Monday, November 25, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - નવેમ્બર, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાંનવેમ્બર, ૨૦૧૩સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજનાં આ સંસ્કરણમાં આપણને ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધોને લગતા રસપ્રદ બ્લૉગ્સની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે.
સલાહ્કાર સેવાઓના પૂર્વનિયામક રાજ સપ્રુ, BSR Insight પરના લેખ Sutainability: What’s Quality Got to Do With It?માં જણાવે છે કે 'કૉર્પોરેટ સામાજીક જવાબદારી(CSR)'નો એક કૉર્પોરેટ કાર્યક્ષેત્ર તરીકેનો ઉદય, 'ગુણવત્તા' કરતાં તો લગભગ ત્રણ ગણા સમય બાદ થયો છે, એટલે CSR પણ એક સંચાલન કાર્યભારથી આગળ વધીને નિયામક મંડળની બેઠકોના મહત્વના વિષયથી લઈને સંકલિત મૂલ્યો તરીકે પહોંચવામાં 'ગુણવત્તા'ને જ અનુસરશે એમ કહી શકાય.  ઘણાં લોકોનું એમ પણ કહેવું છે કે CSRનું કૉર્પોરેટ કક્ષાએ ટકાઉપણું /sustainability કાર્યભારમાંથી અલગ થતું જવું એ CSRનાં મૂલ્યોમાં સંકલન થવાની સિધ્ધિનું માપ કહી શકાય. આ સંદર્ભે 'ગુણવત્તા'એ પસાર કરેલી સફરમાંથી ઘણું શીખી શકાય તેમ છે.
BSRના American Society of Quality સાથેના સહયોગમાં પ્રકાશીત થયેલા તાજેતરના અહેવાલ CSR and Quality: A Powerful and Untapped Connectionમાં CSR અને 'ગુણવત્તા'નાં જોડાણનો, તેમ જ વધારે ઘનીષ્ઠ કક્ષાએ સાથે કામ કરી શકવાની તકોનો, તલસ્પર્શી અભ્યાસ કરાયો છે.
સામાજીકપણે જવાબદાર સંસ્થાઓનું ઘડતર / Building Socially Responsible Organizations:  ASQના સામાજીક જવાબદારી પહેલ હેઠળ નવી વેબસાઈટ - http://www.thesro.org/ - વિકસાવાઇ છે.  તેનું ધ્યેયયસૂત્ર છે -"ગુણવતાના વધારે વ્યાપક ઉપયોગ અને અસર દ્વારા વિશ્વની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવું."
સમગ્ર વિશ્વમાં, ગ્રાહકો પણ વ્યાપારઉદ્યોગનાં ઉત્તરદાયીત્વ અને સામાજીક જવાબદારી વિષે વધારે ને વધારે અપેક્ષા રાખતાં અનુભવાયાં છે.  સામાજીક રીતે વધારે જવાબદારી નીભાવવા માટે લોકોએતેમ જ સંસ્થાઓએ, સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવર્ણીય મુદાઓ વિષે વધારે નૈતિક અને સંવેદનશીલ સ્તરે વર્તવું પડશે.
આ ઉભરતી માંગને પહોંચી વળવા માટે 'ગુણવત્તા'ના ભાથામાં પૂરતાં સાધનો છે તેમ કહી શકાય. સામાજીકપણે જવાબદાર રીતરસમોને પધ્ધતિસરના અભિગમમાં આવરી લઈને વિશ્વની વિવિધ માંગોને પહોંચી વળવા માટે TheSROએ એક સહયોગાત્મક કાર્યમંચ છે.
ગુણવત્તા અને સામાજીક જવાબદારી વચ્ચેના સંબંધને વધારે વિગતમાં અહીં જોઇ શકાશે.
એક સંસ્થા તરીકે, Business for Social Responsibilityનું ધ્યેય સૂત્ર વ્યાપાર-ઉદ્યોગ સાથે મળીને ન્યાયી અને ટકાઉ વિશ્વ ઘડવાનું છે. તેમની કલ્પના એવાં વિશ્વની છે જ્યાં પૃથ્વીનાં કુદરતી સંસાધનોની મર્યાદામાં દરેક વ્યક્તિ સમૃધ્ધ અને સન્માનીય જીવન જીવે.
BSRના પરિવર્તનના સિધ્ધાંત અનુસાર જ્યારે વ્યાપાર, સમાજ અને સરકારનાં દરેક પાસાંનાં આગવાં કૌશલ્યો અને સાધનો એ ધ્યેય સાથે એકરૂપ થશે, ત્યારે એ ન્યાયપૂર્ણ અને ટકાઉ વિશ્વ પરિણમશે. વ્યાપાર- ઉદ્યોગની ભૂમિકા, આપણાં કુદરતી સંસાધનોની મર્યાદામાં, લોકો સાથે ઉચિતપણે પેશ આવી, વ્યક્તિની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી કરે તે રીતે ઉત્પાદનો અને સેવાઓ પેદા કરવાની અને પહોંચાડવાની, તેમ જ બજારનાં અને નીતિવિષયક માળખાંને ટકાઉ ભવિષ્ય ઘડવા પ્રેરવાની છે.
