Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts
Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts

Sunday, April 7, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : પહેલવહેલી ખેપ

 BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વણખેડેલી કેડીપરની સફરનાં મડાણ..... થી આગળ

મારો મુસાફરીનો દિવસ આમ તો બીજા દિવસો જેવો જ સામાન્ય હતો. પિતાજી તેમના નિયત સમયે તેમની ઑફિસ ગયા હતા. માતાજી પણ સવારથી તેમની નિયમિત દિનચર્યામાં જ વ્યસ્ત હતાં. મારૂં સવારનું જમવાનું પણ હંમેશ જેવું હતું. દરરોજની દિનચર્યામાં જો ફરક કહેવો હોય તો એટલો કે અન્ય દિવસો કરતાં મેં અર્ધો - પોણો કલાક વહેલું જમી લીધું હતું, જેથી નવસારી સ્ટેશન પહોંચવા માટે બીનજરૂરી ઉતાવળ ન કરવી પડે.

જોકે મુસાફરીનો દિવસ ખાસ ન હોય એમાં કંઈ નવું પણ નહોતું.

શૈક્ષણિક જીવન સંભવિત નવી, અને મહદ અંશે વણકલ્પેલી, સફરની શરૂઆત હોવા છતાં આ પ્રકારના દિવસ ખાસ ગણવો જોઈએ એવી કુટુંબની કોઈ પ્રથા જ નહોતી. પિતાજી મારી શૈક્ષણિક પ્રગતિમાં રસ જરૂર લેતા, પણ ભણતરને લગતી રોજબરોજની ઘટનાઓનો અમારે અમારી જાતે જ સંભાળી રહેવાની રહેતી.

મારાં ભણતર સાથે સંબંધિત (તથાકથિત) મહત્ત્વના સીમા ચિહ્નરૂપ પ્રસંગની ખાસ ઉજવણી હોય, કે તેને લઈને ખાસ ઉત્તેજના હોય એવું છેલ્લે, અને માત્ર એક જ વાર, બન્યું હતું એસ એસ સીની મારી પરીક્ષાના પહેલે દિવસે જ.  અમારે ગુજરાત કોલેજ (અમદાવાદ)ના કયા ખંડમાં પરીક્ષા આપવાની છે તે જોવા પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે મારી સાથે મારા પિતાજી આવ્યા હતા. પહેલી પરીક્ષાને દિવસે બે પેપર હતાં પહેલાં અને બીજાં પેપર વચ્ચે ૧ કલાક સમયગાળો હતો. એ સમયે મારાં માતાજી થર્મોસ ભરીને ચા અને નાસ્તો લઈને આવ્યાં હતાં. જોકે, બીજા બધાં પરિક્ષાર્થીઓનાં તો આખાંને આખાં કુટુંબ ચા નાસ્તો લઈને આવ્યાં હતાં. વિદ્યાર્થી જીવનની એ સમયની એ પહેલી મહત્ત્વની પરીક્ષા હતી, પણ એ કલાક પુરતું વાતવરણ પરીક્ષાભાવથી બોજિલ બની જવાને બદલે કોઈ ઉત્સવ જેવું બની રહ્યું હતું.

મને યાદ છે ત્યાં સુધી પ્રાથમિક શાળાની શરૂઆત કે પછી મિડલ સ્કૂલની શરૂઆત જેવા પ્રસંગ તો ક્યારે આવ્યા ને ગયા એ જ ખબર નથી. પાંચમા ધોરણમાં અધવચ્ચેથી પિતાજીની બદલી, સૌ પ્રથમ વાર, રાજકોટ થઈ હતી. એટલે રાજકોટની બહુ જ પ્રતિષ્ઠિત ગણાતી વિરાણી હાઈસ્કૂલમાં પ્રવેશ લેવાનો હતો. એ શાળામાં પ્રવેશ લેવા માટે પણ (કદાચ) બે મુખ્ય કારણો તો ઘરની નજીક હોવું અને અમારા સંબંધી, શ્રી જનાર્દનભાઈ વૈદ્ય, ત્યં અંગેજીના શિક્ષક હતા એ સગવડ જ ગણી શકાય. પ્રવેશ મેળવવા માટે જનાર્દનભાઈ અને મારા પિતાજીને ઠીક ઠીક મહેનત પડી પણ તે પછી શાળાનો પહેલો દિવસ કે છેલ્લો દિવસ કંઇ ખાસ રહ્યો હોય એવું યાદ નથી. પ્રવેશ અંગે એવી જ દોડધૂપ અને માથાકૂટ પ્રિ. સાયંસ સમયે પણ થયેલી. ગુજરાત યુનિવર્સિટીમાં પવેશ માટે સોળ વર્ષ પુરાં થયાં હોવાં જોઈએ એવો નિયમ હતો. મને પંદર વર્ષ જ પુરાં થયેલાં, એટલે, તકનીકી રીતે, હું એ સમયે 'નાની વય'નો હતો. એ સમયે ચાલેલા તપાસના ચકરાવાઓમાંથી એટલું ફલિત થયું હતું કે વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ માટે વય મર્યાદાનો નિયમ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે હતો. એટલે ત્યાં પ્રવેશ મેળવવા માટે પિતાજીએ બે એક ધક્કા ખાવા પડેલા. હું પણ તેમની સાથે જતો. તે જ રીતે પ્રિ. સાયંસનું વર્ષ પુરૂં થયા પછી  એમ એસ યુનિવર્સિટીમાં મેડિકલ અભ્યાસક્રમમાં મને આપોઆપ મળતા પ્રવેશ ન લેવા માટેના મારા આગ્રહ માટે પણ પિતાજીએ બે એક ધક્કા ખાવા પડેલા.

