Tuesday, July 31, 2012

Between the Assassinations - Aravind Adiga --- 'બે હત્યાઓ વચ્ચે' : અરવિંદ અડીગા


Between the Assassinations / 'બે હત્યાઓ વચ્ચે' જેવું આકર્ષક શિર્ષક અને Aravind Adiga /અરવિંદ અડીગા જેવું જાણીતું લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં કવર પરથી પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. - "શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે."-  હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોઆ અને કલિકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં "કિટ્ટુર"ની.
લેખકે કિટ્ટુરના શાબ્દિક નકશામાં જાતિ, ધર્મ, વ્યવસાય અને પૂર્વગ્રહોની એવી ભાતીગળ રંગોળી પૂરી છે, જેનાં પરિપાકરૂપે આપણી સમક્ષ શહેરની નૈતિક જીવનકથા પથરાઇ રહે છે. માનચિત્રકાર ને છાજે તેવી ચોકસાઇ - "મદ્રાસ મૅલમાંથી બહાર પગ મુકતાંની સાથે જ સ્ટેશનની ઇમારતની કમાનો કિટ્ટુર પરની તમારી પહેલી દ્ર્ષ્ટિને બાંધી લે છે" - અને એક નવલકથાકારની માનવતા -"આખી સમસ્યા જ અહિયાં છે..આપણાં બધામાં એક પશુ વસે છે."-ને વણી લેતી આ વાર્તાઓ, શહેરના ઐતિહાસિક સ્થળોની તબક્કાવાર લેખની છે. આ વાર્તાઓનો સમયકાળ છે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓ વચ્ચેનાં સાત વર્ષ. તેની સાથે સાથે તે સમયની સામાજીક પ્રવાહોની કાલ્પનિક ઘટનાઓને, વેધક નજર અને ઝીણવટભરી  માવજતથી, લેખકે વણી લીધી છે.
આમ દરેક વાર્તા તેનાં અલગ અલગ રંગનાં, બહુવિધ સંસ્કૃતિ, જાતિ અને ધર્મનાં વાતાવરણમાં પરોવાયેલ, પાત્રોની જીવનકથા તરીકે રજૂ થાય છે.આ બધી વાર્તાઓમાં કેન્દ્રવર્તી સૂર સત્તાસાથેના- ગરીબ અને તવંગર વચ્ચે,નોકર અને માલિક વચ્ચે, ઊચ્ચ વર્ણ અને નીચલાં વર્ણ વચ્ચે, બહુમતી અને લઘુમતી વચ્ચે,લાંચિયા નોકરશાહી અને મહેનતકશ પ્રજા વચ્ચે - સંબંધો અને આવા સંબંધોથી પેદા થાત સ્વાભાવિક તણાવ જણાય છે.
આ સાત દિવસનાં પર્યટનની વાર્તાઓની ખૂબ જ ટુંકી રૂપરેખા પર એક નજર કરીએઃ
i. “DAY ONE: THE TRAIN STATION,”/ 'પહેલો દિવસઃ રેલવે સ્ટેશન'એ ઝિયાઉદ્દીન નામના મુસ્લિમ છોકરાની વાત છે, જે તેની નાનીમોટી ચોરી કરી લેવાની ટેવને કારણે પંકાયેલો હોવા છતાં તેના ગ્રાહકો અને સાથીદારોમાં પ્રિય છે.'અમે મુસલમાન એવું કદિયે ન કરીએ એ એનો તકિયા ક્લામ રૂપ જવાબ. પણ તે એક આતંકવાદી મુસ્લિમનો હાથો બની જાય છે.
ii. “DAY TWO: THE BUNDER” / ' બીજો દિવસ: બંદર' એ બંદરના ઇલાકાના આટાપાટાને ભૂલાવડાવે,તેવાં અબ્બાસીનાં સંકુલ વ્યક્તિત્વવાળાં પાત્રને રજૂ કરે છે, પોતાની કપડાંની ફૅકટરી ચલાવવા લાંચરૂશ્વતનો સહારો પણ લે, લાંચિયા સરકારી કર્મચારીઓને દિલથી ધિક્કારે, અંધારામાં આંખો ફોડીને કામ કરતી મજૂરણોમાટે ભારોભાર અનુકંપા પણ રાખે અને જુગારીમોત્રો સાથે શરાબની મહેફિલ પણ માણે તેવી અકળ માનસીકતાઓ વાર્તાને રસદાર બનાવી રાખે છે. 
iii. “DAY TWO (AFTERNOON): LIGHTHOUSE HILL”/ ' બીજો દિવસ (બપોર): દીવાદાંડી ટેકરી' એ એક રીઢા દલિત પુસ્તક વિક્રેતા, ઝેરોક્ષ,ની વાત છે જે પાઠય્પુસ્તક કે ગાઈડ કે પ્રવેશ-પરીક્ષાઓની માર્ગદર્શિકાઓથી માંડીને રાજકીય સાહિત્યનાં પુસ્તકોની બિનકાયયદેસરની નકલ વેચાવાની દુકાન દીવાદાંડીમાં જ માંડતો હોય છે.પ્રકાશકોના ઉચ્ચ વર્ણના વકીલની ફરિયાદોને આધારે  છાસવારે ભોગવવી પડતી હવાલાતની હવા પણ, એના બાપે જીંદગીભર ઊપાડેલ મેલાંની વેઠ કરતાં તો, તેને ઓછી આકરી લાગે છે. 'સેતાનીક વર્સ'/ The Satanic Verses,ની નકલ વેચતાં ભોગવવી પડેલ અટકાયત દરમયાન પોલિસની મારથી તેના પગ ભાંગી જાય છે, પણ 'ઝેરોક્ષ'કરેલી ચોપડીઓ વેચવાનો નિર્ધાર નથી ભાંગતો.
iv. “DAY TWO (CONTINUED) OUR SCHOOL” / ' બીજો દિવસ (ચાલુ): અમારી શાળા'માં આપણને લેખકની શૈલિનો પરિચય,બ્રાહ્મણ બાપ અને નીચી હોયકા જાતની માના દીકરા ,શંકર,ના પાત્રમાં થાય છે. ચારે બાજૂથી મળેલી અસ્વિકૃતિના ગુસ્સાથી ધુંધવાયેલો શંકર પોતાની કૉલેજમાં હાથથી બનાવેલો અડઘણ બોંબ ફોડીને પોતાના ગુસ્સને વાચા તો આપે છે, પણ તેને તેના ઇરાદામાં સફળતા મળે છે ખરી? 
v.“ DAY TWO (EVENING): LIGHTHOUSE HILL (THE BASE OF THE HILL)” / ' બીજો દિવસ (સાંજ): દીવાદાંડી ટેકરી [ટેકરીનું તળીયું] પણ સેંન્ટ અલ્ફૉસૉ જુનિયર બોય'સ સ્કૂલના સહાયક હેડમાસ્ટર મી. ડી'મેલોનાં 'કડકાઇ વગર છોકરાંવ સીધાં ન રહે' માન્યતાની હાસ્યસભર વાત છે.
