"ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન"થી આગળ
લગ્ન
લગ્ન સમારોહ માટે પ્રગતિનગર કોમ્યુનિટી હોલ પસંદ કરવામાં
આવ્યો હતો. સુસ્મિતાના પક્ષના નજીકના સંબંધીઓ માટે રહેવા માટે નજીકના ઘરમાં
વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા પક્ષના અમદાવાદથી લગ્નમાં હાજરી આપનારા કેટલાંક
મહેમાનોને અમારા ઘરમાં અને કેટલાંકને નજીકના બીજા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા
કરવામાં આવી હતી. બંને પક્ષના બધા મહેમાનો એક દિવસ પહેલાથી જ આવવાનું શરૂ થઈ ગયું
હતું. લગ્ન સમારોહ દિવસના પહેલા ભાગમાં હોવાથી, બહારના મહેમાનો લગ્નના
દિવસે રાત્રે પાછા ફર્યા હતા.
રજિસ્ટ્રારને તેમની ઑફિસેથી લઈ આવવા મહેશભાઈ તેમની ઓફિસ ગયા
અને લગભગ ૧૧ વાગ્યા સુધીમાં લગ્ન સમારોહના સ્થળે પહોંચી આવ્યા. એમને ચા પાણી
કરવાયા બાદ, મેં અને સુસ્મિતાએ લગ્નના શપથ રજિસ્ટ્રારની
હાજરીમાં બોલીને અમારી સ્વૈચ્છિક સંમતિ જાહેર કરી. ત્યાર બાદ અમે લગ્ન રજિસ્ટર પર
સહી કરીને અને બંને પક્ષના બબ્બે સાક્ષીઓએ પણ તેને પ્રમાણિત કરી. આમ લગ્ન વિધિ
પુરી થઈ.
સાક્ષી તરીકે
સહી કરતા મહેશભાઈ
સુસ્મિતા તરફથી
સાક્ષી કરતા, અનુક્રમે, દિવ્યભાષ, અને સુસ્મિતાના મામા, ભુજંગીભાઈ હ. વૈદ્ય
લગ્ન પછી પીરસવામાં આવનાર જમણ એકદમ સાદું હતું. દૂધીનો હલવો, મોતીચુર લાડુ, બે શાક, બે
ફરસાણ, દાળ અને ભાત બધાંને બેએક પંગતમાં નીચે બેસી જમી શકાય
એમ પીરસવામાં આવ્યાં.
મેં મારા ઓફિસ સ્ટાફમાંથી કોઈને પણ આમંત્રણ ન આપીને લગ્ન સમારોહને માત્ર કુટુંબીજનો સુધી મર્યાદિત રાખવાનો કક્કો ખરો કર્યો હતો.
ડાબેથી:
પહેલી હરોળઃ હર્ષિકા, અરમાનને તેડીને ઊભેલાં દિવ્યાંગિનીભાભી,
ગાયત્રી,
મોટા અમ્મા,
દેવીબેન,
અને તેમની આગળ,
સંદીપ
બીજી હરોળ: ભારતી, સુસ્મિતા, હું, ભાર્ગવીને તેડીને ઊભેલાં પ્રતિભાભાભી,
બેન અને
ગોરીકાકી
ત્રીજી હરોળ: નિમેષ, દર્શન, અધુકડો દેખાતો સંજય,
અને નરેશભાઈ
છેલ્લી હરોળ: કુંજલતાબેન, ગોરાકારા, મહેશભાઈ, દિવ્યકુમારભાઈ
ડાબેથી:
કર્ણિકા, કુંજલતાબેન, સુસ્મિતા, બેન, હું, મહેશભાઈ, દિવ્યભાષ, (પાછળ)
સંજય
લગ્નજીવન
પહેલું અઠવાડિયું
અમે લગ્ન પછીનું પહેલું અઠવાડિયું મુંબઈમાં વિતાવ્યું.
લગ્નના ત્રીજા દિવસે, કુંજલતાબેન, દિવ્યભાષ અને
કર્ણિકા સાથે અમે મુંબઈ જવા રવાના થયા. મધ્યરાત્રિની આસપાસ, અમારા સ્લીપર
કોચમાંથી કેટલાક મુસાફરોએ મોટેથી જાહેરાત કરી કે શ્રીમતી ઈન્દિરા ગાંધી રાયબરેલી
બેઠક પરથી ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી હારી ગયા છે.
અમે મુંબઈ પહોંચ્યાના બીજા દિવસે, (દિવ્યભાષે ઝાયર
જતા પહેલા ખરીદેલ
અને બે વર્ષ પછી વેંચી નાખેલું) પર્લ પેલેસની અગાસી પર ડિનર
રિસેપ્શનનું નાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કુંજલતાબેનના સંબંધીઓ અને
પરિચિતોને
આ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સુસ્મિતાએ મુંબઈમાં અમારા રોકાણનો ઉપયોગ પ્રગતિ નગરમાં
અમારા ઘરને સજાવવા માટે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ વચ્ચેના ડિવાઇડર તરીકે વાપરી
શકાય એવું પડદાનું કાપડ અને કેટલીક કાર્પેટ ખરીદવા માટે કર્યો.
૧૯૭૭ થી ૧૯૭૯
અમદાવાદમાં સ્થાયી થયા પછી અમારું પહેલું કાર્ય સુસ્મિતાના
શિક્ષણ-અનુભવ, જ્ઞાન અને ગણિત
પ્રત્યેની રુચિને અનુરૂપ હોય એવા અર્થપૂર્ણ વ્યવસાયને શોધવાનું હતું.અમારા
પ્રયત્નો સરિયામ અસફળતામાં પરિણમ્યા. જેમ જેમ હું પાછળ ફરીને જોઉં છું, તેમ બહુ
સ્પષ્ટપણે દેખાય જ છે કે અમારા પ્રયત્નો પૂરતા, વ્યવસ્થિત કે સંગઠિત નહોતા. પાછળથી, સુસ્મિતાએ
પડોશના કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું કામ કર્યું. પરંતુ મારા કામ અને જીવનનાં
અસંતુલનને પરિણામે સુસ્મિતાના ઘરનાં જીવન પર જે વધારાનો બોજ પડ્યો. એટલે, શિક્ષણ સાથેનો
એક આછોપાતળો સંબંધ બાંધી રાખવાનો આ પ્રયત્ન અર્થપૂર્ણ આંશિક સમયના વ્યવસાયમાં પણ
પરિણમી શક્યો નહીં.
અમારા જીવનનો આનંદ માણવાની શરૂઆત મારા ફોટોગ્રાફીના
પ્રયોગોથી થઈ. તે ઉપરાંત મારાં રેકોર્ડ્સનાં કલલેક્શનમાંથી રેકોર્ડ સાંભળવી અને
જ્યારે જ્યારે અમદાવાદમાં પુસ્તક મેળો થાય ત્યારે તેની મુલાકાત લેવી જેવી
પ્રવૃત્તિઓ પણ અમે સાથે મળીને કરતાં.
બપોરનું જમવાનું પીરસવાની તૈયારી કરી રહેલ સુસ્મિતા
GST ખાતે મારી ઓફિસની દિનચર્યામાં શનિવારે માત્ર અડધો દિવસ જવાનું હતું. અમે એ
તકનો લાભ લઈને અમદાવાદના ભદ્ર (કાળી માતાનાં મંદિર)માં આવેલ બેન્ક ઑફ ઇન્ડીયા
બિલ્ડીંગથી નજદીક પડે એવાં એડવાન્સ થિયેટરમાં સાંજના ૪.૩૦ વાગ્યા શૉમાં અંગ્રેજી
ફિલ્મો જોવા જવાનું શરી કર્યું. બહુ જ જ થોડા સમયમાં, અહીં
પણ, મને શો માટે પહોંચવામાં મોડું થવા લાગ્યું. થોડા મહિનાઓ
સુધી, ઇન્ટરવલ પછી મૂળ ફિલ્મ શરૂ થાય તે પહેલાં હું ભાગ્યે જ
સિનેમા હોલ પહોંચી શકતો. પછી બેએક વાર, હું તે પણ કરી શક્યો
નહીં. પરિણામે, તે પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ, જે મારા કામ અને જીવનનાં સંતુલન બગડવાની શરૂઆતના અણસારનો આ બહુ સ્પષ્ટ
સંકેત હતો.
