Showing posts with label Janardan P Vaishnav. Show all posts
Showing posts with label Janardan P Vaishnav. Show all posts

Monday, October 5, 2020

મારા કાકા - જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ


જનાર્દન પ્રાણલાલ વૈશ્નવ (જન્મ : ૦૯-૦૬-૧૯૩૨ । દેહાવસાન : ૨૩-૦૯-૨૦૨૦) પ્રાણલાલ વાઘજી વૈશ્નવ અને રેવાકુંવર પ્રાણલાલ વૈશ્નવના ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર હતા. સૌથી મોટા પુત્ર કમળકાંતભઈ વૈશ્નવ અને તેમનાથી નાના, મહેશ્ભાઈ વૈશ્નવ (મારા પિતા).

કમળકાંતભાઈનું ૧૯૭૦માં જ્યારે અવસાન થયું, ત્યારે મારી ઉમર ૧૯ વર્ષની જ હતી. એટલે મને તેમનો પરિચય માત્ર એક પ્રેમાળ કાકા તરીકેનો જ હતો. તેમનાં વ્યક્તિત્વની જે કંઈ ઓળખ થઈ એ ક્યાં તો એ જ વર્ષે સાથે મુસાફરીના સમયે આખી રાત તેમણે પોતા વિશે જે કંઈ મને કહ્યું તે અથવા તો પછીનાં વર્ષોમાં તેમના પરિચયમાં આવેલાં લોકો પાસેથી જે કંઈ જાણવા મળ્યું તેટલી જ. મારા પિતા, મહેશભાઈએ તો, ૧૯૬૫માં,  મને મારાં એસ એસ સી પાસ થયાનાં વર્ષથી મને બહુ ઘણી બાબતોમાં (જુનિયર) મિત્ર તરીકે જ મારી સાથે વ્યવહાર રાખ્યો હતો, જે સમયની સાથે એ કક્ષા સુધી બઢતી પામતો ગયો કે હું બેઝીઝક, લગભગ દરેક વિષયમાં, તેમને મારા અભિપ્રાયો જણાવી શકવા લાગ્યો હતો. ૧૯૮૩માં, એમનાં અવસાન પછી મારી ભૂમિકા હવે પ્રાણલાલ વૈશ્નવ કુટૂંબના વડા જનાર્દનભાઈના મુખ્ય સહાયક તરીકેની હતી.

દરેક ભાઈઓ વચ્ચે ઉમરનો છ થી આઠ વર્ષો જેટલો તફાવત , એટલે તેમનાં અનુક્રમે બાળપણથી  કિશોરાવસ્થા સુધીનાં કૌટુંબિક વાતાવરણના અમુક સંસ્કારો લગભગ એક સરખા જ રહ્યા. તેમનો તે પછીનો વિકાસ ઠીક ઠીક અલગ અલગ વાતાવરણ અને સંજોગોમાં થયો. એટલે ત્રણેય ભાઈઓનાં જીવનનાં મૂળભૂત મુલ્યોમાં સ્વાભાવિક સમાનતા હતી, પણ એ મૂલ્યોના આદર્શોના વ્યવહારમાં અમલ અંગેના દૃષ્ટિકોણ દેખીતી રીતે જુદા પડતા જણાય. મારૂં સ્થાન અને ક્ષમતા તેમનાં વ્યક્તિત્વ વિશે વાત કરવા માટેનાં નથી. એથી, અહીં હું જે કંઈ કહી રહ્યો છું તે પછીની પેઢીના એક સભ્યના પહેલાંની પેઢી સાથેના અનુભવોની  વ્યક્તિગત સ્મૃતિઓ જ છે.

હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા અનુસાર જનાર્દનભાઈના ભૌતિક દેહમાંથી આત્માની પરમાત્મા સાથે વિલિન થવાની યાત્રા દેહાવસાનના તેરમા, આજના, દિવસથી શરૂ થઈ ગણાય, એટલે હવે તેમની યાદોને સ્મૃતિના પટારામાંથી બહાર લાવી તાજી કરવાનો આ નમ્ર ઉપક્રમ છે. અહીં રજૂ કરેલી યાદોનો સંદર્ભ મે તેમને જે રીતે જોયા  અને સમજ્યા તે પૂરતો જ મર્યાદિત છે. મારા અંગત અભિપ્રાયની અસર એ યાદોની રજૂઆત પર ઓછામાં ઓછી પડે તેવો મેં પ્રયાસ કર્યો છે.

