Showing posts with label Hasrat Jaipuri+Shankar Jaikishan. Show all posts
Showing posts with label Hasrat Jaipuri+Shankar Jaikishan. Show all posts

Sunday, September 11, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૨૨

 

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૩

હસરત જયપુરી  (મૂળ નામ ઈક઼્બાલ હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) એક એવા

ગીતકાર છે જેમણે  ૧૯૪૯માં 'બરસાત'થી શરૂઆત થી બહારનું કામ કરવાની છૂટ હોવાને કારણે મૃત્યુ પર્યંત ૧૯૯૯ સુધી મોટા અને નાના, કદાચ સૌથી વધારે, સંગીતકારો સાથે કામ કર્યું હશે. અને તેમ છતાં તેમના શંકર જયકિશન (મૂળ નામ જયકિશન ડાહ્યાભઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્ર સાથે અંગત અને વ્યાવસાયિક સંબંધો અનેખા રહેવા સાથે ઘનિષ્ટ પણ રહ્યા. એમ કહેવાય છે કે હસરત જયપુરીનાં સર્વપ્રથમ ગીત જિયા બેક઼રાર હૈ ની ધુન શંકરે તૈયાર કરી હતી તો બીજાં જ ગીત, છોડ ગયે બાલમની ધુન જયકિશને તૈયાર કરી હતી.

'બરસાત'ની સફળતાએ કામનાં એવાં પુર ઉમટાવ્યાં કે તેને પહોંચી વળવા શંકર અને જયકિશને કામની સમજીને વહેંચણી કરી લીધી. ગીતોની સીચ્યુએશન તેઓ પોતપોતાની સ્વાભાવિક પસંદ અનુસાર કરી લેતા અને પછી એક એવો વણલખ્યો નિયમ હતો કે શંકરનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો શૈલેન્દ્ર લખે અને જયકિશને સ્વરબ્ધ્ધ કરેલાં ગીતો હસરત જયપુરીએ લખવાનાં.

'૫૦ના દાયકામાં ઘણી ફિલ્મોમાં શંકર-શૈલેન્દ્રને ફાળે વધારે ગીતો આવ્યાં હોય એવું બનતું. પણ તે સમયે જયકિશન પુરી ખેલદિલીથી ગીતોની વાદ્યસજ્જા અને બેકગ્રાઉન્ડ સંગીતની જવાબદારી સંભાળી લેતા. પણ હિંદી ફિલ્મ ઉદ્યોગ જેવાં ખટપટીયાં ક્ષેત્રમાં કોઈ પણ ટીમ, અને તે પણ પાછી ચકાચૌંધ સફળતાની હારમાળા સર્જતી રહેતી ટીમ,આવી મિઠાશથી કામ કરી લે તે વિઘ્નસંષીઓ અને કેટલાક હરીફોને શેનું પચે? એ લોકોની સીધી કે આડકતરી ભંભેરણીઓ વચ્ચે પણ આ ટીમ પોતાની એકતા અને સંન્નિષ્ઠતાને , લગભગ '૬૦ના દાયકાના મધ્ય સુધી, જાળવતી આવી.

પરંતુ સતત અફળાતાં મોજાંઓ સામે કાળમિંઢ પથ્થરને પણ ઘસારા લાગે તો તો આ તો માનવ મનનો મેળો હતો. વધતો જતો કામનો બોજ, કેટલાક બાહ્ય સંજોગો અને સતત ખણખોદે સંબંધોના અભેદ્ય લાગતા કિલ્લામાં ક્યાંક નાની સી તિરાડ તો ઊભી કરી જ દીધી. પરિણામે શંકર અને જયકિશન દેખીતી રીતે તો શંકર જયકિશન છત્ર હેઠળ સાથે કામ કરતા હતાં પણ તેમનાં કામ ઘણે ભાગે અલગ અલગ કેડી પર કંડારાતાં રહ્યાં. જોકે ૧૯૬૬માં શૈલેન્દ્રનાં મૃત્યુ સુધી તો આ ચારની ટીમ લગભગ એકસૂત્ર બનીને કામ કરતી રહી એ બાબતે બહુ શંકા સેવવાને સ્થાન નથી. પણ ઢીલા પડતા જતા અંકોડાઓને જયકિશનનાં મૃત્યુ (૧૯૭૧)એ છૂટા પાડી નાખવાનો છેલ્લો ઘા માર્યો. શંકર છેક સુધી શંકર જયકિશન તરીકે જ કામ કરતા રહ્યા, પણ હસરત જયપુરીની બાદબાકી વધતી ચાલી.

જોકે આ આંતરપ્રવાહો આપણો વિષય હરગિજ નથી. આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે..  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૨માં વર્ષ ૧૯૬૨નાં, અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજના અંકમાં આપણે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનવડે સંગીતબધ્ધ થયેલ, વર્ષ ૧૯૬૩નાં,ગીતોને યાદ કરવાનો છે. આ ગીતો પૈકી કેટલાંક વિસારે પણ પડવા લાગ્યાં છે તેઓ કેટલાંક આજે પણ એટલાં જ લોકપ્રિય છે. થોડો મસાલો ઉમેરવો તો એમ પણ કહી શકાય કે એ લોકપ્રિય ગીતોને આજના લેખની પ્રસ્તાવનાના, શંકર અને જયકિશનના અલગ પડતા જતા રસ્તાના સુર સાથે પણ સંબંધ છે.

૧૯૬૩

૧૯૬૩નાં વર્ષમાં શંકર જયકિશને દિલ એક મંદિર, એક દિલ સૌ અફસાને અને હમરાહી એમ ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું. દિલ એક મંદિર અને એક દિલ સૌ અફસાનેમાં દરેકમાં ૭ ગીતો હતાં જે પૈકી હસરત જયપુરીએ ત્રણ ત્રણ ગીતો લખ્યાં હતાં. હમરાહીમાં ૭ ગીતો હતાં જેમાંથી હસરત જયપુરીને ફાળે છ ગીતો આવ્યાં. દરેક ફિલ્મોમાં બાકીનાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં છે.

