Showing posts with label The Black Swan. Show all posts
Showing posts with label The Black Swan. Show all posts

Saturday, September 20, 2014

કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો - નસ્સીમ નિકોલસ તાલેબ

clip_image001ઑસ્ટ્રેલિયાની શોધ થઇ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતી દેવીનાં વાહનને યાદ કરીએ? કોઇ પક્ષીવિદે જ્યારે પહેલી જ વાર "કાળો હંસ' જોયો હશે ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે, તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો, અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણું અને મર્યાદાઓની વાત માડે છે.

સફેદ હંસોને જ જોઇ જોઇને રૂઢ થયેલી આપણી માન્યતાઓ અને એના પરથી ઘડાયેલી આપણી સમજને આધારે કરેલી આગાહીઓથી સાવ જ અલગ જ એવી, સાવ જ કદરૂપા એવા કાળા હંસનાં દેખાઇ પડવાની એક જ ઘટના, આપણાં લાખો સફેદ હંસ દર્શનનાં મહાત્મ્યને તહસનહસ કરી નાખી શકે છે.

આ તાત્વિક-તાર્કીકતાને પેલે પાર જઇને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.

"ઘટનાની આકસ્મિકતાથી આગળ જઇને,"કાળા હંસ'ને એક સિદ્ધાંત તરીકે, ખાસ ભારપૂર્વક, રજૂ કરતાં નસ્સીમ તાલેબ તેમના આ સિદ્ધાંતની ત્રણ આગવી ખાસિયતો નોંધે છે -
એક, તો છે એનું પરાયાપણું, તેનાં હોવાની સામાન્ય અપેક્ષાઓ. ભૂતકાળની કોઇ જ ઘટનાઓની સીમાની બહાર છે.

બીજું, તેની અસરો બહુ જ ગંભીર, આત્યંતિક હોય છે. અને

ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં, જેવી આ પ્રકારની ઘટના બને તે સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તે હોવાની શકયતા સમજાવી અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઇ જઇએ છીએ.

આ ત્રિપાંખી ખાસીયતોને વિરલતા, આત્યંતિક અસર અને પાર્શ્વવર્તી (ભવિષ્યવર્તી તો નહીં જ) આગાહીક્ષમતા {predictability} વડે યાદ રાખી શકાય.

કોઇ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા" હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ, સંખ્યા, જટીલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે "કાળો હંસ" ઘટનાઓ વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્વ પણ ઓછું થતું જઇ રહ્યું છે.

લોકજુવાળને કારણે ઇજીપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઇએ કલ્પ્યું હતું? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઇન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઇમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઇ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.

ઓછી આગાહીક્ષમતા અને બહુ વધારે અસરની જોડીદારીને કારણે "કાળો હંસ" એક મહાકોયડો બની રહેલ છે. જો કે નસ્સીમ તાલેબનાં પુસ્તકનો કેન્દ્રવર્તી મુદ્દો આ પણ નથી. આ મેળવણીમાં આટલું ઓછું હોય તેમ ‘હજુ જાણે એ છે જ નહીં’ એવી આપણી માન્યતાનો રંગ ઉમેરો ! માત્ર આપણે કે આપણો કોઇ ભાઇ ભત્રીજો કે કોઇ આપણો ગામવાસી જ નહીં, પણ છેલ્લી એક સદીથી પોતે વિકસાવેલ સાધનોથી કોઇ પણ અનિશ્ચિતતાને માપી શકાય એવી સજ્જડ માન્યતા ધરાવતા "સમાજ વિજ્ઞાનીઓ' પણ એના અસ્તિત્વને સ્વીકારતાં નથી. નાણાં અને અર્થશાસ્ત્રના તજજ્ઞ વિશ્લેષકો 'કાળા હંસ'ની ઘટનાનાં "જોખમ'ની વ્યાખ્યા કરતી વખતે આપણને જે માપદંડો આપશે તેમાં "કાળા હંસની સંભાવિતા'ને બાકાત રાખતા માપદડોની જ વાત જોવા મળશે. એટલે હવે આ વાત તો જ્યોતિષશાસ્ત્રની સચોટતા જેટલી જ ચોક્કસ ગણી શકાય. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્વની ટેક્નોલોજીને લગતી શોધ કે કોઇ પણ મહત્વની સામજિક ઘટના, આપણી કારકિર્દીના મહત્વના વળાંકોને યાદ કરીને વિચારો કે શું તે કોઇ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું? ભાત ભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઇ રક્ષણ અનુભવાય છે ખરું?

આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાર્દચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહિનતા છે.

આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્વની ચાલની આપણને ખબર છે તેવું જ તે ચાલનું મહત્વ ધુળધાણી થઇ જાય છે. એટલે કે, આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઇ જાણતાં હોઇએ છીએ તે બધું જ બીનમહત્વનું બની રહે છે.

આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઇ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઇ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળનાં મહત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઇ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાંઓ પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે.

તજજ્ઞોના પોકળ દાવા

પરાયાપણાં વિશે અનુમાન કરી શકવાની આપણી અશક્તિ એ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરી શકવાની આપણી અશક્તિ દર્શાવે છે. પણ આપણે તો માત્ર તે આગાહી કરવા જ નહીં પણ તે ઘટનાઓને બદલી શકવાની બડાશ મારતાં પણ ખચકાતાં નથી. આર્થિક અને સામાજીક ઘટનાઓનાં ભૂતકાળનાં વલણોને આધારે હવે પછી શું થશે તે વિષે આપણે નિશ્ચિત આગાહીઓ કર્યે રાખીએ છીએ. સાવ નાનાં બાળકના હાથમાં મશાલ પકડાવી દેવા જેટલું જ જોખમ આપણી નીતિઓ અને તેનાં અમલીકરણના અનિયત જોડાણ વિશેની આપણી ગેરસમજમાં સમાયેલું છે.

"કાળો હસં" એટલી હદે અણધારેલ રહે છે કે તેની આગાહી કરવી એ વધારે પડતું ભોળપણ છે. તેની સાથે ગોઠવાઇ જવું જ હિતાવહ છે. જો "કાળા હંસ'ની સાથે સંકળાયેલ પ્રતિ-જ્ઞાન કે અજ્ઞેય પર ધ્યાન આપીએ તો બહુ ઘણું કરવાનું મળી રહેશે. અને તેઓ સહુથી મોટો એક ફાયદો તો એ કે 'કાળા હંસ' સાથે ઘરોબો વધારવાથી બગાસાં ખાતાં પતાસાં ખાવા મળી જાય તેવી મજા માણવા મળે.

શીખવાનું શીખવું

આપણે જે જાણીએ છીએ તેના પર જ બહુ વધારે ધ્યાન આપવું એ વળી એક વધારાની માનવીય નબળાઇ છે - આપણા માટે જ્ઞાન એટલે કોઇ એક વિષય વિશે ચોક્કસ, ગહન, વિશિષ્ટ જાણકારી હોવી, નહીં કે તેના વિશે વિશાળ ફલક પર ફેલાયેલ માહિતીને એક સૂત્રે બાંધી શકવાની ક્ષમતા.

આતંકવાદની બનતી ઘટનાઓમાંથી પોતાની આગવી ગતિશીલતાને કારણે કેટલીક ઘટનાઓની આગાહી કરવી બહુ જ મુશ્કેલ છેતેમ આપણે શીખ્યાં ખરાં? કે પછી આપણાં પરંપરાગત 'ડહાપણ'ની મર્યાદાઓ ખબર પડી? કે પછી ફલાણી ફલાણી ઓળખ હોય તો તે "આતંકવાદી" ગણાય એવી કોઇ સમજ પડી ખરી? કે પછી, આવી દિવાલોના વાડા જ બાંધવાનું શીખ્યાં? આપણે શીખવાનું નથી જ શીખતાં એ શીખવાની જરૂર છે તેવા પૂર્વેત્તર-સિદ્ધાંતો (જેમ કે સિધ્ધાંતો ન જ શીખવાની આપણી પ્રકૃત્તિ)તો આપણે નથી જ શીખતાં. કોઇપણ અમૂર્ત પરિકલ્પના કે સિધ્ધાંત માટે આપણે ગજબનાક સૂગ છે.

