Showing posts with label એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો. Show all posts
Showing posts with label એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો. Show all posts

Sunday, April 28, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - સુરૈયા



સુરૈયા (સુરૈયા જમાલ શેખ /\ જન્મ: ૧૫ જુન ૧૯૨૯ /\ અવસાન: ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) બાળકળાકાર તરીકે ૧૯૩૬ની ફિલ્મ 'મેડમ ફેશન' દ્વારા હિંદી ફિલ્મ જગતમાં દાખલ થયાં. શારીરીક વયની દૃષ્ટિએ હજૂ કુમારિકા હતાં તે જ ઉમરે 'તાજ મહલ'માં મુમતાઝ મહલ તરીકે પૂર્ણતઃ અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવવાની લગભગ સાથે જ તેઓ ૧૯૪૨માં 'શારદા'માં એ સમયનાં ખ્યાત અભિનેત્રી મહેતાબ માટે સ્ટુલ ઉપર ઊભીને પહેલવહેલું સૉલો ગીત પછી જા પીછે રહા બચપન મેરા ગાય છે અને ખ્યાતિનાં શીખર પર પહેલું પગલું માડે છે. બહુ થોડા સમયમાં જ તેમણે એ સમયનાં અભિનય+ગાયન ક્ષેત્રનાં બે મોટાં નામ નુર જહાન અને ખુર્શીદની સાથે તેમનું સ્થાન સુનિશ્ચિત કરી નાખ્યું. ૧૯૪૨થી ૧૯૪૭ સુધીમાં બુલંદ રહેલા તેમની કારકીર્દીના ચડતા સિતારાને ૧૯૪૭માં દેશનાં વિભાજને ચાર ચાંદ લગાડી આપ્યા. દેશનાં વિભાજન પછી સુંદર દેખાવ, મધુર કંઠ અને યાદગાર અદાકારીની ત્રિમૂર્તિનાં સ્થાન માટે હવે તેમની સામે કોઈ જ સ્પર્ધા નહોતી. સ્વાભાવિક જ છે કે ૧૯૪૮થી શરૂ કરીને ૧૯૫૦માં લતા મંગેશકરની પાર્શ્વગાયિકા તરીકે ભરતી આવી ત્યાં સુધીમાં સુરૈયાની કારકીર્દી તેના પ્રજ્વલિત મધ્યાનના પ્રકાશથી હિંદી ફિલ્મ સંગીતને આંજી દઈ રહી હતી.

સચિન દેવ બર્મનનાં સંગીતમાં સૌ પહેલી વાર સુરૈયાએ 'વિદ્યા' (૧૯૪૮) માટે ગીત ગાયાં. સુરૈયા તો ત્યાં સુધી પોતાનું એક નિશ્ચિત સ્થાન બનાવી ચૂક્યાં હતા, અને ૧૯૪૭ની 'દો ભાઈ'નાં મેરા સુંદર સપના બીત ગયા જેવી સફળતાને કારણે સચિન દેવ બર્મન પણ તેમની આગવી શૈલી પ્રસ્થાપિત કરી રહ્યા હતા.. સચિન દેવ બર્મન અને સુરૈયાએ આ સિવાય 'અફસર' (૧૯૫૦) અને લાલ કુંવર (૧૯૫૨) એમ અન્ય બે ફિલ્મોમાં જ સાથે કામ કર્યું છે. 'વિદ્યા' અને 'અફસર' એ બન્ને ફિલ્મોમાં સુરૈયાની સામે મુખ્ય અભિનેતા તરીકે દેવ આનંદ હતા.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો્ના સ્વરનાં ગીતોની દીર્ઘ શ્રેણી પછીથી સચિન દેવ બર્મનએ રચેલાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં ગીતોની શ્રેણીમાં શમશાદ બેગમનાં ગીતો સાંભળ્યા બાદ આજે આપણે સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

એસ ડી બર્મન અને સુરૈયાએ સાથે કરેલાં કુલ ૧૩ ગીતોમાંથી ૧૧ સૉલો, ૧ પુરુષ -સ્ત્રી યુગલ ગીતો અને ૧ સ્ત્રી_સ્ત્રી યુગલ ગીત છે.

વિદ્યા (૧૯૪૮)
આ ફિલ્મમાં કુલ ૧૧ ગીતો છે જેમાંનાં સુરૈયાના સ્વરમાં ૪ સૉલો અને ૧ મુકેશ સાથેનું યુગલ ગીત છે. ફિલ્મમાં સચિન દેવ બર્મને ૧ ગીત લલિતા દેઉલકરના અને ૩ ગીત અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં પણ રેકોર્ડ કરેલ છે.
લાયી ખુશી કી દુનિયા, હંસતી હુઈએ યે જવાની…..અબ બસ મેં ફૂલ કે હૈ બુલબુલ કી જ઼િંદગાની - મૂકેશ સાથે – ગીતકાર: અન્જુમ પિલીભીતી

બે યુવાન દિલો વચ્ચે પામરી રહેલા પરિણયને વાચા આપતું આ યુગલ ગીત તે સમયે બહુ જ લોકપ્રિય રહ્યું હતું.
 કિનારે કિનારે ચલે જાયેંગે, જીવનકી નૈયા કો ખેતે જાયેંગે – ગીતકાર: વાય એન જોશી

બન્ને પ્રેમીઓ પરિણયમાં હવે એક પગલું આગળ વધે છે અને જીવનની નાવ સાથે રહીને ચલાવવાના કોડ પણ જૂએ છે અને કોલ પણ આપે છે.
 આડવાતઃ
એમ કહેવાય છે કે આ ગીતનાં ફિલ્માંક્ન વખતે નાવ આડી વળી ગઈ હતી અને સુરૈયાને વાસ્તવિક જિંદગીમાં પણ, હીરો દેવ આનંદે, બચાવી લીધેલ. આ પ્રસંગને કારણે બન્ને વચ્ચે ખરેખર પ્રણયનાં અંકુર ફૂટેલાં જે આગળ જતાં હિંદી ફિલ્મ જગતની એક બહુચર્ચિત, નિષ્ફળ, પ્રેમકહાની તરીકે રૂપે ઈતિહાસમાં સ્થાન પામી છે.
ઝૂમ રહી ખુશીયોંકી નાવ આજ મનકી તરંગો પે ઝૂમ રહી રે – ગીતકાર: વાય એન જોશી

એ સમયનું પાર્ટી ગીત છે. દેવ આનંદ હજૂ ફિલ્મ જગતમાં બહુ અનુભવી નથી તે તેમની પિયાનો વગાડવાની અદા પરથી કળી જવાય છે .

