Thursday, February 23, 2012

૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃતિની કળશ પૂર્તિમાં શ્રી મધુ રાયની કૉલમ 'નીલે ગગનકે તલે'ના "દો દિલોં કી દાસ્તાં : મિસ્ટર બી અને ડાક્ટર પી" લેખ પરનો પ્રતિભાવ


ભાઇશ્રી મઘુ રાય 'ગગનવાલા'એ આજે માનવ સ્વભાવની સહુથી મોટી નબળાઇ - લોભ -ને એક વાર ફરીથી ખુલ્લાં આકાશમાં ખુલ્લી કરી આપી.
માનવ લોભની કથાઓ આદમથી શરુ થઇ અને દરેક યુગ યુગામી અવનવાં સ્વરૂપે થતી આવી છે, અનુભવાતી આવી છે અને ભુલાતી આવી છે.
મહાભારતમાં જૂગટૂં - દેશી ભાષામાં જૂગાર- રમવાનો મોહ યુધિષ્ઠીર જેવા સંપુર્ણ સત્યવાદીને પણ લાગી જતો  હોય છે તેમ કહીને તેનાં સર્વવ્યાપી દુષણને ઉઘાડું પાડી લોકોને તેનાથી વિમુખ કરવાનો હેતુ હતો. પણ માનવીની બુધ્ધિ જો અવળો અર્થ ન કાઢે તો માનવ-બુધ્ધિને લ્યાનત ન લાગે? એટલે સત્યનિષ્ઠ લોકોને જુગાર જેવી આવડત હોવી તે તો આર્થિક વિકાસનું મહત્વનું પરીબળ ગણાવાયું!
આ જૂગારનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ તે સટ્ટો. કોઇપણ ચીજવસ્તુની ભવિષ્યમા થનારી ઉપલબ્ધી, તેની માંગ અને તેઓનાં પરિણામે તેના ભાવનો અડસટ્ટો લગાવતાં લગાવતાં સટ્ટાની લત ક્યારે લાગી જાય તે 'પ્રબુધ્ધ' માનવીને ખબર નથી પડતી! [લો, કરો વાત!]
તેમાંય ૨૦મી સદીના મધ્ય બાદ અર્થશાસ્ત્રના અન્ય જ્ઞાનશાખાઓસાથેના વધતા ગયેલા ઘરોબાને કારણે શુધ્ધ એન્જીનીયરીંગ ભણેલાઓ પણ નાણાં સંચાલનના અધિપતીઓ બનતા ગયા, નાણાંના વ્યવહારો બની ગયા ઉપભોગતા ઉત્પાદનો, ચોરે અને ચૌટે શૅર બજારના આટાપાટાની ટીપ્સ ગુંજતી થઇ ગઇ.
આમ પણ જે ગામમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા તો સાંભળ્યા નથી જ, તો અહીં તો તે જંક બૉન્ડમાં રોકાણ કરી ને કચરામાંથી કચરાલાલ કહેવાતાં હૅજ ફંડોનાં હાટડાંઓ ખોલી નાંખીને લોકોને ધોળે દિવસે હથેલીમા ચાંદ - તે પણ બેદાગ, પુનમનો ચાંદ - બતાડવાના વ્યવસાયના મુખ્ય સંચાલકોને લાખો ડૉલરના દરમાયા મળતા થઇ ગયા. આ સંપત્તિ સંચાલન પધ્ધતિ ને પેલી સંચાલન જાળવણીની રસમો શિખવાડીશું તેવાં લોભામણાં વચનોથી આંજી નાખી ને પોતાનો રોટલો શેકવા માટે આમ આદમીને ધુતારા થવાના ફાયદા શીખવવાની શાળા /કૉલૅજો ખોલી દીધી. સફેદ કપડાં પહેરીને કોલસાની દલાલી કરવાથી કપડાં પર દાગ લાગે તે તો કોલસાનો વાંક પણ સાબિત કરી નંખાયો.
માનવીના લોભને સામ્યવાદમાં કે સમાજવાદમાં કે બજારોન્મુખ મૂડીવાદમાં સરખું જ ઉત્તેજન મળતું રહ્યું. કારણકે મોસાળીયા જાનૈયા અને મા પીરસે તેવો ઘાટ હતો ને
ભગવાનને મહાભારતનાં એ પ્રખ્યાત જૂગટાંના ખેલ દરમ્યાન જ આવું બધું થશે તેનો અડસટ્ટો આવી ગયો હશે, એટલે ક્યાં તો તે પણ હવે 'લોભ'ને ધર્મની ગ્લાની નથી ગણતા અથવા તો આ અધર્મ હવે તેમની ક્ષમતાથી પણ પર થઇ ગયેલ ગણતા થઇ ગયા જણાય છે. એટલે જે તો હવે તે પોતે જન્મવાનું નામ નથી લેતા! હજારે માંડ એક અણ્ણા કે પ્રીત ભરારા જેવા કાળા માથાના માનવી ને આઠ આઠ કોઠાના ચક્રવ્યૂહ ભેદવા આગળ કરી દે છે. "તમે જાણો અને તમારૂં કામ જાણો, મને વૈકુંઠમાં હેરાન કરવાનું બંધ કરો" તેવાં પાટીયાંઓ લગાવી દીધાં છે.
સાહિર લુધીયાનવીએ 'વો સુબહ કભી તો આયેગી'ની નિરાશામાંથી 'વો સુબહ હમીં સે આયેગી'ની આશા જોઇ હતી, તો આપણે પણ તે આશાને ફળીભૂત થવાની સુબહની રાહ જોઇએ?

