Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Thursday, December 18, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ: બીજો તબક્કો - અમદાવાદઃ લાલ મિલ કોલોની અને એચ કોલોની - ૧૯૬૧ થી ૧૯૬૬

 માર્ચ ૧૯૬૧ની આસપાસ મહેશભાઈની બદલી અમદાવાદ થઈ. મારામાં હજુ નહોતી તો એટલી સમજણ આવી કે નહોતી તો એટલી પરિપક્વતા કે હું રાજકોટ કે અમદાવાદ રહેવાની (અ)મારી જીવનશૈલી કે વિચારસરણી પર શું અસર પડે તે વિચારી શકું. મારા માટે તો સૌથી મોટી વાત એ હતી કે રાજકોટથી અમદાવાદની ટ્રેનની મુસાફરી અમે જીવનમાં પહેલ વહેલી વાર  ફર્સ્ટ ક્લાસમાં કરવાનાં હતાં. જોકે, મુસાફરીના આગલા દિવસે જ એ આનંદ રોળાઈ ગયો.  બન્યું એવું કે આ જે પર્સમાં ટિકિટો રાખી હતી એ પર્સ પણ ટ્રકમાં લઈ જવાના સામાનમાં પેક થઈ ગયું હતું. તેથી, મહેશભાઈએ, હવે પોતાના ખીસ્સાના ખર્ચે, નવી ટિકિટો ખરીદવી પડી.

મહેશભાઈની બદલી થઈ ત્યારે હું ૭મા ધોરણમાં હતો. શૈક્ષણિક વર્ષની બધી પરીક્ષાઓ દરમિયાન દરેક વિષયમાં અમુક ટકાવારી કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને વિરાણી હાઈસ્કૂલમાં અંતિમ પરીક્ષામાં હાજર રહેવામાંથી છૂટ હતી. પરંતુ છેલ્લી પરીક્ષામાં ગણિતમાં મને ઓછા માર્ક આવ્યા. એટલે મારે એક વિષયની વાર્ષિક પરીક્ષા તો આપવી પડે તેમ હતું. મહેશ્ભાઈ માટે નવી જગ્યાએ જોડાવામાં મોડું કરવું શક્ય નહીં હોય, અને અમારે મારી ગણિતની પરીક્ષા પતે ત્યાં સુધી એકલાં પાછળ રાજકોટ રહી જવાનું પણ શક્ય નહીં હોય એટલે એમ નક્કી થયું કે પહેલાં તો અમદાવાદ પહોંચી જવું. 

જ્યારે રાજકોટ જવાનો સમય આવ્યો, ત્યારે મહેશભાઈએ નક્કી કર્યું કે મારે એકલા જવું જોઈએ. મહેશભાઈએ એવી ગોઠવણ કરી કે તેઓ અમદાવાદના બસ સ્ટેશને મુકવા અને પછી લેવા અને બચુભાઈ (બકુલભાઈ ડોલરરાય વૈદ્ય, જેનો ઉલ્લેખ પહેલા કર્યો છે એ મુક્તાફાઈના પુત્ર ) મને રાજકોટ બસ સ્ટેશન પર લેવા અને મુકવા આવે. બસમાં ખાવા માટે મને ટીમણ સાથે આપ્યું હતું, એટલે વચ્ચે ક્યાંય બસમાંથી ઉતરવાનો તો પ્રશ્ન જ નહોતો. રાજકોટમાં હું જનાર્દનભાઈ વૈદ્યને ઘરે રહ્યો. આમ દેખીતી રીતે મેં રાજકોટની બસ મુસાફરી અને એક વિષયની વાર્ષિક પરીક્ષા સ્વબળે આપી. જોકે, પશ્ચાત નજરે જોઊં છું તો એમ કહેવાનું મન થાય છે કે આ પહેલો પ્રસંગ હતો જેમાં મહેશભાઈએ મારા પગ પર ઊભા રહેવાની મારી ક્ષમતા પર પોતાનો વિશ્વાસ મૂક્યો, અને મેં તેમને નિરાશ પણ ન કર્યા.

તે સાથે એટલું પણ હવે કહી શકાય તેમ છે કે એ નિર્ણયે મને મને સ્વતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછીથી જ્યારે બે બસ બદલીને એચ કોલોનીથી ગોમતીપુરમાં શાળાએ જવું પડ્યું, કે મારાં પ્રિ. સાયન્સનાં (વર્ષ વર્ષ ૧૯૬૫ - ૬૬) દરમ્યાન વિદ્યાનગર સુધી જાતે આવજા કરવી પડી અને હોસ્ટેલમાં રહેવું પડ્યું ત્યારે મને અને મહેશભાઈને, તેમજ બેનને પણ, મારી ક્ષમતા પર પૂરો વિશ્વાસ હતો કે હું બધે પહોંચી વળીશ.

અમદાવાદમાં અમારું પહેલું ઘર પૂર્વ અમદાવાદમાં, ગોમતીપુર નજીક આવેલ, રાજપુર - હીરપુર (લાલ મિલ્સ) સરકારી વસાહતનું એક રૂમ રસોડાનું ક્વાર્ટર હતું. અહીં હું ખરેખર મારા સમવયસ્ક મિત્રોના સાથમાં આવ્યો અને શરીરને કસે એવી બહારી, ખડતલ, રમતો રમતો થયો. મહેશભાઈએ ગોમતીપુરની ડેમોક્રેટિક હાઇસ્કૂલમાં નવમા ધોરણમાં મારો પ્રવેશ મેળવ્યો. સ્કૂલ લાલ મિલ કોલોનીથી બે એક કિલોમીટર દૂર હતું. તેથી, અમે લોકો ચાલીને જ સ્કૂલે જતા.

લાલ મિલનાં ઘરમાં જેવાં સ્થાયી થયાં તે સાથે જ મહેશ્ભાઈએ પોતાનાં અધુરાં રહી ગયેલાં પોસ્ટ-ગ્રેજ્યુએશનના સ્વપ્ન માટે પ્રવેશ મેળવી લીધો. તે સમયે તો હું તે નિર્ણયનું મહત્વ સમજવા માટે ખૂબ જ કાચો હતો. પરંતુ જ્યારે હું પૂરતો સમજણો થયો, ત્યારે મને સમજાયું કે ગ્રેજ્યુએશન પછી જ તેમને પોસ્ટ - ગ્રેજ્યુએશન કરવું હતું. એ સમયે જ બાપુ (તેમના પિતા) સેવાનિવૃત્ત થયા હતા. તેથી, તરત નોકરીમાં જોડાઈ જવું એ મહેશભાઈ માટે વધારે મહત્વનું હતું. નોકરી અને લગ્ન સાથેનું તેમનું ગૃહસ્થજીવન ભુજમાં થવાને કારણે પોસ્ટ -ગ્રેજ્યુએશન તો તેમણે કદાચ સાવ માડી વાળ્યું હશે. જોકે, મહેશભાઈ જેવી વ્યક્તિ પ્રત્યે નિયતિ પણ બહુ નિષ્ઠુર ન બની શકે ! અમદાવાદની બદલીના રૂપમાં નિયતિએ મહેશભાઈને તક આપી જેને મહેશભાઈએ ઝડપી લેવામાં હવે જરા પણ વિલંબ ન કર્યો. થોડા વર્ષો પછી, ગોરાકાકા (તેમના નાના ભાઈ, જનાર્દનભાઈ) ને પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તરત જ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવા માટે મહેશભાઈના આગ્રહ હતો. તે સમયે પણ, હું મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કેટલું પ્રિય હતું તેનું મહત્વ સમજી શક્યો ન હતો. જોકે, મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનનું મૂલ્ય કેટલું મહત્વનું હતું તેની વાસ્તવિક સમજ મને ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે હું પોતે તે તબક્કે પહોંચ્યો.[1]

તેર વર્ષના વિરામ પછી ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરવા માટે મહેશભાઈને માનસિક અને બૌદ્ધિક તો કેટલો શ્રમ પડ્યો હશે તે તો હવે કલ્પનાનો જ વિષય છે. પરંતુ શારીરિક રીતે આ ઉપક્રમ કેવી કસોટી હતી તે તો સાવ દેખીતું હતું. સિવિલ હોસ્પિટલ, અસારવા નજીક મેન્ટલ હોસ્પિટલ પરિસરમાં આવેલી તેમની ઓફિસે તેઓ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી જતા હતા. તે સમયની પ્રચલિત પ્રથા મુજબ, તેઓ ઘરેથી જમીને જતા. ઓફિસનો સમય પુરો થાય એટલે સાંજની કૉલેજમાંહાજરી આપે. તે ઉપરાંતસંદર્ભ સામગ્રી વગેરે માટે એમ જે લાઇબ્રેરી (એલિસ બ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬) પણ જતા. રાત્રે ઘરે પહોંચે ત્યારે ૯ - ૯.૩૦ વાગી જાય. તે પછી, લગભગ બાર કલાક પછી રાતનાં જમવા ભેગા થાય. આખા દિવસમાં એકાદ કપ ચાપણ નહીં પીતા હોય. પોતાના સ્વપ્નને સિદ્ધ કરવા તેમણે જે શારીરિક પરિશ્રમ ઉઠાવ્યો અને કષ્ટનો સામનો કર્યો હશે તે એ હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે કે અમારું ઘર, મહેશભાઈની ઑફિસ અને એમ જે લાઇબ્રેરી એક ત્રિકોણના ત્રણ ખૂણા હતા, જેની દરેક બાજુ છ થી આઠ કિલોમીટર સુધીની હતી. દરરોજ આટલાં અંતરની દડમજલ તેઓ જાહેર પરિવહનની બસ દ્વારા જ કરતા !

