Showing posts with label રખે આપણે ભૂલીએ. Show all posts
Showing posts with label રખે આપણે ભૂલીએ. Show all posts

Sunday, January 15, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૭



દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ
દિલીપ ધોળકિયા [જન્મઃ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ǁ અવસાન: ૨ જાન્યુઆરી, ૨૦૧૧]નું સંગીત વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ધરાવતું હતું એ વાત કહેવાની ભાગ્યેજ જરૂર પડે. તેમની સુદીર્ઘ કારકીર્દીમાં તેમણે ગાયક, સંગીતકાર અને સંગીત અને ધુનની વાદ્યસજ્જાનાં સંકલન જેવા જે પાઠ ભજવ્યા તેમાં તેમની છાપ અમીટ રહી. તેમણે આ બધાં સાથે ક્યાંક ગીત લેખન કે નાનકડી ભૂમિકા ભજવવામાં પણ હાથ અજમાવવામાં હામ ભીડવામાં પાછી પાની નથી કરી.
આજના આપણા અંકમાં આપણે તેમની ગાયક તરીકેની પ્રતિભા વિષે વાત કરીશું.
દિલીપ ધોળકિયાનો ગાયન કળા સાથેનો સંગાથ બહુ નાની ઉમરે જ થઈ ચૂક્યો હતો. બાળક દિલીપ તેમનાં જન્મશહેર જૂનાગઢમાં તેના દાદા સાથે સ્વામીનારાયણ મંદિર જતો અને ત્યાં ગવાતાં ભજન કિર્તનમાં જોડાતો. તેમના પિતા વાંસળી વગાડે અને દાદા ભજન કિર્તન ગાય. બાળક દિલીપ મોકો મળ્યે પખવાજ વગાડવાની તક પણ ઝડપી લેતો. મોટા થતાં તેમણે ખાંસાહેબ અમન અલી ખાનના શિષ્ય પાંડુરંગ આંબેરકર પાસે શાસ્ત્રીય સંગીતની પધ્ધતિસરની તાલીમ પણ લીધી.નોકરી માટે કરીને મુંબઈ આવી પહોંચ્યા પછી તેમનો સંગીતનાં વિશ્વ સાથેનો સંપર્ક બની રહ્યો.
તેમને ઑલ ઈન્ડિયા રેડીયોમાં ગાયક તરીકે મળેલી તકને કારણે તેઓ ખેમચંદ પ્રકાશના સંપર્કમાં આવ્યા, અને તેમને કે એક સાયગલ સાથે 'ભંવરા (૧૯૪૪)માં 'ઠુકરા રહી હૈ દુનિયા હમ હૈ કે સો રહેં હૈ માં સમૂહ ગાન માટે (@૨.૨૪) મોકો મળ્યો.ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલનાં સંગીત નિદર્શનમાં તેમણે 'કિસ્મતવાલા' (૧૯૪૪) 'ગોરી ચલો ના સીના તાનકે" અને "દેખો હમસે ન આંખે લડાયા કરો' જેવાં રમતિયાળ ગીતો ગાયાં. આમ દિલીપ ધોળકિયાની સંગીત કારકીર્દીમાં કિસ્મત મહેરબાન બને એવા સંજોગો થતા હોય તેમ દેખાવા લાગ્યું. ૧૯૪૬માં તેમણે સી. રામચંદ્રના નિદર્શનમાં 'લાજ'માટે 'દુખકી ઈસ નગરીમેં બાબા કોઈ ન પૂછે બાત' ગાયું. ૧૯૪૭માં 'જુગનુ' માટે ફિરોઝ નિઝામીએ તે સમયની ડામાડોલ પરિસ્થિતિમાં જાલંધરમાં ફસાઈ પડેલા મોહમ્મદ રફીની જગ્યાએ દિલીપ ધોળકિયા સાથે 'યહાં બદલા વફા કા બેવફાઇ કે સીવા ક્યા હૈ' માટે રીહર્સલ પણ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ વાણિજ્યિક સફળતાનો કળશ વિધાતાએ મોહમ્મદ રફી પર ઢોળવાનું નક્કી કર્યું હશે, એટલે રફી સમયસર પહોંચી આવ્યા અને એ ગીતે રફીનો સીતારો ચમાવવામાં અદ્‍ભૂત ફાળો નોંધાવ્યો.
એ અરસામાં દિલીપ ધોળકિયા એ સમયે એચ એમ વી સ્ટુડિયોમાં કામ કરતા સ્નેહલ ભાટકર સાથે સંપર્કમાં આવ્યા અને તેમને પોતાના નામે નોંધાયેલી પહેલી સ્વતંત્ર રેકર્ડ માટે ગાવાની અને સંગીત પણ આપવાની તક મળી.એ ગીતો ગુજરાતી સાહિત્યના સિધ્ધહસ્ત કવિ વેણીભાઈ પુરોહિતે લખેલ હતાં. 

                 _____________


                  _________________
૧૯૪૮માં ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં નવા ઉભરી રહેલા સંગીતકાર અવિનાશ વ્યાસે તેમને અમીરબાઈ કર્ણાટકી સાથે 'સતી સોન'માં બે યુગલ ગીતો ગાવા માટે પસંદ કર્યા. આ બે યુગલ ગીતો પૈકીનું શ્રાવણની વાદલડી તૂ જા.. તૂ જા...જા સંદેશો લઈ યુ ટ્યુબ પર સાંભળવા મળે છે.
દિલીપ ધોળકિયાને પહેલી વાણિજ્યિક સફળતા મળી ૧૯૫૦માં. 'દિવાદાંડી'માં અજિત મર્ચંટે તેમના 'તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી' સ્વરમાં રેકર્ડ કર્યું. આપણને સૌને તો સુવિદિત જ છે કે આ ગીત ગુજરાતી સુગમ સંગીતના રંગપટ પર એક અમીટ સીમાચિહ્ન બની રહ્યું. દિલીપભાઇએ પછીથી તેમના મિત્રો સાથે આ ગીતની બે એક પંક્તિઓ આ રીતે ગાઈબતાવી હતી
આ ધુનને બીજા સંગીતકારોએ અજમાવી જોઈ છે, પણ એ ગીતો મૂળ ગીત જેટલાં પ્રસિદ્ધિ અને લોકચાહના ન મેળવી શક્યાં, જેમ કે - ચંદા લોરીયાં સુનાયે હવા ઝૂલના જુલાયે મેરે લાલ કો (નયા સંસાર,૧૯૫૯, ગાયકઃ લતા મંગેશકર,સંગીતકાર ચિત્રગુપ્ત)
આ જ ફિલ્મમાં દિલીપ ધોળકિયાએ રોહિણી રોય સાથે ગાયેલું, બાલમુકુંદ દવે રચિત, યુગલ ગીત સાંભળીએ અને દિલીપભાઇના સ્વરની એક વધારે ખૂબીને માણીએ -
વગડા વચ્ચે તલાવડીને તલાવડીને કોર,

ઉગ્યો વનચંપાનો છોડ

જલ પાનેતર લહેરિયાને કમલીની મલકાય

કે ભમરો ભૂલી ભૂલી ભરમાય.
આટલા સમયમાં કદાચ દિલીપભાઇના મનમાં કંઇક હિસાબ બેસી ગયો હશે કે હિંદી ફિલ્મ જગતની ગાયકોની સ્પર્ધામાં પોતાનું સ્થાન જમાવવામાં મહેનત કરવા કરતાં સંગીતકાર થવા તરફ ધ્યાન આપવા જેવું છે.૧૯૫૨માં પહેલાં એસ એન ત્રિપાઠીના અને પછી જ્યારે ચિત્રગુપ્તે સ્વતંત્રપણે વધારે કામ કરવા માંડ્યું ત્યારે તેમના મદદનીશ તરીકે સંગીતકાર થવા માટેની તકની રાહ જોવા લાગ્યા.
તેમની સંગીતકાર તરીકેની સફર એ એક અલગ લેખનો વિષય છે, જે આપણે ૨૮-૧-૨૦૧૭ના રોજના અંકમાં અલગથી જોઈશું. આજના આ લેખમાં તેમની ગાયક તરીકેની સફરને આગળ ધપાવીશું.
એસ એન ત્રિપાઠી અને ચિત્રગુપ્ત સાથે સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવતાં ભજવતાં જ્યારે જ્યારે દિલીપભાઇને ખુદ ગીત ગાવાની તક મળી ત્યારે તે તક તેમણે ઝડપી લીધી.
દુર ગગન પે ચમકે સીતારે...પાસ હમારે ચમકે ચાંદ હમારે - રામ હનુમાન યુધ્ધ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર એસ એન ત્રિપાઠી - ગીતકાર રમેશ ચંદ્ર પાંડે
એસ એન ત્રિપાઠીની સીગ્નેચર ધુન કહી શકાય એવું ગીત. આ પ્રકારની રચનાઓ માટે એસ એન ત્રિપાઠી પાસે કામ કરવાની અસર ચિત્રગુપ્ત પર અને ક્યાંક ક્યાંક દિલીપભાઇનાં સર્જનો પર પણ અસર જોવા મળે છે. પ્રસ્તુત ગીતમાં ગીતા દત્તની આગવી સ્વરછટાની સાથે સુર મેળવવા માટે દિલીપભાઇએ ખાસ નીચા સુરમાં ગાવાનો સફળ પ્રયોગ કર્યો છે.
આજ અગર મેરી લાજ ગઈ, સમઝ લે તેરી લાજ ગયી - રામ હનુમાન યુધ્ધ - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: રમેશ ચંદ્ર પાંડેય
ફરજ પરસ્ત રાણી મહેલાં રાજાની રાહ જોતામ જોતાં પોતાની લાજની ફિકર ભગવાન પર આજીજીભરી ધમકીના સૂરમાં રજૂ કરે છે તો બીજી બાજૂ રાજા નાવની સહેલગાહમાં ઓજમસ્તીમં મસ્ત છે. એ મસ્તીના ભાવ દિલીપ ધોળકિયાના સ્વરમાંથીફલિત થાય છે.
રુન ઝુન બાજે પૈંજનિયાં - સાક્ષી ગોપાલ (૧૯૫૭)- સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: ભરત વ્યાસ
ગીતની રચના કાઠિયાવાડના ચારણોના પરંપરાગત દુહા શૈલીમાં, ધીમા તાલમાં, થયેલી જોવા મળે છે. દિલીપભાઈની કળાના સંસ્કારોમાં તેમની જન્મભૂમિના રંગ ન ભળ્યા હોય તો જ નવાઈની વાત કહેવાય.
ખનકે કંગના ખન ખન કે, છનકે ઘુંઘરૂ છન છન કે - સૌગંધ (૧૯૬૧) - લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતમાં દિલીપ ધોળકિયા અને પ્રેમ ધવનનો સાથ
ફિલ્મોમાં દિલીપભાઇએ પોતાનાં સંગીતમાં ગીત ગાવાનું જવલ્લે જ પસંદ કર્યું છે. પ્રસ્તુત ગીત મુખ્યત્તવે તો લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું એકદમ જોશભર્યું નૃત્ય યુગલગીત છે, જેમાં એક સાવ અભિનવ પ્રયોગ સ્વરૂપે સંગીતકાર (દિલીપ ધોળકિયા) જ નહીં પણ ગીતકાર (પ્રેમ ધવન) પણ @૨.૨૨થી ૨.૪૦ના એક નાનકડા ટુકડામાંમાં સંગાથ કરે છે.
અર્ધી રાતલડીએ રે મને જગાડી - મેના ગુર્જરી (૧૯૭૫) - ઉષા મંગેશકર સાથે
સામાન્યપણે પોતાનાં સંગીત નીદર્શનમાં ગીત ગાવાનું ઓછું પસંદ કરતા દિલીપ ધોળકિયાએ પોતે ગાવાનું તો નક્કી કર્યું જ છે, પણ સાથે ઉષા મંગેશકરનો સ્વર લઇને નિર્માતાનાં બજેટનું સંતુલન પણ કર્યું હોય તેમ લાગે છે.જોકે આપણે તો સંબંધ છે તેમની ગાયન શૈલીની વિવિધતા માણવા સાથે, જે બહુ સુપેરે બર આવે છે.
એમ્બેડ કરવાનું વર્જિત કરેલ હોવાથી ગીત સાંભળવા માટે આ લિંક ક્લિક  કરશો. : https://youtu.be/VcYxyjQ6kgM
૧૯૪૮માં દિલીપભાઇએ ગાયેલાં ગૈર ફિલ્મી ગીતો સાંભળ્યા પછી તેમની કારકીર્દીના (લગભગ) અંત ભાગમાં તેમણે ફરી એક વાર તેમના ખુદનાં સંગીતબધા કરેલ ગીતો તેમણે પોતાના સ્વરમાં Various Gujarati Non Film Songs આલ્બમમાં રેકર્ડ કર્યાં. તેમાંનાં એક ગીતનું આચમન કરીએ -
તેં પૂછ્યો પ્રેમનો મર્મ ને હું દૈ બેઠો આલીંગન
દિલીપભાઈની સ્વામીનારાયણ મંદિરની બાળપણની મુલાકાતોની યાદ તાજી કરાવે એવું એક ભજન
લાગી રે મોહે નૈન નજરીયા ...
મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાથે આપણો દરેક અંક સમાપ્ત કરવાની આપણી પરંપરા ચાલુ રાખતાં આપણે દિલીપ ધોળકિયાએ સ્વર બધ્ધ કરેલ મોહમ્મદ રફીનાં સ્વરનાં બે ગીતો સાંભળીશું.
પહેલું છે ભાસ્કર વોરાનું લખેલું, સત્યવાન સાવિત્રી(૧૯૬૩)નું  ગીત, જે મોહમ્મદ રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન મેળવવાનું હકદાર બની શકે એ કક્ષાનું રચાયું છે –
મીઠડી નજરૂં વાગી, એ ઝૂકી ઝૂકી શરમાય

મલકી હૈયું નચવી જાય માંયલી ભરમું ભાંગી
બીજું ગીત બરકત વિરાણી 'બેફામ'ની ગૈર ફિલ્મી રચના છે 
મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે,

વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે.


દિલીપ ધોળકિયાનાં સંગીત નિદેર્શક તરીકેનાં પાસાંનો પરિચય ૨૮-૧-૨૦૧૭ના લેખમાં કરીશું.


નોંધઃ તેમના ખજાનામાંથી 'ભીત ફાડીને પીપળો' અને 'આધા તેલ ઔર આધા પાની' આપણા માટે ખોળી આપવા માટે ભાઈશ્રી બીરેન કોઠારીનાં સૌજન્યની હાર્દિક સાભારસહ નોંધ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Tuesday, August 20, 2013

અવિનાશ વ્યાસનાં હિંદી ફિલ્મ ગીતો




તેમનાં નામને અનુરૂપ, ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે ૧૨૦૦૦ જેટલાં ગીતોથી, અવિનાશ વ્યાસ (૧૯૧૨ - ૧૯૮૪) તેમની અવિનાશી છાપ મૂકતા ગયા છે. ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મોનાં ૧૨૦૦ જેટલાં ગીતોના પ્રમાણમાં ૬૨ હિંદી ફિલ્મોનાં ૫૦૦થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર જણાય. હિંદી ફિલ્મ જગતના ખાસ્સા સફળ સંગીતકારો, ખય્યામ (આશરે ૪૨ ફિલ્મ), મદન મોહન (આશરે ૯૫ ફિલ્મ), રોશન (૫૭ ફિલ્મ), સલિલ ચૌધરી (૭૦ ફિલ્મ)નાં પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિંદી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં, કે કાર્યકાળ (૧૯૪૩થી ૧૯૮૪-૮૫)ની દ્રષ્ટિએ, નગણ્ય ગણાય એટલું નથી, તેમ છતાં, માત્ર તેમનાં પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યાવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાય છે.

અવિનાશભાઇને તો ક્રિકેટર થવું હતું, પણ નિયતી તેમને સંગીતની દુનિયામાં ખેંચી ગઇ. તેમની શરૂઆતની તાલિમ, તેમણે ઉસ્તાદ અલ્લાઉદીન ખાં સાહેબ જેવા ગુરૂ પાસેથી લીધી.કારકીર્દીનો પ્રારંભ એચ.એમ.વી.ના 'યુવા સંગીત' વિભાગથી થયો. ત્યાં તેઓ (ફિલ્મ સંગીતમાં એ. આર. કુરેશી તરીકે જાણીતા) ઉસ્તાદ અલ્લારખા સાહેબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે ૧૯૪૩માં 'મહાસતી અનસૂયા'નું સંગીત આપવાની તક મળી. શરૂઆતનાં વર્ષોમાં તેમને ભાગે કઠણાઇઓ અને અડચણો તો આવી, પણ અવિનાશ વ્યાસે, ન તો વિપરીત સંજોગોમાં કે ન તો સાફલ્ય ઘડીઓમાં, તેમની સર્જનાત્મકતાને કુંઠીત થવા ન દીધી.

ગીતા દત્તના અવાજમાં , પૌરાણિક ફિલ્મોનાં તેમનાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં.

નાગમણી(૧૯૫૭)નાં "આજ નહીં તો કલ" જેવાં અનેક કર્ણપ્રિય, અને બેહદ લોકપ્રિય, ગીતોને કારણે અવિનાશ વ્યાસ-ગીતા દત્તની, એ પ્રકારનાં ગીતોની એક આગવી ઓળખ ઊભી થઇ ચૂકી હતી, પણ અવિનાશભાઇ ગીતા દત્તના કંઠમાં 'આધી રોટી' (૧૯૫૭)નું હાલરડું "સો જા મેરે લાલ" પણ એટલી જ ખૂબીથી રજૂ કરતાં અચકાયા નહોતા.

ગીતા દત્ત સાથેના તેમના સહપ્રવાસના પ્રભાવ હેઠળ તો ગીતા દત્તે તેમની પોતાની બંગાળી ભાષા કરતાં (બંગાળી લિપિમાં લખીને) ગુજરાતીમાં વધારે ગીતો ગાયાં તેમ કહી શકાય. જો કે અવિનાશભાઇના હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધો કેટલા ગાઢ હશે કે હિંદી ફિલ્મ જગતનાં દરેક પાર્શ્વગાયકે ગુજરાતી ગૈર-ફિલ્મી ગીતો પણ તળ ગુજરાતી લઢણમાં ગાયાં.

અવિનાશભાઇને તેમની ફિલ્મો માટે બજૅટ તો હંમેશ મર્યાદીત જ મળતું, કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. "અધિકાર" (૧૯૫૪)માં મીના કપુરના કંઠમાં ગવાયેલું એક ધરતી હૈ એક ગગન; સુધા મલ્હોત્રાનું "અંધેરી નગરી ચૌપટ રાજા"(૧૯૫૫)નું કોઇ દુખિયારી આઇ તેરે દ્વાર; શમશાદ બેગમના કંઠમાં "ભક્ત રાજ"(૧૯૬૦)નો મુજરો તેરે બંગલેકી મૈં મૈના; ઝોહરાબાઇ અંબાલાવાલીના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું રીતુ અનોખી પ્યાર અનોખા; મધુબાલા ઝવેરીના સ્વરમાં "રાજરાણી દમયંતી"(૧૯૫૨)નું ચમક રહે તારે જેવાં વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે.

જ્યારે પણ તક મળી ત્યારે તેમણે આશા ભોસલે સાથે હળવા મુડનાં "અધિકાર" (૧૯૫૪)નાં બી.એ. એમ.એ. બી. એડ જેવાં ગીત કર્યાં તો "મલ્લિકા-એ-આલમ નુરજહાં" (૧૯૫૪)નાં સુન ભી લે પરવરદિગાર, દિલ કી ઇતની સી પુકાર જેવાં દર્દીલાં ગીતોના પ્રયોગ પણ એટલી જ આસાનીથી કર્યા. લતા મંગેશકરના અવાજનો, તેમણે કૈલાશપતિ (૧૯૬૨)નાં જા રે બાદલ જા જેવાં ગીતોમાં પણ એટલો જ સ્વાભાવિક ઉપયોગ કર્યો.

પુરૂષ પાર્શ્વગાયકોમાં કિશોર કુમારની તે સમયની તોફાની ઓળખને "અધિકાર" (૧૯૫૪)નાં તિકડમ.. બાજી... મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી જેવાં ચુલબુલાં ગીતમાં તેટલાં જ પ્રાવીણ્યથી ઉજાગર કરી, તો "અંધેરી નગરી , ચૌપટ રાજા" (૧૯૫૫)ની ગઝલ - દિલ જલ રહા હૈ -માં તલત મહમુદના સ્વરને પણ પૂરતો ન્યાય આપ્યો.

કવિ પ્રદીપજીના સ્વરમાં તેમણે રચેલાં તેરે દ્વાર ખડા ભગવાન (વામન અવતાર - ૧૯૫૫) જેવાં ગીતોપર તો સિક્કા પડતા. તો તે સાથે તેમણે પ્રથમ હરોળના અન્ય ગાયકો, મોહમ્મદ રફી (પોલં પોલ - લક્ષ્મી - ૧૯૫૭), મન્ના ડે (જાને ભી દે કિસ્મતકી નાવ - ભાગ્યવાન - ૧૯૫૩), હેમંત કુમાર (બડે બડે ઢૂંઢે પહાડ - જગદ્‍ગુરૂ શંકરાચાર્ય - ૧૯૫૫) સાથે પણ એટલી જ સ્વાભાવિક હથોટીથી કામ કર્યું છે.

"અધેરી નગરી, ચૌપટ રાજા”નું સુધા મલ્હોત્રા અને તલત મહમુદ નું એક બાર તો મિલ લો ગલે, સુલોચના કદમ અને મુકેશના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું ટીમ ટીમા ટીમ તારે જેવાંતેમનાં યુગલ ગીતો પણ તેમનાં લોકપ્રિય એકલ ગીતો જેટલાં પ્રયોગશીલ, તેટલાં જ સિધ્ધહસ્ત, જણાય છે.

હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે અવિનાશ વ્યાસની કુલ્લ ફિલ્મોની અડધાથી વધારે ફિલ્મોની ૧૯૫૩ થી ૧૯૬૨ ના સમયકાળ દરમ્યાન થઇ. આમ તે સમયગાળો તેમની હિંદી ફિલ્મ જગતમાં વ્યસ્તતાનો ઉત્તમ સમય કહી શકાય.૧૯૫૭માં એક જ વર્ષમાં ૭ ફિલ્મોની શીરમોર કામગીરીની સાથે ૧૯૫૪, ૧૯૫૫ અને ૧૯૫૮માં દરેક વર્ષની પાંચ પાંચ ફિલ્મોએ તેમની કુલ્લ ફિલ્મોનો ત્રીજા ભાગ જેટલો ફાલ આપ્યો. જો કે એ સિવાયનાં વર્ષોમાં પણ તેમની હાજરી નિયમિત સ્વરૂપે તો જોવા મળતી જ રહી.

૧૯૫૩માં આવેલી વી. શાંતારામની અનોખી સામાજીક ફિલ્મ, "તીન બત્તી, ચાર રસ્તા"નાં, ભારતીય પ્રાંતોની અલગ અલગ લાક્ષણિકતા રજૂ કરતાં બહુભાષી ગીતમાં (@૪.૦૦) ગુજરાતી સમાજનાં નિરૂપણ સમો ટુકડો રચવા માટે અવિનાશભાઇને મળેલું આમંત્રણ, તેમના હિંદી ફિલ્મ જગતના પદાર્પણના એક જ દાયકામાં તેમણે ઊભાં કરેલાં તેમનાં આગવાં સ્થાનનો પુરાવો ગણી શકાય.

"મહેંદી રંગ લાગ્યો" (૧૯૬૦)ની ગુજરાતી સિનેમા ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાને કારણે, અવિનાશ વ્યાસનું ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ વધારે ઢળ્યું હશે.ત્યાં પણ ૭૦ના દાયકામાં લોકકથા આધારીત ફિલ્મોના જુવાળમાં અવિનાશ વ્યાસ એક દીવાદાંડી બની રહ્યા. સ્થાનિક લોકગાયકોને ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં લાવવાનો તેમણે બહુ જ સ્તુત્ય પ્રયોગ પણ સુપેરે આદર્યો હતો.

અવિનાશ વ્યાસના જન્મ દિવસ નિમિત્તે અતુલ'સ સૉન્ગ-અ-ડે એ તેમનાં લતા મગેશકરના સ્વરનાં "કૈલાશપતિ (૧૯૬૨)નાં હે પર્વત તુમસે પાર્વતી પૂછ રહી હૈ કરકે બિનતી વડે અંજલિ આપી છે. અવિનાશભાઇની આ જગતપરથી ભૌતિક વિદાયના ૨૦મી ઑગસ્ટના દિવસે, તેમની સંગીત સફરના સમગ્ર કાર્યકાળને આવરી લેતાં તેમનાં મુંબઇ અને અમદાવાદ શહેરો પરનાં ગીતોની આ ગીતોને યાદ કરીએઃ

અમે મુંબઇનાં રહેવાસી - મંગળફેરા (૧૯૪૯) - ગીતા દત્ત, ચુનીલાલ પરદેશી, એ આર ઓઝા

આ મુંબઇ છે, જ્યાં ભૈ કરતાં જાજી બૈ છે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) - મન્ના ડે

અમે અમદાવાદી - સંજય ઓઝા

હું અમદાવાદનો રીક્ષાવાળો - મા બાપ (૧૯૭૭) - કિશોર કુમાર

હું અમદાવાદની નારી - કંકુની કિમત (૧૯૮૩)