એવું માની શકાય કે આપણાં મગજને પોતાની અંદર વિસ્તુત કક્ષાએ વિચાર કરતાં જ રહેવા માટે આપણે કદી તૈયાર જ નથી કર્યું. દેવભૂમિના પૂર જેવી ઘટ્નાઓ સમયે સમાધિ લગાવીને આ કોને કારણે થયું તેવા વિચારોમાં ગુંચવાતાં રહીને તણાઇ જવું કે ઉંધું ઘાલી ને ભાગી કોઇ ઉંચી ટેકરી પર ચડી જવું? હજારો વર્ષ સુધી વિચાર ન કરતાં પ્રાણીની જેમ રહ્યા પછીના ઇતિહાસના પલકારામાં આપણે પરિઘિ-વિષયો વિશે વિચારતાં - જો ખરેખર વિચારીતાં હોઇએ તો (!?) - તો થઇ ગયાં. પણ એ ઇતિહાસ જ ગવાહ છે કે, આપણે માનીએ છીએ તેટલું આપણે વિચારતાં નથી.

નવા જ પ્રકારની અકૃતજ્ઞતા

જેમ આપણે જાણતાં અને ન જાણતાં વચ્ચેના તફાવતને બદલતાં નથી, તે જ રીતે સારવાર કરતાં નિવારણનું મહત્ત્વ બધાં સમજે છે, પણ નિવારણને જોઇએ એટલું મહત્ત્વ કોઇ નથી આપતું. તેમનાં યોગદાનને કારણે જેટલાં ઇતિહાસને પાને ચડી ગયાં છે, તેનાં વખાણ કરતાં આપણે થકીશું નહીં, અને જેમનાં યોગદાનની નોંધ નથી લેવાઇ તેવાંઓને યાદ પણ નહીં કરીએ. માનવ જાત તરીકે આપણે માત્ર ઉપરછલ્લાં તો છીએ જ - જો કે તેનો તો કંઇક પણ ઉપાય થાય - પણ તેથી વધારે તો આપણે બહુ જ અન્યાયી છીએ.

જીંદગી બહુ વિલક્ષણ છે

નસ્સીમ તલેબની દ્રષ્ટિએ જવલ્લે જ બનતી ઘટના એ જ અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાની સાથે બે રીતે પનારો પાડી શકાય - એક તો 'અસામાન્ય'ને અલગ કરી અને જે રોજીંદું, વારંવાર , સામાન્યપણે થતું રહે છે તેના પર ધ્યાન આપવું. અને બીજો વિકલ્પ છે જેની સરવાળે બહુ વધારે અસર થતી હોય એવી "અસામાન્ય" ઘટનાઓને પહેલાં સમજવી. લેખક તો જો કે ચોખ્ખા શબ્દોમાં કહે છે કે "સામાન્ય વલણો"ને સમજવા માટે પણ ખરેખર તો "અસાધારણ" ઘટના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

સામાન્યપણે, જોવા મળતી માનસિકતા(અને વર્તણૂક)માટે તાલેબ જેને 'રમતિયાળ તર્કદોષ'\ ludic fallacy કહે છે તેવી માન્યતાને જવાદદાર ઠેરવે છે. આ પ્રકારની માન્યતા એટલે - રમત ગમતમાં જોવા મળતી સંરચિત ઉર્દચ્છિકતા વાસ્તવિક જીવનની અનૌપચારિક ઉર્દચ્છિકતા જેવી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભૂતકાળના અનુભવોના આધાર પર અનઅપેક્ષિત ઘટનો વિષે આગાહી કરવી. નોકરી માટેના ઇન્ટરવ્યુ માટે ૧૦૦ લોકોએ અરજી કરી હોય એટલે સંભાવના સોમાંથી એકની ગણીને આપણે એકલાં જ ઇન્ટરવ્યુમાં હોઇએ તેના સોમા ભાગની જ તૈયારી કરવી? જેના વિષે આપણે કંઇક જાણીએ છીએ તેવું માનીને જે અજ્ઞાત છે તેની આગાહી કરવી અને જેની અજ્ઞેયતા વિષે પણ અજાણ છીએ તેવાં અજ્ઞાતની આગાહી કરવી એમાં કાંઇ ફરક ખરો?

તાલેબ અજ્ઞાત જોખમની સાથે કામ પાડવા માટે પ્રતિતથ્યાત્મક વિચારધારા \counterfactual reasoningનો ઉપયોગ કરવાનું પણ સૂચવે છે. ઘટના જે રીત થઇ તે સિવાય બીજું શું શું થઇ શક્યું હોત તેમ વિચારવાથી ઘણી વાર ઘટનાનાં આકસ્મિકપણે થવાના સમયે જોઇતી તૈયારીઓ કરી શકવના માર્ગ મળી રહેવાની શક્યતાઓ વધી જાય છે.

