Showing posts with label પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ પરિવાર. Show all posts
Showing posts with label પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ પરિવાર. Show all posts

Tuesday, March 17, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની ..... - લગ્ન અને લગ્નજીવનઃ ૧૯૭૭ થી ૨૦૦૨

 

"ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન"થી આગળ

લગ્ન

લગ્ન સમારોહ માટે પ્રગતિનગર કોમ્યુનિટી હોલ પસંદ કરવામાં આવ્યો હતો. સુસ્મિતાના પક્ષના નજીકના સંબંધીઓ માટે રહેવા માટે નજીકના ઘરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા પક્ષના અમદાવાદથી લગ્નમાં હાજરી આપનારા કેટલાંક મહેમાનોને અમારા ઘરમાં અને કેટલાંકને નજીકના બીજા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પક્ષના બધા મહેમાનો એક દિવસ પહેલાથી જ આવવાનું શરૂ થઈ ગયું હતું. લગ્ન સમારોહ દિવસના પહેલા ભાગમાં હોવાથી, બહારના મહેમાનો લગ્નના દિવસે રાત્રે પાછા ફર્યા હતા.

રજિસ્ટ્રારને તેમની ઑફિસેથી લઈ આવવા મહેશભાઈ તેમની ઓફિસ ગયા અને લગભગ ૧૧ વાગ્યા સુધીમાં લગ્ન સમારોહના સ્થળે પહોંચી આવ્યા. એમને ચા પાણી કરવાયા બાદ, મેં અને સુસ્મિતાએ લગ્નના શપથ રજિસ્ટ્રારની હાજરીમાં બોલીને અમારી સ્વૈચ્છિક સંમતિ જાહેર કરી. ત્યાર બાદ અમે લગ્ન રજિસ્ટર પર સહી કરીને અને બંને પક્ષના બબ્બે સાક્ષીઓએ પણ તેને પ્રમાણિત કરી. આમ લગ્ન વિધિ પુરી થઈ.


સાક્ષી તરીકે સહી કરતા મહેશભાઈ

સુસ્મિતા તરફથી સાક્ષી કરતા, અનુક્રમે, દિવ્યભાષ, અને સુસ્મિતાના મામા, ભુજંગીભાઈ હ. વૈદ્ય

લગ્ન પછી પીરસવામાં આવનાર જમણ એકદમ સાદું હતું. દૂધીનો હલવો, મોતીચુર લાડુ, બે શાક, બે ફરસાણ, દાળ અને ભાત બધાંને બેએક પંગતમાં નીચે બેસી જમી શકાય એમ પીરસવામાં આવ્યાં.

મેં મારા ઓફિસ સ્ટાફમાંથી કોઈને પણ આમંત્રણ ન આપીને લગ્ન સમારોહને માત્ર કુટુંબીજનો સુધી મર્યાદિત રાખવાનો કક્કો ખરો કર્યો હતો.


 

ડાબેથી:

પહેલી હરોળઃ હર્ષિકા, અરમાનને તેડીને ઊભેલાં દિવ્યાંગિનીભાભી, ગાયત્રી, મોટા અમ્મા, દેવીબેન, અને તેમની આગળ, સંદીપ 

બીજી હરોળ: ભારતી, સુસ્મિતા, હું, ભાર્ગવીને તેડીને ઊભેલાં પ્રતિભાભાભી, બેન અને ગોરીકાકી 

ત્રીજી હરોળ: નિમેષ, દર્શન, અધુકડો દેખાતો સંજય, અને નરેશભાઈ 

છેલ્લી હરોળ: કુંજલતાબેન, ગોરાકારા, મહેશભાઈ, દિવ્યકુમારભાઈ 

ડાબેથી: કર્ણિકા, કુંજલતાબેન, સુસ્મિતા, બેન, હું, મહેશભાઈ, દિવ્યભાષ, (પાછળ) સંજય

લગ્નજીવન

પહેલું અઠવાડિયું

અમે લગ્ન પછીનું પહેલું અઠવાડિયું મુંબઈમાં વિતાવ્યું.

લગ્નના ત્રીજા દિવસેકુંજલતાબેન, દિવ્યભાષ અને કર્ણિકા સાથે અમે મુંબઈ જવા રવાના થયા. મધ્યરાત્રિની આસપાસ, અમારા સ્લીપર કોચમાંથી કેટલાક મુસાફરોએ મોટેથી જાહેરાત કરી કે શ્રીમતી ઈન્દિરા ગાંધી રાયબરેલી બેઠક પરથી ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી હારી ગયા છે.

અમે મુંબઈ પહોંચ્યાના બીજા દિવસે, (દિવ્યભાષે ઝાયર જતા પહેલા ખરીદેલ  અને બે વર્ષ પછી વેંચી નાખેલું) પર્લ પેલેસની અગાસી પર ડિનર રિસેપ્શનનું નાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કુંજલતાબેનના સંબંધીઓ અને પરિચિતોને  આ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુસ્મિતાએ મુંબઈમાં અમારા રોકાણનો ઉપયોગ પ્રગતિ નગરમાં અમારા ઘરને સજાવવા માટે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ વચ્ચેના ડિવાઇડર તરીકે વાપરી શકાય એવું પડદાનું કાપડ અને કેટલીક કાર્પેટ ખરીદવા માટે કર્યો.

૧૯૭૭ થી ૧૯૭૯

અમદાવાદમાં સ્થાયી થયા પછી અમારું પહેલું કાર્ય સુસ્મિતાના શિક્ષણ-અનુભવ, જ્ઞાન અને ગણિત પ્રત્યેની રુચિને અનુરૂપ હોય એવા અર્થપૂર્ણ વ્યવસાયને શોધવાનું હતું.અમારા પ્રયત્નો સરિયામ અસફળતામાં પરિણમ્યા. જેમ જેમ હું પાછળ ફરીને જોઉં છું, તેમ બહુ સ્પષ્ટપણે દેખાય જ છે કે અમારા પ્રયત્નો પૂરતા, વ્યવસ્થિત કે સંગઠિત નહોતા. પાછળથી, સુસ્મિતાએ પડોશના કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું કામ કર્યું. પરંતુ મારા કામ અને જીવનનાં અસંતુલનને પરિણામે સુસ્મિતાના ઘરનાં જીવન પર જે વધારાનો બોજ પડ્યો. એટલે, શિક્ષણ સાથેનો એક આછોપાતળો સંબંધ બાંધી રાખવાનો આ પ્રયત્ન અર્થપૂર્ણ આંશિક સમયના  વ્યવસાયમાં પણ પરિણમી શક્યો નહીં. 

અમારા જીવનનો આનંદ માણવાની શરૂઆત મારા ફોટોગ્રાફીના પ્રયોગોથી થઈ. તે ઉપરાંત મારાં રેકોર્ડ્સનાં કલલેક્શનમાંથી રેકોર્ડ સાંભળવી અને જ્યારે જ્યારે અમદાવાદમાં પુસ્તક મેળો થાય ત્યારે તેની મુલાકાત લેવી જેવી પ્રવૃત્તિઓ પણ અમે સાથે મળીને કરતાં.

બપોરનું જમવાનું પીરસવાની તૈયારી કરી રહેલ સુસ્મિતા

GST ખાતે મારી ઓફિસની દિનચર્યામાં શનિવારે માત્ર અડધો દિવસ જવાનું હતું. અમે એ તકનો લાભ લઈને અમદાવાદના ભદ્ર (કાળી માતાનાં મંદિર)માં આવેલ બેન્ક ઑફ ઇન્ડીયા બિલ્ડીંગથી નજદીક પડે એવાં એડવાન્સ થિયેટરમાં સાંજના ૪.૩૦ વાગ્યા શૉમાં અંગ્રેજી ફિલ્મો જોવા જવાનું શરી કર્યું. બહુ જ જ થોડા સમયમાં, અહીં પણ, મને શો માટે પહોંચવામાં મોડું થવા લાગ્યું. થોડા મહિનાઓ સુધી, ઇન્ટરવલ પછી મૂળ ફિલ્મ શરૂ થાય તે પહેલાં હું ભાગ્યે જ સિનેમા હોલ પહોંચી શકતો. પછી બેએક વાર, હું તે પણ કરી શક્યો નહીં. પરિણામે, તે પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ, જે મારા કામ અને જીવનનાં સંતુલન બગડવાની શરૂઆતના અણસારનો આ બહુ સ્પષ્ટ સંકેત હતો.

અમદાવાદની બહારની અમારી પહેલી ટ્રિપની શરૂઆત જ એક છબરડાથી થઈ. ૧૯૭૭ના અંતમાં, કે કદાચ ૧૯૭૮નીની શરૂઆતમાં, દક્ષિણ ગુજરાતનાં હિલ સ્ટેશન. સાપુતારામાં ત્રણ રાત્રિની સફરનું આયોજન કર્યું હતું. અમે અમદાવાદના ગુજરાત રાજ્ય પરિવહન કેન્દ્રીય બસ સ્ટેશન - ગીતા મંદિરથી વહેલી સવારે બસમાં ચઢ્યા. મેં કંડક્ટરને અમારી સીટ રિઝર્વેશન ટિકિટ આપી ત્યારે તેણે ધડાક દઈને જ અમને બસમાંથી નીચે ઉતરી જવાનું કહ્યું. મેં સામે ગરમાગરમ દલીલો કરી! તેણે નમ્રતા જાળવી રાખી, છેવટે મને ટિકિટ બતાવી. એ ટિકીત તો રાજકોટની મારી મુસાફરીની જૂની ટિકિટ હતી! અમે હવે આશ્ચર્યચકિત થઈ ગયા અને માફી માંગી અને તેને નવી ટિકિટ કાઢી આપવા વિનંતી કરી. બસ, એટલામાં જ સુસ્મિતાને કંઈક યાદ આવ્યું અને તેણે તેના પર્સમાંથી ટિકિટ કાઢી! સાપુતારાની અમારી બાકીની મુસાફરી કોઈ અવરોધ વિના ચાલી, પણ આખી મુસાફરી દરમ્યાન હું કંડક્ટરની સામે આંખ મેળવીને જોઈ શક્યો નહીં!

૧૯૭૮ના મધ્યભાગમાં મહેશભાઈની, ગુજરાત કૃષિ યુનિવર્સિટી માટે નવાં બનેલાં મુખ્ય મથકદાંતીવાડા ખાતે બદલી થઈ.  મહેશભાઈના ત્યાં રોકાણ દરમિયાન અમે દાંતીવાડાની  બે-ત્રણ દિવસની ઘણી મુલાકાતો લીધી. ૧૯૭૯ની આવી જ એક યાત્રામાં, દાંતીવાડાના રસ્તે પાલનપુર પહોંચતા અમને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો, ધોધમાર વરસાદમાં હાઇવે પર લગભગ એક કે બે કલાક અમે ફસાયેલા રહ્યાં. આખરે જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે સુસ્મિતાના મામા, પ્રાણલાલભાઈ એચ. વૈદ્યનું વતન, મોરબી, મચ્છુ નદી પરનો માટીનો બંધ તૂટી પડવાને કારણે વિનાશક પૂરથી તબાહ થઈ ગયું છે.

૧૯૭૯ ના ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં સુસ્મિતાએ પોતાની પહેલી અને એકમાત્ર વિદેશ યાત્રાનું આયોજન કર્યું. તે દિવ્યભાષ પરિવાર સાથે રહેવા માટે ઝાયરરના પાટનગર કિન્શાશા જવાની હતી. અનેક રસીકરણ કરાવવાની ઝંઝટ પછી, અંતે, સુસ્મિતા અને હું મુંબઈ થઈને નૈરોબી જવા માટે અમદાવાદથી મુંબઈમાં હર્ષવદનભાઈ-સુરભીના ઘરે પહૉંચ્યાં. અરધી રાતની ફ્લાઈટ હતી. એરપોર્ટ પર પહોંયાં, ત્યારે એટલો ભારે વરસાદ પડી રહ્યો હતો કે સુસ્મિતાની ચેક-ઇન બૅગ સંપૂર્ણપણે પલળી થઈ ગઈ હતી. નૈરોબી પહોંચતા જ જ્યારે તેણે બૅગ ખોલી, ત્યારે બૅગમાં વરસાદી પાણીના ઘૂસી જવાને કારણે તેની ઘણી સાડીઓ પર ડાઘ પડી ગયા હતા!

સુસ્મિતાની ગેરહાજરીમાં, સંજય સાથે મળીને, અમારું પોતાનું જલવાનું બનાવવાનો મેં બીડું ઝડપ્યું. એક વાર સંજયે દૂધનું વાસણ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું અને પછી  ભૂલી ગયો. વાસણ ગૅસ પર એટલા લાંબા સમય સુધી ઝુલસતું રહ્યું કે વાસણમાં રહેલું બધું દૂધ બળીને કોલસો થઈ ગયું. ઘરમાં એટલી બધી દુર્ગંધ ભરાઈ ગઈ હતી કે એકસાથે બેત્રણ પેકેટ અગરબત્તી સળગાવ્યા પછી પણ, બીજા બે ત્રણ દિવસ સુધી અમારા આખા પડોશને દુર્ગંધ સહન જરવી પડી. બીજા એક કિસ્સામાં, જ્યારે મહેશભાઈ દાંતીવાડાથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે અમે ભીંડાનું શાક બનાવતી વખતે મીઠાને બદલે સોડા ઉમેર્યો હતો! અમારા આવા (કરણાંત) સાહસો પર દયા કરીને, સામેના,# 9/52, પ્રગતિનગર,માં રહેતા પાડોશી બચુભાઈ ગોહિલના પત્ની મધુબેન અમારા માટે દાળ અને રોટલી બનાવીને મુકી જતાં અને અમને સાદાં શાક બનાવવાનું શીખવતાં રહ્યાં  સુસ્મિતા કિન્શાશાની સફરથી પરત ફરી, ત્યારે અમે મધુબેન દ્વારા તૈયાર કરાયેલ રોટલી દાળ ભાત સાથે ગર્વથી અમે રાંધેલા ભીંડાનું શાક સુસ્મિતાને જમવામાં પીરસ્યું

સુસ્મિતાની કિન્શાશાની મુલાકાત લેવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના તબક્કા દરમ્યાન હું GST છોડી દેવાનું વિચારી રહ્યો હતો. અંતે, મેં જૂન ૧૯૧૯ માં મારૂ રાજીનામું મુક્યું અને સુસ્મિતા કિન્શાશાથી પરત ફર્યા પછી, ૧૯૭૯ના સપ્ટેમ્બરના અંતમાં GST છોડ્યું. અમારાં સ્વબળે શરૂ કરવા ધારેલ સાહસ, એરીશ ઇક્વિપમેન્ટનું સક્રિય અમલીકરણ શરૂ કરતા પહેલા, મેં બીજા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું. એ દરમ્યાન અમે કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં સુસ્મિતાની વ્યાવસાયિક કારકિર્દીને આકાર આપવાનો પ્રયાસ કર્યો. જો કે, શરૂઆતની પાપા પગલીમાં એ પ્રયોગ બહાર આવે અને ખરા અર્થમાં શરૂ થાય તે પહેલાં, વચગાળાની વ્યવસ્થા તરીકે બીજા પ્રૉજેક્ટ્સ પર કામ કરવાનું (ખોટું) સાહસ છોડી દીધું અને એરીશ ઇક્વિપમેન્ટના ગ્રીન-ફિલ્ડ અમલીકરણ પર પૂર્ણ-સમય કામ કરવાનું ચાલુ કર્યું. તેથી, સુસ્મિતાનો કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં દાખલ થવાનો પ્રયાસ પણ પડતો મૂકવો પડ્યો. 

૧૯૭૯ – ૨૦૦૨

એરિશ ઇક્વિપમેન્ટ શરૂ થવાનાં પહેલાં બે-ત્રણ વર્ષ સુસ્મિતા માટે ખરેખર કપરાં હતાં. પોતાનો વ્યવસાય શરૂ કરવાનો સાવ અજ્ઞાત અનુભવ, ખૂબ જ અનિયમિત અને અપૂરતી મહિનાની આવકમાંથી ઘર ખર્ચ ચલાવવું અને છતાં કોઈ પ્રકારની ફરિયાદનો સુર ન જણાવા દેવો એ મેં લીધેલ જોખમ કરતાં પણ વધારે અઘરું તપ હતું.