મેસૅચ્યુસૅટ્સ યુનિવર્સિટીનું Lowell Centre for Sustainable Production, તેમના પ્રકલ્પો અને સહયોગીઓ દ્વારા પર્યાવરણવાદ તેમ જ વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીની નવી વ્યાખ્યા ઘડવાના લાંબા ગાળાના પડકારોને ઝીલવાની સાથે સાથે આ પરિકલ્પનાઓ, ઉત્પાદન અને વપરાશની નવી પધ્ધતિઓ કારીગરો માટે સ્વાસ્થ્યપ્રદ, પર્યાવરણની દ્રષ્ટિએ સક્ષમ, આર્થિક રીતે પોષણક્ષમ અને સામાજીક પણે જવાબદાર રહી શકે છે તેમ પણ કરી બતાવે છે.
હવે આપણે ગુણવત્તાનાં તકનીકી પાસાંઓ તરફ ફરીશું.
October 2013 issue of IRCA’નાં ઑક્ટોબર ૨૦૧૩ના INformના અંકમાંજાપાનમાં તાજેતરમાં ભરાયેલાં અધિવેશન દરમ્યાનISO 9001 માનકનાં નવાં સંસ્કરણ વિશે સાવ અણકલ્પ્યા અભિગમને રજૂ કરતાં વ્યક્તવ્યો છે અને માનકો વિશેનાં આપણાં જ્ઞાનની પરીક્ષા કરતી અનન્ય કસોટી જોવા મળશે.
તેના તકનીકી વિભાગમાં રિચર્ડ ગ્રીન ભવિષ્યનાં સંચાલન તંત્ર માનકો માટે સંક્રાંતિ પ્રશિક્ષણ માટેના સર્વસામાન્ય અભિગમને રજૂ કરે છે.
આંતરીક ઑડીટને ગુણવત્તા સુધારનાં સમૃદ્ધ સાધન તરીકે વિકસાવવાના વિષય પર ગૉટ્ટ્ફ્રીડ ગીરીત્ઝર તેમનાં Quality Digestપરનાં નિયમિત કૉલમમાં આંતરીક ઑડીટને કાર્યદક્ષતા સુધારણા સાધન તરીકે વાપરવાની ભલામણ કરે છે. વિધિપૂરઃસર પ્રશિક્ષિત 'આંતરીક ઑડીટર' બીજાંઓને સહ-ઑડીટર તરીકે પ્રશિક્ષિત કરે છે. તેમના માટે આંતરીક ઑડીટર તરીકે પ્રશિક્ષણ અને અનુભવ મેળવતાં રહેવું જરૂરી બની રહે છે. આંતરીક ઑડીટ થાય તે પહેલાં, સંચાલન તંત્રનાં માનકોના, પોતાના વિભાગને લાગુ પડતા. નિયમોનો તેમણે અભ્યાસ કરતાં રહેવું જોઈએ.
ISO 9001માં એવી ૫૧ વસ્તુઓ શોધી છે જે ગ્રાહકના સંતોષના નિયમન માટે હોવી જોઇએ કે અમલ કરાયેલી હોવી જોઇએ. આ પૈકી ૩૪ (૬૬%) તો પ્રક્રિયાઓ કે કાર્યપદ્ધતિઓ છે. કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તાનાં આયામો બહુ જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે, જેમ કે પ્રતિબદ્ધતા / commitment (5.1),ગ્રાહક કેન્દ્રીતા / customer focus (5.2)કાર્યક્ષમતા /competence, જાગરૂકતા /awareness (6.2.2),અનુરેખણીયતા / traceability (7.5.3)અને સાતત્ય / continuity (8.5.1). તે ઉપરાંત નિયમન /control(૬), આલેખન અને વિકાસ / design and development (૬), ગુણવત્તા /quality (૩) અને સમીક્ષા / review (૩) જેવા ચાવીરૂપ શબ્દપ્રયોગો પણ આ સંદર્ભમાં વપરાયા છે.
ISO 9001ના અમલીકરણમાં સહુથી વધારે ટાળવી જોઇએ તેવી ભૂલો / The Most Common Mistakes with ISO 9001 to Avoid, ISO 9001ના આલેખન અને અમલીકરણને બહુ જ પાયાની બાબતો વડે ફરીથી ચકાસી જાય છે. એ રીતે ગુણવત્તા સંચાલન તંત્રને સંસ્થાનાં સમગ્ર વ્યૂહાત્મક પરીપ્રેક્ષ્યમાં લાવી શકાય છે.
"EPCI પ્રકલ્પમાં સતત સુધારણા માટે THE PDCA CYCLEનો ઉપયોગ"/ APPLY THE PDCA CYCLE FOR CONTINUOUS IMPROVEMENT ON EPCI PROJECTમાં આલેખીય ચિત્રણની મદદથી પ્રકલ્પ સંચાલનનાં ક્ષેત્રમાં સતત સુધારણાને લાગુ કરવાના વિચારને સમજાવાયો છે.