જેમ સંબંધોની સાચી ઓળખ તો ક્યારેક થતા વિપરીત સંજોગોમાં જ થાય છે, તબીયતની કસોટી મોટી બિમારીમાં જ રહેલી છે. સામાન્ય ઘટનાઓનો અભ્યાસ 'ક્વચિત થતી, અનિશ્ચિત' સંભાવનાને બાજુએ જ રાખી દે છે, અને તેમ છતાં અનિશ્ચિતતા પણ આપણે નિયંત્રણ મેળવ્યું છે, તેવા તરંગમાં આપણે રાચતાં રહીએ છીએ. તેથી જ આ પુસ્તકને "મહાન બૌધ્ધિક છેતરપીંડી"નાં ઉપનામની ઓળખ પણ મળેલી છે.

‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃતિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics] નો પાયો જ ખામીયુક્ત અને સ્વ-સંદર્ભીય છે. તેઓ આંડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે કારણકે જે દરથી અને સંખ્યામાં આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.

કાળા હંસ-પ્રતિરોધક વિશ્વ માટેના દસ સિદ્ધાંતો

અહીં નસ્સીમ તાલેબ, તેમના તીખા તમતમતા શબ્દોમાં, આપણને આપમેળે મૂડીવાદ ૨.૦ તરફ જવાના માર્ગની દુહાઇ દે છે. તેમની જડીબુટ્ટી છે - આપણી આર્થિક જીવન શૈલીને કુદરતની શૈલી માફકનાં જીવન તરફ વાળ્યે રાખવી, જ્યાં કંપનીઓ નાની હોય, પર્યાવરણ સમૃદ્ધ હોય અને બેહદ ફાયદાઓની વાત ન હોય. તેમનાં આવાં વિશ્વમાં બેંકરો નહીં , પણ ઉદ્યોગ સાહસિકો જોખમ લેતા હોય અને કંપનીઓનાં જન્મમરણ એ સમાચાર ન હોય.

૧. જે નાજુક જ છે તે હજુ નાનું હોય ત્યારે જ બટકી પડે તે જ સારું.
બહુ મોટું થયા પછી જે નિષ્ફળ જાય તે તો ખોટું, કારણ કે આર્થિક ઉત્ક્રાંતિ જેમાં સહુથી બધારે જોખમો છુપાયેલાં છે તેવાં અતિનાજુકને મોટાંમસ થવામાં પોસે છે.
૨. નુકસાનનું સામાજીકરણ નહીં અને નફાનું ખાનગીકરણ નહી
જેને પણ જાહેર નાણાંની મદદથી બચાવવું પડે તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઇએ, અને જેને બચાવવાની જરૂર નથી તેવાં આર્થિક સાહસોને મુક્ત, નાનાં અને જોખમ સહન કરી શકે તેવાં રાખવાં જોઇએ.
૩. આંખો બંધ કરીને શાલાની બસ ચલાવનારાં (અને ભટકાવી મારનારાંઓ)ને ફરીથી નવી બસ પર તો બેસાડવાં જ નહીં.
યુનિવર્સિટીઓ, નિયમનકારો, બેંકો, સરકારી બાબુશાહી જેવી આર્થિક સંસ્થાઓને સ્પર્શતી બાબતોમાં જે લોકોની નીતિઓ અને કાર્યપધ્ધતિઓના સંદર્ભમાં જેમના હાથ ચોખ્ખા હોય, અને જેમને આક્સમિક આથિક જોખમોની સાથે કામ લેવાની ફાવટ છે ,તેવાં લોકોને આ પ્રકારની સંસ્થાઓ ચલાવવાનું કામ સોંપવું જોઈએ.
૪.જેમને 'પ્રોત્સાહન બોનસ' મળતું હોય તેમને આણ્વીક ઉર્જાએકમો ચલાવા ન દેવાય.
'બચત' કરીને નફો બતાવવાની લ્હ્યાયમાં તેઓ સલામતી જેવા અતિમહત્ત્વના વિષયોમાં કરકસર કરી બેસે તો નવાઇ ન કહેવાય ! આર્થિક બાબતોમાં જો પ્રોત્સાહન અને બોનસ હોય તો નુકસાની સમયે, ન્યાયિકપણે,દંડ પણ હોવો જોઇએ.
૫. જટિલતાની સામે સરળતાના ધડા(Counter balance)નો ભાર સરખો બનાવો.
વૈશ્વીકરણ અને એકબીજાંમાં બહુ મોટે પાયે સંમિલિત થઇ ગયેલ આર્થિક તંત્રની જટિલતાની સામે બહુ જ સરળ નાણાંકીય વ્યવહારોથી કામ થાય તેવી વ્યવસ્થા બનાવ્યે રાખવી જોઇએ. જાત જાતના સિદ્ધાંતોના તરંગો અને તેને કારણે સર્જાતા પરપોટાઓને મૂડીવાદમાં સાવેસાવ તો રોકી ન શકાય, પણ તેનાથી થનાર અવળી અસરો વિષે પણ સજાગતા તો કેળવવી જ જોઇએ.
૬. ભલેને ડાયનેમાઇટના ટેટા પર સલામતીની સુચનાઓ છાપી હોય, તેથી બાળકોના હાથમાં તેનું જોખમ ઘટી નથી જતું.
રોજ રોજ બહાર પડતી નાણાંકીય પ્રોડક્ટ્સ એ ડાયનેમાઈટના ટેટા છે તે વાત તો સમજી લેવી જ જોઇએ.
૭. વિશ્વાસને ભરોસે તો 'એકના ડબલ' જેવી યોજનાઓ જ ચાલે.
સરકારનું કામ આર્થિક ઘટનાઓને લગતી અફવાઓ ફેલાતી અટકાવીને 'વિશ્વાસ પેદા' કરવાનું નથી. તેણે તો અફવાઓની આંધી વચ્ચે પણ સ્પષ્ટ રહે તેવી નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રહે છે.
૮. દારૂડીયાને દારૂની લત છોડાવવા વધારે દારૂ ન અપાય.
જાહેર દેવાંની સમસ્યાનો ઉપાય વધારેને વધારે દેવાં નથી. તેનાં મૂળમાં જઇને બીનપોષાણક્ષમ તુક્ક્કાઓ વિષે ફેરવિચારણાઓ થતી રહેવી જોઇએ.
૯. માત્ર નાણાંકીય અસ્કમાયતો પર નાગરિકોનાં નિવૃત જીવનની નાવને તરતી ન મૂકવી જોઇએ.
પોતાના અંકુશમાં નથી તેવાં નાણાંકીય રોકાણોનાં વળતરના આધાર પર નિવૃતિનું આયોજન ન કરાય. દરેક નાગરિકે કંઇને કંઇ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા બાબતે તૈયારી રાખવી જ જોઇએ.
૧૦. કોપરૂં ખાવું હોય તો નાળીએર ફોડવું જ પડે.