મહેશભાઈ દર રવિવારે એલિસ બ્રિજ નીચે ભરાતા ગુજરી બજારમાંથી પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પુસ્તકો ખરીદવા જતા. મહેશભાઈ ઘરે વાંચવા માટે ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ ફોરમ ઑફ ફ્રી એંટરપ્રાઈઝની પુસ્તિકાઓ વગેરે સાહિત્ય તેઓ લઈ આવતા. આવાં સામયિકો અને અર્થકારણને લગતાં સમાચારપત્રોનાં નામોની મને ઓળખાણ થઈ, પણ એ વાંચવાની સમજણ હું BITS માં જોડાયો (૧૯૭૧ - ૧૯૭૩), ત્યારે મારામાં કેળવાઈ[2].  

મારાં નવમા ધોરણના શૈક્ષણિક વર્ષના અંતમાં, અમે પોલિટેકનિક (પાંજરાપોળ, અમદાવાદ) નજીક સરકારી કર્મચારી ક્વાર્ટર્સ સંકુલમાં આવેલ એચ કોલોની (૫૫/૧)માં રહેવા ગયાં. ગુજરાત સરકારનું સચિવાલય એ સમયે પોલિટેકનીકનાં પરિસરમાં હતું. લગભગ એક દોઢ મહિના સુધી, હું જાહેર પરિવહન સેવા દ્વારા એચ કોલોનીથી ડેમોક્રેટિક હાઇસ્કૂલ જતો હતો. શાળાએ જતી વખતે, મારે પોલિટેકનિકથી જાહેર બસ સેવા લેવી પડતી હતી અને લાલ દરવાજાથી ગોમતીપુર જવાના બીજા રૂટ પર જવું પડતું હતું. પરત ફરવાની મુસાફરી તે ક્રમને ઉલટાવીને થતી હતી. તે અનુભવે પણ મારામાં આપબળની ભાવના જગાવવામાં મદદ કરી.

તે સમયે મહેશભાઈની ઓફિસ પાલડી (સરદાર બ્રિજ પાસે) ખાતે કૃષિ ખાતાંનાં પોતાના પરિસરમાં શરૂ થઈ. પરિણામે, ઑફિસ આવવા-જવાના સમયના વ્યયમાં તેમને ઘણી રાહત મળી હશે!

મહેશભાઈ - તેમના સહકર્મીઓ સાથે

મારાં પાયાનાં ઘડતરમાં મહેશભાઈના પ્રભાવના સંદર્ભમાં, એચ કોલોનીના અમારા રહેવાસની બે યાદોની અહીં ખાસ નોંધ લઈશઃ 

પહેલી વાત મહેશભાઈના વાંચનના શોખ અને  તેના મારા પરના પ્રભાવની છે.

લાલ મિલમાં પણ મહેશભાઈ એક અંગ્રેજી (ઇન્ડીયન એક્ષપ્રેસ) અને એક ગુજરાતી (જનસત્તા) એમ બે અખબારપત્રો ઘરે મંગાવતા.  મારો વાંચનનો શોખ હજુ એ પ્રકારનાં વાંચનની કક્ષાએ નહોતો પહોંચ્યો. પરંતુ, લાલ મિલમાં મારે લાયક બીજું વાંચન મળતું નહીં એટલે એ બન્નેમાં ક્રિકેટના સમાચાર અને લેખો વાંચતો. જોકે, ઇન્ડીયન એક્ષપ્રેસ તો હું માત્ર વાંચતો જ, તેના અંગ્રેજીમાં મને જરાય સમજણ ન પડતી. એચ કોલોનીમાં આવ્યા પછી મહેશભાઈ અને બેન ગુજરીમાં ઘરવખરી ખરીદવા જતાં. એ મુલાકાતનો ઉપયોગ મહેશભાઈ તે સમયે બે ચાર આનામાં મળતી પેરી મેસનની જૂની પૉકેટબુક્સ ખરીદવામાં કરી લેતા. એવી એક મુલાકાતમાં તેઓ મારા માટે ઓક્ષ્ફર્ડ પ્રેસનો અંગ્રેજી - ગુજરાતી શબ્દકોશ લઈ આવ્યા. એ શબ્દકોશની મદદથી હવે ઇન્ડીયન એક્ષપ્રેસ વાંચતી વખતે ન સમજાય એ બધા અંગ્રેજી શબ્દોનો અર્થ એ શબ્દકોશમાં જોવાની મને ટેવ પડી. પરિણામે, માત્ર વધારે અંગ્રેજી શબ્દો શીખવા મળે એટલે પણ ઇન્ડીયન એક્ષપ્રેસનું મારૂં વાંચન વધ્યું. જોકે તેને રસપૂર્વકનું વાંચન તો એન્જિનીયરિંગમાં પહોંચ્યા પછી જ શરૂ થયું. અગિયારમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધી ઇન્ડિયન એક્ષપ્રેસ વાંચવાની થોડી ફાવટ આવવા લાગી હતી. એટલે મેં પેરી મેસનનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યુ. હવે મને સમજાય છે કે પેરી મેસન મહેશભાઈ પોતા માટે કરતાં વધારે મારૂં અંગ્રેજી સુધરે એ માટે વધારે ખરીદતા હશે.

પુસ્તકો જોવા (અને ખરીદવા ) મળશે એ આકર્ષણે હું પણ મહેશભાઈ અને બેન સાથે ગુજરી બજારની મુલાકાતે જતો. એમ કરતાં, મહેશભાઈએ મારો પરિચય 'કુમાર' સાથે કરાવ્યો. 'કુમાર'ના જૂના માસિક અંક બે એક આનામાં મલતા અને વિશેષ અંકો ચાર આનાની આસપાસ મળી જતા. બહુ થોડા સમયમાં, અમે 'કુમાર'ના જૂના અંકોનો ખાસ્સો મોટો સંગ્રહ ઊભો કરી લીધો હતો. 

મહેશભાઈનો વાંચન પ્રત્યેનો શોખ એક નવતર પ્રયોગમાં પ્રગટ થયો હતો. એ પ્રયોગનું મૂળ, કદાચ, તે મારા માસા ડોલરકાકા (મારી માતાની મોટી બહેન ભાનુમાસીના પતિ ડોલરરાય એમ અંજારિયા) સાથે દૈનિક ગુજરાતી અખબારોની આપ-લે કરવાની પ્રથાથી શરૂ થયો હતો એમ કહી શકાય. મહેશભાઈએ ફરતી લાઇબ્રેરીના વિચારની કલ્પનાને મૂર્ત કરી અને એ લાયબ્રેરીને સફળતાપૂર્વક ચલાવી પણ. એચ અને એલ કોલોનૉમાં રહેતા સાત કે આઠ પરિવારોને આ યોજનામાં જોડવા માટે તેમણે સમજાવ્યા. દરેક સભ્ય દર મહિને એક ગુજરાતી મેગેઝિન ખરીદવા માટે જેટલી રકમ સભ્યપદ તરીકે જોડે, અને એ કુલ રકમમાંથી જેટલાં મેગેઝિન મંગાવાય તે વારાફરતી, એક પછી એક પરિવારને ત્રણ ચાર દિવસ વાંચવા માટે મળે. જૂનાં મેગેઝિન લાંબો સમય વાંચવા માટે રાખી શકાય. આમ, દરેક પરિવારને દર મહિને આઠ થી દસ મેગેઝિન વાંચવા મળતાં. નવચેતન, અખંડ આનંદ, સવિતા, ચાંદની, બીજ, જી, કુમાર જેવાં તે સમયના બધા મુખ્ય ગુજરાતી માસિક, ઉપરાંત ધર્મયુગ, ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ અને પાસ્ટાઈમ વગેરે બધાંને વાંચવા મળવા લાગ્યાં..

બીજો મામલો મારા પ્રિ -સાયન્સ અને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં પ્રવેશ સાથે સંબંધિત છે.

પ્રિ -સાયન્સમાં પ્રવેશનો કિસ્સોઃ હું પંદર વર્ષનો હતો ત્યારે મેં ૧૧મું ધોરણ પાસ કર્યું હતું. તે સમયે ૧૧મું ધોરણ રાજ્ય સ્તરની બોર્ડ પરીક્ષા હતી. જોકે, મેં ૧૫ વર્ષ પુરાં કર્યા ન હોવાથી, હું ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં પ્રિ-સાયન્સ માટે પ્રવેશ માટે લાયક નહોતો. બદુભાઈ વોરાએ મહેશભાઈ સાથે મળીને તે વયમર્યાદામાંથી મુક્તિ મેળવવા માટે અવિરત લડત ચલાવી. બદુભાઈ વિસ્તૃત આવેદન પત્રો તૈયાર કરતા, તેને ટાઇપ કરાવતા અને મહેશભાઈ રજિસ્ટર્ડ મેઇલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી, રાજ્ય શિક્ષણ વિભાગ, રાજ્ય સચિવાલય અને કેન્દ્ર શિક્ષણ વિભાગ અને મંત્રાલયોના પણ દરેક લાગતા વળગતા સત્તાવાળાને પોસ્ટ કરવાની વ્યવસ્થા કરતા. બદુભાઈએ ચારથી પાંચ ટાઇપ કરેલા કાનૂની પાનાના કદના આ આવેદન પત્રો માટે બદુભાઈની શૈલી ક્લાસિક બ્રિટિશ વહીવટી શૈલીના અંગ્રેજીમાં હતી. મને આજે પણ બરાબર સમજાય છે કે બદુભાઈ માટે જે શૈલી બહુ જ સ્વાભાવિક અને સરળ રહી હશે તે ની એ તે, કદાચ, એ આવેદનપત્રોના મોટાભાગના વાંચકોની સમજણની બહાર હતી! આટલી બધી મહેનતનો પ્રતિભાવ અમલદારશાહીના વ્યવહારકુશળ શબ્દોમાં જવાબો રૂપે આવતો. જોકે બદુભાઈએ એવા 'શુષ્ક' નકારના જવાબ આક્રમકતાથી આપતા રહ્યા. ભીંત સાથે માથાં પછાડવા જેવું આ 'પત્ર યુદ્ધ' અણધારી રીતે સમાપ્ત થયું. આ બધા પ્રયાસોમાંથી એક એવી માહિતી બહાર આવી હતી જેણે આ મડાગાંઠમાં છટકબારી બતાવી, ગુજરાતમાં તે સમયે વડોદરામાં એમએસ યુનિવર્સિટી અને આણંદ નજીક વલ્લભ વિદ્યાનગર ખાતે એસ પી યુનિવર્સિટી એમ બીજી બે યુનિવર્સિટીઓ હતી. આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે `૧૬ વર્ષની લઘુતમ વયમર્યાદા સ્નાતક કક્ષાના પ્રવેશ સમયે લાગુ પડતી હતી. સીધી ભાષામાં કહીએ તો પ્રિ-સાયન્સ કક્ષાએ નહીં પણ સ્નાતક કક્ષાના પહેલાં વર્ષ - ફર્સ્ટ યર બી એસસી. વગેરે-માં પ્રવેશ સમયે ૧૬ વર્ષ પુરાં થયાં હોવાં જૉઇએ. મહેશભાઈએ બંને  યુનિવર્સિટીઓની રૂબરૂ મુલાકાત કરી.  છેવટે એસપી યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર સાથે જોડાયેલી વીપી સાયન્સ કોલેજમાં મને પ્રિ-સાયન્સ માટે પ્રવેશ મળ્યો.