દિલ એક મંદિર તમિળ ફિલ્મ નેન્જિલ ઑરે આયલમ (૧૯૬૨)ની હિદી આવૃતિ હતી. આખી ફિલ્મ માત્ર ૨૭ જ દિવસમાં પુરી કરાઈ હતી. દરેક વર્ષે સાત સાત આઠ આઠ ગીતો સાથેની ચાર ફિલ્મો કરી રહેલ શંકર જયકિશન ટીમ પાસે જ કદાચ આટલા દિવસોમાં ફિલ્મને ઉત્કૃષ્ટ સંગીત સાથે સજાવી શકવાનું ગજું  હતું. ખુબ ગમગીન વિષય પર બનેલી હોવા છતાં ફિલ્મ ખુબ સફળ રહી હતી. રાજેન્દ્ર કુમાર અને રાજ કુમારને તો તેમનાં પાત્રોને અનુસાર શ્રેણીના ફિલ્મફેર ઍવૉર્ડ્સ મળ્યા જ હતા પણ ફિલ્મના સંવાદ લેખક અર્જુન દેવ રશ્ક઼ને પણ શ્રેષ્ઠ સંવાદ લેખકનો ઍવૉર્ડ મળ્યો હતો.

હમ તેરે પ્યારમેં સારા આલમ ખો બૈઠે હૈં, તુમ કહતે હો કે ઐસે પ્યારકો ભુલ જાઓ - લતા મંગેશકર

હલકાં ફુલકાં ગીતોના લેખકની સામાન્ય છાપની બિલ્કુલ વિરૂદ્ધ ભાવનું ગીત હસરત જયપુરીએ ખુબ દક્ષતાથી લખ્યું છે. તેમની કાવ્યશક્તિનાં ઊંડાણને સમજવા ગીતના બોલ પર ધ્યાન આપીએ - 

પંછી સે છુડાકર ઉસકા ઘર, તુમ અપને ઘર પર લે આયે

યે પ્યારકા પિંજરા મન ભાયા, તુમ જી ભર ભર કર મુસ્કરાયે

જબ પ્યાર હુઆ ઈસ પિંજરેસે, તુમ કહને લગે આઝાદ રહો

હમ કૈસે ભુલાએં પ્યાર તેરા, તુમ અપની જુબાંસે યે ન કહો,

અબ તુમ સા જહાંમેં કોઈ નહીં હૈ, હમ તો તુમ્હારે હો બૈઠે

ઈસ તેરે ચરનકી ધૂલસે હમને અપની જીવન માંગ ભરી

જબ હી તો સુહાગન કહલાઈ, દુનિયા કી નજ઼રમેં પ્યાર બની

તુમ પ્યારકી સુંદર મુરત હો, ઔર પ્યાર હમારી પૂજા હૈ

અબ ઈન ચરનોંમેં દમ નિકલે, બસ ઈતની ઔર તમન્ના હૈ

હમ પ્યારકે ગંગાજલ સે બલમ જી તન મન અપના ધો બૈઠે

સપનોં કા દર્પન દેખા થા, સપનોંકા દર્પન તોડ દિયા

યે પ્યારકા આંચલ હમને તો દામનસે તુમ્હારે જોડ લિયા

યે ઐસી ગાંઠ હૈ ઉલ્ફતકી, જિસકો ન કોઈ ખોલ શકા

તુમ આન બસે જબ ઈસ દિલમેં દિલ ફિર તો કહીં ન ડોલ શકા

ઓ પ્યારકે સાગર હમ તુમ્હારી લહરોમેં નાવ ડૂબો બૈઠે

યોગાનુયોગ કેવો છે કે ગીતનું તમિળ વર્ઝન, સોનાથુ નિથના… … સોલ સોલ પણ તેના ગીત લેખકે છેલી ઘડીની સ્ફુરણાથી જ સર્જેલું છે.

આડવાત:

સરખામણીઓને આપણા લેખોમાં સામાન્યપણે સ્થાન નથી હોતું, પણ શંકર જયકિશન શૈલેન્દ્ર અને હસરત એકસૂત્ર ટીમ સાથે કેવૂં કામ કરી શકતા હતા તે સમજવા પુરતું ફિલ્મમાં લગભગ સમાંતર ભાવમાં મુકાયેલું શંકર-શૈલેન્દ્ર સર્જન, રૂક જા રાત ઠહર જા રે ચંદા, સાંભળવું જોઈએ. 

યહાં કોઈ નહીં તેરા મેરે સિવા,કહતી હૈ ઝૂમતી ગાતી હવા, તુમ સબકો છોડ કે આ જાઓ .... - મોહમ્મદ રફી

(શંકર)જયકિશનની આગવી શૈલીનો વાયોલિન એન્સેમ્બેલ સાથેનો પૂર્વાલાપ, રાજેન્દ્ર કુમારની અભિનય શૈલીને ગાયકીમાં તાદૃશ કરતી મોહમ્મદ રફીની ગાયકી વગેરે અંગોની પુરી સજાવટ સાથેનું 'ફોર્મ્યુલા' ગીત છે.


દિલ એક મંદિર હૈ…. પ્યારકી જિસમેં હોતી હૈ પૂજા યે પ્રીતમકા ઘર હૈ - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, કોરસ

મોહમ્મદ રફીના ઊંચા સુરમાં ગવાતી સાખીની એક પંક્તિ, જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલેકી યાદ આતી હૈ, પુરતો હસરત જયપુરીનો સ્પર્શ અંતરાના બોલમાં તેમનાં કવિત્વનાં ઓછાં દેખાતાં પાસાંમાં ગીતના ભાવને ઉજાગર કરવામાં છતો થાય છે:

હર ધડકન હૈ આરતી બંધન આંખ જો મીચી હો ગયે દર્શન

મૌત મિટા દે ચાહે હસ્તી યાદ તો અમર હૈ

હમ યાદોંકે ફૂલ ચઢાયેં આંસુઓંકે  દીપ જલાયેં

સાંસોંકે હર તાર પુકારે તે પ્રેમ નગર હૈ

દોઢ સપ્તકના આરોહ અવરોહમાં બાંચણી કરાયેલ રચનામાં જયકિશને કોરસનો વાદ્યસજ્જા રૂપે કાઉન્ટર મેલોડી તરીકે ઉપયોગ કરીને પોતાની સર્જનશીલતાને ખીલવા દીધી છે.

