Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts
Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts

Thursday, August 6, 2026

તનય (તાદાત્મ્ય વૈષ્ણવ) – પાંચમી પેઢીનો છડીદાર

 


પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ અને રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવથી શરૂ થતી વૈષ્ણવ વંશાવળીની હું અને સુસ્મિતા (અશોક વૈષ્ણવ) ત્રીજી પેઢી, અને તાદાત્મ્ય (અશોક વૈષ્ણવ) અને ભુમિકા (તાદાત્મ્ય વૈષ્ણવ)નો પુત્ર, તનય (જન્મઃ ૬ ઓગસ્ટ, ૨૦૨૬) એ ત્રીજી પેઢીની ત્રીજી પેઢી. આમ મારાં આ સંસ્મરણો વૈષ્ણવ વંશાવળીની પાંચમી પેઢીના છડીદાર, તનય,નાં વર્તમાનની યાદોનો ચિતાર છે.

જોકે અમારા (એક માત્ર) પૌત્ર તરીકે તનયનાં સંસ્મરણોનાં તાજાં કરી શકાય એવાં વર્તમાનની યાદૉ મમળવાનું સૌભાગ્ય મળવું, એ જ અમારાં જીવનની એક બહુ બડભાગી ક્ષણ છે, એમ કહેવું એ તો સ્વાભાવિક જ છે.

જોકે તનય વૈષ્ણવ વંશાવળીની ૨૧મી સદીનો છડીદાર છે એ કથન પણ બહુ સીધી સાદી હકીકતનું જ બયાન છે. (વૈષ્ણવ વંશાવળીની બીજી પેઢીનાં સૌથી પહેલાં પ્રતિનિધિઓ) કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ અને પ્રવીણા કમળભાઈ વૈષ્ણવનાં સૌથી મોટાં દીકરી (વૈષ્ણવ વંશાવળીની ત્રીજી પેઢીનાં પહેલાં સંતાન) દેવીબેન (મીનાક્ષી નરેશભાઈ ધોળકિયા)ની (વૈષ્ણવ વંશાવળીની બૃહદ સાંકળની ચોથી કડી) મોટી દીકરી ગાયત્રી  (કૌમુદી મહેન્દ્રભાઈ પટેલ)નાં સંતાનો - વૈષ્ણવ વંશાવળીના બૃહદ છત્રની પાંચમી પેઢીનાં તનયનાં મોટાં ભાઈ બહેન એતદ અને ધૈર્યા -એ વૈષ્ણવ વંશાવળીની વીસમી સદીને વિદાય આપવાનું સ્થાન શોભાવે છે.

જોકે તનયની એક વિશિષ્ટતા એ પણ છે કે તેણે પોતાના દાદાના મા (કિરણા મહેશ્ભાઈ વૈષ્ણવ) અને દાદીના મા (કુજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારીઆ)ને જોયાં છે અને તેમની સાથે રહ્યો પણ છે.

[પોતાનાં પરદાદી (કિરણા મહેશ વૈષ્ણવ) અને પરનાની (કુંજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારીઆ), દાદી (સુસ્મિતા અશોક વૈષ્ણવ) અને મમ્મી (ભૂમિકા તાદાત્મ્ય વૈષ્ણવ) સાથે તનય – આ લીંક પર ક્લિક કરવાથી જોઈ શકાય છે.]

જોકે તનયના જન્મને કારણે હું મારી પહેલી ઈનિંગની ઔપચારીક નિવૃતિ લઈ શક્યો એ સુભગ યાદ આમ તો યોગાનુયોગ જ ગણી શકાય. મારી નિવૃતિની દરખાસ્ત રજૂ કરી ત્યારે હું જિંદલ સૉ લિ., નાના કપાયા, મુન્દ્રા ખાતે કાર્યરત હતો. મારી નિવૃતિની દરખાસ્ત માટે મારે ઘણાં કારણો આપવા પડયાં. તે પેકી એક મુખ્ય દલીલ એ હતી કે મારી પહેલી ઇનિંગ્સના ૩૮ વર્ષ દરમ્યાન મારા પરિવારને હું પ્રાથમિકતા નથી આપી શક્યો.  જ્યાં સુધી (અ)મારી તબિયત સારી છે ત્યાં સુધી હવે હું મારા પરિવાર સાથે જિંદગી માણવા માગું છું. મારા ચેરમેન, શ્રી પી આર જિંદલે મારી દરખાસ્તનો સ્વીકાર કર્યો તે માટે મારી આ એક દલીલ સૌથી વધારે કારણભૂત નીવડી એમ કહી શકાય.

તનયના બાલ્યકાળે એ દલીલને ખરા અર્થમાં મૂર્ત કરી આપી. અને તેથી મારાં આ સંસ્મરણોની સફરના મારાં અને (મારાં પત્ની) સુસ્મિતાના સહજીવનનાં વર્ષોનો આ પડાવ અર્થસભર બની રહ્યો.

એ સંસ્મરણોને અહી ઉતારવા માટે અમારી પાસે જે ફોટોગ્રાફ્સ અને વિડીયો ક્લિપ્સ છે તેને ફરીથૉ જોવાનું શરૂ કર્યું એ તો ટાઈમ મશીનની એ સમયકાળની ધીમી ગતિની સફર જેવો આહ્લાદક અનુભવ બની રહ્યો. યાદોની એ ચિત્રપટ્ટીને જેટલો મારાથી શબ્દદેહ આપી શકાયો એ અહીં રજૂ કર્યો છે.

બાલ્યકાળ

નવજાત તનયને લઈને અમે હોસ્પિટલથી નીકળ્યાં ત્યારે તનયના જન્મ માટે અમે સૌ જે રાહ જોઈ રહ્યાં હતાં એ રાહના અંતના સૂચક સમાન વરસાદનું હળવું ઝાપટું શરૂ થયું.


તનયનાં નામકરણ વગેરે વિધિઓ પુરી થયા બાદ તનયને લઈને ભૂમિકા પાછાં બેગલુરૂ સ્થાયી થયાં, તે પછી મને અને સુસ્મિતાને તનયના બાલ્યકાળ દરમ્યાન તનયની નિકટ રહેવાના બે ખાસ્સા લાંબા સમયખંડ મળ્યા.