જનાર્દનભાઈ સાથેની મારી પહેલી યાદ લગભગ ૧૯૫૬નાં વર્ષની છે. અમે ભુજથી સિરોહી / આબુ (રાજસ્થાન) મારા દાદા-દાદી સાથે રહેવા ટ્રેનથી સફર કરી રહ્યાં હતાં. પાલનપુર સ્ટેશને બીજી ટ્રેન માટે બે થી ત્રણ કલાકની રાહ જોવી પડતી. એ દરમ્યાન પ્લેટફોર્મ પર બીજી બધી ગાડીઓ આવે અને રવાના થાય. અમુક અમુક ગાડીમાંથી (એ જમાનામાં વપરાશમાં હતાં એવાં વરાળ) એન્જિનો ટ્રેનથી છૂટાં પડે અથવા તો જોડાય. એ આખી  પ્રક્રિયા જોવામાં મને બાળસહજ ઉત્સુકતા હતી. પણ પહેલું જ એન્જિન જોડાતી વખતે તેણે જે જોરથી વ્હિસલ વગાડી અને વરાળનો એક વિશાળ જથ્થો છોડ્યો, તેનાથી મારા તો છક્કા જ છૂટી ગયા. હવે જ્યારે એન્જિન જોડાવાનું કે છૂટું પડવાનું હોય ત્યારે હું તેનાથી ઊંધી દિશામાં રહેવાની જ રઢ લેતો. પણ જનાર્દનભાઈ મને પ્રેમાગ્રહપૂર્વક દરેક વખતે એન્જિન સામે લઈને ઊભો રાખતા. હું ડરનો માર્યો રડારોળ કરૂં, પણ તેઓ મને  ખુબથી પ્રેમથી, પણ  જકડીને, ત્યાં ઉભા રહે. આવું કમસે કમ એ દિવસે છ સાત વાર થયું. આજે યાદ કરૂં છું તો સમજાય છે કે મારો ભય દૂર કરવાની તેમણે બહુ સ્પષ્ટ  નિશ્ચયાત્મકતા દર્શાવી હતી, મારી પડખે હુંફ સાથે તેઓ ઊભા જરૂર રહ્યા, પણ મારો ભય તો, એ પ્રકારના અનુભવોમાંથી પસાર થઈને, મારે જાતેજ દૂર કરવો રહ્યો તે વિશે પણ તેઓ બહુ જ સ્પષ્ટ હતા.

લગભગ આ જ પ્રકારનો અભિગમ બીજા બે ભાઈઓનો પણ હતો. મારા મોટા કાકા, કમળકાંતભઈ, પણ દીવાળીમાં અમારા હાથમાં ટેટા ફોડવાની તાલીમ આપી અમારામાથી ભય દૂર કરવાનાં સભાન પ્રયોગ કરતા..૧૯૬૦ના માર્ચ / એપ્રિલમાં મારા પિતા મહેશભાઈની રાજકોટથી અમદાવાદ  બદલી થઈ ચુકી હતી. મારે એક વિષયની પરીક્ષા આપવા રાજકોટ જવાનું હતું. તેમણે મને બધું સમજાવીને બસમાં બેસાડી દીધો, અને મને પોતાના પગભેર થવાનું પહેલું પગલું  મંડાવી દીધું હતું.

અમારા શાળાભ્યાસના વર્ષો દરમ્યાન કેટલાંય ઉનાળૂ વેકેશનો જનાર્દ્નભાઈને ત્યાં ગાળ્યાં છે. એ સમયે, અમારી એ સમયની સમજણ અનુસાર, કામના સામાન્યપણે રહેતાં દબાણ હેઠળ પણ તેમના સાંત અને સ્વસ્થ રહી શકવાનાં તેમનાં પાસાંને અછડતું અછડતું જોયાનું યાદ આવે. પણ એ તેમના એ સ્વભાવનો પહેલો ખરો પરિચય તો ૧૯૮૩માં મારાં પિતાશ્રી, મહેશભાઈનાં, અવસાન સમયે થયો. જનાર્દનભાઈએ તેમનાં માતા (મારાં દાદી) રેવાકુંવરબેન સહિતના બે બાળકો અને પત્ની, પૂર્ણિમાકાકી, સાથેનાં કુટુંબને રાજકોટથી અમદાવાદની ૬ કલાકની મુસાફરી કરીને લઈ આવવાનું હતું. મહેશભાઈનું અવસાન થઈ ગયું છે તેવા ખબર માત્ર તેમને જ હતા, બાકીનાં બધાંને હજુ એ બાબતે અધ્યાહારભાવમાં રાખીને જ લઈ આવવાનાં હતાં. અહીં ઘર પાસે રિક્ષામાંથી ઉતરતાંની સાથે જ અહીંની પરિસ્થિતિ તો મારાં દાદીને સ્પષ્ટ થઈ જ ગઈ હતી.  ૧૯૬૪માં મારા દાદા, પ્રાણલાલભાઈ,નાં મૂત્યુ સમયે અને ૧૯૭૦માં મારા કાકા, ક્મળકાંતભાઈ,નાં અવસાન સમયે રેવાકુંવરબેનની માનસીક, અને તેને કારણે શારિરીક, હાલત અમે જોયેલી એટલે અમને પણ એ ઘડીની નાજુક ગંભીરતાનો અંદાજ હતો. જનાર્દનભાઈએ જરા પણ ક્ષણો વેડફ્યા વિના, રેવાકુંવરબેનને રિક્ષામાથી ઉતાર્યાં અને તેમને ખભેથી આંખાં શરીરનો ટેકો કરીને ત્રણ માળના દાદરા ચડાવીને લઈ આવ્યા. ઘરમાં આવીને રેવાકુંવરબેનને જે ધક્કો લગ્યો હશે તેને સહન કરવામાં પણ મદદ રહે તેમ તેમને હાથ વીંટાળીને દસેક મિનિટ બેસી રહ્યા. પછી તેમને લાગ્યૂં હશે કે હવે ખતરાની ઘડી વીતી ગઈ છે એટલે અંતિમ દર્શનની ક્રિયા વગેરે સત્વરે આટોપી લેવાનો તેમણે અમને ઈશારો કર્યો. એ પછીના દિવસો ઘરમાં બહુ જ અવર જવર પણ હતી, એટલે રેવાકુંવરબેનની સાવ પડખે બેસીને તો તેમનાં દુઃખને સહન કરવામાં મદદરૂપ થઈ શકાય એવું તો હતું નહીં, પણ જનાર્દનભાઈની ચીવટભરી નજર રેવાકુંવરબેનના હાવભાવ પર રહેતી તે મારી નજરે ઘણી વાર આવતું.

૧૯૬૪માં મારા દાદાનાં મૂત્યુ સમયે આ જ રીતે અમે મારા કાકા કમળકાંતભાઈને મારાં દાદીની 'રીમોટ" ઢાલ બનતા જોયા હતા. એ સમયે દાદી તો સ્ત્રીઓના સમુદાયમાં ઘેરાયેલાં હોય એટલે કમળકાંતભાઈ ત્યાં તો બહુ ન આવી શકે. એટલે તેઓ અમને શીખવાડી શીખવાડીને શું શું કરીને દાદીની  ઝીણીઝીણી સંભાળ લેવી તેવું ગોઠવતા. ૧૯૭૯માં કમળકાંતભાઈનાં અવસાન સમયે તો મધ્ય ગુજરાતથી કરીને સુરતની તાપી સુધી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલ નદીઓનાં પુરની સ્થિતિને કારણે જનાર્દનભાઈએ રેવાકુંવરબેનને અને કુટુંબને છેક ભુજ (કચ્છ)થી સુરતની અતિવિપદાભરી મુસાફરીની શારીરીક અને માનસિક હાલાકી પણ અનોખી સ્વસ્થતાથી સહન કરવાનો કડવો ઘુંટડો તો ગળી જ લીધો હતો.

મારા દાદાનું મૂત્યુ સમયથી જ દાદીએ સાંજનું જમવાનું છોડી દીધું હતું. દીકરાઓના અતિપ્રેમાગ્રહને વશ થઈને સાંજે માટે એક ચમચો શાક અને એક કપ દુધ પીતાં. તે પછી તો તેમના બીજા બે દીકરાની વિદાય પણ તેમણે સહેવી પડી. એટલે તેમનું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જતું હતું. મારા પિતાજીનાં અવસાનનાં ત્રણેક વર્ષ બાદ એક નાની આકસ્મિક ઘટનાને કારણે દાદીના કરોડસ્થંભના છેલ્લા મણકાનાં હાડકાંમાં હેરલઈન તિરાડ પડી ગઈ. તેઓ ધીમે ધીમે પથારીવશ થતાં ગયાં. આ પથારીવશતા ઊંટની પીઠ પરનાં છેલ્લાં તરણાં જેવું નીવડી.