એન્જિનિયરિંગમાં પ્રવેશનો કિસ્સો: મારા પ્રિ - સાયન્સના પરિણામના આધારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ માટે મળી શકે તેમ હતો. હું મેડિકલમાં ન જવા બાબતે બહુ સ્પષ્ટ અને મક્ક્મ હતો.[3] મેં જાતે લીધો હોય એવો આ પહેલો નિર્ણય હતો. મહેશભાઈ સાથેની ચર્ચા દરમિયાન, મને લાગ્યું કે હું મેડિકલમાં જોડાઉં તે કદાચ તેમને પસંદ હતું. પરંતુ તેમણે પોતાનો મત મને સ્પષ્ટપણે જણાવ્યો નહીં. તેના બદલે, તેમણે બહુ જ સારી રીતે મારા દૃષ્ટિકોણને સમજ્યો અને પૂરા દિલથી મને ટેકો આપ્યો.

આ પછીથી તો ઘણી વાર એવું બન્યું કે મારા અને મહેશભાઈના વિચારો અલગ હોય. જોકે, સામેનાના દૃષ્ટિકોણને સમજવાના તેમના સ્વભાવને કારણે, આ દરેક કિસ્સામાં અમે એકબીજાના દૃષ્ટિકોણની ભાવના અને પ્રક્રિયામાં સહમતિ આપવા માટે અસંમત થઈ શક્યા. ત્યારથી, મેં મહેશભાઈની વ્યક્ત, કે અવ્યક્ત, વિચાર પ્રક્રિયાને હું વધુ સારી રીતે સમજવા લાગ્યો. તે જ રીતે હું મારા દૃષ્ટિકોણને પણ તેમની દૃષ્ટિથી જોઈ શકવા લાગ્યો.

૧૯૬૪માં, એચ કોલોનીમાં અમારા રહેવાસ દરમિયાન, મહેશભાઈએ તેમના પિતા (પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ - અમારા બધા માટે, બાપુ) ગુમાવ્યા.

Sunday, December 7, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ :: પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

 


મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ વૈષ્ણવ) - જન્મ: ૧૯૨૫ | મૃત્યુ: ૧૮-૧૨-૧૯૮૩ - પ્રાણલાલ અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં બીજા હતા.


તેમણે ૧૯૪૭ ના કોઈક સમયે વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક થયા હતા. ૧૯૪૮ માં તેમના અને કિરણા (મારા મા, જેમને અમે બેન કહેતા) નાં લગ્ન થયાં.

ફાઇલ ફોટો: મહેશભાઈ સુશોભિત કારમાં વરઘોડામાં...

સ્નાતક થયા પછી, તેઓ ભુજ ખાતે સરકારી નોકરીમાં જોડાયા. મને યાદ છે ત્યાં સુધી, શરૂઆતમાં તેમણે થોડાં વર્ષ રેવન્યુ ખાતામાં નોકરી કરી. લગભગ ૧૯૫૨ માં કૃષિ વિભાગમાં જોડાયા. તેમના પિતા પણ રેવન્યુ ખાતામાંથી નિવૃત થયા તેને મહેશભાઈનાં રેવન્યુ ખાતાં જોડે જોડાવાનો સંબંધ છે કે કેમ તે તો મને ખબર નથી. તે જ રીતે રેવન્યુ ખાતું છોડવાને રેવન્યુ ખાતાંની બહુ બદનામ 'આડા હાથની કમાણી' સાથે તેમનો સ્વભાવગત સજ્જડ વિરોધ કારણભૂત હશે કે કેમ તે પણ મને ખબર નથી.

મહેશભાઈની મારી યાદો મારાં ચારેક વર્ષની ઉમર (૧૯૫૪)થી  શરૂ કરીને તેમના દેહાવસાનને કારણે તેમની જીવનમાંથી કાયમ માટેની નિવૃતિ (૧૯૮૩) સુધી સંકળાયેલી છે. આજે જ્યારે હું આ યાદોને મારાં મનની સુષુપ્ત યાદોમાંથી બહાર લાવતો જાઉં છું તેમ તેમ મને સમજાય છે કે મહેશભાઈનાં વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમનાં મૂલ્યોની મારા પણ એક ચોક્કસ છાપ પડી છે. હા, તેમનાં મૂલ્યોને જીવનમાં સાકાર કરવાની તેમની પદ્ધતિ અને મારાં મૂલ્યો અને મારી પદ્ધતિમાં તાત્વિક સમાનતા છતાં દેખીતો ઘણો તફાવત પણ રહ્યો છે, તે પણ મને સમજાય છે. મારૂં એવું માનવું છે કે કોઈ પણ પિતા અને પુત્રએ પોતપોતાની ઝિંદગીઓ અલગ અલગ સંજોગોમાંથી પસાર થઈને જીવવાનું બને છે તેને કારણે હશે.

પશ્ચાતદૃષ્ટિ કરતાં મને એમ પણ જણાય છે કે મારી મહેશભાઈની યાદો અને તેની સાથે સંકળાતી અમારા સંબંધોની કડીઓને મહેશભાઈની નોકરીના તબક્કાઓ અને તેને કારણે અલગ અલગ શહેરોમાં / સ્થળોએ અમારે રહેવાનું થયું તેની સમયરેખા સાથે જોડવાથી રજૂઆતનો પ્રવાહ સહજ અને સરળ બનતો જાય છે. 

પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

મેં શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારથી (૧૯૫૪) અમે રાજકોટ શિફ્ટ થયા (૧૯૫૮) સુધી, મહેશભાઈ મારા દરેક જન્મદિવસ પર મને એક પુસ્તક ભેટ આપતા.  તેનું એક સીધું પરિણમ એ આવ્યું કે મારી વાંચવાની આવડત બહુ વહેલેથી કેળવાવા લાગી, અને જે આગળ જતાં એક બહુ જ પ્રિય શોખનો વિષય બની રહી. પુસ્તકો ઉપરાંત તેમણે ગાંડિવ, રમકડું, ચાંદમામા વગેરે જેવા જાણીતા બાળ સામયિકોનાં લવાજમો પણ બંધાવ્યાં.  વાંચનની આદતનું આ બીજ મારામાં વવાયું તે, આગળ જતાં, ફક્ત મારા માટે માત્ર એક શોખની સાથે સાથે એક બહુ મહત્વનું સંસાધન તો બની જ રહ્યું, પરંતુ ઘરમાં વાંચવાનાં વાતાવરણે મારા પુત્ર (મહેશભાઈના પૌત્ર) તાદાત્મ્ય અને પછી તાદાત્મ્ય દ્વારા તેના પુત્ર તનય (મહેશભાઈના પ્રપૌત્ર) સુધી વાંચવાના  શોખનાં મૂળીયાં પ્રસારવામાં ઉદ્દીપકની પણ ભૂમિકા ભજવી.

મહેશભાઈ તાદાત્મ્ય સાથે (૧૯૮૩ ની આસપાસ)
મહેશભાઈના અવસાનના થોડા મહિના પહેલા

મહેશભાઈના રાજકોટ ટ્રાન્સફર થયા પહેલા મને યાદ આવતો એક સીમાચિહ્નરૂપ પ્રસંગ મારા યજ્ઞોપવિતનો પ્રસંગ (લગભગ મે ૧૯૫૮) હતો.

લગભગ બે કે ત્રણ મહિના પછી, મહેશભાઈની બદલી રાજકોટ થઈ.

રાજકોટ જતાં વેંત અમે મનહર પ્લોટના એક ઘરમાં રહ્યાં. એ ઘરનું ચોક્કસ સ્થળ મને યાદ નથી આવતું. થોડા મહિનામામ જ અમે એ ઘર બદલીને શેરી ન. ૮માં આવેલ તંતી નિવાસમાં સ્થાયી થયાં. તંતી નિવાસની એક બાજુ દૂર દૂર સુધી ખુલ્લુ મેદાન હતું, એ મેદાનમાં અમુક અમુક જગ્યાએ તો ઉંડી કોતરો પણ હતી. તે પછી ભક્તિનગર સ્ટેશન પાસેથી પસાર થતી રેલ્વે લાઈન હતી. એ રેલ્વે લાઇનની બાજુમાં જ વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલ હતી. એ મેદાનની લગભગ વચ્ચે એક ઓઇલ મિલ હતી. તંતી નિવાસથી મહેશભાઈની ઑફિસ જતાં પણ એક મેદાન આવતું, એ મેદાન પાર કરો એટલે જાગનાથ પ્લૉટ આવે. વચ્ચે એક બાજુ રાજકુમાર કૉલેજ અને બીજી બાજુએ રેસ કોર્સ આવે એવો મુખ્ય માર્ગ હતો, જે હવે ડૉ. યાજ્ઞિક રોડ તરીકે ઓળખાય છે. રોડ પર પહોંચતાં એક તરફ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ અને બીજી તરફ રામકૃષ્ણ આશ્રમ આવેલ હતા.

આશ્રમનું પુસ્તકાલય રામકૃષ્ણ મિશનનાં સાહિત્યથી ખુબ સમૃદ્ધ હતું. આશ્રમના પુસ્તકાલયને કારણે, મહેશભાઈ આશ્રમના તત્કાલીન વડા,- સ્વામી ભૂતેશાનંદજી,ના સંપર્કમાં આવ્યા. સાંજે મહેશભાઈ જ્યારે ઑફિસથી પાછા ફરે ત્યારે એ મેદાન પાર કરીને જ આવવાનું થાય.  ત્યારે સ્વામીજી સાંજના ફરવા નીકળ્યા હોય. આમ ઘણી વાર બન્ને સાથે થઈ જતા. તેમની આ મુલાકાતોને પરિણામે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.  સ્વામીજીના સંસર્ગ અને આશ્રમના પુસ્તકાલયમાં આવેલ રામકૃષ્ણ મિશનનાં સાહિત્યના વાંચનની અસરના પરિપાકરૂપ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વિચારધારાની મહેશભાઈ પર બહુ જ ઊંડી છાપ પડી હતી. એ વર્ષોમાં દર મહિને થોડી થોડી બચત કરીને મહેશભાઈ રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિ દેવી અને સ્વામી વિવિકાનંદનું પુષ્કળ સાહિત્ય ખરીદ્યું. એ બધું મેં હમણાં સુધી સાચવી રાખ્યું હતું, પરંતુ પછી તેની જાળવણી ન થઈ શકે એવી એક કક્ષા આવી પહોંચી એટલે એ બધું સાહિત્ય ભુજની લાયબ્રેરીમાં જમા કરવાવું પડ્યું.

રાજકોટ છોડ્યા પછી જ્યારે પણ રાજકોટ જવાનું થાય ત્યારે મહેશભાઈ આશ્રમની મુલાકાત લેવાનું ક્યારે પણ ચુકતા નહીં. મહેશભાઈના અવસાન પછી મેં પણ એ પ્રણાલિકા જાળવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મહેશભાઈના અવસાનની મેં સ્વામી ભૂતેશાનંદને જાણ કરી હતી. રાજકોટ છોડ્યાને ત્રેવીસ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. સ્વામીજી ત્યારે રામકૃષ્ણ મઠ, બેલુર (કોલકાતા),ના વડા હતા. (તેમ છતાં) સ્વામીજીએ પોતાના હસ્તાક્ષરમાં જવાબ આપ્યો હતો, જેમાં મહેશભાઈ સાથેના તેમના ગાઢ સંબંધોને તેમણે બહુ જ આત્મીયતાથી યાદ કર્યા હતા. મારાં કમનસીબે, હું તે પત્ર સાચવી શક્યો નથી.

મહેશભાઈએ મને પણ આશ્રમની લાયબ્રેરીનો પરિચય કરાવ્યો હતો. હું લાયબ્રેરીમાં નિયમિત મુલાકાતી હતો અને બાળકો માટે ખાસ પ્રકાશિત આશ્રમના પ્રકાશનો વાંચવામાં સારો સમય વિતાવતો હતો. ઘણી વાર પાછા ફરતી વખતે, મહેશભાઈ અને સ્વામીજી ચાલતા જતા હોય ત્યારે હું પણ સાથે થઈ જતો. ક્યારેક સ્વામીજી એકલા હોય અને હું સાથે થઈ જાઉં, તો તેઓ મારી સાથે પણ બહુ પ્રેમથી વાતો કરતા અને મેં શું વાંચ્યું તે વિશે પૂછતા. દેખીતી રીતે, આવા પ્રબુદ્ધ વ્યક્તિ સાથે વાત કરવાનું મહત્વ સમજવા માટે હું ખૂબ નાનો અને ખૂબ જ કાચો હતો. જોકે, જેમ જેમ હું પાછળ જોઉં છું, ત્યારે હવે હું સમજી શકું છું કે તે વાતચીતોએ મારા મનમાં ધર્મ એક આસ્થા નહીં પણ શું સાચું અને શું ખોટું એ સમજવાની વિવેકબુદ્ધિ વિકસાવવા માટે ગર્ભિત રીતે બીજ વાવ્યાં હશે.  

મનહર પ્લોટમાં લગભગ એક વર્ષ રહ્યા પછી, મહેશભાઈને એક સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. આ ક્વાર્ટર્સ રાજકોટ સિવિલ હોસ્પિટલ (સદર સર્કલ પાસે, જે હવે ડૉ. આંબેડકર સર્કલ તરીકે ઓળખાય છે) ના સ્ટાફ માટે હતા. આ ક્વાર્ટર્સમાં ઘર જોડાયેલ શૌચાલય નહોતું. અલગ શૌચાલય બ્લોકમાં જવા માટે લગભગ ૧૦૦ મીટર ચાલવું પડતું હતું. દરેકને કતારમાં પોતાનો વારો રાહ જોવી પડતી હતી.

અહીંના રહેવાસમાં મને મારાથી ઓછામાં ઓછા એક દાયકાથી મોટા 'મિત્રો'ના સંપર્કમાં આવવાની પહેલી તક મળી. હકીકતમાં, એવું કંઈ નહોતું જે મને એ લોકોના મિત્ર તરીકે સ્વીકૃતિ માટે લાયક બનાવે. તેમ છતાં ક્વાર્ટર્સમાં દર વર્ષે નવરાત્રીની ઉજવણી સમયે થતા દાંડિયા રાસમાં મને સાથે રખાતો. દાંડિયા રાસ રાત્રે આઠેક વાગ્યાથી બે ત્રણ કલાક, વણથંભ્યો, રમાતો. સાવ સહજપણે રમાતો એ દાંડિયા રાસને હું કેમ જીરવી શક્યો હોઈશ તે આજે પણ સમજાતું નથી, કેમકે એ લોકો કરતાં ઉમરમાં અને અનુભવમાં હું 'સાવ' બાળક જ હતો, અને મારી ઉમરને કારણે મને કોઈ જ દયાભાવની છૂટ પણ નહોતી મળતી.

રાજકોટના અમારા રહેવાસના હું અહીં એવા બે પ્રસંગ ટાંકવાનું પસંદ કરીશ જેમાં મહેશભાઈએ ભલે પિતા તરીકેની તેમની સ્વાભાવિક ભૂમિકા ભજવી હોય પણ તેમાં તેમની સાથે રહેવાને કારણે મારા વ્યક્તિત્વના ઘડતરમાં એ બન્ને પ્રસગોનું અનોખું મહત્વ બની રહ્યું છે. - 

જ્યારે અમે રાજકોટ પહોંચ્યા, ત્યારે મેં ભૂજની મિડલ સ્કૂલમાં મારા પાંચમા ધોરણનું પહેલો સત્ર પુરૂં કર્યું હતો, વિરાણી હાઇસ્કૂલ મનહર પ્લોટના તંતી નિવાસનાં અમારાં ઘરથી સૌથી નજીકની શાળા હતી. શૈક્ષણિક વર્ષની અધવચ્ચેથી પ્રવેશ માટે વિરાણી હાઇસ્કૂલમાં લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. મહેશભાઇએ તેમના મોસાળ પક્ષનાં બહેન મુક્તાફઇ (મોટા અમ્મા, મારાં  દાદી-નાં દીકરી) ના સાળા જનાર્દનભાઇ વૈદ્ય[1]ની મદદ લીધી. જનાર્દનભાઇ વિરાણીમાં અંગ્રેજીના શિક્ષક હતા. પ્રવેશ પરીક્ષા માટે મને તૈયાર આપવા માટે તેમની પાસે ભાગ્યે જ સમય હતો. જોકે મને વિરાણીમાં પ્રવેશ તો મળ્યો. મેં પરીક્ષામાં કંઈ સારૂં પ્રદર્શન કર્યું હોય એવું તો બહુ શક્ય નહોતું. પરંતુ જનાર્દનભાઇના પ્રયાસો અને તેમના વિશે શાળામાં જે માન હતું એ બે પરિબળોનો ફાળો જ રહ્યો હશે જેને કારણે મને પ્રવેશ મળ્યો હશે!

મારી શાળા, વિરાણી હાઇસ્કૂલ, અમે જે સરકારી ક્વાર્ટ્સમાં રહેવા ગયેલાં તેનાથી તે સમયના રાજકોટના લગભગ બીજા છેડા પર હતી. શાળા માટે મારી આવન જાવન ક્યાં તો સિટી બસ સેવા દ્વારા અથવા, મોટી ટાંકી થઈને અને નહીં તો  ચૌધરી હાઇસ્કૂલના રસ્તેથી થઈને આખા રસ્તે ચાલીને થતી. સ્વતંત્રપણે, કોઈ પણ નવા રસ્તા શીખવાનો મારાં જીવનનો એ પહેલ વહેલો પાઠ !

મને ખબર નથી કે કેવી રીતે અને કેમ, પણ હું આ કસોટીઓમાંથી પાર તો ઉતરી ગયો. જોકે એ સમયે પણ હું ખૂબ જ કાચો અને શિખાઉ હતો,. એટલે આ બધ અનુભવોમાંથી ભવિષ્યની આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કોઈ આત્મવિશ્વાસ કેળવી શક્યો એમ તો ન કહી શકાય, સિવાય કે ચોક્કસપણે એટલું તો કહી શકાય કે ભવિષ્યનાં મારાં ઘડતરમાં આ અનુભવો મહદ્ અંશે મહત્વપૂર્ણ પરિબળો તો જરૂર બની રહ્યાં કહેવાય. 

