Thursday, May 5, 2016

એકલો જાને રે ....- ડૉ. એચ એલ ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત (નવલકથા) - ડૉ. શરદ ઠાકર





@ ડૉ. શરદ ઠાકરǁ  પ્રથમ આવૃત્તિ ડીસેમ્બર, ૨૦૧૫  ǁ કિંમત રૂ, ૪૫૦ ǁ પૃષ્ઠ +૪૨૪
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરǁ info@navbharatonline.com






લેખક ડૉ. શરદ ઠાકર તેમનાં પ્રાસ્તાવિક નિવેદનમાં (ડૉ. એ એલ ત્રિવેદીની સંઘર્ષ ગાથા વિષે) લખે છે કે "શું આ બધું સાચું હોઈ શકે? ભ્રષ્ટાચાર અને કામચોરીથી ખદબદતા આ દેશમાં કોઈ એક મરદ માણસ આખી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં ચાલીને, આટલો કપરો સંઘર્ષ ખેડીને, પોતાના આદર્શ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ઝનૂનપૂર્વક લડતો રહી શકે ખરો?!? અને અંતે એ સફળ પણ થઈ શકે? અસંભવ!"

આ નિવેદન પછીના ૪૨૪ પાનામાં કોઈ થ્રીલર કથાની અદાથી આપણી સમક્ષ ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનમાં બનતી રહેલી એક એક અવળી,અણધારી, તેમનાં મનોબળની તાકાતની સીમાઓને પડકારતી રહેતી ઘટનાઓ અને તેમાંથી નીકળેલા એટલા જ આશ્ચર્યજનક, સુખદ માર્ગોની તવારીખના પાનાં બદલતાં રહે છે.

આપણી સમક્ષ વાતની શરૂઆત થાય છે આજના સમયથી ચાર-સાડા ચાર દાયકા પહેલાનાં, અને આઝાદીના ત્રણ દાયકા પછી પણ આધુનિકતાથી ચાર ડગલાં પાછળ ચાલી રહેલાં, સુરેન્દ્રનગરની એક સાંજથી. સફેદ ખાદીનો આર કરેલો ઝભ્ભો, ધોતી અને ગાંધી ટોપીથી સજ્જ નખશિખ ગાંધીવાદી વડીલ અને તેમની સાથે માન્ચેસ્ટરનાં વૂલન ફેબ્રિકમાંથી જર્મન બ્રાન્ડેડ ટેલર્સ પાસે સીવડાવેલા સ્યૂટ,દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી નીકળેલ સોનામાંથી બનેલી ટાઈપિન અને ટાઈપિનમાં વચ્ચોવચ્ચ સોલીટેર ડાયમન્ડ, સ્નેક લેધરના બેલ્ટ અને એન્ટીલોપનાં ચામડામાંથી બનેલા મુલાયમ બૂટ જેની પહેચાન હતી, સવારના યુરોપિયન બ્રેકફાસ્ટ, દિવસ દરમ્યાન સુગંધીદાર તમાકુની પાઈપ અને સાંજે ફ્રેંચ વાઈનની સંગતની સંસ્કૃતિમાં પળોટાયેલો એવો યુવાન શહેરની બહાર આવેલી નદીમાં 'ઈવનીંગ વૉક' માટે નીકળી પડ્યા છે. સામેથી ડાઘુઓ એક યુવાનની અંતિમ મંઝિલે પહોંચાડવાની વિધિમાં છે. મૃત્યુ પામેલા યુવાનના 'નખમાંય રોગ જ ન હતો...ખાલી છ મહિનાથી આખા ડીલ પર સોજા હતા'. પાશ્ચાત્ય રંગમાં પળોટાઈ ચૂકેલો આપણો નાયક એ સાંભળીને સ્વગત બબડી ઊઠે છે : ક્રોનિક રીનલ ફેઈલ્યોર. ડાયાલિસીસ જેવી સારવાથી બચી શકી હોત એવી એક જિંદગી...'

ખેલના નિયમ બદલી નાખે તેવી ઘટનાની પાછળ પાછળ જ એવી બીજી એક ઘટના આપણા નાયકને ગૌતમમાંથી બુદ્ધમાં રૂપાંતરિત કરવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. જો કે આ ઘટનાઓ પછી નાયકની તેની તેની કર્મભૂમિ, હેમિલ્ટન, કેનેડા તરફની સફરનાં વર્ષો સાથે સાથે, પોતાના જન્મથી માંડીને આજ સુધીની ઘટનાઓ કલ્પનાચક્ષુની સામે ખૂલતી જાય છે.

ઈ.સ. ૧૯૩૨ના ઑગસ્ટ મહિનાની એક કાળી અંધકારભરી રાત્રે, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદથી ચારેક કિલોમીટર દૂર આવેલા ચરાડવામાં નાનજીભાઈ ત્રિવેદીના શિક્ષકપુત્ર લક્ષ્મીશંકર ત્રિવેદીનાં પત્ની શારદાને પુત્ર જન્મ્યો. એ પુત્ર તે આપણી કથાના નાયક હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી. તેમના જન્મ સમયે કેસરીની ત્રાડ અને હાથીની ચિંધાડને સમાવતો ગજકેસરીયોગ હતો, જેને કારણે એ છોકરો જ્યાં પણ જાય ત્યાં રાજાની સમકક્ષ બનીને માન, પાન અને સ્થાન પ્રાપ્ત કરતો રહેવાનો હતો.

