Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ

Thursday, February 23, 2012

૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃતિની કળશ પૂર્તિમાં શ્રી મધુ રાયની કૉલમ 'નીલે ગગનકે તલે'ના "દો દિલોં કી દાસ્તાં : મિસ્ટર બી અને ડાક્ટર પી" લેખ પરનો પ્રતિભાવ


ભાઇશ્રી મઘુ રાય 'ગગનવાલા'એ આજે માનવ સ્વભાવની સહુથી મોટી નબળાઇ - લોભ -ને એક વાર ફરીથી ખુલ્લાં આકાશમાં ખુલ્લી કરી આપી.
માનવ લોભની કથાઓ આદમથી શરુ થઇ અને દરેક યુગ યુગામી અવનવાં સ્વરૂપે થતી આવી છે, અનુભવાતી આવી છે અને ભુલાતી આવી છે.
મહાભારતમાં જૂગટૂં - દેશી ભાષામાં જૂગાર- રમવાનો મોહ યુધિષ્ઠીર જેવા સંપુર્ણ સત્યવાદીને પણ લાગી જતો  હોય છે તેમ કહીને તેનાં સર્વવ્યાપી દુષણને ઉઘાડું પાડી લોકોને તેનાથી વિમુખ કરવાનો હેતુ હતો. પણ માનવીની બુધ્ધિ જો અવળો અર્થ ન કાઢે તો માનવ-બુધ્ધિને લ્યાનત ન લાગે? એટલે સત્યનિષ્ઠ લોકોને જુગાર જેવી આવડત હોવી તે તો આર્થિક વિકાસનું મહત્વનું પરીબળ ગણાવાયું!
આ જૂગારનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ તે સટ્ટો. કોઇપણ ચીજવસ્તુની ભવિષ્યમા થનારી ઉપલબ્ધી, તેની માંગ અને તેઓનાં પરિણામે તેના ભાવનો અડસટ્ટો લગાવતાં લગાવતાં સટ્ટાની લત ક્યારે લાગી જાય તે 'પ્રબુધ્ધ' માનવીને ખબર નથી પડતી! [લો, કરો વાત!]
તેમાંય ૨૦મી સદીના મધ્ય બાદ અર્થશાસ્ત્રના અન્ય જ્ઞાનશાખાઓસાથેના વધતા ગયેલા ઘરોબાને કારણે શુધ્ધ એન્જીનીયરીંગ ભણેલાઓ પણ નાણાં સંચાલનના અધિપતીઓ બનતા ગયા, નાણાંના વ્યવહારો બની ગયા ઉપભોગતા ઉત્પાદનો, ચોરે અને ચૌટે શૅર બજારના આટાપાટાની ટીપ્સ ગુંજતી થઇ ગઇ.
આમ પણ જે ગામમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા તો સાંભળ્યા નથી જ, તો અહીં તો તે જંક બૉન્ડમાં રોકાણ કરી ને કચરામાંથી કચરાલાલ કહેવાતાં હૅજ ફંડોનાં હાટડાંઓ ખોલી નાંખીને લોકોને ધોળે દિવસે હથેલીમા ચાંદ - તે પણ બેદાગ, પુનમનો ચાંદ - બતાડવાના વ્યવસાયના મુખ્ય સંચાલકોને લાખો ડૉલરના દરમાયા મળતા થઇ ગયા. આ સંપત્તિ સંચાલન પધ્ધતિ ને પેલી સંચાલન જાળવણીની રસમો શિખવાડીશું તેવાં લોભામણાં વચનોથી આંજી નાખી ને પોતાનો રોટલો શેકવા માટે આમ આદમીને ધુતારા થવાના ફાયદા શીખવવાની શાળા /કૉલૅજો ખોલી દીધી. સફેદ કપડાં પહેરીને કોલસાની દલાલી કરવાથી કપડાં પર દાગ લાગે તે તો કોલસાનો વાંક પણ સાબિત કરી નંખાયો.
માનવીના લોભને સામ્યવાદમાં કે સમાજવાદમાં કે બજારોન્મુખ મૂડીવાદમાં સરખું જ ઉત્તેજન મળતું રહ્યું. કારણકે મોસાળીયા જાનૈયા અને મા પીરસે તેવો ઘાટ હતો ને
ભગવાનને મહાભારતનાં એ પ્રખ્યાત જૂગટાંના ખેલ દરમ્યાન જ આવું બધું થશે તેનો અડસટ્ટો આવી ગયો હશે, એટલે ક્યાં તો તે પણ હવે 'લોભ'ને ધર્મની ગ્લાની નથી ગણતા અથવા તો આ અધર્મ હવે તેમની ક્ષમતાથી પણ પર થઇ ગયેલ ગણતા થઇ ગયા જણાય છે. એટલે જે તો હવે તે પોતે જન્મવાનું નામ નથી લેતા! હજારે માંડ એક અણ્ણા કે પ્રીત ભરારા જેવા કાળા માથાના માનવી ને આઠ આઠ કોઠાના ચક્રવ્યૂહ ભેદવા આગળ કરી દે છે. "તમે જાણો અને તમારૂં કામ જાણો, મને વૈકુંઠમાં હેરાન કરવાનું બંધ કરો" તેવાં પાટીયાંઓ લગાવી દીધાં છે.
સાહિર લુધીયાનવીએ 'વો સુબહ કભી તો આયેગી'ની નિરાશામાંથી 'વો સુબહ હમીં સે આયેગી'ની આશા જોઇ હતી, તો આપણે પણ તે આશાને ફળીભૂત થવાની સુબહની રાહ જોઇએ?

Tuesday, February 21, 2012

૧૯ ફેબ્રુઆરી,૨૦૧૧નાં જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીમાંના કેટલાક લેખપરના પ્રતિભાવ


'લાફાલાફીંગલાલિત્યલહરી'ની [તીર કીટ ધા - શ્રી સ્નેહલ ન.મુઝુમદાર] મજા માણતાં વિચાર આવ્યો કે શું તમાચો એ TheMacho દ્વારા થયેલ હાથના બળપ્રયોગ માટે વપરાયેલ ભાવવાચક નામ છે? તો તે જ રીતે જ્યારે કોઇ લલના એ બળપ્રયોગ કરે તો તેને 'તમાચી' કહેવાય?
સ્વામી વિવેકાનંદે અપેક્ષ્યા છે તેમાંના ન હોઇએ તો લાફાને 'લાફી'(હસી)ને માણવો પડે?
થપ દઇને પડે તે થપ્પડ? તે જ રીતે થપાટ શબ્દ સાંભળતાંની સાથે જ તેના પડઘમ પરની થાપ જેવા નાદ ના પડઘાઓ પડઘાયા નથી કરતા?
આમ જૂઓ તો વીજળીના વેગે આવીને પડે તે તમાચો, વેગ ઓછો પણ બળ વધારે તે થપ્પડ અને પ્રેમથી ગાલ પસરાવે તે ટપલી? અને મશ્કરીના ભાવથી વિરોધ પ્રદર્શનમાટે ટપલીદાવથી વધારે અસરકારક સજા સાંભળી છે?
        * * * *
ડૉ. અજય કોઠારીએ પણ એક પ્રગલ્ભ ડૉકટરને છાજે તેવી ગંભીરતાથી જાણે 'વર્ચ્યુઅલ' - સમજો તો  રામબાણ - તેવાઓને તેમણે ઉદાહરણ પ્રસંગોમાં વાપર્યા તે, તમાચા ખાનાર ગાલ છૂપાવતાં જરૂર ફરે. પરંતુ, એ ઉદાહરણોમાંનાં પાત્રો તો આવા કંઇ કેટલાય તમાચાઓ અને તેની પૂર્વજ પેઢીઓને પચાવી ને બેઠેલા ખરાને, એટલે તેઓ તો તમા(રે)ચા પીએ અને કરે ધનાધન! લપડાક વ્હાલની હોય તેમ ઠપકાની કે નિષ્ફળતાની સ્વ-શેહની હોય, તો તે ખાધા પછીથી તેમાંથી શીખેલાઓએ તો સફળતાનાં શિખરો સર કરે, બાકીના બધા તો સમયની લપડાકો ખાઇ ખાઇને અશ્મિભૂત થવાને જ લાયક.  [દે ધનાધન -પોલું છે તે બોલ્યું - ડૉ. અજય કોઠારી]
* * * * *
તારીખીયાંના દટ્ટાનાં દરરોજનાં પાનાંનો એક બહુ જ અસ્રકારક ઉપયોગ અમે અમારાં એક સંબંધી કુટુંબમાં જોયો છે. ઘરનાં એક વડીલ માવતર તેની પાછળ તે દિવસની તેમને ત્યાં થયેલ ઘટના ટપકાવી રાખે. અઠવાડીયાંના અંતે જ્યારે તેઓ પોતાનાં કુટુંબીજનોને પૉસ્ટ્કાર્ડ લખવા બેસે ત્યારે તે દિવસવારની થપ્પી લઇને બેસે અને તેમાંથી જોઇ જોઇને [અચૂક] વિગતો લાગતાં વળગતાં સંબંધીના કાર્ડમાં ઠલવાઇ જાય.
કૅલૅન્ડરનું[તળપદી] સકક્ષ તારીખીયું તે તવારીખીયુંનો અપભંશ હશે? પણ તવારીખ તો રોજ બરોજ થતી ઘટનાઓનાં વલણ [trend]નું દસ્તાવેજીકરણ,દરરોજ ની ઘટનાઓની નોંધ તો રોજનીશી [diary]માં રહે ને? એટલે તવારીખ પરથી તારીખીયું ઉતરી આવવા માટે શું કારણ હશે? [મોસમ આયે .. મોસમ જાયે.. -- કૉફી હાઉસ - શ્રી અનિલ જોષી]
* * * * *
ભાઇશ્રી શ્રીકાંત ગૌતમની કોલમ 'રંગરાગ'નો 'નદી, નાવ અને નાદલેખ વાંચતાં જ 'આવારા'માં 'દમ ભર ઇધર જો મુંહ ફેરે'નું ચિત્રીકરણ યાદ આવી જાય.

નરગીસની રાજ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા, રાજનું ચોર હોવાનું સભાનપણું [મૈં ચોર હું કામ હૈ ચોરી] અને ગીતનું માધુર્ય આપણને ચિત્રીકરણમાં સૅટ પર શુટીંગ કર્યું હોવાની દેખાઇ આવતી રાજ કપુરનાં નિર્દેશનની ક્વચિત નબળાઇ નઝર અંદાઝ કરવા પ્રેરે છે.

આપના આની પહેલાંના બે અઠવાડીયાંના લેખ પણ વિષયની 'નવી જ ભાત'ની પસંદ અને તેને અનુરૂપ લેખની સામગ્રીની દ્ર્ષ્ટિએ બહુ જ પસંદ પડ્યા હતા.

Monday, February 20, 2012

શીતાગારમાંથી પાછો ફરેલો ગુપ્તચર - એકી બેઠકે વાંચવી પડે, અનેક વાર વાંચવાનું મન થાય તેવી, જાસુસી નવલકથા


બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીત યુધ્ધમાં વહેંચાઇ ગયા હતા.આર્થીક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજામાટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. યુરૉપની અન્ય ભાષાઓનો આપણને ખાસ પરિચય નથી એટલે તે અંગે તો કહી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ  એ એક મહત્વનો અને અતિ લોક્પ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો.

ઇયાન ફ્લૅમિંગ અને તેમના દિલફેંક, જાંબાઝ નાયક જૅમ્સ બૉન્ડ અને તેની ડૉ.નૉ,ફ્રૉમ રશિયા વિથ લવ અને ગૉલ્ડફીંગર જેવી નવલક્થાઓનું ઘેલું તો તે સમયના નીકીતા ક્રુશ્ચેવ અને ફીડલ ક્રાસ્ટો સાથે આવા જ રોમાંચક કાવાદાવાના ખુદ સર્જક જ્હૉન એફ કૅનૅડીને પણ લાગેલું. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેનાપરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મેં ૧૯૭૦ની આસપાસ પહેલી વાર  અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા The Spy Who Came in from The Cold ની.

આ નવલકથાના લેખક જ્હૉન લ કૅરની ૧૯૬૩માં પ્રસિધ્ધ થયેલી આ ત્રીજી નવલકથા છે. તેમના જ શબ્દોમાં તે એટલી લોકપ્રિય થઇ કે તે પછીથી તેમનું કોઇ અંગત જીવન જ નહોતું રહ્યુ.પહેલી વાર પ્રસિધ્ધ થયા પછી તો તેની કંઇ કેટલીય આવૃતિઓ થઇ ચુકી છે. ગુગલ પર શોધ ક્લિક કરીએ તો   62,200,000 પરિણામો 0.27 સેકંડમાં અંકિત થઇ જાય ને લેખકના નામથી શોધ કરીએ તો   0.17  સેકંડમાં  7,080,000 પરિણામો  અંકિત થશે.

વાર્તાનું કથાનક શીતયુધ્ધનાં પ્રતિકસમી બર્લિનની દિવાલથી શરૂ થાય છે અને ત્યાં આવીને જ પૂરૂં થાય છે.કથાવસ્તુનું હાર્દ શીતયુધ્ધના સમયની ગુપ્તચર સંસ્થાઓની ઘંટીનાં પડની વચ્ચે દળાતી માનવીય લાગણીઓ અને તેમના ઠંડા કલેજે ખેલાતા આટાપાટાઓના મીંઢા દ્રષ્ટિકોણ છે.૧૯૮૯ની આ પુસ્તકની એક આવૃતિની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે કે વાર્તાની પ્રેરણા માટૅ બર્લિનની દિવાલ- પાગલ થઇ ગયેલ વિચારધારાની પાશવતાનું મૂર્ત પ્રતિક - આદર્શ મંચ બની રહી હતી.બર્લિનની દિવાલે જાણે ગુપ્તચર્ય ઉદ્યોગને વધારે ગૂઢ, વધારે ખતરનાક, વધારે સંશયાત્મક અને હોય તેના કરતાં વધારે અગત્ય ધરાવવાનો દેખાવ કરતો કરી નાખ્યો હતો. તે ઉપરાંત આ નવલકથા લખવામાટે તે સમયની તેમના વ્યાવસાયિક અને અંગત જીવનના ખાલીપા અને ગુંચવાડાને પણ તેઓ કારણભૂત જણાવે છે.વાર્તાનાં મુખ્ય પાત્ર, ઍલૅક લીમસ,નાં પત્રાલેખનમાં આ લાગણીઓ સચોટપણે તાદ્રશ્ય થતી જોઇ શકાય છે.ઇતિહાસના એક ઘૃણાસ્પદ સમયકાળ અને તેની અંદર છટપટાતી લાગણીઓનું સંયોજન શિર્ષકમાં જે The Cold  છે તેને યથાર્થ ઠેરવે છે.

બ્રીટીશ ઇન્ટૅલીજન્સના બર્લિનકાર્યક્ષેત્રના વડા ઍલૅક લિમસની ચૅકપૉઇન્ટ ચાર્લીપર તેના પૂર્વ જર્મનીમાંના મહત્વના જાસુસના પશ્ચિમ તરફ ભાગી આવવાના પ્રયત્નના ઉચાટ ભર્યા ઇંતેજારથી વાર્તાની શરૂઆત થાય છે. એ ઘડીથી જ વાંચક પણ લેખકની નાનાં રહસ્યોની સીધી અને સરળ જણાતી ગુંથણીમાં લીન થતો જાય છે. આ ઑપરેશનની સરિયામ નિષ્ફળતાને અંજામ આપવા માટેની સંસ્થાનાં વડાંમથક [ઇઆન ફ્લૅમિંગનું MI5 , તે અહીં The Circus અને ફ્લૅમિંગનો વડો M તે આમનો The Control]માં The Controlના ઉંદર બિલાડીના ઠંડા કલેજાનાં દાવપેચમાંનું એક કથન ખૂબ જ માર્મિક છેઃ " આપણે સહાનુભૂતિ વગર જીવવાનું તો છે જ. જો કે કાયમ તો તે અવસ્થામાં રહેવાય પણ કેમ? માટે દરેકે એક વખત તો શીતાગારમાંથી પાછા ફરવું જ પડે છે."

એ શિતાગાર એટલે લિમસનું દારૂની લત પર ચડી જવું,અત્યંત મુફલીસીમાં દિવસો વીતાવવા, પૂર્વ જર્મનીની ઇન્ટૅલીજન્સના હાથોમાં પકડાઇ જવું અને તેની પ્રેમિકાનો ઠંડે કલેજે ઉપયોગ કરીને કરાતો એવો વિશ્વાસઘાત. કથાનકમાં સમાંતરપણે એવો આંતરપ્રવાહ પણ વહેતો રહે છે જેમાં એક નાટકના સ્વરૂપે જે ભજવવાનું દેખાડવાનુ હતું તે દરેક તબક્કે તે લિમસનું સાચું જીવન થઇ રહે છે. બ્રીટીશ ઇંન્ટૅલીજન્સની ત્રીપાંખીયા દાવપેચની દારૂણ દાસ્તાન વાંચકનાં દિલોદીમાગને પહેલેથી છેલ્લે સુધી જડબેસલાક રીતે જકડી રાખે છે.
નવલકથાનાં કથાનકની સાથે સાથે માનવીય લાગણીઓને લેખકે બખૂબી વણી લીધી છે. પોતાના  વિચારોમાં ખોવાયેલ લિમસ      reflex actionથી પોતાની ઝડપથી જઇ રહેલ કારને બીજી કાર સાથે અથડાતાં બચાવી લે છે. તે ઘડી એ હાશકારી અનુભવવાને બદલે તેને એ વિચાર તરત જ ઘેરી વળે છે કે પોતાની આ ભૂલ ને કારણે જન્મી ઉઠેલ પેલી ગાડીના ચાલકની હતપ્રભતાને કારણે તેનો અકસ્માત તો હજૂ પણ પાછળ આવી રહેલી ટ્રકોના ટ્રાફીક સાથે તો થશે જ. તે જ ઘડીએ તેની નજર એ કારના પાછલા કાચમાંથી તેનાં તરફ, આવી રહેલા મોતથી અજાણ, ચાર બાળકો તેના તરફ મસ્તીથી હાથ હલાવી રહ્યાં હતાં તે તરફ જાય છે. તે હવે સાવ પાણી પાણી થઇ જાય છે. તે સમયે તેનાં મનમાં લેખકે આ વિચાર મૂક્યો છેઃમોતનું ફરમાન જેમને માટે થઇ ચૂક્યું છે તેઓ આનંદની અણધારી ઘડીઓને આધીન છે; જેમ શમાપર ન્યોછાવર પરવાનાની કુરબાનીસાથે તેનું પરમસુખ વણાયેલું છે.["Men condemned to death are subject to sudden moments of elation; as if, like moths in the fire, their destruction were coincidental with attainment."]. પોતાના વ્યાવસાયિક સ્વાર્થમાટે કરીને મનુષ્ય તેનાં પ્રાકૃતિક સુલક્ષણોને શા માટે આટલી હદ સુધી દબાવી દઇ શકે એવી લેખકની મનોવ્યથા લિમસ અને તેની આ આટાપાટામાં ભરાઇ પડેલ પ્રેમિકાના સંવાદોમાં વાંચક પણ અનુભવે છે.

દેખીતી રીતે આ નવલકથા બહુ લાંબી નથી.તેમાંનાં ધણા પ્રસંગોને તો ખાસ્સાં ટુંકાણમાં વર્ણાવાયા છે, જેમ કે લિમસનો ત્રણ મહિનાનો કારાવાસ કથાનાં ત્રણ પાનાં જ પૂરો થઇ જાય છે. પરંતુ  લિમસ પર એ ત્રણ મહિનામાં શું વીતી હશે તે નખશીખ સમજવા માટે વાંચકને એ ત્રણ પાનાં પૂરતાં થઇ રહે છે.લેખક ઘટનાઓનું વર્ણન કરતાંની સાથે વાચકના મનને પણ, તેમની વિચારયાત્રાની મનોદશામાં સાથે ખેંચી લીધા પછી, પૂરી સ્વતંત્રતાથી વિહરવા દે છે. જાસુસી નવલકથાઓમાં આ શૈલિ એક નવી જ ભાત પાડે છે. લખાયેલા શબ્દો જેટલી સરળ અને મુદ્દાસરની સીધી ભાષામાં કહેવાયા છે તેટલા જ વિશાળ માનસપટ પર વાચક પણ તેના મનોભાવ જગતમાં સફર કરતો રહે છે.
અને આ જ એક મુખ્ય કારણ છે જેને કારણે આપણે આ પુસ્તક ફરી ફરીને વાંચવા મજબૂર થઇ જઇએ છીએ. આને કારણે દરેક વાચન અનુભવનાં નવાં જ અર્થઘટન ખોળી આપે છે. તો વળી , આપણને એમ પણ અહેસાસ રહ્યા કરે કે વાંચતાં વાંચતાં આપણાથી કંઇક છૂટી ગયું છે. અને ફરીથી જ્યારે વાંચીએ ત્યારે એવું કશુંક જરૂર મળી પણ આવે.

૧૯૬૫માં તો આ કથાનું ફિલ્માંકન પણ થઇ ગયું. બધા જ વિવેચકો એ માર્ટિન રીત્તનાં સિધ્ધ હસ્ત નિર્દેશનમાં રીચર્ડ બર્ટનને તેની અદાકારીની ગહનતાને લિમસનાં પાત્રમાં સ્વાભાવિકતાથી ભળી જવાને બીરદાવી છે. અન્ય કિરદારોનાં પત્રાલેખન, સીનેમેટોગ્રાફી જેવાં સાધનોના અસરકારક પ્રયોગની મદદથી નિર્દેશકે મૂળ કથાનું વાતાવરણ ફિલ્મમાં પણ ધબકતું કરેલ છે. આ ફિલ્મ  ડીવીડી પર ઉપલ્બધ છે, તો વળી યુ ટ્યુબ પર તે બાર ટુકડાઓમાં ચડાવાયેલ પણ છે. તેમાંના પહેલા ટુકડાની કડી અહીં છે. બી બી સી એ તેને શ્રાવ્યપુસ્તક સ્વરૂપે પણ પ્રસિધ્ધ કરેલ છે. 

પુસ્તક પીડીએફ સ્વરૂપમાં મળી રહે  છે.



લેખક વિષેઃ

જ્હૉન લ કૅર એ લેખકનાં મૂળ નામ, ડૅવીડ કૉર્નવૅલ,નું તખલ્લુસ છે. ૧૯૫૦થી '૬૦સુધી તેઓ બ્રીટીશ ઇન્ટૅલીજન્સ સંસ્થામાં જ કામ કરતા હતા. એ દ્રષ્ટિ એ એમની વાર્તાઓમાં વાસ્તવિકતાની છાંટ જોવા મળતી હોય તો તે માત્ર સાંયોગિક જ છ તેવું તેઓ એ પોતે જ નોંધ્યું છે. તેમણે ૨૨ નવલકથાઓ લખી છે. શીત યુધ્ધના અંત પછીથી લખાયેલી તેમની નવલકથાઓમાં તેમણે જાસૂસી સંસ્થાઓ, મોટાં આંતરરાષ્ટ્રિય વ્યાપારી ગૃહો અને રાજકારણની સાંઠગાંઠને આવરી છે.દા.ત. તેમની  Our Kind of Traitor નવલકથા એક ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા કેન્યામાં કરાયેલા ફીલ્ડ ટેસ્ટની દિલધડક કહાની છે.તેમના ઇરાક યુધ્ધ, અમેરીકાની ઇરાન પ્રત્યેની નિતિ, કુખ્યાત નાણાંના આંતરરાષ્ટ્રીય વિનિમય જેવા વિષયો પરના વિચારોને, યુ ટ્યુબપરના આ ચાર ટુકડામાં [http://youtu.be/fva5UxQq1P0 ; http://youtu.be/8DtDqmRMG_w ;      http://youtu.be/FzQkofaALw4 ;  http://youtu.be/yaCQcS4IRGc]  ચડાવાયેલા, તેમના અમેરિકામાં અપાયેલા ઇન્ટરવ્યુમાં સાંભળી શકાશે.

 The Spy Who Came in from The cold એ તેના સમયનું હાડકાં થીજાવી દે તેવું સંવેદનશીલ કથાનક છે, જે આજે લગભગ ૫૦ વર્ષ પછી પણ એક નવલકથા તરીકે સમયની કસોટીએ ખરું ઉતરે છે.