Showing posts with label P P Vora. Show all posts
Showing posts with label P P Vora. Show all posts

Thursday, August 11, 2022

શ્રી પી પી વોરાને અંજલિ - મારી પ્રારંભિક કારકિર્દીનાં ઘડતરના એક મહત્વના સ્થપતિની અપ્રત્યક્ષ ભૂમિકાની યાદો

01-10-1943 | 05-08-2022
Ex-CMD – IDBI |Ex-CMD- NHB
શ્રી પી પી વોરાના દેહવિલયના સમાચાર નજરે પડતાંવેંત મારૂં મન ટાઈમ મશીનમાં ગોઠવાઈ જઈને મારી પ્રારંભિક કારકિર્દીનાં ૧૯૭૪ -૧૯૭૬ વર્ષોમાં પહોંચી ગયું.

આઇસીઆઈસીઆઈ લિ. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ.ને એવું સુચન કરેલ કે રૂ. ૪૦ લાખની જીએસટીની લાંબા ગાળાની લોન માટે જીએસટીએ અમદાવાદમાં ગુ્જરાત ઇન્ડસ્ટ્રિઅલ ઈન્વેસ્ટ્મેન્ટ કોર્પોરેશન (જીઆઈઆઈસી) લિ.નો સંપર્ક કરવો જોઇએ. જીઆઈઆઈસી સાથે એ રીતે શરૂ થયેલા સંબંધે જીએસટી માટે તેના નીકા ટ્યુબ લિ.(નીકા)ના વેલ્ડેડ એસ એસ ટ્યુબ ઉત્પાદન પ્રોજેક્ટ માટેની લાંબા ગાળાની લોન માટે પણ દરવાજો ખોલી આપ્યો. નિયતિએ જીએસટીમાં પ્રોજેક્ટ ઑફિસર તરીકેની ભૂમિકામાં મને મુકીને મારી કારકિર્દીના કેટલાક પાયાના પાઠો શીખવવાની ગોઠવેલી રાખેલી એ કેવી યોજના હતી !

જીએસટીએ પોતાના સ્વાનુભવથી કેળવેલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ કૌશલ્યને એક નવી દિશામાં મૂર્ત કરવાની જીએસટીની એ સમયની પ્રોજેક્ટ અમલીકરણ ટીમ માટે આ એક અમૂલ્ય તક અને અભિનવ પડકાર હતાં. પ્રોજેક્ટ અમલીકરણમાં જાતે બનાવેલી ટ્યુબ મિલ માટે નાણાંકીય સંસ્થા પાસેથી લોન મંજૂર કરાવવી એ માત્ર મારી કારકિર્દીનો જ નહીં પણ જીએસટી માટે પણ પહેલો જ અનુભવ હતો. નીકાની આ પ્રોજેક્ટ માટેની લોનની દરખાસ્તને તકનીકી મૂલ્યાંકનના તબક્કાના કોઠાને પાર કરીને હવે નાંણાંકીય દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાના તબક્કા સુધી તો પહોંચાડી દઈ શકાઈ હતી. એ માટે જીઆઈઆઈસીના એ સમયના તકનીકી મૂલ્યાંકન વિભાગના વડા શ્રી આર એસ દીક્ષિત (એમના નામના પ્રથમાક્ષરો માટે મારી યાદ કાચી નથી પડતી એ અપેક્ષા સહ) ખુદ એ દરખાસ્ત લઈને જીઆઇઆઈસીના એ સમયના નાણાંકીય મૂલ્યાંકન વિભાગના વડા શ્રી પી પી વોરા પાસે મને લઈ ગયા.

શ્રી પી પી વોરાએ મૂલ્યાંકનના પ્રારંભિક તબક્કામાં જ ખુબ કાળજીપૂર્વકની પ્રોફેશનલ ઢબે મારી પાસે નીકા દ્વારા જાતે બનાવાઈ રહેલ ટ્યુબ મિલનાં મૂલ્યને રેકોર્ડ કરવા માટેનું અને દસ્તાવેજ કરવા માટેનું એક મૉડેલ મારી પાસે તૈયાર કરાવડાવ્યું. જે રીતે એમને એ મૉડેલને ઘડ્યું તે નીકા માટે અમલ કરવામાં સરળ હોવાની સાથે સાથે નિષ્પક્ષ રીતે ઑડીટ થઈ શકે તેમ હોવાની સાથે સાથે નાણાંકીય હિસાબો માટેની કંપનીઓના કાયદાની તેમ જ આવક વેરા કાયદાની જોગવાઈઓ સાથે પણ સુસંગત હતું.

શ્રી દીક્ષિત અને શ્રી વોરાએ જે સહજતાથી સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયાની દોરવણી કરી એને કારણેને કોઈ પણ તબક્કે એ આખી જવાબદારી મને બોજો તો ન જ અનુભવાઈ, પરંતુ તે સાથે નીકા સંચાલક મંડળ અને પ્રોજેકટ ટીમને પણ એવું જ લાગે કે આ આખી પ્રક્રિયાનો સફળ ચાલક હું છું, તે રીતે પણ પ્રસ્તુત થઈ.

જે સહજતાથી એ આખી પ્રક્રિયાનો અમલ થયો તેને કારણે મને જરા પણ ભાર વિના એ અનુભૂતિ પણ થઈ કે મારા સૈદ્ધાંતિક જ્ઞાનના કાચા ઘડાને સહારે હું આ પ્રકિયાની મહા નદીમાં જે સરળતાથી તરી શક્યો છું તેમાં હું સાચો છું તેના કરતાં ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાના ઉદ્દેશને બહુ જ સ્વાભાવિકતાથી ચરિતાર્થ કરી રહેલા બે પ્રોફેશનલોની ખરી વિચક્ષણતા વધારે કારગર હતી. એમની એ વિચક્ષણતાએ મારા જેવા કંઈ કેટલાય નવપ્રોફેશનલોને સૈદ્ધાંતિક આદર્શોને વાસ્તવિકતાની એરણે ઘડવાની કુનેહ શીખવી હશે !

એટલું જ નહીં. કોઇ પણ દરખાસ્તની લોનની સમગ્ર અવધિ દરમ્યાન તકનીકી અને નાણાંકીય સદ્ધરતાને એ ઉદ્યોગનાં બૃહદ પાસંઓની દૃષ્ટિએ ચકાસવાના તેમના દૃષ્ટિકોણને પરિણામે અમને (નીકાનાં સંચાલન મડળને) પણ નવાં જ પાણીમાં આ નૌકાને તરતી રાખવા માટે આવશ્યક એવા ઘણા પાઠ શીખવ્યા.

તદુપરાંત, આજે જ્યારે હવે હું પશ્ચાદ દૃષ્ટિએ એ સમગ્ર પ્રક્રિયાને નિહાળું છું ત્યારે મને એ પણ સમજાય છે કે કોઇ પણ બાબતને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની તેમની એ કુનેહ કંઇક અંશે મને પણ એટલું શીખવાડતી ગઈ કે પહેલી નજરે દેખીતા દૃષ્ટિકોણની પેલે પાર જઈને પણ કોઈ બાબતને સાવ અલગ અલગ જ દૃષ્ટિકોણ શા માટે અને શી રીતે જોવી જોઈએ.

શ્રી પી પી વોરાનાં દેહાવસાનના સમાચારથી એ વર્ષોની આ બધી યાદોનું મારાં મનમાં ઉભરી આવવું એ જ કદાચ મારી તેમને, ભારતનાં ઉદ્યોગ જગતને ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાની તેમની એ અનન્ય કુનેહને, સાચી અંજલિ હોઈ શકે.

તે સાથે મારી ૩૮ વર્ષની કારકિર્દીમાં નિયતિની દોરવણી હેઠળ મંચ પર પાઠ ભજવતા મને એ સમયે મારા માટે જે કરવું સાચું છે એવી મારી માન્યતાની મારી શ્રધ્ધાની જ્યોતને સંકોરતા રહેવાની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભૂમિકા ભજવનારી એ દરેક વ્યક્તિઓ પ્રત્યે મારાં ઋણનો પણ હું સ્વીકાર કરૂં છું.