Showing posts with label Personal. Show all posts
Showing posts with label Personal. Show all posts

Thursday, April 3, 2025

મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ, આજે પરમ શાંતિના પંથે પ્રયાણ માડે છે, ત્યારે .....

 

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫, મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ (૧૩-૫-૧૯૩૩ | ૨૨-૩-૨૦૨૫), ના દેહાવસાન પછી તેરમો દિવસ છે. હિન્દુ પરંપરા પ્રમાણે, "તેરમું" એ અંત્યેષ્ટિ સંસ્કારનું અંતિમ સીમાચિહ્ન છે. એમ મનાય છે કે એ દિવસે આત્મા તેનાં નશ્વર બંધનો અતિક્રમીને પિતૃલોકનાં આધ્યાત્મિક ક્ષેત્ર તરફની પરમશાંતિની યાત્રા શરૂ કરે છે.

પાછળ દૃષ્ટિ કરતાંમારું મન મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ) વૈષ્ણવ,ની આખરી રાત, ૧૮ ડિસેમ્બર ૧૯૮૩, ની યાદથી ભરાઈ જાય છે.

તે અવિસ્મરણીય ચોવીસ કલાક ……

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજની તે સાંજે, સુસ્મિતાને પાલનપુરથી ફોન આવ્યો. મારા પિતાના સહકર્મી શ્રી ધ્રુવભાઈ છાયા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા), એ જાણ કરી હતી કે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે, અને તેઓ તેમને અમદાવાદના ઉસ્માનપુરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.[1] સુસ્મિતાએ તાત્કાલિક અમારી ફેક્ટરી, ઍરીશ ઇક્વિપમેન્ટ, વટવા,એ મને જાણ કરી.

હું ઘરે પહોંચું તે પહેલાં, સુસ્મિતા  અમારા અઢી વર્ષના પુત્ર, તાદાત્મ્ય,ને, નજદીકમાં રહેતા અમારા મોટા પિતરાઈ ભાઈ, સુધાકરભાઈના ઘરે લઈ ગઈ અને તેમને ઘટનાની જાણ કરી. તેથી, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ પણ અમારે ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ અમારું પહેલું કાર્ય, અમારા પરિવારના પરિચિતો, પડોશીઓ તેમ જ મિત્રો એવા, ડૉ. અશોકભાઈ દેસાઈ અને ડૉ. બંકિમ માંકડ, નો સંપર્ક કરવાનું હતું. બંને ડૉક્ટર મિત્રો પહેલેથી જ સિવિલ હોસ્પિટલ, આસારવામાં સિનિયર ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી, તેમણે અમને ત્યાં પહોંચવાની સલાહ આપી. તેમણે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બધી વ્યવસ્થા કરી. પછી, હું અને સુધાકરભાઈ મારા પિતાને લઈ આવનારી એમ્બ્યુલન્સ જ્યાં પહોંચવાની હતી તે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સના આવવાની રાહ જોવા લાગ્યા. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતાની સાથે જ, અમે તેમને અમારી સાથે સિવિલ હોસ્પિટલ પહોંચવાનો નિર્દેશ આપ્યો.

અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં, રાતના ૧૧ વાગ્યા પછીનો સમય થયો હતો. મારા પિતાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય લાગ્યો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને એક ટીમની સતત દેખરેખ એક હેઠળ રાખવામાં આવશે, એ ટીમની આગેવાની  એક ખૂબ જ યુવાન કાર્ડિયોલોજિસ્ટ (જો મને બરાબર યાદ હોય તો ડૉ. પુરેન્દ્ર પટેલ હતા) કરી રહ્યા હતા. બીજી પંદર વીસ મિનિટમાં પછીથી કંઈ પણ અનિચ્છનીય બને ત્યારે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ટીંમ સંપૂર્ણપણે સજ્જ હતી.

આ દરમિયાન, ધ્રુવભાઈએ અમને જાણ કરી કે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે, મારા પિતા દાંતીવાડા કેમ્પસના ગુજરાત કૃષિ યુનિવર્સિટી (જીએયુ) સ્થિત તેમના ઘરે લંચ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. મારી માતાએ મદદ માટે ઓફિસને જાણ કરી. સ્ટાફના સભ્યો જીએયુ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સાથે દોડી ગયા. હૃદયરોગનો હુમલો હોવાનું નિદાન થતાં, પ્રાથમિક સારવાર  આપ્યા પછી, તેમને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના લોહીમાં એક 'ગઠ્ઠો' તરતો હતો, જેના કારણે હૃદયરોગના હુમલાના આ લક્ષણો જોવા મળ્યા. જો 'ગઠ્ઠો' હૃદય સુધી પહોંચે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. પાલનપુર હોસ્પિટલે વધુ સારવાર આપવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપી.

આટલી વાત થઈ એ દરમ્યાન આગળની કાર્યવાહીનો ક્રમ નક્કી થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે મારી માતા અને સુસ્મિતાએ ઘરે જવું જોઈએ અને બીજા દિવસે સવારે બપોરના ભોજન પછી પાછા આવવું જોઈએ. ધ્રુવભાઈ છાયાએ તેમને અમારા ઘરે મૂકવાનું નક્કી કર્યું. હું અને સુધાકરભાઈ હવે હોસ્પિટલમાં હાજર હતા. મારા પિતાએ સુધાકરભાઈને પલંગની બાજુમાં થોડા કલાકો સૂવા માટે સમજાવ્યા. અમે રાત્રિની ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલીક પ્રાથમિક સહાયક વસ્તુઓ સાથે લાવ્યા હતા. તેમની મદદથી, સુધાકરભાઈએ અડધી ઊંઘ અને અડધી જાગતી અવસ્થામાં તેમની પીઠને હળવી કરવાનો પ્રયાસ કર્યો. હું મારા પિતાની બાજુમાં બેઠો.

