Showing posts with label Kutch. Show all posts
Showing posts with label Kutch. Show all posts

Monday, November 3, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪ : દરિયાની આંખે આંસુ

શ્રી કીર્તિ ખત્રીના 'કચ્છમિત્ર' સાથેના કાર્યકાળના લેખો પરથી શ્રી માણેકલાલ પટેલ દ્વારા સંપાદિત 'કલમ કાંતે કચ્છ'પુસ્તક શ્રેણીના ૪થા પુસ્તક "દરિયાની આંખે આંસુ"ની વાત આજે કરીશું.

સંપાદન કરતી વખતે લેખક અને સંપાદકે દરેક પુસ્તકના વિષયને બહુ જ સબળ શીર્ષકની મદદથી સ્પષ્ટ કર્યો છે.

કચ્છનો કાંઠો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ મનાતો. ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય કારણોસર કચ્છના દરિયા કિનારાનો સીમાડો દુર્ગમ અને જટિલ રહ્યો છે.તેમ છતાં (અથવા કદાચ, તેને કારણે)દાણચોરીની પ્રવૃત્તિનાં પરિમાણો સમગ્ર રાષ્ટ્રની સલામતી સુધી પોતાનો પ્રભાવ ફેલાવતાં રહ્યાં છે. કીર્તિભાઇની કલમ દેશવિરોધી પ્રવૃત્તિઓની સામે જેહાદ, જાસૂસીની ચકચાર અને આપણી જે તે સમયની સરકારોને જાગતા રહેવાની આલબેલ પોકારતી રહી છે.

દરેક પુસ્તકની શરૂઆતમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરોના લેખ મુકાયા છે. સમગ્ર શ્રેણીમાં જે કેટલાંક પુસ્તકોમાં આ લેખો વિષય પ્રવેશકની બહુ જ અસરકારક ભૂમિકામાં રજૂ થયા છે, તેમાંનું એક આ પુસ્તક 'દરિયાની આંખે આંસુ' છે.

પહેલા પ્રવેશક લેખ 'આદર્શ તંત્રીની સાકાર કલ્પના'(પૃ. ૧૩-૧૭)માં ગુજરાતી એબીપી ન્યૂઝના બ્યૂરૉ ચીફ શ્રી બ્રીજેશકુમાર સિંહ કીર્તિભાઇ સાથેના કેટલાક યાદગાર પ્રવાસોને યાદ કરે છે. તે પૈકી જખૌથી સાંઘી સિમેન્ટ એકમ સુધીના દરિયાઇ માર્ગે કરાયેલા પ્રવાસનાં વર્ણનમાં કીર્તિભાઇના કચ્છને સ્પર્શતા અનેક વિષયોના એનસાઇક્લોપીડિક વ્યાપનો, અને એ જ્ઞાન મેળવવા માટે જાતે જ સ્થળો પર જઇને પ્રશ્નોની વિગતોને અલગ અલગ બાજુએથી સમજવાની તેમની ચીવટ અને જહેમતનો ચિતાર વાચક સમક્ષ તાદૃશ થઇ રહે છે.

આ એક પ્રવાસ ઉપરાંત શ્રી બ્રિજેશકુમાર સિંહે આ પુસ્તકને સ્પર્શતા અન્ય મુદ્દાઓની પણ દાદ પણ એક સમકાલીન વ્યાવસાયિકની નજરે લીધેલ છે.ઉદાહરણ તરીકે એક જ ટાંક બહુ થઇ રહેશે :'ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દશક કરતાં પણ વધુ સમયથી વિવાદોનું કારણ રહેલા ૬૮ કિલોમીટરના નાળાનું સાચું નામ "સિરક્રીક"......અહીં મોટા પ્રમાણમાં મળી આવતી 'સિરિ' નામની માછલીને કારણે પડ્યું (છે)....કોઇ બ્રિટિશકાલીન 'સર'ને કારણે નહીં'

[પરિચયકર્તાની નોંધઃ આવી જાણકારીનું મહત્ત્વ સમજવું હોય તો 'સિર ક્રિક' 'કોરી ક્રીક' કે 'હરામી નાળા' જેવા શબ્દોની ઇન્ટરનેટ પર ખોજ કરી જોવી જોઇએ, જેથી આ વિષયો પર માહિતી વિષેના સ્રોત કેટલા મર્યાદિત છે, અને જે કંઇ માહિતી મળે તે કેટલી અપૂરતી અને અછડતી હોઇ શકે છે તેનો સાચો અંદાજ આવે!]

'કીર્તિભાઈનાં લખાણો સંખ્યાબંધ પત્રકારો માટે પાઠ્યપુસ્તક જેવાં બની રહ્યાં છે'(પૃ. ૧૮ -૨૬)માં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા “સરહદી સલામતી વિષય..(પર)..કીર્તિભાઇએ અત્યાર સુધી આપેલાં યોગદાનની વાત કોઇ ફિલ્મના કથાનક જેવી રસપ્રદ” ગણે છે. તેમણે કીર્તિભાઇના આ વિષયો પરના ઊંડાણભર્યા અહેવાલ અને તે માટેની મહેનત અને દિલધડક પ્રવાસોના "ભારે રોમાંચ” અહીં વર્ણવ્યા છે.

પુસ્તકમાં આવરી લેવાયેલા વિષયોની વાત માંડતાં પહેલાં કીર્તિભાઇ પત્રકારત્વનાં હાર્દની સાથે સાથે દેશહિત અને એવા અન્ય વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન કેમ જાળવતા રહ્યા તે સમજી શકાય તેવા એક કિસ્સાનો શ્રી નિખિલ પંડ્યાએ એમના લેખના અંતમાં કરેલો ઉલ્લેખ (પૃ. ૨૬)અહીં અસ્થાને નહીં ગણાયઃ 'પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ‘જીયે સિંધ’ ચળવળ ચાલતી હતી તે અરસામાં કોટેશ્વરની જેટી પર એક નૌકામાં અમુક લોકો ઊતર્યા અને બસમાં બેસીને જતા રહ્યા... આ શંકાનું પગેરું દાબવામાં આવતાં વળતો જવાબ આવ્યો કે કોટેશ્વરની જેટી પર ઊતરેલા શખ્શો ‘જીયે સિંધ’ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તાલીમ લેવા આવ્યા હતા. કોઇ પણ અખબાર માટે કે પત્રકાર માટે આ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચાર હતા. શંકાને સમર્થન આપનાર અધિકારીની, દેશહિતમાં એ સમાચાર ન છાપવાની ભારપૂર્વકની વિનંતિને કીર્તિભાઇએ પ્રાધાન્ય આપ્યું હતું.'

'દરિયાની આંખે આંસુ'માં કુલ ૪૭ લેખોમાં ૧૯૮૫થી છેક ૨૦૧૩ના સમયખંડને આવરી લેવાયો છે.

૧૯૮૫ અને ૧૯૮૭ના સમયના લેખોનાં 'કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓ' (પૃ.૫૦થી ૫૮), ‘જખૌ નજીક નાપાક ચાંચિયાગીરી : ઊંડા કાવતરાંનો પ્રથમ અંક?’ (પૃ. ૩૭-૪૪) કે 'કચ્છના દાણચોરો દ્વારા એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રયાસ?' (પ્રુ.૬૦-૬૨) શીર્ષકો જ સમગ્ર વિષયના ફલકને નજર સમક્ષ કરી આપે છે. લેખની વિગતો પ્રશ્નોની તત્કાલીન તાસીર સમજવામાં પડદા પાછળ, અને પડદા પર ભજવાતા, ઘટનાપ્રવાહોની સમજ આપવામાં મદદરૂપ થાય છે.

૧૯૯૩ના લેખ 'મરદ દોસ્ત 'લાલ ટોપી'ને સો સો સલામ' (પૃ. ૮૬-૮૯)માં એક તરફ '૮૦ના દાયકાનાં શરૂઆતનાં ચાર પાંચ વર્ષોમાં કસ્ટમ ખાતાના જિંદાદિલ, નિષ્ઠાવાન અધિકારીઓએ દાણચોરોને તોબા પોકરાવી દીધી હોવાનું બયાન છે. એ જ લેખમાં બીજી બાજુએ, જેને ૧૯૮૭માં રાષ્ટ્રપતિનો એવૉર્ડ પણ મળી ચૂક્યો તેવા કસ્ટમના એક અધિકારી એલ. ડી. અરોડાની હત્યા ૧૯૯૩માં જ શા માટે કરાઇ છે તેનાં સંભવિત કારણોમાં 'કોણ જાણે કેટલાયે મહાનુભાવોના પગમાં રેલા લાવી દે' જેવા બેધડક ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં 'આંસુ'ના મહત્ત્વને સ્પષ્ટ કરી આપે છે.

