Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts
Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts

Sunday, January 11, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....

૧૯૭૬ના ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં હું નિમેશ (નરેશ પી. માંકડ - મારાં માસી ધનવિદ્યા પ્રદ્યુમ્નરાય માંકડના પુત્ર) અને તેમનાં પત્ની, પ્રતિભાભાભી, સાથે રહેવા માટે કરીને બેએક દિવસ માટે રાજકોટ ગયો હતો. પાછાં ફરતાં જ્યારે હું અમદાવાદ પહોંચ્યો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. એવું લાગતું હતું કે છેલ્લા કેટલાક કલાકોથી જ વરસાદ એટલો ભારે હશે કે બસ સ્ટોપ પાસે કોઈ ઓટોરિક્ષા દેખાતી ન હતી. ત્યાં રાહ જોઈ રહેલા મારા જેવા કેટલાક અન્ય મુસાફરોએ મને કહ્યું કે તેઓ પણ ઘણા સમયથી રિક્ષાની નિરર્થકપણે રાહ જોઈ રહ્યા છે. પંદર વીસ મિનિટ તો મેં પણ રાહ જોઈ, પરંતુ પછી વધારે રાહ જોયા વિના લગભગ બધા રસ્તાઓ પર ભરાયેલાં પાણીમાંથી ચાલીને ઘરે મેં જવાનું નક્કી કર્યું. લગભગ દોઢેક કલાકના સંઘર્ષ પછી હું ઘરે પહોંચ્યો. બીજા દિવસના અખબારપત્રોમાં ગાયક મુકેશના નિધનના સમાચાર (પણ) હતા.

ત્યારબાદનું અઠવાડિયું નિયમિત કામકાજનું રહ્યું. આમ, જીવન તેની કુદરતી ઘટમાળની લયમાં ચાલી રહ્યું હતું.

તે પછીના અઠવાડિયા દરમિયાન જ્યારે હું એક દિવસે ઓફિસથી ઘરે પાછો ફર્યો, ત્યારે, મારાં મા, બેને મને પોસ્ટ ખાતાનું - સુસ્મિતાને યાદ છે તેમ ૭ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ લખાયેલ અને પોસ્ટ કરાયેલ- પરબિડીયું  આપ્યું.[1]

તે પરબિડીયામાં રહેલી સામગ્રી એવી ઘટનાઓનાં ચક્રને ગતિ આપવાનું હતું જે હવે પછીનાં જીવનને નાટકીય રીતે બદલી નાખવાનું હતું..

પરબિડીયા પર મોકલનારનું નામ સુસ્મિતા અંજારિયા હતું અને બોમ્બેથી પોસ્ટ કરાયેલું હતું.  પરબિડીયાં પર 'અંગત' એવી નોંધ (કદાચ) હતી. મારા માસી ભાનુમાસી (મારા માના મોટા બહેન અને સુસ્મિતા અંજારિયાના કાકા - ડોલરરાય મોહનલાલ અંજારિયા-ના પત્ની )નાં ભત્રીજી, સુસ્મિતા અંજારીઆ, મને સંબોધીને પત્ર શા માટે લખે તે તો સમજાયું નહોતું. એટલે, પહેલાં તો અમે રાતનું જમવાનું પુરૂં કર્યુ. ત્યાર બાદ મેં પરબિડીયું ખોલ્યું અને પરબિડીયામાં રહેલો પત્ર વાંચ્યો.

પ્રસ્તાવ

પત્ર અમારા લગ્ન માટેનો તેમનો પ્રસ્તાવ હતો.

તેમણે બહુ જ સરળ રીતે કહ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના લગ્નની વાતચીત ચાલે તે કરતાં મારા વિશે જે કંઈ તે જાણે છે તેના આધારે, લગ્નના આ પ્રસ્તાવ માટે સીધો મારો સંપર્ક કરવાનું તેમને વધારે યોગ્ય લાગ્યું. તેમણે બહુ જ સહજપણે એમ પણ લખ્યું હતું તે બરાબર સમજે છે કે લગ્ન બાબતે મારી પોતાની કે મારા માતાપિતાની  કોઈ અન્ય યોજનાઓ હોઈ શકે છે. એટલે પોતાના પ્રસ્તાવની સાથે મારી (અમારી) અસહમતિ હોય તો પણ અમે વિના સંકોચ તેમને જણાવી શકીએ છીએ.