vi. “DAY THREE: ANGEL TALKIES” / 'ત્રીજો દિવસઃ ઍન્જલ ટૉકિઝ' એક પ્રમાણિક પત્રકાર ગુરૂરાજ કામથને તેના લાંચરૂશ્વત, રમખાણો અને ગુન્હાખોરીને ખુલ્લ પાડવાના પ્રયાસોને 'ચુપ' કરી દેવાની રમતોની વાત છે. જો કે કામથ તો તેનાં, ''સત્યમેવ જયતે'ની શમા પ્રજ્વળીત રાખેલ, ભવિષ્યનાં સ્વપ્ન સમાં નિશાચર, અખબારની કલ્પનામાં વિચરી રહે છે.
vii. “DAY FOUR: THE COOL-WATER WELL JUNCTION” / ચોથો દિવસ: ઠંડા-પાણીના કુવાનો ચોક એ ગાંજાના બંધાણી, બાંધકામની સાઇટ પર કામ કરતા સુથાર, રામચંદ્રન, અને તેની નાની દીકરી - પોતાનાથી નાનાભાઇની મોટી બહેન - સૌમ્યા,ની કથા છે. પોતાનાં છોકરાં ભીખ માગીને પણ પોતાની લતને પોષે છે તે બાપને ગમે છે. પરંતુ એ જ દીકરીની, તેની પાસે બીજા કોઇ પૈસા નથી તેવી, કાકલુદીઓ પર એ જ બાપ વિશ્વાસ નથી કરતો.
viii. “DAY FIVE: VALENCIA (TO THE FIRST CROSSROAD)” / " પાંચમો દિવસ: વૅલેન્સીઆ (પહેલા ચાર રસ્તા ભણી)એ અગિયાર ભાંડરૂઓમાંની નવ બેનો પૈકી આઠમી દીકરી હોવાને કારણે બાપ પાસે પરણાવવાના પૈસા ન હોવાથી, કુંવારી રહી ગયેલી, ઢળતી ઉંમરની, બ્રાહ્મણ સ્ત્રી,જયમ્મા,ના એક ક્રિશ્ચિયન વકીલ ગ્રૂહસ્થને ઘરે રસોયણ તરીકેના, અનુભવની વાત છે.જીંદગીમાં કાયમ પ્રમાણિકતાથી જીવેલ જયમ્મા દરેક ઘરે રસોયણ તરીકે ખાલી હાથે આવે છે અને ખાલી હાથે બીજે જતી રહી છે, પરંતુ વકીલ હવે બેંગ્લોર સ્થળાંતર કરી જવાના હોવાથી, પોતાનાં કપડાંનું એક પોટલું લઇને નીકળી પડેલી જયમ્મા, પહેલી વાર ઘરના છોકરાનો દડો સાથે લઇ લે છે. તે 'ગુના'ને કારણે ગુંચવાઇ ગયેલી જયમ્મા, એમ માનીને સંતોષ લે છે કે, આ ગુનાની સજા તરીકે તેણે આવતા જન્મમાં ક્રિશ્ચિયન તરીકે અવતાર લેવો પડશે! 
ix. “DAY FIVE (EVENING): THE CATHEDRAL OF OUR LADY OF VALENCIA / પાંચમો દિવસ (સાંજ): આપણી લેડી ઑફ વૅલેન્સીઆનું દેવળનો નાયક જ્યોર્જ ડી'સૉઝા બાંધકામની સાઈટ પરથી છૂટા કરવાને કારણે, મચ્છર મારવા માટૅ ડીડીટી છાંટતા દહાડિયામાંથી, જેનો વર દુબઇ જઇ વસ્યો છે તેવી, શ્રીમતી ગૉમ્સના ડ્રાઇવરસુધીની કક્ષાએ પહોંચી જાય છે. નોકરીની વણકહ્યી શરતો પૂરી કરતો રહેતો હતો ત્યાં સુધી, પોતાની અપરિણીત બેનને પણ એ ઘરમાં જ રસોયણની નોકરી અપાવી શકવા જેટલો ભરોસાપાત્ર નોકર, પોતાની નજીવા પ્રલોભનથી લક્ષ્મણરેખા ઓળંગવાની ભૂલ કરીને રાતોરાત, પોતાની બહેન સાથે, દેવળમાં રહેવાની સ્થિતિમાં પહોંચી જાય છે.
x. “DAY SIX: THE SULTAN’S BATTERY” / ‘દિવસ છઠ્ઠોઃ સુલતાનની બેટરીએક કહેવડાવતા જાતીયવિજ્ઞાનવિદ, રત્નાકર શેટ્ટી,નાં જીવનની કરૂણ વાસ્તવિકતાનો ચિતાર છે. ખાંડની ટીકડીઓને, જાતીય રોગના રામબાણ ઇલાજ તરીકે, વેચીને પોતાની ચાર દિકરીઓના લગ્નનો વેંત કરી રહેલા રત્નાકરની સમક્ષ તેની મોટી દીકરી માટેનો મુરતિયો, ફટાકડાના વેપારીનો દીકરો, જ એક એવો કોયડો બનીને આવી ઉભે છે કે તેના મનમાં સવાલ થઇ આવે છે - આ છોકરાને આ રોગ સામે લડવામાં રત્નાકર જ મદદ કરે તેવું કોણે અને શા માટે નક્કી કર્યું.
xi. “DAY SIX (EVENING): BAJPE / દિવસ છ્ઠ્ઠો (સાંજ) : બાજપેપણ કરૂણ વાત છે જેમાં, જેને બાળક નથી એવું એક દંપતિ,  ગિરીધર રાવ અને કામિનિ, તે સમાજવાદીઓની સંગતમાં પોતના ગમને ભૂલવા પ્રયત્ન કરે છે. તેની સાથે ઔદ્યોગિકી શહેરીકરણને લીધે બાજપેની વનરાજીનું નિકંદન કાઢીને ત્યાં સરદાર પટેલ સ્ટેડીયમની, જાહેર જનતાને લાભાર્થે, આકાર લેતી પરિયોજના કથાને વધુ સાંપ્રત બનાવવામાં મદદ કરે છે.
xii. “DAY SEVEN: SALT MARKET VILLAGE / દિવસ સાતમો: સૉલ્ટ માર્કેટ ગામની વાત ના કેન્દ્રસ્થાને સામ્યવાદી કૉમરૅડ થિમ્મા અને તેનો શિષ્ય મુરલી છે. લેખકે માર્ક્સ-માઓવાદીઓ દ્વારા ગામડાંની ગરીબ પ્રજાનું થતું અહિત પણ સાથે સાથે વળી લીધું છે.
સામાન્ય રીતે અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો  તળપદી અનુભવોને અંગ્રેજી માતૃભાષી વર્ગને ઉદ્દેશીને લખાઇ હોય તેવી શૈલિમાં અંગ્રેજીનો પ્રયોગ કરતાં જણાતાં હોય છે, તેથી તેઓ ને બુકર વિગેરે ઇનામકરામ તો મળી રહે છે પરંતુ  તેમાંથી આપણને ભારતીય સમાજની અસલ કથા વાંચ્યાનો એટલો, અને એવો, અહેસાસ નથી થતો, જેટલો, અને જેવો, કોઇપણ 'દેશી' ભાષામાં લખાયેળી કથા વાંચીને થતો હોય છે..અરવિંદ અડીગાનું અંગ્રેજી, ભારતીય લઢણવાળું, સ્વાભાવિક બની રહ્યું છે.  પુસ્તકને માત્ર વાંચવાલાયકમાંથી, માણવાલાયક કક્ષાએ લઇ જવામાં, તેમ જ ભારતીય પૃષ્ઠભુમિનો માત્ર ઉપયોગ કરી લેવાને બદલે ભારતીય સામાજિક જીવનની વાત તરીકે જાળવી રાખવામાં આ તળપદી અંગ્રજીનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે તેવું આ લેખના લેખકનું માનવું છે.

Saturday, June 30, 2012

શા માટે હું અનુવાદ કરૂ છું /// Why I translate

TED Blog | Video: Why I translate

ઇન્ટરનૅટના ગુજરાતી ભાષાના સહમુલાકાતીઓને આ વિડિયો દ્વારા તેમને જે પસંદ પડે તે ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ કરવાનો આ સાંભળી / જોઇને પાનો ચડે તેવી અભ્યર્થના.
ગુજરાતી ભાષાની આવનારી પેઢીઓમાટે ગુજરાતી ભાષા અને સાહિત્ય અને જીવનશૈલિને ડીજીટ્લ સ્વરૂપે પહોંચાડવામાં આવા અનુવાદ ઉદ્દીપકની ભૂમિકા ભજવી શકે.

Wednesday, March 28, 2012

નાસા એ પૃથ્વી જેવડો જ ગ્રહ રજૂ કર્યો.

આધુનિક અવકાશ વિજ્ઞાનમાટે પૃથ્વી જેવો, તેના જેમ જીવન સૃષ્ટિને ટકાવી શકે તેવું વાતાવરણ ધરાવતા, ગ્રહની શોધ એ એક ખાસ પડકાર રહેલ છે.

૨૨ માર્ચ,૨૦૧૨નાં વૉશિંગ્ટન પૉસ્ટમાં આ વિષય પર એક રસપ્રદ વીડીયો સમાચાર પ્રસિધ્ધ થયેલ છે.


http://www.washingtonpost.com/national/health-science/nasa-new-planet-just-about-right-for-life/2011/12/06/gIQACD44YO_video.html


આ શોધ એ વૈજ્ઞાનિકો માટે જેટલો વ્યાવસાયિક પડકાર છે, તેટલો જ કુદરતી સંસાધનોપર કાબુ દ્વારા સમગ્ર વિશ્વ પર રાજ કરવાની હોડમાં ઉતરેલા દેશોમાટે રાજકીય વ્યૂહાતમક પડકાર પણ છે.આ સંદર્ભમાં આ વિષય પર એક વિચારપ્રેરક લેખ Strategy + Businessના ૨૬ માર્ચ,૨૦૧૨ના એક લેખ પણ આજે વાંચવાનો સંયોગ થયો. એ લેખ વિશે અહીં પૉસ્ટ બનાવીને લખેલ છે.

Tuesday, March 13, 2012

આજ અને અહીં જીવવાનાં પાંચ કારણો


૧. દરેક નવાદિવસને તેનું પોતાનું એક બળ હોય છે.તેને સારીરીતે વીતાવવાથી સુંદર ભૂતકાળ અને પ્રફુલ્લ ભવિષ્યકાળનું સર્જન આપોઆપ જ થાય છે.
૨. ચિંતાના સ્થાને સંતોષને મૂકો.આજે આ ક્ષણે હું જીવંત છું,તંદુરસ્ત છું,પ્રેમભર્યા સંઅંધો અને અર્થપૂર્ણ કામ ધરાવું છું તે શું નાની વાત છે?
૩.જાતને જાણો. આપણી ઇચ્છાઓ,સ્વપ્નો,રસક્ષેત્રો સતત પરિવર્તન પામતાં હોય છે. વર્તમાનમાં જીવવાથી પોતાની જાતની વધુ નજીક જઇ શકાય છે.
૪. વર્તમાનમાં જીવવાથી વ્યક્તિ વધુ પ્રેમપૂર્ણ બને છે.જેને ચાહે છે તેનામાટે વધુ સમય અને વધુ ધ્યાન આપવાની ઇચ્છા થાય છે.
૫. આપણને એક જ જિંદગી મળી છે અને તેનો માત્ર એક કાળખંડ - આજની આ માંગરૂપે પૂરેપૂરો આપણા હાથમાં છે. તેને આશીર્વાદરૂપ બનાવવો કે શ્રાપરૂપ તે આપણે વિચારવાનું છે.

વર્તમાન ક્ષણમાં આનંદપૂર્વક અને હૃદયપૂર્વક જીવીએ અને ભવિષ્યને તેની સ્વાભાવિક રીતે આવવા દઇએ." - ગ્રીક તત્વજ્ઞાની

આજે આ ફૂલો ખીલ્યાં છે
મસ્ત સુગંધ ફેલાવતાં
પર્ણોનાં ઝુમખાંપર ઝૂમતાં
તે તારાં છે.
તે તું નહીં સમજે
તો પણ આજનો દિવસ જીવશે,
ને જો સમજશે તો પણ
સાંજ થતાં સુધી મળી જશે માટીમાં.
તું જ લખ નસીબ
તારું અને તારાં ફૂલોનું

- ૧૨ માર્ચ, ૨૦૧૨નાં જન્મભૂમિ પ્રવાસીમાં પ્રસિધ્ધ થયેલ સોનલ પરીખની કૉલમ 'રીફ્લેક્શન'ના                         'જો ભી હૈ, બસ યહી એક પલ હૈ' લેખમાંથી સાભાર

આ લેખનો અંગ્રેજી અનુવાદ અહીં છે.