 ઓ કૃષ્ણ કન્હાઈ … આશાઓંકી દુનિયામેં ક્યોં હૈ આગ લગાઈ – ગીતકાર: અન્જુમ પીલીભીતી
હિંદી ફિલ્મમાં પ્રેમનું ચક્ર આખો આંટો મારીને છેલ્લે વિરહની સ્થિતિમાં આવી જ રહે. એસ ડી બર્મને બંગાળની બાઉલ ગીતીની લય પર આ કરૂણ ભાવનાં ગીતની રચના કરી છે. જોકે હંમેશાં થતું આવ્યું છે તેમ માણસ પોતાનાં સુખ તો પોતે માણી લે પણ દુઃખના સમયે ફરિયાદ તો ઈશ્વરના દ્વારે જ જઈને કરે. અહીં પણ નાયિકા સમાજ દ્વારા થતા અન્યાયની ફરિયાદ કૃષ્ણ કન્હાઈને કરે છે.

કિસે માલૂમ થા દો દિનમેં સાવન બીત જાયેગા.. તમન્નાએં હમારી યું તડપતી છોડ જાએગા – ગીતકાર: શાંતિ સ્વરૂપ 'મધુકર'
આ ફિલ્મનું કદાચ આ સૌથી ઓછું જાણીતું ગીત કહી શકાય. એસ ડી બર્મને કરેલી ગીતની રચના આપણને એ સમયમાં જે પ્રકારનાં કરૂણ ભાવનાં ગીતો સાંભળવા મળતાં એ પ્રકારની પણ વધારે લાગે છે. તે સાથે એ પણ નિશ્ચિત છે કે જેમ જેમ આ ગીત સાંભળીએ છીએ તેમ તેમ તે વધારે પસંદ પડવા લાગે છે.

અફસર (૧૯૫૦)
'અફસર' દેવ આનંદની ફિલ્મ નિર્માણ સંસ્થા 'નવકેતન’ની સૌ પ્રથમ ફિલ્મ હતી. સુરૈયાનું તેમાં દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકામાં હોવું એ તેમના બન્ને પ્રેમના પ્રકરણનાં મહત્ત્વનું પણ દ્યોતક હતું. ફિલ્મમાં કુલ ૭ ગીતો હતાં, જે પૈકી સુરૈયાના ભાગે ૪ સૉલો અને ગીતા દત્ત સાથેનું એક યુગલ ગીત આવેલ છે. ટિકીટ્બારી પર ફિલ્મ બહુ સફળ ન રહી, પણ 'નવકેતન'માં સચિન દેવ બર્મનનું સ્થાન એકહથ્થુ બની રહે એટલી સફળતા ફિલ્મનાં ગીતોને જરૂર મળી. સુરૈયાનાં ૪ સૉલો પૈકી બે ગીતો તો તેનાં સર્વશ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં સ્થાન પામી ચૂકયાં છે.
મન મોર હુઆ મતવારા.. કિસને જાદુ ડાલા રે – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

મનમાં જ્યારે પ્રેમના સ્વર મોરની ટેહુક બનીને ફુટવા લાગે ત્યારે ભાવની શબ્દમાં અભિવ્યક્તિ કંઈક અંશે ઊંચા સુરમાં જ થાય એ ન્યાયે એસ ડી બર્મન ગીનો ઉપાડ ઉપરબા સુરમાં સુરિયા પાસે કરાવે છે.
 નૈન દીવાને એક નહીં માને કરે મન માની માને ના – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા
દિલમાં હવે પ્રણયનું પુર એવું ફરી વળ્યું છે કે કેમે કરીને મન કાબુમાં નથી એસ ડી બર્મન ગીતના ભાવને વ્યક્ત કરવા રવિન્દ્ર સંગીતની મદદ લે છે.
 ગુન ગુન ગુન ગુન બોલે રે ભંવર સુન સુઅ ક્યા લાયા ખબર – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા
પ્રેમમાં મસ્ત પ્રેમિકાનો સંદેશ લઈ આવવાનું કામ ભંવરને માથે નાખવાનું કવિઓને ખાસ્સું ફાવતું લાગે છે.
પ્રીતકા નાતા જોડનેવાલે… પ્રીત કા અજી નાતા તોડ ન જાના - ગીતા રોય (દત્ત) સાથે = ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા
ગીત કયા સંદર્ભમાં ગવાયું હશે તે આ ઓડીયો ક્લિપ પરથી કલ્પવું શક્ય નથી. જોકે બન્ને ગાયિકાઓની શૈલી સ્પષ્ટપણે અલગ હોવા છતાં યુગલ ગીતની એકસુત્રતા અકબંધ રહે છે.
રેકોર્ડ્સ પૂરતું જરૂર નોંધ લઈએ કે સુરૈયા અને ગીતા રોયનું આ એક માત્ર યુગલ ગીત છે.
પરદેસી રે જાતે જાતે જિયા મોરા લિયે જા – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

પ્રેમી યુગલના ભાગે વિરહ તો આવે જ . એવા સમયે પ્રેમિકા કહે છે કે જો તારે જવું જ હોય તો મારૂં દીલ પણ સાથે જ લઈ જા.-
 આડવાત
ગીત સાંભળતાં સાંભળતાં આપણને બાઝી (૧૯૫૧)નાં ગીત આજ કી રાત પિયા દિલ ના તોડોની ધુનનો ભાસ થાય છે.

એ માટેનૂ મૂળ કારણ એ હોઈ શકે છે આ બધી ધુનની ગંગોત્રી એસ ડી બર્મને ગાયેલ બંગાળી ગીત પદ્મા ધેઉ રે છે જે બંગાળનાં લોક ગીતની ધુન પરથી પ્રેરિત છે.

લાલ કુંવર (૧૯૫૨)
'લાલ કુંવર' એ સમયના સિધ્ધહસ્ત દિગ્દર્શક રવીન્દ્ર દવેએ દિગ્દર્શિત કરી છે. જો કે આ ફિલ્મ વિષે કે તેનાં ગીતો વિષે બહુ સાંભળ્યું હોય તેવો વર્ગ બહુ લઘુમતીમાં હશે. ફિલ્મના કળાકારોનાં નામમાં સુરૈયા સાથે રાધિકા અને ઉષા કિરણનાં પણ નામ વાંચવા મળે છે. કદાચ એ જ કારણે એસ ડી બર્મને સુરૈયા ઉપરાંત શમશાદ બેગમ (૧ સૉલો) અને આશા ભોસલે (૨ સૉલો) અને આશા ભોસલે + ગીતા દ્ત્ત (૧ યુગલ ગીત) પણ રચ્યાં છે.