૧૯૭૯ થી ૧૯૮૧ દરમિયાન અશ્વિનભાઈ પાલખીવાલા દ્વારા ગોઠવાયેલી નાનાં ફંક્શન અને ટ્રિપ્સ[1] કે પછી દાંતીવાડા અથવા ગોરાકાકા પરિવાર કે નિમેષ પરિવારની મુલાકાત માટે રાજકોટની અમારી મુલાકાતોએ અમને આ મુશ્કેલીઓ સામે અમારા જીવનની નાવને તરતી રાખવામાં બહુ મોટું બળ પુરૂં પાડ્યું.

લગભગ ૧૯૮૦/૮૧ માં દાંતીવાડાની એક મુલાકાત દરમ્યાન ગોરાકાકા (મારા કાકાજનાર્દનભાઈ વૈષ્ણવ) અને મહેશભાઈ પરિવારો 


આજે એવું કહેવું બહુ ચવાઈ ગયેલું લાગે છે કે માત્ર અને માત્ર સુસ્મિતાના અવિરત ટેકાને કારણે જ એ તબક્કામાંથી પસાર થઈ શકાયું..

તાદાત્મ્યના જન્મ પછી (૧૯૮૧ માં) અમે એરિશ ઇક્વિપમેન્ટના શરૂઆતના આઈસીયુ સપોર્ટમાં ટકી રહેલાં અમારાં ગૃહસ્થ જીવનના એ સૌથી મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યાં. જોકે, જ્યારે પરિસ્થિતિ થોડી થાળે પડતી અનુભવવા લાગી, ત્યારે ડિસેમ્બર ૧૯૮૩માં મહેશભાઈનું અવસાન થયું.

બીજું એક પરિબળ જેણે અમને તરતા રહેવામાં મદદ કરી તે મારા ત્રણ ખૂબ જ નજીકના મિત્રો, કુસુમાકર (ધોળકિયા), મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના પરિવારોનો ખૂબ જ સક્રિય અને જીવંત સાથ હતો. અમારા લગ્ન થયા પછી, એમનાં જીવનસાથીઓ - અનુક્રમે, જાગૃતિ, હર્મિલા અને મીના - અને પછી એમનાં બાળકો - અનુક્રમે, ખ્યાતિ, અનંગ અને હીરવા અને ફેનિલ - એ પણ અમારી મિત્રતાનાં સહજ વાતાવરણને જાળવી રાખવામાં અને અને આપસી લાગણીઓ અને સમજની ગાંઠને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરી. દર ત્રણચાર મહિને અમદાવાદ નજીકના આઉટડોર રેસ્ટોરન્ટમાં ડાઇન-આઉટ તેમજ કોઈપણ ઘરે ડાઇન-ઇનના સાદા આનંદ માણવાના પ્રસંગો અમને અંગત રીતે અકલ્પ્યપણે ઉપકારક પરવડ્યા.


અમારૂં લગ્નજીવન હવે વ્યવસ્થિત આર્થિક અને સામાજિક માર્ગ પર ચડી ગયું હતું તેનો પહેલો સંકેત કુલુ મનાલી (૧૯૮૭) ની અમારી સફર હોઈ શકે છે. એક આયોજિત પ્રવાસમાં જોડાવાનો અમારો એ પહેલો અને છેલ્લો અનુભવ રહ્યો. તે પછી અમે કે કંઈ ટ્રિપ કરી એ બધી જાતે વ્યવસ્થા કરીને કરી. કુલુ મનાલીણી એ ટ્રિપ માટે અમારે અમદાવાદથી અંબાલા ટ્રેનમાં જવાનું હતું. દાહોદ નજીક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે અમારી ટ્રેન ખૂબ જ નાના સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. એ સ્ટેશન પર ફક્ત કેળાં જ મળતાં હતાં. ટ્રેન કેટલો સમય પડી રહેશે તેના કોઈ નક્કી વાવડ ન મળતા હતા એટલે સ્ટેશન અને ગામમાં જેટલાં પણ કેળાં હશે એ તો જોતજોતામાં પુરાં થઈ ગયાં અમે મોટે ઉપાડે સેકન્ડ એસી કૉચની સફર મજા માણવાની આશા રાખી હતી એ પણ અર્ધાપોણા કલાકમાં વિખરાતી જતૉ લાગી. કોચનું એસી પણ બંધ થઈ ગયું, એટલે, પ્લેટફોર્મ પર એક નાની બેન્ચ પર લગભગ ચાર કલાક રાહ જોવાની ધીરજ દાખવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સમોસા અને મસાલા થેપલાંનું અમારું થાગડથીગડ ડીનર અજમેરમાં લગભગ ૧૧ વાગ્યાની આસપાસ પીરસવામાં આવ્યું. તે સમયે ઊંઘમાંથી ઊઠીને પણ, મેં અને તાદાત્મ્યએ ટેસથી સમોસા ખાધા અને થેપલાં બીજા દિવસે સવારે વહેલા નાસ્તા માટે સાચવી રાખ્યાં. અમારી ટ્રેન બપોરે એકાદ વાગ્યા સુધીમાં અંબાલા પહોંચી ગઈ. તે સમયે, પ્રવાસમાં સાથે આવેલા રસોઈયાઓએ રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર જ ઝડપથી જમવાનું રાંધ્યું. પ્રવાસના બધા સાથી પ્રવાસીઓએ પણ તે જ ફૂટપાથ પર ખૂબ આનંદથી ઝાપટ્યું.


આયોજિત પ્રવાસો ઉપરાંત અમે ભૂજ અને મુંબઈની અનૌપચારિક મુલાકાતોનો આનંદ માણતાં રહ્યાં.



મુંબઈની આવી જ એક મુલાકાત દરમિયાન (મારાં માસીના દીકરા) નિમેષ અને તેમનાં પત્ની પ્રતિભાભાભી પણ સપરિવાર પ્રતિભાભાભીના ભાઈ યોગેશભાઈને ત્યાં વેકેશનમાં આવ્યાં હતા. તે દરમિયાન અમે જુહુ બીચ પર એકવાર મળ્યાં. 


આ પહેલા ઉલ્લેખેલ અક્ષયના લગ્નએ જેમ અમને પ્રેમસંબંધ દરમિયાન નજીક લાવવામાં મદદ કરી હતી, તેવી જ મદદ અમને પોરબંદરમાં (મારી માસીનાં દીકરી) ભારતી, અને ગાંધીનગરમાં (મારાં બીજાં માસીના દીકરી)વિભાના લગ્ન, (મારા નાના પિતરાઈ ભાઈ) દર્શનનાં જામનગરમાં યજ્ઞોપવિત, (મારી નાની પિતરાઈ બહેન) હર્ષિકા નાં ભુજમાં લગ્ન જેવા અનેક કૌટુંબીક પ્રસંગોએ અમારાં લગ્નજીવનને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ જીવન ઘરેડમાંથી ખૂબ જ જરૂરી રાહત આપવામાં ખૂબ મદદ કરી.

૧૯૮૯ ની આસપાસ, અમે અમારી પોતાની પહેલી કાર, સફેદ પ્રીમિયર પદ્મિની ખરીદી. સુસ્મિતાએ થોડા સમય માટે પોતાનૂ ડ્રાઇવિંગ તાજું આપવાનો પ્રયાસ કર્યો. એ વર્ષોમાં ગોરાકાકા ગાંધીનગર ખાતે આવેલાં જી ઈ બી પાવસ સ્ટેશનની નહદીકના સેક્ટરમાં રહેતા. સુસ્મિતાએ પ્રગતિનગરના ઘરથી ત્યાં સુધી અને વળતાં કાર બહુ સારી રીતે ચલાવી પણ ખરી. સુસ્મિતાને અમદાવાદના રસ્તાઓ પર કાર ચલાવવા પુરતો વિશ્વાસ પણ આવી ગયો હતો. પણ, તે સમયના અમદાવાદના (તત્કાલીન) ટ્રાફિક પેટર્નથી કંટાળીને આખરે તેણે હાર માની લીધી.