Saturday, March 10, 2012

“ઇશ્વર પરમાર - બહુઆયામી સર્જક”


મૂળ રેવા,કચ્છના પણ વ્યવસાયને કારણે - જોકે ખરેખર તો એમ કહેવું જોઇએ કે,ભેખ લઇને - દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ કચ્છદ્વારા  iyd.bhuj@gmail.comપ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા, haresh.dholakia@yahoo.com,  દ્વારા સંકલિત આ પુસ્તિકાને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બેમત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા 'ખૂણે બેસીને કામ કરતા સર્જકો'નાં કામનો સીધો સંપર્ક, સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજસાથે, સાધી આપે છે. 
પિતા દામજીભાઇ અને માતા રામકુંવરબેનના પુત્ર ઇશ્વરલાલ પરમારનો જન્મ ૬ ઑક્ટૉબર,૧૯૪૧ના રોજ કચ્છના રેહા ગામમાં થયો હતો. કૌટુંબીક  વ્યવ્સાય ખેતી,નાના પાયાનો વેપાર અને બાંધકામની ઠેકેદારી, પરંતુ ઇશ્વરલાલના ભાગ્યમાં તો ભેખધારી શિક્ષકના થવાના લેખ લખાયા હતા એટલે અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યા બાદ બી.ઍડ.ગુજરાતી અને હિન્દીમાં કર્યું.તે પછીથી તો ઍમ.ઍડ. અને હિન્દીમાં ઍમ.ઍ. પણ કર્યું. તેમનાં પત્ની આરતીબેન પણ શિક્ષક હતાં અને તેમની પુત્રીઓ પણ શિક્ષણ જગતમાં જ છે.
તેમનો ડૉક્ટરૅટ માટેના વિષય - સ્વાતંત્ર્ય પૂર્વેના ૧૯૩૭-૪૭ના દાયકામાં અને સ્વતંત્ર્યેતર સન ૧૯૬૭-૭૭ના દાયકામાં થયેલ ગુજરાતી સામાજીક નવલકથાઓમાંનાં શેક્ષણિક નિર્દેશોની સમીક્ષા -માં આપણે તેમનાં વ્યાવસાયિક વ્યક્તિત્વના શિક્ષણને સમાંતર જ સાહિત્ય સર્જનના અભિગમની ઝલક જોઇએ શકીએ છીએ.
જો કે તે પછીથી શ્રી ઇશ્વરભાઇ જેટલા શિક્ષક રહ્યા છે તેટલા જ સંશોધક અને તેટલા જ સાહિત્ય સર્જક રહ્યા છે. અહીં 'તેટલા'માં ભેખધારી, રચનાત્મક, મૌલિક, પ્રતિબધ્ધ, પ્રયોગાત્મક જેવા વિવિધ આયામને આ ત્રિમુર્તિ પ્રતિભામાં સમાવવા પડશે.
આ પુસ્તિકામાંની તેમની સાથેની પ્રશ્નોત્તરીમાં તેમણે કહ્યું છે તેમ લગભગ દશ વર્ષની ઉંમરે જ 'કોઇ લખાણ નીચે પોતાનું નામ હોય એવી મુગ્ધ મરજી'ના સળવળાટે તેમનામાં સાહિત્ય સર્જનનાં જે બીજ રોપ્યાં તેનો અંકુર 'મીની માસીએ લાડવા ખાધા' એ કવિતાનાં સ્વરૂપે'જનશક્તિ'મા બાળ વિભાગમાં પ્રસિધ્ધ થયો. તે પછીથી પોતાના શિક્ષણ કાળ અને વ્યાવસાયિક કાળ દરમ્યાન સંજોગો અને તકોના વા-વરસાદે આ છોડ વટવૃક્ષ થતો ગયો.
તેમનું સાહિત્ય સર્જન બાળ સાહિત્ય, બાળ ઉછેર સાહિત્ય, બાળ સાહિત્ય સમીક્ષા, શિક્ષણ સાહિત્ય, ચરિત્ર આલેખન,લઘુકથાઓ જેવી અનેક પ્રશાખાઓમાં વિસ્તરેલ છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકોનાં સહસંપાદન, પાઠ્યપુસ્તક સહપરામર્શન અને પ્રશિક્ષણનાં પુસ્તકોમાં સહલેખનની ભૂમિકાઓમાં પણ તેઓનું સહજ યોગદાન રહેલ છે.
બાળસાહિત્ય માટેના તેમના રસ અને અનોખી મૌલિકતા માટે તેઓ "માલીપા વસતા મસ્તીખોર માસુમોને રીઝવવાના રિયાજ"ને કારણભૂત ગણે છે. જે કંઇ લખાયું છે તે "સહજમાં લખાતું ગયું છે" તે કથનમાં તેમની સ્વાભાવિક વિનમ્રતા અને નૈસર્ગીક રચનાત્મકતા છતી થતી રહે છે.બાળવિકાસની સાથે સાથે બાળ ઉછેર સાહિત્ય ક્ષેત્રે પણ તેટલી જ સહજતાથી તેમનું પ્રદાન જોવા મળે છે. તેમની શૈલિ બાળકોને સમજ પડે તેવી રસાળ અને ભાષા સરળછે. ટુંકા પણ અર્થસભર વાક્યો, વિશિષ્ટ ધ્વનિપ્રકારના પ્રયોગોથી તેમનાં બાળસાહિત્યનું મળતું અભિનવ પરિમાણ તેમના શબ્દો - "બાળકને વાર્તા વંચાવવાની હોય, બલ્કે  કહેવાની હોય" -માં જોઇ શકાય છે.તેમનાં બાળસાહિત્યની સૂચિમાં ૧૨ બાળવાર્તા,૭ બાળસાહિત્ય સમીક્ષા અને ૫ બાળ ઉછેરનાં પુસ્તકો જોવા મળે છે.
ડૉ. પરમાર તેમની વ્યાવસાયિક જીવનચર્યાનું દસ્તાવેજીકરણ પણ તેમની સર્જનાત્મકતાને કારણે [કે કદાચ તેની મદદથી]કરી શક્યા છે. શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રોનાં તેમનાં પુસ્તકોમાં તેમની શિક્ષક અને સંશોધક તરીકેની ઓળખ છતી થઇ રહે છે. તેમની ભાષામાં અહીં એક અભ્યસ્ત અધ્યાપકની બોલી સાંભળવા મળે છે, અને તેથી તેમનાં દ્ર્ષ્ટિબિંદુને સમજવામાં ખચકાઇને વાચકને વિરૂધ્ધ વિચારને ચાળે ચડી જવાની તક જ નથી મળતી. તેમના પી.એચડી.માટેના મહાનિબંધપરથી નિતારીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક "સામાજીક નવલકથામાં શિક્ષણ" વિષે શ્રી રઘુવીર ચૌધરીનો પ્રતિભાવ ડૉ. ઇશ્વર પરમારની શિક્ષણ-કેળવણી સાહિત્ય સર્જકતાનું સુરેખ ચિત્રણ કરી આપે છેઃ " આ શોધનિબધ એની શાસ્ત્રીય પધ્ધતિ અને લાઘવતાના ગુણે ધ્યાન ખેંચતો રહેશે. અન્ય શિધકર્તાઓમાટે નમૂનારૂપ લેખાશે.અહીં જે ભાષા શક્તિ છે,એના મૂળમાં માત્ર શિક્ષકની હેસિયત નથી, એક વિવેચકની સજ્જતા છે, જે સાચી સહૃદયતાથી આદ્ર થયેલ છે."
ડૉ. ઇશ્વરભાઇ પરમારે બાળસાહિત્ય અને શિક્ષણ/કેળવણી સાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્ય પ્રકારો પણ એટલું જ વિશદ કામ કરેલું છે. તેમનાં લેખનમાંનો લાઘવ તરફનો ઝોક તેમની લઘુકથાઓને સ્વરૂપે પ્રગટ થયો છે. કદાચ લઘુકથાનાં અતિસુક્ષ્મ ભાવ જગતને વાંચકનાં મન પર અમીટ છાપ રૂપે અંકિત કરવામાટે તેમણે પુરાકલ્પન જેવાં માધ્યમનો તો જરૂર પડ્યે વિવિધ રસાલંકારોનો સુપેરે પ્રયોગ કર્યો છે.'દીઠી અમે દ્વારામતી'માં કૃષ્ણ અને દ્વારકા વિષેનાં કાવ્યોનું સંપાદન હોય કે કૃષ્ણનાં કાર્યક્ષેત્રના પરિચય જેવું 'કરૂણાસાગર દ્વારિકાધીશ' હોય, શ્રી ઇશ્વરભાઇ તેમની અંગત લાગણી કે માન્યતાને પશ્ચાદભૂમાં રાખીને કથા વસ્તુને સુયોગ્ય માર્મિક ચોકસાઇથી આલેખે છે.
આ પુસ્તિકા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનનું સર્વાંગી અને સર્વગ્રાહી મૂલ્યાંકનની દિશામાં 'નાનકડો પ્રયાસ' છે તેવી પ્રકાશકો પાસેનાં શક્ય સાધનોની અને સંપાદકની સ્વસ્વિકૃત મર્યાદાને ધ્યાનમાં લેવા છતાં પુસ્તિકાને અંતે સમાવિષ્ટ ડો. પરમારનાં સાહિત્યસૂચિમાંના પુસ્તકોના પ્રકાશકો,પ્રકાશન વર્ષ,કિંમત જેવી વિગતોની ખોટ વર્તાય છે. જો આ માહિતિ સ્માવાઇ હોત તો, આ પુસ્તિકા ડૉ. પરમારના સંદર્ભ ગ્રંથ ઉપરાંત તેમનાં સાહિત્ય સુધી પહોંચવાનો સેતુ પણ બની રહેત.
તેમનાં ત્રિવિધ સાહિત્યને આટલાં ટુકાણમાં મૂલવીને યુવાન અને નવિદિત વિવેચકો - પૂજા કશ્યપ સોની, pujaks12@yahoo.in ,  (“ડૉ. ઇશ્વરભાઇ પરમારઃ બાળસાહિત્યકાર ), પલ્લવી કે શાહ, plvshah@gmail.com ,(“ડૉ.ઇશ્વર પરમારનાં કેળવણી વિષયક પુસ્તકો )અને મોના લિયા, monabhuj@gmail.com,  (“ડૉ. ઇશ્વર પરમારની અન્ય સાહિત્યકૃતિઓ )- એ ગાગરમાં સાગરને બખુબી સમાવવાનું કઠીન કામ દેખીતી સરળતાથી પાર પાડ્યું છે.
ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમન્ટ જો આ પુસ્તિકાને ઇ-પુસ્તકનું સ્વરૂપ આપીને ડીજીટલ પ્રસાર માધ્યમો દ્વારા પ્રસિધ્ધ કરે તો તેમના આ અને અન્ય પ્રયોગો અને પ્રવૃતિઓને ખુબ જ વ્યાપક અને બહોળો પ્રસાર તેમ જ પ્રચાર મળી શકે.
[ડૉ. ઇશ્વર પરમાર, સિધ્ધનાથ સામે, દ્વારકા ૩૬૧ ૩૩૫ સેલફૉનઃ +૯૪ ૨૭ ૨૮ ૪૭ ૪૨]
["ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક" જાન્યુઆરી ૨૦૧૨ // સંકલનઃ- શ્રી હરેશ ધોળકિયા // પ્રકાશક- ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમૅન્ટ, ૨૩,અમ્બિકા સોસાયટી, હૉસ્પિટલ રૉડ, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧]