Sunday, December 11, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર, ૨૦૧૬



સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૪૪-૪૮ :
હિંદી ફિલ્મ સંગીત જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓની જન્મ-મૃત્યુ તિથિના સંદર્ભમાં ડીસેમ્બર માસને ખાસો એવો સંબંધ છે. મોહમ્મદ રફીની પણ જન્મતિથિ ૨૪ ડીસેમ્બર (૧૯૨૪, કોટલા સુલ્તાન સિંઘ - પંજાબ, હવે પાકિસ્તાનમાં)ના રોજ છે. આપણે આ મહિનાના આપણા પ્રસ્તુત અંક માટે કોઇ પણ સંગીતકાર સાથે મોહમ્મદ રફીએ પહેલવહેલી વાર જે ફિલ્મમાં સૉલો ગીત ગાયું હોય એવાં ગીતને સાંભળીશું.

મોહમ્મદ રફી તેમની કારકીર્દીમાં કંઈ કેટલાય સંગીતકારો સાથે કામ કર્યું છે.એટલે એક જ અંકમાં આ બધા સંગીતકારો સાથેની પહેલી ફિલ્મનું એક એક ગીત પણ સમાવવું શક્ય નથી. માટે આપણે આપણો આ પ્રયોગ હવે પછીથી દરેક વર્ષે મોહમ્મદ રફીની જન્મ અને મૃત્યુની પુણ્ય તિથિઓએ કરીશું. આ માટે આપણે તેમની કારકીર્દીની શરૂઆતનાં વર્ષ ૧૯૪૪થી પાંચ પાંચ વર્ષના અંતરાલને આપણો સંદર્ભ સમય તરીકે લઈશું. જે ફિલ્મમાં એકથી વધુ સૉલો ગીત હશે તેમાંથી મેં મને જે ગમ્યું તે એક ગીત અહીં રજૂ કરેલ છે.

આપણો આશય એ સંગીતકારના મોહમ્મદ રફીની ગાયકી પર પ્રભાવ કે મોહમમ્દ રફીની એ સંગીતકારની સફળતા પર અસર જેવાં કોઈ વિશ્લેષ્ણ કરવાનો નથી. મોહમ્મદ રફીનાં વિસારે પડતાં જતાં ગીતોની યાદ ફરી એકવાર, બસ, તાજી કરી એ આપણો આશય છે..

મોહમ્મદ રફીની કોઈ પણ સંગીતકાર સાથેની પહેલી ફિલ્મની સફરની શરૂઆત આપણે તેમની લગભગ સાડા ત્રણ દાયકાની કારકીર્દીનાં ૧૯૪૪થી શરૂ થતા પહેલા પાંચ વર્ષના અંતરાલથી કરીશું. પહેલો જ અંતરાલ હોવાને કારણે સ્વાભાવિક જ છે કે આ સમયમાં કદાચ સૌથી વધારે સંગીતકારો સાથે રેકર્ડ થયેલાં ગીતો આપણને સાંભળવા મળે. આ સમયમાં બીજા ઘણા પુરુષ ગાયકો પ્રસ્થાપિત હતા. મોહમ્મદ રફીના અવાજમાં કંઈક નવું જોવા મળ્યું હશે કે અન્ય કંઈ પણ કારણ હશે, પરંતુ હકીકત એ છે કે મોહમ્મદ રફી જૂદા જૂદા સંગીતકારો દ્વારા હવે પસંદ થવા લાગ્યા હતા.આ સમયમાં મોહમ્મદ રફીનાં કેટલાંક ગીતો સદાબહાર પણ નીવડ્યાં, તો કેટલાંક તેમનાં સર્વશ્રેષ્ઠ ગીતોની યાદીમાં સ્થાન પામવાની કક્ષાનાં પણ નીવડ્યાં. જેમ જેમ વર્ષો જતાં ગયાં તેમ તેમ તેમની આગવી હરકતો વગેરેથી તેમની ગાયન શૈલી જરૂર અલગ કેડી કંડારાતી થઈ, પરંતુ શરૂઆતથી જ તેમની શૈલીનું એક આગવાપણું તો સ્વાભાવિકપણે જ જોવા મળે છે.
૧૯૪૪
મોહમ્મદ રફી ૧૩ વર્ષની ઉમરે જાહેર કાર્યક્રમમાં પહેલી વાર કેમ ગાયું, કે કયા સંજોગો તેમને મુંબઈ ખેંચી લાવ્યા, કે કેમ તેમણે ફિલ્મોમાં પહેલાં પહેલાં ગીતો ગાયાં એ વિષે બહુ બધા ફિલ્મ જગતના ઈતિહાસકારોએ બહુ બધું લખ્યું છે. આપણે તો એટલું જ અહીં નોંધીશું કે તેમનું સર્વપ્રથમ ગીત શ્યામ સુંદરનાં સંગીતમાં પંજાબી ફિલ્મનું  ગુલ બલોચનું ઝીનત બેગમ સાથેનું યુગલ ગીત 'સૂણીયે ની નીરીયે ની યાદ ને બહુત સતાયા' હતું. હિંદી ફિલ્મોમાં તેમનું પહેલું ગીત પણ શ્યામ સુંદરનાં સંગીતમાં  જી એમ દુર્રાની સાથેનું 'ગાંવ કી ગોરી' ફિલ્મ માટેનું યુગલ ગીત જબ દિલ હો કાબુમેં તો દિલદારકી ઐસી તૈસી હતું.
નૌશાદ (અલી) સાથેનું મોહમ્મદ રફીનું પહેલવહેલું ગીત પણ ૧૯૪૪માં જ હતું. નઝીમ પાનીપતીએ લખેલ કોરસ ગીત હિંદુસ્તાન કે હૈ હમ, હિંદુસ્તાન હમારા રફીનું સૌથી પહેલું દેશભક્તિ ગીત પણ બની રહ્યું. શ્રી અરૂણ કુમાર દેશમુખના આ ગીત પરના લેખમાં બીજી ઘણી રસપ્રદ માહિતી જાણવા મળે છે.તેઓએ ખાસ નોંધ લીધી છે કે આ ગીતનાં કોરસમાં શ્યામ કુમાર, અલાઉદ્દીન નવેદ અને બી એમ વ્યાસનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું છે.
૧૯૪૫
એ સમયના ખ્યાતનામ સંગીતકાર પંડિત ગોવીંદરામ દ્વારા  સંગીતબધ્ધ થયેલાં, રમેશ ગુપ્તાએ લખેલાં 'હમારા સંસાર'નાં ગીતમાં ભલે ક્યાંક રફીની કાચી યુવાનીની છાંટ જોવા મળશે પણ ગાયન શૈલીમાં ક્યાંય કચાશ નથી ભાળવા મળતી:
અય દિલ-એ-નાક઼ામ અબ જિનેકી તમન્ના છોડ દે 

શરબતી આંખેંમાં ફિરોઝ નીઝ઼મીએ રફીના અવાજમાં ત્રણ સૉલો ગીતો રેકર્ડ કર્યાં. સૂરના ઉતાર ચડાવ અને દરેક ગીતની ખાસી અઘરી ધુન પણ મોહમ્મદ રફીની ગાયકીને નડી નથી જણાતી. તન્વીર નક્વીનું જે ગીત અહીં રજૂ કરવાનું પસંદ કર્યું છે તેમાં મુખડાની દ્રુત લય, અંતરાની શરૂઆતના નીચા સૂર અને પછી પાછી દ્રુત લય ખાસ આકર્ષણ જણાય છે.
બહુત મુખ્તસર હૈ હમારી કહાની 

અહીં આપણે ખાસ નોંધ કરીશું કે એક જ વર્ષ બાદ ફિરોઝ નીઝ઼મીએ મોહમ્મદ રફી પાસે વો અપની યાદ દિલાને કો એક ઈશ્ક઼કી દુનિયા છોડ ગયે ગવડાવ્યું. આ ગીતમાં મોહમ્મદ રફીએ પહેલી જ વાર નાનકડી ભૂમિકા પર્દા પર પણ ભજવી! તે સાથે જ તેમને એ સમયનાં ગીત સામ્રાજ્ઞી નુરજહાં સાથે પહેલું યુગલ ગીત યહાં બદલા વફાકા બેવફાઈ કે સિવા ક્યા હૈ ગાવાની પણ તક મળી. ગીતને બેસુમાર લોકપ્રિયતા મળી તે તો આજે પણ આપણને સુવિદિત જ છે.

હફીઝ ખાને નક્શબ જરાચવીના શબ્દોના કરૂણ ભાવોને ઝીનત માટે મોહમ્મદ રફીના અવાજમાં સ્વરબાંધણીમાં કંડાર્યા. રફીના અવાજમાં કોઈ જ જાતની નાટકિયતા વગરનો કરૂણ રસ આપણું ખાસ ધ્યાન ખેંચે છે.
હાય રે દુનિયા.. કિતની દિલ આઝાર હૈ દુનિયા, જૂંઠોંકા દરબાર દુનિયા  


૧૯૪૬
એસ ક઼ુરેશીએ કંઈક અંશે દ્રુત લયમાં પરંપરાગત ઈબાદતની સ્વરબાંધણી કરી છે. શેવાન રીઝવીએ ફિલ્મની સીચ્યુએશન મુજબ, ૭૮-આરપીએમની રેકર્ડ માટે સ્વીકૃત સમય લંબાઈમાં ગીતને જરૂરી શબ્દોથી સજાવી લીધું છે. આવનારાં વર્ષોમાં આવી બંદગીની રચનાઓ કે ભજનોના ફિલ્મ ગીતોના પ્રકાર માટે રફીની આગવી શૈલીની પણ નોંધ લેવાતી થશે.
મિલતા હૈ ક્યા નમાઝમેં સઝદે મૈં જા કે દેખ 

હિંદી ફિલ્મ સંગીતનાં મારાં મર્યાદિત જ્ઞાનમાટે શંકર રાવ વ્યાસ નવું નામ છે. 'ઘુંઘટ'નાં રમેશ ગુપ્તાએ લખેલાં આ સૉલો ગીતમાં રફી તેમની નૈસર્ગિક અદામાં ખીલી ઊઠ્યા છે. 
બહૂત માયુશ હો કર કૂચા-એ-ક઼ાતિલ સે હમ નિકલે 

આ જ વર્ષમાં શંકર રાવ વ્યાસની સંગીત ગુંથણીમાં મોહમ્મદ રફીનાં સૉલો ગીત 'મેરા ગીત'માં પણ સાંભળવા મળે છે. કઈ ફિલ્મ પહેલાં રજૂ થઈ હશે એ આપણી જાણમાં નથી એટલે આપણે રમેશ ગુપ્તાએ જ લખેલ એક વધારે ગીતને અહીં સમાવી લઈશું
આપસ કે ઝઘડોંને દેખો ભારતકો બરબાદ કિયા, જિનકા થા મોહતાજ જમાના આજે ઈન્હે મોહતાજ કિયા

બશીર દેહલ્વીહવાઈ ખટોલાનાં આ ગીતમાં શરૂથી કરીને આખાં ગીતમાં મોહમ્મ્દર રફીના સ્વરના ઊંચા સૂરથી નીચા સૂરના ચડ ઉતરનો બહુ સુંદર પ્રયોગ કર્યો છે. 
મેરી બિગ઼ડી હુઈ ક઼િસ્મત કે નક્શા દેખનેવાલો... હોટોં કી હસીં ક્યા હૈ, ક્યા અશ્ક઼ બહાના હૈ 

એસ એન ત્રિપાઠી'માનસરોવર'માટે મોહમ્મદ રફીનાં રચેલાં સૉલો ગીત બઢે ચલો બઢે ચલો બહાદુરોંની ઈન્ટરનેટ પરની લિંક મળી શકી નથી.
'રંગભૂમિ' માટેની સંગીતકાર પ્રેમનાથે રચેલી આ રચના સૉલો ગીત તરીકે નોંધાયેલી જોવા મળે છે, પરંતુ ગીત સાંભળતી વખતે આપણે તેમાં સહગાનની સંગત  અને @૨.૨૨પછી સંભવતઃ શમશાદ બેગમના સ્વરની હાજરી પણ જોવા મળે છે. આપણે એ વાતની ખાસ નોંધ લઈશું કે દરેક અંતરાની શરૂઆતમાં રફીનો અવાજ કંઇક જૂદો જ આયામ પકડે છે, જે ગીત આગળ વધતાં રફીની ઊંચા સ્વરની સિગ્નેચર શૈલીમાં પરિવર્તીત થતો જાય છે.ગીતના લેખક પંડિત ફણિ છે.
કદમ સુયે મંઝિલ બઢાયે ચલા જા, કોઈ સાથ આયે ના આયે તૂ ચલા ચલ 

હનુમાન પ્રસાદે પણ 'રસીલી'માં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ કર્યો છે, પરંતુ બન્ને ગીતો શમશાદ બેગમ સાથેનાં યુગલ ગીતો છે. આમ હનુમાન પ્રસાદની મોહમ્મદ રફીની સૉલો રચના માટે આપણે થોડી રાહ  જોવી પડશે.
રૂમ નં ૯ માટે નખ્શબ જરાચવીની રચનાને રશીદ અત્રેએ કવ્વાલીની શૈલીમાં કંડારેલ છે.
રહે તો રહે કૈસે દિલ કે ઈખ્તિયાર મુઝે... તુમ ઈસ અનિગાહોંસે ન દેખો બારબાર મુઝે 

બુલો સી રાનીએ પણ મોહમ્મદ રફીનાં ગીતોનું ખાતું 'સાલગિરહ'થી ખોલ્યું તો છે, પરંતુ સૉલો ગીત માટે આપણે હજૂ રાહ જોવી પડશે. પ્રસ્તુત ફિલ્મમાં કૌમુદીની દિક્ષિત સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતો છે.
'સફર'માં સી રામચદ્રએ બે સૉલૉ ગીતથી તેમની મોહમ્મદ રફી સાથેની સફર શરૂ કરી કાઢી છે.જી એસ નેપાલીએ લખેલાં આ બે સૉલો ગીતો પૈકી કેહકે ન આયે તુમ અબ છૂપને લગે તારે મોહમ્મદ રફીનાં પ્રમાણમાં જાણીતાં ગીતોમાં સ્થાન મેળવી શકે છે. એટલે આપણે બીજું ગીત અહીં લીધેલ છે, જેમાં રફીની આગવી શૈલી પણ સાંભળવા મળશે. સોંગ્સ ઑવ યૉર એક લેખમાં નોંધે છે કે ૧૯૪૯ સુધીમાં સી રામંચદ્રએ મોહમ્મદ રફીનાં બીજાં ૨૨ ગીતો રચેલાં છે.
અબ વો હમારે હો ગયે... ઈકરાર કરે યા ન કરે 

તૌફિલ ફરૂખીએ મોહમ્મદ રફીને 'સોના ચાંદી'નાં શમીમ જયપુરીએ લખેલ આ ગીતમાં અલગ જ અંદાજમાં રજૂ કરેલ છે. મુખડાની શરૂઆતથી રફીનો અવાજ આપણને કેટલો પરિચિત લાગવા લાગે છે! લય અને તાલની ગીતની બાંધણી ખાસી મુશ્કેલ છે.             
દાતા જી તેરા ભેદ ના પાયા 