The No Crisis Blogપર Jørgen Winther તેમના લેખ – ક્યાં સુધી સતત? PDCA ઘટનાક્રમ”/ How Long is “Continuous”? – On PDCAને સાંસ્કૃતિક ટેવના તેના ઉચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. તેમનુ કહેવું છે કે સતત સુધારણાને પરાણે કરવી પડતી એક પરિયોજનાની દૃષ્ટિએ જોવાને બદલે દરરોજ કરવાની એક સ્વાભાવિક પ્રવૃત્તિ તરીકે જોવી જોઇએ.
અને હવે ફરીથી આપણે ગુણવત્તા પર વિહંગાલોકન કક્ષાના લેખો તરફ નજર કરીએ.
ગ્રેગ ગુડવીને ગુણવત્તા સંચાલન તંત્રની સંસ્કૃતિનાં ઘડતર સમયે જેના જવાબ આપવા જોઇએ એવા ત્રણ પ્રશ્નો રજૂ કર્યા છે, કારણકે કામગીરીની ઉત્કૃષ્ટતાનો ઉદાહરણીય ઢાચો બેસાડવા અને સંસ્થાનાં ચાવીરૂપ લોકો, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થઇ શકે તે માટે સમગ્ર સંસ્થાના સહિયારા પ્રયાસની જરૂર રહે છે.
એ ત્રણ સવાલો છે:
૧. સંસ્થામાં ગુણવતા નેતૃત્વ વિકસાવાઇ રહ્યું છે ખરું?
ઉત્તમ ગુણવત્તા સંચાલન કરતા રહેવા, અને નવીનીકરણ તેમ જ સતત સુધારણાનું વા્તાવરણ  બનાવ્યે રાખવા, માટે કૉર્પોરેટ કક્ષાનું માળખું હોવું જરૂરી છે, અને તે સાથે સ્થાનીય કક્ષાના અગ્રણીઓ પોતાના નિર્ણયો લઇ શકે તેટલી મોકળાશ પણ રાખવી જોઇએ.
૨. કોર્પોરેટ અને સ્થાનીય ગુણવત્તા સંચાલનનો યોગ્ય ગુણોત્તર શું હોવો જોઇએ?
સહુથી વધારે અસરકારક માર્ગ તો બંનેની વચ્ચેનો માર્ગ જ છે. સંસ્થાનાં ધ્યેયની પૂર્તિ સાથે જોડાયેલ હોય તેવી પ્રક્રિયાઓનાં પ્રમાણિત ધોરણ સ્થાપિત કરવાં જોઇએ. સતત સુધારણા અને સ્થાનીય નિયમનને ઉચિત કક્ષાએ લાગુ કરવાની દૃષ્ટિએ છોડી મૂકવાં જોઇએ. આમ , સમગ્ર કક્ષાની અસરકારકતાને મહત્તમ સ્તર સુધી લઇ જવાનું શક્ય બની રહેશે.
૩. ગુણવતા સંસ્કૃતિનાં ઘડતરમાં ટેક્નોલોજીનો શું ફાળો હોઇ શકે છે?
ટેક્નોલોજીની મદદથી ચડિયાતી કક્ષાનું આંકડાઓનું એકત્રીકરણ અને તેનાં વિશ્લેષણને સ્થાપિત કર્યા પછીથી પ્રત્યાયનમાં સુધારા થતા રહે અને ગુણવત્તાની આસપાસ સહકાર બની રહે તે પ્રકારનાં સંકલિત નિરાકરણો માટે ટેક્નોલોજી મહત્વનો ફાળો આપી શકે.
કૉટ્ટર ઇન્ટરનેશનલના શૌન સ્પીઅરમનને લ્યુવીસ કૅરૉલનું આ કથન બહુ જ પસંદ છે - ક્યાં જવું છે તે જો ખબર ન હોય, તો કોઇ પણ રસ્તો ત્યાં પહોચાડી દેશે. Your Company Vision: If It's Complicated, It Shouldn't Be, એ લેખમાં તો આગળ વધીને જણાવે છે કે દૂરંદેશીપણું આગળના માર્ગને સ્પષ્ટ કરવા માટે છે. અસરકારક દૂરંદેશીપણું સંસ્થાને ઝડપથી અને ચોકસાઇથી આગળ વધવામાં મદદરૂપ થાય તેવી અજવાળી લાક્ષણિકતા ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો તે જરા પણ જટિલ નથી.
Cultural Offeringપર કુર્ત જે. હાર્ડન તેમના લેખ, They don't care about you,માં કાર્યસ્થળ પર કર્મચારીઓને શીખવાડાતાં સહુથી મુશ્કેલ સેવાઓ અંગેના સિધ્ધાંતની  વાત કરે છે - તેઓને તમારી જરા પણ તમા નથી.
જો કે આમ હોવું એ સમાજમાટે કોઇ દુઃખદ વિવરણ નથી, તે તો સીધોસાદો વાણિજ્યક હિસાબ છે. આ તો મૂળભૂત માનસીકતા છે, જે માન્યામાં ન આવે તેટલી હદે મુક્તિ પ્રદાન કરનાર પરવડી શકે છે. આ સમજણથી સજ્જ થી, જો તેનો અમલ કરવામાં આવે તો, આપણી સમસ્યાઓ ઘટી શકે તેમ છે, આપણું ભારણ તો એથી પણ વધારે ઘટી શકે તેમ છે, કારણકે હવે આપણે આપણી સેવાઓ પ્રત્યે વધારે એકાગ્ર બની રહેશું. 
જો આ પાઠ શીખી લેવાય તો સફળતાના દરવાજા ખુલી જઈ શકે છે.
ફૉર્બ્સ પર Caroline Ceniza-Levine, તેમના લેખ, What Is The Better Metric: Feelings Or Numbers?.,માં ઍલ્બર્ટ આઈનસ્ટાઇનનાં આ કથનને ટાંકે છે - બધી મહત્વની બાબતોનો હિસાબ નથી હોતો, અને જે બધાંનો હિસાબ હોય છે તે તમામ મહત્વનાં નથી હોતાં. અને પછી ઉમેરે છે કે આઇનસ્ટાઈન સાવ સાચા છે. દરેક બાબત માટે કોઇ એક કોષ્ટક લાગુ ન પડી શકે. એ માટે તો આંકડાઓની ચોપાટ માંડવી પડે અને બાજી સમજવી પડે. બધી જ વાતને આંકડાઓમાં ઢાળી પણ નથી શકાતી, ન ઢાળી શકાવી જોઇએ.
વિશ્વ ગુણવત્તા માસ, ૨૦૧૩,માટેના સુઝાવો : નવેમ્બર ૨૦૧૩માં ચોથો વિશ્વ ગુણવતા માસ ઉજવાઈ રહ્યો છે. એ સમયે તેની વિશ્વ, અને જેમનાં જ્ઞાન, અનુભવ અને જોમને કારણે, જે કોઇ માંગે તેને સારી ગુણવત્તા ઉપલબ્ધ થઈ  રહી છે તેવા ગુણવત્તા વ્યાવસાયિકો, પરના પ્રભાવની સમીક્ષા કરાશે. આ કાર્યક્રમ વિષે વધારે માહિતી મેળવવા  www.worldqualitymonth.orgની મુલાકાત જરૂરથી લેજો.
આઇસોર 9001 અને અન્ય હાસ્ય દસ્તાવેજો - ગુણવતા એ ઘણો કઠોર વ્ય્વસાય છે એમ સ્વીકારીએ, તો કોઇ કોઇ વાર તેને લગતા તણાવમાંથી છૂટકારો પણ મળવો જોઇએ. ઑકસબ્રીજનાં વિના મૂલ્ય હાસ્ય દસ્તાવેજો આવે સમયે બહુ કામ આવી શકે છે.
EYESORE 9001 સહુથી પહેલી વાર ૨૦૦૪માં પ્રકાશીત થયેલ. તે પછીથી તે ૨૫૦,૦૦૦થી પણ વધારે વાર ડાઉનલૉડ કરી ચૂકાયેલ છે. તે બહુ જ પ્રસન્નચિતકારક છે અને માત્ર ISO 9001 માનક જ પર નહીં પણ તેને ઘડનારાં મશીન પર પણ તેમાં વેધક કટાક્ષ કરવામાં આવેલ છે. ISO 9001:2008 માટે સંવર્ધિત કરાયા પછી પણ તે અહીંથી વિના મૂલ્ય ડાઉનલૉડ કરી શકાય છે.
DUMBAS9100, તે જ રીતે, અવકાશ ઉદ્યોગનાં માનક AS9100ની વક્રોક્તિને સહારે, ઉડ્ડયન, અવકાશ અને સુરક્ષા ઉદ્યોગોને ઠેબે ચડાવે છે. તેમાં વપરાયેલી ભાષા થોડી પુખ્ત વયની હોઇ,પ્રબુદ્ધ વાંચકો તેને અહીથી ડાઉનલૉડ કરી શકશે.
હવે આપણે ASQ Videosની નિયમિત મુલાકાત લઈએ. સહુ પહેલાં 2013 World Quality Month,  અને તેની સાથે "World Quality Month" શબ્દ વાળા વીડીયો જોઈશું
 ASQ TV Episode 10: Teamwork : કોઇ પણ ટીમ સફળતાપૂર્વક શી રીતે કામ કરી શકે, પ્તાનાં ધ્યેય સિદ્ધ કરી શકે અને પરિણામો હાંસિલ કરી શકે તે અહીં જોઇ શકાય છે.
આ સંસ્કરણમાં આપણે  ASQ's Influential Voicesના જોહ્‍ન ઝ્રીમિયાકની મુલાકાત કરીશું.