૧૯૯૪ના લેખ 'ચરસ પ્રકરણના સૂચિતાર્થો' (પ્રુ. ૯૦-૯૧)માં કીર્તિભાઇ નાર્કો-ટેરરિઝમના છેડા કચ્છ સુધી લંબાતા જોઈ શકે છે. તે જ રીતે ૧૯૯૬ના લેખ 'કચ્છમાં વધુ એક નાપાક જાલીનોટ કૌભાંડ' (પૃ. ૯૨-૯૪)માં 'એકના એક ઇસમ વારંવાર કેમ પકડાય છે', 'અગાઉ નોટ ભારતમાં છપાયેલી હતી, જ્યારે હાલના કિસ્સામાં નોટો પાકિસ્તાનથી આવેલી છે અને ત્યાં જ છપાઇ છે' જેવાં સૂચક નિરીક્ષણોની મદદથી, આ પ્રકારના કિસ્સાઓમાં બંને પક્ષોની મોડસ ઑપરેન્ડીના વિગતવાર વર્ણન સાથે તેનાં લેખાંજોખાંની પણ ચર્ચા જોવા મળે છે.

૧૯૯૯ના લેખ 'કારગિલની ભાવનાને ઝારાની લાગણીમાં પલટાવીએ' (પૃ.૧૦૭-૧૦૯) જેવાં શીર્ષકોમાં તત્કાલીન ઘટનાઓ અને પ્રખ્યાત પાત્રોને મૂકવાથી લેખ તરફ આકર્ષણ તો જન્મે જ છે, પણ તે સાથે લેખ વાંચ્યા પછી તેનો સંદેશ પણ વાચકના દિમાગમાંથી દિલ સુધી અસર કરી જાય છે. જેમ કે, "જાસૂસી વિમાનને અબડાસા પાસે ફૂંકી મારવાની ઘટનાથી કચ્છની ક્રીકની સીમાઓ સમાચાર માધ્યમોમાં ચમકતી થઇ ગઇ હતી. તે કારણે પાકિસ્તાનમાં પેદા થયેલી લાગણીઓના ઊભરાને શાંત કરવા ઘુસણખોર ટુકડીઓને કચ્છની દરિયાઈ સરહદ વાટે ઘુસાડવાની પેરવીઓ થઇ હતી. એમાંના મોટા ભાગના તો દેખાવ અને ભાષાને કારણે જુદા તરી આવે તેથી કદાચ પોલીસ કે અન્ય સલામતી દળો માટે તેમને શોધી કાઢવામાં ખાસ વાંધો ન આવે...પણ રણકાંધીઓ કે સંવેદનશીલ દરિયાકાંઠાની પટ્ટીએ બેઠેલી પ્રજાની એ ફરજ છે કે કોઈ વિદેશી તત્ત્વ નજરે ચડે તો તરત જ તેને ખુલ્લો પડે.'

૧૯૯૯ના બીજા એક લેખ 'જો જો સિરક્રીક બીજું છાડબેટ ન બને !' (પૃ.૧૩૦-૧૩૬)માં 'નધણિયાતી સીમાઓ પર ઘુસી આવીને અડ્ડો જમાવી દીધા પછી વિવાદ ઊભો કરવાની..ખંધી અને નફ્ફટ મોડસ ઓપરેન્ડી' વિષે આલબેલ પોકારતાંની સાથે ૨૦૦૪ની સાલ સુધીમાં ખંડીય છાજલી બાબતના દાવા યુનો સમક્ષ નોંધાવી દેવા, એ વિષેના જે તે સમયની કચ્છની રાજાશાહી સરકાર અને સિંધ (મુંબઇ સરકાર) વચ્ચેના કરાર જેવા પ્રશ્નનાં વિવિધ ઐતિહાસિક પાસાંઓની બહુ જ વિગતે છણાવટ પણ રજૂ કરાઇ છે. આ વિસ્તાર પર પાકિસ્તાનનો ડોળો માત્ર ઘુસણખોરી કે ત્રાસવાદને દાખલ કરવાની બારી જેટલો જ મર્યાદિત ન હોઇને એ વિસ્તારમાંના તેલ અને ગેસના ભંડારો જેવી કુદરતી સંપત્તિ પર પણ કબજો દબાવવાની દાનત હોવાની શકયતા વિષે પણ લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

તે પછીના સમયને સ્પર્શતા લેખો - ક્રીક સીમાએ તરતી ચોકી (૨૦૦૨), ક્રીક સીમાએ આક્ર્મક બોટ (૨૦૦૫), સિરક્રીક વિવાદના જળમાં એક વધુ નાપાક પથરો (૨૦૧૨), કચ્છી 'હરામી નાલો' સીલ કરે જ છૂટકો (૨૦૦૧), શારકામમાં ખચકાટ શાને? (૨૦૦૪)-માં આ વિષયની સમયોચિત ચર્ચાનો દૌર ચાલુ જ રહે છે. તેમાં પુસ્તકના અંતમાં આવેલા બે લેખ ખાસ ધ્યાન ખેંચે છેઃ

('કચ્છમિત્ર'ના વિશેષાંક 'સાઠ વરસનાં સંભારણાં) ૨૦૦૮ના લેખ 'દાણચોરોની સ્વર્ગભૂમિઃ સોનાચાંદીથી આર.ડી.એક્સ.'માં ૧૯૫૦થી ૨૦૦૮નાં વર્ષનો, દાણચોરી, શસ્ત્રો, ઘુસણખોરી અને જાસૂસી એવા પેટા વિભાગોમાં, (કચ્છના દરિયા સીમાડાઓથી ચાલતી) દેશ વિરોધી પ્રવૃતિઓનો ઘટનાક્રમનું દસ્તાવેજીકરણ આ પુસ્તકના મૂલ્યને અનેકગણું વધારી નાખે છે.

તે જ રીતે ૨૦૧૩ના, પુસ્તકના છેલ્લા લેખ – ‘સાવધાન, સોનાની દાણચોરી ફરી શરૂ થઈ ચૂકી છે’ -માં જાણે આંખમાં આંસુ સાથે લેખક પોતાનાં દિલનાં દર્દને આ રીતે વાચા આપે છે :'૧૯૯૨માં સુવર્ણ અંકુશ ધારો રદ્દ થતાં કચ્છથી કેરળ સુધીના વિસ્તારોમાં બંધ થયેલી સોનાની દાણચોરી હાલમાં સોનાની આયાત પરની ડ્યૂટી ૧ ટકાથી વધારીને ક્રમશઃ ૬ ટકાની કરી દેવાતાં...દાણચોરી શરૂ થઇ ગઇ હોવાનો એકરાર કસ્ટમ અને ડી.આર.આઈ. સત્તાવાળાઓ કરી રહ્યા છે....ભૂતકાળની જેમ ફરી મોટા પાયે સંગઠિત..દાણચોરીનો દૌર શરૂ થશે તો રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક બની જશે...આખરે આવી જ દાણચોરીના નેટવર્કનો ઉપયોગ ભારત સામે આતંક ફેલાવવામાં થયો હતો ..એ યાદ ..(કરવું)…એ સમયનો તકાદો છે.'

દરિયાઇ સીમાડે થતી રહેતી દેશવિરોધી પ્રવૃત્તિઓનનાં વિવિધ પાસાંઓની ચર્ચા વચ્ચે '-ને હવે ભુજના જેલ સત્તાવાળાઓનું વલણ વિવાદ સર્જે છે'’ (૧૯૮૭), 'ભુજમાં જેલફોડીનું નાપાક કાવતરું’(૧૯૯૨), ‘જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાંથી સંદિગ્ધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ઈસમોનું નાસી છૂટવું’ (૨૦૦૨),'છ પાકિસ્તાની ભાગી જતાં પોલીસને માથે કલંક' (૨૦૦૮), 'શંકાની સોય કસ્ટમ તરફ' (૧૯૯૪), ‘કોસ્ટ ગાર્ડ શંકાના વમળમાં' (૨૦૦૭), 'કસ્ટમ કચેરી કે દારૂહાટ ?'(૨૦૦૭)જેવા લેખોમાં કૂડા સાથે વસવાને કારણે સરકારનાં વિવિધ તંત્રોમાં પેસી જતા કોહવાટના પાસની આડ અસર માટે ચિંતાની લાગણીનો સૂર જોવા મળે છે.