કિંગ કે ક્રૉસ
હું હજુ સુધી મારા લગ્ન વિશે વિચારી રહ્યો ન હતો. તેથી, મને તાત્કાલિક કોઈ જવાબ તો સૂઝે એમ જ નહોતું. એટલે ત્યાર પુરતી તો મેં પત્રની વિગતની મહેશભાઈ અને બેનને જાણ કરી અને કહ્યું કે હું મારો જવાબ આપવા માટે બેએક દિવસ લઈશ.

તે દિવસે રાતે આ વિષય વિશે શું કરવું તે વિશે મારા મનમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા સ્પષ્ટ થતી નહોતી. પરંતુ, બીજે દિવસે સવારે ઑફિસે જતી વખતે મેં આ બાબતે વિચારવાનું શરૂ કરી દીધું.

બસની એ મુસાફરી દરમ્યાન મને જે કંઇ યાદ આવ્યું તેના પરથી તો એટલું જ સમજાયું કે સુસ્મિતાના અમદાવાદ દરમ્યાન દેખીતી રીતે અમારો પરિચય નહોતો એમ તો ન કહેવાય. પરંતુ, એટલા પરિચયથી તેમને હા કે ના કહી શકવા જેટલી કોઈ ઓળખાણ પણ નહોતી બનતી. 

એ દિવસે રાતે હવે આ બાબતે વધારે વિગતે વિચારવાનું શરૂ કર્યું.

૧૯૫૮ સુધીના મારાં બાળપણના વર્ષોમાં, ભુજમાં દિવસનો મોટાભાગનો સમય તો હું ભાનુમાસીના પુત્રો, અક્ષય અને જસ્મીન સાથે, ભાનુમાસીને ઘરે, જ વીતાવતો. અક્ષય અને જસ્મીન સાથે તેમના દાદીના ઘરે ઘણી વાર રમવા પણ જતો. આમ, મને ખબર હતી કે તેમના એક પિતરાઈ ભાઈ દિવ્યભાષ છે. જોકે, સુસ્મિતા સાથેનો જે કંઈ પરિચય થયો તો તે જ્યારે તેમના સ્નાતક કક્ષાના અભ્યાસ માટે (૧૯૬૬) તેમના કાકા, ડોલરરાય મોહનલાલ અંજારીઆને  ત્યાં આવ્યાં ત્યારે જ થયો. તેમનું ભાનુમાસીનાં ભત્રીજી હોવું અને મારૂં ભાનુમાસીના ભાણેજ હોવું તો એક યોગાનુયોગ જ હતો. જોકે, તેને કારણે બહુ ઘણાં લોકોનું તો સજ્જડપણે એમ જ માનવું હતું કે એ સગપણને કારણે જ અમે બન્ને એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં અને તેથી અમારી સગાઈ થવી એ એ લોકો માટે જરાય નવીનવાઈ નહોતી.

એ પણ સાચું હતું કે હું અને સુસ્મિતા બન્ને, મહેશભાઈ સાથે, નાગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી બુક બેંકમાં પુસ્તકોની શોધમાં ગયાં હતાં. એટલું જ નહી, ડોલરકાકા મહેશભાઈના સાઢુભાઈ થાયે એ નાતે, ડોલરકાકાના ભત્રીજી તરીકે ચશ્માં બાબતે મહેશભાઈ સુસ્મિતાને ડૉ. લાલભાઈ માંકડ પાસે પણ લઈ ગયેલા. બીજા વર્ષે હું અને સુસ્મિતા એકલાં જ બુક બેંકની મુલાકાતે ગયા હતા.  જોકે, પરંપરાગત કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલા હોવાથી, એ વર્ષો દરમ્યાન, કોઈ કામને લગતા થોડા શબ્દો સિવાય કોઈ વધારે વાતચીત અમે કરી હોય એવું મને યાદ નથી. .

સુસ્મિતાના સ્નાતક કક્ષાનો અભ્યાસ પુરો થયો એ વર્ષે (૧૯૭૦) હું હોસ્ટેલમાં રહેવા ગયો અને મહેશભાઈની નવસારી બદલી થઈ ગઈ. આમ, અમારો જે પણ નાનો-મોટો સંપર્ક હતો તે પણ પુરો થઈ ગયો. જોકેતેના મા, કુંજલતાબેન સાથે તેના ભાઈ દિવ્યભાષને ત્યાં સુસ્મિતાના બોમ્બે શિફ્ટ થવાના, (૧૯૭૨માં) બોમ્બે યુનિવર્સિટીમાંથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થવાના સમાચાર મને મળતા રહ્યા હતા.

સુસ્મિતા - કોન્વોકેશન પછીનો ઔપચારિક ફોટોગ્રાફ

૧૯૭૩માં ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડમાં જોડાયા પછી. મારા સત્તાવાર કામ માટે બોમ્બેમાં એકથી વધારે રાત રોકાવાની જરૂર મારે પડતી. આવી જ એક મુલાકાત દરમિયાન, મને નલીનભાઈ (અમૃતલાલ ધોળકિયાના પુત્ર, મહેશભાઈના મામા) ને મળવાની તક મળી હતી.  પેડર રોડ પર GSTના ગેસ્ટ હાઉસથી તેઓ બહુ દૂર નહોતા રહેતા. એવી મુલાકાતો દરમ્યાન નલીનભાઈએ મને પેડર રોડ પર જ આવેલાં દિવ્યભાષના ઘરે પણ, બેએક વાર, સાથે લઈ ગયા હતા. જોકે, એ મુલાકાતો સામાજિક ઔપચારિકતાથી વધારે સ્તરની નહોતી.

બીજે દિવસે સાંજ સુધીમાં તો મારા વિચારો આટલી બાબતે સ્પષ્ટ બની ચુક્યા હતા કે,

૧. હા પાડવા માટે મને કોઈ નક્કર કારણ નથી મળ્યું તેમ પ્રસ્તાવ ન સ્વીકારવા માટે પણ મારી પાસે કોઈ નક્કર આધાર નહોતો.

૨. હું અમારા પરિવારને સન્માનીય જીવન પુરૂં પાડીશ એવી આવડત વિશે મને મારા પર જ ભરોસો હોવો જોઈએ.

૩.  આપણા પરંપરાગત સમાજમાં, છોકરીને તેના પતિના ઘરે સ્થાયી થવું પડતું હતું અને તેના સાસરિયા સાથે એડજસ્ટ થવું પડતું હોય છે. સુસ્મિતાએ, આટલા પુરતો, પહેલો નિર્ણય તો લઈ જ લીધો હતો. જીવનની ચોપાટમાં મને તેમનો સહભાગી તરીકે પસંદ કરવાનો પહેલો દાવ તો તે ખેલી ચૂક્યાં હતાં.

૪. એક છોકરી તરીકે સુસ્મિતાએ આટલું સાહસિક પહેલું પગલું ભર્યું હતું, તો એક છોકરા તરીકે મારે તો, પ્રમાણમાં ઓછું ગુમાવવાનું છે.

સ્વીકાર

તેથી, તે દિવસે રાત્રે જમતી વખતે, મહેશભાઈ અને બેનને કોઈ વાંધો ન હોય તો સુસ્મિતાના પ્રસ્તાવને સ્વીકારવા હું તૈયાર છું એવો નિર્ણય મેં એ બન્નેને જણાવ્યો. એવું લાગતું હતું કે મહેશભાઈ અને બેને પણ આ બાબત પર વિચાર કર્યો હતો. તેઓએ જરા પણ સમય ગુમાવ્યા વિના જ  તેમની સહમતિ વ્યક્ત કરી.

એટલે તે પછી તરત હું પ્રસ્તાવની સ્વીકૃતિનો મારો જવાબ લખવા બેઠો. મહેશભાઈ અને બેને સુસ્મિતાના મા, કુંજલતબેનને અલગથી તેમની સહમતિનો ઔપચારિક પત્ર લખ્યો. મેં એ બન્ને પત્રો બીજા દિવસે પોસ્ટ કર્યા.[2]

અમને પણ તેમની સંમતિ ટૂંક સમયમાં મળી ગઈ.

સગપણે કુજલતાબેનના મામાના દીકરા, પણ સંબંધે મોટા દીકરા સમા, અને યોગાનુયોગ મારાં ફોઇ - મહેશભાઈનાં માસીનાં દીકરી, વાલીબેનફઈ (કિશોરબાળા ચમનલાલ ધોળકિયા)ના (પણ) દીકરા, સુધાકરભાઈને લખેલો કુંજલતાબેનનો પત્ર તે દિવસોના વાતાવરણને સરસ રીતે તાદૃશ કરે છે.



[1] સરનામું ક્યાંથી મળ્યું એ વિશે આજે હવે સુસ્મિતાને એવું યાદ છે કે મારી નોકરી  અંગેની નોંધ નાગર મંડળનાં મુખપત્રમાં આવી હતી તેમાથી મારી ઑફિસનું સરનામું તેને યાદ રહી ગયું હતું. એટલે તેણે તો પત્ર ઑફિસના સરનામે જ લખ્યો હતો. તેમની આ યાદ સામે મને એવું લાગે છે કે એ વાતને તો એ સમયે ત્રણેક વર્ષ થઈ ચુક્યાં હતાં. એટલે, કદાચ વધારે શક્ય એ હોઈ શકે કે ૧૯૭૪ થી ૧૯૭૬નાં વર્ષમાં બેએક વખતે હું નલીનભાઈ સાથે દિવ્યભાષના ઘરે મુંબઈ ગયો હતો ત્યારે કદાચ મારૂં વિઝિટીંગ કાર્ડ દિવ્યભાષને આપ્યું હોય અને તેમાંથી સરનામું મળ્યું હોય. જોકે મને પણ એ બે ટુંકી મુલાકાતો સમયે મારા વિશે ઉપરછલ્લી ઔપચારિક વાતથી વધારે કોઈ વાત થઈ હોય એવું યાદ નથી આવતું.

[2] જે દિવસે મેં સુસ્મિતાના પ્રસ્તાવના સ્વીકારનો જવાબ પૉસ્ટ કર્યો તે દિવસે સાંજે, સામાજિક દૃષ્ટિએ અમને ક્ષોભજનક સ્થિતિમાં મુકી શકે એવો અને અંગત રીતે મારા માટે આવી નાજુક બાબતોમાં વધારે ચોક્કસ્તા દાખવવાના બોધપાઠ સમાન, એક પ્રસંગ બન્યો. સમીર (પદ્માકાંત ધોળકિયા), મહેશ (દિલીપરાય માંક્ડ) અને કુસુમાકર (ભુપતરાય ધોળકિયા) એમ અમારે ચાર મિત્રોને એકબીજાને ઘરેથી રેકોર્ડ્સ લેવા મુકવા માટે ગમે ત્યારે એકબીજાને ઘરે અવવા જવાનો વાટકી વ્યવહાર હતો. રૂએ, મહેશ રેકોર્ડ લેવા ઘરે આવ્યા અને તેમની ચકોર નજરે ટેબલ પર પડેલું સુસ્મિતાએ મોકલેલુંં પરબિડીયું ચડી ગયું. આપણામાં કહેવાય છે તેમ ચોરને તો ચાંદરણું મળી ગયું. મહેશ માટે બે અને બે ચાર કરી લેવા માટે તો આટલું પુરતું હતું. મેં તેમને પરિસ્થિતિની ચોખવટ કરીને હજુ કંઈ નિર્ણય થયો નથી એવું સમજાવવાનો પુરો પ્રયત્ન કર્યો. પરંતુ, હું અને સુસ્મિતા એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં હતાં ક્લબના મહેશ પણ સભ્ય હતા. તેમણે જેટલું જોયું, તે પછીથી તેમને ઝાલ્યા રખાય તેમ નહોતું. પોતાનાં માતાપિતાને અને કુસુમાકરને તો મહેશે વીજળીક ગતિથી 'સગપણ થઈ ગયાં છે' મતલબના સમાચાર પહોંચાડી દીધા.