આયી હૂં રાજા તેરે દ્વાર… સવાલ બનકે – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતના બોલમાં ઊંડું ઊંડું દર્દ છૂપાયેલું છે. તેને અનુરૂપ ગીતની બાંધણી પણ નીચા સુરમાં છે. ગીતની ગાયકીમાં સુરૈયાની ગાયક તરીકેની રેન્જ નીખરી રહી છે.
 નિગાહેં ક્યોં મિલાયી થીં, અગર યૂં છોડ જાના થા ...ઉમ્મીદેં ક્યો જગાઈ થીં...અગર છોડ જાના થા – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ગીતની બાંધણી '૪૦ના દાયકાની શૈલી છે, પણ વાદ્યસજ્જામાં એસ ડી બર્મનનો સ્પર્શ અનુભવી શકાય છે. સુરૈયાનાં ઓછાં સાંભળવા મળેલાં ગીતને અહીં સાંભળવું ગમશે.
 પ્રીત સતાયે તેરી, યાદ ના જાયે તેરી, દિલ દે કે ગ઼મ લે લિયા – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ફિલ્મ એક વધુ કરૂણ ગીત સુરૈયાના સ્વરમાં રચાયું છે. એસ ડી બર્મનની સંગીત રચના ખાસ્સી સંકુલ છે. આ પ્રકારની ધુનની રચના કરવી એ એસ ડી બર્મનનો સુરૈયાની ગાયકીની ક્ષમતામાં ભરોસો દર્શાવે છે.
 ૧૯૫૨ પછી તેમનાં અંગત કારણોસાર સુરૈયા આમ પણ ઓછાં સક્રિય બની ગયાં, વળી તેઓ માત્ર પોતાના માટે જ ગીત ગાતાં હતાં એટલે તેમની અસ્તાચળ ભણી જતી અને એસ ડી બર્મનની ચડતી કળાની કારકીર્દીના માર્ગ હવે ફંટાઈ ગયા.
એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયિકાઓની શ્રેણીમાં આપણે હવે પછીથી તેમણે રચેલાં ગીતા દત્તે ગાયેલાં ગીતો યાદ કરીશું.
ખાસ આડવાત :
'લાલ કુંવર'ના દિગ્દર્શક રવિન્દ્ર દવેનું આ જન્મ શતાબ્દી વર્ષ (૧૬ એપ્રિલ, ૧૯૧૯) છે. ૧૯૭૦માં તેઓ તેમની ખુબ સફળ 'નગીના' (૧૯૫૧)ની રીમેક બનાવી રહ્યા હતા. કોઈક કારણોસર એ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતા ગયા, જે કારણે રવિન્દ્રભાઈનો હાથ ભીડમાં આવી ગયો. એ નાણાંભીડમાંથી બહાર આવવા તેમને 'જેસલ તોરલ' (૧૯૭૧) નિર્માણ કરી. ફિલ્મ ખુબ જ સફળ રહી.
હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોપર વધારે કામ કરનારા રવિન્દ્રભાઈએ ઉપેન્દ્ર ત્રિવિદી સાથે આ જ પ્રકારના વિષયો પર બીજી પંદરેક ફિલ્મો બનાવી, જે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસનાં એક આગવાં પ્રકરણ તરીકે આજ યાદ કરાય છે..


સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતોનો આ લેખ એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - સુરૈયા પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, April 7, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૫૨ - ૧૯૬૦

સચિનદેવ બર્મનની કારીકીર્દીમાં શરૂઆતના ૧૯૪૬થી ૧૯૫૦ના હિંદી ફિલ્મ જગતમાં પગ જમાવવાનાં વર્ષો ગણી શકાય. તે પછી, વીસમી સદીનો પાંચમો દાયકો સચિન દેવ બર્મનની કારકીર્દીના ઈતિહાસમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ દસકાને આપણે સચિન દેવ બર્મનના લતા મંગેશકર સાથેના વ્યાવસાયિક સંબંધોના સંદર્ભમાં ૧૯૫૧થી ૧૯૫૫ અને ૧૯૫૬થી ૧૯૬૦ એમ બે ભાગમાં જોવાનો રહે. આ દસકાના પહેલો અર્ધ ભાગ સચિન દેવ બર્મનની કારકીર્દીનો એ સમય હતો જ્યારે તેમનાં સંગીતની ચાહનાનો સૂર્ય મધ્યાહ્ન પર તપવા લાગ્યો હતો. ૧૯૫૧ થી ૧૯૫૫ના વર્ષો તેમનાં કદાચ સૌથી વધારે સક્રિય કહી શકાય તેવાં ગણાય છે દસકાના પ્રથમ અર્ધ ભાગમાં સચિન દેવ બર્મને રચેલાં ગીતોમાંની ૮૦ % ગીતોમાં સૉલો યા યુગલ ગીતબા સ્વરૂપમાં સ્ત્રી ગાયિકાનો અવાજ રણક્યો, જેમાંથી લગભગ ૪૫ % જેટલાં ગીતો લતા મંગેશકરના સ્વરમાં હતાં. ૧૯૫૬ પછી (લગભગ ૧૯૬૨ સુધી) સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સ પડી ગયું. એ પરિસ્થિતિમાં સચિન દેવ બર્મન આશા ભોસલે તરફ વધારે ઢળ્યા.

૧૯૪૬થી ૧૯૫૦માં શમશાદ બેગમનું સ્થાન ગીતા દત્ત પછી અને સુરૈયાને સમાતર રહ્યું. ૧૯૫૧માં સચિન દેવ બર્મને જે શતરંજ બીછાવી તેમાં શમશાદ બેગમનું સ્થાન વ્યૂહાત્મક મહત્ત્વનાં સ્થાનમાં હતું, પણ સચિન દેવ બર્મન ક્યાંક લતા મંગેશકર પર તો ક્યાંક ગીતા દત્ત પર પણ ઝૂકતા દેખાતા હતા.
૧૯૫૨-૧૯૫૫
લતા મંગેશકર, ગીતા દત્ત અને શમશાદ બેગમ એમ ત્રણ પ્યાદાઓથી '૫૦ના દસકાનાં પહેલાં વર્ષ, ૧૯૫૧,માં માંડેલી શતરંજની બાજીના ૧૯૫૨થી ૧૯૫૫ના મધ્ય ભાગમાં શમશાદ બેગમની ભૂમિકા ઘોડાની ચાલ જેવી રહી, વપરાય ક્યારેક જ પણ દરેક ચાલ મહત્ત્વની હોય. સચિન દેવ બર્મનનાં શમશાદ બેગમનાં ૧૯૫૨થી ૧૯૫૫ના ગીતોનું ઐતિહાસિક વિશ્લેષણ આ પરિપ્રેક્ષ્યનાં સંદર્ભ કરવાનું રહે. જોકે આપણો આશય વિશ્લેષણનો નહીં પણ ગીતોની યાદ તાજી કરવાનો છે.

રાજા જાની લાગા મોહે નૈનવા કા બાન રે - લાલ કુંવર (૧૯૫૨)- ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીત કોઠા પર યા તો શેરીમાં ગવાતું નૃત્ય ગીત છે. સ્વાભાવિક છે કે ગીતમાં તબલાના ઠેકા અને હાર્મોનિયમના ટુકડાઓની રમઝટને શ્થાન હોય, તે સાથે શમશાદ પણ ગીતને પોતાની આગવી શૈલીમાં બહકાવે છે.

સારી ખુશીયાં સાથ આયી આપ જબ આયે -જીવન જ્યોતિ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતની ધુન ધ્યાનથી સાંભળીશું તો ખ્યાલ આવશે કે આ ગીત પછીથી પણ ક્યાંક સાંભળ્યું છે. હા, સચિન દેવ બર્મને 'સગીના'મા આ ધુન તુમ્હરે સંગ દિન બિતાયા કહાં બીતાઉં રૈન માટે ફરીથી ઉપયોગમાં લીધેલ છે.

જામ થામ લે સોચતે હી સોચતે બીતે સારી રાત - શહનશાહ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

સચિન દેવ બર્મને આ ફિલ્મમાં લતા મંગેશકર (૩), આશા ભોસલે (૨), ગીતાદત્ત (૧)અને શમશાદ બેગમ (૧) એમ ચાર સ્ત્રી ગાયકોને અજમાવ્યાં છે. શમશાદ બેગમના ફાળે, ફરી એક વાર, મધ્ય એશિયાની ધુન પર આધારિત નૃત્ય ગીત આવેલ છે. ગીતના મુખડા અને અંતરાના બોલ શમશાદ બેગમ અલગ અલગ સુરમાં રજૂ કરે છે.

રૂપકી રાની આયી પ્યારકી દૌલત લાયી, રે.. આઓ દિલવાલો લે લો.. લે લો - અંગારે (૧૯૫૪) – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ફરી એક વાર નૃત્ય ગીત માટે સચિન દેવ બર્મને શમશાદ બેગમને પસંદ કર્યાં છે.

ગોરી કે નૈનામેં નિંદિયાં ભરી, આજા રે સપનોંકી નીલમ પરી- અંગારે (૧૯૫૪) - કિશોર કુમાર સાથે - ગીતકાર સાહિત લુધ્યાનવી

ગીતનો મુખડો અને પહેલો અંતરો તો સીધું સાદું હાલરડું છે, પણ તે સાથે માતાની બીજી ભૂમિકા પત્નીની પણ છે, જેના માટે તેનો પતિ તેને અકળાઇને જલ્દી જલદી આવવાની ધમકીભરી અરજ કરે છે. અંતરાના અંતમાં અધીરા પતિને પત્ની હાલરડાનાં જ સુરમાં અકળાઇને જવાબ - આતી હું આતી હું દમ લો ઘડી - પણ પકડાવતી જાય છે.

જે બાળકીને સુવડાવવા આ હાલરડું ગવાયું છે તે (બેબી) નંદા છે.

૧૯૫૪ની ‘ચાલીસ બાબા એક ચોર’નાં ૧૨ ગીતોમાંથી લતા મગેશકરને ફાળે ૭ સોલો અને ૧ યુગલ ગીત આવ્યાં અને શમશાદ બેગમને ફાળે ૪ ગીત આવ્યાં હતા. તેમાંથી એક ગીત – ‘દુધવાલા ભૈયા આયા માંગે રૂપૈયા’ અને ‘કલ કરે સો આજ, આજ કરે સો અબ’ ની યુટ્યુબ પરની લિંક નથી મળી શકી.'ચાલીસ બાબા એક ચોર' નામ પરથી કલ્પી લઈએ તેના કરતાં કાંઈક જુદા જ વિષયની વાર્તા હતી. ટુંકમાં કહીએ તો એમ કહી શકાય કે વાર્તાનું વસ્તુ ગંભીર કહી શકાય, પણ રજૂઆત હળવાશથી કરવામાં આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન પણ ગીતકાર પી એલ સંતોષીએ જ કરેલ હતું.

બીસવી સદી હૈ યે બીસવી સદી ધિસ ઈઝ ટ્વેન્ટીએથ સેન્ચુરી – ગીતકાર: પી એલ સંતોષી

ગીત મસ્તી ભર્યું છે, જે શમશાદ બેગમના અવાજના મિજાજને પસંદ બેસે છે.

એ જી મુરખ બૈઠા આજકી સોચે, ઔર કલકી સોચે સિયાના, કલકી પંખ પસારે દેખો ઉડતા જાયે જ઼માના…..- ચાલીસ બાબા એક ચોર (૧૯૫૪) – ગીતકાર: પી એલ સંતોષી

લોક ગીતના ઢાળ પર સજાવાયેલું આ ગીત પણ મસ્તીના અંદાજમાં રચાયું છે અને ગવાયું પણ છે.

૧૯૫૫-૧૯૬૦

આ સમય સચિન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે વ્યાવસાયિક અંટ્સનો હતો, જેને કારણે સચિન દેવ બર્મને આશા ભોસલેને તેમનાં મુખ્ય ગાયિકા તરીકે પ્રસ્થાપિત કરી દીધેલાં. ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ગુરુદત્તે જ નિર્માણ કરેલી ફિલ્મો સિવાય સચિન દેવ બર્મને ગીતા દત્તનો ઉપયોગ સહાયક ગાયિકા તરીકે જ કર્યો. શમશાદ બેગમના તો અંગત સંજોગ પણ આ સમયે અવળા હતા. ૧૯૫૫માં તેમના પતિનો દેહાંત થયો, તેથી તેમણે અમુક સમય માટે ગીત ગાવાને ક્ષેત્રે ઓછું સક્રિય રહેવાનું પસંદ કર્યું હશે. અને જ્યારે તેઓ ફરીથી સક્રિય થવા લાગ્યાં ત્યારે ફિલ્મ સંગીતમાં સ્પર્ધાનાં પરીબળોએ તખ્તો સાવ જ પલટાવી નાખેલો હતો. આ સંજોગોમાં સચિન દેવ બર્મને તેમની પાસે બે જ ગીત ગવડાવ્યાં એ વાત બહુ આશ્ચર્ય નથી થતું.

જૈસે કો તૈસા નહેલે પે દહેલા દુનિયા કા પ્યારે અસૂલ હૈ ઐસા - મિસ બોમ્બે (૧૯૫૭) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મરાઠી લાવણી લોકધુન પર રચાયેલું આ શેરી 'તમાશા' ગીત છે. 

આડવાત
આ ગીતમાં ધ્યાનથી જોતાં રાજ કપુર જેવી જ અદામાં એક અન્ય કલાકાર આવીને ગીત સાંભળતું બતાવેલ છે. એ પુરુષ વેશમાં સજ્જ થયેલ મિસ બોમ્બે', નરગીસ, છે. એક જ વર્ષમાં સાવ જ સામા છેડાનાં બે પાત્ર ભજવ્યાં હોય તેવો આ એક અનોખો સંયોગ હશે. નરગીસની 'મધર ઈ ન્ડીયા' પણ આ જ વર્ષે રજૂ થઈ હતી.
અરે હાં હો.. હો.. દિલદાર કમડોં વાલેકા હર તીર જીગર સે ગુજ઼રે હૈ - બેવકૂફ઼ (૧૯૬૦) - મન્ના ડે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અંગ્રેજીમાં જેને ‘સ્વાન સોંગ' કહેવાય છે તેવું સચિન દેવ બર્મને રચેલું શમશાદ બેગમના સ્વરમં ગવાયેલું આ છેલ્લું ગીત છે. ગીતની રજૂઆત ખૂબ જ અનોખી રીતે કરાયેલ છે, જેને મન્ના ડે અને સ્મશાદ બેગમ પણ પૂરેપૂરો ન્યાય આપે છે.


આમ સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં રચેલાં ત્રીસમાથી ૧૨ ગીતો ૧૯૫૨થી ૧૯૫૫ના સમયગાળામાં સાંભળવા મળે છે. આ ૧૨ ગીતોમાંથી ચાલીસ બાબા એક ચોરનાં બે ગીતોની યુ ટ્યુબ લિંક આપણને નથી મળી. તે ઉપરાંત એક ગીત ગુરુ દત્તની અધૂહી રહી ગયેલ ફિલ્મ સાઝ માટે પણ રેકોર્ડ થયું હતું જે પણ આપને મળી નથી શકયું..આ ફિલ્મનાં બાકી ગીતો આર ડી બર્મને પોતાની સ્વતંત્ર ફિલ્મ તરીકે સ્વરબધ્ધ કર્યાં હતાં.
આડવાત
'સાઝ'ની વાર્તા પરથી પછીથી રાજ ખોસલાએ 'વો કૌન થી?' બનાવી હતી, અને 'વો કૌન થી?'નાં પછીથી તમિળ અને તેલુગુમાં પણ સંસ્કરણ થયેલ છે. ‘વો કૌન થી?’ અને તેનાં દક્ષિણ ભારતનાં સંસ્કરણોનાં ગીતોની વાત, એક ફિલ્મનાં અનેક સ્વરૂપ – “વોહ કૌન થી?” અને તેનાં પૂર્વજ અને અનુજ સંસ્કરણો માં દસ્તાવેજ કરેલ છે.
હવે પછીના અંકમાં સચિન દેવ બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકોની શ્રેણીમાં સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

સચિન દેવ બર્મને રચેલં શમશાદ બેગમનાં ગીતોના ત્રણેય મણકા એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ પર ક્લિક કરવાથી એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, February 24, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧

સચિન દેવ બર્મને ૧૯૪૬માં ચાલુ કર્યા પછી ૧૯૬૦ સુધીમાં ૩૦ ગીતોમાં શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો. આ ગીતો પૈકી ૧૯૪૬થી ૧૯૫૦ના સમયમાં ૪ ફિલ્મોમાં ૧૧ ગીતો તેમણે શમશાદ બેગમનાં સ્વરમાં રેકોર્ડ કર્યાં. એ ગીતોમાં 'શબનમ' (૧૯૪૯)માં તેમણે શમશાદ બેગમનો મુખ્ય પાર્શ્વગાયિકા તરીકે પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગની સફળતાએ સચિન દેવ બર્મનની સંગીતકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ બહુ મહત્ત્વનો આપ્યો ગણાય છે.

'શબનમ' (૧૯૪૯) અને મશાલ (૧૯૫૦)નાં સંગીતની સફળતાની સીધી જ અસર સચિન દેવ બર્મનની કારકીર્દી પર પડી હોય તેમ ૧૯૫૧નું વર્ષ ફિલ્મોની સંખ્યા અને ગીતોની સફળતાની દૃષ્ટિએ ખુબ ફળદાયી રહ્યું. આ વર્ષમાં તેમણે 'બાઝી', 'બહાર', 'બુઝદિલ', 'એક નઝર', 'નૌજવાન' અને 'સઝા' જેવી છ છ ફિલ્મોમાં સંગીત આપ્યું. આ ફિલ્મોમાં તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, શમશાદ બેગમના સ્વરોનો મુખ્ય ગાયક તરીકે પ્રયોગ કર્યો, જેમાંથી લતા મંગેશકરનાં ગીતો સિંહ ફાળામાં રહ્યાં. સચિન દેવ બર્મને લતા મંગેશકરના સ્વરમાં ઠંઠી હવાએં (બુઝદીલ), ઝન ઝન પાયલ બાજે (બુઝદીલ) અને તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે (સઝા), ગીતા દત્તના સ્વરમાં તદબીર સે બીગડી હુઈ તક઼્દીર બના લે અને આજકી રાત પિયા દિલ ન તોડો (બાઝી) અને શમશાદ બેગમના સ્વરમાં સૈંયા દિલમેં આના રે (બહાર) રચ્યાં જે સદાબહાર ગીતોમાં સ્થાન પામી ચૂક્યાં છે.

૧૯૫૧માં સચિન દેવ બર્મને શમશાદ બેગમને 'બહાર'માં મુખ્ય ગાયિકા તરીકે રજૂ કર્યાં, તે સાથે 'બાઝી' અને 'નૌજવાન'માં પણ તેમના સ્વરનો પ્રયોગ અન્ય કલાકારોના પાર્શ્વસ્વર તરીકે કરવાનો પ્રયોગ પણ તેમણે કર્યો. બધું મળીને સચિન દેવ બર્મને શમશાદ બેગમનાં ૭ ગીતો ૧૯૫૧માં રેકોર્ડ કર્યાં, જેમાંથી ૫ ગીતો તો 'બહાર'નાં જ હતાં. 'બહાર'નાં બધાં ગીત રાજેન્દ્ર કૃષ્ણએ લખેલાં છે. 'બહાર' વૈજયંતિમાલાનું હિંદી ફિલ્મોમાં પહેલવહેલું પગલું હતું . 'બહાર' એ તમિળમાં બનેલી ફિલ્મ 'વઝક્કઈ'(૧૯૪૯)ની હિંદી આવૃતિ હતી. 'વઝક્કાઇની ફિલ્મીકરણમાં નિર્માતાએ હિંદી ગીતોને ફિલ્મમાં ઢાળી લીધાં હતાં.’વઝક્કાઈ’નું આ ગીત સાંભળીશું તો હિંદી ફિલ્મનાં બીજાં એક બહુ ખ્યાત ગીત 'ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ'ની તર્જ યાદ અચૂક આવી જાશે. એ જ રીતે બીજાં આ એક ગીતમાં 'જલનેવાલે જલા કરે… ડ..ડાં.... ડાં...ડાં..'ની સીધી ઝલક સંભળાશે. અ પશ્ચાદભૂમિકામાં 'બહાર'નું સંગીત સચિન દેવ બર્મને સોંપવામાં આવ્યું અને બર્મને મુખ્ય ગાયિકા તરીકે શમ્શાદ બેગમ પર પસંદગી ઉતારી.શમશાદ બેગમ ફિલ્મની મુખ્ય નાયિકા માટે ગીતો ગાઈ રહ્યાં છે એટલે તેમને ફાળે અલગ અલગ મૂડનાં ગીતો એક સાથે ગાવાનાં આવ્યાં.

સૈંયા દિલમેં આના રે આકે ફિરસે જાના રે -

શમશાદ બેગમે એવી નજ઼ાકતથી આ મસ્તી ભર્યું ગીત ગાયું છે કે ગીત સદાબહાર ન થાય તો જ નવાઈ કહેવાય !

દુનિયા કા મઝા લે લો દુનિયા તુમ્હારી હૈ

અલ્લડ મસ્તીના ભાવને શમશાદ બેગમે સ્વાભાવિકપણે રજૂ કરેલ છે.

ઓ પરદેસીયા.. પ્યારકી બહાર લે કે દિલકા ક઼રાર લેકે આજા રે આજા પરદેસીયા

ગીતના પ્રારંભમાં પરદેસી પ્રિતમને કરેલો પુકાર શમસાદ બેગમ એકદમ મૃદુ મીઠા સ્વરમાં કરે છે, પરંતુ પછી તરત જ ગીતની લય નૃત્યની ઝડપ પકડી લે છે એટલે શમશાદ બેગમ તેમના મૂળ સ્વરમાં સરી પડે છે.ગીતના મધ્ય ભાગ (@૩.૪૧)પછી એ 'પરદેસીયા'ના સ્વાંગમાં પણ વૈજયંતિમાલાએ જ સપેરા નૃત્ય કરેલ છે. સપેરા નૃત્યની વાદ્યબાંધણીમાં સચિન દેવ બર્મનની આગવી સૂઝ માણવા મળે છે. 

છોડોજી... કન્હૈયા.. કલયૈઆં…. હમાર

પ્રિયતમ સાથે મીઠી નોકઝોકને તાદૂશ્ય કરતું નૃત્ય ગીત.સચિન દેવ બર્મને ગીતની બાંધણીમાં હાર્મોનિયમને બહુ કમાલથી વણી લીધું છે.

ક઼સૂર આપકા હુઝૂર આપકા મેરા નામ લિજીયે ન મેરે બાપકા

પ્રેમી પ્રેમિકા વચ્ચેની મીઠી તોફાન મસ્તીને પેશ કરતું એક ગીત, જે કિશોર કુમારના સ્વરમાં પણ રેકોર્ડ થયેલું છે.


૧૯૫૧માં બીજી બે ફિલ્મોમાં સચિન દેવ બર્મને શમસાદ બેગમનો સ્વર મુખ્ય ગાયિકાના સ્તરે ન કરવાને બદલે અન્ય ગાયિકાનાં સ્તરે કર્યો.

શર્માયે કાહે ગભરાયે કાહે .. સુન મેરે રાજા .. હો રાજા રાજા રાજા - બાઝી - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'બાઝી'માં મુખ્ય ગાયિકા ગીતા દત્ત હતાં. પ્રસ્તુત ગીત ફિલ્માવાયું છે મુખ્ય નાયિકા ગીતા બાલી પર,ફિલ્મનાં બીજાં ગીતો કરતાં ગીતની સીચ્યુએશન થોડી જૂદી છે અને તેથી રજૂઆતની શૈલી પણ થોડી અલગ છે, એટલે પાર્શ્વસ્વર તરીકે શમસાદ બેગમ પર પસંદ ઉતારી હશે ?

ઓ પી પી પિયા ઓ પિયા , હમ ઔર તુમ … .. તુમ ઔર હમ...રહે એક સાથ - નૌજવાન - કિશોર કુમાર સાથે - ગીતકાર: સાહિર લુધ્યાનવી

'નૌજવન'માં મુખ્ય ગાયિકા લતા મંગેશકર છે. પ્રતુત ગીત પાશ્ચાત્ય નૃત્ય ગીત તરીકે રજૂ કરાયું છે. એ જમાનાની બહુ જાણીતી નૃત્યકલાકાર કક્કુ પર ફિલ્માવાયેલાં ગીતને શમશાદ બેગમ અનોખી મસ્તીમાં રજૂ કરે છે.

ભવિષ્યમાં આ પ્રકારનાં ગીતો માટે આશા ભોસલે મોટા ભાગનાં સંગીતકારો માટે એક માત્ર ગાયક બની રહેવાનાં છે.