આમ, મારાં સમગ્ર જીવનકાળના સંદર્ભમાં આજે પાછળ નજર કરતાં એમ કહી શકાય કે આ બધા પ્રસંગો મારાં શૈક્ષણિક જીવનના 'સામાન્ય' પ્રવાહને બદલે (અસામાન્ય) 'ખાસ કારણો' વધારે ગણી શકાય. આજે હવે વિચારતાં એમ લાગે છે કે અમારાં કુટુંબની આવી વિચારસરણી મારા માટે તો છૂપા આશીર્વાદ સમાન જ નીવડી હતી, મારાં જીવનમાં મારા પોતાનાં બળે આગળ વધવાની જે કંઈ મારામાં આવડત કેળવાઈ તેનો પાયો નંખાવામાં આ બધી બાબતોનો ફાળો બહુ મહત્વનો રહ્યો છે તે હવે સ્પષ્ટપણે દેખાય છે.

જોકે, નવસારી સ્ટેશનેથી પશ્ચિમ એક્ષપ્રેસ ઉપડી ત્યારે હૃદયને ઊંડે ખૂણે મને એવી અનુભૂતિ તો થતી હતી આ સફર મને સૌ પ્રથમ વાર ગુજરાતની સીમાની પાર લઈ જઈ રહી છે. જોકે, એ પણ કબુલવું જ જોઈએ કે મારાં જીવનને આ સફર  નવો જ વળાંક આપશે એવી ધારણા હજુ નક્કર સ્વરૂપ નહોતી લઈ રહેલી. 

મુસાફરીનો સમય પસાર કરવા માટે મેં મારી સાથે ઇન્ડિયા ટુડે અને ધ વીકના બે છેલ્લા અંકો સાથે લીધા હતા. સામાન્ય જ્ઞાન પણ થોડું તરાશાતું રહેશે એવા આડફાયદાની પણ ગણતરી પણ હતી. જોકે મારાં મૂળ હથિયાર તરીકે તો મારી સાથે સમગ્ર ભારતનું રેલ્વે સમયપત્રક હતું જ.  વડોદરા પસાર થઈ ગયા બાદ હું હવે પછીનું સ્ટેશન કયું છે અને ત્યાં પહોંચતાં કેટલો સમય લાગશે એ તપાસતો રહેતો હતો. સાંજનાં જમવામાં તો મારે સાથે લાવેલો નાસ્તો હતો એટલે એ અંગે કશું વિચારવાપણું નહોતું. રાતે જ્યારે બીજાં સહપ્રવાસીઓ નીદ્રા શૈયાએ પોઢવા લાગ્યાં ત્યારે મેં પણ મારી બર્થ પર મારો વાંસો લાંબો કર્યો. પરંતુ મારી ઊં શ્વાનનિદ્રા જ હતી. કોટા ક્યારે આવશે તે તો હું તપાસતો જ રહો હતો.

કોટા પસાર થયા પછી તો હું શાબ્દિક, અને ખરા, અર્થમાં મારી સીટની ધાર ઉપર જ આવી ગયો હતો. કોટા આવતાં પહેલાંનો છેલ્લે અર્ધોએક કલાક તો, મારી બેગ સાથે, હું કોચના દરવાજા પાસે જ ઊભો રહ્યો. ટ્રેન સવાઈ માધોપુર બે મિનિટ જ રોકાતી હતી. એટલા સમયાં હું ટ્રેનમાંથી ઉતરી તો શકીશને એવી અવઢવ મારા ચહેરા પર પણ સ્પષ્ટ કળાતી હશે!

જોકે, ટ્રેનમાંથી ખરેખર ઉતરવાનું થયું ત્યારે સમજાયું કે અમુક ઘટનાઓના આગોતરા ભય જેટલી એ ઘટનાઓ ખરેખર મુશ્કેલ હોતી નથી. મારી સાથે, ઘણા બધા સામાન સાથે, બીજાં પણ ત્રણ ચાર મુસાફરો ઉતર્યાં અને લગભગ બીજાં એટલાં જ મુસાફરો ચડ્યાં પણ ખરાં. અને તેમ છતાં જાણે કલાકો ઊભવાનું છે એમ જ ટ્રેન નિરાંતે ઊભી જ હતી! ઉતરી ગયા પછી ટ્રેન ઊપડી ત્યાં સુધીમાં તો મને અમ લાગી આવ્યું કે આના કરતાં તો કદાચ વધારે વાર નવસારીથી કોટા પહોંચતાં લાગી હશે. આમ અજાણતાં જ મેં સાપેક્ષતાવાદના નિયમને સિદ્ધ કરતું ઉદાહરણ પ્રસ્થાપિત કરી દીધું હતું😊.

જોકે બ્રહ્માની બે ઘડીઓ જેટલી લાં  બી લાગેલી આ બે મિનિટોએ મને ચિડાવા માટેની ટ્રેનના ઉપડવા પહેલાં સવાઈ માધોપુર સ્ટેશને જે એક કલાક મળવાનો તેની કિંમત સમજાવી દીધી હતી.

હવે મેં પહેલું કામ ચિડાવા માટેની ટિકિટ લેવાનું કર્યું. જોકે એ તો દસ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પતી ગયું. હવે હું, સાવ, નિશ્ચિત હતો.  પ્લેટફોર્મ પરના નળ પર જઈને મેં નિરાંતે બ્રશ કરી,મોઢું ધોયું અને તાજો થયો. હવે થોડી ભૂખ પણ ઉઘડી હતી. સામે જ સ્ટૉલ પરના કુલ્હડમાં ભરેલ ગરમ ગરમ ચા અને એક સમોસો અને એક કચોરીના નાસ્તાને લિજ્જતથી ન્યાય આપ્યો. 

તેમ છતાં ટ્રેન ઉપડવાના સમય પહેલાં મારી ખાસ્સો એવો સમય બચ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર મુકાઈ ગયેલી એટલે સારો ડબ્બો જોઈને, ટ્રેનની સફરની દિશામાં બેસાય એમ, બાજુની એકલી બેઠક પર મેં મારી બેઠક જમાવી. પંદર - વીસ મિનિટનો એ સમય, મારી જિંદગીના સાવ ઉચાટ વગરના કેટલાક સમયમાંનો, કદાચ શ્રેષ્ઠ સમય હતો.

ચિડાવા સુધીની સફર તો યાદ રહે એવી કોઈ ઘટના સિવાયની જ રહી. પહેલૂં મોટું સ્ટેશન જયપુર આવ્યું. પણ મારા મનમાં અત્યારે તેનું કોઈ મહત્ત્વ નહોતું રહ્યું. ટ્રેનના ચાલવાને કારણે સાપેક્ષપણે દોડતી જણાતી આજુબાજુની દૃશ્યાવલી માણવા, કે ક્યારેક ક્યારેક એમનું ધ્યાન ન જાય તેમ સહપ્રવાસીઓને અવલોકવાની મજા માણવા, સિવાય મારી પાસે હવે બીજું  કંઈ કામ નહોતું.

બપોરના જમવાના સમયે કયું સ્ટેશન હશે એ તો યાદ નથી, પણ પુરી-ભાજીની એક પ્લેટ જમવા પેટે ખાધી. બપોરની ચાના સમયે કોઇ એક સ્ટેશન આવ્યું ત્યાં પગ લાંબા કરવા ઉતર્યો. ચાવાળાએ ત્યાંની સેવના વખાણ કરતાં કહ્યું કે આ સેવ ખાશો તો રતલામની સેવ પણ ભુલી જશો. રતલામની સેવ તો જોકે મેં હજુ સુધી ચાખી નહોતી, પણ તેના આગ્રહને માન આપીને, ચિડાવા આવે ત્યાં સુધી સમય પસાર કરવા, એક નાનું પેકૅટ સેવનું ખરીદી લીધું. 

આમ કરતાં કરતાં આખરે ચિડાવા રેલ્વે સ્ટેશન આવી જ ગયું. મારી સાથે બીજાં ડઝનેક મુસાફરો પણ ટ્રેનમાંથી ઊતર્યાં હશે. પણ મસ્ત્યવેધ માટે એકાગ્ર ચિત્ત કરેલા અર્જુનની જેમ મારૂં ધ્યાન પણ પિલાણી માટેની બસ શોધવાનુ હતું, એટલે એ સહપ્રવાસીઓમાં પિલાણીનાં અન્ય કોઈ વિદ્યાર્થૉ હતાં કે નહીં તે મારા ધ્યાનમાં ન આવ્યું.

પિલાણી માટેની બસ એ ખાનગી સેવા કંપની બસ હતી. મારી અત્યાર સુધીની જિંદગીમાં મેં તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર સેવા સિવાયની કોઈ બસમાં મુસાફરી કરી નહોતી, એટલે મેં રાજસ્થાન પરિવહનની કોઈ બસ શોધવા નજર દોડાવી.  જેમને પણ પુછ્યું એ બધાંએ તો બહુ સહજપણે જણાવ્યું કે અહીં તો આ બસ જ મળશે. આજે વિચાર કરતાં મને લાગે છે કે એ સમયે એ લોકોને હું ભુલો પડેલો પરગ્રહવાસી જ લાગ્યો હઈશ. જોકે પછીથી થોડા જ દિવસોમાં મને જ્ઞાન લાધવાનું હતું કે ઉત્તર ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં જાહેર બસ પરિવહન સેવામાં ખાનગી ક્ષેત્રને તો ઘણાં વર્ષોથી સ્થાન મળી ચુક્યું છે..

ખેર, બીજા અર્ધા પોણા કલાકની સફર બાદ હું પિલાણી બસ અડ્ડા પર પહોંચી ચુક્યો હતો.

હવે પછી -

ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ: પ્રથમ દર્શન



 

Sunday, March 3, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વણખેડેલી કેડીપરની સફરનાં મડાણ.....

 BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વિચાર વમળો અને નિર્ણય..... થી આગળ

પિલાણી સુધીની વણખેડેલી સફર માટે મારી પાસે, કમસે કમ, એ સમયે આધાર માત્ર મને પ્રવેશ પરીક્ષા માટેનો કોલ લેટર હતો. એ પત્રમાં પિલાણી રાજસ્થાનમાં આવેલું છે એ સમજાતું હતું. તે ઉપરાંત એ પત્રમાં એક જ વાક્યમાં જણાવાયું હતું કે પિલાણી પહૉંચવા માટે  સૌથી નજદીકના  રેલ્વે સ્ટેશનો (જયપુરથી આવો તો) ચિરાવા અને (દિલ્હીથી આવો તો) લુહારૂ છે.

જોકે એ સમયે મારૂં જ્ઞાન તો શાળામાં ભણેલા એટલી જ ભુગોળ સુધીનું હતું કે રાજસ્થાન ગુજરાતને ઉત્તર-પશ્ચિમ સિમાડે આવેલું રાજ્ય છે. પિલાણી, ચિરાવા કે લુહારૂ તો નામ પણ સાંભળ્યાં નહોતાં. આમ પણ, મારી ત્યાર સુધી ૨૧ વર્ષની જિંદગીમાં મેં ટ્રેનની મુસાફરી પણ સુરતથી આગળ નહોતી કરી. નવસારી પણ પહેલ વહેલી વાર જ આવવાનું બન્યું હતું. એટલે જયપુર કે દિલ્હી પણ કેમ પહોંચી શકાય એ તો કલ્પના પણ નહોતી આવતી. પાછો નવસારીમાં પણ હું સાવ એટલો નવોસવો હતો કે આ બાબતે થોડી પ્રાથમિક માહિતી પણ ક્યાંથી મળે તેની પણ સુઝ નહોતી પડતી.

એટલું વળી સારૂ હતું કે મને રેલ્વનાં આખાં ભારતની ટ્રેનોનાં ટાઈમ ટેબલ વિશે ખબર હતી. એટલે આશાનું એટલું તરણું મનમાં હતું કે જો એ ટાઈમ ટેબલ મેળવી લઉં તો આ બન્ને શહેરો સુશી પહોંચવાના રેલ માર્ગની ભાળ તો મળી શકવી જોઈએ.

પિતાજી સાથેની ચર્ચાને અંતે પ્રવેશ પરીક્ષા આપવી એ નિર્ણય લીધા પછી તેમની ઓફિસમાં થોડી તપાસ કરવામાં જે પાંચ દસ મિનિટ ગઈ એટલામાં તો સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે પછીનું પહેલું કામ નવસારી રેલ્વે સ્ટેશને જઈને આખાં ભારતનું રેલ્વે ટાઈમ ટેબલ ખરીદવાનું હતું. સ્ટેશન સુધી પહૉંચતાં જોકે થોડી શંકા થઈ આવેલ કે નવસારીનું સ્ટેશન આવી બાબતો માટે નાનું પડશે તો તો સુરત પણ કદાચ જવું પડે. ખેર, એવી શંકા તો ખોટી પડી અને નવસારી સ્ટેશન પરથી એ ટાઈમ ટેબલ તો મળી ગયું. નવસારી સ્ટેશન પર ટિકિટ બારીએ, અને સ્ટેશન માસ્તર પાસે, મેં પુછપરછ કરવાની તકો પણ નહોતી છોડી. જોકે તેમણે પણ આખાં ભારતનું ટાઈમ ટેબલ જ મદદરૂપ થશે એમ જ જણાવ્યું હતું.   

ટાઈમ ટેબલ ખરીદીને હું સીધો ઘેર પહૉચ્યો, ઘરે પહોંચીને પણ થોડોક સમય પણ બરબાદ કર્યા વિના જ, થોડા કોરા કાગળ અને પેન લઈને ટાઈમ ટેબલની મદદથી મારાં 'સંશોધન' પર જ બેસી ગયો. એ સમયે ગુગલ મેપ્સ જેવી ડિજિટલ સગવડ હોત તો કામ સરળ બનત, પણ અહીં તો જુદાં જુદાં ટાઈમ ટેબલોની, અને છેલ્લે આપેલા ભારતીય  રેલ નેટવર્કના નકશાની મદદથી શોધખોળ કરી ને કયો રેલમાર્ગ મળે છે અને સહેલો પડશે એ કામ કરવાનું હતું. 

બે એક કલાકની મથામણને અંતે ચિરાવા જવા માટે બે અને લુહારૂ જવા માટે એક એમ ત્રણ વિકલ્પ મળ્યાઃ



૧. નવસારી - અમદાવાદ - જયપુર - સવાઈ માધોપુર - ચિરાવાઃ 

આ માર્ગમાં નવસારીથી અમદાવાદ, અમદાવાદથી જયપુર અને છેલ્લે જયપુરથી ચિરાવા એમ મુસાફરી કરવાની થતી હતી. આ વિક્લ્પમાં સવાઈ માધોપુર જવાની જરૂર નહોતી રહેતી કેમકે સવાઈ માધોપુર - ચિરાવા ટ્રેન જયપુર થઈને જતી હતી. અમદાવાદ અને જયપુરમાં ટ્રેનો બદલવા માટે જે વધારાનો સમય જોઈએ તે સાથે કુલ મુસાફરી ૨૦થી ૨૪ કલાક + પાંચેક કલાક મળીને ૨૫થી ૩૦ કલાકની સફર થતી હતી. કુલ અંતર ૮૫૦ + ૨૦૦ કિમી જેટલું થતું હતું.

૨. નવસારી-વડોદરા-કોટા-સવાઈ મધોપુર-ચિરાવાઃ

નવસારીથી સવાઈ માધોપુર બોમ્બે - દિલ્હી માર્ગની મુસાફરી હતી. જો મુંબઈ- દિલ્હી પશ્ચિમ એક્ષપ્રેસ મળે તો લગભગ ૧૫ કલાક અને મુંબઈ-દહેરાદુન દહેરાદુન એક્ષપ્રેસ મળે તો લગભગ ૧૮થી ૨૦ કલાકની આ મુસાફરી હતી, જેમાં લગભગ ૭૦૦ કિમીનું અંતર કાપવાનું થતું હતુ> સવાઈ માધોપુરથી ચિરાવાની લગભ ૩૫૦ કિમીની સાતેક કલાકની વધારાની મુસાફરી તેમાં ઉમેરવાની થતી હતી.

લુહારૂ થઈને જવાનો વિકલ્પ તો ઊડી જ જતો હતો કેમ કે એ માટે પહેલાં નવસારીથી અમદાવાદ થઈને, કે બોમ્બે - દિલ્હી રૂટ પર સીધા જ, દિલ્હી પહોંચી અને પછી ત્યાંથી લુહારૂ માટે પાછા ફરવાનું થતું હતું.

આટલી માહિતી ગોઠવાઈ ગયા પછી હવે કયો વિક્લ્પ પસંદ કરવો એ નક્કી કરવા માટે કોઈ કમ્પ્યુટર કે લાંબી બુદ્ધિની જરૂર નહોતી. એટલે હવે ઊંઘી જતાં પહેલાં મનમાં નક્કી કરી લીધું કે બીજે દિવસે સવારે નવસારી સ્ટેશનેથી (અને નવસારી સ્ટેશનેથી ન મળે તો સુરત સ્ટેશનથી) સવાઈ માધોપુરની ટિકિટ લેવી. 

સવારે નવસારી સ્ટેશનની ટિકિટ બારી ખુલે તે પહેલાં જ હું પહોંચી ગયો હતો, તેમ છતાં હું લાઈનમાં પહેલો નહોતો. અર્ધોએક કલાકમાં મારો વારો આવી ગયો. ટિકિટની લેવાની વિધિ પતી ત્યાં સુધી તો મારો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો હતો - મારે જે દિવસની ટિકિટ જોઈતી હતી તે મને મળી ગઈ હતી. જોકે મને જણાવવામાં આવ્યું હતું કે સવાઈ માધોપુર - ચિરાવાની ટિકિટ તો મારે સવાઈ માધોપુરથી જ લેવી પડશે. પરંતુ, મારા હાથમાં પશ્ચિમ એક્ષપ્રેસની નવસારી - સવાઈ માધોપુરની ટિકિટ આવી જવાથી મને હવે એટલો તો વિશ્વાસ હતો કે ક્યાં તો મારી આવડત ને ક્યાં તો મારૂં નસીબ મને એટલો સાથ તો હવે આપશે કે સવાઈ માધોપુર - ચિરાવાની ટિકિટ મેળવવામાં હું જરૂર સફળ થઈશ. 

Sunday, February 4, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વિચાર વમળો અને નિર્ણય

 

એન્જિનિયરીંગના મારા પાંચ વર્ષના સ્નાતક અભ્યાસક્રમના છેલ્લા સમેસ્ટરનું પરિણામ આવી ગયું હતું. એકંદર માર્કની દૃષ્ટિએ મારૂં પરિણામ સારૂં એવું પ્રોત્સાહપ્રેરક રહ્યું હતું. જોકે, આ પરિણામ મળ્યા પછીની મારી સૌ પહેલી પ્રતિક્રિયા મારી જાતને વેકેશન દરમ્યાન લાયબેરીમાં પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓની તંદ્રામાંથી બહાર આવવાની હતી. અત્યાર સુધી તો એ પરિણામ આવી જાયે એ પછી એના આધારે શું કરવું એનક્કી કરીશું એવી રાહ જોવાનું જે કારણ હાથવગું હતું તે હવે ન રહ્યું. એટલે હવે પછી શું તે  મારે, વધારે સમય ખોયા વગર, નકી કરવું કરવાનું હતું.

અત્યાર સુધી જે વિશે જરા પણ નહોતું વિચાર્યું એ, નોકરીની શોધ, એ જ સ્વાભાવિક રીતે પહેલી પ્રાથમિકતા હતી. પણ, તે સામે વરવી વાસ્તવિકતા એ પણ એટલી જ હતી કે આ બાબતે મને કંઈ જ ગતાગમ નહોતી. કેવા પ્રકારની નોકરી કરવી છેકોઈ પણ પ્રકારની નોકરીની શોધ કેમ કરવી, એ માટેની અરજી કેમ લખવી જેમ સાવ પ્રાથમિક બાબતોથી મારે શરૂઆત કરવાની હતી.

મારા પિતાએ તો તેમના સહકર્મચારીઓની સાથે આ દિશામાં ક્યાં ક્યાં તકો હોઈ શકે વિશે ચર્ચાઓ કરવાનું શરૂ કરી જ દીધેલું. મારી તંદ્રાનો સમય પુરો થઈ ચુક્યો છે તેવી એલાર્મની ઘંટડી મને પણ સંભાળાઇ ચુકી હતી, એટલે  હું પણ જાગૃત તો થઈ જ ગયો હતો. 'નોકરીની શોધ' માટેની મારી આળસ ખંખેરીને સૌ પહેલી શરૂઆત તો લાયબેરીમાં હવે પ્રવેશ પરીક્ષાની તૈયારીઓનાં વાંચન સાથે આખાં ગુજરાતની 'જોઈએ છે' ની જાહેરાતો આવતી હોય એવાં અખબારોનાં પાનાંઓ પણ મારાં વાંચનમાં ઉમેરી લીધાં હતા. મારા પિતા નવસારરીને જે કૃષિ કોલેજમાં પ્રશાસન અધિકારી હતા, ત્યાંના ઘણા પ્રોફેસરો અમારા પડોશીઓ હતા. એ બધા પોતપોતાના વિષયોમાં ડોક્ટરેટ કરેલા નિષ્ણાતો હતા. અત્યાર સુધી તેમની સાથે મારી ચર્ચાના વિષયો તેમનાં ક્ષેત્ર વિશે જાણકારી મેળવવા અંગેના રહેતા, પણ હવે નોકરી માટેની 'સારી' અરજી કેમ લખવી એ બાબત પર ચર્ચાઓ ફંટાઈ ગઈ હતી. એ લોકોએ સમજાવ્યું હતું એમ એક મોટું કામ મારાં બધાં પ્રમાણપત્રોની, સારી એવી સંખ્યામાં, પ્રમાણિત નકલો બનાવી લેવાનું હતું. નકલો કરવા માટે ફોટોકોપીઓ કરાવવાનો યુગ તો ત્યારે હજુ આવ્યો નહોતો. એટલે દરેક પ્રમાણપત્રની નકલ ટાઈપ કરાવવાની હતી. જેમ જેમ એ નકલો તૈયાર થાય તેમ હું કોલેજ જઈને જે કોઈ પ્રોફેસર પાસે સમય હોય તેમની પાસે નકલોને પ્રમાણિત કરાવવા લાગ્યો. પ્રમાણિત નકલો વધારે 'વજનદાર' અને 'અસલ જેવી જ' લાગે એ માટે, એસ એસ સી બોર્ડની પરીક્ષાની તેમ જ દસેદસ સમેસ્ટરની, માર્કશીટની નકલો  તો કોલેજના પ્રિન્સિપાલ પાસે જ કરાવી એવો એ બધાનો આગ્રહભર્યો અભિપ્રાય હતો.

મારાં મનના વિચારોનાં વમળો આ બધી પ્રવતિઓનો વેગ પકડવા લાગ્યાં જ હતાંં, એવામાં  એક દિવસે બપોરે ટપાલીએ રજિસ્ટર્ડ પત્રના સ્વરૂપે મને બીઆઈટીએસ, પિલાણીનું કવર સોંપ્યું. ખોલીની જોયું તો એ તો બીઆઈટીએસ, પિલાણીના એમબીએના બે વર્ષના અનુસ્નાતક કાર્યક્રમ માટે મેં જે અરજી કરેલ તેની પ્રવેશ કસોટી માટે મારી પસંદગી થયેલ તેની જાણ કરતો  એ કૉલ લેટર હતો ! એ પત્ર વાંચતાંવેત જ હું તો મારા પિતાજીની ઓફિસે જવા નીકળી પડ્યો.

મારા પિતાજીએ પણ એ પત્ર ધ્યાનપૂર્વક વાંચ્યો. બહુ લાંબી ચર્ચા કર્યા વિના જ નક્કી થયું કે મારે એ પ્રવેશ પરીક્ષા આપવી.    

પિલાણીની પહેલ વહેલી સફરની યાદો હવે પછી......  

Sunday, January 7, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પરદો ઉઘડતાં પહેલાં ......

 

એન્જિનિયરીંગ છેલ્લાં વર્ષો દરમ્યાન અમારા કેટલાક મિત્રોએ આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશ માટે મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમારી ક્ષમતા અને મનોદશા એમ બન્ને પક્ષે અમે એટલી હદે તૈયાર ન હતા કે એ પ્રયાસનો બહુ કરૂણ રકાસ થયેલો. આ સિવાય, એન્જિયરીંગના છેલ્લાં વર્ષ દરમ્યાન, કે વર્ષ પુરું થયા પછી પણ, ભવિષ્ય માટે મારી પાસે કોઈ નક્કર યોજના નહોતી. વેકેશન દરમ્યાન મળેલ નવરાશની પળોમાં ક્યાં તો અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાવું કે પછી નોકરી શોધવી એવા દેખીતા બે વિકલ્પો સિવાય વિચારવા માટે કંઈ જ હતું નહીં.

નોકરીની શોધને તો મેં છેલ્લા સમેસ્ટરનું પરિણામ ન આવે ત્યાં સુધી બાજુએ રાખી મુકવાનું બહાનું હતું. પણ અનુસ્નાતક અભ્યાસક્રમ આટે પ્રવેશ મેળવવા વિશે પણ મેં કોઈ ખાસ તૈયારી શરૂ નહોતી કરી. એક જ કંઇ ઉપયોગી કહી શકાય એવું જો કોઈ કામ હું આ સમય દરમ્યાન કરી રહ્યો હતો તે ઇંડીયન એક્ષપ્રેસ જેવા અંગ્રેજી દૈનિકને પહેલેથી છેલ્લે સુધી વાંચવાનું કે જૂનાં પુસ્તકોની દુકાનોમાંથી અંગ્રેજી શબ્દભંડોળ વધારવાનાં થોડાં પુસ્તકો કે સામાન્ય જ્ઞાન વધારવામાં મદદ કરે એવા સામયિકોના અંકોને હું ધ્યાનપૂર્વક વાંચતો જરૂર હતો.