કચ્છની દરિયાઇ સીમાઓની વાત કરતાં પુસ્તકમાં આપણે અત્યાર સુધી જોયા તેવા જ વિષયો સ્વાભાવિકપણે લગભગ બધી જ જગ્યા રોકી લે તેમ માની લેવાય. પણ કચ્છના દરિયા સાથે કચ્છના ઐતિહાસિક, સામાજિક અને આર્થિક જન જીવનને સ્પર્શતાં બે અન્ય પાસાંઓની વાત કર્યા વગર કચ્છના દરિયાની સમસ્યાઓ પરનું કોઇ પણ પુસ્તક અધૂરું તો રહે જ.

એમાંનું એક પાસું છે માછીમારી. અહીં પણ 'નાના માછીમારોની સમસ્યા' (૧૯૯૭),'પગડિયા માછીમારોનો પ્રશ્ન'(૨૦૦૦),'માછીમારો માટે 'કોમન' ફિશિંગ ઝોન' (૨૦૦૪) અને 'જાનના જોખમે માછીમારી’ (૨૦૦૫)એ ચાર લેખોમાં આ બાબતનો અછડતો કહી શકાય તેવો ઉલ્લેખ છે.

એટલો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે કચ્છના દરિયાકાંઠેથી (એક સમયે તો બહુ જ નોંધ પાત્ર કક્ષાએ) થતા આંતરરાષ્ટ્રીય અને આંતર્દેશીય પરિવહન અને વેપારનો, તેમ જ તેની સાથે સંકળાયેલ કચ્છનાં બંદરોઅનેકચ્છના વહાણ બાંધવાના ઉદ્યોગની સમસ્યાઓનો. અહીં આ બાબતની વાત કરતા 'માંડવી બંદરની દુર્દશા!' (૧૯૯૯), માંડવીમાં જહાજનિર્માણ યુનિવર્સિટી (૨૦૦૫) અને 'મુંદરા બંદર પરનું જોખમ' (૨૦૦૨) એવા ત્રણ જ લેખ જોવા મળે છે.

એમ માનીએ કે કીર્તિભાઇના ૩૦૦૦થી વધુ લેખોમાંથી જે લેખો આ પુસ્તકોમાં નથી સમાવી શકાયા તેમાં આ વિષયો પરના લેખો હશે અને ભવિષ્યમાં તેમનાં મહત્ત્વને અનુરૂપ અલગ પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ આવશે. અથવા તો આ પ્રશ્નોએ આ પુસ્તકોના સમયખંડમાં કચ્છના સમાચારોમાં જ બહુ દેખા ન દીધી હોય, એટલે કીર્તિભાઇને તેમના પર બહુ લેખો કરવાનો મોકો જ ન મળ્યો હોય !

એટલે જ, કદાચ, "કચ્છમિત્ર"ના તંત્રીપદે રહીને ૩૩ વર્ષની .. પ્રજાલક્ષી પત્રકારત્વની કારકિર્દી પછી નિવૃત્ત થયા બાદ' લખાયેલા, અને દરેક પુસ્તકના પ્રારંભમાં મુકાયેલા, કીર્તિભાઇના લેખનું શીર્ષક છે :"કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પિછાણી શક્યા નથી."......!!!???


કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪: દરિયાની આંખે આંસુ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 22, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Monday, October 20, 2014

'કલમ કાંતે કચ્છ': ગ્રંથ - ૫: જળ - મૃગજળ

શ્રી કીર્તિ જયંત ખત્રીનાં 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળના અનુભવોને માનવીય ભાષામાં શબ્દદેહે રજૂ કરતા લેખોનું સંકલન ૮ +૧ ગ્રથમાં શ્રી માણેકલાલ પટેલે કર્યું છે.

"જળ-મૃગજળ" આ સંપૂટનું પાંચમું પુસ્તક છે.

શક્ય છે કે સંકલન સમયે દરેક પુસ્તકના વિષયને કોઇ ક્રમમાં મૂકીને પુસ્તકોના ક્રમાંક નક્કી થયા હોય. પરંતુ આ પરિચયકર્તા પોતાને જે પ્રશ્નોની અગત્ય સમજાય છે તે ક્રમમાં આ પુસ્તક સંપુટને વાચક સમક્ષ રજૂ કરી રહેલ છે.

આ સમગ્ર પુસ્તકશ્રેણીમાં સમાવાયેલા કીર્તીભાઈના લેખો જે તે સમયે જે સ્વરૂપે લખાયા હતા તે જ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ થયેલ છે.આને કારણે ઘણી જગ્યાએ પૂર્વાપર વિગતો ખૂટતી કે તૂટતી જણાય છે. તે જ રીતે મૂળ વિષય, તેમાંના પેટા વિષયોની રજૂઆતમાં પણ ક્યાંક એકસૂત્રતા કે સમયક્ર્માનુસારતા પણ ચુકાતી હોય તેવું પણ અનુભવાય છે. જો કે પુસ્તક્શ્રેણીના સંપાદક્શ્રી તેમનાં સંપાદકીય નિવેદનમાં કહે છે, "ગ્રામીણ પત્રકારત્વના અભ્યાસીઓને જે તે સમયે સ્થિતિનો ખ્યાલ આવે એ માટે (લેખોને... અલબત્ત)સંપાદિત જરૂર કર્યા છે, પણ એમાં કોઈ સુધારા વધારા (અપડેટ) કર્યા નથી'”, તે મર્યાદા સ્વીકારીને આપણે આ પુસ્તકોને વાંચવાં અને સમજવાં રહ્યાં.

ગ્રંથ ૫નું શીર્ષક "જળ-મૃગજળ" કચ્છના એક બહુ જ મહત્ત્વના પ્રશ્નને 'ઊંડાણપૂર્વક જોવાનો" પ્રયાસ છે.

'જળ-મૃગજળ'ના સમય કાળની શરૂઆત તકનીકી રીતે તો કીર્તિભાઈની 'કચ્છમિત્ર'ની ઈનિંગ્સના સમયથી પણ પહેલાંથી થાય છે. સ્વાભાવિક છે કે આટલું મહત્ત્વ ધરાવતો, પુસ્તકનો પહેલો જ, લેખ "કાળમુખા દુકાળની ચપેટ" (૨૭-૯-૧૯૭૪ )નો જ હોય. લેખનું પહેલું જ વાકય - કચ્છ માટે દુષ્કાળ એ કંઈ નવી બાબત નથી....પણ (વીસમી સદીના) સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળના સિતમગર સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો..માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બની રહ્યું છે - પ્રશ્નનાં મહત્વની સાથે સાથે તેના કચ્છનાં જનજીવન પર સમગ્રતયા પડતી અસર બહુ જ સ્પષ્ટ કરી મૂકે છે.

પુસ્તકના વિષયોનાં ફલકને સમજવાનો પ્રયાસ કરતાં એમ જોઈ શકાય છે કે 'દુકાળ' શબ્દ લેખનાં શીર્ષકમાં જ હોય તેવા ૧૨ લેખોનો સમયકાળ ૧૯૭૪ થી ૨૦૧૩ સુધીનો જોવા મળે છે. તે પૈકી ૧૯૭૪ના વર્ષના ફેલા લેખ પછીથી કીર્તિભાઇના'કચ્છમિત્ર'ના સમય સાથે શરૂ થતાં ૧૯૮૭ના વર્ષના ત્રણ, ૧૯૯૬,૧૯૯૭ ના દર વર્ષના એક, ૧૯૯૮ના વર્ષના બે , ૨૦૦૨ અને ૨૦૦૩ના દરેક વર્ષના એક અને છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષનો એક લેખ છે. આમ એમ સમજી શકાય છે કે ૧૯૮૭થી લગભગ ૨૦૦૩ સુધી મોટા ભાગના સમયમાં ઓછે વત્તે સમયે દુકાળની પરિસ્થિતિ રહ્યા બાદ, અચાનક જ ૨૦૦૩ પછી સળંગ એક દસકા સુધી ચોમાસાં સારાં ગયાં. તેમ શરુઆતના લેખ '૮૦ના દાયકાના છે તેનું કારણ એ સમયમાં જ કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ની કારકિર્દીની શરૂઆત સમજીએ તો પછી લગભગ દસ વર્ષનો ગાળો કેમ પડી જાય છે તે ક્ચ્છના સમયકાળની તવારીખથી પરિચિત ન હોય તેવા વાચકને માટે, લેખો વાંચવા માત્રથી કદાચ ન સમજાય.

કચ્છની એક ચિરંતર સમસ્યા,અનિયમિત અને અપૂરતાં ચોમાસાં અને તેને સંલગ્ન અન્ય બાબતોનો વ્યાપક ચિતાર રજૂ કરવાનો પુસ્તકનો મૂળ આશય છે. કેટલાક લેખોમાંના અવતરણો વડે આપણે પણ અહીં પુસ્તકમાંની રજૂઆતોનું વિહંગાવલોકન કરીએઃ

'ક્ચ્છ કાળમુખા દુષ્કાળની ચપેટમાં' (૨૭-૯-૧૯૭૪)
"સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળોના..સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો...માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બન્યું છે.

"ધાવણહીન માતા જેવી ધરતી પર મીટ માંડતા, માભોમના સૂકાભઠ્ઠ બદનમાંથી ઊઠતા ફળફળતા નિઃસાસા જેવી લૂ હજૂયે ક્યાંક વાતી રહે છે. દુષ્કાળના રાક્ષસી પંજાએ પહેલા મરણતોલ ફટકામાં દોઢ બે માસના ટૂંકાગાળામાં અંદાજે ૧૩થી ૧૫ હજાર ઢોરોને મોતના ખપ્પરમાં હોમી દીધાં છે.(પૃ. ૩૭)

"રાહત કામ પર મજૂરી કરતા...લોકોના ચહેરા જોઈએ છીએ તો...તેમની આંખોના ડોળામાં સફેદ રંગ તો ભાગ્યે જ જોવા મળે છે, માટી ખોદી ખોદીને તેમની આંખો ધગધગતા અંગારા જેવી લાલચોળ બની ગઇ છે.શરીર પર પહેરેલાં કપડાં તો જાણે કોઇ હાડપિંજર પર લટકી રહેલાં દેખાય છે...કદાચ એટલે જ રતાંધળાપણાના કેસો...ક્ષયરોગનું પ્રમાણ ચોકાવનારું છે." (પૃ. ૬૮)

"જ્યાં જૂઓ ત્યાં અછત બસ અછત. છત છે માત્ર ભૂખ્યાંતરસ્યા જીવની લાશો જેવા માનવીઓની, ઘાસપાણી વિના મોત તરફ આગેકદમ કરતા હજારો ઢોરોની, પોષણયુક્ત આહાર વિના મૂરઝાતાં માસૂમ બાળકોની અને મરેલાં ઢોરોના દેહ ચૂંથતાં ગીધ-કાગડા-કૂતરાંઓની." (પૃ. ૩૯)
'ખુદાકી શાન આપ હમારે ઘર આયે, કભી હમ અપને આપકો કભી ઘરકો દેખતે હૈં' (તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧-૩-૧૯૮૬થી ત્રણ દિવસની મુલાકાત સમયે)
"આવું છે અમારૂં વતન : આઝાદી પછીના ચાર પૈકી ત્રણ દાયકા અછતમાં વીતાવ્યા છે...માનવી કરતાં ઢોરોની સંખ્યા વધુ છે....અફસોસ અપેક્ષિત અને સમતોલ વિકાસ એક યા બીજા કારણસર થઈ શક્યો નથી તેનો છે... રાજય અને કેન્દ્રની કેટલીક યોજનાઓ અમલમાં મુકાઇ પરંતુ તેના પ્રામાણિક અને ઝડપી અમલના અભાવે યા તો રકાસ થયો છે અગર તો તેનાં ફળ છેવાડાનાં આદમીના મોં સુધી પહોંચ્યાં નથી. (પૃ. ૪૮)

"એશિયાના ઉત્તમ ધાસિયા મેદાન તરીકે જાણીતા બનેલા બન્ની વિસ્તારમાં શરૂ થયેલું ગાંડા બાવળોનું આક્રમણ રોકવા હજુ કોઇ પગલાં જ વિચારાયાં નથી (પૃ. ૪૯)

"કચ્છના ૯૬૭ ગામોમાંથી પચાસ ટકા ગામોંમાં સસ્તા અનાજની દુકાન નથી... જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકી જો ૨૮૦ પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક્થી ચાલતી હોય અને ૧૦૮૮ ઓરડા તેમજ ૧૩૨ શિક્ષકોની ઘટ હોય....(પૃ. ૪૯)
'ક્ચ્છમાં ચોથા દુકાળનાં ડાકલાં : ઘાસની બૂમ ‘ (૨૫-૭-૧૯૮૭)
"..અમે જોયું તો ત્રણ ઓરતો માથે પાનની ભારી નાખી જઈ રહી હતી.અમે એમને કંઇ પૂછીએ એ પહેલાં જ એમાંની એકે ભારી ફેંકી ચાલતી પકડી. બીજી યુવતીની આખોમાં ભય નજરે ચડ્યો. વાત એમ હતી કે, ઢોરો માટે કંઇ ન મળતાં આ ત્રણ ઓરતો કોઇની વાડીમાં ઘૂસી જઇ રજા લીધા વિના આંબાના ઝાડનાં પાન ઉતારી ઢોરોને ખવડાવવા લઇ જઇ રહી હતી. કેવી લાચારી ! સામાન્ય સંજોગોમાં આ ઓરતો પોતાના ગામમાં કોઇ બહારનો આદમી આવે તો ઘરની બહાર પગ ન મૂકે. અને આજે કુદરતની ક્રૂરતાને પરિણામે પોતાના ઢોર માટે પાંદડાની ચોરી કરવા ગઇ!" (પૃ.૫૭)

'ઢોરવાડાનો વિકલ્પ' (૨૩-૯-૧૯૯૭)
"દુષ્કાળ પડે ત્યારે દાતાઓ દાનની પુનિત ગંગા વહેવડાવે છે. તેઓ જો આ નાણાં સારા વર્ષમાં ઘાસ બૅંક માટે ખર્ચે તો એક જ વારના ખર્ચમાં હંમેશની મુશ્કેલી દૂર થઇ શકે." (પૃ. ૧૧૦)

'દુકાળ આપત્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં સમાવી લો.' (દીપોત્સવી : ૨૦૦૨)
"દુકાળના કાયમી નિવારણ માટે કૂવા રિચારજીંગની, જળ સંરક્ષણ અને સંચય, ઘાસ બેંક, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ખેત તળાવડી વગેરે યોજનાઓ છે અને બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી લોકભાગીદારીથીતેનો અમલ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે....ક્ચ્છમાં દશમાંથી સાત વર્ષ દરમ્યાન (દુકાળ રાહતકામ અને) પશુરક્ષા પ્રવૃત્તિ કરવી જ પડે છે.. તેન કારણે સમયાંતરે સ્થાપિત હિત ઊભાં થયાં છે...ભ્રષ્ટાચાર સામે તમામ તાકાત સાથે લડવાનું મનોબળ કોઇ પણ સરકાર દાખવી શકી નથી એ આપણા જાહેરજીવનની સૌથી મોટી કમનસીબી છે."