Tuesday, February 21, 2012

૧૯ ફેબ્રુઆરી,૨૦૧૧નાં જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તીમાંના કેટલાક લેખપરના પ્રતિભાવ


'લાફાલાફીંગલાલિત્યલહરી'ની [તીર કીટ ધા - શ્રી સ્નેહલ ન.મુઝુમદાર] મજા માણતાં વિચાર આવ્યો કે શું તમાચો એ TheMacho દ્વારા થયેલ હાથના બળપ્રયોગ માટે વપરાયેલ ભાવવાચક નામ છે? તો તે જ રીતે જ્યારે કોઇ લલના એ બળપ્રયોગ કરે તો તેને 'તમાચી' કહેવાય?
સ્વામી વિવેકાનંદે અપેક્ષ્યા છે તેમાંના ન હોઇએ તો લાફાને 'લાફી'(હસી)ને માણવો પડે?
થપ દઇને પડે તે થપ્પડ? તે જ રીતે થપાટ શબ્દ સાંભળતાંની સાથે જ તેના પડઘમ પરની થાપ જેવા નાદ ના પડઘાઓ પડઘાયા નથી કરતા?
આમ જૂઓ તો વીજળીના વેગે આવીને પડે તે તમાચો, વેગ ઓછો પણ બળ વધારે તે થપ્પડ અને પ્રેમથી ગાલ પસરાવે તે ટપલી? અને મશ્કરીના ભાવથી વિરોધ પ્રદર્શનમાટે ટપલીદાવથી વધારે અસરકારક સજા સાંભળી છે?
        * * * *
ડૉ. અજય કોઠારીએ પણ એક પ્રગલ્ભ ડૉકટરને છાજે તેવી ગંભીરતાથી જાણે 'વર્ચ્યુઅલ' - સમજો તો  રામબાણ - તેવાઓને તેમણે ઉદાહરણ પ્રસંગોમાં વાપર્યા તે, તમાચા ખાનાર ગાલ છૂપાવતાં જરૂર ફરે. પરંતુ, એ ઉદાહરણોમાંનાં પાત્રો તો આવા કંઇ કેટલાય તમાચાઓ અને તેની પૂર્વજ પેઢીઓને પચાવી ને બેઠેલા ખરાને, એટલે તેઓ તો તમા(રે)ચા પીએ અને કરે ધનાધન! લપડાક વ્હાલની હોય તેમ ઠપકાની કે નિષ્ફળતાની સ્વ-શેહની હોય, તો તે ખાધા પછીથી તેમાંથી શીખેલાઓએ તો સફળતાનાં શિખરો સર કરે, બાકીના બધા તો સમયની લપડાકો ખાઇ ખાઇને અશ્મિભૂત થવાને જ લાયક.  [દે ધનાધન -પોલું છે તે બોલ્યું - ડૉ. અજય કોઠારી]
* * * * *
તારીખીયાંના દટ્ટાનાં દરરોજનાં પાનાંનો એક બહુ જ અસ્રકારક ઉપયોગ અમે અમારાં એક સંબંધી કુટુંબમાં જોયો છે. ઘરનાં એક વડીલ માવતર તેની પાછળ તે દિવસની તેમને ત્યાં થયેલ ઘટના ટપકાવી રાખે. અઠવાડીયાંના અંતે જ્યારે તેઓ પોતાનાં કુટુંબીજનોને પૉસ્ટ્કાર્ડ લખવા બેસે ત્યારે તે દિવસવારની થપ્પી લઇને બેસે અને તેમાંથી જોઇ જોઇને [અચૂક] વિગતો લાગતાં વળગતાં સંબંધીના કાર્ડમાં ઠલવાઇ જાય.
કૅલૅન્ડરનું[તળપદી] સકક્ષ તારીખીયું તે તવારીખીયુંનો અપભંશ હશે? પણ તવારીખ તો રોજ બરોજ થતી ઘટનાઓનાં વલણ [trend]નું દસ્તાવેજીકરણ,દરરોજ ની ઘટનાઓની નોંધ તો રોજનીશી [diary]માં રહે ને? એટલે તવારીખ પરથી તારીખીયું ઉતરી આવવા માટે શું કારણ હશે? [મોસમ આયે .. મોસમ જાયે.. -- કૉફી હાઉસ - શ્રી અનિલ જોષી]
* * * * *
ભાઇશ્રી શ્રીકાંત ગૌતમની કોલમ 'રંગરાગ'નો 'નદી, નાવ અને નાદલેખ વાંચતાં જ 'આવારા'માં 'દમ ભર ઇધર જો મુંહ ફેરે'નું ચિત્રીકરણ યાદ આવી જાય.