આડવાત :

શંકર જયકિશન ટીમના આગવા સ્પર્શને સમજવા પુરતું ગીતનું તમિળ વર્ઝન ઓરૂવર વાઝુમ આયલમ સાંભળવું ગમશે.


એક દિલ સૌ અફસાનેમાં મૂળ તો મધુબાલા મુખ્ય પાત્રમાં હતાં. ફિલ્મનું ઘણું ખરૂં શૂટીંગ ૧૯૫૯માં જ થઈ ચુક્યું હતું, પણ મધુબાલાની તબિયત લથડવાને કારણે કામ ખોરંભે ચડી ગયું. પછીથી વહીદા રહેમાનને લઈને મધુબાલાવાળાં બધાં દૃશ્યો ફરીથી ફિલ્માંકન કરીને ફિલ્મ ૧૯૬૩માં રજુ થઈ

એક દિલ ઔર સૌ અફસાને હાયે મોહબ્બત હાયે જ઼માને - લતા મંગેશકર 

હસરત જયપુરીએ આ પહેલાં પણ શંકર જયકિશનનાં સંગીતમાં શીર્ષક ગીતો તો લખ્યાં જ છે અને જયકિશને તેને તેમની વાદ્યપ્રચુર શૈલીથી સજાવ્યાં પણ છે.

હા પણ, ઉર્દુ મિશ્રિત ગીતના બોલ આપણું ધ્યાન જરૂર આકર્ષે છે -

દિલ જો ન હોતા કુછ ભી ન હોતા, આંખ ન રોતી ઔર દર્દ ન ઉઠતા

અપના યે દામન બોલ ભી ગાતા, કૌન કીસી કે પ્યારમેં યું ખોતા

દિલ જો લગાયા ચૈન ન પાયા, સારે જહાંકા ઈલ્જ઼ામ ઉઠાયા

ગાકે સુનાયે અપના તરાના, યે તો જનમ જનમ સે હોતા હી આયા

તુ મેરી મંઝિલ પ્યાર કા સાહિલ, જાઉં કિધર મૈં હૈ તુ હી મુક઼ાબિલ

ઓ મેરે હમદમ એક હૈ મુશ્ક઼િલ, કર કે હમ તુઝકો હાસિલ

આડવાત :

મોટા ભાગે ભરપુર વાદ્યસજા સાથે એકાદ ગીત જ શંકર જયકિશન એક ફિલ્મમાં પ્રયોજતા. પણ તેમની આગવી 'વૉલ્ત્ઝ' લયમાં સજ્જ દૂર કે ઓ ચંદા આ મેરી બાહોંમે આ માં શંકર પણ એ શૈલીનો અસરકારક પ્રયોગ કરીને શંકર જયકિશન શૈલીની અભિન્ન એકસૂત્રતા બતાવે છે.

કુ્છ શેર સુનાતા હું મૈં જો તુમસે મુખ઼ાતિબ હૈ, એક હુસ્નપરી દિલમેં હૈ યે ઉનસે મુખ઼ાતિબ હૈ  - મુકેશ ગીતના બોલ પરથી ખયાલ આવી જાય કે આ હસરત જયપુરીની રચના છે. પણ કોઈ જ પ્રયાસ વિના આપણું ધ્યાન ખેંચે છે ગીતની બાંધણી, જે દિલની અંદરનાં દર્દના આંતરપ્રવાહને પ્રેમની કબુલાત જેવા પ્રસંગે મોઢાં પર રમતાં હાસ્યમાં સંતાડી દેવાની રાજ કપૂરની ચાર્લી ચેપ્લિન શૈલી અભિનયની દ્યોતક બની રહે છે.

આડવાત :

જયકિશન- હસરત ગંભીર ભાવની રજૂઆતમાં ગુંથાઈ ગયા તો હળવાં ગીતોની તેમની ખાલી પડતી જગ્યાને શંકર-શૈલેન્દ્ર સુનો જી સુનો અજી મહેરબાં હમારી ભી સુનો જેવાં રમતિયાળ રોમેન્ટીક ગીતોથી ભરી લે છે.

ઓ જાદુગર પ્યારકે યે બતા દિલ મેરા ક્યું તેરા હો ગયા - લતા મંગેશકર

સામાન્યપણે એવું મનાતું આવ્યું છે કે નૃત્ય ગીતોની સજાવટ શાસ્ત્રીય સંગીતમાં તાલીમ પામેલ શંકર જ કરતા. પણ અહીં જયકિશન જાણે કે એ માન્યતા બેબુનિયાદ છે તેમ બતાવતા હોય તેમ નૃત્ય ગીતને પોતાની આગવી શૈલીમાં રજુ કરે છે.


હમરાહીનાં આઠ ગીતોમાંથી પાચ જયકિશન-હસરતને ફાળે હોય એમાં, ઘણાંને 'જબ પ્યાર કિસીસે હોતા હૈ' (૧૯૬૧)માં આઠ ગીતોમાંથી છ ગીતોમાંથી ફલિત થતા શંકરજયકિશન છત્રમાં રહીને પોતાની સ્વતંત્ર કેડી કોતરવાના જયકિશનના પ્રયાસનાં એંધાણ વરતાતાં હતાં.

જોકે એ ચર્ચાનાં કળણમાં પગ મુકીને આપણા વિષયના હાર્દને ખુંપાવી દેવાનું આપણને પોશાય તેમ નથી. પણ 'હમરાહી'નાં વિષય અને ગીતોની બાંધણીમાં, અને આખરે ફલિત થયેલ પરિણામમાં, આપણને બીજા એક પ્રવાહની પડતીની શરૂઆત દેખાઈ શકે છે.

રાજેન્દ્ર કુમારને 'જ્યુબિલી કુમાર'નાં પદે પહોંચાડવામાં શંકર જયકિશને વિકસાવેલ ગીતોની આગવી બાંધણીની શૈલીને યશ આપવામાં આવે છે. પોતાની ભાવિ પ્રેમિકાને મીઠી છેડછાડથી પોતાના પ્રેમપાશમાં લેતું બાગ બગીચામાં  ગવાતું ગીત (જેમાં નાયિકાનો ગુસ્સો ગીત પુરૂં થતાં પ્રેમમાં પરિવર્તિત પણ થઈ જાય!), પ્રેમના એકરારને ઉજાગર કરતું રોમેન્ટીક યુગલ ગીત, પછી પ્રેમમાં ભંગાણ પડે એટલે રાજેન્દ્ર કુમારને વિરહ દર્શાવવાનું સરળ કરી આપતું, વિરાન જગ્યાઓમાં ગવાતું, કરૂણ ગીત વગેરેનું મૉડેલ હવે 'હમરાહી'માં થોડું મોળું પડતું જણાય છે.

શંકર જયકિશને શમ્મી કપુર શૈલી કે રાજેન્દ્ર કુમાર શૈલીના કરેલા પ્રયોગોને કારણે એ ફિલ્મોને અઢળક વાણિજ્યિક સફળતા મળતી રહી. પરંતુ એ ફોર્મ્યુલાની બીબાંઢાળ નકલોએ શંકર જયકિશનની કારકિર્દીને લૂણો લગાડવાનું કામ કર્યું એમ કહેવું કદાચ અતિશયોક્તિ નહીં લાગે.

'હમરાહી' એ બીબાંની એક વધારે નીપજ છે.

મૈં અલબેલા જવાં હું રંગીલા, અય દિલ મંઝિલ હૈ પ્યાર કી, જ઼ૂમ જૂમ ગાઉં નઝારોં પે છાઉં સનમ, મેહફિલ બહાર કી - મોહમ્મદ રફી

ક્રેડીટ ટાઈટલ્સ સાથે ગવાતાં આ ગીતમાં યુરોપનાં કોઈ શહેરના માર્ગો પર મોંઘીદાટ ગાડીમાં નીકળેલો આ શ્રીમંત નબીરો છોકરીઓ પર પોતાનો પ્રભાવ જમાવવા ઝૂમી રહ્યો છે.

ફિલ્મમાં રાજેન્દ્ર કુમારનાં પાત્રની ઓળખની પ્રેક્ષક પર જમાવવાની આ કોશીશ જેમ ત્યાંની યુવતીઓ  પર નાકામાયબ રહે છે તેમ પ્રેક્ષક પર પણ ખાસ અસર નથી કરતી કેમકે તેને તો ખબર જ છે કે રાજેન્દ્ર કુમારની ફિલ્મમાં આગળ શું શું થશે!


વોહ ચલે ઝટકકે દામન મેરી આરઝૂ મિટાકે - મોહમ્મદ રફી

છોકરીઓની મીઠી છેડછાડનાં બીબાંમાંથી પેદા થયેલી એક વધારે નીપજને (શંક્રર) જયકિશન પુરી નિષ્ઠાથી સંગીતબદ્ધ કરે છે.

મુજ઼કો અપને ગલે લગા લો, અય મેરે હમરાહી - મોહમ્મદ રફી, મુબારક બેગમ

આ ગીત માટે જયકિશને મુબારક બેગમની પસંદગી કેમ કરી તેને અનુલક્ષીને બહુ બધી કહાનીઓ પ્રચલિત છે.પરંતુ તેમને આ ગીત માટે મુબારક બેગમ જ કેમ પસંદ પડ્યાં હતાં તે ક્યાંય ભલે વાંચવામાં ન આવતું હોય, પણ જે રીતે મુબારક બેગમને તેઓ રજુ કરે છે તેમાં તેમની સર્જનશીલતાનો આગવો સ્પર્શ તો અણછતો નથી રહેતો. આ યુગલ ગીત ફિલ્મ સંગીતનાં યુગલ ગીતોમાં એક સીમાચિહ્ન બની રહ્યું.

વો દિન યાદ કરો, વો ચુપકે સે મિલના વો હંસના હસાના, વો દિન યાદ કરો - મોહમમ્દ રફી, લતા મંગેશકર

મહેમૂદે પરાણે હાસ્ય નીપજાવવાના પ્રયાસોનાં ગીતો ગાવાનું શરૂ કર્યૂં તે પહેલાં તેમની અને શોભા ખોટેની જોડી ફિલ્મનાં હીરો અને હીરોઈન જેટલી લોકચાહના ભોગવતી. તેમની હાજરી અને તેમને માટે રચાતું એક ખાસ ગીત ફિલ્મની સફળતાનું એક આગવું પરિબળ ગણાતું.


યે આંસુ મેરે દિલકી જુબાન હૈ,મૈં હસ દું તો હસ દેં આંસુ, મૈં રો દું તો રો દે આંસુ - મોહમ્મદ રફી

રાજેન્દ્ર કુમારને કરૂણ ભાવ સાથે રજુ કરવાના સંન્નિષ્ઠ પ્રયાસો માટે બનાવાયેલાં બીબામાંથી નીપજેલું ગીત એ સમયે તો અમને પણ ગમતું હતું,આહ=જે જોકે થોડું કૃત્રિમ લાગે છે તે વલી અલગ બાબત છે.


'હમરાહી' તેની ટિકિટ્બારી પરની ઠીક્ઠાક સફળતા છતાં 'શમ્મી કપૂર' કે 'રાજેન્દ્ર કુમાર' છાપ ફિલ્મોનાં વળતાં પાણી કે શંકર જયકિશનની પડતીની શરૂઆત કહી શકાય કે કેમ તે નક્કી કરવા માટે આપણે હવે પછીના મણકાઓની રાહ જોવી રહી …. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, September 8, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૧૯

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૮-૧૯૫૯
સપ્ટેમ્બર મહિનો જયકિશન (ડાહ્યાભાઈ પંચાલ) – જન્મ : ૪ નવેમ્બર ૧૯૨૯ – અવસાન: ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧-
અને હસરત જયપુરી (મૂળ નામ ઈક઼્બાલ હુસૈન) - જન્મ : ૧૫ એપ્રિલ, ૧૯૨૨ – અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯ -ની અવસાન તિથિઓનો મહિનો છે. ૧૯૪૯થી શરૂઆત થયેલ શંકર જયકિશનનાં ગીત-સંગીતની 'બરસાત'માં હસરત જયપુરી અને શૈલેન્દ્રના બોલ સૌ શ્રોતાઓને એક આહલાદક અનુભવમાં ભીજવતા રહ્યા. શૈલેન્દ્રના મૃત્યુ પછી આ આંનંદનો રંગપટ ઘણે અંશે ફીકો પડી ગયો એમ તેમના ચાહકોનો એક મોટો વર્ગ માને છે. સામાન્યતઃ ફિલ્મનાં ગીતો માટેની સીચ્યુએશન આ ચારે જણા ભેગા મળીને સાંભળે અને પછી સંગીતકારોમાંથી કે ગીતકારોમાંથી જેને એ સીચ્યુએશન માટે ગીત સ્ફુરતું હોય તે એ ગીતની રચના સંભાળી લે એવી વ્યવસ્થા જોવા મળતી.

જોકે એ સમયના 'જાણકારો'નો એક વર્ગ માનતો હતો કે ગીતની ધુન શંકરની છે કે જયકિશનની છે તે નક્કી કરવું હોય તો તેને ગીત શૈલેન્દ્રનું છે કે હસરત જયપુરીનું છે તે નજરથી જૂઓ - શૈલેન્દ્રનું ગીત હોય તો (મોટા ભાગે) ધુન શંકરની અને હસરત જયપુરીના બોલ હોય તો ગીતરચના જયકિશનની.

આપણને આ માન્યતાનાં સાચજૂઠ સાથે સંબંધ નથી. આપણે તો તેનો આધાર લઈને હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલા ગીતોને દર સપ્ટેમબર મહિને આપણા આ મંચ પર યાદ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. અત્યાર સુધી આપણે ૧૯૪૯-૧૯૫૪ અને ૧૯૫૫-૧૯૫૭નાં વર્ષોનાં કેટલાંક ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ. આજે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૫૮ અને ૧૯૫૯નાં વર્ષોનાં વિસારે પડેલા ગીતોને આપણે સાંભળીશું.

૧૯૫૮

૧૯૫૮નાં વર્ષમાં શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ બે ફિલ્મો જ પ્રદર્શિત થઈ હતી. એ ફિલ્મોનાં ગીતોમાં પણ હસરત જયપુરીને ફાળે આવેલાં ગીતોનું પ્રમાણ - 'બાગ઼ી સિપાહી'માં ત્રણ અને 'યહુદી'માં એક -સામાન્ય કરતાં થોડું ઓછું હોય તેમ જણાય. પણ યોગાનુયોગ એવો છે કે આ બધાં ગીતો માટે પાર્શ્વસ્વર લતા મંગેશકરનો છે.

શરાબ-એ-ઈશ્ક઼ કે આગે કડવે પાનીકા….મુસ્કુરાતી ઝિંદગીકો છોડ કે ન જા- બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ગીતનો પ્રારંભ એક અલગ શેરથી કરવાની હસરત જયપુરીની આગવી શૈલીથી ઉપાડ થતાં ગીતને (શંકર( જયકિશનની અનોખી વાદ્યસજ્જાની સર્જનાત્મકતા પૂર્વાલાપને નિખારે છે. ગીતની લયમાં થતા બદલાવની સાથે સાથે ગીતની ધુન ખાસ્સી મુશ્કેલ અનુભવાય છે. 

દિલ લગાનેવાલે મત સુન મેરી કહાની - બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

પર્દા પર ગીત ભલે કોઈ અન્ય ગાયિકા ગાય છે, પણ એના ભાવ મુખ્ય અભિનેત્રી, મધુબાલા,નાં દિલમાંથી ઊઠે છે તે તો આપણને સમજાઈ જાય છે. લતા મંગેશકરે ગીતના ભાવમાં કરૂણ રસને ઘૂટ્યો છે. 

આંસુકી આડ લેકે તેરી યાદ આયી - યહુદી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ફિલ્મનું હસરત જયપુરીએ લખેલૂં એક માત્ર ગીત, અન્ય ગીતોની સરખામણીમાં કદાચ સૌથી ઓછું યાદ કરાતું ગીત કહી શકાય. ઢોલકના તાલને મધ્ય-પૂર્વનાં વાદ્યસંગીતમાં વણી લેવાયેલ છે. આ ગીત પણ શંકર જયકિશનનાં ગીતોનિ સરખામણીમાં થોડું ઓછું સુગેય જણાય છે. 

૧૯૫૯

૧૯૫૯નાં વર્ષમાં શંકર જયકિશનની એ સમયની વર્ષની સરેરાશ જેટલી – સાત - ફિલ્મો છે. દરેક ફિલ્મમાં હસરત જયપુરીની સંખ્યા પણ ઘણી સપ્રમાણ છે. તેને કારણે ત્યારે, અને આજે પણ, વધારે જાણીતાં અને લોકપ્રિય ગીતોને છોડી દેવા છતાં પણ આપણી પાસે ગાયકો, વિષય અને રજૂઆતનાં વૈવિધ્યમાં જરા પણ ખોટ ન પડે એટલી વિપુલ સંખ્યામાં ગીતો મળી શક્યાં છે.

બન કે પંછી ગાયે પ્યારકા તરાના - અનાડી (૧૯૫૯) – ગાયિકા: લતાં મંગેશકર અને સાથીઓ

હીરો અને /અથવા હીરોઈન પોતાનાં મિત્રો સાથે પિકનિક માટે સાઈકલ પર નીકળી પડે એ સીચ્યુએશન એ સમયની ફિલ્મોમાં બહુ પ્રચલિત હતી. 'સાઈકલ પર ગવાતાં' ગીતોનો એક ખાસ પ્રકાર પણ એ કારણે ફૂલ્યો ફાલ્યો હતો. મોજમસ્તીભર્યાં આ ગીત ઉપરાંત નિર્ભેળ રોમાંસથી નીતરતું, હસરત જયપુરીનું યુગલ ગીત - વો ચાંદ ખીલા વો તારે હંસે- આજે પણ ચાહકોના હોઠો પર રમે છે. 

જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ - છોટી બહેન (૧૯૫૯) – ગાયક: મુકેશ

ગાયક, ગીતકાર અને સંગીતકાર (અનુક્રમે મુકેશ, હસરત જયપુરી અને શંકર જયકિશન) એ દૃષ્ટિકોણથી જોઈએ તો કરૂણ ભાવનાં આ ગીતમાં કંઈ અસામાન્ય ન જોવા મળે. ગીતનું અસામાન્ય તત્ત્વ રહેમાન પરદા પર ગીત ગાય છે પણ એટલું અસામાન્ય કદાચ ન કહેવાય. ખરેખર અસામાન્ય તો ગીતની સીચ્યુએશન - નકારાત્મક ભૂમિકા ભજવી રહેલ પાત્રની પશ્ચાતાપની ભાવના - છે.

ઓ કલી અનારકી ના ઈતના સતાઓ, પ્યાર કરનેકી કોઈ રીત તો બતાઓ - છોટી બહેન (૧૯૫૯) – ગાયકો: મન્ના ડે અને આશા ભોસલે

મન્ના ડે અને આશા ભોસલેને યુગલ ગીત માટે એક કરવાં એ બાબત શંકર જયકિશનનાં સંગીતની બહુ ઓછી બનતી ઘટના છે, પણ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવતાં પાત્રોમાં રહેમાન અને શ્યામા આવું (ફિલ્મો માટે પરંપરાગત ઢાળમાં ફિલ્માવાયેલુ) સામાન્યત હીરો અને હીરોઈન જ ગાતાં હોય એ ગીત પરદા પર ગાય તે તો ખરેખર ભાગ્યે જ બનતી સીચ્યુએશન હશે. .

મૈં રંગીલા પ્યારકા રાહી દૂર મેરી મંઝિલ - છોટી બહેન (૧૯૫૯)- ગાયકો: સુબિર સેન અને લતા મંગેશકર

મહેમૂદ અને શોભા ખોટેની જોડીએ પર્દા પર ઘણાં સફળ ગીતો ગાયાં છે, પણ મહેમુદ માટે સુબિર સેનના સ્વરનો પ્રયોગ કરવાની હિમ્મત દાખવવા માટે (શંકર)જયકિશનને દાદ દેવી પડે ! 

કહાં હૈ કહાં હૈ કન્હૈયા - કન્હૈયા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

'કન્હૈયા'માં હસરત જયપુરીને ફાળે બે ગીત જ આવ્યાં છે. પ્રસ્તુત કરૂણ ભાવનાં ગીતની સામે તેમણે બીજું ગીત - કન્હૈયા ઓ કન્હૈયા આજ આના ખ્વાબ મેં - મિલનની આશાઓને વાચા આપતા બોલમાં લખેલ છે અને (સંકર) જયકિશને તે સ્વપ્ન ગીતની શૈલીમાં, પ્રલંબિત પૂર્વાલાપ વાદ્યસજ્જા સાથે સ્વરબધ્ધ કરેલ છે.ગીતનો સંબંધ કન્હૈયા સાથે છે એટલે મુખ્ય વાદ્યરચના તેમ જ 'કાઉન્ટર મેલડી'નાં સહસંગીતમાં વાંસળીનો પ્રચુર માત્રામાં પ્રયોગ પણ કરી લીધો છે.

દેખ આસમાનમેં ચાંદ મુસ્કરાયે - શરારત (૧૯૫૯) – ગાયકો: કિશોર કુમાર, ગીતા દત્ત

શંકર જયકિશન અને ગીતા દત્ત સાથે હોય એ એક બહુ વિરલ ઘટના કહી શકાય, તેમાં પોતાના પ્રિય વૉલ્ત્ઝ તાલમાં અંતરાની શરૂઆતમાં પોતાનાં પ્રિય તાલ વાદ્ય ઢોલકનો પ્રયોગ કરીને અંતમાં ફરીથી પાશ્ચાત્ય તાલવાદ્ય અપર આવી જવાનો વધારાનો પ્રયોગ પણ એટલો જ સહેલાઈથી વણી લેવાયો છે.

તુને મેરા દિલ લિયા, તેરી બાતોંને જાદુ કિયા, હાયે ના જાને યે ક્યા કર દિયા, યે તેરે પ્યારકી જીત હૈ - શરારત (૧૯૫૯) – ગાયકો: ગીતા દત્ત અને કિશોર કુમાર

(શંકર) જયકિશને ગીતા દત્તને તેમના અસલ મિજાજમાં ખીલવ્યાં છે. 

દેખા બાબુ છેડ કા મજ઼ા મીઠા મીઠા દર્દ દે ગયા - શરારત (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

શેરીમાં ગીત ગાનાર ફિલ્મનાં મુખ્ય પાત્રના મનના ભાવને વ્યક્ત કરતું હોય એ તે સમયમાં ખાસ્સો પ્રચલિત ગીત પ્રકાર હતો. સંગીતકાર માટે પણ હાર્મોનિયમના સહજ ઉપયોગમાં અવનવા પ્રયોગો કરી બતાવવાનો પડકાર ઝીલી લેવામાં અનોખો આનંદ આવતો હશે તે તો આવાં દરેક ગીતમાં સહેલાઈથી ધ્યાન પર ચડે છે. 

તેરા જલવા જિસને દેખા વો તેરા હો ગયા, મૈં હો ગઈ કિસીકી કોઈ મેરા હો ગયા - ઉજાલા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

પ્રસ્તુત ફિલ્મમાં આટલું જ બીજું રમતિયાળ ગીત છે હો મોરા નાદાન બાલમા ન જાને દિલકી બાત. બન્ને ગીતના મૂળ ગત ભાવ સાવ અલગ છે જે બોલમાં બહુ માર્મિકપણે પ્રતિબિંબિત થાય છે. .

ફિલ્મોના સ્વાભાવિક ક્રમમાં આપણે હવે એવી રીતે આગળ વધીશું કે આપણા દરેક અંકને એ વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની આપણી પ્રથા પણ આપોઆપ જળવાઈ રહેશે.

