Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Friday, July 3, 2026

એચ આર શાહ – કૂવાસ્તંભ સમાન વ્યવસાય સહયોગી, આદર્શ મિત્ર

એચ આર (મૂળ નામ – હરિશ રસિકકલાલ ) શાહ, એમના સમવયસ્ક મિત્રો માટે તેઓ એચઆર હતા, મારા માટે તેઓ શાહ સાહેબ હતા અને હું તેમનો વૈશ્નવ સાહેબ.

૨૩ જૂન ૨૦૨૬ ના રોજ સવારે રાજેશ (હરીશ) શાહનો ફોન આવ્યો, સંદેશો બે જ વાક્યમાં કહેવાયો –

પપ્પા ગયા. તેમની અંતિમ વિદાય સવારે ૧૧ વાગ્યે છે.


રાજેશ વધારે કંઈ કહી શકે તેમ ન હતો, હું પણ વધારે કંઈ પૂછી શકું તે હાલતમાં રહ્યો નહોતો.

હું તરત જ એમના ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મારા મનમાં આશરે ૧૯૮૪ ની સાલમાં આવેલો શાહ સાહેબનો ફોન ઘુમરાઈ રહ્યો.

[શાહ સાહેબ સાથેના મારા વ્યવાસાયિક સંબંધનો પાયો ૧૯૭૯ની આસપાસ નંખાયો. એ શરૂઆતનાં વર્ષોની મારી યાદો મેં અશ્વિન શાંતિલાલ પાલખીવાળાના સંગાથનાં સંસ્મરણોમાં યાદ કરેલ છે.]  

એ દિવસે હું મારા નિયમ મુજબ ફેક્ટરી – એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુ. પ્રા. લિ., વટવા – જવા માટે તૈયારી કરી રહ્યો હતો, ત્યારે શાહ સાહેબનો ફોન આવ્યો કે આપણે ફેક્ટરી કે એકબીજાના ઘર સિવાયની કોઈ જગ્યાએ મળીએ. અમે વિજય રેસ્ટોરન્ટ પર મળવાનું નક્કી કર્યું.

વિજય રેસ્ટોરન્ટ પહોંચતાં મને તો દસેક મિનિટ જ લાગે. એટલા સમયમાં મારા મનમાં વાતનો વિષય શું હોય શકે તેના વિચારો ચાલ્યા. એરિશ હવે સ્થાયી થવા લાગ્યું હતું અને સારી રીતે આગળ વધી શકે એ તબક્કો હજુ માંડ માંડ આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ અશ્વિનભાઈ પાલખીવાલાએ અલગ થઈ જવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અશ્વિનભાઈના પ્રસ્તાવે તો માંડ સ્થાયી થઈ રહેલા પાયાને ધરમૂળથી ધ્રુજાવી નાખ્યો હતો. એટલે અમારી વાતનો વિષય આ બાબતને લગતો જ હોય એમ તો અપેક્ષિત હતું.

અશ્વિનભાઈ, શાહ સાહેબ, અરૂણ જે વોરા અને હું એરિશમાં સરખે ભાગે હિસ્સો ધરાવતા હતા. સામાન્ય સમજણ મુજબ તો અશ્વિનભાઈ અને શાહ સાહેબ અનુપ એન્જિનીયરિંગના સમયના મિત્રો એટલે એ બંને એક પક્ષે રહે અને વોરા અને હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સના સમયના મિત્રો એટલે અમે બે એક પક્ષે રહીએ એમ માની શકાય. પરંતુ, એ પરિસ્થિતિમાં કાયદા મુજબની પ્રક્રિયાથી અમારે અલગ થવાની બાબતનો ઉકેલ સહેલાઈથી આવે તેમ નહોતો. અને એખલાસપૂર્ણ વાટાઘાટો શક્ય બને એવું પણ જણાતું નહોતું. એ કારણે અનેક મુંઝવણભર્યા એવા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા જેના વિષે શું વિચાર કરવો એ પણ મને હજુ સુઝતું નહોતું.

શાહ સાહેબનો ફોન આવ્યો ત્યારે આ મુજબની ચોપાટ તો બીછાવાઈ ગઈ હતી. હવે કોણ દાવ ચાલે અને કેવા પાસા પડે તે જ જોવાનું હતું.

અમે રેસ્ટોરન્ટમાં બેઠા અને અમારે માટે કૉફીનો ઓર્ડર આપ્યો, એટલે જરા પણ સમય વેડફયા વિના શાહ સાહબે મને પૂછ્યું કે હું તેમની સાથે રહીને કામ કરવા તૈયાર થઈ શકું?

મારા માટે આ સાવ ન વિચારેલો વિકલ્પ હતો, એટલે હું તરત જવાબ ન આપી શક્યો. એટલામાં કૉફી આવી ગઈ. વાત આગળ વધારતાં તેમણે સ્પષ્ટતા કરી કે આ બાબતે ઘણો વિચાર કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે એકબીજાની કૌટુંબીક આર્થિક પરિસ્થિતિને અને બન્નેની વ્યક્તિગત વિચારસરણીને ધ્યાનમાં લેતાં, એમની દ્રષ્ટિએ, આપણે બે સાથે રહીને એરિશ સારી રીતે ચલાવી શકીશું.

આટલાં વર્ષોમાં હું શાહ સાહેબને જેટલો ઓળખી શક્યો હતો એ હિસાબે તેમના પ્રસ્તાવ વિષે મારે કશું કહેવાપણું રહેતું નહોતું. કૉફી પૂરી થતાં સુધીમાં તો બંને સાથે રહીને કામ કરવા સહમત થઈ ગયા.

અને આમ રચાયો શાહ સાહેબ સાથેનો મારો ૪૦ + વર્ષનો મૈત્રી સંબંધનો પાયો, જેનો ભૌતિક અંત શાહ સાહેબના દેહવિલયને કારણે ભલે થયો, પરંતુ લાગણીની ભાવનાને સ્તરે એ સંબંધ ક્યારે પણ વિલય નહીં પામે.   

(અંગત નોંધ: અહીં મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈશે કે એ સમયે શાહ સાહેબ વધારે સ્પષ્ટ વિચારો ધરાવતા, સરળ નિર્ણયકર્તા અને વધારે પરિપક્વ હતા. તેમના અનેક ગુણો પૈકી આ ગુણોએ એરિશના જહાજને લાંબા ગાળાની સ્થિરતા બક્ષી અને અમારા ભાવિ મૈત્રીના સંબંધને વિકસાવ્યો અને જાળવ્યો.) 

૪૦ + વર્ષોનો મૈત્રી સબંધ

દેખીતી રીતે અમારો સંબંધ તો સમયની માંગમાંથી ઉદભવેલો ઔપચારિક, વ્યાવસાયિક સંબંધ હતો. એ સંબંધ અંગત મૈત્રી અને પારિવારિક ઘનિષ્ટતામાં ફેરવાઈ શક્યો તેનું સંપૂર્ણ શ્રેય શાહ સાહેબની ધર્મનિષ્ઠ વિચારધારા, સાદગીમય જીવનશૈલી અને ઉમદા પ્રકૃતિને ફાળે છે.

વ્યાવસાયિક બાબતોમાં શાહ સાહેબ જેટલા વ્યવહારકુશળ હતા એટલા જ માનવીય સંબંધોમાં તેઓ ધર્મનિષ્ઠાવાન હતા. ધર્મના રીતરિવાજના પાલનની બાબતે તેઓ ચુસ્ત હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોની સરળ સમજ તેમણે ગ્રહણ કરી હતી અને પોતાના જીવનમાં ઉતારી હતી. તેનું સીધું પ્રતિબિંબ જીવન પ્રત્યેના તેમના સાધુમય અનુરાગમાં જોવા મળે છે.

પોતાની પ્રકૃતિ અને મૂલ્યો સાથે મેળ ખાતી વ્યક્તિઓ સાથે તો તેમના સંબંધ ઊંડાણભર્યા તો રહેતા જ, પણ તે સિવાય તેમની સાથે પરિચયમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે પણ તેઓ કોઈ જાતના ભાર વિના સંબંધ બાંધી શકતા અને જાળવી પણ રાખી શકતા. આ વાતની સાહેદી માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે. અનુપ એન્જિનીયરિંગના કાર્યકાળ દરમ્યાન તેમને વેચાણની વાટાઘાટો માટે અતુલ લિ.ની મેનેજમેન્ટ સાથે બહુ સારો પરિચય થયો હતો. એરિશ ચાલુ કર્યા પછી શાહ સાહેબને એ જ માન અને સ્વીકૃતિ અતુલમાંથી મળ્યાં. જેના ફળ સ્વરૂપે મહદ અંશે એક જ ગ્રાહક પર નિર્ભર રહીને પણ એરિશને કામની ક્યારેય ખોટ ન પડી. એટલું જ નહીં પણ એ કામના અનુભવે આજે એરિશ મધ્ય-કદની ઓટોકલેવ માટે નિપુણ અને વિશ્વસનીય પુરવઠાકાર તરીકેનું સ્થાન ભોગવે છે.

શાહ સાહેબના સંપર્કોની મદદથી એરિશનાં શરૂઆતનાં વર્ષોમાં આવેલા ટેકનીકલ પડકારોના ઉકેલો શીખવામાં તેમજ અમલ કરવામાં મને પણ બહુ જ મદદ મળી. પ્રેસર વેસલ ઉત્પાદનને લગતા કોડ્સ વગેરેની મને જે સમજ પડી છે તે શાહ સાહેબના સંપર્કો દ્વારા જ્ઞાનના વિના સંકોચ મને થયેલાં હસ્તાંતરણને જ આભારી છે. ૧૯૯૨પછી મેં અલગ માર્ગ પર મારી કારકિર્દી આગળ ચલાવી તે પછી પણ શાહ સાહેબના એ બધા મિત્રોની મને મદદ અને માર્ગદર્શન મળતાં જ રહ્યાં.

૧૯૯૨ માં કારકિર્દીની મારી અંગત પસંદગીને કારણે અમારે વ્યાવસાયિક સ્તરે અલગ પાડવાનું થયું. એ સમયે પણ શાહ સાહેબે બહુ જ મોટું મન રાખીને પરિસ્થતિને સહજ બનાવી. એ તબ્બકે, જ્યાં સુધી તેમનો પુત્ર, રાજેશ, તેમની પડખે આવા સક્ષમ થયો ત્યાં સુધી તેમણે જે રીતે એકલા હાથે એરિશનું સુકાન બહુ જ સફળતાપૂર્વક સંભાળ્યું તે તેમની વ્યાવસાયિક કુનેહનું બહુ મોટું પ્રમાણ છે. વયની માંગ અનુસાર તેમણે એટલી જ વિરક્તિથી એરિશનો સંપૂર્ણ અખત્યાર રાજેશને સોંપી પણ દીધો અને તેમના જીવનને વધારે ધર્મમય બનાવ્યું. જીવનમાં આ બધાં પરિવર્તનો તેમણે જે સહજતાથી અપનાવ્યાં તે તેમની ધર્મપ્રત્યેની આધ્યાત્મિક કક્ષાની અનુભૂતિનું આ જીવન દરમ્યાન જ પ્રાપ્ત થયેલ ફળ બની રહ્યું.

શાહ સાહેબ અને નિર્મળાભાભી

વ્યાવસાયિક સંબંધે અમારા માર્ગ ફંટાયા તે પછી પણ શાહ સાહેબે અમારા મૈત્રીના સંબંધમાં જરા પણ ઓટ ન આવવા દીધી, બલ્કે તેને વધારે પ્રગાઢ કરી. તેમણે એરિશના બૉર્ડ પર મને આગ્રહપૂર્વક ચાલુ રાખ્યો. ૨૦૧૧ માં જ્યારે મેં મારી વ્યાવસાયિક કારકિર્દીમાંથી નિવૃતિ લીધી ત્યારે મેં તેમને એ ઔપચારિક જવાબદારીમાંથી મને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે, તેમણે જ નહીં, રાજેશે પણ ક્ષણભરનો વિચાર કર્યા વિના ‘એમ નથી કરવાનું’ કહીને હવે તો સાવ નામ ખાતર જ મને બૉર્ડ પર ચાલુ રાખ્યો. શાહ સાહેબ, અને તેમનો પરિવાર, સંબંધોને પણ કેટલું મહત્વ આપે છે તેનું આ તો હું એક બહુ સાધારણ ઉદાહરણ જ ગણું છું.

૨૦૧૧ પછી અમારા વચ્ચે એક એવી વણકહી સમજણ નક્કી થઈ હતી કે સામાન્યપણે, તેમને અનુકૂળ હોય ત્યારે, શાહ સાહેબ જ ફોન કરશે. એ વ્યવસ્થા મૂજબ એકદમ નિયમિતપણે તેમનો ફોન બે ત્રણ અઠવાડીએ અચૂક આવે અને એકબીજાના તેમજ અન્યોન્યના પરિવારના ખબરઅંતર પૂછવા ઉપરાંત બીજા કેટલાય વિષયો વિષે અમારે વાત થાય.

વધતી જતી ઉમરના હિસાબે હવે આટલી આત્મીયતાથી વાત કરી શકાય એવા મિત્રો ઘટતા જાય છે એવો સુર છેલ્લા થોડા સમયથી એમની વાતમાં આવતો રહેતો. તે વખતે એવી તો કોને ખબર હોય કે જીવનના મંચ પર એ સંવાદ કરનાર પાત્ર તરીકે તેઓ મને એકલો મૂકી જશે !

આજે આ લખતાં જ્યારે શાહ સાહેબની લાગણીની એ જ હુંફ અનુભવાય છે ત્યારે એટલો રંજ રહે છે કે અમે જે વર્ષો મુન્દ્રા હતાં એ સમયમાં કચ્છના જૈન ધર્મનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે હું તેમને ભારપૂર્વક મનાવી ન શક્યો. રંજ તો એ વાતનો પણ રહે છે કે છેલ્લાં એકાદ બે વર્ષમાં જેટલું વધારે મારે એમને રૂબરૂ મળવું જોઈતું હતું એટલું મળી શકાયું નહીં. છેલ્લે, ડિસેમ્બર ૨૦૨૫ માં, પૂણે જતાં પહેલા (મારા પુત્ર) તાદાત્મ્ય સાથે આપણે જરૂર મળીએ એવી એમની ઈચ્છા પુરી કરી શકાઈ એટલો સંતોષ માનીને મન મનાવી લેવું પડે છે.

Saturday, May 30, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ..... - ગૃહસ્થાશ્રમ

 

બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા ......થી આગળ

આઈ આઈ એમ લખનૌમાંથી જ તાદાત્મ્યને કોગનીઝન્ટ, ચેન્નઇમાં પોસ્ટીંગ મળ્યું. ત્યાં દોઢેક વર્ષનો અનુભવ લીધા પછી તાદાત્મ્યએ બેંગ્લુરુમાં હેડસ્ટ્રોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકીંગના સોફ્ટવેરના ડેવલપમેન્ટનાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું નકકી કર્યું.

નિયતિએ તાદાત્મ્ય માટે પોતાનાં કૌટુંબિક જીવનમાં પણ સ્થાયી થવાનું સાથે સાથે જ લખ્યું હશે. ૧૦મી જૂન ૨૦૦૬ના રોજ પ્રવાસીભાઈ (ઉષાકાંતભાઈ ધોળકિયા) નો તેમનાં પુત્રી ભૂમિકાનાં તાદાત્મ્ય સાથે વેવિશાળ કરવાના પ્રસ્તાવનો અમને ફોન આવ્યો. ભુમિકાએ તેમનો એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે મેડિસિનમાં એમડી કરવાનાં હતાં. અમે એ સંદેશો તાદાત્મ્યને જણાવ્યો. તેણે પણ આ પ્રસ્તાવ વિશે વધારે વિગતે વિચાર કરવા અંગે પોતાની સહમતિ દર્શાવી એટલે બન્ને પક્ષે માતા-પિતાએ આગળના સંવાદની દોર એ બન્નેના હાથમાં સોંપી દીધી. દિવાળીની રજાઓમાં તાદાત્મ્ય કોગ્નિઝન્ટમાં જોડાયા પછી પહેલી વાર મુન્દ્રા આવવાનો હતો. એ સમયે (૨૦મી ઓક્ટોબર ૨૦૦૬) તાદાત્મ્ય સીધા મુન્દ્રાની બસ પકડવાને બદલે અમદાવાદ રોકાઈ ગયો. સાંજે તાદાત્મ્ય અને ભૂમિકા એકબીજાંને રૂબરૂ મળ્યાં અને આ સંબંધ ઉપર મહોર મારવા માટે તેમની સંમતિ જાહેર કરી. એ બન્નેની 'હા'ને સગપણ્ની જાહેરાતને બન્ને પક્ષનાં માતા-પિતાઓએ બન્ને પક્ષનાં વડીલોને અન્ય સગાંસંબંધીઓને જાણ કરીને ઉજવી.

વેવિશાળને વિધિસરની મહોર મારતી સમુહરતાંની વિધિ ૨૪ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ સંપન્ન થઈ.