તે સમયની આસપાસ હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. અમે આજે સરગમ - બોડકદેવ રોડ અને સત્ય રોડ તરીકે જાણીતાં જંકશન નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં લગભગ ૫૦ થી ૭૦ લોકો માટે મોટે પાયે ડિનરનું આયોજન પણ કર્યું હતું.

અમે પ્રગતિ નગર ખાતે યોજેલા નગર મંડળના મેળાવડાના આયોજનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સહ-આયોજન પ્રગતિ નગરના તત્કાલીન નાગર સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. એ એક ખૂબ જ યાદગાર અને મજા પડે એવો સમારંભ રહ્યો હતો.


૧૯૯૨ માં ભુજ ખાતેનાં અમારાં વડીલોપાર્જિત ઘરના વેચાણની પ્રક્રિયા પુરી કરતાં હું બહુ સખત રીતે એસિડિટીને કારણે થતી વિચિત્ર બીમારીમાં પટકાયો. ભુજની મિલકતનાં વેંચાણનાં તંગ વાતાવરણ અને પછી મારી અઠવાડીયું પથારીમાં કાઢવું પડેલું એ તણાવ સહનમાં પણ સુસ્મિતાએ પોતાના ભાગથી વધારાનો ભાર પણ વહન કરી લીધો. તે પછી અમે અમારા માટે 'મોટા' રહેઠાણની શોધ શરૂ કરી. અમે અમદાવાદમાં શક્ય તેટલા બધા સ્થળોએ શોધખોળ કરી. જો કે, એકવાર જ્યારે અમે અંકુર સોસાયટી તરફથી પાછા ફરતા હતા, ત્યારે અમને સંસ્કાર ભારતી સોસાયટી (અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ) નજીક એક બાંધકામ હેઠળનું મકાન દેખાયું. સ્થળ પરની થોડી પૂછપરછ અને એક ચાલુ કામનું નિરીક્ષણ કર્યા પછી અમે ૧૦, મીરા એપાર્ટમેન્ટ ખાતે અમારા પોતાના પહેલા ઘરની ખરીદીને અંતિમ સ્વરૂપ આપ્યું. અમારી પસંદ મુજબ આંતરિક સુશોભન અને રાચરચીલું તૈયાર કરાવવા માટે છ મહિનાના સમર્પિત પ્રયાસોથી ઘર રહેવા માટે તૈયાર થઈ ગયું.

આ ઘરમાં શિફ્ટ થયાં એટલે અમને વિધિપુરઃસરનો ગૃહપવેશનો પ્રસંગ કરવાનો લ્હાવો મળ્યો. વૈષ્ણવ પરિવારના અન્ય સભ્યો માટે, અમે અમારું ઘર વસાવી રહ્યાં હતાં તેનાથી વધારે ગૃહપ્રવેશની ધાર્મિક વિધિઓમાં બેઠેલો જોવો એ વધારે આનંદદાયક હતું. મારી છાપ ધાર્મિક વિધિઓ એક પારંપારિક રિવાજોમાં ન માનનાર તરીકેની ગણાય. પૂજાની આખી વિધિ દરમ્યાન મારે દોતીયું જ પહેરવું એવો ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ)નો સપ્રેમ આગ્રહ હતો. તેમણે મને તે પહેરવામાં અથથી ઈતિ સુધી મદદ પણ કરી, અને સમગ્ર વિધિ દરમ્યાન સતત કાળજી રાખી, અને મનમાં ને મનમાં મારી દેખીતી મુઝવણનો આનંદ પણ માણ્યો!

પ્રગતિ નગરથી મીરા સુધી ઘરનો સામાન ખસેડવાની અને મીરામાં ગોઠવી આપવાની બધી જ વ્યવસ્થા મારા 'રત્નમણિ'ના સાથીઓએ ઉપાડી લીધી. ગૃહપ્રવેશની ઉજવણીના પંચોતેરેક મહેમાનો માટેના ભોજન સમારંભની વયવ્સ્થા પણ એ મિત્રો જ ઉપાડી લીધી હતી.

તે પછી લગભગ તરત જ, અમને દર્શન (અને અમી) ના લગ્ન સમારંભનું આયોજન કરવાની તક મળી.

મારાં વ્યાવસાયિક જીવનમાં ચાલુ રહેલાં અસંતુલન છતાં, અમારું અંગત જીવન હવે બહુ જ સારી રીતે આગળ ધપી રહ્યું હતું. 

૧૯૯૮ માં, તાદાત્મ્ય સુરતકલ (કર્ણાટક) ખાતે આવેલીના કેઆરઈસીમાં ખાતે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતકના અભ્યાસમાં જોડાયો. એમ થવાથી અમારા જીવનમાં પડેલા દેખીતા ભાવનાત્મક અવકાશને ત્યાં તેની સતત પ્રગતિએ ભરપાઈ કરી દીધું. અમે ત્યાં તાદાત્મ્યનાં સુરતકલનાં ચાર વર્ષોની રહેણાક દરમ્યાન અમે બે વેકેશન ટૂરનું આયોજન પણ કર્યું. એક ટૂર મેંગલોર-ઉડુપી સર્કિટની અને બીજી અને કેરળના કોચી-તિરુવનંતપુરમ સર્કિટની કરી. 

હું, બેન અને સુસ્મિતા - સુરતકલના બીચની એક મોડી સાંજે

એ દરમ્યાન ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીના ભુકંપનો પણ અમે સાથે મળીને અનુભવ કર્યો. લોલકની જેમ ચાલતું ઘર ધૂજવાનું બંધ થયું એટલે અમે બધાં નીચે ઉતરી ગયાં. એ પછીના પંદર વીસ દિવસ મીરાનાં બધાં રહેવાસીઓએ સામે નીચે આવેલાં ઘરમાં કાઢ્યા. એ દિવસોમાં વેકેશન પર આવેલ તાદામ્યએ તો ત્યાંથી જ પાછા સુરતકલ જવું પડ્યું.

૨૨મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ અમે પ્રતિભાભાભીને કાયમ માટે ગુમાવ્યાં.

૨૦૦૨ના અંતમાં મને મુન્દ્રાનાં નાના કપાયા ખાતે આવેલા સૉ પાઇપ્સના પ્લાન્ટના મુખ્ય પ્રબંધક તરીકે જોડાવાની તક મળી. અમે અમદાવાદનું ઘર બંધ કરીને નાના કપાયા રહેવા જઈએ એવો નિર્ણય થયો. તાદાત્મ્યનું સુરતકલનું ભણવાનું પુરૂ થયું હતું અને તે બેંગ્લોરમાં નૉવેલમાં જોડાઈ રહ્યો હતો.

મારે ભાગે તો વ્યાવસાયિક સ્તરે મારે બહુ ઊંચા સ્તરની જવાબદારીના વહનમાં સફળ થવાનું હતું.  પરંતુ, સુસ્મિતાએ એ કારણે પેદા થઈ રહેલી અનિશ્ચિતતાઓનો અને અમારી ગૃહસ્થીને નવાં વાતાવરણમાં ફરીથી વાવીને ઉછેરવાના નવા જ પડકારોનો, ફરી એક વાર, એકલા હાથે સામનો કરવાનો આવ્યો. 

૩૧મી જાન્યુઆરીના અર્ધી રાતની સયાજી એક્સપ્રેસ પર સુસ્મિતા મને મૂકવા આવી શકે એવી અમારી બન્નેની ઇચ્છાને આટલી મોડી રાતે એકલા પાછા ફરવાની અડચણને કારણે અમારે નજરઅંદાજ કરવી પડી. દેરાસર સુધી રિક્ષામાં બેસવા સુધી જ મને મૂકવા આવી શકવાથી સુસ્મિતાએ સંતોષ માની લેવો પડ્યો.

Wednesday, February 25, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ.....