જે રીતે ‘નૌજવાન', કે બાઝી'માં અનુક્રમે લતા મંગેશકર અને ગીતા દત્તના મુખ્ય ગાયિકા તરીકે સ્વર હતા અને શમશાદ બેગમ પાસે અન્ય પાત્ર માટેનાં ગીત ગવાડાવ્યાં હતાં તેમ 'બહાર'માં બીજાં પાત્ર માટે એક કરૂણ ગીત રેકોર્ડ કરવાનું આવ્યું ત્યારે સચિન દેવ બર્મને ગીતા દત્તના સ્વરનો પ્રયોગ કર્યો છે.

આમ, ૧૯૫૧નાં વર્ષમાં, એ સમયનાં ગીતા દત્ત કે શમશાદ બેગમ જેવાં મુખ્ય ધારાનાં પાર્શ્વગાયિકાઓ સાથે આટ આટલું સફળ પરિણામ મેળવ્યા છતાં સચિન દેવ બર્મનની મુખ્ય પાત્શ્વગાયિકા તરીકેની પસંદ લતા મંગેશકર તરફ ઢળતી જણાય છે. એ સંજોગોમાં શમશાદ બેગમ પાસે ગવડાવેલાં ૩૦ ગીતોમાંથી હજૂ ૧૨ ગીતોમાટે સચિન દેવ બર્મને ક્યારે ક્યારે અને શી રીતે પ્રયોગો કર્યા તેની વાત હવે પછીના અંકમાં કરીશું.

Sunday, January 6, 2019

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો - શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦



સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મી ગીતોમાંનાં લગભગ ૪૫૦થી ૫૦૦ (૭૦%) ગીતોમાં સ્ત્રી પાર્શ્વગાયકોના સૉલો, યુગલ કે અન્ય પ્રકારે સ્વર સાંભળવા મળે છે. તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્ત સાથે મોટા ભાગનું કામ કર્યું છે . તે પછીના ક્રમે શમશાદ બેગમ અને સુરૈયા આવે છે. આ ઉપરાંત સચિન દેવ બર્મને અનિયમિતપણે અમીરબાઈ કર્ણાટકી, પારો દેવી, લલીતા દેઉલકર, મીના કપૂર, સંધ્યા મુખર્જી વગેરે સાથે પણ કામ કર્યું છે.

આની સરખામણીમાં પુરુષ ગાયકોમાં, લગભગ ૬૦% ગીતોના હિસ્સા સાથે, કિશોર કુમાર અને મોહમ્મદ રફી તેમના મુખ્ય ગાયકો રહ્યા છે અને તે પછી બીજાં લગભગ ૩૩% ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, તલત મહમૂદ, તેઓ ખુદ પ્ણ આ યાદીમાંનાં અનેક યાદગાર ગીતોના ગાયક તરીકે સ્થાન પામેલ છે. આ ઉપરાંત બાકીનાં લગભગ ૭ % ગીતો માટે, સચિન દેવ બર્મને બીજા ૧૮ જેટલા પુરુષ ગાયકોના સ્વરનો ઓછાવત્તા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

સચિન દેવ બર્મનનાં હિંદી ફિલ્મ વિશ્વનું એક મહત્ત્વનું પાસું આપણે તેમણે રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની દીર્ઘ લેખમાળા કરી ચૂક્યાં છીએ. હવે આપણે ક્રમવાર તેમણે રચેલાં સ્ત્રી સ્વરનાં હિંદી ગીતોની વાત કરીશું, જેનિ શરૂઆત સચિન દેવ બર્મને રચેલાં શમ્શાદ બેગમનં ગીતોથી કરીશું.

શમશાદ બેગમે સચિન દેવ બર્મન માટે ૩૦ ગીતો ગાયાં છે, જેમાંથી ૧૯૪૬ -૧૯૫૦ના સમયગાળાનાં, ૪ ફિલ્મો માટેનાં, ૧૧ ગીતો છે.

શમશાદ બેગમ (જન્મ: ૧૪ એપ્રિલ, ૧૯૧૯ – અવસાન: ૨૩ એપ્રિલ, ૨૦૧૩)તે પહેલાં પાંચ વર્ષથી હિંદી ફિલ્મ જગતમાં, પંડિત ગોવિંદરામ, ગુલામ હૈદર અને પંડિત અમરનાથ જેવા ધુરંધર સંગીતકારોનાં ગીતો દ્વારા, જાણીતું નામ બની ચૂક્યાં હતાં. નવાં દાખલ થયેલ લતા મંગેશકરને એક ગીત દીઠ જ્યારે ૩૦૦ રૂપિયા મળતા હતા ત્યારે સમશાદ બેગમને ૨૦૦૦ રૂપિયા મળતા હતા. હિંદી ફિલ્મ જગતમાં 'શિકારી' (૧૯૪૬) દ્વારાપહેલું ડગલું માંડતા તળ બંગાળી સંગીતકારના હાથે તેમનું પહેલ વહેલું સ્ત્રી સ્વરનું હિંદી ગીત ઉત્તર ભારતીય શૈલીના નમૂનેદાર સુરની ઓળખસમાં ગાયિકા શમશાદ બેગમ સાથેનાં એક સૉલો ગીતનાં રૂપમાં રેકોર્ડ થયું.

કુછ રંગ બદલતી રહી હૈ મેરી ઉનકી બાતચીત - શિકારી (૧૯૪૬)

'શિકારી'માં મુખ્ય ગાયિકાની ભૂમિકા પારો દેવીની હશે કેમકે તે એક મુખ્ય પાત્રમાં હતાં તેમના નામે ૫ સૉલો અને યુગલ ગીત છે. આ ઉપરાંત અમીરબાઈ કર્ણાટકીએ પણ એક સૉલો અને એક યુગલ પણ આ ફિલ્મમાં ગાયેલ છે. પ્રસ્તુત ગીતમાં શમશાદ બેગમના સ્વરની ખૂબી જાળવીને પણ તેમને કંઈક અંશે મૃદુ સ્વરૂપે રજૂ થયેલાં ભાળી શકાય છે.


એ પછી સચિન દેવ બર્મને શમશાદ બેગમનો સાથે ૧૯૪૯ની ફિલ્મ 'શબનમ'માં કર્યો. આ ફિલ્મનાં ૧૦ ગીતોમાંથી શમશાદ બેગમના સ્વરમાં ૩ સૉલો, ૩ યુગલને અને ૧ કોરસ સાથેનું એમ ૭ ગીતો હતાં. આ ઉઅપરાંત સચિન દેવ બર્મને ગીતા રોય (૧ સૉલો અને એક યુગલ ગીત) અને લલિતા દેઉલકર (૧ સૉલો)ના સ્વરોનો પણ આ ફિલ્મમાં ઉપયોગ કરેલ છે.

યે દુનિયા રૂપકી ચોર, બચા લે મેરે બાબૂ – શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીત એક ટોળી પોતાના મનોરંજન માટે ગોઠવેલ એક ગુફામાંના સ્ટેજ શૉ રૂપે રજૂ થયું છે. પાંચ અલગ અલગ પ્રાંતના છોકરાઓ પોતપોતાની ભાષામાં કામિની કૌશલને 'પ્રપોઝ ' કરે છે જેને શમશાદ બેગમે એ દરેક ભાષાની આગવી ઢબથી રજૂ કરેલ છે.

{આડ વાત: ક઼મર જલાલાબાદીનું મૂળ નામ ઓમપ્રકાશ ભંડારી હતું.)

એક બાર તૂ બન જા મેરા ઓ પરદેસી, ફિર દેખ મજ઼ા – શબનમ (૧૯૪૯) - ગીતકાર: કમ઼ર જલાલાબાદી

પરદાપર ગીતને રજૂ કરનાર કલાકાર પારોદેવી છે. આ પહેલાંની ફિલ્મોમાં પોતાનાં ગીતો પોતે ગાયા પછી પારો દેવીએ હવે પાર્શ ગાયન છોડી દેવું પડ્યું લાગે છે.

ક઼દર મેરી ન જાની, છોડકે જાનેવાલે - શબનમ (૧૯૪૯) - ગીતકાર: ક઼મર જલાલાબાદી

લગ્ન પ્રસંગે નાચગાનની ઉજવણીને રજૂ કરતું ગીત છે. આમ ગીત મસ્તીનું છે પણ બોલમાં વિરહ છે. સ્વાભાવિક જ છે કે સીચ્યુએશનનાં મુખ્ય પાત્રને એ જરા પણ પસંદ નથી પડતું એટલે નૃત્યાંગનાઓ હવે ડ્ર્મરના વેશમાં આવી ને 'દેખો આયી પહલી મુહબ્બતકી રાત'ની શરૂઆત કરી દે છે !

દેખો આઈ પહલી મુહબ્બત કી રાત - શબનમ (૧૯૪૯) - સાથીઓ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ પણ પારો દેવી પર ફિલ્માવાયેલું એક નૂત્ય ગીત છે. અંતરાનાં સંગીતમાં સચિન દેવ બર્મને લોકગીતની શૈલી અપનાવી છે.

તૂ મહલોંમેં રહનેવલી મૈં કુટિયામેં રહનેવાલા, ફિર તેરા મેરા સાથ કયા - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીતમાં વિખૂટો પડેલ નાયક પોતાની વાત કહે છે જ્યારે મુખ્ય નૃત્યાંગના જાણે પ્રેમિકાના બોલને વાચા આપે છે.

'શબનમ'નાં શમ્શાદ બેગમ અને મુકેશમાં યુગલ ગીતો સારાં એવાં લોકચાનાપાત્ર થયાં હતાં.

તુમ્હારે લિયે હુએ બદનામ, ન ભૂલે ફિર ભી તુમ્હારા નામ, તુમ માનો યા ના માનો તુમ્હારી મરજી - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

અહીં પણ પ્રેમી નાયક ફરિયાદીના સ્વાંગમાં છે અને તેની ફરિયાદોના પ્રતિભાવ મુખ્ય નૃત્યાંગના પ્રેમિકા નાયિકા વતી આપે છે.

પ્યારમેં તુમને ધોખા સીખા, યે તો બતાઓ કૈસે - શબનમ (૧૯૪૯) - મુકેશ સાથે - ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફરી એક વાર દરબારમાં ભજવાતાં નૃત્ય દ્વારા સમાજના રિવાજોને કારણે એક ન બની શકનારાં પ્રેમી-પ્રેમિકાનો સંવાદ મુખ્ય નૃત્યાંગનાના માધ્યમ વડે થાય છે.

મોહે લગા સોલવહાં સાલ હાય મૈં તો મર ગયી- મશાલ (૧૯૫૦) - અરૂણ કુમાર મુખર્જી સાથે - ગીતકાર: પ્રદીપ

'૫૦-'૬૦ના દાયકામાં શમશાદ બેગમના ભાગે જે પ્રકારનાં ગીતો ગાવાનાં આવ્યાં તે જ પ્રકારનું આ ગીત છે. આ પ્રકારનાં ગીતો જ તેમને મળવા લાગ્યાં એટલે તેમની ઓળખ મુજરા જેવાં હલકાં ફુલકાં નૂત્ય ગીતોનાં ગાયિકા તરફની બનવા લાગી.

આડવાતઃ
ષોડશીના તરવરાટને તાદૃશ કરવાની એક વધારે તક શમશાદ બેગમને એન દત્તા એ સંગીતબધ્ધ કરેલ ૧૯૫૬ની ફિલ્મ 'ચંદ્રકાંતા'નાં ગીત 'મોહે લગા હૈ સોલવા સાલ હાયે નહીં છેડના'માં પણ મળી હતી. (આ ગીતની ડિજિટલ ક્ડી મને મળી નથી શકી.)
જલતી હૈ દુનિયા તેરા મેરા પ્યાર હૈ...મૈં તેરી બગીયા તૂ મેરી બહાર હૈ - પ્યાર (૧૯૫૦) - કિશોર કુમાર સાથે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

રાજ કપુર માટે પાર્શ્વગાયક તરીકે મુકેશ નિશ્ચિત થઈ ગયા તે પહેલાં અને અમુક કિસાઓમાં તો તે પછી પણ, મોહમ્મદ રફી, તલત મહમૂદ, મન્ના ડે, શંકર દાસગુપ્તા, હેમંતકુમાર, ચિતળકર, નારાયણ દત્ત, બી. વાસુદેવ, કમલેશ અવસ્થી અને ખુ રાજ કપૂરે, પાર્શ્વગાયન કરેલ છે. તેમના માટે કિશોર કુમારે ગીત ગાયાં હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે. આ ફિલ્મમાં આ ગીત સિવાય બાકીનાં બધાં સ્ત્રી સ્વરનાં ગીતો ગીતા રોયે ગાયાં હતાં.




સચિન દેવ બર્મને ૧૯૫૧થી ૧૯૬૦ના દાયકાનાં શમ્શાદ બેગમનાં ગીતો આપણે હવે પછીના અંકમાં સંભળીશું.