કોઇ પણ સમસ્યાના થગડથીગડ ઉપાયો સમસ્યાને વધુ વિકરાળ જ બનાવવાનું કામ જ કરશે. આકસ્મિક ઘટનાઓ - ખાસ કરીને આર્થિક ઉથલપાથલો-નો સામનો કરવા માટે નિશ્ચિતતા પર ભરોસો ન રાખવાનું શીખવું જ રહ્યું.
સંલગ્ન સંદર્ભ :
એપ્રિલ ૧૦, ૨૦૧૨ના રોજ વુડરૉ વિલ્સન સ્કૂલના ઉપક્રમે યોજાયેલ વ્યાખ્યાન શ્રેણી "આર્થિક સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ - સંકટો, રાજકારણ અને શક્યતાઓ'ના ઉપક્રમે આપેલું વ્યક્ત્વય
આડ વાતઃ
"ધ બ્લેક સ્વાન'નામક અંગ્રેજી ફિલ્મો અને તેને લગતી કેટલીક રસપ્રદ વાતો

Black Swan - ૨૦૧૦માં રજૂ થયેલી મનોવૈજ્ઞાનિક થ્રીલર / હોરર ફિલ્મ, જેની પરિચયાત્મક સમીક્ષા, હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘બ્લેક સ્વાન’, પણ ફિલ્મને પૂરો ન્યાય કરે છે.

The Black Swan (૧૯૪૨)માં રજૂ થયેલી ફિલ્મ, રાફૈલ સબાતીનીની એ જ નામની, ૧૯૩૨માં પ્રસિદ્ધ થયેલી નવલકથા પરથી બનાવાઇ હતી. અને આ નવલકથા લેખકની જ નવલિકા The Duel on the Beach પરથી લખાઇ છે.

આ વિષય પર નસ્સીમ તાલેબના કેટલાક વિચારપ્રેરક લેખો, તેમ જ ‘બ્લૅક સ્વાન' ફિલ્મ જેવી સામગ્રી આ ફૉલ્ડરમાં એકત્રીત કરેલી છે.