 “ડેનીયલ જોહ્‍ન ઝ્રીમીયાક સરે, બ્રીટીશ કોલંબીયા, કેનેડાના રહેવાસી છે. છેલ્લે એકસેનચ્યરમાં એકત્રીકરણ અગ્રણી તરીકે કાર્યરત એવા ઝ્રીમીયાક બે દાયકાથી વધારે સમયથી ગુણવતા ક્ષેત્રે સક્રિય છે. ASQમાં તેઓ ક્વૉલિટી પ્રેસના લેખક અને સમીક્ષક, ફીનાન્સ અને ગવર્નન્સ - ક્વૉલિટી મૅનેજેમૅન્ટ ડીવીઝન - ટેક્નીકલ સમિતિના અગ્રણી સભ્ય છે. તેઓ AQualitEvolution બ્લૉગ પર પણ સક્રિય છે.
ગુણવત્તાના સંદર્ભમાં મને જેટલા સવાલ થાય છે તેટલા જ જવાબ પણ મળી રહે છે. એ વિનિમય દ્વારા હું સમાનાર્થી વિચારધારાવાળાં લોકોનો સમુદાયની રચના કરી આપણા વ્યવસાયની પ્રસ્તુતિ પ્રસ્થાપિત કરવા અને ટકાવી રાખવા, તેમ જ આપણા આદર્શોની ખોજ કરતાં કરતાં મોટી ખોજની શોધનાં સ્વરૂપે સેવા કરવા માગું છું."
૨૧મી સદીમાંના ગુણવતા વ્યવસાયના વિકાસમાં ભાગીદાર તરીકેના અનુભવો અભિપ્રાયોને વાચા આપવાનો A QualitEvolutionનો આશય છે. કૉર્પોરેટ ઔદ્યોગીકી આંકડાશાસ્ત્રી તરીકેની શરૂઆતથી માંડીને આજે આપણો વ્યવસાય આધુનિક અસ્તિતવની માંગ અને અપેક્ષાઓને આવરીને અનુકુલન સુધીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે.
A QualitEvolution નાં કાર્યક્ષેત્રમાં ગુણવત્તા, વ્યાપાર પરિવર્તન, સંચાલન વિજ્ઞાન અને એવી બધી બાબતોને દૂર દૂર સુધી આવરી લીધેલ છે..
હંમેશની જેમ આ સંસ્કરણની સમાપ્તિ, જોહ્‍ન હંટરના Management Improvement Carnival # 201ની મુલાકાતથી કરીશું.
આ બ્લૉગોત્સવ દરેક સંસ્કરણમાં ગુણવતા વિષયનાં બધાં જ પાસાંને ન્યાય કરી ન શકે તે તો સ્વાભાવિક ગણી શકાય. અને તેથી જ તેને વધારે સમૃધ્ધ અને પ્રસ્તુત કરવા માટે આપનાં સુચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે............

Sunday, November 17, 2013

નિવૃત્ત થવાની કળા - હરેશ ધોળકિયા

લોકો "કેમ (નિવૃત્ત) થયા?" એ સવાલ પૂછે, નહીં કે "ક્યારે (નિવૃત્ત) થશો?"

શ્રી હરેશ ધોળકિયાએ સચીન તેંદુલકરની ક્રિકેટનાં મેદાન પરની નિવૃત્તિ પર કરેલો લેખ - નિવૃત થવાની કળા - આ બને પ્રશ્નોનાં સંતુલનની વાત કહે છે.

Monday, November 11, 2013

જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.]

આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ, નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે: વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે. તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો-કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું-આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ, જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે : રહસ્યનો જ !

અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્ભવથી વર્તમાન સુધી જે રીતે જિવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો-સમાંતરે-રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે. એટલે કહી શકાય કે જીવન પણ રહસ્ય જ છે. જન્મની પળથી મૃત્યુની ક્ષણ સુધી મનુષ્ય યાત્રા કરે છે. ફૂલ ઊઘડતું જાય છે, ખીલે છે અને છેવટે કરમાય છે. તે જ રીતે મનુષ્ય બાળપણમાં ઊઘડે છે. યુવાનીમાં ખીલે છે અને છેલ્લે વૃદ્ધત્વમાં કરમાઈને નિ:શેષ થઈ જાય છે. તેની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે અને તે ફરી અંતે શૂન્યમાં ભળી જાય છે. ગર્ભના અંધકારમાંથી વ્યક્તિ પ્રગટે છે અને ફરી ભૂગર્ભના અંધકારમાં સમાઈ જાય છે. એક ચક્ર પૂરું થાય છે. ભલે તે સિત્તેર-એંસી વર્ષ રહે, પણ અનંત અસ્તિત્વમાં તો એક ખરતા તારા જેટલું જ મૂલ્ય ધરાવે છે. અને છતાં આ જીવનને ‘યાત્રા’નું ઉપનામ અપાયું છે. ‘યાત્રા’ એટલે ચોક્કસ હેતુ સાથે કરાતો પ્રવાસ. પણ પ્રવાસ અને યાત્રામાં પાયાનો તફાવત છે. પ્રવાસ એક બાહ્ય દર્શન છે, તે મનોરંજન માટે છે. જ્યારે યાત્રા તો પવિત્ર થવા માટે છે. યાત્રાથી ચિત્ત ઊર્ધ્વ બને છે. યાત્રા કૃતાર્થ થવા માટે છે. તેમાં પણ મનોરંજન તો છે જ, બાહ્ય રીતે, પણ યાત્રાનો હેતુ મનોરંજનનો નથી હોતો. યાત્રા મનને શાંત કરવા માટે છે અને યાત્રા સફળ થાય, તો મનની પાર પણ જઈ શકાય છે.