જનાર્દનભાઈએ અને તેમનાં અંગત કુટુંબી સ્વજનોએ તેમની સેવા જે નિષ્ઠાથી કરી તેને સ્વાભાવિક ગણીએ તો પણ છેક છેલ્લા દિવસોમાં જ્યારે દાકતરો તબીબી દૃષ્ટિએ હાથ હેઠા મુકી રહ્યા હતા ત્યારે પણ જનાર્દનભાઈએ  હવે સાવ તુટવાની અણી પર આવેલો આશાનો તંતુ પણ પકડી રાખવાનો, પોતાનો પુરતો, આગ્રહ રાખ્યો હતો . સાવ અંતમાં જ્યારે દાદીની કીડની સંપૂર્ણપણે કામ કરતી બંધ  સાબિત થઈ ચુકી હતી, ત્યારે દાક્તરે હવે થોડા જ કલાકની વાત છે તેમ કહીને મને અમદાવાદથી બોલાવી લેવાની સલાહ આપી હતી. પરંતુ જનાર્દનભાઈનો માતૃપ્રેમ હજૂ પણ આશાવાદી હશે એટલે તેમણે મને જાણ ન કરવાનું જ ઊચિત માન્યું. તેમના આ આગ્રહ સામે લગભગ ૬૦ કલાક સુધી કુદરતની પણ કારી નહીં ફાવી હોય તેમ લાગતું હતું. જ્યારે આખરે દાદીને મૃત જાહેર કરાયાં ત્યારે જ તેમણે મને જાણ કરી. એ પછી મારાં રાજકોટ પહોંચવા સુધીના અને પછી છેલ્લે અંતિમ ક્રિયાના બધા જ સમય દરમ્યાન તેમણે જાળવેલ સ્વસ્થતા ઘણાંને એ સમયે બુઠ્ઠી બની ગયેલી લાગણીઓને કારણે લાગી હશે, પણ મને તેમના ચહેરા પર અને આંખોમાં સ્થિતપ્રજ્ઞ શાંતિ જ્ણાતી હતી.

દાદીનાં અવસાન પછીના ઉત્તર ક્રિયાઓના દહાડાઓમાં જ તેમણે દાદાએ લખેલ પધ્ધતિસરનું વસિયત અને દાદી એ અનૌપચારિક સ્વરૂપે લખેલ તેમની ઈચ્છાઓ આખાં કુટુંબને જાહેરમાં વાંચી સંભળાવ્યાં, અને એ મુજબનો તાત્કાલિક અમલ પણ કર્યો. પ્રાણલાલ વૈશ્નવ કુટુંબની એક માત્ર વડીલોપાર્જિત વારસાગત મિલ્કત, 'ભુજનું ઘર', હજુ પણ મહત્તમ વારસદારોની હાજરી છે ત્યારે જ વેંચી નાખીને ભવિષ્યના, કદાચિત સંભવિત, વિખવાદને બનતી ત્વરાએ નીવારવાનો તેમનો નિર્ણય તેમણે ખાસ્સું મન 'કઠણ' કરીને લીધો હશે. તે નિર્ણયના અમલમાં જે કંઈ અડચણો આવી તેને ખુબ જ ધીરજથી દૂર કરવાની તેમણે ખાસ ચીવટ દાખવી હતી. કોઈ પણ મિલ્કતની વહેંચણી ભાગ્યેજ વિચારભેદ, અને તેમાંથી પેદા થતા મતભેદ, સિવાય બનતી હશે. દુનિયાનો એ સાહજિક ક્રમ વૈશ્નવ કુટુંબને થોડો પણ લાગુ પડ્યો તે તેમને ક્ષમ્ય જણાયું કે નહીં તે તો માત્ર તેમને જ ખબર હોય, પણ એ વિચારભેદો કે મતભેદોને તેમણે તે પછીના એક પણ વ્યવહારમાં યાદ ન કર્યા અને તેને મનભેદમાં કાયમી ન બનવા દીધા એ તો બહુ સ્પષ્ટ જ રહ્યું.  

એ સમયથી માંડીને છેક છેલ્લે સુધી કૌટુંબીક ઐક્યની ભાવનાનાં કુટુંબનાં પરંપરાગત મૂલ્ય અંગે તેમણે નવી પેઢી સાથેના વિચારભેદને મનથી નહીં જ સ્વીકાર્યા હોય, પણ  દેખીતી રીતે 'આંખ આડા કાન કરીને કૌટુંબીક એકતાની ભાંગતી ઇમારતને જાળવી રાખવાનો 'વ્યાવહારિક' અભિગમ અપનાવ્યો હતો.