 

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, ૨૫ ફેબ્રુઆરી (૧૯૮૧) ના રોજ, વિધાતાએ અમારા જીવનમાં, અમારાં સંતાન (પુત્ર)ના જન્મના રૂપમાં, એક નવો અધ્યાય લખવાનું કામ હાથમાં લીધું. તે દિવસોમાં અમદાવાદ તણાવપૂર્ણ હતું, ચારે તરફ "અનામત" ના વિરોધનું વાતાવરણ હતું. જોકે, નામકરણ સમયે અમારા હવે વિસ્તાર પામેલા પરિવાર વચ્ચેના સંબંધના પ્રતીક તરીકે તાદાત્મ્ય (સંસ્કૃત. તત્ + આત્મ્ય; ભિન્ન પ્રતીતિ થવા છતાં વસ્તુત: અભિન્નપણું.)[1] નામ પસંદ કરવામાં અમને લગીરેય વિરોધ નહતો. એ સમયની પ્રથા અનુસાર, માતૃ પક્ષના નામ તરીકે 'તત્પર' સ્વીકારાયું.

તાદાત્મ્યને તેડેલા મહેશભાઈ - બાજુમાં સંદીપ અને ગાયત્રી; (પાછળ) તેમનાં મા અને મારાં પિત્રાઈ બેન દેવીબેન અને પીઠ દેખાય છે તે પુર્ણિમાકાકી 

લગભગ એક મહિના પછી, અમદાવાદનાં તણાવભર્યાં વાતાવરણથી દુર થવા અને પુરતો આરામ મળી રહે તે માટે સુસ્મિતા અને કુંજલતાબેન તાદાત્મ્યને સાથે લઈને ભુજ રહેવા ગયાં 

કુંજલતાબેન તાદાત્મ્ય સાથે – ભુજ


સુસ્મિતા પાછા આવ્યા પછી
, તાદાત્મ્યની હાજરી સાથેના નવા સંદર્ભમાં અમારૂ જીવન સ્થિર થવા લાગ્યું.

(ચૈતન્ય પટણી, હું, સંજય, તાદાત્મ્યને તેડીને સુસ્મિતા તાદાત્મ્ય, કુંજલતાબેન, બેન)

તાદાત્મ્યને પારણામાં હીંચકાવાનું ખૂબ ગમતું -  ખાસ કરીને રાત્રે સૂતી વખતે. તેને વાર્તાઓ સાંભળતા રહેવાનું અને તેમ નહીં તો વાતો કરતા રહેવાનું બહુ ગમતું. સામાન્ય રીતે, આ કામ સુસ્મિતાને ભાગે આવતું. જો કે, જો બેન (દાદી) અથવા મહેશભાઈ (દાદા) અમદાવાદમાં હોય, તો પછી બીજાં કોઈ ન ચાલે. પરંતુ કદાચ તેને આ કામમાં સૌથી વધારે મોટા અમ્મા (પરદાદી) ગમતાં. સાર એવા હીંચકા ખાધા  પછી, જ્યારે તે સંપૂર્ણપણે શાંત થઈ જાય, અને સૂઈ ગયો હોય તેવું લાગેતું, એટલે મોટા અમ્મા પારણાને હીંચકાવવાનું બંધ કરે. તાદાત્મ્ય, ભરપુર નીંદરમાં આવી જવા છતાં, હજુ હીંચકાવો એવો રાગ રેલાવે. એ તબક્કે, મોટા અમ્માને રાહત આપવાના અમારા પ્રયાસો તાદાત્મ્યને સ્વીકાર્ય ન હોય!

બાળકના પહેલવેલા વાળ ઉતરાવવાના સંસ્કારની વિધિ જાન્યુઆરી ફેબ્રુઆરી ૧૯૮૩ વિધિપૂર્વક કરવામાં આવી.

તાદાત્મ્ય-  બાળસહજ તોફાની સ્મિત અને નવા વાળની ઉગતી કાળી ઝાંય સાથે


તાદાત્મ્યના નવા વાળ ઉગવાની સાથે, મેં દાઢી વધારવાનો પ્રયોગ કર્યો હતો!

બાળપણના આ તબક્કામાં તાદાત્મ્યનો સતત રહેલો વિકાસ અમારા માટે પણ ખૂબ જ ખુશહાલીનો તબક્કો રહ્યો.


તાદાત્મ્યને વાંચનમાં જેમ જેમ રસ પડવા લાગ્યો તેમ તેમ અમને એની ઉમરે રસ પડે એવાં પુસ્તકો શોધતાં રહેવાની મજા માણવા મળવા લાગી. પછીથી તો હું મારા કામ અંગે જ્યારે પણ બહારગામ જતો ત્યારે એક પુસ્તક ખરીદી લાવવું એ તો લગભગ વણલખ્યો નિયમ બની ગયો હતો..


૧૯૮૩ થી ૧૯૮૪-૮૫ દરમિયાન
, અમારા પિતરાઈ ભાઈ સુધાકરભાઈ (ચમનલાલ ધોળકિયા) ને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું હતું. પરિણામે, તેમના પુત્ર ભવ્ય સાથે તાદાત્મ્યને હમઉમ્ર સાથનો  સારો મોકો મળ્યો.


તેમાં થયું એવું કે તાદાત્મ્યને ઘરમાં ઘરમાં એટલી પ્રવૃતિઓ મળી ગઈ કે પ્રગતિનગરમાં પોતાને ઘરેથી જ બાળમંદિર ચલાવતાં પદ્માબેનની 'કેજી'માં તેને શરૂઆતમાં જરા પણ ગોઠ્યું. બહુ લાંબા સમય સુધી તાદાત્મ્ય સ્કૂલમાં હોય એટલો બેન (તાદાત્મ્યનાં દાદી)ને બહાર બેસવું પડતું હતું. થોડી થોડી વારે બહાર આવીને તાદાત્મ્ય જોઇ જાય કે બેન બહાર છે ને ! પછી સ્કૂલેથી છૂટે ત્યારે જાણે કાંઇ જ બન્યું નથી એમ આજે સ્કૂલમાં શું શીખવાડ્યું તેનું વિગતે વર્ણન કરે ! ઘરે આવીને પહેલું કામ મમરા અને સેવનો નાસ્તો કરવાનું રહેતું. પ્રાથમિક શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે પણ તાદાત્મ્યની સાથે લઈ જવાના નાસ્તામાં 'સેવમમરા' ખાસ પસંદ રહેતી. પછીથી તો એના શાળાના મિત્રોને પણ એ એટલું ભાવવા  લાગ્યું કે તેઓ પોતાનું પરાઠા વગેરેનું લંચબોક્ષ તાદાત્મ્યના સેવમમરા સાથે અદલાબદલી કરતા.

તાદાત્મ્ય - તેના ખૂબ જ લાક્ષણિક 'શરારતી' મૂડમાં

'કેજી' ફેન્સી ડ્રેસ હરિફાઈનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તાદાત્મ્ય તેમાં એ લોકોના રિક્ષાવાળા 'માધુભાઈ' બન્યો. બીજો એક સહાધ્યાયી, તાદાત્મ્ય અમને સમજાવતો એમ, 'કેન્સીકેન્દ્રા' બનવાનો હતો. તાદાત્મ્યને પૂછીએ કે એ પાત્ર શું હશે તો બહુ ઠાઠથી સમજાવે કે એ એક જાતનું પક્ષી છે! કાર્યક્રમના દિવસે અમને ખબર પડી કે વાત 'કિંગ સિકંદર'ની થી રહી હતી.

એકંદરે, તાદાત્મ્યનાં પૂર્વ-પ્રાથમિક શાળાકાળનાં વર્ષો આંખના એક પલકારાની જેમ જ પસાર થઈ ગયેલાં લાગ્યાં.


એરીશ ઇક્વિપમૅન્ટના મારા સાથીદાર, અશ્વીનભાઈ પાલખીવાલાના સાળા - શ્રી અશોકભાઈ સી. ગાંધી - એજી સ્કૂલના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. તેથી, સદ્‍નસીબે, તાદાત્મ્યનો પ્રાથમિક શાળામાં પ્રવેશ ખૂબ જ સરળતાથી પાર પડ્યો.

શાળાએ જવા માટે તૈયારી કરતાં થોડી નારાજગી થોડી શરારતના તાદાત્મ્યના મૂડને ઝીલી લેવાના પ્રયાસમાં હલી ગયેલા કૅમેરાએ સુસ્મિતાની તસ્વીર અસ્પષ્ટ કરી દીધી.

