Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts
Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts

Sunday, June 1, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - ઈતર પ્રવૃત્તિઓ : ગુજરાતી વિદ્યાર્થી વર્તુળ, પરોક્ષ અનુભવો

 

ગુજરાતી વિદ્યાર્થી વર્તુળ

અહીં એન્જિનિયરીંગ વિદ્યાશાખાઓમાં ગુજરાતમાંથી આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી રહેતી. મને લાગે છે દરેક વર્ષે ૨૦ થી ૩૦ની આસપાસ જરૂર રહેતી હશે.

ગુજરાતી વિદ્યાર્થીઓ 'ગુજરાતી ક્લબ' પણ ચલાવતા. દરેક સમેસ્ટરમાં કમ સે કમ બે મિલન ગોઠવવા ઉપરાંત ગુજરાતથી આવતા કે હવે પછી આવવા માગતા વિદ્યાર્થીઓને શક્ય એટલી બધી મદદ પણ આ ક્લબ દ્વારા પુરી પડાતી. પહેલા જ  શિયાળાના વેકેશનમાં નવસારી જવા માટે નીમ કા થાના - અમદાવાદ થઈને જવાનો વિકલ્પ મને આ ગુજરાતી મિત્રોએ જ સૂચવ્યો હતો. તેટલું જ નહીં, પણ એ સફર દરમ્યાન એ લોકોએ મને ખુબ જ મદદ પણ કરી હતી. [1]

આ મિલન મુલાકાત દરમ્યાન એકબીજા સાથે (ચીવટથી) ગુજરાતીમાં જ વાત કરવી એવો વણકહ્યો નિયમ હતો. મજાની વાત એ છે કે લગભગ બધા જ ગુજરાતીઓ અહીં પણ હિંદીમાં જ સ્વાભાવિકપણે વાત કરી જતા. 

ત્યાંના આ હિંદીમય વાતવરણની જ અસરને પરિણામે મારાં હિંદી (અને તેને પરિણામે, અંગ્રેજી પણ) બોલવામાંથી ગુજરાતીની જન્મસહજ, અવશ, છાંટ, આ બે વર્ષોમાં, બિલકુલ નીકળી ગઈ. મારી વ્યાવસાયિક કારકિર્દીમાં મારે ગુજરાતમાં રહીને ગુજરાતની બહાર જે બહુ જ કામ કરવાનું બન્યું, તેમાં ગુજરાતીની છાંટ વગરનું હિંદી, અને તેને કારણે અંગ્રેજી પણ, બહુ જ મદદરૂપ પરવડ્યું.

પહેલાં જ મિલન વખતે ડૉ. કે એમ ધોળકિયા ને પણ મળવાનું થયું. અહીંના તે એક માત્ર ફેકલ્ટી મેમ્બર તરીકે હતા.  અમે હતા ત્યારે તો બધી જ હૉસ્ટેલના તેઓ ચિફ વૉર્ડન પણ હતા. એક માત્ર ગુજરાતી હોવા છતાં, ત્યાં પણ આટલી બધી સન્માનીય ઉચ્ચ પદવીએ તેઓ પહોંચી શકેલ તે વાતનો મને અંદરખાને બહુ જ ગર્વ થયો હતો. જોકે મારી એ લાગણી મેં એ દિવસોમાં જાહેરમાં ક્યારે પણ વ્યક્ત નહોતી કરી !

પરોક્ષ અનુભવો

બાઈક ટ્રેક્કીંગ

પહેલી ટર્મના મધ્ય સુધીમાં ઉનાળાની અસર થોડી ઓછી થઈ ત્યારે શિયાળુ પ્રવૃત્તિ તરીકે અહીં બાઈક ટ્રેક્કીંગ પણ વ્યાપક અંશે પ્રચલિત છે તેવું ધ્યાન પર આવ્યું. આઠ-દસ વિદ્યાર્થીઓનું જૂથબહારથી કલાકના લગભગ આઠ આના જેવાં ભાડાંથી એક્ક્કેક સાયકલ ભાડે કરીને ૫૦-૭૫ કિલોમીટરની સહેલગાહ પર નીકળી પડતા. મને ધ્યાન છે ત્યાં સુધી જે માર્ગ પર પર આવતાં ગામોની બહારનાં ધાબાઓ પર સારૂં ખાવાનું મળી રહેતું એવા ચારેક રૂટ વધારે પ્રચલિત ગણાતા. 

'બહાર'ની મહેફિલો 

સ્વાભાવિક છે કે અહીં પણ વિદ્યાર્થીઓમાં એવો પણ એક વર્ગ હતો જેમને હોસ્ટેલ જીવનની બધી મજા માણી લેવાના અભરખા પુરા કરવાના પણ શોખ હતા. આ શોખ પુરો કરવાઓ એક બહુ પ્રચલિત વિકલ્પ હતો, સમેસ્ટરમાં બે - ત્રણ વાર 'બહાર'ની મહેફિલો. આવી મહેફિલો 'બહાર' બજારમાં આવેલ બેએક ધાબા પર ગોઠવાતી.

એ પાર્ટીનાં મુખ્ય આકર્ષણ 'હાર્ડ ડ્રિન્ક' અને 'નોન-વેજ' વાનગી રહેતાં. 'હાર્ડ ડ્રિન્ક' પણ, કોઈક જ વારના અપવાદ સિવાય, 'બીયર'  હોય.  નોન -વેજ વાનગીમાં 'મસાલા તીતર' ભારે લોકપ્રિય વાનગી હતી. આ માટેનાં કારણો મેં જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. 'બહાર'ની આવી પાર્ટીઓની બીજી એક ખાસીયત પણ મને જાણવા મળી હતી. આખી ઈન્સ્ટિટ્યૂટમાં જ એવો ધારો જ હતો કે 'બહાર'ની પાર્ટી માટે (મોટી થપ્પી ભરીને) 'રોટી' પોતપોતાની મેસમાંથી લઈ જવાતી !  'બહાર'ના જમણમાં રોટીનો ખર્ચ બચે તો તેટલો 'બીઅર' કે 'તીતર'નો હિસ્સો વધારી શકાય એવી આર્થિક ગણતરી હશે એમ માની શકાય. પોતપોતાની મેસમાંથી આ 'સગવડ' દેખીતી રીતે બહુ સહેલાઈથી કરી લેવાતી હતી એમ જણાતું. આટલાં વર્ષોની પ્રથા પડી ગઈ હશે, એટલે કદાચ એમ હશે ! આ પ્રથાનું મૂળ જાણવાની કે તેને કારણે કોઈને  કોઈ 'મુશ્કેલી' નડી હોય તેવું ન તો મારા ધ્યાન પર આવ્યું હતું, કે ન તો મેં જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. 