ત્યારબાદ, મહેશભાઈની બદલી જૂનાગઢ કૃષિ કોલેજમાં થઈ. ત્યાં તેઓ કદાચ નવેક મહિનાથી વધારે નહીં રહ્યા હોય. ભવિષ્યમાં તેમને નવસારી કૃષિ કોલેજ અને પછી ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, જિલ્લો, બનાસકાંઠા, ગુજરાત કામ કરવાનું હશે એટલે નિયતિએ આવી કોઈ યોજના કરી હશે કે કેમ તે તો નિયતિ જ જાણે ! પરંતુ અમને પણ એક સમયના રાજાશાહી બાગની લ્હાણ લેવાની અને ગિરનાર ચડવાની  તક મળી. જોકે, જૂનાગઢના એ બાગની જવિક સમૃદ્ધિની ખરી સમજ તો ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન મહેશભા નવસારી જતા ત્યારે નવસારી કૃષિ કોલેજનાં ફાર્મ્સ ખેતરોની મુલાકાત લીધા પછી પડી.

આજે પાછળ નજર કરતાં બહુ જ ચોક્કસપણે જોઈ શકાય છે કે મહેશભાઈની રાજકોટ બદલી થઈ એ મારા વ્યક્તિત્વને ઘડવામાં ગેમ ચેન્જર ઘટના હતી.

Sunday, November 2, 2025

પ્રણયભાઈ (ઉષાકાંત ધોળકીઆ)ને સ્મરણાંજલિ

પ્રણયભાઈ સાથેની મારી પહેલી ઓળખાણ '૬૦ના શરૂઆતનાં વર્ષોમાં અમદાવાદનાં તે સમયના કચ્છી નાગર સમાજમાં તેમની ઘર સજાવટની કુશળતાના દૃષ્ટા તરીકેની થયેલી. એ જમાનામાં મોટા ભાગના નાગર ઘરોમાં સોફા કે પરદાઓ નહોતો. એ સમયમાં ટ્રંક જેવા સામાનનો સોફા તરીકે અને અનાજ ભરવાના નળાકાર કે લંબચોરસ ડબાઓનો બેઠક તરીકે તેમણે અભિનવ ઉપયોગ કર્યો. એ બેઠકોનાં કવર માટે ઘરની ચાદરોના પ્રણયભાઈએ પ્રયોગ કર્યા હતા. બારીઓને સાવ સાદા કહી શકાય એવા પરદાઓથી તેઓ સજાવતા. કોઈ જ જાતનું ખર્ચ કર્યા વિના પ્રણયભાઈ બેઠકરૂમને ઉચ્ચ વર્ગનાં ઘરોને શોભે એવો ઓપ આપી દેતા. તેમના આ પ્રયોગોને ઘણાં નાગર પરિવારોએ અપનાવ્યા હતા. બારીઓને સાવ સાદા કહી શકાય એવા પરદાઓથી તેઓ સજાવતા.

ઘણાં વર્ષો પછી હું જે કંપની માટે કામ કરતો અને તે જે કંપની માટે કામ કરતા એ બંને કંપનીઓ વચ્ચે એક સરખી કહી શકાય એવી પ્રોડક્ટ્સ (પાઈપ્સ) અને ફેક્ટરીઓનાં સ્થળ (અમદાવાદમાં કાળીગામ) પણ નજદીક હતાં દેખીતી રીતે આમાનું એક પણ પરિબળને અમારા સંબંધને જોડવા માટે કોઈ કારણ ન ગણાય. તેમ છતાં ન સમજાય એવું બળ અમને ભવિષ્યમાં નજદીક લાવવાનું મૂળ બનવાનું હશે એટલે જરા પણ લાગુ ન પડે એવું આ પરિબળ અમારા સંબંધને અલગ પરિમાણ આપવાનું કારણ બન્યું. આગળ જતાં જ્યારે અમારા સંબંધમાં પ્રત્યક્ષ કડી ઉમેરાઈ ત્યારે ઘણી વાતોમાં અમારા આ સમયના અનુભવોની વાતો મને તેમની વ્યવહારદક્ષ ક્ષમતાને સમજવામાં મદદરૂપ બની છે.

હજુ સુધી ઓળખાણની પ્રક્રિયા અપ્રત્યક્ષ જ હતી. તેને અછડતું પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું સમીર સાથેની એચ - એલ કોલોની (૧૯૬૫ થી ૧૯૬૯નાં વર્ષો) દરમ્યાન વિકસેલી મિત્રતાને કારણે. તે પછી ખરા અર્થમાં પ્રત્યક્ષ પરિચય વિકસવાનું શરૂ તો છેક '૮૦ના દાયકામાં એ લોકો પહેલાં વાડજમાં વોલ્ગા ફ્લેટ્સમાં અને પછી નારણપુરામાં શુભલક્ષ્મી ફ્લેટ્સમાં અને અમે લોકો પ્રગતિનગરમાં સ્થાયી થયાં ત્યારથી થયો. હજુ પણ પરિચય હતો તો દર વર્ષે નવરાત્રીમાં શક્રાદય સ્તુતિ વખતે કે નવાં વર્ષે જનાર્દનભાઈને ઘરે મળવાનું થઈ જાય એવાં ઔપચારિક સ્તરે જ હતો.

એવા પ્રસંગોએ જ્યારે જ્યારે તેમનાં શુભલક્ષ્મી ફ્લેટનાં ઘરે જવાનું થતું ત્યારે તેમની સુશોભન કળાની ગોઠવણીઓ અને સાધન સામગ્રીને પસંદગીઓની સરળતાની બારીકીઓ એટલી ઔપચારિક મુલાકાતમાં પણ નજરે ચડ્યા વિના ન રહેતી. સમીરને કારણે શારદાબેન અને પદાભાના સ્વાદ સંબંધી પરફેક્શનના આગ્રહની મને ખબર હતી. પરફેક્શનનો આવો આગ્રહ પ્રણયભાઈને ઘરનાં તેમનાં સુશોભન બાબતે પણ હશે તે પણ ધ્યાન પર આવ્યા વિના ન રહેતું.

એ સમયનાં 'નારણપુરાનાં નાગર પરિવારો'ની જે કંઈ મિલન મુલાકાતો થતી ત્યારે વાતનો કોઈ વિષય ન હોય તો 'કાળીગામ'ના તેમના અનુભવો અમને હાથવગો વિષય બની રહેતો. એ પછી જ્યારે મેં અમારા મિત્રો સાથે અમારૂં (પહેલું) નાના પાયા પરનું ઔદ્યોગિક સાહસ ખેડ્યું ત્યારે પ્રણયભાઈની વ્યાવહારિક કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની મને સમજણ પડવા લાગી. તેમની સાથે ઓળખાણ વધારે ઘનિષ્ઠ બની શકી તેમાં આ પરિબળનો ફાળો પણ મહત્વનો ગણાય.

અમે જ્યારે એચ - એલ કોલોનીમાં રહેતાં એ સમયે મોતીભાઈ (મનહરભાઈ જયંતિલાલ વૈષ્ણવ) પોતાને 'સરકારી' નોકરીની જીવનશૈલીની બાબતે 'બીજી નાતના' ગણાવતા. તેઓ હંમેશાં કહે કે 'આ લોકો'ની જીઆર / સીઆરની ભાષા જ સમજાતી નથી. એવું જ મારૂં અને પ્રણયભાઈનું 'નારણપુરા મિલનો' સમયે અમે બન્ને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા હતા તેને કારણે થતું. અમારી નોકરીઓનાં 'સુખ દુઃખ'ની વાતોમાં બીજાં કોઈને બહુ રસ ન પડે, એટલે પ્રણયભાઈ અમને 'સમદુખીયા' કહેતા.

પ્રણયભાઈ તો દરેક બાબતને તેમની સહજ વ્યવહારકુશળતાથી આસાન કરી શકવાનો જાદુઈ ઈલ્મ જાણતા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધી જાણતા અને કેળવી પણ શકતા. આ બાબતે, સ્વભાવગત રીતે હું ઔપચારિક સંબંધોમાં સપાટીથી વધારે આગળ ન વધી શકનારો. પરંતુ, આ 'સમદુખીયા'પણાને કારણે, મારા કરતાં ઉંમરમાં ઘણા વડીલ હતા, છતાં હું તેમની સાથે 'મિત્ર' તરીકે નજદીકી અનુભવતો.

તે પછી '૯૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી કામ સબબ અમારે જી ડબલ્યુ એસ એસ બોર્ડ (GWSSB) દ્વારા અમલીકરણ કરાઈ રહેલા નર્મદા પાઈપ લાઈન તરીકે જાણીતા પ્રોજેક્ટને કારણે હવે એક ‘કોમન ગ્રાહક’ સાથેનાં કામ માટે સીધું મળવાનું થવા લાગ્યું. તેને કારણે અમારી ઓળખાણ ઘણે અંશે એકબીજાનાં કામકાજ અંગેનાં સંબંધ પુરતા પરિચયમાં વિકસવા લાગી. અમારી એક હરિફ કંપનીનું બોર્ડ સાથેનું કામ સંભાળતા કિરણભાઈ સાથે તેમના થકી થયેલો પરિચય મને બહુ જ ઉપયોગી નીવડેલો. પ્રણયભાઇનો હું સંબંધી થાઉં એટલે કિરણભાઈ જે બાબતોમાં કોઈ હરીફ કંપની મદદ કરવા ન ઈચ્છે એવી બાબતોમાં પણ કિરણભાઈએ નિંઃસંકોચપણે મદદ કરી હશે.