પણ એચ એલ ત્રિવેદીનાં જીવનમાં તો તકલીફોની કેસરી-ત્રાડ અને વિઘ્નોની હાથી-ચિંધાડ પણ પહેલે પગથિયેથી લખાયેલી જ હશે. પિતાજી બહુ જ આદર્શ શિક્ષક, પણ ૧૯૩૦-૫૦ના સમયના શિક્ષક એટલે જ્ઞાનદાનમાં કુબેર પણ અંગત જીવનમાં આર્થિક સંકડામણો પારાવાર જ હોય. સાત માણસોની ભીડવાળાં કુટુંબની રાતોના દીવાના પીળા ધ્રુજતા પ્રકાશમાં કિશોર હરગોવિંદ પોતાનાં ડૉક્ટર બનવાનાં સ્વપ્નોને કંડારવાના પરિશ્રમમાં ખૂંપી જતો. ૧૬મા વર્ષે માને ધનુર્વાના ચેપમાં ખોયાં. ૧૧મા ધોરણમાં સારા માર્ક્સથી ઉત્તિર્ણ થયા પછી સાયન્સ કૉલેજમાં એડમિશન મેળવવા માટે નાણાં ઊભાં કરવા આખાં કુટુંબે જે યજ્ઞ કર્યો તેમાં કુટુંબના દરેક સભ્યએ પોતપોતાની ઈચ્છાઆકાંક્ષાઓની આહુતિ આપી. કૉલેજની એક નિર્ણાયક પ્રાયોગિક પરીક્ષામાં જે પાવડરનો ગ્રેવીમેટ્રી ટેસ્ટ કરવાનો હતો તે ભરેલું પાત્ર જ પડી ગયું અને પાવડર ઢોળાઈ ગયો. બાયોલોજી વિષયનું જર્નલ જ મૌખિક પરીક્ષાની આગલી રાત્રે ચોરાઈ ગયું. તો પણ બે ફક્કડ પેન્ટ-શર્ટ, કપડાંલતાં વગેરે મૂકવાની પતરાંની રંગીન પેટી અને પહેલે જ દિવસે ફોઈનાં ઘરેથી કૉલેજ ચાલતાં જતાં પડેલાં આંટણને કારણે જે હાથમાં ઉપાડવાનો વારો આવ્યો હતો તેવા ચામડાના સુંદર બૂટની ભૌતિક મૂડીની મદદથી એચ એલ ત્રિવેદી દાક્તરીની વૈતરણી પણ વટથી પાર કરી ગયા. ડૉક્ટર થઈ ગયા પછી તેરમી ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ તેમણે સુનિતાબહેન (મૂળ નામ શારદા) સાથે સંસાર માંડ્યો.

અમેરિકામાં આગળ અભ્યાસ માટે ભણવા જવા ઈચ્છતા વિદેશી ડૉકટરોનું સ્તર ચકાસવા માટેની ઈ.સી.એફ.એમ.જી. કસોટીથી માંડીને ક્લીવલેન્ડની લેઈકવૂડ હોસ્પિટલના પ્રારંભના દિવસોમાં જ ઈ.સી.જી. મશીનનું તેમના હાથે બળી જવું,તેમની સહકાર્યકર નર્સના પિતાને ડી-ફિબ્રિલેટરના પાંચમા આંચકે મોતના મોંમાંથી બચાવી લાવવા, પોતાના હાથ નીચેના જુનિયર ડૉક્ટરની ભૂલને કારણે એક દરદીનું બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ થઈ જવું, કેનેડા જવા માટે અરજી કરેલ તે દસ્તાવેજો જ ઈન્ટરવ્યુના ટાંકણે ટપાલમાં ગેરવલ્લે ચડી જાય એવા તો અનેક નાના મોટા અવળા સવળા પ્રસંગો ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનને કસોટીએ ચડાવતાં રહ્યાં. કેનેડાનાં હેમિલ્ટન શહેરની સેન્ટ જૉસેફ હોસ્પિટલની તેમની કારકીર્દી પણ આવી અનેક તડકી છાંયડીઓમાંથી પસાર થઈ. ગજકેસરીયોગ ફળવાને કારણે, કે ડૉ. ત્રિવેદીની નિષ્ઠા, કુનેહ અને સૂઝને કારણે, સેન્ટ જૉસેફ હૉસ્પિટલમાં આવતાં તેમનાં દર્દીઓ તેમને પૂજતાં.

સફળતા અને શોહરતની ટોચે પહોંચેલા ડૉ. એચ એલ ત્રિવેદીના મનમાં પેલે દિવસે ક્રોનિક રીનલ ફેઈલ્યોરથી મૃત્યુ પામેલો એ યુવાન અને તે સમયે પેલા ગાંધીવાદી વડીલ સાથે થયેલા સંવાદ તો ઘુમરાયા જ કરતા હતા.

અમદાવાદની જ હોસ્પિટલમાં જ તેમનાં દેશબંધુઓની સારવાર કરવાનો યજ્ઞ માંડવા માટેનો એક પૂર્વ પ્રયોગ કરવા માટે તેઓ ત્રણ મહિનાની રજા લઈને કામ કરી ગયા. જતી વખતે તત્કાલીન આરોગ્ય સચિવ શ્રીમતી શિંગલાને મળ્યા. તે પછીથી નિયમિત સમયે કેનેડાથી સ્મૃતિપત્રો લખતા રહ્યા પણ સરકારના જાડી ચામડીના તુમારને તેઓ હજૂ વીંધી નહોતા શક્યા. તેવામાં શ્રીમતી શિંગલાની ઑફિસમાંથી એક તાર દ્વારા તેમને આગળ વિચારણા કરવા માટે તાત્કાલિક ધોરણે બોલાવાયા, એ મુલાકાતમાં પાંચ જ મિનિટમાં તેમને અહીં જોડાવા માટેનો નિર્ણય લેવા જણાવાયું, એ નિર્ણયના હવનમાં જે હાડકાં પડ્યાં તેને શ્રીમતી શિંગલાએ હસેડી ફેંક્યાં. હવે આપણને થાય કે હાશ, ચાલો હવે ડૉ. ત્રિવેદીની કસોટીઓનો કાળ પૂરો થયો. હવે તો તેઓ વિના કોઈ વિઘ્ને તેમનાં સ્વપ્નાને સિદ્ધ કરવા માટેની કેડી કંડારી શકશે.

પણ કોઈ પણ સફળતા પહેલાં ભારોભાર અવળા સંજોગોવડે ડૉ. ત્રિવેદીના જુસ્સાને આકરામાં આકરી કસોટી વડે ચકાસવાનો કુદરતનો (કે તેમના વિઘ્નસંતોષી વિરોધીઓનો) સીલસિલો ચાલુ જ રહેવાનો હતો. પુસ્તકનાં હવે પછીનાં લગભગ ૧૦૦ - ૧૫૦ પાનામાં એક પછી એક વિધ્ન અને વિઘ્નોના સમાધાનની રોમાંચક ઘટનાઓની દિલધડક દાસ્તાનો ભરી પડી છે. રાજકારણીઓ, બાબુશાહી, સહવ્યવસાયીઓ,ભૂતકાળના મિત્રો, નવા સંબંધો એ બધામાં ડૉ. ત્રિવેદીને અતિ કડવા અનુભવો પણ થયા અને બહુ સુખદ અનુભવો થયા. એક સામાન્ય વાચક તરીકે દુનિયા તો આવી નઠારી જ છે એમ માનીને તેમને થયેલા કડવા અનુભવો આપણને કદાચ હચમચાવી ન જાય, કે તેમને થયેલા સુખદ અનુભવો ડૉ.ત્રિવેદીનાં સદ્‍કાર્યોનાં ફળ તો ક્યારેક તો મળે જ તેમ માનવા પ્રેરે. એ ઘટનાઓનો આસ્વાદ તો પુસ્તક વાંચીને જ કરાય.

તેમનાં સ્વપ્નની કિડની ઈન્સ્ટિટ્યૂટ ઈંટ, રેર્તી અને સિમેન્ટથી ચણાયેલ એક હોસ્પિટલમાંથી હવે દર્દીઓ અને ડૉક્ટરોથી ધમધમતું એક મંદિર બની ચૂકી હતી.ઈન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે કૂદકેભુસકે વધતો જતો હતો, પથરી તોડવાના દર્દીઓ હોય કે ડાયાલિસીસ માટે આવતા દર્દીઓ, કિડની પ્રત્યારોપણનાં ક્ષેત્રેના કેસ સ્ટ્ડીઝ હોય, સંસ્થાનું નામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનથી ગાજવા લાગ્યું હતું. પણ ડૉ. એચ એલ ત્રિવેદીની કહાનીએ વિરામ નથી લીધો.

કિડનીનાં પ્રત્યારોપણ માટે બહુ જ મહત્ત્વની જરૂરિયાત છે 'ફુલ હાઉસ મેચિંગ' થાય તેવી વ્યક્તિની પોતાની સાજી કિડનીનું દાન. એ કામ કેટલું મુશ્કેલ હશે તે તો આપણે જ્યારે એ હાલતમાં મુકાઈએ ત્યારે જ ખરા અર્થમાં કદાચ સમજાય. જનસામાન્યની જાગૃતિ પેદા કરવાનું અને ફેલાવવાનું પણ આવું આ મહાકાર્ય આ ૠષિ તેમની આગવી રીતથી કરી રહ્યા છે. એક વાર સફળ પ્રત્યારોપણ થયા પછી દુનિયાભરના તમામ દેશોના તમામ દર્દીઓએ અતિખર્ચાળ દેવાઓ લેતાં રહેવું પડતું હતું. આ માટે ડૉ. ત્રિવેદીએ જે સંશોધન હાથ પર લીધું તે સમગ્ર વિશ્વ માટે ક્રાંતિકારી નીવડ્યું. પ્રત્યારોપણ થયેલી કિડનીનો સ્વીકાર ન કરવાની માનવ શરીરની નૈસર્ગિક પ્રતિક્રિયાને રોકવા તેમણે ૧૯૯૮માં બહુ જ જટિલ એવી 'સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ'નો પ્રારંભ કર્યો. આ કાર્યમાં વધારે સંશોધન શક્ય બનાવાવા માટે તેમણે અત્યાધુનિક 'સ્ટેમ સેલ લેબોરેટરી'ની પણ રચના કરી.મિજેન્કાયમલ સ્ટેમ સેલ્સને માનવ શરીરમાંની ચરબીમાંથી અલગ તારવીને પરંપરાગત સારવારમાં આ નવા સ્ટેમસેલ્સ ઉમેરી દેવાથી હવે કીડની પ્રયારોપણનો ખર્ચ હવે લગભગ અડધો થઈ ગયો. સમગ્ર વિશ્વમાં સારવારની આ પદ્ધતિ આજે 'અમદાવાદ પ્રોટોકોલ' તરીકે ઓળખાય છે.

આ સંશોધન કરતાં કરતાં તેમની ટીમને ઈન્સ્યુલિન પેદા કરતા કોષો પણ મળી આવ્યા. આ નવા કોષોને દર્દીના સાથળમાં આવેલી મોટી રક્તવાહિની (ફીમોરલ આર્ટરી)માં નાખી સી-આર્મ ટેકનિકથી દાખલ કરવાના પ્રયોગ જન્મજાત ડાયબિટીસથી પીડાતાં નાનાં બાળકો પર કરાયા. આ સારવારનું પરિણામ ચમત્કારિક રહ્યું. ડૉ. ત્રિવેદી, તેમની ટીમ અને તેમની સંસ્થાને આજે પણ નડતી રહેતી નાણાંભીડને કારણે આ પ્રયોગો અટકી પડ્યા. ૨૦૦૭ની આ ઘટના ૨૦૧૫માં પણ જગતને સાવ નજીવાં ખર્ચે ડાયાબિટીસ-મુક્ત કરી દેવા માટે ડૉ. ત્રિવેદીના ખંત અને ઉત્સાહને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે જરૂરી ભૌતિક સાધનોની રાહ જોવડાવે છે.

ડૉ. એચ એલ ત્રિવેદીની પોતાના નિશ્ચયની મજબૂત કલમથી ભવિષ્યને લખવાની ગાથામાટેની સ્યાહી તેમનાં સાત રંગોનાં મેઘધનુ્ષી વ્યક્તિત્વએ પૂરી પાડી છે. પ્રથમ રંગ છે તેમનું ઉચ્ચ કક્ષાના નેફ્રોલોજિસ્ટ હોવું.બીજો રંગ છે જાહેર સંચાર માધ્યમોનો સાથ કેળવવાનું કૌશલ્ય, જેને કારણે તેમની સંસ્થાની પ્રવૃત્તિઓ સામાન્ય લોકો સુધી પહોંચે છે. ત્રઓ રંગ છે દાતાઓ પાસે દાન મેળવવાની કળા.ચોથા રંગથી તેઓ દરેક વિચારસરણીના રાજકારણીઓ્નો સમભાવ પ્રાપ્ત કરી શકયા છે. પાંચમા રંગે તેમની ટીમને બનાવી અને ટકાવી છે. તેમનાં વ્યક્તિત્ત્વનો છઠ્ઠો રંગ છે નવાં નવાં સંશોધનો કરતાં જ રહેવાની તેમની ક્ષમતા. અને આ બધા રંગોની મિલાવટને એકસૂત્રતા બક્ષે છે દર્દીઓ સાથે અંતરંગ આત્મીયતા જાળવી રાખતો એ સાતમો રંગ.

આજથી ચોર્યાશી વર્ષ પહેલાં ચરાડવા ગામની એક મેઘલી રાતે શરૂ થયેલી તેમની આ જીવનગાથા અહીં જ અટકતી નથી - અટકશે નહીં. શાળાના ભણતર સમયે મળેલ કાકા-કાકીની હુંફ, સાયન્સ કૉલેજમાં દાખલ થવા માટે કુટુંબના દરેક નાનાંમોટાં સભ્યએ કરેલ પોતાની અંગત અપેક્ષાઓનાં બલિદાન, અમેરિકા જવાના નિર્ણયથી માંડીને જીવનના તબક્કે તેમનાં પત્ની સુનિતાબહેનનો સાથ, અમેરિકાની લેઈકવુડ હોસ્પિટલમાં ડૉ. સેટેલીન કે કેનેડાની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં ડૉ. વિલિયમ ગોલ્ડબર્ગ કે પ્રત્યારોપણ સર્જ્યન ડૉ. પીટર નાઈટની મદદ કે ગુજરાત સરકારનાં શ્રીમતી શિંગલા કે એમ. એસ. દયાલ કે (તત્કાલીન આરોગ્ય મંત્રી)વલ્લભભાઈ પટેલ કે બાળપણના મિત્ર રસિકલાલ દોશીની સહાય કે લિથોટ્રીપ્ટર મશીનનાં ઉદ્‍ઘાટન માટે સ્વયંભૂ આવી ગયેલ પ્રમુખસ્વામી મહારાજની હાજરી કે ડો. વીણા દેસાઇ કે ડૉ. પ્રાંજલ મોદી કે ડૉ. વિરેન ત્રિવેદી કે ડૉ. વિનીત મિશ્રા કે ડૉ. અરુણા વણીકર કે નલીની પટેલ જેવાં તેમનાં સાથીઓનો ટેકો જેવાં અનેક સકારાત્મક પરિબળોએ તેમની સામે મોરચો માંડીને બેઠેલાં અનેકાનેક નકારાત્મક પરિબળો સામે ટકી રહેવાનું બળ ડૉ. એચ એલ ત્રિવેદીને પૂરૂં પાડ્યું હશે કે તેમણે સેવેલ એક નેક સ્વપ્નનાં જોશે આ પરિબળોને તેમની આસપાસ કવચ પૂરૂં પાડ્યું હશે !

ખબર નથી.

આપણે આવા કોઈ પણ એકલવીરને તેની દોડમાં પ્રત્યક્ષ મદદ ન પણ કરી શકીએ તો, કમ સે કમ, જાણ્યે અજાણ્યે તેમના રસ્તામાં આવતું વિઘ્ન તો ન બનીએ !

એટલું તો જરૂર યાદ અને ધ્યાન રાખી જ શકીએ.

ડૉ. એચ એલ ત્રિવેદી અને તેમના જેવા એકલવીર મરજીવાઓનાં કામને આપણે આટલું તો બીરદાવી જ શકીએ.....

ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવન અને તેમના મેડીકલ પ્રયોગો વિષેનાં સાહિત્યની ઉપલબ્ધિ ઘણી પાંખી જણાય છે તેની સખેદ નોંધ લેવી રહી. ડૉ. ત્રિવેદીની આત્મકથા “Tryst with Destiny” નવજીવન ટ્રસ્ટની સાઈટ પરથી ઑનલાઈન ખરીદી શકાય તેમ છે, પણ તેમનો ડૉ. શરદ ઠાકરે કરેલ ગુજરાતીમાં અનુવાદ ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ કે પછી આપણે આજે જે પુસ્તકનો પરિચય કર્યો તેની જ ઉપલ્બધિ પરંપરાગત વેચાણ વ્યવસ્થાને આધીન જણાય છે. એટલે જ ડૉ. એચ એલ ત્રિવેદીનાં કામને તેમના આંતરરાષ્ટ્રીય સહવ્યાવસાયિકો જાણતા હશે તેટલું કદાચ આપણા દેશના આ વ્યવસાયનાં લોકો નહીં જાણતાં હોય. આવા સંજોગોમાં તેમની સાથે સંપર્કમાં આવેલ સામાન્ય પ્રજા સિવાયનાં આપણા સૌની તો વાત કરવાની જ ક્યાં રહે !

જો આ બાબતને આજના સમયને અનુરૂપ યોગ્ય માર્કેટીંગ માવજત મળે તો તેમનું કાર્ય તો આવનારી પેઢીઓ સુધી પહોંચે જ એટલું જ નહીં તેમના જેવા ભાવિ એકલવીરોને પથદર્શક પણ નીવડે અને તેમનાં આસપાસનાં પર્યાવરણ માટે બોધવાચક પણ નીવડી શકે.

Saturday, April 30, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪_૨૦૧૬



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના અંકની શરૂઆત આપણે My Favorites: Songs of Springથી કરીને વસંતનાં આગમનને વધાવીશું. અહીં રજૂ કરાયેલાં ગીતોમાં માત્ર એક જ શરત છે - શબ્દોમાં બહાર, બસંત કે વસંત કે તેના જેવા સ્પષ્ટ સમાનાર્થી શબ્દોનો પ્રયોગ થવો જોઈએ અને ગીતનાં ફિલ્માંકનમાં વસંતનાં ચિહ્નો નજરે ચડવાં જોઈએ. આ કારણથી 'સુભદ્રાહરણ' (૧૯૬૪)નું આયા બસંત હૈ આયા, કે 'ઓપેરા હાઉસ'(૧૯૬૧)નું દેખો મૌસમ ક્યા બહાર હૈ, કે 'બસંત બહાર' (૧૯૫૬)નું કેતકી ગુલાબ જૂહી ચંપક બન ઝૂલે જેવાં ગીતોને બાદ કરી દેવાં પડ્યાં છે. પૉસ્ટમાં રજૂ થયેલ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે ફરી એક વાર યાદ કરી લઈએ -

    મારા તરફથી પણ એક ગીતમેં ઉમેરેલ છે -


અને હવે આપણે તિથિઓની સાથે સંકળાયેલ પૉસ્ટ્સની મુલાકાત કરીશું -
Lalita Pawar: The Dominating Matriarch And Scheming Manthara ૧૮ એપ્રિલ, ૧૯૧૬ના
અંબા લક્ષ્મણ રાવ શગુન તરીકે જન્મેલ, હીરોઈનથી વૅમ્પની અનેકવિધ ભૂમિકાઓની સફર કરનાર જાજવલ્યમાન અભિનેત્રીને અંજલી આપતાં નિલેશ એ રાજે લલિતા પવારનાં જીવનની ખાટીમીઠી યાદોને રજૂ કરે છે.
યુ ટ્યુબ પર તેમણે હીરોઈન તરીકે ગાયેલાં ગીતોની શોધ કરતાં મળેલ શાલિન ભટ્ટે મૂકેલ એક ગીત સાંભળીએ. આટલાં જૂનાં ગીત માટે તેની વિડિયો ક્લિપ તો ન મળે, પણ શાલિન ભટ્ટે લલિતા પવારના એ સમયના ફોટોગ્રાફ્સ ગીત સાથે મૂક્યા છે.

સખી પ્રેમ સુધા ભરને આયી - દુનિયા ક્યા હૈ (૧૯૩૮)- સંગીત અન્ના સાહેબ મૈનકર

Big FM એ પણ Lalita Pawar Birthday Special રજૂ કરેલ છે.
The Swar Kokila Kanan Devi - વીન્ટેજ એરાની સ્વર કોકીલા, કાનન દેવી (૨૨ એપ્રિલ ૧૯૧૬ - ૧૭ જુલાઇ, ૧૯૯૨)ની જન્મશતાબ્દી નિમિત્તે અંજલિ - અહીં રજૂ કરાયેલ ગીતોમાંથી કેટલાંક જાણીતાં, તો કેટલાંક ઓછાં જાણીતાં ગીતોને યાદ કરી લઈએ -


On Mac Mohan’s Birthday, Remembering Sholay’s Forgotten Villain  ખાલિદ મોહમ્મ્દ મૅક મોહનનાં અભિનય અને અંગત વ્યક્તિત્વનું ચિત્ર પૂરૂં કરે છે.
Shamshad Begum’s songs by OP Nayyarએ શમશાદ બેગમની ૯૭મી જન્મતિથિની અંજલિ છે.ગયે વર્ષે તેમની જન્મ તિથિના ઉપલક્ષમાં તેમનાં નૌશાદે રચેલાં અને અવસાન તિથિના ઉપલક્ષમાં સી. રામચંદ્રના રચેલાં ગીતોની સાથે ઓ પી નય્યરે રચેલાં તેમનાં ગીતોનો પણ ઉલ્લેખ થતો રહ્યો હતો. શમશાદ બેગમનાં ગીતોને રચનાર આ ત્રિમુર્તિ સંગીતકારની સાથે હંસરાજ બહલનાં રચેલાં ગીતોની સમીક્ષાનો હવે ઈંતજાર રહેશે. શમશાદ બેગમનાં સચિન દેવ બર્મને રચેલાં ગીતોની ચર્ચા East meets West. માં થઈ ચૂકી છે.ઓ પી નય્યરે રચેલાં શમશાદ બેગમનાં ગીતો પૈકી કંઈક અંશે વિસારે પડેલાં ગીતોને યાદ કરીએ -
‘Jo Bhi Ho Tum Khuda Ki Kasam, Lajawab Ho': Remembering Shakeel Badayuni - પીયૂષ શર્મા - એ સમયનો એક રેકર્ડ શકીલ બદાયુનીને નામ છે - ૧૯૬૦, ૧૯૬૧ અને ૧૯૬૨ એમ  લાગલગાટ ત્રણ વર્ષનો શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ તેમને અંકે છે.આજથી છેતાલીસ વર્ષ પહેલાંની ૨૦મી એપ્રિલે શકીલ બદાયુની એ આ ફાની દુનિયાથી વિદાય લીધી હતી. તેમનાં બહુ જાણીતાં ગીતો આ લેખમાં સમાવાયાં છે. આપણે તેમની લખેલ બેગમ અખ્તરના સ્વરમાં ગવાયેલી આ બે બહુ જાણીતી ગ઼ઝલ સાંભળીશું -
Silsila Khatm Na Hoga Mere Afsaane Ka: Shakeel Badayuni, a Tribute - પાવન ઝાએ પાક દામન (૧૯૫૭)માં તેમણે પોતાના જ સ્વરમાં ગાયેલ ગીત યાદ કરેલ છે.
અન્ય વિષયોને લગતી પૉસ્ટ્સની પણ મુલાકાત લઈએ -
Simple melodies of Ravi - રવિની ધુનની વાદ્યસજ્જામાં સંતુર અને વાંસળીનું પ્રાધાન્ય જોવા મળશે.. મોટા ભાગે શબ્દરચના નક્કી થઈ જાય પછી જે તે ધૂન ગોઠવતા. તેમનં આવાં ૨૪ ગીતોને સાંભળવા માટે LINK TO SIMPLE MELODIES OF RAVI.ની મુલાકાત જરૂરથી લેશો.
Ten of my favourite funny songsમાં ખરેખર રમૂજ પૂરાં પાડતાં ગીતો જ સમાવાયાં છે. શબ્દો, પર્દા પરની પ્રસ્તુતિ કે ગાયકી કે કોઈ પણ એક તત્ત્વ હોય કે એકથી વધારે તત્ત્વોનો મેળ હોય એવું કંઈ પણ રમૂજ પૂરૂં પાડી શકે. ગીત સાંભળતાં સાંભળતાં ખડખડાટ હસવું ભલે ન આવે, પણ હોઠ તો મલકી જ જાવા જોઈએ. અહીં રજૂ કરાયેલ ગીતોમાંનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને એક વધુ વાર યાદ કરીએ-
How Bhupinder Singh blends the ghazal with the guitar - કારકીર્દીના શરૂઆતના એક તબક્કે ભુપીન્દર માટે નક્કી કરવું અઘૠં પડી રહ્યું હતું કે તેમણે પ્લેબૅક પર ધ્યાન આપવું કે ગિટાર વાદન પર. દમ મારો દમ (હરે રામ હરે કૃષ્ણ ,૧૯૭૧), ચુરા લિયા હૈ દિલ કો જો તુમને (યાદોંકી બારાત, ૧૯૭૩) કે મહેબુબા, મહેબુબા (શોલે, ૧૯૭૫) જેવાં રાહુલ દેવ બર્મનનાં કેટલાંક ઉત્તમ ગીતોમાં ગિટારનો કમાલ ભુપીન્દરનાં આગળાંનો છે. તેમણે ૫૦થી પણ વધુ ફિલ્મોમાં દિલ ઢુંઢતા હૈ ફિર વોહી (મૌસમ, ૧૯૭૫), નામ ગુમ જાયેગા (કિનારા, ૧૯૭૭), કરોગે યાદ તો (બાઝાર, ૧૯૮૨), કિસી નઝર કો તેરા ઈન્ત્ઝાર હૈ (ઐતબાર, ૧૯૮૬), બાદલોંસે કાટ કાટ કે (સત્ય, ૧૯૮૮)જેવાં અનોખાં અને છતાં લોકપ્રિય ગીતો પણ ગાયાં છે.
‘In Aradhana, Sachin Karta Gave Me My Life’s Biggest Hit': In Conversation with Shakti Samanta  - પીયૂષ શર્મા - પહેલાં ક્યારે પણ પ્રકાશિત ન થયેલ આ ઈન્ટરવ્યુમાં શક્તિ સામંત તેમની ફિલ્મોની ખાસ પહેચાન આપનાર, સદાબહાર,  ગીતોને યાદ કરે છે... તેમણે ઓ પી નય્યર, શંકર જયકિશન અને સચિન દેવ બર્મન સાથે ચાર ચાર ફિલ્મો બનાવી. રાહુલ દેવ બર્મન સાથે તેમણે ૧૧ હિંદીમાં અને ૪ બંગાળીમાં એમ સૌથી વધારે ફિલ્મો કરી. બંગાલી ફિલ્મોના ખ્યાતનામ સંગીતકાર શ્યામલ મિત્ર સાથે તેમણે ત્રણ અને રવિ તેમ જ રવિન્દ્ર જૈન જોડે બબ્બે ફિલ્મો કરી.
આ પૉસ્ટમાં તો તેમનાં ખૂબ જ જાણીતાં ગીતો હોય તે તો સ્વાભાવિક છે. તેમની બહુ જ શરૂઆતની ફિલ્મનું, ખાસ સાંભળવા ન મળતું એક ગીત , આપણે સાંભળીએ -
દેખો દેખો જી બલમ - બહૂ (૧૯૫૫) - ગીતા દત્ત, તલત મહમૂદ - હેમંત કુમાર - એસ એચ બિહારી
Kite (Patang) Songs  એ ઘટનાની પાછળ રહેલા કેટલાક પ્રવાહોની નિપજ છે. જો કે આપણા માટે તો એ નિપજ જ મહત્ત્વની બાબત છે -
Hindi film songs in Swahili - મનિશ ગાયકવાડ - દક્ષિણપૂર્વ આફ્રિકાના સ્વાહીલી કાંઠાળ પ્રદેશમાં ભારતીય, અરબી અને આફ્રિકાના સૂરનાં મિશ્રણ સમી 'તરબ' ગાયન શૈલીનું હિંદી ફિલ્મનાં ગીતો માટે એક ખાસ મહત્ત્વ છે. લગ્નો કે અન્ય સામાજિક પ્રસંગોએ પરંપરાગત રીતે સ્વાહીલીમાં ગવાતાં તરબ ગાયકીના ગીતોમાં રોમાંસ અને રાજકારણ સહિતના જૂદા જૂદા થીમની રચનાનુસાર શબ્દોની ગોઠવી જોવા મળે છે....યુ ટ્યુબ પર આવાં બેએક ડઝન ગીતો સાંભળવા મળી શકશે, જે હિંદી ફિલ્મનાં ગીતોની પરંપરાગત બજારો ઉપરાંતની શક્યતાઓ તરફ નિર્દેશ કરે છે.
Nutan on the sets of Laila Majnu - નવેમ્બર, ૧૯૫૩
સાવ ફુટડી , યુવાન, નુતન 'લયલા મજનુ'ના સેટ પર લયલાના લિબાસમાં તેના ચાહકો માટે હસ્તાક્ષર કરે છે
Madhubala Goes Chinese  - (જાન્યુઆરી, ૧૯૫૭) - ચીનનું સ્ત્રી ડેલીગેશન દિગ્દર્શક ઓમ પ્રકાશની - જેને આપણે મોટા ભાગે એક સફળ હાસ્ય કલાકાર અને ચરિત્ર અભિનેતા તરીકે વધારે
ઓળખીયે છીએ - ફિલ્મ 'ગેટ વે ઑફ ઈન્ડિયા'ના સેટની મુલાકાતે આવ્યું. મધુબાલાએ તેમને આવકાર્યાં અને સાથેની તસવીરમાં તે ડેલીગેશનનાં બે સભ્યો સાથે વાતચીત કરતાં જોવા મળે છે.
ઓમ પ્રકાશે પણ પ્રતિનિધિમંડળની આગતાસ્વાગતા કરી અને તેમને ફિલ્મમાં ચીની કળાકારો સાથે ભજવાયેલ નૃત્ય ગીત બતાવ્યું. એ ગીત અહ્તું - ચલ મેરે દિલ કે ઉડનખટોલે ઉડતા જા તુ હોલે હોલે (મહમ્મદ રફી, મદન મોહન) જેમાં માસ્ટર ભગવાન અને મધુબાલાએ ચીની બાળકાળાકારો સાથે કામ કર્યું હતું.
થિયેટર આર્ટ્સ માટે ડેવિડ કૉર્ટે ઓગસ્ટ, ૧૯૫૨માં લખેલ લેખ - ૧૯૩૩માં દિલ્હીમાં મુમતાઝ અતૌલ્લહનાં નામથી જન્મેલ આ અભિનેત્રીના, માત્ર ૧૯ જ વર્ષની ઉમરે જેટલાં  ચાહકો છે તે હોલીવૂડની કોઈ પણ અભિનેત્રીને નસીબ નથી.
રોબિનહુડનાં પાત્ર પરથી ૧૯૫૧માં બનેલ 'બાદલ'નું પૉસ્ટર
    'બાદલ'નાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં. આપણે તેમાંનું એક ગીત સાંભળીએ
દો દિન કે લિયે મહેમાન યહાં - બાદલ (૧૯૫૧) - લતા મંગેશકર - શંકર જયકિશન
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના એપ્રિલ, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના એપ્રિલ, ૨૦૧૬ના લેખોમાં માં પણ હજૂ ખય્યામનાં ગીતોની સફર ચાલુ રહી છે:
ખય્યામ પરની શ્રેણી અહીં સમાપ્ત થાય છે, અને હવે શરૂ થાય છે એક બીજા સંગીતકારની કહાનીનો અધ્યાય...
દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં

સંગીતકાર જોડી રામ-લક્ષ્મણે પીરસેલાં સંગીતની દાસ્તાન રજૂ કરવામાં આવશે...
પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે તેરી યાદ ન દિલ સે જા સકી (ચાંદ ઔર સૂરજ નો રસાસ્વાદ કરાવ્યો છે. રજનીકુમાર પંડ્યાની નિયમિત શ્રેણી 'લ્યો ચીંધી આંગળી'માં વખતે 'માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલના ના'માં અમીરબાઈ કર્ણાટકીનાં જીવનની એક ઘટનાને યાદ કરી છે..
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી આજના અંકના સમાપન કરીશું
When Dev Anand lent his voice to a Mohammad Rafi song  - આ લેખ ૪-૧૨-૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ - પ્યાર મોહબ્બત કે સિવા યેહ ઝિંદગી ક્યા ઝિંદગી (પ્યાર મોહબ્બત, ૧૯૬૬, આશા બોસલે સાથે, શંકર જયકિશન)માં @ ૦.૦૮ પર જે "હુર્રે હુર્રે'નો સાદ સંભળાય છે તે અવાજ દેવ આનંદનો છે. એમ પણ કહેવાય છે કે આ સિવાય પણ અન્ય એક ગીતમાં પણ દેવ આનંદનો અવાજ સક્રિય થયેલ છે એ ગીત છે સૂરજકી જૈસે ગોલાઈ (કાલા બાઝાર, ૧૯૬૦, સચિન દેવ બર્મન)માં @૪.૫૨ પર ઓમ ધન હરિ નમઃ' અને 'હરિ ધન હરિ ધન'.

An Open Letter to Rafi Demeanors જે કે ભાગચંદાની - મોહમ્મ્દ રફીના અવાજમાં કુદરતી રીતે દર્દ નહોતું એટલે તેમણે રોવાનો અવાજ જેવી હરકતો કરવી પડતી હતી એવી એક માન્યતાનો મુદ્દાસર અને ઉદાહરણો સાથે અહીં છેદ ઉડાયો છે. લેખક પ્રતિપાદિત કરે છે કે માત્ર કરૂણ રસ માટે જ નહીં , પણ દરેક ભાવનાં ગીતોની આગવી અભિવ્યક્તિ મોહમ્મદ રફીના અવાજમાં બખૂબી જોવા મળતી રહી છે.
હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........