'દુકાળ સાથેનો પનારો ભૂલીને આપણે મોટી ભૂલ કરી છે' (૨૩-૦૮-૨૦૧૨)
"ભૂકંપ પછી ૨૦૦૨માં અછત સર્જાઈ ત્યારે અગાઉની જેમ ફરી દુકાળ નિવારણ કાર્યક્ર્મ ઘડાયો, પણ પછી સતત વરસાદ પડતાં બધું ભૂલાઇ ગયું.... જોકે જળ સંચય-સંરક્ષણના કામ સારાં થયાં છે...હવે પ્રજા, સંસ્થાઓ અને સરકારે અભિગમ બદલવો પડશે." (પ. ૧૫૫)

'અતિવૃષ્ટિની શક્યતા વિચારાય તો દુકાળની કેમ નહીં ?' (૨-૬-૨૦૧૩)
"કચ્છમાં ૨૦૧૩માં અછતનું વર્ષ એના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યું છે... ૧૯૮૪થી ક્ચ્છમાં દુકાળની પરંપરા શરૂ થઈ તે સમયે પણ આવી જ સ્થિતિ હતી....પૂર અને અતિવૃષ્ટિના તો સીધા અણસાર મળતા હોય છે,છતાં આગોતરી તૈયારી કરાય, પણ જેના અણસાર મળતા નથી અને અનિશ્ચિતતાઓ છવાઇ રહેલી હોય એના સામનાની કે શક્યતાની કોઇ વિચારણા જ કરાય નહી...અછત, દુકાળ કે અર્ધદુકાળ વખતે એની વ્યાખ્યા..તો અંગ્રેજોના સમયના નિયમો છે....સાચી વાત એ છે કે અંગ્રેજોએ આપેલી આનાવારી પદ્ધતિથી અછતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા જ ભૂલભરેલી છે....ખરેખર તો આજના ઇન્ટરનેટ અને (અવકાશ વિજ્ઞાનના યુગમાંઅત્યાધુનિક ઢબે વરસાદ, ખેતી અને ઘાસનો અંદાજ કાઢીને આનાવારી નક્કી થઇ શકે છે....સરકાર જૂની પદ્ધતિને તિલાંજલી આપે એ સમયની માંગ છે." (પૃ. ૧૬૦-૧૬૩)

દુકાળને લગતા વિષયની આ ચર્ચા પછીથી સીધી કોઇ ચર્ચા જોવા નથી મળતી.

અહીં સુધીના લેખોમાં વચ્ચે વચ્ચે પાંજરાપોળો, ઘાસ બેંક, ઢોરવાડા, રાહતકામો , જળસંરક્ષણ જેવા સંલ્ગન વિષયોને સ્પર્શતા લેખો પણ આવરી લેવાયા છે.

અહીંથી હવે પછી કચ્છમાં પાણીના પ્રશ્નનાં નર્મદા જળનાં નવાં પરિમાણનાં મંડાણ 'નર્મદાનાં મૃગજળ ' (૧-૨-૧૯૮૬) લેખમાં ‘દુકાળીયા મુલકને ધોરીધરાર અન્યાય ‘ (પૃ. ૧૭૧)ની તીખી રજૂઆતથી થાય છે.

તે પછી લેખ ૬-૮-૧૯૯૨, ૬-૮-૧૯૯૩ના છે, જ્યાં સુધી પણ સૂર 'અન્યાયોની વણઝાર'નો જ જણાય છે. ૨૫-૯-૧૯૯૪ના લેખ 'નર્મદા પ્રશ્ને સંવાદની પહેલ' શરૂ થવાથી "સરકારનું મન ખુલ્લું છે એની પ્રતીતિ" થતી જણાય છે. ૨૮-૭ -૧૯૯૫ના 'પાઇપલાઇન યોજના અને કચ્છ'માં પાઈપલાઇન કે કેનાલ વડે પાણી પહોંચાડવાની દ્વિધામાં પણ આશાવાદ જીવંત જણાય છે.

૨૪-૮-૧૯૯૬ના લેખ 'ગ્રેવિટી ફ્લોથી નર્મદાનું પાણી'માં ગ્રેવિટી ફ્લોની માગણીની ગાડી પાટે ચઢી છે તેની સહર્ષ નોંધ લેવાની સાથે અંતિમ પરિણામ સુધી જાગૃત રહેવાની ટકોર પણ છે.

૧૨-૭-૨૦૦૨ના લેખ 'કચ્છનાં નર્મદાનાં નીરહરણ માટે જવાબદાર કોણ?'માં "'વિતતી નથી વેદનાની એક પણ, પણ વર્ષો પળવારમાં વીતી ગયાં' જેવા મરીઝની ગઝલના શેરને ટાંકીને ૨૦૦૧ના ધરતીકંપ પછીના બચાવ-રાહતથી નવસર્જન સુધીનાં વિ સ્તૃત લેખાંજોખાં (કરવાના સમયે લેખક નોંધે છે કે) ૧૭મી સદીમાં ગુલામ શાહ કલોરાએ સિંધુનું કચ્છનું વહેણ અટકાવવા બંધ બાંધ્યા હતા, પછી ધરતીકંપે 'અ લ્લાહબંધ' સર્જી દીધો. ૨૦મી સદીમાં નર્મદાનાં પૂરતાં પાણી કચ્છ તરફ વહેડાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતાની નોંધ પણ, પચાસ સાઠ વર્ષ પછી ઇતિહાસમાં કદાચ એ જ રીતે લેવાશે." (પૃ. ૨૧૫થી ૨૧૭)

૧૭-૫-૨૦૦૩ના લેખ 'ક્ચ્છમાં નર્મદાનાં જળ અને મૃગજળ'માં "વર્ષ ૨૦૦૩માં ૬૫૦ કિ.મી.નો ...પંથ કાપીને… નર્મદાનાં નીરના કચ્છ આગમનને ઉમળકાથી (વધાવતાં) સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી એ મૃગજળ જ રહેવાનું છે' એ ફરિયાદનો સૂર કાયમ રહે છે.

નર્મદાનાં પાણીની ફાળવણી કે તેને કચ્છ સુધી પહોંવાડવાના મુદ્દા પર બીજા લેખોમાં ચર્ચાઓનો આવો જ દૌર ચાલતો જોવા મળે છે.

વર્ષ પ્રમાણે ગોઠવાયા હોત તો પુસ્તકના અંતમાં હોય તેવા ૧૨-૧-૨૦૧૪ના લેખ 'નર્મદા કેસના ચુકાદામાં સુપ્રીમની ટકોર ગળે ઉતરે તેવી નથી'માં પણ ઉકેલ અસંતુષ્ટ સ્તરે જ રહેલો જણાય છે.

પણ જો કચ્છને વરસાદની અનિયમિતતા કે બાહ્ય સ્ત્રોતની અપૂરતી અને સમયસર ન હોય તેવી આપૂર્તિ ન કનડે તો કચ્છનું સ્વરૂપ કેવું હોઇ શકે તેનું વર્ણન 'મેઘરાજાની અસીમ કૃપાએ ધીણોદરને હિમાલય જેવું સૌંદર્ય બક્ષ્યું છે...લીલુંછમ કચ્છઃ મૃગજળ નહીં હકીકત'માં જોવા મળે છે : "કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા મેઘરાજા છ-છ દાયકામાં ન વરસ્યા હોય એવી ઠાવકી અદાથી વર્ષ ૧૯૯૪ના ઓક્ટોબરમાં વરસી પડતાં કચ્છની નખશિખ કાયાપલટ થઇ ગઇ...દૂર દૂર રણના કાંધીએ ખારી જમીનમાં પણ રામમોલ લહેરાઇ રહ્યો છે. ડુંગરો પર ઉતરી આવેલી હરિયાળીએ કાળમીંઢ પથ્થરોનેય સૌંદર્ય બક્ષી દીધું છે..ઝરણાં દોડવા લાગ્યાં છે...ડુંગરોને બબ્બે મહિના સુધી બાથ ભીડનાર ભારેખમ વાદળ હવે હલકાંફૂલ બની ગયાં છે. એ હવે વરસાદનાં નહીં ઝાકળનાં (સફેદ) વાદળ બની ગયાં છે...કચ્છના વિખ્યાત ડુંગર ધીણોદર..ને વીંટળાઇ વળેલાં ઝાકળનાં વાદળ.. સોળે શણગાર સજેલી નવોઢાના ગળાંમાં લટકતા હાર જે(વાં ભાસે છે.)...જેમ જેમ ઉપર ચડતા જઇએ તેમતેમ ઝાકળ-ઝંઝા (હા, ઝાકળનાં ઝાંઝવાં)નો પ્રત્યક્ષ અનુભવ થતો જાય...વધુ કંઇ વિચાર કરીએ એ પહેલાં જ તો પશ્ચિમ દિશાએથી હવાનું એક જોરદાર ઝોકું આવી જાય છે અને એના પર સવાર થઇને આવેલું ધુમ્મસ ડુંગર સાથે અથડાઇ પડે છે. એવું લાગ્યું જાણે ઝાકળની ડમરી ઊઠી અને કાળમીંઢ પથ્થરો સાથે અથડાઇને ચૂપકીથી સરી ગઇ.....માતૃભૂમિ આવી લીલીછમ બને એ જ આપણું સપનું છે...પણ મેઘરાજા તો આવી છટાથી આઠ વર્ષમા એકવાર રીઝે છે, તેનું શું કરવું?....આ સવાલનો જવાબ કચ્છીઓ જળસંરક્ષણનાં કામોને આગળ ધપાવીને અને કોટિવૃક્ષ અભિયાન સફળ બનાવીને આપી શકે છે." (૯-૧૦-૯૪)

કચ્છનાં જનજીવન પર પર્યાવરણ અને તેની વિષમતાઓની અસર રૂપે, એક તરફ માનવ સર્જીત ભાતીગળ હસ્તકળા તો બીજી તરફ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિની અચરજ સમાણી કુદરતી વ્યવસ્થાઓ અને તેને અનુરૂપ પશુપાલન જેવા વ્યવસાયોની જીવનનિર્વાહની સકારાત્મક અસરોનું ચિત્રણ આ પુસ્તકમાંથી દૃષ્ટિગોચર થતું રહે છે. તેની સાથે સાથે રાજકીય તંત્રની દૂરંદેશિતાનો અભાવ, તેમાંથી જન્મતી અમલીકરણની શિથિલતા અને સત્તા તેમ જ પ્રજાની 'ખાયકી' અને 'ઓછી દાનત' જેવા નકારાત્મક રંગ પણ પ્રામાણિકતાથી સંકોરાયેલા છે. આનંદ સાથે આશ્ચર્ય પમાડે તેવાં ઉદાહરણો અને કુદરતની મહેરનાં દિલખુશ કરે તેવાં વર્ણનો વાચકમાં પણ આશાવદનાં કિરણો જગાડી મૂકવામાં સફળ રહે છે.



'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી || ગ્રંથ - ૫: જળ –મૃગજળ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
પૃષ્ઠ : ૩૧૨ મૂલ્ય : રૂ. ૨૩૦/-
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 7, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Wednesday, October 8, 2014

'કલમ કાંતે કચ્છ' : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ 'કલમ કાંતે કચ્છ' શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી'.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની 'કચ્છમિત્ર'ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ છે. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.

'કલમ કાંતે કચ્છ'માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
ગ્રંથ : ૨ - જોયું, જાણ્યું ને લખ્યું
ગ્રંથ : ૩ - રણના રંગ બેરંગ
ગ્રંથ : ૪ - દરિયાની આંખે આંસુ
ગ્રંથ : ૫ - જળ મૃગજળ
ગ્રંથ : ૬ - ધરતી તાંડવ
ગ્રંથ : ૭ - પાંજી પીડા પાંજી ગાલ
ગ્રંથ : ૮ - પાંજા પ્રશ્ન પાંજી ગાલ
ગ્રંથ : ૯ - વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.

આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.

'કલમ કાંતે કચ્છ'ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુ’માં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને 'પ્રસ્તાવના' અને 'આવકાર' એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.

કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને 'તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્' શીર્ષસ્થ'પ્રસ્તાવના'માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ 'કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી'ના કુબેર તરીકે કરાવે છે..

સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં 'ક્ચ્છમિત્ર'નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને 'કચ્છમિત્ર'ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના "આવકાર" લેખ, 'જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.

'મૈત્રી એજ કીર્તિ' (રઘુવીર ચૌધરી), 'લક્ષ્મણરેખાના માણસ' (વીનેશ અંતાણી), 'કચ્છીયતની સંસ્કાર પ્રતિમા' (પ્રભાશંકર ફડકે), 'ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ' (શાંતિલાલ એન વરૂ), 'અમારા અને સૌના સ્વજન' (રજનીકાંત સોની), 'જીવદયાની પ્રવૃત્તિના પોષક' (તારાચંદ છેડા), 'આમ લોકના ખાસ જણ' (ડૉ. દર્શના ધોળકિયા),'હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર' (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),'એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.

આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :

'લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર' - જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)

પોતાના 'સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ' નાનાભાઇને 'ગુસ્સો કરતાં પણ આવડે છે' તેની સાથે જ તેનામાં 'ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા' પણ છે.

'પારિવારિક ભાવનાના હિમાયતી' - મુક્તા જિતેન્દ્ર ખત્રી ('કચ્છમિત્ર'ની 'મહિલા જગત' કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)

'મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.'

'એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.'
'હોદ્દાના ભાર વિનાના પપ્પા' - નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)

'લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.'

'ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.'

'તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં...અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા... સ્કૂટર કે મોટર પર 'પ્રેસ'નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.'
'સફળ 'બ્લાઈન્ડ' ગેમ' - ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી 'બ્લાઈન્ડ' બાજી” સમાં સહધર્મચારિણી)

'સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી...અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા....પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) "બ્લાઈન્ડ"ની સામે "બ્લાઈન્ડ"..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો....ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો' (ભરી રહ્યો છે).

એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.'

'ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં....એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ....જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.'

'વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય.... એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.'

'ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.'

'એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.'

'આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.'

'માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ' લખવાની એમની ઇચ્છા છે, 'પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.'

અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે. 'લક્ષ્ય વિહોણા વેધ'એ '૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે' થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.

૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર'જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'જનસત્તા'માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા 'કચમિત્ર'માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.

સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીમાં થયું છે.


'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;

વિવેકગ્રામ પ્રકાશન

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,

જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  September 17, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Sunday, September 29, 2013

"નિયતિનું સંતાન" - હરેશ ધોળકિયાની શ્રી કાંતિપ્રસાદ અંતાણી વિશેની ચરિત્રાત્મક નવલકથાનું વિમોચન

વડીલ શ્રી કાંતિભાઈ "પાસે બેસવું અદ્‍ભૂત લહાવો હતો. કલ્પ્નાતીત અને અગણિત અનુભવો હતા તેમની પાસે. કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે, પાંચથીય વધારે દાયકાથી..... તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા! બધી જ માહિતિ કંઠસ્થ! ઉત્તમ નોંધો."
'નિયતિનું સંતાન' એક ચરિત્રાત્મક નવલકથાનાં સ્વરૂપમાં "વીસમી સદીના કચ્છના સ્વાતંત્ર્યસંગ્રામના અને પર્યાવરણના ઇતિહાસનુ દસ્તાવેજીકરણ છે.

અત્યાર સુધી ક્ચ્છ જિલ્લના નવ તાલુકાઓ અને ત્રણ અન્ય એમ બાર પુસ્તિકાઓ, શ્રી કાંતિપ્રસાદ અંતાણીનું જીવનચરિત્ર અને ગાંધીજીના પ્રભાવથી કચ્છમાં રાજા સામે જ ચળવળ થઇ તેનો નજરે જોનાર સાક્ષી તરીકેનો અહેવાલ એમ ૧૪ પુસ્તકોમાં શ્રી કાંતિપ્રસાદભાઈ પાસેની કચ્છના ઇતિહાસ અને તત્કાલીન સમાજની અમૂલ્ય માહિતિનું દસ્તાવેજીકરણ તો થયું જ છે.


"પરંતુ વિચારોના સ્વરૂપે જે સાહિત્ય રજૂ થાય તેનો એક બહુ નિશ્ચિત, અને કંઇક અંશે મર્યાદીત, વાચક વર્ગ હોય છે. વધુ લોકો સુધી આ ચરિત્ર અને માહિતી પહોંચી શકે તેવા આશયથી હરેશભાઇ ધોળકિયાએ આ ચરિત્રને નવલકથાનાં સ્વરૂપે મૂકવાના પ્રયોગનું ખેડાણ કરેલ છે.

આજે, તા. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ભૂજ (કચ્છ) મુકામે આયોજાયો છે.

પુસ્તકનો વિગતે પરિચય આપણે અહીં થોડા સમય બાદ કરીશું.

"નિયતિનું સંતાન" - ISBN : 978 – 81- 8480 -919 -0
લેખક - હરેશ ધોળકિયા
ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભૂજ કચ્છ ૩૭૦૦૦૧, ભારત
ફોનઃ +૯૧ ૨૮૩૨ ૨૨૭૯૪૬
ઇ-પત્રવ્યહારઃ dholakiahc@gmail.com
પ્રકાશકઃ  ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧, ભારત
વેબઃ http://www.gurjar.biz/
ઇ-પત્રવ્યવહારઃ goorjar@yahoo.com

Monday, February 27, 2012

કચ્છડો - ૧૨એ માસ કે ૨૨એ વિમાસ


શ્રી જગ સુરૈયા શ્લેષના ચબારકીયા પ્રયોગની મદદથી તેમના મુદ્દાની સરકારક રજૂઆત કરવામાં માહેર ગણાય છે.
૨૩ જાન્યુઆરી,૨૦૧૨ના ToIની તેમની કૉલમ JUGULARVEIN  [આ તેમનો પહેલો શ્લેષ  punch!]માં તેમણે ફરી એક્વાર તેમની શ્લેષ કળાનો સ-રસ પ્રયોગ કર્યો છે.તેમનો Kutch-22 લેખ કચ્છીયતની સાંપ્રત,ગંભીર કશ્મકશને હળવી શૈલિમાં રજૂ કરે છે.
લેખનું શિર્ષક એ માત્ર Catch 22ના શ્લેષનો શાબ્દીક પ્રયોગ જ નથી. ઉલમાંથી નીકળવા જાઓ તો ચૂલમાં ફસાઓ જ તેવાં બંધનોમાં ફસામણી માટે Catch 22 શબ્દપ્રયોગ બહુ પ્રચલીત છે. ક્ચ્છીઓની ભયમાં આવી પડેલી કચ્છી તરીકેની આગવી ઓળખાણની આવી જ Catch 22 સમાજિક મનોસ્થિતિની વાત શ્રી સુરૈયાએ તેમની માર્મીક શૈલિમાં કહી છે.

શ્રી સુરૈયાની સમસ્યાને સમજવા માટે પહેલાં આપણે Catch-22 ને સમજી લઇએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં તે સમસ્યામાં વધારે ફસાઇ જવાય તે પરિસ્થિતિમાટે હવે આ શબદપ્રયોગ બહુ પ્રચલીત બની ગયો છે. જૉસૅફ હૅલરની ૧૯૫૩માં લખાયેલી અને ૧૯૬૧માં પ્રકાશીત થયેલ નવલકથાનું આ શિર્ષક છે. કથામાં Catch [છટકું] એ છે કે અતિ ખતરનાક બૉમ્બીંગ મીશનમાંથી છુટકારો મેળવવામાટે અયોગ્ય ઘોષીત થવા માટે માનસીક યોગ્યતા કસોટી કરાવડાવવાની અરજી કરવી પડે. આ અરજી જ આમ તેના ડાહ્યા હોવાનો પુરાવો પાડે. આમ પાગલ જાહેર થવા માટેની તમારી અરજી જો તમારા ડાહ્યા હોવાનું પ્રમાણ બની જાય તો બધા'પાગલ' 'ડાહ્યા' જ હોય ને! અને એ ભયથી જો તે અરજી જ કરે તો તે ડાહ્યો તો રહ્યો જ, એટલે તેનું બોમ્બમારાનાં મિશનમાં જવું પણ નક્કી જ.એટલે કોઇ પણ પાયલટ ખરેખર પાગલ હોય તો પણ તે માટેની અરજી કરતાંની સાથે જ 'ડાહ્યો' ગણાઇ જાય. આમ Catch-22ને કારણે ખરો પાગલ પાયલટ પણ ઘરે બેસી ન શકે!

જો કે છટકાનાં સાખ્યીક ક્રમ - ૨૨ - માટે કોઇ ખાસ કારણ નથી. સહુ પહેલાં તો કથાનું પહેલું પ્રકરણ Catch-18  ના નામથી પ્રસિધ્ધ પણ થઇ ચૂક્યું હતુંપરંતુ, પુસ્તકનાં પ્રકાશનના થોડા સમય પહેલાં જ Mila 18  નામે એક નવલકથા પ્રકાશીત  થ ઇ ચુકી હતી એટલે સારો પ્રાસ બેસતો હોવાથી ૨૨ના આંકડાની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૭૦માં માઇક નીકૉલસના નીર્દેશનમાં Catch -22 ના નામ થી જ તેનું ફીલ્માંકન પણ થયું છે.
તો, હવે આપણે એક તરફ ખાઇ તો બીજી તરફ ખીણ જેવી  સ્થિતિને કચ્છ અને કચ્છીયતની સાથે શું લાગે વળગે છે તે તરફ કદમ ઉઠાવીએ?

નૈસ્રર્ગીક રીતે જે ૪૫,૬૫૨ ચો.કી.મીંમાં ફેલાયેલ દેશનો સહુથી મોટો જીલ્લો હોવા ઉપરાંત આ પ્રદેશ બહુ બધી રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વિશિષ્ઠ પ્રકારનું રણ, દર ૫૦ /૬૦ વર્ષે મોટા ધરતીકંપ, અને અત્યાર સુધી વણખેડાયેલ રહેલ ખનીજ સંપત્તિ, ખુબ જ લાંબો દરીયાકિનારો હોવા છતાં વ્યાપારીક કુનેહમાં મહાકુશળ એવા કચ્છીઓ વિશ્વમાં ચારેકોર ફેલાઇ જવાની હિંમત સદીઓથી કરતા રહ્યા પણ પોતાના ઘરના  વિકાસ માટે અકળરીતે ઓછો રસ ધરાવતા દેખાયા છે. '૬૦ના દશકાના મધ્ય ભાગથી કંડલા બંદરના વિકાસને પરિણામે કચ્છનું ગાંધીધામ મહદ અંશે ઉત્તર ભારત સાથે માત્ર વ્યાપારીક જ નહીં પણ ગાંધીધામને ઘર બનાવીને ઉત્તર ભારતીયોનાં સ્થાઇકરણને કારણે સાંસ્કૃતિક રીતે પણ જોડાતું ગયું.

અખંડ ભારતના ભાગલા સમયે કચ્છનો એક ભાગ નવાં જન્મી રહેલ પાકીસ્તાનમાં ભેળવાઇ ગયો તો આઝાદી પછી મુંબ ઇ રાજ્યનાં ભાષાવાર વિભાજન સમયે તે ગુજરાતમાં ભેળવી દેવાયું. આમ આઝાદી પહેલાં હંમેશ એક અલગ રાજ્યની પ્રજા તરીકે જીવવા ટેવાયેલ પ્રજાને એક તરફ તેમની આગવી ઓળખાણના ક્ષયની ફીકર હતી તો બીજી તરફ આર્થિક અને ભૌતિક વિકાસમાટેનાં ઓરમાયાં વર્તનનો અસંતોષ હતો. કચ્છની Catch-22 નવલકથાનું આ પહેલું પ્રકરણ કહી શકાય.

જો કે ૨૦૦૧ના મહાધરતીકંપ બાદ પરિસ્થિતિ એ એક નવો જ વળાંક લીધેલો જણાય છે. જાનમાલની પારાવાર ખુમારીની સીધી જ અસર ઉપરાંત કચ્છનાં આંતરીક ભૌતિક અને બહારના વિશ્વ સાથેના ભૌતિક તેમજ સાંસ્કૃતિક સમીકરણોમાં આમુલ પરિવર્તન થઇ ગયાં છે. ધરતીકંપને પરિણામે કચ્છનાં ઘણાં શહેરો અને ગામોને ઘણે મોટે પાયે ભૌતિક નુકસાન થયું હતું. ભુજ, અંજાર, ભચાઉ જેવાં શહેરો તો એટલી હદે ભાંગી ચુક્યાં હતાં કે તેમની લગભગ નવી કાયાપલટ જ થઇ ગઇ છે.સામખીયાળી - ભચાઉ - ગાંધીધામ -અંજાર - મુંદ્રાનો પટ્ટો તો ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત-વાપીના 'સોનેરી પરસાળ'ની જોરદાર હરીફાઇ કરતો ઔદ્યોગિક વિસ્તાર બની ગયો છે. નળીયા - અબડાસા વિસ્તાર ભારતનું સીમેન્ટ કેન્દ્ર બની રહેવાને ઉંબરે આવી રહ્યો છે. ૪૦૦૦ હજાર મેગાવૉટ્ના બે અતિમહાકાય વીજળી મથકો અને લગબહગ ૨૫૦૦ મેગાવૉટ વીજળી પેદા થઇ શકે તેવી અને તેટલી પવનચક્કીઓથકી ગુજરાત આવનારાં કેટલાંય વર્ષો સુધી વીજળીની પુરાંત ધરાવતું રાજ્ય બની રહેશે.

આને પરિણામે એક તરફ ઉત્તર ભારત સાથે દ્વી-માર્ગીય રેલ લાઇન અને  ૬-માર્ગીય આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તો બીજી તરફ ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે જોડતો રેલ, રૉડ અને વિમાન વ્યવહાર તો અસ્તિત્વમાં આવી ગયો છે, જે અમારા જેવા કંડલા-નવલખી લૉંચની કડીથી મુસાફરી કરનરી પેઢીમાટે તો પોતના જ જીવનકાળ દરમ્યાન સાચાં પડેલાં એક સ્વપનાં જેવું લાગે છે.
એક જમાનામાં જે પ્રદેશની પ્રજા નિકાસ થતી હતી તે પ્રદેશ આજે બધી જ પ્રજાની આયાતમાટેનું આકર્ષણ બની ગયેલ છે.અને તેમ છતાં એ જ કચ્છનાં માંડવી / મુંદ્રા જેવાં શહેરોમાં આજે કેટલાંય ઘરો વર્ષોનાં તાળાં લાગેલાં જોવા મળે છે તો કેટલાંય ગામોમાં આંગળિના વેઢે ગણી શકાય તેવી વસ્તીની હાજરીની ઝાખપ જોવા મળે છે. 'વિકાસ'નું આ અસંતુલન, હાલના પ્રજા જીવનને પણ અસંતુલીત કરતું જણાય છે. કચ્છની Catch-22  કથાનો આ બીજો તબક્કો છે.

'૬૦ના દાયકામાં આવી ને ગાંધીધામમાં વસેલા 'પરપ્રાંતિયો'ની આજે જેમ ત્રીજી અને ચોથી પેઢી કચ્છને પોતાનું વતન બનાવી ચૂકી છે. તે જ રીતે આ દશકામાં નવા ઉદ્યોગોને કારણે આવીને અહીં સ્થિર થઇ રહેલ એક બહોળી વસ્તી પણ કચ્છના આ વિસ્તારનાં પ્રજાજીવનને કાયમમાટે પચરંગી કરી નાખશે. અને આ વલોણાંમાં કચ્છ્ની બહાર વસી ગયેલા કચ્છીની કચ્છીયતને ભેળવો તો જે નવરંગ સંયોજન પ્રસ્રરતું જશે તેને આપણે કચ્છની  Catch-22 નું ત્રીજું પ્રકરણ ગણીશું.

આમ પરંપરાગત  કચ્છમાંથી જ ઉદભવતી કચ્છીયત, '૬૦માં ગુજરાતના મહત્વના સીમાંત જીલ્લા તરીકેની ઓળખથી મહા-ભુકંપ,૨૦૦૧ ને કારણે વીજાણુ માધ્યમો ને કારણે સમગ્ર વિશ્વમાં ઓળખા સુધીની કચ્છીયત અને હવે ૨૦૦૩ પછીનાં સાંપ્રત ઔદ્યોગીક કચ્છ તેમ જ હવે પછીના એક કે બે દાયકનાં ભાવિ કચ્છની કચ્છીયતનો ભાતીગળ સંયોજીત રંગપટ જેવા ચોરાહા  પર કચ્છની રસમય ગાથા આ સમયે આવીને ઉભેલી દેખાય છે.

આ છે કચ્છીયત-૨૨ની ઐતિહાસીક નિર્ણાયત્મક ઘડી! કચ્છીયતે ભૂતકાળની ભવ્યતા(!)માં રાચવું છે કે ભવિષ્યમાં તેની હજૂ વધારે આગવી,[પરાણે પણ]માન અને પ્રેમ આપવાલાયક પહેચાન ઉભી કરવી છે તે કચ્છીયતની વર્તમાન વિચારધારાની ગતિશીલતા પર આધારીત છે.


n  ૨૩ જાન્યુઆરી,૨૦૧૨ ના ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના બ્લૉગ પર પ્રસિધ્ધ થયેલ શ્રી જગ સુરૈયાના મૂળ લેખ  Kutch -22  પર નો પ્રતિભાવ

Tuesday, September 27, 2011

કચ્છઃ વિહંગાવલોકન -- અવલોકન


 પહેલી આવૃત્તિ ઃ જુલાઇ ૨૦૧૧
લેખકઃ હરેશ ધોળકિયા                       hareshdholakia@yahoo.com
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય     goorjar@yahoo.com
ISBN 987 -81-8480-596-3


શ્રી હરેશ ધોળકિયાએ કચ્છવિશે ભુતકાળમાં પણ ઘણાં પુસ્તકો અને લેખો લખ્યા તેમજ પ્રકાશિત કરેલ છે. એ દ્રષ્ટિએ 'કચ્છઃ વિહંગાવલોકન'એ તેમની લેખન અને સંપાદનની અવિરત પ્રક્રિયાનું અનુસંધાન કહી શકાય.

આથી ૨૧ નોંધ-પ્રકરણોની મદદથી આ પુસ્તક કચ્છનાં ઘણાં પાસાંઓ, જેવાં કે  ભૂ-સાંસ્કૃતિક ઇતિહાસ તેમ જ રીપોર્ટ્સ; રાજકારણસાથે સંકળાયેઅલ ઘટનાઓ; તત્કાલિન ઘટનાઓ પર પ્રભાવ પાડી શકેલ અથવા તો ન પાડી શકેલ કચ્છી વ્યક્તિત્વો; કચ્છમાં શિક્ષણની તવારીખ તેમજ ૨૦૦૧ના ધરતીકંપ પછીનાં સાંપ્રત કચ્છનું વિશ્લેષણ વિ.ને આવરી લે છે.

આમ લેખકે વ્યાપક વિષયોને આવરી લેવા છતાં પુસ્તક અંગે તેમના બે મુખ્ય ઉદ્દેશ્યને પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહી દીધા છેઃ કચ્છ અંગેની ભુતકાળની તેમ જ વર્તમાન ઘટનાઓને ગ્રંથસ્થ કરવી અને ભવિષ્યનાં સંશોધનોને મદદરૂપ થવું.

'કચ્છઃ વિહંગાવલોકન’,એ લેખકની 'કચ્છમિત્ર'માટેની નિયમિત કટારમાટેના સમયાંતરે લખાયેલ લેખોનું સંપાદન હોવા છતાં, તેના બંન્ને ઉદ્દેશ્યોની કસોટીએ ખરૂં નીવડે છે.

પુસ્તકના ૧૧મા પ્રકરણ - કચ્છના ઇતિહાસના લેખન સંદર્ભે - [પૃષ્ઠ૬૯]માં લેખકે કચ્છના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં રહેલી અડચણો સમજાવી છે. તેથી આપણે લેખકના આ પુસ્તક ના વિહંગાવલોકનના દ્રષ્ટિકોણનેપણ સમજી શકીએ છીએ.

સમગ્રપણે, પુસ્તક સાચી દિશામાં યોગ્ય પ્રયાસ છે, તેમજ લેખકના કચ્છપ્રત્યેના રાગ અને પ્રેમને પ્રતિબિંબીત કરે છે.
કચ્છસાથે કોઇપણરીતે સંકળાયેલ વ્યક્તિમાટે આ પુસ્તક વાંચવું તેમ જ વસાવવું આવશ્યક ગણાય.૨૦૦૧ના ધરતીકંપબાદ કચ્છનો વ્યાપ જે રીતે કચ્છી અને ગુજરાતી સીમાડા પાર કરી ગયેલ છે તે દ્રષ્ટિએ આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ થવો જોઇએ.

      -- અશોક વૈશ્નવ, અમદાવાદ, સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