૨૦૦૮માં એમનાં પત્ની (પુર્ણિમાકાકી))નાં અવસાન પછી પણ તેમણે કુટુંબના વ્યવહારો પ્રત્યે એવો જ સ્વસ્થ અને 'ઉદાર (!)' અભિગમ રાખ્યો સૌથી મોટા ભાઈ, કમળકાંતભાઈ,ની પૌત્રીનાં લગ્ન તો સાવ બે-ત્રણ મહિનામાં જ હતાં અને તે પછી એ જ વર્ષમાં મહેશભાઈના પૌત્રનાં પણ લગ્ન હતાં. એ બન્ને લગ્નોની કૌટુંબીક  આનંદની પળોને તેમણે બહુ જ સભાનપણે સંકોરીને  ખીલવા માટેનું વાતાવરણ બની રહે તેમ સુનિશ્ચિત કર્યુ. એવા જ એક અન્ય પ્રસંગે તેમનાં સ્થાનનું માન ન જળવાય એવી મારી માન્યતાને તેમણે સ્પષ્ટપણે અસ્વીકારી. એ સમયે તેમને માટે તેમનાં સ્થાનનાં મહત્ત્વ કરતાં એ સ્થાનની ફરજ વધારે મહત્ત્વની હતી.

બધા ભાઈઓમાટે ફરજનિષ્ઠા એ 'પ્રમાણિકતા'નાં મૂલ્યનું હંમેશાં એક આદર્શ પરિંમાણ રહ્યું - પછીએ એ ફરજ કુટુંબ પ્રત્યેનો હોય, કે પછી તેમના વ્યવસાય પ્રત્યેની હોય, કે પોતે જે જવાબ્દારી નિભાવવાનું સ્વીકાર્યું છે તે હોય કે પછી નૈતિકતાની તેમની વ્યાખ્યા અને સમજમાં આવતું વર્તન હોય. પ્રમાણિકતાનું એવું જ બીજું આદર્શ પરિમાણ હતું વિચાર, વાણી અને વર્તનમાં ક્યારે પણ તસુ જેટલો પણ તફાવત ન હોવો તેમ જ એ બાબતે પૂરેપુરી પારદર્શિતા જાળવવી. એને કારણે ત્રણેય ભાઈઓ સ્પષ્ટ વક્તા હતા. જોકે કમળકાંતભાઈ જેટલા તડને ફડ કરી નાખનારા હતા, એટલા જ મહેશભાઈ તેમનાં સિધ્ધાંતોની વિરૂધ્ધ ની કોઇ વાત હોય તો મૌન સેવી લેતા, પણ તેમના ચહેરા પરના એ સમયના ભાવો એટલા જ બોલકા રહેતા. જનાર્દનભાઈ  કૌટુંબીક બાબતોમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શબ્દો ચોર્યા વગર એક વાર જરૂર કહે, પણ તે પછી જો એમ લાગે કે સામેની વ્યક્તિની માન્યતા સાથે તે સુસંગત નથી એટલે એ વ્યક્તિ ભલે કંઈ કહેશે નહીં, પણ એમનું કહ્યું કરશે પણ નહી, તો પછીથી બીજી વાર એ વાતનો ઉલ્લેખ જ ન કરતા.

આવી માર્મિક બાબતોમાં જે આટલા પ્રમાણિક હોય તે નાણાંકીય વ્યવહારોની બાબતે તો 'ચોખ્ખા' જ હોય તે તો સાવ સહજ છે. એક, સાવા નાનાં જણાતાં ઉદાહરણથી આ વાતને ખુબ સ્પષ્ટ કરી શકાશે. અમે મુંદ્રા શિફ્ટ થયાં ત્યારે અમારાં ઘરની નાની નાની સારસંભાળ માટે કોઈ તાત્કાલિક ખર્ચ કરવાની જરૂર પડે તે માટે મેં તેમને મહાપરાણે એક બહુ જ નાની રકમ આગોતરા સ્વીકારવા મનાવ્યા હતા. તે પછી, અમારે ફોન પર અઠવાડીએ એક વાર નિયમિતપણે વાત થતી તો પણ  તેઓ દર છ મહિને 'ખર્ચનો હિસાબ' અલગ પત્રથી નિયમિતપણે જાણ કરતા !