નરગીસની રાજ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા, રાજનું ચોર હોવાનું સભાનપણું [મૈં ચોર હું કામ હૈ ચોરી] અને ગીતનું માધુર્ય આપણને ચિત્રીકરણમાં સૅટ પર શુટીંગ કર્યું હોવાની દેખાઇ આવતી રાજ કપુરનાં નિર્દેશનની ક્વચિત નબળાઇ નઝર અંદાઝ કરવા પ્રેરે છે.

આપના આની પહેલાંના બે અઠવાડીયાંના લેખ પણ વિષયની 'નવી જ ભાત'ની પસંદ અને તેને અનુરૂપ લેખની સામગ્રીની દ્ર્ષ્ટિએ બહુ જ પસંદ પડ્યા હતા.

Monday, February 20, 2012

શીતાગારમાંથી પાછો ફરેલો ગુપ્તચર - એકી બેઠકે વાંચવી પડે, અનેક વાર વાંચવાનું મન થાય તેવી, જાસુસી નવલકથા


બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીત યુધ્ધમાં વહેંચાઇ ગયા હતા.આર્થીક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજામાટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. યુરૉપની અન્ય ભાષાઓનો આપણને ખાસ પરિચય નથી એટલે તે અંગે તો કહી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ  એ એક મહત્વનો અને અતિ લોક્પ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો.

ઇયાન ફ્લૅમિંગ અને તેમના દિલફેંક, જાંબાઝ નાયક જૅમ્સ બૉન્ડ અને તેની ડૉ.નૉ,ફ્રૉમ રશિયા વિથ લવ અને ગૉલ્ડફીંગર જેવી નવલક્થાઓનું ઘેલું તો તે સમયના નીકીતા ક્રુશ્ચેવ અને ફીડલ ક્રાસ્ટો સાથે આવા જ રોમાંચક કાવાદાવાના ખુદ સર્જક જ્હૉન એફ કૅનૅડીને પણ લાગેલું. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેનાપરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મેં ૧૯૭૦ની આસપાસ પહેલી વાર  અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા The Spy Who Came in from The Cold ની.

આ નવલકથાના લેખક જ્હૉન લ કૅરની ૧૯૬૩માં પ્રસિધ્ધ થયેલી આ ત્રીજી નવલકથા છે. તેમના જ શબ્દોમાં તે એટલી લોકપ્રિય થઇ કે તે પછીથી તેમનું કોઇ અંગત જીવન જ નહોતું રહ્યુ.પહેલી વાર પ્રસિધ્ધ થયા પછી તો તેની કંઇ કેટલીય આવૃતિઓ થઇ ચુકી છે. ગુગલ પર શોધ ક્લિક કરીએ તો   62,200,000 પરિણામો 0.27 સેકંડમાં અંકિત થઇ જાય ને લેખકના નામથી શોધ કરીએ તો   0.17  સેકંડમાં  7,080,000 પરિણામો  અંકિત થશે.

વાર્તાનું કથાનક શીતયુધ્ધનાં પ્રતિકસમી બર્લિનની દિવાલથી શરૂ થાય છે અને ત્યાં આવીને જ પૂરૂં થાય છે.કથાવસ્તુનું હાર્દ શીતયુધ્ધના સમયની ગુપ્તચર સંસ્થાઓની ઘંટીનાં પડની વચ્ચે દળાતી માનવીય લાગણીઓ અને તેમના ઠંડા કલેજે ખેલાતા આટાપાટાઓના મીંઢા દ્રષ્ટિકોણ છે.૧૯૮૯ની આ પુસ્તકની એક આવૃતિની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે કે વાર્તાની પ્રેરણા માટૅ બર્લિનની દિવાલ- પાગલ થઇ ગયેલ વિચારધારાની પાશવતાનું મૂર્ત પ્રતિક - આદર્શ મંચ બની રહી હતી.બર્લિનની દિવાલે જાણે ગુપ્તચર્ય ઉદ્યોગને વધારે ગૂઢ, વધારે ખતરનાક, વધારે સંશયાત્મક અને હોય તેના કરતાં વધારે અગત્ય ધરાવવાનો દેખાવ કરતો કરી નાખ્યો હતો. તે ઉપરાંત આ નવલકથા લખવામાટે તે સમયની તેમના વ્યાવસાયિક અને અંગત જીવનના ખાલીપા અને ગુંચવાડાને પણ તેઓ કારણભૂત જણાવે છે.વાર્તાનાં મુખ્ય પાત્ર, ઍલૅક લીમસ,નાં પત્રાલેખનમાં આ લાગણીઓ સચોટપણે તાદ્રશ્ય થતી જોઇ શકાય છે.ઇતિહાસના એક ઘૃણાસ્પદ સમયકાળ અને તેની અંદર છટપટાતી લાગણીઓનું સંયોજન શિર્ષકમાં જે The Cold  છે તેને યથાર્થ ઠેરવે છે.

બ્રીટીશ ઇન્ટૅલીજન્સના બર્લિનકાર્યક્ષેત્રના વડા ઍલૅક લિમસની ચૅકપૉઇન્ટ ચાર્લીપર તેના પૂર્વ જર્મનીમાંના મહત્વના જાસુસના પશ્ચિમ તરફ ભાગી આવવાના પ્રયત્નના ઉચાટ ભર્યા ઇંતેજારથી વાર્તાની શરૂઆત થાય છે. એ ઘડીથી જ વાંચક પણ લેખકની નાનાં રહસ્યોની સીધી અને સરળ જણાતી ગુંથણીમાં લીન થતો જાય છે. આ ઑપરેશનની સરિયામ નિષ્ફળતાને અંજામ આપવા માટેની સંસ્થાનાં વડાંમથક [ઇઆન ફ્લૅમિંગનું MI5 , તે અહીં The Circus અને ફ્લૅમિંગનો વડો M તે આમનો The Control]માં The Controlના ઉંદર બિલાડીના ઠંડા કલેજાનાં દાવપેચમાંનું એક કથન ખૂબ જ માર્મિક છેઃ " આપણે સહાનુભૂતિ વગર જીવવાનું તો છે જ. જો કે કાયમ તો તે અવસ્થામાં રહેવાય પણ કેમ? માટે દરેકે એક વખત તો શીતાગારમાંથી પાછા ફરવું જ પડે છે."

એ શિતાગાર એટલે લિમસનું દારૂની લત પર ચડી જવું,અત્યંત મુફલીસીમાં દિવસો વીતાવવા, પૂર્વ જર્મનીની ઇન્ટૅલીજન્સના હાથોમાં પકડાઇ જવું અને તેની પ્રેમિકાનો ઠંડે કલેજે ઉપયોગ કરીને કરાતો એવો વિશ્વાસઘાત. કથાનકમાં સમાંતરપણે એવો આંતરપ્રવાહ પણ વહેતો રહે છે જેમાં એક નાટકના સ્વરૂપે જે ભજવવાનું દેખાડવાનુ હતું તે દરેક તબક્કે તે લિમસનું સાચું જીવન થઇ રહે છે. બ્રીટીશ ઇંન્ટૅલીજન્સની ત્રીપાંખીયા દાવપેચની દારૂણ દાસ્તાન વાંચકનાં દિલોદીમાગને પહેલેથી છેલ્લે સુધી જડબેસલાક રીતે જકડી રાખે છે.
નવલકથાનાં કથાનકની સાથે સાથે માનવીય લાગણીઓને લેખકે બખૂબી વણી લીધી છે. પોતાના  વિચારોમાં ખોવાયેલ લિમસ      reflex actionથી પોતાની ઝડપથી જઇ રહેલ કારને બીજી કાર સાથે અથડાતાં બચાવી લે છે. તે ઘડી એ હાશકારી અનુભવવાને બદલે તેને એ વિચાર તરત જ ઘેરી વળે છે કે પોતાની આ ભૂલ ને કારણે જન્મી ઉઠેલ પેલી ગાડીના ચાલકની હતપ્રભતાને કારણે તેનો અકસ્માત તો હજૂ પણ પાછળ આવી રહેલી ટ્રકોના ટ્રાફીક સાથે તો થશે જ. તે જ ઘડીએ તેની નજર એ કારના પાછલા કાચમાંથી તેનાં તરફ, આવી રહેલા મોતથી અજાણ, ચાર બાળકો તેના તરફ મસ્તીથી હાથ હલાવી રહ્યાં હતાં તે તરફ જાય છે. તે હવે સાવ પાણી પાણી થઇ જાય છે. તે સમયે તેનાં મનમાં લેખકે આ વિચાર મૂક્યો છેઃમોતનું ફરમાન જેમને માટે થઇ ચૂક્યું છે તેઓ આનંદની અણધારી ઘડીઓને આધીન છે; જેમ શમાપર ન્યોછાવર પરવાનાની કુરબાનીસાથે તેનું પરમસુખ વણાયેલું છે.["Men condemned to death are subject to sudden moments of elation; as if, like moths in the fire, their destruction were coincidental with attainment."]. પોતાના વ્યાવસાયિક સ્વાર્થમાટે કરીને મનુષ્ય તેનાં પ્રાકૃતિક સુલક્ષણોને શા માટે આટલી હદ સુધી દબાવી દઇ શકે એવી લેખકની મનોવ્યથા લિમસ અને તેની આ આટાપાટામાં ભરાઇ પડેલ પ્રેમિકાના સંવાદોમાં વાંચક પણ અનુભવે છે.

દેખીતી રીતે આ નવલકથા બહુ લાંબી નથી.તેમાંનાં ધણા પ્રસંગોને તો ખાસ્સાં ટુંકાણમાં વર્ણાવાયા છે, જેમ કે લિમસનો ત્રણ મહિનાનો કારાવાસ કથાનાં ત્રણ પાનાં જ પૂરો થઇ જાય છે. પરંતુ  લિમસ પર એ ત્રણ મહિનામાં શું વીતી હશે તે નખશીખ સમજવા માટે વાંચકને એ ત્રણ પાનાં પૂરતાં થઇ રહે છે.લેખક ઘટનાઓનું વર્ણન કરતાંની સાથે વાચકના મનને પણ, તેમની વિચારયાત્રાની મનોદશામાં સાથે ખેંચી લીધા પછી, પૂરી સ્વતંત્રતાથી વિહરવા દે છે. જાસુસી નવલકથાઓમાં આ શૈલિ એક નવી જ ભાત પાડે છે. લખાયેલા શબ્દો જેટલી સરળ અને મુદ્દાસરની સીધી ભાષામાં કહેવાયા છે તેટલા જ વિશાળ માનસપટ પર વાચક પણ તેના મનોભાવ જગતમાં સફર કરતો રહે છે.
અને આ જ એક મુખ્ય કારણ છે જેને કારણે આપણે આ પુસ્તક ફરી ફરીને વાંચવા મજબૂર થઇ જઇએ છીએ. આને કારણે દરેક વાચન અનુભવનાં નવાં જ અર્થઘટન ખોળી આપે છે. તો વળી , આપણને એમ પણ અહેસાસ રહ્યા કરે કે વાંચતાં વાંચતાં આપણાથી કંઇક છૂટી ગયું છે. અને ફરીથી જ્યારે વાંચીએ ત્યારે એવું કશુંક જરૂર મળી પણ આવે.

૧૯૬૫માં તો આ કથાનું ફિલ્માંકન પણ થઇ ગયું. બધા જ વિવેચકો એ માર્ટિન રીત્તનાં સિધ્ધ હસ્ત નિર્દેશનમાં રીચર્ડ બર્ટનને તેની અદાકારીની ગહનતાને લિમસનાં પાત્રમાં સ્વાભાવિકતાથી ભળી જવાને બીરદાવી છે. અન્ય કિરદારોનાં પત્રાલેખન, સીનેમેટોગ્રાફી જેવાં સાધનોના અસરકારક પ્રયોગની મદદથી નિર્દેશકે મૂળ કથાનું વાતાવરણ ફિલ્મમાં પણ ધબકતું કરેલ છે. આ ફિલ્મ  ડીવીડી પર ઉપલ્બધ છે, તો વળી યુ ટ્યુબ પર તે બાર ટુકડાઓમાં ચડાવાયેલ પણ છે. તેમાંના પહેલા ટુકડાની કડી અહીં છે. બી બી સી એ તેને શ્રાવ્યપુસ્તક સ્વરૂપે પણ પ્રસિધ્ધ કરેલ છે. 

