ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Sunday, November 2, 2025
પ્રણયભાઈ (ઉષાકાંત ધોળકીઆ)ને સ્મરણાંજલિ
ઘણાં વર્ષો પછી હું જે કંપની માટે કામ કરતો અને તે જે કંપની માટે કામ કરતા એ બંને કંપનીઓ વચ્ચે એક સરખી કહી શકાય એવી પ્રોડક્ટ્સ (પાઈપ્સ) અને ફેક્ટરીઓનાં સ્થળ (અમદાવાદમાં કાળીગામ) પણ નજદીક હતાં દેખીતી રીતે આમાનું એક પણ પરિબળને અમારા સંબંધને જોડવા માટે કોઈ કારણ ન ગણાય. તેમ છતાં ન સમજાય એવું બળ અમને ભવિષ્યમાં નજદીક લાવવાનું મૂળ બનવાનું હશે એટલે જરા પણ લાગુ ન પડે એવું આ પરિબળ અમારા સંબંધને અલગ પરિમાણ આપવાનું કારણ બન્યું. આગળ જતાં જ્યારે અમારા સંબંધમાં પ્રત્યક્ષ કડી ઉમેરાઈ ત્યારે ઘણી વાતોમાં અમારા આ સમયના અનુભવોની વાતો મને તેમની વ્યવહારદક્ષ ક્ષમતાને સમજવામાં મદદરૂપ બની છે.
હજુ સુધી ઓળખાણની પ્રક્રિયા અપ્રત્યક્ષ જ હતી. તેને અછડતું પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું સમીર સાથેની એચ - એલ કોલોની (૧૯૬૫ થી ૧૯૬૯નાં વર્ષો) દરમ્યાન વિકસેલી મિત્રતાને કારણે. તે પછી ખરા અર્થમાં પ્રત્યક્ષ પરિચય વિકસવાનું શરૂ તો છેક '૮૦ના દાયકામાં એ લોકો પહેલાં વાડજમાં વોલ્ગા ફ્લેટ્સમાં અને પછી નારણપુરામાં શુભલક્ષ્મી ફ્લેટ્સમાં અને અમે લોકો પ્રગતિનગરમાં સ્થાયી થયાં ત્યારથી થયો. હજુ પણ પરિચય હતો તો દર વર્ષે નવરાત્રીમાં શક્રાદય સ્તુતિ વખતે કે નવાં વર્ષે જનાર્દનભાઈને ઘરે મળવાનું થઈ જાય એવાં ઔપચારિક સ્તરે જ હતો.
એવા પ્રસંગોએ જ્યારે જ્યારે તેમનાં શુભલક્ષ્મી ફ્લેટનાં ઘરે જવાનું થતું ત્યારે તેમની સુશોભન કળાની ગોઠવણીઓ અને સાધન સામગ્રીને પસંદગીઓની સરળતાની બારીકીઓ એટલી ઔપચારિક મુલાકાતમાં પણ નજરે ચડ્યા વિના ન રહેતી. સમીરને કારણે શારદાબેન અને પદાભાના સ્વાદ સંબંધી પરફેક્શનના આગ્રહની મને ખબર હતી. પરફેક્શનનો આવો આગ્રહ પ્રણયભાઈને ઘરનાં તેમનાં સુશોભન બાબતે પણ હશે તે પણ ધ્યાન પર આવ્યા વિના ન રહેતું.
એ સમયનાં 'નારણપુરાનાં નાગર પરિવારો'ની જે કંઈ મિલન મુલાકાતો થતી ત્યારે વાતનો કોઈ વિષય ન હોય તો 'કાળીગામ'ના તેમના અનુભવો અમને હાથવગો વિષય બની રહેતો. એ પછી જ્યારે મેં અમારા મિત્રો સાથે અમારૂં (પહેલું) નાના પાયા પરનું ઔદ્યોગિક સાહસ ખેડ્યું ત્યારે પ્રણયભાઈની વ્યાવહારિક કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની મને સમજણ પડવા લાગી. તેમની સાથે ઓળખાણ વધારે ઘનિષ્ઠ બની શકી તેમાં આ પરિબળનો ફાળો પણ મહત્વનો ગણાય.
અમે જ્યારે એચ - એલ કોલોનીમાં રહેતાં એ સમયે મોતીભાઈ (મનહરભાઈ જયંતિલાલ વૈષ્ણવ) પોતાને 'સરકારી' નોકરીની જીવનશૈલીની બાબતે 'બીજી નાતના' ગણાવતા. તેઓ હંમેશાં કહે કે 'આ લોકો'ની જીઆર / સીઆરની ભાષા જ સમજાતી નથી. એવું જ મારૂં અને પ્રણયભાઈનું 'નારણપુરા મિલનો' સમયે અમે બન્ને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા હતા તેને કારણે થતું. અમારી નોકરીઓનાં 'સુખ દુઃખ'ની વાતોમાં બીજાં કોઈને બહુ રસ ન પડે, એટલે પ્રણયભાઈ અમને 'સમદુખીયા' કહેતા.
પ્રણયભાઈ તો દરેક બાબતને તેમની સહજ વ્યવહારકુશળતાથી આસાન કરી શકવાનો જાદુઈ ઈલ્મ જાણતા હતા. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બાંધી જાણતા અને કેળવી પણ શકતા. આ બાબતે, સ્વભાવગત રીતે હું ઔપચારિક સંબંધોમાં સપાટીથી વધારે આગળ ન વધી શકનારો. પરંતુ, આ 'સમદુખીયા'પણાને કારણે, મારા કરતાં ઉંમરમાં ઘણા વડીલ હતા, છતાં હું તેમની સાથે 'મિત્ર' તરીકે નજદીકી અનુભવતો.
તે પછી '૯૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી કામ સબબ અમારે જી ડબલ્યુ એસ એસ બોર્ડ (GWSSB) દ્વારા અમલીકરણ કરાઈ રહેલા નર્મદા પાઈપ લાઈન તરીકે જાણીતા પ્રોજેક્ટને કારણે હવે એક ‘કોમન ગ્રાહક’ સાથેનાં કામ માટે સીધું મળવાનું થવા લાગ્યું. તેને કારણે અમારી ઓળખાણ ઘણે અંશે એકબીજાનાં કામકાજ અંગેનાં સંબંધ પુરતા પરિચયમાં વિકસવા લાગી. અમારી એક હરિફ કંપનીનું બોર્ડ સાથેનું કામ સંભાળતા કિરણભાઈ સાથે તેમના થકી થયેલો પરિચય મને બહુ જ ઉપયોગી નીવડેલો. પ્રણયભાઇનો હું સંબંધી થાઉં એટલે કિરણભાઈ જે બાબતોમાં કોઈ હરીફ કંપની મદદ કરવા ન ઈચ્છે એવી બાબતોમાં પણ કિરણભાઈએ નિંઃસંકોચપણે મદદ કરી હશે.
એ જ વર્ષો દરમ્યાન નાગર મંડળના કાર્યક્રમોનાં આયોજનમાં તેમનો ટેકો અને તેમના સૂચનો અમને વધારે નજદીક લાવવામાં ઉદ્દીપક બન્યો. તેમની વ્યવહાર કુશળતા અને સમસ્યાઓનાં ઉપાયોનાં સરળીકરણની સૂઝની અલપ ઝલપ ઓળખાણ હવે સન્માનનીય પરિચયમાં પરિવર્તિત થવા લાગી હતી.
ભૂમિકા અને તાદાત્મ્યનાં લગ્નના સંબંધે તો પ્રણયભાઈ હવે કાયદેસરના વડીલ હતા. પરંતુ, પ્રણયભાઈએ એ સંબંધના તેમનાં સ્થાનની ગરિમા અને અમારા અત્યાર સુધીના સંબંધમાં કેળવાયેલા પરિચયમાં કેળવાયેલ અનૌપચારિકતા વચ્ચે અદ્ભૂત સંતુલન જાળવી રાખ્યું.
પ્રણયભાઈ અને સરલાબહેન પહેલી જ વાર જ્યારે ભૂમિકાને ઘરે બેંગલુરૂ ગયાં ત્યારે તેમણે પ્રેમાળ વડીલની રૂએ ત્યાં તેમને કેવી મજા આવી, તાદાત્મ્ય અને ભૂમિકા એમનું બન્નેનું કેટલું રાખે છે વગેરે અનેક રીતે ખુબ ખુબ હર્ષ વ્યક્ત કર્યો. તે પછી જ્યારે જ્યારે પ્રણયભાઈ ભૂમિકાને ઘરે જાય ત્યારે ત્યાંથી જ એટલા જ ઉમળકાભેર કેટલી મજા આવી તેનો ફોન અચૂક કરે. તનય, ભૂમિકા અને તાદાત્મયની પ્રગતિને લગતી દરેક બાબતો વખતે પણ તેમનો હર્ષ વ્યક્ત કરતો ફોન હોય જ. તદુપરાંત તેમનાં દરેક દૌહિત્રના તેમજ જમાઈ - દીકરીઓના પણ ખુશીના પ્રસંગોના સમાચાર અમને એટલી જ આત્મીયતાથી આપે. અમારા પ્રસંગો પણ ચૂકે તો નહીં જ. બેન (મારાં મા)નું હિપ બોન બદલવાનું ઑપરેશન થયું ત્યારે હૉસ્પિટલમાં ખબર પૂછવા આવેલા. સુસ્મિતાની બીમારીઓ વખતે પણ તેઓ નિયમિતપણે ખબર પૂછતા રહેતા. તનયનાં યજ્ઞોપવિત પ્રસંગે હું અને સુસ્મિતા હૉલમાં દાખલ થયાં એવા જ પ્રણયભાઈ અમારી પાસે આવ્યા, પ્રસંગની અમને શુભેચ્છાઓ આપી અને પછી તરત ત્યાંથી ખસી ગયા જેથી હવે અમે બીજાં મહેમાનોને ધ્યાન આપી શકીએ. ભૂમિકા અને તનયને પ્રસંગોચિત ભેટ તેઓ તરફથી ચૂક મળે. આ દરેક બાબતોમાં તેમની પર્ફેક્શનની દૃષ્ટિની સાથે સાથે તેમનાં સ્થાનની ગરિમા અને અમારી સાથેના જૂના સંબંધની અનૌપચારિકતા વચ્ચે સંતુલન જાળવી શકવાની તેમની અનોખી સૂઝ તો કળાતી જ રહે.
દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડી શકવાની તેમની કળાનું સૌથી વધુ ઉપયુક્ત ઉદાહરણ તેમણે ધીરૂભાઈ સાથે (પણ) કેળવેલો સંબંધ મને હંમેશાં યાદ રહેશે. અમે લોકો ૧૯૭૪ની આસપાસથી પ્રગતિનગર રહેવાં આવ્યાં ત્યારથી વાળ કપાવવા હું ધીરૂભાઈની દુકાને જતો. એટલે સુધી કે ધીરૂભાઈ (મારા પિતા) મહેશભાઈ અને (મારા મિત્ર મહેશ માંકડના પિતા) દિલીપભાઈની પ્રાર્થના સભામાં હાજર રહેલા. તાદાત્મ્યના વાળ ઉતારવાની વિધિ પણ એમણે જ કરેલી. તનયના વાળ ઉતરાવવાનો પ્રસંગ હતો ત્યારે સ્વાભાવિકપણે આપણે ધીરૂભાઈને જ આ વિધિ માટે બોલાવેલા. ધીરૂભાઈના આવ્યા પછી તૈયારીઓ કરતાં જે પાંચ દસ મિનિટ ગઈ હશે અને પછીથી તેમણે નાસ્તો કર્યો ત્યારે જે દસપંદર મિનિટ મળી હશે, એટલી વારમાં પ્રણયભાઈએ સંબંધના તાર ધીરૂભાઈ સાથે જોડી ળીધેલા. ધીરૂભાઈને નાસ્તો આપ્યો ત્યારે પ્રણયભાઈએ પોતાનો નાસ્તો પણ સાથે મંગાવ્યો અને ધીરૂભાઈ સાથે નાસ્તો કરતાં કરતાં ધીરૂભાઈનો સંકોચ બહુ સહજતાથી દૂર કરી નાખ્યો હતો. એ પછી જ્યારે હું વાળ કપાવવા ગયો ત્યારે ધીરૂભાઈએ પહેલવહેલી વધામણી ખાધી કે તમારા વેવાઈ પણ અહીં આવ્યા હતા. તે પછી હું જ્યારે જ્યારે વાળ કપાવવા જાઉં ત્યારે ધીરૂભાઈને તનયની કોઈને કોઈ નવી વાત ખબર હોય. પ્રણયભાઈ સાથે એ બાબતે ફોન પર જ્યારે પણ વાત થાય ત્યારે ખયાલ આવે કે ધીરૂભાઈ અને તેમના પરિવાર વિશે હુંં ચાલીસ વર્ષમાં જે નહોતો જાણતો એવું બધું પ્રણયભાઈને ખબર હોય!
કઈ વ્યક્તિની કઈ બાબતે વેવલેન્થ મળી શકશે તે જાણી અને તેની સાથે એ વેવલેન્થ પર સંબંધ કેળવી લેવાની પ્રણયભાઈની કળા તો તેમનાં વ્યક્તિત્વનાં અનેક અદ્ભૂત પાસાંઓમાંનું એક જ પાસું હતું.
તેમની હવે ભૌતિક હાજરી ન હોવા છતાં આવી તો અનેક યાદોનાં સ્મરણો તેમની ખોટ સાલવા ન દેવા માટેનું આપણને બળ પુરું પાડતી રહેશે. તેમના આત્માને ચિરઃશાંતિ મળે તેવી પ્રાર્થના સાથે .........
Saturday, October 18, 2025
મારા દાદા - પ્રાણશંકર વાધજી વૈષ્ણવ
અમે બધાં અમારા દાદા - પ્રાણશંકર વાઘજીભાઈ વૈષ્ણવ
(૧૮૯૫ - ૧૯૬૪) - ને બાપુ કહેતાં.
તેમને ચાર મોટાંબહેનો, એક નાનાં બહેન અને એક
મોટાભાઈ હતા.
તેમના અને મોટાં અમ્મા (મારાં દાદી - રેવાકુંવર
પ્રાણલાલ વૈષ્ણવ)ને ત્રણ દીકરાઓ - કમળકાંત (મારા મોટા કાકા, કમળભાઈ),
મહેશ્વર (મારા પિતા, મહેશભાઈ) અને જનાર્દનરાય
(મારા નાના કાકા, ગોરા કાકા) હતા. સમગ્ર વૈષ્ણવ પરિવાર 'વૈષ્ણવ વંશાવળી'ના સંબંધિત પાનાંઓ[1]માં
જોઈ શકાય છે.
મને સમજણ છે એટલે સુધી , બાપુ એ
સમયનાં કચ્છ રાજ્યનાં રજવાડામાં મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા.
મહેશભાઈનાં લગ્ન થયાં તે વર્ષ (૧૯૪૮)ની આસપાસ જ બાપુ નિવૃત થયા હતા. તે પછી તેમણે
લગભગ ૧૯૫૮ સુધી રાજસ્થાનનાં સિરોહી રાજ્યનાં રાજમાતા (જે કચ્છ રાજવી પરિવારનાં
પુત્રી થતાં), ગુલાબકુંવરબાના કામદાર (અંગત સેક્રેટરી) તરીકે
કાર્યરત રહ્યા.
ઉપરના ફોટામાં બાપુએ જે પાઘડી પહેરી છે તે કચ્છી
પાઘડી કહેવાતી. હું જ્યારે પાચેક વર્ષનો હઈશ ત્યારે બાપુ પાઘડી બાંધે ત્યારે
પાઘડીનાં કપડાંના એક છેડાને પકડી રાખવાનું કામ મારૂં રહેતું. પહેલાં કપડાંને ઘડીઓ
વાળીને સપાટ રોલ બનાવવાનો. પછી એ સપાટ રોલને બાપુ પાઘડીની જેમ પોતાના માથાં પર
બાંધતા જાય. મને ન તો બાપુ ઘડી વાળતા હોય ત્યારે કે માડ માંડ ઘડી વળાઈ જાય પછી
રોલને ખેંચીને ટાઈટ પકડી રાખવાનું પણ આવડતું નહી. એટલે, બાપુ
માટે ફરી ફરીને એકડેથી શરૂ કરીને પાઘડી બાંધવાનું કામ કેટલું અઘરૂં થઈ પડતું હશે એ
કલ્પના કરૂં છું તો આજે મને પણ પરસેવો વળી આવે છે. અને તેમ છતાં, મને સમજાવી સમજાવીને બાપુ પાઘડી
તૈયાર કરી લેતા ! તેઓ જે ધીરજથી મને તાલીમ આપતા એ પાઠ મને મારી કારકિર્દી દરમ્યાન
યાદ આવ્યા હોત તો કેવું સારૂં થાત!
એ વર્ષોમાં જમવા કરવા અને શાળાએ જવા સિવાયનો મારો
મોટા ભાગનો સમય તો મારાં માસી (ભાનુમાસી - ભાનુબેન ડોલરરાય અંજારીઆ)ના દીકરાઓ, અક્ષય
અને જસ્મીન, સાથે ભાનુમાસીને ત્યાં રમવામાં જ ગાળવામાં મને
રસ રહેતો. એટલે જે દિવસે બાપુએ નવી પાઘડી બાંધવાની હોય તે દિવસે સવારે જમતી વખતે જ
મને કહી દેવામાં આવે કે આજે બપોરે પાઘડી બાંધવાની છે એટલે મારે તે પછી રમવા જવું.
જેવી પાઘડી બંધાઇ જાય એટલે બાપુને પૂછું, બાપુ હવે જાઉં?
બાપુ જેવા હા પાડે એટલે બદુકમાંથી છૂટેલી ગોળીની ઝડપે ભાનુમાસીના ઘર
તરફ દોટ મુકું.
બાપુનું દેહાવસાન થયું ત્યારે મારૂ ઉંમર ચૌદ વર્ષની
હતી. એટલે એ દાદા અને એ ઉંમરના પૌત્ર વચ્ચેના સંબંધથી વધારે બાપુનો પ્રત્યક્ષ
પરિચય થવાની મને તક ન મળી. તેમ છતાં, સમજણા થયા પછી મને બાપુનાં વ્યક્તિત્વનાં બે પાસાં જરૂર જાણવા મળ્યાં -
મોટાં અમ્માંના અવસાન પછી બધાં દાવેદારોની હાજરીમાં
ગોરાકાકાએ બાપુનું વસિયતનામું વાંચી સંભળાવેલું. આજે એ દસ્તાવેજની વિગતો પ્રસ્તુત
નથી રહી. પણ મહત્વનું એ છે કે બહુ જ સુંદર અક્ષરોમાં એ દસ્તાવેજ બાપુના
હસ્તાક્ષરોમાં લખાયો હતો. તેમાં તેમની વિચારસરણી સ્પષ્ટતા જેટલી ધ્યાન ખેંચતી હતી
તેનાથી કદાચ વધારે એમાં ત્રણેય દીકરાઓને મિલ્કતની
વહેંચણીમાં તેમની ઔચિત્ય પ્રમાણિકતા મને વધુ સમજાઈ.
દૂધપાક અને આખી બુંદીના લાડુની સાથે સેવ (બાપુ 'સેવકળી'
કહેતા) બાપુની પ્રિય વાનગીઓ ગણાતી. એટલે વર્ષો સુધી ધનતેરસના દિવસે
દૂધપાક કરવો અને દિવાળીના દિવસે આખી બુંદીના લાડુ અને સેવ કરવાનો વણકહ્યો રિવાજ
ચાલતો રહ્યો હતો.
![]() |
બાપુઃ આશરે ૨૬ વર્ષની ઉમરે
![]() |
બાપુઃ તેમના પદાનુરૂપ પહેરવેશમાં - સ્થળઃ કદાચ, સિરોહી.
![]() |
| બાપુ અને સિરોહીના રાજાના કામદાર |
![]() |
ગોરાકાકા,
બાપુ અને મહેશભાઈ.
|
બાપુની નિવૃતિ પહેલાં કે પછી તરતનો સમય |
![]() |
બાપુ - કંડલા - આશરે ૧૯૬૪ કે '૬૪ |
Sunday, October 5, 2025
મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ
![]() |
મોટાં અમ્માં - વર્ષ : આશરે ૧૯૫૫ કે '૫૬ |
હું ચૌદ વર્ષનો થયો ત્યાં સુધી તો મોટાં અમ્માં સાથેનો મારો સંબંધ કોઈ પણ પ્રેમાળ દાદીનો તેનાં બાળ પૌત્ર - પૌત્રી પ્રત્યે હોય એવો જ રહ્યો. એમનો પ્રેમ વરસતો રહે પણ ઘરમાં બીજાં બધાં સભ્યો પણ હોય એટલે નાનાં મોટાં કામ સિવાય ખાસ વાતચીત કરવાનો પ્રસંગ ન પડે. પરંતુ મારાં મોટાં બહેન, દેવીબેન (મિનાક્ષીબેન - મારા મોટાકાકા, કમળભાઈ વૈષણવનાં મોટાં દીકરી)ની દીકરી ગાયત્રીનો જન્મ ( ૨ સપ્ટેમ્બર, ૧૯૬૪) થયો ત્યારે મારાં માએ દેવીબેન પાસે ત્રણ ચાર દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. એટલે ઘરમાં રસોઈ કરીને બધાંને જમાડવાનું કામ મોટાં અમ્માંએ કરવાનું હતું. સવારે મારા પિતા (મહેશભાઈ વૈષ્ણવ) જમીને ઑફિસ જાય, મારાં મા અને દેવી બેન માટેનું ટિફિન પણ લઈ જાય, બાપુ (મારા દાદા - પ્રાણલાલભાઈ વૈષ્ણવ) પણ જમાડે - તેમને પીરસવાનું કામ મારૂં - ને હું પણ જમીને શાળાએ જઉં એ બધું જ મોટાં અમ્માં ખુબ સરળાથી કેમ કરી લેતાં હશે તે તો મને આજે પણ સમજ નથી પડી.
એટલુ જ નહીં, પહેલે દિવસે મોટાં અમ્માંએ મારા માટે પાંચ છ પડની રોટલી કરી. રોટલી એટલી સ્વાદિષ્ટ અને નરમ હતી કે હું પણ ચારેક રોટલી તો ઝાપટી ગયો. બીજે દિઅવસે તેમણે રસોઈની શરૂઆત કરી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ગઈ કાલે તો હું ચાર નહીં પણ ચોવીસ રોટલી ખાઈ ગયો છું. એટલે મેં મોટાં અમ્માંને કહ્યું કે કાલે તો ચોવીસ રોટલી ખાઈ ગયો. આજે એટલું જ કમાડશો. તેઓ બહુ જ પ્રેમથી હસ્યાં અને મને સમજાવ્યું કે એ તો માંડ સાત આઠ રોટલી જેટલું જ થાય એ રીતે બને ! એટલે મેં કહ્યું કે હું તો દરરોજ એટલું પણ નથી જમતો. એટલે તેમણે (માત્ર [!]) બે પડની રોટલીઓ બનાવી, જે પણ હું ચારેક તો ખાઈ જ ગયો.
બે પડની રોટલી બનાવવાની પ્રથા તો ઘરમાં મેં પહેલેથી જોઈ હતી, અને તે પછી પણ જમવામાં તે એક ખાસ વાનગી તરીકે આજે પણ નિયમિતપણે બને છે. પરંતુ, એ દિવસોમા જે રોટલી જમ્યો છું તેનો સ્વાદ તો અલૌકિક જ હતો.
તે પછી, જ્યારે મહેશભાઈની બદલી દાંતીવાડા થઈ ત્યારે હું અને મારાં પત્ની, સુસ્મિતા, અમદાવાદ રહેતાં ત્યારે મોટાં અમ્માં પણ ઘણી વાર અમારી સાથે રહ્યાં હતાં. એવા દરેક પ્રસંગે કમસે કમ એક વાર તો મોટાં અમ્માં બે પડવાળી રોટલી કરીને અમને જમાડતાં જ.
મારા દાદાના દેહાવસાન વિધિઓ દરમ્યાન તો મોટા અમ્માં મનની અંદર અંદર રડ્યાં જ કરતાં રહ્યાં હતાં. પરંતુ એ દિવસોમાં તો બહુ અવર જવર રહી, વિધિઓને લગતાં અનેક કામો પણ થતાં રહ્યાં એટલે તેમની આ અવસ્થાને બધાંએ સંદર્ભ સમોચિત ગણી લીધી હશે. પરંતુ એ વિધિઓ પુરી થઈ ગઈ એ દિવસે પણ મોટાં અમ્માં અસ્વસ્થ તો હતાં જ, અને જમી પણ નહોતાં રહ્યાં. મારા બન્ને કાકાઓ (સૌથી મોટા કમળભાઈ અને સૌથી નાના જનાર્દનભાઈ૦ અને મારા પિતા, મહેશભાઈએ કદાચ પહેલી જ વાર એક સાથે મળીને મોટાં અમ્માં સાથે સંવાદ રચીને તેમનાં દુઃખને હળવું કરવાના પ્રયાસો આદર્યા. બે એક દિવસના પ્રયાસો પછી પણ મોટાં અમ્માં જમતાં નહોતાં સવારે અને બપોરે માત્ર ચા પીએ એટલો જ ખોરાક તેઓ લેતાં. હવે બધાં મુઝાયાં. બધા ભાઈઓ મળીને એક યોજના ઘડી. એ લોકોએ અમને - દેવીબેન, દિવ્યકુમારભાઈ, ઉપેન્દ્રભાઈ અને મને - તેમનાં પોતરાંઓને હવે મોટાં અમ્માંને સમજાવવાનું કામ સોંપ્યું. સ્વાભાવિક છે કે દાદીને તેમનાં પોતરાંઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય, અને મોટાં અમ્માંને તો અમારા બધા માટે બેહદ પક્ષપાત હતો એ તો બધાં - અને અમે પણ - સમજતાં હતાં. એટલે, આજે જ્યારે હું વિચારૂં છું ત્યારે તે કદાચ 'બ્રહ્માસ્ત્ર' જ કહી શકાય. અમારી વિનવણીઓ, દેવીબેનનાં આંસુ, વગેરે કંઈ કામ નહોતું આવી રહ્યું. ઉપેન્દ્રભાઇ અને મને (અમે ત્યારે અનુક્રમે ૧૭ અને ૧૪ વર્ષના હતા!), બન્નેને કેમ નહીં પણ અચાનક જ એકસાથે સ્ફુર્યું અને અમે બોલી પડ્યા કે તો અમે પણ નહી જમીએ. આ ધડાકાને કારણે વાતાવરણ બહુ વધારે ગંભીર થઈ ગયું હશે. તે પછી ત્યારે ને ત્યાર કે એકાદ દિવસ રહીને તે તો યાદ નથી, પણ ત્રણેય ભાઈઓ મોટાં અમ્માંને સવારે બહુ જ થોડું અને સાંજે માત્ર એક વાટકી શાક જેટલું જમવા માટે મનાવી શકેલા.
તે પછી મહેશભાઈ દાંતીવાડા હતા એ વર્ષોમાં મોટાં અમ્માંને મારી અને સુસ્મિતા સાથે રહેવાનું થયું ત્યારે સુસ્મિતા સાંજે શાકની વાટકી સાથે અર્ધોએક ગ્લાસ ભરીને મોળું દૂધ પણ મુકી દે. અમે બન્ને જોઈ શક્યાં હતાં કે તેમનું મન માન્યું ન હતું, પણ અમારી, અને ખાસ કરીને સુસ્મિતાની, લાગણીને ખાતર તેઓ એ દૂધ પી જતાં. થોડાએક દિવસો પછી જ્યારે મોટાં અમ્માંને મહેશભાઈ સાથે દાંતીવાડા જવાનું થયું ત્યારે તેમણે સુસ્મિતાને એવું કહ્યાનું યાદ આવે છે કે આ દૂધ પીવાવાળી વાત તમારા સસરાને ન કહેજો.
તાદાત્મ્ય નાનો હતો ત્યારે મોટાં અમ્માં જો અમદાવાદ હોય તો દિવસે પણ તેમની પાસે ઘોડીયામાં હીંચકા ખાવાની મજા લે. રાતના પણ સુતી વખતે મોટાં અમ્માં હીંચકા નાખે તો જ સૂએ. એમાં વળી, અર્ધો કલાક, કોઈક વાર કલાક સુધી હીચકા ખાતાં ખાતાં મોટાં અમ્માં પાસે વાર્તાઓ પણ કરાવે. પછી એમ લાગે કે હવે તે સૂઈ ગયો છે અને હીંચકા નાખવાનું બંધ થાય તો સૂતાં સૂતાં જ હીંચકા ચાલુ રાખવાની ફર્માયેશ પણ આવે. અમે મોટાં અમ્માંને કહીએ કે હવે અમે હીંચકા નાખીશું, તમે સૂઈ જાઓ. પણ તેઓ તાદાત્મ્યને સુવડાવીને જ સૂવા જાય.
![]() |
પોતાને ગમે તેટલી તકલીફ પડે પણ બીજાંને મદદરૂપ થવું, મોટાં અમ્માંનો એ સહજ સ્વભાવ તો આખાં કુટુંબમાં જાણીતો હતો. દર્શના ધોળકિયા (મોટાં અમ્માંનાં મોટાં બહેનનાં પુત્રીનાં દીકરી)એ તેમનાં પુસ્તક 'ઓટલા દાવ'ના લેખનું મોટાં અમ્માં વિશેના પ્રકરણનું શીર્ષક - રેવાને તીર બાંધી મઢૂલી[1] - જ મોટાં અમ્માંના આ સ્વભાવને બહુ સચોટપણે યાદ કરે છે. સમજણા થયા પછી ઘણાં લોકોને મેં એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે બૃહદ કુટુંબીજનોમાંથી ઘણાંએ તેમના સ્વભાવની આ (વધારે પડતી?) સારપનો ઘેર લાભ પણ લીધો હતો.
તેઓ અમાદાવાદ આવ્યાં હોય એવા કોઈ એક પ્રસંગે તેમને એવું કહેતાં મને યાદ આવે છે કે તમે (એટલે કે હું) આસ્તિક ભલે નથી પણ ધર્મિષ્ઠ તો ઘણા જ છો. એ વાત કયા સંદર્ભમાં નીકળી હશે તે યાદ નથી, પણ એટલું યાદ જરૂર છે મને ત્યારે તો એમ જ લાગ્યં હતું કે ધર્મના રીતરિવાજો પ્રત્યેનાં અજ્ઞાનને તેઓએ મોટાંમનથી સ્વીકાર્યું છે અને એક અતિ પ્રેમાળ દાદીની લાગણીની શૈલીમાં તેમના પુત્રની દેખીતી કચાશને બહુ જ સારા શબ્દોમાં માફ કરી છે.
જોકે તે પછી એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે મારૂં મન મને મારાં કર્તવ્ય અનુસાર વર્તવાનું જણાવ્યું હશે. આજે હવે વિચારતાં મને એમ જરૂર સમજાય છે કે જ્યારે જ્યારે હું મારી સાહજિક મર્યાદાની અંદર રહીને જે શુદ્ધ દાનતથી વર્ત્યો હોઈશ તેમ થવા પાછળ મોટાં અમ્માંના મારા 'ધર્મિષ્ઠ' બનવા માટેનાં આશીર્વચનની છુપી પ્રેરણા જ હતી.
આવાં પરગજુ, નિર્મળ, નિરાભિમાની, પ્રેમાળ, સરળ વ્યક્તિને કાર્યકારિણીના સિદ્ધાંતે તેમને જીવનનાં પાછલાં વર્ષોમાં પણ, મારી દૃષ્ટિએ, બહુ જ અન્યાય કર્યો. બાપુના અવસાન પછી મોટાં અમ્માંની હાજરીમાં જ કમળભાઈ અને મહેશભાઈ બન્ને, ઘણી નાની ઉમરે, ગયા. એટલું ઓછું હોય તેમ ઘરમાં ઘરમાં જ કોઈ અકસ્માત બનેલી સાવ નાની ઘટનામાં તેમની કરોડના છેલ્લા મણકામાં હેરલાઈન તિરાડ પડી. તેને પરિણામે તેમનું ચાલવાનું પહેલાં બહુ જ પીડાદાયક થયું અને પછી બંધ થઈ ગયું. જિંદગીભર જેમણે બીજાંની સેવા કરી એવાં એમને છેલ્લા છ મહિના ગોરાકાકા (એમના સૌથી નાના દીકરા), ગોરીકાકી (સૌથી નાનાં પુત્રવધૂ) તેમ જ નાની પૌત્રી. પણ મોટાં અમ્માની બહુ લાડલી (અને મોટાં અમ્માં પણ જેને બહુ જ લાડલાં) એવી હર્ષિકાની સારવાર લેવી પડી. એ લોકોએ તો એ કાર્ય સાવ ભાર વગર જ કર્યું, પણ અબોલ રહીને જીવનનાં વાળાઢાળાને સહન કરી ગયેલાં મોટાં અમ્માંને મન તેમની શરીરની પીડા કરતાં પણ એ કેટલું વધારે કષ્ટદાયક રહ્યું હશે !
એમનું દેહાવસાન તેમના આ ભવચક્રની પીડાનો અંત હતો તેમ છતાં પણ એ સમયે મન તેમની ગેરહાજરી સ્વીકારવા તૈયાર નહોતું. જોકે, પછીથી જ્યારે જ્યારે સમય અને સંજોગોની વિષમતા સાથે મારું મન સમાધાન નથી કરી શક્યું ત્યારે ત્યારે મોટાં અમ્માંના વ્યક્તિત્વની ગરિમાએ અને હુંફે મને એ પરિસ્થિતિઓ સહન કરી જવાની શક્તિ પુરી પાડી છે.
કેટલાક વિસારે પડી ગયેલ
તસવીરો :
![]() |
| મોટાં અમ્માં (વર્ષ આશરે ૧૯૫૫ - ૫૬) |
બાપુ અને મોટાં અમ્માં. આ ફોટોગ્રાફ પણ ક્યાંનો અને ક્યારનો તે યાદ નથી આવતું. એક શક્યતા રાજકોટમાં તંતીનિવાસ (૧૯૫૮)ની છે.
![]() |
આગળઃ મહેશભાઈ, અશોક (હું) ; પાછળ, દેવીબેન, સંજયને તેડીને બેન, ગોરીકાકી અને મોટાં અમ્મા.
|
ફોટોગ્રાફ ૧૯૫૯ની આસપાસનો હશે. ક્યાંનો છે તે ખાત્રીપૂર્વક
નથી કહી શકાતું, પણ એક શક્યતા છે કે |
![]() |
પ્રગતિનગરનાં ઘરે - ડાબેથી સુસ્મિતા, મોટાં અમ્માં, મહેશભાઈ
![]() |
પ્રગતિનગરનું ઘર : સુસ્મિતા, બેન, (વચ્ચે) મહેશભાઈ, સંજય અને મોટાં અમ્માં
![]() |
પ્રગતિનગરનું ઘર - બેન, મોટાં અમ્માં, સુસ્મિતા
|
ફોટોગ્રાફની ગુણવત્તા સચવાઈ નથી |
[1] રેવાને તીર બાંધી મઢૂલી
Sunday, August 17, 2025
જગદીશ પરીખ તેમના BITSના ૧૯૭૩-૧૯૭૫ના સમય દરમ્યાનના રાજસ્થાનની ડિસેમ્બર મહિનાની ઠંડીના પરચાને યાદ કરે છે.
જગદીશ પરીખ મારા એલ ડી એન્જિનિયરિંગના સહપાઠી અને મિત્ર છે. બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી યાદોનાં 'શિયાળાની હાડ સોંસરવી ટાઢ' પરનું વૃતાંત વાંચીને તેમને પણ ૧૯૭૩ - ૧૯૭૫ દરમ્યાન તેમના બીઆઈટીએસના રહેવાસના સમય દરમ્યાન ત્યાંની ઠંડીનો થયેલો સાવ અકલ્પ્ય પરચો યાદ આવી ગયો.
એ ઘટનાના વર્ણન સાથે જગદીશ પરીખ તેમની અન્ય યાદો પણ અહીં રજૂ કરે છે.....
૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં
ગ્રેજ્યુએશન પુરું કર્યા પછી, મેં ૧૯૭૨માં BITS પિલાની
રાજસ્થાનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે જવાનું નક્કી કર્યું. તે સમયે હું જે
નોકરી કરી રહ્યો હતો તે મને ખૂબ જ જણાતી હતી, એટલે લગભગ
અચાનક જ કહી શકાય એમ મને લાગ્યું કે મારે આગળ અભ્યાસ
કરવો જોઈએ. જોકે આજ સુધી હું સમજી શક્યો નથી કે જ્યાં પહોંચવું થોડું મુશ્કેલ હતું
એવાં દુરનાં કહી શકાય એવાં પિલાની જેવાં સ્થળે અભ્યાસ કરવા કેમ ગયો. જો મને બરાબર યાદ હોય તો તેમાં કેટલીક પ્રવેશ પરીક્ષા આપવી પડી હતી. પરંતુ,
એકંદરે, BITS માં, પોસ્ટ
ગ્રેજ્યુએટ અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં બહુ મુશ્કેલી ન પડી.
તે સમયે મિકેનિકલ શાખાના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અમારા
વર્ગમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હતા. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવાનો અને ગુજરાતની
બહાર કોઈ જગ્યાએ ભણવા જવાનો આ મારો પહેલો અનુભવ હતો. તેથી શરૂઆતના દિવસોમાં થોડો
ડર રહેતો હતો. પરંતુ ધીમે ધીમે, હું વર્ગખંડનાં અને છાત્રાલયનાં સારા
વાતાવરણ સાથે અનુકૂલન કરી શક્યો. અહીં જે અભ્યાસક્રમો હતા તે ગ્રેજ્યુએશન
દરમિયાનના અમારા ભ્યાસક્અક્રમો કરતાં ખાસ્સા જૂદા હતા. તે સમયે એવું કહેવામાં
આવતું હતું કે BITS ના અભ્યાસક્રમો અમેરિકા સ્થિત કેટલીક
યુનિવર્સિટીઓ સાથે સુસંગત હોવાને કારણે આધુનિક પણ હતા. જો કોઈ ખાસ વિકલ્પ તરીકે
પસંંદ કરે તો ઓપરેશન્સ રિસર્ચ જેવા વિષયો વાસ્તવિક જીવનની એન્જિનિયરિંગ / અન્ય
પ્રકારની સમસ્યાઓ ઉકેલવા માટે બહુ વ્યવહારુ અભિગમ શીખવાડતા હતા. તે ઉપરાંત, ઈલાસ્ટિસીટી અને પ્લાસ્ટિસિટીના સિદ્ધાંત,
એડવાન્સ્ડ હીટ ટ્રાંસફર, કંટ્રોલ સિસ્ટમ
એન્જિનિયરીંગ વગેરે જેવા પરંપરાગત કહી શકાય એવા કેટલાક અન્ય વિષયો પણ હતા.
શરૂઆતમાં આ વિષયો શીખવામાં થોડું મુશ્કેલ લાગ્યું પરંતુ ધીમે ધીમે ફાવી ગયું.
વિદ્યાર્થીઓની હડતાળ
૧૯૭૩ ના પ્રથમ સેમેસ્ટરના અંતમાં, પોતાની
કેટલીક માગણીઓના ટેકામાં વિદ્યાર્થીઓ દ્વારા મોટી હડતાળ કરવામાં આવી હતી.
વિદ્યાર્થી સંઘ દ્વારા મૅનેજમૅન્ટ પાસે આ માંગણીઓ પૂરી
કરવા માટેનાં દબાણ સામે સંસ્થાના ડાયરેક્ટર પણ મોટાભાગની
માંગણીઓ પર આટલી સરળતાથી ઝૂકવા તૈયાર નહોતા. અભ્યાસ કાર્ય તો સાવ સ્થગિત કરવામાં
આવ્યું હતું. અમારા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તે હડતાળને અનુસરવામાં બહુ
સક્રિય નહોતા, પરંતુ બાકીના વિદ્યાર્થીઓની સામે જઈને અભ્યાસ
શરૂ કરી શકે તેવો કોઈ રસ્તો પણ નહોતો. આ સંજોગોમાં
અમને એમ જણાતું હતું કે હડતાળ ખૂબ લાંબી ચાલશે. સમય પસાર કરવા, અમે પત્તા વગેરે રમતા. મેસ અને કેમ્પસની અન્ય સુવિધાઓ ચાલુ હતી એટલે
રોજબરોજ જીવન વ્યવસ્થા બાબતે બીજી કોઈ સમસ્યા નહોતી.
નાસી છૂટવાની યોજના
અમારામાંથી મોટાભાગના લોકો જે હડતાળમાં બિલકુલ સક્રિય નહોતા, તેઓ
હડતાળ પૂરી થાય ત્યાં સુધી તેમના માતાપિતા સાથે રહેવા માટે કેમ્પસ છોડીને તેમના
વતન જવા માંગતા હતા. પરંતુ, જો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે
કેમ્પસ છોડીને જતા રહે તો હડતાળ તુટી પડે એવી માન્યતા અનુસાર, વિદ્યાર્થી સંઘ દ્વારા કેમ્પસ છોડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એક
મહિનાથી વધુ સમય આમ ને આમ જ પસાર થઈ ગયો, પણ હડતાળનો અંત
નજીક દેખતો નહતો. એટલે, અમે, થોડા
ગુજરાતીઓના કે જૂથે, એક પછી કેંમ્પસમાંથી બહાર જવા માટેની,
વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિઓની જલદી નજરે ન ચડે એવી, જગ્યાએથી ગુપ્ત રીતે કેમ્પસ છોડીને નાસી જવાનું વિચાર્યું.
અમે સાંજે પાંચ વાગ્યે નીકળીને કેમ્પસથી એક કિલોમીટર દૂર એક
જગ્યાએ ભેગા થવાનું આયોજન કર્યું. ત્યાં બધા ભેગા થઈએ એટલે રણ જેવા પ્રદેશમાં
થોડું ચાલી નાખીએ તો બસ પકડીને બીજા દિવસે સવારે અમે અમદાવાદ તરફ જતી
ટ્રેન પકડી શકીએ એવાં સ્થળે પહોંચી શકીશું એવી અમારી ગણતરી હતી. અમારે ખાસ્સું લાંબું ચાલવું પડે એમ હતું એટલે શરીરે જેટલાં વીંટાળી શકાય
એટલાં ગરમ કપડાં પહેર્યા સિવાય અમે વધારે સામાન સાથે નહોતો રાખ્યો.
ખીસ્સામાં વાટખર્ચી પુરતા પૈસા રાખ્યા હતા. અમે રસ્તામાં કંઈ ખાઈ લઈ શકાય એવું પણ
સાથે નહોતું રાખ્યું. અમે લગભગ ૧૦ ગુજ્જુઓ હતા. ડિસેમ્બર મહિનાની સાંજના છએક
વાગ્યે અમે ચાલવાનું શરૂ કર્યું.
યોજના નિષ્ફળ ગઈ
એકાદ કલાક ચાલ્યા પછી અમે થાકવા લાગ્યા. હવે અંધારું પણ થઈ
ગયું. ધીમે ધીમે બધાને ખ્યાલ આવવા લાગ્યો કે આપણે જે જગ્યાએ પહોંચવા માગતા હતા એ
રસ્તો તો આપણે ચુકી ગયા છીએ. કોઈને ખબર નહોતી પડતી કે અમે કઈ દિશામાં જઈ રહ્યા
છીએ! રાત્રે આઠ સાડા આઠ વાગી ગયા. અમે બધા હવે એટલા ડરી ગયા હતા કે જો આપણને
આશ્રયસ્થાનમાં સૂવાની જગ્યા નહીં મળે તો આપણે આવી કડકડતી ઠંડીમાં રાત કેમ કરી કાઢી
શકીશું. હવે તો અમને ભૂખ પણ લાગવા લાગી હતી. પરિણામે પુરતું વિચાર્યા વગર નીકળી
પડવા માટે અમે લોકો એકબીજાને દોષ આપવા લાગ્યા. અમારાં જૂથની જેઓ નેતાગીરીમાં હતા
તેમના પર તો બધા તૂટી જ પડ્યા.
રાતનું તાપમાન તો ૨૦ સે. જેટલું થઈ જતું હતું.
એટલે જો કોઇ આશ્રયસ્થાને પહોંચ્યા વિના ચાલવાનું બંધ કરી દઈએ તો આ કાતિલ ઠંડીમાં
શું હાલ થઈ શકે એ વિશે બીહામણા વિચારો અમરા મનમાં આવવા ગાયા હતા. જોકે ચાલતા રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.
સદનસીબે, એકાદ કિલોમીટર જેટલું આગળ ગયા હશું
ત્યાં અમારામાંના એકે સો
દોઢસો મીટર દૂર ઝાંખો પ્રકાશ જોયો. અમારામાં થોડા હોશ આવ્યા. અમે બધા તે દિશામાં
ચાલવા લાગ્યા. અમને હવે એક જ આશા હતી કે એ જગ્યાએ કોઈ
રહેતું અને અને અમને મદદ મળી જાય તો બચી શકીશું.
અમે એ જગ્યાએ પહોંચયા ત્યારે રાતના નવેક વાગ્યા હશે. બાર
પંદર કિલોમીટર પછી અમારી જે વલે થઈ ગઈ હતી તે જોઈને જ ત્યાં રહેતાં ખેડૂત પરિવારને
અમારા પર દયા આવી જ ગઈ હશે. અમે જ્યારે જણાવ્યું કે અમે પિલાની કોલેજના
વિદ્યાર્થીઓ છીએ અને અમદાવાદની ટ્રેન પકડવા માટે નીકળ્યા પછી રસ્તો ભુલી ગયા છીએ, તેથી
તેઓએ અમારી સાથે બહુ જ સારો વ્યવહાર કર્યો. અમને ગરમ ગરમ ખાવાનું બનાવી આપ્યું અને
બધાં વચ્ચે ઓઢવાનું થોડાં ગરમ ધાબળા વગેરે આપીને સુવાની વ્યવસ્થા કરી આપી. મને નથી
લાગતું કે તે સમયે અમારામાંથી કોઈને પણ આજની રાત બચી ગયા તે સિવાય બીજી કોઈ વાતની
ચિંતા કરવાની પરવા હતી ! બીજા દિવસે સવારે, અમને ચા અને
નાસ્તો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે જે સ્થળે હતા તે અમે જ્યાં જવા
માગતા હતા તેનાથી બહુ દૂર હતું. પણ એ દિવસે સાંજે જ કોલેજમાં હડતાલ સમાપ્ત થઈ ગઈ હતી. અમને ત્યારે સમજાયું કે વિદ્યા સંસ્થા તરીકે પિલાનીનું
આસપાસનાં લોકોમાં કેટલું સન્માનીય સ્થાન હશે. હડતાલ
સમાપ્ત થયાના સમાચાર આ લોકોને પણ સાંજે જ મળી ગયા હતા.
અમે લોકોએ એમનો આભાર માન્યો અને બસ પકડીને પાછા કેમ્પસ
પહોંયા. અમારી મુર્ખામીની વાત સાંભળીને હૉસ્ટેલના બીજા મિત્રોએ અમારી પેટ ભરીને
ઠેકડી ઉડાવી. કદાચ, અમારા નિષ્ફળ પરાક્રમ(!)ના સમાચાર આખી
ઈન્સ્ટિટ્યુટમાં ફેલાઈ ગયા હશે. હડતાળ સમાપ્ત કરવાનાં સમાધાન અનવ્યે સંસ્થાના બધા વિદ્યાર્થીઓને તેમના વતન જવાની મંજૂરી આપવામાં આવી.
એ જ રાત્રે અમે ફરીથી અમારા સામાન વગેરે
સાથે કેમ્પસના અધિકૃત ગેટ દ્વારા બસ સ્ટેશન જવા માટે રવાના થયા.
મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ હતો જ્યારે મને લાગ્યું કે, જાણે
અમે બધા બીજા દિવસેની સવાર નહીં જોઈ શકીએ.
એક સુખદ યાદ
આ દુઃખદ યાદની સામે એક બીજી સુખદ યાદ પણ છે. અમારા જૂથના
પાંચ મિત્રોના જન્મદિવસ અગિયાર દિવસના ગાળામાં જ આવી જતા હતા. સૌથી પહેલો જન્મ
દિવસ ૩૦ ઓગસ્ટના પડતો અને છેલ્લો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરના ! આ જન્મદિવસોની ઉજવણી
અમે (કેમ્પસના) કૉનૉટ પ્લેસ બજારમાં જઈ એકએક રસ મલાઈ ખાઈને કરતા. આમ તે અગિયાર
દિવસમાં અમે પાંચ વખત રાસ મલાઈ ખાતા હતા.
રમત ગમત
કેમ્પસમાં અમે જે રમતો રમતા હતા તેમાં ક્રિકેટ, બ્રિજ
અને ચેસ મુખ્ય હતી . હું અમારા જૂથના મિત્રોને સારી રીતે બ્રિજ રમવાનું શીખવતો હતો
લોકોને મારી પાસેથી બ્રિજ રમવાનું શીખવાનું ખૂબ ગમતું હતું. ચેસ
રમવામાં મારી પહેલેથી જ સારી ફાવટ હતી. નિયમિત રીતે આંતર હોસ્ટેલની ચેસ
ટુર્નામેન્ટમાં હું જીતતો હતો.
પ્રેક્ટિસ સ્કૂલ
અભ્યાસક્રમના ભાગ રૂપે અમારે ત્રણ સેમેસ્ટર કેમ્પસમાં ભણ્યા પછી ચોથા સેમેસ્ટરમાં, કોઈ એક ઔદ્યોગિક સાહસમાં પ્રાયોગિક અનુભવનું વ્યવહારૂ જ્ઞાન લેવાનું હતું. આ વ્યવસ્થાને પ્રેક્ટિસ સ્કૂલ કહેવામાં આવતી હતી. અમને રેનુકૂટ સ્થિત બિરલા ગ્રૂપના એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સના પ્લાન્ટમાં મોકલવામાં આવ્યા. આ એકમ હિન્ડાલ્કોની એક પ્રશાખા હતી. રેનુકૂટ એક હિલ સ્ટેશન જેવું સ્થળ હતું જ્યાં મનોહર કુદરતી સૌંદર્ય ભર્યું હતું. રહેવા માટે અમને કંપનીના ગેસ્ટ હાઉસમાં સગવડ કરી અપાઈ હતી. કુદરતી સૌંદર્યમાં ફરવાનું ગેસ્ટ હાઉસનું સ્વાદિષ્ટ ખાવાપીવાનું મળવાની ઉપરાંત સ્ટાફ ક્લબમાં પણ અનેક પ્રવૃતિઓની મજા અમે માણી. હિન્ડાલ્કોના સ્ટાફના પરિવારો ક્લબમાં તહેવારો ઉજવતા તેમાં અમને પણ શામેલ કરાતા. આમ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિના ત્યાં રહેવાનો અમે ખરેખર આનંદ માણ્યો.
Sunday, August 3, 2025
BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - ઔપચારિક શિક્ષણનો અધ્યાય પણ પૂરો થયો
ઔપચારિક શિક્ષણનાં અઢાર વર્ષ પૈકી પિલાણીનાં બે વર્ષ બહુ મોટો સમયગાળો ન કહેવાય એટલી ઝડપથી પલક ઝપકતાં જ પૂરાં થઈ ગયાં.
જોકે, આજે પાછળ વળીને જોતાં જણાય છે કે પિલણીના રહેવાસનો એકેએક દિવસ અને એકેએક ઘટનાઓ ખુબ જીવંત, રસપ્રદ અને અનુભવના ભાથાંમાં ઉમેરો કરતાં રહ્યાં. દરેક તબક્કે મારા સહપાઠીઓ અને પ્રોફેસરો સાથેના સહેવાસનો પણ ઘણો પ્રભાવ પડ્યો. સ્વાભાવિક છે કે એ સમયે એ બધાંનો મારાં વ્યક્તિત્વ પર જે કંઈ અસરો પડી હશે તે ધ્યાન પર ન આવે. પરંતુ, પ્રાથમિક કારકિર્દીનાં પછીનાં આડત્રીસ વર્ષ દરમ્યાન આ બધા અનુભવોના બોધપાઠ ખુબ કામ આવ્યા. જોકે એ પણ સ્વીકારવું રહ્યું કે જીવનને આ તબક્કે હવે એ બધાં યોગદાનોનું મહત્વ માત્ર યાદગીરીઓનાં દસ્તાવેજીકરણથી વધારે નથી જણાતું.
ક્દાચ એટલે જે એલ ડીના અને પિલાણીના દિવસો વિશે જે કંઈ લખાતું ગયું તેમાં યાદગીરીઓની અસરોનાં વિશ્લેષણને બદલે યાદો જ મુખ્ય પ્રવાહમાં રહી. આમ પણ તાજેતરના ભૂતકાળમાંથી વર્તમાન અને ભવિષ્યના બોધપાઠો શીખવાનું શક્ય છે, પણ તેને ઇતિહાસ તરીકે મુલવવા માટે જે તટસ્થ સાક્ષીભાવ કેળવવો જોઈએ તે માટે સમયનો મોટો અંતરાલ હોવો જોઈએ.
એટલે, ઔપચારિક શિક્ષણના બે મહત્વના તબક્કઓના આધ્યાય પર પરદો પાડતી વખતે મૅનેજમૅન્ટ સ્ટડીઝના વિભાગીય વડા ડૉ. એસ કે પોરવાલે લખેલા ભવિષ્યવાણી સ્વરૂપ સંદેશાને અહીં ટાંકીશઃ
गतासूनगतासूंश्च नानुशोचन्ति
पण्डिता: ||
સમજુ લોકો જીવતાં કે
મૃત્યુ પામેલાં લોકોનો અફસોસ નથી કરતાં
ભગવદ્
ગીતા ૨.૧૧
+ +_ +
આ યાદગીરીની સફરમાં મારા સહપાઠીઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર મળ્યો છે તે બદલ હું તેમનો આભારી છું.
મારા મિત્ર દિલીપ વ્યાસે બ્લોગ પર પ્રકાશન સમયે દરેક હપ્તા વિશે જે આત્મીયતાથી પ્રતિભાવો આપ્યા છે તેનો આભાર તો શબ્દોમાં માની શકાય તેમ નથી.
+ +_ +
હાયપર લિંક પર ક્લિક કરવાથી BITS,
પિલાણી - વર્ષ
૧૯૭૧-૧૯૭૩ - મને કેમ વિસરે રે…. - ના અલગ અલગ હપ્તાઓ એક સાથે વાંચી / ડાઉનલોડ કરી
શકાય છે.