એ ત્રણેય ભાઈઓ માટે પૈસો (ભૌતિક સંપત્તિ) જીવન નિર્વાહ કરવા માટેના વ્યવહારોનું માધ્યમ માત્ર જ હતો, સુખનું મેળવવાનું સાધન નહીં અને સાધ્ય તો વળી કદાપિ જ નહીં.

ગૃહસ્થીના વ્યવહારોની તેમની શૈલીમાં સ્પષ્ટ પરિવર્તન તેમનાં પત્ની, પુર્ણિમાકાકી,નાં અવસાન બાદ આવેલું દેખાવા લાગ્યું હતું. પુર્ણિમાકાકીનાં અવસાન પછી તેમણે 'ઘર ચલાવવા' માટેનાં આર્થિક અને નાણાંકીય પાસાંઓની પુરી તાલીમ અને સમજ તેમની પુત્રવધૂ, અમી,ને આપવાનું શરૂ કરી દીધું હતું   તેમની ગૃહસ્થીની પ્રત્યેક આર્થિક અને નાણાંકીય પરિસ્થિતિઓનૂ બહુ ચોકસાઈભર્યું  તેઓ જે દસ્તાવેજીકરણ રાખતા તે સ્તરે અમી પણ પહોંચે એ માટે તે સજાગ હતા અને પુરેપુરા સફળ પણ રહ્યા. પછીની પેઢીને પોતાની જવાબદારીઓ સ્વીકારવા સક્ષમ કરવી અને તે પછી જવાબદારીઓ સોંપી પણ દેવી એવો જે વાનપ્રસ્થાશ્રમનો એક અભિગમ છે તે તેમણે સાક્ષાત કર્યો.

 પા્ચેક વર્ષ પહેલાંની પ્રોસ્ટેટની બીમારી પછી તેમણે સંન્યસ્તની નિર્મોહી અવસ્થામાં જવા ભણી પ્રયાણ કર્યું. તેને વધારે પ્રવેગ મળે તેવી ઘટના ત્રણ વર્ષ પહેલાં તેમના જમાઈ, દુષ્યંત રિંડાણી,નું અકાળે થયેલું અવસાન હતું. પોતાની હાજરી હોય કે ન હોય તો પણ હર્ષિકા 'દુઃખી' નહીં થાય એમ સંતોષ પામવા માટેનાં અન્ય પરિબળોની પણ અલબત્ત તે બાબતે ભૂમિકા રહી હશે તેમ માનીએ તો પણ એ બદલેલા સંજોગોમાં પણ તેમની પુત્રી, હર્ષિકા, માટેની પિતા તરીકેની સ્વાભાવિક ચિંતા પણ હવે તેમને જીવવા માટેનું પ્રબળ કારણ નહોતી પુરી પાડી શકતી. કોઈ પણ જીવનના અંત માટે કોઈ કારણ તો હોવું જ જોઈશે એ ન્યાયે તેમનાં આપ્તજનોના અનેકાનેક પ્રયાસો છતાં પણ છેલ્લા દસ પંદર દિવસની તેમની બીમારીએ તેમને જીજીવિષા સાવ જ છોડી દેવા માટે અંદરથી પ્રેરિત કર્યા હોય એવું હવે પશ્ચાદદૂષ્ટિથી વિચારતાં માની શકાય છે.

મારીઓ પુઝોની નવલકથા 'ગોડફાધર'માં જીવનની આખરી ક્ષણોમાં જેમ ડૉન કોર્લીઓન તેમના પુત્રને કહી શક્યા હતા કે 'જિંદગી કેટલી સુંદર છે'  / Life is so beautiful, એમ જનાર્દનભાઈ પણ કહેતા કે તેઓ પુરૂં જીવી ચુક્યા છે. જે આત્મા સદેહે જ પોતાનાં કર્મોનો હિસાબ આટલી સ્પષ્ટતાથી સાફ કરી ચુક્યો હોય તેની અંનત યાત્રા તો પરમ શાંતિની જ સફર હોય.

આપણે આવાં પુણ્યશાળી વ્યક્તિઓનાં વારસ છીએ તે ભાન આપણને આપણાં જીવનનાં મૂલ્યો પ્રત્યેના અભિગમને વધારે સ્પષ્ટ કરી રહે છે. એ સ્મૃતિઓ આપણા હવે પછીના દરેક નિર્ણય અને વર્તનને જે માર્ગદર્શન આપે તે સમજવાની, અને અમલ કરવાની, આપણામાં ક્ષમતા રહે એવી જ હવે પછીનાં જીવન પ્રત્યેની મારી અપેક્ષા છે.