Showing posts with label હરેશ ધોળકિયા. Show all posts
Showing posts with label હરેશ ધોળકિયા. Show all posts

Wednesday, April 15, 2015

કચ્છમાં મહિલા સશક્તિકરણ : ગઈ કાલ, આજ અને આવતી કાલ | શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા - પહેલું વ્યાખ્યાન


ઈન્સ્ટિટ્યુટ ઑફ યુથ ડેવલેપમેન્ટ, ભુજ (કચ્છ- ગુજરાત) દ્વારા કચ્છના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી કાન્તિપ્રસાદ અંતાણીની સ્મૃતિમાં શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ કરાઇ છે.

આ વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ, કચ્છ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભુજ ખાતે યોજાઇ ગયું.
આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે એવા આ વ્યાખ્યાનના વિષય  "કચ્છમાં મહિલા સશક્તિકરણ : ગઈ કાલ, આજ અને આવતી કાલ"નાં વક્તા હતાં  કચ્છમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે પાયાનાં સ્તરે બહુ આયામી કામ કરનાર સુશ્રી સુષ્માબહેન આયંગર.


આ કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કરેલ છે –

Sunday, November 17, 2013

નિવૃત્ત થવાની કળા - હરેશ ધોળકિયા

લોકો "કેમ (નિવૃત્ત) થયા?" એ સવાલ પૂછે, નહીં કે "ક્યારે (નિવૃત્ત) થશો?"

શ્રી હરેશ ધોળકિયાએ સચીન તેંદુલકરની ક્રિકેટનાં મેદાન પરની નિવૃત્તિ પર કરેલો લેખ - નિવૃત થવાની કળા - આ બને પ્રશ્નોનાં સંતુલનની વાત કહે છે.

Monday, November 11, 2013

જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.]

આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ, નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે: વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે. તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો-કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું-આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ, જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે : રહસ્યનો જ !

અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્ભવથી વર્તમાન સુધી જે રીતે જિવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો-સમાંતરે-રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે. એટલે કહી શકાય કે જીવન પણ રહસ્ય જ છે. જન્મની પળથી મૃત્યુની ક્ષણ સુધી મનુષ્ય યાત્રા કરે છે. ફૂલ ઊઘડતું જાય છે, ખીલે છે અને છેવટે કરમાય છે. તે જ રીતે મનુષ્ય બાળપણમાં ઊઘડે છે. યુવાનીમાં ખીલે છે અને છેલ્લે વૃદ્ધત્વમાં કરમાઈને નિ:શેષ થઈ જાય છે. તેની યાત્રા ગર્ભમાં શરૂ થાય છે અને તે ફરી અંતે શૂન્યમાં ભળી જાય છે. ગર્ભના અંધકારમાંથી વ્યક્તિ પ્રગટે છે અને ફરી ભૂગર્ભના અંધકારમાં સમાઈ જાય છે. એક ચક્ર પૂરું થાય છે. ભલે તે સિત્તેર-એંસી વર્ષ રહે, પણ અનંત અસ્તિત્વમાં તો એક ખરતા તારા જેટલું જ મૂલ્ય ધરાવે છે. અને છતાં આ જીવનને ‘યાત્રા’નું ઉપનામ અપાયું છે. ‘યાત્રા’ એટલે ચોક્કસ હેતુ સાથે કરાતો પ્રવાસ. પણ પ્રવાસ અને યાત્રામાં પાયાનો તફાવત છે. પ્રવાસ એક બાહ્ય દર્શન છે, તે મનોરંજન માટે છે. જ્યારે યાત્રા તો પવિત્ર થવા માટે છે. યાત્રાથી ચિત્ત ઊર્ધ્વ બને છે. યાત્રા કૃતાર્થ થવા માટે છે. તેમાં પણ મનોરંજન તો છે જ, બાહ્ય રીતે, પણ યાત્રાનો હેતુ મનોરંજનનો નથી હોતો. યાત્રા મનને શાંત કરવા માટે છે અને યાત્રા સફળ થાય, તો મનની પાર પણ જઈ શકાય છે.

આ સંદર્ભમાં જીવનને યાત્રા તરીકે જોઈએ તો જીવન શરીરથી માંડીને મનની પાર જવાની ઘટના છે અથવા બનવી જોઈએ. ગર્ભમાં ભલે શુદ્ધ શરીર જ ઉત્પન્ન થાય અને જન્મે, પણ આ શરીર જ્યારે ભૂગર્ભમાં પ્રવેશે, ત્યારે શરીરને અવશ્ય દટાય કે બળાય પણ લોકો ‘જેને’ દાટે છે તે વ્યક્તિ-વ્યક્તિત્વ શરીરાતીત થઈ ગયેલ હોય, તો જ તે યાત્રા બને. જો વ્યક્તિ શરીરમાં જ ઉત્પન્ન થાય, શરીરમય જ જીવે અને શરીર સાથે તેનું વ્યક્તિત્વ પણ દટાઈ જાય, તો તે યાત્રા નથી, કેવળ પ્રવાસ હતો. કદાચ ધક્કો પડ્યો હતો ! આ સમગ્ર સમયકાળ વ્યક્તિ કાઢતી રહી. અંગ્રેજીમાં તેને ‘to kill time’ કહે છે.’ યાત્રામાં તો વ્યક્તિ સભાન રીતે જીવે છે. ત્યારે જ તેને to use time કહી શકાય. સામાન્ય રીતે જીવન વ્યક્તિને નીચોવે છે. યાત્રામાં વ્યક્તિ જીવનને નીચોવી લે છે અને ધન્યતા અનુભવે છે. એટલે પ્રશ્ન છે – જીવનને યાત્રા બનાવવાનો ! જીવન યાત્રા કેમ બને ? જીવન આપોઆપ યાત્રા ન બને. તેને યાત્રા બનાવવી પડે. પ્રવાસને કે રખડપટ્ટીને યાત્રામાં પરિવર્તિત કરવાનું પાયાનું પરિબળ છે ‘જાગૃતિ.’ સભાનતા. માની લો કે ‘અ’ સ્થળે જવું છે. દાખલા તરીકે-હિમાલય. તો હિમાલય તો અદ્ભૂત સ્થળ છે. તેની પ્રકૃતિ, ત્યાંના ધાર્મિક સ્થળો દર્શનીય છે. બસ ! આ બધું જોવું અને પાછા વળી આવવું કે આ દૃશ્યો કેમેરામાં ક્લીક થઈ આલબમમાં ગોઠવાઈ જાય તો તે પ્રવાસ ! યાત્રામાં એવું ન ચાલે. યાત્રામાં પણ બાહ્ય દૃશ્યો તો દેખાય જ, પણ તે વ્યક્તિને એવી ગદગદ કરે કે તેની ભવ્યતા વ્યક્તિમાં પ્રવેશી તેને પણ ભવ્ય બનાવે. તેના જીવનમાં પણ ઊંચાઈ વધતી જાય. તેનું અસ્તિત્વ પણ ખળખળ વહેવા લાગે. તેના ચિતમાં પણ શ્રેષ્ઠત્વની ગંગોત્રી ફૂટે; જે સમય જતાં, પ્રતિભારૂપી હુગલીમાં ફેરવાઈ જાય. નાના આયુષ્યમાં પણ તે અનંતની યાત્રા કરી લે !

આ થઈ યાત્રા. યાત્રા બાહ્ય શરૂ થાય છે. ચિત્તમાં પૂર્ણ થાય છે. પ્રવાસ સપાટ-ઉપર કે નીચે હોઈ શકે છે, પણ યાત્રામાં તો દર પળે ઊર્ધ્વ જ થવાનું હોય. યાત્રાની શરૂઆત ભલે ગર્ભના અંધકારમાં થાય અને ભૂગર્ભના અંધકારમાં વિલીન થાય, પણ ગર્ભનો અંધકાર અનિવાર્ય હતો, વ્યક્તિ માટે, પણ ભૂગર્ભનો અંધકાર શરીર માટે ભલે અનિવાર્ય બને, પણ વ્યક્તિત્વ તો પ્રકાશમાં ભળી જાય ! ગર્ભ અને ભૂગર્ભના અનિવાર્ય અંધકાર વચ્ચે પ્રકાશમય થઈ જીવવું-જીવવાનો પ્રયાસ કરવો – તે જ યાત્રા. તે જ જીવનનો એક માત્ર હેતુ છે. તે કેમ શક્ય બને ? વ્યક્તિ મોટી થતી હોય તે દરમિયાન બહુ જ ઝડપથી તેણે પોતાનો પરિચય કરી લેવાનો પ્રયાસ કરવાનો છે. ‘હું કોણ’ની સજાગતા કેળવી લેવાની છે. આત્મપરિચય જ યાત્રાનું બીજ છે અને એમ ન માનવું કે આ ‘હું કોણ’ કોઈ ગહન આધ્યાત્મિક પ્રશ્ન છે. ના, તે સીધોસાદો અસ્તિત્વગત પ્રશ્ન છે. સીધી ચેતનાનો પરિચય કરવાની જરૂર નથી અને થશે પણ નહીં. અહીં ‘હું’ એટલે માનસિક અને બૌદ્ધિક વ્યક્તિત્વનો પરિચય, પોતાની શક્યતાઓનો પરિચય. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ વિશિષ્ટતા સાથે જન્મે છે. ભલે તેના બાહ્ય સંસ્કારો કે શિક્ષણ તેને સમાજને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે, છતાં તે બધાં તેની વિશિષ્ટતાને દૂર કરી શકતાં નથી. તેબ તો ટકે જ છે, માટે જ બીકણ ગાંધી અભય ગાંધી બની શકે છે. દારૂડિયા લાલા મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદ બની શકે છે. પગ કપાવા છતાં સુધા ચન્દ્રન નૃત્યાંગના બની શકે છે કે અઠ્ઠાણુ ટકા શરીર લકવાગ્રસ્ત બનવા છતાં સ્ટીફન હોકિંગ શ્રેષ્ઠ વિજ્ઞાની બની શકે છે ! આમ કેમ બન્યું ? આ દરેકે ‘પોતાનો’ પરિચય મેળવી લીધો હતો. ‘હું એટલે આ’, અને મારે તે માટે જ જીવવાનું છે… ‘આ તેમની સાધના.’

યાત્રાનું પ્રથમ પગથિયું છે : સ્વનો, વિશિષ્ટતાનો પરિચય. પોતે કલાકાર છે, વિજ્ઞાની છે, સંત છે ? શું છે તે શક્યતાને ઓળખી લેવી. પોતાના વ્યક્તિત્વના નકશાનો પરિચય. નકશો હસ્તગત કરવો, પણ નકશો મેળવવાથી માત્ર તે સ્થળો છે તે જ ખ્યાલ આવે છે. તે જોઈ શકાતાં નથી. યાત્રા હકીકતે શરૂ કરાય, ત્યારે જ શરૂ થાય છે. ‘ચલના જીવનકી નિશાની.’ તેમ યાત્રા શરૂ કરવી તે જ મહત્વનું. એક વાર પોતાની વિશિષ્ટતા સમજાઈ કે તરત તેને કેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવાનો છે. કલાકાર હોવાની સંભાવના દેખાય, તો કલાની સાધના શરૂ કરી દેવાની. વિજ્ઞાની હોવાની સંભાવના દેખાય, તો પ્રયોગ કરવાના શરૂ કરી દેવા. જાહેર જીવનમાં જવાની શક્યતા દેખાય, તો જાહેર પ્રવૃત્તિ આદરવાની શરૂઆત કરવી. જે હોય તે, પણ ‘શરૂ કરવું.’ સ્વસ્થ શરૂઆત યાત્રાની અર્ધી સફળતા છે : Well begun is half done. જેમ જેમ સાધના-રિયાઝ-મહાવરો વધતાં જશે, તેમ તેમ આ સંભાવના પ્રગટ થવા લાગશે. વ્યક્તિ સંગીતમાં ઊંડી ઊતરશે, તો તેની સમજ ઊંડી બનશે. પ્રયોગો કરશે, તો વિશ્વનું રહસ્ય પ્રગટ થવા લાગશે. હકીકતે વિશ્વનું રહસ્ય પ્રગટ નથી હોતું, પણ વ્યક્તિની સમજ એટલી ઊંડી અને વ્યાપક તથા ગ્રાહક બને છે કે રહસ્ય ‘સમજવામાં’ ઝડપ થાય છે. વિશ્વનું રહસ્ય તો ખુલ્લું જ છે. જરૂર છે સાધના દ્વારા મનને તેને સમજવા લાયક બનાવવાનું છે. આ ‘યાત્રા’ને સાધના અને સિદ્ધિનો તબક્કો માની શકાય.

જેમ જેમ યાત્રા વધતી જશે, માઈલ-પથ્થરો પાછળ જતા જશે, માઈલો વધતા જશે, તેમ તેમ વધુ ને વધુ સ્થળો જોવા મળશે. વધુ ને વધુ સૌંદર્યદર્શન થશે. તે જ રીતે વ્યક્તિત્વ-પ્રગટીકરણની યાત્રા પણ જેમ જેમ આગળ વધશે, પોતાના પસંદ કરેલ ક્ષેત્રમાં, તેમ તેમ તે ક્ષેત્રની વધુ ને વધુ વ્યાપકતાનો અનુભવ થતો જશે અને તેનું સૌંદર્ય પ્રગટ થતું જશે. કોઈ વિજ્ઞાની કલાકો એક ચિત્તે પ્રયોગો કરે કે કોઈ સંગીતકાર કલાકો ગાય કે ચિત્રકાર ચિત્ર દોરે, ત્યારે આ બધામાંથી સૌંદર્યનો ધોધ પ્રગટવા લાગે છે અને તેનાં વ્યક્તિત્વને ભીંજવી નાખે છે ! વ્યક્તિ આ સૌંદર્યમાં નાહીને એવી તલ્લીન બને છે કે પોતે જ સૌંદર્ય બની જાય છે : ચિત્રકાર પોતે જ ચિત્ર બની જાય છે. નૃત્યકાર પોતે જ નૃત્ય બની જાય છે. વક્તા પોતે જ વક્તવ્ય બની જય છે. પૂર્ણ અદ્વૈત રચાઈ જાય છે ! પછી પહોંચવાનું સ્થળ જ યાત્રાનો મુકામ નથી બનતો. દરેક પગલું જ યાત્રા બની જાય છે. દરેક પગલું જ ધાર્મિક સ્થાન બને છે. તે સ્થળનાં દર્શન થાય તે પહેલાં વ્યક્તિ પોતે જ સ્થળ બની ગઈ હોય છે. બાહ્ય સ્થળ તો એટલા માટે ગદગદ કરે છે, કારણ કે હજારો માઈલનું મંદિરત્વ કેવળ બહાર જુએ છે. આથી અવ્યક્ત મંદિરત્વની અનુભૂતિ વ્યક્ત મંદિરમાં પરિણમે છે. આને જ સમાધિ, મોક્ષ, રિવેલેશન, નિર્વાણ, કેવળત્વ, ડિલિવરંસ કહે છે. જે પળે વ્યક્તિમાં પોતામાં રહેલ અસ્તિત્વનું ઉદ્ઘાટન થઈ તેમાં રહેલ સૌંદર્યનો વિસ્ફોટ થાય છે, ત્યારે વ્યક્તિ શરીર-મન-બુદ્ધિથી પર થઈ કેવળ ‘હોય’ છે. આ ‘હોવા’ની અનુભૂતિ જ યાત્રાની પૂર્ણાહૂતિ છે. અહીં ગર્ભનો અંધકાર પૂર્ણ વિલીન થાય છે. તે પળે ગર્ભ પણ કૃતકૃત્યતા અનુભવે છે કે ભલે તેને ધારણ કર્યો ! અને આશ્ચર્ય થાય પણ ભૂગર્ભ પણ હરખાય છે કે ‘અહો, વર્ષો પછી મારામાં પ્રકાશ અવતરશે !’ તે પણ તેને આવકારવા તૈયાર થઈ જાય છે.

ગર્ભમાંથી કૃત્કૃત્યતાની યાત્રા શરૂ થાય. ભૂગર્ભમાં તે સમાઈ જાય. બન્ને પ્રકાશમય થઈ જાય. આને જ મીરાંબાઈ ‘રામ રતન ધન પાયો’ કહે છે. યાત્રામાંથી શું ખરીદી કરાય ? ના, ખરીદવાનું ન હોય, તે મળે જ. મંદિરમાંથી પ્રસાદ મળે તેમ ! પણ કેવું ‘રામ રતન ધન ?’ તેનો સાદો અર્થ છે : ‘આનંદ-કૃત્કૃત્યતા.’ અને આ આનંદ કેવો હોય ? મીરાં કહે છે…. ;ખરચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો.’ ન તે ઘટે. ન તે ચોરાય. પણ પળે પળે વધે. એટલે જ જીવનનાં છેલ્લા તબક્કાને ‘વૃદ્ધત્વ’ કહે છે. વધે તે વૃદ્ધ. અને તે કેવળ યાત્રાળુ હોય તો જ બની શકે. હેતુવિહીન જીવનના અંતભાગને તો ‘ઘરડાપણું’ કહે છે. ઘટે તે ઘરડો ! ગર્ભ અને ભૂગર્ભમાં તો લાચારી છે. તે બન્ને ફરજિયાત છે. તેના પર વ્યક્તિનું નિયંત્રણ નથી. પણ તે વચ્ચેનો સમય તેનો છે. તેના કાબૂમાં છે. તેને તે રખડવામાં પસાર કરી શકે છે કે યાત્રામાં પણ પલટાવી શકે છે. તે તેની પસંદગી છે. ગર્ભ-ભૂગર્ભ નિયતિ છે. જીવનયાત્રા પુરુષાર્થ છે. પુરુષાર્થ કરી શકાય છે. …જો પુરુષાર્થ ન બને, તો ભૂગર્ભ કેવળ અંધકારમય જગત છે. ચિતા કેવળ ભસ્મીભૂત કરનાર ઘટના છે. સોક્રેટીસને છેલ્લે પૂછવામાં આવ્યું કે તેને ક્યાં દાટવા ? તેણે હસીને જવાબ આપેલ કે, ‘મને તમે દાટી શકશો ખરા ?’ આ યાત્રાળુનો જવાબ છે. તો આ છે, થઈ શકે છે : ગર્ભથી ભૂગર્ભની યાત્રા !



સૌજન્યઃ ReadGujarati.com: જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા

Tuesday, October 16, 2012

શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ – “આફ્ટર શૉક”

જે વાતની કદી પણ કલ્પના ન કરી હોય તે ,અચાનક, આપણી નજર સામે થતી જોવી તે સમયની લાગણી એટલે "શૉક" - 'આંચકો'. આવા - માનસીક, સામાજીક, રાજકીય , ઐતિહાસિક - 'આંચકા'ની અનેકાનેક ઘટનાઓ પર દસ્તાવેજી કે લાગણીમય કે સાહિત્યિક કે ફિલ્મકથાનક સ્વરૂપનાં વૃતાંતો થતાં રહ્યાં છે.'આંચકો' માત્ર આવી જાય,તેટલાંથી પણ ઘણી વાર વાત અટકી નથી જતી.એના પર અધારીત, કે એની સાથે સંકળાયેલ, કેટકેટલી, જેની અસર દેખીતી રીતે પ્રમાણમાં ઓછી જણાતી હોય એવી, ઘટનાઓ પછી પણ થયા જ કરતી હોય તેવું પણ જોવા મળે છે. ભૂસ્તરીય પરિભાષામાં આવી મુખ્ય - અતિ પ્રભાવશાળી - ઘટના  ["શૉક" / 'આંચકો']પછીથી થયે રાખતી ,પ્રમાણમાં ઓછા પ્રભાવવાળી,ઘટનાઓ "આફ્ટર શૉક" - 'પશ્ચાદ આંચકા' - તરીકે ઓળખાય છે.
"શૉક", કે "આફ્ટર શૉક"ની, અસરો અતિ પ્રભાવશાળી / તિવ્ર થી માંડીને સાવ હળવી માત્રામાં થઇ શકતી હોય છે. આ અસર દુખદ કે પછી સુખદ હોઇ શકે, તે વિનાશક કે નવસર્જક હોઇ શકે, કે પછી ભૌતિક હોય કે પારભૌતિક હોઇ શકે  કે પછીથી શારીરીક કે માનસીક હોઇ શકે છે. તે જ રીતે આ પ્રક્રિયા, અને પ્રક્રિયાનાં પરિણામો,નો વ્યાપ માત્ર વ્યક્તિથી લઇને કુટુંબ સુધી કે પછી સમાજ સુધી કે રાષ્ટ્ર સુધી કે વિશ્વ સુધી પણ પ્રસરતો જોવા મળી શકે છે. તો વળી આ પરિણામો થોડા સમય પૂરતાં જ કે પછી લાંબા સમય સુધી અસર કરતાં રહેતાં હોય એવું પણ અનુભવાતું હોય છે.
આવો એક (મહા)'આંચકો', ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧નારોજ વહેલી સવારે,  સમગ્ર ધરતીને ધણધણાવી નાખે તેવા ભયાનક અને વિનાશક ભૂકંપના સ્વરૂપે, કચ્છને ભાગે અનુભવવા અને ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડી જણાતી હતી કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમયસુધી તો માની લીધું હશે. પરંતુ , તે પછીના દાયકામાં, આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થઇ ગયું છે.
ભૂકંપ પછીની પરિસ્થિતિ અને તેમાંથી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે.પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ, એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. આપણને આ સમયે '૪૭ના ભાગલા"ની પીડા યાદ આવે. તે વિષય પર થયેલાં જૂદાં જુદાં સ્વરૂપનાં સાહિત્ય સર્જનોએ એ પીડાને વાચા આપી અને અને એ સમયની લાગણીઓને ઇતિહાસ માટે જાળવી રાખી.
તેમના મગજમાં કોઇ એક સમયથી એવું એક કથાવસ્તુ મંડરાઇ રહેલું હતું જેને વ્યક્ત કરવા માટે નવલક્થા જેવું કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ જણાતું હતું. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, "એક દિવસ.." મગજમાં આખું કથાવસ્તુ "તાદ્દશ્ય" થઇ ગયું. પરંતુ તેને પ્રકાશનયોગ્ય ઓપ આપવામાં ખાસો સમય નીકળી ગયો.તેઓ આને માટે તેમની નિબંધકાર, ચિંતક અને પ્રશિક્ષક તરીકેના ભૂમિકાઓને કારણે ઘડાઇ ગયેલ તર્કબુધ્ધિનિષ્ઠ દિનચર્યાને કારણભૂત ગણાવે તો છે. પરંતુ તેમનો આવાં બિનપરંપરાગત વિષયની રજૂઆત માટે મનમાં રહેતો સ્વાભાવિક સંશય, પ્રસ્તાવનાના અંતમાં તેમનાં આ કથન - "ખબર નથી આવું શક્ય હશે કે નહીં, પણ કલ્પના કરી છે"માં, ઊંડે ઊંડે ડોકું કરી લે છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની 'આંચકો-આપવાની-શક્યતા'  આગંતુક 'આંચકા'નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં,જાણ્યે અજાણ્યે, કારણભૂત બને છે. આમ,"આફ્ટરશૉક' જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખના લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય, એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, 'હવે શું થશે'ના, ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ.
કથાના પહેલા હિસ્સાનો નાયક, એક યુવાન સિવિલ ઇજનેર, પોતાની સ્વરૂપવાન,પ્રેમાળ અને ઘરરખ્ખુ પત્ની અને એક બાળકના ઘરસંસારથી અને પોતાની પૂર્ણ કળાએ વિકસતી જણાતી વ્યાવસાયિક કારકીર્દીથી ખુશ છે. અને તેમ છતાં વિધિની અકળ કરામતથી, એક વડીલ ગ્રાહકનાં ઘરનાં બાંધકામ દરમ્યાન તે અવશપણે તેના ગ્રાહકની યુવાન પૂત્રી તરફ આકર્શાય છે.
આમ, કથાની શરૂઆતથી જ, લેખક્ની રજૂઆતની શૈલિને કારણે તેઓ જે કંઇ પ્રત્યક્ષ કહે છે, તેનાથી વધારે તો વાચક પોતે પોતાના મનમાં કથામાં 'હવે પછી શું?'ના તાણાવાણા માંડે છે. હજૂ વાચક ક્યારે પહેલો 'આંચકો' આવશે તેના ઇંતઝારમાં પડે એટલી વારમાં તો કથાનક આપણને ૨૦૦૧ના એ ભૂકંપનો 'શૉક' આપી દે છે.
હરેશભાઇ પોતે સ્વભાવે તર્કશીલ નિબંધકાર છે, એટલે તેમના દ્વારા કલ્પનાઓને કોઇ સ્વાભાવિક સાહિત્યકાર જેટલો છૂટો દોર નથી અપાયો જણાતો, તો સામે પક્ષે, તેમનાં વર્ણનો એક તાર્કીક નિબંધ જેટલાં માત્ર હકીકતપ્રચુર પણ નથી અનુભવાતાં. તો વળી તેમનાં વર્ણનનો પટ, તર્કને કારણે, ક્યાંય એટલો સાંકડો પણ નથી થઇ જતો કે  પોતે જે પ્રવાહને જે કિનારે ઉભેલ છે ત્યાંથી લેખકના મનમાં ચાલી રહેલ 'હવે શું'ના સામેના કિનારા પરની ગતિવિધિને વાચક કળી શકે. તો વળી તટ એટલો વિશાળ પણ નથી જણાતો કે સામેનો કિનારો સંભાવનાઓની શક્યતાના તર્કની દ્રષ્ટિ મર્યાદાની બહાર પણ જતો રહે.
આમ વાચક પણ લેખકની સાથે સાથે ભૂકંપના આંચકાથી ધણધણે છે, તેનાથી થયેલા વિનાશની ભયાનકતાથી થરથરે છે, નાયકનાં જીવનમાં આવી પડેલ પરિવર્તનની કમકમાટી અનુભવે છે, નાયકની સાથોસાથ હતોત્સાહ પણ થઇ જાય છે,નાયકની સાથે દિવસો સુધી સ્મશાનભૂમિમાં ખોરાક અને લાગણીઓનાં લાંઘણ કરે છે,બાળકસહજ નિર્દોષ અભિગમ અને સાચા અર્થમાં સાધુની નિસ્પૃહ કર્મભાવનાની મદદથી જીવનના વેરણ છેરણ થઇ ગયેલ ટુકડાઓને એકઠા કરીને, નાયકની સાથે, જીંદગીનો નવો દાવ માડે છે.
કથાનો પ્રવાહ હવે ભૂતકાળ અને વર્તમાનમાંથી બહાર આવીને નાયક ના પૂત્રના રૂપમાં, નવા નાયકનાં જીવનના મચ પર ચોપાટ બીછાવે છે. વાર્તાઓમાં થાય તેમ પુનાની માહિતિ ટેક્નૉલૉજીની કૉલૅજમાં ભણતા નવનાયક પુત્રની ઓળખાણ એક 'મંદ મંદ આકર્ષણ વેરતાં સૌદર્ય અને સમજણવાળી' યુવતી સાથે થાય છે. કાલ્પનિક કથાઓનાં અનુભવી વાચક માની લે તેમ એ બન્ને વચ્ચેની આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં પણ પળોટાય છે. નાના પ્રસંગોની ખૂબજ તાર્કિક માવજતથી આ પ્રેમની ઉત્કટતા અને લાગણીનાં બંધનનું ઉંડાણ સ્વાભાવિકપણે વધતાં રહે છે, તે પણ વાચકની અપેક્ષાના દાયરામાં જ થતું જાય છે. અનુભવી વાચક હવે એ તાણ પણ અનુભવે છે કે આટઆટલાં દુઃખો સહન કરીને નાયકનાં જીવનમાં માંડ કરીને સુખના દિવસો પાછા આવતા જણાય છે ત્યાં લેખક, કુદરતમાં થાય છે તેમ, કંઇ નવી મુશ્કેલીઓ તો નહીં ઉભી કરે ને!
બસ તે સાથે જ શરૂ થઇ જાય છે "આફ્ટરશૉક'ની શ્રેણી.થોડા થોડા, અચોક્કસ સમયના અંતરે, અચોક્કસ માત્રામાં આવતા પણ મૂળ "શૉક"સાથે અભિન્ન સંબંધ ધરાવતા ભૂસ્તરીય "આફ્ટ્રશૉક' જેવા જ અને એટલા જ 'આફ્ટરશૉક"નું શ્રેણીબધ્ધ અવતરણ આપણી કથામાં પણ થવા લાગે છે. કથાનું પોત પણ ભયની કમકમાટી  અને આશાની જીજીવિશા વચ્ચે ફંગોળાતુ રહે છે.
આપણે જો અહીં તેની વિગતવાર વાત માડીએ તો કથામાં રહસ્યની ઉત્સુકતાનો જે આંતરપ્રવાહ વહે છે તેનો રસભંગ થાય. એટલે પુસ્તકનાં વાચનમાં, વાચકને પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની મનોવૈજ્ઞાનિક સ્થિતિના આધારપર,  કથા માણવાની જે મજા છે તેને મોળી નહીં પડવા દઇએ.
કથાનકનો દરેક વળાંક કે દરેક પ્રસંગ વાચક પોતાની આગવી દ્રષ્ટિથી, લાગણીથી માણે છે, હવે પછીના ધટનાક્રમનો અપેક્ષિત ઇંતઝાર કરે છે. જો ઘટના તેની અપેક્ષા મુજબ થાય તો તેનાં માટેનાં કારણોમાં તે અને લેખક જૂદાં પડતાં દેખાય અથવા તો ઘટનાક્રમ અપેક્ષા પ્રમાણે થાય જ નહીં તેવું જોવા મળે. આલ્ફ્રૅડ હિચકૉકની કથાઓમાં જેમ ધારેલા સવાલ નથી હોતા,સવાલોના જવાબો ધારણાથી નવી જ તરાહ માડતા જોવા મળે અને ઘટનઓ જ્યારે ધારી હોય ત્યારે ન થાય અને થાય તો ધારેલી હોય તે રીતે ન થાય, તેવી જ શૈલિ આપણને આ લઘુ નવલમાં પણ, જાણ્યેઅજાણ્યે, પ્રયોગ થયેલી જોવા મળે છે.
તેને કારણે કથાનો ભૌતિક અંત આવી ગયો છે તેવું તો પુસ્તકનું હવે કોઇ જ પાનું વાંચવાનું બાકી નથી તેવું સમજાય ત્યારે જ આવે છે.તે સમયે પણ આપણે લેખક સાથે સહમત ન થતાં હોઇએ અને સંમત હોઇએ તો તો તેમનાં અને આપણાં કારણો જરૂર જૂદાં હોવાનાં. કથા પૂરી થાય છે, પણ જીવન તો અટકતું નથી. આમ, આપણે હવે શું થવું જોઇએ,શા માટે થવું જોઇએ અને તેની શું અસરો થશે તે વિચારોમાં પરોવાયેલાં રહીએ છીએ.
આમ, પુસ્તકનાં શિર્ષકની સાર્થકતા જેટલી કથાનકમાં છે, તેટલી જ તેના અંતમાં પણ જળવાઇ રહે છે. શ્રી હરેશ ધોળકિયાએ નવલકથા લેખકની ભૂમિકા તો સુપેરે નિભાવી  છે, પરંતુ સાથે સાથે તેમની, આગવું વિચારવાની અને ગમે તેટલો વિવાદાસ્પદ વિષય હોય પણ પોતાનો અભિપ્રાય એકદમ સ્પ્ષ્ટપણે રજૂ કરવાની તેમની છાપ છે તેને બરકરાર રાખી છે.

  • આફ્ટરશૉક, 'નવલ'કથા
-          લેખકઃ હરેશ ધોળકિયા, hareshdholakia@yahoo.com
-          પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., મુંબઇ  / અમદાવાદ ǁ www.rrsheth.com
-          ISBN 978-93-81315-73-6
-          પહેલી આવૃતિ, ફેબ્રુઆરી,૨૦૧૨
-          મૂલ્યઃ રૂ. ૧૨૫/-

Saturday, March 10, 2012

“ઇશ્વર પરમાર - બહુઆયામી સર્જક”


મૂળ રેવા,કચ્છના પણ વ્યવસાયને કારણે - જોકે ખરેખર તો એમ કહેવું જોઇએ કે,ભેખ લઇને - દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ કચ્છદ્વારા  iyd.bhuj@gmail.comપ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા, haresh.dholakia@yahoo.com,  દ્વારા સંકલિત આ પુસ્તિકાને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બેમત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા 'ખૂણે બેસીને કામ કરતા સર્જકો'નાં કામનો સીધો સંપર્ક, સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજસાથે, સાધી આપે છે. 
પિતા દામજીભાઇ અને માતા રામકુંવરબેનના પુત્ર ઇશ્વરલાલ પરમારનો જન્મ ૬ ઑક્ટૉબર,૧૯૪૧ના રોજ કચ્છના રેહા ગામમાં થયો હતો. કૌટુંબીક  વ્યવ્સાય ખેતી,નાના પાયાનો વેપાર અને બાંધકામની ઠેકેદારી, પરંતુ ઇશ્વરલાલના ભાગ્યમાં તો ભેખધારી શિક્ષકના થવાના લેખ લખાયા હતા એટલે અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યા બાદ બી.ઍડ.ગુજરાતી અને હિન્દીમાં કર્યું.તે પછીથી તો ઍમ.ઍડ. અને હિન્દીમાં ઍમ.ઍ. પણ કર્યું. તેમનાં પત્ની આરતીબેન પણ શિક્ષક હતાં અને તેમની પુત્રીઓ પણ શિક્ષણ જગતમાં જ છે.
તેમનો ડૉક્ટરૅટ માટેના વિષય - સ્વાતંત્ર્ય પૂર્વેના ૧૯૩૭-૪૭ના દાયકામાં અને સ્વતંત્ર્યેતર સન ૧૯૬૭-૭૭ના દાયકામાં થયેલ ગુજરાતી સામાજીક નવલકથાઓમાંનાં શેક્ષણિક નિર્દેશોની સમીક્ષા -માં આપણે તેમનાં વ્યાવસાયિક વ્યક્તિત્વના શિક્ષણને સમાંતર જ સાહિત્ય સર્જનના અભિગમની ઝલક જોઇએ શકીએ છીએ.
જો કે તે પછીથી શ્રી ઇશ્વરભાઇ જેટલા શિક્ષક રહ્યા છે તેટલા જ સંશોધક અને તેટલા જ સાહિત્ય સર્જક રહ્યા છે. અહીં 'તેટલા'માં ભેખધારી, રચનાત્મક, મૌલિક, પ્રતિબધ્ધ, પ્રયોગાત્મક જેવા વિવિધ આયામને આ ત્રિમુર્તિ પ્રતિભામાં સમાવવા પડશે.
આ પુસ્તિકામાંની તેમની સાથેની પ્રશ્નોત્તરીમાં તેમણે કહ્યું છે તેમ લગભગ દશ વર્ષની ઉંમરે જ 'કોઇ લખાણ નીચે પોતાનું નામ હોય એવી મુગ્ધ મરજી'ના સળવળાટે તેમનામાં સાહિત્ય સર્જનનાં જે બીજ રોપ્યાં તેનો અંકુર 'મીની માસીએ લાડવા ખાધા' એ કવિતાનાં સ્વરૂપે'જનશક્તિ'મા બાળ વિભાગમાં પ્રસિધ્ધ થયો. તે પછીથી પોતાના શિક્ષણ કાળ અને વ્યાવસાયિક કાળ દરમ્યાન સંજોગો અને તકોના વા-વરસાદે આ છોડ વટવૃક્ષ થતો ગયો.
તેમનું સાહિત્ય સર્જન બાળ સાહિત્ય, બાળ ઉછેર સાહિત્ય, બાળ સાહિત્ય સમીક્ષા, શિક્ષણ સાહિત્ય, ચરિત્ર આલેખન,લઘુકથાઓ જેવી અનેક પ્રશાખાઓમાં વિસ્તરેલ છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકોનાં સહસંપાદન, પાઠ્યપુસ્તક સહપરામર્શન અને પ્રશિક્ષણનાં પુસ્તકોમાં સહલેખનની ભૂમિકાઓમાં પણ તેઓનું સહજ યોગદાન રહેલ છે.
બાળસાહિત્ય માટેના તેમના રસ અને અનોખી મૌલિકતા માટે તેઓ "માલીપા વસતા મસ્તીખોર માસુમોને રીઝવવાના રિયાજ"ને કારણભૂત ગણે છે. જે કંઇ લખાયું છે તે "સહજમાં લખાતું ગયું છે" તે કથનમાં તેમની સ્વાભાવિક વિનમ્રતા અને નૈસર્ગીક રચનાત્મકતા છતી થતી રહે છે.બાળવિકાસની સાથે સાથે બાળ ઉછેર સાહિત્ય ક્ષેત્રે પણ તેટલી જ સહજતાથી તેમનું પ્રદાન જોવા મળે છે. તેમની શૈલિ બાળકોને સમજ પડે તેવી રસાળ અને ભાષા સરળછે. ટુંકા પણ અર્થસભર વાક્યો, વિશિષ્ટ ધ્વનિપ્રકારના પ્રયોગોથી તેમનાં બાળસાહિત્યનું મળતું અભિનવ પરિમાણ તેમના શબ્દો - "બાળકને વાર્તા વંચાવવાની હોય, બલ્કે  કહેવાની હોય" -માં જોઇ શકાય છે.તેમનાં બાળસાહિત્યની સૂચિમાં ૧૨ બાળવાર્તા,૭ બાળસાહિત્ય સમીક્ષા અને ૫ બાળ ઉછેરનાં પુસ્તકો જોવા મળે છે.
ડૉ. પરમાર તેમની વ્યાવસાયિક જીવનચર્યાનું દસ્તાવેજીકરણ પણ તેમની સર્જનાત્મકતાને કારણે [કે કદાચ તેની મદદથી]કરી શક્યા છે. શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રોનાં તેમનાં પુસ્તકોમાં તેમની શિક્ષક અને સંશોધક તરીકેની ઓળખ છતી થઇ રહે છે. તેમની ભાષામાં અહીં એક અભ્યસ્ત અધ્યાપકની બોલી સાંભળવા મળે છે, અને તેથી તેમનાં દ્ર્ષ્ટિબિંદુને સમજવામાં ખચકાઇને વાચકને વિરૂધ્ધ વિચારને ચાળે ચડી જવાની તક જ નથી મળતી. તેમના પી.એચડી.માટેના મહાનિબંધપરથી નિતારીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક "સામાજીક નવલકથામાં શિક્ષણ" વિષે શ્રી રઘુવીર ચૌધરીનો પ્રતિભાવ ડૉ. ઇશ્વર પરમારની શિક્ષણ-કેળવણી સાહિત્ય સર્જકતાનું સુરેખ ચિત્રણ કરી આપે છેઃ " આ શોધનિબધ એની શાસ્ત્રીય પધ્ધતિ અને લાઘવતાના ગુણે ધ્યાન ખેંચતો રહેશે. અન્ય શિધકર્તાઓમાટે નમૂનારૂપ લેખાશે.અહીં જે ભાષા શક્તિ છે,એના મૂળમાં માત્ર શિક્ષકની હેસિયત નથી, એક વિવેચકની સજ્જતા છે, જે સાચી સહૃદયતાથી આદ્ર થયેલ છે."
ડૉ. ઇશ્વરભાઇ પરમારે બાળસાહિત્ય અને શિક્ષણ/કેળવણી સાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્ય પ્રકારો પણ એટલું જ વિશદ કામ કરેલું છે. તેમનાં લેખનમાંનો લાઘવ તરફનો ઝોક તેમની લઘુકથાઓને સ્વરૂપે પ્રગટ થયો છે. કદાચ લઘુકથાનાં અતિસુક્ષ્મ ભાવ જગતને વાંચકનાં મન પર અમીટ છાપ રૂપે અંકિત કરવામાટે તેમણે પુરાકલ્પન જેવાં માધ્યમનો તો જરૂર પડ્યે વિવિધ રસાલંકારોનો સુપેરે પ્રયોગ કર્યો છે.'દીઠી અમે દ્વારામતી'માં કૃષ્ણ અને દ્વારકા વિષેનાં કાવ્યોનું સંપાદન હોય કે કૃષ્ણનાં કાર્યક્ષેત્રના પરિચય જેવું 'કરૂણાસાગર દ્વારિકાધીશ' હોય, શ્રી ઇશ્વરભાઇ તેમની અંગત લાગણી કે માન્યતાને પશ્ચાદભૂમાં રાખીને કથા વસ્તુને સુયોગ્ય માર્મિક ચોકસાઇથી આલેખે છે.
આ પુસ્તિકા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનનું સર્વાંગી અને સર્વગ્રાહી મૂલ્યાંકનની દિશામાં 'નાનકડો પ્રયાસ' છે તેવી પ્રકાશકો પાસેનાં શક્ય સાધનોની અને સંપાદકની સ્વસ્વિકૃત મર્યાદાને ધ્યાનમાં લેવા છતાં પુસ્તિકાને અંતે સમાવિષ્ટ ડો. પરમારનાં સાહિત્યસૂચિમાંના પુસ્તકોના પ્રકાશકો,પ્રકાશન વર્ષ,કિંમત જેવી વિગતોની ખોટ વર્તાય છે. જો આ માહિતિ સ્માવાઇ હોત તો, આ પુસ્તિકા ડૉ. પરમારના સંદર્ભ ગ્રંથ ઉપરાંત તેમનાં સાહિત્ય સુધી પહોંચવાનો સેતુ પણ બની રહેત.
તેમનાં ત્રિવિધ સાહિત્યને આટલાં ટુકાણમાં મૂલવીને યુવાન અને નવિદિત વિવેચકો - પૂજા કશ્યપ સોની, pujaks12@yahoo.in ,  (“ડૉ. ઇશ્વરભાઇ પરમારઃ બાળસાહિત્યકાર ), પલ્લવી કે શાહ, plvshah@gmail.com ,(“ડૉ.ઇશ્વર પરમારનાં કેળવણી વિષયક પુસ્તકો )અને મોના લિયા, monabhuj@gmail.com,  (“ડૉ. ઇશ્વર પરમારની અન્ય સાહિત્યકૃતિઓ )- એ ગાગરમાં સાગરને બખુબી સમાવવાનું કઠીન કામ દેખીતી સરળતાથી પાર પાડ્યું છે.
ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમન્ટ જો આ પુસ્તિકાને ઇ-પુસ્તકનું સ્વરૂપ આપીને ડીજીટલ પ્રસાર માધ્યમો દ્વારા પ્રસિધ્ધ કરે તો તેમના આ અને અન્ય પ્રયોગો અને પ્રવૃતિઓને ખુબ જ વ્યાપક અને બહોળો પ્રસાર તેમ જ પ્રચાર મળી શકે.
[ડૉ. ઇશ્વર પરમાર, સિધ્ધનાથ સામે, દ્વારકા ૩૬૧ ૩૩૫ સેલફૉનઃ +૯૪ ૨૭ ૨૮ ૪૭ ૪૨]
["ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક" જાન્યુઆરી ૨૦૧૨ // સંકલનઃ- શ્રી હરેશ ધોળકિયા // પ્રકાશક- ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડૅવલપમૅન્ટ, ૨૩,અમ્બિકા સોસાયટી, હૉસ્પિટલ રૉડ, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧]