Showing posts with label Saarthak Jalso. Show all posts
Showing posts with label Saarthak Jalso. Show all posts

Saturday, May 28, 2016

સારાં વાચનની ભૂખ જગાડતું,અને સાથે સાથે સારા વાચનનો સંતોષ પણપૂરૂં પાડતું,‘પુસ્તક’: ‘સાર્થક જલસો–૬’ - મે ૨૦૧૬


જે સામયિક દર છ મહિને પ્રકાશિત થતું હોય, જેની સામગ્રી લોકપ્રિયતાની સામાન્યપણે સ્વીકૃત માન્યતામાં સીધે સીધી બંધ ન બેસતી હોય, જેનો પ્રચાર મોટે ભાગે સમાન વાચનશોખ ધરાવતાં વાચકોની મુંહજબાની વધારે થતો હોય તેવાં‘પુસ્તક’કક્ષાનાં સામયિકનો છઠ્ઠો અંક બહાર પડી ચૂક્યો છે. આજની દોડભાગની, મોટામસ આંકડાઓ દ્વારા મપાતી સફળતાની, દુનિયામાં આ ઘટના જેટલી નોંધપાત્ર, તેટલી જ તેના ચાહકો માટે પરીક્ષાનો તત્પુરતો અંત લાવતી આનંદદાયકપણછે.
'સાર્થક જલસો'ના છઠ્ઠા અંકમાં રજૂ થયેલ સામગ્રી એકબીજાથી અલગ વિષયને ખેડતા ૧૪ લેખોમાં પ્રસરેલ છે.દેખીતી રીતે 'સાર્થક જલસો'માં રજૂ થતા વિષયો પ્રણાલિકાગત ઢાંચામાં બંધ નથી બેસતા, અને તેથી એ વૈવિધ્ય વાચકને દરેક અંક વાંચતી વખતે તાજગીની અનુભૂતિ કરાવે છે. દરેક લેખનું વસ્તુ અને પોત દરેક લેખને બહુ જ નિરાંતે વાંચવા અને વાગોળવા માટેનાં કારણો પણ પૂરાં પાડી આપે છે. 
જો કે આ બધાં પાસાં તો 'સાર્થક જલસો'ને પહેલી વાર વાંચનારમાટે મહત્ત્વનાં. આપણે તો 'સાર્થક જલસો'ના  સીધો જ પરિચય આપણે અહીં - Saarthak Jalso  - કરતાં જ રહ્યાં છીએ. એટલે આપણને તો હવે આ છઠ્ઠા અંકના લેખોનો પરિચય કરવામાં જ વધારે રસ હોય તે તો સ્વાભાવિક છે.

તો ચાલો, 'સાથક જલસો'ના અંક ૬ની પરિચય સફરે.....

‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઇશું' - અનુષ્કા જોષી
બીજાં વિશ્વયુદ્ધની લશ્કરી વિગતોની સાથે સાથે એ સમયની સામાજિક, કે સાંસ્કૃતિક ઘટનાઓ સાથે વણાયેલી એ સમયનાં લોકોનાં વ્યક્તિગત પાસાંઓની કહાનીઓ આજે લગભગ સાત દાયકા પછી, ચર્ચામાં તો રહેલ જ છે. પરંતુ, રેડ ક્રોસની ટુકડી સામે બધું આનંદમંગળ છે એવા પ્રચાર અર્થે તૈયાર થયેલ એક બાળ નૃત્યનાટિકાનો વીડિયો જોઈને લગભગ ૨૧મી સદીમાં જ ઊછરેલ એક કિશોરીને તેના પરથી એક કાવ્ય સ્ફુરે એ વાત પણ સાવ સામાન્ય તો ન જ કહેવાય. એ વિષે વધારે શોધખોળ કરતાં એ નૃત્યનાટિકામાં બિલાડીનું પાત્ર ભજવનાર બાળકી,એલા વિસબેર્ગર, જે આજે ૮૬ વર્ષનાં થઈ ચૂક્યાં છે, સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવો, એ સંપર્કપછીની કડીરૂપ,તેમનાં તે સમયનાં, છેક ઝેકોસ્લોવાકીયાનાં પાટનગર પ્રાગમાં રહેતાં, મિત્ર - કૉન્સન્ટ્રેશન કૅમ્પનાં સાથીદાર-હેલ્ગા હોસ્કોવા સાથે રૂબરૂ મુલાકાત કરવાનો ખંત દાખવવો એ પણ સાનંદ આશ્ચર્યની જ વાત છે. એ મુલાકાતોના અનુભવોને અનુષ્કા જોષીએ આ લેખમાં સહજ આત્મીયતાથીઅનેબહુ જ રસપ્રદ રીતેવર્ણવેલ છે. એ મુલાકાતના અંતસમયની વાત આ આખીય કહાનીને એક અનન્ય આભા બક્ષી રહે છે.એક રશિયન માતાના પાંચ વર્ષના છોકરાનાં પ્રાગમાં વીતેલ બાળપણ પરની રમૂજના ઢાળ પર ૧૯૯૬માં બનેલી ફિલ્મ 'કોલ્યા' વિષે લેખિકા હેલ્ગાને પૂછી બેસે છે. સવારની મુલાકાત દરમ્યાન કૉન્સન્ટ્રેશન કૅમ્પની યાદોમાંથી થયેલ ભારે વાતાવરણ એ વાતના જવાબમાં સાવ હળવું થઈ જાય છે. 'અમે છેલ્લાં છીએ'નો હેલ્ગા અને ઍલાનો આશાવાદ, માનવજાતને ભવિષ્ય માટેનો સંદેશ પણ કહી શકાય.
વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની,લાગણીસભર સ્વપ્નદૃષ્ટા રવજીભાઈ સાવલિયા - હર્ષલ પુષ્કર્ણા
૧૯૯૬ની એક સવારે તેમને ઘરે સવારના નાસ્તા માટે રવજીભાઈનું આવવું એ પહેલો યોગાનુયોગ, એ મુલાકાતને અંતે બીજે જ અઠવાડીએ પોતાને ઘેર જમવા આવવાનું રવજીભાઈનું અત્મીય આમંત્રણ એ બીજો યોગાનુયોગ અને રિઝર્વ્ડ પ્રકૃતિના નગેન્દ્ર વિજયનું એ આમંત્રણ સ્વીકારી લેવું એ ત્રીજા યોગાનુયોગથી શરૂ થયેલ સંબંધના વિકાસની ગાથા વર્ણવતાં વર્ણવતાં,તેમની નપીતુલી શૈલીને ભાવવાહી પ્રવાહમાં વહેવડાવીને બહુ જ સચોટ આલેખનથી હર્ષલ પુષ્કર્ણાએ સમજાવ્યું છે કે કોઈ એક વ્યક્તિને એક સાથે આટઆટલાં વિશેષણો કેમ લાગૂ પડી શકે……[પરિચયકારની નોંધ: અમેરિકા જેવા દેશમાં જો રવજીભાઈએ કામ કર્યું હોત તો તેમનાં છાશ વલોણાં યંત્ર કે હવા ભરવાનો ફૂટ પમ્પ કે સમાનકેન્દ્રી નસદાર એલ્યુમિનિયમ તવો, મૉનોબ્લૉક ઘરેલુ ઘરઘંટી અને તેમનાં એવાં અનેક ઉપકરણો વિશ્વ કક્ષાએ પહોંચી ચૂક્યાં હોત. પણ આમ ન થયું કારણકે રવજીભાઈ વિજ્ઞાની, તત્ત્વજ્ઞાની વગેરે વગેરે પહેલાં હતા, અને વ્યાપારી તો તેનાથી બહુ જ પછી.નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાને ચોપડે રવજીભાઈની કેટલીક નોંધ જોવા મળે છે, એવી શોધખોળ કરતાં ક્યાંકથી સંતાઈ ગયેલી એક નોંધ હાથ ચડી ગઈ, જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાય છે.]
એકવીસમી સદીમાં 'ભાર વિનાનું ભણતર' - ઋતુલ જોષી, મીરાં થૉમસ
'ભાર વિનાનાં ભણતર'ની બહુ ચોટદાર 'વ્યાખ્યા'થી લેખની શરૂઆત થાય છે - 'જો તમારા ભણાવ્યા મુજબ બાળક ન શીખી શકતું હોય, તો બાળક શીખી શકે તે મુજબ તેને ભણાવો'.આ પ્રકારનાં ભણતરની વ્યવસ્થામાં બાળક કર્તા છે. લેખમાં આ વિભાવના બાબતે આપણને વિચાર કરતાં કરી મૂકવા માટે પૂરતી સામગ્રી છે. બસ, હવે તેનો વ્યાપકપણે અમલ કરવા હવે કઈ પ્રેરણા, કે ફરજ, કામ કરશે તે જોવાનું રહ્યું.
શીખવતાં શીખવા મળેલા જીવનના પાઠ - આરતી નાયર
હાંસિયામાં ધકાયેલાં લોકોને શિક્ષણ આપવાની 'સેવા'નું કામ કરવામાં કેવા કેવા અનુભવો થાય, અને એ અનુભવો માત્ર એ સેવા કરવાની બાબતે જ નહીં પણ જીવનનાં કેટકેટલાં પાસાં વિષે કેવું કેવું શીખવાડી જાય તેના લેખિકાના સ્વાનુભવોની રજૂઆત એ માત્ર આ પ્રકારનાં કામ જોડાયેલ વ્યક્તિઓ માટે જ નહીં પણ સમાજના દરેક “ઉચ્ચ સ્તર”નાં લોકો માટે ઘણા પાઠ શીખવાડી શકે છે.
જુહાપુરાના રોજિંદા જીવનની કશ્મકશ - શારીક લાલીવાલા
અમદાવાદમાં થતાં રહેલાં કોમી રમખાણોની નિપજ સમી બસ્તી જુહાપુરાના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક સમુદાયમાં વસ્તી વ્યક્તિઓની ભાવનાઓનો બહુ જ નિરપેક્ષ ચિતાર આ લેખ આપણી સમક્ષ રજૂ કરે છે.લેખની પાદનોંધ વાંચીએ તો ખ્યાલ આવે છે કે આ લેખનો લેખક એ ૧૯ વર્ષનો એક યુવાન છે જે ખુદ ‘રૂઢિચુસ્ત જેને કાફિર ગણે અને કાફિર જેને મુસલમાન ગણે’ એવા મનોસાંસ્કૃતિક ત્રિભેટેથી હવે પોતાનાં જીવનની રાહ કંડારવાનો છે.
પ્રકાશ ન. શાહ કટોકટી પહેલાં અને પછી... - ઉર્વીશ કોઠારી
'સાર્થક જલસો'ના દરેક અંકનું એક આગવું આકર્ષણ હોય છે તેમાં પ્રકાશિત થતી દીર્ધ મુલાકાત. આ પ્રકારની દીર્ઘ મુલાકાતમાં ચર્ચાયેલી વાતોને આ પ્રકારનાં સામયિકમાં ઠીક ઠીક જગ્યા આપીને પ્રકાશિત કરાય એટલે એ વ્યક્તિનું સમાજમાં કંઈક વજન હોય તે તો સ્વાભાવિક છે, પણ એનો અર્થ એમ પણ નહીં કે બધાંને એ વ્યક્તિની સાથે અહીં ચર્ચાયેલી બધી જ બાબતોની ખબર હોય. આમ આ મુલાકાત આપણી સમક્ષ એ વ્યક્તિસાથે નજદીકી પરિચય કરાવે જ, પણ સાથે સાથે એ મુલાકાતમાં રજૂ થયેલ વિષયનો પણ વિગતે પરિચય કરાવે છે. પ્રસ્તુત મુલાકાતમાં પ્રકાશ ન. શાહનાં ૭૫ વર્ષનાં જીવનનાં આરંભિક વર્ષો, ઘડતર તેમ જ રાજ્ય-દેશના જાહેર જીવનનાં કટોકટી અને જેલવાસ જેવા ઘણાં પાસાં સમાવાયાં છે.
આંબેડકર-ગંગા - ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી
'લાંબા લાંબા લેખને બદલે નાની નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની જુદી, બહુરંગી છબી' ઉપસાવવાના પ્રયાસરૂપે 'આંબેડકર-ગંગા' પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત લેખમાં તેની ઝાંખી રજૂ કરાઈ છે.
સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી 'દુર્ઘટના' - બીરેન કોઠારી
૧૮૫૦થી ૧૮૬૫ વચ્ચેનાં, નર્મદની ૧૭થી ૩૨ વર્ષની વય દરમિયાનનાં લખાણના સંગ્રહની(પહેલી) આવૃત્તિ તો ૧૮૬૫માં આવી અને ખપી ગઈ. ૧૮૭૪માં આવેલી બીજી, સરકારી, અને તે પછી ૧૮૮૦માં આવેલી ત્રીજી આવૃત્તિમાં 'શૈક્ષણિક દૃષ્ટિ અને ફરજપાલન' જેવા - 'સર્જક કે સર્જનને અન્યાય હરગિજ ન કરવાના’ - સરકારી નીતિના આશયથી કરવામાં આવેલા ફેરફારો અને સામાન્યપણે પોતાના ‘જોસ્સા’ માટે જાણીતા નર્મદે આ ફેરફારો સામે સેવેલા મૌનનો રોચક ઘટનાક્રમ પ્રસ્તુત લેખમાં વર્ણવાયો છે.
તમારું ખાહડું અને અમારું માથું - ચંદુ મહેરિયા
પોતાના મોટા ભાઈ-બહેનનાં બાળ લગ્ન નિમિત્તે પોતાને વતન ગયેલ લેખકની બાલ્યાવસ્થાનો એ પ્રસંગ આજે પણ લેખકનાં ઘરે યાદ કરાય છે. એ પ્રસંગની મદદથી લેખકે હજૂ બહુ જૂનો થઈ ગયો ન કહેવાય એવો, ૧૯૬૪-૬૫નાં વર્ષોના, સમયનાં સામાજિક જીવનનો ઇતિહાસ બહુ સહજપણે દસ્તાવેજ કરેલ છે. એ દિવસે (બાળ) લેખક પોતાના પગમાં ચંપલ પહેરીને સૂઇ ગયા હતા. તેમના મા મનાવી પટાવીને પણ એ ચંપલ કઢાવી નથી શકતાં, કેમ કે અમદાવાદની મિલમાં કામ કરતા પિતાનાં એ સંતાનને જિંદગીમાં પહેલી વાર ચંપલ પહેરવા મળી હતી ! સામાજિક જીવનના પ્રવાહનાં એક પ્રતિક તરીકે ચંપલનું અહીં રજૂ થયેલ ચિત્ર આજે પણ આપણી આંખ ઉઘાડી કાઢી શકે છે.
અજાણ્યા ઇશાન ભારતનો આત્મીય પ્રવાસ - લતા શાહ, અશોક ભાર્ગવ
'સાર્થક જલસો'ની સામગ્રીમાં અનોખી ભાતનું પ્રવાસ વર્ણન નિયમિતપણે જોવા મળતાં ઘટક તરીકે સ્થાન પામી ચૂક્યું જણાય છે.જોવાનાં સ્થળોની યાદી કે શું ખાધુંપીધું એવાં 'ભ્રમણસંગી (ટુરિસ્ટ ગાઈડ) જેવા શુષ્ક દસ્તાવેજ નહીં, પણ 'કોઈ આયોજનપૂર્વક', પ્રવાસની મજાનાં 'આત્મીય' વર્ણનો હોવાને કારણે એ સ્થળોએ આપણે જાતે ફરી રહ્યાં હોઈએ તેવી લાગણી પણ અનુભવાય એ કક્ષાનાં આ વર્ણનો બની રહે છે. પ્રસ્તુત પ્રવાસ ઇશાન ભારતનાં તેજપુરથી શરૂ થઈને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માજુલી બેટ, ગુવાહાટી,દિમાપુર (નાગાલૅન્ડ), ઈટાનગર-જીરો (અરુણાચલ પ્રદેશ), અને મેઘાલયનાં શિલોંગ, ચેરાપુંજીને આવરી રહ્યો છે.
ગાંધીવાદી 'અનુવાદ સેનાપતિ' નગીનદાસ પારેખ - મારો અનુવાદ એ જ મારું જીવન - હસિત મહેતા
નગીનદાસ પારેખનાં બહુમુખી વ્યક્તિત્ત્વને વર્ણવવા માટે લેખની શીર્ષનોંધમાં 'સન્નિષ્ઠ અનુવાદક, શિક્ષક, સંપાદક, વિચારક, મીમાંસક, વિવેચક, સંશોધક, પ્રતિકાવ્ય કવિ, ચરિત્રકાર, વિદ્યાપુરુષ' એવાં વિશેષણો પ્રયોજાયાં છે. આખો લેખ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એ દરેક વિશેષણ એક અલગ અભાસનોંધનો વિષય છે. તેમ છતાં સામયિકના એક લેખમાં તેને સમાવવાની હિંમત કરવી અને પૂરતો ન્યાય કરી શકવો એ બંને બાબતો કાબિલે-દાદ છે. અહીં તો આપણે પ્રસ્તુત લેખની બહુ જ સરસરી ઝલક જ લઈશું. નગીનદાસ પારેખ મરાઠી, સસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી સહિતની છ જેટલી ભાષાઓમાં 'આત્મસાત્‍' કક્ષાના પારંગત હતા. તેમને ફાવતી ભાષા અંગ્રેજી હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસમાટે તેમણે બંગાળ સાહિત્ય પસંદ કર્યું ત્યારે તેમણે બંગાળીના કક્કાબારાખડીથી શરૂઆત કરવાની હતી. ૧૯ વર્ષની ઉંમરે એમણે બંગાળની 'ઉપેન્દ્રનાથની આત્મકથા'નો ગુજરાતી અનુવાદ કર્યો. 'ગીતાંજલી'નાં કાવ્યો, 'ડાકઘર' જેવાં નાટકો અને 'ઘરે-બાહિર'જેવી નવલકથાઓ સહિતનાં રવિન્દ્રસાહિત્યનાં ૩૦થી વધુ પુસ્તકો ઉપરાંત શરદબાબુ, મૈત્રેયીદેવી,સુરેન્દ્રનાથ ગુપ્તા, અતુલચંદ્ર ગુપ્ત, દિલીપકુમાર રૉય, ચારુચંદ્ર ચક્રવર્તી, અબૂ સઈદ અય્યૂબ, લીલા મજુમદાર, સૌમ્યેન્દ્રનાથ જેવાઓની રચનાઓના પણ અનુવાદ તેમણે કર્યા છે. બાઈબલ, સમાજકારણ અને રાજકારણના અનેક સંદર્ભો સાથે 'ગાંધીજીનો અક્ષરદેહ’, કે મૂળ અંગ્રેજી પ્રતમાં પણ ભૂલો દૂરકરવા માટે જેનો સંદર્ભ લેવાયો હતો તેવી આચાર્ય કૃપલાણીની આત્મકથા ઉપરાંત 'પ્રિન્સિપલ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ'નો 'સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો' કે 'જજમેન્ટ ઈન લિટરેચર'નો 'સાહિત્યનો વિવેક' જેવા અગ્રેજીમાંથી કરાયેલા અનુવાદો વિશ્વસ્તરના અનુવાદોમાં નોંધપાત્ર કક્ષાનાં સીમાચિહ્નો ગણી શકાય તેમ છે. આવા ૧૦૦ અનુવાદોતેમ જશિક્ષણ, વિવેચન, ચિંતન-વિચાર કે કિશોર-બાળ સાહિત્યનાં બીજાં દસેક પુસ્તકો ઉપરાંત કંઈ કેટલાંય સામયિકોમાં પડેલું તેમનું અનેકવિધ સાહિત્ય હજૂ અગ્રંથસ્થ છે ! આ તમામ પાસાં ઉપરાંત તેમના ઉમદા માનવીય પાસાંઓનો પરિચય આ લેખમાં મળી રહે છે..
જો હૈ બદનામ..વો હીતો નામવાલા હૈ ! - હિંદી ફિલ્મી વિલનોનાં નામની કહાની - સલિલ દલાલ
હિંદી ફિલ્મોના વિલનોનાં નામો પરનો લેખ ફિલ્મ ઇતિહાસમાં જેમને રસ હોય તેમને માટે એક સંદર્ભ બનીરહે તેટલો વિગતપ્રચૂરહોવા છતાં નામાવલીનો એક શુષ્કદસ્તાવેજ બની રહેવાને બદલે, ખરેખર, રસપ્રચૂર 'કહાની' બની રહેલ છે.
:):):) - કિરણ જોષી
સામાજિક માધ્યમો પર ગાંડાંતુર વહેતાં રહેતાં રમૂજકડાંઓમાંથી કિરણ જોષીએ ચાળીનેમૂકેલ નોંધો મજા પડી જાય તેવી છે. જેમ કે - 'સામાન્ય માણસોને તેમના જેવાજ બીજા સામાન્ય માણસો નડે છે: સત્તાધારીઓને તેઓ વિપક્ષમાં હતા ત્યારે પોતે જ કરેલી ટ્વીટ્સ નડે છે.' કે પછી,'આજકાલ લોકો ભગવાન કરતાં વધારે સેલફોનની બેટરી ઉતરી જાય એનાથી ડરે છે.'
મારી પ્રેમિકાઓ ! - દીપક સોલિયા

છઠ્ઠાં ધોરણમાં 'જો સમય ન હોય તો' જેવા "વકૃત્ત્વ" સ્પર્ધાના વિષય થકી સમયમીમાંસા સાથે થયેલ અચાનક પરિચય પછી, લગભગ દરેકનાં જીવનમાં બનતું જ હોય છે તેમ કાળક્રમે લેખકનાં જીવનમાં પણ વિજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, ફિલોસોફી જેવા વિષયો આવતા ગયા, જીવનની ઘટમાળની સાથે સાથે જીવનનીપ્રાથમિકતાઓ બદલતી ગઈ. એ દરેક વિષય સાથે ગાઢ પ્રેમ બંધાય બંધાય ત્યાં તો વિચ્છેદ પણ થતોગયો. કોલેજ કાળમાં આંણદ બસ સ્ટેન્ડપર સવારે સાડા નવથી સાંજના છેક છ વાગ્યે કચ્છ જતી બસ માટે રાહ જોવાનો એક પ્રસંગ બન્યો. એ પ્રસંગમાંથી મળ્યો એક 'મૌલિક વિચાર' - "રાહ જોવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે રાહ ન જોવી." રાહ જોવાથી રાહ જોવા બાબતે જે કંટાળો જન્મે છે તેનું નીવારણ રાહ જોવાની રાહ ન જોવામાં છે. એ સમયે થતી બીજી દરેક ઘટનાઓ વિષે વિચાર કરવાથી, તેઘટનાઓમાં રસ લેવાથી, રાહ જોવી એ એક સુખદ, ઉપયોગી (ક્યારેક અણધારી રીતે, ઉત્પાદક) પાઠ બની રહી શકે છે. બસ, એ અનુભૂતિને કારણે લેખક આજે પણ જીવનની વ્યાખ્યા 'આવો, જુઓ, જાવ'એવી કરે છે.જિંદગીના સિક્કાની એક બાજૂએ દુઃખ છે તો બીજી બાજૂએ પ્રસંગમાંથી પસાર થતી વખતે કોઈ પણ વિચાર ન થવાથી નીપજતું સુખની તેમ જબીજે પક્ષે વિચારમાંથી જ જન્મતું સુખ,એવીબે છાપ છે. ગાંડુંઘેલું, ચિત્રવિચિત્ર, ઉત્પાદક-બિનઉત્પાદક વિચારોમાં 'રાચવા'માં પણ સુખ છે, બશર્તે તેની સાથે સંબંધ પ્રેમનો હોય.

દીપક સોલિયાએ તેમના લેખમાં મૂકેલ ફિરાક ગોરખપુરીના શેર અને તેના સંદર્ભથી જલસો પાડી શકાય -
પાલ લો એક રોગ નાદાં ઝિંદગી કે વાસ્તે,
સિર્ફ સેહત કે સહારે ઝિંદગી કટતી નહીં.
'સાર્થક જલસો'નાં લખાણને તેમનાં કદથી નહીં, પણ "વાચકને શું ગમે છે એનો વિચાર બીજા ક્રમે રાખીને પાઠકને શું ગમાડવાની જરૂર છે"નામાપદંડની ગુણવત્તાથી માપવાની સંપાદકોની નેમ પણ હવે બહુ જ પ્રસ્થાપિત પ્રણાલીની કક્ષાએ પહોંચી ચૂકેલ છે. હવે,આ ખાસ પ્રકારના વાચનના ચાહક વર્ગ સુધી પહોંચવાની વિતરણ વ્યવસ્થાનો કોઠો પણ પ્રકાશકો નજદીકના ભવિષ્યમાં જ ભેદી શકે તેવી,પ્રકાશકો તેમ જ સંભાવિત દરેક પાઠકોને, શુભેચ્છા સાથે…..અંક ૭ની... રાહ જોઈએ .....
/\/\/\/\/\/\
 સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
  • બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા
  •  ઈ-પુસ્તક રૂપે ખરીદવા માટે - SaarthakJalso 6, અથવા
  • ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.

Monday, November 9, 2015

'મોટે ભાગે વણલખાયેલ' વિષયોનાં વાચનનો સંતોષ આપતું પુસ્તક: ‘સાર્થક જલસો - ૫’ - નવેમ્બર ૨૦૧૫


ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી, દીપક સોલિયા અને ધૈવત ત્રિવેદીની સંપાદન ટીમ સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક સામયિક 'સાર્થક જલસો' – ૫’ને રજૂ કરતાં તેના કદને નહીં પણ પ્રકારને ધ્યાનમાં લઈને તેને 'પુસ્તક' તરીકે ઓળખાવવાનું વધુ મુનાસિબ સમજે છે.

'સાર્થક જલસો'ના પાંચમા પુસ્તકનાં પાનાંઓ પર પથરાયેલા 'મોટે ભાગે વણલખાયેલ' વિષયો પરના લેખો પર એક સરસરી નજર કરવી રસપ્રદ બની રહેશે.

'આંખોના અંધકારને ચીરતો સમાનુભૂતિનો ઉજાસ'માં આશિષ કક્કડ અંધજનમંડળ, અમદાવાદ (+૯૧ ૭૯ ૨૬૩૦૪૭૦)ના 'વિઝન ઇન ડાર્કનેસ'ના, હવે કાયમી ધોરણે થતા, એક અનોખા પ્રયોગના પોતાને થયેલા અનુભવની વાત કહે છે. એ અનુભવને અંતે તેઓ જોઈ શક્યા છે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનોને એમની દૃષ્ટિનો અભાવ નથી નડતો, આપણી સહૃદયતાનો અભાવ નડે છે.

એક સાથે સળંગ ત્રણ લેખ 'અનામત'ના સંદર્ભ રજૂ થયા છે. આમ આ વખતનો આ અંક કંઈક અંશે પ્રાસંગિક પણ બની રહ્યો છે. ચંદુ મહેરિયાએ '’અનામત : ઇતિહાસ જાણો, ગેરસમજ ટાળો'માં તેમની લાક્ષણિક શૈલીમાં અનામતનાં તથ્યોને લગતી, અત્યારે ચાલી રહેલી સાચીખોટી માન્યતાઓને સાચી દિશામાં વાળી શકાય તે બરની માહિતી રજૂ કરી છે. પ્રશાંત દયાળ અનામત જેવા સંવેદનશીલ વિષયની સામાજિક તાણાવાણાની ગૂંથણીને સહજ કેમ કરી શકાય તેનો એક રસ્તો 'વાત અનામતની...'માં સૂચવી જાય છે. નીરવ પટેલનું કાવ્ય - 'પટેલલાડુ' - આજના સામાજિક માહોલમાં 'માનવ બિરાદરી' ને બદલે દેખીતું મધ્યસ્થ સ્થાન લેતું, 'પટેલ બિરાદરી' (કે પછી કોઈ પણ કોમ કે જાતની બિરાદરી)નું ધ્યેય-ઐક્ય સમાજને જોડવાને બદલે કેમ તોડી નાખવાનું કામ કરી નાખી શકે તે તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઉર્વીશ કોઠારીએ 'ઐતિહાસિક ભૂલોનો અંબાર : એટેનબરૉની "ગાંધી"’માં એટેનબરૉના એકનિષ્ઠ સમર્પણભાવને સ્વીકારવાની સાથે ૧૯૮૨માં રજૂ થયેલી ફિલ્મ 'ગાંધી'માં તરત દેખાય અને ખટકે તેવા ૧૬ હકીકતદોષની વિગતવાર છણાવટ કરી છે. આ માટે ફિલ્મનાં જે દૃશ્યોનો ઉલ્લેખ છે તેની સાથે 'ગાંધી' ફિલ્મની સીડી પર મળતી નકલમાં એ દૃશ્ય કઈ જગ્યાએ જોવા મળશે તે જણાવવાની ચીવટ પણ લેખમાં રાખવામાં આવી છે.

'સૌરાષ્ટ્રની ભાષા: લખાતી ભાષા, બોલાતી ભાષા, બઘડાસટી બોલાવતી ભાષા'માં ધૈવત ત્રિવેદી સૌરાષ્ટ્રની ભાષાનાં 'ગુજરાતી' બોલાય એમ જ લખાય એવાં નોખાપણાનાં ઉદાહરણો વડે સૌરાષ્ટ્રના છલકતા મિજાજને તાદૃશ્ય કરી આપે છે. સાથે સાથે, એ બોલીના આગવા ઉચ્ચારોની શાસ્ત્રીય કેફિયતને પણ એ લોકબોલીની મીઠાશ સાથે ભેળવી નાખવામાં તેઓ સફળ રહ્યા છે.

'ઓએસિસ: એક ઝરણું જ્યારે ઘૂઘવતી નદી બન્યું' પહેલી નજરે એક યુવાન વયની ' સામાન્ય, ગભરુ' છોકરના, તેનાં ઘડતરના મુગ્ધ કાળ દરમ્યાન યુવાનો માટે ચાલતી એક સેવાભાવી સંસ્થામાં ગાળેલાં વર્ષોના સ્વાનુભાવોની સ્મરણગાથા લાગશે. લેખિકા ક્ષમા કટારિયાની ઉત્કટ લાગણીઓની પણ તેમાં ઝલક મળે છે. પરંતુ, થોડું ઉંડાણથી જોતાં, પહેલી વાત જે નજરે ચડે છે તે છે, આ સમગ્ર કથાનકમાં જળવાઈ રહેલો હેતુલક્ષી સાક્ષીભાવ. બીજી જે વાત ધ્યાન ખેંચે છે તે દેશના નવસર્જનનાં ઘડતરના અમૂર્ત કહી શકાય તેવા આદર્શને સામાજિક પરિપ્રેક્ષ્યમાં ચરિતાર્થ કરવાની ભાવના ધરાવતી સંસ્થાને પણ તેના અસ્તિત્વના પાયા હચમચાવી નાખી શકે તેવા વિરોધવંટોળોનાં બયાન. ઓએસિસની પ્રવૃત્તિઓને કારણે પોતાનાં (સ્થાપિત) હિતોને નુકસાન થવાની જેમને શક્યતાઓ જણાઈ તેઓ અતિ આવેશમય વિરોધ કરે તે તો સમજાય પણ સંસ્થાની કામ કરવાની નીતિ કે પદ્ધતિથી જાણ્યેઅજાણ્યે દુભાયેલી વ્યક્તિઓ, સંસ્થાનાં સ્વયંસેવક સભ્યોનાં જ પરિવારજનો સાથેના સંઘર્ષ પણ તેમાં ભૂમિકા ભજવી ગયા હોઈ શકે તે બાબત વાચકને પણ ઝંઝોડી નાખે છે. જલસો - ૫નાં ૩૫ થી ૭૦ પાનાંઓમાં રસાળ શૈલીમાં કહેવાયેલ આ રોમાંચક કથાનકને માણવા સમજવા માટે પ્રસ્તુત લેખ નિરાંત જીવે વાંચવો પડે. આ સમગ્ર અનુભવને લેખિકા જ્યારે આજે પશ્ચાદવર્તિ અવલોકનની એરણે ચડાવે છે ત્યારે તેમને જણાય છે કે "ઓએસિસ સાથેનાં એ વર્ષોથી એક જુદી જ ક્ષમા બની, એવી ક્ષમા કે જે મને વધુ સ્વીકાર્ય છે." લેખ વાંચતાં વાંચતાં તેના અંત તરફ જઈએ ત્યારે સ્વાભાવિકપણે જ બધાંને સવાલ થાય કે ઓએસિસ (આજે) છે કે નહીં? લેખિકાનો જવાબ છે: "હા, છે..અને કદી નહોતું એટલું ફૂલ્યુંફાલ્યું છે."[i]

જ્યારે પોતાનાં સ્વજન સાથેની ચિર વિદાયની સ્મૃતિ પર વર્ષોની ધૂળ ચડી જાય ત્યારે પણ પોતાનાં વડીલની યાદને કેટલાં માનથી, કેટલા પ્રેમથી, કેટકેટલા આત્મિય પ્રસંગો થકી ફરીથી જીવંત બનાવી શકાય તે વાતનો પુરાવો અમિત જોશીના 'ડાહીજીજી : ઉંબરાથી મોભ સુધીનું છત્તર'માં જોવા મળે છે. .

વિનોદ ભટ્ટ કેમ એક સિદ્ધ હાસ્યલેખક બની શક્યા તે બરાબર સમજાય છે, તેમણે 'આ છે વિનોદ ભટ્ટ'માં પોતાનાં જ જીવનની સમયરેખા પરનાં સિમાચિહ્નોને જે હળવાશથી સંવાર્યાં છે તે પરથી. આજ પહેલાં કદાચ જાહેરમાં ભાગ્યે જ જોવામળ્યા હોય એવા તેમના ફોટોગ્રાફ્સ આ આત્મકથાનકને વાચક માટે પણ ચિરસ્મરણીય બનાવી મૂકે છે.

પશ્ચાદાવલોકનોની સફરમાંથી ઋતુલ જોશી 'સર્વેલન્સ સંસ્કૃતિ : કહીં પે નિગાહેં કહીં પે નિશાના' દ્વારા જાહેર જગ્યામાં અંગત માહિતી અને અંગત ક્ષણોની બારીકીથી જે નોંધ લેવાતી રહે છે તેવી આજની વાસ્તવિક દુનિયામા ખડા કરી દે છે. જો કે હવે તો માત્ર સીસીટીવી જ આપણી અંગત જિંદગીને જાહેર કરવાનું સાધન નથી રહ્યું. નાનાંમોટાં દરેકના હાથમાં ડીજીટલ કેમેરાસાથે સજ્જ મોબાઈલ ફોન પણ આ બાબતે એક નવા જોખમ તરીકે ઊભરી ચૂક્યા છે. ફરક માત્ર એટલો કે એક કાયદાની રૂએ નાગરિક સુરક્ષા માટે કામ કરે છે (!?) અને બીજું વ્યક્તિસ્વાતંત્ર્યની અભિવ્યક્તિ સ્વરૂપે (?!). બંનેનાં જોખમો કદાચ જ એટલાં કહી શકાય!જે કોઈ એમ માનતું હોય કે પોતાના પર જાસુસી કરી શકાય તેવું પોતે કંઈ જ નથી કરતાં તેવાં લોકોનાં પણ રૂંવાડાં ઊભાં કરી દેવા માટે ઋતુલ જોશીએ ૨૦૦૬ની ફિલ્મ, 'ધ લાઈવ્સ ઑફ અધર્સ',ની વાત પણ અહીં કરી છે.

'ગાંધીના 'આધ્યાત્મિક વારસ' વિનોબાને પામવા-સમજવાની મથામણ'ને સમજવા માટે રમેશ ઓઝાને માત્ર કટોકટીને 'અનુશાસન પર્વ' લેખવા વિષે વિનોબાજીની ભૂમિકા કે તેમની ભૂદાનયાત્રા જેવા સંદર્ભ પર્યાપ્ત નથી લાગતાં. માત્ર દસ વર્ષની ઉંમરે, ૧૯૦૫માં બ્રહ્મચર્ય અને રાષ્ટ્રસેવાનાં વિનોબાજીએ લીધેલ વ્રત અને તેમના ગૃહત્યાગનાં ૧૯૧૬નાં ભારતીય રાજકારણનાં નિર્ણાયક વર્ષોથી રમેશભાઇ તેમની શોધ આરંભે છે. તેઓ નોંધે છે કે ગાંધીજીની હત્યાથી ત્યારે વિનોબાજીને થયેલી પીડા ગાંધીજીને ગુમાવવાની નહોતી, પણ અહિંસાની પરમ કસોટીના સમયમાં ગાંધીજી સાથે તેઓ નહોતા તેની હતી. તે પછીનાં વર્ષોમાં આગળ જતાં તેઓ એ પણ નોંધે છે કે જેમ ભારતભરના નેતાઓને ગાંધીજીના વ્યક્તિત્વનો ચકરાવામાં નાખી દેતો પરિચય ૧૯૧૫માં થયો તેમ 'ગાંધીજી તો ગયા, હવે આગળ કેમ વધવું' એ વિશે સહચિંતન કરવા મળેલી ૧૯૪૭ના માર્ચ મહિનાની બેઠકમાં તે સમયના એકઠા થયેલા પચાસેક જેટલા અગ્રણી રાજપુરુષો,રચનાત્મક કાર્યકરો અને ચિંતકોને વિનોબાજીનો પહેલો પરિચય થયો. ૧૩ વર્ષ પદયાત્રા કરીને પવનારમાં વિનોબાજી પાછા ફર્યા ત્યારે જયપ્રકાશ નારાયણ અહિંસક સમાજની રચના માટે શરૂ થયેલ સર્વોદય આંદોલનને બિહારમાં અમલમાં મૂકી રહ્યા હતા. રમેશભાઈ એ અંગે બંનેના વિચારોમાં પાયાના ફરકની પણ નોંધ લે છે. ૬ જુલાઈ,૧૯૭૫ના રોજ વિનોબાજીને મળવા ગયેલા વસંત સાઠે સાથેની ચિઠ્ઠી પર લખેલી વાતચીત દરમ્યાન વિનોબાજીએ પર્વ નીચે રેખા ખેંચીને 'અનુશાસન પર્વ?' લખ્યું. રમેશભાઈનું કહેવું છે કે અહીં મૂકાયેલું પ્રશ્નચિહ્ન લખીને વિનોબાજીએ કટોકટી વિષેની પોતાની ભૂમિકાને સુસ્પષ્ટ કરી નાખી હતી. વિનોબાજી એવા કોઈ પણ કાર્યમાં નિમિત્ત નહોતા બનવા માગતા જે સામાજિક ભેદ પેદા કરે.વિનોબાજી હંમેશાં કહેતા કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારાં પરિબળો છે, જ્યારે અધ્યાત્મ અને વિજ્ઞાન જોડનારાં પરિબળો છે.વિનોબાજીનાં આખરી બાર વર્ષમાં તેમણે પોતાનાં કાર્યક્ષેત્રને સમેટ્યું. અહિંસક સમાજની રચના માટેની જે તાત્ત્વિક સામગ્રી વિનોબાજીએ વિકસાવી આપી તે ચિરંતન છે. રમેશભાઈ તારણ કાઢતાં કહે છે કે વિનોબા ભાવેને ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક વારસદાર કહ્યા તેમાં એમની કોઈ ભૂલ નથી.

'સાર્થક જલસો'નાં દરેક અંકમાં પ્રવાસવર્ણન અનોખો રંગ પૂરી આપે છે. લંડનસ્થિત રાજવી કોઠારીનો, હરિતા ત્રિવેદી દ્વારા અનુવાદીત, ૧૪ દિવસમાં ૬૦૦ કિલોમીટરના સાઇકલપ્રવાસનો (સાર્થક જલસો માટે અનુવાદિત) જાતઅનુભવ - વિયેટનામ, કમ્બોડિયા અને થાઇલેન્ડ : પેડલની પાંખે, જિજ્ઞાસાની આંખે - સાઈકલનાં પેડલ પર પગ મૂક્યા પહેલાંનાં બે અઠવાડિયાં પહેલાંની વ્યાકુળતા અને અસ્વસ્થતાની લાગણીના પોતીકાપણાની લાગણીમાં પરિવર્તનની પણ દાસ્તાન છે.

દીપક સોલિયા 'ખૂન અને ગણિત : તમારા જીવનમાં ખૂની ઘટના બનવાની સંભાવના કેટલી ?'માં 'ખૂન કિયા નહીં જાતા, હો જાતા હૈ?' અને ‘ખૂનની એવરેજ કેવી રીતે જળવાય છે?' જેવા સવાલોના જવાબો શોધવા 'સંભાવનાની તર્કપૂર્ણ થિયરી'સાથે આપણો પરિચય કરાવે છે.આ વિષય પર અતિ ઊંડે સુધી સંશોધન કરનાર જૉન વોન ન્યૂમાન પણ સંભાવના ગણિતમાં કોઈ ભેદી તર્ક જેવું કંઇક છે ખરું અને એ દિશામાં વધારે કામ કરવું પડે એ વાત તો સ્વીકારતા હતા. આ ભેદી તર્કની ઘટનાને સમજાવવા દીપક સોલિયાએ આપણને સમજાય નહીં છતાં જેની રોજેરોજ હાજરી અનુભવાય તેવાં બે બહુ જ રસપ્રદ ઉદાહરણો રજૂ કર્યાં છે. પહેલું ઉદાહરણ છે - માનવીય અંડકોષનું ફલીકરણ કુદરત એટલી સતત સફળતાથી કરતી રહે છે કે પેડો આવશે કે જલેબી તે યક્ષપ્રશ્ન સાથે સંકળાયેલ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું જ રહે છે. એવી રીતે બીજાં ઉદાહરણમાં પચાસ વાર ઉછળેલો સિક્કો ભલે હેડ પર જ પડ્યો હોય પણ એકાવનમી વાર સિક્કો હેડ કે ટેઈલ બંને તરફ એક સરખી શક્યતાથી ઢળી શકે છે.

સંજય શ્રીપાદ ભાવેએ પ્રસ્તુત કરેલ 'મળતાં મળે એવા વંચિતોના વકીલ: ગિરીશ પટેલ' સાથેનો દીર્ઘ ઇન્ટરવ્યૂ ગિરીશ પટેલનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરી રહે છે.સમગ્ર ઇન્ટરવ્યૂ દરમ્યાન ગિરીશ પટેલ આપણી સમક્ષ 'કરોડપતિ' વકીલ કે ન્યાયમૂર્તિ થવાને બદલે જેમણે ધારાશાસ્ત્રી તરીકે શ્રમજીવીઓ, ગરીબો, મહિલાઓ, લઘુમતીઓ અને લોકશાહી અધિકારો માટે લડતા રહેલા જાહેર જીવનના સક્રિય બૌદ્ધિક તરીકે ઊભરી આવે છે.

ઉંમરલાયક વયમાં પ્રવેશેલી દીકરી અને રજોનિવૃત્તિકાળમાં પ્રવેશેલી માની બે પેઢીઓ વચ્ચેમાત્ર જીવનના જુદા જુદા તબક્કામાં હોવાને કારણે જીવન તરફના દૃષ્ટિકોણમાં સ્વાભાવિકપણે જ ફરક પડતો હોય તો પણ માને સમજવી એ દીકરી માટે પડકાર જ નીવડે. 'તું તારી મમ્મી જેવી છે: ભારતીય મા-દીકરીની વિટંબણા'માં દીકરી જેની અપેક્ષા મા પાસેથી રાખે તેવી પ્રેમ, વહાલ, લાડ, કાળજી જેવી બાબતોની અપેક્ષા માને પણ દીકરી પાસેથી હોય તે સમજવાની પ્રક્રિયાની વાત આરતી નાયર બહુ જ લાગણીશીલ ઘટનાઓની મદદથી કરે છે.

વીસમી સદીના અંત સુધીમાં ફિલ્મ જગતમાં સમૃદ્ધિની ભરતીઆવી હતી તેનો લાભ લેવાનું સંગીતકારો માટે પણ શક્ય બન્યું હતું. 'સંગીતકારોનું 'ભાવ' વિશ્વ : ત્યારે અને અત્યારે' માં ફિલ્મસંગીત ઈતિહાસકાર નલિન શાહ ૧૯૪૦ના દસકામાં જેમને નામે ટિકિટબારી પર સિક્કા પડતા એવા ખેમચંદ પ્રકાશ કે વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષને ચણા મમરા જ લઇ શકાય તેટલાં મહેનતાણાં માટે કેટકેટલા પાપડ તોડવા પડતા હતા તે યાદ કરે છે. જો કે એવા સમયમાં પણ આર સી બોરાલ કે ગુલામ હૈદર જેવા કેટલાક અપવાદો પણ હતા. સંગીતકારોને તેમની લોકપ્રિયતાની કમાણી વાણિજ્યિક સ્વરૂપે પણ ફળી હોય એવા નૌશાદ, શંકર જયકિશન કે ઓ પી નય્યર જેવા થોડાક સંગીતકારો વીસમી સદીના મધ્યના ફિલ્મ સંગીતના સુવર્ણ કાળ તરીકે ઓળખાતાં વર્ષો દરમ્યાન જોવા મળે છે. બાકી એ જમાનામાં મોટાભાગના સંગીતકારો તો 'મુંબઈના ફિલ્મઉદ્યોગની ચૂહાદોડ'માં નિર્માતાઓના પ્યાદાં જેવા હતા. આ લેખ ફિલ્મસંગીત વિષેના નલિન શાહના, સાર્થક પ્રકાશન દ્વારા શીઘ્રપ્રકાશ્ય આગામી અંગ્રેજી પુસ્તક ‘Melodies, Movies & Memories’ ના એક પ્રકરણનો બીરેન કોઠારીએ કરેલો અનુવાદ છે.

આજે 'કોરાધાકોર' ગાંધીનગર સચિવાલયની કેન્ટીનમાં મિત્રો સાથે બેસીને ચંદુભાઈ મહેરિયા ગરમાગરમ ગોટા સાથે ચાની ચૂસકીની મજા માણી રહ્યા છે ત્યારે તેમને તેમના દલિત-શ્રમિક ઘરમાં,મીણીયાથી ઢાંકેલ છાપરામાંથી પણ પડતા ચૂવામાં ભીંજાતા ,તે બાપ અને ભાઈઓ સાથેના અનુભવો યાદ આવે છે. ચંદુભાઈનાં મનોપટ પર 'મને ભીંજવે તું'ની દૃશ્યાવલિ ખૂલતી જાય છે અને વાચકનાં રૂવેરૂવાંને પણ તરબોળ કરતી જાય છે.' હા, આજે રાજપુરની (એ) ચાલીઓમાં શ્રમિકો-દલિતોનાં પાકાં ઘરો થયાં છે. થોડી સગવડો વધી છે. પણ હજીયે ચોમાસુ દિવસોમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ભૂવા એમ ને એમ જ રહ્યા છે.'

આ સાથે 'સાર્થક - જલસો - ૫'નું વાંચન તો સમાપ્ત થાય છે. પરંતુ દેશના શ્રમિક-વંચિત બાંધવોની કથામાં 'સ્માર્ટ' સુખદ વળાંકો આવશે, અને કોઈ પણ જગ્યાએ બુનિયાદી સગવડતાઓની કમી ભૂતકાળ બની રહેશે, એ આશા સાથે સાહિર લુધ્યાનવીના શબ્દો દોહરાવીએ..

વો સુબહ હમીં સે આયેગી...

'સાર્થક જલસો'ના લેખ બિનજરૂરી, શબ્દાળુ, લંબાણના નહીં હોય તે નીતિથી હવે તેના નિયમિત વાચકો સારી પેઠે અવગત છે.'સાર્થક જલસો - ૫'ના આ પરિચયાત્મક રીવ્યૂમાં પણ એ જ અભિગમ સ્વીકાર્યો છે. દરેક લેખની પૂરેપૂરી મજા માણવા માટે આમ પણ આખો અંક તો તમે વાંચવાનાં જ છો ને ?

આ અંક પ્રાપ્તિ સ્રોત - બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com)

ઓનલાઈન મેળવવા માટે ની વધારે વિગતો www.sarthakprakashan.com પર જોઈ શકાય છે.
++++++++++++++++++
[i]પરિચાયકની નોંધ : વધુ માહિતી માટે ઓએસિસની વેબસાઈટ Oasis Movementની મુલાકાત લઈ શકાય છે.

Tuesday, May 12, 2015

સાર્થક જલસો - ૪



'સાર્થક જલસો’નો ચોથો અંક વાંચવાનું શરૂ કર્યું ત્યારે આ પહેલાંના ત્રણ અંક્ની જેમ કંઇ નવી ભાતનું વાંચવા મળવાનું છે તે તો નક્કી જ હતું. ત્રણ બેઠકમાં જ આખો અંક પૂરો કરી જવામાં જે જલસો પડી ગયો તે વધારાનો ફાયદો હતો.

છ છ મહિના સુધી નવા અંકની રાહ જોવા તૈયાર હોય એવો એક ચોક્કસ વાચક વર્ગ કેમ બની ચૂક્યો હશે તે પણ ' સાર્થક જલસો -૪'ના લેખો વાંચવાથી સમજાઇ શકે તેમ છે.

ખેર, અંગત મંતવ્યોની આડ વાતે ઉતરી જતાં પહેલાં આપણે ' સાર્થક જલસો -૪'ની સામગ્રી પર એક સરસરી નજર કરી લઇએ. 

ઉર્વીશ કોઠારીએ લીધેલી 'મહેન્દ્ર મેઘાણીની મોકળાશભરી મુલાકાત'માં મહેન્દ્ર મેઘાણી ની અનેક દૃષ્ટિકોણથી જ ઓળખી શકાય એવી લાંબી ઓળખનાં બધાં જ ઘટકોને ખાસ્સી મોકળાશથી આવરી લેવાયાં છે. દરેક વિષયો પર મહેન્દ્રભાઇની બીજી ઓળખ સમી 'સંક્ષેપ' શૈલીની સફળતાનો પૂરેપૂરો પરિચય મળી રહે છે. તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના તાણાવાણાની ભાત જોવા (વાંચવા)માં તેમની બાળકો માટે ખાસ વિકસાવેલી 'ફિલ્મમિલાપ' પ્રવૃત્તિ નજરઅંદાજ ન થઇ જાય એટલી તાકીદ કરી લઇએ.'

'પોળના અવશેષો'માં પ્રણવ અધ્યારુએ પોળની 'પથ્થર' યુગમાં પાંગરેલી નિરાંતની સંસ્કૃતિની સમી વાતો કરતાં કરતાં એ દરેક વાતે આજની પોળ આજે હવે 'ડામરના થર વચ્ચે' ક્યાં છે તેનો પરિચય પૂરી આત્મીયતાથી કરાવેલ છે.

(ડૉ.) હેમંત મોરપરિયાની મૂળ અંગ્રેજીમાં લખેલ ' ડૉક્ટર બનવા છતાં હું કાર્ટૂનિસ્ટ કેવી રીતે થયો ?' દાસ્તાનના બીરેન કોઠારીએ કરેલ અનુવાદમાં હેમંત મોરપરિયાની શૈલીની ફાઈડાલિટી સુપેરે જળવાઈ છે. ડૉ. મોરપરિયા લેખનાં અતે તેમના લેખના શીર્ષકના જવાબ રૂપે લખે છે કે, 'જિંદગી જિવાય છે આગળ જોઈને, પણ એને સમજવી હોય તો પાછળ નજર કરવી પડે....આપણે પ્રત્યેક ક્ષણે અડસટ્ટે કામ કરતાં બળોને આશરે હોઇએ છીએ... આ બળોના પ્રતાપે જ..કેટલાક સંગીતકાર બને છે, તો બાકીના શ્રોતા... કોઇ અદૃશ્ય સંગીતકાર આપણને 'નચાવે છે'...દુનિયા સાથે (બંધાતો) ઊંડો અને ઉત્કટ નાતો ..અજબગજબની ચીજને રસપ્રદ બનાવે છે.'

'પ્રખર અભ્યાસી, બૌદ્ધિક, કર્મશીલ અને સંસ્થાશિલ્પી રજની કોઠારી સાથેનાં અંતરંગ સંભારણાં- અને તેની સમાંતરે પૉલિટિકલ સાયન્સના અભ્યાસમાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીના મહત્ત્વપૂર્ણ પ્રદાનની વિશિષ્ટ વિગતો ઘનશ્યામ શાહના 'રજની કોઠારી: મારા ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ'માં અને સુરભિ શેઠના 'અમારા કોઠારી'માં આવરી લેવાઇ છે.

વિવેક દેસાઇ તેમની માર્મિક 'અનાવિલી' શૈલીથી 'અનાવિલોક : અનાવિલોની ચટાકેદાર સૃષ્ટિ'ની સૈર કરાવે છે.

લદ્દાખની ઉજ્જડતામાં છલકતાં કુદરતી સૌંદર્ય અને વેરાનીમાં સમાયેલાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓની રોમાંચક સફર માટે ન વાંચવો હોય, તો હર્ષલ પુષ્કરણાનો લેખ 'લદ્દાખ : દુનિયાથી અલિપ્ત દુનિયામાં ખેડેલી 'રફ ટ્રિપ'નું સફરનામું' જીવનની ધારી અણધારી મુશ્કેલીઓમાં સુંદરતા, આનંદ અને મોજ કેમ માણી શકાય, અને તેમાંથી વિકસતી 'જીવન જોવાની નવી દૃષ્ટિ'ને શબ્દોમાં કેમ વર્ણવી શકાય તે માટે પણ વાંચવો રહ્યો.

આશિષ કક્કડનાં 'મરમિયાં : હસી લીધા પછી'માં માત્ર ખડખડાટ હાસ્ય પેદા કરતી જોક્સમાં પણ કેટલી ગૂઢ સમજ સમાવાયેલી છે તેનો વિચાર 'ખુલ્લા મને' રમતો મેલે છે.

હર્ષલ પુષ્કરણાના લેખમાં જો ઍડવેન્ચરની થ્રીલ છે તો દીપક સોલિયાના 'ડૉલર સામે જંગ : એક રુકા હુઆ ફૈસલા'માં અમેરિકી 'અંકલ સૅમ' અને રશિયન 'રીંછ'ની વચ્ચે રમાયેલી મેદાન પરની, અને મેદાનની બહારની, રસ્સાખેંચના ડર દેખાડવાના આશયનો નહિં, પણ કાનાફુસીથી થતીચર્ચાઓને જાહેરમાં ચર્ચવાનો ઇરાદો છે. દાયકાઓથી કૃત્રિમ સ્ટીરોઈડનાં જોરથી ચમકી રહેલ યુરોપ અને અમેરિકાનાં અર્થતંત્રોની નીચેથી જાજમ ખસેડી લેવાની પુતિનની 'ચૅકમૅઇટી' ચાલ બુમરેંગ થશે કે કેમ તેના જવાબમાં નક્કર સોનાની સામે કાગળનો ડૉલર હારી શકે છે તેવું તારણ ખેંચતા દીપક સોલિયા ખચકાયા નથી. કોણ અને શું સાચું એ જાણવા માટે બહુ લાંબી રાહ જોવી નહીં પડે એ તો નિશ્ચિત જ છે.

દિલધડક વાત હૈયાં સોંસરવી ઉતરી ગઇ હોય તો હળવાં કરવામાટે અશ્વિનકુમારનું 'ળ'ની સામૂહિક ધરપકડ અને ''ર'નરનો 'ર''ની વિનય કાનૂનભંગની હાજરીનું રસાળ વર્ણન આપણને જળલમળવત્‍ રહેવું હોય તો પણ જરકમરવત્‍ કરી મૂકે છે.

'રૅલવૅના પાટે જીવનના આટાપાટા'માં અમિત જોશી તેમનાં તલોદનાં કિશોરાવસ્થાના ટ્રેકની યાદોના, 'ત્રણે ત્રીજું, પાંચે બીજું, એક આવ્યુ, બે એ ગયું'ના રૅલવેમાં જ વપરાતી લોખંડની કોઇ ચીજમાંથી બનાવેલા દસ્તાના 'પાટા'ના ટુકડાના 'ઘંટ' પર ગૂંજતા સંકેતોને મમળાવે છે.

ભારત ભણી ત્રાંસી નજર કરીને કોઈ 'ગ્રેટ બ્રિટનમાંના 'ગ્રેટર'ને ગ્રેટ' સમજતું હોય એવી ટિપીકલ અંગ્રેજી સલૂકાઇ, રીતભાત અને શિષ્ટાચારને સમજવામાં લાગેલ એકાદ બે વર્ષને ઋતુલ જોશી 'ઇગ્લેન્ડમાં બધું ઑરરાઇટ છે' માં ત્રણ ઝૂમખાંઓની મદદથી સમજાવી રહ્યા છે. 'સમાજઃ લઘુમતીમાં હોવું કે 'એ લોકો' હોવું એટલે શું તે ભાતના જાતિભેદ જેવો મુદ્દો છે. 'વિજ્ઞાનઃ તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી'એ ઇંગ્લૅન્ડમાના વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવા માટેના મોકાનો મુદ્દો છે.'ઇતિહાસ : સિપાઈ બળવો કે સ્વાતંત્ર્યસંગ્રામ'ન મુદ્દાને ત્યાં મૂકાયેલાં જવાહરલાલ નહેરુનાં એક અવતરણથી જોઇ શકવા જેટલી મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન આપવાના પ્રયાસ ચાલુ જ છે.

'આનંદ', 'રજનીગંધા', 'છોટીસી બાત', 'મીલી', 'મંઝિલ'જેવી ફિલ્મોમાં મનના ઊંડા ભાવ વ્યકત કરતાં, કાવ્યતત્ત્વથી સમૃદ્ધ ગીતાના સર્જક યોગેશ (ગૌડ) સાથે ત્રણેક દાયકા જૂના, અંગત પરિચયના આધારે લખાયેલી હૃદયસ્પર્શી એવી સત્યકથા 'ગીતકાર યોગેશ'માં બકુલ ટેલર માત્ર ગીતકાર યોગેશનાં જીવનની તડકી છાંયડીની જ વાત નથી કહેતા, તે સાથે ફિલ્મ જગતની ચિત્રવિચિત્રતાઓના પડદા પણ ખોલી આપે છે.

'ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ'ની શરૂઆત ચંદુભાઇ મહેરિયા મિત્રો વચ્ચે ઉમરના તફાવતના ફાયદા ગેરફાયદાની વિમાસણથી કરે છે. સમાજના વંચિત અંગમાં ઉછરતાં બાળપણની કેટલીક કારમી તો કેટલીક ભાવિ ઘડતરના પાયા જેવી યાદોને બહુ જ સ્વસ્થ ભાષામાં રજૂઆત લેખકે કરી છે.

સમગ્રપણે જોઇએ તો આ અંકમાં પણ વિષયોનાં વૈવિધ્ય અને તેમાં રજૂ થયેલા વિચારોનાં ઊંડાણની ગુણવત્તા રસપ્રદ સ્તરે જળવાઈ રહી છે.

પ્રકાશન સંસ્થાની વેબસાઈટ પર જણાવાયું છે કે એપ્રિલ ૨૦૧૪ના અંકની ૧૦૦૦ જેટલી નકલો જાહેર પુસ્તકાલયો સુધી પહોચાડી શકાયેલ. ગુજરાતની દરેક શાળા અને પુસ્તકાપયમાં આ સામયિક પહોંચે તેવી વ્યવસ્થા સુધી પહોંચી શકાય તેવી શુભેચ્છા પણ જરૂરથી પાઠવીએ અને તેમાં યથાશક્તિ સહભાગી બનીએ.

'સાર્થક જલસો'ના ત્રીજા અંક સમયે પ્રકાશકોએ એસ ટી બસ સ્ટેન્ડના પુસ્તકોના સ્ટૉલ પર પણ આ સમાયિક મળે તેવી વેંચાણ વ્યવસ્થા ગોઠવી હતી. આમાં જેટલો વાણિજ્યિક આશય છે તેનાથી વધારે 'ક્લાસ'માટે જ નહીં પણ 'માસ' માટે પણ આ સામયિક ઉપભોગ્ય છે તેવો વિશ્વાસ પણ જોઇ શકાતો હતો. એ પ્રયોગ વાણિજ્યિક રીતે સફળ રહ્યો હોય અને એ રીતે દરેક સામાન્ય વાચકને પણ આ સામયિક હાથવગું બન્યું હોય તો તે સામયિકની અને વાચકની તંદુરસ્તી માટે ઉપકારક પરવડશે. વેંચાણ માટેની જે કંઇ નવી ચૅનલ્સ પ્રકાશકોને સૂઝે અને તે પ્રયોગો સફળ થાય તે પણ સામયિક અને વાચક એમ બંને પક્ષે ફાયદાકારક જરૂર નીવડશે.

'સાર્થક જલસો'ના આ પહેલાના અંકો ઇ-સંસ્કરણ સ્વરૂપે પણ ઉપલબધ હતા. એ પરંપરા 'સાર્હક જલસો ૪'માં પણ ચાલુ જ રહે તે પણ સ્વાભાવિક છે. (અહીં ઇ-નકલ મેળવી શકાય છે.)

'સાર્થક જલસો' મેળવવા માટે પ્રકાશનની વેબસાઈટ પર પણ વીજાણુ વ્ય્વસ્થા છે. તદુપરાંત spguj2013@gmail.com કે + 91 98252 90796 કે બુકશેલ્ફ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.