ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Sunday, November 2, 2025
પ્રણયભાઈ (ઉષાકાંત ધોળકીઆ)ને સ્મરણાંજલિ
ઘણાં વર્ષો પછી હું જે કંપની માટે કામ કરતો અને તે જે કંપની માટે કામ કરતા એ બંને કંપનીઓ વચ્ચે એક સરખી કહી શકાય એવી પ્રોડક્ટ્સ (પાઈપ્સ) અને ફેક્ટરીઓનાં સ્થળ (અમદાવાદમાં કાળીગામ) પણ નજદીક હતાં દેખીતી રીતે આમાનું એક પણ પરિબળને અમારા સંબંધને જોડવા માટે કોઈ કારણ ન ગણાય. તેમ છતાં ન સમજાય એવું બળ અમને ભવિષ્યમાં નજદીક લાવવાનું મૂળ બનવાનું હશે એટલે જરા પણ લાગુ ન પડે એવું આ પરિબળ અમારા સંબંધને અલગ પરિમાણ આપવાનું કારણ બન્યું. આગળ જતાં જ્યારે અમારા સંબંધમાં પ્રત્યક્ષ કડી ઉમેરાઈ ત્યારે ઘણી વાતોમાં અમારા આ સમયના અનુભવોની વાતો મને તેમની વ્યવહારદક્ષ ક્ષમતાને સમજવામાં મદદરૂપ બની છે.
હજુ સુધી ઓળખાણની પ્રક્રિયા અપ્રત્યક્ષ જ હતી. તેને અછડતું પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું સમીર સાથેની એચ - એલ કોલોની (૧૯૬૫ થી ૧૯૬૯નાં વર્ષો) દરમ્યાન વિકસેલી મિત્રતાને કારણે. તે પછી ખરા અર્થમાં પ્રત્યક્ષ પરિચય વિકસવાનું શરૂ તો છેક '૮૦ના દાયકામાં એ લોકો પહેલાં વાડજમાં વોલ્ગા ફ્લેટ્સમાં અને પછી નારણપુરામાં શુભલક્ષ્મી ફ્લેટ્સમાં અને અમે લોકો પ્રગતિનગરમાં સ્થાયી થયાં ત્યારથી થયો. હજુ પણ પરિચય હતો તો દર વર્ષે નવરાત્રીમાં શક્રાદય સ્તુતિ વખતે કે નવાં વર્ષે જનાર્દનભાઈને ઘરે મળવાનું થઈ જાય એવાં ઔપચારિક સ્તરે જ હતો.
એવા પ્રસંગોએ જ્યારે જ્યારે તેમનાં શુભલક્ષ્મી ફ્લેટનાં ઘરે જવાનું થતું ત્યારે તેમની સુશોભન કળાની ગોઠવણીઓ અને સાધન સામગ્રીને પસંદગીઓની સરળતાની બારીકીઓ એટલી ઔપચારિક મુલાકાતમાં પણ નજરે ચડ્યા વિના ન રહેતી. સમીરને કારણે શારદાબેન અને પદાભાના સ્વાદ સંબંધી પરફેક્શનના આગ્રહની મને ખબર હતી. પરફેક્શનનો આવો આગ્રહ પ્રણયભાઈને ઘરનાં તેમનાં સુશોભન બાબતે પણ હશે તે પણ ધ્યાન પર આવ્યા વિના ન રહેતું.
એ સમયનાં 'નારણપુરાનાં નાગર પરિવારો'ની જે કંઈ મિલન મુલાકાતો થતી ત્યારે વાતનો કોઈ વિષય ન હોય તો 'કાળીગામ'ના તેમના અનુભવો અમને હાથવગો વિષય બની રહેતો. એ પછી જ્યારે મેં અમારા મિત્રો સાથે અમારૂં (પહેલું) નાના પાયા પરનું ઔદ્યોગિક સાહસ ખેડ્યું ત્યારે પ્રણયભાઈની વ્યાવહારિક કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની મને સમજણ પડવા લાગી. તેમની સાથે ઓળખાણ વધારે ઘનિષ્ઠ બની શકી તેમાં આ પરિબળનો ફાળો પણ મહત્વનો ગણાય.