એ પછીથી તરત જ તાદાત્મ્યને કંપનીના ઓન - સાઈટ પ્રોજેક્ટના કામ અંગે ત્રણેક મહિના અમેરિકા રહેવાનું થયું. એ સમયે અમેરિકા સાથે અત્યારના જેવાં સંદેશા વ્યવહારનાં સરળ (અને ઓછા ખર્ચનાં) સાધનો હતાં નથી. ઈ-મેઈલની આપલે એક હાથવ્ગું સાધન હતું. તાદાત્મ્યએ તેની ત્યાંની રહેણાકની જીણી જીણી બાબતો અમને લગભગ દરરોજ ઈ-મેઈલ કરીને જણાવી. વચ્ચે વચ્ચે શનિ - રવિવારમાં અમે લોકો ફોનથી પણ વાત કરી લેતાં.

ભુમિકાનો એમડીનો અભ્યાસ પુરો થાય એટલે લગ્ન લેવાં એમ નક્કી થયું હતું તે મુજબ ૩૦ મે ૨૦૦૮ના રોજ તાદાત્મ્ય અને ભૂમિકાનાં લગ્ન સંપન્ન થયાં.

૬ ઓગસ્ટ ૨૦૧૧ના રોજે તેમના પુત્ર, અને અમારા પૌત્ર, તનયનો જન્મ થયો.

તનય - ત્રણ વર્ષની ઉમરે

જુલાઈ ૨૦૧૨માં તાદાત્મ્યની બદલી પૂણે થઈ. ત્યાં સ્થાયી થતાં થતામાં ભૂમિકા પણ ડી વાય પાટિલ મેડીકલ કૉલેજમાં જોડાયા.

આજે જ્યારે આ લખી રહ્યો છું ત્યારે તાદાત્મ્ય અને ભૂમિકા પોતપોતાની કારકિર્દીના અનેક વળાંકો પાર કરી ને હવે ઘણી સન્માનજનક કક્ષાએ પહોંચ્યાં છે.તનય પણ હવે દસમા ધોરણમાં છે.



આજના આ ત્રિભેટેથી હવે એ ત્રણેયનાં જીવન જે નવી ઊંચાઈઓ આંબશે તે સિદ્ધિઓના પ્રકાશમાં અમને ગૌરવ અનુભવવાની તક મળશે એ અમારૂં સદ્‍ભાગ્ય છે.



Sunday, May 3, 2026

મારા કાકા - કમળકાંત પ્રાણલાલ વૈશ્નવ

પ્રાણલાલ વાઘજી અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં સૌથી મોટા, કમળકાંત પ્રાણલાલ વૈષ્ણવ (કમળભાઈ), - જન્મ: ૧૯૧૬ | જન્મ: ૧૬-૯-૧૯૭૦ - મારા મોટા કાકા થાય.

એમના વિશે મારી યાદોને અહીં ઉતારવાનું શરૂ કરતાંની સાથે જ સ્મૃતિના ખૂણામાં દટાયેલી કમળભાઈની અનેક બધી યાદો મનમાં આવવા લગી. તેમાની મોટા ભાગની યાદોને શબ્દદેહમાં ઉતારવાની મારી ક્ષમતા ખૂબ જ વામણી સાબિત થઈ રહી છે....

કમળભાઈની મારી સૌથી પહેલી યાદ કમળભાઈ ઓફિસમાંથી પાછા ફરતી વખતે લલ્લુજી મહારાજના હવેલી (મંદિર) ના રહેણાંક ભાગના પહેલા માળે અમારા ઘરની બારીઓ નીચે શેરીમાં કોઈની સાથે મોટેથી વાત કરતા હોય તે તસવીર છે. તે દિવસોમાં તે અમારા - મારા પિતરાઈ ભાઈ અને તેમના નાના પુત્ર, ઉપેન્દ્રભાઈ અને મારા - માટે હવેલીના મેદાનમાં અમારી રમત બંધ કરવાનો અને શેરીમાં દોડી આવવાનો અને કમળભાઈ પાસેથી પ્રેમથી ભરપૂર ધબ્બો મેળવવા માટે પહોંચી જવાનો સંકેત હતો.

કમળભાઈ - કદાચ તેમના વીસીના દાયકામાં

ઘણા સમય પછી, મને સમજાયું કે કમળભાઈનો શેરીમાં નાટકીય પ્રવેશ ઘરની મહિલાઓ માટે એક સંકેત હતો કે તેઓ આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે રૂમ ઘરની મહિલાઓ માટે હતો તે રૂમમાં ખુલતી સીડી ચઢીને તેઓ આવી રહ્યા છે. બાપુ (મારા દાદા) પણ બહારથી આવે તો ક્યાં તો મોટા અવાજે મને બોલાવે (હું એ સમયે ઘરે હોઉં કે ન પણ હોઉં!) અથવા તો જો કોઈ મળી ગયું હોય તો તેમની સાથે મોટે મોટેથી વાતો કરતા. દિવસોમાં સામાજિક શિષ્ટાચાર અને તેમને અમલમાં મૂકવા માટે આવા સૂક્ષ્મ રસ્તાઓ શોધવા એ બહુ સાધારણ હતું !

લલ્લુજી મહારાજ હવેલી ખાતેના ઘરની નાની અગાસી પર કમળભાઈ. મને લાગે છે કે, આ ફોટોગ્રાફ તે સમયનો છે જ્યારે તેઓ કદાચ ત્રીસીમાં હશે.



એક વડીલ કાકા પાસેથી એક ખૂબ જ નાના ભત્રીજા તરીકે, મેં કમળભાઈની ચાહનાને મેં, લગભગ દરેક પ્રકારનાં, નાના મોટા, ભૌતિક તેમ જ અભૌતિક સ્વરૂપે માણી છે.

એ પૈકી એક બહુ જ લાક્ષણિક યાદ છે એ સમયની છે જ્યારે હું લગભગ પાંચ છ વર્ષનો હઈશ. તે દિવસોમાં કમળભાઈ જ્યારે પણ ભૂજ આવ્યા હોય, ત્યારે તેઓ મને તેમની સાથે તૈયાર કપડાની દુકાન, સેમસન્સ,માં લઈ જતા. 'સેમસન્સ' કમળભાઈના કરાચીના સમયના નજીકના મિત્ર, જમિયતરાયભાઈ વોરાનું એ જમાનામાં નાગરની નાતમાં અકલ્પ્ય એવું, સફળતાપૂર્વક ચલાવાતું. વાણિજ્યિક સાહસ હતું.. મારા માટે ચડ્ડી અને શર્ટ ખરીદવામાં આવે. પાછા ફરતી વખતે મને તેમની ખૂબ જ ભારપૂર્વકની સલાહ અચુક મળે - મારા માતાપિતાને મારે કહેવાનું હું તો આવી 'મોંઘી (😊) ભેટ' લેવાની જ ના પાડતો હતો, પણ કમળભાઈએ લઈ આપી' !
                            કમળભાઈ - કદાચ સુરતમાં તેમના સાથીદારો સાથે (?!)


તેમણે અમને જે અભૌતિક ભેટો આપી તેમાની એક મહત્વની ભેટ અમારામાં નિર્ભયતાની ભાવના ઠસાવવાની કહી શકાય. આખો વૈષ્ણવ પરિવાર દિવાળીમાં ભેગો થયો હોય ત્યારે તેઓ અમને - ઉપેન્દ્રભાઈ અને મને- તેમની સાથે ફટાકડા અપાવવા લઈ જાય. મને એવી ચાર દિવાળીઓ યાદ છે - એક સુરતમાં. બે વાર સિરોહી (રાજસ્થાન)માં અને એક વાર તંતી નિવાસ રાજ્કોટમાં. સુતળી બોમ્બ, લક્ષ્મી છાપ ટેટા, લાલ રંગના નાના ટેટા એવા ફટાકડા તેઓ જ પસંદ કરતા. આ ફટાકડા ફોડવા માટે મીણબત્તીઓ કે ફુલઝરી તો ન જ મળે. બોંબ અને મોટા ટેટાની વાટ દિવાસળીથી સળગાવીને કમળભાઈ અમારા હાથમાં પક્ડાવે, અને ફૂટે તે પહેલાં જ હાથમંથી કેમ ફેંકી દેવા દે તે કરાવડાવે. લાલ ટેટાની તો લુમ પણ એ જ રીતે ફોડવાની. એમની આટલી તાલીમ છતાં કોઈપણ ખતરનાક દેખાતું કામ સંપૂર્ણપણે સંકટમાં ફેરવાય તે પહેલાં કાળજીપૂર્વક તેના પર ધ્યાન રાખવું અને 'ફૂટે' તે પહેલાં છોડી દેવું એવી કુશળતા સ્વભાવમાં પુરેપુરી ન ઉતરી, પરંતુ અમારા હાથમાં નાના ફટાકડા સળગાવવા અને સમયસર છોડવાનો આત્મવિશ્વાસ જરૂર અમે ળવી શક્યા હતા. જોકે, એકવાર ફુલઝરીથી જમીનચક્કર સળગાવવાનો પ્રયાસ કરતી વખતે, ક્યાં તો મારૂ અનુમાન ખોટું પડ્યું કે ક્યાંતો જમીનચક્કર આડું ફાટ્યું, પણ મારી હથેળી દાઝી ગઈ. ત્યારથી, હાથમાં ફટાકડા ફોડવાની 'હિંમત (😊)' નાં દુ:સાહસ કરવાનું બંધ થઈ ગયું.

જ્યારે અમે રાજકોટમાં હતા (કદાચ ૧૯૬૦ ની દિવાળીમાં) ત્યારે કમળભાઈએ મને શાળામાંથી રજા લેવાનું કહ્યું. મૂળભૂત રીતે કારણ તો એક રૂમ-રસોડાના ઘરમાં,કુટુંબના વડીલ પુરુષોની હાજરીમાં મુખ્ય યજમાનની ભૂમિકા ભજવવામાં બેન (મારાં મા)ને મ્દદરૂપ થવાની ગણતરી હશે. હું વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એટલે મેં કહ્યું કે 'અમારી'' સ્કૂલમાં તો એમ રજા ન મળે. કમળભાઈએ કહ્યું કે તેઓ મને રજા માટે ચીઠ્ઠી લખી આપશે. મેં કહ્યું કે તે પણ કામ નહીં અવે. એટલે, તેઓ મારી સાથે શાળામાં આવ્યા અને સીધા અમારા તે સમયના આચાર્ય - શ્રી જયંત આચાર્ય-ની કેબિનમાં ગયા. જયંતભાઈ આચાર્યનો શિસ્તપાલનનો અગ્રહ તો આખા રાજકોટમાં દંતકથા સમાન ગણાતો. કમળભાઈ બે મિનિટમાં બહાર આવ્યા અને મારો હાથ પકડીને ઘર ભણી ચાલ્યા. મને ખબર નથી કે તે બે મિનિટમાં શું થયું હશે. પણ ઘરે પહોંચી ગયા પછી કમળભાઇએ મને એટલું જ કહ્યું કે જો તમારા આચાર્ય બીજા દિવસે તને 'ધમકાવે' કરે, તો પાછો આવીને મને જાણ કરજે. અલબત્ત, બીજા દિવસે, જ્યારે હું શાળાએ પહોંચ્યો, ત્યારે હું અંદરથી ધ્રૂજી રહ્યો હતો. જોકે, આચાર્ય સાહેબ તરફથી કાંઈ કહેણ આવ્યું નહીં. હું લગભગ એક અઠવાડિયા સુધી ચિંતા કરતો રહ્યો. પરંતુ તે વિષય પર વધુ કંઈ સાંભળવામાં આવ્યું નહીં. શું તે કોઈ ફાયરબ્રાન્ડ શિસ્તપાલકને તેમના પોતાના જેવા જ ‘કડક' માણસનો ભેટો થયો હતો, કે પછી તે કરાચી કનેક્શન હતું, પણ મારા માટે એ બર્મુડા ત્રિકોણ જેવું અકળ રહસ્ય રહ્યું.

કમળભાઈ, સવારની પૂજા પછી - આ ફોટોગ્રાફ '૬૦ ના દાયકાની શરૂઆતનો સમય લાગે છે.


ત્યાર બાદ લગભગ એક દાયકા પછી, જ્યારે અમે દિવ્યકુમારભાઈના લગ્નમાં હાજરી આપવા માટે અમદાવાદથી ભૂજ જઈ રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ, જ્યારે કમળભાઈએ ખાતરી કરી લીધી કે અમારી સાથે મુસાફરી કરી રહેલા પરિવારનું દરેક સભ્ય ગાઢ નિદ્રામાં છે, ત્યારે તેમણે તેમના મનમાં ચાલી રહેલ અનેક બાબતો વિશે વાત કરવાનું શરૂ કર્યું. લગભગ સ્વયંભૂ, એવાં તેમનાં એ એકપાત્રીય સંભાષણની શક્તિ એટલી પ્રબળ હતી કે તેઓ તો જાણે સમાધિમાં ઉતરી ગયા હોય એમ લાગતું હતું. મારી એ સમયની ઉંમરે, હું તો સાવે સાવ ડઘાઈ ગયો હતો. મેં ચોખવટ કરવાનો પ્રયાસ પણ કર્યો કે આ બધી વાત માટે હું કદાચ બહુ નાનો અને અપરિપક્વ હતો. મેં એમ પણ કહ્યું કે આ બધું તમે મને જે કહી રહ્યા છૉ તે શું છે અને શા માટે મને કહી રહ્યા છો તેને હું પુરેપુરી રીતે સમજી પણ નહીં શકું. તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો કે તેનો વાંધો નથી કારણ કે તે પોતાની જાત સાથે વિચારવાનું પસંદ કરે છે અને હું તેમના માધ્યમ તરીકે તેમની સાથે હતો તે એક સારી તક હતી. તેમણે આગળ ઉમેર્યું કે આમ પણ હવે સમય આવી ગયો છે કે હું આવી બાબતોને સમજવાનું શરૂ કરું, વ્યક્તિના વર્તન અને વાણીની (સ્પષ્ટ અને ગર્ભિત બંને) અભિવ્યક્તિઓ પરથી બીજા વ્યક્તિના મનને વાંચવાનું શીખું. એ બે ત્રણ કલાકમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા હતા તેમાંથી મોટા ભાગના તો આજે હવે એટલા દૂરના ભૂતકાળના છે કે તેને આજે હવે અહીં યાદ કરવું પ્ર્સ્તુત નથી.. ૧૯૬૦ ની તે ઘટનાના સંદર્ભમાં મને જે જીવનલક્ષી તાલીમ કમળભાઈ પાસેથી મળી તેનું મહત્વ એમણે કહેલી ઘણી વાતોનો અર્થ અને મહત્વ વર્ષો પછી જોકે મને સમજાતાં ગયાં.

તે રાત્રે તેમણે જે એક વિષય પર ચર્ચા કરી હતી તે હતો પોતાના ગુસ્સા પર નિયંત્રણ. કમળભાઈ કોઈપણ અન્યાય કે કોઈ પણ પોતાને અકારણ અસમર્થ માને તે સહન ન કરવા માટે જાણીતા હતા. તેઓ આ બાબતે તડ અને ફડ કહી દેતાં અચકાતા નહીં. સ્પષ્ટવક્તા તરીકેની તેમની છાપ સુપ્રસિદ્ધ હતી. તે રાત્રે તેમણે મને કહ્યું કે જ્યાં સુધી ચોખેચોખ્ખું બોલવાની વાત છે ત્યાં સુધી હું પણ તેમના રસ્તે જ ચાલી રહેતો હોય એવું લાગે છે. તેમણે મને ચેતવણી આપી કે ભલે હું કદાચ મારા મૂળભૂત સ્વભાવને બદલી ન શકું, પરંતુ તેમના પોતાના અનુભવોના આધારે, આવી રીતે સ્પષ્ટ બોલવાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરજે - જે સમયે ચોખ્ખેચોખ્ખું પરખાવવાથી જો સકારાત્મક પરિણામ આવવાનું હોય તો જ મનમાં જે યોગ્ય લાગતું હોય તે કહેવું. આવા સમયે જો મનમાં ગુસ્સો ભડકવાની લાગણી થતી હોય તો તેને તો ટાળવી જ. તેમણે ઉમેર્યું કે સ્પષ્ટ બોલવાનો જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં ને આવે તો, યોગ્ય સમય હોય ન હોય તો સાચું કહેવાયેલું પણ થુંક ઉડાડવા બરાબર છે. જો કહેવું જ હોય તો જ્યારે તક મળે ત્યારે જરૂર કહી દેવું. એક તો તેનાથી સામેનું માણસ કાયમ માટે 'સુધરશે' નહીં અને બીજી તરફ લોકો તમારા વર્તનની અને ભાવનાની કદર કરી શકશે નહીં અને લોકોથી અલગ થઈ જશો. [1]

                          દિવ્યકુમારભાઈના લગ્ન સમારોહમાં કમળભાઈનું ઔપચારિક સ્વાગત

હું મારી સ્મૃતિની યાદોના પ્રસંગ સંદર્ભ ક્રમમાં આગળ વધી ગયો છું. એટલે થોડા વર્ષો પાછળ જઈને ફરીથી સમયના ક્રમ મુજબ આગળ વધીએ.

જ્યારે હું ૧૧મા ધોરણમાં હતો, એ દિવાળી વેકેશનમાં મને બીજગણિત અને ભૂમિતિ માટે ઢગલાબંધ પ્રેક્ટિસ વર્ક આપવામાં આવ્યું હતું. કદાચ આ પહેલું વેકેશન હતું જ્યારે હું અભ્યાસ પ્રત્યે એટલો ગંભીર હતો કે કમળભાઈના બધા જ પ્રોત્સાહનો અને સમજાવટ છતાં પણ મેં મારૂં કામ ન જ છોડ્યું. જ્યારે કમળભાઈને મારા પરિણામનો તાર મળ્યો, ત્યારે તેઓ ખરેખર ખૂબ જ ખુશ થયા અને તેમણે પોતાનો હરખ રજૂ કરતાં લખ્યું કે મેટ્રિક (એ સમયનું ૧૧મું ધોરણ) સુધીના તેમણે મેળવેલા કુલ ટકા પણ મારા ટકા જેટલા નથી થતા ! તેમણે અમારી પેઢીની પ્રગતિ માટે ખૂબ જ પ્રેમ સાથે ઉમેર્યું હતું કે, કાં તો અમે બહુ ઠોઠ હતા કે પછી તમે બધાં ખૂબ જ તેજસ્વી છો! કમળભાઈએ એ પણ યાદ કર્યું કે તે સમયની પ્રથા મુજબ જ્યારે મેટ્રિક પરીક્ષાનું પરિણામ અખબારોમાં પ્રકાશિત થયું, ત્યારે તેમણે પરિણામ તપાસવાની તસ્દી લીધી ન હતી, કેમકે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેઓ પરીક્ષા પાસ કરી શકશે નહીં. જોકે, થોડા દિવસ પછી, જ્યારે તે કેટલાક મિત્રો સાથે કોઈ દુકાન પર ગરમાગરમ ભજીયાંની મજા માણી રહ્યા હતા, ત્યારે તે ભજીયાંનાં તેલવાળાં છાપાંના પાના પર એક નંબર તેમની નજરે ચડી ગયો. નંબર જાણીતો લાગ્યો. દુકાનમાંથી તે છાપાંના બીજા પાના શોધી કાઢ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે એ નંબર તો તેમનો મેટ્રિકનો નંબર હતો. તેમણે કહ્યું કે મારા તો માન્યામાં જ ન આવ્યું કે મેં પરીક્ષા પાસ કરી છે (😊!).

૧૯૬૭ની દિવાળી હતી. આખો વૈષ્ણવ પરિવાર અમદાવાદમાં અમારા એલ કોલોનીના ઘરે ભેગા થયો હતો. અમદાવાદમાં ૭૦ મીમી સ્ક્રીનવાળા બે થિયેટર, નટરાજ અને રૂપાલી, નવાં જ બમ્યાં હતા. તે દિવસોમાં નટરાજ ફક્ત અંગ્રેજી ફિલ્મો જ આવતી. તેથી, એવું આયોજન કરવામાં આવ્યું હતું કે પરિવારના ફક્ત પુરુષો જ નટરાજની મુલાકાત લેશે અને પછી બીજા દિવસે આખો વૈષ્ણવ પરિવાર રૂપાલી પર ચડાઈ કરશે. હું અને ઉપેન્દ્રભાઈએ એક દિવસ પહેલાં ટિકિટ ખરીદી આવ્યા. મને યાદ નથી કે રૂપાલીમાં કઈ ફિલ્મ અમે લોકોએ જોઈ, પણ નટરાજમાં અમે (ચાર્લ્ટન હેસ્ટન અને લોરેન્સ ઓલિવિયર અભિનીત) ખાર્તુમ જોઈ હતી.

જ્યારે હું એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન કોર્સમાં જોડાયો, ત્યારે કમળભાઈ સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ હતા અને પછી હંમેશા એ દિવસની રાહ જોતા હતા જ્યારે હું મારું ગ્રેજ્યુએશન પુરૂં કરૂ. જોકે, નિયતિએ કંઈ અલગ જ વિચાર્યું હતું. મારા એન્જિનિયરિંગ અભ્યાસના છેલ્લા સેમેસ્ટરમાં હું ત્યારે હોસ્ટેલમાં હતો. એક દિવસ, હોસ્ટેલમાં મારો એક મિત્ર પોસ્ટમેન સાથે તાર લઈને મારા રૂમમાં આવ્યો. ટેલિગ્રામમાં લખ્યું હતું:

હું તરત જ એલ કોલોની ગયો અને મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના માતાપિતાને સમાચાર આપ્યા અને ત્યાંથી લાલ મિલ્સ કોલોનીમાં (કમળભાઈનાં મોટી દીકરી) દેવીબેનને સંદેશ પહોંચાડવા ગયો. ત્યાં પહોંચ્યા પછી જણાયું કે તેમને સંદેશ મળી ગયો છે અને તેઓ સુરત જવા માટે રવાના થઈ ગયાં છે.

જ્યારે હું રેલ્વે સ્ટેશન પહોંચ્યો, ત્યારે મને ખબર પડી કે નર્મદા અને તાપી પૂરને કારણે રેલ અને રોડ ટ્રાફિક ઠપ થઈ ગયો છે. હવે મને ચિંતા હતી કે ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ) પરિવાર, મોટા અમ્મા (મારાં દાદી) સાથે અમદાવાદ પહોંચ્યા પછી સુરતની મુસાફરી કેવી રીતે કરશે. મેં એક દિવસ રાહ જોઈ. પણ એ તો ઘાસની ગંજીમાં તણખલું શોધવા જેવું કામ હતું. બીજા દિવસે, વહેલી સવારથી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી, મેં પણ સુરત જવા માટે એસ ટીની બસ પકડી. બસ રાજપીપળા થઈને લાંબો ચકરાવો લેવાની હતી અને લગભગ દસ અગિયાર કલાકની મુસાફરી પછી સુરત પહોંચી શકી. 

સુરત પહોંચ્યા પછી, મને ખબર પડી કે મહેશભાઈને દિવ્યકુમારભાઈ તરફથી કમળભાઈની તબિયત અચાનક ખરાબ થવાનો ટ્રંક કોલ મેસેજ મળ્યો હતો. મહેશભાઈ અને બેનને પણ નવસારી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી સુરત માટે બસ મળી હતી. સામાન્ય રીતે નવસારી સુરતની બસની મુસાફરી એકાદ કલાક લે તેને બદલે લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો. જોકે, મહેશભાઈને કમળભાઈ સાથે એક રાત મળવાનો મોકો મળ્યો. બીજા દિવસે સવારે, ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ, કમળભાઈનું અવસાન થયું. મહેશભાઈએ મને એ પણ જણાવ્યું કે કમળભાઈ છેલ્લા ચાર મહિનામાં બે વાર એક એક દિવસ માટે નવસારી આવ્યા હતા. અલબત્ત, તે મુલાકાતો માટે કમળભાઈનું મિશન શું હતું તે મને ક્યારેય જાણવા ન મળ્યું.

મહેશભાઈએ પૂજામાં મુકેલો કમળભાઈનો ફોટો

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ની રાત્રે મહેશભાઈ સાથેની મારી છેલ્લી મુલાકાતમાં પણ નિયતિએ મારા માટે આવી જ યોજના લખી હતી, જ્યારે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

હવે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે નિયતિના ચિત્રપટ પર એક જે તસવીર ઊભરી છે તેમાં દેખાય છે કે:

SSC પરીક્ષા પાસ કર્યા પછી મારા દાદાએ મને કાંડા ઘડિયાળ આપવાનું આયોજન કર્યું હતું, પરંતુ SSCના પરિણામના થોડા મહિના પહેલા જ તેમનું અવસાન થયું.

કમળભાઈ મારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન માટે ખૂબ ઉત્સુક હતા. તેમનું પણ મારાં પરિણામના થોડા મહિના પહેલા અવસાન થયું.

મહેશભાઈ મારા ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત હતા. મેં તેમને મૌખિક રીતે ખાતરી આપી હતી કે હવે બધું 'સલામત માર્ગ' પર છે, પરંતુ તેમની ચિંતા દૂર થયેલી જોવા માટે તેઓ નહોતા રહ્યા.

તેમના છેલ્લા દિવસોમાં ગોરાકાકાને મળવા જવામાં કોવિડ આડો ફાટ્યો.

પૂર્ણિમાકાકીએ તાદાત્મ્યના લગ્નના દરેક પ્રસંગની ઉજવણી માટે ઝીણવટભરી યોજના બનાવી હતી. પરંતુ જ્યારે તે પ્રસંગો તેમની ઇચ્છા મુજબ યોજવામાં આવ્યા ત્યારે તે પણ ત્યાં નહોતાં.

નિયતિએ મોટા અમ્મા, પ્રવિણાકાકી અને પછી બેનના અંતિમ સમયને લંબાવીને કહી દીધું કે આપણે બધાં તો સર્વોચ્ચ દિગ્દર્શકના હાથની કઠપૂતળી છીએ અને જીવનના રંગમંચ પર ફક્ત આપણને સોંપાયેલા પાત્ર આપણે ભજવવાનાં છે….......

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો …

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે …



[1] યોગાનુયોગ, એવી સલાહ મને ૧૯૭૩માં બિઆઈટીએસ છોડતી વકહ્તે  મારા મેજેજરિયલ ઈકોનૉમોક્સના પ્રોફેસર આર જી તગતે પણ આપેલીઃ


Sunday, March 22, 2026

મારાં મા - કિરણા મહેશ વૈષ્ણવ -- ભાગ ૧ઃ ૧૯૮૩ પહેલાં

 

મારી પાસે ફોટોગ્રાફ્સનું મારી ઉમરથી પણ વધારે જૂનું એક આલ્બમ છે. એ આલ્બમમાં મારાં માના લગ્ન પહેલાંના પોટ્રેટ ફોટોગ્રાફ છે. લગ્ન પહેલાં મારાં મોસાળમાં તેઓ તેમનાં 'કિરણા' નામને બદલે 'કરમા' (પિતાઃ મૂળશંકર મકનજી છાયા અને માતાઃ ધીરજબેન)નાં નામથી ઓળખાતાં હતાં. જ્યારે અમે મોસાળ જતાં ત્યારે એ સમયકાળના બીજા પણ કેટલાય ફોટોગ્રાફસ જોતાં તે મને યાદ આવે છે.  તે સમય ૧૯૫૬ પહેલાંનો હતો. ૨૦૦૧માં કચ્છમાં આવેલા મોટા ભૂકંપ પહેલાંના એ ભૂકંપ પછી અમારી યાદો સાથે ઘણી સંકળાએલી મોસાળની ઘણી જૂની વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ૨૦૦૧ના ભૂકંપમાં તો મોસાળનું એ ઘર જ સાવ નામશેષ બની ગયું.

એ દિવસોમાં સાંજનું જમવાનું પતી જાય એટલે કુટુંબનાં બધાં સભ્યો દિવાનખંડ સમાન મોટા રૂમમાં એકઠાં થાય. એ સમયે છેડાતા વાતોના વિષયોમાં આ જૂના ફોટોગ્રાફસ્ સાથે સંકળાયેલી વાતોની ચર્ચા મંડાય. સામાન્યપણે આવાં કથાનકનું નેતૃત્વ મારા મામા. મધુમામા (મધુકાંત મૂળશંકર છાયા) કરતા. આ ફોટોગ્રાફ્સમાંના બહુ ઘણા ફોટોગ્રાફ્સ એમણે લીધેલા હતા. પરિવારના અન્ય તમામ વરિષ્ઠ સભ્યો એ વાતો સાથેની અનેક પૂરક માહિતી અને સાથે જોડાયેલી નાની નાની યાદોને તેમાં ઉમેરતાં જાય.



તે જૂના ફોટો આલ્બમનું મારું એક સ્મરણ  બેન (મારા માને અમે એ નામથી બોલાવતા) અને મહેશભાઈ (મારા પિતા) ના લગ્ન પછી પડાવાતા પરંપરાગત પોટ્રેટ ફોટોગ્રાફનું છે.



જોકે રાજકોટનાં શરૂઆતનાં વર્ષો સુધીની જે કંઈ યાદો મેં અહીં ઝીલી છે, તે બધી ક્યાં તો મારાં અવચેતન મનનાં ઊડાણમાં સંગ્રહાયેલ છે કે પછી મેં પછીથી ઘણીવાર સાંભળી છેએટલે યાદોમાં સચવાઈ છે. પણ આ બધી યાદો સાથે સંકળાયેલી મનનાં એ પડોમાં કોઈ છબીઓ હશે તો પણ આંતરચક્ષુ સામે આવી નથી રહી.

બેન સાથે, (વાળ ઉતરાવ્યા પહેલાંનો) હું

આ તસવીર વાળ ઉતરાવવાની વિધિ થાય એ પહેલાં મારા લાંબા વાળ સાથે સંકળાયેલી બેન સાથેની કદાચ મારી સૌ પહેલી યાદ કહી શકાય. મને યાદ છે કે, મને નવરાવતી વખતે જ્યારે બેન મારા વાળ ધોવાની હોય ત્યારે હું મોટેથી ભેંકડા તાણતો અને બેનની પકડમાંથી છટકીને અમારાં પડોશી રંજનફઈનાં ઘરમાં શરણ લેતો. જોકે, તે છટકબારી શાહમૃગવૃતિ જ પરવડતી, કેમકે બેન એટલી જ ઝડપથી પાછળ પાછળ આવી જતી અને, સાબુવાળા હાથેથી જ, મારી ટીંગડી પકડીને પાછી લઈ જતી અને વધારે ભારથી ઘસીને રેડાતાં પાણી સાથે પોતાનો ગુસ્સો પણ ઠાલવતી.

હું ચાર કે પાંચ વર્ષનો થયો તે પછી જ્યારે પણ બેન ઉછરંગમાસી અથવા ભાનુમાસી (એમનાં મોટાં બહેનો) ને મળવા જતી, ત્યારે હું અક્ષય અને જસ્મિન (ભાનુમાસીના પુત્રો) સાથે રમવા માટે પાછળ રોકાઈ જતો. જોતજોતામાં, હું મોટા ભાગનો સમય ભાનુમાસીના ઘરે જ કાઢવા લાગ્યો - શરૂઆતમાં બેન મુકી જતી, પણ પછીથી હું જાતે જ દોડી જતો. બપોરનું જમવાનું પતાવતાં વેંત ભાનુમાસીના ઘરે પહોંચી જવું અને સાંજે જમવાનો સમય થાય તે પહેલાં પાછા આવવું એ મારો રોજિંદો નિત્યક્રમ બની ગયો. એક દિવસ, બેન ઉછરંગમાસીના ઘરેથી પાછી આવતી હશે ત્યારે અક્ષય અને જસ્મિન જે શાળામાં ભણતા એ શાળાના શિક્ષક, શ્રી મૂળવંતરાયભાઈ વૈદ્ય, બેનને રસ્તામાં મળી ગયા. તેમણે બેનને જણાવ્યું કે અક્ષય અને જસ્મીન સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ તેમની શાળામાં ભણી રહ્યો છું, અને હવે સમય આવી ગયો છે કે મને એક સ્લેટ, પેન વગેરે અને પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી હું વિધિપુરઃસર શાળાભ્યાસમાં જોડાઈ શકું. મને યાદ નથી કે બેને આ આશ્ચર્યજનક સમાચાર કેવી રીતે લીધા હશે. પરંતુ, લગભગ બીજા જ દિવસે હું બાળશાળામાં પહેલા ધોરણનો વિદ્યાર્થી બની ગયો હતો.

મારાં પ્રાથમિક શાળાના એ અભ્યાસ ઉપરાંત, મહેશભાઈએ શરૂ કરેલ વિવિધ પ્રકારના અભ્યાસેતર વાંચન[1]ના સતત પ્રવાહે મારૂં પાયાનું ઘડતર કર્યું. 

ત્યારબાદ મારો વિકાસ સહજ કુદરતી માર્ગ પર થતો ગયો. જો કે, બે બાબતો એવી હતી જેમાં બેનનો કેડો મેં પકડી રાખો હતો. એક પ્રવૃતિ તો હતી ઉછરંગમાસીના ખુલ્લા આંગણામાં રમતી વખતે મને થતી રહેતી નાની નાની ઇજાઓ. એ એટલું સામાન્ય બની ગયું હતું કે બેને ઉછરંગમાસીના ઘરમાંજ  પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ રાખી મુકવાનું ગોઠવ્યું  અને અક્ષય/જસ્મીન અને મને વાદળી રંગની દવા લાડેલું રૂ એ ઉઝરડાઓ પર લગાડી દેવાનું શીખવી દીધું. બીજું કારણ હતું મને અવારનવાર આવી જતા મેલેરિયાના તાવનું હતું. કોઈ પણ સંકેત વિના તાવ વધી જતો હતો અને બેને બધું કામ પડતાં મુકીને મને ડૉક્ટર દેસાઈના ક્લિનિકમાં લઈ જવો પડતો. પછીથી  મુક્તાફાઈ (મારાં દાદી, મોટા અમ્માનાં બહેનનાં દિકરી) માંડવીમાં તેમનાં ઘરની બાજુમાં આવેલાં જૈન મંદિરમાંથી નિયમિતપણે કડુ કરીયાતુનો ઉકાળીને બનાવેલા કાડાના બાટલા લગભગ દર અઠવાડીયે એકના હિસાબે અમને પહૉંચાડવા લાગ્યાં અમે ભુજ છોડ્યું ત્યાં સુધીનાં ત્રણેક વર્ષો મેં કડુકરિયાતુના  બાટલાઓને બાટલાઓ પીધા અને મેલેરિયાથી છુટકારો પામ્યો.

૧૯૫૬માં બેનને અણધારી કટોકટીનો સામનો કરવો પડ્યો. મહેશભાઈને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. તીવ્ર એપેન્ડિસાઈટિસનું નિદાન થયું અને તેમને સર્જરી માટે જામનગર લઈ જવામાં આવ્યા. મને લાગે છે કે બેનના પક્ષે ઉછરંગમાસી અને મહેશભાઈના પક્ષે મોટા અમ્માના મોટા બહેનના જમાઈ ચમનલાલફુઆએ જામનગરની અમારી હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરી હતી. જામનગરમાં, બેનના પક્ષે ધનામાસી અને પ્રદ્યુમ્નભાઈ (અનુક્રમે બેનનાં મોટાંબેન અને તેમના પતિ) અને મહેશભાઈના પક્ષે, રાચીના દિવસોમાં કમલભાઈ (મહેશભાઈના મોટા ભાઈ) ના નજીકના પરિચિતો રમણિકભાઈ મંકોડી અને રિડાણી પરિવારે આ કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. મને બરાબર યાદ નથી કે ગોરાકાકા (મહેશભાઈના નાના ભાઈ) ભૂજથી અમારી સાથે જોડાયા હતા કે જામનગરમાં અમારી સાથે જોડાયા હતા.

મને આ વાત યાદ છે એટલો હું નાનો હોઈશ, એટલે કે લગભગ ૧૯૫૫થી '૫૭ - '૫૮ના વર્ષોની આ વાત છે. બેન અને મહેશભાઈના ખાસ મિત્ર મહેન્દ્રભાઈ રાણાનાં બહેન અને તે કારણે બેનનાં પણ સહિયાર  ઉષાબેન (ધોળકિયા) અમારાં ભૂજનાં ઘરની પાછળ જ આવેલી મોડર્ન ટોકિઝમાં દર અઠવાડીયે પંદર દિવસે જનાના શૉ[2]માં ફિલ્મો જોવા જતાં. નાગીન, જનમ જનમ કે ફેરે જેવી બે એક ફિલ્મોનાં નામ પણ મને યાદ આવે છે. 

૧૯૫૯ના પહેલા ભાગમાં, મહેશભાઈને રાજકોટ ખાતે કૃષિ કચેરીમાં જોડાવાનો ટ્રાન્સફર ઓર્ડર મળ્યો. શરૂઆતમાં, અમારે મનહર પ્લોટના સાવ છેડાના હજુ વિકસી રહેલા વિસ્તારમાં એક નાના એક રૂમ-રસોડાના ઘરમાં રહેવું પડ્યું. ભુજમાં, બેન સૂકા લાકડાં વડે ચૂલા પર રસોઈ કરતી. જોકે, રાજકોટમાં હવે તેણે સગડી અને બળતણ તરીકે હાર્ડ કોક સાથે ગોઠવાવું પડ્યું. સગડીનાના ગેલ્વેનાઈઝ્ડ પતરાનાં બોડી પર માટી અને હાર્ડ કોકના ભૂકાઓનો જાડો લેપ લીંપવા પછી સગડી રસોઈ માટે કામ આવે. હાર્ડ કોક મોટા ગઠ્ઠામાં પણ મળતો. તેથી, પડોશની અન્ય મહિલાઓ સાથે મળીને આ ગઠ્ઠાઓને નાના નાના ટુકડાઓમાં ભાંગવાનું કામ પણ બેને શીખવું પડ્યું. આ હાર્ડ કોકના ટુકડાઓને સગડીમાં પેટાવવાનું કામ પોતે જ એક મુશ્કેલ કામ હતું. હાર્ડ કોક બરાબર આગ ન પકડે ત્યાં સુધી સગડીઓને ઘરની બહાર હવામાં મુકવામાં આવતી. સવાર સાંજ બધાં ઘરોની બહાર સગડીઓની આવી લાઈન જોવા મળે. સગડી બરાબર પેટે એટલે તેને સાણસીમાં ઝાલીને રસોડામાં ઉંચકી જવી પડે.

રાજકોટમાં ઘરકામના તે શરૂઆતના મુશ્કેલ સમયમાં, મને એક ખૂબ જ રમુજી ઘટના યાદ આવે છે. હું, પડોશના અન્ય છોકરાંઓ સાથે હું પણ રમતો હતો. વડીલોને અમારી એ રમત વધારે પડતું તોફાન લાગી હશે. જેમ આવા કિસ્સાઓમાં થાય છે, તેમ સામાન્ય ઠપકાથી કંઈ વળતું નહોતું. બેનને એમ લાગ્યું કે હું પણ ન માનવાની હદ પાર કરૂં છું. કદાચ તોફાની ટોળાનું હું નેતૃત્વ કરતો હોવાનું પણ એને લાગ્યું હશે.  એટલે મને સરખી વઢ પડી. અન્ય મહિલાઓને એ થોડું વધારે કઠોર લાગ્યું હશે, એટલે કોઈએ બેનને કહ્યૂં કે મોટી બહેનની સંભાળ હેઠળ રહેતા, મા વગરના, નાના ભાઈ સાથે આટલું કઠોર ન થવું જોઈએ. મહિલાઓએ મારા બેનના સંબોધનને કારણે બેનને મારી મોટી બહેન માની લીધી હતી!  ઘણા વર્ષો પછી, લાલ મિલ કોલોની (અમદાવાદ) માં અથવા નવસારીમાં, અમે જ્યારે નવાં નવાં હોઈએ ત્યારે પાડોશીઓ  બેનને મારી મોટી બહેન સમજી બેસવાની ભૂલ કરે એ અસામાન્ય નહોતું - કદાચ અમારી વચ્ચે ફક્ત અઢારેક વર્ષનો ફરક હતો અને બેનની દેખાતી ઉમર કરતાં હું કદાચ વધારે મોટો લાગતો હોઈશ.

પછીના વર્ષોમાં મારો ઉછેર તો પોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયો. એટલે કદાચ મા તરીકે અને રોજિંદા ઘરકામના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતી ગૃહિણી તરીકેની દિનચર્યા બેન માટે સહજ બની ગઈ હતી. એવામાં પણ મને બે ઘટનાઓ યાદ આવે છે જેણે બેનની મા તરીકે અને એક વ્યક્તિ તરીકે કસોટી કરી.

મને યાદ છે ત્યાં સુધી એ સમય ડિસેમ્બર ૧૯૬૧નો હતો. ત્રણેક વર્ષના મારા નાના ભાઈ સંજયને અચાનક જ  મેનિન્જાઇટિસનું નિદાન થયું અને તેને સિવિલ હોસ્પિટલ; અસારવા, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. થોડા દિવસો માટે તેની ખૂબ જ ગંભીર રહી. માંદગીની ગંભીરતા જ મહેશભાઈ અને બેનની લાગણીઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી રહી હતી, તેમાં પણ ઘણી આકરી જણાતી સારવારને કારણે એમના પર જે શારીરિક, માનસિક અને આર્થિક દબાણ હશે  તે મારી એ ઉમરે પણ મને સમજાતું હતું.  તે દિવસોમાં, બેનને લાલ મિલ્સથી સિવિલ હોસ્પિટલ સુધી AMTS બસ સેવા દ્વારાઅવર જવર કરવી પડતી. મોટે ભાગે કોઈ સાથે હોય એવું બનતું પણ ઘણી વખત પોતે એકલાં પણ આવવું જવું પડતું. તેમાં પાછો અત્યાર સુધીનો તેનો ઉછેર તેને આવા અનુભવો માટે તૈયાર કરી શકે તેવો પણ ન કહી શકાય. લાલ મિલ્સ ખાતે અમારા અન્ય પરિચિતો અને ખાસ તો દેવીબેન અને નરેશભાઈ (મારા પિતરાઈ બહેન અને મારા કાકા, કમળભાઈનાં મોટાં દીકરી અને તેમના પતિ) ખૂબ મદદરૂપ થયાં.

બીજો બનાવ ફરીથી મારા (ખોટાં) સાહસો સાથે સંબંધિત છે. આ ઘટના ૧૯૬૨ ના અંતમાં બની હતી. એક સાંજે હું ખૂબ જ લોહીલુહાણ ચહેરા સાથે દોડતો દોડતો ઘરે આવ્યો. થયું એવું હતું કે અમે પાટીયાંને ક્રિકેટ બેટ બનાવીને અમારી દેશી શૈલીથી હોકી રમી રહ્યા હતા. એક ખેલાડીના હેઠળથી બોલને બહાર કાઢવાનો હું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું બેટ મારા માથા પર વાગ્યું. મારી ડાબી આંખની નજીક ખોપરીની ધારને ગંભીર ઇજા પહોંચી હતી. આવી કટોકટીમાં બેને, કોઈક રીતે, પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખી હશે, કારણ કે અમારે નજીકના જનરલ ફિઝિશિયનના ક્લિનિક સુધી પહોંચવા માટે લગભગ એક કિલોમીટર જેટલું દોડવું પડ્યું હતું. તાત્કાલિક સારવાર પછી, એટલું નક્કી થયું કે બહુ જ થોડાક ફરકથી, અને નસીબથી, મારી ડાબી આંખ ગંભીર જોખમમાં નથી. હું લગભગ અઠવાડિયામાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. તે પછી વલ્લભ વિદ્યાનગર (૧૯૬૫) માં મારા પ્રિ-સાયન્સના વર્ષમાં, NCC માં પ્રવેશ દરમિયાન તબીબી તપાસ દરમિયાન, ખબર પડી કે એ ઇજાને કારણે ડાબી આંખે માઈનસ ૪ નંબરના અને જમણી આંખે ઝીરો નંબરના ચશ્માની જરૂર હતી. મેં આટલા વર્ષોથી તે ડાબી આંખ પાસે થયેલા ઘાના ડાઘનો ઉપયોગ મારા ઓળખ ચિહ્ન તરીકે કર્યો છે અને આ નંબરવાળા ચશ્મા સાથે ખુશીથી જીવી રહ્યો છું!

મારૂં એવું માનવું છે કે ભૂજનાં વર્ષોથી બેનનાં મોટી બહેન, ઉછરંગમાસીના માર્ગદર્શન હેઠળબેન તેના માતૃ પક્ષના મામલાઓમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતી રહી.  રાજકોટમાં અમારા રોકાણ દરમિયાન મને તે વિષેની કોઈ ખાસ યાદો નથી, પરંતુ મને એટલું જરૂર યાદ છે કે લાલ મિલ્સ કોલોનીના સામાજિક વર્તુળમાં બેન ખૂબ સક્રિય હતી. લાલ મિલ્સ ખાતે નાગરી ન્યાતની અન્ય ગૃહિણીઓસાથે મળીને બેને બે ત્રણ વાર, આપણાં પરંપરાગત દાળ, ભાત અને ઓસામણનાં જમણોનું નિયમિતપણે આયોજન કર્યું. તે પછી, પહેલા H કોલોની અને પછી L કોલોનીના અમારા રહેવાસ દરમ્યાન પણ બેન નાગર સમાજનાં વર્તુળોમાં સક્રિય ભૂમિકા ભજવતી રહી. અહીં, બેને સુરતમાં મારા કાકા કમળભાઈનાં ઘરની મુલાકાતોમાંથી પ્રવિણાકાકી, ત્યાંના પડોશી કુસુમબેન અને કમળભાઈના મિત્ર રમણિકભાઈ અંતાણી પાસેથી શીખેલ ઊંધિયાની વાનગીનો દાળ, ભાત અને ઓસામણનાં જમણમાં ઉમેરો કર્યો.

અમારા H કોલોનીના વર્ષો દરમિયાન, બેને ઉછરંગમાસીનાં દીકરી પૂર્ણિમાબેનના પહેલા પુત્ર, તિમીર, દેવીબેનની પહેલી દીકરી પુત્ર, ગાયત્રી (કૌમુદી, તેનું પૈતૃક પક્ષનું નામ) અને બેનનાં મોટાં બહેન ભાનુમાસીનાં સૌથી મોટી પુત્રી, મનુબેન (સત્તાવાર નામઃ મૃદુલાબહેન) ના પહેલા પુત્ર, કિંજલ્ક (હવે, સ્વર્ગસ્થ) ના જન્મ દરમિયાન વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી.

મહેશભાઈ, પાંચ-છ વર્ષનો સંજય અને બેન - સ્થળ અજ્ઞાત

મહેશભાઈના મને પ્રિ - સાયન્સના અભ્યાસ માટે વલ્લભ વિદ્યા નગર મોકલવાના નિર્ણયમાં પણ બેનની ભૂમિકા સકારાત્મક સહાયકની રહી. તેમણે પરિવારમાં ગૃહિણી તરીકેની, અને વ્યક્તિગત વિકાસના માર્ગ પર કુદરતી રીતે ઉછરતા પુત્રની માતાની, ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી. એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં મારા હોસ્ટેલમાં રહેવાના, મહેશભાઈની નવસારી બદલી થઈ અને મને BITS પિલાણી મોકલવાના નિર્ણયોમાં બેનની ભૂમિકા હંમેશાં પ્રોત્સાહક રીતે સહાયકની રહી.



મારાં લગ્ન બાબતે બિનપરંપરાગત કહી શકાય એવા નિર્ણય[3] લેવાના સમયે પણ બેનની ભૂમિકા સકારાત્મક રહી.

સુસ્મિતા અને મારા લગ્નના ભોજન સમારંભમાં

મહેશભાઈ દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા) માં રજિસ્ટ્રાર તરીકે સ્થળાંતર થયા ત્યારે બેન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પત્ની તરીકેની પોતાની સત્તાવાર ભૂમિકામાં પણ બહુ સહજપણે ગોઠવાઈ જવાની સાથે  પરિવારના મુખ્ય કાર્યકારી વડા તરીકેની ભૂમિકા પણ ભજવતી રહી.

કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એક ઔપચારિક મેળાવડામાં બેન અન્ય મહિલાઓ સાથે

દાંતીવાડા ખાતેનાં એક પારિવારિક આઉટિંગમાં JPV અને MPV પરિવારો

તેમના જીવનના તે તબક્કા સાથે, બેનનાંના સ્વાસ્થ્ય અંગે આવેલી પહેલી મોટી સમસ્યા પગના સાંધામાં કેલ્શિયમ જમા થવાની હતી. જે તેની સાથે જીવનભર રહી. થોડા સમય બાદ આમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરએસીડીટીનો ઉમેરો થયો.

જોકે, એકંદરે, જીવન સ્થિર અને સરળ રીતે ચાલી રહ્યું હતું.

એવામાં, અચાનક, મહેશભાઈનું ૧૮ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજ અવસાન થયું.



[2] ભૂજમાં એ સમયમાં બપોરના બાર થી ત્રણનો શૉ ખાસ સ્ત્રી પ્રેક્ષક વર્ગ માટે રહેતો. કદાચ ટિકિટ પણ થોડી ઓછી હોતી હશે. આખું થિયેટર બનેનો વાતો અને છોકરાંઓના કલબલાટથી ગુંજતું હોય. એમ કહેવાતું કે પછીના શૉમાં પ્રેક્ષકોને જે ભાગમાં બહેનો બેઠી હોય એ ભાગ કરૂણ ફિલ્મો જોતાં જોતાં વહેલાં બહેનોનાં આંસુઓથી ભીનો અનુભવો પડે. એ સમયમાં ભૂજમાં સૌથી ઓછી ટિકિટ 'પટ' તરીકે ઓળખાતા ક્લાસની રહેતી. એ ભાગમાં સીટો ન હોય, એટલે  'પટ' કહેવાતો. જનાના શૉ પછી એ ક્લાસમાં આવનાર પુરુષ પ્રેક્ષક વર્ગને છોકરાંઓએ ઢોળેલાં પાણી અને રોતાં રોતાં કરી લીધેલાં 'મૂતર'ની ભીનાશ વેઠવી પડતી. એ સમયની સીટો એવી રહેતી કે તમે ઊભાં થાઓ એટલે સીટ આપોઆપ વસાઈ જાય. છોકરાંઓ એમાં ખાસ ફસાતાં - હું અને નૈષધ પણ એમાંથી બાકાત નહોતા રહેતા.