Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts
Showing posts with label Susmita Ashok Vaishnav. Show all posts

Tuesday, March 17, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની ..... - લગ્ન અને લગ્નજીવનઃ ૧૯૭૭ થી ૨૦૦૨

 

"ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન"થી આગળ

લગ્ન

લગ્ન સમારોહ માટે પ્રગતિનગર કોમ્યુનિટી હોલ પસંદ કરવામાં આવ્યો હતો. સુસ્મિતાના પક્ષના નજીકના સંબંધીઓ માટે રહેવા માટે નજીકના ઘરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા પક્ષના અમદાવાદથી લગ્નમાં હાજરી આપનારા કેટલાંક મહેમાનોને અમારા ઘરમાં અને કેટલાંકને નજીકના બીજા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પક્ષના બધા મહેમાનો એક દિવસ પહેલાથી જ આવવાનું શરૂ થઈ ગયું હતું. લગ્ન સમારોહ દિવસના પહેલા ભાગમાં હોવાથી, બહારના મહેમાનો લગ્નના દિવસે રાત્રે પાછા ફર્યા હતા.

રજિસ્ટ્રારને તેમની ઑફિસેથી લઈ આવવા મહેશભાઈ તેમની ઓફિસ ગયા અને લગભગ ૧૧ વાગ્યા સુધીમાં લગ્ન સમારોહના સ્થળે પહોંચી આવ્યા. એમને ચા પાણી કરવાયા બાદ, મેં અને સુસ્મિતાએ લગ્નના શપથ રજિસ્ટ્રારની હાજરીમાં બોલીને અમારી સ્વૈચ્છિક સંમતિ જાહેર કરી. ત્યાર બાદ અમે લગ્ન રજિસ્ટર પર સહી કરીને અને બંને પક્ષના બબ્બે સાક્ષીઓએ પણ તેને પ્રમાણિત કરી. આમ લગ્ન વિધિ પુરી થઈ.


સાક્ષી તરીકે સહી કરતા મહેશભાઈ

સુસ્મિતા તરફથી સાક્ષી કરતા, અનુક્રમે, દિવ્યભાષ, અને સુસ્મિતાના મામા, ભુજંગીભાઈ હ. વૈદ્ય

લગ્ન પછી પીરસવામાં આવનાર જમણ એકદમ સાદું હતું. દૂધીનો હલવો, મોતીચુર લાડુ, બે શાક, બે ફરસાણ, દાળ અને ભાત બધાંને બેએક પંગતમાં નીચે બેસી જમી શકાય એમ પીરસવામાં આવ્યાં.

મેં મારા ઓફિસ સ્ટાફમાંથી કોઈને પણ આમંત્રણ ન આપીને લગ્ન સમારોહને માત્ર કુટુંબીજનો સુધી મર્યાદિત રાખવાનો કક્કો ખરો કર્યો હતો.


 

ડાબેથી:

પહેલી હરોળઃ હર્ષિકા, અરમાનને તેડીને ઊભેલાં દિવ્યાંગિનીભાભી, ગાયત્રી, મોટા અમ્મા, દેવીબેન, અને તેમની આગળ, સંદીપ 

બીજી હરોળ: ભારતી, સુસ્મિતા, હું, ભાર્ગવીને તેડીને ઊભેલાં પ્રતિભાભાભી, બેન અને ગોરીકાકી 

ત્રીજી હરોળ: નિમેષ, દર્શન, અધુકડો દેખાતો સંજય, અને નરેશભાઈ 

છેલ્લી હરોળ: કુંજલતાબેન, ગોરાકારા, મહેશભાઈ, દિવ્યકુમારભાઈ 

ડાબેથી: કર્ણિકા, કુંજલતાબેન, સુસ્મિતા, બેન, હું, મહેશભાઈ, દિવ્યભાષ, (પાછળ) સંજય

લગ્નજીવન

પહેલું અઠવાડિયું

અમે લગ્ન પછીનું પહેલું અઠવાડિયું મુંબઈમાં વિતાવ્યું.

લગ્નના ત્રીજા દિવસેકુંજલતાબેન, દિવ્યભાષ અને કર્ણિકા સાથે અમે મુંબઈ જવા રવાના થયા. મધ્યરાત્રિની આસપાસ, અમારા સ્લીપર કોચમાંથી કેટલાક મુસાફરોએ મોટેથી જાહેરાત કરી કે શ્રીમતી ઈન્દિરા ગાંધી રાયબરેલી બેઠક પરથી ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી હારી ગયા છે.

અમે મુંબઈ પહોંચ્યાના બીજા દિવસે, (દિવ્યભાષે ઝાયર જતા પહેલા ખરીદેલ  અને બે વર્ષ પછી વેંચી નાખેલું) પર્લ પેલેસની અગાસી પર ડિનર રિસેપ્શનનું નાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કુંજલતાબેનના સંબંધીઓ અને પરિચિતોને  આ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુસ્મિતાએ મુંબઈમાં અમારા રોકાણનો ઉપયોગ પ્રગતિ નગરમાં અમારા ઘરને સજાવવા માટે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ રૂમ વચ્ચેના ડિવાઇડર તરીકે વાપરી શકાય એવું પડદાનું કાપડ અને કેટલીક કાર્પેટ ખરીદવા માટે કર્યો.

૧૯૭૭ થી ૧૯૭૯

અમદાવાદમાં સ્થાયી થયા પછી અમારું પહેલું કાર્ય સુસ્મિતાના શિક્ષણ-અનુભવ, જ્ઞાન અને ગણિત પ્રત્યેની રુચિને અનુરૂપ હોય એવા અર્થપૂર્ણ વ્યવસાયને શોધવાનું હતું.અમારા પ્રયત્નો સરિયામ અસફળતામાં પરિણમ્યા. જેમ જેમ હું પાછળ ફરીને જોઉં છું, તેમ બહુ સ્પષ્ટપણે દેખાય જ છે કે અમારા પ્રયત્નો પૂરતા, વ્યવસ્થિત કે સંગઠિત નહોતા. પાછળથી, સુસ્મિતાએ પડોશના કેટલાક બાળકોને ટ્યુશન આપવાનું કામ કર્યું. પરંતુ મારા કામ અને જીવનનાં અસંતુલનને પરિણામે સુસ્મિતાના ઘરનાં જીવન પર જે વધારાનો બોજ પડ્યો. એટલે, શિક્ષણ સાથેનો એક આછોપાતળો સંબંધ બાંધી રાખવાનો આ પ્રયત્ન અર્થપૂર્ણ આંશિક સમયના  વ્યવસાયમાં પણ પરિણમી શક્યો નહીં. 

અમારા જીવનનો આનંદ માણવાની શરૂઆત મારા ફોટોગ્રાફીના પ્રયોગોથી થઈ. તે ઉપરાંત મારાં રેકોર્ડ્સનાં કલલેક્શનમાંથી રેકોર્ડ સાંભળવી અને જ્યારે જ્યારે અમદાવાદમાં પુસ્તક મેળો થાય ત્યારે તેની મુલાકાત લેવી જેવી પ્રવૃત્તિઓ પણ અમે સાથે મળીને કરતાં.

બપોરનું જમવાનું પીરસવાની તૈયારી કરી રહેલ સુસ્મિતા

GST ખાતે મારી ઓફિસની દિનચર્યામાં શનિવારે માત્ર અડધો દિવસ જવાનું હતું. અમે એ તકનો લાભ લઈને અમદાવાદના ભદ્ર (કાળી માતાનાં મંદિર)માં આવેલ બેન્ક ઑફ ઇન્ડીયા બિલ્ડીંગથી નજદીક પડે એવાં એડવાન્સ થિયેટરમાં સાંજના ૪.૩૦ વાગ્યા શૉમાં અંગ્રેજી ફિલ્મો જોવા જવાનું શરી કર્યું. બહુ જ જ થોડા સમયમાં, અહીં પણ, મને શો માટે પહોંચવામાં મોડું થવા લાગ્યું. થોડા મહિનાઓ સુધી, ઇન્ટરવલ પછી મૂળ ફિલ્મ શરૂ થાય તે પહેલાં હું ભાગ્યે જ સિનેમા હોલ પહોંચી શકતો. પછી બેએક વાર, હું તે પણ કરી શક્યો નહીં. પરિણામે, તે પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ, જે મારા કામ અને જીવનનાં સંતુલન બગડવાની શરૂઆતના અણસારનો આ બહુ સ્પષ્ટ સંકેત હતો.

અમદાવાદની બહારની અમારી પહેલી ટ્રિપની શરૂઆત જ એક છબરડાથી થઈ. ૧૯૭૭ના અંતમાં, કે કદાચ ૧૯૭૮નીની શરૂઆતમાં, દક્ષિણ ગુજરાતનાં હિલ સ્ટેશન. સાપુતારામાં ત્રણ રાત્રિની સફરનું આયોજન કર્યું હતું. અમે અમદાવાદના ગુજરાત રાજ્ય પરિવહન કેન્દ્રીય બસ સ્ટેશન - ગીતા મંદિરથી વહેલી સવારે બસમાં ચઢ્યા. મેં કંડક્ટરને અમારી સીટ રિઝર્વેશન ટિકિટ આપી ત્યારે તેણે ધડાક દઈને જ અમને બસમાંથી નીચે ઉતરી જવાનું કહ્યું. મેં સામે ગરમાગરમ દલીલો કરી! તેણે નમ્રતા જાળવી રાખી, છેવટે મને ટિકિટ બતાવી. એ ટિકીત તો રાજકોટની મારી મુસાફરીની જૂની ટિકિટ હતી! અમે હવે આશ્ચર્યચકિત થઈ ગયા અને માફી માંગી અને તેને નવી ટિકિટ કાઢી આપવા વિનંતી કરી. બસ, એટલામાં જ સુસ્મિતાને કંઈક યાદ આવ્યું અને તેણે તેના પર્સમાંથી ટિકિટ કાઢી! સાપુતારાની અમારી બાકીની મુસાફરી કોઈ અવરોધ વિના ચાલી, પણ આખી મુસાફરી દરમ્યાન હું કંડક્ટરની સામે આંખ મેળવીને જોઈ શક્યો નહીં!

૧૯૭૮ના મધ્યભાગમાં મહેશભાઈની, ગુજરાત કૃષિ યુનિવર્સિટી માટે નવાં બનેલાં મુખ્ય મથકદાંતીવાડા ખાતે બદલી થઈ.  મહેશભાઈના ત્યાં રોકાણ દરમિયાન અમે દાંતીવાડાની  બે-ત્રણ દિવસની ઘણી મુલાકાતો લીધી. ૧૯૭૯ની આવી જ એક યાત્રામાં, દાંતીવાડાના રસ્તે પાલનપુર પહોંચતા અમને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો, ધોધમાર વરસાદમાં હાઇવે પર લગભગ એક કે બે કલાક અમે ફસાયેલા રહ્યાં. આખરે જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે સુસ્મિતાના મામા, પ્રાણલાલભાઈ એચ. વૈદ્યનું વતન, મોરબી, મચ્છુ નદી પરનો માટીનો બંધ તૂટી પડવાને કારણે વિનાશક પૂરથી તબાહ થઈ ગયું છે.

૧૯૭૯ ના ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં સુસ્મિતાએ પોતાની પહેલી અને એકમાત્ર વિદેશ યાત્રાનું આયોજન કર્યું. તે દિવ્યભાષ પરિવાર સાથે રહેવા માટે ઝાયરરના પાટનગર કિન્શાશા જવાની હતી. અનેક રસીકરણ કરાવવાની ઝંઝટ પછી, અંતે, સુસ્મિતા અને હું મુંબઈ થઈને નૈરોબી જવા માટે અમદાવાદથી મુંબઈમાં હર્ષવદનભાઈ-સુરભીના ઘરે પહૉંચ્યાં. અરધી રાતની ફ્લાઈટ હતી. એરપોર્ટ પર પહોંયાં, ત્યારે એટલો ભારે વરસાદ પડી રહ્યો હતો કે સુસ્મિતાની ચેક-ઇન બૅગ સંપૂર્ણપણે પલળી થઈ ગઈ હતી. નૈરોબી પહોંચતા જ જ્યારે તેણે બૅગ ખોલી, ત્યારે બૅગમાં વરસાદી પાણીના ઘૂસી જવાને કારણે તેની ઘણી સાડીઓ પર ડાઘ પડી ગયા હતા!

સુસ્મિતાની ગેરહાજરીમાં, સંજય સાથે મળીને, અમારું પોતાનું જલવાનું બનાવવાનો મેં બીડું ઝડપ્યું. એક વાર સંજયે દૂધનું વાસણ ગરમ કરવા માટે ગેસ પર મૂક્યું અને પછી  ભૂલી ગયો. વાસણ ગૅસ પર એટલા લાંબા સમય સુધી ઝુલસતું રહ્યું કે વાસણમાં રહેલું બધું દૂધ બળીને કોલસો થઈ ગયું. ઘરમાં એટલી બધી દુર્ગંધ ભરાઈ ગઈ હતી કે એકસાથે બેત્રણ પેકેટ અગરબત્તી સળગાવ્યા પછી પણ, બીજા બે ત્રણ દિવસ સુધી અમારા આખા પડોશને દુર્ગંધ સહન જરવી પડી. બીજા એક કિસ્સામાં, જ્યારે મહેશભાઈ દાંતીવાડાથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે અમે ભીંડાનું શાક બનાવતી વખતે મીઠાને બદલે સોડા ઉમેર્યો હતો! અમારા આવા (કરણાંત) સાહસો પર દયા કરીને, સામેના,# 9/52, પ્રગતિનગર,માં રહેતા પાડોશી બચુભાઈ ગોહિલના પત્ની મધુબેન અમારા માટે દાળ અને રોટલી બનાવીને મુકી જતાં અને અમને સાદાં શાક બનાવવાનું શીખવતાં રહ્યાં  સુસ્મિતા કિન્શાશાની સફરથી પરત ફરી, ત્યારે અમે મધુબેન દ્વારા તૈયાર કરાયેલ રોટલી દાળ ભાત સાથે ગર્વથી અમે રાંધેલા ભીંડાનું શાક સુસ્મિતાને જમવામાં પીરસ્યું

સુસ્મિતાની કિન્શાશાની મુલાકાત લેવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના તબક્કા દરમ્યાન હું GST છોડી દેવાનું વિચારી રહ્યો હતો. અંતે, મેં જૂન ૧૯૧૯ માં મારૂ રાજીનામું મુક્યું અને સુસ્મિતા કિન્શાશાથી પરત ફર્યા પછી, ૧૯૭૯ના સપ્ટેમ્બરના અંતમાં GST છોડ્યું. અમારાં સ્વબળે શરૂ કરવા ધારેલ સાહસ, એરીશ ઇક્વિપમેન્ટનું સક્રિય અમલીકરણ શરૂ કરતા પહેલા, મેં બીજા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું. એ દરમ્યાન અમે કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં સુસ્મિતાની વ્યાવસાયિક કારકિર્દીને આકાર આપવાનો પ્રયાસ કર્યો. જો કે, શરૂઆતની પાપા પગલીમાં એ પ્રયોગ બહાર આવે અને ખરા અર્થમાં શરૂ થાય તે પહેલાં, વચગાળાની વ્યવસ્થા તરીકે બીજા પ્રૉજેક્ટ્સ પર કામ કરવાનું (ખોટું) સાહસ છોડી દીધું અને એરીશ ઇક્વિપમેન્ટના ગ્રીન-ફિલ્ડ અમલીકરણ પર પૂર્ણ-સમય કામ કરવાનું ચાલુ કર્યું. તેથી, સુસ્મિતાનો કોસ્ટ એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં દાખલ થવાનો પ્રયાસ પણ પડતો મૂકવો પડ્યો. 

૧૯૭૯ – ૨૦૦૨

એરિશ ઇક્વિપમેન્ટ શરૂ થવાનાં પહેલાં બે-ત્રણ વર્ષ સુસ્મિતા માટે ખરેખર કપરાં હતાં. પોતાનો વ્યવસાય શરૂ કરવાનો સાવ અજ્ઞાત અનુભવ, ખૂબ જ અનિયમિત અને અપૂરતી મહિનાની આવકમાંથી ઘર ખર્ચ ચલાવવું અને છતાં કોઈ પ્રકારની ફરિયાદનો સુર ન જણાવા દેવો એ મેં લીધેલ જોખમ કરતાં પણ વધારે અઘરું તપ હતું.

૧૯૭૯ થી ૧૯૮૧ દરમિયાન અશ્વિનભાઈ પાલખીવાલા દ્વારા ગોઠવાયેલી નાનાં ફંક્શન અને ટ્રિપ્સ[1] કે પછી દાંતીવાડા અથવા ગોરાકાકા પરિવાર કે નિમેષ પરિવારની મુલાકાત માટે રાજકોટની અમારી મુલાકાતોએ અમને આ મુશ્કેલીઓ સામે અમારા જીવનની નાવને તરતી રાખવામાં બહુ મોટું બળ પુરૂં પાડ્યું.

લગભગ ૧૯૮૦/૮૧ માં દાંતીવાડાની એક મુલાકાત દરમ્યાન ગોરાકાકા (મારા કાકાજનાર્દનભાઈ વૈષ્ણવ) અને મહેશભાઈ પરિવારો 


આજે એવું કહેવું બહુ ચવાઈ ગયેલું લાગે છે કે માત્ર અને માત્ર સુસ્મિતાના અવિરત ટેકાને કારણે જ એ તબક્કામાંથી પસાર થઈ શકાયું..

તાદાત્મ્યના જન્મ પછી (૧૯૮૧ માં) અમે એરિશ ઇક્વિપમેન્ટના શરૂઆતના આઈસીયુ સપોર્ટમાં ટકી રહેલાં અમારાં ગૃહસ્થ જીવનના એ સૌથી મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યાં. જોકે, જ્યારે પરિસ્થિતિ થોડી થાળે પડતી અનુભવવા લાગી, ત્યારે ડિસેમ્બર ૧૯૮૩માં મહેશભાઈનું અવસાન થયું.

બીજું એક પરિબળ જેણે અમને તરતા રહેવામાં મદદ કરી તે મારા ત્રણ ખૂબ જ નજીકના મિત્રો, કુસુમાકર (ધોળકિયા), મહેશ (માંકડ) અને સમીર (ધોળકિયા) ના પરિવારોનો ખૂબ જ સક્રિય અને જીવંત સાથ હતો. અમારા લગ્ન થયા પછી, એમનાં જીવનસાથીઓ - અનુક્રમે, જાગૃતિ, હર્મિલા અને મીના - અને પછી એમનાં બાળકો - અનુક્રમે, ખ્યાતિ, અનંગ અને હીરવા અને ફેનિલ - એ પણ અમારી મિત્રતાનાં સહજ વાતાવરણને જાળવી રાખવામાં અને અને આપસી લાગણીઓ અને સમજની ગાંઠને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરી. દર ત્રણચાર મહિને અમદાવાદ નજીકના આઉટડોર રેસ્ટોરન્ટમાં ડાઇન-આઉટ તેમજ કોઈપણ ઘરે ડાઇન-ઇનના સાદા આનંદ માણવાના પ્રસંગો અમને અંગત રીતે અકલ્પ્યપણે ઉપકારક પરવડ્યા.


અમારૂં લગ્નજીવન હવે વ્યવસ્થિત આર્થિક અને સામાજિક માર્ગ પર ચડી ગયું હતું તેનો પહેલો સંકેત કુલુ મનાલી (૧૯૮૭) ની અમારી સફર હોઈ શકે છે. એક આયોજિત પ્રવાસમાં જોડાવાનો અમારો એ પહેલો અને છેલ્લો અનુભવ રહ્યો. તે પછી અમે કે કંઈ ટ્રિપ કરી એ બધી જાતે વ્યવસ્થા કરીને કરી. કુલુ મનાલીણી એ ટ્રિપ માટે અમારે અમદાવાદથી અંબાલા ટ્રેનમાં જવાનું હતું. દાહોદ નજીક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે અમારી ટ્રેન ખૂબ જ નાના સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. એ સ્ટેશન પર ફક્ત કેળાં જ મળતાં હતાં. ટ્રેન કેટલો સમય પડી રહેશે તેના કોઈ નક્કી વાવડ ન મળતા હતા એટલે સ્ટેશન અને ગામમાં જેટલાં પણ કેળાં હશે એ તો જોતજોતામાં પુરાં થઈ ગયાં અમે મોટે ઉપાડે સેકન્ડ એસી કૉચની સફર મજા માણવાની આશા રાખી હતી એ પણ અર્ધાપોણા કલાકમાં વિખરાતી જતૉ લાગી. કોચનું એસી પણ બંધ થઈ ગયું, એટલે, પ્લેટફોર્મ પર એક નાની બેન્ચ પર લગભગ ચાર કલાક રાહ જોવાની ધીરજ દાખવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સમોસા અને મસાલા થેપલાંનું અમારું થાગડથીગડ ડીનર અજમેરમાં લગભગ ૧૧ વાગ્યાની આસપાસ પીરસવામાં આવ્યું. તે સમયે ઊંઘમાંથી ઊઠીને પણ, મેં અને તાદાત્મ્યએ ટેસથી સમોસા ખાધા અને થેપલાં બીજા દિવસે સવારે વહેલા નાસ્તા માટે સાચવી રાખ્યાં. અમારી ટ્રેન બપોરે એકાદ વાગ્યા સુધીમાં અંબાલા પહોંચી ગઈ. તે સમયે, પ્રવાસમાં સાથે આવેલા રસોઈયાઓએ રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર જ ઝડપથી જમવાનું રાંધ્યું. પ્રવાસના બધા સાથી પ્રવાસીઓએ પણ તે જ ફૂટપાથ પર ખૂબ આનંદથી ઝાપટ્યું.


આયોજિત પ્રવાસો ઉપરાંત અમે ભૂજ અને મુંબઈની અનૌપચારિક મુલાકાતોનો આનંદ માણતાં રહ્યાં.



મુંબઈની આવી જ એક મુલાકાત દરમિયાન (મારાં માસીના દીકરા) નિમેષ અને તેમનાં પત્ની પ્રતિભાભાભી પણ સપરિવાર પ્રતિભાભાભીના ભાઈ યોગેશભાઈને ત્યાં વેકેશનમાં આવ્યાં હતા. તે દરમિયાન અમે જુહુ બીચ પર એકવાર મળ્યાં. 


આ પહેલા ઉલ્લેખેલ અક્ષયના લગ્નએ જેમ અમને પ્રેમસંબંધ દરમિયાન નજીક લાવવામાં મદદ કરી હતી, તેવી જ મદદ અમને પોરબંદરમાં (મારી માસીનાં દીકરી) ભારતી, અને ગાંધીનગરમાં (મારાં બીજાં માસીના દીકરી)વિભાના લગ્ન, (મારા નાના પિતરાઈ ભાઈ) દર્શનનાં જામનગરમાં યજ્ઞોપવિત, (મારી નાની પિતરાઈ બહેન) હર્ષિકા નાં ભુજમાં લગ્ન જેવા અનેક કૌટુંબીક પ્રસંગોએ અમારાં લગ્નજીવનને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ જીવન ઘરેડમાંથી ખૂબ જ જરૂરી રાહત આપવામાં ખૂબ મદદ કરી.

૧૯૮૯ ની આસપાસ, અમે અમારી પોતાની પહેલી કાર, સફેદ પ્રીમિયર પદ્મિની ખરીદી. સુસ્મિતાએ થોડા સમય માટે પોતાનૂ ડ્રાઇવિંગ તાજું આપવાનો પ્રયાસ કર્યો. એ વર્ષોમાં ગોરાકાકા ગાંધીનગર ખાતે આવેલાં જી ઈ બી પાવસ સ્ટેશનની નહદીકના સેક્ટરમાં રહેતા. સુસ્મિતાએ પ્રગતિનગરના ઘરથી ત્યાં સુધી અને વળતાં કાર બહુ સારી રીતે ચલાવી પણ ખરી. સુસ્મિતાને અમદાવાદના રસ્તાઓ પર કાર ચલાવવા પુરતો વિશ્વાસ પણ આવી ગયો હતો. પણ, તે સમયના અમદાવાદના (તત્કાલીન) ટ્રાફિક પેટર્નથી કંટાળીને આખરે તેણે હાર માની લીધી.

તે સમયની આસપાસ હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. અમે આજે સરગમ - બોડકદેવ રોડ અને સત્ય રોડ તરીકે જાણીતાં જંકશન નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં લગભગ ૫૦ થી ૭૦ લોકો માટે મોટે પાયે ડિનરનું આયોજન પણ કર્યું હતું.

અમે પ્રગતિ નગર ખાતે યોજેલા નગર મંડળના મેળાવડાના આયોજનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સહ-આયોજન પ્રગતિ નગરના તત્કાલીન નાગર સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. એ એક ખૂબ જ યાદગાર અને મજા પડે એવો સમારંભ રહ્યો હતો.


૧૯૯૨ માં ભુજ ખાતેનાં અમારાં વડીલોપાર્જિત ઘરના વેચાણની પ્રક્રિયા પુરી કરતાં હું બહુ સખત રીતે એસિડિટીને કારણે થતી વિચિત્ર બીમારીમાં પટકાયો. ભુજની મિલકતનાં વેંચાણનાં તંગ વાતાવરણ અને પછી મારી અઠવાડીયું પથારીમાં કાઢવું પડેલું એ તણાવ સહનમાં પણ સુસ્મિતાએ પોતાના ભાગથી વધારાનો ભાર પણ વહન કરી લીધો. તે પછી અમે અમારા માટે 'મોટા' રહેઠાણની શોધ શરૂ કરી. અમે અમદાવાદમાં શક્ય તેટલા બધા સ્થળોએ શોધખોળ કરી. જો કે, એકવાર જ્યારે અમે અંકુર સોસાયટી તરફથી પાછા ફરતા હતા, ત્યારે અમને સંસ્કાર ભારતી સોસાયટી (અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ) નજીક એક બાંધકામ હેઠળનું મકાન દેખાયું. સ્થળ પરની થોડી પૂછપરછ અને એક ચાલુ કામનું નિરીક્ષણ કર્યા પછી અમે ૧૦, મીરા એપાર્ટમેન્ટ ખાતે અમારા પોતાના પહેલા ઘરની ખરીદીને અંતિમ સ્વરૂપ આપ્યું. અમારી પસંદ મુજબ આંતરિક સુશોભન અને રાચરચીલું તૈયાર કરાવવા માટે છ મહિનાના સમર્પિત પ્રયાસોથી ઘર રહેવા માટે તૈયાર થઈ ગયું.

આ ઘરમાં શિફ્ટ થયાં એટલે અમને વિધિપુરઃસરનો ગૃહપવેશનો પ્રસંગ કરવાનો લ્હાવો મળ્યો. વૈષ્ણવ પરિવારના અન્ય સભ્યો માટે, અમે અમારું ઘર વસાવી રહ્યાં હતાં તેનાથી વધારે ગૃહપ્રવેશની ધાર્મિક વિધિઓમાં બેઠેલો જોવો એ વધારે આનંદદાયક હતું. મારી છાપ ધાર્મિક વિધિઓ એક પારંપારિક રિવાજોમાં ન માનનાર તરીકેની ગણાય. પૂજાની આખી વિધિ દરમ્યાન મારે દોતીયું જ પહેરવું એવો ગોરાકાકા (મારા કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવ)નો સપ્રેમ આગ્રહ હતો. તેમણે મને તે પહેરવામાં અથથી ઈતિ સુધી મદદ પણ કરી, અને સમગ્ર વિધિ દરમ્યાન સતત કાળજી રાખી, અને મનમાં ને મનમાં મારી દેખીતી મુઝવણનો આનંદ પણ માણ્યો!

પ્રગતિ નગરથી મીરા સુધી ઘરનો સામાન ખસેડવાની અને મીરામાં ગોઠવી આપવાની બધી જ વ્યવસ્થા મારા 'રત્નમણિ'ના સાથીઓએ ઉપાડી લીધી. ગૃહપ્રવેશની ઉજવણીના પંચોતેરેક મહેમાનો માટેના ભોજન સમારંભની વયવ્સ્થા પણ એ મિત્રો જ ઉપાડી લીધી હતી.

તે પછી લગભગ તરત જ, અમને દર્શન (અને અમી) ના લગ્ન સમારંભનું આયોજન કરવાની તક મળી.

મારાં વ્યાવસાયિક જીવનમાં ચાલુ રહેલાં અસંતુલન છતાં, અમારું અંગત જીવન હવે બહુ જ સારી રીતે આગળ ધપી રહ્યું હતું. 

૧૯૯૮ માં, તાદાત્મ્ય સુરતકલ (કર્ણાટક) ખાતે આવેલીના કેઆરઈસીમાં ખાતે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતકના અભ્યાસમાં જોડાયો. એમ થવાથી અમારા જીવનમાં પડેલા દેખીતા ભાવનાત્મક અવકાશને ત્યાં તેની સતત પ્રગતિએ ભરપાઈ કરી દીધું. અમે ત્યાં તાદાત્મ્યનાં સુરતકલનાં ચાર વર્ષોની રહેણાક દરમ્યાન અમે બે વેકેશન ટૂરનું આયોજન પણ કર્યું. એક ટૂર મેંગલોર-ઉડુપી સર્કિટની અને બીજી અને કેરળના કોચી-તિરુવનંતપુરમ સર્કિટની કરી. 

હું, બેન અને સુસ્મિતા - સુરતકલના બીચની એક મોડી સાંજે

એ દરમ્યાન ૨૦૦૧ના ૨૬મી જાન્યુઆરીના ભુકંપનો પણ અમે સાથે મળીને અનુભવ કર્યો. લોલકની જેમ ચાલતું ઘર ધૂજવાનું બંધ થયું એટલે અમે બધાં નીચે ઉતરી ગયાં. એ પછીના પંદર વીસ દિવસ મીરાનાં બધાં રહેવાસીઓએ સામે નીચે આવેલાં ઘરમાં કાઢ્યા. એ દિવસોમાં વેકેશન પર આવેલ તાદામ્યએ તો ત્યાંથી જ પાછા સુરતકલ જવું પડ્યું.

૨૨મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ અમે પ્રતિભાભાભીને કાયમ માટે ગુમાવ્યાં.

૨૦૦૨ના અંતમાં મને મુન્દ્રાનાં નાના કપાયા ખાતે આવેલા સૉ પાઇપ્સના પ્લાન્ટના મુખ્ય પ્રબંધક તરીકે જોડાવાની તક મળી. અમે અમદાવાદનું ઘર બંધ કરીને નાના કપાયા રહેવા જઈએ એવો નિર્ણય થયો. તાદાત્મ્યનું સુરતકલનું ભણવાનું પુરૂ થયું હતું અને તે બેંગ્લોરમાં નૉવેલમાં જોડાઈ રહ્યો હતો.

મારે ભાગે તો વ્યાવસાયિક સ્તરે મારે બહુ ઊંચા સ્તરની જવાબદારીના વહનમાં સફળ થવાનું હતું.  પરંતુ, સુસ્મિતાએ એ કારણે પેદા થઈ રહેલી અનિશ્ચિતતાઓનો અને અમારી ગૃહસ્થીને નવાં વાતાવરણમાં ફરીથી વાવીને ઉછેરવાના નવા જ પડકારોનો, ફરી એક વાર, એકલા હાથે સામનો કરવાનો આવ્યો. 

૩૧મી જાન્યુઆરીના અર્ધી રાતની સયાજી એક્સપ્રેસ પર સુસ્મિતા મને મૂકવા આવી શકે એવી અમારી બન્નેની ઇચ્છાને આટલી મોડી રાતે એકલા પાછા ફરવાની અડચણને કારણે અમારે નજરઅંદાજ કરવી પડી. દેરાસર સુધી રિક્ષામાં બેસવા સુધી જ મને મૂકવા આવી શકવાથી સુસ્મિતાએ સંતોષ માની લેવો પડ્યો.

Sunday, January 25, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....- ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન

 "પ્રસ્તાવ અને સ્વીકાર"થી આગળ

ઓળખાણ

એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાની સહમતિ થયા બાદ અમારા વર્તમાન અંગેની જેટલૉ બને એટલી આવશ્યક બાબતો વિશે એકબીજાને અપડેટ કરવામાં અમે સમય ન ગુમાવ્યો. પહેલા એકાદ અઠવાડીયામાં જ એકબીજા વિશે જાણવા માટે જરૂરી કહી શકાય એવાં ઘણાં પાસાંઓનું વિગતવાર વર્ણન કરતા બેએક પત્રો એકબીજાને લખી નાખ્યા. તે પછીના બીજા બે એક પત્રોમાં પહેલા પત્રોના જે જે મુદ્દાઓ અંગે સ્પષ્ટતાઓ કરવાની હતી કે વધારે માહિતીનાં ઉમેરણ કરવાનાં હતાં તે પણ જણાવી લીધાં.

સુસ્મિતા - મુંબઈ ખાતેના તેમના વ્યાખ્યાતા તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં ...

એ દરમ્યાન મારાં ઑફિસના કામ અંગે મુંબઈ જવાની એક તક ખુલી. એક જ દિવસમાં પાછા ફરવાને બદલે એક રાત રોકાઈ શકાય એ માટે મેં ઑફિસ પાસે પરવાનગી માંગી. એ મંજુરી મળી અને આવવા જવાની ટિકિટોની વ્યવસ્થા થઈ ગઈ, એટલે મેં સુસ્મિતાને આ અંગે જાણ કરી અને આ મુલાકાતનો વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય તે જણાવવા કહ્યું. પછીથી તો  ફોન પર જ અમે આખું આયોજ્ન ગોઠવી કાઢ્યું. જાહેરમાં પણ પોતાની અંગત પળો માણી શકાય એ મુંબઈની જીવન શૈલીનું એક મોટું સકારાત્મક પાસું છે. તેનો લાભ લઈને કોલેજ (બોમ્બે યુનિવર્સિટી)થી સુસ્મિતાના હંમેશના પાછા ફરવાના સમયે મારે સુસ્મિતાને સાંજે ફ્લોરા ફાઉન્ટેન પાસે મળવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે સાથે બસમાં તેમના ઘરે - પર્લ પેલેસ (સાંતાક્રુઝ,પશ્ચિમ) - સાથે જઈએ તો અમને ૪૫થી ૬૦ મિનિટનો સમય એકબીજા સાથે ગાળવા મળી શકે તેમ હતું. 

મુંબઈની મારી મુલાકાતો દરમ્યાન મને જ્યારે સમય મળે ત્યારે હું રિધમ હાઉસ (કાલા ઘોડા)થી રેકોર્ડ ખરીદવા જતો. નક્કી કરેલા દિવસે હું મોડો ન પડું એટલે પહેલાં તો રિધમ હાઉસ પહોંચી ગયો. પરિણામે, બસ સ્ટોપ પર પહોંચીને માંડ પાંચેક મિનિટ રાહ જોઈ હશે એટલી જ વારમાં મેં સુસ્મિતાને બીજી બાજુથી આવતી જોઈ. જ્યારે અમે બે ત્રણ મિનિટનાં અંતર જેટલાં દૂર હતા, ત્યારે એકબીજા સાથે નજર મળી. સુસ્મિતાના પ્રસ્તાવ-પત્રને વાંચતાંની સાથે એકબીજા વિશે ભાગ્યે જ કંઈ જાણતાં હોવાની જે લાગણી જન્મી હતી તે તો નજર મળતાંવેંત ઓગળી ગઈ. હવે એકબીજાને સ્વીકારવા બદલ આભારવશતા અને પહેલી વાર એકબીજાને રૂબરૂ જોવાનો આનંદ અમારી આંખોમાં તરી રહ્યો. એકબીજાંને 'કેમ છો' એટલું પુછી શકીએ તે પહેલાં, અમારી બસ આવી ગઈ. બે માળની બસના ઉપરના માળે બાજુ બાજુની સીટ પર બેઠાં અને ટિકિટ ખરીદી તે પછી જ અમારી ઓળખાણની શરૂઆતનું 'કેમ છો' અભિવાદન થઈ શક્યું.

જોકે તેનું વળતર પછીની પીસતાળીક  મિનિટમાં મળી ગયું. ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું ત્યાં સુધી સુધી અમે અનેક વિષયો પર એવી રીતે વાત કરી જાણે કે અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ. અમારી ચર્ચાનો સુર એટલો અનૌપચારિક હતો કે એકબીજાની બાજુમાં બેઠાં હોવાની અનુભૂતિ કરતાં માનસિક રીતે અમારી વચ્ચેનું અંતર ખતમ થઈ જવાની ઓળખાણનો ભાવ બહુ સહજપણે અનુભવાયો.

ઘરે પહોંચ્યા પછી, (સુસ્મિતાના મા) કુંજલતાબેનને પણ પહેલી જ વાર મળ્યો. પરંતુ, હવે તેમને સાસુ તરીકે મળવાનો કોઈ ભાર મને ન લાગ્યો. રાત્રે જમતાં પહેલાં, અમારી ચર્ચાઓનો મુખ્ય વિષય સગપણના સમાચાર જાણ્યા પછી બંને પક્ષના સંબંધીઓની પ્રતિક્રિયાઓમાં સાવેસાવ આશ્ચર્યથી લઈને યે તો હોના હી થા' સુધીનાં પ્રતિભાવોને યાદ કરવાનો રહ્યો. 'જમાઈ' તરીકેની મારી પહેલવહેલી મુલાકાતનૂ ઉજવણી રૂપે મિઠાઈ તરીકે સેવી (सेवैयां) બનાવી હતી. જમતાં જમતાં મને બીજું શું શું ભાવે એવી વાતો દ્વારા ઓળખાણની પ્રક્રિયા આગળ ચાલતી રહી. જમી લીધા પછી, ભોજન પછીની અમારી ચર્ચાઓ દિવ્યભાષની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, કિન્શાશા (ઝાયર)માં તેમની જીવનશૈલી જેવી બાબતોને આવરી રહી. એકંદરે, તે એક મુલાકાતે અમને બધાને એકબીજાની જીવનશૈલીનાં મોટાભાગનાં આવશ્યક પાસાઓથી અવગત કરી આપ્યાં. 

કુંજલતાબેન, દિવ્યભાષ, કર્ણિકા, સુસ્મીતા

આજે હવે પાછળ નજર કરતાં જણાય છે કે એ મુલાકાતની ફળશ્રુતિ રૂપે લગ્ન કેવી રીતે ગોઠવવાં જેવી મુશ્કેલ ચર્ચાઓ વખતે હું કુંજલતાબેન સમક્ષ હું મારા વલણને બહુ મોકળાશથી રજૂ કરી શક્યો એટલું જ નહીં પણ (જોરદાર રીતે) મારો બચાવ પણ કરી શક્યો હતો.

કુંજલતાબેન અને મારા સંબંધમાં કેટલી સહજતા આવી ગઈ હતી તેનાં ઉદાહરણ તરીકે મને એક ખૂબ જ રસપ્રદ ઘટના યાદ આવે છે. એકવાર અમે હર્ષવદનભાઈ અને સુરભીને મળવા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. સુસ્મિતા અને હું કુજલતાબેનની આગળ ઊભાં હતા. એટલે સ્વાભાવિકપણે કુંજલતાબેનની નજર સુસ્મિતા અને મારી ઊંચાઈમાંના ફરક પર ગઈ હશે. આપણા સમાજમાં આવી નાની નાની બાબતો વિશે લોકો, વણમાગ્યે, પોતાના 'સ્પષ્ટ' અભિપાયો સંભળાવી જતાં હોય છે. અમારા કિસ્સામાં, કમસે ક્મ આ આબતે, સાંભળવું નહીં પડે એવી રાહતના સુરમાં, કુંજલતાબહેને કહ્યું કે અશોક સુસ્મિતા કરતા થોડા ઊંચા છે તે જોઈને સારું લાગ્યું.

એ પછી મુંબઈની કેટલીક મુલાકાતો દરમિયાન, ભુજંગીભાઈ અંતાણી @ ઇર્લા), વિજયાફાઈ પરિવાર (@ બાણગંગા) અને પ્રિયવદનભાઈ અને કોકિલાબેન બક્ષી (@કોલાબા) જેવાં તેમનાં અન્ય નજીકના સંબંધીઓ અને પરિચિતોને મળવા પણ અમે ગયાં  રામકૃષ્ણ આશ્રમ સાથે મહેશભાઈના સંબંધ વિશે જાણ્યા પછી, કુંજલતાબેન મને સાંતાક્રુઝ (પશ્ચિમ) ખાતેના રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે લઈ ગયાં હતાં. તે દિવસે અમે મારાં માસી, મીનમાસી (લક્ષ્મીબેન ગુલાબરાય મહેતા)નાં દીકરી બકુલાબેન (જયવંતભાઈ વૈદ્ય)ને ઘરે પણ ગયાં હતાં.

આમ એ સમયનીની મારી મુંબઈની મુલાકાતોને પરિણામે મને અને સુસ્મિતાને  તેમજ મને અને કુંજલતાબેનને એકબીજાને ઓળખવાનું શક્ય બન્યું.

પ્રેમસંબંધ સંવનન

અમારા અંગત સ્તરે, અમારી સૌ પ્રથમ રૂબરૂ મુલાકાતની બસની સફરનો એ કલાક તે પછીના અમારા પત્રવ્યવહારનો પાયો બની ગયો. અમારા પત્રોના વિષયો અમારા વિચારો અને પસંદનાપસંદને પ્રતિબિંબીત કરતા, પરંતુ તેમાંની રજૂઆતમાં આદર્શ કે આડંબરને બદલે અમારી સ્વાભાવિક મૌલિક અભિવ્યક્તિ જ જળવાતી. એમ કહી શકાય કે અમે જેવાં હતાં તેવાં જ દેખાઈએ એવો પત્રનો સુર રહેતો. એકબીજાના પત્રના વિષય પરના અમારા પ્રતિભાવ પણ સહજ રહેતા હતા.

કામ સાથે સંકળાયેલી મારી મુંબઈનો મુલાકાતો દરમ્યાન વાતોના વિષય તરીકે પણ અમને એવા, પોતપોતાના રોજબરોજના જીવન વ્યવહારોના પ્રસંગો બહુ સહજપણે મળી રહેતા. જો પુરતો સમય હોય તો જુહુ બીચ સુધી ચાલતાં જવું અને ત્યાં થોડી વાર બેસવું અમને બહુ અનુકુળ જણાતું.

રૂબરૂ કે પત્ર દ્વારા થતી મુલાકાતમાં નવી નવી સગાઈ થયેલ બે અલ્પ-પરિચિત વ્યક્તિઓની જેટલી ઉત્કટ મુગ્ધતા હતી તેટલી જ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ એવી વિષયોની પસંદગી અને રજૂઆત રહેતી. આગામી દરેક પત્ર કે મુલાકાતનો અમને પહેલા પત્ર કે મુલાકાત જેટલી જ આતુરતાથી ઈતજાર રહેતો. પત્ર ખોલતાં વેંત તેમાં શું હશે તે જાણવાની ઉત્કટતા પણ એટલી જ હતી અને દરેક મુલાકાતમાં, પહેલી મુલાકાત સમયે આંખોના પહેલવહેલા સંપર્કમાં જે ચમક હતી તેવી જ ચમક ઝળકતી રહી હતી.

આ સમયગાળા દરમિયાન અમારી વચ્ચેના સ્વાભાવિક દૈહિક પ્રેમાકર્ષણને નિષ્કામ સંબંધના સ્તરે લઈ જવામાં ત્રણ સાંસારિક ઘટનાઓનો ફાળો અત્યારે ખાસ યાદ આવે છેઃ 

દિવાળીના દિવસો દરમ્યાન સુસ્મીતા અને કુંજલતાબેન અમદાવાદ આવ્યાં. સુસ્મિતા માટે, તે વૈષ્ણવોની જીવનશૈલીનો પહેલો, ઔપચારિક અને સંપૂર્ણ પરિચય હતો. અમારા બન્ને માટે, તે અમારા ભાવિ લગ્ન જીવનના એક પાસાનું લાઇવ ડ્રેસ-રિહર્સલ હતું.

એ દિવસોમાં મૉટા અમ્માએ (૧૯૯૧થી રિવાજો અને નિયમોમાં છૂટછાટ તરીકે હવે જાણીતાં) 'ઉદારીકરણ'ની બીજી વાર એક મહત્વની જાહેરાત કરી. તેમણે સુસ્મિતાને જાહેરમાં કહ્યું કે તેમની હાજરીમાં, અને સુસ્મિતાના સસરા (તેમના સમયથી પ્રચલિત એવા રિવાજ મુજબ મોટાં અમ્મા તેમના દીકરાઓને નામથી બોલાવતાં નહીં)ને જો વાંધો ન હોય તો તેમની હાજરીમાં પણ, સુસ્મિતા મને નામથી બોલાવી શકે છે. તે જ રીતે હું પણ સુસ્મિતાને નામથી બોલાવી શકું છું અને બધાંની હાજરીમાં અમે વાતચીત પણ કરી શકીએ છીએ. આ પહેલાં (મારા મોટા પિતરાઈ ભાઈ, મારા કાકા કમલભાઈ પ્રાણલાલ વૈષ્ણવના મોટા પુત્ર) દિવ્યકુમારભાઈના લગ્ન પછી તેમની પહેલી આવી ઘોષણા કરી હતી કે હવેથી પરિવારની પત્નીઓએ પરિવારના (પુરુષ) વડીલોના માનમાં લાજ કાધવાની જરૂર નથી. જેમણે ખૂબ જ રૂઢિચુસ્ત સમાજમાં પોતાનું જીવન વિતાવ્યું હતું એવાં, કુટુંબનાં મોભી દ્વારા આવી સ્વપ્રેરિત જાહેરાત મોટા અમ્માની ઉદાર વિચારસરણી અને નવી પેઢી પ્રત્યેના તેમના પ્રેમ અને નવી પેઢીની બદલતી તાસીર પ્રત્યે તેમની પરવાની ચીવટની દ્યોતક હતી !

[નોંધ: ત્યારથી પરિવારમાં લાજ કાઢવાનો શિષ્ટાચાર જાળવવાની પ્રથા તો નીકળી જ ગઈ. હા, સુસ્મિતા હજુ પણ મને નામથી નથી બોલાવતાં ! પતિને નામથી નામથી બોલાવવાની શરૂઆત લગભગ દોઢ દાયકા પછી, દર્શન (મારા નાના પિતરાઈ ભાઈ, મારા નાના કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવના દીકરા)નાં લગ્ન પછી તેનાં પત્ની અમી (આશ્લેષા) એ કરી.

સુસ્મિતા યાદ કરે છે કે મોટા અમ્માની પરવાનગી પછી, તેણે અને મહેશભાઈ (મારા પિતા)એ એકબીજા સાથે કામકાજ સબબ સીધી વાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આવા પ્રસંગો વખતે  મહેશભાઈ આંખનો સીધો સંપર્ક ટાળવાનું ધ્યાન રાખતા !]

બીજો પ્રસંગ મારાં માસી, ભાનુમાસી (ભાનુગૌરી ડોલરરાય અંજારિયા)ના અને સુસ્મિતાના પણ કાકા, (ડોલરરાય મોહનલાલ અંજારિયા) ના દીકરા- અક્ષય- ના લગ્નનો હતો. વરરાજાની જાનમાં લગભગ નાનાં મોટાં મળીને વીસેક સભ્યોનો સમાવેશ થતો હતો. ટ્રેન દ્વારા અમદાવાદથી જેતપુર (સૌરાષ્ટ્ર) સુધીની રાતની મુસાફરી કરવાની હતી. અમે ચાર હરોળની બેઠકોવાળા નાના કંપાર્ટમેન્ટમાં જગ્યા મળી. જાનના કેટલાક સભ્યોને ઉપર સામાનની છાજલી પર સુવાડવાની વ્યવસ્થા કરાઈ, ચારેક લોકોએ સીટોની વચ્ચેની જમીન પર 'પથારી' કરી. તેમ છતાં અમારામાંથી પાંચ, છ લોકોને નીચે બેસવાની 'સીટો' મળી. મને અને સુસ્મિતાને બાજુ-બાજુમાં બેસવાની (ખાસ) વ્યવસ્થા થઈ ગઈ. અમે એકબીજાના ખભા પર માથું ટેકવીને અમારી ઊંઘ 'માણી' !

ત્રીજો પ્રસંગ અમારાં લગ્નનું આયોજન કેવી રીતે કરવું તે અંગેની ચર્ચા સાથે સંબંધિત હતો. મારો મત હતો કે લગ્નનું આયોજન ખૂબ જ સાદાઈથી કરવુંવું જોઈએ જેથી તમામ ખર્ચ ટાળી શકાય. મારો પ્રસ્તાવ કોઈ આદર્શવાદ પર નહીં પણ મારાં ભણવાના ખર્ચ અને  પ્રગતિનગરનાં ઘરની ખરીદી પછીની અમારી આર્થિ સ્થિતિની વાસ્તવિકતા પર આધારિત હતો. આપણા રિવાજ મુજબ, વરરાજાના પક્ષે લગ્નવિધિ માટે કન્યા પક્ષને ત્યાં જવાનું હોય છે.  એ દૃષ્ટિએ, લગ્ન જો મુંબઈમાં થાય, તો અમારે અમારા બધાં સગાં સંબંધીઓનો અમદાવાદથી મુંબઈ સુધીના પ્રવાસનો ખર્ચ ઉઠાવવો પડે.આમ પણ, દરેકને અમદાવાદ આવવા-જવા માટે તો ખર્ચ તો  જ હોય છે. તે જ રીતે, કુંજલતાબેનના પક્ષે પણ તેમનાં લગભગ બધાં સગાંં મુંબઈની બહારથી આવવાનાં હતાં એટલે તેમના ભાગે પણ અમારા તેમ જ તેમના પક્ષને ઉતારા વગેરેની સગવડનો વધારાનો ખર્ચ ઉઠાવવો પદે તેમ થતું હતું.  મારો પ્રસ્તાવ એ હતો કે જો લગ્ન કોર્ટમાં નોંધણી કરાવીને કરવામાં આવે તો પરંપરાગત હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન નથી થઈ રહ્યાં એટલે ફક્ત કુટુંબનાં નજીકના સભ્યોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી શકાય. પરિણામે પરંપરાગત હિન્દુ રિવાજ સંબંધિત વિધિઓ સાથે સંકળાયેલ તમામ ખર્ચ ટાળી શકીએ છીએ. 

મેં મારો મત પહેલાં તો સુસ્મિતાને  જણાવ્યો. તે તો તરત જ સહમત થઈ ગયાં. મારા પ્રસ્તાવને મહેશભાઈ અને બેન કે કુંજલતાબેન દ્વારા ન સ્વીકારાયો. પરિણામે, મેં તેમને મારો દૃષ્ટિકોણ સમજાવવા માટે મારે તેમની સાથે લાંબી ચર્ચાઓ કરવાની આવી. અંતે, એમ નક્કી થયું કે લગ્નનું સ્થળ અમદાવાદ રાખવું અને લગ્ન વિધિમાં રિવાજને નહીં પણ સાદાઈને અગ્રતા આપવી. મારા પ્રસ્તાવનો એકમાત્ર ભાગ જે બદલાયો નહીં તે કોર્ટમાં નોંધણી દ્વારા લગ્ન સંપન્ન કરવાનો હતો. લગ્ન નોંધણી અધિકારી પણ લગ્ન સ્થળે આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આખી પ્રક્રિયા દરમિયાન, જીવનની ઘણી બાબતોને મારી 'શુષ્ક' નજરે જોવાના મારા સ્વભાવનાં એક પાસાંનો અનુભવ સુસ્મીતાને થયો ! ભવિષ્યના ઘણા પ્રસંગોમાં વખતે અમે કોઈ બાબત પર સંમત થવા કે ન થવા પાછળ અમારાં કારણો અલગ હોઈ શકે છે અને અમારો અભિગમ પણ જુદો પડી શકે છે એ બાબતનું આ ટ્રેલર હતુ ! એકબીજાના વિચારોને  સ્વીકારવા માટે અસહમત થવા માટે સહમત થવા જેટલું એકબીજાને સમજી શકીશું એ વિશ્વાસનો પાયો ઘડવામાં આ પ્રસંગનું યોગદાન કેટલું હતું તે આજે હવે વિચારતાં બહુ સ્પષ્ટપણે સમજાય છે.

લગ્નની તારીખ ૧૭ માર્ચ, ૧૯૭૭ નક્કી થઈ.