Showing posts with label પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ પરિવાર. Show all posts
Showing posts with label પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ પરિવાર. Show all posts

Thursday, August 6, 2026

તનય (તાદાત્મ્ય વૈષ્ણવ) – પાંચમી પેઢીનો છડીદાર

 


પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ અને રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવથી શરૂ થતી વૈષ્ણવ વંશાવળીની હું અને સુસ્મિતા (અશોક વૈષ્ણવ) ત્રીજી પેઢી, અને તાદાત્મ્ય (અશોક વૈષ્ણવ) અને ભુમિકા (તાદાત્મ્ય વૈષ્ણવ)નો પુત્ર, તનય (જન્મઃ ૬ ઓગસ્ટ, ૨૦૨૬) એ ત્રીજી પેઢીની ત્રીજી પેઢી. આમ મારાં આ સંસ્મરણો વૈષ્ણવ વંશાવળીની પાંચમી પેઢીના છડીદાર, તનય,નાં વર્તમાનની યાદોનો ચિતાર છે.

જોકે અમારા (એક માત્ર) પૌત્ર તરીકે તનયનાં સંસ્મરણોનાં તાજાં કરી શકાય એવાં વર્તમાનની યાદૉ મમળવાનું સૌભાગ્ય મળવું, એ જ અમારાં જીવનની એક બહુ બડભાગી ક્ષણ છે, એમ કહેવું એ તો સ્વાભાવિક જ છે.

જોકે તનય વૈષ્ણવ વંશાવળીની ૨૧મી સદીનો છડીદાર છે એ કથન પણ બહુ સીધી સાદી હકીકતનું જ બયાન છે. (વૈષ્ણવ વંશાવળીની બીજી પેઢીનાં સૌથી પહેલાં પ્રતિનિધિઓ) કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ અને પ્રવીણા કમળભાઈ વૈષ્ણવનાં સૌથી મોટાં દીકરી (વૈષ્ણવ વંશાવળીની ત્રીજી પેઢીનાં પહેલાં સંતાન) દેવીબેન (મીનાક્ષી નરેશભાઈ ધોળકિયા)ની (વૈષ્ણવ વંશાવળીની બૃહદ સાંકળની ચોથી કડી) મોટી દીકરી ગાયત્રી  (કૌમુદી મહેન્દ્રભાઈ પટેલ)નાં સંતાનો - વૈષ્ણવ વંશાવળીના બૃહદ છત્રની પાંચમી પેઢીનાં તનયનાં મોટાં ભાઈ બહેન એતદ અને ધૈર્યા -એ વૈષ્ણવ વંશાવળીની વીસમી સદીને વિદાય આપવાનું સ્થાન શોભાવે છે.

જોકે તનયની એક વિશિષ્ટતા એ પણ છે કે તેણે પોતાના દાદાના મા (કિરણા મહેશ્ભાઈ વૈષ્ણવ) અને દાદીના મા (કુજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારીઆ)ને જોયાં છે અને તેમની સાથે રહ્યો પણ છે.

[પોતાનાં પરદાદી (કિરણા મહેશ વૈષ્ણવ) અને પરનાની (કુંજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારીઆ), દાદી (સુસ્મિતા અશોક વૈષ્ણવ) અને મમ્મી (ભૂમિકા તાદાત્મ્ય વૈષ્ણવ) સાથે તનય – આ લીંક પર ક્લિક કરવાથી જોઈ શકાય છે.]

જોકે તનયના જન્મને કારણે હું મારી પહેલી ઈનિંગની ઔપચારીક નિવૃતિ લઈ શક્યો એ સુભગ યાદ આમ તો યોગાનુયોગ જ ગણી શકાય. મારી નિવૃતિની દરખાસ્ત રજૂ કરી ત્યારે હું જિંદલ સૉ લિ., નાના કપાયા, મુન્દ્રા ખાતે કાર્યરત હતો. મારી નિવૃતિની દરખાસ્ત માટે મારે ઘણાં કારણો આપવા પડયાં. તે પેકી એક મુખ્ય દલીલ એ હતી કે મારી પહેલી ઇનિંગ્સના ૩૮ વર્ષ દરમ્યાન મારા પરિવારને હું પ્રાથમિકતા નથી આપી શક્યો.  જ્યાં સુધી (અ)મારી તબિયત સારી છે ત્યાં સુધી હવે હું મારા પરિવાર સાથે જિંદગી માણવા માગું છું. મારા ચેરમેન, શ્રી પી આર જિંદલે મારી દરખાસ્તનો સ્વીકાર કર્યો તે માટે મારી આ એક દલીલ સૌથી વધારે કારણભૂત નીવડી એમ કહી શકાય.

તનયના બાલ્યકાળે એ દલીલને ખરા અર્થમાં મૂર્ત કરી આપી. અને તેથી મારાં આ સંસ્મરણોની સફરના મારાં અને (મારાં પત્ની) સુસ્મિતાના સહજીવનનાં વર્ષોનો આ પડાવ અર્થસભર બની રહ્યો.

એ સંસ્મરણોને અહી ઉતારવા માટે અમારી પાસે જે ફોટોગ્રાફ્સ અને વિડીયો ક્લિપ્સ છે તેને ફરીથૉ જોવાનું શરૂ કર્યું એ તો ટાઈમ મશીનની એ સમયકાળની ધીમી ગતિની સફર જેવો આહ્લાદક અનુભવ બની રહ્યો. યાદોની એ ચિત્રપટ્ટીને જેટલો મારાથી શબ્દદેહ આપી શકાયો એ અહીં રજૂ કર્યો છે.

બાલ્યકાળ

નવજાત તનયને લઈને અમે હોસ્પિટલથી નીકળ્યાં ત્યારે તનયના જન્મ માટે અમે સૌ જે રાહ જોઈ રહ્યાં હતાં એ રાહના અંતના સૂચક સમાન વરસાદનું હળવું ઝાપટું શરૂ થયું.


તનયનાં નામકરણ વગેરે વિધિઓ પુરી થયા બાદ તનયને લઈને ભૂમિકા પાછાં બેગલુરૂ સ્થાયી થયાં, તે પછી મને અને સુસ્મિતાને તનયના બાલ્યકાળ દરમ્યાન તનયની નિકટ રહેવાના બે ખાસ્સા લાંબા સમયખંડ મળ્યા.

પહેલો સમયખંડ તાદાત્મ્ય - ભૂમિકાના બેંગલુરૂના આર ટી નગરમાં આવેલાં ઐશ્વર્યા અપાર્ટમેન્ટનો અમારા રહેવાસનો સમય હતો. ઐશ્વર્યા અપાર્ટમેન્ટ આવેલું હતું તે આર ટી નગરનો વિસ્તાર મહદ અંશે બેંગલુરૂનાં મૂળ મધ્યમ વર્ગનાં પ્રતિનિધિ સમાન વિસ્તાર હતો. બે રસ્તાઓ વચ્ચે પડતા વિશાળ લંબચોરસ વિસ્તારમાં આવેલાં ઘરોના સમૂહ પૈકી એક એવું ઐશ્વર્યા અપાર્ટમેન્ટ બે રસ્તાના ખણા પર જ આવેલું હતું. એક રસ્તો આગળ જતાં થોડો ઢાળવાળો બની જતો, જેને એક છેડે મસ્જિદ હતી અને બીજે છેડે બજાર હતું. એ બજારમાંથી  રોજબરોજની જરૂરિયાતો મળી રહેતી. એ બધા રસ્તાઓ પરથી બહારની બાજુએ નીકળો એટલે બેંગલુરૂના વિવિધ ભાગો સાથે સંપર્ક સ્થપાય. ઐશ્વર્યા અપાર્ટમેન્ટની આસપાસ ઘણા એકલદોકલ નોકરીયાતો રહેતા હશે. સવારે એ લોકો પોતાના  કામે જવા નીકળે ત્યારે તાજી ગરમાગરમ ઈડલી અને સુગંધથી મહેકતા દોસાઇ, અને સાથે કોપરાંની અને કાંદા-ટમાટાની ચટણીનો નાસ્તો મળી રહે એવા ખુમચાઓ ઠેરઠેર જોવા મળે. અમે લોકો પણ અઠવાડીયામાં એકાદ બે વાર એ નાસ્તાની મજા માણી લેતાં. ઐશ્વર્યા અપાર્ટમેન્ટની બાજુંમાં નીચે એક ઘંટી હતી, જ્યાં દર બીજે દિવસે  સવારે એ વિસ્તારનાં રહેવાસીઓ પોતપોતાના સાંભાર મસાલા દળાવવા આવે. તાજા દળાતા મસાલાઓની એ મહેકની કારણે ઘરે બનતાં અમારાં ગુજરાતી દાળશાક સાંભારમય બની રહેતાં. એ જ રસ્તા પર એક નાની બેકરી પણ હતી. હું અને સુસ્મિતા અઠવાડીયે દસ દિવસે બપોરના નાસ્તામાં એ બેકરીના પફ પેટીસનો પણ ઘણો લાભ લેતાં .     

તનયને નવડાવી કરીને તૈયાર કરીને  જમીન પર કે પલંગ મોટી ચાદર પર ગોદડી પાથરીને બેસાડો એટલે પોતાનાં રમકડાંથી એકાદ કલાક જેવું તો આરામથી રમે.

પછી તનયને રમકડાં પકડતાં અને ફેંકતાં આવડી ગયું. એટલે પછી તે દુર દુર સુધી ફેંકે. હજુ તેને ભાંખોડીયાં ભરતાં નહોતું આવડ્યું એટલે એણે ફેંકેલાં રમકડાં અમારે લઈ આવવાનાં. પછી તો એને એ સ્વતંત્ર રમત થઈ પડી.


તમયને તૈયાર કરાતો હોય કે કશે બહાર જવાનું હોય કે એ પોતાની રમતમાં મગ્ન હોય, ત્યારે તેના ચહેરાના હાવભાવ નિહાળવા એ અમને પણ મગ્ન કરી મુકે એવા અનુભવો બની રહેતા.

તનયની બીજી એક ગમતી પ્રવૃતિ હતી તેડાવીને શેરીમાં થતી અવરજવર બાલ્કનીમાંથી જોવી. એમાં પણ જો નીચે શેરીમાં 'બ્રાઉન કુતરાભાઈ' નીચે દેખાઈ જાય તો એને તો એ એટલો વળી વળીને જૂએ કે તનયને તેડનારે ખાસ્સી સાવધાની વર્તવી પડે. 

 

તે જ રીતે ફ્લેટના મુખ્ય દાદર પાસે આવેલા પેસેજમાં જાઓ તો ત્યાંથી બીજી શેરીની અવરજવર પણ જોવા મળે. એ પેસેજમાં એક બાંકડા જેવી બેસવાની જગ્યા હતી. બપોરે ચા પીધા પછી તનયને ત્યાં લઈ જઈએ ત્યારે મોટાભાગે સામેનાં ઘરમાં રહેતાં દાદી એમની પોત્રીને નાસ્તો કરાવવા લઈ આવે. પોત્રી તનયથી વરસેક મોટી હશે. દાદી પોતાની પોત્રીને ઈડલી ખવડાવે, તનય એકધ્યાન થઈને એ જૂએ. પછીથી થોડા મોટા થયા પછી બધાં સાથે બહાર રેસ્ટોરંટમાં ગયાં હોઈએ ત્યારે તનયને ખીચડી મળે. એ તબક્કાથી થોડા આગળ વધ્યા પછી તનય હોંશે હોંશે ઈડલી ખાતો થયો ત્યારે  તેના મનમાં કોતરાઈ ગયેલી દાદી - પોત્રીના ઈડલીના નાસ્તાની એ યાદ કેટલી સચવાઈ હશે

તનયે પોતાની બેઠક માટે એક બહુ જ અવનવો વિકલ્પ પણ ખોળી કાઢ્યો હતો.....

આડવાતઃ

ઉપરના ફોટોગ્રાફમાં એક ખુલ્લું લેપટોપ જોવા મળે છે. તનયના જન્મ બાદ મારી પહેલી ઇનિંગમાંથી નિવૃતિ પછી મેં જે એક પ્રવૃતિ વિકસાવી હતી એ હતી બ્લોગલેખન. ખુલ્લું લેપટોપ મારી એ પ્રવૃતિનું દ્યોતક  છે. આ ફોટોગ્રાફ ૨૦૧૨નાં વર્ષનો હશે. ત્યાં સુધીમાં મારૂં બ્લોગ લેખન એક ચોક્કસ શૈલીમાં ગોઠવાવાનું શરૂ થઈ ગયું હતું. 

એ ઉમરે પણ તનયને ખ્યાલ આવી જતો કે રાત્રે જમ્યા પછી અમે ચાલવા જઈએ છીએ. તેને તેડી લઈએ ત્યાંથી કરીને આખે રસ્તે બધું જોતો જાય અને ખુબ હરખાતો જાય. તેના એ હરખને કારણે અમારે ચાલવા ન જવું હોય તો પણ અમે ચાલવા જતાં. અને એ સમયે એને ન લઈ જઈ શકાય એવું હોય તો અમે ચાલવા જવાનું જ માંડી વાળતાં. આમ જમીને રાત્રે ચાલવા જવા માટે તનયનો હરખ જ અમારા માટે મુખ્ય પ્રેરક બળ બની રહ્યું.

બાઉંસરમાં બેસીને પોતાનું 'ભાણું જમવું' એ પણ તનય માટે એક ખાસ પ્રસંગ બની રહેતો. ચમચીએ ચમચીએ તેનું 'જમાતું' જાય તેમ તેમ બાઉંસરને ઝુલાવવાની તેની ઝડપ વધતી જાય. પછી તો બાઉંસરને એટલી ઝડપથી ઝુલાવે કે આપણને લાગે કે બાઉંસર ઉથલી પડશે. પરંતુ, તનય માટે તો 'જમવા'ની અને બાઉંસરને ઝુલાવવાની બેવડી મજા એટલી ગમતી પ્રવૃતિ હતી કે બેમાંથી એકેયને એ બંધ ન કરવા દે.


મહિને એકવાર ભૂમિકાની નાઈટ ડ્યુટી આવે. તાદાત્મ્ય ભૂમિકાની સાથે ગયો હોય, એટલે તનયને સુવડાવવાની જવાબદારી મુખ્યત્વે સુસ્મિતાની હોય. ભૂમિકા જે ગીતો અને ગરબા ગાઈને તનયને સુવડાવે એ જ ગીતો અને ગરબા સાંભળાવો તો જ ટાણેને ઊંઘ આવે. કોઈ વાર સુસ્મિતા વચ્ચે એકાંદ ગીત ભૂલી જાય તો તે ને પાછો તનય યાદ પણ કરાવી લે. 

તનય થોડું ઊભો રહેતાં શીખ્યો એટલે તેનું બેબી વૉકર પણ તેનું અતિપસંદ રમકડું બની ગયું. વૉકર જૂએ એટલે એને એમાં હરહાલમાં બેસવું હોય. તેને તેડ્યો હોય તો વૉકર તરફ એટલો વળીને ઝૂકી પડે કે તેનું જ નહીં, તેડનારે પણ પોતાનું સંતુલન જાળવવા મહેનત કરવી પડે. 


એક વાર તનય એનાં વૉકરમાં ગોઠવાઈ જાય એટલે પહેલાં થોડું આસપાસ દોડાવે, પણ પછી તેની દોટ દૂર ખુણામાં રાખેલ બુટ - ચંપલના ઘોડા તરફ હોય. હસતાં હસતાં એ ગોળીની માફક એ ઘોડા સુધી વૉકર ભગાવે. એક વાર, ત્યાં પહોંચે એટલે ઘોડામાંનાં બુટ - ચંપલ સાથે આખો ઘોડો પોતાની સાથે ખેંચીને પાછો ભાગે. પોતે કેવું મોટું કામ કર્યું છે તે જાણે બતાવવા માટે  ભાગતાં ભાગતાં બધાં સામે હસતો હસતો જોતો જાય. થોડી વાર તો અમને પણ ગમે, એટલે અમે ઘોડો ફરી ફરીને ગોઠવીએ અને તનય તેને ખેંચી લાવે. પછી અમે થાકીએ. એટલે તનયને બીજી રમત પર વાળીએ.


તનયનાં બાળપણ અને તેના વિકાસને સક્રિયપણે નજદીકથી જોવાનો બીજો તબક્કો તાદાત્મ્ય - ભૂમિકા પુણેમાં પિંપળે સોદાગરમાં ડી - ૩૦૩, ગણીશમ-II માં સ્થિર થયાં ત્યારે આવ્યો.

એ વર્ષોમાં પિંપળે સોદાગર પણ હજુ વિકસતો વિસ્તાર હતો. ગણીશમની એક તરફ તો મસમોટું ખાલી મેદાન હતુ, જે આજે હવે આધુનિક હાઈ - રાઈઝ મકાનોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. ગણીશમની આગળ તરફ કહી શકાય એ બાજુએ નાસિક ફાટા રોડ તરીકે જાણીતો મુખ્ય માર્ગ હતો. બીજી બાજુએ ગોવિંદ ગાર્ડન તરીકે ઓળખાતો વિસ્તાર હતો. એ બાજુ પર બેકરી, ફરસાણ અને મિઠાઈ, શાકભાજી, દવાઓ, ફાસ્ટ ફુડ નાસ્તાઓ વગેરેની દુકાનો સારી એવી જામી ગઈ હતી. તનયની કેજી સ્કૂલ, કિડ્ઝી, પણ એ બાજુ આવેલી હતી. નાશિક ફાટા રોડની પેલે પારનો વિસ્તાર પહેલેથી જ વિકસ્યો જણાતો હતો. ત્યાં પણ ડેરી, શાકભાજી દુકાનો, માછલી, પેટ્રોલ પંપ, કરિયાણા વગેરેની દુકાનો પર સાંજના સમયે ઠીક ઠીક ભીડ જોવા મળે. એ તરફ આવેલી બેકરીની બટર અને ખારી મને બહુ ભાવી ગયેલ. તેથી, ૨૦૨૬માં અમે પુણે ગયાં ત્યારે સવારના નાસ્તા માટે એ બેકરીની બટર અને ખારીની જૂદીજુદી વેરાયટીઓ માટે મારો રીતસરનો આગ્રહ રહેતો.

સુસ્મિતા તો તાદાત્મ્ય - ભૂમિકા પુણેમાં પહેલાં થોડો સમય બાલેવાડીમાં 'ક્મ્ફર્ટ ઝોન'માં રહ્યાં ત્યારે પણ તનય સાથે રહી શક્યાં હતાં. ૨૦૧૩ના સમયમાં એ વિસ્તાર હજુ વિકસવાનું શરૂ જ થયું હતું. એટલે એ વિસ્તારમાં આસપાસ મુખ્ય પ્રવૃતિ તો બાંધકામની જ હતી. ફ્લેટની બાલ્કનીમાં બેસીને ચાલી રહેલી એ પ્રવૃતિઓ જોવી એ તનય અને સુસ્મિતા માટે સમય પસાર કરવાનું બહુ હાથવગું સાધન બની રહ્યું. તનય પણ હજુ નવું નવું બોલતાં શીખ્યો હતો, એ દૃષ્ટિએ ઘરની બહારની વસ્તુઓની પહેલી પહેલી જે નામ સાથેની ઓળખ થઈ તે કબૂતર અને કન્સટ્ર્કશન મશીનરીની હતી.  કબૂતરનું ઘું ઘૂં સાંભળીને તનયે કબૂતરનું નામ 'ધૂં' પાડ્યું. એ સમયમાં ત્યાં ચાલી રહેલાં બાંધકામ માટે પાણીનાં ટેન્કરો અને માલસામાન લાવતા ખટારાઓ  બહુ આવતાં, તનયે એમનું નામ 'તાતો' પાડ્યું..પછી તો જેસીબી તનયની સૌથી પ્રિય મશીનરી બની ગઈ.


તનયનો કેજીનો અબ્યાસકાળ પુરો થયો ત્યાં સુધીમાં તો તેને પાસે બે મોટાં ખોખાં ભરાય એટલાં બાંધકામની મશીનરીઓનાં અને કારનાં મૉડેલોનાં રમકડાં ભેગાં થઈ ગયાં હતાં. એ બધાં રમકડાંને ડ્રૉઈંગ રૂમને એક છેડેથી છેક ડાઈનિંગ રૂમ સુધી, અમુક ચોક્કસ ક્રમમાં, લાઈન બનાવવી અને પછી એ બધાંને પાછાં સાચવીને ખોખાઓમાં મુકવાં એ તો બેએક કલાક ચાલે તેવી તનયની પ્રિય રમત બની ગઈ.


તનયના વિકાસને બહુલક્ષી બનાવવાના ભાગ રૂપે તેને ચિત્ર પોસ્ટકાર્ડ ઓળખવા અને પઝલના ભાગો ગોઠવવા જેવી રમતો પણ શીખવવામાં આવી. તનયને તો એ રમતો પણ બહુ જ ગમી ગયેલી. એક ચિત્ર ઓળખતો જાય, રૂમમાં આંટા મારતો જાય અને પછી તેને ગોઠવીને રાજી રાજી થતો જાય.



તનયને ત્રણ વર્ષ પુરાં થાય તે પછી કેજી કક્ષાના અભ્યાસ માટે બાળશાળામાં દાખલ કરી શકાય. આમ પણ
રિવાજ પ્રમાણે બાળકના જન્મ સમયના વાળ ઉતરાવવાનો સમય પાકી ગયો હતો. એટલે, તનયનાં કેશમુંડન સંસ્કારનો વિધિસરનો કાર્યક્રમ અમદાવાદમાં મીરા અપાર્ટમેન્ટના ઘરે ઉજવવાનું નક્કી થયું. વાળ ઉતરાવવાની ક્રિયા આમ પણ બાળકને તકલીફકારક હોય, અને તેમાં પાછું એ બધું બહુ બધાં લોકોની ધમાલ વચ્ચે કરવાનું હોય. એટલે તનય મુંઝાઈ ન જાય એ માટે ભૂમિકા અને તાદાત્મ્યએ બહુ બધા ઉપાયોની હારમાળા ગોઠવીને તૈયાર રાખી. પરંતુ તનયે આખી વિધિ જે સ્થિતપ્રજ્ઞ પરિપક્વતાથી કરાવી એ હાજર રહેલા બધાં માટે ખુબ આશ્ચર્યજનકઅને આનંદમાં અનેક ઘણો વધારો કરતો પ્રસંગ બની રહ્યો. 

એ પછીનાં જ શૈક્ષણિક વર્ષ (૨૦૧૪ - ૧૫)થી, ગણીશમની એક બાજુએ આવેલ ગોવિંદ ગાર્ડનની નજદીક આવેલ પ્રી-સ્કૂલ, કિડ્ઝી, માં તનયના બાલ્યકાળનો શાળાભ્યાસનો તબક્કો શરૂ થયો. સવારે તો ભૂમિકા  કે તાદાત્મ્ય તેને સ્કૂલે મુકી આવે. સ્કૂલ છૂટે ત્યારે તેને લેવા જવાની જવાબદારી દા( દિવાસોમામજે પુણેમાં હોય એ પ્રમાણે) દાદા (મારી) - કે પછી નાના (પ્રવાસીભાઈ)-ની રહે. તનયની એ ઉમરની ચાલવાની ઝડપે સ્કૂલથી ઘરે પહૉંચતા સહેજે વીસેક મિનિટ થાય. એ દરમ્યાન, સ્કૂલની બહાર નીકળતાંવેંત આખા દિવસની પ્રવૃતિનો અથથી ઈતિનો અહેવાલ તનય સંભળાવતો જાય. તેમાં જો ત્યાં બની રહેલાં એક બિલ્ડીંગ પાસે જેસીબી ઊભું હોય, તો તેનું નજદીકથી નિરીક્ષણ કરવાની બીજી દસેક મિનિટ ઉમેરાઈ જાય. ઘરે પહોંચ્યા પછી પહેલં તનયને નવડાવવાનો અને પછી જમાડવાનો ચાર્જ દાદી (સુસ્મિતા) - કે પછી નાની, અરવિંદાબહેનનો - રહે. એ દરમ્યાન હવે તનય એના શાળાના દિવસનો વિગતવાર અહેવાલ એટલા જ રસથી એમને સંભળાવે.

તનયનો કિડ્ઝીનાં બીજાં વર્ષનો વાર્ષિકોત્સવ

સવારની આ બધી ભરચક પ્રવૃતિઓ પછી જમીને તનય એકાદ કલાકની ઊંઘ ખેંચે. એટલો સમય અમને પણ પોરો ખાવાનો મળે. ઊઠે એટલે તનયની રમતોનો 'પિરિયડ' શરૂ થાય. 

તનય - કિડ્ઝીના રમતોત્સવમાં

સામાન્ય રીતે, એ સમયે તનયને દાદીનો સંગાથ મળે. તેનો લાભ લઈને હું લેપટોપ મારૂં કામ કરતો હૌઉં. ઘણી વખતે એવું બને કે હું ફિલ્મનાં ગીતો વિશે કંઈ લખી રહ્યો હોઉં, એટલે યુટ્યુબ પરનું એ સંદર્ભનું કોઈ ગીત વાગતું હોય. એ ગીતોમાંથી કોઈ કોઈ  ગીતોમાં તનયને જો રસ પડે તો, બાજુમાં આવીને એ ઊભો રહે અને ગીત સાંભળે.  એમ કરતાં કરતાં, ચાર પાંચ ગીતો સાંભળવાની તો તો એ ફર્માયશ કરતો થયો. જે ક્રમમાં જ તનયને ગીત સાંભળવાનું ગમતું  એ ક્રમમાં એ ગીતો અહીં મેં યાદ કર્યાં છે - 

ઓ નીલ ગગનનાં પંખેરું મુકેશ - ગીત અને સંગીત: રમેશ ગુપ્તા (૧૯૪૯)

આસમાં પે હૈ ખુદા ઔર જમીં પે હમ (મુકેશ, ફિર સુબહ હોગી, ૧૯૫૮ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ ખય્યામ)

જંગલમેં મોર નાચા કિસીને ન દેખા (મોહમ્મદ રફી, મધુમતી, ૧૯૫૮) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી)

સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા (આશા ભોસલે, ભાઈ બહેન, ૧૯૫૯ - ગીતકારઃ રાજા મેહદી અલી ખાન - સંગીતઃ એન દત્તા)

એ જ ગીતનું લશ્કરની કુચ પરની ધુન પર બનેલું સંકરણ, સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા (સુષમા શ્રેષ્ઠ અને સાથીઓ , યે ગુલિશ્તાં હમારા, ૧૯૭૨ - ગીતકારઃ અલ્લામા ઈક઼્બાલ - સંગીતઃ એસ ડી બર્મન) 

આવી બધી રમતો ચાલે એટલી વારમાં ભૂમિકાની હૉસ્પિટલની ફરજનો દિવસ પૂરો કરી ઘરે આવવાનો સમય થઈ જાય. એ સમયે દરવાજાની ઘંટડી વાગે એટલે તનય જ સામે જાય. ભૂમિકા અંદર દાખલ થાય ત્યાંથી લઈને બપોરનો નાસ્તો ખાતાં ખાતાં તનય પોતાની એ દિવસની સ્કૂલની પ્રવૃતિનો અહેવાલ ફરી એક વાર કહે. હવે તો જોકે મોબાઈલ ફોનના સંપર્ક શરૂ થઈ ગયા એટલે ઘણી બધી વાતો તો પહેલાં જ થઈ ચુકી હોય !

એ પછી નીચે આવેલ ગાર્ડનમાં બાળકોનાં રમતગમતના સાધનો છે ત્યાં તનય સાથે રમવા જવાનો સમય થાય. ત્યાં એકદોઢ કલાકનો સમય ક્યાં વીતી જાય એ પણ ખબર ન રહે !


ત્યાંથી આવીને હાથ મોં વગેરે ધોઈને બેસીએ એ પછી તનય હવે તાદાત્મ્યના આવવાની રાહ જૂએ. તાદાત્મ્ય આવે એટલે એ દિવસની સ્કૂલની પ્રવૃતિની ટેપ એટલા જ ઉત્સાહ અને એટલી વિગતમાં ફરીથી વાગે !

તાદાત્મ્ય અને ભૂમિકા અઠવાડીયે પંદર દિવસે પિંપરીની શાક બજારમાં શાક લેવા જાય. અમે પણ સાથે જઈએ. ત્યાંથી ફાંટડા ભરીને શાક લઈ આવીએ. એ દિવસે રાત્રે જમ્યા પછી લીલા વટાણાના દાણા કાઢવા અને  મેથી, પાલકની ભાજી વગેરેને સમારવી એ ભૂમિકા અને સુસ્મિતાની પ્રાથમિકતા હોય. બેન (કિરણા વૈષ્ણવ, તનયનાં વડદાદી) જ્યારે અમારી સાથે પુણે આવેલ હોય ત્યારે શાક સમારવાની પ્રવૃતિમાં એ પણ જોડાય.


સસ્મરણોનો આ મણકો લખતાં લખતા તનયના બાલ્યકાળના વિડીયો અને ફોટોગ્રાફ્સને ફરીથી જોવાનો જે મોકો મળ્યો તેને કારણે કેટકેટલી યાદો મનની ચિત્રપટ્ટી પર ફરીથી તાજી થઈ ગઈ.  તાદાત્મ્યના બાલ્યકાળ દરમ્યાન અમારી પ્રવૃતિઓને જે કંઇ આવી તકો અમે ગુમાવી તે તનયના બાલ્યકાળે અમને અનેક ગણાં વ્યાજ સાથે પુરી કરી આપી.   

Saturday, May 30, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ..... - ગૃહસ્થાશ્રમ

 

બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા ......થી આગળ

આઈ આઈ એમ લખનૌમાંથી જ તાદાત્મ્યને કોગનીઝન્ટ, ચેન્નઇમાં પોસ્ટીંગ મળ્યું. ત્યાં દોઢેક વર્ષનો અનુભવ લીધા પછી તાદાત્મ્યએ બેંગ્લુરુમાં હેડસ્ટ્રોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકીંગના સોફ્ટવેરના ડેવલપમેન્ટનાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું નકકી કર્યું.

નિયતિએ તાદાત્મ્ય માટે પોતાનાં કૌટુંબિક જીવનમાં પણ સ્થાયી થવાનું સાથે સાથે જ લખ્યું હશે. ૧૦મી જૂન ૨૦૦૬ના રોજ પ્રવાસીભાઈ (ઉષાકાંતભાઈ ધોળકિયા) નો તેમનાં પુત્રી ભૂમિકાનાં તાદાત્મ્ય સાથે વેવિશાળ કરવાના પ્રસ્તાવનો અમને ફોન આવ્યો. ભુમિકાએ તેમનો એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે મેડિસિનમાં એમડી કરવાનાં હતાં. અમે એ સંદેશો તાદાત્મ્યને જણાવ્યો. તેણે પણ આ પ્રસ્તાવ વિશે વધારે વિગતે વિચાર કરવા અંગે પોતાની સહમતિ દર્શાવી એટલે બન્ને પક્ષે માતા-પિતાએ આગળના સંવાદની દોર એ બન્નેના હાથમાં સોંપી દીધી. દિવાળીની રજાઓમાં તાદાત્મ્ય કોગ્નિઝન્ટમાં જોડાયા પછી પહેલી વાર મુન્દ્રા આવવાનો હતો. એ સમયે (૨૦મી ઓક્ટોબર ૨૦૦૬) તાદાત્મ્ય સીધા મુન્દ્રાની બસ પકડવાને બદલે અમદાવાદ રોકાઈ ગયો. સાંજે તાદાત્મ્ય અને ભૂમિકા એકબીજાંને રૂબરૂ મળ્યાં અને આ સંબંધ ઉપર મહોર મારવા માટે તેમની સંમતિ જાહેર કરી. એ બન્નેની 'હા'ને સગપણ્ની જાહેરાતને બન્ને પક્ષનાં માતા-પિતાઓએ બન્ને પક્ષનાં વડીલોને અન્ય સગાંસંબંધીઓને જાણ કરીને ઉજવી.

વેવિશાળને વિધિસરની મહોર મારતી સમુહરતાંની વિધિ ૨૪ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ સંપન્ન થઈ.

એ પછીથી તરત જ તાદાત્મ્યને કંપનીના ઓન - સાઈટ પ્રોજેક્ટના કામ અંગે ત્રણેક મહિના અમેરિકા રહેવાનું થયું. એ સમયે અમેરિકા સાથે અત્યારના જેવાં સંદેશા વ્યવહારનાં સરળ (અને ઓછા ખર્ચનાં) સાધનો હતાં નથી. ઈ-મેઈલની આપલે એક હાથવ્ગું સાધન હતું. તાદાત્મ્યએ તેની ત્યાંની રહેણાકની જીણી જીણી બાબતો અમને લગભગ દરરોજ ઈ-મેઈલ કરીને જણાવી. વચ્ચે વચ્ચે શનિ - રવિવારમાં અમે લોકો ફોનથી પણ વાત કરી લેતાં.

ભુમિકાનો એમડીનો અભ્યાસ પુરો થાય એટલે લગ્ન લેવાં એમ નક્કી થયું હતું તે મુજબ ૩૦ મે ૨૦૦૮ના રોજ તાદાત્મ્ય અને ભૂમિકાનાં લગ્ન સંપન્ન થયાં.

૬ ઓગસ્ટ ૨૦૧૧ના રોજે તેમના પુત્ર, અને અમારા પૌત્ર, તનયનો જન્મ થયો.

તનય - ત્રણ વર્ષની ઉમરે

જુલાઈ ૨૦૧૨માં તાદાત્મ્યની બદલી પૂણે થઈ. ત્યાં સ્થાયી થતાં થતામાં ભૂમિકા પણ ડી વાય પાટિલ મેડીકલ કૉલેજમાં જોડાયા.

આજે જ્યારે આ લખી રહ્યો છું ત્યારે તાદાત્મ્ય અને ભૂમિકા પોતપોતાની કારકિર્દીના અનેક વળાંકો પાર કરી ને હવે ઘણી સન્માનજનક કક્ષાએ પહોંચ્યાં છે.તનય પણ હવે દસમા ધોરણમાં છે.



આજના આ ત્રિભેટેથી હવે એ ત્રણેયનાં જીવન જે નવી ઊંચાઈઓ આંબશે તે સિદ્ધિઓના પ્રકાશમાં અમને ગૌરવ અનુભવવાની તક મળશે એ અમારૂં સદ્‍ભાગ્ય છે.



Sunday, May 3, 2026

મારા કાકા - કમળકાંત પ્રાણલાલ વૈશ્નવ

પ્રાણલાલ વાઘજી અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં સૌથી મોટા, કમળકાંત પ્રાણલાલ વૈષ્ણવ (કમળભાઈ), - જન્મ: ૧૯૧૬ | જન્મ: ૧૬-૯-૧૯૭૦ - મારા મોટા કાકા થાય.

એમના વિશે મારી યાદોને અહીં ઉતારવાનું શરૂ કરતાંની સાથે જ સ્મૃતિના ખૂણામાં દટાયેલી કમળભાઈની અનેક બધી યાદો મનમાં આવવા લગી. તેમાની મોટા ભાગની યાદોને શબ્દદેહમાં ઉતારવાની મારી ક્ષમતા ખૂબ જ વામણી સાબિત થઈ રહી છે....

કમળભાઈની મારી સૌથી પહેલી યાદ કમળભાઈ ઓફિસમાંથી પાછા ફરતી વખતે લલ્લુજી મહારાજના હવેલી (મંદિર) ના રહેણાંક ભાગના પહેલા માળે અમારા ઘરની બારીઓ નીચે શેરીમાં કોઈની સાથે મોટેથી વાત કરતા હોય તે તસવીર છે. તે દિવસોમાં તે અમારા - મારા પિતરાઈ ભાઈ અને તેમના નાના પુત્ર, ઉપેન્દ્રભાઈ અને મારા - માટે હવેલીના મેદાનમાં અમારી રમત બંધ કરવાનો અને શેરીમાં દોડી આવવાનો અને કમળભાઈ પાસેથી પ્રેમથી ભરપૂર ધબ્બો મેળવવા માટે પહોંચી જવાનો સંકેત હતો.

કમળભાઈ - કદાચ તેમના વીસીના દાયકામાં

ઘણા સમય પછી, મને સમજાયું કે કમળભાઈનો શેરીમાં નાટકીય પ્રવેશ ઘરની મહિલાઓ માટે એક સંકેત હતો કે તેઓ આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે રૂમ ઘરની મહિલાઓ માટે હતો તે રૂમમાં ખુલતી સીડી ચઢીને તેઓ આવી રહ્યા છે. બાપુ (મારા દાદા) પણ બહારથી આવે તો ક્યાં તો મોટા અવાજે મને બોલાવે (હું એ સમયે ઘરે હોઉં કે ન પણ હોઉં!) અથવા તો જો કોઈ મળી ગયું હોય તો તેમની સાથે મોટે મોટેથી વાતો કરતા. દિવસોમાં સામાજિક શિષ્ટાચાર અને તેમને અમલમાં મૂકવા માટે આવા સૂક્ષ્મ રસ્તાઓ શોધવા એ બહુ સાધારણ હતું !

લલ્લુજી મહારાજ હવેલી ખાતેના ઘરની નાની અગાસી પર કમળભાઈ. મને લાગે છે કે, આ ફોટોગ્રાફ તે સમયનો છે જ્યારે તેઓ કદાચ ત્રીસીમાં હશે.



એક વડીલ કાકા પાસેથી એક ખૂબ જ નાના ભત્રીજા તરીકે, મેં કમળભાઈની ચાહનાને મેં, લગભગ દરેક પ્રકારનાં, નાના મોટા, ભૌતિક તેમ જ અભૌતિક સ્વરૂપે માણી છે.

એ પૈકી એક બહુ જ લાક્ષણિક યાદ છે એ સમયની છે જ્યારે હું લગભગ પાંચ છ વર્ષનો હઈશ. તે દિવસોમાં કમળભાઈ જ્યારે પણ ભૂજ આવ્યા હોય, ત્યારે તેઓ મને તેમની સાથે તૈયાર કપડાની દુકાન, સેમસન્સ,માં લઈ જતા. 'સેમસન્સ' કમળભાઈના કરાચીના સમયના નજીકના મિત્ર, જમિયતરાયભાઈ વોરાનું એ જમાનામાં નાગરની નાતમાં અકલ્પ્ય એવું, સફળતાપૂર્વક ચલાવાતું. વાણિજ્યિક સાહસ હતું.. મારા માટે ચડ્ડી અને શર્ટ ખરીદવામાં આવે. પાછા ફરતી વખતે મને તેમની ખૂબ જ ભારપૂર્વકની સલાહ અચુક મળે - મારા માતાપિતાને મારે કહેવાનું હું તો આવી 'મોંઘી (😊) ભેટ' લેવાની જ ના પાડતો હતો, પણ કમળભાઈએ લઈ આપી' !
                            કમળભાઈ - કદાચ સુરતમાં તેમના સાથીદારો સાથે (?!)


તેમણે અમને જે અભૌતિક ભેટો આપી તેમાની એક મહત્વની ભેટ અમારામાં નિર્ભયતાની ભાવના ઠસાવવાની કહી શકાય. આખો વૈષ્ણવ પરિવાર દિવાળીમાં ભેગો થયો હોય ત્યારે તેઓ અમને - ઉપેન્દ્રભાઈ અને મને- તેમની સાથે ફટાકડા અપાવવા લઈ જાય. મને એવી ચાર દિવાળીઓ યાદ છે - એક સુરતમાં. બે વાર સિરોહી (રાજસ્થાન)માં અને એક વાર તંતી નિવાસ રાજ્કોટમાં. સુતળી બોમ્બ, લક્ષ્મી છાપ ટેટા, લાલ રંગના નાના ટેટા એવા ફટાકડા તેઓ જ પસંદ કરતા. આ ફટાકડા ફોડવા માટે મીણબત્તીઓ કે ફુલઝરી તો ન જ મળે. બોંબ અને મોટા ટેટાની વાટ દિવાસળીથી સળગાવીને કમળભાઈ અમારા હાથમાં પક્ડાવે, અને ફૂટે તે પહેલાં જ હાથમંથી કેમ ફેંકી દેવા દે તે કરાવડાવે. લાલ ટેટાની તો લુમ પણ એ જ રીતે ફોડવાની. એમની આટલી તાલીમ છતાં કોઈપણ ખતરનાક દેખાતું કામ સંપૂર્ણપણે સંકટમાં ફેરવાય તે પહેલાં કાળજીપૂર્વક તેના પર ધ્યાન રાખવું અને 'ફૂટે' તે પહેલાં છોડી દેવું એવી કુશળતા સ્વભાવમાં પુરેપુરી ન ઉતરી, પરંતુ અમારા હાથમાં નાના ફટાકડા સળગાવવા અને સમયસર છોડવાનો આત્મવિશ્વાસ જરૂર અમે ળવી શક્યા હતા. જોકે, એકવાર ફુલઝરીથી જમીનચક્કર સળગાવવાનો પ્રયાસ કરતી વખતે, ક્યાં તો મારૂ અનુમાન ખોટું પડ્યું કે ક્યાંતો જમીનચક્કર આડું ફાટ્યું, પણ મારી હથેળી દાઝી ગઈ. ત્યારથી, હાથમાં ફટાકડા ફોડવાની 'હિંમત (😊)' નાં દુ:સાહસ કરવાનું બંધ થઈ ગયું.

જ્યારે અમે રાજકોટમાં હતા (કદાચ ૧૯૬૦ ની દિવાળીમાં) ત્યારે કમળભાઈએ મને શાળામાંથી રજા લેવાનું કહ્યું. મૂળભૂત રીતે કારણ તો એક રૂમ-રસોડાના ઘરમાં,કુટુંબના વડીલ પુરુષોની હાજરીમાં મુખ્ય યજમાનની ભૂમિકા ભજવવામાં બેન (મારાં મા)ને મ્દદરૂપ થવાની ગણતરી હશે. હું વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એટલે મેં કહ્યું કે 'અમારી'' સ્કૂલમાં તો એમ રજા ન મળે. કમળભાઈએ કહ્યું કે તેઓ મને રજા માટે ચીઠ્ઠી લખી આપશે. મેં કહ્યું કે તે પણ કામ નહીં અવે. એટલે, તેઓ મારી સાથે શાળામાં આવ્યા અને સીધા અમારા તે સમયના આચાર્ય - શ્રી જયંત આચાર્ય-ની કેબિનમાં ગયા. જયંતભાઈ આચાર્યનો શિસ્તપાલનનો અગ્રહ તો આખા રાજકોટમાં દંતકથા સમાન ગણાતો. કમળભાઈ બે મિનિટમાં બહાર આવ્યા અને મારો હાથ પકડીને ઘર ભણી ચાલ્યા. મને ખબર નથી કે તે બે મિનિટમાં શું થયું હશે. પણ ઘરે પહોંચી ગયા પછી કમળભાઇએ મને એટલું જ કહ્યું કે જો તમારા આચાર્ય બીજા દિવસે તને 'ધમકાવે' કરે, તો પાછો આવીને મને જાણ કરજે. અલબત્ત, બીજા દિવસે, જ્યારે હું શાળાએ પહોંચ્યો, ત્યારે હું અંદરથી ધ્રૂજી રહ્યો હતો. જોકે, આચાર્ય સાહેબ તરફથી કાંઈ કહેણ આવ્યું નહીં. હું લગભગ એક અઠવાડિયા સુધી ચિંતા કરતો રહ્યો. પરંતુ તે વિષય પર વધુ કંઈ સાંભળવામાં આવ્યું નહીં. શું તે કોઈ ફાયરબ્રાન્ડ શિસ્તપાલકને તેમના પોતાના જેવા જ ‘કડક' માણસનો ભેટો થયો હતો, કે પછી તે કરાચી કનેક્શન હતું, પણ મારા માટે એ બર્મુડા ત્રિકોણ જેવું અકળ રહસ્ય રહ્યું.

કમળભાઈ, સવારની પૂજા પછી - આ ફોટોગ્રાફ '૬૦ ના દાયકાની શરૂઆતનો સમય લાગે છે.


ત્યાર બાદ લગભગ એક દાયકા પછી, જ્યારે અમે દિવ્યકુમારભાઈના લગ્નમાં હાજરી આપવા માટે અમદાવાદથી ભૂજ જઈ રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ, જ્યારે કમળભાઈએ ખાતરી કરી લીધી કે અમારી સાથે મુસાફરી કરી રહેલા પરિવારનું દરેક સભ્ય ગાઢ નિદ્રામાં છે, ત્યારે તેમણે તેમના મનમાં ચાલી રહેલ અનેક બાબતો વિશે વાત કરવાનું શરૂ કર્યું. લગભગ સ્વયંભૂ, એવાં તેમનાં એ એકપાત્રીય સંભાષણની શક્તિ એટલી પ્રબળ હતી કે તેઓ તો જાણે સમાધિમાં ઉતરી ગયા હોય એમ લાગતું હતું. મારી એ સમયની ઉંમરે, હું તો સાવે સાવ ડઘાઈ ગયો હતો. મેં ચોખવટ કરવાનો પ્રયાસ પણ કર્યો કે આ બધી વાત માટે હું કદાચ બહુ નાનો અને અપરિપક્વ હતો. મેં એમ પણ કહ્યું કે આ બધું તમે મને જે કહી રહ્યા છૉ તે શું છે અને શા માટે મને કહી રહ્યા છો તેને હું પુરેપુરી રીતે સમજી પણ નહીં શકું. તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો કે તેનો વાંધો નથી કારણ કે તે પોતાની જાત સાથે વિચારવાનું પસંદ કરે છે અને હું તેમના માધ્યમ તરીકે તેમની સાથે હતો તે એક સારી તક હતી. તેમણે આગળ ઉમેર્યું કે આમ પણ હવે સમય આવી ગયો છે કે હું આવી બાબતોને સમજવાનું શરૂ કરું, વ્યક્તિના વર્તન અને વાણીની (સ્પષ્ટ અને ગર્ભિત બંને) અભિવ્યક્તિઓ પરથી બીજા વ્યક્તિના મનને વાંચવાનું શીખું. એ બે ત્રણ કલાકમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા હતા તેમાંથી મોટા ભાગના તો આજે હવે એટલા દૂરના ભૂતકાળના છે કે તેને આજે હવે અહીં યાદ કરવું પ્ર્સ્તુત નથી.. ૧૯૬૦ ની તે ઘટનાના સંદર્ભમાં મને જે જીવનલક્ષી તાલીમ કમળભાઈ પાસેથી મળી તેનું મહત્વ એમણે કહેલી ઘણી વાતોનો અર્થ અને મહત્વ વર્ષો પછી જોકે મને સમજાતાં ગયાં.

તે રાત્રે તેમણે જે એક વિષય પર ચર્ચા કરી હતી તે હતો પોતાના ગુસ્સા પર નિયંત્રણ. કમળભાઈ કોઈપણ અન્યાય કે કોઈ પણ પોતાને અકારણ અસમર્થ માને તે સહન ન કરવા માટે જાણીતા હતા. તેઓ આ બાબતે તડ અને ફડ કહી દેતાં અચકાતા નહીં. સ્પષ્ટવક્તા તરીકેની તેમની છાપ સુપ્રસિદ્ધ હતી. તે રાત્રે તેમણે મને કહ્યું કે જ્યાં સુધી ચોખેચોખ્ખું બોલવાની વાત છે ત્યાં સુધી હું પણ તેમના રસ્તે જ ચાલી રહેતો હોય એવું લાગે છે. તેમણે મને ચેતવણી આપી કે ભલે હું કદાચ મારા મૂળભૂત સ્વભાવને બદલી ન શકું, પરંતુ તેમના પોતાના અનુભવોના આધારે, આવી રીતે સ્પષ્ટ બોલવાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરજે - જે સમયે ચોખ્ખેચોખ્ખું પરખાવવાથી જો સકારાત્મક પરિણામ આવવાનું હોય તો જ મનમાં જે યોગ્ય લાગતું હોય તે કહેવું. આવા સમયે જો મનમાં ગુસ્સો ભડકવાની લાગણી થતી હોય તો તેને તો ટાળવી જ. તેમણે ઉમેર્યું કે સ્પષ્ટ બોલવાનો જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં ને આવે તો, યોગ્ય સમય હોય ન હોય તો સાચું કહેવાયેલું પણ થુંક ઉડાડવા બરાબર છે. જો કહેવું જ હોય તો જ્યારે તક મળે ત્યારે જરૂર કહી દેવું. એક તો તેનાથી સામેનું માણસ કાયમ માટે 'સુધરશે' નહીં અને બીજી તરફ લોકો તમારા વર્તનની અને ભાવનાની કદર કરી શકશે નહીં અને લોકોથી અલગ થઈ જશો. [1]

                          દિવ્યકુમારભાઈના લગ્ન સમારોહમાં કમળભાઈનું ઔપચારિક સ્વાગત

હું મારી સ્મૃતિની યાદોના પ્રસંગ સંદર્ભ ક્રમમાં આગળ વધી ગયો છું. એટલે થોડા વર્ષો પાછળ જઈને ફરીથી સમયના ક્રમ મુજબ આગળ વધીએ.

જ્યારે હું ૧૧મા ધોરણમાં હતો, એ દિવાળી વેકેશનમાં મને બીજગણિત અને ભૂમિતિ માટે ઢગલાબંધ પ્રેક્ટિસ વર્ક આપવામાં આવ્યું હતું. કદાચ આ પહેલું વેકેશન હતું જ્યારે હું અભ્યાસ પ્રત્યે એટલો ગંભીર હતો કે કમળભાઈના બધા જ પ્રોત્સાહનો અને સમજાવટ છતાં પણ મેં મારૂં કામ ન જ છોડ્યું. જ્યારે કમળભાઈને મારા પરિણામનો તાર મળ્યો, ત્યારે તેઓ ખરેખર ખૂબ જ ખુશ થયા અને તેમણે પોતાનો હરખ રજૂ કરતાં લખ્યું કે મેટ્રિક (એ સમયનું ૧૧મું ધોરણ) સુધીના તેમણે મેળવેલા કુલ ટકા પણ મારા ટકા જેટલા નથી થતા ! તેમણે અમારી પેઢીની પ્રગતિ માટે ખૂબ જ પ્રેમ સાથે ઉમેર્યું હતું કે, કાં તો અમે બહુ ઠોઠ હતા કે પછી તમે બધાં ખૂબ જ તેજસ્વી છો! કમળભાઈએ એ પણ યાદ કર્યું કે તે સમયની પ્રથા મુજબ જ્યારે મેટ્રિક પરીક્ષાનું પરિણામ અખબારોમાં પ્રકાશિત થયું, ત્યારે તેમણે પરિણામ તપાસવાની તસ્દી લીધી ન હતી, કેમકે તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેઓ પરીક્ષા પાસ કરી શકશે નહીં. જોકે, થોડા દિવસ પછી, જ્યારે તે કેટલાક મિત્રો સાથે કોઈ દુકાન પર ગરમાગરમ ભજીયાંની મજા માણી રહ્યા હતા, ત્યારે તે ભજીયાંનાં તેલવાળાં છાપાંના પાના પર એક નંબર તેમની નજરે ચડી ગયો. નંબર જાણીતો લાગ્યો. દુકાનમાંથી તે છાપાંના બીજા પાના શોધી કાઢ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે એ નંબર તો તેમનો મેટ્રિકનો નંબર હતો. તેમણે કહ્યું કે મારા તો માન્યામાં જ ન આવ્યું કે મેં પરીક્ષા પાસ કરી છે (😊!).

૧૯૬૭ની દિવાળી હતી. આખો વૈષ્ણવ પરિવાર અમદાવાદમાં અમારા એલ કોલોનીના ઘરે ભેગા થયો હતો. અમદાવાદમાં ૭૦ મીમી સ્ક્રીનવાળા બે થિયેટર, નટરાજ અને રૂપાલી, નવાં જ બમ્યાં હતા. તે દિવસોમાં નટરાજ ફક્ત અંગ્રેજી ફિલ્મો જ આવતી. તેથી, એવું આયોજન કરવામાં આવ્યું હતું કે પરિવારના ફક્ત પુરુષો જ નટરાજની મુલાકાત લેશે અને પછી બીજા દિવસે આખો વૈષ્ણવ પરિવાર રૂપાલી પર ચડાઈ કરશે. હું અને ઉપેન્દ્રભાઈએ એક દિવસ પહેલાં ટિકિટ ખરીદી આવ્યા. મને યાદ નથી કે રૂપાલીમાં કઈ ફિલ્મ અમે લોકોએ જોઈ, પણ નટરાજમાં અમે (ચાર્લ્ટન હેસ્ટન અને લોરેન્સ ઓલિવિયર અભિનીત) ખાર્તુમ જોઈ હતી.

જ્યારે હું એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન કોર્સમાં જોડાયો, ત્યારે કમળભાઈ સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ હતા અને પછી હંમેશા એ દિવસની રાહ જોતા હતા જ્યારે હું મારું ગ્રેજ્યુએશન પુરૂં કરૂ. જોકે, નિયતિએ કંઈ અલગ જ વિચાર્યું હતું. મારા એન્જિનિયરિંગ અભ્યાસના છેલ્લા સેમેસ્ટરમાં હું ત્યારે હોસ્ટેલમાં હતો. એક દિવસ, હોસ્ટેલમાં મારો એક મિત્ર પોસ્ટમેન સાથે તાર લઈને મારા રૂમમાં આવ્યો. ટેલિગ્રામમાં લખ્યું હતું:

હું તરત જ એલ કોલોની ગયો અને મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના માતાપિતાને સમાચાર આપ્યા અને ત્યાંથી લાલ મિલ્સ કોલોનીમાં (કમળભાઈનાં મોટી દીકરી) દેવીબેનને સંદેશ પહોંચાડવા ગયો. ત્યાં પહોંચ્યા પછી જણાયું કે તેમને સંદેશ મળી ગયો છે અને તેઓ સુરત જવા માટે રવાના થઈ ગયાં છે.

જ્યારે હું રેલ્વે સ્ટેશન પહોંચ્યો, ત્યારે મને ખબર પડી કે નર્મદા અને તાપી પૂરને કારણે રેલ અને રોડ ટ્રાફિક ઠપ થઈ ગયો છે. હવે મને ચિંતા હતી કે ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ) પરિવાર, મોટા અમ્મા (મારાં દાદી) સાથે અમદાવાદ પહોંચ્યા પછી સુરતની મુસાફરી કેવી રીતે કરશે. મેં એક દિવસ રાહ જોઈ. પણ એ તો ઘાસની ગંજીમાં તણખલું શોધવા જેવું કામ હતું. બીજા દિવસે, વહેલી સવારથી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી, મેં પણ સુરત જવા માટે એસ ટીની બસ પકડી. બસ રાજપીપળા થઈને લાંબો ચકરાવો લેવાની હતી અને લગભગ દસ અગિયાર કલાકની મુસાફરી પછી સુરત પહોંચી શકી. 

સુરત પહોંચ્યા પછી, મને ખબર પડી કે મહેશભાઈને દિવ્યકુમારભાઈ તરફથી કમળભાઈની તબિયત અચાનક ખરાબ થવાનો ટ્રંક કોલ મેસેજ મળ્યો હતો. મહેશભાઈ અને બેનને પણ નવસારી બસ સ્ટેશન પર લગભગ બે ત્રણ કલાક રાહ જોયા પછી સુરત માટે બસ મળી હતી. સામાન્ય રીતે નવસારી સુરતની બસની મુસાફરી એકાદ કલાક લે તેને બદલે લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો. જોકે, મહેશભાઈને કમળભાઈ સાથે એક રાત મળવાનો મોકો મળ્યો. બીજા દિવસે સવારે, ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ, કમળભાઈનું અવસાન થયું. મહેશભાઈએ મને એ પણ જણાવ્યું કે કમળભાઈ છેલ્લા ચાર મહિનામાં બે વાર એક એક દિવસ માટે નવસારી આવ્યા હતા. અલબત્ત, તે મુલાકાતો માટે કમળભાઈનું મિશન શું હતું તે મને ક્યારેય જાણવા ન મળ્યું.

મહેશભાઈએ પૂજામાં મુકેલો કમળભાઈનો ફોટો

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ની રાત્રે મહેશભાઈ સાથેની મારી છેલ્લી મુલાકાતમાં પણ નિયતિએ મારા માટે આવી જ યોજના લખી હતી, જ્યારે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

હવે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે નિયતિના ચિત્રપટ પર એક જે તસવીર ઊભરી છે તેમાં દેખાય છે કે:

SSC પરીક્ષા પાસ કર્યા પછી મારા દાદાએ મને કાંડા ઘડિયાળ આપવાનું આયોજન કર્યું હતું, પરંતુ SSCના પરિણામના થોડા મહિના પહેલા જ તેમનું અવસાન થયું.

કમળભાઈ મારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન માટે ખૂબ ઉત્સુક હતા. તેમનું પણ મારાં પરિણામના થોડા મહિના પહેલા અવસાન થયું.

મહેશભાઈ મારા ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત હતા. મેં તેમને મૌખિક રીતે ખાતરી આપી હતી કે હવે બધું 'સલામત માર્ગ' પર છે, પરંતુ તેમની ચિંતા દૂર થયેલી જોવા માટે તેઓ નહોતા રહ્યા.

તેમના છેલ્લા દિવસોમાં ગોરાકાકાને મળવા જવામાં કોવિડ આડો ફાટ્યો.

પૂર્ણિમાકાકીએ તાદાત્મ્યના લગ્નના દરેક પ્રસંગની ઉજવણી માટે ઝીણવટભરી યોજના બનાવી હતી. પરંતુ જ્યારે તે પ્રસંગો તેમની ઇચ્છા મુજબ યોજવામાં આવ્યા ત્યારે તે પણ ત્યાં નહોતાં.

નિયતિએ મોટા અમ્મા, પ્રવિણાકાકી અને પછી બેનના અંતિમ સમયને લંબાવીને કહી દીધું કે આપણે બધાં તો સર્વોચ્ચ દિગ્દર્શકના હાથની કઠપૂતળી છીએ અને જીવનના રંગમંચ પર ફક્ત આપણને સોંપાયેલા પાત્ર આપણે ભજવવાનાં છે….......

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો …

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે …



[1] યોગાનુયોગ, એવી સલાહ મને ૧૯૭૩માં બિઆઈટીએસ છોડતી વકહ્તે  મારા મેજેજરિયલ ઈકોનૉમોક્સના પ્રોફેસર આર જી તગતે પણ આપેલીઃ