પહેલો સમયખંડ તાદાત્મ્ય - ભૂમિકાના બેંગલુરૂના આર ટી નગરમાં આવેલાં ઐશ્વર્યા અપાર્ટમેન્ટનો અમારા રહેવાસનો સમય હતો. ઐશ્વર્યા અપાર્ટમેન્ટ આવેલું હતું તે આર ટી નગરનો વિસ્તાર મહદ અંશે બેંગલુરૂનાં મૂળ મધ્યમ વર્ગનાં પ્રતિનિધિ સમાન વિસ્તાર હતો. બે રસ્તાઓ વચ્ચે પડતા વિશાળ લંબચોરસ વિસ્તારમાં આવેલાં ઘરોના સમૂહ પૈકી એક એવું ઐશ્વર્યા અપાર્ટમેન્ટ બે રસ્તાના ખણા પર જ આવેલું હતું. એક રસ્તો આગળ જતાં થોડો ઢાળવાળો બની જતો, જેને એક છેડે મસ્જિદ હતી અને બીજે છેડે બજાર હતું. એ બજારમાંથી  રોજબરોજની જરૂરિયાતો મળી રહેતી. એ બધા રસ્તાઓ પરથી બહારની બાજુએ નીકળો એટલે બેંગલુરૂના વિવિધ ભાગો સાથે સંપર્ક સ્થપાય. ઐશ્વર્યા અપાર્ટમેન્ટની આસપાસ ઘણા એકલદોકલ નોકરીયાતો રહેતા હશે. સવારે એ લોકો પોતાના  કામે જવા નીકળે ત્યારે તાજી ગરમાગરમ ઈડલી અને સુગંધથી મહેકતા દોસાઇ, અને સાથે કોપરાંની અને કાંદા-ટમાટાની ચટણીનો નાસ્તો મળી રહે એવા ખુમચાઓ ઠેરઠેર જોવા મળે. અમે લોકો પણ અઠવાડીયામાં એકાદ બે વાર એ નાસ્તાની મજા માણી લેતાં. ઐશ્વર્યા અપાર્ટમેન્ટની બાજુંમાં નીચે એક ઘંટી હતી, જ્યાં દર બીજે દિવસે  સવારે એ વિસ્તારનાં રહેવાસીઓ પોતપોતાના સાંભાર મસાલા દળાવવા આવે. તાજા દળાતા મસાલાઓની એ મહેકની કારણે ઘરે બનતાં અમારાં ગુજરાતી દાળશાક સાંભારમય બની રહેતાં. એ જ રસ્તા પર એક નાની બેકરી પણ હતી. હું અને સુસ્મિતા અઠવાડીયે દસ દિવસે બપોરના નાસ્તામાં એ બેકરીના પફ પેટીસનો પણ ઘણો લાભ લેતાં .     

તનયને નવડાવી કરીને તૈયાર કરીને  જમીન પર કે પલંગ મોટી ચાદર પર ગોદડી પાથરીને બેસાડો એટલે પોતાનાં રમકડાંથી એકાદ કલાક જેવું તો આરામથી રમે.

પછી તનયને રમકડાં પકડતાં અને ફેંકતાં આવડી ગયું. એટલે પછી તે દુર દુર સુધી ફેંકે. હજુ તેને ભાંખોડીયાં ભરતાં નહોતું આવડ્યું એટલે એણે ફેંકેલાં રમકડાં અમારે લઈ આવવાનાં. પછી તો એને એ સ્વતંત્ર રમત થઈ પડી.


તમયને તૈયાર કરાતો હોય કે કશે બહાર જવાનું હોય કે એ પોતાની રમતમાં મગ્ન હોય, ત્યારે તેના ચહેરાના હાવભાવ નિહાળવા એ અમને પણ મગ્ન કરી મુકે એવા અનુભવો બની રહેતા.

તનયની બીજી એક ગમતી પ્રવૃતિ હતી તેડાવીને શેરીમાં થતી અવરજવર બાલ્કનીમાંથી જોવી. એમાં પણ જો નીચે શેરીમાં 'બ્રાઉન કુતરાભાઈ' નીચે દેખાઈ જાય તો એને તો એ એટલો વળી વળીને જૂએ કે તનયને તેડનારે ખાસ્સી સાવધાની વર્તવી પડે. 

 

તે જ રીતે ફ્લેટના મુખ્ય દાદર પાસે આવેલા પેસેજમાં જાઓ તો ત્યાંથી બીજી શેરીની અવરજવર પણ જોવા મળે. એ પેસેજમાં એક બાંકડા જેવી બેસવાની જગ્યા હતી. બપોરે ચા પીધા પછી તનયને ત્યાં લઈ જઈએ ત્યારે મોટાભાગે સામેનાં ઘરમાં રહેતાં દાદી એમની પોત્રીને નાસ્તો કરાવવા લઈ આવે. પોત્રી તનયથી વરસેક મોટી હશે. દાદી પોતાની પોત્રીને ઈડલી ખવડાવે, તનય એકધ્યાન થઈને એ જૂએ. પછીથી થોડા મોટા થયા પછી બધાં સાથે બહાર રેસ્ટોરંટમાં ગયાં હોઈએ ત્યારે તનયને ખીચડી મળે. એ તબક્કાથી થોડા આગળ વધ્યા પછી તનય હોંશે હોંશે ઈડલી ખાતો થયો ત્યારે  તેના મનમાં કોતરાઈ ગયેલી દાદી - પોત્રીના ઈડલીના નાસ્તાની એ યાદ કેટલી સચવાઈ હશે

તનયે પોતાની બેઠક માટે એક બહુ જ અવનવો વિકલ્પ પણ ખોળી કાઢ્યો હતો.....

આડવાતઃ

ઉપરના ફોટોગ્રાફમાં એક ખુલ્લું લેપટોપ જોવા મળે છે. તનયના જન્મ બાદ મારી પહેલી ઇનિંગમાંથી નિવૃતિ પછી મેં જે એક પ્રવૃતિ વિકસાવી હતી એ હતી બ્લોગલેખન. ખુલ્લું લેપટોપ મારી એ પ્રવૃતિનું દ્યોતક  છે. આ ફોટોગ્રાફ ૨૦૧૨નાં વર્ષનો હશે. ત્યાં સુધીમાં મારૂં બ્લોગ લેખન એક ચોક્કસ શૈલીમાં ગોઠવાવાનું શરૂ થઈ ગયું હતું. 

એ ઉમરે પણ તનયને ખ્યાલ આવી જતો કે રાત્રે જમ્યા પછી અમે ચાલવા જઈએ છીએ. તેને તેડી લઈએ ત્યાંથી કરીને આખે રસ્તે બધું જોતો જાય અને ખુબ હરખાતો જાય. તેના એ હરખને કારણે અમારે ચાલવા ન જવું હોય તો પણ અમે ચાલવા જતાં. અને એ સમયે એને ન લઈ જઈ શકાય એવું હોય તો અમે ચાલવા જવાનું જ માંડી વાળતાં. આમ જમીને રાત્રે ચાલવા જવા માટે તનયનો હરખ જ અમારા માટે મુખ્ય પ્રેરક બળ બની રહ્યું.

બાઉંસરમાં બેસીને પોતાનું 'ભાણું જમવું' એ પણ તનય માટે એક ખાસ પ્રસંગ બની રહેતો. ચમચીએ ચમચીએ તેનું 'જમાતું' જાય તેમ તેમ બાઉંસરને ઝુલાવવાની તેની ઝડપ વધતી જાય. પછી તો બાઉંસરને એટલી ઝડપથી ઝુલાવે કે આપણને લાગે કે બાઉંસર ઉથલી પડશે. પરંતુ, તનય માટે તો 'જમવા'ની અને બાઉંસરને ઝુલાવવાની બેવડી મજા એટલી ગમતી પ્રવૃતિ હતી કે બેમાંથી એકેયને એ બંધ ન કરવા દે.


મહિને એકવાર ભૂમિકાની નાઈટ ડ્યુટી આવે. તાદાત્મ્ય ભૂમિકાની સાથે ગયો હોય, એટલે તનયને સુવડાવવાની જવાબદારી મુખ્યત્વે સુસ્મિતાની હોય. ભૂમિકા જે ગીતો અને ગરબા ગાઈને તનયને સુવડાવે એ જ ગીતો અને ગરબા સાંભળાવો તો જ ટાણેને ઊંઘ આવે. કોઈ વાર સુસ્મિતા વચ્ચે એકાંદ ગીત ભૂલી જાય તો તે ને પાછો તનય યાદ પણ કરાવી લે. 

તનય થોડું ઊભો રહેતાં શીખ્યો એટલે તેનું બેબી વૉકર પણ તેનું અતિપસંદ રમકડું બની ગયું. વૉકર જૂએ એટલે એને એમાં હરહાલમાં બેસવું હોય. તેને તેડ્યો હોય તો વૉકર તરફ એટલો વળીને ઝૂકી પડે કે તેનું જ નહીં, તેડનારે પણ પોતાનું સંતુલન જાળવવા મહેનત કરવી પડે. 


એક વાર તનય એનાં વૉકરમાં ગોઠવાઈ જાય એટલે પહેલાં થોડું આસપાસ દોડાવે, પણ પછી તેની દોટ દૂર ખુણામાં રાખેલ બુટ - ચંપલના ઘોડા તરફ હોય. હસતાં હસતાં એ ગોળીની માફક એ ઘોડા સુધી વૉકર ભગાવે. એક વાર, ત્યાં પહોંચે એટલે ઘોડામાંનાં બુટ - ચંપલ સાથે આખો ઘોડો પોતાની સાથે ખેંચીને પાછો ભાગે. પોતે કેવું મોટું કામ કર્યું છે તે જાણે બતાવવા માટે  ભાગતાં ભાગતાં બધાં સામે હસતો હસતો જોતો જાય. થોડી વાર તો અમને પણ ગમે, એટલે અમે ઘોડો ફરી ફરીને ગોઠવીએ અને તનય તેને ખેંચી લાવે. પછી અમે થાકીએ. એટલે તનયને બીજી રમત પર વાળીએ.


તનયનાં બાળપણ અને તેના વિકાસને સક્રિયપણે નજદીકથી જોવાનો બીજો તબક્કો તાદાત્મ્ય - ભૂમિકા પુણેમાં પિંપળે સોદાગરમાં ડી - ૩૦૩, ગણીશમ-II માં સ્થિર થયાં ત્યારે આવ્યો.

એ વર્ષોમાં પિંપળે સોદાગર પણ હજુ વિકસતો વિસ્તાર હતો. ગણીશમની એક તરફ તો મસમોટું ખાલી મેદાન હતુ, જે આજે હવે આધુનિક હાઈ - રાઈઝ મકાનોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. ગણીશમની આગળ તરફ કહી શકાય એ બાજુએ નાસિક ફાટા રોડ તરીકે જાણીતો મુખ્ય માર્ગ હતો. બીજી બાજુએ ગોવિંદ ગાર્ડન તરીકે ઓળખાતો વિસ્તાર હતો. એ બાજુ પર બેકરી, ફરસાણ અને મિઠાઈ, શાકભાજી, દવાઓ, ફાસ્ટ ફુડ નાસ્તાઓ વગેરેની દુકાનો સારી એવી જામી ગઈ હતી. તનયની કેજી સ્કૂલ, કિડ્ઝી, પણ એ બાજુ આવેલી હતી. નાશિક ફાટા રોડની પેલે પારનો વિસ્તાર પહેલેથી જ વિકસ્યો જણાતો હતો. ત્યાં પણ ડેરી, શાકભાજી દુકાનો, માછલી, પેટ્રોલ પંપ, કરિયાણા વગેરેની દુકાનો પર સાંજના સમયે ઠીક ઠીક ભીડ જોવા મળે. એ તરફ આવેલી બેકરીની બટર અને ખારી મને બહુ ભાવી ગયેલ. તેથી, ૨૦૨૬માં અમે પુણે ગયાં ત્યારે સવારના નાસ્તા માટે એ બેકરીની બટર અને ખારીની જૂદીજુદી વેરાયટીઓ માટે મારો રીતસરનો આગ્રહ રહેતો.