એ જ વર્ષો દરમ્યાન નાગર મંડળના કાર્યક્રમોનાં આયોજનમાં તેમનો ટેકો અને તેમના સૂચનો અમને વધારે નજદીક લાવવામાં ઉદ્દીપક બન્યો. તેમની વ્યવહાર કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની અલપ ઝલપ ઓળખાણ હવે સન્માનનીય પરિચયમાં પરિવર્તિત થવા લાગી હતી.

ભૂમિકા અને તાદાત્મ્યનાં લગ્નના સંબંધે તો પ્રણયભાઈ હવે કાયદેસરના વડીલ હતા. પરંતુ, પ્રણયભાઈએ એ સંબંધના તેમનાં સ્થાનની ગરિમા અને અમારા અત્યાર સુધીના સંબંધમાં કેળવાયેલા પરિચયમાં કેળવાયેલ અનૌપચારિકતા વચ્ચે અદ્‍ભૂત સંતુલન જાળવી રાખ્યું.

પ્રણયભાઈ અને સરલાબહેન પહેલી જ વાર જ્યારે ભૂમિકાને ઘરે બેંગલુરૂ ગયાં ત્યારે તેમણે પ્રેમાળ વડીલની રૂએ ત્યાં તેમને કેવી મજા આવી, તાદાત્મ્ય અને ભૂમિકા એમનું બન્નેનું કેટલું રાખે છે વગેરે અનેક રીતે ખુબ ખુબ હર્ષ વ્યક્ત કર્યો. તે પછી જ્યારે જ્યારે પ્રણયભાઈ ભૂમિકાને ઘરે જાય ત્યારે ત્યાંથી જ એટલા જ ઉમળકાભેર કેટલી મજા આવી તેનો ફોન અચૂક કરે. તનય, ભૂમિકા અને તાદાત્મયની પ્રગતિને લગતી દરેક બાબતો વખતે પણ તેમનો હર્ષ વ્યક્ત કરતો ફોન હોય જ. તદુપરાંત તેમનાં દરેક દૌહિત્રના તેમજ જમાઈ - દીકરીઓના પણ ખુશીના પ્રસંગોના સમાચાર અમને એટલી જ આત્મીયતાથી આપે. અમારા પ્રસંગો પણ ચૂકે તો નહીં જ. બેન (મારાં મા)નું હિપ બોન બદલવાનું ઑપરેશન થયું ત્યારે હૉસ્પિટલમાં ખબર પૂછવા આવેલા. સુસ્મિતાની બીમારીઓ વખતે પણ તેઓ નિયમિતપણે ખબર પૂછતા રહેતા. તનયનાં યજ્ઞોપવિત પ્રસંગે હું અને સુસ્મિતા હૉલમાં દાખલ થયાં એવા જ પ્રણયભાઈ અમારી પાસે આવ્યા, પ્રસંગની અમને શુભેચ્છાઓ આપી અને પછી તરત ત્યાંથી ખસી ગયા જેથી હવે અમે બીજાં મહેમાનોને ધ્યાન આપી શકીએ. ભૂમિકા અને તનયને પ્રસંગોચિત ભેટ તેઓ તરફથી ચૂક મળે. આ દરેક બાબતોમાં તેમની પર્ફેક્શનની દૃષ્ટિની સાથે સાથે તેમનાં સ્થાનની ગરિમા અને અમારી સાથેના જૂના સંબંધની અનૌપચારિકતા વચ્ચે સંતુલન જાળવી શકવાની તેમની અનોખી સૂઝ તો કળાતી જ રહે.

દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડી શકવાની તેમની કળાનું સૌથી વધુ ઉપયુક્ત ઉદાહરણ તેમણે ધીરૂભાઈ સાથે (પણ) કેળવેલો સંબંધ મને હંમેશાં યાદ રહેશે. અમે લોકો ૧૯૭૪ની આસપાસથી પ્રગતિનગર રહેવાં આવ્યાં ત્યારથી વાળ કપાવવા હું ધીરૂભાઈની દુકાને જતો. એટલે સુધી કે ધીરૂભાઈ (મારા પિતા) મહેશભાઈ અને (મારા મિત્ર મહેશ માંકડના પિતા) દિલીપભાઈની પ્રાર્થના સભામાં હાજર રહેલા. તાદાત્મ્યના વાળ ઉતારવાની વિધિ પણ એમણે જ કરેલી. તનયના વાળ ઉતરાવવાનો પ્રસંગ હતો ત્યારે સ્વાભાવિકપણે આપણે ધીરૂભાઈને જ આ વિધિ માટે બોલાવેલા. ધીરૂભાઈના આવ્યા પછી તૈયારીઓ કરતાં જે પાંચ દસ મિનિટ ગઈ હશે અને પછીથી તેમણે નાસ્તો કર્યો ત્યારે જે દસપંદર મિનિટ મળી હશે, એટલી વારમાં પ્રણયભાઈએ સંબંધના તાર ધીરૂભાઈ સાથે જોડી ળીધેલા. ધીરૂભાઈને નાસ્તો આપ્યો ત્યારે પ્રણયભાઈએ પોતાનો નાસ્તો પણ સાથે મંગાવ્યો અને ધીરૂભાઈ સાથે નાસ્તો કરતાં કરતાં ધીરૂભાઈનો સંકોચ બહુ સહજતાથી દૂર કરી નાખ્યો હતો. એ પછી જ્યારે હું વાળ કપાવવા ગયો ત્યારે ધીરૂભાઈએ પહેલવહેલી વધામણી ખાધી કે તમારા વેવાઈ પણ અહીં આવ્યા હતા. તે પછી હું જ્યારે જ્યારે વાળ કપાવવા જાઉં ત્યારે ધીરૂભાઈને તનયની કોઈને કોઈ નવી વાત ખબર હોય. પ્રણયભાઈ સાથે એ બાબતે ફોન પર જ્યારે પણ વાત થાય ત્યારે ખયાલ આવે કે ધીરૂભાઈ અને તેમના પરિવાર વિશે હુંં ચાલીસ વર્ષમાં જે નહોતો જાણતો એવું બધું પ્રણયભાઈને ખબર હોય!

કઈ વ્યક્તિની કઈ બાબતે વેવલેન્થ મળી શકશે તે જાણી અને તેની સાથે એ વેવલેન્થ પર સંબંધ કેળવી લેવાની પ્રણયભાઈની કળા તો તેમનાં વ્યક્તિત્વનાં અનેક અદ્‍ભૂત પાસાંઓમાંનું એક જ પાસું હતું.

તેમની હવે ભૌતિક હાજરી ન હોવા છતાં આવી તો અનેક યાદોનાં સ્મરણો તેમની ખોટ સાલવા ન દેવા માટેનું આપણને બળ પુરું પાડતી રહેશે. તેમના આત્માને ચિરઃશાંતિ મળે તેવી પ્રાર્થના સાથે ........

Saturday, October 18, 2025

મારા દાદા - પ્રાણશંકર વાધજી વૈષ્ણવ

 


અમે બધાં અમારા દાદા - પ્રાણશંકર વાઘજીભાઈ વૈષ્ણવ (૧૮૯૫ -  ૧૯૬૪) - ને બાપુ કહેતાં.  તેમને ચાર મોટાંબહેનો, એક નાનાં બહેન અને એક મોટાભાઈ હતા. 

તેમના અને મોટાં અમ્મા (મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ)ને ત્રણ દીકરાઓ - કમળકાંત (મારા મોટા કાકા, કમળભાઈ), મહેશ્વર (મારા પિતા, મહેશભાઈ) અને જનાર્દનરાય (મારા નાના કાકા, ગોરા કાકા) હતા. સમગ્ર વૈષ્ણવ પરિવાર 'વૈષ્ણવ વંશાવળી'ના સંબંધિત પાનાંઓ[1]માં જોઈ શકાય છે.

મને સમજણ છે એટલે સુધી , બાપુ એ સમયનાં કચ્છ રાજ્યનાં રજવાડામાં મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. મહેશભાઈનાં લગ્ન થયાં તે વર્ષ (૧૯૪૮)ની આસપાસ જ બાપુ નિવૃત થયા હતા. તે પછી તેમણે લગભગ ૧૯૫૮ સુધી રાજસ્થાનનાં સિરોહી રાજ્યનાં રાજમાતા (જે કચ્છ રાજવી પરિવારનાં પુત્રી થતાં), ગુલાબકુંવરબાના કામદાર (અંગત સેક્રેટરી) તરીકે કાર્યરત રહ્યા.   

ઉપરના ફોટામાં બાપુએ જે પાઘડી પહેરી છે તે કચ્છી પાઘડી કહેવાતી. હું જ્યારે પાચેક વર્ષનો હઈશ ત્યારે બાપુ પાઘડી બાંધે ત્યારે પાઘડીનાં કપડાંના એક છેડાને પકડી રાખવાનું કામ મારૂં રહેતું. પહેલાં કપડાંને ઘડીઓ વાળીને સપાટ રોલ બનાવવાનો. પછી એ સપાટ રોલને બાપુ પાઘડીની જેમ પોતાના માથાં પર બાંધતા જાય. મને ન તો બાપુ ઘડી વાળતા હોય ત્યારે કે માડ માંડ ઘડી વળાઈ જાય પછી રોલને ખેંચીને ટાઈટ પકડી રાખવાનું પણ આવડતું નહી. એટલે, બાપુ માટે ફરી ફરીને એકડેથી શરૂ કરીને પાઘડી બાંધવાનું કામ કેટલું અઘરૂં થઈ પડતું હશે એ  કલ્પના કરૂં છું તો આજે મને પણ પરસેવો વળી આવે  છે. અને તેમ છતાં, મને સમજાવી સમજાવીને બાપુ પાઘડી તૈયાર કરી લેતા ! તેઓ જે ધીરજથી મને તાલીમ આપતા એ પાઠ મને મારી કારકિર્દી દરમ્યાન યાદ આવ્યા હોત તો કેવું સારૂં થાત!

એ વર્ષોમાં જમવા કરવા અને શાળાએ જવા સિવાયનો મારો મોટા ભાગનો સમય તો મારાં માસી (ભાનુમાસી - ભાનુબેન ડોલરરાય અંજારીઆ)ના દીકરાઓ, અક્ષય અને જસ્મીન, સાથે ભાનુમાસીને ત્યાં રમવામાં જ ગાળવામાં મને રસ રહેતો. એટલે જે દિવસે બાપુએ નવી પાઘડી બાંધવાની હોય તે દિવસે સવારે જમતી વખતે જ મને કહી દેવામાં આવે કે આજે બપોરે પાઘડી બાંધવાની છે એટલે મારે તે પછી રમવા જવું. જેવી પાઘડી બંધાઇ જાય એટલે બાપુને પૂછું, બાપુ હવે જાઉં? બાપુ જેવા હા પાડે એટલે બદુકમાંથી છૂટેલી ગોળીની ઝડપે ભાનુમાસીના ઘર તરફ દોટ મુકું. 

બાપુનું દેહાવસાન થયું ત્યારે મારૂ ઉંમર ચૌદ વર્ષની હતી. એટલે એ દાદા અને એ ઉંમરના પૌત્ર વચ્ચેના સંબંધથી વધારે બાપુનો પ્રત્યક્ષ પરિચય થવાની મને તક ન મળી. તેમ છતાં, સમજણા થયા પછી મને  બાપુનાં વ્યક્તિત્વનાં બે પાસાં જરૂર જાણવા મળ્યાં - 

મોટાં અમ્માંના અવસાન પછી બધાં દાવેદારોની હાજરીમાં ગોરાકાકાએ બાપુનું વસિયતનામું વાંચી સંભળાવેલું. આજે એ દસ્તાવેજની વિગતો પ્રસ્તુત નથી રહી. પણ મહત્વનું એ છે કે બહુ જ સુંદર અક્ષરોમાં એ દસ્તાવેજ બાપુના હસ્તાક્ષરોમાં લખાયો હતો. તેમાં તેમની વિચારસરણી સ્પષ્ટતા જેટલી ધ્યાન ખેંચતી હતી તેનાથી કદાચ  વધારે એમાં ત્રણેય દીકરાઓને મિલ્કતની વહેંચણીમાં તેમની ઔચિત્ય પ્રમાણિકતા મને વધુ સમજાઈ.

દૂધપાક અને આખી બુંદીના લાડુની સાથે સેવ (બાપુ 'સેવકળી' કહેતા) બાપુની પ્રિય વાનગીઓ ગણાતી. એટલે વર્ષો સુધી ધનતેરસના દિવસે દૂધપાક કરવો અને દિવાળીના દિવસે આખી બુંદીના લાડુ અને સેવ કરવાનો વણકહ્યો રિવાજ ચાલતો રહ્યો હતો.

હાલ પુરતું બાપુની કેટલીક તસવીરો અહીં યાદ કરીને તેમને મારી નમ્ર અંજલિ આપીશ –

બાપુઃ આશરે ૨૬ વર્ષની ઉમરે

બાપુઃ તેમના પદાનુરૂપ પહેરવેશમાં - સ્થળઃ કદાચ, સિરોહી.

બાપુ અને સિરોહીના રાજાના કામદાર 

ગોરાકાકા, બાપુ અને મહેશભાઈ.

બાપુની નિવૃતિ પહેલાં કે પછી તરતનો સમય

બાપુ - કંડલા - આશરે ૧૯૬૪ કે '૬૪ 

Sunday, October 5, 2025

મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ

 

મોટાં અમ્માં - વર્ષ : આશરે ૧૯૫૫ કે '૫૬

મારાં પિત્રાઈ ભાઇબહેનો - મારા મોટાકાકા (કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)નાં સંતાનો દેવીબેન, દિવ્યકુમારભાઈ અને ઉપેન્દ્રભાઈ - તેમનાં માને અમ્માં કહીને બોલાવતાં. એટલે અમારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ-ને તેઓ મોટાં અમ્માં કહેતાં. એટલે અમે, એમનાં બધાં પોતરાં, એમને મોટાં અમ્માં જ કહેતાં.

હું ચૌદ વર્ષનો થયો ત્યાં સુધી તો મોટાં અમ્માં સાથેનો મારો સંબંધ કોઈ પણ પ્રેમાળ દાદીનો તેનાં બાળ પૌત્ર - પૌત્રી પ્રત્યે હોય એવો જ રહ્યો. એમનો પ્રેમ વરસતો રહે પણ ઘરમાં બીજાં બધાં સભ્યો પણ હોય એટલે નાનાં મોટાં કામ સિવાય ખાસ વાતચીત કરવાનો પ્રસંગ ન પડે. પરંતુ મારાં મોટાં બહેન, દેવીબેન (મિનાક્ષીબેન - મારા મોટાકાકા, કમળભાઈ વૈષણવનાં મોટાં દીકરી)ની દીકરી ગાયત્રીનો જન્મ ( ૨ સપ્ટેમ્બર, ૧૯૬૪) થયો ત્યારે મારાં માએ દેવીબેન પાસે ત્રણ ચાર દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. એટલે ઘરમાં રસોઈ કરીને બધાંને જમાડવાનું કામ મોટાં અમ્માંએ કરવાનું હતું. સવારે મારા પિતા (મહેશભાઈ વૈષ્ણવ) જમીને ઑફિસ જાય, મારાં મા અને દેવી બેન માટેનું ટિફિન પણ લઈ જાય, બાપુ (મારા દાદા - પ્રાણલાલભાઈ વૈષ્ણવ) પણ જમાડે - તેમને પીરસવાનું કામ મારૂં - ને હું પણ જમીને શાળાએ જઉં એ બધું જ મોટાં અમ્માં ખુબ સરળાથી કેમ કરી લેતાં હશે તે તો મને આજે પણ સમજ નથી પડી.

એટલુ જ નહીં, પહેલે દિવસે મોટાં અમ્માંએ મારા માટે પાંચ છ પડની રોટલી કરી. રોટલી એટલી સ્વાદિષ્ટ અને નરમ હતી કે હું પણ ચારેક રોટલી તો ઝાપટી ગયો. બીજે દિઅવસે તેમણે રસોઈની શરૂઆત કરી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ગઈ કાલે તો હું ચાર નહીં પણ ચોવીસ રોટલી ખાઈ ગયો છું. એટલે મેં મોટાં અમ્માંને કહ્યું કે કાલે તો ચોવીસ રોટલી ખાઈ ગયો. આજે એટલું જ કમાડશો. તેઓ બહુ જ પ્રેમથી હસ્યાં અને મને સમજાવ્યું કે એ તો માંડ સાત આઠ રોટલી જેટલું જ થાય એ રીતે બને ! એટલે મેં કહ્યું કે હું તો દરરોજ એટલું પણ નથી જમતો. એટલે તેમણે (માત્ર [!]) બે પડની રોટલીઓ બનાવી, જે પણ હું ચારેક તો ખાઈ જ ગયો.

બે પડની રોટલી બનાવવાની પ્રથા તો ઘરમાં મેં પહેલેથી જોઈ હતી, અને તે પછી પણ જમવામાં તે એક ખાસ વાનગી તરીકે આજે પણ નિયમિતપણે બને છે. પરંતુ, એ દિવસોમા જે રોટલી જમ્યો છું તેનો સ્વાદ તો અલૌકિક જ હતો.

તે પછી, જ્યારે મહેશભાઈની બદલી દાંતીવાડા થઈ ત્યારે હું અને મારાં પત્ની, સુસ્મિતા, અમદાવાદ રહેતાં ત્યારે મોટાં અમ્માં પણ ઘણી વાર અમારી સાથે રહ્યાં હતાં. એવા દરેક પ્રસંગે કમસે કમ એક વાર તો મોટાં અમ્માં બે પડવાળી રોટલી કરીને અમને જમાડતાં જ.

મારા દાદાના દેહાવસાન વિધિઓ દરમ્યાન તો મોટા અમ્માં મનની અંદર અંદર રડ્યાં જ કરતાં રહ્યાં હતાં. પરંતુ એ દિવસોમાં તો બહુ અવર જવર રહી, વિધિઓને લગતાં અનેક કામો પણ થતાં રહ્યાં એટલે તેમની આ અવસ્થાને બધાંએ સંદર્ભ સમોચિત ગણી લીધી હશે. પરંતુ એ વિધિઓ પુરી થઈ ગઈ એ દિવસે પણ મોટાં અમ્માં અસ્વસ્થ તો હતાં જ, અને જમી પણ નહોતાં રહ્યાં. મારા બન્ને કાકાઓ (સૌથી મોટા કમળભાઈ અને સૌથી નાના જનાર્દનભાઈ૦ અને મારા પિતા, મહેશભાઈએ કદાચ પહેલી જ વાર એક સાથે મળીને મોટાં અમ્માં સાથે સંવાદ રચીને તેમનાં દુઃખને હળવું કરવાના પ્રયાસો આદર્યા. બે એક દિવસના પ્રયાસો પછી પણ મોટાં અમ્માં જમતાં નહોતાં સવારે અને બપોરે માત્ર ચા પીએ એટલો જ ખોરાક તેઓ લેતાં. હવે બધાં મુઝાયાં. બધા ભાઈઓ મળીને એક યોજના ઘડી. એ લોકોએ અમને - દેવીબેન, દિવ્યકુમારભાઈ, ઉપેન્દ્રભાઈ અને મને - તેમનાં પોતરાંઓને હવે મોટાં અમ્માંને સમજાવવાનું કામ સોંપ્યું. સ્વાભાવિક છે કે દાદીને તેમનાં પોતરાંઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય, અને મોટાં અમ્માંને તો અમારા બધા માટે બેહદ પક્ષપાત હતો એ તો બધાં - અને અમે પણ - સમજતાં હતાં. એટલે, આજે જ્યારે હું વિચારૂં છું ત્યારે તે કદાચ 'બ્રહ્માસ્ત્ર' જ કહી શકાય. અમારી વિનવણીઓ, દેવીબેનનાં આંસુ, વગેરે કંઈ કામ નહોતું આવી રહ્યું. ઉપેન્દ્રભાઇ અને મને (અમે ત્યારે અનુક્રમે ૧૭ અને ૧૪ વર્ષના હતા!), બન્નેને કેમ નહીં પણ અચાનક જ એકસાથે સ્ફુર્યું અને અમે બોલી પડ્યા કે તો અમે પણ નહી જમીએ. આ ધડાકાને કારણે વાતાવરણ બહુ વધારે ગંભીર થઈ ગયું હશે. તે પછી ત્યારે ને ત્યાર કે એકાદ દિવસ રહીને તે તો યાદ નથી, પણ ત્રણેય ભાઈઓ મોટાં અમ્માંને સવારે બહુ જ થોડું અને સાંજે માત્ર એક વાટકી શાક જેટલું જમવા માટે મનાવી શકેલા.

તે પછી મહેશભાઈ દાંતીવાડા હતા એ વર્ષોમાં મોટાં અમ્માંને મારી અને સુસ્મિતા સાથે રહેવાનું થયું ત્યારે સુસ્મિતા સાંજે શાકની વાટકી સાથે અર્ધોએક ગ્લાસ ભરીને મોળું દૂધ પણ મુકી દે. અમે બન્ને જોઈ શક્યાં હતાં કે તેમનું મન માન્યું ન હતું, પણ અમારી, અને ખાસ કરીને સુસ્મિતાની, લાગણીને ખાતર તેઓ એ દૂધ પી જતાં. થોડાએક દિવસો પછી જ્યારે મોટાં અમ્માંને મહેશભાઈ સાથે દાંતીવાડા જવાનું થયું ત્યારે તેમણે સુસ્મિતાને એવું કહ્યાનું યાદ આવે છે કે આ દૂધ પીવાવાળી વાત તમારા સસરાને ન કહેજો.

તાદાત્મ્ય નાનો હતો ત્યારે મોટાં અમ્માં જો અમદાવાદ હોય તો દિવસે પણ તેમની પાસે ઘોડીયામાં હીંચકા ખાવાની મજા લે. રાતના પણ સુતી વખતે મોટાં અમ્માં હીંચકા નાખે તો જ સૂએ. એમાં વળી, અર્ધો કલાક, કોઈક વાર કલાક સુધી હીચકા ખાતાં ખાતાં મોટાં અમ્માં પાસે વાર્તાઓ પણ કરાવે. પછી એમ લાગે કે હવે તે સૂઈ ગયો છે અને હીંચકા નાખવાનું બંધ થાય તો સૂતાં સૂતાં જ હીંચકા ચાલુ રાખવાની ફર્માયેશ પણ આવે. અમે મોટાં અમ્માંને કહીએ કે હવે અમે હીંચકા નાખીશું, તમે સૂઈ જાઓ. પણ તેઓ તાદાત્મ્યને સુવડાવીને જ સૂવા જાય.

ડાબેથીઃ મોટાં અમ્માં, ગોરાકાકા (જનાર્દનભાઈ) પાછળ: હું
આગળ: તાદાત્મ્ય – વર્ષ: આશરે ૧૯૮૪

પોતાને ગમે તેટલી તકલીફ પડે પણ બીજાંને મદદરૂપ થવું, મોટાં અમ્માંનો એ સહજ સ્વભાવ તો આખાં કુટુંબમાં જાણીતો હતો. દર્શના ધોળકિયા (મોટાં અમ્માંનાં મોટાં બહેનનાં પુત્રીનાં દીકરી)એ તેમનાં પુસ્તક 'ઓટલા દાવ'ના લેખનું મોટાં અમ્માં વિશેના પ્રકરણનું શીર્ષક - રેવાને તીર બાંધી મઢૂલી[1] - જ મોટાં અમ્માંના આ સ્વભાવને બહુ સચોટપણે યાદ કરે છે. સમજણા થયા પછી ઘણાં લોકોને મેં એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે બૃહદ કુટુંબીજનોમાંથી ઘણાંએ તેમના સ્વભાવની આ (વધારે પડતી?) સારપનો ઘેર લાભ પણ લીધો હતો.

તેઓ અમાદાવાદ આવ્યાં હોય એવા કોઈ એક પ્રસંગે તેમને એવું કહેતાં મને યાદ આવે છે કે તમે (એટલે કે હું) આસ્તિક ભલે નથી પણ ધર્મિષ્ઠ તો ઘણા જ છો. એ વાત કયા સંદર્ભમાં નીકળી હશે તે યાદ નથી, પણ એટલું યાદ જરૂર છે મને ત્યારે તો એમ જ લાગ્યં હતું કે ધર્મના રીતરિવાજો પ્રત્યેનાં અજ્ઞાનને તેઓએ મોટાંમનથી સ્વીકાર્યું છે અને એક અતિ પ્રેમાળ દાદીની લાગણીની શૈલીમાં તેમના પુત્રની દેખીતી કચાશને બહુ જ સારા શબ્દોમાં માફ કરી છે.

જોકે તે પછી એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે મારૂં મન મને મારાં કર્તવ્ય અનુસાર વર્તવાનું જણાવ્યું હશે. આજે હવે વિચારતાં મને એમ જરૂર સમજાય છે કે જ્યારે જ્યારે હું મારી સાહજિક મર્યાદાની અંદર રહીને જે શુદ્ધ દાનતથી વર્ત્યો હોઈશ તેમ થવા પાછળ મોટાં અમ્માંના મારા 'ધર્મિષ્ઠ' બનવા માટેનાં આશીર્વચનની છુપી પ્રેરણા જ હતી.

આવાં પરગજુ, નિર્મળ, નિરાભિમાની, પ્રેમાળ, સરળ વ્યક્તિને કાર્યકારિણીના સિદ્ધાંતે તેમને જીવનનાં પાછલાં વર્ષોમાં પણ, મારી દૃષ્ટિએ, બહુ જ અન્યાય કર્યો. બાપુના અવસાન પછી મોટાં અમ્માંની હાજરીમાં જ કમળભાઈ અને મહેશભાઈ બન્ને, ઘણી નાની ઉમરે, ગયા. એટલું ઓછું હોય તેમ ઘરમાં ઘરમાં જ કોઈ અકસ્માત બનેલી સાવ નાની ઘટનામાં તેમની કરોડના છેલ્લા મણકામાં હેરલાઈન તિરાડ પડી. તેને પરિણામે તેમનું ચાલવાનું પહેલાં બહુ જ પીડાદાયક થયું અને પછી બંધ થઈ ગયું. જિંદગીભર જેમણે બીજાંની સેવા કરી એવાં એમને છેલ્લા છ મહિના ગોરાકાકા (એમના સૌથી નાના દીકરા), ગોરીકાકી (સૌથી નાનાં પુત્રવધૂ) તેમ જ નાની પૌત્રી. પણ મોટાં અમ્માની બહુ લાડલી (અને મોટાં અમ્માં પણ જેને બહુ જ લાડલાં) એવી હર્ષિકાની સારવાર લેવી પડી. એ લોકોએ તો એ કાર્ય સાવ ભાર વગર જ કર્યું, પણ અબોલ રહીને જીવનનાં વાળાઢાળાને સહન કરી ગયેલાં મોટાં અમ્માંને મન તેમની શરીરની પીડા કરતાં પણ એ કેટલું વધારે કષ્ટદાયક રહ્યું હશે !

એમનું દેહાવસાન તેમના આ ભવચક્રની પીડાનો અંત હતો તેમ છતાં પણ એ સમયે મન તેમની ગેરહાજરી સ્વીકારવા તૈયાર નહોતું. જોકે, પછીથી જ્યારે જ્યારે સમય અને સંજોગોની વિષમતા સાથે મારું મન સમાધાન નથી કરી શક્યું ત્યારે ત્યારે મોટાં અમ્માંના વ્યક્તિત્વની ગરિમાએ અને હુંફે મને એ પરિસ્થિતિઓ સહન કરી જવાની શક્તિ પુરી પાડી છે.

કેટલાક વિસારે પડી ગયેલ તસવીરો :

મોટાં અમ્માં (વર્ષ આશરે ૧૯૫૫ - ૫૬)

બાપુ અને મોટાં અમ્માં. આ ફોટોગ્રાફ પણ ક્યાંનો અને ક્યારનો તે યાદ નથી આવતું. એક શક્યતા રાજકોટમાં તંતીનિવાસ (૧૯૫૮)ની છે.

      આગળઃ મહેશભાઈ, અશોક (હું) ; પાછળ, દેવીબેન, સંજયને તેડીને બેન, ગોરીકાકી અને મોટાં અમ્મા.

ફોટોગ્રાફ ૧૯૫૯ની આસપાસનો હશે. ક્યાંનો છે તે ખાત્રીપૂર્વક નથી કહી શકાતું, પણ એક શક્યતા છે કે

             સંજયના વાળ ઉતરાવવા બધાં વૈષ્ણવોનાં કુળદેવીના સ્થાનક, સોનડીયાગયાં હતાં ત્યારનો હોઈ શકે.

પ્રગતિનગરનાં ઘરે - ડાબેથી સુસ્મિતા, મોટાં અમ્માં, મહેશભાઈ

પ્રગતિનગરનું ઘર : સુસ્મિતા, બેન, (વચ્ચે) મહેશભાઈ, સંજય અને મોટાં અમ્માં

પ્રગતિનગરનું ઘર - બેન, મોટાં અમ્માં, સુસ્મિતા 

ફોટોગ્રાફની ગુણવત્તા સચવાઈ નથી




[1]  રેવાને તીર બાંધી મઢૂલી