તે પછી મારા પિતાએ ખુલીને એમની ચિંતાઓ અને સૂચનાઓ મને જણાવવાનું કરવાનું શરૂ કર્યું. તેઓ ૧ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ જ નિવૃત્ત થયા હતા, તેથી તેમણે તેમના સર્વિસ રેકોર્ડ, હાઉસિંગ લોન સંબંધિત દસ્તાવેજો ક્યાં છે તે બધું મને જણાવ્યું. તેમણે પેન્શનની સંભવિત રકમ (અથવા જો તેઓ આ હુમલામાં બચી ન જાય તો મારી માતાને ફેમિલી પેન્શન), દાંતીવાડામાં તેમના બેંક ખાતાની વિગતો વગેરે વિશે પણ માહિતી આપી.
મારા ભવિષ્યની ચિંતા
મારા પિતાની સૌથી મોટી ચિંતા મારા ભવિષ્યની હતી. તેઓ બહુ સરળ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. મારા પહેલાની અમારી બધી પેઢી સરકારી સેવામાં હતી. અમારા સમુદાયમાં સ્વીકૃત ધોરણ હતું કે જે કોઈ પણ સરકારી સેવામાં જોડાય છે તે તે સેવામાંથી પણ નિવૃત્ત થાય છે. હું ખાનગી ક્ષેત્રમાં જોડાનારો પહેલો વ્યક્તિ હતો. તેથી, તેમને ખાનગી ક્ષેત્રમાં નોકરીની અસલામતીનો સ્વાભાવિક ખયાલ હતો. જોકે, ૧૯૭૩ થી ૧૯૭૯ સુધી, જેમ જેમ મેં મારા પ્રથમ નોકરીદાતા ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ, અમદાવાદ સાથે મારી કારકિર્દીમાં પ્રગતિ કરી, તેમ તેમ તેમની ચિંતાઓ, લગભગ ઓછી થઈ ગઈ. તે સમયે જ મેં, ત્રણ અન્ય મિત્રોની સાથેઅમદાવાદના વટવા ખાતે એક નાના પાયે ઉત્પાદન એકમ, આરીશ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ., શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, તેમના મનના ઊંડાણમાં, શાંતિ ફરી ખલેલ પહોંચાડી. એક સરકારી કર્મચારી તરીકે, તેમને માત્ર નોકરીની ખાતરી જ નહીં, પણ કાર્યસ્થળ પરના રોજિંદા કામ માટે પણ ખાતરી રહેતી હતી. તેમની ચિંતામાં વધારો કરવા માટે, અમે ઘણા લાંબા સમય સુધી કામ આપતા રહે એવા મૂડીગત માલનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ આ સાહસની સફળતાના દૃષ્ટિકોણથી મારા ભવિષ્યની સુરક્ષા બાબતે ફક્ત નજીકના ભવિષ્યમાં આજીવિકાના પૂરતા સ્ત્રોત તરીકે નહીં, પરંતુ અમારા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટેનો લાંબા ગાળાના સ્ત્રોત બાબતે પણ તેઓ પણ ચિંતિત હતા.

તે રાત્રે, તેમણે પહેલી વાર પોતાની ચિંતાઓ સ્પષ્ટપણે શબ્દોમાં વ્યક્ત કરી. જોકે, તેમણે નિષ્કર્ષમાં એમ પણ જણાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા અને તેમાંથી બહાર આવવાની મારી ક્ષમતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. તેથી તેમણે મને ખાતરી આપી કે તેઓ મારા વિશે થોડો ઉચાટ અનુભવતા રહ્યા છે પણ આ ક્ષણે હવે તેઓ ચિંતિત નથી.

અમારી ચર્ચાઓ ખૂબ મોડી રાત સુધી ચાલતી રહી હતી. તેથી, તેમને થોડી ઊંઘ લેવામેં વિનંતી કરી. પરંતુ, તેમણે કહ્યું કે પોતાનું મન આટલું ખાલી કરી દીધા પછી તેઓ હવે જે કંઈ થશે તેનો સામનો કરવા માટે તૈયાર હતા., છતાં તેમના અંગત પરિવારના વડા તરીકે, તેમજ તેમના પિતાના બૃહદ પરિવારના વડા તરીકે તેમના ત્રણ અધૂરા કાર્યો તેઓ મને સોંપવા માગતા હતા.
ત્રણ જવાબદારીઓ
તે પછી તેમણે મને જે ત્રણ જવાબદારીઓ સોંપી તે આ મુજબ હતી:

૧) તેમનાં માતા (મારી દાદી), રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ,ની સંભાળ રાખવામાં તેમના નાના ભાઈ, જનાર્દન વૈષ્ણવ,ની સાથે મારે ઊભા રહેવું, જેથી તેમની ગેરહાજરીમાં, માતા પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવામાં તેમના નાના ભાઈને એકલા પડી જવાતું ન લાગે;
૨) જાણે હું તેમનો પુત્ર હોઉં તેમ, તેમના નાના ભાઈ, જનાર્દન પ્રાણલાલ વૈષ્ણવ.ની સાથે મારે હંમેશા રહેવું, અને
૩) મારા અંગત મૂલ્યોને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ સંજોગોમાં મારી માતાની સંભાળ રાખવી.

૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ, મારી માતાનું અવસાન થયું, જેનાથી મને સોંપાયેલી ત્રીજી જવાબદારીમાંથી. ઔપચારિક કક્ષાએ, પણ મુક્તિ મળી.

પાદ નોંધઃ:

૧) મેં મારી અત્યાર સુધીની જિદગીમાં જોયેલી બધી જ વ્યક્તિઓમાં મારાં દાદી જેટલું પવિત્ર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમ છતાં, મારી દાદીના છેલ્લા છ મહિના ખૂબ જ પીડાદાયક હતા. મારા કાકા, જનાર્દન વૈષ્ણવ અને તેમના અંગત પરિવારે તેમની શારીરિક પીડાઓને સહ્ય કરવા માટે તે દિવસોમાં જે કંઈ કરી શકાય તે બધું જ કર્યું. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સંતોષ થાય છે કે મેં પણ મારા પિતાએ મને જે જવાબદારી સોંપી હતી તેમાં તેમણે મારી જે ભૂમિકા કલ્પી હશે તેને હું, મહદ્‍અંશે, નિભાવી શક્યો હતો.
૨) મને એ વાતનો પણ સંતોષ છે કે મેં મારા કાકા અંગે મારા પિતાએ મને જે ભૂમિકા સોંપી હતી તે હું પુરી નિષ્ઠાથી ભજવતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં તેમની અમુક માંદગી પછી તેઓ એમ માનતા કે હવે પછી તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ સારવાર ન કરાવવી, તેમની એ ઇચ્છાને માન આપીને તેમના છેલ્લા દિવસોમાં, મારા પોતાના મૂલ્યો અને 'મારી' ફરજો નિભાવવાના મારાં પોતાનાં ધોરણોની વિરુદ્ધ, હું તેમની પાસે રૂબરૂ ગયો ન હતો. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, તેમ હું એવા નિષ્કર્ષ પર આવી શકતો નથી કે મેં એ જે કંઇ કર્યું તે યોગ્ય કાર્ય કર્યું હતું કે નહીં. મને નથી લાગતું કે હું ભવિષ્યમાં પણ આ બાબતે  નક્કી કરી શકીશ. તેથી, કર્મના સિદ્ધાંતમં અંગત રીતે મને બહુ શ્રદ્ધા ન હોવા છતાં, હું અંતિમ નિર્ણય કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઉં છું.
૩) આંકડાઓ નોંધ કરશે તેમ, હું મારા જીવનના ફક્ત ૩૩ વર્ષ મારા પિતા સાથે વિતાવી શક્યો. તેમની સાથેના એ અવિસ્મરણીય દિવસના છેલ્લા થોડા કલાકો સિવાય, તેમણે  સેવામાંથી નિવૃત્ત થયા પછી હું તેમની સાથે (અને તેમના માટે) કરવા માંગતો એવું કંઈ કરી, ક્યારે પણ,  શક્યો નહીં. ખેર, એનો હિસાબ પણ કર્મના સિદ્ધાંતના હાથ પર જ છોડી દઉં છું. 

મારા પિતાના અવસાન પછી, મને મારી માતા સાથે રહેવા માટે ૪૨ વર્ષ મળ્યાં. ૨૦૧૭ માં તેમના નિતંબ (ફીમર) ના બૉલની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી અમે તેમને સફળતાપૂર્વક પાર કરાવી શક્યાં અને વોકરની મદદથી તેમને ઠીક ઠીક છુટથી હરતાં ફરતાં કરતાં પણ કરી શક્યાં.
જોકે, ૨૦૨૦ના અંત સુધીમાં, તેના પગના સ્નાયુઓ એટલા નબળા પડવા લાગ્યા હતા કે તેમણે પથારી પકડી લીધી. આગામી સાડા ત્રણ વર્ષ સુધી, પથારીવશ અવસ્થામાં હવે સુધારો શક્ય નથી  એવું નક્કી થયા પછી પણ તેમની આવશ્યક દૈનિક દિનચર્યા માટે ઓછામં ઓછાની મદાદથી તેઓ કરતાં રહી શકે એમ અમે કરતાં રહી શક્યાં હતાં. જોકે, પથારીમાં જ  રહેવાની નકારાત્મક અસર તેમના શરીર પર ચિંતાજનક રીતે થવા લાગી હતી. છેલ્લા દોઢ વર્ષમાં પોતાના અસ્તિત્વ માટે તેમણે બીજા પર વધુને વધુ નિર્ભર બની રહેવું પડતું હતું. 
આ એ તબક્કો હતો જ્યારે તેમના વધતા જતા દુખાવા અને પીડાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હું સંપૂર્ણપણે લાચારી અનુભવવા લાગ્યો હતો. એક તબક્કે, કુદરતની યોજના સામે મારે માનસિક રીતે મારી હાર પણ સ્વીકારવી પડી. જોકે અમારાથી શકી હતા એ તમામ પ્રયત્નો અમે પૂરા દિલથી ચાલુ રાખ્યા પરંતુ અંતની શરૂઆતની પ્રક્રિયાને ઉલટાવી શક્યા નહીં.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન, તે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અંત ગમે ત્યારે આવી શકે છે. ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ, રોજિંદા સવારના સફાઈ વગેરેનામ તેમનાં કામકાજ પછી, અમને લાગ્યું કે કદાચ આપણે કુદરત સામેના અસ્તિત્વના યુદ્ધમાં હજુ પણ એકબે નાની જીત મેળવી શકીશું. સવારે ૧૦ વાગ્યે, તેમની આંખો અને હોઠ સંપૂર્ણપણે બંધ જણાતી હતી એવી અર્ધજાગૃત અવસ્થામાંહું તેમને અડધો ગ્લાસ પાણી પીવડાવવામાં સફળ થયો. જોકે, જ્યારે હું ૧૦.૪૫ વાગ્યે તેમને જમાડવા માટે આવ્યો, ત્યારે મને લાગ્યું કે હવે જીવન થંભી ગયું છે.. ડૉક્ટર દ્વારા અંતિમ પુષ્ટિ તે પછી માત્ર એક ઔપચારિકતા હતી.

મારી માતા પ્રત્યેની મારી ફરજ બાબતે મારા પિતાજીએ મને સોંપેલી જવાબદારીમાં હું કેટલી હદે ખરો નીવડ્યો તેનો અંતિમ નિર્ણય પણ હું કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઈશ.

પાદ પાદ નોંધઃ
૧) કિરણાબેનના પૌત્ર તાદાત્મ્ય અને પૌત્રવધુ ભૂમિકાએ આજે તેમના 'દાદું'ની સ્મૃતિને રામકૃષ્ણ મઠ, બેલુર અને સાંઈબાબા પ્રતિષ્ઠાન, શિરડીને રૂ. ૧૦૦૧નાં અંજલિસ્વરૂપ અનુદાન કર્યાં.
 ૨) કિરણાબેનની ભાણેજો, ભાનુબેન ડોલરરાય અંજારીઆની દીકરીઓ વિભા (કીરીટરામ ઓઝા) અને સાધના (કશ્યપભાઈ વૈષ્ણવ) અને ધનવિદ્યાબેન પ્રદ્યુમ્નભાઇ માંકડની દીકરી પ્રતિભા (પ્ર માંકડ)  સોમવારે  (૭ - ૪ - ૨૦૨૫ના રોજ) રાજકોટમાં. કિરણાબેનની દીકરીઓ તરીકે વંચિત બાળકોને ભોજન કરાવશે. 


[1] ધ્રુવભાઈ છાયાની ખૂબ આત્મીય શ્રદ્ધાંજલિ:
મુ. પૂજ્ય કિરણબેનના દુઃખદ અવસાન સાંભળીને દુઃખ થયું. મારા પરિવાર અને અમારા જેવા એન્ય લોકોની શોકની ઘડીમાં સંવેદનાપૂર્ણ દિલસોજી સ્વીકાર્શો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.

જ્યારે મેં દુઃખદ સમાચાર સાંભળ્યા, ત્યારે ૧૯૭૨ થી ૧૯૮૪ દરમિયાન શ્રી મહેશભાઈ અને કિરણબેન સાથેના મારા સંબંધોનું ચિત્ર મારી સામે આવે છે. સંબંધો ખૂબ પ્રેમાળ હતા.

જ્યારે હું દાંતીવાડા જતો ત્યારે તેઓ મને ગેસ્ટ હાઉસમાં લંચ કે ડિનર લેવાની મંજૂરી તેમો આપતા નહોતા. મહેશભાઈ અને કિરણબેન બંને તાદાત્મ્ય સાથે અમારા ઘરે આવતા હતા. અમારો ખૂબ ગાઢ કૌટુંબિક સંબંધ હતો. જ્યારે મહેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે હું અને કિરણબેન તેમને અમદાવાદ લાવ્યા.

મુ. કિરણબેનને પણ સુઝ હતી. મેં તેમને દાંતીવાડામાં અન્ય મહિલા સભ્યોને વિવિધ કલા અને હસ્તકલા શીખવતાં પણ જોયાં છે.

ઈશ્વરેચ્છા સ્વીઆરીને, આપણે બધું પાછળ છોડીને મીઠી યાદો સાથે આગળ વધવું જોઈએ.

Thursday, August 11, 2022

શ્રી પી પી વોરાને અંજલિ - મારી પ્રારંભિક કારકિર્દીનાં ઘડતરના એક મહત્વના સ્થપતિની અપ્રત્યક્ષ ભૂમિકાની યાદો

01-10-1943 | 05-08-2022
Ex-CMD – IDBI |Ex-CMD- NHB
શ્રી પી પી વોરાના દેહવિલયના સમાચાર નજરે પડતાંવેંત મારૂં મન ટાઈમ મશીનમાં ગોઠવાઈ જઈને મારી પ્રારંભિક કારકિર્દીનાં ૧૯૭૪ -૧૯૭૬ વર્ષોમાં પહોંચી ગયું.

આઇસીઆઈસીઆઈ લિ. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ.ને એવું સુચન કરેલ કે રૂ. ૪૦ લાખની જીએસટીની લાંબા ગાળાની લોન માટે જીએસટીએ અમદાવાદમાં ગુ્જરાત ઇન્ડસ્ટ્રિઅલ ઈન્વેસ્ટ્મેન્ટ કોર્પોરેશન (જીઆઈઆઈસી) લિ.નો સંપર્ક કરવો જોઇએ. જીઆઈઆઈસી સાથે એ રીતે શરૂ થયેલા સંબંધે જીએસટી માટે તેના નીકા ટ્યુબ લિ.(નીકા)ના વેલ્ડેડ એસ એસ ટ્યુબ ઉત્પાદન પ્રોજેક્ટ માટેની લાંબા ગાળાની લોન માટે પણ દરવાજો ખોલી આપ્યો. નિયતિએ જીએસટીમાં પ્રોજેક્ટ ઑફિસર તરીકેની ભૂમિકામાં મને મુકીને મારી કારકિર્દીના કેટલાક પાયાના પાઠો શીખવવાની ગોઠવેલી રાખેલી એ કેવી યોજના હતી !

જીએસટીએ પોતાના સ્વાનુભવથી કેળવેલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ કૌશલ્યને એક નવી દિશામાં મૂર્ત કરવાની જીએસટીની એ સમયની પ્રોજેક્ટ અમલીકરણ ટીમ માટે આ એક અમૂલ્ય તક અને અભિનવ પડકાર હતાં. પ્રોજેક્ટ અમલીકરણમાં જાતે બનાવેલી ટ્યુબ મિલ માટે નાણાંકીય સંસ્થા પાસેથી લોન મંજૂર કરાવવી એ માત્ર મારી કારકિર્દીનો જ નહીં પણ જીએસટી માટે પણ પહેલો જ અનુભવ હતો. નીકાની આ પ્રોજેક્ટ માટેની લોનની દરખાસ્તને તકનીકી મૂલ્યાંકનના તબક્કાના કોઠાને પાર કરીને હવે નાંણાંકીય દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાના તબક્કા સુધી તો પહોંચાડી દઈ શકાઈ હતી. એ માટે જીઆઈઆઈસીના એ સમયના તકનીકી મૂલ્યાંકન વિભાગના વડા શ્રી આર એસ દીક્ષિત (એમના નામના પ્રથમાક્ષરો માટે મારી યાદ કાચી નથી પડતી એ અપેક્ષા સહ) ખુદ એ દરખાસ્ત લઈને જીઆઇઆઈસીના એ સમયના નાણાંકીય મૂલ્યાંકન વિભાગના વડા શ્રી પી પી વોરા પાસે મને લઈ ગયા.

શ્રી પી પી વોરાએ મૂલ્યાંકનના પ્રારંભિક તબક્કામાં જ ખુબ કાળજીપૂર્વકની પ્રોફેશનલ ઢબે મારી પાસે નીકા દ્વારા જાતે બનાવાઈ રહેલ ટ્યુબ મિલનાં મૂલ્યને રેકોર્ડ કરવા માટેનું અને દસ્તાવેજ કરવા માટેનું એક મૉડેલ મારી પાસે તૈયાર કરાવડાવ્યું. જે રીતે એમને એ મૉડેલને ઘડ્યું તે નીકા માટે અમલ કરવામાં સરળ હોવાની સાથે સાથે નિષ્પક્ષ રીતે ઑડીટ થઈ શકે તેમ હોવાની સાથે સાથે નાણાંકીય હિસાબો માટેની કંપનીઓના કાયદાની તેમ જ આવક વેરા કાયદાની જોગવાઈઓ સાથે પણ સુસંગત હતું.

શ્રી દીક્ષિત અને શ્રી વોરાએ જે સહજતાથી સમગ્ર મૂલ્યાંકનની પ્રક્રિયાની દોરવણી કરી એને કારણેને કોઈ પણ તબક્કે એ આખી જવાબદારી મને બોજો તો ન જ અનુભવાઈ, પરંતુ તે સાથે નીકા સંચાલક મંડળ અને પ્રોજેકટ ટીમને પણ એવું જ લાગે કે આ આખી પ્રક્રિયાનો સફળ ચાલક હું છું, તે રીતે પણ પ્રસ્તુત થઈ.

જે સહજતાથી એ આખી પ્રક્રિયાનો અમલ થયો તેને કારણે મને જરા પણ ભાર વિના એ અનુભૂતિ પણ થઈ કે મારા સૈદ્ધાંતિક જ્ઞાનના કાચા ઘડાને સહારે હું આ પ્રકિયાની મહા નદીમાં જે સરળતાથી તરી શક્યો છું તેમાં હું સાચો છું તેના કરતાં ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાના ઉદ્દેશને બહુ જ સ્વાભાવિકતાથી ચરિતાર્થ કરી રહેલા બે પ્રોફેશનલોની ખરી વિચક્ષણતા વધારે કારગર હતી. એમની એ વિચક્ષણતાએ મારા જેવા કંઈ કેટલાય નવપ્રોફેશનલોને સૈદ્ધાંતિક આદર્શોને વાસ્તવિકતાની એરણે ઘડવાની કુનેહ શીખવી હશે !

એટલું જ નહીં. કોઇ પણ દરખાસ્તની લોનની સમગ્ર અવધિ દરમ્યાન તકનીકી અને નાણાંકીય સદ્ધરતાને એ ઉદ્યોગનાં બૃહદ પાસંઓની દૃષ્ટિએ ચકાસવાના તેમના દૃષ્ટિકોણને પરિણામે અમને (નીકાનાં સંચાલન મડળને) પણ નવાં જ પાણીમાં આ નૌકાને તરતી રાખવા માટે આવશ્યક એવા ઘણા પાઠ શીખવ્યા.

તદુપરાંત, આજે જ્યારે હવે હું પશ્ચાદ દૃષ્ટિએ એ સમગ્ર પ્રક્રિયાને નિહાળું છું ત્યારે મને એ પણ સમજાય છે કે કોઇ પણ બાબતને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની તેમની એ કુનેહ કંઇક અંશે મને પણ એટલું શીખવાડતી ગઈ કે પહેલી નજરે દેખીતા દૃષ્ટિકોણની પેલે પાર જઈને પણ કોઈ બાબતને સાવ અલગ અલગ જ દૃષ્ટિકોણ શા માટે અને શી રીતે જોવી જોઈએ.

શ્રી પી પી વોરાનાં દેહાવસાનના સમાચારથી એ વર્ષોની આ બધી યાદોનું મારાં મનમાં ઉભરી આવવું એ જ કદાચ મારી તેમને, ભારતનાં ઉદ્યોગ જગતને ઔદ્યોગિક સાહસિકતાને વિકસાવવાની તેમની એ અનન્ય કુનેહને, સાચી અંજલિ હોઈ શકે.

તે સાથે મારી ૩૮ વર્ષની કારકિર્દીમાં નિયતિની દોરવણી હેઠળ મંચ પર પાઠ ભજવતા મને એ સમયે મારા માટે જે કરવું સાચું છે એવી મારી માન્યતાની મારી શ્રધ્ધાની જ્યોતને સંકોરતા રહેવાની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભૂમિકા ભજવનારી એ દરેક વ્યક્તિઓ પ્રત્યે મારાં ઋણનો પણ હું સ્વીકાર કરૂં છું.

Monday, October 5, 2020

મારા કાકા - જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ


જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ (જન્મ : ૦૯-૦૬-૧૯૩૨ । દેહાવસાન : ૨૩-૦૯-૨૦૨૦) પ્રાણલાલ વાઘજી વૈશ્નવ અને રેવાકુંવર પ્રાણલાલ વૈશ્નવના ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર હતા. સૌથી મોટા પુત્ર કમળકાંતભઈ વૈશ્નવ અને તેમનાથી નાના, મહેશ્ભાઈ વૈશ્નવ (મારા પિતા).

કમળકાંતભાઈનું ૧૯૭૦માં જ્યારે અવસાન થયું, ત્યારે મારી ઉમર ૧૯ વર્ષની જ હતી. એટલે મને તેમનો પરિચય માત્ર એક પ્રેમાળ કાકા તરીકેનો જ હતો. તેમનાં વ્યક્તિત્વની જે કંઈ ઓળખ થઈ એ ક્યાં તો એ જ વર્ષે સાથે મુસાફરીના સમયે આખી રાત તેમણે પોતા વિશે જે કંઈ મને કહ્યું તે અથવા તો પછીનાં વર્ષોમાં તેમના પરિચયમાં આવેલાં લોકો પાસેથી જે કંઈ જાણવા મળ્યું તેટલી જ. મારા પિતા, મહેશભાઈએ તો, ૧૯૬૫માં,  મને મારાં એસ એસ સી પાસ થયાનાં વર્ષથી મને બહુ ઘણી બાબતોમાં (જુનિયર) મિત્ર તરીકે જ મારી સાથે વ્યવહાર રાખ્યો હતો, જે સમયની સાથે એ કક્ષા સુધી બઢતી પામતો ગયો કે હું બેઝીઝક, લગભગ દરેક વિષયમાં, તેમને મારા અભિપ્રાયો જણાવી શકવા લાગ્યો હતો. ૧૯૮૩માં, એમનાં અવસાન પછી મારી ભૂમિકા હવે પ્રાણલાલ વૈશ્નવ કુટૂંબના વડા જનાર્દનભાઈના મુખ્ય સહાયક તરીકેની હતી.

દરેક ભાઈઓ વચ્ચે ઉમરનો છ થી આઠ વર્ષો જેટલો તફાવત , એટલે તેમનાં અનુક્રમે બાળપણથી  કિશોરાવસ્થા સુધીનાં કૌટુંબિક વાતાવરણના અમુક સંસ્કારો લગભગ એક સરખા જ રહ્યા. તેમનો તે પછીનો વિકાસ ઠીક ઠીક અલગ અલગ વાતાવરણ અને સંજોગોમાં થયો. એટલે ત્રણેય ભાઈઓનાં જીવનનાં મૂળભૂત મુલ્યોમાં સ્વાભાવિક સમાનતા હતી, પણ એ મૂલ્યોના આદર્શોના વ્યવહારમાં અમલ અંગેના દૃષ્ટિકોણ દેખીતી રીતે જુદા પડતા જણાય. મારૂં સ્થાન અને ક્ષમતા તેમનાં વ્યક્તિત્વ વિશે વાત કરવા માટેનાં નથી. એથી, અહીં હું જે કંઈ કહી રહ્યો છું તે પછીની પેઢીના એક સભ્યના પહેલાંની પેઢી સાથેના અનુભવોની  વ્યક્તિગત સ્મૃતિઓ જ છે.

હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા અનુસાર જનાર્દનભાઈના ભૌતિક દેહમાંથી આત્માની પરમાત્મા સાથે વિલિન થવાની યાત્રા દેહાવસાનના તેરમા, આજના, દિવસથી શરૂ થઈ ગણાય, એટલે હવે તેમની યાદોને સ્મૃતિના પટારામાંથી બહાર લાવી તાજી કરવાનો આ નમ્ર ઉપક્રમ છે. અહીં રજૂ કરેલી યાદોનો સંદર્ભ મે તેમને જે રીતે જોયા  અને સમજ્યા તે પૂરતો જ મર્યાદિત છે. મારા અંગત અભિપ્રાયની અસર એ યાદોની રજૂઆત પર ઓછામાં ઓછી પડે તેવો મેં પ્રયાસ કર્યો છે.

જનાર્દનભાઈ સાથેની મારી પહેલી યાદ લગભગ ૧૯૫૬નાં વર્ષની છે. અમે ભુજથી સિરોહી / આબુ (રાજસ્થાન) મારા દાદા-દાદી સાથે રહેવા ટ્રેનથી સફર કરી રહ્યાં હતાં. પાલનપુર સ્ટેશને બીજી ટ્રેન માટે બે થી ત્રણ કલાકની રાહ જોવી પડતી. એ દરમ્યાન પ્લેટફોર્મ પર બીજી બધી ગાડીઓ આવે અને રવાના થાય. અમુક અમુક ગાડીમાંથી (એ જમાનામાં વપરાશમાં હતાં એવાં વરાળ) એન્જિનો ટ્રેનથી છૂટાં પડે અથવા તો જોડાય. એ આખી  પ્રક્રિયા જોવામાં મને બાળસહજ ઉત્સુકતા હતી. પણ પહેલું જ એન્જિન જોડાતી વખતે તેણે જે જોરથી વ્હિસલ વગાડી અને વરાળનો એક વિશાળ જથ્થો છોડ્યો, તેનાથી મારા તો છક્કા જ છૂટી ગયા. હવે જ્યારે એન્જિન જોડાવાનું કે છૂટું પડવાનું હોય ત્યારે હું તેનાથી ઊંધી દિશામાં રહેવાની જ રઢ લેતો. પણ જનાર્દનભાઈ મને પ્રેમાગ્રહપૂર્વક દરેક વખતે એન્જિન સામે લઈને ઊભો રાખતા. હું ડરનો માર્યો રડારોળ કરૂં, પણ તેઓ મને  ખુબથી પ્રેમથી, પણ  જકડીને, ત્યાં ઉભા રહે. આવું કમસે કમ એ દિવસે છ સાત વાર થયું. આજે યાદ કરૂં છું તો સમજાય છે કે મારો ભય દૂર કરવાની તેમણે બહુ સ્પષ્ટ  નિશ્ચયાત્મકતા દર્શાવી હતી, મારી પડખે હુંફ સાથે તેઓ ઊભા જરૂર રહ્યા, પણ મારો ભય તો, એ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈને, મારે જાતેજ દૂર કરવો રહ્યો તે વિશે પણ તેઓ બહુ જ સ્પષ્ટ હતા.

લગભગ આ જ પ્રકારનો અભિગમ બીજા બે ભાઈઓનો પણ હતો. મારા મોટા કાકા, કમળકાંતભઈ, પણ દીવાળીમાં અમારા હાથમાં ટેટા ફોડવાની તાલીમ આપી અમારામાથી ભય દૂર કરવાનાં સભાન પ્રયોગ કરતા..૧૯૬૦ના માર્ચ / એપ્રિલમાં મારા પિતા મહેશભાઈની રાજકોટથી અમદાવાદ  બદલી થઈ ચુકી હતી. મારે એક વિષયની પરીક્ષા આપવા રાજકોટ જવાનું હતું. તેમણે મને બધું સમજાવીને બસમાં બેસાડી દીધો, અને મને પોતાના પગભેર થવાનું પહેલું પગલું  મંડાવી દીધું હતું.

અમારા શાળાભ્યાસના વર્ષો દરમ્યાન કેટલાંય ઉનાળૂ વેકેશનો જનાર્દ્નભાઈને ત્યાં ગાળ્યાં છે. એ સમયે, અમારી એ સમયની સમજણ અનુસાર, કામના સામાન્યપણે રહેતાં દબાણ હેઠળ પણ તેમના સાંત અને સ્વસ્થ રહી શકવાનાં તેમનાં પાસાંને અછડતું અછડતું જોયાનું યાદ આવે. પણ એ તેમના એ સ્વભાવનો પહેલો ખરો પરિચય તો ૧૯૮૩માં મારાં પિતાશ્રી, મહેશભાઈનાં, અવસાન સમયે થયો. જનાર્દનભાઈએ તેમનાં માતા (મારાં દાદી) રેવાકુંવરબેન સહિતના બે બાળકો અને પત્ની, પૂર્ણિમાકાકી, સાથેનાં કુટુંબને રાજકોટથી અમદાવાદની ૬ કલાકની મુસાફરી કરીને લઈ આવવાનું હતું. મહેશભાઈનું અવસાન થઈ ગયું છે તેવા ખબર માત્ર તેમને જ હતા, બાકીનાં બધાંને હજુ એ બાબતે અધ્યાહારભાવમાં રાખીને જ લઈ આવવાનાં હતાં. અહીં ઘર પાસે રિક્ષામાંથી ઉતરતાંની સાથે જ અહીંની પરિસ્થિતિ તો મારાં દાદીને સ્પષ્ટ થઈ જ ગઈ હતી.  ૧૯૬૪માં મારા દાદા, પ્રાણલાલભાઈ,નાં મૂત્યુ સમયે અને ૧૯૭૦માં મારા કાકા, ક્મળકાંતભાઈ,નાં અવસાન સમયે રેવાકુંવરબેનની માનસીક, અને તેને કારણે શારિરીક, હાલત અમે જોયેલી એટલે અમને પણ એ ઘડીની નાજુક ગંભીરતાનો અંદાજ હતો. જનાર્દનભાઈએ જરા પણ ક્ષણો વેડફ્યા વિના, રેવાકુંવરબેનને રિક્ષામાથી ઉતાર્યાં અને તેમને ખભેથી આંખાં શરીરનો ટેકો કરીને ત્રણ માળના દાદરા ચડાવીને લઈ આવ્યા. ઘરમાં આવીને રેવાકુંવરબેનને જે ધક્કો લગ્યો હશે તેને સહન કરવામાં પણ મદદ રહે તેમ તેમને હાથ વીંટાળીને દસેક મિનિટ બેસી રહ્યા. પછી તેમને લાગ્યૂં હશે કે હવે ખતરાની ઘડી વીતી ગઈ છે એટલે અંતિમ દર્શનની ક્રિયા વગેરે સત્વરે આટોપી લેવાનો તેમણે અમને ઈશારો કર્યો. એ પછીના દિવસો ઘરમાં બહુ જ અવર જવર પણ હતી, એટલે રેવાકુંવરબેનની સાવ પડખે બેસીને તો તેમનાં દુઃખને સહન કરવામાં મદદરૂપ થઈ શકાય એવું તો હતું નહીં, પણ જનાર્દનભાઈની ચીવટભરી નજર રેવાકુંવરબેનના હાવભાવ પર રહેતી તે મારી નજરે ઘણી વાર આવતું.

૧૯૬૪માં મારા દાદાનાં મૂત્યુ સમયે આ જ રીતે અમે મારા કાકા કમળકાંતભાઈને મારાં દાદીની 'રીમોટ" ઢાલ બનતા જોયા હતા. એ સમયે દાદી તો સ્ત્રીઓના સમુદાયમાં ઘેરાયેલાં હોય એટલે કમળકાંતભાઈ ત્યાં તો બહુ ન આવી શકે. એટલે તેઓ અમને શીખવાડી શીખવાડીને શું શું કરીને દાદીની  ઝીણીઝીણી સંભાળ લેવી તેવું ગોઠવતા. ૧૯૭૯માં કમળકાંતભાઈનાં અવસાન સમયે તો મધ્ય ગુજરાતથી કરીને સુરતની તાપી સુધી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલ નદીઓનાં પુરની સ્થિતિને કારણે જનાર્દનભાઈએ રેવાકુંવરબેનને અને કુટુંબને છેક ભુજ (કચ્છ)થી સુરતની અતિવિપદાભરી મુસાફરીની શારીરીક અને માનસિક હાલાકી પણ અનોખી સ્વસ્થતાથી સહન કરવાનો કડવો ઘુંટડો તો ગળી જ લીધો હતો.

મારા દાદાનું મૂત્યુ સમયથી જ દાદીએ સાંજનું જમવાનું છોડી દીધું હતું. દીકરાઓના અતિપ્રેમાગ્રહને વશ થઈને સાંજે માટે એક ચમચો શાક અને એક કપ દુધ પીતાં. તે પછી તો તેમના બીજા બે દીકરાની વિદાય પણ તેમણે સહેવી પડી. એટલે તેમનું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જતું હતું. મારા પિતાજીનાં અવસાનનાં ત્રણેક વર્ષ બાદ એક નાની આકસ્મિક ઘટનાને કારણે દાદીના કરોડસ્થંભના છેલ્લા મણકાનાં હાડકાંમાં હેરલઈન તિરાડ પડી ગઈ. તેઓ ધીમે ધીમે પથારીવશ થતાં ગયાં. આ પથારીવશતા ઊંટની પીઠ પરનાં છેલ્લાં તરણાં જેવું નીવડી.

જનાર્દનભાઈએ અને તેમનાં અંગત કુટુંબી સ્વજનોએ તેમની સેવા જે નિષ્ઠાથી કરી તેને સ્વાભાવિક ગણીએ તો પણ છેક છેલ્લા દિવસોમાં જ્યારે દાકતરો તબીબી દૃષ્ટિએ હાથ હેઠા મુકી રહ્યા હતા ત્યારે પણ જનાર્દનભાઈએ  હવે સાવ તુટવાની અણી પર આવેલો આશાનો તંતુ પણ પકડી રાખવાનો, પોતાનો પુરતો, આગ્રહ રાખ્યો હતો . સાવ અંતમાં જ્યારે દાદીની કીડની સંપૂર્ણપણે કામ કરતી બંધ  સાબિત થઈ ચુકી હતી, ત્યારે દાક્તરે હવે થોડા જ કલાકની વાત છે તેમ કહીને મને અમદાવાદથી બોલાવી લેવાની સલાહ આપી હતી. પરંતુ જનાર્દનભાઈનો માતૃપ્રેમ હજૂ પણ આશાવાદી હશે એટલે તેમણે મને જાણ ન કરવાનું જ ઊચિત માન્યું. તેમના આ આગ્રહ સામે લગભગ ૬૦ કલાક સુધી કુદરતની પણ કારી નહીં ફાવી હોય તેમ લાગતું હતું. જ્યારે આખરે દાદીને મૃત જાહેર કરાયાં ત્યારે જ તેમણે મને જાણ કરી. એ પછી મારાં રાજકોટ પહોંચવા સુધીના અને પછી છેલ્લે અંતિમ ક્રિયાના બધા જ સમય દરમ્યાન તેમણે જાળવેલ સ્વસ્થતા ઘણાંને એ સમયે બુઠ્ઠી બની ગયેલી લાગણીઓને કારણે લાગી હશે, પણ મને તેમના ચહેરા પર અને આંખોમાં સ્થિતપ્રજ્ઞ શાંતિ જ્ણાતી હતી.

દાદીનાં અવસાન પછીના ઉત્તર ક્રિયાઓના દહાડાઓમાં જ તેમણે દાદાએ લખેલ પધ્ધતિસરનું વસિયત અને દાદી એ અનૌપચારિક સ્વરૂપે લખેલ તેમની ઈચ્છાઓ આખાં કુટુંબને જાહેરમાં વાંચી સંભળાવ્યાં, અને એ મુજબનો તાત્કાલિક અમલ પણ કર્યો. પ્રાણલાલ વૈશ્નવ કુટુંબની એક માત્ર વડીલોપાર્જિત વારસાગત મિલ્કત, 'ભુજનું ઘર', હજુ પણ મહત્તમ વારસદારોની હાજરી છે ત્યારે જ વેંચી નાખીને ભવિષ્યના, કદાચિત સંભવિત, વિખવાદને બનતી ત્વરાએ નીવારવાનો તેમનો નિર્ણય તેમણે ખાસ્સું મન 'કઠણ' કરીને લીધો હશે. તે નિર્ણયના અમલમાં જે કંઈ અડચણો આવી તેને ખુબ જ ધીરજથી દૂર કરવાની તેમણે ખાસ ચીવટ દાખવી હતી. કોઈ પણ મિલ્કતની વહેંચણી ભાગ્યેજ વિચારભેદ, અને તેમાંથી પેદા થતા મતભેદ, સિવાય બનતી હશે. દુનિયાનો એ સાહજિક ક્રમ વૈશ્નવ કુટુંબને થોડો પણ લાગુ પડ્યો તે તેમને ક્ષમ્ય જણાયું કે નહીં તે તો માત્ર તેમને જ ખબર હોય, પણ એ વિચારભેદો કે મતભેદોને તેમણે તે પછીના એક પણ વ્યવહારમાં યાદ ન કર્યા અને તેને મનભેદમાં કાયમી ન બનવા દીધા એ તો બહુ સ્પષ્ટ જ રહ્યું.  

એ સમયથી માંડીને છેક છેલ્લે સુધી કૌટુંબીક ઐક્યની ભાવનાનાં કુટુંબનાં પરંપરાગત મૂલ્ય અંગે તેમણે નવી પેઢી સાથેના વિચારભેદને મનથી નહીં જ સ્વીકાર્યા હોય, પણ  દેખીતી રીતે 'આંખ આડા કાન કરીને કૌટુંબીક એકતાની ભાંગતી ઇમારતને જાળવી રાખવાનો 'વ્યાવહારિક' અભિગમ અપનાવ્યો હતો.

૨૦૦૮માં એમનાં પત્ની (પુર્ણિમાકાકી))નાં અવસાન પછી પણ તેમણે કુટુંબના વ્યવહારો પ્રત્યે એવો જ સ્વસ્થ અને 'ઉદાર (!)' અભિગમ રાખ્યો સૌથી મોટા ભાઈ, કમળકાંતભાઈ,ની પૌત્રીનાં લગ્ન તો સાવ બે-ત્રણ મહિનામાં જ હતાં અને તે પછી એ જ વર્ષમાં મહેશભાઈના પૌત્રનાં પણ લગ્ન હતાં. એ બન્ને લગ્નોની કૌટુંબીક  આનંદની પળોને તેમણે બહુ જ સભાનપણે સંકોરીને  ખીલવા માટેનું વાતાવરણ બની રહે તેમ સુનિશ્ચિત કર્યુ. એવા જ એક અન્ય પ્રસંગે તેમનાં સ્થાનનું માન ન જળવાય એવી મારી માન્યતાને તેમણે સ્પષ્ટપણે અસ્વીકારી. એ સમયે તેમને માટે તેમનાં સ્થાનનાં મહત્ત્વ કરતાં એ સ્થાનની ફરજ વધારે મહત્ત્વની હતી.

બધા ભાઈઓમાટે ફરજનિષ્ઠા એ 'પ્રમાણિકતા'નાં મૂલ્યનું હંમેશાં એક આદર્શ પરિંમાણ રહ્યું - પછીએ એ ફરજ કુટુંબ પ્રત્યેનો હોય, કે પછી તેમના વ્યવસાય પ્રત્યેની હોય, કે પોતે જે જવાબ્દારી નિભાવવાનું સ્વીકાર્યું છે તે હોય કે પછી નૈતિકતાની તેમની વ્યાખ્યા અને સમજમાં આવતું વર્તન હોય. પ્રમાણિકતાનું એવું જ બીજું આદર્શ પરિમાણ હતું વિચાર, વાણી અને વર્તનમાં ક્યારે પણ તસુ જેટલો પણ તફાવત ન હોવો તેમ જ એ બાબતે પૂરેપુરી પારદર્શિતા જાળવવી. એને કારણે ત્રણેય ભાઈઓ સ્પષ્ટ વક્તા હતા. જોકે કમળકાંતભાઈ જેટલા તડને ફડ કરી નાખનારા હતા, એટલા જ મહેશભાઈ તેમનાં સિધ્ધાંતોની વિરૂધ્ધ ની કોઇ વાત હોય તો મૌન સેવી લેતા, પણ તેમના ચહેરા પરના એ સમયના ભાવો એટલા જ બોલકા રહેતા. જનાર્દનભાઈ  કૌટુંબીક બાબતોમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શબ્દો ચોર્યા વગર એક વાર જરૂર કહે, પણ તે પછી જો એમ લાગે કે સામેની વ્યક્તિની માન્યતા સાથે તે સુસંગત નથી એટલે એ વ્યક્તિ ભલે કંઈ કહેશે નહીં, પણ એમનું કહ્યું કરશે પણ નહી, તો પછીથી બીજી વાર એ વાતનો ઉલ્લેખ જ ન કરતા.

આવી માર્મિક બાબતોમાં જે આટલા પ્રમાણિક હોય તે નાણાંકીય વ્યવહારોની બાબતે તો 'ચોખ્ખા' જ હોય તે તો સાવ સહજ છે. એક, સાવા નાનાં જણાતાં ઉદાહરણથી આ વાતને ખુબ સ્પષ્ટ કરી શકાશે. અમે મુંદ્રા શિફ્ટ થયાં ત્યારે અમારાં ઘરની નાની નાની સારસંભાળ માટે કોઈ તાત્કાલિક ખર્ચ કરવાની જરૂર પડે તે માટે મેં તેમને મહાપરાણે એક બહુ જ નાની રકમ આગોતરા સ્વીકારવા મનાવ્યા હતા. તે પછી, અમારે ફોન પર અઠવાડીએ એક વાર નિયમિતપણે વાત થતી તો પણ  તેઓ દર છ મહિને 'ખર્ચનો હિસાબ' અલગ પત્રથી નિયમિતપણે જાણ કરતા !

એ ત્રણેય ભાઈઓ માટે પૈસો (ભૌતિક સંપત્તિ) જીવન નિર્વાહ કરવા માટેના વ્યવહારોનું માધ્યમ માત્ર જ હતો, સુખનું મેળવવાનું સાધન નહીં અને સાધ્ય તો વળી કદાપિ જ નહીં.

ગૃહસ્થીના વ્યવહારોની તેમની શૈલીમાં સ્પષ્ટ પરિવર્તન તેમનાં પત્ની, પુર્ણિમાકાકી,નાં અવસાન બાદ આવેલું દેખાવા લાગ્યું હતું. પુર્ણિમાકાકીનાં અવસાન પછી તેમણે 'ઘર ચલાવવા' માટેનાં આર્થિક અને નાણાંકીય પાસાંઓની પુરી તાલીમ અને સમજ તેમની પુત્રવધૂ, અમી,ને આપવાનું શરૂ કરી દીધું હતું   તેમની ગૃહસ્થીની પ્રત્યેક આર્થિક અને નાણાંકીય પરિસ્થિતિઓનૂ બહુ ચોકસાઈભર્યું  તેઓ જે દસ્તાવેજીકરણ રાખતા તે સ્તરે અમી પણ પહોંચે એ માટે તે સજાગ હતા અને પુરેપુરા સફળ પણ રહ્યા. પછીની પેઢીને પોતાની જવાબદારીઓ સ્વીકારવા સક્ષમ કરવી અને તે પછી જવાબદારીઓ સોંપી પણ દેવી એવો જે વાનપ્રસ્થાશ્રમનો એક અભિગમ છે તે તેમણે સાક્ષાત કર્યો.

 પા્ચેક વર્ષ પહેલાંની પ્રોસ્ટેટની બીમારી પછી તેમણે સંન્યસ્તની નિર્મોહી અવસ્થામાં જવા ભણી પ્રયાણ કર્યું. તેને વધારે પ્રવેગ મળે તેવી ઘટના ત્રણ વર્ષ પહેલાં તેમના જમાઈ, દુષ્યંત રિંડાણી,નું અકાળે થયેલું અવસાન હતું. પોતાની હાજરી હોય કે ન હોય તો પણ હર્ષિકા 'દુઃખી' નહીં થાય એમ સંતોષ પામવા માટેનાં અન્ય પરિબળોની પણ અલબત્ત તે બાબતે ભૂમિકા રહી હશે તેમ માનીએ તો પણ એ બદલેલા સંજોગોમાં પણ તેમની પુત્રી, હર્ષિકા, માટેની પિતા તરીકેની સ્વાભાવિક ચિંતા પણ હવે તેમને જીવવા માટેનું પ્રબળ કારણ નહોતી પુરી પાડી શકતી. કોઈ પણ જીવનના અંત માટે કોઈ કારણ તો હોવું જ જોઈશે એ ન્યાયે તેમનાં આપ્તજનોના અનેકાનેક પ્રયાસો છતાં પણ છેલ્લા દસ પંદર દિવસની તેમની બીમારીએ તેમને જીજીવિષા સાવ જ છોડી દેવા માટે અંદરથી પ્રેરિત કર્યા હોય એવું હવે પશ્ચાદદૂષ્ટિથી વિચારતાં માની શકાય છે.

મારીઓ પુઝોની નવલકથા 'ગોડફાધર'માં જીવનની આખરી ક્ષણોમાં જેમ ડૉન કોર્લીઓન તેમના પુત્રને કહી શક્યા હતા કે 'જિંદગી કેટલી સુંદર છે'  / Life is so beautiful, એમ જનાર્દનભાઈ પણ કહેતા કે તેઓ પુરૂં જીવી ચુક્યા છે. જે આત્મા સદેહે જ પોતાનાં કર્મોનો હિસાબ આટલી સ્પષ્ટતાથી સાફ કરી ચુક્યો હોય તેની અંનત યાત્રા તો પરમ શાંતિની જ સફર હોય.

આપણે આવાં પુણ્યશાળી વ્યક્તિઓનાં વારસ છીએ તે ભાન આપણને આપણાં જીવનનાં મૂલ્યો પ્રત્યેના અભિગમને વધારે સ્પષ્ટ કરી રહે છે. એ સ્મૃતિઓ આપણા હવે પછીના દરેક નિર્ણય અને વર્તનને જે માર્ગદર્શન આપે તે સમજવાની, અને અમલ કરવાની, આપણામાં ક્ષમતા રહે એવી જ હવે પછીનાં જીવન પ્રત્યેની મારી અપેક્ષા છે.