Randomnessમાં નસ્સીમ તાલેબ તેમની ધારદાર ભાષાની લાક્ષણિક શૈલીમાં યાદૃચ્છિકતા સાથે સંલગ્ન, મૂળભૂત ગણી શકાય, એવા પાંચ સિદ્ધાંતો રજૂ કરે છે :

૧. ભાવિ અપેક્ષાનો સિધ્ધાંત : લોકો તેમની સંપત્તિમાં થનારા કુલ વધારા-ઘટાડાને બદલે એક સમયથી બીજા સમયમાં થતા સાપેક્ષ ફરકને જ મહત્ત્વ આપે છે, જેમ કે રૂ. ૧૦,૦૦૦ની મૂડી ૯,૦૦૦ કે ૧૧,૦૦૦ થશે તેને બદલે રૂ. ૧૦૦૦નાં નુકસાન કે નફાનો જ વિચાર કરશે. આના પરિણામે આપણાં આર્થિક લક્ષ્ય કે આયોજનના તાર્કીક સંદર્ભને બદલે આપણું ધ્યાન બજારમાં થતા વધારા-ઘટાડાની ચાલ તરફ દોરવાઈ જાય છે.

2. યાદૃચ્છિકતાનું ધોરણ નક્કી કરવાની લાક્ષણિકતા વડે, રોકાણકાર તેની મૂડીના પોર્ટફોલિઓની કેટકેટલા સમયે સમીક્ષા કરતો રહે છે તેના પર તેના પોર્ટફોલિઓની કામગીરી આધાર રાખે છે, એટલે કે બજારમાં થતી ઉથલપાથલના ઘોંધાટના કારણે નિશ્ચિત સમયે પોતાના પોર્ટફોલિઓની જોવી જોઈએ તે કામગીરી પર ધ્યાન આપવાને બદલે રોકાણકાર તેના પોર્ટફોલિઓને પણ એ ઉથલપુથલના વમળમાં ભેરવી પાડે છે.

3. આકસ્મિક ઘટનાઓ - બજારને અસર કરતી હોય કે ન કરતી હોય તેવી કોઈ પણ ઘટનાઓને બજારની કલાકકલાકની ઉથલથપાલ સાથે સાંકળી લેવા માટે તો બજારની ગતિવિધિઓના નિષ્ણાતો વ્યસ્ત રહે છે, અને બીજાંને વ્યસ્ત રાખે છે ! ખરેખર અસર કરનારી ઘટનાઓની અસર તો બજાર ક્યાં તો બહુ પહેલાં પચાવી ચૂક્યું હોય છે અથવા તો ઘટના થઈ ગયા પછીથી ભુરાયું થતું હોય છે. એટલે જ 'ડાહ્યાં લોકો અર્થઘટનોના ઘોંઘાટ સાથે નહીં, પણ પરિણામોની ફળશ્રુતિ સાથે નિસ્બત રાખે છે.'

૪. જીવન સીધી લીટીમાં ચાલતું જ નથી. તેથી જ, હવે પછી શું થશે તે નિશ્ચિતપણે કોઈ કહી નથી શકતું. આપણે આમ કરીશું તો આટલા સમય પછી પેલું તેમ કરશે એમ વિચારવા માટે આપણે પ્રશિક્ષિત કરાતાં રહીએ છીએ,પણ વાસ્તવિક જીવનમાં સફળતા કે નિષ્ફળતા અણધારી થતી વધારે જોવા મળે છે. એટલે જ બધી જ શક્યતાઓ માટે દરવાજા ખુલ્લા તો રાખવા જ જોઈએ.

૫. કોઈપણ વસ્તુ એક ભાવે ખરીદ્યા પછી જો તેનો ભાવ બમણો થઈ જશે, તો બહુ સસ્તું ખરીદી શકાયાનો આનંદ થશે અને વસ્તુ હવે બહુ કિંમતી જણાશે; પણ એ જ ‘કિંમતી’ વસ્તુ હવે આજના ભાવે ખરીદવાની હામ નહીં હોય. રોકાણનો મૂળભૂત સિધ્ધાંત તો એ છે કે જો ખરીદવા ધારેલી વસ્તુ ખરેખર મૂલ્યવાન હોય, તો જે ભાવે ખરીદવા જેટલું તેમાં મૂલ્ય ન હોય તો એ ભાવે તેને વેચી કાઢવી જોઈએ.