સુસ્મિતા તો તાદાત્મ્ય - ભૂમિકા પુણેમાં પહેલાં થોડો સમય બાલેવાડીમાં 'ક્મ્ફર્ટ ઝોન'માં રહ્યાં ત્યારે પણ તનય સાથે રહી શક્યાં હતાં. ૨૦૧૩ના સમયમાં એ વિસ્તાર હજુ વિકસવાનું શરૂ જ થયું હતું. એટલે એ વિસ્તારમાં આસપાસ મુખ્ય પ્રવૃતિ તો બાંધકામની જ હતી. ફ્લેટની બાલ્કનીમાં બેસીને ચાલી રહેલી એ પ્રવૃતિઓ જોવી એ તનય અને સુસ્મિતા માટે સમય પસાર કરવાનું બહુ હાથવગું સાધન બની રહ્યું. તનય પણ હજુ નવું નવું બોલતાં શીખ્યો હતો, એ દૃષ્ટિએ ઘરની બહારની વસ્તુઓની પહેલી પહેલી જે નામ સાથેની ઓળખ થઈ તે કબૂતર અને કન્સટ્ર્કશન મશીનરીની હતી.  કબૂતરનું ઘું ઘૂં સાંભળીને તનયે કબૂતરનું નામ 'ધૂં' પાડ્યું. એ સમયમાં ત્યાં ચાલી રહેલાં બાંધકામ માટે પાણીનાં ટેન્કરો અને માલસામાન લાવતા ખટારાઓ  બહુ આવતાં, તનયે એમનું નામ 'તાતો' પાડ્યું..પછી તો જેસીબી તનયની સૌથી પ્રિય મશીનરી બની ગઈ.


તનયનો કેજીનો અબ્યાસકાળ પુરો થયો ત્યાં સુધીમાં તો તેને પાસે બે મોટાં ખોખાં ભરાય એટલાં બાંધકામની મશીનરીઓનાં અને કારનાં મૉડેલોનાં રમકડાં ભેગાં થઈ ગયાં હતાં. એ બધાં રમકડાંને ડ્રૉઈંગ રૂમને એક છેડેથી છેક ડાઈનિંગ રૂમ સુધી, અમુક ચોક્કસ ક્રમમાં, લાઈન બનાવવી અને પછી એ બધાંને પાછાં સાચવીને ખોખાઓમાં મુકવાં એ તો બેએક કલાક ચાલે તેવી તનયની પ્રિય રમત બની ગઈ.


તનયના વિકાસને બહુલક્ષી બનાવવાના ભાગ રૂપે તેને ચિત્ર પોસ્ટકાર્ડ ઓળખવા અને પઝલના ભાગો ગોઠવવા જેવી રમતો પણ શીખવવામાં આવી. તનયને તો એ રમતો પણ બહુ જ ગમી ગયેલી. એક ચિત્ર ઓળખતો જાય, રૂમમાં આંટા મારતો જાય અને પછી તેને ગોઠવીને રાજી રાજી થતો જાય.



તનયને ત્રણ વર્ષ પુરાં થાય તે પછી કેજી કક્ષાના અભ્યાસ માટે બાળશાળામાં દાખલ કરી શકાય. આમ પણ
રિવાજ પ્રમાણે બાળકના જન્મ સમયના વાળ ઉતરાવવાનો સમય પાકી ગયો હતો. એટલે, તનયનાં કેશમુંડન સંસ્કારનો વિધિસરનો કાર્યક્રમ અમદાવાદમાં મીરા અપાર્ટમેન્ટના ઘરે ઉજવવાનું નક્કી થયું. વાળ ઉતરાવવાની ક્રિયા આમ પણ બાળકને તકલીફકારક હોય, અને તેમાં પાછું એ બધું બહુ બધાં લોકોની ધમાલ વચ્ચે કરવાનું હોય. એટલે તનય મુંઝાઈ ન જાય એ માટે ભૂમિકા અને તાદાત્મ્યએ બહુ બધા ઉપાયોની હારમાળા ગોઠવીને તૈયાર રાખી. પરંતુ તનયે આખી વિધિ જે સ્થિતપ્રજ્ઞ પરિપક્વતાથી કરાવી એ હાજર રહેલા બધાં માટે ખુબ આશ્ચર્યજનકઅને આનંદમાં અનેક ઘણો વધારો કરતો પ્રસંગ બની રહ્યો. 

એ પછીનાં જ શૈક્ષણિક વર્ષ (૨૦૧૪ - ૧૫)થી, ગણીશમની એક બાજુએ આવેલ ગોવિંદ ગાર્ડનની નજદીક આવેલ પ્રી-સ્કૂલ, કિડ્ઝી, માં તનયના બાલ્યકાળનો શાળાભ્યાસનો તબક્કો શરૂ થયો. સવારે તો ભૂમિકા  કે તાદાત્મ્ય તેને સ્કૂલે મુકી આવે. સ્કૂલ છૂટે ત્યારે તેને લેવા જવાની જવાબદારી દા( દિવાસોમામજે પુણેમાં હોય એ પ્રમાણે) દાદા (મારી) - કે પછી નાના (પ્રવાસીભાઈ)-ની રહે. તનયની એ ઉમરની ચાલવાની ઝડપે સ્કૂલથી ઘરે પહૉંચતા સહેજે વીસેક મિનિટ થાય. એ દરમ્યાન, સ્કૂલની બહાર નીકળતાંવેંત આખા દિવસની પ્રવૃતિનો અથથી ઈતિનો અહેવાલ તનય સંભળાવતો જાય. તેમાં જો ત્યાં બની રહેલાં એક બિલ્ડીંગ પાસે જેસીબી ઊભું હોય, તો તેનું નજદીકથી નિરીક્ષણ કરવાની બીજી દસેક મિનિટ ઉમેરાઈ જાય. ઘરે પહોંચ્યા પછી પહેલં તનયને નવડાવવાનો અને પછી જમાડવાનો ચાર્જ દાદી (સુસ્મિતા) - કે પછી નાની, અરવિંદાબહેનનો - રહે. એ દરમ્યાન હવે તનય એના શાળાના દિવસનો વિગતવાર અહેવાલ એટલા જ રસથી એમને સંભળાવે.

તનયનો કિડ્ઝીનાં બીજાં વર્ષનો વાર્ષિકોત્સવ

સવારની આ બધી ભરચક પ્રવૃતિઓ પછી જમીને તનય એકાદ કલાકની ઊંઘ ખેંચે. એટલો સમય અમને પણ પોરો ખાવાનો મળે. ઊઠે એટલે તનયની રમતોનો 'પિરિયડ' શરૂ થાય. 