અમદાવાદની
બહારની અમારી પહેલી ટ્રિપની શરૂઆત જ એક છબરડાથી થઈ. ૧૯૭૭ના અંતમાં, કે કદાચ ૧૯૭૮નીની શરૂઆતમાં, દક્ષિણ ગુજરાતનાં હિલ સ્ટેશન. સાપુતારામાં ત્રણ રાત્રિની સફરનું આયોજન
કર્યું હતું. અમે અમદાવાદના ગુજરાત રાજ્ય પરિવહન કેન્દ્રીય બસ સ્ટેશન - ગીતા
મંદિરથી વહેલી સવારે બસમાં ચઢ્યા. મેં કંડક્ટરને અમારી સીટ રિઝર્વેશન ટિકિટ આપી
ત્યારે તેણે ધડાક દઈને જ અમને બસમાંથી નીચે ઉતરી જવાનું કહ્યું. મેં સામે ગરમાગરમ
દલીલો કરી! તેણે નમ્રતા જાળવી રાખી, છેવટે મને ટિકિટ બતાવી.
એ ટિકીત તો રાજકોટની મારી મુસાફરીની જૂની ટિકિટ હતી! અમે હવે આશ્ચર્યચકિત થઈ ગયા
અને માફી માંગી અને તેને નવી ટિકિટ કાઢી આપવા વિનંતી કરી. બસ, એટલામાં જ સુસ્મિતાને કંઈક યાદ આવ્યું અને તેણે તેના પર્સમાંથી ટિકિટ
કાઢી! સાપુતારાની અમારી બાકીની મુસાફરી કોઈ અવરોધ વિના ચાલી, પણ આખી મુસાફરી દરમ્યાન હું કંડક્ટરની સામે આંખ મેળવીને જોઈ શક્યો નહીં!
૧૯૭૮ના
મધ્યભાગમાં મહેશભાઈની, ગુજરાત
કૃષિ યુનિવર્સિટી માટે નવાં બનેલાં મુખ્ય મથક, દાંતીવાડા
ખાતે બદલી થઈ. મહેશભાઈના ત્યાં રોકાણ દરમિયાન અમે
દાંતીવાડાની બે-ત્રણ દિવસની ઘણી મુલાકાતો લીધી. ૧૯૭૯ની
આવી જ એક યાત્રામાં, દાંતીવાડાના રસ્તે પાલનપુર પહોંચતા અમને
ભારે વરસાદનો સામનો કરવો પડ્યો, ધોધમાર વરસાદમાં હાઇવે પર
લગભગ એક કે બે કલાક અમે ફસાયેલા રહ્યાં. આખરે જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે સુસ્મિતાના મામા, પ્રાણલાલભાઈ એચ. વૈદ્યનું વતન, મોરબી, મચ્છુ નદી પરનો માટીનો બંધ તૂટી પડવાને કારણે વિનાશક પૂરથી તબાહ થઈ ગયું
છે.
૧૯૭૯
ના ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં સુસ્મિતાએ પોતાની પહેલી અને એકમાત્ર વિદેશ
યાત્રાનું આયોજન કર્યું. તે દિવ્યભાષ પરિવાર સાથે રહેવા માટે ઝાયરરના પાટનગર
કિન્શાશા જવાની હતી. અનેક રસીકરણ કરાવવાની ઝંઝટ પછી, અંતે, સુસ્મિતા અને હું મુંબઈ થઈને નૈરોબી જવા માટે
અમદાવાદથી મુંબઈમાં હર્ષવદનભાઈ-સુરભીના ઘરે પહૉંચ્યાં. અરધી રાતની ફ્લાઈટ હતી.
એરપોર્ટ પર પહોંયાં, ત્યારે એટલો ભારે વરસાદ પડી રહ્યો હતો
કે સુસ્મિતાની ચેક-ઇન બૅગ સંપૂર્ણપણે પલળી થઈ ગઈ હતી. નૈરોબી પહોંચતા જ જ્યારે
તેણે બૅગ ખોલી, ત્યારે બૅગમાં વરસાદી પાણીના ઘૂસી જવાને
કારણે તેની ઘણી સાડીઓ પર ડાઘ પડી ગયા હતા!
