Sunday, May 22, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - મે ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  મે ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી જ્ઞાનીશાનંદના લેખ, ડિજિટલ દેવતાઓ અને આધ્યાત્મિક (ઉત્‍)ક્રાંતિ / Digital Gods and Spiritual ®evolution, આ મહિને પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

AI ભૌતિક વિશ્વના આ રીતે અનુભવમાં વૃદ્ધિ કરે છે –

i. જૈવિક સીમાઓ વિસ્તારીને જે કામો કરી શકવા આપણે સજ્જ નથી તે કરવા સક્ષમ બનાવે છે, જેથી આપણે આપણા જીવનનાં અન્ય ક્ષેત્રોમાં વધારે મૂલ્યવાન અને અસરકારક બની શકીએ

ii. મન ઉપર, સકારાત્મક (અને નકારાત્મક પણ) અસરો કરીને

iii. વિકલાંગો કે સમાજનાં ઓછાં સંસાધનપ્રાપ્ત લોકોને પણ સમાન તક ઉપલબ્ધ કરી આપીને

iv. બહેતર સંયોજકતા (કનેક્ટિવિટી) વડે ભૌતિક મર્યાદાઓ અતિક્રમીને અને માનવ માનવ વચ્ચેની અને માનવ અને ભૌતિક વિશ્વને અલગ કરતી ભૌતિક આડશો દૂર કરીને

v. ઓનલાઈન (માહિતી) સ્ત્રોતો માટેની પહોંચ સાથે વધારે વ્યાપક બનાવીને

vi. વધારે આધુનિક મશીન લર્નિંગ તકનીકોની મદદથી, AIની વિશ્લેષણાત્મક અને તાર્કિક ક્ષમતાઓ વધારીને તેને વધારે સુશિક્ષિત બનાવીને, આપણે માનવીય પ્રજ્ઞાને માનવીય ઉત્કૃષ્ટતાનાં ઘણાં વધારે પાસાંઓની દરેક ક્ષેત્રમાં વધારે બારીકાઈથી ચકાસણી કરી શકવા કાબેલ કરી શકીશું. અંતમાં, વિવેકપૂર્ણ વિદ્વતાએ બુદ્ધિ પર વર્ચસ્વ મેળવવું જોઈએ.


જોકે મૂળતઃ સવાલ એ છે કે માનવતાને સાચવવા અંગે AIનું કોઈ નૈતિક ઉત્તરદાયિત્વ છે કે નહીં. AIનો કોઈ નૈતિક પાયો નથી. તે તો એવી પણ સંભાવનાઓ ધરાવે છે કે જે લક્ષ્યો માટે સમાજે ખરેખર પ્રયાસો કરવા જોઈએ એ લક્ષ્યોને જ તે બદલી શકે છે. જોકે, AI કે ડિજિટલ દુનિયા તરફથી એટલું જોખમ નથી જેટલું પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે આપણી જ બહારની તરફ શોધ કરવાનું  આપણું વલણ છે. 

AI માં intelligence (પ્રજ્ઞા) શબ્દપ્રયોગ શબ્દકોશની વ્યાખ્યા - જ્ઞાન અને કૌશલ્યો મેળવવાની અને કામે લઈ શકવાની ક્ષમતા - મુજબ બંધ તો બેસે છે પણ તે સાથે માનવી જે કંઈ કરી શકવા શક્તિમાન છે તે સંભાવનાઓને સીમિત કરી દે છે. તેની સામે વૈદિક સંસ્કૃતિ દ્વારા પ્રસ્થાપિત થયેલ વ્યાખ્યા મુજબ આ વર્ણન પ્રજ્ઞાનાં  એક જ પાસાં – બુદ્ધિ - પુરતું જ સીમિત છે.[1]  આમ, ટેક્નોલોજિની આ શાખાને વર્ણવવા માટે વધારે ઉપયુક્ત શબ્દપ્રયોગ  Artificial Intellect (કૃત્રિમ બુદ્ધિ) કહી શકાય.

આપણે જો 'જ્ઞાન'ની શોધખોળ કરીશું તો જણાશે કે જ્ઞાનનું સૌથી નીચેનું ઉપકરણ 'સહજ વૃત્તિ' છે. તે પછી આવે છે તર્ક. પરંતુ તર્ક આપણને આપણાં ખુદનાં કે આપણાં આ વિશ્વનાં અસ્તિત્વ વિશેના સવાલની બાબતે બહુ આગળ લઈ જઈ શકે તેમ નથી. સ્વામી વિવિકાનંદનાં કહેવા મુજબ (એક તબક્કા પછી) તર્ક 'વર્તુળમાં ઘુમરાતી દલીલ' બની રહે છે. આ વર્તુળમાં ઘુમતી દલીલની બહાર આપણને 'અંતરસ્ફુરણા' કાઢી શકે છે. બુદ્ધિનાં ક્ષેત્રની પેલે પાર, પ્રજ્ઞાના ખરા અર્થનાં સ્વરૂપનો અંતરસ્ફુરણાનો પ્રદેશ ફેલાયેલો છે.  

શરીર અને મનને અંતરસ્ફુરણા જો અતિચેતનાના પ્રદેશમાંથી મળે તો આત્માનૂભૂતિનું લક્ષ્ય પાર પડી શકે. એટલે, AI અને અન્ય 'ડિજિટલ દેવો'નો ઉપયોગ આપણી બે અતિમૂલ્યવાન સાધનસંપત્તિ - સમય અને શક્તિ -ની બચત કરવામાં કરવો જોઈએ કે જેથી  તર્કથી અંતરસ્ફુરણા અને ચેતનાથી અતિચેતના સુધીની સફર આપણે સડસડાટ પાર કરી શકીએ.…….

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Elements and Challenges of a 'We' Culture - The We Culture (ASQ Quality Press)નાં લેખિકા, લુસિઆના પૌલીસ ઉત્કૃષ્ટતા સંસ્કૃતિનાં CARE modelની ચર્ચા કરતાં કરતાં 'We' ('આપણે') સંસ્કૃતિમાં પરિવર્તીત થવા માટે સંસ્થાએ સામનો કરવાના પડકારોની ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Quality Professionals Must Lead ગુણવત્તા માટેનો આર્થિક પક્ષ રજૂ કરો - ગુણવત્તા

    વ્યાવસાયિકો જ્યારે કોઈ પણ નવી
    ટેકનિકના અમલના ટેકનિકલ મુદ્દાઓ ચર્ચતાં હોય છે ત્યારે તેમની સંસ્થાની એક ઊંડે રહેલી બાબત છુપાવતાં હોય છે. સામાન્યપણે, એ સમસ્યા એ હોય છે કે જે કંઈ નવી પ્રવૃત્તિ કે સમય કે ખર્ચ કે સંસ્થાના વ્યવહારો વધારે તેને લગતા સવાલો પુછવાની વરિષ્ઠ સંચાલનમંડળની જવાબદારી હોય છે. … ગુણવત્તા વ્યાવસાયિકોએ આ ચર્ચા કરતી વખતે સૌ પહેલાં આ સવાલો જ ઉઠાવવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ગુણવત્તા વ્યાવસાયિકોએ ડૉ. આર્મડ ફાઈજેનબાઉમ અને ફિલિપ બી ક્રોસ્બીની ની શીખ - સંચાલન મંડળની ભાષા નાણાંકીય આંકડાઓથી પરિભાષિત થાય છે અને વ્યવસાયની જરૂરિયાતો સાથે સીધી સંકળાયેલી હોય છે.. વળી, પ્રવર્તમાન સંજોગોમાં તો એ હજુ વધારે મહત્ત્વનું બની રહે છે……..

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Sixty Years in the Making - ભવિષ્ય, ટેક્નોલોજિ અને યાંત્રિક સ્વયંસંચાલન વિશે કલ્પના - જે વૃતાંતો

સમયના તકાજાને અતિક્રમી રહે છે તે આપણને દીર્ઘદર્શનને વાસ્તવિકતા સાથે સરખાવી શકવાની તક આપે છે.…. કાલ્પનિક ટેક્નોલોજિઓનું વાસ્તવમાં પરિણમવાનું એક છેલ્લું ઉદાહરણ ધ જેટસન્સ નામનું કાર્ટૂન છે. ૧૯૬૨માં પ્રથમ વાર રજુ થયા પછી તેમાંની ઘણી 'કાલ્પનિક' ગુલબાંગો હવે વાસ્તવમાં જોવા મળવા લાગી છે. એ વાર્તાનાં કાલ્પનિક કુટુંબ પાસે કુતરાં માટેની ટ્રેડમિલ હતી કે બોલતાં અલાર્મ ઘડિયાળો, ફ્લેટ-સ્ક્રીન ટીવી, ફોનપર વાત કરાવી શકતાં કાંડા ઘડિયાળો, વિડીયો ચૅટ, ડ્રોન, રોબોટ વેક્ક્યુમ ક્લીનર અને ડિજટલ અખબારપત્રો જેવાં અનેક સાધનો હતાં. એ સમયે જે સાંભળ્યું પણ નહોતું તે આજે ૬૦ વર્ષ પછી વાસ્તવિક થઈ ગયું છે.…..આપણી પાસે ભવિષ્યની પુરેપુરી આગાહી કરવા માટે જરૂરી ક્ષમતા કે સમય ભલે ન હોય, પણ ટેક્નોલોજિ અને નવી નવી પ્રક્રિયાઓ વિશે સતત જાણતાં રહેવાથી ભવિષ્ય કેવું હશે તે તો સમજી શકવામાં જરૂર મદદ મળી શકે.

[1] Intelligence and Intellect: What's The Difference - Shekhar Kapur with Sadhguru



'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


Sunday, May 15, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૨૨

મન્ના ડે - ચલે જા રહેં હૈ… ૧૯૫૬

મન્ના ડે - મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની બાળપણમાં તાલીમ કુસ્તીદાવોમાં મહારથ માટે થયેલી. પરંતુ કુસ્તીના કોશેટાનાં સખત આવરણને ભેદીને મન્ના ડેનાં કુટુંબની સંગીતની અસર તેમને ગાયક બનવા ભણી ખેંચી ગઈ. તે સાથે તેમને શાસ્ત્રીય સંગીતના ગાયકી અંગની ઘનિષ્ઠ તાલીમ પણ મળી. આવા સુસજ્જ ગાયકની હિંદી ફિલ્મ સંગીતની શરૂઆતની કારકિર્દી પર નજર કરીએ તો એવું જણાય કે એક કોશેટાનાં કોચલામાંથી બહાર નીકળ્યા પછી નિયતિએ તેમને અમુકતમુક ગીતોના ગાયક તરીકેના જડબેસલાક ફાંસલામાં કેદ રાખવાનું નિર્ધાર્યું હશે. પરંતુ કુસ્તીદાવોની તેમની બાળપણની તાલીમે તેમને હવે દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી હતી. એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને જે તક આપે તેને તેઓ અવનવા પ્રયોગાત્મક સ્વરૂપે રજુ કરતા ગયા અને તેમનાં આગવાં સ્થાનને મજબુત બનાવતા રહ્યા. અનિલ બિશ્વાસ કે એસ ડી બર્મન જેવા સંગીતકારો ચોક્કસપણે એમ માનતા કે ગમે તે ગીત મન્ના ડેને આપો, તો  પણ મન્ના ડે એ સહજતાથી ગાઈ બતાવશે. એટલું જ નહીં પણ એમના એ સમયના અન્ય ગાયકો જે કંઈ ગાઈ શકે તે મન્ના ડે તો ગાઈ જ શકે, પરંતુ મન્ના ડે જે ગાય, અને જે રીતે ગાય, તે બધા ન કરી શકે, એવી પણ માન્યતા બહુ વ્યાપક હતી.

'૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડે ભક્તિ ગીતો કે પ્રેરણાભાવનાં ગીતો ઉપરાંત રોમેન્ટીક ગીતોનાં ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. આ પરિસ્થિતિને વધારે મજબૂત કરવામાં શંકર જયકિશને મન્નાડેના સ્વરમાં રજુ કરેલ ૧૯૫૧ અને ૧૯૫૩નાં ગીતોની ભૂમિકા પણ અદકેરી રહી. મન્નાડેના રોમેન્ટીક, શાસ્ત્રીય ગીતોની સાથે કવ્વાલી, પાશ્ચાત્ય ઢાળનાં કે હશીમજાકનાં લોકપ્રિય ગીતો તો ફિલ્મ સંગીત ચાહકોની દરેક પેઢીને મનમોહિત કરતાં જ રહ્યાં છે. પરંતુ મન્ના ડેનાં જે ગીતોને લોકપ્રિયતા ન મળી, તે ગીતોમાં પણ મન્ના ડેના સ્વરે જીવન રેડ્યું છે અને તે ગીતોને પણ કાલાતીત કરેલ છે.

મન્ના ડેના જન્મમહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો, અને,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

પહેલાં આપણે એ વાતની જરૂર નોંધ લઈશું કે ૧૯૫૬નાં વર્ષમાં મન્ના ડેની કારકિર્દીના શ્રેષ્ઠ ગીતોમાં ગણાય એવાં જા તો સે નહીં બોલું કન્હૈયા (પરિવાર- લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત:  સલીલ ચૌધરી); ચલે સિપાહી ધુલ ઉડાતે કહાં કિધર કોઈ ક્યા જાને  (રાજહઠ – ગીતકાર:: શૈલેન્દ્ર – સંગીત:: શંકર જયકિશન); નૈન મિલે ચૈન કહાં સાંવરે (બસંત બહાર - લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં રોમેન્ટીક ગીતો, નિર્બલ સે લડાઈ બલવાનકી (તૂફાન ઔર દિયા – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: વસંત દેસાઈ) જેવાં પ્રેરણાત્મક બેકગ્રાઉન્ડ ગીત, કે ભય ભંજના વંદના સુન હમારી, સુર ના સજે ક્યા ગાઉં મૈં અને કેતકી ગુલાબ જુહી - ભીમસેન જોશી સાથે - (બસંત બહાર- ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં શાસ્ત્રીય ગીતો પણ હતાં.

આજના આ મણકામાં આપણે વર્ષ  ૧૯૫૬ માટેનાં મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરીશું.


જોડી મિલે ના મિલે શાદી રચાયે ચલે - ગૌરી પૂજા – ગીતકાર: જી એસ નેપાલી – સંગીત: મન્ના ડે

એ સમયમાં પોતાના પિતાની લાજ રાખવા દીકરીઓએ પોતાની પસંદને બાજુએ કરીને જે પાનું પડ્યું તે ખુશી ખુશી નિભાવી લેવાનું રહેતું હતું તે ભાવ પણ અહીં આપણને સ્પર્શે છે.

કહ દો જી કહ દો છુપાઓ ન પ્યાર, કભી કભી આતી હૈ ઝુમતી બહાર - કિસ્મત કા ખેલ - લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન

શંકર જયકિશનનો મન્ના ડેના સ્વર માટેનો ખાસ ભાવ આ એક્દમ ભાવવાહી રોમેન્ટીક ગીત માટેની પસંદ દ્વારા છતો થઈ રહે છે. '૫૦ના દાયકાનાં હવે પછીનાં વર્ષોમાં નવા ઉભરતા અભિનેતાઓ માટે મન્ના ડેના સ્વરમાં રોમેન્ટીક ગીતો મુકવાનું ચલણ વધારે વ્યાપક બન્યું, તેમ છતાં જ્યારે એ અભિનેતાઓ સફળ થયા ત્યારે મન્ના ડે તેમનો પાર્શ્વસ્વર ન બની શક્યા એ પણ નસીબની બલિહારી છે.  

એ વર્ષોમાં શંકર  જયકિશન આટલી જીવંત ધડકનો ઝીલતાં, પ્રેમભીના ભાવનાં, રોમેન્ટીક ગીતો કેટલી આસાનીથી બનાવી લેતા હતા !


એક દિન તેરા ભી સવેરા આયેગા - સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ સંગીત: શિવરામ કૃષ્ણ

ફિલ્મના પર્દા પર અદાકાર સામાજિક કે અંગત મુશ્કેલીઓથી હતાશ થઈ ચુકેલ હોય ત્યારે તેની હતાશાને ખંખેરી કાઢવા માટે બેકગ્રાઉન્ડમાંથી સંભળાતાં પ્રેરણાત્મક ગીતનો આ પ્રકાર મન્ના ડે, અથવા તો મોહમમ્દ રફી, ને ફાળે જ હોય, માત્ર બન્નેની અદાયગીની શૈલી અલગ હોય.

વો દેખો ઉધર ચાંદ નિકલા ગગનમેં, ઈધર આ ગયી ચાંદની મુસ્કરાતી - રૂપ કુમારી - ગીતા દત્ત સાથે – ગીતકાર: બી ડી શર્મા – સંગીત: એસ એન ત્રિપાઠી

હિંદી ફિલ્મ સંગીતમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોને ભાગે બી કે સી ગ્રેડની ફિલ્મો જ આવતી રહી છે. એસ એન ત્રિપાઠી પણ આવા જ એક અનેક કૌશલ્યો ધરાવતા કલાકાર હતા. આ યુગલ ગીત તેમની પ્રતિભા શક્તિનો સંગીતમય નમૂનો કહી શકાય તેમ છે.

આડવાત: યુટ્યુબ પરના જાણકાર શ્રોતાએ આ ગીતની કોમેન્ટમાં જણાવ્યું છે કે આ જ ધુન ફરી એક વાર એસ એન ત્રિપાઠીએ નિગાહોંમેં તુમ હો (જાદુ નગરી - લતા મંગેશકર સાથે - ગીતકાર હસરત જયપુરી) માટે પ્રયોગ કરી છે.

ખેલ ખિલાડી જિસસે ન ખેલ અપની જાનસે - બાદશાહ સલામત – ગીતકાર: વિનય કુમાર- સંગી: બુલો સી રાની

ગીતના બોલ પરથી તો એવું જણાય છે કે આ ગીત કોઈ 'ફકીર' પર્દા પર ગાતા હશે આ પ્રકારનાં ગીતો ગાવાની મન્ના ડેની પોતાની આગવી શૈલી હતી.

છોડ ભી દે આકાશ સિંગાસન, ફિર ધરતી પર આ જા રે - ૨૬ જાન્યુઆરી – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ગીતના બોલ પરથી આ પણ પ્રેરણાત્મક ગીત છે તેટલું જણાય છે, પણ ગીત કે ફિલ્મ વિશે મારી પાસે અન્ય કોઈ માહિતી નથી.

આજ કી બાતેં રાજા ભુલ મત જૈયો જી…..હમ તો નહીં ભૂલે તુમ ના ભૂ જૈયો - ઢોલા મારૂ - આશા ભોસલે સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: એસ કે પાલ

રાજસ્થાની લોક ગીતોની શૈલીમાં સંગીતબધ્ધ થયેલ આ સરળ ગીતને આશા ભોસલે અને મન્ના ડે પુરતું રસપ્રચુર બનાવી લે છે.

બહતા પાની બહતા જાય રાહ તકે ન તેરી, એજી સમય કા હાલ હૈ ન કર દેર ઘનેરી - ઢાકે કી મલમલ - આશા ભોસલે અને કિશોર કુમાર  સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: રોબિન બેનર્જી

આ ફિલ્મના બીજાં બધાં ગીત ઓ પી નય્યરે સંગીતબધ્ધ કરેલ છે.  ગીતની સીચ્યુએશનનો  સંબંધ નાવ પર ગવાતાં ગીત સાથે હશે એટલે રોબિન બેનર્જીને પસંદ કર્યા હશે કે જેથી બંગાળી લોક ધુનના સહજ આધાર પર ગીતની રચના થઈ શકે? ગીતમાં પ્રયોજાયેલ વિવિધ લય ગીતને અનોખી ભાતમાં રજુ કરે છે.

મુડકર ભી ન દેખ સુહાગન મહલોંકી યે શાન,ઈસ દુનિયામેં અબ તેરા બસ પતી હી ભગવાન…. ઉધર ચલી જા જાનકી જીધર ચલે તેરે રામ - દેવતા – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ફિલ્મોમાં જે વાત સંવાદોથી સમજાવી શકાય તેમ ન હોય તેને બેક્ગ્રાઉન્ડ ગીતની મદદથી શ્રોતાને સમજાવી દેવાની આ પ્રથા પણ બહુ મહત્ત્વની ગણાતી હતી.

નિયતિ જે અને જેવા પતિ સાથે લગ્નબંધન સર્જ્યું તે હવે સ્વીકારી લેવું  તે એક સમયની રાજકુમારી માટે કેટલું દુષ્કર હશે તેમ છતાં એક આદર્શ પતિવ્રતા નારી તરીકે તે સંજોગની સાથે કેમ  કામ પાર પાડે છે તેવી વાર્તાને આ ગીત દ્વારા સમજાવાઈ છે. (જોકે, આજના સમયમાં તો આ વાત કેમે કરતાં ગળે ન જ ઉતરે!)

૧૯૫૬નાં વર્ષ માટે મન્ના ડેએ ગાયેલાં પણ ઓછાં સાભળવા મળતાં આટલાં ગીતો ઉપરાંત https://mannadey.weebly.com/  અને http://www.mannadey.in/  પર લાલ-એ-યમન, કર ભલા, જંગલ ક્વીન, ઈન્દ્રલીલા, ગ્રાંડ હોટેલ, ઝરીના, સુદર્શન ચક્ર, સ્કાઉટ કેમ્પ, સતી નાગકન્યા, રાજરાણી મીરા, અયોધ્યાપતિ, અનુરાગ અને દયાર-એ-હબીબ જેવી બીજી ફિલ્મોમાં પણ મન્ના ડેનાં એક એક ગીતોનો ઉલ્લેખ છે. પરંતુ એ ફિલ્મોની ઘોર નિષ્ફળતાને કારણે આ ગીતો પણ નામશેષ થઈ ગયાં હશે તેમ માની શકાય. સંખ્યાત્મક રીતે થયેલાં નુકસાન કરતાં મન્ના ડેનાં ગીતોનાં વૈવિધ્યનાં ગુણાત્મક સ્તરે જે નુકસાન થયું હશે તે કળી શકાય તેમ નથી.

આટલી સખેદ નોંધ સાથે આજના આ મણકાને અહીં પુરો કરીએ અને હવે પછીનાં વર્ષોનાં ભાવિમાં શું સમાયું હશે તેની રાહ જોઈએ.