અનુસ્નાતક અભ્યાસને લાગેવળગે છે ત્યાં સુધી, એ સમય સુધીમાં મને એટલું તો જરૂર સમજાઈ ગયું હતું કે મારા પિતાજીની એવી ઊંડેથી લાગણી હતી કે હું અનુસ્નાતક પદવી માટે જ પ્રયાસ કરૂં. તેઓ તો જ્યારે સ્નાતક થયા ત્યારે અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરવાનાં તેમનાં સ્વપ્નને તો તેમના એ સમયના કૌટુંબિક સંજોગોને કારણે તેમણે બાજુએ મુકી દેવું પડ્યું હતું અને (એ સમયે જે બહુ પ્રચલિત ચલણ હતું તે મુજબ) જે મળી તે સરકારી નોકરી સ્વીકારી અને ગૃહસ્થ તરીકેના જીવનક્રમને તેમણે અપનાવી લીધેલ.  પણ અનુસ્નાતક પદવી મેળવવાનું તેમનું સ્વપ્ન જરા પણ વિસરાયું નહોતું. તેર ચૌદ વર્ષ પછી જ્યારે તેમની બદલી અમદાવાદ થઈ ત્યારે તેમણે પહેલું કામ અનુસ્નાતક પદવી માટેના નિયમિત અભ્યાસ માટે પ્રવેશ લઈ લેવાનું કરેલું. એ અભ્યાસ માટે જે તેમણે મહેનત અને તૈયારી કરેલી તેને સમજી શકવા જેટલી મારી તે સમયની ઉમર હજુ નહોતી. પણ અર્ધજાગ્રત મન પર એમની એ લગન અને મહેનત એટલાં જરૂર અંકાઈ ગયાં હતાં કે જ્યારે હવે મારો સમય આવ્યો ત્યારે મારા માટે પણ તેમનાં એ જ સ્વપ્નની ગંભીરતા મને સમજાતી હતી. 

પરિણામે, મું માનસિક રીતે તૈયાર છું કે નહીં કે એ અભ્યાસની લાયકાત મટે હું સક્ષમ છું કે નહીં એવો કોઈ વ્યવસ્થિત વિચાર કર્યા સિવાય જ, કદાચ આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશની નિષ્ફળતાની પ્રતિક્રિયા રૂપે, મેં જમનાલાલ બજાજ ઇન્સ્ટીટ્યુટ, મુંબઈ અને બિરલા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજિ એન્ડ સાયન્સ (બિઆઈટીએસ), પિલાણીમાં બિઝનેસ મેણેજમેન્ટના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજીઓ કરી રાખેલી હતી.

કદાચ નિયતિએ જ મારાં ભવિષ્ય માટે જે યોજના ઘડી હશે, તે અનુસાર બિઆઈટીએસ પિલાણીમાં મૅનેજમૅન્ટ શાખાના અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ટેસ્ટ અને ઈન્ટરવ્યુ માટે હાજર થવા માટેનો પત્ર પહેલાં આવ્યો.  નિરર્થક પ્રયત્નોની આડ હેઠળ મારી જાતને વ્યસ્ત રાખવાના આભાસનો પરદો એક જ ઝાટકે ચીરાઈ ગયો. પત્રમાં જણાવેલી તારીખે પિલાણી કેમ પહોંચવું એ વિશે તૈયારીઓ કરવા અંગેની તપાસ કરવા અને નિર્ણયો લેવામાં હવે હું ખરેખર લાગી ગયો હતો..........  

Sunday, December 17, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પરદો પડે છે

 

પશ્ચાત કથન

છેલ્લા સમેસ્ટરની પરીક્ષાઓ પુરી થવાની સાથે વિધિપુરઃસરના અભ્યાસ તો પુરો થયો હતો. એટલે, હવે મારે નક્કી કરવાનું હતું કે હવે પછી શું?

આમ જુઓ તો સીધે સીધા બે જ વિકલ્પ મારી પાસે હતા - નોકરીની શોધ કરો કે પછી આનુષાંગિક અનુસ્નાતક પદવીના અભ્યાસક્રમમાં જોડાઓ.

નોકરીની શોધ કરવાનું તો પરિણામ આવ્યા પછી જ કરીશું એમ માનીને એ દિશામાં તો કંઈ વિચાર્યું નહોતું. તો વળી અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે પણ કંઈ ખાસ વિચાર્યું હોય એવું તો નહોતું. પણ આજે જ્યારે પાછળ દૃશઃટિ કરીને જોઉં છું તો સમજાય છે કે આ વિકલ્પ મારી વિચારણામાં આવવા પાછળનું મુખ્ય કારણ મારા પિતાજીની મારા વિશેની અપેક્ષા પુરી કરવાનું હતું.

મારા પિતાજીને પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પુરો કર્યા પછી અનુસ્નાતક પદવીનો અભ્યાસ પણ કરવો હતો. પરંતુ, તેમના એ સમયના કૌટુંબિક સંજોગોને કારણે શક્ય ન બન્યું. તે પછી ૧૨ - ૧૩ વર્ષે તેમની અમદાવાદ બદલી થઇ. એ વખતે તેમણે જરા પણ સમય ગુમાવ્યા વિના અનુસ્નાતક પદવીની તેમનાં અધુરાં રહેલ લક્ષ્યને પુરૂં કર્યું. એમની હમેશની અંદરની અપેક્ષા રહી હતી કે એમના પછી કુટુંબનું દરેક સભય ક્મ સે કમ અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ લે જ. તેમનો સ્વભાવ એવો હતો કે તેઓ તેમની અપેક્ષાઓ બીજાં પર કદી લાદતા નહીં. પરંતુ, જોકે, હવે તો હું તેમની અપેક્ષાઓ અને તે અપેક્ષાઓ સંદર્ભે તેમની લાગણીનાં ઊંડાણને બરાબર સમજી શકતો હતો. પ્રિ. સાયંસ પછી તબીબી પદવીની તેમની અપેક્ષા મેં પુરી નહોતી કરી, એટલે તેમની આ મારા પ્રત્યેની અપેક્ષા પુરી કરવા બાબતે હું પણ સાનુકૂળ માનસ ધરાવતો હતો.  

જોકે, એ પણ હકીકત હતી કે, હજુ સુધી, ક્યા કયા વિષયો માટે આ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, કઈ કૉલેજોમાં તે શક્ય છે, મારી બૌદ્ધિક કક્ષાની આ અંગેની ક્ષમતા છે કે નહીં કે મને કયા વિષયમાં રસ પડે તેમ છે એવા કોઈ વિચારો મેં હજુ આ અંગે કરવાનું શરૂ નહોતું કર્યું.

જોકે, યોગાનુયોગ, કોઈ જાતનાં આયોજન કે ઇરાદા વિના બીજા બે વિકલ્પો પણ મારી  સમક્ષ ખુલ્યા હતા.

તેમાંનો પહેલો વિકલ્પ હતો  NITIEમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક પદવી માટેનો. 

જોકે એ માટેની મેં ભરેલી અરજી એટલી અપરિપક્વ રીતે ભરાઈ હતી કે એ અરજીને આધારે કંઈ પણ આગળ પ્રગતિ થાય એવી જ કોઈ સંભાવના નહોતી!

બીજો વિકલ્પ હતો મૅનેજમૅન્ટ માં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો.  આ વિકલ્પ માટે મૂળ કારણભૂત તો પ્રિયદરર્શી શુક્લ જ ગણાય કેમકે તેની સમક્ષ તેના મોટાભાઈ, અભિનવ,નો પ્રેરણાસ્રોત હતો. અમે લોકો તો બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાનાના ન્યાયે જાનમાં જોડાઈ ગયા હતા! હા, એ બહાને લેખિત પરીક્ષા માટે અંગ્રેજી અને ગણિતની તૈયારી કરવાની થાય તેમાં અંગેજીનું કંઈક શબ્દ ભંડોળ વધે અને ગણિતમાં ઝડપ સાથે ચોકસાઈ મેળવી શકાશે એવી અપેક્ષા હતી. અમારાં લેખિત અંગ્રેજીને તો ઘણું સારૂં કહેવડાવે એટલું કાચું અમારૂં બોલચાલનું અંગ્રેજી હતું. એટલે આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશ માટે અમે પરીક્ષામાં બેઠા ખરા પણ અમારૂં મન તો જાણતું જ હતું કે આ તલમાંથી તેલનો ત પણ નહીં નીકળે.  સ્વાભાવિક જ હતું કે અમે કોઈ લેખિત પરીક્ષાનો પડાવ જ પાર ન કરી શક્યા !     

ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે વિચાર કરવા માટેનું શ્રેય છેલ્લાં વર્ષમાં બે વૈકલ્પિક વિષય ગ્રૂપમાંથી પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ  એન્જિનિયરિંગ વિષયોની પસંદગી.

આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હું અમારાં કાલીઆવાડી (નવસારી)નાં ઘરમાં વેકેશન ગાળતો રહ્યો. દેખીતી રીતે ચાલી રહેલ પ્રવૃતિઓની પાછળ અવશપણે આ બધા વિકલ્પના વિચારો જરૂર ચાલતા રહેતા હતા. પરંતુ હવે પછી શું કરીશ, કે કરી શકીશ, એ ચિત્ર તો હજુ પણ  ધૂંધળું જ હતું.

જોકે, બહુ થોડા સમય બાદ જ નિયતિએ કારકિર્દીના હવે પછીના પડાવ તરીકે બી આઈ ટી એસ, પિલાનીમાં એમ બી એના અભ્યાસક્રમની બારી ખોલી આપવાનું ગોઠવી રાખ્યું હતું એવી તો કલ્પના જ ક્યાંથી હોય!!   



  

 LDCE71 પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ગ્રૂપની બૅચ


૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો લેખમાળાના અલગ અલગ મણાકોને એક જ ફાઈલ સ્વરૂપે વાંચવા / ડાઉનલોડ કરવા માટે  LDCEનાં કેવાં હતાં એ ઘટનાસભર વર્ષો પર ક્લિક કરશો.