સુસ્મિતાની
ગેરહાજરીમાં, સંજય
સાથે મળીને, અમારું પોતાનું જલવાનું બનાવવાનો મેં બીડું
ઝડપ્યું. એક વાર સંજયે દૂધનું વાસણ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું અને પછી
ભૂલી ગયો. વાસણ ગૅસ પર એટલા લાંબા સમય સુધી ઝુલસતું રહ્યું કે
વાસણમાં રહેલું બધું દૂધ બળીને કોલસો થઈ ગયું. ઘરમાં એટલી બધી દુર્ગંધ ભરાઈ ગઈ હતી
કે એકસાથે બેત્રણ પેકેટ અગરબત્તી સળગાવ્યા પછી પણ, બીજા બે
ત્રણ દિવસ સુધી અમારા આખા પડોશને દુર્ગંધ સહન જરવી પડી. બીજા એક કિસ્સામાં,
જ્યારે મહેશભાઈ દાંતીવાડાથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે અમે ભીંડાનું શાક બનાવતી વખતે મીઠાને બદલે સોડા ઉમેર્યો હતો! અમારા
આવા (કરણાંત) સાહસો પર દયા કરીને, સામેના,# 9/52, પ્રગતિનગર,માં રહેતા પાડોશી બચુભાઈ ગોહિલના પત્ની
મધુબેન અમારા માટે દાળ અને રોટલી બનાવીને મુકી જતાં અને અમને સાદાં શાક બનાવવાનું
શીખવતાં રહ્યાં સુસ્મિતા કિન્શાશાની સફરથી પરત ફરી,
ત્યારે અમે મધુબેન દ્વારા તૈયાર કરાયેલ રોટલી દાળ ભાત સાથે ગર્વથી
અમે રાંધેલા ભીંડાનું શાક સુસ્મિતાને જમવામાં પીરસ્યું !
સુસ્મિતાની
કિન્શાશાની મુલાકાત લેવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના તબક્કા દરમ્યાન હું GST છોડી દેવાનું વિચારી રહ્યો હતો. અંતે,
મેં જૂન ૧૯૧૯ માં મારૂ રાજીનામું મુક્યું અને સુસ્મિતા કિન્શાશાથી
પરત ફર્યા પછી, ૧૯૭૯ના સપ્ટેમ્બરના અંતમાં GST છોડ્યું. અમારાં સ્વબળે શરૂ કરવા ધારેલ સાહસ, એરીશ
ઇક્વિપમેન્ટનું સક્રિય અમલીકરણ શરૂ કરતા પહેલા, મેં બીજા
પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું. એ દરમ્યાન અમે કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં
સુસ્મિતાની વ્યાવસાયિક કારકિર્દીને આકાર આપવાનો પ્રયાસ કર્યો. જો કે, શરૂઆતની પાપા પગલીમાં એ પ્રયોગ બહાર આવે અને ખરા અર્થમાં શરૂ થાય તે
પહેલાં, વચગાળાની વ્યવસ્થા તરીકે બીજા પ્રૉજેક્ટ્સ પર કામ
કરવાનું (ખોટું) સાહસ છોડી દીધું અને એરીશ ઇક્વિપમેન્ટના ગ્રીન-ફિલ્ડ અમલીકરણ પર
પૂર્ણ-સમય કામ કરવાનું ચાલુ કર્યું. તેથી, સુસ્મિતાનો કોસ્ટ
એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં દાખલ થવાનો પ્રયાસ પણ પડતો મૂકવો પડ્યો.
૧૯૭૯ – ૨૦૦૨
એરિશ ઇક્વિપમેન્ટ શરૂ
થવાનાં પહેલાં બે-ત્રણ વર્ષ સુસ્મિતા માટે ખરેખર કપરાં હતાં. પોતાનો વ્યવસાય શરૂ
કરવાનો સાવ અજ્ઞાત અનુભવ, ખૂબ જ અનિયમિત અને અપૂરતી મહિનાની આવકમાંથી ઘર ખર્ચ ચલાવવું
અને છતાં કોઈ પ્રકારની ફરિયાદનો સુર ન જણાવા દેવો એ મેં લીધેલ જોખમ કરતાં પણ વધારે
અઘરું તપ હતું.