ધૂમ્રપાનનું ચલણ

ગુજરાતમાં જ અત્યાર સુધીનું કૉલેજ જીવન વીતાવેલા મારા જેવા માટે અહીના વિદ્યાર્થીઓને ધૂમ્રપાન કરતા જોવા એ પણ બહુ મોટું આશ્ચર્ય હતું. એલ. ડી. (એન્જિનિયરિંગ, અમદાવાદ)માં એન્જિનિયરિંગના અમારા ૧૨૦ સહપાઠીઓમાંથી ચાર પાંચ જણા પણ સિગરેટ પીતા હોય એવું પણ મારા ધ્યાન પર નહોતું આવ્યું. જ્યારે અહીં ચાલીસ વિદ્યાર્થીના અમારા વર્ગમાથી દસેક જણા તો ધૂમ્રપાન કરતા હતા.

જોકે એ લોકો અમારા જેવા ધૂમ્રપાન ન કરનારાની હાજરીમાં ધૂમ્રપાન કરવાનું જરૂર ટાળતા ! કેમ્પસમાં જાહેરમાં પણ ધૂમ્રપાન ન કરવાનું શિસ્ત પણ મહદ્‍ અંશે જોવા મળતું.

અમારામાંના બેએક જણા કદીકભાર ધૂમ્રપાન દ્વારાનશોપણ કરતા હતા. જોકે તેમાં આદત કરતાં શોખ ખાતર પ્રયોગ કરી લેવાની દાનત વધારે હતી, એ બાબતની પણ નોંધ લેવી રહી. 

અવળી પડેલ બીઅરની 'વિદાય' મહેફિલ

BITS ખાતેના મારા બે વર્ષના રહેવાસ દરમ્યાન જો કોઈ ઘટનાને 'સૌથી વિચિત્ર' ઘટનાનો શરપાવ આપવો હોય તો Boozalarke તરીકે પંકાઈ ગયેલ બીઅરની 'વિદાય મહેફિલ'ને મળે !

અમારી બેચના બીઅર રસિયાઓએ એમબીએ અભ્યાસની પૂર્ણાહુતિને મોડી સાંજની બીઅર મહેફિલનું આયોજન કરીને યાદગાર બનાવવાનું ગોઠવ્યું.




વધારે પડતા બીઅરની અસર થઈ કે પછી વિદ્યાથી જીવનની છેલ્લી સમુહ મહેફિલની મજાના બહાર આવી પડેલા ઉભરાનું કારણ હોય, મહેફિલની ઉજવણી 'તોફાની' અને 'હલ્લાગુલા'વાળી ક્યારે બની ગઈ એ જ કોઈને ધ્યાન ન રહ્યું.



પાછો યોગાનુયોગ પણ કેવો કે મહેફિલનું સ્થળ સ્ટાફ ક્વાર્ટર્સને અડીને આવતા માર્ગની તરફ આવેલી અમારી હોસ્ટેલ વિંગ હતી.

'પાર્ટી'ની મજા માણી રહેલાઓને કંઈક ખોટું થયું છે એવી ખબર જ ત્યારે પડી જ્યારે વૉર્ડન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો કાફલો મહેફિલના સ્થળે આવી પહોંચ્યો. બધું એટલું અચાનક જ બન્યું કે આખી 'પાર્ટી' રંગે હાથ 'ઝડપાઈ' ગઈ.  

તડાફડ આદેશો છ્ટ્યા અને બધાએ તાત્કાલિક અસરથી હોસ્ટેલ છોડવી પડી. એવે સમયે તો બીજે ક્યાં જવું એ સમજવા પુરતો સમય પણ એ લોકો પાસે નહોતો. એટલે બધાએ નુતન માર્કેટમાં આશરો લીધો. કંઈક શ્વાસ લેવાનો સમય મળ્યો તે પછી મોડી રાતે એ લોકોએ હ્યુમેનિટિઝ શાખાના અને અન્ય શાખાઓના એમના અન્ય મિત્રોના રૂમો પર રાત ગાળી.

અમને બધાને બીજે દિવસે જ ખબર પડી કે આટલી ઝડપથી કાર્યવાહી થવાનું કારણ રોડની પેલી બાજુના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી થયેલી ફરિયાદ હતી. ઇન્સ્ટિટ્યુટના રજિસ્ટ્રાર પણ ત્યાં રહેતા હતા. એમની ફરિયાદને કારણે આટલી આકરી કાર્યવાહી થઈ હતી.

અમારા એક સહપાઠીની પૈતૃક હવેલી પિલાણી શહેરમાં હતી. એટલે સવારે એ લોકો ત્યાં પહોંચ્યા. બહારથી જમવાનું મંગાવીને બે ત્રણ દિવસ ત્યાં ગાળવા પડ્યા.

અમારા તરફની રહેમની વાટાઘાટોની ટીમે સૌ પહેલી છૂટ તો આ બધા હોસ્ટેલની મેસમાં જમી શકે એ મેળવી.

અમારામાંના બીજા કેટલાકે વિદ્યાર્થીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા પ્રોફેસારની મદદ માગી. એમના પ્રયત્નોને કારણે મેનેજમૅન્ટ શાખાના હેડ ઑફ ધ ડીપાર્ટમેન્ટની, અને કંઈક અંશે હ્યુમેનિટીઝના ડીનની, પણ અમને સહાનુભૂતિ મળી. 

વાટાઘાટોની વ્યુહરચનાનો મુખ્ય આધાર તો એ બાબત પર લેવાયો કે જો એક સાથે આટલા બધાને 'સજા'થશે તો ઇન્સ્ટિટ્યુટનું નામ ખરાબ થશે. એક દલીલ એ પણ કરાઈ કે વળી બીજાં વર્ષે આટલા બધા વિદ્યાર્થીઓને સમાવવા કેમ એ પણ મસ મોટી વ્યાવહારિક મુશ્કેલી હતી. તો વળી, આ બધા સાવ નરઘોળ ખરાબ છોકરાઓ નહોતા. તેમનો અત્યાર સુધીનો અહીનો રેકોર્ડ એ વિશેની સાહેદી હતી. વળી, આ વિદ્યાર્થીઓમાં બેચના ટોપ વિદ્યાર્થીઓ પણ હતા !

વાટાઘાટો દરમ્યાન શબ્દોના ખેલનો પણ બહુ સારો ફાયદો ઉઠાવાયો હતો. દલીલ એમ કરાઈ કે ફરિયાદનો મુખ્ય સુર 'વધારે પડતો શોરબકોર' છે, શરાબની મહેફિલ નહીં.  વાટાઘાટ કરનારી ટીમે વધુમાં એમ પણ દલીલ કરીકે જો  આ બધા નશામાં 'એટલા બધા ધુત' હોત તો એ લોકોને જ્યારે હોસ્ટેલની બહાર તગેડી મૂકવામાં આવ્યા ત્યારે એ રાત્રે બહાર જઈને પણ તોફાન મસ્તી કરી હોત!

મહામુશ્કેલીએ થોડા દિવસ ચાલેલાં આ દુઃસ્વપ્નનો અંત આવ્યો. એ બધાને ફરીથી અભ્યાસમાં જોડાવાની અને કોઈ જાતની રોકટોક વગર અંતિમ પરીક્ષા આપવાની પરવાનગી મળી ગઈ.

આ ઘટનાને નવી દિલ્હીના ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના પાને પણ ચડી જાવું શ્રેય પણ મળ્યું !!

With inputs from Anirudhdh Khullar, Sudarshan Saboo, Alok, Kishan Goenka, O P Jagetiya and others.

Photographs credit: Anirudhdh Khullar

Sunday, May 4, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - ઈતર પ્રવૃત્તિઓ : ફોટોગ્રાફી| કમ્પ્યુટર સેન્ટરને થયેલો અમારો 'પરચો' | જર્મન ભાષા શીખવાનો અખતરો

 

ફોટોગ્રાફી


પિલાણીના રહેવાસ દરમ્યાન ફોટોગ્રાફીના એક નવા શોખના સ્વાદનો અનુભવ થયો. અમારો જ એક સહાધ્યાયી, ઉમેશ કુમાર 'પંછી' (હવે સ્વર્ગસ્થ) પહેલાં વર્ષે ફોટોગ્રાફી ક્લબનો સેક્રેટરી હતો. તેણે મારા સહિત બીજા ચાર પાંચ મિત્રોને ફોટોગ્રાફીમાં રસ લેતા કર્યા.

એ વર્ષે તેમણે ક્લબની નાની સુની ડેવલપિંગ લૅબને વધારે સક્રિય કરી. એ લેબમાં વિદ્યાર્થીઓ પોતે પાડેલા બ્લૅક એંડ વ્હાઈટ ફોટોગ્રાફ ડેવલપ કરી શકે એવી સગવડ હતી. તે ઉપરાંત વધારેને વધારે લોકો ફોટોગ્રાફીમાં રસ લેતા થાય એટલે ક્લબ પણ ફોટોગ્રાફ્સ ડેવલપ કરી આપે એવી પણ યોજના બનાવી હતી. આ યોજનામાં અમે અમારા મિત્રને શિખાઊ શિષ્યો તરીકે મદદ કરતા. પહેલાં વર્ષને અંતેપોંઈટ અને શૂટસ્તરના બેઝિક કૅમેરાથી પાડેલા ફોટોગ્રાફ્સ સ્વતંત્ર રીતે ડેવલપ કરવા જેટલી આવડતનાં સ્તરે અમે પહોંચી ગયા હતા.

તેની પાસે પણ બેએક સાદા કેમેરા હતા, જેનાથી અમે પણ ફોટોગ્રાફ કેમ પાડવા તે પણ શીખતા હતાં. મૅનેજમૅંટના વિદ્યાર્થીઓ (!) હોવાને નાતે, પાછા અમને લોકોને જ વિષય બનાવી અલગ અલગ થીમના પ્રોજેક્ટ પણ અમે કરતા. એ ફોટોગ્રાફ્સમાંથીસારાફોટોગ્રાફ્સ કયા છે તે માટે નિર્ણાયક તરીકેની ભૂમિકા અમારો એ મિત્ર, ઉમેશ કુમાર, ભજવતો. કયા ફોટોગ્રાફબગડ્યાછે અને એવું ફરીથી ન થાય તે માટે શું શીખવું જોઇએ તે પણ તે શીખવાડતો. એ સમયે અમે કરેલા પ્રયોગોની યાદગીરી પેટે મારી પાસે અત્યારે એક ફોટોગ્રાફ જ સચવાયો છે.



ફોટોગ્રાફીનો એ શોખ પીલાણી પછીનાં વર્ષોમાં પણ મેં જાળવી રાખ્યો. મારી પોતાની આવક શરૂ થઈ ત્યારે (લગભગ૭૭ - ૭૮નાં વર્ષમાં) મેં મારો એક પાંચ-છ હજારનો યાશિકા એસએલઆર કેમેરા પણ વસાવેલો. એ સમયે પણ ઘણા પ્રયોગો કર્યા. જોકે થોડાંક જ વર્ષોમાં વ્યાવસાયિક વ્યસ્તતાઓને કારણે એ (જીવનના) કબાટના કોઇ એવા ખુણે ધકેલાઈ ગયો કે ફોટોગ્રાફીના શોખની સાથે તે પણ 'ડબ્બો' બની રહ્યો છે !

કમ્પ્યુટર સેન્ટરને થયેલો અમારો 'પરચો'

મુખ્ય બ્લૉકની ડાબી તરફ વર્કશૉપ્સ, કમ્પ્યુટર સેન્ટર, પોસ્ટ ઑફિસ, બેંક વગેરે આવેલાં હતાં. આઈબીએમનું એક મહાકાય ડેટા પ્રોસેસિંગ યુનિટ, બીજા રૂમમાં ડેટા પન્ચિંગ મશીનોની શ્રેણીબદ્ધ હરોળ,પ્રિન્ટર માટેનો રૂમ અને સેન્ટરનાં નિયમન માટેના સ્ટાફની બેસવાની અલગ વ્યવસ્થા એ બધું રીતે એ સમયનાં કમ્પ્યૂટર સેન્ટર ગોઠવાયેલ હતું. આજે હવે પાછળ વળીને જોતાં એટલી નવાઈ લાગે છે કે એ પછી લગભગ એ અઢી દાયકામાં જ ઑફિસોના ટેબલો પર આ મહાકાય મશીનોને બદલે 'ડેસ્કટૉપ કંપ્યુટરો' આવી ગયં હતાં. તે પછીના એક દાયકામાં તો 'ડેસ્કટોપ ઘરનાં ટેબલો સુધી પણ પહોંચી ગયાં!

આ કમ્પ્યુટર સેન્ટર અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો પણ થોડો અનુભવ મળે એવો કીડૉ અમારાં મનમાં બીજા સમેસ્ટરથી જ સળવળતો હતો. એ માટે અમે બીજા સમેસ્ટરમાં લાયબેરીમાંથી લિનિઅર પ્રોગ્રામીંગ અને ફોર્ટ્રાનનાં પુસ્તકોનો અભ્યાસ કરીને એક બહુ જ પ્રાથમિક ક્ક્ષાનો પ્રોગ્રામ લખ્યો.  ચોથા સમેસ્ટર અમારે OR (Operations Research)નો વિષય એક વધારાની ક્રેડીત તરીકે રાખી શકાય તેમ હતો. એટલે ત્રીજા સમેસ્ટરમાં જ અમે અમારા પ્રોફેસરને રજુઆત કરી કે અમને નથી તો કમ્પ્યુટરની ડેટા એન્ટ્રીનો અનુભવ કે નથી પ્રોગ્રામિંગનો અનુભવ એટલે અમે અત્યારથી જ આ પ્રયોગ શરૂ કરવાની રજા આપે. ખાસ્સી સમજાવટને અંતે અમને મજુરી મળી. કમ્પ્યુટર સેન્ટરમાં પણ અમે ત્રીજા સમેસ્ટરથી જ શરૂઆત થાય એમ ડેટા કાર્ડ્સ પંચ કરવા માટે અમને વારા ફરતી એક એક કલાકનો સમય મળે એવી વ્યવસ્થા કરી શકાઈ. 

મેં તો એ પહેલાં સાદાં ટાઈપ રાઈટરને પણ કદી હાથ નહોતો લગાડ્યો. એટલે હું તો એક એક હાથની એક એમ બે બે આંગળીઓ વડે અક્ષરો શોધી શોધીને 'ઠક-ઠક' ટાઈપ કરતો. એક કલાકમાં માંડ દસેક કાર્ડ હું પંચ કરી શક્તો. અમે ચાર મિત્રો ભેગા થઈને ૧૫૦ જેટલાં કાર્ડ ચેકીંગ માટે જમા કરતા. જમા કરીએ એની બીજી પંદરેક મિનિટમાં જ  એ કાર્ડ 'પંચિગ એરર'ના સિક્કા સાથે પરત થતાં. મારાં તો લગભગ બધાં કાર્ડની એ હાલત રહેતી. ત્રીજા સમેસ્ટરના અંત સુધીમાં તો કમ્પ્યુટર સેન્ટરના વડા અમારાથી એટલા ત્રાસી ગયા હતા કે અમારા પ્રોફેસરને 'રિપોર્ટ' કરવા સુધીની નોબત આવી ગઈ હતી! જોકે તે પછી અમે (ખાસ તો હું) ઠીક ઠીક સુધર્યા અને પ્રોજેક્ટ પુરો તો કર્યો.

આજે પણ હું હજુ બે આંગળીઓથી જ કી બોર્ડ પર 'લખું' છું. જોકે કમ્પ્યુટિંગ સ્પીડમાં આટલાં વર્ષોમાં જેટલો ધરખમ વધારો થયો છે તેની સરખામણીમાં, તો ઘણો ઓછો, પણ, મારી ટાઈપિંગ સ્પીડમાં પણ ઠીક ઠીક સુધારો થયો છે અને ભૂલો તો હવે બહુ ઓછી થાય છે ! ભુલો થાય તો આપોઆપ સુધારી શકવાની સગવડ છે તે પાછો વધારાનો ફાયદો છે.

જર્મન ભાષા શીખવાનો  અખતરો

ઈલેક્ટ્રોનિક્સ એંજિનીયરીંગના એક પ્રોફેસર ઘણાં વર્ષો જર્મની રહ્યા હતા, એટલે જે વિદ્યાર્થીઓ જર્મનીમા આગળ ભણવા માગતા હોય તેમને માટે તેમણે જર્મન ભાષા શીખવા માટેનો બે સમેસ્ટરનો એક ખાસ કૉર્સ ચાલુ કર્યો હતો. મારૂં એવું માનવું હતું કે શાળા ક્ક્ષાએ મારૂ સંસ્કૃત સારૂ હતું એટલે જર્મન ભાષા શીખવામાં બહુ મુશકેલી નહીં પડે. એટલે નોન-ક્રેડીટ કક્ષાએ એ કૉર્સના પહેલા સમેસ્ટરના કૉર્સમાં હું પણ જોડાયો. એક સમેસ્ટરમાં મારી પ્રગતિ મને સંતોષકારક તો લાગી હતી. પણ મારે આગળ જર્મનીમાં કંઈ ભણવું ન હતું માટે બીજા સમેસ્ટરનો કૉર્સ મને ચાલુ રાખવા ન મળ્યો.

અમદાવાદ આવીને જર્મન - અગ્રેજી શબ્દકોષ પણ ખરીદ્યો હતો. જોકે આ બધું પણ પચાસ વર્ષની આ સફરમાં ક્યાંક ધરબાઈ ગયું છે.

Sunday, April 6, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - ઈતર પ્રવૃત્તિઓ : રમતગમત

 

પહેલા વર્ષના કે બીજા વર્ષના અમારામાં સહપાઠીઓમાંથી રમતગમતના 'ખેલાડીઓ' કહી શકાય એ કક્ષાના હતા. અમારા માટે રમતગમત માત્ર સારી રીતે સમય પસાર કરવાના વિવિધ શોખ પૈકી એક શોખ જ હતો. ઈન્સ્ટિટ્યૂટની કક્ષાએ, અમે લોકો બહુ બહુ તો, અનિયમિત દર્શકો તરીકે ભાગ લેતા. જોકે, અમારા હૉસ્ટેલ સ્તરે, ઇનડોર રમતોમાં શતરંજ અને કેરમ બહુ પ્રચલિત હતાં. દરેક હૉસ્ટેલ બ્લૉકમાં બન્ને રમતોના કમસે કમ બે કે ત્રણ સેટ તો હંમેશાં ઉપલબ્ધ રહેતા.

ઇન્સ્ટિટ્યુટ કક્ષાની પહેલાં વર્ષની શતરંજ સ્પર્ધામાં તો પહેલાં વર્ષના ૪૦ અને બીજાં વર્ષના ૩૦ વિદ્યાર્થીઓમાંથી લગભગ ચાલીસેક જણાએ હૉસ્ટેલ કક્ષાએ શતરંજ સ્પર્ધામાં ભાગ લીધો. તાત્કાલિક ધોરણે દિલ્હીથી શતરંજની છએક કિટ્સ પણ ખરીદી લેવામાં આવી. સ્પર્ધા પહેલાનું, હૉસ્ટેલ બ્લૉક કક્ષા રાઉંન્ડનું એક અઠવાડિયું તો અમારી હૉસ્ટેલ શતરંજમય બની ગયેલ. એ દિવસોમાં, જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, નજર પડે ત્યાં એકાદ બે ગ્રુપ તો શતરંજમાં જ પ્રવૃત્ત જોવા મળે. વિનોદ લરોયા અને કિરોન દોશી અને કદાચ એક બીજા કોઈ સિવાય, અમે બધા તો ફક્ત મનોરંજન માટે જ રમતમાં જોડાયા હતા. અમારા બાકીના બધા વચ્ચેની રમતો આઠથી દસ ચાલ સુધી ચાલે, પણ આમાંથી કોઈપણ ત્રણની સામેની રમતો ત્રણથી પાંચ ચાલ સુધી ટકી શકતી ન હતી. જો મને બરાબર યાદ હોય, તો વિનોદ લારોયા ઇન્સ્ટિટ્યૂટ સ્તરે ક્વાર્ટર ફાઇનલ સુધી આગળ વધી શક્યા હતા,

ઈન્સ્ટિટ્યૂટમાં દસબાર વિદ્યાર્થીઓ અને, મને યાદ છે ત્યાં સુધી, ચારેક પ્રોફેસરો પણ, બ્રિજના સારા ખેલાડીઓ હતા. તીનપત્તી જેવી પતાંની રમતો હોસ્ટેલોમાં બહુ પ્રચલિત હોય તેવું ધ્યાન પર નથી.

આઉટડોર રમતોમાં ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ, હોકી, બાસ્કેટબોલ જેવી રમતો પણ રમાતી, પરંતુ આ રમતો દરેક હૉસ્ટેલ બ્લૉકની એક એક સબળ ટીંમ બની શકે તેટલી કક્ષાએ પ્રચલિત નહોતી. દરેક હૉસ્ટેલના પાછળના ભાગમાં વૉલીબૉલ અને બૅડમિન્ટન કૉર્ટ પણ હતા અને આ બન્ને રમતો માટેની કિટ્સ પણ સારી હાલતમાં જળવાતી. દરરોજ સાંજે એકાદ કલાક માટે આ કોર્ટ્સ હંમેશ પ્રવૃત જણાતા. દરેક હોસ્ટેલમાં ટેબલ ટેનિસનાં સાધનો પણ સારી હાલતમાં રહેતાં અને તેનો ઉપયોગ પણ સારો એવો થતો.

ઇન્ડોર અને આઉટડોર વાર્ષિક રમતગમત ચેમ્પિયનશિપ બે ટર્મમાં વહેંચાયેલી હોવાથી, શતરંજના ચસ્કા પછી અમે ટેબલ ટેનિસમાં પણ મોટે પાયે ઝુકાવ્યું હતુ. પહેલાં અને બીજાં વર્ષના થઈને ત્રીસેક જેટલા મિત્રોએ એ વર્ષે સ્પર્ધામાં ભાગ લીધો. જોકે મોટા ભાગના તો સાવ શિખાઉ વર્ગના જ હતા. અમારા બે સહાધ્યાયીઓ, વિનોદ લરોયા અને કિરોન દોશીએ એ સ્પર્ધામાં રંગ રાખી દીધેલો. તેમાંથી વિનોદ લરોયા તો તો નખશીખ ગંભીર ખેલાડી હતો.  મારા જેવા શિખાઊઓની સામેના રાઉંડમાં પણ એ બિલકુલ યોગ્ય ડ્રેસ-કોડમાં હોય. દેખાવે પણ એકદમ ચુસ્ત અને રમતી વખતે તેનું ધ્યાન માત્ર અને માત્ર રમત પર જ હોય. બીજો મિત્ર, કિરોન દોશી, સાવ સામે પાટલે હતો. હોસ્ટેલની ફાઈનલ સુધીના રાઉંડમાં તે લુંગી, ઢીલું ટી શર્ટ અને સ્લીપર્સમાં જ રમ્યો. આ બન્ને જણા વચ્ચે જ હોસ્ટેલ-ફાઈનલ થઈ હતી. ખુબ રસાકસીભરી પાંચ ગેમ્સને અંતે અમારો અ-ગંભીર મિત્ર, કિરોન, જીતી ગયો. રમતને ગંભીરપણે લેનાર વિનોદનું કહેવું હતું કે પેલો નિયમિત ડ્રેસ વગેરેમાં નહોતો રમતો એટલે પોતાનું ધ્યાન રમતમાં કેન્દ્રિત જ નહોતું થઈ શકતું! ઇંન્ટર-હોસ્ટેલ કક્ષાએ તો કિરોનને વ્યવસ્થિત ડ્રેસ પહેરીને રમવા જવું પડ્યું. તેમ છતાં ઠીક ઠીક આગળ સુધી પહોયા પછી તે હારી ગયો. તેનું કહેવું હતું કે આવાં કપડામાં તેની નૈસર્ગિક રમત કુંઠિત થઈ જતી હતી !

અમે પહેલા વર્ષના શિયાળામાં - ટેનિસ બોલવાળી - ક્રિકેટ પર પણ અમારો હાથ અજમાવ્યો હતો. શિયાળાના બે મહિના દરમિયાન, અમે સવારનો નાસ્તો કર્યા પછી ક્રિકેટ ગ્રાઉન્ડ પર જતા અને રવિવારના અમારા ભવ્ય લંચનો સમય ન ચુકાય ત્યાં સુધી મેચ રમતા. પિલાણીના શિયાળાની ઠંડીમાં સવારના  ગરમાવામાં ક્રિકેટના આનંદની સાથે અને રવિવારના તે 'ખાસ' લંચનો આનંદ પુરેપુરો માણી શકાય એટલે સ્નાન પણ બપોરના ભોજન પછી જ કરતા. તે પછી લગભગ ચાર કલાક માટે ગાઢ કુંભકર્ણ નિદ્રામાં સરી જતા. અમારામાંથી કેટલાક તો રવિવારનો ફિલ્મ શો ચૂકી જવાનો ભોગ પણ ખુશી ખુશીથી આપતા!

Thursday, April 3, 2025

મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ, આજે પરમ શાંતિના પંથે પ્રયાણ માડે છે, ત્યારે .....

 

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫, મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ (૧૩-૫-૧૯૩૩ | ૨૨-૩-૨૦૨૫), ના દેહાવસાન પછી તેરમો દિવસ છે. હિન્દુ પરંપરા પ્રમાણે, "તેરમું" એ અંત્યેષ્ટિ સંસ્કારનું અંતિમ સીમાચિહ્ન છે. એમ મનાય છે કે એ દિવસે આત્મા તેનાં નશ્વર બંધનો અતિક્રમીને પિતૃલોકનાં આધ્યાત્મિક ક્ષેત્ર તરફની પરમશાંતિની યાત્રા શરૂ કરે છે.

પાછળ દૃષ્ટિ કરતાંમારું મન મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ) વૈષ્ણવ,ની આખરી રાત, ૧૮ ડિસેમ્બર ૧૯૮૩, ની યાદથી ભરાઈ જાય છે.

તે અવિસ્મરણીય ચોવીસ કલાક ……

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજની તે સાંજે, સુસ્મિતાને પાલનપુરથી ફોન આવ્યો. મારા પિતાના સહકર્મી શ્રી ધ્રુવભાઈ છાયા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા), એ જાણ કરી હતી કે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે, અને તેઓ તેમને અમદાવાદના ઉસ્માનપુરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.[1] સુસ્મિતાએ તાત્કાલિક અમારી ફેક્ટરી, ઍરીશ ઇક્વિપમેન્ટ, વટવા,એ મને જાણ કરી.

હું ઘરે પહોંચું તે પહેલાં, સુસ્મિતા  અમારા અઢી વર્ષના પુત્ર, તાદાત્મ્ય,ને, નજદીકમાં રહેતા અમારા મોટા પિતરાઈ ભાઈ, સુધાકરભાઈના ઘરે લઈ ગઈ અને તેમને ઘટનાની જાણ કરી. તેથી, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ પણ અમારે ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ અમારું પહેલું કાર્ય, અમારા પરિવારના પરિચિતો, પડોશીઓ તેમ જ મિત્રો એવા, ડૉ. અશોકભાઈ દેસાઈ અને ડૉ. બંકિમ માંકડ, નો સંપર્ક કરવાનું હતું. બંને ડૉક્ટર મિત્રો પહેલેથી જ સિવિલ હોસ્પિટલ, આસારવામાં સિનિયર ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી, તેમણે અમને ત્યાં પહોંચવાની સલાહ આપી. તેમણે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બધી વ્યવસ્થા કરી. પછી, હું અને સુધાકરભાઈ મારા પિતાને લઈ આવનારી એમ્બ્યુલન્સ જ્યાં પહોંચવાની હતી તે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સના આવવાની રાહ જોવા લાગ્યા. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતાની સાથે જ, અમે તેમને અમારી સાથે સિવિલ હોસ્પિટલ પહોંચવાનો નિર્દેશ આપ્યો.

અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં, રાતના ૧૧ વાગ્યા પછીનો સમય થયો હતો. મારા પિતાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય લાગ્યો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને એક ટીમની સતત દેખરેખ એક હેઠળ રાખવામાં આવશે, એ ટીમની આગેવાની  એક ખૂબ જ યુવાન કાર્ડિયોલોજિસ્ટ (જો મને બરાબર યાદ હોય તો ડૉ. પુરેન્દ્ર પટેલ હતા) કરી રહ્યા હતા. બીજી પંદર વીસ મિનિટમાં પછીથી કંઈ પણ અનિચ્છનીય બને ત્યારે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ટીંમ સંપૂર્ણપણે સજ્જ હતી.

આ દરમિયાન, ધ્રુવભાઈએ અમને જાણ કરી કે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે, મારા પિતા દાંતીવાડા કેમ્પસના ગુજરાત કૃષિ યુનિવર્સિટી (જીએયુ) સ્થિત તેમના ઘરે લંચ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. મારી માતાએ મદદ માટે ઓફિસને જાણ કરી. સ્ટાફના સભ્યો જીએયુ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સાથે દોડી ગયા. હૃદયરોગનો હુમલો હોવાનું નિદાન થતાં, પ્રાથમિક સારવાર  આપ્યા પછી, તેમને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના લોહીમાં એક 'ગઠ્ઠો' તરતો હતો, જેના કારણે હૃદયરોગના હુમલાના આ લક્ષણો જોવા મળ્યા. જો 'ગઠ્ઠો' હૃદય સુધી પહોંચે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. પાલનપુર હોસ્પિટલે વધુ સારવાર આપવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપી.

આટલી વાત થઈ એ દરમ્યાન આગળની કાર્યવાહીનો ક્રમ નક્કી થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે મારી માતા અને સુસ્મિતાએ ઘરે જવું જોઈએ અને બીજા દિવસે સવારે બપોરના ભોજન પછી પાછા આવવું જોઈએ. ધ્રુવભાઈ છાયાએ તેમને અમારા ઘરે મૂકવાનું નક્કી કર્યું. હું અને સુધાકરભાઈ હવે હોસ્પિટલમાં હાજર હતા. મારા પિતાએ સુધાકરભાઈને પલંગની બાજુમાં થોડા કલાકો સૂવા માટે સમજાવ્યા. અમે રાત્રિની ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલીક પ્રાથમિક સહાયક વસ્તુઓ સાથે લાવ્યા હતા. તેમની મદદથી, સુધાકરભાઈએ અડધી ઊંઘ અને અડધી જાગતી અવસ્થામાં તેમની પીઠને હળવી કરવાનો પ્રયાસ કર્યો. હું મારા પિતાની બાજુમાં બેઠો.

તે પછી મારા પિતાએ ખુલીને એમની ચિંતાઓ અને સૂચનાઓ મને જણાવવાનું કરવાનું શરૂ કર્યું. તેઓ ૧ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ જ નિવૃત્ત થયા હતા, તેથી તેમણે તેમના સર્વિસ રેકોર્ડ, હાઉસિંગ લોન સંબંધિત દસ્તાવેજો ક્યાં છે તે બધું મને જણાવ્યું. તેમણે પેન્શનની સંભવિત રકમ (અથવા જો તેઓ આ હુમલામાં બચી ન જાય તો મારી માતાને ફેમિલી પેન્શન), દાંતીવાડામાં તેમના બેંક ખાતાની વિગતો વગેરે વિશે પણ માહિતી આપી.
મારા ભવિષ્યની ચિંતા
મારા પિતાની સૌથી મોટી ચિંતા મારા ભવિષ્યની હતી. તેઓ બહુ સરળ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. મારા પહેલાની અમારી બધી પેઢી સરકારી સેવામાં હતી. અમારા સમુદાયમાં સ્વીકૃત ધોરણ હતું કે જે કોઈ પણ સરકારી સેવામાં જોડાય છે તે તે સેવામાંથી પણ નિવૃત્ત થાય છે. હું ખાનગી ક્ષેત્રમાં જોડાનારો પહેલો વ્યક્તિ હતો. તેથી, તેમને ખાનગી ક્ષેત્રમાં નોકરીની અસલામતીનો સ્વાભાવિક ખયાલ હતો. જોકે, ૧૯૭૩ થી ૧૯૭૯ સુધી, જેમ જેમ મેં મારા પ્રથમ નોકરીદાતા ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ, અમદાવાદ સાથે મારી કારકિર્દીમાં પ્રગતિ કરી, તેમ તેમ તેમની ચિંતાઓ, લગભગ ઓછી થઈ ગઈ. તે સમયે જ મેં, ત્રણ અન્ય મિત્રોની સાથેઅમદાવાદના વટવા ખાતે એક નાના પાયે ઉત્પાદન એકમ, આરીશ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ., શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, તેમના મનના ઊંડાણમાં, શાંતિ ફરી ખલેલ પહોંચાડી. એક સરકારી કર્મચારી તરીકે, તેમને માત્ર નોકરીની ખાતરી જ નહીં, પણ કાર્યસ્થળ પરના રોજિંદા કામ માટે પણ ખાતરી રહેતી હતી. તેમની ચિંતામાં વધારો કરવા માટે, અમે ઘણા લાંબા સમય સુધી કામ આપતા રહે એવા મૂડીગત માલનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ આ સાહસની સફળતાના દૃષ્ટિકોણથી મારા ભવિષ્યની સુરક્ષા બાબતે ફક્ત નજીકના ભવિષ્યમાં આજીવિકાના પૂરતા સ્ત્રોત તરીકે નહીં, પરંતુ અમારા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટેનો લાંબા ગાળાના સ્ત્રોત બાબતે પણ તેઓ પણ ચિંતિત હતા.

તે રાત્રે, તેમણે પહેલી વાર પોતાની ચિંતાઓ સ્પષ્ટપણે શબ્દોમાં વ્યક્ત કરી. જોકે, તેમણે નિષ્કર્ષમાં એમ પણ જણાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા અને તેમાંથી બહાર આવવાની મારી ક્ષમતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. તેથી તેમણે મને ખાતરી આપી કે તેઓ મારા વિશે થોડો ઉચાટ અનુભવતા રહ્યા છે પણ આ ક્ષણે હવે તેઓ ચિંતિત નથી.

અમારી ચર્ચાઓ ખૂબ મોડી રાત સુધી ચાલતી રહી હતી. તેથી, તેમને થોડી ઊંઘ લેવામેં વિનંતી કરી. પરંતુ, તેમણે કહ્યું કે પોતાનું મન આટલું ખાલી કરી દીધા પછી તેઓ હવે જે કંઈ થશે તેનો સામનો કરવા માટે તૈયાર હતા., છતાં તેમના અંગત પરિવારના વડા તરીકે, તેમજ તેમના પિતાના બૃહદ પરિવારના વડા તરીકે તેમના ત્રણ અધૂરા કાર્યો તેઓ મને સોંપવા માગતા હતા.
ત્રણ જવાબદારીઓ
તે પછી તેમણે મને જે ત્રણ જવાબદારીઓ સોંપી તે આ મુજબ હતી:

૧) તેમનાં માતા (મારી દાદી), રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ,ની સંભાળ રાખવામાં તેમના નાના ભાઈ, જનાર્દન વૈષ્ણવ,ની સાથે મારે ઊભા રહેવું, જેથી તેમની ગેરહાજરીમાં, માતા પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવામાં તેમના નાના ભાઈને એકલા પડી જવાતું ન લાગે;
૨) જાણે હું તેમનો પુત્ર હોઉં તેમ, તેમના નાના ભાઈ, જનાર્દન પ્રાણલાલ વૈષ્ણવ.ની સાથે મારે હંમેશા રહેવું, અને
૩) મારા અંગત મૂલ્યોને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ સંજોગોમાં મારી માતાની સંભાળ રાખવી.

૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ, મારી માતાનું અવસાન થયું, જેનાથી મને સોંપાયેલી ત્રીજી જવાબદારીમાંથી. ઔપચારિક કક્ષાએ, પણ મુક્તિ મળી.

પાદ નોંધઃ:

૧) મેં મારી અત્યાર સુધીની જિદગીમાં જોયેલી બધી જ વ્યક્તિઓમાં મારાં દાદી જેટલું પવિત્ર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમ છતાં, મારી દાદીના છેલ્લા છ મહિના ખૂબ જ પીડાદાયક હતા. મારા કાકા, જનાર્દન વૈષ્ણવ અને તેમના અંગત પરિવારે તેમની શારીરિક પીડાઓને સહ્ય કરવા માટે તે દિવસોમાં જે કંઈ કરી શકાય તે બધું જ કર્યું. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સંતોષ થાય છે કે મેં પણ મારા પિતાએ મને જે જવાબદારી સોંપી હતી તેમાં તેમણે મારી જે ભૂમિકા કલ્પી હશે તેને હું, મહદ્‍અંશે, નિભાવી શક્યો હતો.
૨) મને એ વાતનો પણ સંતોષ છે કે મેં મારા કાકા અંગે મારા પિતાએ મને જે ભૂમિકા સોંપી હતી તે હું પુરી નિષ્ઠાથી ભજવતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં તેમની અમુક માંદગી પછી તેઓ એમ માનતા કે હવે પછી તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ સારવાર ન કરાવવી, તેમની એ ઇચ્છાને માન આપીને તેમના છેલ્લા દિવસોમાં, મારા પોતાના મૂલ્યો અને 'મારી' ફરજો નિભાવવાના મારાં પોતાનાં ધોરણોની વિરુદ્ધ, હું તેમની પાસે રૂબરૂ ગયો ન હતો. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, તેમ હું એવા નિષ્કર્ષ પર આવી શકતો નથી કે મેં એ જે કંઇ કર્યું તે યોગ્ય કાર્ય કર્યું હતું કે નહીં. મને નથી લાગતું કે હું ભવિષ્યમાં પણ આ બાબતે  નક્કી કરી શકીશ. તેથી, કર્મના સિદ્ધાંતમં અંગત રીતે મને બહુ શ્રદ્ધા ન હોવા છતાં, હું અંતિમ નિર્ણય કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઉં છું.
૩) આંકડાઓ નોંધ કરશે તેમ, હું મારા જીવનના ફક્ત ૩૩ વર્ષ મારા પિતા સાથે વિતાવી શક્યો. તેમની સાથેના એ અવિસ્મરણીય દિવસના છેલ્લા થોડા કલાકો સિવાય, તેમણે  સેવામાંથી નિવૃત્ત થયા પછી હું તેમની સાથે (અને તેમના માટે) કરવા માંગતો એવું કંઈ કરી, ક્યારે પણ,  શક્યો નહીં. ખેર, એનો હિસાબ પણ કર્મના સિદ્ધાંતના હાથ પર જ છોડી દઉં છું. 

મારા પિતાના અવસાન પછી, મને મારી માતા સાથે રહેવા માટે ૪૨ વર્ષ મળ્યાં. ૨૦૧૭ માં તેમના નિતંબ (ફીમર) ના બૉલની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી અમે તેમને સફળતાપૂર્વક પાર કરાવી શક્યાં અને વોકરની મદદથી તેમને ઠીક ઠીક છુટથી હરતાં ફરતાં કરતાં પણ કરી શક્યાં.
જોકે, ૨૦૨૦ના અંત સુધીમાં, તેના પગના સ્નાયુઓ એટલા નબળા પડવા લાગ્યા હતા કે તેમણે પથારી પકડી લીધી. આગામી સાડા ત્રણ વર્ષ સુધી, પથારીવશ અવસ્થામાં હવે સુધારો શક્ય નથી  એવું નક્કી થયા પછી પણ તેમની આવશ્યક દૈનિક દિનચર્યા માટે ઓછામં ઓછાની મદાદથી તેઓ કરતાં રહી શકે એમ અમે કરતાં રહી શક્યાં હતાં. જોકે, પથારીમાં જ  રહેવાની નકારાત્મક અસર તેમના શરીર પર ચિંતાજનક રીતે થવા લાગી હતી. છેલ્લા દોઢ વર્ષમાં પોતાના અસ્તિત્વ માટે તેમણે બીજા પર વધુને વધુ નિર્ભર બની રહેવું પડતું હતું. 
આ એ તબક્કો હતો જ્યારે તેમના વધતા જતા દુખાવા અને પીડાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હું સંપૂર્ણપણે લાચારી અનુભવવા લાગ્યો હતો. એક તબક્કે, કુદરતની યોજના સામે મારે માનસિક રીતે મારી હાર પણ સ્વીકારવી પડી. જોકે અમારાથી શકી હતા એ તમામ પ્રયત્નો અમે પૂરા દિલથી ચાલુ રાખ્યા પરંતુ અંતની શરૂઆતની પ્રક્રિયાને ઉલટાવી શક્યા નહીં.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન, તે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અંત ગમે ત્યારે આવી શકે છે. ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ, રોજિંદા સવારના સફાઈ વગેરેનામ તેમનાં કામકાજ પછી, અમને લાગ્યું કે કદાચ આપણે કુદરત સામેના અસ્તિત્વના યુદ્ધમાં હજુ પણ એકબે નાની જીત મેળવી શકીશું. સવારે ૧૦ વાગ્યે, તેમની આંખો અને હોઠ સંપૂર્ણપણે બંધ જણાતી હતી એવી અર્ધજાગૃત અવસ્થામાંહું તેમને અડધો ગ્લાસ પાણી પીવડાવવામાં સફળ થયો. જોકે, જ્યારે હું ૧૦.૪૫ વાગ્યે તેમને જમાડવા માટે આવ્યો, ત્યારે મને લાગ્યું કે હવે જીવન થંભી ગયું છે.. ડૉક્ટર દ્વારા અંતિમ પુષ્ટિ તે પછી માત્ર એક ઔપચારિકતા હતી.

મારી માતા પ્રત્યેની મારી ફરજ બાબતે મારા પિતાજીએ મને સોંપેલી જવાબદારીમાં હું કેટલી હદે ખરો નીવડ્યો તેનો અંતિમ નિર્ણય પણ હું કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઈશ.

પાદ પાદ નોંધઃ
૧) કિરણાબેનના પૌત્ર તાદાત્મ્ય અને પૌત્રવધુ ભૂમિકાએ આજે તેમના 'દાદું'ની સ્મૃતિને રામકૃષ્ણ મઠ, બેલુર અને સાંઈબાબા પ્રતિષ્ઠાન, શિરડીને રૂ. ૧૦૦૧નાં અંજલિસ્વરૂપ અનુદાન કર્યાં.
 ૨) કિરણાબેનની ભાણેજો, ભાનુબેન ડોલરરાય અંજારીઆની દીકરીઓ વિભા (કીરીટરામ ઓઝા) અને સાધના (કશ્યપભાઈ વૈષ્ણવ) અને ધનવિદ્યાબેન પ્રદ્યુમ્નભાઇ માંકડની દીકરી પ્રતિભા (પ્ર માંકડ)  સોમવારે  (૭ - ૪ - ૨૦૨૫ના રોજ) રાજકોટમાં. કિરણાબેનની દીકરીઓ તરીકે વંચિત બાળકોને ભોજન કરાવશે. 


[1] ધ્રુવભાઈ છાયાની ખૂબ આત્મીય શ્રદ્ધાંજલિ:
મુ. પૂજ્ય કિરણબેનના દુઃખદ અવસાન સાંભળીને દુઃખ થયું. મારા પરિવાર અને અમારા જેવા એન્ય લોકોની શોકની ઘડીમાં સંવેદનાપૂર્ણ દિલસોજી સ્વીકાર્શો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.

જ્યારે મેં દુઃખદ સમાચાર સાંભળ્યા, ત્યારે ૧૯૭૨ થી ૧૯૮૪ દરમિયાન શ્રી મહેશભાઈ અને કિરણબેન સાથેના મારા સંબંધોનું ચિત્ર મારી સામે આવે છે. સંબંધો ખૂબ પ્રેમાળ હતા.

જ્યારે હું દાંતીવાડા જતો ત્યારે તેઓ મને ગેસ્ટ હાઉસમાં લંચ કે ડિનર લેવાની મંજૂરી તેમો આપતા નહોતા. મહેશભાઈ અને કિરણબેન બંને તાદાત્મ્ય સાથે અમારા ઘરે આવતા હતા. અમારો ખૂબ ગાઢ કૌટુંબિક સંબંધ હતો. જ્યારે મહેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે હું અને કિરણબેન તેમને અમદાવાદ લાવ્યા.

મુ. કિરણબેનને પણ સુઝ હતી. મેં તેમને દાંતીવાડામાં અન્ય મહિલા સભ્યોને વિવિધ કલા અને હસ્તકલા શીખવતાં પણ જોયાં છે.

ઈશ્વરેચ્છા સ્વીઆરીને, આપણે બધું પાછળ છોડીને મીઠી યાદો સાથે આગળ વધવું જોઈએ.