પુસ્તક પીડીએફ સ્વરૂપમાં મળી રહે  છે.



લેખક વિષેઃ

જ્હૉન લ કૅર એ લેખકનાં મૂળ નામ, ડૅવીડ કૉર્નવૅલ,નું તખલ્લુસ છે. ૧૯૫૦થી '૬૦સુધી તેઓ બ્રીટીશ ઇન્ટૅલીજન્સ સંસ્થામાં જ કામ કરતા હતા. એ દ્રષ્ટિ એ એમની વાર્તાઓમાં વાસ્તવિકતાની છાંટ જોવા મળતી હોય તો તે માત્ર સાંયોગિક જ છ તેવું તેઓ એ પોતે જ નોંધ્યું છે. તેમણે ૨૨ નવલકથાઓ લખી છે. શીત યુધ્ધના અંત પછીથી લખાયેલી તેમની નવલકથાઓમાં તેમણે જાસૂસી સંસ્થાઓ, મોટાં આંતરરાષ્ટ્રિય વ્યાપારી ગૃહો અને રાજકારણની સાંઠગાંઠને આવરી છે.દા.ત. તેમની  Our Kind of Traitor નવલકથા એક ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા કેન્યામાં કરાયેલા ફીલ્ડ ટેસ્ટની દિલધડક કહાની છે.તેમના ઇરાક યુધ્ધ, અમેરીકાની ઇરાન પ્રત્યેની નિતિ, કુખ્યાત નાણાંના આંતરરાષ્ટ્રીય વિનિમય જેવા વિષયો પરના વિચારોને, યુ ટ્યુબપરના આ ચાર ટુકડામાં [http://youtu.be/fva5UxQq1P0 ; http://youtu.be/8DtDqmRMG_w ;      http://youtu.be/FzQkofaALw4 ;  http://youtu.be/yaCQcS4IRGc]  ચડાવાયેલા, તેમના અમેરિકામાં અપાયેલા ઇન્ટરવ્યુમાં સાંભળી શકાશે.

 The Spy Who Came in from The cold એ તેના સમયનું હાડકાં થીજાવી દે તેવું સંવેદનશીલ કથાનક છે, જે આજે લગભગ ૫૦ વર્ષ પછી પણ એક નવલકથા તરીકે સમયની કસોટીએ ખરું ઉતરે છે.

Tuesday, February 7, 2012

ભારતના ટોચના મુખ્ય પ્રબંધન અધિકારીઓ


૧૯૯૫થી ૨૦૧૧ દરમ્યાન સહુથી વધારે મૂલ્યવૃધ્ધિ કરનારાઓની BT- INSEAD- HBR દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસિકા
'બીઝનેસ ટુ ડે'ના વર્ષ ૨3 ના ૫ ફેબ્રુઆરી, ૨૦૧૨ના ૩જા અંકની cover story ના સ્વરૂપમાં પ્રસ્તુત થયેલ ઉપરોક્ત નિરીક્ષણ અભ્યાસ તેની સંશોધનની પ્રક્રિયા, યોગ્યતા માપદંડ, તેના માર્ગદર્શકોનો આ વિષયબાબતે બહોળો વ્યાવહારિક અનુભવને કારણે અન્ય આ પ્રકારના અભ્યાસ કરતાં અલગ તરી આવે છે, જેની સીધી અસર અભ્યાસની સર્વગ્રાહિતા અને ઉંડાણ તેમ જ પસંદ થયેલા સીઇઓની પરિચયાતત્મક રૂપરેખાપર દેખાઇ આવે છે.
પ્રત્યેક સીઇઓની પરિચય રૂપરેખામાં તેમની કાર્યશૈલી, અંગત લાક્ષણિકતાઓ તેમ જ તેમના કાર્યકાળના પ્ર્ભાવકારી પડકારોને મહદ અંશે સંતુલિત નિષ્પક્ષતાથી આવરી લેવાયેલ છે. 
અહીં તે દરેક રૂપરેખા વિષે વાત કરવાનો આશય નથી - તેનામાટે તો આ લેખને અંતે મૂકેલ મૂળ કડી ની કે મૂળ અંકની જ મદદ લેવી હિતાવહ છે. અહીં આ અભ્યાસનાં તારણો અને તેના પરથી કેટલીક અન્ય સાંપ્રત લાગતી વળગતી ઘટનાઓ વિષે વાત કરીશું.
કોઇપણ સંસ્થાની લાંબા ગાળાની તંદુરસ્તી અને સંસ્થાનાં હિતધારક ઘટકોનાં હિતની જાળવણી એ બન્ને કંઇક અંશે મુખ્ય સંચાલકમાટે વિરોધાભાસી પરિણામો પરવડી શકે. તે બન્ને વચ્ચેનાં નાજૂક સંતુલનને જાળવીને બન્ને પરિણામોના માપદંડ પર ખરા ઉતરવામાં વ્યક્તિની નેતૃત્વની ક્ષમતાની ગુણવત્તા, વિવેકબુધ્ધિની પ્રગલભ્તા અને દીર્ઘદ્રષ્ટિના વ્યાપની કસોટી છે.મૂલ્યવૃધ્ધિમાં વર્ષોવર્ષ થતા વધારાની સાથે સસ્થાના મૂળભૂત ઉદ્દેશ્યો, તેની સ્પર્ધાત્મકતા અને નૈતિક મૂલ્યો જાળવવાં તે પણ મહત્વનું બની રહે છે. 
એ દ્રષ્ટિએ આ અભ્યાસમાટે યથાયોગ્ય લાંબો સમયગાળો પસંદ કરાયો છે. આ અભ્યાસમાં આ સમય દરમ્યાન જ જેમનો કાર્યકાળ રહ્યો હોય તેવા જ મુખ્ય સંચાલકોને આવરી લેવાયા છે. તદુપરાંત,આ સમયકાળ ભારતના રાજકીય અને આર્થિક વિકાસમાં 'ઉદારીકરણ'નો સમય હોવાને કારણે તે સમયના સમષ્ટિક પડકારો [macro-challenges] પણ અનોખા જ રહયા.
  • મૂલ્યવૃધ્ધિના માપદંડની દ્રષ્ટિએ આ યાદીમાં આવરી લેવાયેલ ૩૭૪ મુખીયાઓ પૈકી ટોચના ૫૦ મુખ્ય સંચાલકોની કંપનીની શૅરહૉલ્ડર્સની મૂડીમાં ૧૯૯૫થી ૨૦૧૧ના સમયગાળા દરમ્યાન વાર્ષિક ૫૯% ના ચક્રવૃધ્ધિ દરે વધારો થયો, જેની સરખામણીમાં છેલ્લ ૫૦ મુખ્ય સંચાલકોની કંપનીની શૅરહૉલ્ડર્સની મૂડીમાં દર વર્ષે ૧૬%ના ચક્રવૃધ્ધિ દરે ઘટાડો થયો.
  • આ યાદીના મુખ્ય સંચાલકોની સરેરાશ આયુ ૫૩.૨ વર્ષ છે. [રાજકારણનાં ક્ષેત્રએ આ ખાસ નોંધ લેવા લાયક માપદંડ છે.!] જે મુખીયાઓએ આ સરેરાશ આયુ કરતાં ૧૦ વર્ષની ઓછી ઉંમરે ટોચની જવાબદારીની ધુરાઓ સંભાળી હતી તેઓ આ યાદીમાં લગભગ ૧૫ સ્થાન આગળ રહેલા જણાયેલ છે. તે જ રીતે જેઓ ખ્યાતનામ સંસ્થાની   ડીગ્રી ધરાવતા હતા તે પણ લગભગ ૧૫ સ્થાન આગળ રહેલા જણાય છે. આમ યુવાનીનાં તરોતાજાંપણાં અને અસરકારક શિક્ષણની સીધી જ અસર તેમની કામગીરીપર પડી હોય તેમ જણાય છે.
       અહીં આપણે નોંધીએ કે આપણે સંચાલકની સફળતામાં મૅનૅજમૅન્ટ શિક્ષણના સંભવતઃ ફાયદાની વાત કરી રહ્યા   છીએ  ત્યારે એવું માની લેવાની ભૂલ તો નહીં જ કરીએ કે મૅનૅજમૅન્ટ શિક્ષણ એ પોતે સાધ્ય નથી, તેથી કોઇ પણ, ગમે તેટલાં શક્તિશાળી, સાધનની સફળતા તેના ઉપયોગ કરનારની ક્ષમતા પર બહુધા આધાર રાખે છે તે ફરીથી યાદ કરવું સમયોચિત ગણાશે.
  •  પુરોગામીની નબળી કામગીરી પછીથી પદભાર સંભાળનાર મુખ્યાધિકારી વધારે સારી કામગીરી કરી શકતા જણાય છે. આ તારણો  આ પ્રકારના ૨૦૧૦ના એચબીઆરના લેખની સાથે સુસંગત તેમ કહેવામાં આવ્યું છે પરંતુ આમ થવા માટેનાં પરિબળો બાબતે કોઇ વધારે પ્રકાશ પાડવામાં નથી આવ્યો.
  • આ અભ્યાસ નિરીક્ષણમાટે એક અન્ય રસપ્રદ માપદંડના પ્રયોગના સંદર્ભે મહત્વની માહિતિ આપે છે. બહુરાષ્ટ્રિય કંપની કે કૌટુંબીક ઔદ્યોગીક જૂથની વંશ પરંપરા, તેનાં આગવાં લાક્ષણિક સંસ્થાગત માળખાં કે કાર્ય પધ્ધતિની સંસ્કૃતિની અસરોથી આ અભ્યાસમાં આવરી લેવાયેલા મુખ્યાઅધિકારીઓની કામગીરી મહદ અંશે પ્રભાવિત જણાતી નથી, પરંતુ જાહેર ક્ષેત્રના મુખ્યાધિકારીઓપર જાહેર ક્ષેત્રનાં કામ કાજનાં પર્યાવરણની અવળી અસર થઇ છે તેમ જરૂર જણાય છે.
         જાહેર ક્ષેત્રના પદાઅધિકારીઓ તેમના ખાનગી ક્ષેત્રના પ્રતિરૂપની સરખામણીએ ઓછા કાર્યદક્ષ હોય તેમ તો ન જ હોઇ શકે. તેથી ૧૯૯૧ પછીથી આર્થિક ક્ષેત્રમાંનું ઉદારીકરણ કેટલી હદે આંશિક રહ્યું છે તે વિચારાધીન જરૂર થઇ રહે. જાહેર ક્ષેત્રના સહુથી મોટા શૅરહૉલ્ડર તરીકે સરકાર - એટલે કે, બીજા શબ્દોમાં, રાજકારણીઓ અને  અમલદારશાહી- ની બેદરકારીભરી સ્વાર્થપ્રચુર નિયત દેશને કેટલી મોંઘી પડી રહે તે આના પરથી સમજી શકાય છે. જો કે એક સિધ્ધાંત એવો પણ છે કે ખાનગી ક્ષેત્ર એ જાહેર ક્ષેત્રની કામગીરી નબળી રહે તેમ ઘાલમેલ કરવામાં પણ [રૂશ્વતકીય]પ્રાવિણ્ય ધરાવે છે જેથી તેમને સહેલાઇથી સ્પર્ધાત્મક સરસાઇ મળી રહે. આ બધાં પાસાંઓ પૂર્ણ સમયના અભ્યાસના વિષય બની રહે છે.

આ અભ્યાસનાં પરીણામોથી એવું પણ ફલિત થતું જણાય છે કે છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતીય ઔદ્યોગિક અને વ્યાવસાયિક સમુદાય તેનાં ટોચનાં નેતૃત્વનાં સ્થાનો પર સંચલનની દક્ષતાને પોષક વાતાવરણ પેદા કરી શકેલ છે,જેમાં ઉભરતા કુટુંબના સભ્યને કે તે ઔદ્યોગિક પરિવાર સાથે ન સંકળાયેલ વ્યાવસાયિક સંચાલકને સમાન પડકારો  ઝીલવા પડ્યા છે અને સમાન તકો પણ મળી છે. 

જાહેર ક્ષેત્રમાં પણ આ જ પ્રકારનું વતાવરણ બની રહે તેમ કરવાની સમજ સત્તારૂઢ તેમ જ સમગ્ર રાજકીય સમુદાય દર્શાવે તેવી આશા રાખીએ. છેલ્લાં થોડાં વર્ષોમાં રાજકારણમાં વંશપરાગત અને તે સિવાયના પણ -શિક્ષિત-યુવા વર્ગ અને નારી શક્તિનો  પ્રવાહ આવતો જણાયો છે. હજૂ તેઓ પ્રભાવજનક સ્થાનોએ કે કક્ષાએ પહોંચી શક્યા હોય કે તેઓ પહેલાંની પૅઢીથી અલગ અભિગમ અને મૂલ્યો ધરાવતા હોય તે પણ સુનિશ્ચિતપણે તો જણાતું નથી, પણ આશા સાવ છોડી દઇએ તેવું પણ સાવ નથી જણાતું.

એકંદરે હજૂ ઘણું સારૂં થશે તે અપેક્ષાના આશાવાદના રંગોથી મિશ્રિત ચિત્ર દેખાઇ રહ્યું છે.