૧૯૭૯ થી ૧૯૮૧ દરમિયાન
અશ્વિનભાઈ પાલખીવાલા દ્વારા ગોઠવાયેલી નાનાં ફંક્શન અને ટ્રિપ્સ[1] કે પછી દાંતીવાડા અથવા
ગોરાકાકા પરિવાર કે નિમેષ પરિવારની મુલાકાત માટે રાજકોટની અમારી મુલાકાતોએ અમને આ
મુશ્કેલીઓ સામે અમારા જીવનની નાવને તરતી રાખવામાં બહુ મોટું બળ પુરૂં પાડ્યું.
![]() |
લગભગ ૧૯૮૦/૮૧ માં દાંતીવાડાની એક મુલાકાત દરમ્યાન ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ) અને મહેશભાઈ પરિવારો |
આજે એવું કહેવું બહુ
ચવાઈ ગયેલું લાગે છે કે માત્ર અને માત્ર સુસ્મિતાના અવિરત ટેકાને કારણે જ એ
તબક્કામાંથી પસાર થઈ શકાયું..
તાદાત્મ્યના જન્મ પછી
(૧૯૮૧ માં) અમે એરિશ ઇક્વિપમેન્ટના શરૂઆતના આઈસીયુ સપોર્ટમાં ટકી રહેલાં અમારાં
ગૃહસ્થ જીવનના એ સૌથી મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યાં. જોકે,
જ્યારે પરિસ્થિતિ થોડી
થાળે પડતી અનુભવવા લાગી, ત્યારે
ડિસેમ્બર ૧૯૮૩માં મહેશભાઈનું અવસાન થયું.
બીજું એક પરિબળ જેણે
અમને તરતા રહેવામાં મદદ કરી તે મારા ત્રણ ખૂબ જ નજીકના મિત્રો,
કુસુમાકર (ધોળકિયા),
મહેશ (માંકડ) અને સમીર
(ધોળકિયા) ના પરિવારોનો ખૂબ જ સક્રિય અને જીવંત સાથ હતો. અમારા લગ્ન થયા પછી,
એમનાં જીવનસાથીઓ -
અનુક્રમે, જાગૃતિ,
હર્મિલા અને મીના - અને
પછી એમનાં બાળકો - અનુક્રમે, ખ્યાતિ, અનંગ અને હીરવા અને ફેનિલ - એ પણ અમારી મિત્રતાનાં સહજ
વાતાવરણને જાળવી રાખવામાં અને અને આપસી લાગણીઓ અને સમજની ગાંઠને મજબૂત બનાવવામાં
ખૂબ મદદ કરી. દર ત્રણચાર મહિને અમદાવાદ નજીકના આઉટડોર રેસ્ટોરન્ટમાં ડાઇન-આઉટ તેમજ
કોઈપણ ઘરે ડાઇન-ઇનના સાદા આનંદ માણવાના પ્રસંગો અમને અંગત રીતે અકલ્પ્યપણે ઉપકારક
પરવડ્યા.
અમારૂં લગ્નજીવન હવે
વ્યવસ્થિત આર્થિક અને સામાજિક માર્ગ પર ચડી ગયું હતું તેનો પહેલો સંકેત કુલુ મનાલી
(૧૯૮૭) ની અમારી સફર હોઈ શકે છે. એક આયોજિત પ્રવાસમાં જોડાવાનો અમારો એ પહેલો અને
છેલ્લો અનુભવ રહ્યો. તે પછી અમે કે કંઈ ટ્રિપ કરી એ બધી જાતે વ્યવસ્થા કરીને કરી.
કુલુ મનાલીણી એ ટ્રિપ માટે અમારે અમદાવાદથી અંબાલા ટ્રેનમાં જવાનું હતું. દાહોદ
નજીક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા,
જેના કારણે અમારી ટ્રેન
ખૂબ જ નાના સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. એ સ્ટેશન પર ફક્ત કેળાં જ મળતાં હતાં. ટ્રેન
કેટલો સમય પડી રહેશે તેના કોઈ નક્કી વાવડ ન મળતા હતા એટલે સ્ટેશન અને ગામમાં
જેટલાં પણ કેળાં હશે એ તો જોતજોતામાં પુરાં થઈ ગયાં અમે મોટે ઉપાડે સેકન્ડ એસી
કૉચની સફર મજા માણવાની આશા રાખી હતી એ પણ અર્ધાપોણા કલાકમાં વિખરાતી જતૉ લાગી.