સરવાળે, તાલેબનું કહેવું છે કે
§ બજારમાં મળેલી સફળતાની પાછળ બજારનાં વલણ અને પ્રવાહને પારખી શકવાની આવડતની સાથે આપણે યોગ્ય સમયે યોગ્ય ભાવે કંઈપણ ખરીદી કે વેચી શક્યાં છીએ તે વાત ભૂલવી ન જોઈએ; અને

§ જ્યારે આપણી તાલીમ, આવડત અને તંત્રવ્યવ્સ્થા આપણને સાથ ન આપવનું ચાલુ કરે, ત્યારે શું કરવું તેનું આપત્તિકાલ- આયોજન હાથવગું રાખવું જોઈએ; જેથી આકસ્મિક ઘટનાની સાથે તાલમેલ રાખી શકાય.
= = = =
કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો\The Black Swan: TheImpact oftheHighly Improbable [2007]
 
clip_image010ઑસ્ટ્રેલિયાની શોધ થઈ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા જ હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતીદેવીના વાહનને યાદ કરીએ ! કોઈ પક્ષીવિદે પહેલો "કાળો હંસ' જોયો હશે, ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે; તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણાં અને મર્યાદાઓની વાત માંડે છે. તાત્ત્વિક-તાર્કિકતા સવાલને પેલે પાર જઈને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

તેઓ"કાળા હંસ" સિધ્ધાંતની ત્રણ ખાસિયતો ગણાવે છે -
  • એક તો છે, એનું પરાયાપણું -ભૂતકાળની કોઈ જ ઘટનાઓ તેની હવે પછી થવાની સામાન્ય અપેક્ષાઓની સીમાની બહાર છે.
  • બીજું, તેની અસરો બહુ જ ગંભીર તેમ જ આત્યંતિક હોય છે; અને
  • ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં તેના થવા સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તેની થવાની શકયતા સમજાવી શકાય અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઈ જઈએ છીએ.
આ ત્રિપાંખી ખાસિયતોને વીરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (જો કે ભાવિ નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઈ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ "કાળા હંસ" ઘટનાઓ, સંખ્યામાં તેમ જ જટિલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે, વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્ત્વ પણ ઓછું થતું જઈ રહ્યું છે. લોકજુવાળને કારણે ઇજિપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઈએ કલ્પ્યું હતું ? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઈન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઈમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઈ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્ત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાદૃચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહીનતા છે. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્ત્વની ટેક્નોલોજિને લગતી શોધ કે કોઈપણ મહત્ત્વની સામાજિક ઘટના, કે આપણી કારકીર્દીના મહત્ત્વના વળાંકોને યાદ કરીને વિચારો, કે તે પૈકી શું શું કોઈ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું ?

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. ભાતભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઈ રક્ષણ અનુભવાય છે ખરું ? આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્ત્વની ચાલની આપણને ખબર છે તેવું જ ચાલનું મહત્ત્વ ધૂળધાણી થઈ જાય છે, એટલે કે આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઈ જાણતાં હોઈએ છીએ તે બધું જ બિનમહત્ત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઈ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઈ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળના મહત્ત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઈ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાં પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે. હાલમાં કાશ્મીરમાં આવેલાં - ૫૦ વર્ષમાં પહેલી વાર થવાની વાત ઘટનાની આકસ્મિકતા સૂચવે છે - પૂરની જાણ થયે જે કંઈ પગલાં લેવાયાં હોત તે પુરુષાર્થની સામે હવે તેની અસરોને બેઅસર કરવાની ટૂંકા અને લાંબા ગાળાની કવાયત બહુ જ મોંઘી પડવાની છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics]નો પાયો જ ખામીયુક્ત અને સ્વસંદર્ભીય છે. તેઓ આંકડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે, કારણ કે જે દરથી, અને સંખ્યામાં, આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

નસ્સીમ નિકોલસ તાલેબની વિચારધારા, તેમનાં હવે પછીનાં પુસ્તકોમાં નાણાકીય વ્યવહારોથી આગળ નીકળીને વધારે વ્યાપક ફલક પર વિસ્તરવા લાગી છે. આપણે તેની વાત આ લેખના ઉત્તરાર્ધમાં, ૨૭ નવેમ્બર ૨૦૧૪ના રોજ કરીશું.

વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૧૯-૯-૨૦૧૪

Saturday, September 20, 2014

કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો - નસ્સીમ નિકોલસ તાલેબ

clip_image001ઑસ્ટ્રેલિયાની શોધ થઇ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતી દેવીનાં વાહનને યાદ કરીએ? કોઇ પક્ષીવિદે જ્યારે પહેલી જ વાર "કાળો હંસ' જોયો હશે ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે, તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો, અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણું અને મર્યાદાઓની વાત માડે છે.

સફેદ હંસોને જ જોઇ જોઇને રૂઢ થયેલી આપણી માન્યતાઓ અને એના પરથી ઘડાયેલી આપણી સમજને આધારે કરેલી આગાહીઓથી સાવ જ અલગ જ એવી, સાવ જ કદરૂપા એવા કાળા હંસનાં દેખાઇ પડવાની એક જ ઘટના, આપણાં લાખો સફેદ હંસ દર્શનનાં મહાત્મ્યને તહસનહસ કરી નાખી શકે છે.

આ તાત્વિક-તાર્કીકતાને પેલે પાર જઇને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

"ઘટનાની આકસ્મિકતાથી આગળ જઇને,"કાળા હંસ'ને એક સિદ્ધાંત તરીકે, ખાસ ભારપૂર્વક, રજૂ કરતાં નસ્સીમ તાલેબ તેમના આ સિદ્ધાંતની ત્રણ આગવી ખાસિયતો નોંધે છે -
એક, તો છે એનું પરાયાપણું, તેનાં હોવાની સામાન્ય અપેક્ષાઓ. ભૂતકાળની કોઇ જ ઘટનાઓની સીમાની બહાર છે.

બીજું, તેની અસરો બહુ જ ગંભીર, આત્યંતિક હોય છે. અને

ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં, જેવી આ પ્રકારની ઘટના બને તે સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તે હોવાની શકયતા સમજાવી અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઇ જઇએ છીએ.

આ ત્રિપાંખી ખાસીયતોને વિરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (ભવિષ્યવર્તી તો નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઇ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા" હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ, સંખ્યા, જટીલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે "કાળો હંસ" ઘટનાઓ વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્વ પણ ઓછું થતું જઇ રહ્યું છે.

લોકજુવાળને કારણે ઇજીપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઇએ કલ્પ્યું હતું? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઇન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઇમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઇ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

ઓછી આગાહીક્ષમતા અને બહુ વધારે અસરની જોડીદારીને કારણે "કાળો હંસ" એક મહાકોયડો બની રહેલ છે. જો કે નસ્સીમ તાલેબનાં પુસ્તકનો કેન્દ્રવર્તી મુદ્દો આ પણ નથી. આ મેળવણીમાં આટલું ઓછું હોય તેમ ‘હજુ જાણે એ છે જ નહીં’ એવી આપણી માન્યતાનો રંગ ઉમેરો ! માત્ર આપણે કે આપણો કોઇ ભાઇ ભત્રીજો કે કોઇ આપણો ગામવાસી જ નહીં, પણ છેલ્લી એક સદીથી પોતે વિકસાવેલ સાધનોથી કોઇ પણ અનિશ્ચિતતાને માપી શકાય એવી સજ્જડ માન્યતા ધરાવતા "સમાજ વિજ્ઞાનીઓ' પણ એના અસ્તિત્વને સ્વીકારતાં નથી. નાણાં અને અર્થશાસ્ત્રના તજજ્ઞ વિશ્લેષકો 'કાળા હંસ'ની ઘટનાનાં "જોખમ'ની વ્યાખ્યા કરતી વખતે આપણને જે માપદંડો આપશે તેમાં "કાળા હંસની સંભાવિતા'ને બાકાત રાખતા માપદડોની જ વાત જોવા મળશે. એટલે હવે આ વાત તો જ્યોતિષશાસ્ત્રની સચોટતા જેટલી જ ચોક્કસ ગણી શકાય. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્વની ટેક્નોલોજીને લગતી શોધ કે કોઇ પણ મહત્વની સામજિક ઘટના, આપણી કારકિર્દીના મહત્વના વળાંકોને યાદ કરીને વિચારો કે શું તે કોઇ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું? ભાત ભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઇ રક્ષણ અનુભવાય છે ખરું?

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાર્દચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહિનતા છે.

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્વની ચાલની આપણને ખબર છે તેવું જ તે ચાલનું મહત્વ ધુળધાણી થઇ જાય છે. એટલે કે, આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઇ જાણતાં હોઇએ છીએ તે બધું જ બીનમહત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઇ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઇ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળનાં મહત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઇ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાંઓ પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે.

તજજ્ઞોના પોકળ દાવા

પરાયાપણાં વિશે અનુમાન કરી શકવાની આપણી અશક્તિ એ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકવાની આપણી અશક્તિ દર્શાવે છે. પણ આપણે તો માત્ર તે આગાહી કરવા જ નહીં પણ તે ઘટનાઓને બદલી શકવાની બડાશ મારતાં પણ ખચકાતાં નથી. આર્થિક અને સામાજીક ઘટનાઓનાં ભૂતકાળનાં વલણોને આધારે હવે પછી શું થશે તે વિષે આપણે નિશ્ચિત આગાહીઓ કર્યે રાખીએ છીએ. સાવ નાનાં બાળકના હાથમાં મશાલ પકડાવી દેવા જેટલું જ જોખમ આપણી નીતિઓ અને તેનાં અમલીકરણના અનિયત જોડાણ વિશેની આપણી ગેરસમજમાં સમાયેલું છે.

"કાળો હસં" એટલી હદે અણધારેલ રહે છે કે તેની આગાહી કરવી એ વધારે પડતું ભોળપણ છે. તેની સાથે ગોઠવાઇ જવું જ હિતાવહ છે. જો "કાળા હંસ'ની સાથે સંકળાયેલ પ્રતિ-જ્ઞાન કે અજ્ઞેય પર ધ્યાન આપીએ તો બહુ ઘણું કરવાનું મળી રહેશે. અને તેઓ સહુથી મોટો એક ફાયદો તો એ કે 'કાળા હંસ' સાથે ઘરોબો વધારવાથી બગાસાં ખાતાં પતાસાં ખાવા મળી જાય તેવી મજા માણવા મળે.

શીખવાનું શીખવું

આપણે જે જાણીએ છીએ તેના પર જ બહુ વધારે ધ્યાન આપવું એ વળી એક વધારાની માનવીય નબળાઇ છે - આપણા માટે જ્ઞાન એટલે કોઇ એક વિષય વિશે ચોક્કસ, ગહન, વિશિષ્ટ જાણકારી હોવી, નહીં કે તેના વિશે વિશાળ ફલક પર ફેલાયેલ માહિતીને એક સૂત્રે બાંધી શકવાની ક્ષમતા.

આતંકવાદની બનતી ઘટનાઓમાંથી પોતાની આગવી ગતિશીલતાને કારણે કેટલીક ઘટનાઓની આગાહી કરવી બહુ જ મુશ્કેલ છેતેમ આપણે શીખ્યાં ખરાં? કે પછી આપણાં પરંપરાગત 'ડહાપણ'ની મર્યાદાઓ ખબર પડી? કે પછી ફલાણી ફલાણી ઓળખ હોય તો તે "આતંકવાદી" ગણાય એવી કોઇ સમજ પડી ખરી? કે પછી, આવી દિવાલોના વાડા જ બાંધવાનું શીખ્યાં? આપણે શીખવાનું નથી જ શીખતાં એ શીખવાની જરૂર છે તેવા પૂર્વેત્તર-સિદ્ધાંતો (જેમ કે સિધ્ધાંતો ન જ શીખવાની આપણી પ્રકૃત્તિ)તો આપણે નથી જ શીખતાં. કોઇપણ અમૂર્ત પરિકલ્પના કે સિધ્ધાંત માટે આપણે ગજબનાક સૂગ છે.

એવું માની શકાય કે આપણાં મગજને પોતાની અંદર વિસ્તુત કક્ષાએ વિચાર કરતાં જ રહેવા માટે આપણે કદી તૈયાર જ નથી કર્યું. દેવભૂમિના પૂર જેવી ઘટ્નાઓ સમયે સમાધિ લગાવીને આ કોને કારણે થયું તેવા વિચારોમાં ગુંચવાતાં રહીને તણાઇ જવું કે ઉંધું ઘાલી ને ભાગી કોઇ ઉંચી ટેકરી પર ચડી જવું? હજારો વર્ષ સુધી વિચાર ન કરતાં પ્રાણીની જેમ રહ્યા પછીના ઇતિહાસના પલકારામાં આપણે પરિઘિ-વિષયો વિશે વિચારતાં - જો ખરેખર વિચારીતાં હોઇએ તો (!?) - તો થઇ ગયાં. પણ એ ઇતિહાસ જ ગવાહ છે કે, આપણે માનીએ છીએ તેટલું આપણે વિચારતાં નથી.

નવા જ પ્રકારની અકૃતજ્ઞતા

જેમ આપણે જાણતાં અને ન જાણતાં વચ્ચેના તફાવતને બદલતાં નથી, તે જ રીતે સારવાર કરતાં નિવારણનું મહત્ત્વ બધાં સમજે છે, પણ નિવારણને જોઇએ એટલું મહત્ત્વ કોઇ નથી આપતું. તેમનાં યોગદાનને કારણે જેટલાં ઇતિહાસને પાને ચડી ગયાં છે, તેનાં વખાણ કરતાં આપણે થકીશું નહીં, અને જેમનાં યોગદાનની નોંધ નથી લેવાઇ તેવાંઓને યાદ પણ નહીં કરીએ. માનવ જાત તરીકે આપણે માત્ર ઉપરછલ્લાં તો છીએ જ - જો કે તેનો તો કંઇક પણ ઉપાય થાય - પણ તેથી વધારે તો આપણે બહુ જ અન્યાયી છીએ.

જીંદગી બહુ વિલક્ષણ છે

નસ્સીમ તલેબની દ્રષ્ટિએ જવલ્લે જ બનતી ઘટના એ જ અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાની સાથે બે રીતે પનારો પાડી શકાય - એક તો 'અસામાન્ય'ને અલગ કરી અને જે રોજીંદું, વારંવાર , સામાન્યપણે થતું રહે છે તેના પર ધ્યાન આપવું. અને બીજો વિકલ્પ છે જેની સરવાળે બહુ વધારે અસર થતી હોય એવી "અસામાન્ય" ઘટનાઓને પહેલાં સમજવી. લેખક તો જો કે ચોખ્ખા શબ્દોમાં કહે છે કે "સામાન્ય વલણો"ને સમજવા માટે પણ ખરેખર તો "અસાધારણ" ઘટના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

સામાન્યપણે, જોવા મળતી માનસિકતા(અને વર્તણૂક)માટે તાલેબ જેને 'રમતિયાળ તર્કદોષ'\ ludic fallacy કહે છે તેવી માન્યતાને જવાદદાર ઠેરવે છે. આ પ્રકારની માન્યતા એટલે - રમત ગમતમાં જોવા મળતી સંરચિત ઉર્દચ્છિકતા વાસ્તવિક જીવનની અનૌપચારિક ઉર્દચ્છિકતા જેવી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભૂતકાળના અનુભવોના આધાર પર અનઅપેક્ષિત ઘટનો વિષે આગાહી કરવી. નોકરી માટેના ઇન્ટરવ્યુ માટે ૧૦૦ લોકોએ અરજી કરી હોય એટલે સંભાવના સોમાંથી એકની ગણીને આપણે એકલાં જ ઇન્ટરવ્યુમાં હોઇએ તેના સોમા ભાગની જ તૈયારી કરવી? જેના વિષે આપણે કંઇક જાણીએ છીએ તેવું માનીને જે અજ્ઞાત છે તેની આગાહી કરવી અને જેની અજ્ઞેયતા વિષે પણ અજાણ છીએ તેવાં અજ્ઞાતની આગાહી કરવી એમાં કાંઇ ફરક ખરો?

તાલેબ અજ્ઞાત જોખમની સાથે કામ પાડવા માટે પ્રતિતથ્યાત્મક વિચારધારા \counterfactual reasoningનો ઉપયોગ કરવાનું પણ સૂચવે છે. ઘટના જે રીત થઇ તે સિવાય બીજું શું શું થઇ શક્યું હોત તેમ વિચારવાથી ઘણી વાર ઘટનાનાં આકસ્મિકપણે થવાના સમયે જોઇતી તૈયારીઓ કરી શકવના માર્ગ મળી રહેવાની શક્યતાઓ વધી જાય છે.

જેમ સંબંધોની સાચી ઓળખ તો ક્યારેક થતા વિપરીત સંજોગોમાં જ થાય છે, તબીયતની કસોટી મોટી બિમારીમાં જ રહેલી છે. સામાન્ય ઘટનાઓનો અભ્યાસ 'ક્વચિત થતી, અનિશ્ચિત' સંભાવનાને બાજુએ જ રાખી દે છે, અને તેમ છતાં અનિશ્ચિતતા પણ આપણે નિયંત્રણ મેળવ્યું છે, તેવા તરંગમાં આપણે રાચતાં રહીએ છીએ. તેથી જ આ પુસ્તકને "મહાન બૌધ્ધિક છેતરપીંડી"નાં ઉપનામની ઓળખ પણ મળેલી છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃતિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics] નો પાયો જ ખામીયુક્ત અને સ્વ-સંદર્ભીય છે. તેઓ આંડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે કારણકે જે દરથી અને સંખ્યામાં આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

કાળા હંસ-પ્રતિરોધક વિશ્વ માટેના દસ સિદ્ધાંતો

અહીં નસ્સીમ તાલેબ, તેમના તીખા તમતમતા શબ્દોમાં, આપણને આપમેળે મૂડીવાદ ૨.૦ તરફ જવાના માર્ગની દુહાઇ દે છે. તેમની જડીબુટ્ટી છે - આપણી આર્થિક જીવન શૈલીને કુદરતની શૈલી માફકનાં જીવન તરફ વાળ્યે રાખવી, જ્યાં કંપનીઓ નાની હોય, પર્યાવરણ સમૃદ્ધ હોય અને બેહદ ફાયદાઓની વાત ન હોય. તેમનાં આવાં વિશ્વમાં બેંકરો નહીં , પણ ઉદ્યોગ સાહસિકો જોખમ લેતા હોય અને કંપનીઓનાં જન્મમરણ એ સમાચાર ન હોય.

૧. જે નાજુક જ છે તે હજુ નાનું હોય ત્યારે જ બટકી પડે તે જ સારું.
બહુ મોટું થયા પછી જે નિષ્ફળ જાય તે તો ખોટું, કારણ કે આર્થિક ઉત્ક્રાંતિ જેમાં સહુથી બધારે જોખમો છુપાયેલાં છે તેવાં અતિનાજુકને મોટાંમસ થવામાં પોસે છે.
૨. નુકસાનનું સામાજીકરણ નહીં અને નફાનું ખાનગીકરણ નહી
જેને પણ જાહેર નાણાંની મદદથી બચાવવું પડે તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઇએ, અને જેને બચાવવાની જરૂર નથી તેવાં આર્થિક સાહસોને મુક્ત, નાનાં અને જોખમ સહન કરી શકે તેવાં રાખવાં જોઇએ.
૩. આંખો બંધ કરીને શાલાની બસ ચલાવનારાં (અને ભટકાવી મારનારાંઓ)ને ફરીથી નવી બસ પર તો બેસાડવાં જ નહીં.
યુનિવર્સિટીઓ, નિયમનકારો, બેંકો, સરકારી બાબુશાહી જેવી આર્થિક સંસ્થાઓને સ્પર્શતી બાબતોમાં જે લોકોની નીતિઓ અને કાર્યપધ્ધતિઓના સંદર્ભમાં જેમના હાથ ચોખ્ખા હોય, અને જેમને આક્સમિક આથિક જોખમોની સાથે કામ લેવાની ફાવટ છે ,તેવાં લોકોને આ પ્રકારની સંસ્થાઓ ચલાવવાનું કામ સોંપવું જોઈએ.
૪.જેમને 'પ્રોત્સાહન બોનસ' મળતું હોય તેમને આણ્વીક ઉર્જાએકમો ચલાવા ન દેવાય.
'બચત' કરીને નફો બતાવવાની લ્હ્યાયમાં તેઓ સલામતી જેવા અતિમહત્ત્વના વિષયોમાં કરકસર કરી બેસે તો નવાઇ ન કહેવાય ! આર્થિક બાબતોમાં જો પ્રોત્સાહન અને બોનસ હોય તો નુકસાની સમયે, ન્યાયિકપણે,દંડ પણ હોવો જોઇએ.
૫. જટિલતાની સામે સરળતાના ધડા(Counter balance)નો ભાર સરખો બનાવો.
વૈશ્વીકરણ અને એકબીજાંમાં બહુ મોટે પાયે સંમિલિત થઇ ગયેલ આર્થિક તંત્રની જટિલતાની સામે બહુ જ સરળ નાણાંકીય વ્યવહારોથી કામ થાય તેવી વ્યવસ્થા બનાવ્યે રાખવી જોઇએ. જાત જાતના સિદ્ધાંતોના તરંગો અને તેને કારણે સર્જાતા પરપોટાઓને મૂડીવાદમાં સાવેસાવ તો રોકી ન શકાય, પણ તેનાથી થનાર અવળી અસરો વિષે પણ સજાગતા તો કેળવવી જ જોઇએ.
૬. ભલેને ડાયનેમાઇટના ટેટા પર સલામતીની સુચનાઓ છાપી હોય, તેથી બાળકોના હાથમાં તેનું જોખમ ઘટી નથી જતું.
રોજ રોજ બહાર પડતી નાણાંકીય પ્રોડક્ટ્સ એ ડાયનેમાઈટના ટેટા છે તે વાત તો સમજી લેવી જ જોઇએ.
૭. વિશ્વાસને ભરોસે તો 'એકના ડબલ' જેવી યોજનાઓ જ ચાલે.
સરકારનું કામ આર્થિક ઘટનાઓને લગતી અફવાઓ ફેલાતી અટકાવીને 'વિશ્વાસ પેદા' કરવાનું નથી. તેણે તો અફવાઓની આંધી વચ્ચે પણ સ્પષ્ટ રહે તેવી નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રહે છે.
૮. દારૂડીયાને દારૂની લત છોડાવવા વધારે દારૂ ન અપાય.
જાહેર દેવાંની સમસ્યાનો ઉપાય વધારેને વધારે દેવાં નથી. તેનાં મૂળમાં જઇને બીનપોષાણક્ષમ તુક્ક્કાઓ વિષે ફેરવિચારણાઓ થતી રહેવી જોઇએ.
૯. માત્ર નાણાંકીય અસ્કમાયતો પર નાગરિકોનાં નિવૃત જીવનની નાવને તરતી ન મૂકવી જોઇએ.
પોતાના અંકુશમાં નથી તેવાં નાણાંકીય રોકાણોનાં વળતરના આધાર પર નિવૃતિનું આયોજન ન કરાય. દરેક નાગરિકે કંઇને કંઇ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા બાબતે તૈયારી રાખવી જ જોઇએ.
૧૦. કોપરૂં ખાવું હોય તો નાળીએર ફોડવું જ પડે.

કોઇ પણ સમસ્યાના થગડથીગડ ઉપાયો સમસ્યાને વધુ વિકરાળ જ બનાવવાનું કામ જ કરશે. આકસ્મિક ઘટનાઓ - ખાસ કરીને આર્થિક ઉથલપાથલો-નો સામનો કરવા માટે નિશ્ચિતતા પર ભરોસો ન રાખવાનું શીખવું જ રહ્યું.
સંલગ્ન સંદર્ભ :
એપ્રિલ ૧૦, ૨૦૧૨ના રોજ વુડરૉ વિલ્સન સ્કૂલના ઉપક્રમે યોજાયેલ વ્યાખ્યાન શ્રેણી "આર્થિક સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ - સંકટો, રાજકારણ અને શક્યતાઓ'ના ઉપક્રમે આપેલું વ્યક્ત્વય
આડ વાતઃ
"ધ બ્લેક સ્વાન'નામક અંગ્રેજી ફિલ્મો અને તેને લગતી કેટલીક રસપ્રદ વાતો

Black Swan - ૨૦૧૦માં રજૂ થયેલી મનોવૈજ્ઞાનિક થ્રીલર / હોરર ફિલ્મ, જેની પરિચયાત્મક સમીક્ષા, હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘બ્લેક સ્વાન’, પણ ફિલ્મને પૂરો ન્યાય કરે છે.

The Black Swan (૧૯૪૨)માં રજૂ થયેલી ફિલ્મ, રાફૈલ સબાતીનીની એ જ નામની, ૧૯૩૨માં પ્રસિદ્ધ થયેલી નવલકથા પરથી બનાવાઇ હતી. અને આ નવલકથા લેખકની જ નવલિકા The Duel on the Beach પરથી લખાઇ છે.

આ વિષય પર નસ્સીમ તાલેબના કેટલાક વિચારપ્રેરક લેખો, તેમ જ ‘બ્લૅક સ્વાન' ફિલ્મ જેવી સામગ્રી આ ફૉલ્ડરમાં એકત્રીત કરેલી છે.