અમે જ્યારે એચ - એલ કોલોનીમાં રહેતાં એ સમયે મોતીભાઈ (મનહરભાઈ જયંતિલાલ વૈષ્ણવ) પોતાને 'સરકારી' નોકરીની જીવનશૈલીની બાબતે 'બીજી નાતના' ગણાવતા. તેઓ હંમેશાં કહે કે 'આ લોકો'ની જીઆર / સીઆરની ભાષા જ સમજાતી નથી. એવું જ મારૂં અને પ્રણયભાઈનું 'નારણપુરા મિલનો' સમયે અમે બન્ને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા હતા તેને કારણે થતું. અમારી નોકરીઓનાં 'સુખ દુઃખ'ની વાતોમાં બીજાં કોઈને બહુ રસ ન પડે, એટલે પ્રણયભાઈ અમને 'સમદુખીયા' કહેતા.
પ્રણયભાઈ તો દરેક બાબતને તેમની સહજ વ્યવહારકુશળતાથી આસાન કરી શકવાનો જાદુઈ ઈલ્મ જાણતા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધી જાણતા અને કેળવી પણ શકતા. આ બાબતે, સ્વભાવગત રીતે હું ઔપચારિક સંબંધોમાં સપાટીથી વધારે આગળ ન વધી શકનારો. પરંતુ, આ 'સમદુખીયા'પણાને કારણે, મારા કરતાં ઉંમરમાં ઘણા વડીલ હતા, છતાં હું તેમની સાથે 'મિત્ર' તરીકે નજદીકી અનુભવતો.
તે પછી '૯૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી કામ સબબ અમારે જી ડબલ્યુ એસ એસ બોર્ડ (GWSSB) દ્વારા અમલીકરણ કરાઈ રહેલા નર્મદા પાઈપ લાઈન તરીકે જાણીતા પ્રોજેક્ટને કારણે હવે એક ‘કોમન ગ્રાહક’ સાથેનાં કામ માટે સીધું મળવાનું થવા લાગ્યું. તેને કારણે અમારી ઓળખાણ ઘણે અંશે એકબીજાનાં કામકાજ અંગેનાં સંબંધ પુરતા પરિચયમાં વિકસવા લાગી. અમારી એક હરિફ કંપનીનું બોર્ડ સાથેનું કામ સંભાળતા કિરણભાઈ સાથે તેમના થકી થયેલો પરિચય મને બહુ જ ઉપયોગી નીવડેલો. પ્રણયભાઇનો હું સંબંધી થાઉં એટલે કિરણભાઈ જે બાબતોમાં કોઈ હરીફ કંપની મદદ કરવા ન ઈચ્છે એવી બાબતોમાં પણ કિરણભાઈએ નિંઃસંકોચપણે મદદ કરી હશે.
એ જ વર્ષો દરમ્યાન નાગર મંડળના કાર્યક્રમોનાં આયોજનમાં તેમનો ટેકો અને તેમના સૂચનો અમને વધારે નજદીક લાવવામાં ઉદ્દીપક બન્યો. તેમની વ્યવહાર કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની અલપ ઝલપ ઓળખાણ હવે સન્માનનીય પરિચયમાં પરિવર્તિત થવા લાગી હતી.
ભૂમિકા અને તાદાત્મ્યનાં લગ્નના સંબંધે તો પ્રણયભાઈ હવે કાયદેસરના વડીલ હતા. પરંતુ, પ્રણયભાઈએ એ સંબંધના તેમનાં સ્થાનની ગરિમા અને અમારા અત્યાર સુધીના સંબંધમાં કેળવાયેલા પરિચયમાં કેળવાયેલ અનૌપચારિકતા વચ્ચે અદ્ભૂત સંતુલન જાળવી રાખ્યું.
પ્રણયભાઈ અને સરલાબહેન પહેલી જ વાર જ્યારે ભૂમિકાને ઘરે બેંગલુરૂ ગયાં ત્યારે તેમણે પ્રેમાળ વડીલની રૂએ ત્યાં તેમને કેવી મજા આવી, તાદાત્મ્ય અને ભૂમિકા એમનું બન્નેનું કેટલું રાખે છે વગેરે અનેક રીતે ખુબ ખુબ હર્ષ વ્યક્ત કર્યો. તે પછી જ્યારે જ્યારે પ્રણયભાઈ ભૂમિકાને ઘરે જાય ત્યારે ત્યાંથી જ એટલા જ ઉમળકાભેર કેટલી મજા આવી તેનો ફોન અચૂક કરે. તનય, ભૂમિકા અને તાદાત્મયની પ્રગતિને લગતી દરેક બાબતો વખતે પણ તેમનો હર્ષ વ્યક્ત કરતો ફોન હોય જ. તદુપરાંત તેમનાં દરેક દૌહિત્રના તેમજ જમાઈ - દીકરીઓના પણ ખુશીના પ્રસંગોના સમાચાર અમને એટલી જ આત્મીયતાથી આપે. અમારા પ્રસંગો પણ ચૂકે તો નહીં જ. બેન (મારાં મા)નું હિપ બોન બદલવાનું ઑપરેશન થયું ત્યારે હૉસ્પિટલમાં ખબર પૂછવા આવેલા. સુસ્મિતાની બીમારીઓ વખતે પણ તેઓ નિયમિતપણે ખબર પૂછતા રહેતા. તનયનાં યજ્ઞોપવિત પ્રસંગે હું અને સુસ્મિતા હૉલમાં દાખલ થયાં એવા જ પ્રણયભાઈ અમારી પાસે આવ્યા, પ્રસંગની અમને શુભેચ્છાઓ આપી અને પછી તરત ત્યાંથી ખસી ગયા જેથી હવે અમે બીજાં મહેમાનોને ધ્યાન આપી શકીએ. ભૂમિકા અને તનયને પ્રસંગોચિત ભેટ તેઓ તરફથી ચૂક મળે. આ દરેક બાબતોમાં તેમની પર્ફેક્શનની દૃષ્ટિની સાથે સાથે તેમનાં સ્થાનની ગરિમા અને અમારી સાથેના જૂના સંબંધની અનૌપચારિકતા વચ્ચે સંતુલન જાળવી શકવાની તેમની અનોખી સૂઝ તો કળાતી જ રહે.
દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડી શકવાની તેમની કળાનું સૌથી વધુ ઉપયુક્ત ઉદાહરણ તેમણે ધીરૂભાઈ સાથે (પણ) કેળવેલો સંબંધ મને હંમેશાં યાદ રહેશે. અમે લોકો ૧૯૭૪ની આસપાસથી પ્રગતિનગર રહેવાં આવ્યાં ત્યારથી વાળ કપાવવા હું ધીરૂભાઈની દુકાને જતો. એટલે સુધી કે ધીરૂભાઈ (મારા પિતા) મહેશભાઈ અને (મારા મિત્ર મહેશ માંકડના પિતા) દિલીપભાઈની પ્રાર્થના સભામાં હાજર રહેલા. તાદાત્મ્યના વાળ ઉતારવાની વિધિ પણ એમણે જ કરેલી. તનયના વાળ ઉતરાવવાનો પ્રસંગ હતો ત્યારે સ્વાભાવિકપણે આપણે ધીરૂભાઈને જ આ વિધિ માટે બોલાવેલા. ધીરૂભાઈના આવ્યા પછી તૈયારીઓ કરતાં જે પાંચ દસ મિનિટ ગઈ હશે અને પછીથી તેમણે નાસ્તો કર્યો ત્યારે જે દસપંદર મિનિટ મળી હશે, એટલી વારમાં પ્રણયભાઈએ સંબંધના તાર ધીરૂભાઈ સાથે જોડી ળીધેલા. ધીરૂભાઈને નાસ્તો આપ્યો ત્યારે પ્રણયભાઈએ પોતાનો નાસ્તો પણ સાથે મંગાવ્યો અને ધીરૂભાઈ સાથે નાસ્તો કરતાં કરતાં ધીરૂભાઈનો સંકોચ બહુ સહજતાથી દૂર કરી નાખ્યો હતો. એ પછી જ્યારે હું વાળ કપાવવા ગયો ત્યારે ધીરૂભાઈએ પહેલવહેલી વધામણી ખાધી કે તમારા વેવાઈ પણ અહીં આવ્યા હતા. તે પછી હું જ્યારે જ્યારે વાળ કપાવવા જાઉં ત્યારે ધીરૂભાઈને તનયની કોઈને કોઈ નવી વાત ખબર હોય. પ્રણયભાઈ સાથે એ બાબતે ફોન પર જ્યારે પણ વાત થાય ત્યારે ખયાલ આવે કે ધીરૂભાઈ અને તેમના પરિવાર વિશે હુંં ચાલીસ વર્ષમાં જે નહોતો જાણતો એવું બધું પ્રણયભાઈને ખબર હોય!
કઈ વ્યક્તિની કઈ બાબતે વેવલેન્થ મળી શકશે તે જાણી અને તેની સાથે એ વેવલેન્થ પર સંબંધ કેળવી લેવાની પ્રણયભાઈની કળા તો તેમનાં વ્યક્તિત્વનાં અનેક અદ્ભૂત પાસાંઓમાંનું એક જ પાસું હતું.
તેમની હવે ભૌતિક હાજરી ન હોવા છતાં આવી તો અનેક યાદોનાં સ્મરણો તેમની ખોટ સાલવા ન દેવા માટેનું આપણને બળ પુરું પાડતી રહેશે. તેમના આત્માને ચિરઃશાંતિ મળે તેવી પ્રાર્થના સાથે .........
Sunday, October 29, 2023
યે કહાની હૈ દિયેકી ઔર તૂફાન કી
૩૦મી ઓક્ટોબર ૨૦૨૩નાં 'ચિત્રલેખા'માં આ લેખ
પ્રકાશિત થયો. સત્ય ઘટનાઓને વણી લેતા તબીબી વ્યવસાયની જાહેરાત સમા આવા લેખો આપણે
લગભગ નિયમિતપણે વાંચતાં રહીએ છીએ, એમ આ લેખ પણ વાંચ્યો હોત અને
લેખમાં જેમની વાત થયેલ છે એ તબીબ અને જેમની લડતનો લેખમાં ઉલ્લેખ છે એ મુકુંદભાઈ
બુટાલા પ્રત્યે અભિભૂતિની લાગણી સાથે એ લેખ યાદગીરીની કંદરાઓમાં વિસરાવા માટે સંગ્રહાઇ ગયો
હોત. પણ અહીં જે વ્યક્તિની લડતની વાત છે એ મુકુંદભાઈ બુટાલા અમારાં ઘરની સામેના જ
ફ્લેટમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી સાથે રહેતા 'સૌથી
નજદીક"ના પાડોશી છે. એટલે એ સંબંધે, આ લેખમાં
વર્ણવેલ તેમની લડાઈના આ સમગ્ર તબક્કાને ઘણી ઘનિષ્ટતાથી જોવાનું થયું છે. આજે આ લેખ
વાંચતાં મુકુંદભાઈની આ લડતની આ લેખમાં નથી જણાવી એવી કેટલીક વિગતો આંખ સામે તરવા
લાગી. એ યાદોને અહીં રજૂ કરી લેવાનું આપોઆપ જ મનમાં સ્ફુર્યું અને તેથી અહીં કાયમ
માટે યાદ રહે એ માટે ગ્રંથસ્થ પણ કરી લીધેલ છે.
નોંધ:
હવે પછી જે કંઈ મેં લખ્યું છે તે એ ઘટનાક્રમનાં મારા
પોતાના અંગત દૃષ્ટિકોણથી થયેલાં અવલોકનો અને તારણો છે. એટલે
મુકુંદભાઇના, કે તેમનાં અંગત સ્વજનોના, દૃષ્ટિકોણથી
તે સાવ
જ અલગ હોઈ
શકે છે એ મર્યાદાનોં હું અહીં એકરાર કરૂં છું. આમ કરવામાં કશેક હકીકતથી વેગળું
લખાયું હોય, કે પછી ક્યાંક તેમની
લાગણી દુભાય તેવું પણ લખાયું હોય, તો હું તેમની ક્ષમા ચાહું છું.
સામાન્યપણે મુકુંદભાઈની છાપ ઓછાબોલા વ્યક્તિ તરીકેની
પડે. પણ એમના આ બહારથી દેખાતાં આ વ્યક્તિત્વની પાછળ બહુ સંવેદીનશીલ વ્યક્તિ
તરીકેની ઓળખ મળી રહે તેવા અનેક પ્રસંગોનો આટલાં વર્ષોમાં મને પ્રત્યક્ષ અનુભવ
રહ્યો છે. હા, તેઓ સ્પષ્ટવક્તા અને શિસ્તના આગ્રહી ખરા. પરંતુ મને
તો તેમાં પણ તેમની સંવેદનશીલતા અનુભવાઈ છે. છેલ્લે એમના ઘરે ભજનકીર્તન વગેરેનો
પ્રસંગ હતો ત્યારે બહારથી આવનારાં મહેમાનોને ફ્લેટની સારી છાપ પડે એટલે નજરે પડતી બધી દીવાલો
વગેરે તેમણે સ્વખર્ચે ધોળાવી નંખાવેલ. પ્રસંગ ટાણે બહારથી આવતાં મહેમાનોથી લિફ્ટ
ચલાવવામાં કોઈ ભૂલચૂક થાય અને લિફ્ટ બગડે તો બધાંને તકલીફ પડે એવી સૂક્ષ્મ સમસ્યા પણ
તેમની નજરની બહાર નહોતી ગઈ. તેમણે પોતાની ઓફિસના એક માણસને લિફ્ટ ચલાવવા માટે ઊભો
રાખેલ. તેમનાં આયોજનમાં સામાન્ય દેખાતી બાબતોથી સૂક્નિક્ષ્મ બાબાતો સુધી આવરી
લેવાની પરવા હોય તેઓ નાની મોતી કચાસો તો ન જ ચલાવી લે એ તો સમજી જ શકાય.
સવારે દસ વાગ્યે નિયમિતપણે એ પોતાના કામ માટે જવા
ઘરની બહાર નીકળ્યા જ હોય. એમની આત્મનિર્ભરતાની ખુમારી એટલી કે કાને ઓછું સંભળાતું
થયું તો પણ જાતે જ સ્કૂટર ચલાવીને ઓફિસ જાય. એમની કિમોથેરાપી ચાલુ થઈ તે પછી તેમણે
જેવું સારૂં લાગે એટલે તેઓ આ ક્રમ પ્રમાણે જ ઓફિસ જતા. હા, વાસ્તવિકતાને
સ્વીકારીને હવે તેઓ રીક્ષામાં જતા. બહુજ સંવેદીનશીલ ખરીદીઓની જવાબદારી તેઓ તેમનાં કાર્યસ્થળે વહન કરતા હતા
છતાં તેમની આટલી લાંબી કારકિર્દી દરમ્યાન તેમની કાર્યનિષ્ઠા અને પ્રમાણિકતા પર કદી
ક્યારેય એક નાનો સરખો પણ ડાઘ નથી પડ્યો. એટલે જ, સામાન્યપણે
નિવૃતિની જે ઉમર હોય તે પછી લગભગ બે દાયકા સુધી તેમણે માનભેર કામ કર્યું. ખરીદી
જેવી બેધારી
જવાબદારી પ્રમાણિકતાથી નિભાવવા છતાં દરેક સપ્લાયર સાથે તેમના સંબંધો એટલા સારા હતા
કે તેમની એક જ હાકલે મીરા ફ્લેટનાં તેમનાં ‘અંગત’ ગણાય એવાં
કામો કરવા પણ એ બધા ખુશી ખુશી હાજર જ હોય !
ઉપર જણાવ્યો એ ભજનના પ્રસંગ સમયે તો તેમણે આવી ગંભીર
બીમારી આવી પડશે એવી કોઈ જ શક્યતા બહારથી નહોતી જણાતી શક્ય છે કે તેમણે જણાવા નહીં
દીધી હોય, કેમકે, તે પછી લગભગ
બેએક અઠવાડીયામાં જ તેમની બીમારીનાં બાહ્ય ચિહ્નોએ પોતાનું સ્વરૂપ છતું કરવાનું
શરૂ કરી દીધેલ. આ ઉમરે આવી બીમારીથી ભલભલાની હિમ્મત ભાંગી પડે. પણ, મુકુંદભાઈએ
તેમની સ્વસ્થતા જાળવી રાખીને હવે જે સમય મળ્યો છે તેનો પૂરેપૂરો લાભ લઈને સૌ પ્રથમ
તો નાણાકીય જવાબદારીઓ અંગે જે પણ કંઈ કચાશો હોય તે બધાંને દૂર કરવાનાં પગલાંઓ
લેવાની જવાબદારી અશ્વિનભાઈ (તેમના સાળા)ને સોપી દીધી.
ઇન્વેસ્ટીગેશનને દરેક તબક્કે ભવિષ્યની દરેક શક્યતાઓ
અંગે તેઓ જાતે જ સ્પષ્ટતાઓ કરાવતા ગયા. છેલ્લે જ્યારે નિર્ણય લેવાનો તબક્કો આવ્યો
ત્યારે ઉપરોક્ત
લેખમાં જણાવેલ સારવાર માટે તેઓ તૈયાર છે એવો સ્પષ્ટ નિર્ણય તેઓ લઈ ચૂક્યા હતા. એ
નિર્ણય લીધા પછી મને બોલાવીને તે વિષે જાણ કરવા જેટલી ચીવટ પણ તેમણે જાળવી હતી. એ
સમયે, તેમના આ
નિર્ણય પાછળ પણ તેમની માનવસહજ જિજીવિષા કરતાં પણ જેમ પોતાની જિદગી દરમ્યાન દરેક
સમસ્યાઓનો સામે ચાલીને પડકાર જીલ્યો એમ આ લડાઈને પણ પૂરેપુરી લડ્યા સિવાય હથિયાર
હેઠાં ન મૂકવાની ખુમારી સ્પષ્ટપણે અનુભવી શકાતી હતી. સારવારને
દરેક તબક્કે તેઓ જાતે ચાલીને રીક્ષામાં જ હોસ્પિટલ આવતા જતા રહયા છે! તેમની મદદમાં
રહેલ દરેક સ્વજનને જરૂરથી વધારે તકલીફ ન આપવાના મુકુંદભાઈ અને તેમનાં પત્ની
વીણાબહેનના અભિગમના દાખલાઓ ટાંકવામાટે તો બીજો એક લેખ લખવો પડે!
આટલા અસામાન્ય નિર્ણય લેવામાં અને હવે તેના અમલના ખુબ
જ મુશ્કેલ તબક્કામાં તેમણે જે તકલીફ પ્ડી હશે તેઓ તો આપણને બહારનાંને અંદાજ
ક્યાંથી આવે ! એટલે જ, આ તબક્કે આ લડાઈમાં મળેલ સફળતા
માટે આજની તબીબી સજ્જતા અને સંગત સ્વજનોની હૂંફ અને જહેમતને શ્રેય મળે એમાં
મુકુંદભાઈના આત્મવિશ્વાસની ખુમારી અને અતિમુશ્કેલ પરિસ્થિતી
વચ્ચે પણ સ્પષ્ટપણે વિચારી શકવાની અને મુશ્કેલ નિર્ણયો પણ લઈ શકવાની મુકુદભાઈની
વિરલ સ્વાભાવિક લાક્ષણિકતાનો ફાળો ઘણો મોટો હશે એમ માનવું જ પડે.

