Showing posts with label Fading Memories. Show all posts
Showing posts with label Fading Memories. Show all posts

Sunday, September 14, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – સપ્ટેમ્બર, ૨૦૨૫

 હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ

હસરત જયપુરી  (મૂળ નામ: ક઼બા હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) - શંકર જયકિશન (મૂળ નામ: જયકિશન ડાહ્યાભાઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્રનાં સંયોજનને '૫૦ના દાયકામાં તેમનાં ગીતોનાં માધુર્ય, વાદ્યસજ્જામાં અવનવા પ્રયોગો અને ગીતોની બોલની સરળતાભરી બોધવાણીને કારણે ઉત્તરોત્તર સફળતા મળવા લાગી હતી. દરેક ફિલ્મમાં પાંચથી આઠ ગીતો હોય એવી વર્ષમાં પાંચ સાત ફિલ્મો કરવા છતાં ક્યાંય પણ તેમના પ્રયત્નો કે પ્રયોગોમાં ઉણપ ન હોય.

પરંતુ '૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી  હતી. વિષયોમાં બહુ વૈવિધ્ય ન હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ પ્રધાન - વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા લાગી હતી. 

આ બધા આંતરપ્રવાહો ભલે આપણો વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને

૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧ નાં,

૨૦૨૪માં ૧૯૬૪નો ભાગ ૨ નાં અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આ પહેલાં આપણે શંકર જયકિશને વર્ષ ૧૯૬૪ માટે સંગીતબદ્ધ કરેલી આઠ ફિલ્મોમાંથી સાત ફિલ્મોનાં હસર્ત જયપુરીએ લખેલાં ગીતો યાદ કરી ચુક્યાં છીએ. આજના મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪ના ત્રીજા ભાગમાં 'ઝિંદગી'નાં ગીતો યાદ કરીશું.

ઝિંદગી (૧૯૬૪)

'ઝિંદગી' શીર્ષક પર કુલ ૪ ફિલ્મો બની છે, જે પૈકી બીજી ત્રણ ૧૯૪૦ (સંગીતઃ પંકજ મલિક), ૧૯૫૬ (સંગીતઃ શફી નિયાઝી) અને ૧૯૭૬ (સંગીતઃ રાજેશ રોશન)માં  બની હતી. 

ઝિંદગી' (૧૯૬૪) માં ૧૩ ગીતો (બે ગીતો બબ્બે વર્ઝનમાં) હતાં. તે પૈકી શૈલેન્દ્રએ પાંચ ( ૧ ગીત બે વર્ઝનમાં) અને હસરત જયપુરીએ ૮ (૧ ગીત બે વર્ઝનમાં) લખ્યાં. 

પેહલે મિલે થે સપનોંમેં = મોહમ્મદ રફી 

મોહમ્મદ રફીના સ્વરમાં રાજેન્દ્ર કુમાર માટે જ ખાસ ઢાળમાં તૈયાર થતાં શંકર જયકિશનનાં રોમેન્ટીક ગીતો એમ વધારે નમૂનો અહીં પણ સાંભળવા મળે છે. જોકે આ ફોર્મ્યુલા હેઠળ તૈયાર થયેલાં ગીતો ધીમે ધીમે વધારેને વધારે બીબાં ઢાળ કક્ષાનાં બનતાં ગયાં.



ઘુંઘરવા મોરા છમ છમ બાજે =મોહમ્મદ રફી, આશા ભોસલે 

મહેમૂદને એક કમસે કમ એક ગીત તો ફાળવવું જ પડે તે મુજબનાં આ ગીતમાં શંકર જયકિશન, અને તેમની સાથે સાથે મોહમ્મદ રફી અને આશા ભોસલે પણ બરાબર ખીલ્યાં છે. સંગીત અને ગાયકીમાં, નાના નાના પણ, આકર્ષક પ્રયોગો માણી શકાય છે.



છુને દુંગી મૈં હાથ રે નજ઼રીયોંસે દિલ ભર દુંગી - લતા મંગેશકર, આશા ભોસલે

લગ્ન પ્રસંગનાં ગીતોને પોતાની રીતે, ભરપુર વાદ્યવૃંદથી, સજાવી ધજાવીને મુકવાની શંકર જયકિશનની ફાવટ અહીં પણ અનુભવાય છે.



એક નયે મેહમાન કે આને કી ખબર હૈ - લતા મંગેશકર 

ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે શંકર જયકિશનની લોકપ્રિયતાનો કસીને લાભ લેવા સારૂ ગીતો માટે પ્રસંગો શોધવામાં કસર નથી છોડી. શંકર જયકિશને પણ જરા પણ મનચોરી કર્યા વિના ગીત બનાવી આપ્યું છે. 

હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (આંનંદના ભાવનું વર્ઝન) - લતા મંગેશકર 

ફિલ્મમાં વૈજયંતિમાલા જેવાં અભિનેત્રી નર્તકી હોય એટલે નૃત્ય ગીતો વધારે મુકાયું હોય એ તો સમજાય છે. પરંતુ, સામાન્ય પણે નૃત્ય ગીતો શંકર રચતા હોય એવી માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે. જોકે ગીતની વાદ્યસજ્જામાં શંકરનો હાથ સ્પષ્ટપણે દેખાય છે. પરિણામે ફિલ્મના બધાં જ ગીતમાં બન્ને સંગીતકારોએ એટલું મળીને કામ કરેલું જણાય છે કે કયું ગીત શંકરનું અને કયું ગીત જયકિશનનું એવી ધારણા મુકવાનું લગભગ અશક્ય જ બની જાય છે. 



હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (કરૂણ ભાવનું વર્ઝન) - લતા મંગેશકર 

શંક્ર જયકિશને પૂર્વાલાપની રચના એક સરખી રાખી હોવા છતાં બન્ને ગીતના ભાવને ઉઠાવ આપવામાં સફળ રહ્યા છે. 

ખુબ ઊંચા સુરમાં સાખીની રજૂઆત પછી સુર થોડે નીચે લઈ જઈને મુખડો રજુ કર્યો છે. ગીતને ફિલ્મમાં ટુંકાવી નંખાયું છે, નહીંતર આખાં ગીતમાં શંકર જયકિશને કરેલા પ્રયોગો માણવાની સારી તક મળત !



પ્યાર કી દુલ્હન સદા સુહાગન - લતા મંગેશકર 

શંકર જયકિશને બેકગ્રાઉન્ડ ગીતો માટે મોહમ્મદ રફીની બહુખ્યાત અદાયગી બખુબી અજમાવી છે. ખાસા ઊંચા સુરમાં મુખડાની રજુઆત પછી કરૂણ રસને અનુકુળ નીચા સુરમાં ગીત ચાલે, પણ જેવી લાગણીની માત્રા ઉત્કટ બતાવી હોય એટલે થોડા ઊંચા સુરનો સહારો લેવાય. 



દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે - મન્ના ડે 

સ્વગતોક્તિ માટે માત્ર બે શેર જ મુક્યા છે, પરંતુ રાજ કુમારની સંવાદ અદાયગીની કાબેલિયતને બદલે મન્ના ડેના સ્વરનો ઉપયોગ કરાયો છે.

દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે
જોશ લુટે હુસ્ન કી સસૂર સે
હમ કબ તક ઝપ્ત કરતે રહે દર્દ-એ-દિલ
હાલે દિલ કેહના પડા તસવીર સે 

બાત દિલ કી ઝબાં  પર રહતી હૈ
લફ્ઝ હોંટો પર થર થરાતે હૈ 
તુમ સે જબ ભી નઝર મિલાતા હું 
મેરે અરમાન કાંપ જાતે હૈ 



આડવાત:

શંકર જયકિશને ગીતના પૂર્વાલાપ સમા એક ટુક્ડા માટે (૦.૨૯ સુધી) હમ દિલ કા કંવલ દેંગે ઉસકો માં પણ રાજ કુમાર માટે મન્ના ડેનો પાર્શ્વ સ્વર વાપર્યો છે. 

તેની સામે રાજેન્દ્ર કુમાર માટે મુસ્કરા લાડલે મુસ્કરા માં મોહમ્મદ રફીને બદલે મન્ના ડેને લીધા છે. 

આજ ભગવાન કે ચરનોંમેં - મોહમ્મદ રફી, આશા ભોસલે 

ફિલ્મનો અંત ટાઈટલ ગીતની તર્જથી કરવાની શંકર જયકિશનની આગવી રીત રહી છે. પરંતુ, અહીં તો ફિલ્મના અંતમાં એક નાનો ટુકડો જ મુકાયો છે તેના માટે પણ હસરત જયપુરી અને મોહમ્મદ રફી  - આશા ભોસલે જેવાં મોટાં કલાકારોનો ઉપયોગ કરાયો છે. 



હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આ શ્રેણીમાં હવે પછી ૧૯૬૫નાં ગીતોની યાદ તાજી કરીશું. 

 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, August 10, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ઓગસ્ટ, ૨૦૨૫

 

શૈલેન્દ્રનાં ગીતોની આર ડી બર્મન દ્વારા સ્વરબદ્ધ કરાયેલી રચનાઓ

શૈલેન્દ્ર  - શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬) - ની ફિલ્મ ગીતોની રચનાઓની વાત આવે એટલે તેમણે હસરત જયપુરી સાથે શંકર જયકિશનની રચનાઓની જ યાદ સામાન્ય રીતે આવે.

શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ ક્યારેક અલગ અલગ તો ક્યારેક સાથે મળીને અન્ય સંગીતકારો સાથે પણ અનેક યાદગાર ગીતો લખ્યાં છે. તે ઉપરાંત બીજા સંગીતકારો સાથે કોઈ ફિલ્મમાં અન્ય ગીતકારો સાથે અમુકતમુક ગીતો લખ્યાં હોય એવી પણ છએક ફિલ્મો હશે.

શૈલેન્દ્ર - એસ ડી બર્મનનું સહકાર્ય અને સલીલ ચૌધરીની સાથે તેમણે કરેલ સહકાર્ય તો શંકર જયકિશન બાદ સંખ્યાત્મક અને ગુણાત્મક બન્ને દૃષ્ટિએ મહત્ત્વનું રહ્યું છે. આપણે શૈલેન્દ્ર - એસ ડી બર્મનનાં સહકાર્યની શ્રેણી યોગ્ય સમયે અલગથી આ મંચ પર કરીશું.

૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં અન્ય સંગીતકારો સાથેનો લેખ -શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતોકર્યો તે પછીથી  આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

૨૦૨૧ - શૈલેન્દ્ર અને શાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય,

૨૦૨૨ - શૈલેન્દ્ર અને કિશોર કુમાર 

૨૦૨૩ - બસંત પ્રકાશ અને શૈલેશ મુખર્જી અને

૨૦૨૪ - નીનુ મઝુમદાર 

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલાં ગીતો સાંભળીશું.

આર ડી બર્મન સાથે શૈલેન્દ્રએ એક જ ફિલ્મ - છૉટે નવાબ (૧૯૬૧) - માટે ગીતો લખ્યા. સ્વતંત્ર સંગીતકાર તરીકે છોટે નવાબ આર ડી બર્મનની સૌ પ્રથમ ફિલ્મ હતી. 

છૉટે નવાબ નાં આઠ ગીતોમાં બે લતા મંગેશકરનાં સોલો, ત્રણ રફી - લતાનાં યુગલ ગીતો, એક રફી, શમશાદ બેગમનું યુગલ ગીત અને બે રફીનાં સોલો ગીતો હતાં.


ઘર આજા ઘીર આયે બદરીયા - લતા મંગેશકર 

ફિલ્મને ટિકિટ બારીપર સફળતા મળી હોત તો માલગુંજી રાગમાં સ્વરબદ્ધ આ ગીત જેવાં બીજાં ઘણાં ગીતો આર ડી બર્મન પાસેથી સાંભળવા મળી શક્યાં હોત. પરંતુ નિયતિની ચાલ કંઈક જુદી જ હશે એટલે આર ડી બર્મને પોતાનાં આગવા સ્થાનને સ્થાયી કરવા પાશ્ચાત્ય સંગીતનો આધાર લીધો.



ચુરા કે દિલ બન રહે હૈ ભોલે જૈસે કુછ જાનતે નહીં - લતા મંગેશકર 

મુજ઼રા ગીતોની આગવી શૈલીને અનુરૂપ આ ગીત રાગ ખમાજમાં સ્વરબદ્ધ કરાયું છે. 



કોઈ આને કો હૈ દિલ મચલને લગા - મોહમ્મદ રફી, શમશાદ બેગમ, સાથીઓ

કવ્વાલી થાટમાં સ્વરબદ્ધ થયેલાં આ એક માત્ર ગીત એવું છે જે શ્રાવ્ય સ્વરૂપમાં મળે છે. ગીતને ફિલ્મમાં નહીં લેવાયું હોય. એટલે જ, ફિલ્મનાં આઠ ગીતોમાંથી આ એક જ ગીત એવું છે, જે 'અજાણ્યું' કહી શકાય તેમ છે.


આજ હુઆ મેરા દિલ મતવાલા - મોહમ્મદ રફી, લતા મંગેશકર 

એકદમ ઝડપી લયમાં સ્વરબદ્ધ થયેલ ગીતમાં આર ડી બર્મને અંતરામાં ભારતીય તાલ વાદ્યોનો ઉપયોગ કર્યો છે. જોકે ગીત ઘણું જ કર્ણપ્રીય બન્યું છે.


મતવાલી આંખોવાલે ઓ અલબેલે દિલવાલે - મોહમ્મદ રફી, લતા મંગેશકર

ક્લબ ગીતમાં પણ આર ડી ગીતનું માધુર્ય બરકરાર રાખે છે.


   

જીનેવાલે મુસ્કરા કે જી - મોહમ્મદ રફી, લતા મંગેશકર,મહેમુદ 

જ્હોની વૉકરને પણ તેમનું 'ફરજીયાત ફાળવવું પડે' એવું ગીત મળે છે. જોકે શ્રોતા તરીકે આપણને તો એક વધુ સાંભળવું ગમે એવું હલકું ફુલકું ગીત મળ્યું છે.



આમચુમ તામચુમ કાલા બદામ ચુમ - મોહમ્મદ રફી, સાથીઓ 

મહેમૂદનો માનસિક વિકાસ નથી થયો એ બતાવવા માટે એક બાળગીત મુક્યું છે.  ઓછા માનસિક વિકાસ પર ભાર મુકવા  ઉસકે બાદ લોઝ શામ માં તોતડાતા ઉચ્ચારનો પ્રયોગ પણ કરાયો છે.



ઈલાહી તુ સુન લે હમાલી દુઆ - મોહમ્મદ રફી

આ ગીતને આર ડી બર્મનનાં સવકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મળવું જોઈએ.



અન્ય સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં શૈલેન્દ્રનાં ગીતોની સફર હજુ પણ ચાલ રહે છે ........


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, July 13, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – જુલાઈ, ૨૦૨૫

 

સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત:

બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૩ ()


મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું.  મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ.

મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય મોહમ્મદ રફીનાં યુગલ ગીતોને યાદ કરવાનો છે એટલે જે વર્ષે કોઈ સંગીતકાર સાથે જે જે ફિલ્મમાં સૌ પ્રથમ વાર મોહમ્મદ રફીનું એક કે એકથી વધારે યુગલ ગીત નોંધાય એ બધી ફિલ્મોનાં એ યુગલ ગીતો સાંભળવાનો હવે ઉપક્રમ રાખેલ છે. જો સ્ત્રી -પુરુષ યુગલ ગીત અને પુરુષ - પુરુષ યુગલ ગીત અલગ અલગ વર્ષમાં આવેલ હોય તો એ સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીત તે તે વર્ષમાં લઈશું. 

અત્યાર સુધી આપણે 

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં

૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,

૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,

૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં,

૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૩માં

૧૯૫૨નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં, અને

૧૯૫૩ (૧)નાં ગીતો ડિસેમ્બર ૨૦૨૪માં

                           આવરી ચૂક્યાં છીએ. 

આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીમાં વર્ષ ૧૯૫૩માં મોહમ્મદ રફીના ૧૫ સંગીતકારો સાથે ૫૧ જેટલાં યુગલ ગીતોને બે ભાગ વહેંચી નાખ્યાં હતાં ડિસેમ્બર ૨૦૨૪માં આપણે વિનોદ બલદેવ નાથ બાલી, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, બુલો સી રાની અને એસ ડી બર્મન એમ સાત સંગીતકારો સાથેનાં મોહમમ્દ રફીએ ગાયેલાં પ્રથમ યુગલ ગીતોને સાંભળ્યાં. આજના મણ મણકામાં હવે બાકી રહેલ સંગીતકારો સાથેનાં મોહમ્મદ રફીના પ્રથમ યુગલ ગીતોને સાંભળીએ.

અજી હમ ન કહતે થે કે દુનિયા ઝોલ હૈ  - લેહરેં (૧૯૫૩) - સુંદર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ: સી રામચંદ્ર 

કવ્વાલીની શૈલીમાં રચાયેલ આ કોમેડી ગીત મોહમ્મદ રફીનાં પુરુષ - પુરુષ યુગલ ગીતોમાં બહુ આગવું છે. સુંદર (મૂળ નામ સુંદર સિંઘ)[1] ગીતનો ઉપાડ કરે છે અને પહેલો અંતરો પણ ગાય છે તે પછી બીજા અંતરામાં મોહમ્મદ રફી જોડાય છે. 



ધોતી ઔર પતલુનમેં એક દિન લડાઈ - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર અને રામ કમલાની[2] સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન

મોહમ્મદ રફીના ત્રિપુટી ગીતોમાં પણ આ ગીત અનોખી ભાત પાડે છે. 



કહીં સે ઊંચી કહીં સે નીચી સડક ઝમાનેકી - માલકિન (૧૯૫૩) - કિશોર કુમાર સાથે - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રોશન 

મોહમ્મદ રફી અને કિશોર કુમારમાં ૫૯ યુગલ અને યુગલ (+) ગીતો પૈકી ૩૩ યુગલ ગીતોમાંથી આ યુગલ સૌ પ્રથમ છે એવી નોંધ જોવા મળે છે.



ભગવાન તેરે ઘરકા સિંગાર જા રહા હૈ - નાગ પંચમી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ જી એસ નેપાલી – સંગીત: ચિત્રગુપ્ત 

બેકગ્રાઉન્ડ ગીતોના પ્રકારમાં યુગલ ગીત જલદી સાંભળવા નથી મળતાં.



છમ છમ નાચે મેરે નૈનોં મેં પ્યાર - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ અંજુમ જયપુરી – સંગીત: એસ એન ત્રિપાઠી 

એસ એન ત્રિપાઠીની સંગીત શૈલીની છાંટ આ યુગલ ગીતનાં માધુર્યમાં સાંભળી શકાય છે.



હમ ઔર તુમ જો મિલ ગયે તો ખીલ ગઈ બહાર હૈ - નવદુર્ગા (૧૯૫૩) - ગીતા દત્ત સાથે - ગીતકારઃ રમેશ ચંદ્ર પાડેય - સંગીત એસ એન ત્રિપાઠી 

અજાણી ધાર્મિક ફિલ્મનાં ગીત તરીકે આ યુગલ ગીતને ધ્યાન ન આએ તો એક અનોખાં યુગલ ગીતને સાંભળવાની તક ગુમાવીએ એમ છે. ધીમા તાલમાં ઉપાડ થયા પછી તાલ થોડો વેગ પકડે અને મુખડો પુરો થતાં ફરી ધીમો પડે એમ તાલમાં ધીમી મધ્યમ લય વડે ગીતની સજાવટ કરવામાં આવી છે.



મેરી ઝિંદગી હૈ તુ મુઝકો તેરી જુસ્તજૂ - પાપી (૧૯૫૩) - આશા ભોસલે સાથે - ગીતકારઃ સુરજીત સેઠી - સંગીતઃ એસ મોહિન્દર 

રફી અને આશાના સ્વરમાં રાજ કપૂર અને નરગીસ રૂસણાં - મનામણાં કરે છે. 



દેવતા હો તુમ મેરા સહારા - દાએરા (૧૯૫૩) - મુબારક બેગમ સાથે - ગીતકારઃ કૈફ ભોપાલી - સંગીતઃ જમાલ સેન 

ધ્યાનથી સાંભળીએ તો આ ગીત આપણને અલૌકિક તંદ્રામાં લઈ જાય.  આ સમુહ સ્વરો સાથે પ્રયોજાયેલ આ યુગલ ગીતને હું હિંદી ફિલ્મોનાં શ્રેષ્ઠ યુગલ ગીતોમાં અગ્રસ્થાન આપીશ.


ધીરે ધીરે સંગ મેરે ગાઓ ઓ બાબુજી - રંગીલા (૧૯૫૩)[3] - આશા ભોસલે સાથે - ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ જમાલ સેન 

આ ફિલ્મમાં રફી અને આશા સાત યુગલ ગીતો છે તેમાંથી આ ગીત તો મેં કોઈ ખાસ કારણ વગર જ રજૂઆત માટે કર્યું, પણ પછી ગીત સાંભળતાંવેંજ જ જણાયું કે પરદા પર ગીત ગાતા ભગવાન માટે અતૂટ ગણાતા ચીતળકર (સી રામચંદ્ર)ના પાર્શ્વસ્વરમાં જ મોહમ્મદ રફીએ ગીતની રજૂઆત કરી છે ! 



રફી/ આશાનાં આ ફિલ્મનાં સાત યુગલ ગીતો પૈકી પાંચ એસ એહ બિહારીએ લખ્યાં છે. અહીં બીજાં ચાર ગીતોની નોંધ લઈએ -

રફી  / આશાનાં બાકીનાંબે યુગલ ગીતો એહસાન રિઝ્વીએ લખ્યાં છે - 

ગોકુલ કી ઈસ રાસકો કરને ચકના ચૂર - શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૯૫૩) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીરઃ આર સી બોરાલ 

ખાસ્સી મુશ્કેલ ગીતબાંધણી છે. 



મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં યુગલ ગીતોના જ બની રહેલા રસપ્રદ યોગાનુયોગ સાથે મોહમ્મદ રફીનાં ૧૯૫૩નાં સર્વ પ્રથમ યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૭ - ૧૯૫૩ના બીજા પંચવર્ષીય ખંડની સમાપ્તિ કરીએ.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.



[1] અરૂણકુમાર દેશમુખ તેમના લેખKehta hoon sach ke jhhoothh ki aadat nahin mujheમાં સુંદર વિશે બહુ વિગતે માહીતી રજૂ કરે છે.

[2] અરૂણકુમાર દેશમુખના લેખDhoti aur patloon mein ek din huyi ladaayiમાં આ ફિલ્મ અને રામ કમલાની વિશે બહુ રસપ્રદ માહીતી રજૂ કરાઈ છે.

[3] અરૂણકુમાર દેશમુખ તેમના લેખ Diyaa jale chamke taara માં નોંધ લે છે કે ભગવાનની લોકપ્રિયતાના જુવાળનાં વળતાં પાણીની શરૂઆત 'રંગીલા'થી થઈ ગણાય. તે પછી ભગવાને એ સુવર્ણ દિવસોની લોકપ્રિયતા મેળવવા બહુ હવાતિયાં માર્યાં, પણ નેવેથી ઉતરેલાં પાણી ફરી મોભે ન જ ચડ્યાં.