આ સંદર્ભમાં જીવનને યાત્રા તરીકે જોઈએ તો જીવન શરીરથી માંડીને મનની પાર જવાની ઘટના છે અથવા બનવી જોઈએ. ગર્ભમાં ભલે શુદ્ધ શરીર જ ઉત્પન્ન થાય અને જન્મે, પણ આ શરીર જ્યારે ભૂગર્ભમાં પ્રવેશે, ત્યારે શરીરને અવશ્ય દટાય કે બળાય પણ લોકો ‘જેને’ દાટે છે તે વ્યક્તિ-વ્યક્તિત્વ શરીરાતીત થઈ ગયેલ હોય, તો જ તે યાત્રા બને. જો વ્યક્તિ શરીરમાં જ ઉત્પન્ન થાય, શરીરમય જ જીવે અને શરીર સાથે તેનું વ્યક્તિત્વ પણ દટાઈ જાય, તો તે યાત્રા નથી, કેવળ પ્રવાસ હતો. કદાચ ધક્કો પડ્યો હતો ! આ સમગ્ર સમયકાળ વ્યક્તિ કાઢતી રહી. અંગ્રેજીમાં તેને ‘to kill time’ કહે છે.’ યાત્રામાં તો વ્યક્તિ સભાન રીતે જીવે છે. ત્યારે જ તેને to use time કહી શકાય. સામાન્ય રીતે જીવન વ્યક્તિને નીચોવે છે. યાત્રામાં વ્યક્તિ જીવનને નીચોવી લે છે અને ધન્યતા અનુભવે છે. એટલે પ્રશ્ન છે – જીવનને યાત્રા બનાવવાનો ! જીવન યાત્રા કેમ બને ? જીવન આપોઆપ યાત્રા ન બને. તેને યાત્રા બનાવવી પડે. પ્રવાસને કે રખડપટ્ટીને યાત્રામાં પરિવર્તિત કરવાનું પાયાનું પરિબળ છે ‘જાગૃતિ.’ સભાનતા. માની લો કે ‘અ’ સ્થળે જવું છે. દાખલા તરીકે-હિમાલય. તો હિમાલય તો અદ્ભૂત સ્થળ છે. તેની પ્રકૃતિ, ત્યાંના ધાર્મિક સ્થળો દર્શનીય છે. બસ ! આ બધું જોવું અને પાછા વળી આવવું કે આ દૃશ્યો કેમેરામાં ક્લીક થઈ આલબમમાં ગોઠવાઈ જાય તો તે પ્રવાસ ! યાત્રામાં એવું ન ચાલે. યાત્રામાં પણ બાહ્ય દૃશ્યો તો દેખાય જ, પણ તે વ્યક્તિને એવી ગદગદ કરે કે તેની ભવ્યતા વ્યક્તિમાં પ્રવેશી તેને પણ ભવ્ય બનાવે. તેના જીવનમાં પણ ઊંચાઈ વધતી જાય. તેનું અસ્તિત્વ પણ ખળખળ વહેવા લાગે. તેના ચિતમાં પણ શ્રેષ્ઠત્વની ગંગોત્રી ફૂટે; જે સમય જતાં, પ્રતિભારૂપી હુગલીમાં ફેરવાઈ જાય. નાના આયુષ્યમાં પણ તે અનંતની યાત્રા કરી લે !

આ થઈ યાત્રા. યાત્રા બાહ્ય શરૂ થાય છે. ચિત્તમાં પૂર્ણ થાય છે. પ્રવાસ સપાટ-ઉપર કે નીચે હોઈ શકે છે, પણ યાત્રામાં તો દર પળે ઊર્ધ્વ જ થવાનું હોય. યાત્રાની શરૂઆત ભલે ગર્ભના અંધકારમાં થાય અને ભૂગર્ભના અંધકારમાં વિલીન થાય, પણ ગર્ભનો અંધકાર અનિવાર્ય હતો, વ્યક્તિ માટે, પણ ભૂગર્ભનો અંધકાર શરીર માટે ભલે અનિવાર્ય બને, પણ વ્યક્તિત્વ તો પ્રકાશમાં ભળી જાય ! ગર્ભ અને ભૂગર્ભના અનિવાર્ય અંધકાર વચ્ચે પ્રકાશમય થઈ જીવવું-જીવવાનો પ્રયાસ કરવો – તે જ યાત્રા. તે જ જીવનનો એક માત્ર હેતુ છે. તે કેમ શક્ય બને ? વ્યક્તિ મોટી થતી હોય તે દરમિયાન બહુ જ ઝડપથી તેણે પોતાનો પરિચય કરી લેવાનો પ્રયાસ કરવાનો છે. ‘હું કોણ’ની સજાગતા કેળવી લેવાની છે. આત્મપરિચય જ યાત્રાનું બીજ છે અને એમ ન માનવું કે આ ‘હું કોણ’ કોઈ ગહન આધ્યાત્મિક પ્રશ્ન છે. ના, તે સીધોસાદો અસ્તિત્વગત પ્રશ્ન છે. સીધી ચેતનાનો પરિચય કરવાની જરૂર નથી અને થશે પણ નહીં. અહીં ‘હું’ એટલે માનસિક અને બૌદ્ધિક વ્યક્તિત્વનો પરિચય, પોતાની શક્યતાઓનો પરિચય. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વિશિષ્ટતા સાથે જન્મે છે. ભલે તેના બાહ્ય સંસ્કારો કે શિક્ષણ તેને સમાજને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે, છતાં તે બધાં તેની વિશિષ્ટતાને દૂર કરી શકતાં નથી. તેબ તો ટકે જ છે, માટે જ બીકણ ગાંધી અભય ગાંધી બની શકે છે. દારૂડિયા લાલા મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદ બની શકે છે. પગ કપાવા છતાં સુધા ચન્દ્રન નૃત્યાંગના બની શકે છે કે અઠ્ઠાણુ ટકા શરીર લકવાગ્રસ્ત બનવા છતાં સ્ટીફન હોકિંગ શ્રેષ્ઠ વિજ્ઞાની બની શકે છે ! આમ કેમ બન્યું ? આ દરેકે ‘પોતાનો’ પરિચય મેળવી લીધો હતો. ‘હું એટલે આ’, અને મારે તે માટે જ જીવવાનું છે… ‘આ તેમની સાધના.’

યાત્રાનું પ્રથમ પગથિયું છે : સ્વનો, વિશિષ્ટતાનો પરિચય. પોતે કલાકાર છે, વિજ્ઞાની છે, સંત છે ? શું છે તે શક્યતાને ઓળખી લેવી. પોતાના વ્યક્તિત્વના નકશાનો પરિચય. નકશો હસ્તગત કરવો, પણ નકશો મેળવવાથી માત્ર તે સ્થળો છે તે જ ખ્યાલ આવે છે. તે જોઈ શકાતાં નથી. યાત્રા હકીકતે શરૂ કરાય, ત્યારે જ શરૂ થાય છે. ‘ચલના જીવનકી નિશાની.’ તેમ યાત્રા શરૂ કરવી તે જ મહત્વનું. એક વાર પોતાની વિશિષ્ટતા સમજાઈ કે તરત તેને કેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવાનો છે. કલાકાર હોવાની સંભાવના દેખાય, તો કલાની સાધના શરૂ કરી દેવાની. વિજ્ઞાની હોવાની સંભાવના દેખાય, તો પ્રયોગ કરવાના શરૂ કરી દેવા. જાહેર જીવનમાં જવાની શક્યતા દેખાય, તો જાહેર પ્રવૃત્તિ આદરવાની શરૂઆત કરવી. જે હોય તે, પણ ‘શરૂ કરવું.’ સ્વસ્થ શરૂઆત યાત્રાની અર્ધી સફળતા છે : Well begun is half done. જેમ જેમ સાધના-રિયાઝ-મહાવરો વધતાં જશે, તેમ તેમ આ સંભાવના પ્રગટ થવા લાગશે. વ્યક્તિ સંગીતમાં ઊંડી ઊતરશે, તો તેની સમજ ઊંડી બનશે. પ્રયોગો કરશે, તો વિશ્વનું રહસ્ય પ્રગટ થવા લાગશે. હકીકતે વિશ્વનું રહસ્ય પ્રગટ નથી હોતું, પણ વ્યક્તિની સમજ એટલી ઊંડી અને વ્યાપક તથા ગ્રાહક બને છે કે રહસ્ય ‘સમજવામાં’ ઝડપ થાય છે. વિશ્વનું રહસ્ય તો ખુલ્લું જ છે. જરૂર છે સાધના દ્વારા મનને તેને સમજવા લાયક બનાવવાનું છે. આ ‘યાત્રા’ને સાધના અને સિદ્ધિનો તબક્કો માની શકાય.

જેમ જેમ યાત્રા વધતી જશે, માઈલ-પથ્થરો પાછળ જતા જશે, માઈલો વધતા જશે, તેમ તેમ વધુ ને વધુ સ્થળો જોવા મળશે. વધુ ને વધુ સૌંદર્યદર્શન થશે. તે જ રીતે વ્યક્તિત્વ-પ્રગટીકરણની યાત્રા પણ જેમ જેમ આગળ વધશે, પોતાના પસંદ કરેલ ક્ષેત્રમાં, તેમ તેમ તે ક્ષેત્રની વધુ ને વધુ વ્યાપકતાનો અનુભવ થતો જશે અને તેનું સૌંદર્ય પ્રગટ થતું જશે. કોઈ વિજ્ઞાની કલાકો એક ચિત્તે પ્રયોગો કરે કે કોઈ સંગીતકાર કલાકો ગાય કે ચિત્રકાર ચિત્ર દોરે, ત્યારે આ બધામાંથી સૌંદર્યનો ધોધ પ્રગટવા લાગે છે અને તેનાં વ્યક્તિત્વને ભીંજવી નાખે છે ! વ્યક્તિ આ સૌંદર્યમાં નાહીને એવી તલ્લીન બને છે કે પોતે જ સૌંદર્ય બની જાય છે : ચિત્રકાર પોતે જ ચિત્ર બની જાય છે. નૃત્યકાર પોતે જ નૃત્ય બની જાય છે. વક્તા પોતે જ વક્તવ્ય બની જય છે. પૂર્ણ અદ્વૈત રચાઈ જાય છે ! પછી પહોંચવાનું સ્થળ જ યાત્રાનો મુકામ નથી બનતો. દરેક પગલું જ યાત્રા બની જાય છે. દરેક પગલું જ ધાર્મિક સ્થાન બને છે. તે સ્થળનાં દર્શન થાય તે પહેલાં વ્યક્તિ પોતે જ સ્થળ બની ગઈ હોય છે. બાહ્ય સ્થળ તો એટલા માટે ગદગદ કરે છે, કારણ કે હજારો માઈલનું મંદિરત્વ કેવળ બહાર જુએ છે. આથી અવ્યક્ત મંદિરત્વની અનુભૂતિ વ્યક્ત મંદિરમાં પરિણમે છે. આને જ સમાધિ, મોક્ષ, રિવેલેશન, નિર્વાણ, કેવળત્વ, ડિલિવરંસ કહે છે. જે પળે વ્યક્તિમાં પોતામાં રહેલ અસ્તિત્વનું ઉદ્ઘાટન થઈ તેમાં રહેલ સૌંદર્યનો વિસ્ફોટ થાય છે, ત્યારે વ્યક્તિ શરીર-મન-બુદ્ધિથી પર થઈ કેવળ ‘હોય’ છે. આ ‘હોવા’ની અનુભૂતિ જ યાત્રાની પૂર્ણાહૂતિ છે. અહીં ગર્ભનો અંધકાર પૂર્ણ વિલીન થાય છે. તે પળે ગર્ભ પણ કૃતકૃત્યતા અનુભવે છે કે ભલે તેને ધારણ કર્યો ! અને આશ્ચર્ય થાય પણ ભૂગર્ભ પણ હરખાય છે કે ‘અહો, વર્ષો પછી મારામાં પ્રકાશ અવતરશે !’ તે પણ તેને આવકારવા તૈયાર થઈ જાય છે.

ગર્ભમાંથી કૃત્કૃત્યતાની યાત્રા શરૂ થાય. ભૂગર્ભમાં તે સમાઈ જાય. બન્ને પ્રકાશમય થઈ જાય. આને જ મીરાંબાઈ ‘રામ રતન ધન પાયો’ કહે છે. યાત્રામાંથી શું ખરીદી કરાય ? ના, ખરીદવાનું ન હોય, તે મળે જ. મંદિરમાંથી પ્રસાદ મળે તેમ ! પણ કેવું ‘રામ રતન ધન ?’ તેનો સાદો અર્થ છે : ‘આનંદ-કૃત્કૃત્યતા.’ અને આ આનંદ કેવો હોય ? મીરાં કહે છે…. ;ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો.’ ન તે ઘટે. ન તે ચોરાય. પણ પળે પળે વધે. એટલે જ જીવનનાં છેલ્લા તબક્કાને ‘વૃદ્ધત્વ’ કહે છે. વધે તે વૃદ્ધ. અને તે કેવળ યાત્રાળુ હોય તો જ બની શકે. હેતુવિહીન જીવનના અંતભાગને તો ‘ઘરડાપણું’ કહે છે. ઘટે તે ઘરડો ! ગર્ભ અને ભૂગર્ભમાં તો લાચારી છે. તે બન્ને ફરજિયાત છે. તેના પર વ્યક્તિનું નિયંત્રણ નથી. પણ તે વચ્ચેનો સમય તેનો છે. તેના કાબૂમાં છે. તેને તે રખડવામાં પસાર કરી શકે છે કે યાત્રામાં પણ પલટાવી શકે છે. તે તેની પસંદગી છે. ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવનયાત્રા પુરુષાર્થ છે. પુરુષાર્થ કરી શકાય છે. …જો પુરુષાર્થ ન બને, તો ભૂગર્ભ કેવળ અંધકારમય જગત છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તેને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે, ‘મને તમે દાટી શકશો ખરા ?’ આ યાત્રાળુનો જવાબ છે. તો આ છે, થઈ શકે છે : ગર્ભથી ભૂગર્ભની યાત્રા !



સૌજન્યઃ ReadGujarati.com: જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા