Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Sunday, August 17, 2025

જગદીશ પરીખ તેમના BITSના ૧૯૭૩-૧૯૭૫ના સમય દરમ્યાનના રાજસ્થાનની ડિસેમ્બર મહિનાની ઠંડીના પરચાને યાદ કરે છે.

જગદીશ પરીખ મારા એલ ડી એન્જિનિયરિંગના સહપાઠી અને મિત્ર છે. બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી યાદોનાં 'શિયાળાની હાડ સોંસરવી ટાઢ' પરનું વૃતાંત વાંચીને તેમને પણ ૧૯૭૩ - ૧૯૭૫ દરમ્યાન તેમના બીઆઈટીએસના રહેવાસના સમય દરમ્યાન ત્યાંની ઠંડીનો થયેલો સાવ અકલ્પ્ય પરચો યાદ આવી ગયો.

એ ઘટનાના વર્ણન સાથે જગદીશ પરીખ તેમની અન્ય યાદો પણ અહીં રજૂ કરે છે.....


૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પુરું કર્યા પછી, મેં ૧૯૭૨માં BITS પિલાની રાજસ્થાનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે જવાનું નક્કી કર્યું. તે સમયે હું જે નોકરી કરી રહ્યો હતો તે મને ખૂબ જ જણાતી હતી, એટલે લગભગ અચાનક જ કહી શકાય એમ  મને લાગ્યું કે મારે આગળ અભ્યાસ કરવો જોઈએ. જોકે આજ સુધી હું સમજી શક્યો નથી કે જ્યાં પહોંચવું થોડું મુશ્કેલ હતું એવાં દુરનાં કહી શકાય એવાં પિલાની જેવાં સ્થળે અભ્યાસ કરવા કેમ ગયો.  જો મને બરાબર યાદ હોય તો તેમાં કેટલીક પ્રવેશ પરીક્ષા આપવી પડી હતી. પરંતુ, એકંદરે, BITS માં, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં બહુ મુશ્કેલી ન પડી.

તે સમયે મિકેનિકલ શાખાના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અમારા વર્ગમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હતા. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવાનો અને ગુજરાતની બહાર કોઈ જગ્યાએ ભણવા જવાનો આ મારો પહેલો અનુભવ હતો. તેથી શરૂઆતના દિવસોમાં થોડો ડર રહેતો હતો. પરંતુ ધીમે ધીમે, હું વર્ગખંડનાં અને છાત્રાલયનાં સારા વાતાવરણ સાથે અનુકૂલન કરી શક્યો. અહીં જે અભ્યાસક્રમો હતા તે ગ્રેજ્યુએશન દરમિયાનના અમારા ભ્યાસક્અક્રમો કરતાં ખાસ્સા જૂદા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે BITS ના અભ્યાસક્રમો અમેરિકા સ્થિત કેટલીક યુનિવર્સિટીઓ સાથે સુસંગત હોવાને કારણે આધુનિક પણ હતા. જો કોઈ ખાસ વિકલ્પ તરીકે પસંંદ કરે તો ઓપરેશન્સ રિસર્ચ જેવા વિષયો વાસ્તવિક જીવનની એન્જિનિયરિંગ / અન્ય પ્રકારની સમસ્યાઓ ઉકેલવા માટે બહુ વ્યવહારુ અભિગમ શીખવાડતા હતા.  તે ઉપરાંત, ઈલાસ્ટિસીટી અને પ્લાસ્ટિસિટીના સિદ્ધાંત, એડવાન્સ્ડ હીટ ટ્રાંસફર, કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરીંગ વગેરે જેવા પરંપરાગત કહી શકાય એવા કેટલાક અન્ય વિષયો પણ હતા. શરૂઆતમાં આ વિષયો શીખવામાં થોડું મુશ્કેલ લાગ્યું પરંતુ ધીમે ધીમે ફાવી ગયું.

વિદ્યાર્થીઓની હડતાળ

૧૯૭૩ ના પ્રથમ સેમેસ્ટરના અંતમાં, પોતાની કેટલીક માગણીઓના ટેકામાં વિદ્યાર્થીઓ દ્વારા મોટી હડતાળ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંઘ દ્વારા મૅનેજમૅન્ટ પાસે આ  માંગણીઓ પૂરી કરવા માટેનાં દબાણ સામે સંસ્થાના ડાયરેક્ટર પણ  મોટાભાગની માંગણીઓ પર આટલી સરળતાથી ઝૂકવા તૈયાર નહોતા. અભ્યાસ કાર્ય તો સાવ સ્થગિત કરવામાં આવ્યું હતું. અમારા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તે હડતાળને અનુસરવામાં બહુ સક્રિય નહોતા, પરંતુ બાકીના વિદ્યાર્થીઓની સામે જઈને અભ્યાસ શરૂ કરી શકે તેવો કોઈ રસ્તો પણ નહોતો.  આ સંજોગોમાં અમને એમ જણાતું હતું કે હડતાળ ખૂબ લાંબી ચાલશે. સમય પસાર કરવા, અમે પત્તા વગેરે રમતા. મેસ અને કેમ્પસની અન્ય સુવિધાઓ ચાલુ હતી એટલે રોજબરોજ જીવન વ્યવસ્થા બાબતે બીજી કોઈ સમસ્યા નહોતી.