અહીં પણ તાદાત્મ્યને તેના નવા મિત્રો સાથે મનમેળ બેસાડતાં થોડો સમય લાગ્યો,

તાદાત્મ્ય - રમતિયાળ મૂડમાં શાળાએ જવા માટે તૈયાર

તાદાત્મ્ય હવે શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતો થઈ ગયો હતો. છઠ્ઠાં ધોરણમાં તાદાત્મ્યએ એક નાનકડી નાટિકામાં સમ્રાટ અશોકને દીક્ષા આપનારા બૌદ્ધ ભુક્ષુની ભૂમિકા ભજવી.


પછીથી તો તેનાં પ્રાથમિક શાળાકાળનાં વર્ષો તો લગભગ ઓટોપાયલટ પર જ પસાર થઈ ગયાં..

આજે હવે પાછળ જોતાં, એવું કહી શકાય કે તેની કિશોરવય સ્વાભાવિકતાની સાથે સાથે પોતાના આગવાં વ્યક્તિત્વનો વિકાસ પ્રાથમિક શાળાકાળ પુરો કરવાની સાથે જ શરૂ થઈ ગયો હતો!

જ્યારે તાદાત્મ્ય પ્રાથમિક શાળાના તબક્કામાં પહોંચ્યો, ત્યારે તેનો વિકાસ સ્વ-પ્રેરિત બની ચુક્યો હતો. હું મારા વ્યાવસાયિક પ્રવૃતિઓમાં વધારે પડતો વ્યસ્ત થઈ ગયો હતો. અમારી, ખાસ કરીને મારી, ભૂમિકા પણ તાદાત્મ્યના વિકાસ પથ માટે આવશ્યક સુવિધા પાડનાર બની રહી હતી. ક્યારેક જ્યારે સ્કૂલરિક્ષા ન આવતી, ત્યારે મારે તાદાત્મ્યને શાળાએ મુકવા જવાનું થતું. અમે રસ્તામાં તેના સહાધ્યાયી નીરજ (સક્સેના) ને લેવા જતા. અમે અમારી પ્રીમિયર પદ્મિની કાર ખરીદી  ત્યાર પછીથી તાદાત્મ્ય અને નીરજ હંમેશા આવા પ્રસંગોએ શાળાએ જવા માટે કાર સવારી માટે આતુર રહેતા. તનય (તાદાત્મ્યના પુત્ર) ના યજ્ઞોપવિત સમારંભ દરમિયાન (૨૦૨૪ માં) જ્યારે નીરજ મને મળ્યો, ત્યારે તેણે આવી સવારીઓને બહુ પ્રેમથી યાદ કરી. નીરજને બરાબર યાદ હતું કે ભારે ચોમાસાના દિવસોમાં શાળાએ જવાનાં એકાદ બે સ્થળોએ બહુ પાણી ભરાઈ જતું. તાદાત્મ્ય અને નીરજ એવી એકાદ જગ્યાએ કાર ફસાઈ જાય તેની આતુરતાથી રાહ જોતા. એ લોકોને રસ રહેતો કે ગંદા પાણીમાં ઉતરીને ગાડીને ધક્કા મારવાની મજા લુંટવા મળે. શાળામાંથી તેમને હક્કપૂર્વકની એક દિવસની રજા મળેએ પાછું બોનસ. જોકે, નીરજે વસવસો પણ વ્યક્ત કર્યો કે મેં તેમની ઇચ્છા ક્યારેય પુરી થવા દીધી નહીં!

જોકે એ બન્નેની ધક્કા મારવાની મજા માણવાની એક બીજી તક એ લોકો જ્યારે અગીયારમા ધોરણમાં હતા ત્યારે છપ્પર ફાડીને મળી. ગોરાકાકા (મારા કાકા - જનાર્દન્ભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)એ પોતાનું મૉપેડ, લ્યુના, ક્લાસીસમાં જવાની સગવડ થાય એ માટે આપ્યું. જોકે લ્યુનાની હાલ એવી હતી કે એ રસ્તા પર્ચાલ્યું તેના કરતાં મીકેનીકને ત્યાં રીપેરીંગમાં વધારે રહ્યું. એ (બીચારાં) મૉપેડ પર તાદાત્મ્ય અને નીરજ ડબલ સવારીની અને રસ્તે ચાલતાં મૉપેડ રીસાય ત્યારે ખેંચીને મીકેનીક પાસે લઈ જવાનો 'લ્હાવો' માણ્યો.

મારાં વ્યાવસાયિક કામકાજ માટે હું દરરોજ વહેલી સવારે વટવા જવા નીકળી જતો અને (મોડી) સાંજે  પાછો આવતો. તેને કારણે મારે અને તાદાત્મ્યને સવાર પછી ફરી મળવામાં મોટો ગાળો પડી જતો. પરિણામે હું અને તાદાત્મ્ય, બંને ઘરે પહોંચતાની સાથે જ રૂબરૂ મુલાકાતની રાહ જોતા. તાદાત્મ્ય દરવાજા પર રાહ જોતો હોય. ઘંટડી વાગતાની સાથે જ, તાદાત્મ્ય દરવાજો ખોલે અને દરવાજા પર જ પોતાની દિવસની પ્રવૃત્તિઓનું બયાન રજૂ કરી દે!

જ્યારે અમે મીરા એપાર્ટમેન્ટમાં (૧૯૯૩માં) શિફ્ટ થયા, ત્યારે તાદાત્મ્યનો પ્રગતિનગરમાંની તેની રોજબરોજની આઉટડોર રમતો માટેનો સંપર્ક ટૂટી ગયો. એ નુકસાન તેણે ઇન્ડોર (મોડિફાઇડ) ક્રિકેટ-કમ-સ્ક્વોશના ઇન્ડોર જુગાડ વડે તે નુકસાન ભરપાઈ કર્યું. ડ્રોઇંગ રૂમથી પહેલા માળના પેન્ટહાઉસ લિવિંગ રૂમમાં સીડી પર ત્રણ પગથિયાં ચડીએ એટલે સામે ખુલ્લી દિવાલ હતી. તાદાત્મ્ય તેના બેટથી બોલને ફટકારીને બોલને બાઉન્સ-બેક કરવા દિવાલનો ઉપયોગ કરીને પોતાની રમત રમી લેતો.

એ વર્ષોમાં એક વર્ષે તાદાત્મ્યના વેકેશન દરમ્યાન અમે બહારગામ ફરવા જવાનું નક્કી કર્યું હતું. પણ વ્યવસાયનાં કામને કારણે એ આયોજન તો પડતું મુકવું પડ્યું. એટલે અમે છેલ્લી ઘડીએ અમારી સુમો લઈને સૌરાષ્ટ્રની ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. પહેલે દિવસે રાજકોટ પહોંચ્યાં. ત્યાં પહેલાં અમે નિમેશ (મારાં ધનામાસી પ્ર્દ્યુમ્નભાઈ માંકડના પુત્ર)ને ઘરે ગયાં ત્યાંથી બધાં ભેગાં થઈને મારાં ફઈના અને (તાદાત્મ્યનાં નાનીના પણ) દીકરા સુધાકર (ચમનલાલ ધોળકિયા)ના પરિવારને સાથે લઈને આજી ડેમ ફરવા ગયાં પાછાં ફરતાં રાજકોટના (બરફ્ના ગોળા પર ખુબ મોટો આઈસક્રીમ રેડેલો) ગોલો બધાંએ ખાધો. રાત સુધાકરભાઈને ત્યાં રહીને બીજે દિવસે અમે જૂનાગઢ ગયાં. રાજકોટથી સુધાકરભાઈનાં સંતાનો ઉત્કંઠા અને ભવ્ય અમારી સાથે જોડાઈ ગયા. મહેશ (દિલીપરાય માંકડના પુત્ર - મારા ખાસ મિત્ર) જૂનાગઢમાં કલેક્ટર હતા. મહેશે સાસણમાં અમારી એક રાત રહેવાની વ્યવસ્થા કરાવી આપી. સવારનું જમણ મહેશને ત્યાં જમી અમે સાંજે સાસણ પહૉચ્યાં હવે મહેશનાં સંતાનો - અનંગ અને હીરવા- પણ અમારી સાથે હતા> બીજે દિવસે સાસણ વિહાર કરીને અમે અહમદપુર માડવી થઈને દીવ પહોંચ્યાં. દીવ અમે ત્રણ રાત અને બે દિવસ રહ્યાં. પાછાં ફરતી વખતે મહેશ અને તનાં પત્ની હર્મિલા (સુસ્મિતાનાં ફઈ બબીફઈનાં દીકરી) પોતાની કાર લઈને અહમદપુર માંડવીથી અમારી સાથે સોમનાથની સફરમાં જોડાયાં. વચ્ચે એજ ગામમાં ઘરમ ગરમ ગાંઠીયા તળાતા જોયા એટલે પૅક કરાવી લઈને રસ્તામાં તેની મજા માણતાં માણતાં સોમનાથ પહોંચ્યાં. ત્યાંથી મહેશ પરિવાર જૂનાગઢ ગયોઅને અને અમે રાજકોટ થઈને અમદાવાદ પાછાં ફર્યાં. 

દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ઘરે તૈયારી કરતી વખતે, ૧૯૯૬ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હતો. ગણિતની પરીક્ષાના સૌ પહેલું પેપર ગણિત હતું. આગલા દિવસે, સુસ્મિતા ચિંતા કરતી રહી, પરંતુ તાદાત્મ્યએ કોઈ જાતના ભાર વગર ટીવી પર કોમેન્ટરી જોઈ. 

૧૨મા ધોરણનાં લાંબા પરવડેલાં વેકેશન દરમ્યાન મારા માસીના દીકરા અક્ષય (ડોલરરાય અને ભાનુમાસી અંજારીઆ)ના પુત્ર હિતાર્થે તાદાત્મ્યને સ્કુટર ચલાવતાં શીખવી દીધું. તે પછી તાદાત્મ્યએ એ માટેનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવી લીધું.


તાદાત્મ્યના  ૧૨મા ધોરણની પરીક્ષા પુરી થયા પછી, કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાને કારણે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો હતો. BITS, પિલાની અને ગુજરાત રાજ્ય બોર્ડ વચ્ચે સંકલનની કેટલીક તકનીકી ખામીઓને કારણે BITS, પિલાનીમાં પ્રવેશનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહોતો. જોકે, રત્નમણિ ખાતેના મારા સાથી પ્રકાશ ભટ્ટ KREC સુરતકલ, કર્ણાટકમાં અભ્યાસ કર્યો હતો  ( KREC ૨૦૦૨માં NITK માં અપગ્રેડ થયેલ હતી). તેમનાંમાર્ગદર્શનને પરિણામે REC માં પ્રવેશ મેળવવાનો વિકલ્પ અમારી સામે ખુલ્યો હતો. KREC, સુરતકલ વિશે પ્રકાશ ભટ્ટે બહુ મહત્વની મહિતિઓ આપી અને ત્યાંના શિક્ષણ માટે પણ બહુ ઊંચો અભિપ્રાય આપ્યો હતો. તે ઉપરાંત તેમણે તાદાત્મ્યની પહેલી પસંદગીની શાખા કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પણ મહત્વની માહિતી મેળવી આપી -  એ શાખા માટે REC ત્રિચીને ટોચની પસંદગી માનવામાં આવતી હતી, ત્યારબાદ KREC, સુરતકલનું સ્થાન ગણાતું હતું.

એક દિવસ, હું મુંબઈથી મારી સત્તાવાર ટ્રીપ પરથી પાછો ફર્યો ત્યારે અખબારોમાં જાહેરાત હતી કે બધી REC માં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને એટલા પુરતી પ્રવેશ પ્રક્રિયા માટે કાઉન્સેલિંગ આજથી શરૂ થવાનું છે.

અમે સમય ગુમાવ્યા વિના કાઉન્સેલિંગ સેન્ટર પર યોગ્ય સમયે પહોંચી ગયા. બસ પ્રક્રિયા શરૂ થવાની હતી, ત્યાં અમને જાણવા મળ્યું કે તાદાત્મ્ય મેરિટ લિસ્ટમાં બીજા ક્રમે છે. પ્રક્રિયા શરૂ થતાં જ, મેરિટ લિસ્ટમાં પહેલા નંબરે રહેલા વિદ્યાર્થીએ REC, ત્રિચીનો વિકલ્પ પસંદ કર્યો. તાદાત્મ્યએ તેનું નામ બોલાય તે સાથે જ પોતાની પસંદગી KREC, સુરતકલ હોવાનું જાહેર કરી દીધું. અમે તરત જ ફી ચૂકવી અને જરૂરી ઔપચારિકતાઓ પુરી કરી. જ્યારે અમે સ્થળ છોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અમે પારસ ગાંધીના માતા-પિતાને મળ્યા. પારસ ગાંધીએ પણ KREC માં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે અમને જણાવ્યું કે સુરતકલ માટે પહેલી ઉપલબ્ધ ટ્રેન બે દિવસ પછી છે. આ પણ અમારા માટે બહુ મહત્વની માહિતી હતી.

અમે ઘરે દોડી ગયા. સુસ્મિતા માટે આ સમાચાર સુખદ આઘાતજનક હતા. તેણે અને તાદાત્મ્યએ તાદાત્મ્યના હોસ્ટેલ રહેવાસની તૈયારીઓની વિગતોનું આયોજન કરવાનું શરૂ કર્યું અને હું ટિકિટ બુક કરવા માટે નીકળી પડ્યો.

પ્રવાસના દિવસે રેલ્વે સ્ટેશન તરફ જતી વખતે, દિલ્હી દરવાજા પાસે અમને અસાધારણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. અમે પૂરતો સલામત સમય ગાળો રાખ્યો હતો તેમ છતાં અમને ટ્રેન ચૂકી જવાની શક્યતા જણાવા લાગી. અમારી ગાડી તો જરા પણ આગળ ચાલી શકે તેમ નહોતી એટલે અમે ઉતરી જઈને ઓટોરિક્ષા પકડવા માટે એક પછી એક અડીને, બાજુ-બાજુ જામ થયેલા વાહનોના ધસારોમાંથી પસાર થવું પડ્યું. આખરે જ્યારે અમે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે ટ્રેન પણ મોડી પડી છે, પરંતુ હવે તેપ્લેટફોર્મ પર આવી ગઈ છે અને  દસ જ મિનિટમાં રવાના થશે. અમે પહેલું પ્લેટફોર્મ, ફૂટઓવરબ્રિજ અને પછી ટ્રેન જે પ્લેટફોર્મ હતી ત્યાં એક શ્વાસે દોડવાનું શરૂ કર્યું. અમારામાંથી છેલ્લાંએ ડબામાં પગ મૂક્યો ને ટ્રેન પ્લેટફોર્મ પરથી બહાર સરકવા લાગી! જોકે, તે પછીની સુરતકલ સુધીની ટ્રેનની મુસાફરી સુખદ હતી, કોંકણ તટ પરની ટ્રેનની સફર તો અમે એક શ્વાસે જોઈ. કદાચ, ભાગ્યએ અમદાવાદની બહાર તાદાત્મ્યના જીવનના શરૂ થનારા નવા અધ્યાયની ચમત્કારિક શરૂઆતનો સંકેત આપ્યો હતો.

હૉસ્ટેલના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન તાદાત્મ્ય અને તેના ગુજરાતથી આવેલા અન્ય સહાધ્યાયીઓ ઓઅર જે વીતી હશે તેના વિશે તાદાત્મ્યએ ક્યારેય વધુ માહિતી નથી આપી. પોતાના વ્યક્તિત્વનાં પાસાંને અચાનક જ પરિપક્વ કરી નાખતા એ અનુભવને તાદાત્મ્યએ જીવનની તેની આગળની સફરમાં તેને ખૂબ સહજતાથી પાછળ છોડી દીધો.