શી ને ખેલા હી સે આજ ક્રિકેટ મેચ, એક નજ઼રમેં દિલ બેચારા હો ગયા એલબીડબ્લ્યુ - લવ મેરેજ (૧૯૫૯) – ગાયક: મોહમ્મદ રફી અને સાથીઓ

ક્રિકેટનું મેદાન, દેવ આનંદનું ક્રિકેટ રમવા માટેનાં પરંપરાગત પહેરવેશમાં હોવું, ક્યાંક ક્યાક ક્રિકેટના પારિભાષિક શબ્દોના સુચક પ્રયોગ - એ બધાંની આડમાં ગીતકાર અને સંગીતકારે પરિણય પહેલાં મીઠી છેડછાડનાં ગીતોના પ્રકારને બહુ અસરકારક રીતે રમી લીધો છે.

લો ખું સે ખું જૂદા હુઆ - મૈં નશેમેં હૂં (૧૯૫૯) - ગાયક: મોહમ્મદ રફી

હસરત જયપુરી - (શકર) જયકિશનનાં ખાતાંમાં મોહમ્મદ રફીનાં કેટલાંક સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો જમા બોલે છે. આ ગીત વડે તેમાં બેકગ્રાઉન્ડ ગીતના પ્રકારનાં વૈવિધ્યનો ઉમેરો થાય છે.

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આપણી આ સફર હજુ ચાલુ છે...

Sunday, September 9, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર,૨૦૧૮

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭

જ્યાં સુધી શંકર જયકિશન અને હસરત-શૈલેન્દ્રનું સર્જક ચતુર્વૃંદ નદવાયું નહીં ત્યાં સુધી શંકર જયકિશને અન્ય કોઇ ગીતકારનાં ગીતોને (મોટા ભાગે) બે અપવાદ સિવાય સંગીતબધ્ધ નથી કર્યાં.પહેલો અપવાદ હતો શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ 'બરસાત (૧૯૪૯)નું જલાલ મલીહાબાદીનું ગીત ઓ ઓ મુઝે કિસીસે પ્યાર હો ગયા અને બીજી ફિલ્મ હતી ૧૯૬૬ની 'આરઝૂ'. જો કે હસરત જયપુરી અને શૈલેન્દ્રએ સમય અન્ય સંગીતકારો માટે ગીતો જરૂર લખ્યાં છે. આપણી ચર્ચાનો વિષય જોકે આ બાબત નથી.

સપ્ટેમ્બર મહિનો જયકિશન (૪ નવેમ્બર ૧૯૨૯ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨ - ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓનો મહિનો છે. ગયા વર્ષે આપણે આ જોડીએ રચેલાં ૧૯૪૯ થી ૧૯૫૪નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજે હવે આપણે આગળ વધતાં ૧૯૫૫થી ૧૯૫૭નાં વર્ષનાં કેટલાંક યાદગાર અને કેટલાંક વીસરાયેલાં ગીતોની યાદ ફરી એક વાર તાજી કરીશું.

આજના આ લેખ માટે પહેલાં ત્રણ ગીત મળ્યાં તે લતા મગેશકરે જ ગાયેલા હતાં એટલે તે પછી જે જે ફિલ્મોમાંથી ગીતો પસંદ કરવાનાં હતાં તે લતા મંગેશકરે જ ગાયેલં હોય એ બાબત પર ધ્યાન આપ્યું છે. આમ, બીજા શબ્દોમાં, આજનો લેખ (શંકર) જયકિશન અને હસરત જયપુરીનાં લતા મંગેશકરે ગાયેલાં ૧૯૫૫થી ૧૯૫૭નાં ગીતોનો લેખ બની ગયો છે. અહીં પણ અપવાદ માત્ર આપણા દરેક લેખના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો મૂકવાની આપણી પરંપરા છે.


બાત બાતમેં રૂઠો ના, અપને આપકો લૂટો ના - સીમા (૧૯૫૫)

ગીત પૂરેપૂરી જયકિશનની ધૂન છે. એકદમ રમતિયાળ રચના, ગીતના પ્રારંભમાં પિયાનો એકોર્ડીયનનો ટુકડો જે પહેલી અને ત્રીજી કડીનાં વાદ્યસંગીતમાં એક અનોખો સુર બની રહે છે. જો કે હસરત જયપુરીએ સીચ્યુએશનને હળવી રાખવા બોલ ભારે નથી લખ્યા, પણ એક કવિને છાજે તેમ જીવવની ફિલસુફી એ સરળતામાં પણ આબાદ રીતે વણી લીધી છે.

ઓ જાનેવલે જરા મુડકે દેખતે જાના - શ્રી ૪૨૦ (૧૯૫૫)

‘શ્રી ૪૨૦’માં કોઈ એકાદ ગીત પણ ઓછું લોકપ્રિય થયું હશે એવું કલ્પવું મુશ્કેલ છે. પ્રસ્તુત ગીત પર હસરત જયપુરીની છાપ ગીતના આરંભની સાખીથી લઈને સમગ્ર ગીતના બોલમાં છવાયેલી જોઈ શકાય છે. ફિલ્મમાં બીજી કડી કાઢી નાખવામાં આવી છે !

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ ઓ માજી કિનારે કિનારે - ચોરી ચોરી (૧૯૫૬)

નરગીસને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાં હોય છે. આ બાબતે પિતા સાથે ઝઘડો થતાં તે જહાજ પરથી કૂદી પડે છે. કૂદી પડ્યા પછી શરૂઆતની પળો તો જહાજથી તે દૂર થવા માગતી હોય છે. અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપના પ્રાંરભમાં આ ભાગી છૂટવાના ધમધમાટની પળો ઝડપી લેવાઈ છે. જયકિશન એ દૃશ્યને વાયોલિન સમુહનાં પાર્શ્વસંગીત વડે વાચા આપે છે. થોડાંક સલામત અંતરે પહોંચ્યા પછીની હાશનો અનુભવ ત્યાંથી પસાર થઈ રહેલાં માછીમારોના કાફલાની છ્ડી પોકારતાં સંગીતથી થાય છે. હસરત જયપુરીના બોલ ગીતના ભાવને એકદમ સરળતાથી વ્યક્ત કરે છે.