નાસી છૂટવાની યોજના

અમારામાંથી મોટાભાગના લોકો જે હડતાળમાં બિલકુલ સક્રિય નહોતા, તેઓ હડતાળ પૂરી થાય ત્યાં સુધી તેમના માતાપિતા સાથે રહેવા માટે કેમ્પસ છોડીને તેમના વતન જવા માંગતા હતા. પરંતુ, જો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે કેમ્પસ છોડીને જતા રહે તો હડતાળ તુટી પડે એવી માન્યતા અનુસારવિદ્યાર્થી સંઘ દ્વારા કેમ્પસ છોડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એક મહિનાથી વધુ સમય આમ ને આમ જ પસાર થઈ ગયો, પણ હડતાળનો અંત નજીક દેખતો નહતો. એટલેઅમે, થોડા ગુજરાતીઓના કે જૂથે, એક પછી કેંમ્પસમાંથી બહાર જવા માટેની, વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિઓની જલદી નજરે ન ચડે એવી, જગ્યાએથી ગુપ્ત રીતે કેમ્પસ છોડીને નાસી જવાનું વિચાર્યું.

અમે સાંજે પાંચ વાગ્યે નીકળીને કેમ્પસથી એક કિલોમીટર દૂર એક જગ્યાએ ભેગા થવાનું આયોજન કર્યું. ત્યાં બધા ભેગા થઈએ એટલે રણ જેવા પ્રદેશમાં થોડું ચાલી નાખીએ તો બસ પકડીને  બીજા દિવસે સવારે અમે અમદાવાદ તરફ જતી ટ્રેન પકડી શકીએ એવાં સ્થળે પહોંચી શકીશું એવી અમારી ગણતરી હતી.  અમારે ખાસ્સું લાંબું ચાલવું પડે એમ હતું એટલે શરીરે જેટલાં વીંટાળી શકાય  એટલાં ગરમ કપડાં પહેર્યા સિવાય અમે વધારે સામાન સાથે નહોતો રાખ્યો. ખીસ્સામાં વાટખર્ચી પુરતા પૈસા રાખ્યા હતા. અમે રસ્તામાં કંઈ ખાઈ લઈ શકાય એવું પણ સાથે નહોતું રાખ્યું. અમે લગભગ ૧૦ ગુજ્જુઓ હતા. ડિસેમ્બર મહિનાની સાંજના છએક વાગ્યે અમે ચાલવાનું શરૂ કર્યું.

યોજના નિષ્ફળ ગઈ

એકાદ કલાક ચાલ્યા પછી અમે થાકવા લાગ્યા. હવે અંધારું પણ થઈ ગયું. ધીમે ધીમે બધાને ખ્યાલ આવવા લાગ્યો કે આપણે જે જગ્યાએ પહોંચવા માગતા હતા એ રસ્તો તો આપણે ચુકી ગયા છીએ. કોઈને ખબર નહોતી પડતી કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ! રાત્રે આઠ સાડા આઠ વાગી ગયા. અમે બધા હવે એટલા ડરી ગયા હતા કે જો આપણને આશ્રયસ્થાનમાં સૂવાની જગ્યા નહીં મળે તો આપણે આવી કડકડતી ઠંડીમાં રાત કેમ કરી કાઢી શકીશું. હવે તો અમને ભૂખ પણ લાગવા લાગી હતી. પરિણામે પુરતું વિચાર્યા વગર નીકળી પડવા માટે અમે લોકો એકબીજાને દોષ આપવા લાગ્યા. અમારાં જૂથની જેઓ નેતાગીરીમાં હતા તેમના પર તો બધા તૂટી જ પડ્યા. 

રાતનું તાપમાન તો ૨ સે. જેટલું થઈ જતું હતું. એટલે જો કોઇ આશ્રયસ્થાને પહોંચ્યા વિના ચાલવાનું બંધ કરી દઈએ તો આ કાતિલ ઠંડીમાં શું હાલ થઈ શકે એ વિશે બીહામણા વિચારો અમરા મનમાં આવવા ગાયા હતા.  જોકે ચાલતા રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.  સદનસીબે, એકાદ કિલોમીટર જેટલું આગળ ગયા હશું ત્યાં અમારામાંના  એકે  સો દોઢસો મીટર દૂર ઝાંખો પ્રકાશ જોયો. અમારામાં થોડા હોશ આવ્યા. અમે બધા તે દિશામાં ચાલવા લાગ્યા.  અમને હવે એક જ આશા હતી કે એ જગ્યાએ કોઈ રહેતું અને અને  અમને મદદ મળી જાય તો બચી શકીશું. 

અમે એ જગ્યાએ પહોંચયા ત્યારે રાતના નવેક વાગ્યા હશે. બાર પંદર કિલોમીટર પછી અમારી જે વલે થઈ ગઈ હતી તે જોઈને જ ત્યાં રહેતાં ખેડૂત પરિવારને અમારા પર દયા આવી જ ગઈ હશે. અમે જ્યારે જણાવ્યું કે અમે પિલાની કોલેજના વિદ્યાર્થીઓ છીએ અને અમદાવાદની ટ્રેન પકડવા માટે નીકળ્યા પછી રસ્તો ભુલી ગયા છીએ, તેથી તેઓએ અમારી સાથે બહુ જ સારો વ્યવહાર કર્યો. અમને ગરમ ગરમ ખાવાનું બનાવી આપ્યું અને બધાં વચ્ચે ઓઢવાનું થોડાં ગરમ ધાબળા વગેરે આપીને સુવાની વ્યવસ્થા કરી આપી. મને નથી લાગતું કે તે સમયે અમારામાંથી કોઈને પણ આજની રાત બચી ગયા તે સિવાય બીજી કોઈ વાતની ચિંતા કરવાની પરવા હતી ! બીજા દિવસે સવારે, અમને ચા અને નાસ્તો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે જે સ્થળે હતા તે અમે જ્યાં જવા માગતા હતા તેનાથી બહુ દૂર હતું. પણ એ દિવસે સાંજે જ કોલેજમાં હડતાલ  સમાપ્ત થઈ ગઈ હતી. અમને ત્યારે સમજાયું કે વિદ્યા સંસ્થા તરીકે પિલાનીનું આસપાસનાં લોકોમાં કેટલું  સન્માનીય સ્થાન હશે. હડતાલ સમાપ્ત થયાના સમાચાર આ લોકોને પણ સાંજે જ મળી ગયા હતા.

અમે લોકોએ એમનો આભાર માન્યો અને બસ પકડીને પાછા કેમ્પસ પહોંયા. અમારી મુર્ખામીની વાત સાંભળીને હૉસ્ટેલના બીજા મિત્રોએ અમારી પેટ ભરીને ઠેકડી ઉડાવી. કદાચ, અમારા નિષ્ફળ પરાક્રમ(!)ના સમાચાર આખી ઈન્સ્ટિટ્યુટમાં ફેલાઈ ગયા હશે. હડતાળ સમાપ્ત કરવાનાં સમાધાન અનવ્યે  સંસ્થાના બધા વિદ્યાર્થીઓને તેમના વતન જવાની મંજૂરી આપવામાં આવી.  એ જ  રાત્રે અમે ફરીથી અમારા સામાન વગેરે સાથે કેમ્પસના અધિકૃત ગેટ દ્વારા બસ સ્ટેશન જવા માટે રવાના થયા.

મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ હતો જ્યારે મને લાગ્યું કે, જાણે અમે બધા બીજા દિવસેની સવાર નહીં જોઈ શકીએ.

એક સુખદ યાદ

આ દુઃખદ યાદની સામે એક બીજી સુખદ યાદ પણ છે. અમારા જૂથના પાંચ મિત્રોના જન્મદિવસ અગિયાર દિવસના ગાળામાં જ આવી જતા હતા. સૌથી પહેલો જન્મ દિવસ ૩૦ ઓગસ્ટના પડતો અને છેલ્લો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરના ! આ જન્મદિવસોની ઉજવણી અમે (કેમ્પસના) કૉનૉટ પ્લેસ બજારમાં જઈ એકએક રસ મલાઈ ખાઈને કરતા. આમ તે અગિયાર દિવસમાં અમે પાંચ વખત રાસ મલાઈ ખાતા હતા.

રમત ગમત

કેમ્પસમાં અમે જે રમતો રમતા હતા તેમાં ક્રિકેટ, બ્રિજ અને ચેસ મુખ્ય હતી . હું અમારા જૂથના મિત્રોને સારી રીતે બ્રિજ રમવાનું શીખવતો હતો  લોકોને મારી પાસેથી બ્રિજ રમવાનું શીખવાનું ખૂબ ગમતું હતું. ચેસ રમવામાં મારી પહેલેથી જ સારી ફાવટ હતી. નિયમિત રીતે આંતર હોસ્ટેલની ચેસ ટુર્નામેન્ટમાં હું જીતતો હતો. 

પ્રેક્ટિસ સ્કૂલ

અભ્યાસક્રમના ભાગ રૂપે અમારે ત્રણ સેમેસ્ટર કેમ્પસમાં ભણ્યા પછી  ચોથા સેમેસ્ટરમાં, કોઈ એક ઔદ્યોગિક સાહસમાં પ્રાયોગિક અનુભવનું વ્યવહારૂ જ્ઞાન લેવાનું હતું. આ વ્યવસ્થાને પ્રેક્ટિસ સ્કૂલ કહેવામાં આવતી હતી. અમને રેનુકૂટ સ્થિત બિરલા ગ્રૂપના એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સના પ્લાન્ટમાં મોકલવામાં આવ્યા. આ એકમ હિન્ડાલ્કોની એક પ્રશાખા હતી. રેનુકૂટ એક હિલ સ્ટેશન જેવું સ્થળ હતું જ્યાં મનોહર કુદરતી સૌંદર્ય ભર્યું હતું. રહેવા માટે અમને કંપનીના ગેસ્ટ હાઉસમાં સગવડ કરી અપાઈ હતી. કુદરતી સૌંદર્યમાં ફરવાનું ગેસ્ટ હાઉસનું સ્વાદિષ્ટ ખાવાપીવાનું મળવાની ઉપરાંત સ્ટાફ ક્લબમાં પણ અનેક પ્રવૃતિઓની મજા અમે માણી. હિન્ડાલ્કોના સ્ટાફના પરિવારો ક્લબમાં તહેવારો ઉજવતા  તેમાં અમને પણ શામેલ કરાતા. આમ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિના ત્યાં રહેવાનો અમે ખરેખર આનંદ માણ્યો. 

Sunday, August 3, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - ઔપચારિક શિક્ષણનો અધ્યાય પણ પૂરો થયો

 

ઔપચારિક શિક્ષણનાં અઢાર વર્ષ પૈકી પિલાણીનાં બે વર્ષ બહુ મોટો સમયગાળો કહેવાય એટલી ઝડપથી પલક ઝપકતાં પૂરાં થઈ ગયાં.

જોકે, આજે પાછળ વળીને જોતાં જણાય છે કે પિલણીના રહેવાસનો એકેએક દિવસ અને એકેએક ઘટનાઓ ખુબ જીવંત, રસપ્રદ અને અનુભવના ભાથાંમાં ઉમેરો કરતાં રહ્યાં. દરેક તબક્કે મારા સહપાઠીઓ અને પ્રોફેસરો સાથેના સહેવાસનો પણ ઘણો પ્રભાવ પડ્યો. સ્વાભાવિક છે કે સમયે બધાંનો મારાં વ્યક્તિત્વ પર જે કંઈ અસરો પડી હશે તે ધ્યાન પર આવે. પરંતુ, પ્રાથમિક કારકિર્દીનાં પછીનાં આડત્રીસ વર્ષ દરમ્યાન બધા અનુભવોના બોધપાઠ ખુબ કામ આવ્યા. જોકે પણ સ્વીકારવું રહ્યું કે જીવનને તબક્કે હવે બધાં યોગદાનોનું મહત્વ માત્ર યાદગીરીઓનાં દસ્તાવેજીકરણથી વધારે નથી જણાતું.

ક્દાચ એટલે જે એલ ડીના અને પિલાણીના દિવસો વિશે જે કંઈ લખાતું ગયું તેમાં યાદગીરીઓની અસરોનાં વિશ્લેષણને બદલે યાદો મુખ્ય પ્રવાહમાં રહી. આમ પણ તાજેતરના ભૂતકાળમાંથી વર્તમાન અને ભવિષ્યના બોધપાઠો શીખવાનું શક્ય છે, પણ તેને ઇતિહાસ તરીકે મુલવવા માટે જે તટસ્થ સાક્ષીભાવ કેળવવો જોઈએ તે માટે સમયનો મોટો અંતરાલ હોવો જોઈએ.

એટલે, ઔપચારિક શિક્ષણના બે મહત્વના તબક્કઓના આધ્યાય પર પરદો પાડતી વખતે મૅનેજમૅન્ટ સ્ટડીઝના વિભાગીય વડા ડૉ. એસ કે પોરવાલે લખેલા ભવિષ્યવાણી સ્વરૂપ સંદેશાને અહીં ટાંકીશઃ

गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता: ||

સમજુ લોકો જીવતાં કે મૃત્યુ પામેલાં લોકોનો અફસોસ નથી કરતાં

ભગવદ્‍ ગીતા .૧૧

+                                  +_                                +


યાદગીરીની સફરમાં મારા સહપાઠીઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર મળ્યો છે તે બદલ હું તેમનો આભારી છું.

મારા મિત્ર દિલીપ વ્યાસે બ્લોગ પર પ્રકાશન સમયે દરેક હપ્તા વિશે જે આત્મીયતાથી પ્રતિભાવો આપ્યા છે તેનો આભાર તો શબ્દોમાં માની શકાય તેમ નથી.


                   +                                  +_                                + 

હાયપર લિંક પર ક્લિક કરવાથી BITS, પિલાણી - વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - મને કેમ વિસરે રે…. - ના અલગ અલગ હપ્તાઓ એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે. 

Thursday, April 3, 2025

મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ, આજે પરમ શાંતિના પંથે પ્રયાણ માડે છે, ત્યારે .....

 

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫, મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ (૧૩-૫-૧૯૩૩ | ૨૨-૩-૨૦૨૫), ના દેહાવસાન પછી તેરમો દિવસ છે. હિન્દુ પરંપરા પ્રમાણે, "તેરમું" એ અંત્યેષ્ટિ સંસ્કારનું અંતિમ સીમાચિહ્ન છે. એમ મનાય છે કે એ દિવસે આત્મા તેનાં નશ્વર બંધનો અતિક્રમીને પિતૃલોકનાં આધ્યાત્મિક ક્ષેત્ર તરફની પરમશાંતિની યાત્રા શરૂ કરે છે.

પાછળ દૃષ્ટિ કરતાંમારું મન મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ) વૈષ્ણવ,ની આખરી રાત, ૧૮ ડિસેમ્બર ૧૯૮૩, ની યાદથી ભરાઈ જાય છે.

તે અવિસ્મરણીય ચોવીસ કલાક ……

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજની તે સાંજે, સુસ્મિતાને પાલનપુરથી ફોન આવ્યો. મારા પિતાના સહકર્મી શ્રી ધ્રુવભાઈ છાયા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા), એ જાણ કરી હતી કે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે, અને તેઓ તેમને અમદાવાદના ઉસ્માનપુરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.[1] સુસ્મિતાએ તાત્કાલિક અમારી ફેક્ટરી, ઍરીશ ઇક્વિપમેન્ટ, વટવા,એ મને જાણ કરી.

હું ઘરે પહોંચું તે પહેલાં, સુસ્મિતા  અમારા અઢી વર્ષના પુત્ર, તાદાત્મ્ય,ને, નજદીકમાં રહેતા અમારા મોટા પિતરાઈ ભાઈ, સુધાકરભાઈના ઘરે લઈ ગઈ અને તેમને ઘટનાની જાણ કરી. તેથી, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ પણ અમારે ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ અમારું પહેલું કાર્ય, અમારા પરિવારના પરિચિતો, પડોશીઓ તેમ જ મિત્રો એવા, ડૉ. અશોકભાઈ દેસાઈ અને ડૉ. બંકિમ માંકડ, નો સંપર્ક કરવાનું હતું. બંને ડૉક્ટર મિત્રો પહેલેથી જ સિવિલ હોસ્પિટલ, આસારવામાં સિનિયર ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી, તેમણે અમને ત્યાં પહોંચવાની સલાહ આપી. તેમણે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બધી વ્યવસ્થા કરી. પછી, હું અને સુધાકરભાઈ મારા પિતાને લઈ આવનારી એમ્બ્યુલન્સ જ્યાં પહોંચવાની હતી તે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સના આવવાની રાહ જોવા લાગ્યા. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતાની સાથે જ, અમે તેમને અમારી સાથે સિવિલ હોસ્પિટલ પહોંચવાનો નિર્દેશ આપ્યો.

અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં, રાતના ૧૧ વાગ્યા પછીનો સમય થયો હતો. મારા પિતાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય લાગ્યો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને એક ટીમની સતત દેખરેખ એક હેઠળ રાખવામાં આવશે, એ ટીમની આગેવાની  એક ખૂબ જ યુવાન કાર્ડિયોલોજિસ્ટ (જો મને બરાબર યાદ હોય તો ડૉ. પુરેન્દ્ર પટેલ હતા) કરી રહ્યા હતા. બીજી પંદર વીસ મિનિટમાં પછીથી કંઈ પણ અનિચ્છનીય બને ત્યારે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ટીંમ સંપૂર્ણપણે સજ્જ હતી.

આ દરમિયાન, ધ્રુવભાઈએ અમને જાણ કરી કે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે, મારા પિતા દાંતીવાડા કેમ્પસના ગુજરાત કૃષિ યુનિવર્સિટી (જીએયુ) સ્થિત તેમના ઘરે લંચ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. મારી માતાએ મદદ માટે ઓફિસને જાણ કરી. સ્ટાફના સભ્યો જીએયુ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સાથે દોડી ગયા. હૃદયરોગનો હુમલો હોવાનું નિદાન થતાં, પ્રાથમિક સારવાર  આપ્યા પછી, તેમને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના લોહીમાં એક 'ગઠ્ઠો' તરતો હતો, જેના કારણે હૃદયરોગના હુમલાના આ લક્ષણો જોવા મળ્યા. જો 'ગઠ્ઠો' હૃદય સુધી પહોંચે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. પાલનપુર હોસ્પિટલે વધુ સારવાર આપવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપી.

આટલી વાત થઈ એ દરમ્યાન આગળની કાર્યવાહીનો ક્રમ નક્કી થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે મારી માતા અને સુસ્મિતાએ ઘરે જવું જોઈએ અને બીજા દિવસે સવારે બપોરના ભોજન પછી પાછા આવવું જોઈએ. ધ્રુવભાઈ છાયાએ તેમને અમારા ઘરે મૂકવાનું નક્કી કર્યું. હું અને સુધાકરભાઈ હવે હોસ્પિટલમાં હાજર હતા. મારા પિતાએ સુધાકરભાઈને પલંગની બાજુમાં થોડા કલાકો સૂવા માટે સમજાવ્યા. અમે રાત્રિની ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલીક પ્રાથમિક સહાયક વસ્તુઓ સાથે લાવ્યા હતા. તેમની મદદથી, સુધાકરભાઈએ અડધી ઊંઘ અને અડધી જાગતી અવસ્થામાં તેમની પીઠને હળવી કરવાનો પ્રયાસ કર્યો. હું મારા પિતાની બાજુમાં બેઠો.

તે પછી મારા પિતાએ ખુલીને એમની ચિંતાઓ અને સૂચનાઓ મને જણાવવાનું કરવાનું શરૂ કર્યું. તેઓ ૧ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ જ નિવૃત્ત થયા હતા, તેથી તેમણે તેમના સર્વિસ રેકોર્ડ, હાઉસિંગ લોન સંબંધિત દસ્તાવેજો ક્યાં છે તે બધું મને જણાવ્યું. તેમણે પેન્શનની સંભવિત રકમ (અથવા જો તેઓ આ હુમલામાં બચી ન જાય તો મારી માતાને ફેમિલી પેન્શન), દાંતીવાડામાં તેમના બેંક ખાતાની વિગતો વગેરે વિશે પણ માહિતી આપી.
મારા ભવિષ્યની ચિંતા
મારા પિતાની સૌથી મોટી ચિંતા મારા ભવિષ્યની હતી. તેઓ બહુ સરળ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. મારા પહેલાની અમારી બધી પેઢી સરકારી સેવામાં હતી. અમારા સમુદાયમાં સ્વીકૃત ધોરણ હતું કે જે કોઈ પણ સરકારી સેવામાં જોડાય છે તે તે સેવામાંથી પણ નિવૃત્ત થાય છે. હું ખાનગી ક્ષેત્રમાં જોડાનારો પહેલો વ્યક્તિ હતો. તેથી, તેમને ખાનગી ક્ષેત્રમાં નોકરીની અસલામતીનો સ્વાભાવિક ખયાલ હતો. જોકે, ૧૯૭૩ થી ૧૯૭૯ સુધી, જેમ જેમ મેં મારા પ્રથમ નોકરીદાતા ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ, અમદાવાદ સાથે મારી કારકિર્દીમાં પ્રગતિ કરી, તેમ તેમ તેમની ચિંતાઓ, લગભગ ઓછી થઈ ગઈ. તે સમયે જ મેં, ત્રણ અન્ય મિત્રોની સાથેઅમદાવાદના વટવા ખાતે એક નાના પાયે ઉત્પાદન એકમ, આરીશ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ., શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, તેમના મનના ઊંડાણમાં, શાંતિ ફરી ખલેલ પહોંચાડી. એક સરકારી કર્મચારી તરીકે, તેમને માત્ર નોકરીની ખાતરી જ નહીં, પણ કાર્યસ્થળ પરના રોજિંદા કામ માટે પણ ખાતરી રહેતી હતી. તેમની ચિંતામાં વધારો કરવા માટે, અમે ઘણા લાંબા સમય સુધી કામ આપતા રહે એવા મૂડીગત માલનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ આ સાહસની સફળતાના દૃષ્ટિકોણથી મારા ભવિષ્યની સુરક્ષા બાબતે ફક્ત નજીકના ભવિષ્યમાં આજીવિકાના પૂરતા સ્ત્રોત તરીકે નહીં, પરંતુ અમારા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટેનો લાંબા ગાળાના સ્ત્રોત બાબતે પણ તેઓ પણ ચિંતિત હતા.

તે રાત્રે, તેમણે પહેલી વાર પોતાની ચિંતાઓ સ્પષ્ટપણે શબ્દોમાં વ્યક્ત કરી. જોકે, તેમણે નિષ્કર્ષમાં એમ પણ જણાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા અને તેમાંથી બહાર આવવાની મારી ક્ષમતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. તેથી તેમણે મને ખાતરી આપી કે તેઓ મારા વિશે થોડો ઉચાટ અનુભવતા રહ્યા છે પણ આ ક્ષણે હવે તેઓ ચિંતિત નથી.

અમારી ચર્ચાઓ ખૂબ મોડી રાત સુધી ચાલતી રહી હતી. તેથી, તેમને થોડી ઊંઘ લેવામેં વિનંતી કરી. પરંતુ, તેમણે કહ્યું કે પોતાનું મન આટલું ખાલી કરી દીધા પછી તેઓ હવે જે કંઈ થશે તેનો સામનો કરવા માટે તૈયાર હતા., છતાં તેમના અંગત પરિવારના વડા તરીકે, તેમજ તેમના પિતાના બૃહદ પરિવારના વડા તરીકે તેમના ત્રણ અધૂરા કાર્યો તેઓ મને સોંપવા માગતા હતા.
ત્રણ જવાબદારીઓ
તે પછી તેમણે મને જે ત્રણ જવાબદારીઓ સોંપી તે આ મુજબ હતી:

૧) તેમનાં માતા (મારી દાદી), રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ,ની સંભાળ રાખવામાં તેમના નાના ભાઈ, જનાર્દન વૈષ્ણવ,ની સાથે મારે ઊભા રહેવું, જેથી તેમની ગેરહાજરીમાં, માતા પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવામાં તેમના નાના ભાઈને એકલા પડી જવાતું ન લાગે;
૨) જાણે હું તેમનો પુત્ર હોઉં તેમ, તેમના નાના ભાઈ, જનાર્દન પ્રાણલાલ વૈષ્ણવ.ની સાથે મારે હંમેશા રહેવું, અને
૩) મારા અંગત મૂલ્યોને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ સંજોગોમાં મારી માતાની સંભાળ રાખવી.

૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ, મારી માતાનું અવસાન થયું, જેનાથી મને સોંપાયેલી ત્રીજી જવાબદારીમાંથી. ઔપચારિક કક્ષાએ, પણ મુક્તિ મળી.

પાદ નોંધઃ:

૧) મેં મારી અત્યાર સુધીની જિદગીમાં જોયેલી બધી જ વ્યક્તિઓમાં મારાં દાદી જેટલું પવિત્ર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમ છતાં, મારી દાદીના છેલ્લા છ મહિના ખૂબ જ પીડાદાયક હતા. મારા કાકા, જનાર્દન વૈષ્ણવ અને તેમના અંગત પરિવારે તેમની શારીરિક પીડાઓને સહ્ય કરવા માટે તે દિવસોમાં જે કંઈ કરી શકાય તે બધું જ કર્યું. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સંતોષ થાય છે કે મેં પણ મારા પિતાએ મને જે જવાબદારી સોંપી હતી તેમાં તેમણે મારી જે ભૂમિકા કલ્પી હશે તેને હું, મહદ્‍અંશે, નિભાવી શક્યો હતો.
૨) મને એ વાતનો પણ સંતોષ છે કે મેં મારા કાકા અંગે મારા પિતાએ મને જે ભૂમિકા સોંપી હતી તે હું પુરી નિષ્ઠાથી ભજવતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં તેમની અમુક માંદગી પછી તેઓ એમ માનતા કે હવે પછી તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ સારવાર ન કરાવવી, તેમની એ ઇચ્છાને માન આપીને તેમના છેલ્લા દિવસોમાં, મારા પોતાના મૂલ્યો અને 'મારી' ફરજો નિભાવવાના મારાં પોતાનાં ધોરણોની વિરુદ્ધ, હું તેમની પાસે રૂબરૂ ગયો ન હતો. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, તેમ હું એવા નિષ્કર્ષ પર આવી શકતો નથી કે મેં એ જે કંઇ કર્યું તે યોગ્ય કાર્ય કર્યું હતું કે નહીં. મને નથી લાગતું કે હું ભવિષ્યમાં પણ આ બાબતે  નક્કી કરી શકીશ. તેથી, કર્મના સિદ્ધાંતમં અંગત રીતે મને બહુ શ્રદ્ધા ન હોવા છતાં, હું અંતિમ નિર્ણય કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઉં છું.
૩) આંકડાઓ નોંધ કરશે તેમ, હું મારા જીવનના ફક્ત ૩૩ વર્ષ મારા પિતા સાથે વિતાવી શક્યો. તેમની સાથેના એ અવિસ્મરણીય દિવસના છેલ્લા થોડા કલાકો સિવાય, તેમણે  સેવામાંથી નિવૃત્ત થયા પછી હું તેમની સાથે (અને તેમના માટે) કરવા માંગતો એવું કંઈ કરી, ક્યારે પણ,  શક્યો નહીં. ખેર, એનો હિસાબ પણ કર્મના સિદ્ધાંતના હાથ પર જ છોડી દઉં છું. 

મારા પિતાના અવસાન પછી, મને મારી માતા સાથે રહેવા માટે ૪૨ વર્ષ મળ્યાં. ૨૦૧૭ માં તેમના નિતંબ (ફીમર) ના બૉલની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી અમે તેમને સફળતાપૂર્વક પાર કરાવી શક્યાં અને વોકરની મદદથી તેમને ઠીક ઠીક છુટથી હરતાં ફરતાં કરતાં પણ કરી શક્યાં.
જોકે, ૨૦૨૦ના અંત સુધીમાં, તેના પગના સ્નાયુઓ એટલા નબળા પડવા લાગ્યા હતા કે તેમણે પથારી પકડી લીધી. આગામી સાડા ત્રણ વર્ષ સુધી, પથારીવશ અવસ્થામાં હવે સુધારો શક્ય નથી  એવું નક્કી થયા પછી પણ તેમની આવશ્યક દૈનિક દિનચર્યા માટે ઓછામં ઓછાની મદાદથી તેઓ કરતાં રહી શકે એમ અમે કરતાં રહી શક્યાં હતાં. જોકે, પથારીમાં જ  રહેવાની નકારાત્મક અસર તેમના શરીર પર ચિંતાજનક રીતે થવા લાગી હતી. છેલ્લા દોઢ વર્ષમાં પોતાના અસ્તિત્વ માટે તેમણે બીજા પર વધુને વધુ નિર્ભર બની રહેવું પડતું હતું. 
આ એ તબક્કો હતો જ્યારે તેમના વધતા જતા દુખાવા અને પીડાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હું સંપૂર્ણપણે લાચારી અનુભવવા લાગ્યો હતો. એક તબક્કે, કુદરતની યોજના સામે મારે માનસિક રીતે મારી હાર પણ સ્વીકારવી પડી. જોકે અમારાથી શકી હતા એ તમામ પ્રયત્નો અમે પૂરા દિલથી ચાલુ રાખ્યા પરંતુ અંતની શરૂઆતની પ્રક્રિયાને ઉલટાવી શક્યા નહીં.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન, તે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અંત ગમે ત્યારે આવી શકે છે. ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ, રોજિંદા સવારના સફાઈ વગેરેનામ તેમનાં કામકાજ પછી, અમને લાગ્યું કે કદાચ આપણે કુદરત સામેના અસ્તિત્વના યુદ્ધમાં હજુ પણ એકબે નાની જીત મેળવી શકીશું. સવારે ૧૦ વાગ્યે, તેમની આંખો અને હોઠ સંપૂર્ણપણે બંધ જણાતી હતી એવી અર્ધજાગૃત અવસ્થામાંહું તેમને અડધો ગ્લાસ પાણી પીવડાવવામાં સફળ થયો. જોકે, જ્યારે હું ૧૦.૪૫ વાગ્યે તેમને જમાડવા માટે આવ્યો, ત્યારે મને લાગ્યું કે હવે જીવન થંભી ગયું છે.. ડૉક્ટર દ્વારા અંતિમ પુષ્ટિ તે પછી માત્ર એક ઔપચારિકતા હતી.

મારી માતા પ્રત્યેની મારી ફરજ બાબતે મારા પિતાજીએ મને સોંપેલી જવાબદારીમાં હું કેટલી હદે ખરો નીવડ્યો તેનો અંતિમ નિર્ણય પણ હું કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઈશ.

પાદ પાદ નોંધઃ
૧) કિરણાબેનના પૌત્ર તાદાત્મ્ય અને પૌત્રવધુ ભૂમિકાએ આજે તેમના 'દાદું'ની સ્મૃતિને રામકૃષ્ણ મઠ, બેલુર અને સાંઈબાબા પ્રતિષ્ઠાન, શિરડીને રૂ. ૧૦૦૧નાં અંજલિસ્વરૂપ અનુદાન કર્યાં.
 ૨) કિરણાબેનની ભાણેજો, ભાનુબેન ડોલરરાય અંજારીઆની દીકરીઓ વિભા (કીરીટરામ ઓઝા) અને સાધના (કશ્યપભાઈ વૈષ્ણવ) અને ધનવિદ્યાબેન પ્રદ્યુમ્નભાઇ માંકડની દીકરી પ્રતિભા (પ્ર માંકડ)  સોમવારે  (૭ - ૪ - ૨૦૨૫ના રોજ) રાજકોટમાં. કિરણાબેનની દીકરીઓ તરીકે વંચિત બાળકોને ભોજન કરાવશે. 


[1] ધ્રુવભાઈ છાયાની ખૂબ આત્મીય શ્રદ્ધાંજલિ:
મુ. પૂજ્ય કિરણબેનના દુઃખદ અવસાન સાંભળીને દુઃખ થયું. મારા પરિવાર અને અમારા જેવા એન્ય લોકોની શોકની ઘડીમાં સંવેદનાપૂર્ણ દિલસોજી સ્વીકાર્શો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.

જ્યારે મેં દુઃખદ સમાચાર સાંભળ્યા, ત્યારે ૧૯૭૨ થી ૧૯૮૪ દરમિયાન શ્રી મહેશભાઈ અને કિરણબેન સાથેના મારા સંબંધોનું ચિત્ર મારી સામે આવે છે. સંબંધો ખૂબ પ્રેમાળ હતા.

જ્યારે હું દાંતીવાડા જતો ત્યારે તેઓ મને ગેસ્ટ હાઉસમાં લંચ કે ડિનર લેવાની મંજૂરી તેમો આપતા નહોતા. મહેશભાઈ અને કિરણબેન બંને તાદાત્મ્ય સાથે અમારા ઘરે આવતા હતા. અમારો ખૂબ ગાઢ કૌટુંબિક સંબંધ હતો. જ્યારે મહેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે હું અને કિરણબેન તેમને અમદાવાદ લાવ્યા.

મુ. કિરણબેનને પણ સુઝ હતી. મેં તેમને દાંતીવાડામાં અન્ય મહિલા સભ્યોને વિવિધ કલા અને હસ્તકલા શીખવતાં પણ જોયાં છે.

ઈશ્વરેચ્છા સ્વીઆરીને, આપણે બધું પાછળ છોડીને મીઠી યાદો સાથે આગળ વધવું જોઈએ.