તનય - કિડ્ઝીના રમતોત્સવમાં

સામાન્ય રીતે, એ સમયે તનયને દાદીનો સંગાથ મળે. તેનો લાભ લઈને હું લેપટોપ મારૂં કામ કરતો હૌઉં. ઘણી વખતે એવું બને કે હું ફિલ્મનાં ગીતો વિશે કંઈ લખી રહ્યો હોઉં, એટલે યુટ્યુબ પરનું એ સંદર્ભનું કોઈ ગીત વાગતું હોય. એ ગીતોમાંથી કોઈ કોઈ  ગીતોમાં તનયને જો રસ પડે તો, બાજુમાં આવીને એ ઊભો રહે અને ગીત સાંભળે.  એમ કરતાં કરતાં, ચાર પાંચ ગીતો સાંભળવાની તો તો એ ફર્માયશ કરતો થયો. જે ક્રમમાં જ તનયને ગીત સાંભળવાનું ગમતું  એ ક્રમમાં એ ગીતો અહીં મેં યાદ કર્યાં છે - 

ઓ નીલ ગગનનાં પંખેરું મુકેશ - ગીત અને સંગીત: રમેશ ગુપ્તા (૧૯૪૯)

આસમાં પે હૈ ખુદા ઔર જમીં પે હમ (મુકેશ, ફિર સુબહ હોગી, ૧૯૫૮ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ ખય્યામ)

જંગલમેં મોર નાચા કિસીને ન દેખા (મોહમ્મદ રફી, મધુમતી, ૧૯૫૮) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી)

સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા (આશા ભોસલે, ભાઈ બહેન, ૧૯૫૯ - ગીતકારઃ રાજા મેહદી અલી ખાન - સંગીતઃ એન દત્તા)

એ જ ગીતનું લશ્કરની કુચ પરની ધુન પર બનેલું સંકરણ, સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા (સુષમા શ્રેષ્ઠ અને સાથીઓ , યે ગુલિશ્તાં હમારા, ૧૯૭૨ - ગીતકારઃ અલ્લામા ઈક઼્બાલ - સંગીતઃ એસ ડી બર્મન) 

આવી બધી રમતો ચાલે એટલી વારમાં ભૂમિકાની હૉસ્પિટલની ફરજનો દિવસ પૂરો કરી ઘરે આવવાનો સમય થઈ જાય. એ સમયે દરવાજાની ઘંટડી વાગે એટલે તનય જ સામે જાય. ભૂમિકા અંદર દાખલ થાય ત્યાંથી લઈને બપોરનો નાસ્તો ખાતાં ખાતાં તનય પોતાની એ દિવસની સ્કૂલની પ્રવૃતિનો અહેવાલ ફરી એક વાર કહે. હવે તો જોકે મોબાઈલ ફોનના સંપર્ક શરૂ થઈ ગયા એટલે ઘણી બધી વાતો તો પહેલાં જ થઈ ચુકી હોય !

એ પછી નીચે આવેલ ગાર્ડનમાં બાળકોનાં રમતગમતના સાધનો છે ત્યાં તનય સાથે રમવા જવાનો સમય થાય. ત્યાં એકદોઢ કલાકનો સમય ક્યાં વીતી જાય એ પણ ખબર ન રહે !


ત્યાંથી આવીને હાથ મોં વગેરે ધોઈને બેસીએ એ પછી તનય હવે તાદાત્મ્યના આવવાની રાહ જૂએ. તાદાત્મ્ય આવે એટલે એ દિવસની સ્કૂલની પ્રવૃતિની ટેપ એટલા જ ઉત્સાહ અને એટલી વિગતમાં ફરીથી વાગે !

તાદાત્મ્ય અને ભૂમિકા અઠવાડીયે પંદર દિવસે પિંપરીની શાક બજારમાં શાક લેવા જાય. અમે પણ સાથે જઈએ. ત્યાંથી ફાંટડા ભરીને શાક લઈ આવીએ. એ દિવસે રાત્રે જમ્યા પછી લીલા વટાણાના દાણા કાઢવા અને  મેથી, પાલકની ભાજી વગેરેને સમારવી એ ભૂમિકા અને સુસ્મિતાની પ્રાથમિકતા હોય. બેન (કિરણા વૈષ્ણવ, તનયનાં વડદાદી) જ્યારે અમારી સાથે પુણે આવેલ હોય ત્યારે શાક સમારવાની પ્રવૃતિમાં એ પણ જોડાય.


સસ્મરણોનો આ મણકો લખતાં લખતા તનયના બાલ્યકાળના વિડીયો અને ફોટોગ્રાફ્સને ફરીથી જોવાનો જે મોકો મળ્યો તેને કારણે કેટકેટલી યાદો મનની ચિત્રપટ્ટી પર ફરીથી તાજી થઈ ગઈ.  તાદાત્મ્યના બાલ્યકાળ દરમ્યાન અમારી પ્રવૃતિઓને જે કંઇ આવી તકો અમે ગુમાવી તે તનયના બાલ્યકાળે અમને અનેક ગણાં વ્યાજ સાથે પુરી કરી આપી.   

Friday, July 3, 2026

એચ આર શાહ – કૂવાસ્તંભ સમાન વ્યવસાય સહયોગી, આદર્શ મિત્ર

એચ આર (મૂળ નામ – હરિશ રસિકકલાલ ) શાહ, એમના સમવયસ્ક મિત્રો માટે તેઓ એચઆર હતા, મારા માટે તેઓ શાહ સાહેબ હતા અને હું તેમનો વૈશ્નવ સાહેબ.

૨૩ જૂન ૨૦૨૬ ના રોજ સવારે રાજેશ (હરીશ) શાહનો ફોન આવ્યો, સંદેશો બે જ વાક્યમાં કહેવાયો –

પપ્પા ગયા. તેમની અંતિમ વિદાય સવારે ૧૧ વાગ્યે છે.


રાજેશ વધારે કંઈ કહી શકે તેમ ન હતો, હું પણ વધારે કંઈ પૂછી શકું તે હાલતમાં રહ્યો નહોતો.

હું તરત જ એમના ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મારા મનમાં આશરે ૧૯૮૪ ની સાલમાં આવેલો શાહ સાહેબનો ફોન ઘુમરાઈ રહ્યો.

[શાહ સાહેબ સાથેના મારા વ્યવાસાયિક સંબંધનો પાયો ૧૯૭૯ની આસપાસ નંખાયો. એ શરૂઆતનાં વર્ષોની મારી યાદો મેં અશ્વિન શાંતિલાલ પાલખીવાળાના સંગાથનાં સંસ્મરણોમાં યાદ કરેલ છે.]  

એ દિવસે હું મારા નિયમ મુજબ ફેક્ટરી – એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુ. પ્રા. લિ., વટવા – જવા માટે તૈયારી કરી રહ્યો હતો, ત્યારે શાહ સાહેબનો ફોન આવ્યો કે આપણે ફેક્ટરી કે એકબીજાના ઘર સિવાયની કોઈ જગ્યાએ મળીએ. અમે વિજય રેસ્ટોરન્ટ પર મળવાનું નક્કી કર્યું.

વિજય રેસ્ટોરન્ટ પહોંચતાં મને તો દસેક મિનિટ જ લાગે. એટલા સમયમાં મારા મનમાં વાતનો વિષય શું હોય શકે તેના વિચારો ચાલ્યા. એરિશ હવે સ્થાયી થવા લાગ્યું હતું અને સારી રીતે આગળ વધી શકે એ તબક્કો હજુ માંડ માંડ આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ અશ્વિનભાઈ પાલખીવાલાએ અલગ થઈ જવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અશ્વિનભાઈના પ્રસ્તાવે તો માંડ સ્થાયી થઈ રહેલા પાયાને ધરમૂળથી ધ્રુજાવી નાખ્યો હતો. એટલે અમારી વાતનો વિષય આ બાબતને લગતો જ હોય એમ તો અપેક્ષિત હતું.

અશ્વિનભાઈ, શાહ સાહેબ, અરૂણ જે વોરા અને હું એરિશમાં સરખે ભાગે હિસ્સો ધરાવતા હતા. સામાન્ય સમજણ મુજબ તો અશ્વિનભાઈ અને શાહ સાહેબ અનુપ એન્જિનીયરિંગના સમયના મિત્રો એટલે એ બંને એક પક્ષે રહે અને વોરા અને હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સના સમયના મિત્રો એટલે અમે બે એક પક્ષે રહીએ એમ માની શકાય. પરંતુ, એ પરિસ્થિતિમાં કાયદા મુજબની પ્રક્રિયાથી અમારે અલગ થવાની બાબતનો ઉકેલ સહેલાઈથી આવે તેમ નહોતો. અને એખલાસપૂર્ણ વાટાઘાટો શક્ય બને એવું પણ જણાતું નહોતું. એ કારણે અનેક મુંઝવણભર્યા એવા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા જેના વિષે શું વિચાર કરવો એ પણ મને હજુ સુઝતું નહોતું.

શાહ સાહેબનો ફોન આવ્યો ત્યારે આ મુજબની ચોપાટ તો બીછાવાઈ ગઈ હતી. હવે કોણ દાવ ચાલે અને કેવા પાસા પડે તે જ જોવાનું હતું.

અમે રેસ્ટોરન્ટમાં બેઠા અને અમારે માટે કૉફીનો ઓર્ડર આપ્યો, એટલે જરા પણ સમય વેડફયા વિના શાહ સાહબે મને પૂછ્યું કે હું તેમની સાથે રહીને કામ કરવા તૈયાર થઈ શકું?

મારા માટે આ સાવ ન વિચારેલો વિકલ્પ હતો, એટલે હું તરત જવાબ ન આપી શક્યો. એટલામાં કૉફી આવી ગઈ. વાત આગળ વધારતાં તેમણે સ્પષ્ટતા કરી કે આ બાબતે ઘણો વિચાર કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે એકબીજાની કૌટુંબીક આર્થિક પરિસ્થિતિને અને બન્નેની વ્યક્તિગત વિચારસરણીને ધ્યાનમાં લેતાં, એમની દ્રષ્ટિએ, આપણે બે સાથે રહીને એરિશ સારી રીતે ચલાવી શકીશું.

આટલાં વર્ષોમાં હું શાહ સાહેબને જેટલો ઓળખી શક્યો હતો એ હિસાબે તેમના પ્રસ્તાવ વિષે મારે કશું કહેવાપણું રહેતું નહોતું. કૉફી પૂરી થતાં સુધીમાં તો બંને સાથે રહીને કામ કરવા સહમત થઈ ગયા.

અને આમ રચાયો શાહ સાહેબ સાથેનો મારો ૪૦ + વર્ષનો મૈત્રી સંબંધનો પાયો, જેનો ભૌતિક અંત શાહ સાહેબના દેહવિલયને કારણે ભલે થયો, પરંતુ લાગણીની ભાવનાને સ્તરે એ સંબંધ ક્યારે પણ વિલય નહીં પામે.   

(અંગત નોંધ: અહીં મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈશે કે એ સમયે શાહ સાહેબ વધારે સ્પષ્ટ વિચારો ધરાવતા, સરળ નિર્ણયકર્તા અને વધારે પરિપક્વ હતા. તેમના અનેક ગુણો પૈકી આ ગુણોએ એરિશના જહાજને લાંબા ગાળાની સ્થિરતા બક્ષી અને અમારા ભાવિ મૈત્રીના સંબંધને વિકસાવ્યો અને જાળવ્યો.) 

૪૦ + વર્ષોનો મૈત્રી સબંધ

દેખીતી રીતે અમારો સંબંધ તો સમયની માંગમાંથી ઉદભવેલો ઔપચારિક, વ્યાવસાયિક સંબંધ હતો. એ સંબંધ અંગત મૈત્રી અને પારિવારિક ઘનિષ્ટતામાં ફેરવાઈ શક્યો તેનું સંપૂર્ણ શ્રેય શાહ સાહેબની ધર્મનિષ્ઠ વિચારધારા, સાદગીમય જીવનશૈલી અને ઉમદા પ્રકૃતિને ફાળે છે.

વ્યાવસાયિક બાબતોમાં શાહ સાહેબ જેટલા વ્યવહારકુશળ હતા એટલા જ માનવીય સંબંધોમાં તેઓ ધર્મનિષ્ઠાવાન હતા. ધર્મના રીતરિવાજના પાલનની બાબતે તેઓ ચુસ્ત હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોની સરળ સમજ તેમણે ગ્રહણ કરી હતી અને પોતાના જીવનમાં ઉતારી હતી. તેનું સીધું પ્રતિબિંબ જીવન પ્રત્યેના તેમના સાધુમય અનુરાગમાં જોવા મળે છે.

પોતાની પ્રકૃતિ અને મૂલ્યો સાથે મેળ ખાતી વ્યક્તિઓ સાથે તો તેમના સંબંધ ઊંડાણભર્યા તો રહેતા જ, પણ તે સિવાય તેમની સાથે પરિચયમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે પણ તેઓ કોઈ જાતના ભાર વિના સંબંધ બાંધી શકતા અને જાળવી પણ રાખી શકતા. આ વાતની સાહેદી માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે. અનુપ એન્જિનીયરિંગના કાર્યકાળ દરમ્યાન તેમને વેચાણની વાટાઘાટો માટે અતુલ લિ.ની મેનેજમેન્ટ સાથે બહુ સારો પરિચય થયો હતો. એરિશ ચાલુ કર્યા પછી શાહ સાહેબને એ જ માન અને સ્વીકૃતિ અતુલમાંથી મળ્યાં. જેના ફળ સ્વરૂપે મહદ અંશે એક જ ગ્રાહક પર નિર્ભર રહીને પણ એરિશને કામની ક્યારેય ખોટ ન પડી. એટલું જ નહીં પણ એ કામના અનુભવે આજે એરિશ મધ્ય-કદની ઓટોકલેવ માટે નિપુણ અને વિશ્વસનીય પુરવઠાકાર તરીકેનું સ્થાન ભોગવે છે.

શાહ સાહેબના સંપર્કોની મદદથી એરિશનાં શરૂઆતનાં વર્ષોમાં આવેલા ટેકનીકલ પડકારોના ઉકેલો શીખવામાં તેમજ અમલ કરવામાં મને પણ બહુ જ મદદ મળી. પ્રેસર વેસલ ઉત્પાદનને લગતા કોડ્સ વગેરેની મને જે સમજ પડી છે તે શાહ સાહેબના સંપર્કો દ્વારા જ્ઞાનના વિના સંકોચ મને થયેલાં હસ્તાંતરણને જ આભારી છે. ૧૯૯૨પછી મેં અલગ માર્ગ પર મારી કારકિર્દી આગળ ચલાવી તે પછી પણ શાહ સાહેબના એ બધા મિત્રોની મને મદદ અને માર્ગદર્શન મળતાં જ રહ્યાં.

૧૯૯૨ માં કારકિર્દીની મારી અંગત પસંદગીને કારણે અમારે વ્યાવસાયિક સ્તરે અલગ પાડવાનું થયું. એ સમયે પણ શાહ સાહેબે બહુ જ મોટું મન રાખીને પરિસ્થતિને સહજ બનાવી. એ તબ્બકે, જ્યાં સુધી તેમનો પુત્ર, રાજેશ, તેમની પડખે આવા સક્ષમ થયો ત્યાં સુધી તેમણે જે રીતે એકલા હાથે એરિશનું સુકાન બહુ જ સફળતાપૂર્વક સંભાળ્યું તે તેમની વ્યાવસાયિક કુનેહનું બહુ મોટું પ્રમાણ છે. વયની માંગ અનુસાર તેમણે એટલી જ વિરક્તિથી એરિશનો સંપૂર્ણ અખત્યાર રાજેશને સોંપી પણ દીધો અને તેમના જીવનને વધારે ધર્મમય બનાવ્યું. જીવનમાં આ બધાં પરિવર્તનો તેમણે જે સહજતાથી અપનાવ્યાં તે તેમની ધર્મપ્રત્યેની આધ્યાત્મિક કક્ષાની અનુભૂતિનું આ જીવન દરમ્યાન જ પ્રાપ્ત થયેલ ફળ બની રહ્યું.

શાહ સાહેબ અને નિર્મળાભાભી

વ્યાવસાયિક સંબંધે અમારા માર્ગ ફંટાયા તે પછી પણ શાહ સાહેબે અમારા મૈત્રીના સંબંધમાં જરા પણ ઓટ ન આવવા દીધી, બલ્કે તેને વધારે પ્રગાઢ કરી. તેમણે એરિશના બૉર્ડ પર મને આગ્રહપૂર્વક ચાલુ રાખ્યો. ૨૦૧૧ માં જ્યારે મેં મારી વ્યાવસાયિક કારકિર્દીમાંથી નિવૃતિ લીધી ત્યારે મેં તેમને એ ઔપચારિક જવાબદારીમાંથી મને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે, તેમણે જ નહીં, રાજેશે પણ ક્ષણભરનો વિચાર કર્યા વિના ‘એમ નથી કરવાનું’ કહીને હવે તો સાવ નામ ખાતર જ મને બૉર્ડ પર ચાલુ રાખ્યો. શાહ સાહેબ, અને તેમનો પરિવાર, સંબંધોને પણ કેટલું મહત્વ આપે છે તેનું આ તો હું એક બહુ સાધારણ ઉદાહરણ જ ગણું છું.

૨૦૧૧ પછી અમારા વચ્ચે એક એવી વણકહી સમજણ નક્કી થઈ હતી કે સામાન્યપણે, તેમને અનુકૂળ હોય ત્યારે, શાહ સાહેબ જ ફોન કરશે. એ વ્યવસ્થા મૂજબ એકદમ નિયમિતપણે તેમનો ફોન બે ત્રણ અઠવાડીએ અચૂક આવે અને એકબીજાના તેમજ અન્યોન્યના પરિવારના ખબરઅંતર પૂછવા ઉપરાંત બીજા કેટલાય વિષયો વિષે અમારે વાત થાય.

વધતી જતી ઉમરના હિસાબે હવે આટલી આત્મીયતાથી વાત કરી શકાય એવા મિત્રો ઘટતા જાય છે એવો સુર છેલ્લા થોડા સમયથી એમની વાતમાં આવતો રહેતો. તે વખતે એવી તો કોને ખબર હોય કે જીવનના મંચ પર એ સંવાદ કરનાર પાત્ર તરીકે તેઓ મને એકલો મૂકી જશે !

આજે આ લખતાં જ્યારે શાહ સાહેબની લાગણીની એ જ હુંફ અનુભવાય છે ત્યારે એટલો રંજ રહે છે કે અમે જે વર્ષો મુન્દ્રા હતાં એ સમયમાં કચ્છના જૈન ધર્મનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે હું તેમને ભારપૂર્વક મનાવી ન શક્યો. રંજ તો એ વાતનો પણ રહે છે કે છેલ્લાં એકાદ બે વર્ષમાં જેટલું વધારે મારે એમને રૂબરૂ મળવું જોઈતું હતું એટલું મળી શકાયું નહીં. છેલ્લે, ડિસેમ્બર ૨૦૨૫ માં, પૂણે જતાં પહેલા (મારા પુત્ર) તાદાત્મ્ય સાથે આપણે જરૂર મળીએ એવી એમની ઈચ્છા પુરી કરી શકાઈ એટલો સંતોષ માનીને મન મનાવી લેવું પડે છે.

Saturday, May 30, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ..... - ગૃહસ્થાશ્રમ

 

બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા ......થી આગળ

આઈ આઈ એમ લખનૌમાંથી જ તાદાત્મ્યને કોગનીઝન્ટ, ચેન્નઇમાં પોસ્ટીંગ મળ્યું. ત્યાં દોઢેક વર્ષનો અનુભવ લીધા પછી તાદાત્મ્યએ બેંગ્લુરુમાં હેડસ્ટ્રોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકીંગના સોફ્ટવેરના ડેવલપમેન્ટનાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ ધપાવવાનું નકકી કર્યું.

નિયતિએ તાદાત્મ્ય માટે પોતાનાં કૌટુંબિક જીવનમાં પણ સ્થાયી થવાનું સાથે સાથે જ લખ્યું હશે. ૧૦મી જૂન ૨૦૦૬ના રોજ પ્રવાસીભાઈ (ઉષાકાંતભાઈ ધોળકિયા) નો તેમનાં પુત્રી ભૂમિકાનાં તાદાત્મ્ય સાથે વેવિશાળ કરવાના પ્રસ્તાવનો અમને ફોન આવ્યો. ભુમિકાએ તેમનો એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે મેડિસિનમાં એમડી કરવાનાં હતાં. અમે એ સંદેશો તાદાત્મ્યને જણાવ્યો. તેણે પણ આ પ્રસ્તાવ વિશે વધારે વિગતે વિચાર કરવા અંગે પોતાની સહમતિ દર્શાવી એટલે બન્ને પક્ષે માતા-પિતાએ આગળના સંવાદની દોર એ બન્નેના હાથમાં સોંપી દીધી. દિવાળીની રજાઓમાં તાદાત્મ્ય કોગ્નિઝન્ટમાં જોડાયા પછી પહેલી વાર મુન્દ્રા આવવાનો હતો. એ સમયે (૨૦મી ઓક્ટોબર ૨૦૦૬) તાદાત્મ્ય સીધા મુન્દ્રાની બસ પકડવાને બદલે અમદાવાદ રોકાઈ ગયો. સાંજે તાદાત્મ્ય અને ભૂમિકા એકબીજાંને રૂબરૂ મળ્યાં અને આ સંબંધ ઉપર મહોર મારવા માટે તેમની સંમતિ જાહેર કરી. એ બન્નેની 'હા'ને સગપણ્ની જાહેરાતને બન્ને પક્ષનાં માતા-પિતાઓએ બન્ને પક્ષનાં વડીલોને અન્ય સગાંસંબંધીઓને જાણ કરીને ઉજવી.

વેવિશાળને વિધિસરની મહોર મારતી સમુહરતાંની વિધિ ૨૪ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ સંપન્ન થઈ.

એ પછીથી તરત જ તાદાત્મ્યને કંપનીના ઓન - સાઈટ પ્રોજેક્ટના કામ અંગે ત્રણેક મહિના અમેરિકા રહેવાનું થયું. એ સમયે અમેરિકા સાથે અત્યારના જેવાં સંદેશા વ્યવહારનાં સરળ (અને ઓછા ખર્ચનાં) સાધનો હતાં નથી. ઈ-મેઈલની આપલે એક હાથવ્ગું સાધન હતું. તાદાત્મ્યએ તેની ત્યાંની રહેણાકની જીણી જીણી બાબતો અમને લગભગ દરરોજ ઈ-મેઈલ કરીને જણાવી. વચ્ચે વચ્ચે શનિ - રવિવારમાં અમે લોકો ફોનથી પણ વાત કરી લેતાં.

ભુમિકાનો એમડીનો અભ્યાસ પુરો થાય એટલે લગ્ન લેવાં એમ નક્કી થયું હતું તે મુજબ ૩૦ મે ૨૦૦૮ના રોજ તાદાત્મ્ય અને ભૂમિકાનાં લગ્ન સંપન્ન થયાં.

૬ ઓગસ્ટ ૨૦૧૧ના રોજે તેમના પુત્ર, અને અમારા પૌત્ર, તનયનો જન્મ થયો.

તનય - ત્રણ વર્ષની ઉમરે

જુલાઈ ૨૦૧૨માં તાદાત્મ્યની બદલી પૂણે થઈ. ત્યાં સ્થાયી થતાં થતામાં ભૂમિકા પણ ડી વાય પાટિલ મેડીકલ કૉલેજમાં જોડાયા.

આજે જ્યારે આ લખી રહ્યો છું ત્યારે તાદાત્મ્ય અને ભૂમિકા પોતપોતાની કારકિર્દીના અનેક વળાંકો પાર કરી ને હવે ઘણી સન્માનજનક કક્ષાએ પહોંચ્યાં છે.તનય પણ હવે દસમા ધોરણમાં છે.



આજના આ ત્રિભેટેથી હવે એ ત્રણેયનાં જીવન જે નવી ઊંચાઈઓ આંબશે તે સિદ્ધિઓના પ્રકાશમાં અમને ગૌરવ અનુભવવાની તક મળશે એ અમારૂં સદ્‍ભાગ્ય છે.