Showing posts with label Salil Chowdhury. Show all posts
Showing posts with label Salil Chowdhury. Show all posts

Sunday, November 15, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર, ૨૦૨૦

 શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો૧૯૫૭

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નિઃશંક બહુમુખી સંગીત પ્રતિભા હતા. જોકે સંગીતકાર તરીકે જેટલા એ જાણીતા હતા તેના પ્રમાણમાં તેમનાં લેખક, સ્ક્રિપ્ટ લેખક, કર્મશીલ તરીકેની ભૂમિકાઓ બહુ વધારે જાણીતી નહોતી થઈ. તેમનાં સંગીતનાં મૂળ એક તરફ બંગાળ, આસામ અને પૂર્વ ભારતનાં લોક સંગીત તાફ તો બીજી તરફ પાશ્ચાત્ય ક્લાસિક્લ સંગીત તરફ ફેલાયેલાં જોવા મળે છે. તેમની સંગીત રચનાઓ અને વાદ્યસજ્જામાં તેમની આગવી શૈલી સ્પષ્ટપણે તરી આવતી. એમનાં ખુબ લોકપ્રિય થયેલ ગીતો સહિતની દરેક રચનાઓ ગાનાર માટે આગવો પડકાર બની રહેતી. એમની ઘણી રચનાઓ સંગીતનાં વ્યાકરણની સીધી રજૂઆત સમી જણાય, પણ તેમાં માધુર્યની છાલકો તો અચુકપણે વર્તાય.  શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) સાથે તેમણે જુદા જુદા વિષયોને સ્પર્શતી ફિલ્મો કરી છે. શૈલેન્દ્રને પણ પરંપરાગત સાહિત્યિક વર્તુળોમાં એક કવિ તરીકે કદાચ સ્થાન ન મળે પણ હિંદી ફિલ્મોમાં જે 'કવિ'ઓ હતા તેમની સાથેની જ હરોળમાં શૈલેન્દ્રનો પાટલો સન્માનભેર જરૂર પડતો. સાવ સરળ શબ્દોમાં લખાયેલાં તેમનાં ગીતો ગીતના ભાવને શ્રોતાને તેનાં દિલ સુધી પહોંચાડી આપતા. તક મળે ત્યારે, એવા જ સરળ શબ્દોમાં શૈલેન્દ્ર તેમના સામાજિક સમાનતાના આદર્શોના વિચારોના તાર શ્રોતાનાં દિલ સાથે બહુ જ અસરકારકપણે જોડી લેતા.

તત્ત્વતઃ બહુ સરખી સામાજિક-રાજકીય વિચારસરણી ધરાવતી આ બન્ને બાકી સાવ જ અલગ કહી શકાય એવી સાંગિતીક પ્રતિભાઓ જ્યારે સાથે મળીને ફિલ્મોનાં ગીત બનાવતી ત્યારે તેમની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાની  સંયોજન પેદાશોના પાકરૂપે આપણને જે ગીતો મળ્યાં છે તેમણે હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં બહુ અલગ સ્થાન મેળવ્યું છે. શંકર જયકિશન અને એસ ડી બર્મન પછી સંખ્યામાં ત્રીજા ક્રમે ગણાતાં સલીલ ચૌધરી-શૈલેન્દ્રનાં ગીતો, આ બન્ને સાથેની શૈલેન્દ્રની સહભાગી રચનાઓમાંની અવિસ્મરણીય ગીતોની યાદીમાં એક જ હરોળમાં મુકાય છે.

સલીલ ચૌધરીની નવેમ્બર મહિનામાં યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫, અને

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

આ વર્ષે, હવે સલીલ ચૌધરી-શૈલેન્દ્રની ૧૯૫૭ માં રજૂ થયેલ બે ફિલ્મો 'એક ગાંવકી કહાની' અને 'મુસાફિર'નાં ગીતો યાદ કરીશું. આ ઉપરાંત સલીલ ચૌધરીએ સંગીત નિદર્શિત કરેલ 'અપરાધી કૌન' અને 'લાલ બત્તી (ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી સાથે) અને ઝમાના (ગીતકાર:ઈન્દીવર અને પ્રેમધવન સાથે - જેમાં અનિલ બિશ્વાસે પણ બે ગીત રચ્યાં છે) પણ ૧૯૫૭માં જ રજૂ થઈ હતી.

એક ગાંવકી કહાની (૧૯૫૭)

દુલાલ ગુહા દિગ્દર્શિત 'એક ગાંવકી કહાની'માં માલા સિંહા સાથે મુખ્ય ભૂમિકા તલત મહમૂદે ખુદ અદા કરી છે. તલત મહમૂદનાં  ફિલ્મનાં બે ગીતો - ઝૂમે રે...નીલા અંબર ઝૂમે રે અને રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાએ - હિંદી ફિલ્મોનાં સર્વકાલીન અવિસ્મરણીય ગીતોમાં સ્થાન પામે છે. લતા મંગેશકરનું સૉલો ગીત - બોલે પીહૂ  પીહૂ પી પપિહરા - પણ એ સમયે બહુ જાણીતું થયેલું. 


કાના કુબડા લંગડા લૂલા બુઢા ડૉક્ટર આયેગા - આશા ભોસલે

સલીલ ચૌધરી અને શૈલેન્દ્ર પણ આવાં મસ્તીખોર ગીત બનાવી શકે છે ! 


ઓ હાય કોઈ દેખ લેગા - તલત મહમૂદ, લતા મંગેશકર

રોમેન્ટીક મુડને અનુરૂપ એવા પૂર્વાલાપના ટુકડાથી શરૂ થતા મુખડા બાદ અંતરાની શરૂઆતમાં ગીત ઊંચા સુરમાં જાય છે. બીજા અંતરામાં તલત મહમૂદ પણ એ ઊંચા સુરને પૂર્ણતઃ ન્યાય આપે છે. જે રીતે ગીતની બાંધણીમાં સલીલ ચૌધરીની શૈલી દરેક તબક્કે અનુભવાય છે, તે જ રીતે ગીતના બોલમાં પણ શૈલેન્દ્રનો સ્પર્શ વર્તાય છે. એકંદરે ગીત સહેલું જરા પણ નથી, પણ વારંવાર સાંભળવું અચુક ગમે છે. 


ચલે ઠુમક ઠુમક તારે, મીઠે સપનોં કે દ્વારે  - લતા મંગેશકર

આ ગીતની સીચ્યુએસન એક હાલરડાંની છે એટલે શૈલેન્દ્રના બોલ તો સ્વાભાવિકપણે એ મુજબ જ હોય, પણ સલીલ ચૌધરીએ પણ પ્રમાણમાં સરળ બાંધણીમાં ગીતની રચના કરી છે. અંતરાનાં સંગીતમાં વાયોલિન સમુહ પણ રાતની શાંતિને અનુરૂપ 'સોફ્ટ' સુરમાં સલીલ ચૌધરીની આગવી શૈલીમાં વાંસળીના ટુકડાઓની સંગતમાં વહે છે. 


દિન હોલી કા આ ગયા રંગ ડાલો હોજી હો - મન્ના ડે, લતા મંગેશકર, સાથીઓ

હિંદો ફિલ્મમાં જો કોઈ તહેવારને અનુરૂપ સીચ્યુએશનનો મેળ પડે તો તેની રજૂઆત અવશપણે ગીતનાં સ્વરૂપમાં જ થતી જોવા મળશે. તેમાં પણ હોળી તો છે જે આંનંદ મસ્તીની રજૂઆતને નાચગાન વડે કરવાનો ઉસ્તવ, તે સમયે તો ખુબ મસ્તીભર્યું સમુહ ગીત જ મુકવાનું ચલણ છે. ગીતની સીચ્યુએશને ફિલ્મની વાર્તાપ્રવાહ સાથે સીધો સંબંધ ન હોય તો ગીતકારે  'સરરર', કે 'ન મારો પીચકારી', કે 'રંગ દો ઉનરીયાં'  જેવા અમુક ચોક્કસ બોલના ફરજિયાત પ્રયોગ કરવા છતાં સંગીતકારને ગીતની બાંધણીમાં અનેરૂં વૈવિધ્ય લાવવાની સગવડ મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતુ હશે !  ગીતની મસ્તીમાં ઉમેરો કરે એવા અવનવા બોલના પ્રયોગ સલીલ ચૌધરીએ ગીતની બાંધણીમાં સ-રસપણે વણી લીધા છે. 