આજનો આ ભાગ સમાપ્ત કરવા માટે મોહમ્મદ રફીએ ગાયેલ એક એવી ફિલ્મનું  ગીત સાંભળીશું જે ક્યારે પણ પરદા પર રજૂ ન થઈ.એ માટે આપણે શ્રી રઝા આબીદીના શુક્રગુજ઼ાર છીએ.રઝા અબીદીએ યુટ્યુબ પર મોહમ્મદ રફી 'જ્યારે જાણીતા નહોતા' એવા સમયનાં ગીતોની એક અલગ શ્રેણી જ મૂકી છે.. 'બીખરે ફૂલ' ફિલ્મનું આ ગીત પ્રકાશે સ્વરબધ્ધ કરેલ છે. પછીનાં વર્ષોમાં રફીને કરૂણ ગીતોમાટે વધારે પડતા નાટકીય હરકતોની મદદ લેવાનો આક્ષેપ લાગતો રહ્યો તે તેમની નૈસર્ગીક શૈલી પ્રસ્તુત ગીતમાં પૂર્ણપણે ખીલેલી સાંભળવા મળે છે.
હમેં ન ભૂલ જાના.. દિલ ના દુખાના

સ્વાભાવિક છે કે ૧૯૪૪-૪૮ના મોહમ્મદ રફીના કારકીર્દીના પહેલાં પાંચ વર્ષના અંતરાલમાં આપણી આ શ્રેણી માટે એટલી બધી સામગ્રી હોય કે આપણે એક જ પૉસ્ટમાં તેને પૂરતો ન્યાય ન કરી શકીએ. એથી આપણે ૧૯૪૭ અને ૧૯૪૮ના વર્ષનાં ગીતોને બીજા એક ભાગમાં, ૨૪મી ડીસેમ્બર,૨૦૧૬ના રોજ, સાંભળીશું.
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Tuesday, December 6, 2016

કચ્છ: એક જીવંત મ્યુઝિયમ - પ્રો. ડૉ. મહેશ ઠક્કર



શ્રી કાન્તિપ્રસાદ અંતાણી કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે..... પાંચથીય વધારે દાયકાથી તેમનો કચ્છ સાથે જીવંત, સીધો જ સંબંધ રહ્યો હતો.....   તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા હતા ! સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને સ્વાતંત્ર્યોત્તર કચ્છની પ્રગતિમાં તેમનું પ્રદાન અનેક રીતે મહત્ત્વનું રહ્યું છે.
તેમની સ્મૃતિમાં 'કાન્તિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાન માળા' શરૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજાશે. આ વ્યાખ્યાનમાળાનાં બીજાં પ્રવચન - કચ્છ: એક જીવંત મ્યુઝિયમ[i] © ડૉ. મહેશ ઠક્કર -માં પ્રો. ડૉ.મહેશ ઠક્કર  કચ્છની ઘણી જાણીતી-ઓછીજાણીતી બાબતોને કચ્છના ભૌગોલિક ઈતિહાસના અભ્યાસ દ્વારા આલેખે છે.
પ્રો.ડૉ.મહેશ ઠક્કર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભૂસ્તર શાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા છે. ડો. મહેશ ઠક્કરના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : mgthakkar@gmail.com | mgthakkar68@yahoo.co.in
ઉપગ્રહોથી લેવાયેલ તસ્વીરોમાં કચ્છની ભૂ-આકૃતિ કચ્છના અખાતમાં ઊંધી પડેલ કાચબાની ઢાલ
તરતી હોય એવી દેખાય છે. વાગડનો ઉચ્ચ પ્રદેશ કાચબાની બહાર નીકળેલી ડોક અને માથાનો ભાગ તેમ જ પચ્છમ, ખડીર, બેલા અને ચોચર જેવા ખડકાળ દ્વીપ સમૂહો કાચબાના પગ જેવા જણાય છે.આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે 'આભીર' તરીકે ઓળખાતા પ્રાન્તનું નામકરણ 'ક્ચ્છ' તરીકે પ્રસ્થાપિત થયાનું ઈતિહાસવિદો માને છે.
જોકે કચ્છના ધોળાવીરામાં મળી આવેલા સિંધુ ખીણના અવશેષો ૫૫૦૦ વર્ષ પહેલાનાં ઈતિહાસની ગવાહી પૂરે છે.હરપ્પાની લિપિ હજૂ પણ વણઉકાયેલ રહી હોવાને કારણે કચ્છ વિશેના ઘણા ખ્યાલ થવા જોઈએ તેટલા સ્પષ્ટ નથી થઈ શક્યા.  ધોળાવીરા સિવાય કાનમેર, કુરન, ખીરસરા જેવાં નાનાથી મધ્યમ કક્ષાનાં નગરોના અવશેષો આજે પણ વણઉકેલ્યું રહસ્ય જ રહ્યાં છે.
પાંચથી છ હજાર વર્ષના ઈતિહાસથી આગળ વધતાં નિયોલિથીક તથા પાષાણ યુગ વિશેપણ જો સંશોધન કરવામાં આવે તો કચ્છમાં સેંકડો જગ્યાઓ મળી આવે તેમ છે.પાંચ હજારથી એક લાખ વર્ષના વિવિધ વાતાવરણીય ફેરફારોની સાથે થયેલ આદિમાનવના ઈતિહાસનાં સોપાનોનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટેની પણ અઢળક શક્યતાઓ કચ્છમાં રહેલ છે.
કચ્છના ભૂભૌગોલિક જીવંત મ્યુઝિયમનો બીજો મહત્ત્વનો તબક્કો છે ૬૫ કરોડથી એક લાખ વર્ષના સમયગાળામાં બનેલા જળકૃત ખડકો (sedimentary rocks). ભૂસ્તરીય સમયસારણિ પ્રમાણે તેને તૃતીય મહાયુગ (Tertiary Age)ના નામથી ઓળખાય છે. આ જ સમયમાં ભારતની હિમાલય પર્વતમાળા પણ સમદ્રમાંથી ઉત્થાન પામી રહી હતી. આજે લિગ્નાઈટ તરીકે ઓળખાતાં ખનીજના નિર્માણમાં ખંડીય છાજલી વિસ્તારોમાં એ સમયે વિચરતાં અગણિત અપૃષ્ઠવંશી [Invertebrate] પ્રાણીઓનું ઈયોસીન યુગના વિશાળ કાર્બનેસીયસ શેલ ખડકોમાં થયેલું રૂપાંતરણ છે. તે જ રીતે ફોરામીનીફેર તરીકે ઓળખાતાં સૂક્ષ્મ પ્રકારના અપૃષ્ઠવંશી પ્રાણીઓના ખર્વોની સંખ્યામાં જમા થયેલ અવશેષો કાળક્રમે ક્ચ્છના ચૂના ખડકોના વિશાળ વિસ્તારમાં રૂપાંતર થયા.
કચ્છના ખડકો અને તેમાં આવેલ ખનીજો અને અશ્મિઓના અભ્યાસથી ભૂસ્તરશાસ્ત્રીઓ ૧૮ કરોડ વર્ષના ભૂસ્તરીય, ભૂકંપીય અને પર્યારવણીય ઈતિહાસ નોંધી અને ઉકેલી શક્યા છે.આ  સમયમાં કચ્છ વિસ્તાર આફ્રિકા ખંડથી છૂટો પડી પૂર્વ તરફ ખસી રહ્યો હતો એવાં તારણો નીકળે છે. ક્ચ્છના ખડકોમાં એ યુગની સમગ્ર ભારતીય ખંડની પ્લેટની મહત્ત્વની હલનચલનની જાણકારી જોવા મળે છે.કચ્છની ડુંગરમાળાઓ, ટેકરીઓ,નદીઓની ઊભી ભેખડો જ્યુરાસિકથી ટર્શીયરી યુગનો ઈતિહાસ સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 
રૂંવાડાં ઊભા કરી દેતા કચ્છના આ પૃષ્ઠવંશી ઈતિહાસ જેટલો અનેરો ઇતિહાસ પૃષ્ઠવંશી [Vertebrate]  પ્રાણીઓનો જ્યુરાસિક અને ટર્શિયરી ઇતિહાસ પણ છે. એ સમયે જ્યારે ડાયનોસોર જમીન પર અસ્તિત્ત્વમાં હતાં ત્યારે કચ્છના પત્થરો મહ્દ્‍અંશે દરિયાઈ વાતાવરણ સૂચવે છે. એટલે કચ્છમાં ખડીરની ઉત્તરે ચેરિયા બેટ કે ખાવડાની ઉત્તરે આવેલા કુંવારબેટ જેવા જૂજ પ્રદેશોમાં ઘસડાઈને આવેલાં ડાયનોસોર જેવાં પાણીઓનાં કંકાલોના અવશેષો મળી આવે છે. સમગ્ર એશિયામાં મહત્વનું સાબિત થયેલું આવું એક ઈકથીયોસોરસ નામે જાણીતાં ડોલ્ફીન જેવાં દેખાતાં પ્રાણીનું સંપૂર્ણ કંકાલ કચ્છ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીઓની એક ટીમને પ્રો. મહેશ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ કરાયેલ એક સંશોધન દરમ્યાન મળી આવેલ છે.
જેમ કચ્છના જળકૃત ખડકો કરોડો વર્ષ પુરાણા છે અને જેમ એ સમયે થયેલા વાતાવરણના ફેરફારો સૂચવે છે, તે જ રીતે, કચ્છના રણના અને ખડકીય ઉચ્ચ પ્રેદેશો વચ્ચે આવેલા માટીયુકત વિશાળ વિસ્તારો  'ક્વાર્ટનરી ભૂસ્તરશાસ્ત્ર'તરીકે ઓળખાતા છેલા ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ વર્ષના સમયકાળના ભૂસ્તરીય, ભૂકંપીય અને વાતાવરણના ફેરફારોના અભ્યાસ માટેની જીવંત પ્રયોગશાળા નીવડેલ છે. આ ઉપરાંત કચ્છના રણમાં આવેલ અલ્લાહ બંધનો વિસ્તાર છેલ્લા બસ્સો વર્ષના ભૂકંપીય હલનચલનથી બનતી ધરાકૃતિના અભ્યાસનું ઉત્તમ સ્થાન છે.  

અલ્લાહ બંધ અને સિંદરી સરોવરનું સ્થાન બતાવતી સેટલાઈટ તસવીર

ભૂસ્તરશાસ્ત્રની આ અઢળક ખૂબીઓ ઉપરાંત કચ્છને પક્ષી પ્રેમીઓ માટેનું પણ સ્વર્ગ માનવામાં આવે છે. ખડકાળ ડુંગરાળ પ્રદેશના,બન્નીના ઘાસીયા મેદાનોના, મીઠાયુકત વિશાળ રણ પ્રદેશના, વિવિધ દરિયાકાંઠાના પ્રદેશો અને વેટલેન્ડ વિસ્તારોમાં અનેકવિધ પક્ષીઓ જોવા મળે છે. વળી આ વિસ્તારોમાં આવતાં યાયાવરી પ્રકારનાં સાઈબિરીયાથી આવતાં સુરખાબ જેવાં પક્ષીઓ તો કચ્છની આગવી ઓળખ બની રહ્યાં છે.
પક્ષીઓની જેમ પ્રાણીઓમાં મહદ્‍ અંશે કચ્છના નાના રણમાં જોવા મળતા વિશ્વની અજોડ પ્રજાતિ સમ જંગલી ગધેડા (ઘુડખર)ની જેમ જ નીલગાય કે કચ્છી વાઈલ્ડ બોર જેવાં પ્રાણીઓ પણ હવે કચ્છના જીવંત ઇતિહાસની એક અલગ તવારીખનાં પૃષ્ઠો છે.
  
રણ પરિસર વિજ્ઞાન, કાંઠાળ પ્રદેશ પરિસર વિજ્ઞાન, જળપ્લાવિત જમીન પરિસર વિજ્ઞાન, પર્વતીય પરિસર વિજ્ઞાન કે દરિયાઈ પરિસર વિજ્ઞાન જેવા વિષયો માટે કચ્છ એક આદર્શ પ્રયોગશાળા છે. ૨૧મી સદીના ઔદ્યોગિક 'વિકાસ'ને કારણે દરિયાઈ પ્રદેશોના પરિસરનાં એક મહત્ત્વના અંગ સમાં ચેરીયાંના જંગલો હાલે નાશના જોખમના ઉંબરે ઊભાં છે.
કચ્છનાં માનવ જીવનની મૂળભૂત શૈલીઓ, ભાતીગળ સંસ્કૃતિઓ અને તેની સાથે જોડાયેલ કચ્છી ભરતકામ, કાપડ પરનાં રંગકામ, શાલ-ધાબળી જેવાં ગરમ વસ્ત્રોનું વણાટકામ કે પશુપાલન જેવા આજિવિકા પૂરા પાડતા વ્યવસાયો કે ભૂંગા જેવાં ઘરો, ઘરોની ભીતો પરનાં વિશિષ્ટ ચિત્રકામ કે ઘર સજાવટમાં વપરાતાં હાથગુંથણકામ જેવાં અનેકા પાસાંઓનો પણ અધાર આ વિવિધ પ્રકારનાં પરિસર છે. ઉદાહરણ તરીકે,૫૦૦-૭૦૦ વર્ષો પૂર્વે આવીને સ્થાયી થયેલ બન્ની પ્રદેશના જત લોકો અહીંના રબારી-ભરવાડ લોકથી ઘણી રીતે જૂદા છે. એ જ રીતે ક્ચ્છનાં સમગ્ર પરિસરમાં ઘાટાં અને તેજસ્વી રંગો ધરાવતાં ફૂલો કે વનસ્પતિઓનો અભાવ છે. આ ભાવની પૂર્તતા કરવા માટે અહીંનાં ભરતકામ અને રંગકામમાં ઘાટા અને ભડકીલા રંગોનું પ્રભુત્વ વધારે જોવા મળશે.
કચ્છના ગામડે ગામડે ગામનાં નામો, પાળિયાઓ, લોક સંસ્કૃતિ, લોકબોલી, લોકકલા, લોકમેળાઓમાં કચ્છનો ઇતિહાસ ધરબયેલો પડ્યો છે. અહીંના ગ્રામ્યજનોની ગાથાઓ અને લોકકથાઓના અરીસામાં અહીંના રાજવી કુટુંબ અને તેના અત્યાચારી કાયદાઓ અને કડક શાસનનાં પ્રતિબિંબ પડે છે.
આમ કચ્છની જીવંત પ્રયોગશાળા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂકંપશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, જીવાવશેષશાસ્ત્રીઓ, પરિસર વિજ્ઞાનીઓ, પુરાતત્ત્વવિદો, ભૂગોળશાસ્ત્રીરસાયણ વિજ્ઞાનીઓ, સમુદ્રકીય જીવશાસ્ત્રીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, પક્ષીવિદો, પ્રાણીવિદો, સમાજ શાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, અર્થશાસ્ત્રીઓ, વ્યવસ્થાપનવિદો, પર્યાવરણવિદો જેવા તજજ્ઞો માટે ગહન અભ્યાસ અને સંશોધન માટે અફાટ ખજાનો પૂરો પાડે છે.


સંકલનકારની નોંધઃ
૧. અહીં મૂકેલ અલ્લાહ બંધની તેમ જ ઘુડખર અને નીલગાયની તેમ જ અન્ય તસવીરો  વિકીપીડિયા પરથી લેખના વિષયની સાથે સંકળાતી હોવાથી પૂરક માહિતી અર્થે સાભાર લીધેલ છે.
૨. વિશ્વવિખ્યાત પક્ષીવિદ્યાનિષ્ણાત સલીમ અલીનું પુસ્તક 'The Birds of Kutch' (1945)  એક સિમાચિહ્નરૂપ સંદર્ભગ્રંથ છે.


[i]  આ પ્રવચનનું  પુસ્તિકા રૂપે પ્રકાશન હરેશ ધોળકિયાએ [સંપર્ક સરનામું ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ) ૩૭૦ ૦૦૧] કરેલ છે.