Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts
Showing posts with label યાદોની ગલીઓમાં. Show all posts

Wednesday, February 25, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ.....

 

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, ૨૫ ફેબ્રુઆરી (૧૯૮૧) ના રોજ, વિધાતાએ અમારા જીવનમાં, અમારાં સંતાન (પુત્ર)ના જન્મના રૂપમાં, એક નવો અધ્યાય લખવાનું કામ હાથમાં લીધું. તે દિવસોમાં અમદાવાદ તણાવપૂર્ણ હતું, ચારે તરફ "અનામત" ના વિરોધનું વાતાવરણ હતું. જોકે, નામકરણ સમયે અમારા હવે વિસ્તાર પામેલા પરિવાર વચ્ચેના સંબંધના પ્રતીક તરીકે તાદાત્મ્ય (સંસ્કૃત. તત્ + આત્મ્ય; ભિન્ન પ્રતીતિ થવા છતાં વસ્તુત: અભિન્નપણું.)[1] નામ પસંદ કરવામાં અમને લગીરેય વિરોધ નહતો. એ સમયની પ્રથા અનુસાર, માતૃ પક્ષના નામ તરીકે 'તત્પર' સ્વીકારાયું.

તાદાત્મ્યને તેડેલા મહેશભાઈ - બાજુમાં સંદીપ અને ગાયત્રી; (પાછળ) તેમનાં મા અને મારાં પિત્રાઈ બેન દેવીબેન અને પીઠ દેખાય છે તે પુર્ણિમાકાકી 

લગભગ એક મહિના પછી, અમદાવાદનાં તણાવભર્યાં વાતાવરણથી દુર થવા અને પુરતો આરામ મળી રહે તે માટે સુસ્મિતા અને કુંજલતાબેન તાદાત્મ્યને સાથે લઈને ભુજ રહેવા ગયાં 

કુંજલતાબેન તાદાત્મ્ય સાથે – ભુજ


સુસ્મિતા પાછા આવ્યા પછી
, તાદાત્મ્યની હાજરી સાથેના નવા સંદર્ભમાં અમારૂ જીવન સ્થિર થવા લાગ્યું.

(ચૈતન્ય પટણી, હું, સંજય, તાદાત્મ્યને તેડીને સુસ્મિતા તાદાત્મ્ય, કુંજલતાબેન, બેન)

તાદાત્મ્યને પારણામાં હીંચકાવાનું ખૂબ ગમતું -  ખાસ કરીને રાત્રે સૂતી વખતે. તેને વાર્તાઓ સાંભળતા રહેવાનું અને તેમ નહીં તો વાતો કરતા રહેવાનું બહુ ગમતું. સામાન્ય રીતે, આ કામ સુસ્મિતાને ભાગે આવતું. જો કે, જો બેન (દાદી) અથવા મહેશભાઈ (દાદા) અમદાવાદમાં હોય, તો પછી બીજાં કોઈ ન ચાલે. પરંતુ કદાચ તેને આ કામમાં સૌથી વધારે મોટા અમ્મા (પરદાદી) ગમતાં. સાર એવા હીંચકા ખાધા  પછી, જ્યારે તે સંપૂર્ણપણે શાંત થઈ જાય, અને સૂઈ ગયો હોય તેવું લાગેતું, એટલે મોટા અમ્મા પારણાને હીંચકાવવાનું બંધ કરે. તાદાત્મ્ય, ભરપુર નીંદરમાં આવી જવા છતાં, હજુ હીંચકાવો એવો રાગ રેલાવે. એ તબક્કે, મોટા અમ્માને રાહત આપવાના અમારા પ્રયાસો તાદાત્મ્યને સ્વીકાર્ય ન હોય!

બાળકના પહેલવેલા વાળ ઉતરાવવાના સંસ્કારની વિધિ જાન્યુઆરી ફેબ્રુઆરી ૧૯૮૩ વિધિપૂર્વક કરવામાં આવી.

તાદાત્મ્ય-  બાળસહજ તોફાની સ્મિત અને નવા વાળની ઉગતી કાળી ઝાંય સાથે


તાદાત્મ્યના નવા વાળ ઉગવાની સાથે, મેં દાઢી વધારવાનો પ્રયોગ કર્યો હતો!

બાળપણના આ તબક્કામાં તાદાત્મ્યનો સતત રહેલો વિકાસ અમારા માટે પણ ખૂબ જ ખુશહાલીનો તબક્કો રહ્યો.


તાદાત્મ્યને વાંચનમાં જેમ જેમ રસ પડવા લાગ્યો તેમ તેમ અમને એની ઉમરે રસ પડે એવાં પુસ્તકો શોધતાં રહેવાની મજા માણવા મળવા લાગી. પછીથી તો હું મારા કામ અંગે જ્યારે પણ બહારગામ જતો ત્યારે એક પુસ્તક ખરીદી લાવવું એ તો લગભગ વણલખ્યો નિયમ બની ગયો હતો..


૧૯૮૩ થી ૧૯૮૪-૮૫ દરમિયાન
, અમારા પિતરાઈ ભાઈ સુધાકરભાઈ (ચમનલાલ ધોળકિયા) ને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું હતું. પરિણામે, તેમના પુત્ર ભવ્ય સાથે તાદાત્મ્યને હમઉમ્ર સાથનો  સારો મોકો મળ્યો.


તેમાં થયું એવું કે તાદાત્મ્યને ઘરમાં ઘરમાં એટલી પ્રવૃતિઓ મળી ગઈ કે પ્રગતિનગરમાં પોતાને ઘરેથી જ બાળમંદિર ચલાવતાં પદ્માબેનની 'કેજી'માં તેને શરૂઆતમાં જરા પણ ગોઠ્યું. બહુ લાંબા સમય સુધી તાદાત્મ્ય સ્કૂલમાં હોય એટલો બેન (તાદાત્મ્યનાં દાદી)ને બહાર બેસવું પડતું હતું. થોડી થોડી વારે બહાર આવીને તાદાત્મ્ય જોઇ જાય કે બેન બહાર છે ને ! પછી સ્કૂલેથી છૂટે ત્યારે જાણે કાંઇ જ બન્યું નથી એમ આજે સ્કૂલમાં શું શીખવાડ્યું તેનું વિગતે વર્ણન કરે ! ઘરે આવીને પહેલું કામ મમરા અને સેવનો નાસ્તો કરવાનું રહેતું. પ્રાથમિક શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે પણ તાદાત્મ્યની સાથે લઈ જવાના નાસ્તામાં 'સેવમમરા' ખાસ પસંદ રહેતી. પછીથી તો એના શાળાના મિત્રોને પણ એ એટલું ભાવવા  લાગ્યું કે તેઓ પોતાનું પરાઠા વગેરેનું લંચબોક્ષ તાદાત્મ્યના સેવમમરા સાથે અદલાબદલી કરતા.

તાદાત્મ્ય - તેના ખૂબ જ લાક્ષણિક 'શરારતી' મૂડમાં

'કેજી' ફેન્સી ડ્રેસ હરિફાઈનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તાદાત્મ્ય તેમાં એ લોકોના રિક્ષાવાળા 'માધુભાઈ' બન્યો. બીજો એક સહાધ્યાયી, તાદાત્મ્ય અમને સમજાવતો એમ, 'કેન્સીકેન્દ્રા' બનવાનો હતો. તાદાત્મ્યને પૂછીએ કે એ પાત્ર શું હશે તો બહુ ઠાઠથી સમજાવે કે એ એક જાતનું પક્ષી છે! કાર્યક્રમના દિવસે અમને ખબર પડી કે વાત 'કિંગ સિકંદર'ની થી રહી હતી.

એકંદરે, તાદાત્મ્યનાં પૂર્વ-પ્રાથમિક શાળાકાળનાં વર્ષો આંખના એક પલકારાની જેમ જ પસાર થઈ ગયેલાં લાગ્યાં.


એરીશ ઇક્વિપમૅન્ટના મારા સાથીદાર, અશ્વીનભાઈ પાલખીવાલાના સાળા - શ્રી અશોકભાઈ સી. ગાંધી - એજી સ્કૂલના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. તેથી, સદ્‍નસીબે, તાદાત્મ્યનો પ્રાથમિક શાળામાં પ્રવેશ ખૂબ જ સરળતાથી પાર પડ્યો.

શાળાએ જવા માટે તૈયારી કરતાં થોડી નારાજગી થોડી શરારતના તાદાત્મ્યના મૂડને ઝીલી લેવાના પ્રયાસમાં હલી ગયેલા કૅમેરાએ સુસ્મિતાની તસ્વીર અસ્પષ્ટ કરી દીધી.

અહીં પણ તાદાત્મ્યને તેના નવા મિત્રો સાથે મનમેળ બેસાડતાં થોડો સમય લાગ્યો,

તાદાત્મ્ય - રમતિયાળ મૂડમાં શાળાએ જવા માટે તૈયાર

તાદાત્મ્ય હવે શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતો થઈ ગયો હતો. છઠ્ઠાં ધોરણમાં તાદાત્મ્યએ એક નાનકડી નાટિકામાં સમ્રાટ અશોકને દીક્ષા આપનારા બૌદ્ધ ભુક્ષુની ભૂમિકા ભજવી.


પછીથી તો તેનાં પ્રાથમિક શાળાકાળનાં વર્ષો તો લગભગ ઓટોપાયલટ પર જ પસાર થઈ ગયાં..

આજે હવે પાછળ જોતાં, એવું કહી શકાય કે તેની કિશોરવય સ્વાભાવિકતાની સાથે સાથે પોતાના આગવાં વ્યક્તિત્વનો વિકાસ પ્રાથમિક શાળાકાળ પુરો કરવાની સાથે જ શરૂ થઈ ગયો હતો!

જ્યારે તાદાત્મ્ય પ્રાથમિક શાળાના તબક્કામાં પહોંચ્યો, ત્યારે તેનો વિકાસ સ્વ-પ્રેરિત બની ચુક્યો હતો. હું મારા વ્યાવસાયિક પ્રવૃતિઓમાં વધારે પડતો વ્યસ્ત થઈ ગયો હતો. અમારી, ખાસ કરીને મારી, ભૂમિકા પણ તાદાત્મ્યના વિકાસ પથ માટે આવશ્યક સુવિધા પાડનાર બની રહી હતી. ક્યારેક જ્યારે સ્કૂલરિક્ષા ન આવતી, ત્યારે મારે તાદાત્મ્યને શાળાએ મુકવા જવાનું થતું. અમે રસ્તામાં તેના સહાધ્યાયી નીરજ (સક્સેના) ને લેવા જતા. અમે અમારી પ્રીમિયર પદ્મિની કાર ખરીદી  ત્યાર પછીથી તાદાત્મ્ય અને નીરજ હંમેશા આવા પ્રસંગોએ શાળાએ જવા માટે કાર સવારી માટે આતુર રહેતા. તનય (તાદાત્મ્યના પુત્ર) ના યજ્ઞોપવિત સમારંભ દરમિયાન (૨૦૨૪ માં) જ્યારે નીરજ મને મળ્યો, ત્યારે તેણે આવી સવારીઓને બહુ પ્રેમથી યાદ કરી. નીરજને બરાબર યાદ હતું કે ભારે ચોમાસાના દિવસોમાં શાળાએ જવાનાં એકાદ બે સ્થળોએ બહુ પાણી ભરાઈ જતું. તાદાત્મ્ય અને નીરજ એવી એકાદ જગ્યાએ કાર ફસાઈ જાય તેની આતુરતાથી રાહ જોતા. એ લોકોને રસ રહેતો કે ગંદા પાણીમાં ઉતરીને ગાડીને ધક્કા મારવાની મજા લુંટવા મળે. શાળામાંથી તેમને હક્કપૂર્વકની એક દિવસની રજા મળેએ પાછું બોનસ. જોકે, નીરજે વસવસો પણ વ્યક્ત કર્યો કે મેં તેમની ઇચ્છા ક્યારેય પુરી થવા દીધી નહીં!

જોકે એ બન્નેની ધક્કા મારવાની મજા માણવાની એક બીજી તક એ લોકો જ્યારે અગીયારમા ધોરણમાં હતા ત્યારે છપ્પર ફાડીને મળી. ગોરાકાકા (મારા કાકા - જનાર્દન્ભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)એ પોતાનું મૉપેડ, લ્યુના, ક્લાસીસમાં જવાની સગવડ થાય એ માટે આપ્યું. જોકે લ્યુનાની હાલ એવી હતી કે એ રસ્તા પર્ચાલ્યું તેના કરતાં મીકેનીકને ત્યાં રીપેરીંગમાં વધારે રહ્યું. એ (બીચારાં) મૉપેડ પર તાદાત્મ્ય અને નીરજ ડબલ સવારીની અને રસ્તે ચાલતાં મૉપેડ રીસાય ત્યારે ખેંચીને મીકેનીક પાસે લઈ જવાનો 'લ્હાવો' માણ્યો.

મારાં વ્યાવસાયિક કામકાજ માટે હું દરરોજ વહેલી સવારે વટવા જવા નીકળી જતો અને (મોડી) સાંજે  પાછો આવતો. તેને કારણે મારે અને તાદાત્મ્યને સવાર પછી ફરી મળવામાં મોટો ગાળો પડી જતો. પરિણામે હું અને તાદાત્મ્ય, બંને ઘરે પહોંચતાની સાથે જ રૂબરૂ મુલાકાતની રાહ જોતા. તાદાત્મ્ય દરવાજા પર રાહ જોતો હોય. ઘંટડી વાગતાની સાથે જ, તાદાત્મ્ય દરવાજો ખોલે અને દરવાજા પર જ પોતાની દિવસની પ્રવૃત્તિઓનું બયાન રજૂ કરી દે!

જ્યારે અમે મીરા એપાર્ટમેન્ટમાં (૧૯૯૩માં) શિફ્ટ થયા, ત્યારે તાદાત્મ્યનો પ્રગતિનગરમાંની તેની રોજબરોજની આઉટડોર રમતો માટેનો સંપર્ક ટૂટી ગયો. એ નુકસાન તેણે ઇન્ડોર (મોડિફાઇડ) ક્રિકેટ-કમ-સ્ક્વોશના ઇન્ડોર જુગાડ વડે તે નુકસાન ભરપાઈ કર્યું. ડ્રોઇંગ રૂમથી પહેલા માળના પેન્ટહાઉસ લિવિંગ રૂમમાં સીડી પર ત્રણ પગથિયાં ચડીએ એટલે સામે ખુલ્લી દિવાલ હતી. તાદાત્મ્ય તેના બેટથી બોલને ફટકારીને બોલને બાઉન્સ-બેક કરવા દિવાલનો ઉપયોગ કરીને પોતાની રમત રમી લેતો.

એ વર્ષોમાં એક વર્ષે તાદાત્મ્યના વેકેશન દરમ્યાન અમે બહારગામ ફરવા જવાનું નક્કી કર્યું હતું. પણ વ્યવસાયનાં કામને કારણે એ આયોજન તો પડતું મુકવું પડ્યું. એટલે અમે છેલ્લી ઘડીએ અમારી સુમો લઈને સૌરાષ્ટ્રની ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. પહેલે દિવસે રાજકોટ પહોંચ્યાં. ત્યાં પહેલાં અમે નિમેશ (મારાં ધનામાસી પ્ર્દ્યુમ્નભાઈ માંકડના પુત્ર)ને ઘરે ગયાં ત્યાંથી બધાં ભેગાં થઈને મારાં ફઈના અને (તાદાત્મ્યનાં નાનીના પણ) દીકરા સુધાકર (ચમનલાલ ધોળકિયા)ના પરિવારને સાથે લઈને આજી ડેમ ફરવા ગયાં પાછાં ફરતાં રાજકોટના (બરફ્ના ગોળા પર ખુબ મોટો આઈસક્રીમ રેડેલો) ગોલો બધાંએ ખાધો. રાત સુધાકરભાઈને ત્યાં રહીને બીજે દિવસે અમે જૂનાગઢ ગયાં. રાજકોટથી સુધાકરભાઈનાં સંતાનો ઉત્કંઠા અને ભવ્ય અમારી સાથે જોડાઈ ગયા. મહેશ (દિલીપરાય માંકડના પુત્ર - મારા ખાસ મિત્ર) જૂનાગઢમાં કલેક્ટર હતા. મહેશે સાસણમાં અમારી એક રાત રહેવાની વ્યવસ્થા કરાવી આપી. સવારનું જમણ મહેશને ત્યાં જમી અમે સાંજે સાસણ પહૉચ્યાં હવે મહેશનાં સંતાનો - અનંગ અને હીરવા- પણ અમારી સાથે હતા> બીજે દિવસે સાસણ વિહાર કરીને અમે અહમદપુર માડવી થઈને દીવ પહોંચ્યાં. દીવ અમે ત્રણ રાત અને બે દિવસ રહ્યાં. પાછાં ફરતી વખતે મહેશ અને તનાં પત્ની હર્મિલા (સુસ્મિતાનાં ફઈ બબીફઈનાં દીકરી) પોતાની કાર લઈને અહમદપુર માંડવીથી અમારી સાથે સોમનાથની સફરમાં જોડાયાં. વચ્ચે એજ ગામમાં ઘરમ ગરમ ગાંઠીયા તળાતા જોયા એટલે પૅક કરાવી લઈને રસ્તામાં તેની મજા માણતાં માણતાં સોમનાથ પહોંચ્યાં. ત્યાંથી મહેશ પરિવાર જૂનાગઢ ગયોઅને અને અમે રાજકોટ થઈને અમદાવાદ પાછાં ફર્યાં. 

દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ઘરે તૈયારી કરતી વખતે, ૧૯૯૬ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હતો. ગણિતની પરીક્ષાના સૌ પહેલું પેપર ગણિત હતું. આગલા દિવસે, સુસ્મિતા ચિંતા કરતી રહી, પરંતુ તાદાત્મ્યએ કોઈ જાતના ભાર વગર ટીવી પર કોમેન્ટરી જોઈ. 

૧૨મા ધોરણનાં લાંબા પરવડેલાં વેકેશન દરમ્યાન મારા માસીના દીકરા અક્ષય (ડોલરરાય અને ભાનુમાસી અંજારીઆ)ના પુત્ર હિતાર્થે તાદાત્મ્યને સ્કુટર ચલાવતાં શીખવી દીધું. તે પછી તાદાત્મ્યએ એ માટેનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવી લીધું.


તાદાત્મ્યના  ૧૨મા ધોરણની પરીક્ષા પુરી થયા પછી, કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાને કારણે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો હતો. BITS, પિલાની અને ગુજરાત રાજ્ય બોર્ડ વચ્ચે સંકલનની કેટલીક તકનીકી ખામીઓને કારણે BITS, પિલાનીમાં પ્રવેશનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહોતો. જોકે, રત્નમણિ ખાતેના મારા સાથી પ્રકાશ ભટ્ટ KREC સુરતકલ, કર્ણાટકમાં અભ્યાસ કર્યો હતો  ( KREC ૨૦૦૨માં NITK માં અપગ્રેડ થયેલ હતી). તેમનાંમાર્ગદર્શનને પરિણામે REC માં પ્રવેશ મેળવવાનો વિકલ્પ અમારી સામે ખુલ્યો હતો. KREC, સુરતકલ વિશે પ્રકાશ ભટ્ટે બહુ મહત્વની મહિતિઓ આપી અને ત્યાંના શિક્ષણ માટે પણ બહુ ઊંચો અભિપ્રાય આપ્યો હતો. તે ઉપરાંત તેમણે તાદાત્મ્યની પહેલી પસંદગીની શાખા કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પણ મહત્વની માહિતી મેળવી આપી -  એ શાખા માટે REC ત્રિચીને ટોચની પસંદગી માનવામાં આવતી હતી, ત્યારબાદ KREC, સુરતકલનું સ્થાન ગણાતું હતું.

એક દિવસ, હું મુંબઈથી મારી સત્તાવાર ટ્રીપ પરથી પાછો ફર્યો ત્યારે અખબારોમાં જાહેરાત હતી કે બધી REC માં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને એટલા પુરતી પ્રવેશ પ્રક્રિયા માટે કાઉન્સેલિંગ આજથી શરૂ થવાનું છે.

અમે સમય ગુમાવ્યા વિના કાઉન્સેલિંગ સેન્ટર પર યોગ્ય સમયે પહોંચી ગયા. બસ પ્રક્રિયા શરૂ થવાની હતી, ત્યાં અમને જાણવા મળ્યું કે તાદાત્મ્ય મેરિટ લિસ્ટમાં બીજા ક્રમે છે. પ્રક્રિયા શરૂ થતાં જ, મેરિટ લિસ્ટમાં પહેલા નંબરે રહેલા વિદ્યાર્થીએ REC, ત્રિચીનો વિકલ્પ પસંદ કર્યો. તાદાત્મ્યએ તેનું નામ બોલાય તે સાથે જ પોતાની પસંદગી KREC, સુરતકલ હોવાનું જાહેર કરી દીધું. અમે તરત જ ફી ચૂકવી અને જરૂરી ઔપચારિકતાઓ પુરી કરી. જ્યારે અમે સ્થળ છોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અમે પારસ ગાંધીના માતા-પિતાને મળ્યા. પારસ ગાંધીએ પણ KREC માં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે અમને જણાવ્યું કે સુરતકલ માટે પહેલી ઉપલબ્ધ ટ્રેન બે દિવસ પછી છે. આ પણ અમારા માટે બહુ મહત્વની માહિતી હતી.

અમે ઘરે દોડી ગયા. સુસ્મિતા માટે આ સમાચાર સુખદ આઘાતજનક હતા. તેણે અને તાદાત્મ્યએ તાદાત્મ્યના હોસ્ટેલ રહેવાસની તૈયારીઓની વિગતોનું આયોજન કરવાનું શરૂ કર્યું અને હું ટિકિટ બુક કરવા માટે નીકળી પડ્યો.

પ્રવાસના દિવસે રેલ્વે સ્ટેશન તરફ જતી વખતે, દિલ્હી દરવાજા પાસે અમને અસાધારણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. અમે પૂરતો સલામત સમય ગાળો રાખ્યો હતો તેમ છતાં અમને ટ્રેન ચૂકી જવાની શક્યતા જણાવા લાગી. અમારી ગાડી તો જરા પણ આગળ ચાલી શકે તેમ નહોતી એટલે અમે ઉતરી જઈને ઓટોરિક્ષા પકડવા માટે એક પછી એક અડીને, બાજુ-બાજુ જામ થયેલા વાહનોના ધસારોમાંથી પસાર થવું પડ્યું. આખરે જ્યારે અમે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે ટ્રેન પણ મોડી પડી છે, પરંતુ હવે તેપ્લેટફોર્મ પર આવી ગઈ છે અને  દસ જ મિનિટમાં રવાના થશે. અમે પહેલું પ્લેટફોર્મ, ફૂટઓવરબ્રિજ અને પછી ટ્રેન જે પ્લેટફોર્મ હતી ત્યાં એક શ્વાસે દોડવાનું શરૂ કર્યું. અમારામાંથી છેલ્લાંએ ડબામાં પગ મૂક્યો ને ટ્રેન પ્લેટફોર્મ પરથી બહાર સરકવા લાગી! જોકે, તે પછીની સુરતકલ સુધીની ટ્રેનની મુસાફરી સુખદ હતી, કોંકણ તટ પરની ટ્રેનની સફર તો અમે એક શ્વાસે જોઈ. કદાચ, ભાગ્યએ અમદાવાદની બહાર તાદાત્મ્યના જીવનના શરૂ થનારા નવા અધ્યાયની ચમત્કારિક શરૂઆતનો સંકેત આપ્યો હતો.

હૉસ્ટેલના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન તાદાત્મ્ય અને તેના ગુજરાતથી આવેલા અન્ય સહાધ્યાયીઓ ઓઅર જે વીતી હશે તેના વિશે તાદાત્મ્યએ ક્યારેય વધુ માહિતી નથી આપી. પોતાના વ્યક્તિત્વનાં પાસાંને અચાનક જ પરિપક્વ કરી નાખતા એ અનુભવને તાદાત્મ્યએ જીવનની તેની આગળની સફરમાં તેને ખૂબ સહજતાથી પાછળ છોડી દીધો.

ડાબેથી: તાદાત્મ્ય, સૌરભ ગર્ગ, નોએલ ફર્નાન્ડિસ, રાજેન્દ્ર શર્મા (પાછળ), આનંદ નવલગુંડ, કિરણ પઢિયાર (પાછળ), પારસ ગાંધી અને જિગ્નેશ ગોહિલ.

વેકેશન દરમિયાન તાદાત્મ્યની અમદાવાદ આવવાની ઘણી સફર કોંકણના ભર ચોમાસા દરમિયાન થતી. એવી સફરો દરમ્યાન રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલનને કારણે ચાર થી આઠ કલાકના વિલંબના અનુભવો પણ તાદાત્મ્યએ  ભોગવ્યા. જાન્યુઆરી ૨૦૦૧માં તાદાત્મ્યનાં વેકેશન દરમ્યાન અમદાવાદની એક રહેણાક સમયે અમે ૨૪ જાન્યુઆરીએ નવું ટીવી ખરીદ્યું અને પછી ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપનો અનુભવ કર્યો. તાદાત્મ્યને એ વેકેશનના બાકીના દિવસો  અમારા મીરા એપાર્ટમેન્ટની સામેના ઘરના કામચલાઉ આશ્રયસ્થાન રહેવું પડ્યું. ૨૦૦૨માં, સુરતકલથી તાદાત્મ્યની છેલ્લી અમદાવાદની મુલાકાત દરમ્યાન અમે જિંદાલ સૉ, નાના કપાયા (મુન્દ્રા, કચ્છ) માં મારા જોડાવાના પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં તે નક્કી કર્યું, જેના નિષ્કર્ષ રૂપે અમારે નાના કપાયા સ્થળાંતર કરવાનું પણ નક્કી કરવાનું હતું.

તાદાત્મ્યના સુરતકલના રહેવાસ દરમ્યાન અમે પણ સુરતકલની બીજી બે ટ્રિપ કરી, જેમાંની એકમાં અમે સુરતકલની નજીકના સ્થળોની મુલાકાત લીધી. એ ટ્રિપમાં બેન (તાદાત્મ્યનાં દાદી) પણ અમારી સાથે હતાં.

બેન, સુસ્મિતા, તાદાત્મ્ય - સુરતકલના દરિયા કિનારે, ઢળતી સાંજના સમયે

અમારી બીજી યાત્રા કેરળની મુલાકાત હતી. આ ટ્રિપમાં તાદાત્મ્ય અમારી સાથે સુરતકલથી જોડાયો હતો.

કોટ્ટાયમ બૅક વોટર્સની સફર માટે બોટ પર, અમારાં સહયાત્રીઓ સાથે

આમ રૂવરૂ મળવા ઉપરાંત, પોસ્ટ વ્યવસ્થા દ્વારા પત્રોનું આદાન-પ્રદાન અને લેન્ડલાઇન ફોન દ્વારા વાત કરવી એ અમારાં બીજાં સંપર્ક માધ્યમો હતાં. KREC ના છાત્રાલય સત્તાવાળાઓએ દરેક છાત્રાલય બ્લોક માટે એક ટેલિફોન લાઇનની વ્યવસ્થા કરી હતી. અમે કોલ કરવા માટે એક નિશ્ચિત સમયપત્રક ગોઠવ્યું હતું જેથી તાદાત્મ્ય તેમના બ્લૉકના ફોનની નજીક હાજર રહી શકે. રાતના સમયે એસટીડીના દર થોડા ઓછા હોય એટલે બહુ ઘણાં વિદ્યાર્થીઓ આ સમયે ફોન કરવાની લાઈન હોય એટલે  ફોન પરની આ સમયે થતી વાતચીત માત્ર ખુશખબરની આપલે કે સમાચારોની જાણ કરવા પુરતી મર્યાદિત રહેતી. એ વાતચીતની બાકીની વિગતો પત્રવ્યવહાર દ્વારા આપલે થતી.

૨૦૦૨માં, તાદાત્મ્ય KREC થી સીધા બેંગલુરુના નોવેલમાં જોડાયા. અમે પછી બેંગલુરુની પણ મુલાકાત લીધી હતી, અને ત્યાંથી ઉટી અને મૈસુર ગયાં હતાં.

તાદાત્મ્ય અને સુસ્મિતા - કોરમંગલાનાં તાદાત્મ્યના પીજી રહેઠાણમાં

નોવેલના બે વર્ષના સમયકાળ દરમ્યાન તાદાત્મ્યએ પોતાના વિષયમાં જ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બહુ સક્રિયપણે મહેનત કરી. બેંગલુરુમાં આઈઆઈએસસીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કસોટીઑમાં  તેમને ધારી સફળતા ન મળી. આ પ્રક્રિયામાં, તેમને જાણવા મળ્યું કે આઈઆઈએમમાં ​​સિસ્ટમ્સ મૅનેજમૅન્ટનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ એક સારો વિકલ્પ છે.  આઈઆઈએમ બેંગલુરૂમાં પર્સનલ ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશેના પોતાના મંતવ્યો વિશે પ્રશ્નનો સામનો કરવો પડ્યો. તેણે જણાવ્યું કે એ તો છેલ્લાં છ વર્ષથી ગુજરાતની બહાર છે એટલે અહીણાં અખબારોમાં જે કંઈ જાણવા મળે તેનાથી વધારે તેને કોઈ માહિતી નથી. આ જવાબથી ઇન્ટરવ્યુ લેનારાઓની અપેક્ષાઓ પૂરી નહીં થઈ હોય એટલે IIMB તાદાત્મ્યની પસંદગી થઈ નહીં. પરંતુ તેમણે IIM, લખનૌમાં પ્રવેશના તમામ તબક્કાઓ માટે સારો દેખાવ કર્યો અને ૨૦૦૪ માં IIML માં પ્રવેશ લીધો.

અમે બે વાર IIML ની મુલાકાત લીધી - પહેલી મુલાકાત પહેલા વર્ષના શિયાળા દરમિયાન ગોઠવી. એ મુલાકાત દરમ્યાન અમે કાશી અને અલ્હાબાદની યાત્રા કરી એ પછી અમે દીક્ષાંત સમારોહમાં ગયાં.  તે પછી અમે નૈનિતાલની યાત્રા કરી.


IIML માં જોડાતા પહેલા અને IIML છોડ્યા પછી તાદાત્મ્યની અમદાવાદની યાત્રાઓમાં બે દુ:ખદ અને એક સારી યાદો જોડાયેલ છે. પ્રથમ ઘટનામાં, જ્યારે તાદાત્મ્ય અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, અમને એરપોર્ટ આવેલાંજોઈને તેને આનંદ થવાની સાથે ગમગીની પણ હતી કેમકે, મહેશ (મારા નજીકના મિત્ર - મહેશ દિલીપરાય માંકડ) ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમે એક દિવસ પહેલા અમદાવાદ આવ્યાં હતાં.  મુન્દ્રાથી IIML માં જોડાવા માટે પાછા ફરતી વખતે, તાદાત્મ્યને - અમારા પ્રગતિનગરના દિવસોના તાદાત્મ્યના મિત્ર અને ડૉ. અશોકભાઈ અને ભાવનાબેન દેસાઈના પુત્ર - હર્ષિતના લગ્ન સમારંભમાં હાજરી આપવાની તક મળી. બીજા દુઃખદ કિસ્સામાં, જ્યારે તે IIML માં પીજી પુરૂં કર્યા પછી તેમનું છેલ્લું વેકેશન મુન્દ્રામાં માણી રહ્યો હતો, ત્યારે મધુમામા (મારા મામા - મધુકાંત મૂળશંકર છાયા)નું અવસાન થયું.

૨૦૦૬નું વર્ષ તાદાત્મ્યના જીવન અને કારકિર્દીમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહ્યું.



[1] તાદાત્મ્ય ત્રણ પ્રકારનું છેઃ

() ભ્રાંતિજ તાદાત્મ્ય- અહંકારનું સાક્ષી સાથે તાદાત્મ્ય

() કર્મજ તાદાત્મ્ય - કર્મની સૂક્ષ્મ અવસ્થાને પામેલ કોઇ સંસ્કાર, અને

() સહજ તાદાત્મ્ય - અહંકારની ચિદાભાસ સાથે એકરૂપતા.

Sunday, January 25, 2026

સુસ્મિતા - મારાં જીવનસંગિની .....- ઓળખાણ અને પ્રેમસંબંધ સંવનન

 "પ્રસ્તાવ અને સ્વીકાર"થી આગળ

ઓળખાણ

એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારવાની સહમતિ થયા બાદ અમારા વર્તમાન અંગેની જેટલૉ બને એટલી આવશ્યક બાબતો વિશે એકબીજાને અપડેટ કરવામાં અમે સમય ન ગુમાવ્યો. પહેલા એકાદ અઠવાડીયામાં જ એકબીજા વિશે જાણવા માટે જરૂરી કહી શકાય એવાં ઘણાં પાસાંઓનું વિગતવાર વર્ણન કરતા બેએક પત્રો એકબીજાને લખી નાખ્યા. તે પછીના બીજા બે એક પત્રોમાં પહેલા પત્રોના જે જે મુદ્દાઓ અંગે સ્પષ્ટતાઓ કરવાની હતી કે વધારે માહિતીનાં ઉમેરણ કરવાનાં હતાં તે પણ જણાવી લીધાં.

સુસ્મિતા - મુંબઈ ખાતેના તેમના વ્યાખ્યાતા તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં ...

એ દરમ્યાન મારાં ઑફિસના કામ અંગે મુંબઈ જવાની એક તક ખુલી. એક જ દિવસમાં પાછા ફરવાને બદલે એક રાત રોકાઈ શકાય એ માટે મેં ઑફિસ પાસે પરવાનગી માંગી. એ મંજુરી મળી અને આવવા જવાની ટિકિટોની વ્યવસ્થા થઈ ગઈ, એટલે મેં સુસ્મિતાને આ અંગે જાણ કરી અને આ મુલાકાતનો વધારેમાં વધારે લાભ કેવી રીતે લઈ શકાય તે જણાવવા કહ્યું. પછીથી તો  ફોન પર જ અમે આખું આયોજ્ન ગોઠવી કાઢ્યું. જાહેરમાં પણ પોતાની અંગત પળો માણી શકાય એ મુંબઈની જીવન શૈલીનું એક મોટું સકારાત્મક પાસું છે. તેનો લાભ લઈને કોલેજ (બોમ્બે યુનિવર્સિટી)થી સુસ્મિતાના હંમેશના પાછા ફરવાના સમયે મારે સુસ્મિતાને સાંજે ફ્લોરા ફાઉન્ટેન પાસે મળવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે સાથે બસમાં તેમના ઘરે - પર્લ પેલેસ (સાંતાક્રુઝ,પશ્ચિમ) - સાથે જઈએ તો અમને ૪૫થી ૬૦ મિનિટનો સમય એકબીજા સાથે ગાળવા મળી શકે તેમ હતું. 

મુંબઈની મારી મુલાકાતો દરમ્યાન મને જ્યારે સમય મળે ત્યારે હું રિધમ હાઉસ (કાલા ઘોડા)થી રેકોર્ડ ખરીદવા જતો. નક્કી કરેલા દિવસે હું મોડો ન પડું એટલે પહેલાં તો રિધમ હાઉસ પહોંચી ગયો. પરિણામે, બસ સ્ટોપ પર પહોંચીને માંડ પાંચેક મિનિટ રાહ જોઈ હશે એટલી જ વારમાં મેં સુસ્મિતાને બીજી બાજુથી આવતી જોઈ. જ્યારે અમે બે ત્રણ મિનિટનાં અંતર જેટલાં દૂર હતા, ત્યારે એકબીજા સાથે નજર મળી. સુસ્મિતાના પ્રસ્તાવ-પત્રને વાંચતાંની સાથે એકબીજા વિશે ભાગ્યે જ કંઈ જાણતાં હોવાની જે લાગણી જન્મી હતી તે તો નજર મળતાંવેંત ઓગળી ગઈ. હવે એકબીજાને સ્વીકારવા બદલ આભારવશતા અને પહેલી વાર એકબીજાને રૂબરૂ જોવાનો આનંદ અમારી આંખોમાં તરી રહ્યો. એકબીજાંને 'કેમ છો' એટલું પુછી શકીએ તે પહેલાં, અમારી બસ આવી ગઈ. બે માળની બસના ઉપરના માળે બાજુ બાજુની સીટ પર બેઠાં અને ટિકિટ ખરીદી તે પછી જ અમારી ઓળખાણની શરૂઆતનું 'કેમ છો' અભિવાદન થઈ શક્યું.

જોકે તેનું વળતર પછીની પીસતાળીક  મિનિટમાં મળી ગયું. ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું ત્યાં સુધી સુધી અમે અનેક વિષયો પર એવી રીતે વાત કરી જાણે કે અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ. અમારી ચર્ચાનો સુર એટલો અનૌપચારિક હતો કે એકબીજાની બાજુમાં બેઠાં હોવાની અનુભૂતિ કરતાં માનસિક રીતે અમારી વચ્ચેનું અંતર ખતમ થઈ જવાની ઓળખાણનો ભાવ બહુ સહજપણે અનુભવાયો.

ઘરે પહોંચ્યા પછી, (સુસ્મિતાના મા) કુંજલતાબેનને પણ પહેલી જ વાર મળ્યો. પરંતુ, હવે તેમને સાસુ તરીકે મળવાનો કોઈ ભાર મને ન લાગ્યો. રાત્રે જમતાં પહેલાં, અમારી ચર્ચાઓનો મુખ્ય વિષય સગપણના સમાચાર જાણ્યા પછી બંને પક્ષના સંબંધીઓની પ્રતિક્રિયાઓમાં સાવેસાવ આશ્ચર્યથી લઈને યે તો હોના હી થા' સુધીનાં પ્રતિભાવોને યાદ કરવાનો રહ્યો. 'જમાઈ' તરીકેની મારી પહેલવહેલી મુલાકાતનૂ ઉજવણી રૂપે મિઠાઈ તરીકે સેવી (सेवैयां) બનાવી હતી. જમતાં જમતાં મને બીજું શું શું ભાવે એવી વાતો દ્વારા ઓળખાણની પ્રક્રિયા આગળ ચાલતી રહી. જમી લીધા પછી, ભોજન પછીની અમારી ચર્ચાઓ દિવ્યભાષની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, કિન્શાશા (ઝાયર)માં તેમની જીવનશૈલી જેવી બાબતોને આવરી રહી. એકંદરે, તે એક મુલાકાતે અમને બધાને એકબીજાની જીવનશૈલીનાં મોટાભાગનાં આવશ્યક પાસાઓથી અવગત કરી આપ્યાં. 

કુંજલતાબેન, દિવ્યભાષ, કર્ણિકા, સુસ્મીતા

આજે હવે પાછળ નજર કરતાં જણાય છે કે એ મુલાકાતની ફળશ્રુતિ રૂપે લગ્ન કેવી રીતે ગોઠવવાં જેવી મુશ્કેલ ચર્ચાઓ વખતે હું કુંજલતાબેન સમક્ષ હું મારા વલણને બહુ મોકળાશથી રજૂ કરી શક્યો એટલું જ નહીં પણ (જોરદાર રીતે) મારો બચાવ પણ કરી શક્યો હતો.

કુંજલતાબેન અને મારા સંબંધમાં કેટલી સહજતા આવી ગઈ હતી તેનાં ઉદાહરણ તરીકે મને એક ખૂબ જ રસપ્રદ ઘટના યાદ આવે છે. એકવાર અમે હર્ષવદનભાઈ અને સુરભીને મળવા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા. સુસ્મિતા અને હું કુજલતાબેનની આગળ ઊભાં હતા. એટલે સ્વાભાવિકપણે કુંજલતાબેનની નજર સુસ્મિતા અને મારી ઊંચાઈમાંના ફરક પર ગઈ હશે. આપણા સમાજમાં આવી નાની નાની બાબતો વિશે લોકો, વણમાગ્યે, પોતાના 'સ્પષ્ટ' અભિપાયો સંભળાવી જતાં હોય છે. અમારા કિસ્સામાં, કમસે ક્મ આ આબતે, સાંભળવું નહીં પડે એવી રાહતના સુરમાં, કુંજલતાબહેને કહ્યું કે અશોક સુસ્મિતા કરતા થોડા ઊંચા છે તે જોઈને સારું લાગ્યું.

એ પછી મુંબઈની કેટલીક મુલાકાતો દરમિયાન, ભુજંગીભાઈ અંતાણી @ ઇર્લા), વિજયાફાઈ પરિવાર (@ બાણગંગા) અને પ્રિયવદનભાઈ અને કોકિલાબેન બક્ષી (@કોલાબા) જેવાં તેમનાં અન્ય નજીકના સંબંધીઓ અને પરિચિતોને મળવા પણ અમે ગયાં  રામકૃષ્ણ આશ્રમ સાથે મહેશભાઈના સંબંધ વિશે જાણ્યા પછી, કુંજલતાબેન મને સાંતાક્રુઝ (પશ્ચિમ) ખાતેના રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે લઈ ગયાં હતાં. તે દિવસે અમે મારાં માસી, મીનમાસી (લક્ષ્મીબેન ગુલાબરાય મહેતા)નાં દીકરી બકુલાબેન (જયવંતભાઈ વૈદ્ય)ને ઘરે પણ ગયાં હતાં.

આમ એ સમયનીની મારી મુંબઈની મુલાકાતોને પરિણામે મને અને સુસ્મિતાને  તેમજ મને અને કુંજલતાબેનને એકબીજાને ઓળખવાનું શક્ય બન્યું.

પ્રેમસંબંધ સંવનન

અમારા અંગત સ્તરે, અમારી સૌ પ્રથમ રૂબરૂ મુલાકાતની બસની સફરનો એ કલાક તે પછીના અમારા પત્રવ્યવહારનો પાયો બની ગયો. અમારા પત્રોના વિષયો અમારા વિચારો અને પસંદનાપસંદને પ્રતિબિંબીત કરતા, પરંતુ તેમાંની રજૂઆતમાં આદર્શ કે આડંબરને બદલે અમારી સ્વાભાવિક મૌલિક અભિવ્યક્તિ જ જળવાતી. એમ કહી શકાય કે અમે જેવાં હતાં તેવાં જ દેખાઈએ એવો પત્રનો સુર રહેતો. એકબીજાના પત્રના વિષય પરના અમારા પ્રતિભાવ પણ સહજ રહેતા હતા.

કામ સાથે સંકળાયેલી મારી મુંબઈનો મુલાકાતો દરમ્યાન વાતોના વિષય તરીકે પણ અમને એવા, પોતપોતાના રોજબરોજના જીવન વ્યવહારોના પ્રસંગો બહુ સહજપણે મળી રહેતા. જો પુરતો સમય હોય તો જુહુ બીચ સુધી ચાલતાં જવું અને ત્યાં થોડી વાર બેસવું અમને બહુ અનુકુળ જણાતું.

રૂબરૂ કે પત્ર દ્વારા થતી મુલાકાતમાં નવી નવી સગાઈ થયેલ બે અલ્પ-પરિચિત વ્યક્તિઓની જેટલી ઉત્કટ મુગ્ધતા હતી તેટલી જ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોઈએ એવી વિષયોની પસંદગી અને રજૂઆત રહેતી. આગામી દરેક પત્ર કે મુલાકાતનો અમને પહેલા પત્ર કે મુલાકાત જેટલી જ આતુરતાથી ઈતજાર રહેતો. પત્ર ખોલતાં વેંત તેમાં શું હશે તે જાણવાની ઉત્કટતા પણ એટલી જ હતી અને દરેક મુલાકાતમાં, પહેલી મુલાકાત સમયે આંખોના પહેલવહેલા સંપર્કમાં જે ચમક હતી તેવી જ ચમક ઝળકતી રહી હતી.

આ સમયગાળા દરમિયાન અમારી વચ્ચેના સ્વાભાવિક દૈહિક પ્રેમાકર્ષણને નિષ્કામ સંબંધના સ્તરે લઈ જવામાં ત્રણ સાંસારિક ઘટનાઓનો ફાળો અત્યારે ખાસ યાદ આવે છેઃ 

દિવાળીના દિવસો દરમ્યાન સુસ્મીતા અને કુંજલતાબેન અમદાવાદ આવ્યાં. સુસ્મિતા માટે, તે વૈષ્ણવોની જીવનશૈલીનો પહેલો, ઔપચારિક અને સંપૂર્ણ પરિચય હતો. અમારા બન્ને માટે, તે અમારા ભાવિ લગ્ન જીવનના એક પાસાનું લાઇવ ડ્રેસ-રિહર્સલ હતું.

એ દિવસોમાં મૉટા અમ્માએ (૧૯૯૧થી રિવાજો અને નિયમોમાં છૂટછાટ તરીકે હવે જાણીતાં) 'ઉદારીકરણ'ની બીજી વાર એક મહત્વની જાહેરાત કરી. તેમણે સુસ્મિતાને જાહેરમાં કહ્યું કે તેમની હાજરીમાં, અને સુસ્મિતાના સસરા (તેમના સમયથી પ્રચલિત એવા રિવાજ મુજબ મોટાં અમ્મા તેમના દીકરાઓને નામથી બોલાવતાં નહીં)ને જો વાંધો ન હોય તો તેમની હાજરીમાં પણ, સુસ્મિતા મને નામથી બોલાવી શકે છે. તે જ રીતે હું પણ સુસ્મિતાને નામથી બોલાવી શકું છું અને બધાંની હાજરીમાં અમે વાતચીત પણ કરી શકીએ છીએ. આ પહેલાં (મારા મોટા પિતરાઈ ભાઈ, મારા કાકા કમલભાઈ પ્રાણલાલ વૈષ્ણવના મોટા પુત્ર) દિવ્યકુમારભાઈના લગ્ન પછી તેમની પહેલી આવી ઘોષણા કરી હતી કે હવેથી પરિવારની પત્નીઓએ પરિવારના (પુરુષ) વડીલોના માનમાં લાજ કાધવાની જરૂર નથી. જેમણે ખૂબ જ રૂઢિચુસ્ત સમાજમાં પોતાનું જીવન વિતાવ્યું હતું એવાં, કુટુંબનાં મોભી દ્વારા આવી સ્વપ્રેરિત જાહેરાત મોટા અમ્માની ઉદાર વિચારસરણી અને નવી પેઢી પ્રત્યેના તેમના પ્રેમ અને નવી પેઢીની બદલતી તાસીર પ્રત્યે તેમની પરવાની ચીવટની દ્યોતક હતી !

[નોંધ: ત્યારથી પરિવારમાં લાજ કાઢવાનો શિષ્ટાચાર જાળવવાની પ્રથા તો નીકળી જ ગઈ. હા, સુસ્મિતા હજુ પણ મને નામથી નથી બોલાવતાં ! પતિને નામથી નામથી બોલાવવાની શરૂઆત લગભગ દોઢ દાયકા પછી, દર્શન (મારા નાના પિતરાઈ ભાઈ, મારા નાના કાકા, જનાર્દનભાઈ વૈષ્ણવના દીકરા)નાં લગ્ન પછી તેનાં પત્ની અમી (આશ્લેષા) એ કરી.

સુસ્મિતા યાદ કરે છે કે મોટા અમ્માની પરવાનગી પછી, તેણે અને મહેશભાઈ (મારા પિતા)એ એકબીજા સાથે કામકાજ સબબ સીધી વાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આવા પ્રસંગો વખતે  મહેશભાઈ આંખનો સીધો સંપર્ક ટાળવાનું ધ્યાન રાખતા !]

બીજો પ્રસંગ મારાં માસી, ભાનુમાસી (ભાનુગૌરી ડોલરરાય અંજારિયા)ના અને સુસ્મિતાના પણ કાકા, (ડોલરરાય મોહનલાલ અંજારિયા) ના દીકરા- અક્ષય- ના લગ્નનો હતો. વરરાજાની જાનમાં લગભગ નાનાં મોટાં મળીને વીસેક સભ્યોનો સમાવેશ થતો હતો. ટ્રેન દ્વારા અમદાવાદથી જેતપુર (સૌરાષ્ટ્ર) સુધીની રાતની મુસાફરી કરવાની હતી. અમે ચાર હરોળની બેઠકોવાળા નાના કંપાર્ટમેન્ટમાં જગ્યા મળી. જાનના કેટલાક સભ્યોને ઉપર સામાનની છાજલી પર સુવાડવાની વ્યવસ્થા કરાઈ, ચારેક લોકોએ સીટોની વચ્ચેની જમીન પર 'પથારી' કરી. તેમ છતાં અમારામાંથી પાંચ, છ લોકોને નીચે બેસવાની 'સીટો' મળી. મને અને સુસ્મિતાને બાજુ-બાજુમાં બેસવાની (ખાસ) વ્યવસ્થા થઈ ગઈ. અમે એકબીજાના ખભા પર માથું ટેકવીને અમારી ઊંઘ 'માણી' !

ત્રીજો પ્રસંગ અમારાં લગ્નનું આયોજન કેવી રીતે કરવું તે અંગેની ચર્ચા સાથે સંબંધિત હતો. મારો મત હતો કે લગ્નનું આયોજન ખૂબ જ સાદાઈથી કરવુંવું જોઈએ જેથી તમામ ખર્ચ ટાળી શકાય. મારો પ્રસ્તાવ કોઈ આદર્શવાદ પર નહીં પણ મારાં ભણવાના ખર્ચ અને  પ્રગતિનગરનાં ઘરની ખરીદી પછીની અમારી આર્થિ સ્થિતિની વાસ્તવિકતા પર આધારિત હતો. આપણા રિવાજ મુજબ, વરરાજાના પક્ષે લગ્નવિધિ માટે કન્યા પક્ષને ત્યાં જવાનું હોય છે.  એ દૃષ્ટિએ, લગ્ન જો મુંબઈમાં થાય, તો અમારે અમારા બધાં સગાં સંબંધીઓનો અમદાવાદથી મુંબઈ સુધીના પ્રવાસનો ખર્ચ ઉઠાવવો પડે.આમ પણ, દરેકને અમદાવાદ આવવા-જવા માટે તો ખર્ચ તો  જ હોય છે. તે જ રીતે, કુંજલતાબેનના પક્ષે પણ તેમનાં લગભગ બધાં સગાંં મુંબઈની બહારથી આવવાનાં હતાં એટલે તેમના ભાગે પણ અમારા તેમ જ તેમના પક્ષને ઉતારા વગેરેની સગવડનો વધારાનો ખર્ચ ઉઠાવવો પદે તેમ થતું હતું.  મારો પ્રસ્તાવ એ હતો કે જો લગ્ન કોર્ટમાં નોંધણી કરાવીને કરવામાં આવે તો પરંપરાગત હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન નથી થઈ રહ્યાં એટલે ફક્ત કુટુંબનાં નજીકના સભ્યોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી શકાય. પરિણામે પરંપરાગત હિન્દુ રિવાજ સંબંધિત વિધિઓ સાથે સંકળાયેલ તમામ ખર્ચ ટાળી શકીએ છીએ. 

મેં મારો મત પહેલાં તો સુસ્મિતાને  જણાવ્યો. તે તો તરત જ સહમત થઈ ગયાં. મારા પ્રસ્તાવને મહેશભાઈ અને બેન કે કુંજલતાબેન દ્વારા ન સ્વીકારાયો. પરિણામે, મેં તેમને મારો દૃષ્ટિકોણ સમજાવવા માટે મારે તેમની સાથે લાંબી ચર્ચાઓ કરવાની આવી. અંતે, એમ નક્કી થયું કે લગ્નનું સ્થળ અમદાવાદ રાખવું અને લગ્ન વિધિમાં રિવાજને નહીં પણ સાદાઈને અગ્રતા આપવી. મારા પ્રસ્તાવનો એકમાત્ર ભાગ જે બદલાયો નહીં તે કોર્ટમાં નોંધણી દ્વારા લગ્ન સંપન્ન કરવાનો હતો. લગ્ન નોંધણી અધિકારી પણ લગ્ન સ્થળે આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આખી પ્રક્રિયા દરમિયાન, જીવનની ઘણી બાબતોને મારી 'શુષ્ક' નજરે જોવાના મારા સ્વભાવનાં એક પાસાંનો અનુભવ સુસ્મીતાને થયો ! ભવિષ્યના ઘણા પ્રસંગોમાં વખતે અમે કોઈ બાબત પર સંમત થવા કે ન થવા પાછળ અમારાં કારણો અલગ હોઈ શકે છે અને અમારો અભિગમ પણ જુદો પડી શકે છે એ બાબતનું આ ટ્રેલર હતુ ! એકબીજાના વિચારોને  સ્વીકારવા માટે અસહમત થવા માટે સહમત થવા જેટલું એકબીજાને સમજી શકીશું એ વિશ્વાસનો પાયો ઘડવામાં આ પ્રસંગનું યોગદાન કેટલું હતું તે આજે હવે વિચારતાં બહુ સ્પષ્ટપણે સમજાય છે.

લગ્નની તારીખ ૧૭ માર્ચ, ૧૯૭૭ નક્કી થઈ.