Showing posts with label I Liked these. Show all posts
Showing posts with label I Liked these. Show all posts

Monday, January 4, 2016

ભૂગોળનું વેર \ અમેરિકાની નિયતિ \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહાચક્રવ્યૂહ



ભૂગોળનું વેર \ The Revenge of Geography
ભાગ : ૩ - America’s Destiny \ અમેરિકાની નિયતિ
પ્રકરણ : ૧૫- Braudel, Mexico and Grand Strategy \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ
૭મી ડીસેમ્બરના પ્રકાશિત થયેલ આ પરિચયાત્મક લેખના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં આપણે પુસ્તકની Preface \'પ્રસ્તાવના' અને બીજાં પ્રકરણ ' The Revenge of Geography \ ભૂગોળનું વેર'ના સંકલિત અવતરણનો પરિચય કર્યો હતો. તે પછી ૨૧ ડીસેમ્બર, ૨૦૧૫ના બીજા ભાગમાં આપણે પુસ્તકના બીજા ભાગ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો - નાં બારમા પ્રકરણ  - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા -ની વાત કરી હતી.

આ પરિચયના ત્રીજા અંક અને સમાપનમાં આપણે પુસ્તકના ત્રીજા ભાગ - America’s Destiny \ અમેરિકાની નિયતિ- નાં પંદરમા પ્રકરણ Braudel, Mexico and Grand Strategy \ બ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ - ની વાત કરીશું.
પુસ્તકના અત્યાર સુધી જણાતા મુખ્ય થીમ - યુરેશિયાના સમશીતોષ્ણ પ્રદેશનો વિશ્વના ભૂરાજનૈતિક ઇતિહાસના કૅન્વાસ પર ભૂગોળ-પ્રેરિત પ્રભાવ -ને પ્રસ્તુત પ્રકરણ સાથે સાંકળી લેવા માટે લેખકે ફર્નાન્ડ બ્રૌડેલનાં સૌથી વધુ વગદાર પુસ્તક The Mediterranean and The Mediterranean World in the Age of Philip II - નો આધાર લીધો છે. બ્રૌડેલનાં ભૌગોલિક દિગ્દર્શકયંત્રમાં ભૂમધ્યને સહારાનાં રણની નજદીકમાં રહેલા અનેક સમુદ્રોના સંકુલ તરીકે જૂએ છે. બ્રૌડેલની કહાણીમાં કોઈ એક માણસના અવરોધોને અતિક્રમવાના પ્રયત્નોની વાતને પ્રાધાન્ય આપવાને બદલે લોકસમુહો પર વ્યક્તિનિરપેક્ષ અને ઊંડે સુધી અસર કરતાં માળખાકીય પરિબળોના ધીમે ધીમે થતી અસરો કેન્દ્રસ્થાને જોવા મળે છે. પાણીની અછત અને પર્યાવરણ પ્રેરિત ઘટનાઓથી ગીચોગીચ ભરેલા પ્રદેશોપરની અસરોને બ્રૌડેલ તેમની શૈલી વડે સાહિત્યિક સ્પર્શ અને મિજાજ નો ઓપ આપે છે.
પર્યાવરણીય ફેરફારો અને તેની જૂદા જૂદા પ્રદેશોની અલગ અલગ અસરો એક ચોક્કસ સ્વરૂપે દેખાય તેટલા સમય અંતરાલના પરિપ્રેક્ષ્યની જે વાત બૌડેલ કરે છે એટલા લાંબા ગાળે હવે પછી ભૂરાજનીતિ શું સ્વરૂપે રહેશે તે કહેવું તો મુશ્કેલ જ કહી શકાય. જોકે માનવજાતની કુદરતી પરિબળોની સાથે મુઠભેડને તો દીર્ઘ કાલિન (ફ્રેંચઃ longue duree) પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે ત્યારે જ તે આપણી સમજમાં ઉતરે તે પ્રકારનાં ચિત્ર તરીકે ઉભરી આવે છે તે બાબતની પણ અહીં નોંધ લેવી જોઈએ.
એટલાં દૂરનાં ભવિષ્યની દૃષ્ટિએ જોતાં અમેરિકાના ભૂતકાળ કે વર્તમાનમાં બૃહદ મધ્ય એશિયા કે અફઘાનિસ્તાન, કે પછી ભારતવર્તી નીતિવિષયક વ્યસ્ત વિચારસરણી અને તેને આનુશાંગિક પગલાંઓની સામે તેને ઘરઆંગણે - અમેરિકાની દક્ષિણ સરહદે - ધુંધવાતી રહેલ નિષ્ફળતા આ પ્રકરણનો કેન્દ્રવર્તી વિચાર છે. યુરેશિયાથી આ ઘટના-મંચ ખાસ્સો અંતરે છે, પણ તેનાં મૂળ તો અમેરિકાની ભૂગોળમાં જ છે. પૂર્વમાં પ્રશાંત અને પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર અને ઉત્તરે  કેનેડાનો ઉત્તર ધ્રુવીય પ્રદેશના એ અમેરિકાની ભૌગોલિક સીમાઓ છે. પણ  તેની ખરી સંવેદનશીલ સીમા તો તેની નૈઋત્ય સરહદો છે. ભારતીય ઉપખંડના વાયવ્ય સરહદ પ્રદેશોની જેમ આ સરહદ પણ અહીની સંસ્કૃતિ પર અલગ જ પ્રકારનું દબાણ બનાવી રાખે છે. ઇસવીસનની છઠ્ઠી થી લગભગ અઢારમી ઓગણીસમી સદી સુધીના હિંદ ઉપખંડના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની જેમ જ અમેરિકા અને મેક્ષિકો વચ્ચે આવકનાં સ્તરમાં બહુ જ મોટો તફાવત છે. દુનિયાના કોઈ પણ બે અડોઅડ આવેલા પાડોશી દેશોની આવકનાં સ્તરમાં તફાવતોમાં આ તફાવત સૌથી મોટો છે.
અમેરિકાની અર્ધાથી પણ વધારે દક્ષિણી સીમા, મેક્ષિકો-અમેરિકાનાં ૧૯૪૬-૪૮નાં યુદ્ધ પછીથી, રણની વચ્ચેથી પડાયેલ કૃત્રિમ સરહદ છે.
૧૯૪૦ પછી મેક્ષિકોની વસ્તીમાં પાંચ ગણો વધારો નોંધાયો છે.તેથી પણ નજદીકના સમયમાં જોઈએ તો ૧૯૯૪માં NAFTAમાં સહીસિક્કા થયા બાદ ઉત્તર મેક્ષિકોની વસતી બમણી થઈ ગઈ છે. આમ છતાં અમેરિકાના પૂર્વકિનારામાં વસતા રાજકીય બૌદ્ધિક ભદ્ર વર્ગને જેટલાં ઇસ્રાયેલ કે ચીન કે ભારત સ્પર્શે છે તેટલું મેક્ષિકો નથી અડતું. પણ એ તો ભાવિ વાસ્તવિકતા દેખાય જ છે કે અન્ય કોઈ દેશ કરતાં અમેરિકાની નિયતિ પર મેક્ષિકોની અસરો બહુ વ્યાપક સ્તરે પડશે.
નશાખોર પદાર્થોને કારણે થતાં ખૂનોમાંનાં સૌથી વધારે ખૂનો મેક્ષિકોનાં ૩૨ રાજ્યોમાંથી ઉત્તર મેક્ષિકોનાં છ રાજ્યોમાં નોંધાયાં છે. ઉત્તર મેક્ષિકો મેક્ષિકોના બીજા વિસ્તારોથી કેટલું જૂદું પડે છે તે આ એક બાબતથી જ સમજી શકાય છે. બહુરાષ્ટ્રીય નશાખોર દ્વવ્યોની ટોળકીઓના તાબાવાળી આવી ૨૦૦૦ માઈલ લાંબી સરહદ અમેરિકા ઉત્તર મેક્ષિકો સાથે ધરાવે છે.
અમેરિકા એંગ્લો-પ્રોટેસ્ટંટ વસાહતીઓનો અને દેશાંતરવાસીઓનો દેશ છે. અમેરિકાના સમાજનો દાર્શનિક અને સાંસ્કૃતિક આધાર-સ્થંભ જ એંગ્લો-પ્રોટેસ્ટંટ વસાહતીઓને કહી શકાય. અમેરિકામાં વસવા આવતા દેશાંતરવાસીઓએ અમેરિકન તરીકે સ્વીકારાવા માટે એ એંગ્લો-પ્રોટેસ્ટંટ સંસ્કૃતિને અપનાવવી જ પડે છે. અમેરિકાની પરંપરાગત ઉદારમતવાદી વિચારસરણીનું મૂળ જ તેનો પ્રોટેસ્ટંટવાદી  વિચારધારામાંથી થયેલ જન્મ છે. હવેનાં વર્ષોમાં અમેરિકામાં સ્થળાંતર માટે આવી રહેલ સ્પેનીશ-ભાષી દક્ષિણ અમેરિકન પ્રવાહ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઓછું વૈવિધ્ય ધરાવતું પરિબળ હોવાને કારણે વૈવિધ્યની ચુસ્તપક્ષકાર ઉદારમતવાદી અમેરિકન વિચારધારામાં માર્મિકપણે ફરક પાડતો રહેશે.
આ આખી વાતમાં આગળ પડતી ભૂમિકા તો ભૂગોળની જ છે. આજનાં ટેક્ષાસ, ન્યુ મેક્ષિકો, એરીઝોના, કેલીફોર્નીયા, નેવાડા અને ઊટાહ ૧૮૩૫-૩૬ની ટેક્ષાસની સ્વતંત્રતાની લડાઈ અને મેક્ષિકો-અમેરિકાનાં ૧૯૪૬-૪૮નાં યુદ્ધ સુધી તો મેક્ષિકોના જ ભાગ હતાં. એ પણ સંજોગોની ભૌગોલિક વિશેષતા છે કે આ પ્રદેશો જ અમેરિકાનાં નવાં અશ્મિભૂત બળતણ - શેલ ગેસ \ shale gas (પોચા પથ્થરોમાંથી નિકાળાતો કુદરતી વાયુ)-ના મુખ્ય પેદાશકારો છે જે અમેરિકાને તેલ-વાયુના ચોખ્ખા આયાતકારમાંની ચોખ્ખા નિકાસકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહેલ છે.
મેક્ષિકો જ એક એવો દેશ છે જેના પર અમેરિકાએ આક્રમણ કર્યું છે, તેની રાજધાની પર કબજો કર્યો હતો અને તેના ઘણા પ્રદેશો પોતાનામાં ભેળવી દીધા છે. કદાચ આ કારણથી આ એકસમયે પોતાના સ્વદેશના જ ભાગરૂપ પ્રદેશોમાં આવીને વસતા દેશાંતરવાસીઓને અન્ય કોઈ પણ બીજા દેશાંતરવાસીઓ કરતાં વધારે 'ઘર જેવું' અનુભવાય છે. ત્રીજી પેઢીના મેક્ષિકન-અમેરિકનોનો તેમની માતૃભાષા સાથે જળવાઈ રહેલ વધારે મહાવરો પણ આ હિસ્પેનિક સમુદાયોની અન્ય દેશાંતરવાસીઓની વસ્તીઓ કરતાં વધારે ગીચતાને કારણે જ છે એમ કહી શકાય.
ખરેખર તો ૨૧મી સદી દરમ્યાન અમેરિકા બે મહાસાગરોની વચ્ચેના પૂર્વથી પશ્ચિમના સમશિતોષ્ણ, ગૌરવર્ણી ચામડી ધરવાતાં લોકોની સંસ્કૃતિ ધરાવનાર દેશને બદલે  ઉત્તરથી દક્ષિણ તરફ પોલીનેસીયા-વ-સ્પેનિશઅમેરિકનમિશ્ર સંસ્કૃતિ તરીકે ઉભરશે. માત્ર ટેક્નોલોજીના બલબૂતા પર જ નહીં પણ મેક્ષિકો અને મધ્ય અમેરિકાની વસ્તીનાં દબાણથી પણ તે બાકીની દુનિયાની વધારે દુનિયાની નજદીક સરકશે.
પણ આ દર્શન સફળ થવા માટે નિષ્ફળ નહીં, પણ  સફળ મેક્ષિકો આવશ્યક છે. અમેરિકા તરફી કોલંબિયાની સાથે સ્વાભાવિક સૂરમાં કામ કરતું સ્થિર અને સમૃદ્ધ મેક્ષિકો  પશ્ચિમ ગોળાર્ધના વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા, ત્રીજા અને ચોથા દેશને એકબીજામાં જોડી શકવાનું સામર્થ્ય ધરાવે છે.
પરંતુ મેક્ષિકો અત્યારે ત્રિભેટે ઝળુંબી રહેલ છે - એકતરફ તે નશીલાં દ્રવ્યની ટોળકીઓની સામે બાથ ભીડવાના પ્રારંભિક તબક્કામાં કહી શકાય તો બીજી બાજૂ તે સાવ અરાજકતામાં ખુંપતું દેખાય, તો વળી ક્યારેક બંને દિશાઓ ભણી ખેંચાવાની દશામાં દેખાય છે. આવા પાતળી દોરીને તાંતણે લટકી રહેલ  ભવિષ્યના સંજોગોમાં અમેરિકા જે કંઇ કરશે તે સમગ્ર ખેલનાં ભાવિની દિશા નક્કી કરનારૂં નીવડી શકે છે.
આર્નોલ્ડ જે. ટોયન્બીનું કહેવું રહ્યું છે કે અતિવિકસિત સમાજ અને સાવ વણવિકસિત સમાજની સીમાઓ વચ્ચે સંતુલન શક્ય નથી, વણવિકસિત સમાજ તરફ સીમા આગળ વધે.[1]
આમ, મેક્ષિકો અને કેનેડા સાથે મળીને એક સૂત્રથી જોડાયેલ, દ્વિભાષી મહારાજ્ય જેવી કોઈ સંરચના અમેરિકા મૂર્ત કરી શકશે કે કેમ તેના પર તેની આર્થિક સત્તા કે સાંસ્કૃતિક સત્તા કે નૈતિક સત્તા કે પછી રાજકીય કે લશ્કરી સત્તા મહદ્‍ અંશે નિર્ભર કરશે.
અંતમાં, “વૈશ્વિક લડાઈઓ, તેમ જ વૈશ્વિક શાંતિ,માં દરેક ક્ષેત્રો અને વિસ્તારો એક બીજાં સાથે જોડાયેલ હોય છે. એકબીજાંથી ભલે ગમે તેટલાં દૂર હોય, પણ ગમે તે એકમાં થતી સફળતા કે નિષ્ફળતાની બીજાં બધાં પર તરત જ, નિર્ણાયક અસરો પડીને જ રહે છે." ૧૯૪૪માં લેખકના મરણોપરાંત પ્રકાશિત થયેલ આ કથન આજે તે સમય કરતાં પણ વધારે સાચું જણાઈ રહ્યું છે
.[2]  

Monday, December 21, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography - ભારતની ભૂરાજનૈતિક દ્વિધા



ભૂગોળનું વેર \ The Revenge of Geography
ભાગ : ૨ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો
પ્રકરણ : ૧૨ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા

૭મી ડીસેમ્બરના પ્રકાશિત થયેલ ના પરિચયાત્મક લેખના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં આપણે પુસ્તકની Preface \'પ્રસ્તાવના' અને બીજાં પ્રકરણ 'The Revenge of Geography \ ભૂગોળનું વેર'ના સંકલિત અવતરણનો પરિચય કર્યો.

આજે હવે પુસ્તકના બીજા ભાગ - The Early-Twenty First Century Map \ ૨૧મી સદીની શરૂઆતનો નકશો - નાં બારમા પ્રકરણ - India’s Geopolitical Dilemma \ ભારતની ભૂરાજનૈતિક દ્વિધા - માં હિદ ઉપખંડના ભૌગોલિક ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ભારતની વર્તમાન ભૂરાજનૈતિક દ્વિધા અને તેના માટેના ભાવિ માર્ગની સંભાવનાઓની વાત લેખક કરે છે.

પશ્ચિમ અને નૈઋત્ય તરફ અરબી સમુદ્ર. પૂર્વ અને ઈશાન તરફ બંગાળનો ઉપસાગર, પૂર્વ તરફ બર્માનાં પહાડી જંગલો અને ઉત્તર અને વાયવ્ય તરફ હિમાલય અને કારાકોરમ અને હિંદુ કુશની પર્વતમાળા ભારતને બહારથી પોતાનું નૈસર્ગિક ભૂરાજનૈતિક તર્કબધ્ધ અસ્તિત્વ બક્ષે છે. અંદરની બાજૂએ પણ ભારત ખાસો વિશાળ પ્રદેશ છે. તેના અને ચીનમાં એક માત્ર ફરક છે ચીનની વાઈ ખીણ કે હુઆંગ હે (પીળી નદી)ની ખીણની વસ્તીનાં સાંસ્કૃતિક ઘડતર કરતી ધરુવાડીનો. ગંગાના વિશાળ પટમાં ભારતના દક્ષિણ દ્વીપકલ્પની સાથે એક સંસ્કૃતિને તાંતણે બાંધતો મંચ રચાઈ નથી શક્યો. ગંગા, બ્રહ્મપુત્ર, નર્મદા, તુંગભદ્રા, કાવેરી, ગોદાવરી અને એવી અનેક નદીઓ વચ્ચે દેશના સમાજની સંસ્કૃતિઓ વહેંચાઈ ગયેલ છે.

ભારતની આબોહવા અતિગરમ અને વિષમ છે. પ્રાદેશિક રીતે સમગ્ર યુરેશિયામાં આ અતિસમૃદ્ધ જમીન અને ઘટાટોપ વનરાશી તેની કુદરતી બક્ષિસ છે. આ કારણે તેમાં વસતાં લોકોને સંસાધનોના વિકાસ અને વહેંચણી માટે ચીન કે યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશ જેવી રાજકીય વ્યવસ્થા ઊભી કરવાની કોઈ ખાસ જરૂર જ ન પડી.

એક ઉપખંડ તરીકે હિંદ ઉપખંડની ભૌગોલિક પરિસ્થિતિ જેટલી સ્પષ્ટ છે તેટલી જ અસ્પષ્ટ અને નબળી આજનાં ભારતની વર્તમાન રાજકીય સીમાઓ છે. એક સ્વતંત્ર દેશ તરીકે વર્તમાન ભારત રાજ્યની સીમાઓ તેની ઉપખંડીય કુદરતી સીમાઓ સાથે સુસંગત નથી. ભારતની દ્વિધાનું મૂળ આ હકીકતમાં સમાયેલ છે.

ઇસવી સનની સાતમીથી સોળમી સદીમાં વાયવ્ય ભૂમાર્ગે આવતા રહેતા આક્રમણકારો માટે દિલ્હી એક સ્વાભાવિક ભૌગોલિક પરિબળ હતું. દિલ્હીની પીઠ તરફ ઇસ્લામિક વિશ્વ છે તો તેની સામે છે હિંદુ વિશ્વ. મોગલ સામ્રાજય આ સાંસ્કૃતિક અને રાજકીય હકીકતનું વિસ્તરણ છે. લગભગ ખરા અર્થમાં છેલ્લા કહી શકાય એવા મોગલ શાસક ઔરંગઝેબની સ્થિતિ દિલ્હી-સ્થિત શાસકોની સદીઓથી ચાલી આવતી સ્થિતિનું જ પ્રતિબિંબ બની રહી - (ભૌગોલિક) ઉત્તર અને વાયવ્ય પ્રદેશો એક શાસકીય વ્યવસ્થાના તાબામાં રહેતા આવ્યા પણ દક્ષિણ હિંદુસ્તાન પર તેનું સાર્વભૌમત્વ હંમેશાં શંકાના દાયરામાં જ રહેતું આવ્યું છે.

ભારત પરના પહેલાંના વિદેશી શાસકો જમીન માર્ગની સત્તાઓ હતી, પણ બ્રિટિશરો તો પોતાનો પગદંડો સમુદ્ર માર્ગે જમાવ્યો. દિલ્હીને રાજધાની બનાવી તે પહેલાં બોમ્બે, મદ્રાસ કે કલકત્તા પ્રેસીડન્સીઓની શાસન વ્યવસ્થા બ્રિટિશ શાસકોની સમુદ્ર પરની પકડ બતાવતી હતી. પરંતુ તે પછીથી ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે પૉલ્ક સામુદ્રધુની સુધી અને પશ્ચિમે કરાચીથી પૂર્વમાં ચિત્તાગોંગ (હવે ચટગાંવ) સુધી રેલ્વેની જાળ વડે તેમણે સમગ્ર ભારત પર પોતાનું શાસન જમાવ્યું. મૂળ હિંદુ પ્રજા અને આક્રમણકારી મુસ્લિમોની વચ્ચે પરાપૂર્વથી ચાલતી આવેલી દુશ્મનાવટનાં વાતાવરણમાં બ્રિટિશરોનું સમુદ્ર માર્ગે થયેલું આગમન બંને પ્રજાઓને સમાંતરે તટસ્થ લાગ્યું.

ભારત જ્યારે ઉપખંડના નકશાને જૂએ ત્યારે વાયવ્યમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, ઉત્તર અને ઈશાનમાં નેપાલ અને ભુતાન કે પૂર્વમાં બાંગ્લાદેશને પોતાનાં પ્રભાવનાં ક્ષેત્ર તરીકે જૂએ છે. પર્શિયન અખાતમાં ઈરાન કે પૂર્વ-સોવિયેત રશિયાનાં મધ્ય એશિયાનાં રાજ્યો કે બર્માને ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં ભારતના પડછાયાના વિસ્તાર ગણી શકાય. આ ક્ષેત્રોને આ દૃષ્ટિએ ન જોવા એ ઇતિહાસ કે ભૂગોળના બોધપાઠ સામે આંખ બંધ કરી દેવા બરાબર જ કહી શકાય.

સંસ્કૃતિ કે વ્યાપારના ઐતિહાસિક ભૂરાજનૈતિક પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પાકિસ્તાન ઉપખંડને મધ્ય એશિયા સાથે જોડતી કડી છે....સ્થિર અને ઠીક ઠીક અંશે મધ્યવિચારસરણીને અનુસરતું અફઘાનિસ્તાન દક્ષિણ મધ્ય એશિયા માટે જ નહીં પણ યુરેશિયા માટે પણ જુદા જુદા પરિબળોને કેન્દ્રિત કરી રેલ અને રોડ માર્ગ તેમ જ પાઈપલાઈન વડે એક તાંતણે જોડતા પ્રદેશ તરીકે પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. શાંત અફઘાનિસ્તાન આ પ્રક્રિયામાં પોતાના જ પ્રદેશ ઉપરાંત પાકિસ્તાનને પણ આવરી લઈ શકે છે. કુદરતી ભૌગોલિક અસ્થિરતામાં જન્મતી રહેતી પાકિસ્તાનની સામાજિક અને રાજકીય ઉથલપાથલોની અસ્થિરતાનો કદાચ આ જ એક નિર્ણાયક ઉપાય કહી શકાય !

જો કે હાલની સ્થિતિ આ ચિત્રથી સાવ જ જુદી છે.... લગભગ બધા જ સંદર્ભમાં ધર્મનિરપેક્ષ પણ ઐતિહાસિક કે સામાજિક દૃષ્ટિએ હિંદુ બહુમતીવાળાં ભારતને એક ૨૧મી સદીનાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે મુસ્લિમ ઇતિહાસ અને ભૂગોળની પકડમાંથી મુક્ત થવાની અકથિત, પણ ખૂબજ પ્રબળ લાગણી, હોય તે પણ સ્વાભાવિક જ ગણી શકાય. આ હરિફાઈ કે નજદીકના ઈતિહાસની કડવાશ માટે કોઈ નક્કર ઇતિહાસ તો કારણભૂત તો છે જ નહીં એટલે તેની ચીન સાથેની હરિફાઈને પણ આ પકડમાંથી છૂટવાની એક પ્રતિક્રિયાત્મક ભાવના કહી શકાય,

આંતરખંડીય પ્રક્ષેપાત્રો, મહાકાય વિમાનવાહક જહાજો કે અવકાશમાં મોકલાતા કૃત્રિમ ઉપગ્રહો જેવી આધુનિક ટેક્નૉલોજી એક બાજુ ભૂગોળનું મહત્ત્વ ઘટાડી રહી છે તો બીજી બાજૂએ ભૂરાજનીતિના નવા સંદર્ભો ભૂગોળને નવા પરિપ્રેક્ષ્યોમાં રજૂ કરી રહેલ છે.

જૂના સમયનાં ચીનની રાજસત્તાઓની સીમાઓ આજનાં ચીનની રાજકીય સીમાઓને બહુ જ સમાંતર રહી છે, પણ ભારતના કિસ્સામાં આવું નથી થયું. ચીનની સીમાઓ દૂર પૂર્વનાં રશિયાથી લઈને મધ્ય અને આગ્નેય એશિયા સુધી તેનો પ્રભાવ વિસ્તારે છે. તેની સરખામણીમાં ભારત અફઘાનિસ્તાન અને તેના જેવા અન્ય પડછાયાનાં ક્ષેત્રોમાં ચાલી રહેલી આંતરિક અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓને બહુ સ્વસ્થતાથી જોઈ ન શકે તે સમજી શકાવું જોઈએ. ચીન માટે સંભાવ્ય ચિંતાની બાબત તેની અંદર વસતી તુર્ક, મોંગોલ કે તિબેટી લઘુમતીઓની પોતાની ઓળખ જાળવી રાખવા માટેનો ભારેલો ધુંધવાટ છે. આ કારણે ચીન પોતાનાં અથતંત્રના હવે પછીના વિકાસના સંદર્ભમાં જે કંઈ નીતિઓ ઘડશે તેમાં તેની સામાજિક પરિસ્થિતિઓનાં પરિબળોનાં એકબીજાં સાથે સંકળાયેલ સમીકરણોને પણ આવરી લેવાં પડશે. આ પરિવર્તન માટે જે કંઈ પગલાં લેવાશે તેની અસરો ચીનના પડછાયાના પ્રદેશોનાં સામાજિક અને રાજકીય જીવન પર તો પડશે જ, પણ સાથે સાથે સમગ્ર વિશ્વનાં સંતુલન પર પણ તેનો પ્રભાવ પડશે.

પોતાની ભૌગોલિક મર્યાદાઓમાં જ્યાં સુધી ભારત ઘેરાયેલું રહેશે ત્યાં સુધી તેના પ્રભાવનું ક્ષેત્ર પોતાના પ્રદેશ સુધી જ મર્યાદિત રહેશે; એ જેટલું આ ભૂરાજનૈતિક સીમાઓને અતિક્રમતું રહેશે તેટલું તે આંતરરાષ્ટ્રીય ખેલમાં પોતાની ભૂમિકાનું મહત્ત્વ વધારતું રહી શકશે.

તા. ૪ જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થનાર આ પરિચયના ત્રીજા અંકમાં આપણે પુસ્તકના ત્રીજા ભાગ - America’s Destiny \ અમેરિકાની નિયતિ - નાં પંદરમા પ્રકરણ Draudel, Mexico and Grand Strategy \ ડ્રૌડેલ,મેક્ષિકો અને મહા ચક્રવ્યૂહ - ની વાત કરીશું.

Monday, December 7, 2015

ભૂગોળનું વેર \ The Revenge of Geography

ભૂગોળનું વેર \ The Revenge of Geography
આવનારા સંધર્ષ અને ભવિષ્ય સામેની લડાઈ વિષે નકશા આપણને શું કહી જાય છે


રૉબર્ટ ડી કપ્લાનનું આ ચૌદમું પુસ્તક છે. ભૂતળીય ભૌગોલિક નકશાઓની રેખાઓ પર આપણા રાજકીય વિચારોને દોરી જવા માટે ભૂતકાળના ઇતિહાસના પ્રસંગોને ભૌગોલિક રાજનીતિના વિચારકોની વિચારસરણીનો રસાળ આધાર આ પુસ્તકની વિશેષતા કહી શકાય.

પુસ્તકની રજૂઆત ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી છે.

પુસ્તકના પહેલા ભાગ - Visionaries \ દીર્ઘદ્રષ્ટાઓ-માં નજદીકના તેમ જ દૂરના ભૂતકાળના મહત્ત્વના ભૂગોળશાસ્ત્રીઓ અને ભૌગોલિક રાજનીતિના વિચારકોનાં ઇતિહાસના મહત્ત્વના વળાંકો પરનાં વિવરણોના પાયા ઉપર હવે પછી નજરે પડવાની સંભાવનાઓવાળી ઘટનાઓને જોવાનો મંચ લેખક ઘડે છે.

બીજા ભાગ - The Early-Twenty First Century Map \૨૧મી સદીની શરૂઆતનો નકશો - માં કપ્લાન યુરોપ, રશિયા, ચીન, ભારતીય ઉપખંડ, તુર્કી, ઈરાન અને મધ્ય પૂર્વીય આરબ જગતમાં બનેલી તાજેતરની કટોકટીની ઘટનાઓમાંથી શીખવા મળેલા બોધપાઠને અર્થઘટિત કરે છે.

ત્રીજા ભાગ - America’s Destiny \અમેરિકાની નિયતિ -માં ઉત્તર અમેરિકાના ઉપખડના સંદર્ભમાં અમેરિકાની ભૂતકાળની, વર્તમાન અને ભાવિ વિદેશ નીતિનું વિવેચનાત્મક વર્ણન કરાયું છે.

કોઈપણ પુસ્તકના એક જ લેખમાં કરાતા વિહંગાવલોકન સમા પરિચયને બદલે પુસ્તકની ખરી ભૂમિકાને સમજવા અને આપણને સીધી રીતે વધારે અસર કરતા વિષયો વિષે થોડું વિસ્તારથી સમજવા માટે કરીને આપણે પણ આ પરિચય ત્રણ હિસ્સામાં કરીશું. પહેલા હિસ્સામાં પુસ્તકની પ્રસ્તાવના અને પહેલા ભાગનાં બીજાં પ્રકરણ, બીજા હિસ્સામાં પુસ્તકના બીજા ભાગનાં બારમાં પ્રકરણ અને ત્રીજા હિસ્સામાં ત્રીજા ભાગનાં પંદરમાં પ્રકરણનાં અવતરણની મદદથી આપણે પુસ્તકથી પરિચિત થશું.

પ્રસ્તાવના – Frontiers \ સીમાડાઓ -માં લેખકે તેમનાં આ પહેલાંનાં ચાર પુસ્તકો - Soldiers of God (૧૯૯૦), An Empire of Wilderness (૧૯૯૮), Eastward to Tartary (૨૦૦૦) અને Hog Pilots, Blue Water Grunts (૨૦૦૭-ની સામગ્રીનો આધાર લીધો છે. મેદાનીય વિસ્તારો પર રોગચાળાની જેમ ત્રાટકતા રહેતા આધુનિકીકરણની અસરો સામે પોતાના પ્રદેશની સંસ્કૃતિને સાચવવાની ભૂમિકા પર્વતમાળાઓ ભજવે છે. જો કે આજના સમયમાં માર્ક્સિસ્ટ ગેરીલાઓ કે નશીલા પદાર્થોની હેરફેર કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીઓનાં છૂપાં આશ્રયસ્થાન તરીકે પણ તેમનો ઉપયોગ કરાય છે તે વળી સાવ અલગ બાબત છે....બહુ જ મોટી ઉથલપાથલ જેવા રાજકીય કે સામાજિક પરિવર્તનોના સમયમાં નકશાઓનું મહત્ત્વ વધી જાય છે.પગતળેથી જ્યારે રાજકીય જમીન ખસકી જતી હોય છે ત્યારે હવે પછી શું થઈ શકે એ સમજવામાં નકશો મહત્ત્વ નું યોગદાન આપી શકે છે. એક સમયે રાજકીય રીતે વિભાજિત રહેલા જર્મની કે વિયેતનામ કે યેમેન જેવા દેશોના નકશાઓ એ વાતનો પુરાવો કહી શકાય કે તલવાર વીંઝીને પાણીને ગમે એટલો સમય અલગ રાખવાની કોશીશ કરવામાં આવે, તેમની મૂળભૂત એકતા આખરે તો હાવી થશે જ. એ ઘટનાઓ અણધારી હોવાની, કે હિંસક પણ બની રહેવાની, કે જ્યારે થવા માડે ત્યારે અતિઝડપથી થવાની સંભાવનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ.

વાત વાતમાં 'સપાટ દુનિયા'નાં ગાણાં ગાતાં, લોકમત પર પોતાનો પ્રભાવ છાંટતાં રહેતાં બૌદ્ધિકો કલાકોમાં દુનિયાને એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે એવા આજના જેટ અને માહિતી યુગની ઝડપમાં લુપ્ત થતી જતી આપણી સંવેદનશીલતાને આપણે સતેજ કરવાની જરૂર છે….

ભૂગોળને પૃથ્વીનું વર્ણન કહીને તેને મોટે ભાગે નિયતિવાદ સાથે જોડીને તેને માનવ પસંદગીને સીમિત કરનારની છાપ મારી ઉતારી પાડવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે ભૂતળ નકશાઓ અને વસ્તીના અભ્યાસો પરંપરાગત વિદેશ નીતિની સંકુલતામાં એક મહત્ત્વનું પાસું ઉમેરે છે, અને એ રીતે દુનિયાને જોવાની એક શક્તિશાળી નજર બક્ષે છે. દુનિયાને જેમ જેમ સદીઓની લાંબી દૃષ્ટિથી જોઈએ છીએ તેમ તેમ ભૂગોળની ભૂમિકા વધારે ને વધારે અગત્યની બનતી જાય છે... ભલેને પછી આપણે બહારનાં સૂર્યમંડળમાં ઉપગ્રહો તરતા મૂકતાં થયાં હોઈએ, કે પછી નાણાંકીય બજારો અને સાઈબરવિશ્વમાં ભલે સીમાઓ ભુંસાઈ ગઈ હોય, હિંદુ કુશની પર્વતમાળા આજે પણ દુર્જેય તો છે જ..

બીજાં પ્રકરણ – The Revenge of Geography \ ભૂગોળનું વેર –માં હૅંસ જે મૉર્ગૅનથૌ (Politics Among Nations : The Struggle for Power and Peace) તેમની રજૂઆતની શરૂઆતમાં જ કહે છે કે આપણી દુનિયા માનવીના જન્મજાત સ્વભાવમાં જે પરિબળો રહેલાં છે તેનું જ પરિણામ છે. માનવ સ્વભાવ ભય, સ્વાર્થ અને માનથી પ્રેરાય છે. 'દુનિયાને સુધારવી હોય, તો આ પરિબળોની સામે નહીં, પણ સાથે રહેવું જોઈએ.' માનવ સ્વભાવ દુનિયામાં સતત સંધર્ષ અને બળજબરી પેદા કરતો રહે છે. દરેક માનવ પ્રવૃત્તિઓમાં, તેમાં ય રાજ્યોની તો ખાસ, હાવી થવાની ભાવના તો સમાયેલી જોવા મળતી જ હોય છે. માત્ર સત્તા જ સત્તાને નાથી શકે.

વાસ્તવવાદીઓ સ્વતંત્રતા કરતાં વ્યવસ્થાને વધારે મહત્ત્વ આપે છે - વ્યવસ્થા પ્રસ્થાપિત થયા પછી જ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાય છે. સાર્વભૌમત્વ અને જોડાણો સાવ ખાલી જગ્યામાં શક્ય નથી બનતાં; તે તો બીજાં સાથેના મતભેદોમાંથી જ પેદા થાય છે.

નકશો એ માનવ ભાગલાઓનું સ્થળ વિષયક નિરૂપણ છે. નકશા હંમેશાં સાચું જ કહેતા હોય તેમ જરૂરી નથી. તે કોઈ પણ અન્ય સામાન્ય વાત જેટલા જ વસ્તુલક્ષી હોઈ શકે છે. નકશા ભૌતિક છે અને એટલે જ મોટેભાગે તટસ્થ હોય છે. ખાસા જોખમી સાધન હોવા છતાં, નકશા વિશ્વ રાજકારણને સમજવા માટે અગત્યના તો છે જ.

કુદરત જે કંઈ લાગુ કરે છે તેને માનવી નકારતો ફરે છે. માણસનાં કામો ભૂગોળ દ્વારા લાગુ પડાતાં ભૌગોલિક પરિમાણોથી જ સીમિત બને છે. પણ તેમ છતાં તેની યુક્તિપ્રયુક્તિઓને પૂરતી મોકળાશ મળી રહે તેટલી આ સીમાઓ વિષાળ પણ છે... દુનિયાની મોટા ભાગની નીર્બળ વસાહતો ચારેબાજુ જમીનથી ઘેરાયેલી જગ્યાઓમાં વસતી જોવા મળે છે. ૪૫0 ઉત્તર અને દક્ષિણ રેખાંશની વચ્ચેના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાંની વસાહતો સામાન્યતઃ ગરીબાઈ અનુભવતી જોવા મળશે.ઉચ્ચ આવકોવાળી વશાગતો મધ્ય અને તેના ઉપરના રેખાંશના પ્રદેશોમાં વસતી જોવા મળશે. એક સરખાં હવામાનમાં ટેક્નોલોજીનો પ્રસાર વધારે સહેલાઈ થી થઈ શકે છે, જેની અસર રૂપે પૂર્વ-પશ્ચિમતરફ ફેલાયેલ સમશીતોષ્ણ ક્ષેત્રમાં વસેલ યુરેશિયા સહારાની નીચે ઉત્તર-દક્ષિણ દિશાઓમાં વસેલ આફ્રિકન દેશો કરતાં વધારે સમૃદ્ધ છે.જમીનની ફળદ્રુપતાને કારણે વસ્તીની ગીચતા વધારે હોય, પણ ગીચ જંગલોને કારણે રેલ અને રસ્તાઓ ઓછાં હોય કે સમુદ્ર વગેરે બાહ્ય સંપર્ક ઓછા હોવાને કારણે આર્થિક વિકાસ ઓછો શકય બન્યો હોય તે પ્રદેશોમાં સરેરાશ સમૃદ્ધિ ઓછી જોવા મળશે.

સ્વતંત્રતાના દુશ્મન જમીનદારોને દૂર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સમુદ્રથી સુરક્ષિત હોવાને કારણે અમેરિકા અને બ્રિટન મુક્ત સમાજની પરિકલ્પનાને ઉજાગર કરી શક્યા. વીસમી સદીના મધ્ય ભાગમાં યુરોપમાં જોવા મળતા લશ્કરવાદ અને પરિણામલક્ષી વાસ્તવવાદને સમુદ્રનું પરિણામ કહી શકાય, નહીં કે તેનાં પ્રકૃતિગત ચરિત્રનું. ખીચોખીચ ભરેલા ખંડમાં એકબીજાંની હરિફાઈ કરતાં રાજ્યો અને સામ્રાજ્યો અડોઅડ વસ્યાં હતાં.જો લશ્કરી ચાલમાં કોઈ મોટી થાપ ખવાઈ જાય તો યુરોપનાં રાષ્ટ્રો પાસે સમુદ્રનો આશરો લેવાનું બારૂં આસાન નહોતું. આ કારણે સાર્વત્રિક નૈતિકતા તેમની નીતિઓને આધારમાં રાખવું અવહેવારૂ હતું. દેશની બે સીમાઓ પર આવેલા બે મહાસાગરોએ અમેરિકાના આદર્શવાદને તો પોષ્યો જ, પણ સાથે સાથે એક બાજુ એટલાંટિકને પાર યુરોપ અને બીજી બાજુ પ્રશાંત મહાસાગરની પેલે પાર પૂર્વ એશિયાના રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે પણ સંબંધ કેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.

ભૌગોલિક, ઐતિહાસિક કે માનવવંશીય ખાસીયતો ભવિષ્યની ઘટનાઓ પર પ્રભાવ જરૂર પાડે છે, પણ તેમાં નિર્ણાયક ભૂમિકા નથી ભજવતાં. પરંતુ, એટલું પણ ચોક્કસ છે કે રૉબર્ટ કપ્લાન આ પુસ્તક વડે ગઈકાલે જે હતી કે આવતી કાલે જે હશે તે ભૂગોળ વિષે વિચારતા તો જરૂર કરી મૂકે છે.એરિક કૌફમૅન નોંધે છે કે, પ્રાકૃતિક અવરોધના અભાવને કારણે અનુભવાતી અસલામતી કે સમુદ્ર પાસેની કે સંસાધનોના સ્ત્રોતો પાસેની વ્યૂહાત્મક નજ્દીકી કે થાણાંઓ સ્થાપવા માટેની કે પાઈપલાઈનો બીછાવવા માટેની નૈસર્ગિક સગવડો જેવી પ્રથમ કક્ષાની ભૌગોલોક અસરોનો સંદર્ભ આજના અને ભવિષ્યમાં વિકસનાર આંતરખંડીય આણ્વીક મિસાઈલો કે માહિતી ટેકનોલોજીના જમાનામાં નવા અર્થઘટન સ્વરૂપે જોવાની જરૂર છે. ઉકળતા ચરૂઓ જેવી રાષ્ટ્રીય ઓળખની ચળવળો જેવી બીજી કક્ષાની ભૌગોલિક અસરો કે રૂઢિવાદી ધાર્મિક ઉથલપાથલ જેવી ત્રીજી કક્ષાની ભૌગોલિક અસરો તેનાં ભૌગોલિક મૂળીયાંની પકડમાંથી મુક્ત થઈ રહેલ છે. આવા બદલતા ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સુખ અને શાંત , આદર્શ, વિશ્વની સ્થાપનાના આપણા આદર્શોને ધૂળ, પથ્થર કે અંતરની ભૌગોલિક સીમાઓની જે મર્યાદાઓ નડી શકે છે તે અંગે જાગૃત કરવાની આલબેલ પોકારવાનું કામ કપ્લાન કરી આપે છે.


પોતાનાં પુસ્તક The Revenge of Geography વિષે ચર્ચામાં લેખક રૉબર્ટ કપ્લાન સમજાવે છે કે આ સદીની ઝળુંબી રહેલ રાજકીય કે સામાજિક ઉથલપાથલોને રોકવામાં સમયાતીત સત્યો અને કુદરતી હકીકતો શી રીતે મદદરૂપ બની શકે.



તા. ૨૧ ડીસેમ્બર, ૨૦૧૫ના પ્રકાશિત થનાર આ પરિચયના બીજા અંકમાં આપણે પુસ્તકના બીજા ભાગનાં બારમા પ્રકરણ India’s Geopolitical Dilemma \ભારતની ભૂરાજનૈતિક મથામણની વાત કરીશું