Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Sunday, March 22, 2026

મારાં મા - કિરણા મહેશ વૈષ્ણવ -- ભાગ ૧ઃ ૧૯૮૩ પહેલાં

 

મારી પાસે ફોટોગ્રાફ્સનું મારી ઉમરથી પણ વધારે જૂનું એક આલ્બમ છે. એ આલ્બમમાં મારાં માના લગ્ન પહેલાંના પોટ્રેટ ફોટોગ્રાફ છે. લગ્ન પહેલાં મારાં મોસાળમાં તેઓ તેમનાં 'કિરણા' નામને બદલે 'કરમા' (પિતાઃ મૂળશંકર મકનજી છાયા અને માતાઃ ધીરજબેન)નાં નામથી ઓળખાતાં હતાં. જ્યારે અમે મોસાળ જતાં ત્યારે એ સમયકાળના બીજા પણ કેટલાય ફોટોગ્રાફસ જોતાં તે મને યાદ આવે છે.  તે સમય ૧૯૫૬ પહેલાંનો હતો. ૨૦૦૧માં કચ્છમાં આવેલા મોટા ભૂકંપ પહેલાંના એ ભૂકંપ પછી અમારી યાદો સાથે ઘણી સંકળાએલી મોસાળની ઘણી જૂની વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ૨૦૦૧ના ભૂકંપમાં તો મોસાળનું એ ઘર જ સાવ નામશેષ બની ગયું.

એ દિવસોમાં સાંજનું જમવાનું પતી જાય એટલે કુટુંબનાં બધાં સભ્યો દિવાનખંડ સમાન મોટા રૂમમાં એકઠાં થાય. એ સમયે છેડાતા વાતોના વિષયોમાં આ જૂના ફોટોગ્રાફસ્ સાથે સંકળાયેલી વાતોની ચર્ચા મંડાય. સામાન્યપણે આવાં કથાનકનું નેતૃત્વ મારા મામા. મધુમામા (મધુકાંત મૂળશંકર છાયા) કરતા. આ ફોટોગ્રાફ્સમાંના બહુ ઘણા ફોટોગ્રાફ્સ એમણે લીધેલા હતા. પરિવારના અન્ય તમામ વરિષ્ઠ સભ્યો એ વાતો સાથેની અનેક પૂરક માહિતી અને સાથે જોડાયેલી નાની નાની યાદોને તેમાં ઉમેરતાં જાય.



તે જૂના ફોટો આલ્બમનું મારું એક સ્મરણ  બેન (મારા માને અમે એ નામથી બોલાવતા) અને મહેશભાઈ (મારા પિતા) ના લગ્ન પછી પડાવાતા પરંપરાગત પોટ્રેટ ફોટોગ્રાફનું છે.



જોકે રાજકોટનાં શરૂઆતનાં વર્ષો સુધીની જે કંઈ યાદો મેં અહીં ઝીલી છે, તે બધી ક્યાં તો મારાં અવચેતન મનનાં ઊડાણમાં સંગ્રહાયેલ છે કે પછી મેં પછીથી ઘણીવાર સાંભળી છેએટલે યાદોમાં સચવાઈ છે. પણ આ બધી યાદો સાથે સંકળાયેલી મનનાં એ પડોમાં કોઈ છબીઓ હશે તો પણ આંતરચક્ષુ સામે આવી નથી રહી.

બેન સાથે, (વાળ ઉતરાવ્યા પહેલાંનો) હું

આ તસવીર વાળ ઉતરાવવાની વિધિ થાય એ પહેલાં મારા લાંબા વાળ સાથે સંકળાયેલી બેન સાથેની કદાચ મારી સૌ પહેલી યાદ કહી શકાય. મને યાદ છે કે, મને નવરાવતી વખતે જ્યારે બેન મારા વાળ ધોવાની હોય ત્યારે હું મોટેથી ભેંકડા તાણતો અને બેનની પકડમાંથી છટકીને અમારાં પડોશી રંજનફઈનાં ઘરમાં શરણ લેતો. જોકે, તે છટકબારી શાહમૃગવૃતિ જ પરવડતી, કેમકે બેન એટલી જ ઝડપથી પાછળ પાછળ આવી જતી અને, સાબુવાળા હાથેથી જ, મારી ટીંગડી પકડીને પાછી લઈ જતી અને વધારે ભારથી ઘસીને રેડાતાં પાણી સાથે પોતાનો ગુસ્સો પણ ઠાલવતી.

હું ચાર કે પાંચ વર્ષનો થયો તે પછી જ્યારે પણ બેન ઉછરંગમાસી અથવા ભાનુમાસી (એમનાં મોટાં બહેનો) ને મળવા જતી, ત્યારે હું અક્ષય અને જસ્મિન (ભાનુમાસીના પુત્રો) સાથે રમવા માટે પાછળ રોકાઈ જતો. જોતજોતામાં, હું મોટા ભાગનો સમય ભાનુમાસીના ઘરે જ કાઢવા લાગ્યો - શરૂઆતમાં બેન મુકી જતી, પણ પછીથી હું જાતે જ દોડી જતો. બપોરનું જમવાનું પતાવતાં વેંત ભાનુમાસીના ઘરે પહોંચી જવું અને સાંજે જમવાનો સમય થાય તે પહેલાં પાછા આવવું એ મારો રોજિંદો નિત્યક્રમ બની ગયો. એક દિવસ, બેન ઉછરંગમાસીના ઘરેથી પાછી આવતી હશે ત્યારે અક્ષય અને જસ્મિન જે શાળામાં ભણતા એ શાળાના શિક્ષક, શ્રી મૂળવંતરાયભાઈ વૈદ્ય, બેનને રસ્તામાં મળી ગયા. તેમણે બેનને જણાવ્યું કે અક્ષય અને જસ્મીન સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ તેમની શાળામાં ભણી રહ્યો છું, અને હવે સમય આવી ગયો છે કે મને એક સ્લેટ, પેન વગેરે અને પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી હું વિધિપુરઃસર શાળાભ્યાસમાં જોડાઈ શકું. મને યાદ નથી કે બેને આ આશ્ચર્યજનક સમાચાર કેવી રીતે લીધા હશે. પરંતુ, લગભગ બીજા જ દિવસે હું બાળશાળામાં પહેલા ધોરણનો વિદ્યાર્થી બની ગયો હતો.

મારાં પ્રાથમિક શાળાના એ અભ્યાસ ઉપરાંત, મહેશભાઈએ શરૂ કરેલ વિવિધ પ્રકારના અભ્યાસેતર વાંચન[1]ના સતત પ્રવાહે મારૂં પાયાનું ઘડતર કર્યું. 

ત્યારબાદ મારો વિકાસ સહજ કુદરતી માર્ગ પર થતો ગયો. જો કે, બે બાબતો એવી હતી જેમાં બેનનો કેડો મેં પકડી રાખો હતો. એક પ્રવૃતિ તો હતી ઉછરંગમાસીના ખુલ્લા આંગણામાં રમતી વખતે મને થતી રહેતી નાની નાની ઇજાઓ. એ એટલું સામાન્ય બની ગયું હતું કે બેને ઉછરંગમાસીના ઘરમાંજ  પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ રાખી મુકવાનું ગોઠવ્યું  અને અક્ષય/જસ્મીન અને મને વાદળી રંગની દવા લાડેલું રૂ એ ઉઝરડાઓ પર લગાડી દેવાનું શીખવી દીધું. બીજું કારણ હતું મને અવારનવાર આવી જતા મેલેરિયાના તાવનું હતું. કોઈ પણ સંકેત વિના તાવ વધી જતો હતો અને બેને બધું કામ પડતાં મુકીને મને ડૉક્ટર દેસાઈના ક્લિનિકમાં લઈ જવો પડતો. પછીથી  મુક્તાફાઈ (મારાં દાદી, મોટા અમ્માનાં બહેનનાં દિકરી) માંડવીમાં તેમનાં ઘરની બાજુમાં આવેલાં જૈન મંદિરમાંથી નિયમિતપણે કડુ કરીયાતુનો ઉકાળીને બનાવેલા કાડાના બાટલા લગભગ દર અઠવાડીયે એકના હિસાબે અમને પહૉંચાડવા લાગ્યાં અમે ભુજ છોડ્યું ત્યાં સુધીનાં ત્રણેક વર્ષો મેં કડુકરિયાતુના  બાટલાઓને બાટલાઓ પીધા અને મેલેરિયાથી છુટકારો પામ્યો.

૧૯૫૬માં બેનને અણધારી કટોકટીનો સામનો કરવો પડ્યો. મહેશભાઈને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. તીવ્ર એપેન્ડિસાઈટિસનું નિદાન થયું અને તેમને સર્જરી માટે જામનગર લઈ જવામાં આવ્યા. મને લાગે છે કે બેનના પક્ષે ઉછરંગમાસી અને મહેશભાઈના પક્ષે મોટા અમ્માના મોટા બહેનના જમાઈ ચમનલાલફુઆએ જામનગરની અમારી હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરી હતી. જામનગરમાં, બેનના પક્ષે ધનામાસી અને પ્રદ્યુમ્નભાઈ (અનુક્રમે બેનનાં મોટાંબેન અને તેમના પતિ) અને મહેશભાઈના પક્ષે, રાચીના દિવસોમાં કમલભાઈ (મહેશભાઈના મોટા ભાઈ) ના નજીકના પરિચિતો રમણિકભાઈ મંકોડી અને રિડાણી પરિવારે આ કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. મને બરાબર યાદ નથી કે ગોરાકાકા (મહેશભાઈના નાના ભાઈ) ભૂજથી અમારી સાથે જોડાયા હતા કે જામનગરમાં અમારી સાથે જોડાયા હતા.

મને આ વાત યાદ છે એટલો હું નાનો હોઈશ, એટલે કે લગભગ ૧૯૫૫થી '૫૭ - '૫૮ના વર્ષોની આ વાત છે. બેન અને મહેશભાઈના ખાસ મિત્ર મહેન્દ્રભાઈ રાણાનાં બહેન અને તે કારણે બેનનાં પણ સહિયાર  ઉષાબેન (ધોળકિયા) અમારાં ભૂજનાં ઘરની પાછળ જ આવેલી મોડર્ન ટોકિઝમાં દર અઠવાડીયે પંદર દિવસે જનાના શૉ[2]માં ફિલ્મો જોવા જતાં. નાગીન, જનમ જનમ કે ફેરે જેવી બે એક ફિલ્મોનાં નામ પણ મને યાદ આવે છે. 

૧૯૫૯ના પહેલા ભાગમાં, મહેશભાઈને રાજકોટ ખાતે કૃષિ કચેરીમાં જોડાવાનો ટ્રાન્સફર ઓર્ડર મળ્યો. શરૂઆતમાં, અમારે મનહર પ્લોટના સાવ છેડાના હજુ વિકસી રહેલા વિસ્તારમાં એક નાના એક રૂમ-રસોડાના ઘરમાં રહેવું પડ્યું. ભુજમાં, બેન સૂકા લાકડાં વડે ચૂલા પર રસોઈ કરતી. જોકે, રાજકોટમાં હવે તેણે સગડી અને બળતણ તરીકે હાર્ડ કોક સાથે ગોઠવાવું પડ્યું. સગડીનાના ગેલ્વેનાઈઝ્ડ પતરાનાં બોડી પર માટી અને હાર્ડ કોકના ભૂકાઓનો જાડો લેપ લીંપવા પછી સગડી રસોઈ માટે કામ આવે. હાર્ડ કોક મોટા ગઠ્ઠામાં પણ મળતો. તેથી, પડોશની અન્ય મહિલાઓ સાથે મળીને આ ગઠ્ઠાઓને નાના નાના ટુકડાઓમાં ભાંગવાનું કામ પણ બેને શીખવું પડ્યું. આ હાર્ડ કોકના ટુકડાઓને સગડીમાં પેટાવવાનું કામ પોતે જ એક મુશ્કેલ કામ હતું. હાર્ડ કોક બરાબર આગ ન પકડે ત્યાં સુધી સગડીઓને ઘરની બહાર હવામાં મુકવામાં આવતી. સવાર સાંજ બધાં ઘરોની બહાર સગડીઓની આવી લાઈન જોવા મળે. સગડી બરાબર પેટે એટલે તેને સાણસીમાં ઝાલીને રસોડામાં ઉંચકી જવી પડે.

રાજકોટમાં ઘરકામના તે શરૂઆતના મુશ્કેલ સમયમાં, મને એક ખૂબ જ રમુજી ઘટના યાદ આવે છે. હું, પડોશના અન્ય છોકરાંઓ સાથે હું પણ રમતો હતો. વડીલોને અમારી એ રમત વધારે પડતું તોફાન લાગી હશે. જેમ આવા કિસ્સાઓમાં થાય છે, તેમ સામાન્ય ઠપકાથી કંઈ વળતું નહોતું. બેનને એમ લાગ્યું કે હું પણ ન માનવાની હદ પાર કરૂં છું. કદાચ તોફાની ટોળાનું હું નેતૃત્વ કરતો હોવાનું પણ એને લાગ્યું હશે.  એટલે મને સરખી વઢ પડી. અન્ય મહિલાઓને એ થોડું વધારે કઠોર લાગ્યું હશે, એટલે કોઈએ બેનને કહ્યૂં કે મોટી બહેનની સંભાળ હેઠળ રહેતા, મા વગરના, નાના ભાઈ સાથે આટલું કઠોર ન થવું જોઈએ. મહિલાઓએ મારા બેનના સંબોધનને કારણે બેનને મારી મોટી બહેન માની લીધી હતી!  ઘણા વર્ષો પછી, લાલ મિલ કોલોની (અમદાવાદ) માં અથવા નવસારીમાં, અમે જ્યારે નવાં નવાં હોઈએ ત્યારે પાડોશીઓ  બેનને મારી મોટી બહેન સમજી બેસવાની ભૂલ કરે એ અસામાન્ય નહોતું - કદાચ અમારી વચ્ચે ફક્ત અઢારેક વર્ષનો ફરક હતો અને બેનની દેખાતી ઉમર કરતાં હું કદાચ વધારે મોટો લાગતો હોઈશ.

પછીના વર્ષોમાં મારો ઉછેર તો પોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયો. એટલે કદાચ મા તરીકે અને રોજિંદા ઘરકામના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતી ગૃહિણી તરીકેની દિનચર્યા બેન માટે સહજ બની ગઈ હતી. એવામાં પણ મને બે ઘટનાઓ યાદ આવે છે જેણે બેનની મા તરીકે અને એક વ્યક્તિ તરીકે કસોટી કરી.

મને યાદ છે ત્યાં સુધી એ સમય ડિસેમ્બર ૧૯૬૧નો હતો. ત્રણેક વર્ષના મારા નાના ભાઈ સંજયને અચાનક જ  મેનિન્જાઇટિસનું નિદાન થયું અને તેને સિવિલ હોસ્પિટલ; અસારવા, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. થોડા દિવસો માટે તેની ખૂબ જ ગંભીર રહી. માંદગીની ગંભીરતા જ મહેશભાઈ અને બેનની લાગણીઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી રહી હતી, તેમાં પણ ઘણી આકરી જણાતી સારવારને કારણે એમના પર જે શારીરિક, માનસિક અને આર્થિક દબાણ હશે  તે મારી એ ઉમરે પણ મને સમજાતું હતું.  તે દિવસોમાં, બેનને લાલ મિલ્સથી સિવિલ હોસ્પિટલ સુધી AMTS બસ સેવા દ્વારાઅવર જવર કરવી પડતી. મોટે ભાગે કોઈ સાથે હોય એવું બનતું પણ ઘણી વખત પોતે એકલાં પણ આવવું જવું પડતું. તેમાં પાછો અત્યાર સુધીનો તેનો ઉછેર તેને આવા અનુભવો માટે તૈયાર કરી શકે તેવો પણ ન કહી શકાય. લાલ મિલ્સ ખાતે અમારા અન્ય પરિચિતો અને ખાસ તો દેવીબેન અને નરેશભાઈ (મારા પિતરાઈ બહેન અને મારા કાકા, કમળભાઈનાં મોટાં દીકરી અને તેમના પતિ) ખૂબ મદદરૂપ થયાં.

બીજો બનાવ ફરીથી મારા (ખોટાં) સાહસો સાથે સંબંધિત છે. આ ઘટના ૧૯૬૨ ના અંતમાં બની હતી. એક સાંજે હું ખૂબ જ લોહીલુહાણ ચહેરા સાથે દોડતો દોડતો ઘરે આવ્યો. થયું એવું હતું કે અમે પાટીયાંને ક્રિકેટ બેટ બનાવીને અમારી દેશી શૈલીથી હોકી રમી રહ્યા હતા. એક ખેલાડીના હેઠળથી બોલને બહાર કાઢવાનો હું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું બેટ મારા માથા પર વાગ્યું. મારી ડાબી આંખની નજીક ખોપરીની ધારને ગંભીર ઇજા પહોંચી હતી. આવી કટોકટીમાં બેને, કોઈક રીતે, પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખી હશે, કારણ કે અમારે નજીકના જનરલ ફિઝિશિયનના ક્લિનિક સુધી પહોંચવા માટે લગભગ એક કિલોમીટર જેટલું દોડવું પડ્યું હતું. તાત્કાલિક સારવાર પછી, એટલું નક્કી થયું કે બહુ જ થોડાક ફરકથી, અને નસીબથી, મારી ડાબી આંખ ગંભીર જોખમમાં નથી. હું લગભગ અઠવાડિયામાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. તે પછી વલ્લભ વિદ્યાનગર (૧૯૬૫) માં મારા પ્રિ-સાયન્સના વર્ષમાં, NCC માં પ્રવેશ દરમિયાન તબીબી તપાસ દરમિયાન, ખબર પડી કે એ ઇજાને કારણે ડાબી આંખે માઈનસ ૪ નંબરના અને જમણી આંખે ઝીરો નંબરના ચશ્માની જરૂર હતી. મેં આટલા વર્ષોથી તે ડાબી આંખ પાસે થયેલા ઘાના ડાઘનો ઉપયોગ મારા ઓળખ ચિહ્ન તરીકે કર્યો છે અને આ નંબરવાળા ચશ્મા સાથે ખુશીથી જીવી રહ્યો છું!

મારૂં એવું માનવું છે કે ભૂજનાં વર્ષોથી બેનનાં મોટી બહેન, ઉછરંગમાસીના માર્ગદર્શન હેઠળબેન તેના માતૃ પક્ષના મામલાઓમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતી રહી.  રાજકોટમાં અમારા રોકાણ દરમિયાન મને તે વિષેની કોઈ ખાસ યાદો નથી, પરંતુ મને એટલું જરૂર યાદ છે કે લાલ મિલ્સ કોલોનીના સામાજિક વર્તુળમાં બેન ખૂબ સક્રિય હતી. લાલ મિલ્સ ખાતે નાગરી ન્યાતની અન્ય ગૃહિણીઓસાથે મળીને બેને બે ત્રણ વાર, આપણાં પરંપરાગત દાળ, ભાત અને ઓસામણનાં જમણોનું નિયમિતપણે આયોજન કર્યું. તે પછી, પહેલા H કોલોની અને પછી L કોલોનીના અમારા રહેવાસ દરમ્યાન પણ બેન નાગર સમાજનાં વર્તુળોમાં સક્રિય ભૂમિકા ભજવતી રહી. અહીં, બેને સુરતમાં મારા કાકા કમળભાઈનાં ઘરની મુલાકાતોમાંથી પ્રવિણાકાકી, ત્યાંના પડોશી કુસુમબેન અને કમળભાઈના મિત્ર રમણિકભાઈ અંતાણી પાસેથી શીખેલ ઊંધિયાની વાનગીનો દાળ, ભાત અને ઓસામણનાં જમણમાં ઉમેરો કર્યો.

અમારા H કોલોનીના વર્ષો દરમિયાન, બેને ઉછરંગમાસીનાં દીકરી પૂર્ણિમાબેનના પહેલા પુત્ર, તિમીર, દેવીબેનની પહેલી દીકરી પુત્ર, ગાયત્રી (કૌમુદી, તેનું પૈતૃક પક્ષનું નામ) અને બેનનાં મોટાં બહેન ભાનુમાસીનાં સૌથી મોટી પુત્રી, મનુબેન (સત્તાવાર નામઃ મૃદુલાબહેન) ના પહેલા પુત્ર, કિંજલ્ક (હવે, સ્વર્ગસ્થ) ના જન્મ દરમિયાન વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી.

મહેશભાઈ, પાંચ-છ વર્ષનો સંજય અને બેન - સ્થળ અજ્ઞાત

મહેશભાઈના મને પ્રિ - સાયન્સના અભ્યાસ માટે વલ્લભ વિદ્યા નગર મોકલવાના નિર્ણયમાં પણ બેનની ભૂમિકા સકારાત્મક સહાયકની રહી. તેમણે પરિવારમાં ગૃહિણી તરીકેની, અને વ્યક્તિગત વિકાસના માર્ગ પર કુદરતી રીતે ઉછરતા પુત્રની માતાની, ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી. એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં મારા હોસ્ટેલમાં રહેવાના, મહેશભાઈની નવસારી બદલી થઈ અને મને BITS પિલાણી મોકલવાના નિર્ણયોમાં બેનની ભૂમિકા હંમેશાં પ્રોત્સાહક રીતે સહાયકની રહી.



મારાં લગ્ન બાબતે બિનપરંપરાગત કહી શકાય એવા નિર્ણય[3] લેવાના સમયે પણ બેનની ભૂમિકા સકારાત્મક રહી.

સુસ્મિતા અને મારા લગ્નના ભોજન સમારંભમાં

મહેશભાઈ દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા) માં રજિસ્ટ્રાર તરીકે સ્થળાંતર થયા ત્યારે બેન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પત્ની તરીકેની પોતાની સત્તાવાર ભૂમિકામાં પણ બહુ સહજપણે ગોઠવાઈ જવાની સાથે  પરિવારના મુખ્ય કાર્યકારી વડા તરીકેની ભૂમિકા પણ ભજવતી રહી.

કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એક ઔપચારિક મેળાવડામાં બેન અન્ય મહિલાઓ સાથે

દાંતીવાડા ખાતેનાં એક પારિવારિક આઉટિંગમાં JPV અને MPV પરિવારો

તેમના જીવનના તે તબક્કા સાથે, બેનનાંના સ્વાસ્થ્ય અંગે આવેલી પહેલી મોટી સમસ્યા પગના સાંધામાં કેલ્શિયમ જમા થવાની હતી. જે તેની સાથે જીવનભર રહી. થોડા સમય બાદ આમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરએસીડીટીનો ઉમેરો થયો.

જોકે, એકંદરે, જીવન સ્થિર અને સરળ રીતે ચાલી રહ્યું હતું.

એવામાં, અચાનક, મહેશભાઈનું ૧૮ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજ અવસાન થયું.



[2] ભૂજમાં એ સમયમાં બપોરના બાર થી ત્રણનો શૉ ખાસ સ્ત્રી પ્રેક્ષક વર્ગ માટે રહેતો. કદાચ ટિકિટ પણ થોડી ઓછી હોતી હશે. આખું થિયેટર બનેનો વાતો અને છોકરાંઓના કલબલાટથી ગુંજતું હોય. એમ કહેવાતું કે પછીના શૉમાં પ્રેક્ષકોને જે ભાગમાં બહેનો બેઠી હોય એ ભાગ કરૂણ ફિલ્મો જોતાં જોતાં વહેલાં બહેનોનાં આંસુઓથી ભીનો અનુભવો પડે. એ સમયમાં ભૂજમાં સૌથી ઓછી ટિકિટ 'પટ' તરીકે ઓળખાતા ક્લાસની રહેતી. એ ભાગમાં સીટો ન હોય, એટલે  'પટ' કહેવાતો. જનાના શૉ પછી એ ક્લાસમાં આવનાર પુરુષ પ્રેક્ષક વર્ગને છોકરાંઓએ ઢોળેલાં પાણી અને રોતાં રોતાં કરી લીધેલાં 'મૂતર'ની ભીનાશ વેઠવી પડતી. એ સમયની સીટો એવી રહેતી કે તમે ઊભાં થાઓ એટલે સીટ આપોઆપ વસાઈ જાય. છોકરાંઓ એમાં ખાસ ફસાતાં - હું અને નૈષધ પણ એમાંથી બાકાત નહોતા રહેતા. 

Tuesday, March 17, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની ..... - લગ્ન અને લગ્નજીવનઃ ૧૯૭૭ થી ૨૦૦૨

 

"ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન"થી આગળ

લગ્ન

લગ્ન સમારોહ માટે પ્રગતિનગર કોમ્યુનિટી હોલ પસંદ કરવામાં આવ્યો હતો. સુસ્મિતાના પક્ષના નજીકના સંબંધીઓ માટે રહેવા માટે નજીકના ઘરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા પક્ષના અમદાવાદથી લગ્નમાં હાજરી આપનારા કેટલાંક મહેમાનોને અમારા ઘરમાં અને કેટલાંકને નજીકના બીજા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પક્ષના બધા મહેમાનો એક દિવસ પહેલાથી જ આવવાનું શરૂ થઈ ગયું હતું. લગ્ન સમારોહ દિવસના પહેલા ભાગમાં હોવાથી, બહારના મહેમાનો લગ્નના દિવસે રાત્રે પાછા ફર્યા હતા.

રજિસ્ટ્રારને તેમની ઑફિસેથી લઈ આવવા મહેશભાઈ તેમની ઓફિસ ગયા અને લગભગ ૧૧ વાગ્યા સુધીમાં લગ્ન સમારોહના સ્થળે પહોંચી આવ્યા. એમને ચા પાણી કરવાયા બાદ, મેં અને સુસ્મિતાએ લગ્નના શપથ રજિસ્ટ્રારની હાજરીમાં બોલીને અમારી સ્વૈચ્છિક સંમતિ જાહેર કરી. ત્યાર બાદ અમે લગ્ન રજિસ્ટર પર સહી કરીને અને બંને પક્ષના બબ્બે સાક્ષીઓએ પણ તેને પ્રમાણિત કરી. આમ લગ્ન વિધિ પુરી થઈ.


સાક્ષી તરીકે સહી કરતા મહેશભાઈ

સુસ્મિતા તરફથી સાક્ષી કરતા, અનુક્રમે, દિવ્યભાષ, અને સુસ્મિતાના મામા, ભુજંગીભાઈ હ. વૈદ્ય

લગ્ન પછી પીરસવામાં આવનાર જમણ એકદમ સાદું હતું. દૂધીનો હલવો, મોતીચુર લાડુ, બે શાક, બે ફરસાણ, દાળ અને ભાત બધાંને બેએક પંગતમાં નીચે બેસી જમી શકાય એમ પીરસવામાં આવ્યાં.

મેં મારા ઓફિસ સ્ટાફમાંથી કોઈને પણ આમંત્રણ ન આપીને લગ્ન સમારોહને માત્ર કુટુંબીજનો સુધી મર્યાદિત રાખવાનો કક્કો ખરો કર્યો હતો.


 

ડાબેથી:

પહેલી હરોળઃ હર્ષિકા, અરમાનને તેડીને ઊભેલાં દિવ્યાંગિનીભાભી, ગાયત્રી, મોટા અમ્મા, દેવીબેન, અને તેમની આગળ, સંદીપ 

બીજી હરોળ: ભારતી, સુસ્મિતા, હું, ભાર્ગવીને તેડીને ઊભેલાં પ્રતિભાભાભી, બેન અને ગોરીકાકી 

ત્રીજી હરોળ: નિમેષ, દર્શન, અધુકડો દેખાતો સંજય, અને નરેશભાઈ 

છેલ્લી હરોળ: કુંજલતાબેન, ગોરાકારા, મહેશભાઈ, દિવ્યકુમારભાઈ 

ડાબેથી: કર્ણિકા, કુંજલતાબેન, સુસ્મિતા, બેન, હું, મહેશભાઈ, દિવ્યભાષ, (પાછળ) સંજય

લગ્નજીવન

પહેલું અઠવાડિયું

અમે લગ્ન પછીનું પહેલું અઠવાડિયું મુંબઈમાં વિતાવ્યું.

લગ્નના ત્રીજા દિવસેકુંજલતાબેન, દિવ્યભાષ અને કર્ણિકા સાથે અમે મુંબઈ જવા રવાના થયા. મધ્યરાત્રિની આસપાસ, અમારા સ્લીપર કોચમાંથી કેટલાક મુસાફરોએ મોટેથી જાહેરાત કરી કે શ્રીમતી ઈન્દિરા ગાંધી રાયબરેલી બેઠક પરથી ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી હારી ગયા છે.

અમે મુંબઈ પહોંચ્યાના બીજા દિવસે, (દિવ્યભાષે ઝાયર જતા પહેલા ખરીદેલ  અને બે વર્ષ પછી વેંચી નાખેલું) પર્લ પેલેસની અગાસી પર ડિનર રિસેપ્શનનું નાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કુંજલતાબેનના સંબંધીઓ અને પરિચિતોને  આ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુસ્મિતાએ મુંબઈમાં અમારા રોકાણનો ઉપયોગ પ્રગતિ નગરમાં અમારા ઘરને સજાવવા માટે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ વચ્ચેના ડિવાઇડર તરીકે વાપરી શકાય એવું પડદાનું કાપડ અને કેટલીક કાર્પેટ ખરીદવા માટે કર્યો.

૧૯૭૭ થી ૧૯૭૯

અમદાવાદમાં સ્થાયી થયા પછી અમારું પહેલું કાર્ય સુસ્મિતાના શિક્ષણ-અનુભવ, જ્ઞાન અને ગણિત પ્રત્યેની રુચિને અનુરૂપ હોય એવા અર્થપૂર્ણ વ્યવસાયને શોધવાનું હતું.અમારા પ્રયત્નો સરિયામ અસફળતામાં પરિણમ્યા. જેમ જેમ હું પાછળ ફરીને જોઉં છું, તેમ બહુ સ્પષ્ટપણે દેખાય જ છે કે અમારા પ્રયત્નો પૂરતા, વ્યવસ્થિત કે સંગઠિત નહોતા. પાછળથી, સુસ્મિતાએ પડોશના કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું કામ કર્યું. પરંતુ મારા કામ અને જીવનનાં અસંતુલનને પરિણામે સુસ્મિતાના ઘરનાં જીવન પર જે વધારાનો બોજ પડ્યો. એટલે, શિક્ષણ સાથેનો એક આછોપાતળો સંબંધ બાંધી રાખવાનો આ પ્રયત્ન અર્થપૂર્ણ આંશિક સમયના  વ્યવસાયમાં પણ પરિણમી શક્યો નહીં. 

અમારા જીવનનો આનંદ માણવાની શરૂઆત મારા ફોટોગ્રાફીના પ્રયોગોથી થઈ. તે ઉપરાંત મારાં રેકોર્ડ્સનાં કલલેક્શનમાંથી રેકોર્ડ સાંભળવી અને જ્યારે જ્યારે અમદાવાદમાં પુસ્તક મેળો થાય ત્યારે તેની મુલાકાત લેવી જેવી પ્રવૃત્તિઓ પણ અમે સાથે મળીને કરતાં.

બપોરનું જમવાનું પીરસવાની તૈયારી કરી રહેલ સુસ્મિતા

GST ખાતે મારી ઓફિસની દિનચર્યામાં શનિવારે માત્ર અડધો દિવસ જવાનું હતું. અમે એ તકનો લાભ લઈને અમદાવાદના ભદ્ર (કાળી માતાનાં મંદિર)માં આવેલ બેન્ક ઑફ ઇન્ડીયા બિલ્ડીંગથી નજદીક પડે એવાં એડવાન્સ થિયેટરમાં સાંજના ૪.૩૦ વાગ્યા શૉમાં અંગ્રેજી ફિલ્મો જોવા જવાનું શરી કર્યું. બહુ જ જ થોડા સમયમાં, અહીં પણ, મને શો માટે પહોંચવામાં મોડું થવા લાગ્યું. થોડા મહિનાઓ સુધી, ઇન્ટરવલ પછી મૂળ ફિલ્મ શરૂ થાય તે પહેલાં હું ભાગ્યે જ સિનેમા હોલ પહોંચી શકતો. પછી બેએક વાર, હું તે પણ કરી શક્યો નહીં. પરિણામે, તે પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ, જે મારા કામ અને જીવનનાં સંતુલન બગડવાની શરૂઆતના અણસારનો આ બહુ સ્પષ્ટ સંકેત હતો.

અમદાવાદની બહારની અમારી પહેલી ટ્રિપની શરૂઆત જ એક છબરડાથી થઈ. ૧૯૭૭ના અંતમાં, કે કદાચ ૧૯૭૮નીની શરૂઆતમાં, દક્ષિણ ગુજરાતનાં હિલ સ્ટેશન. સાપુતારામાં ત્રણ રાત્રિની સફરનું આયોજન કર્યું હતું. અમે અમદાવાદના ગુજરાત રાજ્ય પરિવહન કેન્દ્રીય બસ સ્ટેશન - ગીતા મંદિરથી વહેલી સવારે બસમાં ચઢ્યા. મેં કંડક્ટરને અમારી સીટ રિઝર્વેશન ટિકિટ આપી ત્યારે તેણે ધડાક દઈને જ અમને બસમાંથી નીચે ઉતરી જવાનું કહ્યું. મેં સામે ગરમાગરમ દલીલો કરી! તેણે નમ્રતા જાળવી રાખી, છેવટે મને ટિકિટ બતાવી. એ ટિકીત તો રાજકોટની મારી મુસાફરીની જૂની ટિકિટ હતી! અમે હવે આશ્ચર્યચકિત થઈ ગયા અને માફી માંગી અને તેને નવી ટિકિટ કાઢી આપવા વિનંતી કરી. બસ, એટલામાં જ સુસ્મિતાને કંઈક યાદ આવ્યું અને તેણે તેના પર્સમાંથી ટિકિટ કાઢી! સાપુતારાની અમારી બાકીની મુસાફરી કોઈ અવરોધ વિના ચાલી, પણ આખી મુસાફરી દરમ્યાન હું કંડક્ટરની સામે આંખ મેળવીને જોઈ શક્યો નહીં!

૧૯૭૮ના મધ્યભાગમાં મહેશભાઈની, ગુજરાત કૃષિ યુનિવર્સિટી માટે નવાં બનેલાં મુખ્ય મથકદાંતીવાડા ખાતે બદલી થઈ.  મહેશભાઈના ત્યાં રોકાણ દરમિયાન અમે દાંતીવાડાની  બે-ત્રણ દિવસની ઘણી મુલાકાતો લીધી. ૧૯૭૯ની આવી જ એક યાત્રામાં, દાંતીવાડાના રસ્તે પાલનપુર પહોંચતા અમને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો, ધોધમાર વરસાદમાં હાઇવે પર લગભગ એક કે બે કલાક અમે ફસાયેલા રહ્યાં. આખરે જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે સુસ્મિતાના મામા, પ્રાણલાલભાઈ એચ. વૈદ્યનું વતન, મોરબી, મચ્છુ નદી પરનો માટીનો બંધ તૂટી પડવાને કારણે વિનાશક પૂરથી તબાહ થઈ ગયું છે.

૧૯૭૯ ના ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં સુસ્મિતાએ પોતાની પહેલી અને એકમાત્ર વિદેશ યાત્રાનું આયોજન કર્યું. તે દિવ્યભાષ પરિવાર સાથે રહેવા માટે ઝાયરરના પાટનગર કિન્શાશા જવાની હતી. અનેક રસીકરણ કરાવવાની ઝંઝટ પછી, અંતે, સુસ્મિતા અને હું મુંબઈ થઈને નૈરોબી જવા માટે અમદાવાદથી મુંબઈમાં હર્ષવદનભાઈ-સુરભીના ઘરે પહૉંચ્યાં. અરધી રાતની ફ્લાઈટ હતી. એરપોર્ટ પર પહોંયાં, ત્યારે એટલો ભારે વરસાદ પડી રહ્યો હતો કે સુસ્મિતાની ચેક-ઇન બૅગ સંપૂર્ણપણે પલળી થઈ ગઈ હતી. નૈરોબી પહોંચતા જ જ્યારે તેણે બૅગ ખોલી, ત્યારે બૅગમાં વરસાદી પાણીના ઘૂસી જવાને કારણે તેની ઘણી સાડીઓ પર ડાઘ પડી ગયા હતા!

સુસ્મિતાની ગેરહાજરીમાં, સંજય સાથે મળીને, અમારું પોતાનું જલવાનું બનાવવાનો મેં બીડું ઝડપ્યું. એક વાર સંજયે દૂધનું વાસણ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું અને પછી  ભૂલી ગયો. વાસણ ગૅસ પર એટલા લાંબા સમય સુધી ઝુલસતું રહ્યું કે વાસણમાં રહેલું બધું દૂધ બળીને કોલસો થઈ ગયું. ઘરમાં એટલી બધી દુર્ગંધ ભરાઈ ગઈ હતી કે એકસાથે બેત્રણ પેકેટ અગરબત્તી સળગાવ્યા પછી પણ, બીજા બે ત્રણ દિવસ સુધી અમારા આખા પડોશને દુર્ગંધ સહન જરવી પડી. બીજા એક કિસ્સામાં, જ્યારે મહેશભાઈ દાંતીવાડાથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે અમે ભીંડાનું શાક બનાવતી વખતે મીઠાને બદલે સોડા ઉમેર્યો હતો! અમારા આવા (કરણાંત) સાહસો પર દયા કરીને, સામેના,# 9/52, પ્રગતિનગર,માં રહેતા પાડોશી બચુભાઈ ગોહિલના પત્ની મધુબેન અમારા માટે દાળ અને રોટલી બનાવીને મુકી જતાં અને અમને સાદાં શાક બનાવવાનું શીખવતાં રહ્યાં  સુસ્મિતા કિન્શાશાની સફરથી પરત ફરી, ત્યારે અમે મધુબેન દ્વારા તૈયાર કરાયેલ રોટલી દાળ ભાત સાથે ગર્વથી અમે રાંધેલા ભીંડાનું શાક સુસ્મિતાને જમવામાં પીરસ્યું

સુસ્મિતાની કિન્શાશાની મુલાકાત લેવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના તબક્કા દરમ્યાન હું GST છોડી દેવાનું વિચારી રહ્યો હતો. અંતે, મેં જૂન ૧૯૧૯ માં મારૂ રાજીનામું મુક્યું અને સુસ્મિતા કિન્શાશાથી પરત ફર્યા પછી, ૧૯૭૯ના સપ્ટેમ્બરના અંતમાં GST છોડ્યું. અમારાં સ્વબળે શરૂ કરવા ધારેલ સાહસ, એરીશ ઇક્વિપમેન્ટનું સક્રિય અમલીકરણ શરૂ કરતા પહેલા, મેં બીજા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું. એ દરમ્યાન અમે કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં સુસ્મિતાની વ્યાવસાયિક કારકિર્દીને આકાર આપવાનો પ્રયાસ કર્યો. જો કે, શરૂઆતની પાપા પગલીમાં એ પ્રયોગ બહાર આવે અને ખરા અર્થમાં શરૂ થાય તે પહેલાં, વચગાળાની વ્યવસ્થા તરીકે બીજા પ્રૉજેક્ટ્સ પર કામ કરવાનું (ખોટું) સાહસ છોડી દીધું અને એરીશ ઇક્વિપમેન્ટના ગ્રીન-ફિલ્ડ અમલીકરણ પર પૂર્ણ-સમય કામ કરવાનું ચાલુ કર્યું. તેથી, સુસ્મિતાનો કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં દાખલ થવાનો પ્રયાસ પણ પડતો મૂકવો પડ્યો. 

૧૯૭૯ – ૨૦૦૨

એરિશ ઇક્વિપમેન્ટ શરૂ થવાનાં પહેલાં બે-ત્રણ વર્ષ સુસ્મિતા માટે ખરેખર કપરાં હતાં. પોતાનો વ્યવસાય શરૂ કરવાનો સાવ અજ્ઞાત અનુભવ, ખૂબ જ અનિયમિત અને અપૂરતી મહિનાની આવકમાંથી ઘર ખર્ચ ચલાવવું અને છતાં કોઈ પ્રકારની ફરિયાદનો સુર ન જણાવા દેવો એ મેં લીધેલ જોખમ કરતાં પણ વધારે અઘરું તપ હતું.

૧૯૭૯ થી ૧૯૮૧ દરમિયાન અશ્વિનભાઈ પાલખીવાલા દ્વારા ગોઠવાયેલી નાનાં ફંક્શન અને ટ્રિપ્સ[1] કે પછી દાંતીવાડા અથવા ગોરાકાકા પરિવાર કે નિમેષ પરિવારની મુલાકાત માટે રાજકોટની અમારી મુલાકાતોએ અમને આ મુશ્કેલીઓ સામે અમારા જીવનની નાવને તરતી રાખવામાં બહુ મોટું બળ પુરૂં પાડ્યું.

લગભગ ૧૯૮૦/૮૧ માં દાંતીવાડાની એક મુલાકાત દરમ્યાન ગોરાકાકા (મારા કાકાજનાર્દનભાઈ વૈષ્ણવ) અને મહેશભાઈ પરિવારો 


આજે એવું કહેવું બહુ ચવાઈ ગયેલું લાગે છે કે માત્ર અને માત્ર સુસ્મિતાના અવિરત ટેકાને કારણે જ એ તબક્કામાંથી પસાર થઈ શકાયું..

તાદાત્મ્યના જન્મ પછી (૧૯૮૧ માં) અમે એરિશ ઇક્વિપમેન્ટના શરૂઆતના આઈસીયુ સપોર્ટમાં ટકી રહેલાં અમારાં ગૃહસ્થ જીવનના એ સૌથી મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યાં. જોકે, જ્યારે પરિસ્થિતિ થોડી થાળે પડતી અનુભવવા લાગી, ત્યારે ડિસેમ્બર ૧૯૮૩માં મહેશભાઈનું અવસાન થયું.

બીજું એક પરિબળ જેણે અમને તરતા રહેવામાં મદદ કરી તે મારા ત્રણ ખૂબ જ નજીકના મિત્રો, કુસુમાકર (ધોળકિયા), મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના પરિવારોનો ખૂબ જ સક્રિય અને જીવંત સાથ હતો. અમારા લગ્ન થયા પછી, એમનાં જીવનસાથીઓ - અનુક્રમે, જાગૃતિ, હર્મિલા અને મીના - અને પછી એમનાં બાળકો - અનુક્રમે, ખ્યાતિ, અનંગ અને હીરવા અને ફેનિલ - એ પણ અમારી મિત્રતાનાં સહજ વાતાવરણને જાળવી રાખવામાં અને અને આપસી લાગણીઓ અને સમજની ગાંઠને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરી. દર ત્રણચાર મહિને અમદાવાદ નજીકના આઉટડોર રેસ્ટોરન્ટમાં ડાઇન-આઉટ તેમજ કોઈપણ ઘરે ડાઇન-ઇનના સાદા આનંદ માણવાના પ્રસંગો અમને અંગત રીતે અકલ્પ્યપણે ઉપકારક પરવડ્યા.


અમારૂં લગ્નજીવન હવે વ્યવસ્થિત આર્થિક અને સામાજિક માર્ગ પર ચડી ગયું હતું તેનો પહેલો સંકેત કુલુ મનાલી (૧૯૮૭) ની અમારી સફર હોઈ શકે છે. એક આયોજિત પ્રવાસમાં જોડાવાનો અમારો એ પહેલો અને છેલ્લો અનુભવ રહ્યો. તે પછી અમે કે કંઈ ટ્રિપ કરી એ બધી જાતે વ્યવસ્થા કરીને કરી. કુલુ મનાલીણી એ ટ્રિપ માટે અમારે અમદાવાદથી અંબાલા ટ્રેનમાં જવાનું હતું. દાહોદ નજીક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે અમારી ટ્રેન ખૂબ જ નાના સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. એ સ્ટેશન પર ફક્ત કેળાં જ મળતાં હતાં. ટ્રેન કેટલો સમય પડી રહેશે તેના કોઈ નક્કી વાવડ ન મળતા હતા એટલે સ્ટેશન અને ગામમાં જેટલાં પણ કેળાં હશે એ તો જોતજોતામાં પુરાં થઈ ગયાં અમે મોટે ઉપાડે સેકન્ડ એસી કૉચની સફર મજા માણવાની આશા રાખી હતી એ પણ અર્ધાપોણા કલાકમાં વિખરાતી જતૉ લાગી. કોચનું એસી પણ બંધ થઈ ગયું, એટલે, પ્લેટફોર્મ પર એક નાની બેન્ચ પર લગભગ ચાર કલાક રાહ જોવાની ધીરજ દાખવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સમોસા અને મસાલા થેપલાંનું અમારું થાગડથીગડ ડીનર અજમેરમાં લગભગ ૧૧ વાગ્યાની આસપાસ પીરસવામાં આવ્યું. તે સમયે ઊંઘમાંથી ઊઠીને પણ, મેં અને તાદાત્મ્યએ ટેસથી સમોસા ખાધા અને થેપલાં બીજા દિવસે સવારે વહેલા નાસ્તા માટે સાચવી રાખ્યાં. અમારી ટ્રેન બપોરે એકાદ વાગ્યા સુધીમાં અંબાલા પહોંચી ગઈ. તે સમયે, પ્રવાસમાં સાથે આવેલા રસોઈયાઓએ રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર જ ઝડપથી જમવાનું રાંધ્યું. પ્રવાસના બધા સાથી પ્રવાસીઓએ પણ તે જ ફૂટપાથ પર ખૂબ આનંદથી ઝાપટ્યું.


આયોજિત પ્રવાસો ઉપરાંત અમે ભૂજ અને મુંબઈની અનૌપચારિક મુલાકાતોનો આનંદ માણતાં રહ્યાં.



મુંબઈની આવી જ એક મુલાકાત દરમિયાન (મારાં માસીના દીકરા) નિમેષ અને તેમનાં પત્ની પ્રતિભાભાભી પણ સપરિવાર પ્રતિભાભાભીના ભાઈ યોગેશભાઈને ત્યાં વેકેશનમાં આવ્યાં હતા. તે દરમિયાન અમે જુહુ બીચ પર એકવાર મળ્યાં. 


આ પહેલા ઉલ્લેખેલ અક્ષયના લગ્નએ જેમ અમને પ્રેમસંબંધ દરમિયાન નજીક લાવવામાં મદદ કરી હતી, તેવી જ મદદ અમને પોરબંદરમાં (મારી માસીનાં દીકરી) ભારતી, અને ગાંધીનગરમાં (મારાં બીજાં માસીના દીકરી)વિભાના લગ્ન, (મારા નાના પિતરાઈ ભાઈ) દર્શનનાં જામનગરમાં યજ્ઞોપવિત, (મારી નાની પિતરાઈ બહેન) હર્ષિકા નાં ભુજમાં લગ્ન જેવા અનેક કૌટુંબીક પ્રસંગોએ અમારાં લગ્નજીવનને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ જીવન ઘરેડમાંથી ખૂબ જ જરૂરી રાહત આપવામાં ખૂબ મદદ કરી.

૧૯૮૯ ની આસપાસ, અમે અમારી પોતાની પહેલી કાર, સફેદ પ્રીમિયર પદ્મિની ખરીદી. સુસ્મિતાએ થોડા સમય માટે પોતાનૂ ડ્રાઇવિંગ તાજું આપવાનો પ્રયાસ કર્યો. એ વર્ષોમાં ગોરાકાકા ગાંધીનગર ખાતે આવેલાં જી ઈ બી પાવસ સ્ટેશનની નહદીકના સેક્ટરમાં રહેતા. સુસ્મિતાએ પ્રગતિનગરના ઘરથી ત્યાં સુધી અને વળતાં કાર બહુ સારી રીતે ચલાવી પણ ખરી. સુસ્મિતાને અમદાવાદના રસ્તાઓ પર કાર ચલાવવા પુરતો વિશ્વાસ પણ આવી ગયો હતો. પણ, તે સમયના અમદાવાદના (તત્કાલીન) ટ્રાફિક પેટર્નથી કંટાળીને આખરે તેણે હાર માની લીધી.

તે સમયની આસપાસ હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. અમે આજે સરગમ - બોડકદેવ રોડ અને સત્ય રોડ તરીકે જાણીતાં જંકશન નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં લગભગ ૫૦ થી ૭૦ લોકો માટે મોટે પાયે ડિનરનું આયોજન પણ કર્યું હતું.

અમે પ્રગતિ નગર ખાતે યોજેલા નગર મંડળના મેળાવડાના આયોજનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સહ-આયોજન પ્રગતિ નગરના તત્કાલીન નાગર સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. એ એક ખૂબ જ યાદગાર અને મજા પડે એવો સમારંભ રહ્યો હતો.


૧૯૯૨ માં ભુજ ખાતેનાં અમારાં વડીલોપાર્જિત ઘરના વેચાણની પ્રક્રિયા પુરી કરતાં હું બહુ સખત રીતે એસિડિટીને કારણે થતી વિચિત્ર બીમારીમાં પટકાયો. ભુજની મિલકતનાં વેંચાણનાં તંગ વાતાવરણ અને પછી મારી અઠવાડીયું પથારીમાં કાઢવું પડેલું એ તણાવ સહનમાં પણ સુસ્મિતાએ પોતાના ભાગથી વધારાનો ભાર પણ વહન કરી લીધો. તે પછી અમે અમારા માટે 'મોટા' રહેઠાણની શોધ શરૂ કરી. અમે અમદાવાદમાં શક્ય તેટલા બધા સ્થળોએ શોધખોળ કરી. જો કે, એકવાર જ્યારે અમે અંકુર સોસાયટી તરફથી પાછા ફરતા હતા, ત્યારે અમને સંસ્કાર ભારતી સોસાયટી (અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ) નજીક એક બાંધકામ હેઠળનું મકાન દેખાયું. સ્થળ પરની થોડી પૂછપરછ અને એક ચાલુ કામનું નિરીક્ષણ કર્યા પછી અમે ૧૦, મીરા એપાર્ટમેન્ટ ખાતે અમારા પોતાના પહેલા ઘરની ખરીદીને અંતિમ સ્વરૂપ આપ્યું. અમારી પસંદ મુજબ આંતરિક સુશોભન અને રાચરચીલું તૈયાર કરાવવા માટે છ મહિનાના સમર્પિત પ્રયાસોથી ઘર રહેવા માટે તૈયાર થઈ ગયું.

આ ઘરમાં શિફ્ટ થયાં એટલે અમને વિધિપુરઃસરનો ગૃહપવેશનો પ્રસંગ કરવાનો લ્હાવો મળ્યો. વૈષ્ણવ પરિવારના અન્ય સભ્યો માટે, અમે અમારું ઘર વસાવી રહ્યાં હતાં તેનાથી વધારે ગૃહપ્રવેશની ધાર્મિક વિધિઓમાં બેઠેલો જોવો એ વધારે આનંદદાયક હતું. મારી છાપ ધાર્મિક વિધિઓ એક પારંપારિક રિવાજોમાં ન માનનાર તરીકેની ગણાય. પૂજાની આખી વિધિ દરમ્યાન મારે દોતીયું જ પહેરવું એવો ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ)નો સપ્રેમ આગ્રહ હતો. તેમણે મને તે પહેરવામાં અથથી ઈતિ સુધી મદદ પણ કરી, અને સમગ્ર વિધિ દરમ્યાન સતત કાળજી રાખી, અને મનમાં ને મનમાં મારી દેખીતી મુઝવણનો આનંદ પણ માણ્યો!

પ્રગતિ નગરથી મીરા સુધી ઘરનો સામાન ખસેડવાની અને મીરામાં ગોઠવી આપવાની બધી જ વ્યવસ્થા મારા 'રત્નમણિ'ના સાથીઓએ ઉપાડી લીધી. ગૃહપ્રવેશની ઉજવણીના પંચોતેરેક મહેમાનો માટેના ભોજન સમારંભની વયવ્સ્થા પણ એ મિત્રો જ ઉપાડી લીધી હતી.

તે પછી લગભગ તરત જ, અમને દર્શન (અને અમી) ના લગ્ન સમારંભનું આયોજન કરવાની તક મળી.

મારાં વ્યાવસાયિક જીવનમાં ચાલુ રહેલાં અસંતુલન છતાં, અમારું અંગત જીવન હવે બહુ જ સારી રીતે આગળ ધપી રહ્યું હતું. 

૧૯૯૮ માં, તાદાત્મ્ય સુરતકલ (કર્ણાટક) ખાતે આવેલીના કેઆરઈસીમાં ખાતે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતકના અભ્યાસમાં જોડાયો. એમ થવાથી અમારા જીવનમાં પડેલા દેખીતા ભાવનાત્મક અવકાશને ત્યાં તેની સતત પ્રગતિએ ભરપાઈ કરી દીધું. અમે ત્યાં તાદાત્મ્યનાં સુરતકલનાં ચાર વર્ષોની રહેણાક દરમ્યાન અમે બે વેકેશન ટૂરનું આયોજન પણ કર્યું. એક ટૂર મેંગલોર-ઉડુપી સર્કિટની અને બીજી અને કેરળના કોચી-તિરુવનંતપુરમ સર્કિટની કરી. 

હું, બેન અને સુસ્મિતા - સુરતકલના બીચની એક મોડી સાંજે

એ દરમ્યાન ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીના ભુકંપનો પણ અમે સાથે મળીને અનુભવ કર્યો. લોલકની જેમ ચાલતું ઘર ધૂજવાનું બંધ થયું એટલે અમે બધાં નીચે ઉતરી ગયાં. એ પછીના પંદર વીસ દિવસ મીરાનાં બધાં રહેવાસીઓએ સામે નીચે આવેલાં ઘરમાં કાઢ્યા. એ દિવસોમાં વેકેશન પર આવેલ તાદામ્યએ તો ત્યાંથી જ પાછા સુરતકલ જવું પડ્યું.

૨૨મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ અમે પ્રતિભાભાભીને કાયમ માટે ગુમાવ્યાં.

૨૦૦૨ના અંતમાં મને મુન્દ્રાનાં નાના કપાયા ખાતે આવેલા સૉ પાઇપ્સના પ્લાન્ટના મુખ્ય પ્રબંધક તરીકે જોડાવાની તક મળી. અમે અમદાવાદનું ઘર બંધ કરીને નાના કપાયા રહેવા જઈએ એવો નિર્ણય થયો. તાદાત્મ્યનું સુરતકલનું ભણવાનું પુરૂ થયું હતું અને તે બેંગ્લોરમાં નૉવેલમાં જોડાઈ રહ્યો હતો.

મારે ભાગે તો વ્યાવસાયિક સ્તરે મારે બહુ ઊંચા સ્તરની જવાબદારીના વહનમાં સફળ થવાનું હતું.  પરંતુ, સુસ્મિતાએ એ કારણે પેદા થઈ રહેલી અનિશ્ચિતતાઓનો અને અમારી ગૃહસ્થીને નવાં વાતાવરણમાં ફરીથી વાવીને ઉછેરવાના નવા જ પડકારોનો, ફરી એક વાર, એકલા હાથે સામનો કરવાનો આવ્યો. 

૩૧મી જાન્યુઆરીના અર્ધી રાતની સયાજી એક્સપ્રેસ પર સુસ્મિતા મને મૂકવા આવી શકે એવી અમારી બન્નેની ઇચ્છાને આટલી મોડી રાતે એકલા પાછા ફરવાની અડચણને કારણે અમારે નજરઅંદાજ કરવી પડી. દેરાસર સુધી રિક્ષામાં બેસવા સુધી જ મને મૂકવા આવી શકવાથી સુસ્મિતાએ સંતોષ માની લેવો પડ્યો.