Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Thursday, April 3, 2025

મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ, આજે પરમ શાંતિના પંથે પ્રયાણ માડે છે, ત્યારે .....

 

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫, મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ (૧૩-૫-૧૯૩૩ | ૨૨-૩-૨૦૨૫), ના દેહાવસાન પછી તેરમો દિવસ છે. હિન્દુ પરંપરા પ્રમાણે, "તેરમું" એ અંત્યેષ્ટિ સંસ્કારનું અંતિમ સીમાચિહ્ન છે. એમ મનાય છે કે એ દિવસે આત્મા તેનાં નશ્વર બંધનો અતિક્રમીને પિતૃલોકનાં આધ્યાત્મિક ક્ષેત્ર તરફની પરમશાંતિની યાત્રા શરૂ કરે છે.

પાછળ દૃષ્ટિ કરતાંમારું મન મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ) વૈષ્ણવ,ની આખરી રાત, ૧૮ ડિસેમ્બર ૧૯૮૩, ની યાદથી ભરાઈ જાય છે.

તે અવિસ્મરણીય ચોવીસ કલાક ……

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજની તે સાંજે, સુસ્મિતાને પાલનપુરથી ફોન આવ્યો. મારા પિતાના સહકર્મી શ્રી ધ્રુવભાઈ છાયા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા), એ જાણ કરી હતી કે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે, અને તેઓ તેમને અમદાવાદના ઉસ્માનપુરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.[1] સુસ્મિતાએ તાત્કાલિક અમારી ફેક્ટરી, ઍરીશ ઇક્વિપમેન્ટ, વટવા,એ મને જાણ કરી.

હું ઘરે પહોંચું તે પહેલાં, સુસ્મિતા  અમારા અઢી વર્ષના પુત્ર, તાદાત્મ્ય,ને, નજદીકમાં રહેતા અમારા મોટા પિતરાઈ ભાઈ, સુધાકરભાઈના ઘરે લઈ ગઈ અને તેમને ઘટનાની જાણ કરી. તેથી, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ પણ અમારે ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ અમારું પહેલું કાર્ય, અમારા પરિવારના પરિચિતો, પડોશીઓ તેમ જ મિત્રો એવા, ડૉ. અશોકભાઈ દેસાઈ અને ડૉ. બંકિમ માંકડ, નો સંપર્ક કરવાનું હતું. બંને ડૉક્ટર મિત્રો પહેલેથી જ સિવિલ હોસ્પિટલ, આસારવામાં સિનિયર ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી, તેમણે અમને ત્યાં પહોંચવાની સલાહ આપી. તેમણે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બધી વ્યવસ્થા કરી. પછી, હું અને સુધાકરભાઈ મારા પિતાને લઈ આવનારી એમ્બ્યુલન્સ જ્યાં પહોંચવાની હતી તે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સના આવવાની રાહ જોવા લાગ્યા. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતાની સાથે જ, અમે તેમને અમારી સાથે સિવિલ હોસ્પિટલ પહોંચવાનો નિર્દેશ આપ્યો.

અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં, રાતના ૧૧ વાગ્યા પછીનો સમય થયો હતો. મારા પિતાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય લાગ્યો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને એક ટીમની સતત દેખરેખ એક હેઠળ રાખવામાં આવશે, એ ટીમની આગેવાની  એક ખૂબ જ યુવાન કાર્ડિયોલોજિસ્ટ (જો મને બરાબર યાદ હોય તો ડૉ. પુરેન્દ્ર પટેલ હતા) કરી રહ્યા હતા. બીજી પંદર વીસ મિનિટમાં પછીથી કંઈ પણ અનિચ્છનીય બને ત્યારે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ટીંમ સંપૂર્ણપણે સજ્જ હતી.

આ દરમિયાન, ધ્રુવભાઈએ અમને જાણ કરી કે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે, મારા પિતા દાંતીવાડા કેમ્પસના ગુજરાત કૃષિ યુનિવર્સિટી (જીએયુ) સ્થિત તેમના ઘરે લંચ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. મારી માતાએ મદદ માટે ઓફિસને જાણ કરી. સ્ટાફના સભ્યો જીએયુ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સાથે દોડી ગયા. હૃદયરોગનો હુમલો હોવાનું નિદાન થતાં, પ્રાથમિક સારવાર  આપ્યા પછી, તેમને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના લોહીમાં એક 'ગઠ્ઠો' તરતો હતો, જેના કારણે હૃદયરોગના હુમલાના આ લક્ષણો જોવા મળ્યા. જો 'ગઠ્ઠો' હૃદય સુધી પહોંચે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. પાલનપુર હોસ્પિટલે વધુ સારવાર આપવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપી.

આટલી વાત થઈ એ દરમ્યાન આગળની કાર્યવાહીનો ક્રમ નક્કી થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે મારી માતા અને સુસ્મિતાએ ઘરે જવું જોઈએ અને બીજા દિવસે સવારે બપોરના ભોજન પછી પાછા આવવું જોઈએ. ધ્રુવભાઈ છાયાએ તેમને અમારા ઘરે મૂકવાનું નક્કી કર્યું. હું અને સુધાકરભાઈ હવે હોસ્પિટલમાં હાજર હતા. મારા પિતાએ સુધાકરભાઈને પલંગની બાજુમાં થોડા કલાકો સૂવા માટે સમજાવ્યા. અમે રાત્રિની ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલીક પ્રાથમિક સહાયક વસ્તુઓ સાથે લાવ્યા હતા. તેમની મદદથી, સુધાકરભાઈએ અડધી ઊંઘ અને અડધી જાગતી અવસ્થામાં તેમની પીઠને હળવી કરવાનો પ્રયાસ કર્યો. હું મારા પિતાની બાજુમાં બેઠો.

તે પછી મારા પિતાએ ખુલીને એમની ચિંતાઓ અને સૂચનાઓ મને જણાવવાનું કરવાનું શરૂ કર્યું. તેઓ ૧ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ જ નિવૃત્ત થયા હતા, તેથી તેમણે તેમના સર્વિસ રેકોર્ડ, હાઉસિંગ લોન સંબંધિત દસ્તાવેજો ક્યાં છે તે બધું મને જણાવ્યું. તેમણે પેન્શનની સંભવિત રકમ (અથવા જો તેઓ આ હુમલામાં બચી ન જાય તો મારી માતાને ફેમિલી પેન્શન), દાંતીવાડામાં તેમના બેંક ખાતાની વિગતો વગેરે વિશે પણ માહિતી આપી.
મારા ભવિષ્યની ચિંતા
મારા પિતાની સૌથી મોટી ચિંતા મારા ભવિષ્યની હતી. તેઓ બહુ સરળ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. મારા પહેલાની અમારી બધી પેઢી સરકારી સેવામાં હતી. અમારા સમુદાયમાં સ્વીકૃત ધોરણ હતું કે જે કોઈ પણ સરકારી સેવામાં જોડાય છે તે તે સેવામાંથી પણ નિવૃત્ત થાય છે. હું ખાનગી ક્ષેત્રમાં જોડાનારો પહેલો વ્યક્તિ હતો. તેથી, તેમને ખાનગી ક્ષેત્રમાં નોકરીની અસલામતીનો સ્વાભાવિક ખયાલ હતો. જોકે, ૧૯૭૩ થી ૧૯૭૯ સુધી, જેમ જેમ મેં મારા પ્રથમ નોકરીદાતા ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ, અમદાવાદ સાથે મારી કારકિર્દીમાં પ્રગતિ કરી, તેમ તેમ તેમની ચિંતાઓ, લગભગ ઓછી થઈ ગઈ. તે સમયે જ મેં, ત્રણ અન્ય મિત્રોની સાથેઅમદાવાદના વટવા ખાતે એક નાના પાયે ઉત્પાદન એકમ, આરીશ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ., શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, તેમના મનના ઊંડાણમાં, શાંતિ ફરી ખલેલ પહોંચાડી. એક સરકારી કર્મચારી તરીકે, તેમને માત્ર નોકરીની ખાતરી જ નહીં, પણ કાર્યસ્થળ પરના રોજિંદા કામ માટે પણ ખાતરી રહેતી હતી. તેમની ચિંતામાં વધારો કરવા માટે, અમે ઘણા લાંબા સમય સુધી કામ આપતા રહે એવા મૂડીગત માલનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ આ સાહસની સફળતાના દૃષ્ટિકોણથી મારા ભવિષ્યની સુરક્ષા બાબતે ફક્ત નજીકના ભવિષ્યમાં આજીવિકાના પૂરતા સ્ત્રોત તરીકે નહીં, પરંતુ અમારા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટેનો લાંબા ગાળાના સ્ત્રોત બાબતે પણ તેઓ પણ ચિંતિત હતા.

તે રાત્રે, તેમણે પહેલી વાર પોતાની ચિંતાઓ સ્પષ્ટપણે શબ્દોમાં વ્યક્ત કરી. જોકે, તેમણે નિષ્કર્ષમાં એમ પણ જણાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા અને તેમાંથી બહાર આવવાની મારી ક્ષમતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. તેથી તેમણે મને ખાતરી આપી કે તેઓ મારા વિશે થોડો ઉચાટ અનુભવતા રહ્યા છે પણ આ ક્ષણે હવે તેઓ ચિંતિત નથી.

અમારી ચર્ચાઓ ખૂબ મોડી રાત સુધી ચાલતી રહી હતી. તેથી, તેમને થોડી ઊંઘ લેવામેં વિનંતી કરી. પરંતુ, તેમણે કહ્યું કે પોતાનું મન આટલું ખાલી કરી દીધા પછી તેઓ હવે જે કંઈ થશે તેનો સામનો કરવા માટે તૈયાર હતા., છતાં તેમના અંગત પરિવારના વડા તરીકે, તેમજ તેમના પિતાના બૃહદ પરિવારના વડા તરીકે તેમના ત્રણ અધૂરા કાર્યો તેઓ મને સોંપવા માગતા હતા.
ત્રણ જવાબદારીઓ
તે પછી તેમણે મને જે ત્રણ જવાબદારીઓ સોંપી તે આ મુજબ હતી:

૧) તેમનાં માતા (મારી દાદી), રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ,ની સંભાળ રાખવામાં તેમના નાના ભાઈ, જનાર્દન વૈષ્ણવ,ની સાથે મારે ઊભા રહેવું, જેથી તેમની ગેરહાજરીમાં, માતા પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવામાં તેમના નાના ભાઈને એકલા પડી જવાતું ન લાગે;
૨) જાણે હું તેમનો પુત્ર હોઉં તેમ, તેમના નાના ભાઈ, જનાર્દન પ્રાણલાલ વૈષ્ણવ.ની સાથે મારે હંમેશા રહેવું, અને
૩) મારા અંગત મૂલ્યોને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ સંજોગોમાં મારી માતાની સંભાળ રાખવી.

૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ, મારી માતાનું અવસાન થયું, જેનાથી મને સોંપાયેલી ત્રીજી જવાબદારીમાંથી. ઔપચારિક કક્ષાએ, પણ મુક્તિ મળી.

પાદ નોંધઃ:

૧) મેં મારી અત્યાર સુધીની જિદગીમાં જોયેલી બધી જ વ્યક્તિઓમાં મારાં દાદી જેટલું પવિત્ર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમ છતાં, મારી દાદીના છેલ્લા છ મહિના ખૂબ જ પીડાદાયક હતા. મારા કાકા, જનાર્દન વૈષ્ણવ અને તેમના અંગત પરિવારે તેમની શારીરિક પીડાઓને સહ્ય કરવા માટે તે દિવસોમાં જે કંઈ કરી શકાય તે બધું જ કર્યું. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સંતોષ થાય છે કે મેં પણ મારા પિતાએ મને જે જવાબદારી સોંપી હતી તેમાં તેમણે મારી જે ભૂમિકા કલ્પી હશે તેને હું, મહદ્‍અંશે, નિભાવી શક્યો હતો.
૨) મને એ વાતનો પણ સંતોષ છે કે મેં મારા કાકા અંગે મારા પિતાએ મને જે ભૂમિકા સોંપી હતી તે હું પુરી નિષ્ઠાથી ભજવતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં તેમની અમુક માંદગી પછી તેઓ એમ માનતા કે હવે પછી તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ સારવાર ન કરાવવી, તેમની એ ઇચ્છાને માન આપીને તેમના છેલ્લા દિવસોમાં, મારા પોતાના મૂલ્યો અને 'મારી' ફરજો નિભાવવાના મારાં પોતાનાં ધોરણોની વિરુદ્ધ, હું તેમની પાસે રૂબરૂ ગયો ન હતો. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, તેમ હું એવા નિષ્કર્ષ પર આવી શકતો નથી કે મેં એ જે કંઇ કર્યું તે યોગ્ય કાર્ય કર્યું હતું કે નહીં. મને નથી લાગતું કે હું ભવિષ્યમાં પણ આ બાબતે  નક્કી કરી શકીશ. તેથી, કર્મના સિદ્ધાંતમં અંગત રીતે મને બહુ શ્રદ્ધા ન હોવા છતાં, હું અંતિમ નિર્ણય કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઉં છું.
૩) આંકડાઓ નોંધ કરશે તેમ, હું મારા જીવનના ફક્ત ૩૩ વર્ષ મારા પિતા સાથે વિતાવી શક્યો. તેમની સાથેના એ અવિસ્મરણીય દિવસના છેલ્લા થોડા કલાકો સિવાય, તેમણે  સેવામાંથી નિવૃત્ત થયા પછી હું તેમની સાથે (અને તેમના માટે) કરવા માંગતો એવું કંઈ કરી, ક્યારે પણ,  શક્યો નહીં. ખેર, એનો હિસાબ પણ કર્મના સિદ્ધાંતના હાથ પર જ છોડી દઉં છું. 

મારા પિતાના અવસાન પછી, મને મારી માતા સાથે રહેવા માટે ૪૨ વર્ષ મળ્યાં. ૨૦૧૭ માં તેમના નિતંબ (ફીમર) ના બૉલની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી અમે તેમને સફળતાપૂર્વક પાર કરાવી શક્યાં અને વોકરની મદદથી તેમને ઠીક ઠીક છુટથી હરતાં ફરતાં કરતાં પણ કરી શક્યાં.
જોકે, ૨૦૨૦ના અંત સુધીમાં, તેના પગના સ્નાયુઓ એટલા નબળા પડવા લાગ્યા હતા કે તેમણે પથારી પકડી લીધી. આગામી સાડા ત્રણ વર્ષ સુધી, પથારીવશ અવસ્થામાં હવે સુધારો શક્ય નથી  એવું નક્કી થયા પછી પણ તેમની આવશ્યક દૈનિક દિનચર્યા માટે ઓછામં ઓછાની મદાદથી તેઓ કરતાં રહી શકે એમ અમે કરતાં રહી શક્યાં હતાં. જોકે, પથારીમાં જ  રહેવાની નકારાત્મક અસર તેમના શરીર પર ચિંતાજનક રીતે થવા લાગી હતી. છેલ્લા દોઢ વર્ષમાં પોતાના અસ્તિત્વ માટે તેમણે બીજા પર વધુને વધુ નિર્ભર બની રહેવું પડતું હતું. 
આ એ તબક્કો હતો જ્યારે તેમના વધતા જતા દુખાવા અને પીડાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હું સંપૂર્ણપણે લાચારી અનુભવવા લાગ્યો હતો. એક તબક્કે, કુદરતની યોજના સામે મારે માનસિક રીતે મારી હાર પણ સ્વીકારવી પડી. જોકે અમારાથી શકી હતા એ તમામ પ્રયત્નો અમે પૂરા દિલથી ચાલુ રાખ્યા પરંતુ અંતની શરૂઆતની પ્રક્રિયાને ઉલટાવી શક્યા નહીં.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન, તે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અંત ગમે ત્યારે આવી શકે છે. ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ, રોજિંદા સવારના સફાઈ વગેરેનામ તેમનાં કામકાજ પછી, અમને લાગ્યું કે કદાચ આપણે કુદરત સામેના અસ્તિત્વના યુદ્ધમાં હજુ પણ એકબે નાની જીત મેળવી શકીશું. સવારે ૧૦ વાગ્યે, તેમની આંખો અને હોઠ સંપૂર્ણપણે બંધ જણાતી હતી એવી અર્ધજાગૃત અવસ્થામાંહું તેમને અડધો ગ્લાસ પાણી પીવડાવવામાં સફળ થયો. જોકે, જ્યારે હું ૧૦.૪૫ વાગ્યે તેમને જમાડવા માટે આવ્યો, ત્યારે મને લાગ્યું કે હવે જીવન થંભી ગયું છે.. ડૉક્ટર દ્વારા અંતિમ પુષ્ટિ તે પછી માત્ર એક ઔપચારિકતા હતી.

મારી માતા પ્રત્યેની મારી ફરજ બાબતે મારા પિતાજીએ મને સોંપેલી જવાબદારીમાં હું કેટલી હદે ખરો નીવડ્યો તેનો અંતિમ નિર્ણય પણ હું કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઈશ.

પાદ પાદ નોંધઃ
૧) કિરણાબેનના પૌત્ર તાદાત્મ્ય અને પૌત્રવધુ ભૂમિકાએ આજે તેમના 'દાદું'ની સ્મૃતિને રામકૃષ્ણ મઠ, બેલુર અને સાંઈબાબા પ્રતિષ્ઠાન, શિરડીને રૂ. ૧૦૦૧નાં અંજલિસ્વરૂપ અનુદાન કર્યાં.
 ૨) કિરણાબેનની ભાણેજો, ભાનુબેન ડોલરરાય અંજારીઆની દીકરીઓ વિભા (કીરીટરામ ઓઝા) અને સાધના (કશ્યપભાઈ વૈષ્ણવ) અને ધનવિદ્યાબેન પ્રદ્યુમ્નભાઇ માંકડની દીકરી પ્રતિભા (પ્ર માંકડ)  સોમવારે  (૭ - ૪ - ૨૦૨૫ના રોજ) રાજકોટમાં. કિરણાબેનની દીકરીઓ તરીકે વંચિત બાળકોને ભોજન કરાવશે. 


[1] ધ્રુવભાઈ છાયાની ખૂબ આત્મીય શ્રદ્ધાંજલિ:
મુ. પૂજ્ય કિરણબેનના દુઃખદ અવસાન સાંભળીને દુઃખ થયું. મારા પરિવાર અને અમારા જેવા એન્ય લોકોની શોકની ઘડીમાં સંવેદનાપૂર્ણ દિલસોજી સ્વીકાર્શો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.

જ્યારે મેં દુઃખદ સમાચાર સાંભળ્યા, ત્યારે ૧૯૭૨ થી ૧૯૮૪ દરમિયાન શ્રી મહેશભાઈ અને કિરણબેન સાથેના મારા સંબંધોનું ચિત્ર મારી સામે આવે છે. સંબંધો ખૂબ પ્રેમાળ હતા.

જ્યારે હું દાંતીવાડા જતો ત્યારે તેઓ મને ગેસ્ટ હાઉસમાં લંચ કે ડિનર લેવાની મંજૂરી તેમો આપતા નહોતા. મહેશભાઈ અને કિરણબેન બંને તાદાત્મ્ય સાથે અમારા ઘરે આવતા હતા. અમારો ખૂબ ગાઢ કૌટુંબિક સંબંધ હતો. જ્યારે મહેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે હું અને કિરણબેન તેમને અમદાવાદ લાવ્યા.

મુ. કિરણબેનને પણ સુઝ હતી. મેં તેમને દાંતીવાડામાં અન્ય મહિલા સભ્યોને વિવિધ કલા અને હસ્તકલા શીખવતાં પણ જોયાં છે.

ઈશ્વરેચ્છા સ્વીઆરીને, આપણે બધું પાછળ છોડીને મીઠી યાદો સાથે આગળ વધવું જોઈએ.

Sunday, September 1, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - બિઆઈટીસના વિદ્યાર્થી જીવનનો આરંભ : શૈક્ષણિક પ્રવૃતિઓના ધમધમાટના દિવસોનો સંકેત આપતા પ્રસંગો

 પહેલો સમેસ્ટર શરૂ થવાનાં પહેલાં બે અઠવાડીયામાં એવી બે ઘટનાઓ બને જે સિનિયરોનાં વેકેશનની મજા વાગોળવાની અને નવા દાખલ થનારાઓની સંસ્થાનાં વાતાવરણ સાથે પરિચિત થવાની પ્રક્રિયાને સમેટીને ચોટલી બાંધીને શક્ષણિક પ્રવૃતિમાં ખુંપી જવાની વચ્ચેના સંક્રાંતિકાળની આલબેલ પોકારે. દર વર્ષે નિયમિતપણે થતી એ બે ઘટનાઓ એટલે ફ્રેશર માટેની વેલકમ પર્ટી અને વિદ્યાર્થી પરિષદની ચુંટણી.

ફ્રેશર વેલકમ 

પહેલું અઠવાડીયું પુરૂં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદની ચુંટણીની તૈયારીઓ જોર પકડવા લાગે. એટલે રેગિંગની પ્રવૃતિમાં પહેલાં અઠવાડીયાંની ગરમી શમવા લાગે. વિધિપૂરઃસરની ફ્રેશર પાર્ટી થાય એટલે ફ્રેશર તરીકેની ઓળખ મટી જાય અને એ લોકો પણ સંસ્થાના વિદ્યાથી સમુહના મુખ્ય પ્રવાહમાં બધાં સમાન બની જાય.

સામાન્યણે બીજાં અઠવાડીયાનાં રવિવારના બપોરનાં જમણમાં મેસનાં રવિવારનાં પ્રણાલિકાગત ભોજનને  બદલે બડા ખાના હોય. રવિવારનાં બપોરનાં ભોજનમાં સામાન્યપણે પુરી, લીલા વટાણાનું શાક, મસાલાવાળી બટકાની ફ્રેંચ ફ્રાય અને સોજીનો શીરો કે ગુબાબજાંબુ હોય. બડા ખાના માટે તેમાં સમોસા કે કચોરી કે બેડ પકોડાં જેવાં ફરસાણને, વટાણાનાં શાકમાં માવો (ખોયા) કે પનીર જેવી સમૃદ્ધ સામગ્રીને અને મિષ્ટાન્નમાં ખીરને સ્થાન મળે.

આવાં સત્તાવાર જમણ ઉપરાંત અમુક સિનિયર વિદ્યાર્થીઓ ફ્રેશરને  કેમ્પસની બહાર આવેલાં બજારમાં જે ઢાબાંઓ હતાં ત્યાં પણ પાર્ટી આપે. આ પાર્ટીઓનું મુખ્ય આકર્ષણ મસાલેદાર માંસાહારી વાનગીઓ અને મદ્યપાન હોય. આવી પાર્ટીઓની વધારે વિગત સ્મરણયાત્રામાં શિક્ષણેતર પ્રવૃતિઓની વાત કરતી વખતે કરીશું .

વિદ્યાર્થી પરિષદ ચુંટણી 

પ્રમુખ પદ, જુદી જુદી ક્લબના મુખ્ય કર્તાહર્તાની પસંદગી જેવી ચુંટણી માટેની બહુ જ કાચી રૂપરેખા આમ તો આગલાં વર્ષના અંતમાં જ અવિધિસર રીતે તો વિચારાઈ ગઈ હોય. સમેસ્ટર ચાલુ થતાંવેંત એ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવે.બીજાં અઠવાડીયામાં ચુંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત થાય એટલે પ્રમુખપદના ઉમેદવારની આગેવાની હેઠળ પ્રચારનાં કામને ગતિ મળે. પહેલાં અઠવાડીયાનાં રેગિંગ દરમ્યાન ફ્રેશર વિદ્યાર્થીઓ જોડે થતા સંપર્કને ઉમેદવારો પોતાના મતદારો તરીકે તેમના પ્ક્ષમાં કરવાનો લાભ પણ ઉઠાવે. એમાંથી જે આ વર્ષે પ્રચારમાં કે ભવિષ્યની ચુંટણીઓ માટે ઉપયોગી નીવડે એવી પ્રતિભાઓ પણ ચુંટી લેવામાં મદદ મળે.

એ સમયની વિદ્યાથી પરિષદની ચુંટણીમાં બહુ ધાંધલ ધમાલ કે મસમોટા ખર્ચાઓ ન થતા. હોસ્ટેલમાં ગ્રુપ સભાઓ કે વ્યક્તિગત સંપર્ક જ પ્રચારનાં મુખ્ય સાધનો રહેતાં. કૉનોટ પ્લેસ બજાર પણ આ માટે બહુ મહત્ત્વનો મંચ બની રહેતો, પ્રચાર સાહિત્ય કે પોસ્ટર વગેરે તો કદાચ સત્તાવાર રીતે જ નિષેધ હતાં. જોકે, તેમ છતાં, ચુંટણી પ્રચાર બહુ જ કલ્પનાશીલ, સર્વાગપણે વ્યાપક અને જોશમય પણ રહેતો.

ચુંટણીનાં પરિણમો જાહેર થાય એટલે કેમ્પસની વિધિસરની અભ્યાસેતર પ્રવૃત્તિઓ પણ કાર્યરત થઈ જાય. આ વિશે વધારે વિગતવાર વાત આ સ્મરણકથામાં અભ્યાસેતર પ્રવૃતિઓની અન્ય યાદો મમળાવતાં મમળાવતાં કરીશું.

Monday, August 26, 2024

અશ્વિન શાંતિલાલ પાલખીવાળાના સંગાથનાં સંસ્મરણો

૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાત્રે નવેક વાગ્યે શ્રી એચ (હરીશભાઈ) આર શાહના ફોન દ્વારા અશ્વિનભાઈ શાંતીલાલ પાલ્ખીવાળાના દેહવિલયના સમાચાર મળ્યા. એ સામાચાર (મારાં પત્ની) સુસ્મિતાને કહેતાં કહેતાં જ અશ્વિનભાઇ સાથેના સંગાથનાં સંસ્મરણોની યાદોની ચિત્રપટ્ટી આંખ સામે તાજી થવા લાગી.

આમ તો અશ્વિનભાઇ અને એચ આર શાહની કારકિર્દી અનુપ એન્જિયરિંગ લિ. સાથે અને મારી ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ. સાથે વણાયેલી રહી હતી. એમનાં અને મારાં કાર્યક્ષેત્ર પણ વળી સાવ અલગ. એટલે નિયતિની કોઈ પૂર્વસંચિત વ્યવસ્થા વિના અમારી મુલાકાત થવી એ તો શક્ય જ ન ગણાય. અમારા પોતપોતાના કારિકિર્દીના માર્ગોના નવા વળાંક પર અમારા મિલાપના નિમિત તરીકે નિયતિએ હસુભાઈ શેઠને પસંદ કર્યા હતા. હસુભાઈ તેમનાં પોતાનાં નવા ઔદ્યોગિક સાહસોની શરૂઆત કરી રહ્યા હતા. એ નવાં એકમમાં તેઓ અમને સાથે લેવાના હતા. અશ્વિનભાઇ અને એચ આર શાહ માર્કેટિંગ અને વેચાણ સંભાળવાના હતા અને મારે એ સિવાયનાં બીજાં બધાં ક્ષેત્રો સંભાળવાનાં હતાં.

અમારી પહેલી મુલાકાત ૧૯૭૮ના પાછલા ભાગમાં થઈ. હસુભાઇ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં તેઓએ અમનેન ત્રણેયને, એક સાંજે, બોલાવ્યા હતા. હસુભાઈએ અશ્વિનભાઇ અને એચ આર શાહની અને મારી એક બીજા સાથે પહેલાં ઓળખાણ કરાવી. તે પછી, તેઓએ તેમનાં નવાં એકમનાં તેમણે વિચારેલ વ્યવસ્થા તંત્ર અને અમલીકરણની રૂપરેખાઓ વિધિપુરઃસર અમારી સમક્ષ રજૂ કરી. પહેલાં પણ અંગેની વાતચીતો તો એકબીજાંમાં થતી જ રહી હતી, એટલે અશ્વિનભાઈ અને એચ આર શાહ તો નવાં એકમમાં તેમનાં કાર્યક્ષેત્રની ભૂમિકાઓ અંગેના કરારનામાંઓ સાથે લાવ્યા હતા. બહુ સરળ શબ્દોમાં, એ કરાર મુજબ એ બન્ને નવી કંપનીમાં પરંપરાગત પગારદાર તરીકે કામ કરવાને બદલે એ કરાર મુજબ કામ કરવાના હતા. એ કરારની શરતો એવી હતી કે જ્યાં સુધી કંપનીનું વેચાણ કરાર મુજબ નક્કી કરેલાં કમીશનના અમુક લઘુતમ સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેમને અમુક નિશ્વિત રકમ વેતન સ્વરૂપે મળતી રહે.

મારા માટે નવૌદ્યોગકાર તરીકે ઉત્પાદન કે વેપારી સાહસના વિકલ્પો ઉપરાંત સેવા ક્ષેત્રનાં સાહસનો, અને તે પગભર ત્યાં સુધી વચગાળાની આવકની વ્યવસ્થાનો, આ વિકલ્પ સાવ નવો હતો.

હસુભાઈએ તેમનાં નવાં સાહસ માટે અમારા ત્રણ ઉપરાં જીએસટીના સમય દરમ્યાનના સહકર્મૉ અને સારા મિત્ર, અરૂણ જે વોરા, ને પણ આ પાયાની ટીમમાં જોડાવા આમંત્રણ આપેલું.

એ નવાં સાહસમાં જોડાયાના છએક મહિનામાં અમને એવું લાગવા લાગ્યું કે ઘણી બધી વસ્તુઓ ધાર્યા મુજબ નથી બની રહી. એ તબક્કે મને ખબર પડી એમ, આમ પણ અશ્વિનભાઈ અને એચ આર શાહ તો અનુપ છોડતી વખતે જ પોતાનું નાના પાયાનું ઉત્પાદન એકમ શરૂ કરવાનું વિચારીને જ આવ્યા હતા. પરંતુ, હવે જે મુજબ પરિસ્થિતી વિકસતી જતી હતી, તેને કારણે એ લોકોની એ યોજના પહેલાં વિચાર્યું હશે તે કરતાં વહેલી અમલમાં મુકવા અંગે તેઓ સક્રિયપણે વિચાર કરવા લાગ્યા.

આજે એ બધી ઘટનાઓ વાગોળતાં એમ લાગે છે કે અમારૂં એક જ કારમાં દરરોજ ફેક્ટરીએ જવું પણ નિયતિની ચોપાટની જ એક રમત હતી. અમને એ સમય જે સાથે મળતો તેમાં અમારી કારકિર્દી અંગેની પોતપોતાની વિચારણાઓ સહિતના અનેક વિષયો વિષે અમે ચર્ચા કરતા. તેનું એક પરિણામ તો એ આવ્યું કે અમે એકબીજાને સારી પેઠે સમજવા લાગ્યા હતા. ઘણી વાર એ ચર્ચાઓ ફેક્ટરી પહોંચ્યા પછી પણ આગળ ચાલતી. એવી એક ચર્ચા દરમ્યાન અશ્વિનભાઇ અને એચ આર શાહે બહુ ઉદાર મનથી એક પ્રસ્તાવ મુક્યો કે હું અને અરૂણ જે વોરા પણ એમનાં નવાં સાહસમાં જોડાઈએ. એ નવાં એકમનું આગળ જતાં એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે નામાભિધાન થયું.

હસુભાઈ સાથેની સહકાર્યની યોજનાની શકય લાગી રહેલી નિષ્ફળતાને પરિણામે પ્રોફેશનલ મૅનેજરમાંથી પ્રોફેશનલ નવૌદ્યોગકાર બનવાની મારી આકાંક્ષા પણ વિલયના પંથે જ હતી. એટલે, અશ્વિનભાઇ અને એચ આર શાહનો પ્રસ્તાવ મારા માટે તો કિમિયાગરના સ્પર્શ જેવો નીવડ્યો. આગળ જતાં એરિશ સાથેના નવૌદ્યોગકાર તરીકેના મારા અનુભવો મને નવૌદ્યોગિકકારની શૈલીમાં કામ કરનાર મૅનેજરની ભૂમિકામાં મુકી આપવાના હતા.

જીએસટી સાથેના મારા અનુભવોને કારણે નવી કંપની સ્થાપવા માટેની કાયદાકીય વિધિઓ, જીઆઈડીસી એસ્ટેટમાં જમીન સંપાદન, ફેક્ટરીનાં મકાનનું બાંધકામ, લાંબા ગાળાની અને કાર્યકારી મૂડીનું વ્યવસ્થાપન જેવી બાબતોથી હું સારી રીતે પરિચિત હતો. પરંતુ મોટી કંપનીના ટેકા વગર, આપબળે, નાનાં એકમની સ્થાપના અને સફળ અમલીકરણનાં પરિમાણના અભિગમ એટલા અલગ હતા કે ઉદ્યોગ સંચાલન વિષેના મારા દૃષ્ટિકોણનું ઘડતર અહીં નવેસરથી થયું એમ કહી શકાય. આજે પાછળ દૃષ્ટિ કરીને નિહાળતાં, હું જોઈ શકું છું કે શરૂઆતના એ મુશ્કેલ દિવસોએ મારી વ્યાવસાયિક તેમ જ અંગત વિચારશૈલી તેમજ કાર્યપદ્ધતિને વધારે વ્યાપક ફલક પર કામ કરી શકવા માટે તૈયાર કરી.

એ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો પ્રસ્તુત કરૂં છું.

નવાં સાહસ માટે અમે જે આયોજન કર્યું હતું તેમાં પાંચ લાખ રૂપિયાની ઈક્વીટી અને પાંચ લાખ રૂપિયા અમારા કુટુંબ અને મિત્રોના સ્રોતોમાંથી તારણ વગરની લોન એમ દસ લાખ રૂપિયાનું યોગદાન સંસ્થાપકોની મૂડી સ્વરૂપે પ્રસ્તાવિત કરેલું. પરંતુ લાંબા ગાળાની લોન મંજુર કરતી વખતે જીએસએફસીએ તેને બદલે દસે દસ લાખ ઈક્વિટી તરીકે લાવવાની શરત મુકી. એ સમયે રૂ.. ૬૨,૫૦૦ પણ માંડ માડ લાવી શકાય એટલી મારી ક્ષમતા અમારાં મૂડી સામુહીક પ્રદાનને રૂ. ૨.૫૦ લાખ સુધી મર્યાદિત કરી રહી હતી. પરંતુ અશ્વિનભાઇએ નાણાકીય ઈજનેરીના અભિનવ માર્ગોની મદદથી, બહુ સિફતથી, એ રૂ. ૨.૫૦ લાખના અમારી મૂડીના પાયા ઉપર રૂ. ૧૦ લાખની ઈક્વિટી મૂડીની ઈમારત ખડી કરી આપી.

અમારી કપની અને અમે સાવ નવાસવા હતા. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મહત્ત્વના કાચા માલ કે કન્ઝ્યુમેબલ્સ અમને ઉધારીની કિફાયતી શરતોએ તો મળે તેમ નહોતું. એનો પણ ઉપાય પણ અશ્વિનભાઈએ તેમના થોડા ઓળખીતા વ્યાવસાયિક સંબંધીઓની નાણાકીય ક્ષમતા સાથે સાંકળીને ગોઠવી કાઢ્યો. અમારે સ્પર્ધાત્મક ભાવે રોકડેથી ખરીદી કરવી, તેની ચુકવણી પેલા મિત્રોની પેઢીઓ કરે અને અમારી ઉધારીની જરૂરિયાત મુજબ એટલા સમયનાં પૂર્વનિશ્ચિત વ્યાજને રોકડ ખરીદીની કિંમતમાં ઉમેરીને અમને એ વસ્તુઓ ફેરવેચાણ કરી આપે એવી ગોઠવણ કરવામાં આવી.

અશ્વિનભાઇ અને એચ આર શાહની જાણમાં હોય તેવા તેમ જ નવા પ્રોજેક્ટ્સના ખરીદકારો અને નિર્ણયકર્તાઓ સુધી નવી કંપની સ્થાપનાની અને તેની ઉત્પાદન ક્ષમતાઓનો માહિતીનો પ્રચાર કરવા માટે અશ્વિનભાઇએ અમારા ઉત્પાદનોનાં ક્ષેત્રની મોટી ઉત્પાદન કંપનીઓ જેવું જ ચાર પાનાની, મનીલા કવરની સાઈઝમાં વાળી શકાય એવી વિવરણ પ્રચાર સામગ્રી (Brochure) ડીઝાઈન કરાવડાવી. તેમણે છાપકામનાં ખર્ચમાં ચીવટપૂર્વકની કરકસર કરીને એ પ્રચારપુસ્તિકા અમારા જેવા ભાંખોડીયાં ભરતા નાના પાયાના ઉત્પાદકનાં ખીસ્સાંને પરવડે એવાં ખર્ચે તૈયાર કરાવડાવી લીધી. તે ઉપરાંત અમારી સિદ્ધિઓને પ્રદર્શિત કરતાં ડેસ્ક કેલેંડર, એરિશના લોગો સાથેની કી ચેઇન જેવી આનુષાંગિક પ્રચાર સામગ્રી બનાવડાવા માટે તેઓ અમને સંમત કરી લેતા.

પોતાની અને એચ આર શાહની માર્કેટિંગ કુશળતા અને અનુભવનો ઉપયોગ એરિશ પુરતો જ મર્યાદિત કરી દેવાને બદલે પ્રોસેસ પ્લાન્ટના વ્પરાશકારો દ્વારા વપરાતાં બીજાં ઉત્પાદનો અને એન્જિનિયરિંગ સેવાઓ બીજા ઉત્પાદકો વતી વેંચવાનું શક્ય બને એટલે એરિશ એન્જિનિયરિંગ અને માર્કેટિંગ સર્વીસીઝનાં નામથી કંપનીનાં જ ડિવિઝન તરીકે અલગ માધ્યમના વિચારને પણ તેમણે અમલમાં મૂક્યો.

જોકે, તેમની રચનાત્મક કલ્પનાશીલતાની સ્વપ્રેરણાનો પરિચય તો કંપનીના નામિભિધાનના તબક્કાથી જ મળી ગયો હતો. 'હરીશ'ની અંગ્રેજી જોડણીમાંથી પહેલો અક્ષર H હટાવી અને અશ્વિન, અરૂણ અને અશોક એમ બાકીના ત્રણના નામની અંગ્રેજી જોડણીના પ્રથમ અક્ષર 'A'થી બનેલાં નામ, 'એરિશ'થી કંપનીનું નામ શરૂ થાય એ તેમનું વિચારબીજ હતું.

વ્યાવસાયિક ઘટનાઓની યાદોની સાથે મને એવા કેટલીક સામાજિક પ્રસંગો પણ યાદ આવે છે જેમાં અશ્વિનભાઈ મને અને મારાં પત્ની સુસ્મિતાને સામેલ કરતા રહ્ય હતા. વ્યાવસાયિક સંબંધોની જેમ આ સામાજિક પ્રસંગોને કારણે એ સમયના ઉચ્ચ મધ્ય્મ, જૈન, વેપાર વ્યવસાય સાથે સંકળાયેલાં પરિવારના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, માન્યતાઓ અને જીવનશૈલીના પરિચયનો નવો અનુભવ થયો.

અશ્વિનભાઇ જે રીતે વિવિધ સામાજિક પ્રસગોને માટે પોતાના વ્યાવસાયિક સંબંધીઓને આમંત્રણ આપતા તેનાથી સૌ પ્રથમ તો મને એ સમજાવા લાગ્યું કે સામાજિક પ્રસંગો પણ વ્યાવસાયિક સંબંધોને વધારે મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ સમાજમાં વ્યાવસાયિક સંબંધો અને વ્યક્તિગત સામાજિક સંબંધોને ભેદરેખા પણ જે રીતે સ્પષ્ટ રહેતી તે પણ મને સમજાવા લાગ્યું હતું. થોડા વર્ષો બાદ આ સમજને ખરેખર અમલમાં મુકવાનો પ્રસંગ પણ બનવાનો હતો.

અશ્વિનભાઇ અને તેમના પરિવાર માટે નાનો મોટો દરેક સામાજિક પ્રસંગ ઉત્સવની જેમ ઉજવવાની તક બની રહેતો. દિવાળીનું પક્ષ્મીપૂજન, અઠ્ઠાઇ જેવા ધાર્મિક પ્રસંગો કે પછી કોઈની તબિયતના સમાચાર 'પૂછવા' જવું (કે પોતાને ત્યાં કોઈ માંદું હોય તો તબિયતની પૂછા કરવા આવનાર માટે વ્યવસ્થાઓ કરવી) , લગ્નપ્રસંગોએ કામકાજ પૂછવા જવાની 'બેઠકો' જેવા પ્રસંગો માટે બહુ જ ચિવટથી આયોજન કરવાં આવતું અને એ આયોજનોનો અમલ પણ એ દરેક પ્રસંગના વણલખ્યા શિષ્ટાચાર મુજબ જ કરવામાં આવતો. કયા પ્રસંગે કઈ કક્ષાના વ્યાવસાયિક સંબંધીને આમંત્રણ આપવું એ માટે પણ એક અલગ શિષ્ટાચાર રહેતો.

આ દરેક પ્રસંગની વિગતવાર યાદોને અહીં લખવા બેસવું સ્મરણાંજલિના સંદર્ભમાં બહુ ઉચિત ન ગણાય. તેમ છતાં બે પ્રસંગોનો ખાસ ઉલ્લેખ ન કરૂં તો આ અંજલિ અધુરી જ ગણાય.

કોઈ પણ સામાજિક પ્રસંગને ઉજવવાની પાલખીવાળા પરિવારની શૈલીનો પહેલો પરિચય અમને એરિશ ઈક્વિપમેન્ટની ફેક્ટરી માટેના જીઆઈડીસી એસ્ટેટ, વટવાના પ્લૉટ નં. ૪૪૯/૪૫૦ પરનાં સ્થળે ભૂમિ પૂજન સમયે થયો. અમારા ચારેયના સમગ્ર પરિવારોને આ પ્રસંગે આમંત્ર્ણ અપાયું હતું, એટલે સહેજે ૨૦ થી ૨૫ જેટલાં મહેમાનો આવેલાં. મુહુર્તનો સમય સવારનો ઠીક ઠીક વહેલો હતો. એ સમયે વટવાથી કંઈ પણ ખરીદવું હોય તો કમસે કમ છએક કિલોમીટર દૂર આવેલાં મણિનગર સુધી તો જવું જ પડે. આવી વિપરિત જણાતી પરિસ્થિતિમાં પણ તેઓએ ભૂમિ પૂજન માટે સંપૂર્ણ વિધિપુરઃસરની વિધિ માટે બધી જ તૈયારીઓ બિલકુલ સમયસર કરી જ લીધી હતી. એટલું જ પુરતું ન હોય તેમ, વિધિ પુરી થયા પછી ગરમા ગરમ ફાફડા અને જલેબીનો નાસ્તો પણ હતો. તે ઉપરાંત સાથે જે ચા હતી તે પણ વરાળ નીકળતી ગરમ હતી.

એવો એક બીજો પ્રસંગ હતો અશ્વિનભાઇએ ગોઠવેલ ત્રણ દિવસની અંબાજી - આબુનૉ પિકનિક. એ પિકનિકમ્માં મિનાક્ષી ભાભી, નીમુભાભી, અશ્વિનીભાભી અને સુસ્મિતા (અનુક્રમે અશ્વિનભાઈ, એચ આર શાહ, અરૂણ વોરા અને મારાં પત્નીઑ) અને દરેકનાં સંતાનો પણ સામેલ થયાં હતાં. ચારેય પત્નીઓએ મળીને અમદાવાદમાં મળતા અનેકવિધ નાસ્તો સાથે લઈ લેવાનું બહુ જ આયોજિત ખરીદી અભિયાન છેડી દીધેલ હતુ. નાસ્તાની દરેક આઈટેમ બહુ રસ અને સૂઝથી પસંદ કરાઈ હતી અને અમદાવાદમાં તેને માટે જે શ્રેષ્ઠ જગ્યા કહેવાય ત્યાંથી જ ખરીદવમાં આવેલ. જતી વખતે મહુડી અને દેલવાડાનાં જૈન ધર્મસ્થાનોમાં આવેલ મંદિરોની મુલાકાત પણ આવરી લેવામાં આવી હતી. એ ધર્મસ્થાનો મારી એ પહેલવહેલી મુલાકાત હતી. ખેડબ્રહ્માનાં મંદિરને પણ ચુકાયું નહોતું.

વ્યાવસાયિક અને અંગત સંબંધો આટલી ચીવટથી કેળવાતા હતા તેમ છતાં એરિશના આગળના વિકાસ બાબતે અશ્વિનભાઈઅને અમારા (એચ આર શાહ અને હું) દૃષ્ટિકોણ અલગ એટલો પડી ગયો કે ૧૯૮૮ની આસપાસ અશ્વિનભાઈ અમારાથી અલગ થઈ ગયા !

એ પછી તો કંઈ કેટલાંય પરિવર્તનો થતાં ગયાં, પણ આજે મનમાં ઊંડે ઊડે એક સવાલ થાય છે - જો અમારા માર્ગ અલગ ન થયા હોત તો, અમારાં સામુહિક વ્યાવસાયિક તેમ જ દરેકનાં અંગત જીવન કેવાં હોત !