ડાબેથી: તાદાત્મ્ય, સૌરભ ગર્ગ, નોએલ ફર્નાન્ડિસ, રાજેન્દ્ર શર્મા (પાછળ), આનંદ નવલગુંડ, કિરણ પઢિયાર (પાછળ), પારસ ગાંધી અને જિગ્નેશ ગોહિલ.

વેકેશન દરમિયાન તાદાત્મ્યની અમદાવાદ આવવાની ઘણી સફર કોંકણના ભર ચોમાસા દરમિયાન થતી. એવી સફરો દરમ્યાન રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલનને કારણે ચાર થી આઠ કલાકના વિલંબના અનુભવો પણ તાદાત્મ્યએ  ભોગવ્યા. જાન્યુઆરી ૨૦૦૧માં તાદાત્મ્યનાં વેકેશન દરમ્યાન અમદાવાદની એક રહેણાક સમયે અમે ૨૪ જાન્યુઆરીએ નવું ટીવી ખરીદ્યું અને પછી ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપનો અનુભવ કર્યો. તાદાત્મ્યને એ વેકેશનના બાકીના દિવસો  અમારા મીરા એપાર્ટમેન્ટની સામેના ઘરના કામચલાઉ આશ્રયસ્થાન રહેવું પડ્યું. ૨૦૦૨માં, સુરતકલથી તાદાત્મ્યની છેલ્લી અમદાવાદની મુલાકાત દરમ્યાન અમે જિંદાલ સૉ, નાના કપાયા (મુન્દ્રા, કચ્છ) માં મારા જોડાવાના પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં તે નક્કી કર્યું, જેના નિષ્કર્ષ રૂપે અમારે નાના કપાયા સ્થળાંતર કરવાનું પણ નક્કી કરવાનું હતું.

તાદાત્મ્યના સુરતકલના રહેવાસ દરમ્યાન અમે પણ સુરતકલની બીજી બે ટ્રિપ કરી, જેમાંની એકમાં અમે સુરતકલની નજીકના સ્થળોની મુલાકાત લીધી. એ ટ્રિપમાં બેન (તાદાત્મ્યનાં દાદી) પણ અમારી સાથે હતાં.

બેન, સુસ્મિતા, તાદાત્મ્ય - સુરતકલના દરિયા કિનારે, ઢળતી સાંજના સમયે

અમારી બીજી યાત્રા કેરળની મુલાકાત હતી. આ ટ્રિપમાં તાદાત્મ્ય અમારી સાથે સુરતકલથી જોડાયો હતો.

કોટ્ટાયમ બૅક વોટર્સની સફર માટે બોટ પર, અમારાં સહયાત્રીઓ સાથે

આમ રૂવરૂ મળવા ઉપરાંત, પોસ્ટ વ્યવસ્થા દ્વારા પત્રોનું આદાન-પ્રદાન અને લેન્ડલાઇન ફોન દ્વારા વાત કરવી એ અમારાં બીજાં સંપર્ક માધ્યમો હતાં. KREC ના છાત્રાલય સત્તાવાળાઓએ દરેક છાત્રાલય બ્લોક માટે એક ટેલિફોન લાઇનની વ્યવસ્થા કરી હતી. અમે કોલ કરવા માટે એક નિશ્ચિત સમયપત્રક ગોઠવ્યું હતું જેથી તાદાત્મ્ય તેમના બ્લૉકના ફોનની નજીક હાજર રહી શકે. રાતના સમયે એસટીડીના દર થોડા ઓછા હોય એટલે બહુ ઘણાં વિદ્યાર્થીઓ આ સમયે ફોન કરવાની લાઈન હોય એટલે  ફોન પરની આ સમયે થતી વાતચીત માત્ર ખુશખબરની આપલે કે સમાચારોની જાણ કરવા પુરતી મર્યાદિત રહેતી. એ વાતચીતની બાકીની વિગતો પત્રવ્યવહાર દ્વારા આપલે થતી.

૨૦૦૨માં, તાદાત્મ્ય KREC થી સીધા બેંગલુરુના નોવેલમાં જોડાયા. અમે પછી બેંગલુરુની પણ મુલાકાત લીધી હતી, અને ત્યાંથી ઉટી અને મૈસુર ગયાં હતાં.

તાદાત્મ્ય અને સુસ્મિતા - કોરમંગલાનાં તાદાત્મ્યના પીજી રહેઠાણમાં

નોવેલના બે વર્ષના સમયકાળ દરમ્યાન તાદાત્મ્યએ પોતાના વિષયમાં જ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બહુ સક્રિયપણે મહેનત કરી. બેંગલુરુમાં આઈઆઈએસસીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કસોટીઑમાં  તેમને ધારી સફળતા ન મળી. આ પ્રક્રિયામાં, તેમને જાણવા મળ્યું કે આઈઆઈએમમાં ​​સિસ્ટમ્સ મૅનેજમૅન્ટનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ એક સારો વિકલ્પ છે.  આઈઆઈએમ બેંગલુરૂમાં પર્સનલ ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશેના પોતાના મંતવ્યો વિશે પ્રશ્નનો સામનો કરવો પડ્યો. તેણે જણાવ્યું કે એ તો છેલ્લાં છ વર્ષથી ગુજરાતની બહાર છે એટલે અહીણાં અખબારોમાં જે કંઈ જાણવા મળે તેનાથી વધારે તેને કોઈ માહિતી નથી. આ જવાબથી ઇન્ટરવ્યુ લેનારાઓની અપેક્ષાઓ પૂરી નહીં થઈ હોય એટલે IIMB તાદાત્મ્યની પસંદગી થઈ નહીં. પરંતુ તેમણે IIM, લખનૌમાં પ્રવેશના તમામ તબક્કાઓ માટે સારો દેખાવ કર્યો અને ૨૦૦૪ માં IIML માં પ્રવેશ લીધો.

અમે બે વાર IIML ની મુલાકાત લીધી - પહેલી મુલાકાત પહેલા વર્ષના શિયાળા દરમિયાન ગોઠવી. એ મુલાકાત દરમ્યાન અમે કાશી અને અલ્હાબાદની યાત્રા કરી એ પછી અમે દીક્ષાંત સમારોહમાં ગયાં.  તે પછી અમે નૈનિતાલની યાત્રા કરી.


IIML માં જોડાતા પહેલા અને IIML છોડ્યા પછી તાદાત્મ્યની અમદાવાદની યાત્રાઓમાં બે દુ:ખદ અને એક સારી યાદો જોડાયેલ છે. પ્રથમ ઘટનામાં, જ્યારે તાદાત્મ્ય અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, અમને એરપોર્ટ આવેલાંજોઈને તેને આનંદ થવાની સાથે ગમગીની પણ હતી કેમકે, મહેશ (મારા નજીકના મિત્ર - મહેશ દિલીપરાય માંકડ) ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમે એક દિવસ પહેલા અમદાવાદ આવ્યાં હતાં.  મુન્દ્રાથી IIML માં જોડાવા માટે પાછા ફરતી વખતે, તાદાત્મ્યને - અમારા પ્રગતિનગરના દિવસોના તાદાત્મ્યના મિત્ર અને ડૉ. અશોકભાઈ અને ભાવનાબેન દેસાઈના પુત્ર - હર્ષિતના લગ્ન સમારંભમાં હાજરી આપવાની તક મળી. બીજા દુઃખદ કિસ્સામાં, જ્યારે તે IIML માં પીજી પુરૂં કર્યા પછી તેમનું છેલ્લું વેકેશન મુન્દ્રામાં માણી રહ્યો હતો, ત્યારે મધુમામા (મારા મામા - મધુકાંત મૂળશંકર છાયા)નું અવસાન થયું.

૨૦૦૬નું વર્ષ તાદાત્મ્યના જીવન અને કારકિર્દીમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહ્યું.



[1] તાદાત્મ્ય ત્રણ પ્રકારનું છેઃ

() ભ્રાંતિજ તાદાત્મ્ય- અહંકારનું સાક્ષી સાથે તાદાત્મ્ય

() કર્મજ તાદાત્મ્ય - કર્મની સૂક્ષ્મ અવસ્થાને પામેલ કોઇ સંસ્કાર, અને

() સહજ તાદાત્મ્ય - અહંકારની ચિદાભાસ સાથે એકરૂપતા.