આ જોડીએ 'ચોરી ચૉરી'માં મન્ના ડે - લતા મંગેશકરનાં સદાબહાર યુગલ ગીત આજા સનમ મધુર ચાંદનીમેં હમ, લતા મંગેશકરનું મસ્તીભર્યું પંછી બનું ઊડતી ફિરૂં મસ્ત ગગનમેં અને રફી-લતાનું હળવા મૂડનું તુમ અરબોંકા હેરફેર કરનેવલે રામજી જેવાં અન્ય વૈવિધ્યપૂર્ણ ગીતો પણ આપ્યાં છે.

ઉસે મિલ ગયી નયી ઝિંદગી....જિસે દર્દ-એ-દિલને મિલા દિયા - હલાકુ (૧૯૫૬)

આ ફિલ્મમાં હસરત જયપુરીએ ત્રણ જ ગીતો લખ્યાં હતાં બીજાં બે ગીતો - ઓ સુનતા જા અને બોલ મેરે માલિક - પણ લતા મંગેશકરના સ્વરમાં છે અને એ સમયે ખાસ્સાં લોકપ્રિય પણ થયાં હતાં.

કોઈ મેરે સપનોંમેં આયા, ધીરે ધીરે મનમેં સમાયા - ન્યુ દીલ્હી (૧૯૫૬)

(શંકર) જયકિશન ઘણી અઘરી ધુન રજૂ કરે છે. વાદ્યસંગીત પણ સરળ નથી જણાતું.

સાત સમુંદર પાર - પટરાની (૧૯૫૬)

(શંકર) જયકિશનની એક વધુ અઘરી ધુન.

રાજ હઠ (૧૯૫૬) નાં હસરત જયપુરીનાં ગીતોમાંથી મેં આજના લેખ માટે 'નદીયા કિનારે ફિરૂં પ્યાસી, હાય પી બીન જિયરા તરસ તરસ રહ જાયે' પસંદ કર્યું હતું. પણ એ ગીતની ઑડીયો કે વિડીયો ડિજિટલ લિંક મને મળી નહીં. એટલે પછીથી હવે આ ગીત પસંદ કર્યું છે.
અંતર મંતર જંતર સે મૈદાન લિયા હૈ માર - રાજ હઠ (૧૯૫૬) - ઉષા મંગેશકર સાથે

મોટા ભાગે એવું મનાતું કે ફિલ્મમાં નૃત્યની સીચ્યુએશન પરનાં ગીતની બાંધણી શંકર કરતા. આ ગીત સાંભળતાં ગીત કોણે રચ્યું અને કોણે સ્વરબધ્ધ કર્યું હશે તે કળવું મુશ્કેલ છે.

ગોરી-ગોરી-ગોરી મૈં પરીયોંકી છોરી.. છમ છમ છમ... કરતી આયી હૂં મૈં સાત આસમાન સે - બેગુનાહ (૧૯૫૭)

(શંકર) જયકિશનની એક વધારે મુશ્કેલ ધુન. આ ગીતમાં તો તેમણે એક સાથે એકથી વધારે પ્રકારનાં તાલ વાદ્યોનો પણ પ્રયોગ કરેલ હોય તેમ જણાય છે.

(શંકર) જયકિશન - હસરત જયપુરીનાં સંયોજનનું ફિલ્મનું એક અન્ય ગીત - મન્ના ડે - લતા મંગેશકરનું યુગલ ગીત, દિન અલબેલે પ્યારકા મૌસમ ચંચલ યે સમા - શંકર જયકિશનની ટ્રેડ માર્ક ધુન છે.

સો જા મેરે રાજ દુલારે સો જા તારે ભી સો ગયે ધરતીકે તારે ભી સો જા - કઠપુતલી ((૧૯૫૭)

ફિલ્મોમાં હાલરડાંઓની સાંભળવા મળતી રચનાઓની સરખામણીમાં ગીતની બાંધણી કંઈક અંશે જટીલ લાગે છે. ફિલ્મમાં ગીતની સીચ્યુએશનની ગંભીરતા તેને સ્પર્શી ગઈ હશે? (!)...

આપણે આપણા દરેક અંકનો અંત વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજના હસરત જયપુરી -(શંકર)જયકિશનનાં ૧૯૫૫-૧૫૭નાં ગીતોન અંક માટે માટે 'સીમા'(૧૫૫૫)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં બે માંથી એક ગીત અને 'રાજહઠ" (૧૯૫૬)માટે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલું એક ગીત પસંદ કરેલ છે.

હમેં ભી દે દો સહારા કે બેસહારા હૈ  - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે

દેખીતી રીતે અનાથાશ્રમ માટે ફાળો એકઠો કરવા નીકળેલ એક ટુકડીએ ગાયેલ ગીત છે, પણ હસરત જયપુરીએ તેમાં પોતાનાં કવિમય અંતરાત્માની અનુભૂતિને પૂરેપૂરી ખીલવી છે. (શંકર) જયકિશને પણ ગીતને બહુ જ અનેર ઢંગથી સ્વરબધ્ધ કરેલ છે - ગીતમાં હાર્મોનિયમના ના ટુકડાઓનૉ જે ખુબીથી ઉપયોગ કર્યો છે તે ગીતને ભિક્ષા માગવાનાં સામાન્ય ગીતમાંથી એક કલાત્મક કૃતિની કક્ષાએ મૂકી દે છે.

આયે બહાર બનકે લુભાકે ચલે ગયે - રાજ હઠ (૧૯૫૬)

જ્યારે જ્યારે હસરત જયપુરીને હિંદી ફિલ્મમાં ગઝલ લખવાનો મોકો મળ્યો છે ત્યારે તેમાં તેમણે શાયરના અંદાઝની તેમની એક ખાસ પ્રતિભાને પ્રતિબિંબિત કરવાની તક છોડી નથી. (શંકર) જયકિશને પણ આવી ગઝલને એક આગવી જ શૈલીમાં સ્વરબધ્ધ કરી છે. આવી જ એક બીજી રચના - તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં તો માંગીથી - તેની સાદગીપૂર્ણ, સુગેય, સરળ બાંધણી માટે યાદ આવી જાય છે.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.