Showing posts with label મારાં વડીલો. Show all posts
Showing posts with label મારાં વડીલો. Show all posts

Sunday, December 7, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ :: પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

 


મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ વૈષ્ણવ) - જન્મ: ૧૯૨૫ | મૃત્યુ: ૧૮-૧૨-૧૯૮૩ - પ્રાણલાલ અને રેવાકુંવર વૈષ્ણવના ત્રણ પુત્રોમાં બીજા હતા.


તેમણે ૧૯૪૭ ના કોઈક સમયે વાણિજ્ય વિદ્યાશાખામાં સ્નાતક થયા હતા. ૧૯૪૮ માં તેમના અને કિરણા (મારા મા, જેમને અમે બેન કહેતા) નાં લગ્ન થયાં.

ફાઇલ ફોટો: મહેશભાઈ સુશોભિત કારમાં વરઘોડામાં...

સ્નાતક થયા પછી, તેઓ ભુજ ખાતે સરકારી નોકરીમાં જોડાયા. મને યાદ છે ત્યાં સુધી, શરૂઆતમાં તેમણે થોડાં વર્ષ રેવન્યુ ખાતામાં નોકરી કરી. લગભગ ૧૯૫૨ માં કૃષિ વિભાગમાં જોડાયા. તેમના પિતા પણ રેવન્યુ ખાતામાંથી નિવૃત થયા તેને મહેશભાઈનાં રેવન્યુ ખાતાં જોડે જોડાવાનો સંબંધ છે કે કેમ તે તો મને ખબર નથી. તે જ રીતે રેવન્યુ ખાતું છોડવાને રેવન્યુ ખાતાંની બહુ બદનામ 'આડા હાથની કમાણી' સાથે તેમનો સ્વભાવગત સજ્જડ વિરોધ કારણભૂત હશે કે કેમ તે પણ મને ખબર નથી.

મહેશભાઈની મારી યાદો મારાં ચારેક વર્ષની ઉમર (૧૯૫૪)થી  શરૂ કરીને તેમના દેહાવસાનને કારણે તેમની જીવનમાંથી કાયમ માટેની નિવૃતિ (૧૯૮૩) સુધી સંકળાયેલી છે. આજે જ્યારે હું આ યાદોને મારાં મનની સુષુપ્ત યાદોમાંથી બહાર લાવતો જાઉં છું તેમ તેમ મને સમજાય છે કે મહેશભાઈનાં વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમનાં મૂલ્યોની મારા પણ એક ચોક્કસ છાપ પડી છે. હા, તેમનાં મૂલ્યોને જીવનમાં સાકાર કરવાની તેમની પદ્ધતિ અને મારાં મૂલ્યો અને મારી પદ્ધતિમાં તાત્વિક સમાનતા છતાં દેખીતો ઘણો તફાવત પણ રહ્યો છે, તે પણ મને સમજાય છે. મારૂં એવું માનવું છે કે કોઈ પણ પિતા અને પુત્રએ પોતપોતાની ઝિંદગીઓ અલગ અલગ સંજોગોમાંથી પસાર થઈને જીવવાનું બને છે તેને કારણે હશે.

પશ્ચાતદૃષ્ટિ કરતાં મને એમ પણ જણાય છે કે મારી મહેશભાઈની યાદો અને તેની સાથે સંકળાતી અમારા સંબંધોની કડીઓને મહેશભાઈની નોકરીના તબક્કાઓ અને તેને કારણે અલગ અલગ શહેરોમાં / સ્થળોએ અમારે રહેવાનું થયું તેની સમયરેખા સાથે જોડવાથી રજૂઆતનો પ્રવાહ સહજ અને સરળ બનતો જાય છે. 

પહેલો તબક્કો - ભુજ અને રાજકોટ : વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૧

મેં શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારથી (૧૯૫૪) અમે રાજકોટ શિફ્ટ થયા (૧૯૫૮) સુધી, મહેશભાઈ મારા દરેક જન્મદિવસ પર મને એક પુસ્તક ભેટ આપતા.  તેનું એક સીધું પરિણમ એ આવ્યું કે મારી વાંચવાની આવડત બહુ વહેલેથી કેળવાવા લાગી, અને જે આગળ જતાં એક બહુ જ પ્રિય શોખનો વિષય બની રહી. પુસ્તકો ઉપરાંત તેમણે ગાંડિવ, રમકડું, ચાંદમામા વગેરે જેવા જાણીતા બાળ સામયિકોનાં લવાજમો પણ બંધાવ્યાં.  વાંચનની આદતનું આ બીજ મારામાં વવાયું તે, આગળ જતાં, ફક્ત મારા માટે માત્ર એક શોખની સાથે સાથે એક બહુ મહત્વનું સંસાધન તો બની જ રહ્યું, પરંતુ ઘરમાં વાંચવાનાં વાતાવરણે મારા પુત્ર (મહેશભાઈના પૌત્ર) તાદાત્મ્ય અને પછી તાદાત્મ્ય દ્વારા તેના પુત્ર તનય (મહેશભાઈના પ્રપૌત્ર) સુધી વાંચવાના  શોખનાં મૂળીયાં પ્રસારવામાં ઉદ્દીપકની પણ ભૂમિકા ભજવી.

મહેશભાઈ તાદાત્મ્ય સાથે (૧૯૮૩ ની આસપાસ)
મહેશભાઈના અવસાનના થોડા મહિના પહેલા

મહેશભાઈના રાજકોટ ટ્રાન્સફર થયા પહેલા મને યાદ આવતો એક સીમાચિહ્નરૂપ પ્રસંગ મારા યજ્ઞોપવિતનો પ્રસંગ (લગભગ મે ૧૯૫૮) હતો.

લગભગ બે કે ત્રણ મહિના પછી, મહેશભાઈની બદલી રાજકોટ થઈ.

રાજકોટ જતાં વેંત અમે મનહર પ્લોટના એક ઘરમાં રહ્યાં. એ ઘરનું ચોક્કસ સ્થળ મને યાદ નથી આવતું. થોડા મહિનામામ જ અમે એ ઘર બદલીને શેરી ન. ૮માં આવેલ તંતી નિવાસમાં સ્થાયી થયાં. તંતી નિવાસની એક બાજુ દૂર દૂર સુધી ખુલ્લુ મેદાન હતું, એ મેદાનમાં અમુક અમુક જગ્યાએ તો ઉંડી કોતરો પણ હતી. તે પછી ભક્તિનગર સ્ટેશન પાસેથી પસાર થતી રેલ્વે લાઈન હતી. એ રેલ્વે લાઇનની બાજુમાં જ વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલ હતી. એ મેદાનની લગભગ વચ્ચે એક ઓઇલ મિલ હતી. તંતી નિવાસથી મહેશભાઈની ઑફિસ જતાં પણ એક મેદાન આવતું, એ મેદાન પાર કરો એટલે જાગનાથ પ્લૉટ આવે. વચ્ચે એક બાજુ રાજકુમાર કૉલેજ અને બીજી બાજુએ રેસ કોર્સ આવે એવો મુખ્ય માર્ગ હતો, જે હવે ડૉ. યાજ્ઞિક રોડ તરીકે ઓળખાય છે. રોડ પર પહોંચતાં એક તરફ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ અને બીજી તરફ રામકૃષ્ણ આશ્રમ આવેલ હતા.

આશ્રમનું પુસ્તકાલય રામકૃષ્ણ મિશનનાં સાહિત્યથી ખુબ સમૃદ્ધ હતું. આશ્રમના પુસ્તકાલયને કારણે, મહેશભાઈ આશ્રમના તત્કાલીન વડા,- સ્વામી ભૂતેશાનંદજી,ના સંપર્કમાં આવ્યા. સાંજે મહેશભાઈ જ્યારે ઑફિસથી પાછા ફરે ત્યારે એ મેદાન પાર કરીને જ આવવાનું થાય.  ત્યારે સ્વામીજી સાંજના ફરવા નીકળ્યા હોય. આમ ઘણી વાર બન્ને સાથે થઈ જતા. તેમની આ મુલાકાતોને પરિણામે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.  સ્વામીજીના સંસર્ગ અને આશ્રમના પુસ્તકાલયમાં આવેલ રામકૃષ્ણ મિશનનાં સાહિત્યના વાંચનની અસરના પરિપાકરૂપ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વિચારધારાની મહેશભાઈ પર બહુ જ ઊંડી છાપ પડી હતી. એ વર્ષોમાં દર મહિને થોડી થોડી બચત કરીને મહેશભાઈ રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિ દેવી અને સ્વામી વિવિકાનંદનું પુષ્કળ સાહિત્ય ખરીદ્યું. એ બધું મેં હમણાં સુધી સાચવી રાખ્યું હતું, પરંતુ પછી તેની જાળવણી ન થઈ શકે એવી એક કક્ષા આવી પહોંચી એટલે એ બધું સાહિત્ય ભુજની લાયબ્રેરીમાં જમા કરવાવું પડ્યું.

રાજકોટ છોડ્યા પછી જ્યારે પણ રાજકોટ જવાનું થાય ત્યારે મહેશભાઈ આશ્રમની મુલાકાત લેવાનું ક્યારે પણ ચુકતા નહીં. મહેશભાઈના અવસાન પછી મેં પણ એ પ્રણાલિકા જાળવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

મહેશભાઈના અવસાનની મેં સ્વામી ભૂતેશાનંદને જાણ કરી હતી. રાજકોટ છોડ્યાને ત્રેવીસ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં. સ્વામીજી ત્યારે રામકૃષ્ણ મઠ, બેલુર (કોલકાતા),ના વડા હતા. (તેમ છતાં) સ્વામીજીએ પોતાના હસ્તાક્ષરમાં જવાબ આપ્યો હતો, જેમાં મહેશભાઈ સાથેના તેમના ગાઢ સંબંધોને તેમણે બહુ જ આત્મીયતાથી યાદ કર્યા હતા. મારાં કમનસીબે, હું તે પત્ર સાચવી શક્યો નથી.

મહેશભાઈએ મને પણ આશ્રમની લાયબ્રેરીનો પરિચય કરાવ્યો હતો. હું લાયબ્રેરીમાં નિયમિત મુલાકાતી હતો અને બાળકો માટે ખાસ પ્રકાશિત આશ્રમના પ્રકાશનો વાંચવામાં સારો સમય વિતાવતો હતો. ઘણી વાર પાછા ફરતી વખતે, મહેશભાઈ અને સ્વામીજી ચાલતા જતા હોય ત્યારે હું પણ સાથે થઈ જતો. ક્યારેક સ્વામીજી એકલા હોય અને હું સાથે થઈ જાઉં, તો તેઓ મારી સાથે પણ બહુ પ્રેમથી વાતો કરતા અને મેં શું વાંચ્યું તે વિશે પૂછતા. દેખીતી રીતે, આવા પ્રબુદ્ધ વ્યક્તિ સાથે વાત કરવાનું મહત્વ સમજવા માટે હું ખૂબ નાનો અને ખૂબ જ કાચો હતો. જોકે, જેમ જેમ હું પાછળ જોઉં છું, ત્યારે હવે હું સમજી શકું છું કે તે વાતચીતોએ મારા મનમાં ધર્મ એક આસ્થા નહીં પણ શું સાચું અને શું ખોટું એ સમજવાની વિવેકબુદ્ધિ વિકસાવવા માટે ગર્ભિત રીતે બીજ વાવ્યાં હશે.  

મનહર પ્લોટમાં લગભગ એક વર્ષ રહ્યા પછી, મહેશભાઈને એક સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. આ ક્વાર્ટર્સ રાજકોટ સિવિલ હોસ્પિટલ (સદર સર્કલ પાસે, જે હવે ડૉ. આંબેડકર સર્કલ તરીકે ઓળખાય છે) ના સ્ટાફ માટે હતા. આ ક્વાર્ટર્સમાં ઘર જોડાયેલ શૌચાલય નહોતું. અલગ શૌચાલય બ્લોકમાં જવા માટે લગભગ ૧૦૦ મીટર ચાલવું પડતું હતું. દરેકને કતારમાં પોતાનો વારો રાહ જોવી પડતી હતી.

અહીંના રહેવાસમાં મને મારાથી ઓછામાં ઓછા એક દાયકાથી મોટા 'મિત્રો'ના સંપર્કમાં આવવાની પહેલી તક મળી. હકીકતમાં, એવું કંઈ નહોતું જે મને એ લોકોના મિત્ર તરીકે સ્વીકૃતિ માટે લાયક બનાવે. તેમ છતાં ક્વાર્ટર્સમાં દર વર્ષે નવરાત્રીની ઉજવણી સમયે થતા દાંડિયા રાસમાં મને સાથે રખાતો. દાંડિયા રાસ રાત્રે આઠેક વાગ્યાથી બે ત્રણ કલાક, વણથંભ્યો, રમાતો. સાવ સહજપણે રમાતો એ દાંડિયા રાસને હું કેમ જીરવી શક્યો હોઈશ તે આજે પણ સમજાતું નથી, કેમકે એ લોકો કરતાં ઉમરમાં અને અનુભવમાં હું 'સાવ' બાળક જ હતો, અને મારી ઉમરને કારણે મને કોઈ જ દયાભાવની છૂટ પણ નહોતી મળતી.

રાજકોટના અમારા રહેવાસના હું અહીં એવા બે પ્રસંગ ટાંકવાનું પસંદ કરીશ જેમાં મહેશભાઈએ ભલે પિતા તરીકેની તેમની સ્વાભાવિક ભૂમિકા ભજવી હોય પણ તેમાં તેમની સાથે રહેવાને કારણે મારા વ્યક્તિત્વના ઘડતરમાં એ બન્ને પ્રસગોનું અનોખું મહત્વ બની રહ્યું છે. - 

જ્યારે અમે રાજકોટ પહોંચ્યા, ત્યારે મેં ભૂજની મિડલ સ્કૂલમાં મારા પાંચમા ધોરણનું પહેલો સત્ર પુરૂં કર્યું હતો, વિરાણી હાઇસ્કૂલ મનહર પ્લોટના તંતી નિવાસનાં અમારાં ઘરથી સૌથી નજીકની શાળા હતી. શૈક્ષણિક વર્ષની અધવચ્ચેથી પ્રવેશ માટે વિરાણી હાઇસ્કૂલમાં લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. મહેશભાઇએ તેમના મોસાળ પક્ષનાં બહેન મુક્તાફઇ (મોટા અમ્મા, મારાં  દાદી-નાં દીકરી) ના સાળા જનાર્દનભાઇ વૈદ્ય[1]ની મદદ લીધી. જનાર્દનભાઇ વિરાણીમાં અંગ્રેજીના શિક્ષક હતા. પ્રવેશ પરીક્ષા માટે મને તૈયાર આપવા માટે તેમની પાસે ભાગ્યે જ સમય હતો. જોકે મને વિરાણીમાં પ્રવેશ તો મળ્યો. મેં પરીક્ષામાં કંઈ સારૂં પ્રદર્શન કર્યું હોય એવું તો બહુ શક્ય નહોતું. પરંતુ જનાર્દનભાઇના પ્રયાસો અને તેમના વિશે શાળામાં જે માન હતું એ બે પરિબળોનો ફાળો જ રહ્યો હશે જેને કારણે મને પ્રવેશ મળ્યો હશે!

મારી શાળા, વિરાણી હાઇસ્કૂલ, અમે જે સરકારી ક્વાર્ટ્સમાં રહેવા ગયેલાં તેનાથી તે સમયના રાજકોટના લગભગ બીજા છેડા પર હતી. શાળા માટે મારી આવન જાવન ક્યાં તો સિટી બસ સેવા દ્વારા અથવા, મોટી ટાંકી થઈને અને નહીં તો  ચૌધરી હાઇસ્કૂલના રસ્તેથી થઈને આખા રસ્તે ચાલીને થતી. સ્વતંત્રપણે, કોઈ પણ નવા રસ્તા શીખવાનો મારાં જીવનનો એ પહેલ વહેલો પાઠ !

મને ખબર નથી કે કેવી રીતે અને કેમ, પણ હું આ કસોટીઓમાંથી પાર તો ઉતરી ગયો. જોકે એ સમયે પણ હું ખૂબ જ કાચો અને શિખાઉ હતો,. એટલે આ બધ અનુભવોમાંથી ભવિષ્યની આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કોઈ આત્મવિશ્વાસ કેળવી શક્યો એમ તો ન કહી શકાય, સિવાય કે ચોક્કસપણે એટલું તો કહી શકાય કે ભવિષ્યનાં મારાં ઘડતરમાં આ અનુભવો મહદ્ અંશે મહત્વપૂર્ણ પરિબળો તો જરૂર બની રહ્યાં કહેવાય. 

ત્યારબાદ, મહેશભાઈની બદલી જૂનાગઢ કૃષિ કોલેજમાં થઈ. ત્યાં તેઓ કદાચ નવેક મહિનાથી વધારે નહીં રહ્યા હોય. ભવિષ્યમાં તેમને નવસારી કૃષિ કોલેજ અને પછી ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા, જિલ્લો, બનાસકાંઠા, ગુજરાત કામ કરવાનું હશે એટલે નિયતિએ આવી કોઈ યોજના કરી હશે કે કેમ તે તો નિયતિ જ જાણે ! પરંતુ અમને પણ એક સમયના રાજાશાહી બાગની લ્હાણ લેવાની અને ગિરનાર ચડવાની  તક મળી. જોકે, જૂનાગઢના એ બાગની જવિક સમૃદ્ધિની ખરી સમજ તો ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન મહેશભા નવસારી જતા ત્યારે નવસારી કૃષિ કોલેજનાં ફાર્મ્સ ખેતરોની મુલાકાત લીધા પછી પડી.

આજે પાછળ નજર કરતાં બહુ જ ચોક્કસપણે જોઈ શકાય છે કે મહેશભાઈની રાજકોટ બદલી થઈ એ મારા વ્યક્તિત્વને ઘડવામાં ગેમ ચેન્જર ઘટના હતી.

Saturday, October 18, 2025

મારા દાદા - પ્રાણશંકર વાધજી વૈષ્ણવ

 


અમે બધાં અમારા દાદા - પ્રાણશંકર વાઘજીભાઈ વૈષ્ણવ (૧૮૯૫ -  ૧૯૬૪) - ને બાપુ કહેતાં.  તેમને ચાર મોટાંબહેનો, એક નાનાં બહેન અને એક મોટાભાઈ હતા. 

તેમના અને મોટાં અમ્મા (મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ)ને ત્રણ દીકરાઓ - કમળકાંત (મારા મોટા કાકા, કમળભાઈ), મહેશ્વર (મારા પિતા, મહેશભાઈ) અને જનાર્દનરાય (મારા નાના કાકા, ગોરા કાકા) હતા. સમગ્ર વૈષ્ણવ પરિવાર 'વૈષ્ણવ વંશાવળી'ના સંબંધિત પાનાંઓ[1]માં જોઈ શકાય છે.

મને સમજણ છે એટલે સુધી , બાપુ એ સમયનાં કચ્છ રાજ્યનાં રજવાડામાં મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. મહેશભાઈનાં લગ્ન થયાં તે વર્ષ (૧૯૪૮)ની આસપાસ જ બાપુ નિવૃત થયા હતા. તે પછી તેમણે લગભગ ૧૯૫૮ સુધી રાજસ્થાનનાં સિરોહી રાજ્યનાં રાજમાતા (જે કચ્છ રાજવી પરિવારનાં પુત્રી થતાં), ગુલાબકુંવરબાના કામદાર (અંગત સેક્રેટરી) તરીકે કાર્યરત રહ્યા.   

ઉપરના ફોટામાં બાપુએ જે પાઘડી પહેરી છે તે કચ્છી પાઘડી કહેવાતી. હું જ્યારે પાચેક વર્ષનો હઈશ ત્યારે બાપુ પાઘડી બાંધે ત્યારે પાઘડીનાં કપડાંના એક છેડાને પકડી રાખવાનું કામ મારૂં રહેતું. પહેલાં કપડાંને ઘડીઓ વાળીને સપાટ રોલ બનાવવાનો. પછી એ સપાટ રોલને બાપુ પાઘડીની જેમ પોતાના માથાં પર બાંધતા જાય. મને ન તો બાપુ ઘડી વાળતા હોય ત્યારે કે માડ માંડ ઘડી વળાઈ જાય પછી રોલને ખેંચીને ટાઈટ પકડી રાખવાનું પણ આવડતું નહી. એટલે, બાપુ માટે ફરી ફરીને એકડેથી શરૂ કરીને પાઘડી બાંધવાનું કામ કેટલું અઘરૂં થઈ પડતું હશે એ  કલ્પના કરૂં છું તો આજે મને પણ પરસેવો વળી આવે  છે. અને તેમ છતાં, મને સમજાવી સમજાવીને બાપુ પાઘડી તૈયાર કરી લેતા ! તેઓ જે ધીરજથી મને તાલીમ આપતા એ પાઠ મને મારી કારકિર્દી દરમ્યાન યાદ આવ્યા હોત તો કેવું સારૂં થાત!

એ વર્ષોમાં જમવા કરવા અને શાળાએ જવા સિવાયનો મારો મોટા ભાગનો સમય તો મારાં માસી (ભાનુમાસી - ભાનુબેન ડોલરરાય અંજારીઆ)ના દીકરાઓ, અક્ષય અને જસ્મીન, સાથે ભાનુમાસીને ત્યાં રમવામાં જ ગાળવામાં મને રસ રહેતો. એટલે જે દિવસે બાપુએ નવી પાઘડી બાંધવાની હોય તે દિવસે સવારે જમતી વખતે જ મને કહી દેવામાં આવે કે આજે બપોરે પાઘડી બાંધવાની છે એટલે મારે તે પછી રમવા જવું. જેવી પાઘડી બંધાઇ જાય એટલે બાપુને પૂછું, બાપુ હવે જાઉં? બાપુ જેવા હા પાડે એટલે બદુકમાંથી છૂટેલી ગોળીની ઝડપે ભાનુમાસીના ઘર તરફ દોટ મુકું. 

બાપુનું દેહાવસાન થયું ત્યારે મારૂ ઉંમર ચૌદ વર્ષની હતી. એટલે એ દાદા અને એ ઉંમરના પૌત્ર વચ્ચેના સંબંધથી વધારે બાપુનો પ્રત્યક્ષ પરિચય થવાની મને તક ન મળી. તેમ છતાં, સમજણા થયા પછી મને  બાપુનાં વ્યક્તિત્વનાં બે પાસાં જરૂર જાણવા મળ્યાં - 

મોટાં અમ્માંના અવસાન પછી બધાં દાવેદારોની હાજરીમાં ગોરાકાકાએ બાપુનું વસિયતનામું વાંચી સંભળાવેલું. આજે એ દસ્તાવેજની વિગતો પ્રસ્તુત નથી રહી. પણ મહત્વનું એ છે કે બહુ જ સુંદર અક્ષરોમાં એ દસ્તાવેજ બાપુના હસ્તાક્ષરોમાં લખાયો હતો. તેમાં તેમની વિચારસરણી સ્પષ્ટતા જેટલી ધ્યાન ખેંચતી હતી તેનાથી કદાચ  વધારે એમાં ત્રણેય દીકરાઓને મિલ્કતની વહેંચણીમાં તેમની ઔચિત્ય પ્રમાણિકતા મને વધુ સમજાઈ.

દૂધપાક અને આખી બુંદીના લાડુની સાથે સેવ (બાપુ 'સેવકળી' કહેતા) બાપુની પ્રિય વાનગીઓ ગણાતી. એટલે વર્ષો સુધી ધનતેરસના દિવસે દૂધપાક કરવો અને દિવાળીના દિવસે આખી બુંદીના લાડુ અને સેવ કરવાનો વણકહ્યો રિવાજ ચાલતો રહ્યો હતો.

હાલ પુરતું બાપુની કેટલીક તસવીરો અહીં યાદ કરીને તેમને મારી નમ્ર અંજલિ આપીશ –

બાપુઃ આશરે ૨૬ વર્ષની ઉમરે

બાપુઃ તેમના પદાનુરૂપ પહેરવેશમાં - સ્થળઃ કદાચ, સિરોહી.

બાપુ અને સિરોહીના રાજાના કામદાર 

ગોરાકાકા, બાપુ અને મહેશભાઈ.

બાપુની નિવૃતિ પહેલાં કે પછી તરતનો સમય

બાપુ - કંડલા - આશરે ૧૯૬૪ કે '૬૪ 

Sunday, October 5, 2025

મારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ

 

મોટાં અમ્માં - વર્ષ : આશરે ૧૯૫૫ કે '૫૬

મારાં પિત્રાઈ ભાઇબહેનો - મારા મોટાકાકા (કમળભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)નાં સંતાનો દેવીબેન, દિવ્યકુમારભાઈ અને ઉપેન્દ્રભાઈ - તેમનાં માને અમ્માં કહીને બોલાવતાં. એટલે અમારાં દાદી - રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ-ને તેઓ મોટાં અમ્માં કહેતાં. એટલે અમે, એમનાં બધાં પોતરાં, એમને મોટાં અમ્માં જ કહેતાં.

હું ચૌદ વર્ષનો થયો ત્યાં સુધી તો મોટાં અમ્માં સાથેનો મારો સંબંધ કોઈ પણ પ્રેમાળ દાદીનો તેનાં બાળ પૌત્ર - પૌત્રી પ્રત્યે હોય એવો જ રહ્યો. એમનો પ્રેમ વરસતો રહે પણ ઘરમાં બીજાં બધાં સભ્યો પણ હોય એટલે નાનાં મોટાં કામ સિવાય ખાસ વાતચીત કરવાનો પ્રસંગ ન પડે. પરંતુ મારાં મોટાં બહેન, દેવીબેન (મિનાક્ષીબેન - મારા મોટાકાકા, કમળભાઈ વૈષણવનાં મોટાં દીકરી)ની દીકરી ગાયત્રીનો જન્મ ( ૨ સપ્ટેમ્બર, ૧૯૬૪) થયો ત્યારે મારાં માએ દેવીબેન પાસે ત્રણ ચાર દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. એટલે ઘરમાં રસોઈ કરીને બધાંને જમાડવાનું કામ મોટાં અમ્માંએ કરવાનું હતું. સવારે મારા પિતા (મહેશભાઈ વૈષ્ણવ) જમીને ઑફિસ જાય, મારાં મા અને દેવી બેન માટેનું ટિફિન પણ લઈ જાય, બાપુ (મારા દાદા - પ્રાણલાલભાઈ વૈષ્ણવ) પણ જમાડે - તેમને પીરસવાનું કામ મારૂં - ને હું પણ જમીને શાળાએ જઉં એ બધું જ મોટાં અમ્માં ખુબ સરળાથી કેમ કરી લેતાં હશે તે તો મને આજે પણ સમજ નથી પડી.

એટલુ જ નહીં, પહેલે દિવસે મોટાં અમ્માંએ મારા માટે પાંચ છ પડની રોટલી કરી. રોટલી એટલી સ્વાદિષ્ટ અને નરમ હતી કે હું પણ ચારેક રોટલી તો ઝાપટી ગયો. બીજે દિઅવસે તેમણે રસોઈની શરૂઆત કરી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ગઈ કાલે તો હું ચાર નહીં પણ ચોવીસ રોટલી ખાઈ ગયો છું. એટલે મેં મોટાં અમ્માંને કહ્યું કે કાલે તો ચોવીસ રોટલી ખાઈ ગયો. આજે એટલું જ કમાડશો. તેઓ બહુ જ પ્રેમથી હસ્યાં અને મને સમજાવ્યું કે એ તો માંડ સાત આઠ રોટલી જેટલું જ થાય એ રીતે બને ! એટલે મેં કહ્યું કે હું તો દરરોજ એટલું પણ નથી જમતો. એટલે તેમણે (માત્ર [!]) બે પડની રોટલીઓ બનાવી, જે પણ હું ચારેક તો ખાઈ જ ગયો.

બે પડની રોટલી બનાવવાની પ્રથા તો ઘરમાં મેં પહેલેથી જોઈ હતી, અને તે પછી પણ જમવામાં તે એક ખાસ વાનગી તરીકે આજે પણ નિયમિતપણે બને છે. પરંતુ, એ દિવસોમા જે રોટલી જમ્યો છું તેનો સ્વાદ તો અલૌકિક જ હતો.

તે પછી, જ્યારે મહેશભાઈની બદલી દાંતીવાડા થઈ ત્યારે હું અને મારાં પત્ની, સુસ્મિતા, અમદાવાદ રહેતાં ત્યારે મોટાં અમ્માં પણ ઘણી વાર અમારી સાથે રહ્યાં હતાં. એવા દરેક પ્રસંગે કમસે કમ એક વાર તો મોટાં અમ્માં બે પડવાળી રોટલી કરીને અમને જમાડતાં જ.

મારા દાદાના દેહાવસાન વિધિઓ દરમ્યાન તો મોટા અમ્માં મનની અંદર અંદર રડ્યાં જ કરતાં રહ્યાં હતાં. પરંતુ એ દિવસોમાં તો બહુ અવર જવર રહી, વિધિઓને લગતાં અનેક કામો પણ થતાં રહ્યાં એટલે તેમની આ અવસ્થાને બધાંએ સંદર્ભ સમોચિત ગણી લીધી હશે. પરંતુ એ વિધિઓ પુરી થઈ ગઈ એ દિવસે પણ મોટાં અમ્માં અસ્વસ્થ તો હતાં જ, અને જમી પણ નહોતાં રહ્યાં. મારા બન્ને કાકાઓ (સૌથી મોટા કમળભાઈ અને સૌથી નાના જનાર્દનભાઈ૦ અને મારા પિતા, મહેશભાઈએ કદાચ પહેલી જ વાર એક સાથે મળીને મોટાં અમ્માં સાથે સંવાદ રચીને તેમનાં દુઃખને હળવું કરવાના પ્રયાસો આદર્યા. બે એક દિવસના પ્રયાસો પછી પણ મોટાં અમ્માં જમતાં નહોતાં સવારે અને બપોરે માત્ર ચા પીએ એટલો જ ખોરાક તેઓ લેતાં. હવે બધાં મુઝાયાં. બધા ભાઈઓ મળીને એક યોજના ઘડી. એ લોકોએ અમને - દેવીબેન, દિવ્યકુમારભાઈ, ઉપેન્દ્રભાઈ અને મને - તેમનાં પોતરાંઓને હવે મોટાં અમ્માંને સમજાવવાનું કામ સોંપ્યું. સ્વાભાવિક છે કે દાદીને તેમનાં પોતરાંઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોય, અને મોટાં અમ્માંને તો અમારા બધા માટે બેહદ પક્ષપાત હતો એ તો બધાં - અને અમે પણ - સમજતાં હતાં. એટલે, આજે જ્યારે હું વિચારૂં છું ત્યારે તે કદાચ 'બ્રહ્માસ્ત્ર' જ કહી શકાય. અમારી વિનવણીઓ, દેવીબેનનાં આંસુ, વગેરે કંઈ કામ નહોતું આવી રહ્યું. ઉપેન્દ્રભાઇ અને મને (અમે ત્યારે અનુક્રમે ૧૭ અને ૧૪ વર્ષના હતા!), બન્નેને કેમ નહીં પણ અચાનક જ એકસાથે સ્ફુર્યું અને અમે બોલી પડ્યા કે તો અમે પણ નહી જમીએ. આ ધડાકાને કારણે વાતાવરણ બહુ વધારે ગંભીર થઈ ગયું હશે. તે પછી ત્યારે ને ત્યાર કે એકાદ દિવસ રહીને તે તો યાદ નથી, પણ ત્રણેય ભાઈઓ મોટાં અમ્માંને સવારે બહુ જ થોડું અને સાંજે માત્ર એક વાટકી શાક જેટલું જમવા માટે મનાવી શકેલા.

તે પછી મહેશભાઈ દાંતીવાડા હતા એ વર્ષોમાં મોટાં અમ્માંને મારી અને સુસ્મિતા સાથે રહેવાનું થયું ત્યારે સુસ્મિતા સાંજે શાકની વાટકી સાથે અર્ધોએક ગ્લાસ ભરીને મોળું દૂધ પણ મુકી દે. અમે બન્ને જોઈ શક્યાં હતાં કે તેમનું મન માન્યું ન હતું, પણ અમારી, અને ખાસ કરીને સુસ્મિતાની, લાગણીને ખાતર તેઓ એ દૂધ પી જતાં. થોડાએક દિવસો પછી જ્યારે મોટાં અમ્માંને મહેશભાઈ સાથે દાંતીવાડા જવાનું થયું ત્યારે તેમણે સુસ્મિતાને એવું કહ્યાનું યાદ આવે છે કે આ દૂધ પીવાવાળી વાત તમારા સસરાને ન કહેજો.

તાદાત્મ્ય નાનો હતો ત્યારે મોટાં અમ્માં જો અમદાવાદ હોય તો દિવસે પણ તેમની પાસે ઘોડીયામાં હીંચકા ખાવાની મજા લે. રાતના પણ સુતી વખતે મોટાં અમ્માં હીંચકા નાખે તો જ સૂએ. એમાં વળી, અર્ધો કલાક, કોઈક વાર કલાક સુધી હીચકા ખાતાં ખાતાં મોટાં અમ્માં પાસે વાર્તાઓ પણ કરાવે. પછી એમ લાગે કે હવે તે સૂઈ ગયો છે અને હીંચકા નાખવાનું બંધ થાય તો સૂતાં સૂતાં જ હીંચકા ચાલુ રાખવાની ફર્માયેશ પણ આવે. અમે મોટાં અમ્માંને કહીએ કે હવે અમે હીંચકા નાખીશું, તમે સૂઈ જાઓ. પણ તેઓ તાદાત્મ્યને સુવડાવીને જ સૂવા જાય.

ડાબેથીઃ મોટાં અમ્માં, ગોરાકાકા (જનાર્દનભાઈ) પાછળ: હું
આગળ: તાદાત્મ્ય – વર્ષ: આશરે ૧૯૮૪

પોતાને ગમે તેટલી તકલીફ પડે પણ બીજાંને મદદરૂપ થવું, મોટાં અમ્માંનો એ સહજ સ્વભાવ તો આખાં કુટુંબમાં જાણીતો હતો. દર્શના ધોળકિયા (મોટાં અમ્માંનાં મોટાં બહેનનાં પુત્રીનાં દીકરી)એ તેમનાં પુસ્તક 'ઓટલા દાવ'ના લેખનું મોટાં અમ્માં વિશેના પ્રકરણનું શીર્ષક - રેવાને તીર બાંધી મઢૂલી[1] - જ મોટાં અમ્માંના આ સ્વભાવને બહુ સચોટપણે યાદ કરે છે. સમજણા થયા પછી ઘણાં લોકોને મેં એમ કહેતાં પણ સાંભળ્યાં છે કે બૃહદ કુટુંબીજનોમાંથી ઘણાંએ તેમના સ્વભાવની આ (વધારે પડતી?) સારપનો ઘેર લાભ પણ લીધો હતો.

તેઓ અમાદાવાદ આવ્યાં હોય એવા કોઈ એક પ્રસંગે તેમને એવું કહેતાં મને યાદ આવે છે કે તમે (એટલે કે હું) આસ્તિક ભલે નથી પણ ધર્મિષ્ઠ તો ઘણા જ છો. એ વાત કયા સંદર્ભમાં નીકળી હશે તે યાદ નથી, પણ એટલું યાદ જરૂર છે મને ત્યારે તો એમ જ લાગ્યં હતું કે ધર્મના રીતરિવાજો પ્રત્યેનાં અજ્ઞાનને તેઓએ મોટાંમનથી સ્વીકાર્યું છે અને એક અતિ પ્રેમાળ દાદીની લાગણીની શૈલીમાં તેમના પુત્રની દેખીતી કચાશને બહુ જ સારા શબ્દોમાં માફ કરી છે.

જોકે તે પછી એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે મારૂં મન મને મારાં કર્તવ્ય અનુસાર વર્તવાનું જણાવ્યું હશે. આજે હવે વિચારતાં મને એમ જરૂર સમજાય છે કે જ્યારે જ્યારે હું મારી સાહજિક મર્યાદાની અંદર રહીને જે શુદ્ધ દાનતથી વર્ત્યો હોઈશ તેમ થવા પાછળ મોટાં અમ્માંના મારા 'ધર્મિષ્ઠ' બનવા માટેનાં આશીર્વચનની છુપી પ્રેરણા જ હતી.

આવાં પરગજુ, નિર્મળ, નિરાભિમાની, પ્રેમાળ, સરળ વ્યક્તિને કાર્યકારિણીના સિદ્ધાંતે તેમને જીવનનાં પાછલાં વર્ષોમાં પણ, મારી દૃષ્ટિએ, બહુ જ અન્યાય કર્યો. બાપુના અવસાન પછી મોટાં અમ્માંની હાજરીમાં જ કમળભાઈ અને મહેશભાઈ બન્ને, ઘણી નાની ઉમરે, ગયા. એટલું ઓછું હોય તેમ ઘરમાં ઘરમાં જ કોઈ અકસ્માત બનેલી સાવ નાની ઘટનામાં તેમની કરોડના છેલ્લા મણકામાં હેરલાઈન તિરાડ પડી. તેને પરિણામે તેમનું ચાલવાનું પહેલાં બહુ જ પીડાદાયક થયું અને પછી બંધ થઈ ગયું. જિંદગીભર જેમણે બીજાંની સેવા કરી એવાં એમને છેલ્લા છ મહિના ગોરાકાકા (એમના સૌથી નાના દીકરા), ગોરીકાકી (સૌથી નાનાં પુત્રવધૂ) તેમ જ નાની પૌત્રી. પણ મોટાં અમ્માની બહુ લાડલી (અને મોટાં અમ્માં પણ જેને બહુ જ લાડલાં) એવી હર્ષિકાની સારવાર લેવી પડી. એ લોકોએ તો એ કાર્ય સાવ ભાર વગર જ કર્યું, પણ અબોલ રહીને જીવનનાં વાળાઢાળાને સહન કરી ગયેલાં મોટાં અમ્માંને મન તેમની શરીરની પીડા કરતાં પણ એ કેટલું વધારે કષ્ટદાયક રહ્યું હશે !

એમનું દેહાવસાન તેમના આ ભવચક્રની પીડાનો અંત હતો તેમ છતાં પણ એ સમયે મન તેમની ગેરહાજરી સ્વીકારવા તૈયાર નહોતું. જોકે, પછીથી જ્યારે જ્યારે સમય અને સંજોગોની વિષમતા સાથે મારું મન સમાધાન નથી કરી શક્યું ત્યારે ત્યારે મોટાં અમ્માંના વ્યક્તિત્વની ગરિમાએ અને હુંફે મને એ પરિસ્થિતિઓ સહન કરી જવાની શક્તિ પુરી પાડી છે.

કેટલાક વિસારે પડી ગયેલ તસવીરો :

મોટાં અમ્માં (વર્ષ આશરે ૧૯૫૫ - ૫૬)

બાપુ અને મોટાં અમ્માં. આ ફોટોગ્રાફ પણ ક્યાંનો અને ક્યારનો તે યાદ નથી આવતું. એક શક્યતા રાજકોટમાં તંતીનિવાસ (૧૯૫૮)ની છે.

      આગળઃ મહેશભાઈ, અશોક (હું) ; પાછળ, દેવીબેન, સંજયને તેડીને બેન, ગોરીકાકી અને મોટાં અમ્મા.

ફોટોગ્રાફ ૧૯૫૯ની આસપાસનો હશે. ક્યાંનો છે તે ખાત્રીપૂર્વક નથી કહી શકાતું, પણ એક શક્યતા છે કે

             સંજયના વાળ ઉતરાવવા બધાં વૈષ્ણવોનાં કુળદેવીના સ્થાનક, સોનડીયાગયાં હતાં ત્યારનો હોઈ શકે.

પ્રગતિનગરનાં ઘરે - ડાબેથી સુસ્મિતા, મોટાં અમ્માં, મહેશભાઈ

પ્રગતિનગરનું ઘર : સુસ્મિતા, બેન, (વચ્ચે) મહેશભાઈ, સંજય અને મોટાં અમ્માં

પ્રગતિનગરનું ઘર - બેન, મોટાં અમ્માં, સુસ્મિતા 

ફોટોગ્રાફની ગુણવત્તા સચવાઈ નથી




[1]  રેવાને તીર બાંધી મઢૂલી