કોચનું એસી પણ બંધ થઈ ગયું, એટલે, પ્લેટફોર્મ પર એક નાની બેન્ચ પર લગભગ ચાર કલાક રાહ જોવાની
ધીરજ દાખવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સમોસા અને મસાલા થેપલાંનું અમારું
થાગડથીગડ ડીનર અજમેરમાં લગભગ ૧૧ વાગ્યાની આસપાસ પીરસવામાં આવ્યું. તે સમયે
ઊંઘમાંથી ઊઠીને પણ, મેં
અને તાદાત્મ્યએ ટેસથી સમોસા ખાધા અને થેપલાં બીજા દિવસે સવારે વહેલા નાસ્તા માટે
સાચવી રાખ્યાં. અમારી ટ્રેન બપોરે એકાદ વાગ્યા સુધીમાં અંબાલા પહોંચી ગઈ. તે સમયે,
પ્રવાસમાં સાથે આવેલા
રસોઈયાઓએ રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર જ ઝડપથી જમવાનું રાંધ્યું. પ્રવાસના બધા
સાથી પ્રવાસીઓએ પણ તે જ ફૂટપાથ પર ખૂબ આનંદથી ઝાપટ્યું.
આયોજિત પ્રવાસો
ઉપરાંત અમે ભૂજ અને મુંબઈની અનૌપચારિક મુલાકાતોનો આનંદ માણતાં રહ્યાં.
મુંબઈની આવી જ એક
મુલાકાત દરમિયાન (મારાં માસીના દીકરા) નિમેષ અને તેમનાં પત્ની પ્રતિભાભાભી પણ
સપરિવાર પ્રતિભાભાભીના ભાઈ યોગેશભાઈને ત્યાં વેકેશનમાં આવ્યાં હતા. તે દરમિયાન અમે
જુહુ બીચ પર એકવાર મળ્યાં.
આ પહેલા ઉલ્લેખેલ અક્ષયના લગ્નએ જેમ અમને પ્રેમસંબંધ
દરમિયાન નજીક લાવવામાં મદદ કરી હતી, તેવી જ મદદ અમને પોરબંદરમાં (મારી માસીનાં
દીકરી) ભારતી, અને ગાંધીનગરમાં (મારાં બીજાં માસીના
દીકરી)વિભાના લગ્ન, (મારા નાના પિતરાઈ ભાઈ) દર્શનનાં
જામનગરમાં યજ્ઞોપવિત, (મારી નાની પિતરાઈ બહેન) હર્ષિકા નાં
ભુજમાં લગ્ન જેવા અનેક કૌટુંબીક પ્રસંગોએ અમારાં લગ્નજીવનને માનસિક રીતે ખૂબ જ
મુશ્કેલ જીવન ઘરેડમાંથી ખૂબ જ જરૂરી રાહત આપવામાં ખૂબ મદદ કરી.
૧૯૮૯ ની આસપાસ, અમે અમારી પોતાની પહેલી કાર, સફેદ પ્રીમિયર પદ્મિની ખરીદી. સુસ્મિતાએ થોડા સમય માટે પોતાનૂ ડ્રાઇવિંગ
તાજું આપવાનો પ્રયાસ કર્યો. એ વર્ષોમાં ગોરાકાકા ગાંધીનગર ખાતે આવેલાં જી ઈ બી
પાવસ સ્ટેશનની નહદીકના સેક્ટરમાં રહેતા. સુસ્મિતાએ પ્રગતિનગરના ઘરથી ત્યાં સુધી
અને વળતાં કાર બહુ સારી રીતે ચલાવી પણ ખરી. સુસ્મિતાને અમદાવાદના રસ્તાઓ પર કાર
ચલાવવા પુરતો વિશ્વાસ પણ આવી ગયો હતો. પણ, તે સમયના
અમદાવાદના (તત્કાલીન) ટ્રાફિક પેટર્નથી કંટાળીને આખરે તેણે હાર માની લીધી.
તે સમયની આસપાસ હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ
તરીકે ચૂંટાયો હતો. અમે આજે સરગમ - બોડકદેવ રોડ અને સત્ય રોડ તરીકે જાણીતાં જંકશન
નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં લગભગ ૫૦ થી ૭૦ લોકો માટે મોટે પાયે ડિનરનું આયોજન પણ
કર્યું હતું.
અમે પ્રગતિ નગર ખાતે યોજેલા નગર મંડળના મેળાવડાના આયોજનમાં
ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સહ-આયોજન પ્રગતિ નગરના તત્કાલીન નાગર સમુદાયના સભ્યો
દ્વારા કરવામાં આવ્યું હતું. એ એક ખૂબ જ યાદગાર અને મજા પડે એવો સમારંભ રહ્યો હતો.
૧૯૯૨ માં ભુજ ખાતેનાં અમારાં વડીલોપાર્જિત ઘરના વેચાણની
પ્રક્રિયા પુરી કરતાં હું બહુ સખત રીતે એસિડિટીને કારણે થતી વિચિત્ર બીમારીમાં
પટકાયો. ભુજની મિલકતનાં વેંચાણનાં તંગ વાતાવરણ અને પછી મારી અઠવાડીયું પથારીમાં
કાઢવું પડેલું એ તણાવ સહનમાં પણ સુસ્મિતાએ પોતાના ભાગથી વધારાનો ભાર પણ વહન કરી
લીધો. તે પછી અમે અમારા માટે 'મોટા' રહેઠાણની શોધ
શરૂ કરી. અમે અમદાવાદમાં શક્ય તેટલા બધા સ્થળોએ શોધખોળ કરી. જો કે, એકવાર જ્યારે અમે અંકુર સોસાયટી તરફથી પાછા ફરતા હતા, ત્યારે અમને સંસ્કાર ભારતી સોસાયટી (અંકુર રોડ, નારણપુરા,
અમદાવાદ) નજીક એક બાંધકામ હેઠળનું મકાન દેખાયું. સ્થળ પરની થોડી
પૂછપરછ અને એક ચાલુ કામનું નિરીક્ષણ કર્યા પછી અમે ૧૦, મીરા
એપાર્ટમેન્ટ ખાતે અમારા પોતાના પહેલા ઘરની ખરીદીને અંતિમ સ્વરૂપ આપ્યું. અમારી
પસંદ મુજબ આંતરિક સુશોભન અને રાચરચીલું તૈયાર કરાવવા માટે છ મહિનાના સમર્પિત
પ્રયાસોથી ઘર રહેવા માટે તૈયાર થઈ ગયું.
આ ઘરમાં શિફ્ટ થયાં એટલે અમને વિધિપુરઃસરનો ગૃહપવેશનો
પ્રસંગ કરવાનો લ્હાવો મળ્યો. વૈષ્ણવ પરિવારના અન્ય સભ્યો માટે, અમે અમારું ઘર વસાવી રહ્યાં હતાં તેનાથી વધારે ગૃહપ્રવેશની ધાર્મિક
વિધિઓમાં બેઠેલો જોવો એ વધારે આનંદદાયક હતું. મારી છાપ ધાર્મિક વિધિઓ એક પારંપારિક
રિવાજોમાં ન માનનાર તરીકેની ગણાય. પૂજાની આખી વિધિ દરમ્યાન મારે દોતીયું જ પહેરવું
એવો ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ)નો સપ્રેમ આગ્રહ
હતો. તેમણે મને તે પહેરવામાં અથથી ઈતિ સુધી મદદ પણ કરી, અને
સમગ્ર વિધિ દરમ્યાન સતત કાળજી રાખી, અને મનમાં ને મનમાં મારી
દેખીતી મુઝવણનો આનંદ પણ માણ્યો!
પ્રગતિ નગરથી મીરા સુધી ઘરનો સામાન ખસેડવાની અને મીરામાં
ગોઠવી આપવાની બધી જ વ્યવસ્થા મારા 'રત્નમણિ'ના સાથીઓએ
ઉપાડી લીધી. ગૃહપ્રવેશની ઉજવણીના પંચોતેરેક મહેમાનો માટેના ભોજન સમારંભની વયવ્સ્થા
પણ એ મિત્રો જ ઉપાડી લીધી હતી.
તે પછી લગભગ તરત જ, અમને દર્શન (અને અમી)
ના લગ્ન સમારંભનું આયોજન કરવાની તક મળી.
મારાં વ્યાવસાયિક જીવનમાં ચાલુ રહેલાં અસંતુલન છતાં, અમારું અંગત જીવન હવે બહુ જ સારી રીતે આગળ ધપી રહ્યું હતું.
૧૯૯૮ માં, તાદાત્મ્ય સુરતકલ (કર્ણાટક) ખાતે આવેલીના
કેઆરઈસીમાં ખાતે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતકના અભ્યાસમાં જોડાયો.
એમ થવાથી અમારા જીવનમાં પડેલા દેખીતા ભાવનાત્મક અવકાશને ત્યાં તેની સતત પ્રગતિએ
ભરપાઈ કરી દીધું. અમે ત્યાં તાદાત્મ્યનાં સુરતકલનાં ચાર વર્ષોની રહેણાક દરમ્યાન
અમે બે વેકેશન ટૂરનું આયોજન પણ કર્યું. એક ટૂર મેંગલોર-ઉડુપી સર્કિટની અને બીજી
અને કેરળના કોચી-તિરુવનંતપુરમ સર્કિટની કરી.
![]() |
| હું, બેન અને સુસ્મિતા - સુરતકલના બીચની એક મોડી સાંજે |
એ દરમ્યાન ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીના ભુકંપનો પણ અમે સાથે
મળીને અનુભવ કર્યો. લોલકની જેમ ચાલતું ઘર ધૂજવાનું બંધ થયું એટલે અમે બધાં નીચે
ઉતરી ગયાં. એ પછીના પંદર વીસ દિવસ મીરાનાં બધાં રહેવાસીઓએ સામે નીચે આવેલાં ઘરમાં કાઢ્યા. એ દિવસોમાં વેકેશન પર આવેલ તાદામ્યએ તો ત્યાંથી જ પાછા સુરતકલ જવું
પડ્યું.
૨૨મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ અમે પ્રતિભાભાભીને કાયમ માટે
ગુમાવ્યાં.
૨૦૦૨ના અંતમાં મને મુન્દ્રાનાં નાના કપાયા ખાતે આવેલા સૉ
પાઇપ્સના પ્લાન્ટના મુખ્ય પ્રબંધક તરીકે જોડાવાની તક મળી. અમે અમદાવાદનું ઘર બંધ
કરીને નાના કપાયા રહેવા જઈએ એવો નિર્ણય થયો. તાદાત્મ્યનું સુરતકલનું ભણવાનું પુરૂ
થયું હતું અને તે બેંગ્લોરમાં નૉવેલમાં જોડાઈ રહ્યો હતો.
મારે ભાગે તો વ્યાવસાયિક સ્તરે મારે બહુ ઊંચા સ્તરની
જવાબદારીના વહનમાં સફળ થવાનું હતું. પરંતુ, સુસ્મિતાએ
એ કારણે પેદા થઈ રહેલી અનિશ્ચિતતાઓનો અને અમારી ગૃહસ્થીને નવાં વાતાવરણમાં ફરીથી
વાવીને ઉછેરવાના નવા જ પડકારોનો, ફરી એક વાર, એકલા હાથે સામનો કરવાનો આવ્યો.
૩૧મી જાન્યુઆરીના અર્ધી રાતની સયાજી એક્સપ્રેસ પર સુસ્મિતા મને મૂકવા આવી શકે એવી અમારી બન્નેની ઇચ્છાને આટલી મોડી રાતે એકલા પાછા ફરવાની અડચણને કારણે અમારે નજરઅંદાજ કરવી પડી. દેરાસર સુધી રિક્ષામાં બેસવા સુધી જ મને મૂકવા આવી શકવાથી સુસ્મિતાએ સંતોષ માની લેવો પડ્યો.




















%20with%20Tadatmya.png)