મુસાફિર (૧૯૫૭)

ઋત્વિક ઘટકનાં કથાવસ્તુને હૃષિકેશ મુખર્જીએ સૌ પ્રથમવાર  દિગ્દર્શિત કર્યું છે. એક ઘરમાં આવીને રહેતાં અને સમય થતાં જતાં રહેતાં ત્રણ સાવ જ ભિન્ન ભિન્ન પ્રકારનાં કુટુંબોના પ્રવાસની આ ક્થા દ્વારા ત્રણ અલગ અલગ કથાઓને એક ઘરનું અસ્તિત્ત્વ ફિલ્મનાં એક સુત્રમાં સાંકળી લે છે. જેમ મુસાફર પોતાને ગમી ગયેલ જગ્યા છોડતી વખતે કહે તેમ દરેક કુટુંબ ઘર છોડતી વખતે કહે છે કે 'યે ઘરકી બહુત યાદ આયેગી'. ફિલ્મને વર્ષ ૧૯૫૭ માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મમાં ત્રીજા ક્રમાંકનું સર્ટિફિકેટ ઑફ મેરિટ પણ એનાયત થયેલ.

મન રે હરિ ગુણ ગા, ઉન સંગ પ્રીત લગા - લતા મંગેશકર

સુચિત્રા સેન પર ફિલ્માવાયેલ એક સીધાં સાદાં ભજનને શૈલેનદ્રએ કથા વસ્તુને અનુરૂપ ખુબ ભાવવાહી ક્લાગણીઓના બોલમાં રજૂ કર્યું છે. 


મુન્ના બડા પ્યારા અમ્મીકા દુલારા, કોઈ કહે ચાંદ કોઈ આંખકા તારા - કિશોર કુમાર

આ ગીત ફિલ્મનાં બીજા કુટુંબની વાત સાથે સંકળાયેલ છે. શૈલેન્દ્રનો ક્લ્પનાવિહાર પહેલી પંક્તિથી જ ગીતને અલગ ઊંચાઈએ લઈ જાય છે. કિશોર કુમારની મસ્તીખોર હરકતો એ કલ્પનાઓને ધરતી પર જીવતા એક સામાન્ય માણસની ખુશીઓમાં રજૂ કરી દે છે. 


ટેઢી ટેઢી ફિરે સારી દુનિયા…. હર કોઈ નજ઼ર બચા ચલા જાયે દેખો… જાને કાહે હમસે કાટે સારી દુનિયા - મન્ના ડે, શમશાદ બેગમ અને સાથીઓ

શેરીમાં નૃત્ય-ગીત ગાઈને પેટીયું રળતાં લોકોનાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં એ સમયે બહુ પ્રચલિત હતો. અહીં એ તકનો લાભ લઈને શૈલેન્દ્ર પોતાની વિચરસરણી પણ તેમના મોંએ કહી લે છે. આ ઉપરાંત ગીતમાં ત્રણ અન્ય ખાસ વિશેષતાઓ છે.

૧) ગળેથી હાર્મોનિયમ પેટીને ભેરવીને ગીત ગાતા મુખિયાની ભૂમિકા ખુદ શૈલેન્દ્રએ ભજવી છે. આ જ રીતે આટલાં જ બીજાં એક ભાવવાહી ગીત - ચલી કૌન સે દેશ ગુજરીયા તુ સજ઼ ધજ઼ કે (બુટપોલિશ , ૧૯૫૪) -માં પણ તેમણે પરદા પર ગીત ગાયું હતું.

૨) કેશ્ટો મુખર્ર્જીની પણ આ પહેલવહેલી હિંદી ફિલ્મ છે.અહીં તેમણે ઑટીસ્ટીક અષ્ટાવક્રની ભૂમિકા જીવંત કરી છે.  ગીતના અંતમાં તેઓ કિશોર કુમાર પાસે નિશાનીઓની ભાષા વડે ભીખની માગણી કરે છે એ દૃશ્ય જોઈશું તો એ કળાકારની પ્રતિભાની ઊંચાઈ સમજી શકાશે. કેટલી કમનસીબીની વાત છે કે આટલો પ્રતિભાવાન કળાકાર હિંદી ફિલ્મોમાં એક દારૂડીયાનાં હાસ્યાસ્પદ પાત્રની ભૂમિકામાં જ કેદ કરાઈ ગયો !

૩) શમશાદ બેગમનો ગાયિકા તરીકે કરેલો સલીલ ચૌધરીનો પ્રયોગ પણ એક બહુ  જવલ્લે જ બનતી ઘટના છે. પરદા પર એ પંક્તિઓ હીરા સાવંતે ભજવી છે.


લાગી નહીં છૂટે રામ ચાહે જિયા જાયે - દિલીપ કુમાર, લતા મંગેશકર

સલીલ ચૌધરીએ ઠીક ઠીક અઘરી કહી શકાય એવી ગીત રચના માટે દિલીપ કુમાર પાસે જ ગીત ગવડાવ્યુ  છે. દિલીપ કુમાર પણ જાણે પોતાના ભાવવાહી સંવાદો બોલતા હોય એટલી જ સ્વાભાવિકતાથી ગીતને ગાય પણ છે.

લતા મંગેશકરવાળી પંક્તિઓ ઉષા કિરણ પોતાનાં મનમાં ગાય છે - આપણને બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. થોડું ધ્યાન દઈને જોઈશું તો એ ગીત ઉષા કિરણ મનમાં ગણગણતાં હોય એવા ભાવો એમના ચહેરા પર કેટલા માર્મિકપણે કળાય છે !


એક આયે એક જાયે મુસાફિર - શ્યામલ મિત્ર

શ્યામલ મિત્ર બંગાળી ફિલ્મ સંગીતમાં સંગીતકાર અને ગાયક તરીકે બહુ સન્માનનીય નામ છે. અહીં તેઓ શૈલેન્દ્રની વિચારસરણીના ખળખળ પ્રવાહને ફિલ્મનાં થીમ સોંગનાં સ્વરૂપે રજૂ કરે છે. પરદા પર ગીત મોહન ચોટી (મૂળ નામ: મોહન ગોરસકર) રજૂ કરે છે.

ફિલ્મમાં ગીત બીજી એક વાર પણ મુકાયું છે. અહીં રજૂ કરેલી ક્લિપમાં બન્ને વર્ઝન સામેલ છે. 


પરંપરાગત રીતે આપણે આપણે દરેક અંકનો અંત વિષય સંબંધી મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજે આ બે ફિલ્મોમાં તો સલીલ ચૌધરી રચિત મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. ખૂબીની વાત તો એ છે કે તેમની ૧૯૫૭ની અન્ય બે ફિલ્મો - અપરાધી કૌન અને લાલ બત્તી - માં પણ મોહમ્મદ રફીનું એક પણ ગીત નથી. એટલે આ એક માત્ર  ગીતને અહીં આયાત કરેલ છે.

નૈયા કા મેરા તૂ હી ખેવૈયા - જ઼માના (૧૯૫૭) - ગીતકાર ઈન્દીવર

નાવિકનાં લોકગીતોની શૈલીનાં ગીતમાં સલીલ ચૌધરીએ સમુહ ગાનનો ઉપયોગ ગાયકવૃંદ તરીકે તેમજ કાઉન્ટર મેલૉડી રૂપે પણ કર્યો છે ! 


સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં ગીતોની સફર હજૂ પણ ચાલુ જ રહે છે.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, November 10, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર, ૨૦૧૯


શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો - ૧૯૫૬
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) અને શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)બન્ને પોતપોતાનાં ક્ષેત્રમાં જેટલા સર્જનશીલ હતા, એટલા જ પોતપોતાની રીતે મૌલિક પણ હતા. વળી શૈલેન્દ્રને તો કોઈ એક સીચ્યુએશન પર ધુન આપવામાં આવે તો પણ તેમના બોલમાં તેમની આગવી છાપ તેઓ ઉઠાવી શકતા હતા. તે ઉપરાંત, શૈલેન્દ્રને બંગાળી ભાષાનો પરિચય પણ સારો એવો હતો. પરિણામે, સલીલ ચૌધરીની ધુનોનાં સંકુલ સંગીતનાં માધુર્યને શૈલેન્દ્ર જીવંત શબ્દદેહ આપી શકતા હતા. સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક શાખા, ઈન્ડીયન પીપલ્સ થીયેટર એસોશીયેશન (ઈપ્ટા)માટે શૈલેન્દ્ર રચેલ કાવ્ય 'ઊઠા હૈ તૂફાન ઝમાના બદલ રહા' માટે ધુન સલીલ ચૌધરીએ બનાવી હતી તે કોઈ એક યોગાનુયોગ નહીં જ હોય. [1]
ગયા વર્ષે સલીલ ચૌધરીના જન્મમાસ નવેમ્બરથી આપણે શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો ની વર્ષવાર શ્રેણી શરૂ કરી છે. નવેમ્બર, ૨૦૧૮માં આપણે આ શ્રેણી પહેલા લેખમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં  ૧૯૫૩થી ૧૯૫૫ની ફિલ્મો અને ૧૯૫૬ની ફિલ્મ 'આવાઝ'નાં ગીતો  સાંભળ્યાં હતાં. આજના અંકમાં આપણે ૧૯૫૬ની બે ફિલ્મો - 'પરિવાર' અને 'જાગતે રહો' -નાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં ગીતો આજે સાંભળીશું.
પરિવાર (૧૯૫૬)

'પરિવાર'નાં શૈલેન્દ્રએ લખેલાં અને સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં બે યુગલ ગીતો - જા તોસે નહીં બોલું કન્હૈયા (મન્ના ડે, લતા મંગેશકર) અને ઝીર ઝીર બદરવા બરસે હો કારે કારે (હેમંતકુમાર, લતા મંગેશકર) - તો પોતપોતાના ગીત પ્રકારમાં મોખરાની હરોળમાં સ્થાન ધરાવે છે.ફિલ્મનાં બીજાં ગીતો પણ એટલાં જ વૈવિધ્યપૂર્ણ છે.
બાવલી બના કે છોડા - આશા ભોસલે
આશા ભોસલેનું અલગ પ્રકારનું ગીત હોવાની સાથે સાથે તેમનાં સર્વકાલીન ઉત્કૃષ્ટ ગીતમાં સ્થાન પામતું આ ગીત પ્રમાણમાં ઓછું જાણીતું ગીત કહી શકાય.

એક દો તીન ચાર પાંચ - હેમંત કુમાર, આશા ભોસલે, કોરસ
સલીલ ચૌધરી પર ની વેબસાઈટ World of Salil Chowdhury પર તેઓ પોતાના એક માનીતા, અને પ્રેરણાગુરૂ સમાન, બીથોવનને યાદ કરે એ. આ ગીતમાં તેમણે બીથોવનની છઠ્ઠી સિમ્ફની, પેસ્ટોરલ'નો આ ટુકડો પોતાની શૈલીમાં ઉપયોગમાં લીધો છે.

કુવેંમેં ડૂબ કે મર જાના યાર તુમ શાદી મત કરના - કિશોર કુમાર
સલીલ ચૌધરીએ કિશોર કુમારની ગાયકીની ખૂબીઓનો પણ ઉપયોગ કરી લેવામાં પોતાનો કસબ અજમાવી લીધો છે. પ્રસ્તુત ગીતમાં કિશોર કુમાર બહુ જ સહજતાથી પાંચ અલગ અલગ સ્વરમાં ગીતને ન્યાય આપે છે.

જાગતે રહો (૧૯૫૬)

રાજ કપૂર નિર્મિત 'જાગતે રહો'નું દિગ્દર્શન અમિત મત્રા અને શંભ મિત્રએ કર્યું હતું. તેનું બંગાળી સંસ્કરણ, 'એક દિન રાત્રે',  પણ અલગથી નિર્માણ થયું હતું. બન્ને સંસ્કરણમાં ગીતોમાટેની સીચ્યુએશન એ જ હતી અને મહદ અંશે, ધુન પણ એ જ રાખવામાં આવી હતી. બંગાળી સંસ્કરણનાં ગીતોના બોલ સલીલ ચૌધરીએ ખુદ લખ્યા હતા. 
હિંદી સંસ્કરણનાં ઝિંદગી ખ્વાબ હૈ (મૂકેશ)ને બંગાળી સંસ્કરણમાં એઈ દુનિયાય ભાઇ શોબ હી હોય તરીકે મન્ના ડેના સ્વરમાં રેકોર્ડ થયું.
હિંદી સંસ્કરણમાં આ ગીત મોતીલાલ પર ફિલ્માવાયું અને બંગાળીમાં છબી બિશ્વાસ પર ફિલ્માવાયું હતું.
સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં જોડાણની ગુંથણીની મજબૂતીનો અંદાજ આ બન્ને વર્ઝનના બોલ પરથી આવી રહે છે.
હિંદી વર્ઝન મન્ના ડેના સ્વરમાં કવર વર્ઝન તરીકે પણ રેકોર્ડ થયું હતું.

ઠંડી ઠંડી સાવનકી ફુહાર, પિયા આજ ખીડકી ખુલી મત છોડો - આશા ભોસલે
નાયિકાની વણછીપી પ્યાસના શૈલેન્દ્રના શબ્દદેહમાં ઘુંટાતી મનની વેદનાને આશા ભોસલે જીવંત કરે છે. બંગાળી વર્ઝનના બોલ અને રચના અલગ છે પણ તેનાં ગાયિકા સંધ્યા મુખર્જી પણ ગીતની વેદનાની અનુભૂતી એટલી જ અસરકારકતાથી રજૂ કરી રહે છે.

લો શે વાઈ.. વાઈ.. મૈને લી જો અંગડાઈ - સંધ્યા મુખર્જી અને સાથીઓ
બંગાળી વર્ઝનમાં અને હિંદી વર્ઝનમાં આ ગીતમાં કોઈ ફેરફાર નથી કરાયો.


જાગો મોહન પ્યારે જાગો (લતા મંગેશકર)ના પણ બોલના બંગાળી અનુવાદમાં હિંદી વર્ઝનની પ્રાસ રચનાઓને મહદ અંશે જાળવી રાખવા છતાં પણ બન્ને વર્ઝનનાં ગીતનું માર્દવ બરકરાર રહે છે.
આ બન્ને ફિલ્મોમાં શૈલેન્દ્રએ લખ્યું હોય એવું કોઈ મુહમ્મદ રફીનું ગીત નથી, એટલે આપણા દરેક અંકના અંતમાં વિષયાનુસારનાં મુહમ્મદ રફીનાં ગીત લઈએ છીએ એ માટે આપણે 'તેકી મૈં જૂઠ બોલિયાં' (એસ બલબીર સાથે; ગીતકાર- પ્રેમ ધવન)ને સાંભળીશું
બંગાળી સંસ્કરણમાં પણ આ ગીત હિંદી સંસ્કરણ મુજબ જ ઉપયોગમાં લેવાયું છે. ગીતની વિકલ્પના અને રચનામાં સલીલ ચૌધરી સાથે પહેલાં પણ કામ કરી ચૂકેલ ગીતકાર પ્રેમ ધવનનાં યોગદાનની સલીલ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં સાભાર નોંધ લીધી હતી.

સલીલ ચૌધરી અને પ્રેમ ધવનના સહયોગમાં મુહમ્મદ રફીનાં અન્ય કોઈ ગીતની ખોજ માટે આપણે આજના અંકના વિષયથી થોડા આઘા ખસીશું અને સમયચક્રમાં થોડાં પાછળ જઈશું.
સુનો કી સીતા કી કહાની - બિરાજ બહુ (૧૯૫૪) - ગીતકાર- પ્રેમ ધવન
આ નખશીખ બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

તેરે નૈનો ને જાદૂ ડાલા - તાંગેવાલી (૧૯૫૫) - લતા મંગેશકર સાથે - ગીતકાર- પ્રેમ ધવન
પૂર્ણપણે પંજાબી લોકધુનમાં ઝબોળાઈને રંગાયેલું આ ગીત પણ સલીલ ચૌધરીનાં સંગીતના રંગપટને રંગીન બનાવી રહે છે.

શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના સાથની સફર આપણે હજૂ નવેમ્બર, ૨૦૨૦ અને તે પછી પણ ચાલુ રાખીશું.
વતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, November 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર,૨૦૧૮



શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો (૧)

સલીલ ચૌધરી (૧૦ નવેમ્બર, ૧૯૨૨ - ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫) એ બીનપરંપરાગત સંગીત રચના સર્જનની શૈલીના સંગીતકાર તરીકે વધારે જાણીતા છે. તેમણે આસામી અને બંગાળી લોકધુન સાથેનો નાભી સંપર્ક જાળવીને, બાખ, બીથોવન, મોઝાર્ત જેવા સંગીતકારોની રચનાઓ દ્વારા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત પ્રત્યે પોકાનું આકર્ષણ જીવંત રાખીને અને ભારતીય શાસ્ત્રીય રાગોને આગવી ઓળખ આપીને પોતાનાં સંગીતને સાવ નવા અવતારમાં પેશ કર્યું. તેઓ અનેક વાદ્યોના જ માત્ર નિપુણ ન હતા, પણ ૧૯૪૦-થી '૫૪-૫૫ની એમની કલકત્તા નિવાસની પહેલી ઈનિંગ્સ દરમ્યાન એક વાર્તા લેખક, ગીતકાર, પટકથા લેખક, વૃંદગાન સંચાલક તેમ જ સંગીત રચયિતા તરીકે પણ જાણીતા થઈ ચુક્યા હતા. 'દો બીધા ઝમીન'ની સાથે શરૂ થયેલ તેમની મુંબઈ નિવાસની હિંદી ફિલ્મ સંગીત સાથેની બીજી ઈનિંગ્સના પ્રારંભમાં જ તેમનો પરિચય એવાજ એક અનોખા, સંવેદનશીલ, કવિ અને છેલ્લાં ચારેક વર્ષમાં ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં એક ચોક્કસ સ્થાન બનાવી રહેલા ગીતકાર શૈલેન્દ્ર સાથે થયો.


શૈલેન્દ્રનો બંગાળી ભાષાનો મહાવરો હોય કે તેમના પૂર્વજીવનમાં તેમનો શ્રમજીવી વર્ગ સાથેનો ઘરોબો હોય કે કવિતા પ્રત્યે જીવનોભિમુખ વાસ્તવિક અભિગમ હોય, પણ સલીલ ચૌધરી સાથે તેમનો સંગાથ ઘણો લાંબો, ફળદાયી, સફળ અને અનોખો રહ્યો એ બાબત બધે બધાં જ સહમત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ શંકર જયકિશન પછી સૌથી વધારે ગીતો શૈલેન્દ્રએ સલીલ ચૌધરીનાં સંગીતમાં લખ્યાં છે. ગીતની સીચુએશનના સંદર્ભની સીમાઓમાં રચી શકાતાં ફિલ્મનાં ગીતોની મર્યાદામાં પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રએ પોતપોતાની આગવી મૌલિકતાને અકબંધ રાખીને નવા નવા પ્રયોગો પણ કર્યા છે. સલીલ ચૌધરી મોટા ભાગે પહેલાં ધુન બનાવીને પછી ગીતના બોલ લખાવવાનું પસંદ કરતા, તેમ છતાં શૈલેન્દ્રનાં ગીતોના કાવ્યસભર ભાવમાં એ બંધનની જરા સરખી છાંટ પણ નથી વર્તાતી.


'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ની લેખમાળામાં આપણે હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે જાણીતા અમુક અમુક કલાકારોનાં ગીતોને તેમની જન્મ/અવસાન તિથિના ઉપલક્ષ્યમાં દર વર્ષે કે લેખના હિસાબે શ્રેણીબધ્ધ સ્વરૂપે યાદ કરવાનો ઉપક્રમ આપણે કરતાં રહ્યાં છીએ. સલીલ ચૌધરીના જન્મ મહિના નવેમ્બરમાં આપણે તેમણે રચેલાં શૈલેન્દ્રનાં ગીતોને યાદ કરીશું. સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ લગભગ ૭૫ જેટલી હિંદી ફિલ્મોમાંથી શૈલેન્દ્રએ તેમના માટે જે ચોથા ભાગથી પણ વધુ ફિલ્મો માટે ૧૦૮ જેટલાં ગીતોને લખ્યાં છે તે ગીતોને આ વાર્ષિક શ્રેણીમાં યાદ કરીશું. ફિલ્મોની વર્ષવાર રજૂઆતના ક્રમને અનુસરતાં રહીને, જે ગીતો આજે પણ આપણા હોઠે છે તેવાં ગીતોની નોંધ લેતાં જઈને વિસરાતાં ગીતોને વધારે નજદીકથી યાદ કરવાનો આપણો અભિગમ રહેશે.

દો બીધા જમીન (૧૯૫૩)

આ ફિલ્મની પટકથા સલીલ ચૌધરીએ તેમની જ વાર્તા 'રીક્ષાવાલા"પરથી લખી છે. બહુ શરૂઆતના વિચાર મુજબ તો સલીલ ચૌધરીની ભૂમિકા આટલેથી જ પુરી થઇ ગઇ હોત, પરંતુ નિયતિએ તેમની ઝોળીમાં ફિલ્મનું સંગીત પણ ભરી નાખ્યું. એ જ વર્ષમાં બીમલ રોય દિગ્દર્શિત 'બિરાજ બહુ' માટે પણ સલીલ ચૌધરીની જ સંગીતકાર તરીકે પસંદગી થઈ હતી. ફિલ્મમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રની પસંદગી કેમ થઈ હશે તે વિષે બહુ આધારભૂત નોંધ જાણવા નથી મળતી. આપણને, જોકે, તે બાબતે બહુ સંબંધ પણ નથી ! ફિલ્મનાં ચારે ચાર ગીતો એકદમ અનોખાં હતાં, દરેકની પોતપોતાની આગવી સર્જનકહાની પણ અનેક દસ્તાવેજોમાં નોંધ પામેલ છે. આ ચારમાંથી ત્રણ ગીતો આજે પણ ગુંજતાં સાંભળવા મળે છે:

આજે અહીં આપણે જે ગીતને વિગતે સાંભળવાનાં છીએ તે પણ છે તો આટલું જ જાણીતું અને લોકપ્રિય.એ છે એક હાલરડું, એટલે વળી એકદમ જ માર્દવભર્યું પણ છે. હાલરડું હોવા છતાં ગીતના બોલની પસંદગીમાં શૈલેન્દ્રનો આગવો સ્પર્શ પણ વર્તાય છે, એવાં આ ગીત - આજા રી તુ આ નીંદીયા તુ આ - ની એક વિશેષતા એવી છે જેને કારણે તેનો અલગથી ઉલ્લેખ કરવાની તક મળે છે. બિમલ રોય એ સમયમાં અશોક કુમારના નિર્માણમાં બની રહેલી 'પરિણીતા' પણ દિગ્દર્શન કરી રહ્યા હતા. બન્ને ફિલ્મો સાથે સંકળાયેલા હૃષિકેશ મુખર્જીએ 'પરિણીતા"ની મુખ્ય અભિનેત્રી મીના કુમારીને આ હાલરડું પરદા પર ગાવા રાજી કરી લીધાં હતાં, જેને પરિણામે માત્ર અમુક જ ગીત કે પ્રસંગ માટે કોઈ પણ ફિલ્મમાં કામ કરવાનો આ મીના કુમારીની કારકીર્દીનો એક માત્ર દાખલો બની રહ્યો.



નૌકરી (૧૯૫૪)

એક નેપાળી ધુન પર આધારીત છોટા સા ઘર હોગા બાદલોંકી છાઓંમેં (ગાયકો: કિશોર કુમાર, શીલા બેલ્લે)ની અભૂતપૂર્વ લોકપ્રિયતાએ આ ફિલ્મના બીજાં ગીતોને પોતાના પડછાયામાં જાણે સંતાડી દીધાં છે. આ ગીતનાં કરૂણ ભાવનાં વર્ઝન માટે સલીલ ચૌધરીએ હેમંત કુમારનો સ્વર વાપરવાનું ઉચિત ગણ્યું છે.

એક છોટીસી નૌકરીકા તલબગાર હું - કિશોર કુમાર, શંકર દાસગુપ્તા, શ્યામલ મિત્ર

ભણીને આજીવીકાની શોધમાં તૃષાર્ત યુવા વર્ગની અપેક્ષાઓને શૈલેન્દ્રએ એટલા યથાર્થ ભાવમાં ઝીલી છે કે આજના યુવા વર્ગને કંઠે પણ આ ગીત અપ્રસ્તુત નહીં જણાય. સલીલ ચૌધરી પણ હળવા મિજ઼ાજની રચનાઓ રમતી મુકવાની તેમની કાબેલિયત સિધ્ધ કરે છે.

અરજી યે હમારી મરજી હમારી, જો સોચે બીના ઠુકરાઓગે બડે પછતાઓગે - કિશોર કુમાર

ગીતનો ઉપાડ નોકરી અરજી અસ્વીકાર કરવાની વાતથી થાય છે પણ મૂળ આશય તો 'સામનેવાલી ખીડકી' પાસે પોતાના પ્રેમની દરખાસ્ત રજૂ કરવાનો છે. સલીલ ચૌધરી જેવાની સંગીતમય રજૂઆતમાં શૈલેન્દ્રની કાવ્યમય કલ્પના ભળે તો આ પ્રકારની અરજીએ તો સ્વીકારાવું જ પડે !


ઝૂમે રે કલી ભંવરા ઉલઝ ગયા કાંટોમેં - ગીતા દત્ત

પરંપરાગત સમાજના રૂઢિચુસ્ત સમયમાં જ્યારે એક નવયૌવના એકલી એકલી પોતાના પ્રેમનો ઈકરાર કરતી હોય ત્યારે દિલના છલકાતા ભાવમાં જે દબાયે ન દબાતો ઉલ્લાસ છતો થતો હોય તેને તાદૃશ કરવા માટે સલીલ ચૌધરીએ ગીતા દત્તના ભાવવાહી માર્દવ સ્વરના મુલાયમ સ્પર્શને પ્રયોજે છે. શૈલેન્દ્રના બોલ પણ ગીતના ભાવને વ્યકત કરવામાં લેશ માત્ર ઊણા નથી પડતા.


ઓ મન રે ન ગમ કર, યે આંસુ બનેંગે સિતારે...., જુદાઈમેં દિલ કે સહારે - લતા મંગેશકર

સલીલ ચૌધરીએ એક જગ્યાએ કહ્યું છે કે લતા મંગેશકર માટે તેમને એટલો ભરોસો રહેતો કે તે જે ગીત ગાવાનાં હોય તે મારાથી બીજાં ગીતો કરતાં કંઈક વધારે અઘરાં જ બની જતાં. નોકરીની શોધ માટે જતા નાયકની જિંદગીમાં હવે જે ગતિની અપેક્ષા છે તેને પ્રસ્તુત ગીતમાં દિગ્દર્શક ટ્રેનની ગતિનાં રૂપક વડે બતાવે છે. એ દૃશ્યોને સલીલ ચૌધરીએ પૂર્વાલાપમાં હાર્મોનિકા અને અંતરાનાં સંગીતમાં વાયોલિન અને ફ્લ્યુટના ઉપયોગ વડે વણી લીધેલ છે જ્યારે ગીત તેમની આગવી (અઘરી) શૈલીમાં ગવાય છે. નોકરીની શોધ માટે નીકળેલા પ્રેમીને શુભેચ્છા દેતાં દેતાં નાયિકાના મનમાં અનુભવાતી જુદાઈની વ્યથા ગીતના બોલમાં વ્યક્ત થાય છે.



અમાનત (૧૯૫૫)

આ ફિલમનાં બે ગીતને હું (કમ સે કમ સલીલ ચૌધરીના ચાહકોની દૃષ્ટિએ) જાણીતા ગીતો તરીકે વર્ગીકૃત કરવાનું ઉચિત ગણીશ –
- હેમંત કુમાર અને ગીતા દત્તના સ્વરમાં ગવાયેલું યુગલ ગીત હો જબસે મીલી તોસે અખીયાં જિયરા ડોલે હો ડોલે આસામી લોક ધુન પર આધારીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો જે લાગણીને વાચા ન આપી શકે તેને કોઈ અન્ય પાત્ર પાસે ગીતના સ્વરૂપે રજૂ કરવાના પ્રકારનાં આ ગીતમાં ગીત ગાઈ રહેલાં પુરુષ ને સ્ત્રી વચ્ચે નદીના તટથી અર્ધી નદીના પ્રવાહનું જે લાં…બું અંતર છે તે અંતરના ભાવથી પુરાઈ જતું હોવાની કલ્પના છે. જે બે વ્યક્તિ આ ભાવ ખરેખર વ્યક્ત કરવા માગે છે તે ભૌતિક રીતે નજદીક હોવા છતાં પોતાના ભાવ વ્યક્ત ન કરી શકવાનાં અંતરથી જુદાં છે.
- આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું મેરી વફાયેં તુમારી જફાએં આંસુ લીખેંગે ફસાના મેરે પ્યારકા (અહીં કોઈના વતી કોઈ દ્વારા) પ્રેમીની નિર્દોષ મજાકની મસ્તીનું ગીત છે. ઓ પી નય્યરનાં આશા ભોસલેના ગીતોના પછીથી વહી નીકળેલા ધોધના પ્રવાહમાં તણાઈ જતું જણાતું આ ગીત આશા ભોસલેના ચાહકોને તરત જ યાદ આવી જશે.
ચેત રે મુરખ ચેત રે અવસર બીત જાયે રે - મન્ના ડે, આશા ભોસલે

એક વૃધ્ધ અને તેનાં રાહદર્શક સાથી તરીકે કિશોર બાળા ભિક્ષા માગવા નીકળે અને સાથે સાથે જીવન જીવવાનો મહત્ત્વનો સંદેશો પણ કહેતાં જાય એ પણ એ સમયની હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત ગીત પ્રકાર હતો. પુરુષ સ્વર માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડે એ ચોકઠાંમાં એવા ફસાઈ ગયા હતા કે તેમણે એમાંથી બહાર નીકળવા માટે બહુ મહેનત કરવા ઉપરાંત નસીબની યારીની પણ રાહ જોવી પડી હતી. 


છલ છલ પાની હમારી જિંદગાની યે ચલ કે રૂકના જાને ના - મન્ના ડે, આશા ભોસલે, સાથીઓ

કુવામાંથી ડબલાંઓની રેંટ વડે સીચાતા પાણીના નાની-સી નીકમાં વહેતા પ્રવાહને જિંદગીના ધસમસાટનાં રૂપક તરીકે દિગ્દર્શકે પ્રયોજ્યું છે. પોતાની કલ્પનાના ભવિષ્યના આદર્શ સમાજની કલ્પના વ્યકત કરવા માટે શૈલેન્દ્રને મળી ગયેલી તકનો તેમણે ગીતના બોલના ખોબલે ખોબલે લાભ લુંટ્યો છે. પાણીના મુકત પ્રવાહની ગતિને સલીલ ચૌધરીએ ગીતની ધુનમાં ઝીલી લીધી છે. 


બાંકી અદાયેં દેખના જી દેખના દિલ ન ચુરાયે દેખનાજી - ગીતા દત્ત

હૃદયની અંદરથી ઊઠતા કુમાશભર્યા મારકણા ભાવની ગીતમં રજૂઅત કરવી હોય તો એ સમયના સંગીતકારોની પહેલી પસંદગી ગીતા દત્ત રહેતાં. 'મેરી વફાયેં'વાળી સીચ્યુએશન કરતાં અહીં ભૂમિકા બદ્લાઇ ગયેલી જણાય છે. ચાંદ ઉસ્માનીએ મલકાતાં મલકાતાં પિયાનો સંભાળી લીધો છે અને કદાચ એમના જ મનના ભાવનું પ્રતિબિંબ આશા માથુર ગીતમાં ઝીલે છે.


જબ તુમને મહોબ્બત છીન લી, ક્યા મિલેગા બહારોંસે - આશા ભોસલે

પ્રેમનાં ઘુંટાતાં રહેતાં દર્દને વાચા આપતાં ગીત માટે સલીલ ચૌધરીએ આશા ભોસલે પર કેમ પસંદગી ઉતારી હશે તે તો જાણવામાં નથી આવ્યું, પણ આશા ભોસલે આટલી મુશ્કેલ તર્જ઼ને અણ પૂરેપૂરો ન્યાય આપી શક્યાં છે તે વાત તો પહેલી નજરે ધ્યાન પર આવે જ છે. આ કક્ષાનાં ગીત બીનપરંપરાગત શૈલીનાં વ્યાકરણની દૃષ્ટિએ કે કર્ણપ્રિયતાની દૃષ્ટિએ સાંભળવું ગમે, પણ એક સામાન્ય ચાહક માટે તે ગણગણવું અતિમુશ્કેલ છે.અને જે ગીત ગણગણી નથી શકાતું તે લોકજીભે પણ નથી ચડતું ! 


આવાઝ (૧૯૫૬)

મહેબુબ ખાન નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક ગીતકાર ઝીઆ સરહદી હતા. ફિલ્મમાં શૈલેબ્દ્ર ઉપરાંત બીજા ત્રણ ગીતકાર હતા. ફિલ્મનાં કુલ ૧૦માંથી ત્રણ ગીત શૈલેન્દ્રએ લખ્યાં છે. દિલ તેરે લિયે ડોલે રે, ધિતાંગ ધિતાંગ બોલે રે (ગીતકાર પ્રેમ ધવન), દિલ દીવાના દિલ મસ્તાના માને ના અને આરા રમ તારા રમ દુનિયા કે કૈસે ગમ (ગીતકાર ઝીઆ સરહદી) ફિલ્મનાં જાણીતાં થયેલાં ગીતોમાં ગણી શકાય. આ ત્રણેય ગીત શૈલેન્દ્રનાં લખેલાં નથી. -

બાબા તેરી ચીરૈયા,જાયે અનજાનેકી નગરીયા - લતા મંગેશકર

દીકરીનાં લગ્ન લેવાયાં હોય ત્યારે તેની બહેનપણીઓ જુદા પડવાની ગમગીનીને ગીતોમાં વણીને કન્યાને લગ્નની વિધિઓ માટે તૈયાર કરતી જાય એ આપણે ત્યાંની બહુ સ્વીકૃત પ્રથા છે. ગીતનાં અંતરાનાં સંગીતમાં સલીલ ચૌધરીએ વરપક્ષની આવી રહેલ બારાતની બેન્ડ પાર્ટીના સુરને આવરી લેવાનો સ-રસ પ્રયોગ કરેલ છે.

આપણી આ શ્રેણીના દરેક લેખનો અંત વિષય-સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી કરવાની પરંપરા સાથે આજના અંકના છેલ્લાં બે ગીત બરાબર બંધ બેસી જાય છે.

આયી બારાત બાજે ગાજે સે... આજ મેરા દુલ્હા કમ નહીં કીસી રાજે સે - એસ બલબીર અને સાથીઓ સાથે

અહીં બારાતીઓમાં આવેલા વરરાજાના મિત્રોએ વરરજાને ખભે ઉપાડી લેવાની સાથે સાથે આ ગીત પણ ઉપાડી લીધું છે.થોડી ઝીણવટથી જોતાં જણાય છે કે પહેલાંના ગીતમાં જે બહેનપણી હતી તે હવે લગ્ન મડપમાં કન્યા બનવાની છે.

લો ભોર હુઈ પંછી નીકલે...તલાશમેં દાને દાનેકી,ઈન્સાન ભી ઘર સે નીકલા, ધુન રોટી કમાને કી - મોહમ્મદ રફી

ગીત શ્રમજીવી વર્ગની ભાવનાઓને વાચા આપે છે. ઝીઆ સરહદી ખુદ પણ મવાળવાદી વિચારસરણી ધરાવતા હતા, પણ અહીં તેમણે જવાબદારી શૈલેન્દ્રને સોંપી છે, જેને શૈલેન્દ્રએ જરા સરખી પણ ગુમાવી નથી. ગીત ફિલ્મમાં ક્રેડીટ ટાઈટ્લ્સની અનોખી રજૂઆત સાથે ફિલ્મના વિષયની પૂર્વભૂમિકા બાંધી આપે છે. મોહમ્મદ રફીએ ગીતને જે સુંવાળપભર્યા સુરમાં ગાયું છે તે વાત પણ ખાસ ધ્યાન પર આવે છે.

આ ચાર ફિલ્મોનાં શૈલેન્દ્રએ લખેલં સલીલ ચૌધરીનાં સંગીતબધ્ધ કરેલ વિષય અને રજૂઆતની વૈવિધ્યતા પ્રચુર આટલાં ગીતોથી આજના લેખને સમાપ્ત કરીશું. હવે પછીનો એંક એક વર્ષ પછી આવશે તે ઈંતજ઼ાર કદાચ બહુ લાંબો લાગે, પણ આવાં અને આટલાં ગીતોને આટલાં વર્ષે માણવાં હોય તો તેને ફરી ફરી સાંભળવાં પડે, અને એટલે એક વર્ષનો સમય ઉપયુક્ત જણાય છે.

Sunday, November 12, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર, ૨૦૧૭



સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો અન્ય ભાષાઓમાં
સલીલ ચૌધરી (જન્મ: ૧૯ નવેમ્બર, ૧૯૨૨; અવસાન: ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫) બહુમુખી પારંગતતા ધરાવતી કળાપ્રતિભા હતા.

આપણે તેમણે રચેલાં હિંદી ફિલ્મનાં ગીત રત્નોને આજે પણ એટલી જ રસમધુર અભિભૂતિથી સાંભળીએ છીએ. સાથે સાથે તેઓ તો એક સારા કવિ અને નાટ્યલેખક પણ હતા. તેમનાં ઘણાં કાવ્યોને તેમણે ગૈરફિલ્મી બંગાળી ગીતોમાં ઢાળ્યાં હતાં. એ સમયના લગભગ દરેક જાણીતા ગાયકોએ તેમનાં ગીતોને સ્વર આપ્યો છે. તેમણે ૨૦ જ વર્ષની ઉમરે રચેલ જ્ઞાનેર બૉધૂ ગીતે તો બંગાળી ગીતવિશ્વમાં નવું મોજું સર્જ્યું. તેમણે લખેલી વાર્તા રીક્ષાવાલા વાંચીને બીમલ રોયે તેમને દો બીઘા જમીનની પટકથા લખવાની જવાબદારી પણ સોંપી એ વાત તો હવે જેમને ખબર છે તેમને આ વાતનું આશ્ચર્ય નથી. જો કંઇ આશ્ચર્ય છે તો એ વાતનું છે કે તેમણે આ દિશામાં તેમની કારકીર્દી આગળ કેમ ન વધારી.
સંગીતમાં નવોન્મેષની તેમની ખોજને તેમણે રચેલા ફિલ્મસંગીતનાં મેઘધનુષ્યમાં  એક છેડે  આપણને મોઝાર્ટ જેવા સર્જકોનાં શાસ્ત્રીય પાશ્ચાત્ય સંગીત તો બીજે છેડે બંગાળ અને પૂર્વ ભારતનાં કેટલાય પ્રદેશોની લોકધુનો પર આધારીત અનેક ગીતો સાંભળ્યાં છે. આંખ બંધ કરીને 'મધુમતી'(૧૯૫૮)નું લાજવાબ યુગલ ગીત 'દિલ તડપ તડપ કર કહ રહા હૈ આભી જા તૂ હમસે આંખ ના ચુરા તુઝે કસમ હૈ આભી જા' યાદ કરો અને પછી સાંભળો તેની પ્રેરણાસ્રોત સમું, લગભગ ૧૫૦થી પણ વધારે વર્ષ જૂનું, સીલેસીયન (દક્ષિણ - પશ્ચિમ) પૉલીશ લોક ગીત Szla dzieweczka do laseczka (કિશોરી જંગલ કેડે જવા નીકળી).
એ સંગીતકારોની એવી શ્રેણીના સંગીતકાર હતા જે ફિલ્મ ગીતમાં સંગીતને પ્રાધાન્ય આપવામાં બાંધછોડ ન કરતા. આથી, ગીતની ધુનની રૂપરેખા પહેલાં બનાવતા અને પછી ગીતકાર પાસે તેને અનુરૂપ ગીતની રચના કરાવતા. આ બધાં ઉપરાંત તેઓ એક બહુ ઉત્કૃષ્ટ વાદ્યસજાવટ ઍરેન્જર હતા અને વાંસળી, પિયાનો, એસરાજ જેવાં વાદ્યો વગાડવામાં નિપુણ હતા.

 સલીલ ચૌધરીએ ૭૫ જેટલી હિંદી ફિલ્મોની સાથે સાથે ૪૦થી પણ વધારે બંગાળી ફિલ્મોનાં ગીતો રચ્યાં છે તે તો હિંદી ફિલ્મ સંગીતના મોટા ભાગના ચાહકોને ખબર છે. ઘણાં લોકો એ પણ જાણે છે કે તેમણે ૨૭ જેટલી મલયાલમ ફીલ્મોનાં ગીતોની પણ રચના કરી હતી. એવા સુજ્ઞ ચાહકોનો પણ તોટો નથી જેમને ખબર છે કે તેમણે ગુજરાતી, તમિળ, તેલુગુ, કન્નડ, ઓડીયા, આસામી, મરાઠી જેવી ભાષાઓની ફિલ્મોનાં સંગીતની પણ રચના કરી છે.
આજના આ અંકમાં આપણે આવા ખૂબ પ્રતિભાશીલ, પ્રયોગશાળી સંગીતકાર સલીલ ચૌધરીનાં વિસારે ચડેલાં  એવાં એક એક ગીતોને યાદ કરીશું જે આ ભાષાઓમાં પણ રચવામાં આવ્યાં છે.

[આજની પૉસ્ટના વિચારનાં હાર્દસમી માહિતીના સ્રોત તરીકે મેં સલીલ ચૌધરીનાં ફિલ્મ સંગીત  પ્રદાનના સૌથી વધારે સંપૂર્ણ કહી શકાય એવા ઓનલાઈન ખજાના World of Salil Chowdhuryનો મેં આધાર લીધો છે તે વાતની સાભાર નોંધ આ તબક્કે લઈશ. 
સલીલ ચૌધરીના પ્રશંસક અને જાતે પણ ઘણા વાદ્યોના નિપુણ કળાકાર એવા ગૌતમ ચૌધરીએ અહીં સલીલ ચૌધરીનાં બધાં જ ગીતોની સૉફ્ટ લિંક દસ્તાવેજ કરવાની સાથે સાથે એ ગીતનાં અન્ય ભાષાનાં વર્ઝનને આમને સામને શોધી શકાય તેવી લિંક પણ આપી છે. એ લિંક પર ક્લિક કરવાથી ઑડીયો ગીત સાંભળી શકાય તેવી બીજી બારી ખૂલી જશે.
સલીલ ચૌધરીનાં ગીતો પરથી તેમણે જ જૂદાં જૂદાં વાદ્યો પર રચેલી રચનાઓનાં કેટલાંક આલ્બમ્સ પણ બહાર પડ્યાં છે. પ્રસ્તુત છે એવી એક રચનાઃ 

તો આવો સલીલ ચૌધરીનાં વિસારે પડેલાં ગીતો અને તેની અન્ય ભાષાઓનાં રૂપાંતરણો યાદ કરીએ :
અનેક હિંદી-બંગાળી (કે બંગાળી- હિંદી[!]) ગીતો
દિલ મેરા...ના જાને રે ના જાને રે - બિરાજ બહૂ (૧૯૫૪) - શમશાદ બેગમ – ગીતકાર: પ્રેમધવન 
શમશાદ બેગમે મુજરા નૃત્યને જે માદકતા બક્ષી છે તેવી જ મોહક અપીલ ગાયત્રી બસુએ બંગાળી ફિલ્મ આજ સંધાએ૧૯૫૪)માં ગીતનાં રૂપાંતરણ ના જાની રે ના જાની રે'માં પણ જાળવી રાખી છે.
(બંગાળી-)હિંદી - મલયાલમ ગીતો
ધીતાંગ ધીતાંગ બોલે, દિલ તેરે લિયે ડોલે - આવાઝ (૧૯૫૬) - લતા મંગેશકર – ગીતકાર: પ્રેમધવન
આ ગીતનું મલયાલમ રૂપાંતરણ ૧૯૭૫ની ફિલ્મ 'નીલોપોનમ'માં પી સુશીલા અને પી જયચંદ્રનના યુગલ સ્વરોમાં રચિત 'થૈયામ થૈયામ'માં સાંભળવા મળ્યું.
બન્નેનું મૂળ તો ૧૯૫૪ની હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ એક ક્લાસિક બંગાળી ગૈરફિલ્મી ગીત ધીતાંગ ધીતાંગ બોલે છે,જેની સ્વર રચના વળી સાવ અલગ છે.
(બંગાળી-)હિંદી તેલુગુ ગીતો
કઈ બાર યૂં ભી દેખા હૈ યે મનકી જો સીમા રેખા હૈ - રજનીગંધા (૧૯૭૪) - મૂકેશ – ગીતકાર: યોગેશ
આ ગીતનું  એ વર્ષે જ તેલુગુ વર્ઝન પણ જોવા મળે છે Nayanalu Kalise Toli Saari  - ચેરમેન ચલામય્યા(૧૯૭૪)- પી. સુશીલા અને એસ પી બાલાસુબ્રમનીઅનનું યુગલ ગીત
આ ધુનનાં ત્રણ બંગાળી ગૈરફિલ્મી વર્ઝન પણ છે.


હિંદી - તમિળ ગીતો
અય મેરે દિલ ગા પ્યારકી ધુન પર - દિલકા સાથી (૧૯૮૨) - એસ જાનકી અને સાથીઓ – ગીતકાર: મનોહર
આમ તો આ ફિલ્મ મલયાલમ ફિલ્મનું ડબીંગ વર્ઝન હતુ. મલયાલમ ફિલ્મ એટલી સફળ રહી હતી કે તેનું તમિળ અને તેલુગુમાં પણ ડબીંગ થયેલું.
તમિ વર્ઝન પારૂવમઝાઈ (૧૯૭૮)માં આ હિન્દી ગીતની ધુન Thenmalar Kannikal માં સાંભળવા  મળે છે, જે પણ એસ જાનકીના સ્વરમાં જ છે.
મલયાલમ અને તેલુગુ વર્ઝન પણ બાકી થોડાં રખાશે !

  • Eemalarkayakal -  Madanolsavam (૧૯૭૭) (મલયાલમ) - એસ જાનકી અને સાથીઓ
  • Ne Priyuraliki  - અમર પ્રેમ (૧૯૭૮) (તેલુગુ) - પી સુશીલા

આટલું પૂરતું નહોતું તે ક્યાંકથી સાવ જાણીતી ન હોય એવી હિંદી ફિલ્મ (મેરા દામાદ - ૧૯૯૫માં રીલીઝ) જેમાં આ હિંદી ગીત છે. ગૌતમ ચૌધરી કહે છે : કોઈક વાર મને એમ લાગે છે સલીલ ચૌધરી પોતે જ બનાવેલાં વર્ઝનનાં કોષ્ટકને નથી જોતા જણાતા - ઝિર ઝિર બરસે આજ ગગન સે  - અનુરાધા પૌડવાલ, સબીતા ચૌધરી, અમિત કુમાર અને શૈલેન્દ્ર સિંઘ 
(બંગાળી-)હિંદી - કન્નડ ગીતો
નામ મેરા નિમ્મો મુક઼ામ લુધીયાના - સપન સુહાને (૧૯૬૧) - લતા મંગેશકર, મન્ના ડે, દ્વિજેન મુખર્જી – ગીતકાર: શૈલેન્દ્ર  એકદમ દ્રૂત તાલનાં લોક નૃત્ય ગીતનાં સ્વરૂપે ફિલ્માવાયેલાં ગીતમાં લતા મંગેશકરને મન્ના ડે અને દ્વિજેન મુખર્જી બહુ અનોખી રીતે સાથ આપે છે.
આ ધુન ફરી એકવાર વાપરવા માટે સલીલ ચૌધરીને ૧૯૭૧ની એક કન્નડ ફિલ્મ, સમસ્યાફલ,માં કૅબરે નૃત્યની સીચ્યુએશનની તક મળે ત્યાં સુધી રાહ જોવી પડી હોય એમ લાગે છે. એ ગીત છે:  એલ આર એશ્વરીના સ્વરમાં "Dooradinda bandanta sundaraanga jANa". ગીતની ધુનનાં માળખાં સિવાય ગીતનાં બધાં રૂપ બદલી ગયાં છે.ગૌતમ ચૌધરી નોંધે છે કે કન્નડ્ડ ફિલ્મનાં ગીતો પર નિયમિતપણે લખનારા લેખક સ્રીધર રાજન્નાએ લખ્યું હતું કે આ ગીત એશ્વરીએ ગાયેલાં કેબરે ગીતોમાં શ્રેષ્ઠ ગણી શકાય. ગીતમાં રૉક અને રૉલ શૈલીની ગિટારનો પ્રયોગ પણ  બહુ અનોખો છે. ….ગીત આજે પણ પણ ઓરકેસ્ટ્રાવાળાઓ વગાડે છે અને આકાશવાણી પર પણ આવતું રહે.
આ બધાંનાં મૂળમાં બંગાળી લોકધુન હશે એવી અપેક્ષા પણ ખોટી નથી ઠરતી. મૂળ ધુનની બારીકીઓને રેકર્ડ કરઈ લેવા માટે સલીલ ચૌધરીને બંગાળી ગૈરફિલ્મી ગીતનાં માધ્યમમાં વધારે મોકળાશ અનુભવાતી હશે. - Jhilmil jhauer boney. (સબિતા ચૌધરી, ૧૯૬૩).
(બંગાળી-)હિંદી - ઉડીયા ગીતો
સલીલ ચૌધરીએ એક જ ઉડીયા ફિલ્મ સંગીતબધ્ધ કરી હતી - Batasi Jhada (1981). ફિલ્મમાં સબિતા ચૌધરીના સ્વરમાં ગીત છે  Rimjhimi Nishaa Bharaaye Raakhi.
સમયના ક્રમ અનુસાર આ ગીતનું આ પહેલાંનું વર્ઝન બંગાળી ફિલ્મ આંતરઘાત (૧૯૮૦)નું ગીત Jaanina jaanina  - કહી શકાય, જે આશા ભોસલેના સ્વરમાં છે.
હિંદી વર્ઝન છેક ૧૯૮૯માં આવેલી સાવ ઓછી જાણીતી ફિલ્મ 'આખરી બદલા'માં સાંભળવા મળ્યું. ગીતના બોલ હતા - જાને કૈસા જાદૂ યે ચલ ગયા, જે આશા ભોસલેએ ગાયું છે.
અહીં જે વિડીયો  છે તે કેબરે-નૃત્ય જણાય છે. એટલે એમ માની શકાય કે બંગાળી અને ઉડીયા વર્ઝન ગીતોની સીચ્યુએશન કંઈક આવા જ પ્રકારની હશે.
(બંગાળી-)હિંદી મરાઠી ગીતો
સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ એક માત્ર મરાઠી ફિલ્મ હતી હતી હૃદયનાથ મંગેશકર નિર્મિત સુનબાઈ (૧૯૮૨). ગૌતમ ચૌધરી લખે છે : પોતાનું પ્રિય ગીત લતાને મરાઠીમાં પણ ગાવું હતું. એ ગીત તેણે બધું મળીને ત્રણ વાર ત્રણ જૂદી જૂદી ભાષાઓમાં ગાયું. મરાઠી ગીત પ્રીત ખૂલે માંજી સોનેરી પણ બહુ સ-રસ બન્યું છે.
૧૯૬૧માં રેકોર્ડ થયેલ મૂળ બંગાળી ગીત સાત ભાઈ ચમ્પા જાગો રે ને તો બધાં ક્લાસિક ગીત માને છે, જે પાછું સિંહાલી લોક ધુન પરથી પ્રેરિત થયેલ લાગે છે.
હિંદીમાં તેનું વર્ઝન, ફિલ્મ મેરે ભૈયામાં ધીમી લયમાં સાંભળવા મળે છે - પ્યાસ લિયે મનવા 
આસામી ગીતો
સલીલ ચૌધરીએ ૧૯૭૦માં અને ૧૯૮૫માં  એમ બે આસામી ફિલ્મોમાં ગીત રચના કરી છે,જેમાંથી કોઈ ગીતનું હિંદી વર્ઝન થયું જણાતું નથી.
ગુજરાતી ગીતો
ગુજરાતીમાં સલીલ ચૌધરીએ એક જ ફિલ્મમાં સંગીત આપ્યું છે - ૧૯૭૮ની ઘર સંસાર. આ ફિલ્મમાં ગુજરાતી લોકગીત ગાયક પ્રફુલ્લ દવે પાસે એમણે વેણીભાઈ પૂરોહિતે લખેલ  હો હાલો હંસા હાલો રે ગવડાવ્યું હતું.
૧૯૮૦માં આ ગીતનું તેમણે બંગાળી વર્ઝન, આશા ભોસલેના સ્વરમાં, 'પરાબેશ'માં કર્યું - O Ghoomer Moyna Paakhi
જે ૧૯૭૫ની મલયાલમ ફિલ્મ 'રાગમ'માં પી. સુશીલાના સ્વરમાં Omanathinkal  સ્વરૂપે થયેલું જોઈ શકાય છે.
અને હવે આજના અંકના અંતની શરૂઆત કરીએ સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ માયા (૧૯૬૧)નાં મજરૂહ સુલ્તાનપુરીએ લખેલ ગીત ઝિંદગી હૈ ક્યા સુન મેરી જાં પ્યાર ભરા દિલ મીઠી જુબાં
કહેવાય છે કે આ ગીતનો પ્રેરણાસ્ત્રોત હતો ચાર્લી ચેપ્લીનની ફિલ્મ 'મુનલાઈટ'નું થીમ સંગીત.
આ ગીતનું ગૈર ફિલ્મી બંગાળી વર્ઝન Jhar Jhar More, જે સલીલ ચૌધરીએ હિંદી ફિલ્મોમાં 'બીસ સાલ બાદ'થી પદાર્પણ કરેલ બંગાળી નાયક બિશ્વજીતના કંઠમાં રેકોર્ડ કરેલ હતું.
સચિન દેવ બર્મન સિવાય એ સમયના બંગાળી સંગીતકારોએ મોહમ્મદ રફીનો ખપ પૂરતોજ ઉપયોગ કર્યો હતો. આજના અંકનું છેલ્લું ગીત સાંભળીએ સલીલ ચૌધરીએ છેક છેલ્લા ઉપાય તરીકે મોહમ્મદ રફી પાસે ગવડાવ્યું હતું એમ કહેવાતું  શૈલેન્દ્રનું લખેલું 'પૂનમ કી રાત(૧૯૬૫)નું દિલ તડપે તડપાયે જિનકે મિલનકો તરસે વો તો ન આયે
 

બંગાળીમાં સલીલ ચૌધરીએ આ ગીત બે ગાયકો પાસે ગવડાવ્યું છે
શ્યામલ મિત્ર
અને દેબબ્રત બિશ્વાસ .


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……