Sunday, January 15, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જાન્યુઆરી, ૨૦૧૭



દિલીપ ધોળકિયા: ગાયકીનો અનોખો અંદાજ
દિલીપ ધોળકિયા [જન્મઃ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ǁ અવસાન: ૨ જાન્યુઆરી, ૨૦૧૧]નું સંગીત વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ધરાવતું હતું એ વાત કહેવાની ભાગ્યેજ જરૂર પડે. તેમની સુદીર્ઘ કારકીર્દીમાં તેમણે ગાયક, સંગીતકાર અને સંગીત અને ધુનની વાદ્યસજ્જાનાં સંકલન જેવા જે પાઠ ભજવ્યા તેમાં તેમની છાપ અમીટ રહી. તેમણે આ બધાં સાથે ક્યાંક ગીત લેખન કે નાનકડી ભૂમિકા ભજવવામાં પણ હાથ અજમાવવામાં હામ ભીડવામાં પાછી પાની નથી કરી.
આજના આપણા અંકમાં આપણે તેમની ગાયક તરીકેની પ્રતિભા વિષે વાત કરીશું.
દિલીપ ધોળકિયાનો ગાયન કળા સાથેનો સંગાથ બહુ નાની ઉમરે જ થઈ ચૂક્યો હતો. બાળક દિલીપ તેમનાં જન્મશહેર જૂનાગઢમાં તેના દાદા સાથે સ્વામીનારાયણ મંદિર જતો અને ત્યાં ગવાતાં ભજન કિર્તનમાં જોડાતો. તેમના પિતા વાંસળી વગાડે અને દાદા ભજન કિર્તન ગાય. બાળક દિલીપ મોકો મળ્યે પખવાજ વગાડવાની તક પણ ઝડપી લેતો. મોટા થતાં તેમણે ખાંસાહેબ અમન અલી ખાનના શિષ્ય પાંડુરંગ આંબેરકર પાસે શાસ્ત્રીય સંગીતની પધ્ધતિસરની તાલીમ પણ લીધી.નોકરી માટે કરીને મુંબઈ આવી પહોંચ્યા પછી તેમનો સંગીતનાં વિશ્વ સાથેનો સંપર્ક બની રહ્યો.
તેમને ઑલ ઈન્ડિયા રેડીયોમાં ગાયક તરીકે મળેલી તકને કારણે તેઓ ખેમચંદ પ્રકાશના સંપર્કમાં આવ્યા, અને તેમને કે એક સાયગલ સાથે 'ભંવરા (૧૯૪૪)માં 'ઠુકરા રહી હૈ દુનિયા હમ હૈ કે સો રહેં હૈ માં સમૂહ ગાન માટે (@૨.૨૪) મોકો મળ્યો.ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલનાં સંગીત નિદર્શનમાં તેમણે 'કિસ્મતવાલા' (૧૯૪૪) 'ગોરી ચલો ના સીના તાનકે" અને "દેખો હમસે ન આંખે લડાયા કરો' જેવાં રમતિયાળ ગીતો ગાયાં. આમ દિલીપ ધોળકિયાની સંગીત કારકીર્દીમાં કિસ્મત મહેરબાન બને એવા સંજોગો થતા હોય તેમ દેખાવા લાગ્યું. ૧૯૪૬માં તેમણે સી. રામચંદ્રના નિદર્શનમાં 'લાજ'માટે 'દુખકી ઈસ નગરીમેં બાબા કોઈ ન પૂછે બાત' ગાયું. ૧૯૪૭માં 'જુગનુ' માટે ફિરોઝ નિઝામીએ તે સમયની ડામાડોલ પરિસ્થિતિમાં જાલંધરમાં ફસાઈ પડેલા મોહમ્મદ રફીની જગ્યાએ દિલીપ ધોળકિયા સાથે 'યહાં બદલા વફા કા બેવફાઇ કે સીવા ક્યા હૈ' માટે રીહર્સલ પણ કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ વાણિજ્યિક સફળતાનો કળશ વિધાતાએ મોહમ્મદ રફી પર ઢોળવાનું નક્કી કર્યું હશે, એટલે રફી સમયસર પહોંચી આવ્યા અને એ ગીતે રફીનો સીતારો ચમાવવામાં અદ્‍ભૂત ફાળો નોંધાવ્યો.
એ અરસામાં દિલીપ ધોળકિયા એ સમયે એચ એમ વી સ્ટુડિયોમાં કામ કરતા સ્નેહલ ભાટકર સાથે સંપર્કમાં આવ્યા અને તેમને પોતાના નામે નોંધાયેલી પહેલી સ્વતંત્ર રેકર્ડ માટે ગાવાની અને સંગીત પણ આપવાની તક મળી.એ ગીતો ગુજરાતી સાહિત્યના સિધ્ધહસ્ત કવિ વેણીભાઈ પુરોહિતે લખેલ હતાં. 

                 _____________


                  _________________
૧૯૪૮માં ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં નવા ઉભરી રહેલા સંગીતકાર અવિનાશ વ્યાસે તેમને અમીરબાઈ કર્ણાટકી સાથે 'સતી સોન'માં બે યુગલ ગીતો ગાવા માટે પસંદ કર્યા. આ બે યુગલ ગીતો પૈકીનું શ્રાવણની વાદલડી તૂ જા.. તૂ જા...જા સંદેશો લઈ યુ ટ્યુબ પર સાંભળવા મળે છે.
દિલીપ ધોળકિયાને પહેલી વાણિજ્યિક સફળતા મળી ૧૯૫૦માં. 'દિવાદાંડી'માં અજિત મર્ચંટે તેમના 'તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી' સ્વરમાં રેકર્ડ કર્યું. આપણને સૌને તો સુવિદિત જ છે કે આ ગીત ગુજરાતી સુગમ સંગીતના રંગપટ પર એક અમીટ સીમાચિહ્ન બની રહ્યું. દિલીપભાઇએ પછીથી તેમના મિત્રો સાથે આ ગીતની બે એક પંક્તિઓ આ રીતે ગાઈબતાવી હતી
આ ધુનને બીજા સંગીતકારોએ અજમાવી જોઈ છે, પણ એ ગીતો મૂળ ગીત જેટલાં પ્રસિદ્ધિ અને લોકચાહના ન મેળવી શક્યાં, જેમ કે - ચંદા લોરીયાં સુનાયે હવા ઝૂલના જુલાયે મેરે લાલ કો (નયા સંસાર,૧૯૫૯, ગાયકઃ લતા મંગેશકર,સંગીતકાર ચિત્રગુપ્ત)
આ જ ફિલ્મમાં દિલીપ ધોળકિયાએ રોહિણી રોય સાથે ગાયેલું, બાલમુકુંદ દવે રચિત, યુગલ ગીત સાંભળીએ અને દિલીપભાઇના સ્વરની એક વધારે ખૂબીને માણીએ -
વગડા વચ્ચે તલાવડીને તલાવડીને કોર,

ઉગ્યો વનચંપાનો છોડ

જલ પાનેતર લહેરિયાને કમલીની મલકાય

કે ભમરો ભૂલી ભૂલી ભરમાય.
આટલા સમયમાં કદાચ દિલીપભાઇના મનમાં કંઇક હિસાબ બેસી ગયો હશે કે હિંદી ફિલ્મ જગતની ગાયકોની સ્પર્ધામાં પોતાનું સ્થાન જમાવવામાં મહેનત કરવા કરતાં સંગીતકાર થવા તરફ ધ્યાન આપવા જેવું છે.૧૯૫૨માં પહેલાં એસ એન ત્રિપાઠીના અને પછી જ્યારે ચિત્રગુપ્તે સ્વતંત્રપણે વધારે કામ કરવા માંડ્યું ત્યારે તેમના મદદનીશ તરીકે સંગીતકાર થવા માટેની તકની રાહ જોવા લાગ્યા.
તેમની સંગીતકાર તરીકેની સફર એ એક અલગ લેખનો વિષય છે, જે આપણે ૨૮-૧-૨૦૧૭ના રોજના અંકમાં અલગથી જોઈશું. આજના આ લેખમાં તેમની ગાયક તરીકેની સફરને આગળ ધપાવીશું.
એસ એન ત્રિપાઠી અને ચિત્રગુપ્ત સાથે સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવતાં ભજવતાં જ્યારે જ્યારે દિલીપભાઇને ખુદ ગીત ગાવાની તક મળી ત્યારે તે તક તેમણે ઝડપી લીધી.
દુર ગગન પે ચમકે સીતારે...પાસ હમારે ચમકે ચાંદ હમારે - રામ હનુમાન યુધ્ધ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર એસ એન ત્રિપાઠી - ગીતકાર રમેશ ચંદ્ર પાંડે
એસ એન ત્રિપાઠીની સીગ્નેચર ધુન કહી શકાય એવું ગીત. આ પ્રકારની રચનાઓ માટે એસ એન ત્રિપાઠી પાસે કામ કરવાની અસર ચિત્રગુપ્ત પર અને ક્યાંક ક્યાંક દિલીપભાઇનાં સર્જનો પર પણ અસર જોવા મળે છે. પ્રસ્તુત ગીતમાં ગીતા દત્તની આગવી સ્વરછટાની સાથે સુર મેળવવા માટે દિલીપભાઇએ ખાસ નીચા સુરમાં ગાવાનો સફળ પ્રયોગ કર્યો છે.
આજ અગર મેરી લાજ ગઈ, સમઝ લે તેરી લાજ ગયી - રામ હનુમાન યુધ્ધ - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: રમેશ ચંદ્ર પાંડેય
ફરજ પરસ્ત રાણી મહેલાં રાજાની રાહ જોતામ જોતાં પોતાની લાજની ફિકર ભગવાન પર આજીજીભરી ધમકીના સૂરમાં રજૂ કરે છે તો બીજી બાજૂ રાજા નાવની સહેલગાહમાં ઓજમસ્તીમં મસ્ત છે. એ મસ્તીના ભાવ દિલીપ ધોળકિયાના સ્વરમાંથીફલિત થાય છે.
રુન ઝુન બાજે પૈંજનિયાં - સાક્ષી ગોપાલ (૧૯૫૭)- સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: ભરત વ્યાસ
ગીતની રચના કાઠિયાવાડના ચારણોના પરંપરાગત દુહા શૈલીમાં, ધીમા તાલમાં, થયેલી જોવા મળે છે. દિલીપભાઈની કળાના સંસ્કારોમાં તેમની જન્મભૂમિના રંગ ન ભળ્યા હોય તો જ નવાઈની વાત કહેવાય.
ખનકે કંગના ખન ખન કે, છનકે ઘુંઘરૂ છન છન કે - સૌગંધ (૧૯૬૧) - લતા મંગેશકર અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતમાં દિલીપ ધોળકિયા અને પ્રેમ ધવનનો સાથ
ફિલ્મોમાં દિલીપભાઇએ પોતાનાં સંગીતમાં ગીત ગાવાનું જવલ્લે જ પસંદ કર્યું છે. પ્રસ્તુત ગીત મુખ્યત્તવે તો લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું એકદમ જોશભર્યું નૃત્ય યુગલગીત છે, જેમાં એક સાવ અભિનવ પ્રયોગ સ્વરૂપે સંગીતકાર (દિલીપ ધોળકિયા) જ નહીં પણ ગીતકાર (પ્રેમ ધવન) પણ @૨.૨૨થી ૨.૪૦ના એક નાનકડા ટુકડામાંમાં સંગાથ કરે છે.
અર્ધી રાતલડીએ રે મને જગાડી - મેના ગુર્જરી (૧૯૭૫) - ઉષા મંગેશકર સાથે
સામાન્યપણે પોતાનાં સંગીત નીદર્શનમાં ગીત ગાવાનું ઓછું પસંદ કરતા દિલીપ ધોળકિયાએ પોતે ગાવાનું તો નક્કી કર્યું જ છે, પણ સાથે ઉષા મંગેશકરનો સ્વર લઇને નિર્માતાનાં બજેટનું સંતુલન પણ કર્યું હોય તેમ લાગે છે.જોકે આપણે તો સંબંધ છે તેમની ગાયન શૈલીની વિવિધતા માણવા સાથે, જે બહુ સુપેરે બર આવે છે.
એમ્બેડ કરવાનું વર્જિત કરેલ હોવાથી ગીત સાંભળવા માટે આ લિંક ક્લિક  કરશો. : https://youtu.be/VcYxyjQ6kgM
૧૯૪૮માં દિલીપભાઇએ ગાયેલાં ગૈર ફિલ્મી ગીતો સાંભળ્યા પછી તેમની કારકીર્દીના (લગભગ) અંત ભાગમાં તેમણે ફરી એક વાર તેમના ખુદનાં સંગીતબધા કરેલ ગીતો તેમણે પોતાના સ્વરમાં Various Gujarati Non Film Songs આલ્બમમાં રેકર્ડ કર્યાં. તેમાંનાં એક ગીતનું આચમન કરીએ -
તેં પૂછ્યો પ્રેમનો મર્મ ને હું દૈ બેઠો આલીંગન
દિલીપભાઈની સ્વામીનારાયણ મંદિરની બાળપણની મુલાકાતોની યાદ તાજી કરાવે એવું એક ભજન
લાગી રે મોહે નૈન નજરીયા ...
મોહમ્મદ રફીએ ગાયેલ ગીત સાથે આપણો દરેક અંક સમાપ્ત કરવાની આપણી પરંપરા ચાલુ રાખતાં આપણે દિલીપ ધોળકિયાએ સ્વર બધ્ધ કરેલ મોહમ્મદ રફીનાં સ્વરનાં બે ગીતો સાંભળીશું.
પહેલું છે ભાસ્કર વોરાનું લખેલું, સત્યવાન સાવિત્રી(૧૯૬૩)નું  ગીત, જે મોહમ્મદ રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન મેળવવાનું હકદાર બની શકે એ કક્ષાનું રચાયું છે –
મીઠડી નજરૂં વાગી, એ ઝૂકી ઝૂકી શરમાય

મલકી હૈયું નચવી જાય માંયલી ભરમું ભાંગી
બીજું ગીત બરકત વિરાણી 'બેફામ'ની ગૈર ફિલ્મી રચના છે 
મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે,

વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે.


દિલીપ ધોળકિયાનાં સંગીત નિદેર્શક તરીકેનાં પાસાંનો પરિચય ૨૮-૧-૨૦૧૭ના લેખમાં કરીશું.


નોંધઃ તેમના ખજાનામાંથી 'ભીત ફાડીને પીપળો' અને 'આધા તેલ ઔર આધા પાની' આપણા માટે ખોળી આપવા માટે ભાઈશ્રી બીરેન કોઠારીનાં સૌજન્યની હાર્દિક સાભારસહ નોંધ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: