Tuesday, January 27, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં વર્ષ માટે આપણે બ્લૉગોત્સવના આ માસિક સંસ્કરણની રજૂઆતમાં થોડા ફેરફારના પ્રયોગો કરીશું.

આ વર્ષમાં દરેક સંસ્કરણને ત્રણ ભાગમાં વહેંચી નાંખીશું:

પહેલો ભાગ (ગુણવત્તા, પ્રક્રિયા, કામગીરી, વ્યક્તિગત જેવી કોઇ પણ બાબતને લગતી) સુધારણા વિષેના લેખોની ખોજનાં પરિણામોને રજૂ કરશે.

બીજા ભાગમાં Influential Voices Blogroll Alumniના સભ્યોના બ્લૉગની મુલાકાત કરીશું.

અને ત્રીજો ભાગ હાલ પણ ચાલુ છે તેવા ASQ CEO, બિલ ટ્રોયના બ્લૉગ પરનો કોઇ એક વિષયની ચર્ચા છેડતો લેખ, તેના પરની વ્યાપક ચર્ચા, ASQ TVનાં વૃતાંત અને ASQ’s Influential Voice ની શ્રેણીના નિયમિત વિભાગો આવરી લેશે.

આ મહિનાનાં સંસ્કરણની શરૂઆત 'સુધારણા' પરના કેટલાક લેખોથી કરીશું. આ વિષય વિષે આપણે આખાં વર્ષ દરમ્યાન વિચારણા કરવાનાં છીએ એટલે,જીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં 'સુધારણા'ની કોઇ પણ ચર્ચા કદી પણ સિમિત ન જ કરી શકાય એ સત્યનો સ્વીકાર કરવાની સાથે સાથે દરેક મહિને ૩ થી ૫ લેખો પૂરતી શોધ સુધીની મર્યાદાનું સ્વૈચ્છીક બંધન રાખીશું.

Six Things to Keep in Mind Before Goal Setting- જેસ્સૅ લીન સ્ટૉનર

એક વાતનો તો પ્રામાણિકપણે જવાબ આપીએ - દર વર્ષે આપણે જે નક્કી કરતા ધ્યેય સિદ્ધ કરવાનું નક્કી કરતાં હોઇએ છીએ તેમાના કેટલા પાર પડે છે?

જો કે ધ્યેય એ સમસ્યા નથી. ધ્યેય તો આપણને એક ચોક્કસ દિશા સૂચવવામાં, ગતિમાન થવામાં અને રાહ ભટકી ન જવામાં મદદરૂપ થવા માટેનું મહત્ત્વ ધરાવે છે.

ખરી સમસ્યા તો યથોચિત ધ્યેય નક્કી કરવાની અને તેની સિદ્ધિના અમલ માટે જરૂરી પર્યાવરણતંત્ર ઊભું કરવાની પ્રક્રિયામાં જ છે.

૧. વર્તમાન ધ્યેયથી શરૂઆત કરવી જોઈએ. આ પહેલાનાં ધ્યેયને નજર સમક્ષ રાખવાથી સાતત્ય અનુભવી શકાતું રહે છે.

૨. ધ્યેયને બૃહદ હેતુ સાથે સાંકળી લેવા જોઇએ, જેથી તેમનું અગત્ય સ્પષ્ટ બની રહે અને એક વાર સિદ્ધ થયા પછી 'હવે શું' જેવા સવાલના સ્વાભાવિક જવાબ મળી રહે.

3. ધ્યેય નક્કી કરવાની પ્રક્રિયા હંમેશ તાર્કિક જ હોયે તેમ જરૂરી નથી. કોઇ કોઇ વાર આપણે કંઇ નિશ્ચિતપણે કરવું જે હોય તે પણ આ બાબતે મહત્વનું યોગદાન આપી રહી શકે છે, પછી ભલે ને તે કેમ સિદ્ધ થશે તે વિષે સ્પષ્ટ ચિત્ર અત્યારે આપણી સમક્ષ ન પણ હોય.

૪. ધ્યેયને લખી રાખી અને નજર સમક્ષ જ રહે તેમ વ્યવસ્થા કરો.

૫. આપણાં ધ્યેયને રહસ્યના પર્દામાં ઓઝલ ન થવા દઇએ.

૬. ધ્યેય સિદ્ધિના અમલમાં સીધી યા ઉદ્દીપક સ્વરૂપે મદદરૂપ બને તે રીતની જ પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ હંમેશાં ઘડી કાઢીએ.
The 90-day Performance Improvement Cycle

વાર્ષિક પદ્ધતિને બદલે દર ત્રણ મહિને સમીક્ષા કરતી કામગીરી સુધારણાની પદ્ધતિમાં કોઇ એક ચોક્કસ પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું રહે છે. એક વર્ષને બદલે ત્રણ મહિનાનો ગાળો નજરની સામે પણ વધારે રહી શકે છે. આટલા સમયગાળાને આપણે અનુભવી પણ શકીએ છીએ, જેથી તેના અંતની સમયરેખાને તાદૃશ્ય કરી શકાય છે. દર ત્રણ મહિને ધ્યેય સિદ્ધ કરવાથી વધારે મહત્ત્વનું છે કે નિયમિત અને સમજભેર પ્રગતિ થતી રહે... માત્ર વિચારો અને આયોજનથી જ નહીં પણ અમલનાં અસરકારક પગલાંઓથી વિકાસની આગેકૂચ થતી રહે છે.

The Hardest Part of Lean is to See the Waste - વિલિયમ એ. લૅવીન્સન, પ્રિન્સીપાલ, લૅવિન્સન પ્રોડક્ટીવીટી સીસ્ટમ્સ - ઉતરતી ગુણવત્તાની જેમ વ્યય પણ કોઇ પણ કામમાં એવો વણાઇ ગયો હોય છે કે આપણે તેને પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ માની લઇએ છીએ....

The Performance Improvement Blogમાં સંસ્થાના અગ્રણીઓ અને સંચાલકોની સમજણ અને અસરકારકતા વધારવાનો પ્રયાસ છે. વર્ષ ૨૦૧૪ની સમીક્ષા રૂપે, સ્ટીફન જે ગીલ એવા પાંચ લેખોને પસંદ કરે છે જેમાં વાચકોને સહુથી વધારે રસ પડ્યો હોય. એ પાંચ લેખો આ મુજબ છે:
Eight Leader Habits of a Learning Culture

The World is Fast...And Learning Must Be Faster

Cultural Barriers to Organizational Learning

Why Your Organization Needs a Learning Culture

Learning to Learn Collectively
International Society for Performance Improvement ® - ISPI - અને તેના સભ્યો પુરાવા આધારિત કામગીરી સુધારણા સંશોધન અને પદ્ધતિના ઉપયોગ વડે લાંબા સમય સુધી ટકી રહે તેવાં, માપી શકાય તેવાં પરિણામો લાવવા પર અને ખાનગી તેમ જ જાહેર ક્ષેત્રનાં હિતધારકો માટે મૂલ્યવૃદ્ધિ થતી રહે તેના પર ભાર મૂકે છે. ૧૯૬૨માં સ્થાપના થયેલ આ સંસ્થા કાર્યસ્થળે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સમગ્ર અમેરિકા, કેનેડા અને અન્ય ૪૪ દેશોના કામગીરી સુધારણા વ્યાવસાયિકોનું તે પ્રતિનિધિત્વ કરે છે.

Influential Voices Blogroll Alumni બ્લૉગના બીજા ભાગમાં આ મહિને આપણે Complexified's Blogની મુલાકાત કરીશું. બ્લૉગ પર સામગ્રીનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું, અને તેટલું, છે. આપણે તેમાંથી બે લેખ અહીં નમૂના રૂપે લીધા છે:
Do You Listen To Your Food?... ધ્યાનથી સાંભળીએ તો ઘણું શીખી શકીએ..સમજી શકીએ.. પરિવર્તન. એ સ્વાભાવિક છે.

Success Leaves Clues: The Core Principles of Government Improvement
“કામ સારૂં, ખર્ચ ઓછું”. ધ્યાનાકર્ષક શબ્દપ્રયોગ, સરસ સૂત્ર. સરકારનાં કામની વાત કરીએ, પછી તે કોઇ પણ પ્રકારના રાજકીય અભિગમ ધરાવતી હોય, બધાં એટલું જ તો ઇચ્છે જે કે શક્ય એટલું સારૂં કામ તો તે કરે જ.

સરકારની અંદર કે બહાર, રીત કોઇ પણ અખત્યાર કરી હોય, સુધારણાની બાબતે સફળ સંસ્થાઓમાં આટલું તો સામાન્યપણે જોવા મળશે:
૧) લોકો પર નહીં, પણ પ્રક્રિયા પર ધ્યાન આપવું. ડેમિંગ અને બીજાંઓએ શીખવાડ્યું છે કે પેદાવાર કે પરિણામોને લગતી ૮૦-૯૦% સમસ્યાઓનું અસંતોષપ્રદ પ્રક્રિયા જ હોય છે, તેમાં લોકોનો વાંક નથી હોતો.

૨) અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સંબંધિત દરેક વ્યક્તિએ પ્રવર્તમાન પ્રક્રિયાનું ઊંડાણથી જ્ઞાન મેળવેલ હોય.

3) નિર્ણયો આંકડા અને હકીકતોના આધારે લેવાતા હોય, નહીં કે કોઇની મુન્સફી પ્રમાણે.

૪) મતમતાંતરોની ચર્ચા, એકબીજાનાં આત્મસન્માનને અનુરૂપ સંવાદભર્યાં વાતાવરણમાં, મુકતપણે થતી હોય.

૫) નિષ્ફળતા એ નવું કંઈ શીખવાની તક ગણાતી હોય. બધાં જ પરિણામો ભવિષ્યની સુધારણા માટેનાં ચાલક બળ ગણી શકાય તેવી માહિતી પૂરી પાડતાં હોય.

૬) "વધારે સારું, વધારે ઝડપથી ,ઓછાં ખર્ચે" બનાવવું એટલું જ પૂરતું ન હોય. ગ્રાહકો, માલ-સેવાઓ પૂરી પાડનાર વેપારીઓ અને કર્મચારીઓના ચહેરા પર કામ કરવાની મજા અને સંતોષનો આનંદ દેખાય તે વધારે મહત્ત્વનું ગણાતું હોય.

આટલી બાબતો મહત્ત્વની ગણાય. ખાનગી ક્ષેત્રથી પણ વધારે મહત્ત્વની એક વાત સરકારી ક્ષેત્રને લાગૂ પડે છે -

૭) સતત પ્રક્રિયા સુધારણામાટેની પ્રતિબદ્ધતા ટકાવી રખાતી હોય. અગ્રણીઓ હળવા મળવા, કામ કરવા અને શીખવા માટેનાં જરૂરી સંસાધનો પૂરાં પડવાની સાથે લોકોને કામ માટે પૂરતો સમય આપતાં હોય.

જો સરકારની કામગીરીમાં સુધારણાનું ખતપત્ર બનાવાય તો આ પ્રકારની યાદીને તમે ટેકો આપશો? આ સિવાય કોઇ બીજા મુદ્દા તમને ધ્યાનમાં આવે છે? સરકારી તંત્ર આવાં ખતપત્રને સ્વીકારે તે માટે આપણે શું કરી શકીએ?
અને હવે આપણે અત્યાર સુધીના આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ:

ASQ CEO, Bill Troy આ વખતે ચર્ચા છેડવા માટે કંઇ જૂદો પ્રયોગ કરી રહ્યા છે. તેમના લેખ - Is Quality Ambitious Enough?/ ગુણવત્તા મહત્ત્વાકાંક્ષી છે? -માં તેઓએ બ્રૂક્સ કાર્ડરે રજૂ કરેલ કૂટ પ્રશ્નની વાત કરે છે. બ્રૂક્સ કાર્ડરનું કહેવું છે કે ASQના વિશિષ્ટ હેતુ - વિશ્વની અનેકવિધ જરૂરિયાતોના સંદર્ભમાં ગુણવત્તાનો ઉપયોગ અને અસર વધારવાં -માં પૂરતી મહત્ત્વાકાંક્ષા જણાય છે ખરી, ખાસ કરીને જ્યારે ગુણવત્તા જીવનનાં ઘણાં પાસાંઓને બહેતર બનાવવામાટે જવાબદાર છે.

Julia McIntosh, ASQ communications તેમના December Roundup: What Does Ambition Look Like in Quality?’માં નોંધે છે કે ખાસ કોઇ આશ્ચર્ય નથી કે આ વિષય અહીં થોડો વધારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.

આ માસનું ASQ TVવૃતાંત છે: The Lighter Side of Quality--Stop Saying That, Please, જે એક નાટ્યાંકરણ છે જેમાં તેમના સહ-કાર્યકરોએ શું ન કહેવું તે ગુણવત્તા વ્યાવસાયિકો આપણને સામાજિક માધ્યમો દ્વારા જણાવે છે.

આ મહિનાનાં ASQ’s Influential Voice છે– જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી.
જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી એ એવી વ્યક્તિઓમાંનાં છે જેમને પોતે જે કરે છે તે બહુ જ ગમે છે. તેમનું દિવાનાપન તેમને ગુણવત્તા પરિષદમાં પણ “Got Quality?” શર્ટ પહેરીને જવા પ્રેરે. તેઓ Pro QC Internationalનાં કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર અને હિલ્સબરો કમ્યુનિટી કૉલેજમાં સંલગ્ન પ્રશિક્ષક છે. Pro QC Internationalમાં તેમની મુખ્ય જવાબદારીઓ પુરવઠાકાર વિકાસ, પ્રક્રિયા આલેખન અને સ્થળ પરનાં પ્રશિક્ષણ સંસાધનોના વિકાસનો સમાવેશ થતો હતો.હાલમાં તેઓ સંસ્થાની માર્કેટીંગની વ્યૂહરચનાનું ઘડતર અને અમલ કરે છે. બજાર સંશોધન અને પ્રચાર તેમ જ વ્યાવસાયિક સમારંભોમાં હાજરી આપવાનું તેમને પસંદ છે. Quality Time એ તેમનો બ્લૉગ છે.

આપણા આ મહિનાના મુખ્ય વિષયને અનુરૂપ એવા તેમના લેખ, My Family Is SMART! New Year’s Resolution Success વડે આપણે તેમના બ્લૉગનો પરિચય કરીશું.

'ધ્યેય નક્કી કરવામાં SMART પદ્ધતિનો પ્રયોગ કરવા છતાં, તેને વળગી રહેવામાં અમને સફળતા નહોતી મળતી. શરૂ કરતાં પહેલાં જ નિષ્ફળ બની રહેવાતું હતું…અમારે જે સિદ્ધ કરવું હતું તે નજરની સામે જ દેખાયા કરે તેવાં સ્વરૂપે હોય તે જરૂરી જણાતું હતું…મને કૂંડામાં વાવેલા છોડ સાથે અમારી ધ્યેય સિદ્ધિને સાંકળી લેવાનો વિચાર આવ્યો…જેમ જેમ સમય જાય તેમ તેમ પેલા છોડ (અને આપણે જે બદલવા માગીએ છીએ તે ટેવો) ફૂલે ફાલે છે, બશર્તે આપણે તે વિષે સભાન રહીએ, તેની માવજત કરીએ અને તેના પ્રત્યે ધ્યાન આપતાં રહીએ….આને પણ આપણે SMART ગણીશું? હું એવું જરૂર ઇચ્છું, પણ નક્કી તો સમય જ કરી આપશે.'

તેમના અન્ય લેખો :
Quality Progress (ASQ Print Publication) § Blog Boom (7/14) § Quality in the 1st Person – Be the Change (12/13)
Pro QC Newsletter (Editor and Content Developer)
§ A Systematic Issue Management Process – Manufacturing Quality Application§ Classifying Quality Defects: Is it Major, Minor or Critical § Determining the Costs of Quality § ISO 26000: Introducing the New Social Responsibility Guideline § Marketing Quality: The Big Picture § Quality Tools for Successful New Year’s Resolutions § Understanding the Inspection Process
MasterControl
§ Four Common Quality Misconceptions § Grid Analysis for Simplified Supplier Selection § Quality Inspiration
Pro QC Blog (Editor and Content Development)
§ http://blog.proqc.com
આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં આ નવાં સ્વરૂપ વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો……

Saturday, January 24, 2015

મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૪૦ના દાયકાનાં ગીતો


મુકેશનો ફિલ્મોમાં પ્રવેશ 'નિર્દોષ' દ્વારા થયો હતો, જેનું નિર્માણ 'નેશનલ સ્ટુડિયોઝ' અને દિગ્દર્શન વીરેન્‍દ્ર દેસાઈ દ્વારા કરવામાં આવેલું. મુકેશે કારકિર્દીનું પહેલું ગીત 'નિર્દોષ'માં અશોક ઘોષના સંગીત નિર્દેશનમાં ગાયેલું, જેના શબ્દો હતા 'દિલ હી બુઝા હુઆ હૈ તો..' આપણે બધાં જ એ તો જાણીએ જ છીએ કે ફિલ્મ સંગીતમાં પોતાનું એક આગવું સ્થાન ૧૯૪૫ની ફિલ્મ 'પહેલી નઝર'થી થયું.

આની સાથે જોડાયેલી કહાની૧ પણ બહુ રોચક છે. મોતીલાલ અને અનિલ બિશ્વાસનો પરિચય 'સાગર મુવીટોન'ના કાળથી હતો. મોતીલાલ, મુકેશ અને મોતી સાગર (પ્રિતી સાગરના પિતા) પિતરાઈ ભાઈઓ હતા. મોતીલાલ તેને પોતાના મિત્ર અનિલ બિશ્વાસને મળવા લઇ ગયા, અને ફિલ્મોમાં ચાન્સ આપવા સિફારીસ કરી. અનિલ બિશ્વાસને મુકેશના અવાજમાં રસ પડ્યો, એટલે એમણે મોતીલાલને કહ્યું કે તેની આગામી ફિલ્મ "પહેલી નઝર'માં આ છોકરાને અજમાવીશું. પણ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મઝહર ખાન તો આ વાત સાંભળીને છેડાઇ જ પડ્યા. વાત પડતી મુકાઇ ગઇ. અનિલ બિશ્વાસે કહ્યું કે ગીતો તે પોતે ગાઇ લેશે. આ સાંભળીને મુકેશ ચારે બાજુ બબડતા કે સંગીતકારો જ પોતે ગીતો ગાઇ લેવાનાં કામ કરશે તો ગાયકોએ તો ભૂખ્યા મરવાના જ વારા આવશે. વાત ઊડતી ઊડતી અનિલ બિશ્વાસના કાન પર પડી. તેમના દિલમાં રામ વસ્યા અને તેમણે મઝહર ખાનને મનાવી લીધા.

વાતમાં ટ્વીસ્ટ હવે આવે છે. ગીતના રેકોર્ડીંગના દિવસે મુકેશ ભાઇના તો ટાંટીયા પાણી પાણી થઇ ગયા. કોઇ બારમાં શરાબના જામ હેઠળ પોતાની ભાવિ ભવ્યતાની શોધમાં તેઓ ખોવાઇ ગયા. ગુસ્સાથી રાતા પીળા અનિલ બિશ્વાસ એ પીઠામાંથી મુકેશને ઢસરડી ગયા અને ઠંડા પાણીના શાવર નીચે ઊભાડી નશો વહેવરાવી દીધો. મુકેશે માફી માગી અને બીજે દિવસે પૂરા હોશોહવાશમાં આવવાનું વચન આપી જાન છોડાવવા મથ્યા. અનિલ બિશ્વાસ હવે એમ માને તેમ નહોતા - ગા તો અત્યારે જ, નહીં તો વહેતો થા.

બસ, આ સંજોગોમાં મુકેશે ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરીનું તેમનું પહેલું ગીત "દિલ જલતા હૈ તો જલને દે" (પહેલી નઝર- ૧૯૪૫) ગાયું.


અનિલ બિશ્વાસ અને તલત મહમુદ વિષેના લેખમાં આપણે જોયું એમ અનિલ બિશ્વાસના હાથના જાદુએ મુકેશને પણ પોતાની આગવી ગાયકીની શૈલી ઘડી આપી. મુકેશે પણ અનિલ બિશ્વાસનાં રોકડાં ૨૪ જ ગીતો ગાયાં છે. બધું મળીને ૧૨ ફિલ્મોમાં ૧૨ સોલો, ૯ યુગલ ગીતો, બે ત્રિપુટી ગીતો અને એક ચતુષ્કોણી ગીત, એટલો નાનકડો હિસાબ. ગીતો ભલે દેખાય આટલાં જ, તો પણ મુકેશ પણ અનિલ બિશ્વાસની ઓળખાણ એમ જ આપતા કે,"મુકેશ આજે જે છે તે અનિલ બિશ્વાસની બદૌલત છે."૨

તય કર કે બડી દૂર કી પૂર-પેંછ ડગરીયા - પહલી નઝર (૧૯૪૫) – ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

'દિલ જલતા હૈ'માં મુકેશની કરૂણ ગીતના ગાયક તરીકે છાપ સ્થપાઇ એમ કહેવું હોય, તો આ ગીત માટે એમ કહી શકાય કે મુકેશ હલ્કાં ફુલ્કાં ગીતો પણ ભવિષ્યમાં સારી રીતે ગાઇ શકવા માટેની કેડી કંડારી આ ગીતે આપી.


પહેલી નઝરકા તીર લગા પહેલી નઝર કા - પહલી નઝર (૧૯૪૫) - ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નસીમ અખ્તરની સાથેના આ યુગલ ગીતને લોક ગીતની લઢણનો સ્પર્શ છે. દેખીતી રીતે, મુકેશના ભાગે બહુ થોડું જ ગાવાનું થયું છે, પણ નવા જ પ્રકારનું ગીત ગાવાનું થયું, અને તેમાં પણ પહેલી નઝરની તીર નિશાને બેઠું છે.


જવાની યે ભરપૂર દિલકશ અદાયેં - નસીમ અખ્તર સાથે - ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નાટ્ય સંગીતની આછી અસરવાળાં આ ગીતમાં મુકેશ યુગલ ગીત ગાવાની હથોટી હસ્તગત કરી ચુક્યા છે.


જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર ઝીઆ સરહદી

બે વર્ષમાં જ હવે મુકેશ દિલીપકુમારના અવાજ તરીકે પ્રસ્થાપિત થઇ જાય તે કક્ષાનાં, લોકપ્રિય, ગીત ગાતા થઇ ગયા.


અબ યાદ ના કર, ભૂલ જા અય દિલ વો ફસાના - મીના કપુર સાથે - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં જે ગીતોમાં મીના કપૂરનો અવાજ છે તેને કોઇ અગમ્ય કારણોસર રેકોર્ડ પર લતા મંગેશકરના સ્વરમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે.
વો તીખી નઝરોંસે મેરે દિલ કૈસી બીજલી ગીરા રહે હૈં - વીણા (૧૯૪૮) - ગીતકાર પ્રેમ દહલવી

મુકેશનાં ટ્રેડ માર્કનાં પાયામાંનું ગીત, મુકેશના દિલિ ચાહકોની યાદની ટોચ પર રમતું રહે છે.


મેરે સપનોંકી રાની રે - વીણા (૧૯૪૮) – ગીતકાર : નરેન્દ્ર શર્મા

મલપતી ચાલનાં ગીતમાંથી રવાલ ચાલમાં પણ મુકેશના અવાજની કોમળતાની સંવાળપ રતિ ભાર પણ ઓછી નથી થઇ!


ગોકુલકી એક નાર છબીલી, જમુનાકે તટ પર - વીણા (૧૯૪૮) – ગીતકાર : સ્વામી રામાનંદ

નાયિકાનાં રૂપને યાદ કરતાં કરતાં ખોવાઇ ગયેલા નાયકનાં સ્વપ્નોને રુમઝુમ વાચા આપતું રમતિયાળ ગીત


૧૯૪૦ના દાયકાની ફિલ્મોનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતો પૂરાં થવાની સાથે આપણે પણ વિરામ લઇએ. હવે પછીના લેખના બાકીના ભાગમાં, ૨૮-૦૩-૨૦૧૫ના રોજ, ૧૯૫૦ના દાયકાનાં, અને છેલ્લે ૧૯૬૫ની ફિલ્મનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતોને સફર માણીશું. સંદર્ભઃ
શીખા બિશ્વાસ વોહરા અને સુધીર કપુરનો ઇન્ટરવ્યુ
"Mukesh My Mukesh !"

સાભાર : The Maker of Mukesh: Anil Biswas
  • વેબ ગુર્જરી પર ૨૪-૦૧-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ લેખ

Monday, January 12, 2015

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમની 'કચ્છમિત્ર'ની કારકિર્દીને 'સાતત્યપૂર્ણ સર્જનયાત્રા'ના સ્વરૂપમાં પોતાના સ્વાભાવિક્પણાંથી જ સંકોરી છે. એટલે આ સમય દરમિયાન તેમની સામેથી પસાર થયેલા કચ્છના પ્રાણપ્રશ્નોને તેમણે જાગૃત અને નિર્ભીક પત્રકારની જ હેસિયતથી વાચા તો આપી જ છે, પણ મૂળભૂત વિશ્લેષણો,ઉકેલોનાં વિવિધ પાસાંઓની અપેક્ષિત અને અનપેક્ષિત અસરો અંગેનાં તારણો અને મંતવ્યોને પૂર્ણતયા વિધેયાત્મક ભાવથી એક અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટિવંત કચ્છી માડુના લાગણીશીલ અભિગમથી પ્રતિબિંબીત પણ કર્યાં છે. 'તેઓનું આ સર્જન માત્ર પ્રાસંગિક પૂરતું જ સીમિત નથી (રહ્યું), પણ કચ્છને સાચી રીતે ઓળખવા...માટેનું.. ભાથું..તેમાં સમાયેલું છે.'

હાલ પૂરતું, આ સમગ્ર સાગરમાંથી મંથન કરીને શ્રી માણેકલાલ પટેલે ૮+૧ એમ ૯ પુસ્તકોના સ્વરૂપે કરેલ સંપાદન 'કલમ કાંતે કચ્છ' શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે. ગ્રંથ શ્રેણીના પહેલાં પુસ્તક 'માણસવલો કચ્છી માડૂ : કીર્તિ ખત્રી' એ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલા અનેક લોકોએ રજૂ કરેલાં શબ્દચિત્રો છે. કીર્તિભાઇની ક્ચ્છ બહારની થયેલી સફર દરમ્યાન કીર્તિભાઇની એક જિજ્ઞાસુ અને બીજી અભ્યાસુ આંખે જે 'જોયું, જાણ્યું ને લખ્યું' , તે શ્રેણીનાં બીજાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થયેલ છે. જ્યારે કચ્છના પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રશ્નો છ વિષયવાર વહેંચાયેલ પુસ્તકોમાં આવરી લેવાયા છે. આજે આપણે 'કલમ કાંતે કચ્છ' ગ્રંથશ્રેણીના નવમા પુસ્તક "વાહ કચ્છીયતને"નો પરિચય મેળવીશું.

પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી માણેકલાલ પટેલ પુસ્તકનાં થીમ વિષે લખે છે :'અભાવની સંસ્કૃતિની દેન સમી કચ્છીયતને ઉજાગર કરતા અનેક લેખ કીર્તિભાઇએ તેમની સાડા ત્રણ દાયકાની કારકીર્દિ દરમ્યાન સતત લખ્યા છે. આ પુસ્તકમાં કચ્છીયતનાં ઓવારણાંની સાથે સાથે સમયાંતરે કચ્છી નેતાઓ તેમ જ અન્ય સામાજિક શ્રેષ્ઠીઓને અંજલિ આપતી ટૂંકી નોંધ સમા અગ્રલેખો અને લેખોનોયે સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.'

પુસ્તકમાં ૨૨૪ પાનાંઓમાં ૭૭ લેખોમાં વિવિધ પાસાંઓની નોંધ લેવાઇ છે. આ પૈકી ૨૨ લેખો -"ભારતના આર્થિક આયોજનના કચ્છી પ્રણેતા" કે ટી શાહ, "કચ્છના પર્યાવરણના સાચા હામી મ.કુ.હિંમતસિંહજી “, “પત્રકારિત્વ અને સાહિત્યસર્જનમાં સિદ્ધિને શિખરે પહોંચનાર હરીન્દ્ર દવે, ‘વાસવાણી' શૈલીના અનોખા કટારલેખક ડૉ. હરીશ વાસવાણી, “કચ્છીયતને પિછાણનાર અધિકારી” માહેશ્વર શાહુ,(પૂર્વાશ્રમના ભરત ત્રિપાઠી "ખારા" સાહેબ)'માનવતાવાદી સ્વામી' તદ્રૂપાનંદ સરસ્વતીજી, “મારા 'અધા' જયંત ખત્રી”,''કચ્છમિત્ર'ના સ્વપ્નદૃષ્ટા "પ્રવીણચંદ્ર ગાંધી',હરિભાઇ કોઠારી, “કચ્છના હામી, ડૉ. મહિપત મહેતા”, “'પ્રખર વક્તા અને જિંદાદીલ રાજકારણી : ધીરુભાઇ શાહ”, શાકભાજી વેચીને પેટિયું રળતાં રતનબેન સોરઠિયા,ડૉ. મનુભાઇ ભીમરાવ પાંધી, “કચ્છ સંસ્કૃતિના મોભ : દુલેરાય કારાણી”, “પત્રકારિત્વ ક્ષેત્રના પ્રારંભકાળના યોદ્ધા : ફૂલશંકર પટ્ટણી”', “કચ્છીયતના સંન્નિષ્ઠ પૂજારી : રામસિંહજી રાઠોડ”, “જેમની 'ક્લિક'થી તસવીર બોલી ઊઠતી” (એવા ) દિનેશ છત્રાળા, ''મુડ઼્સ માડુ”પ્રાણલાલ શાહ, “કચ્છના મોભી”કાંતિપ્રસાદ અંતાણી, જેમના જવાથી “કચ્છ ક્રિકેટ રાંક બને છે”એવા ડૉ. એમ એમ રાજારામ, “માંડવીના 'જગડુશા”' ગોકુલદાસ ખીમજી મસ્કતવાલા, “ શાહ સોદાગર કલ્યાણજી ધનજી શાહ, “ મૃત્યુના ઓછાયા વચ્ચે જિંદગીની વાત “'કરતા કુંદનલાલ ધોળકિયા, “કચ્છનું ગૌરવ કાન્તિસેન (શ્રોફ) 'કાકા' જેવા - વિવિધ ક્ષ્રેત્રોની વ્યક્તિઓના સંદર્ભમાં લખાયા છે. અહીં એ વ્યક્તિઓનાં કચ્છ માટેના વિશિષ્ટ યોગદાનની વાત કરવાની સાથે તેમનાં વ્યક્તિત્વમાં રહેલાં કચ્છીપણાને પણ બહુ જ સૂક્ષ્મપણે ઉજાગર કરાયેલ છે.

આ સિવાયના બાકી રહેતા લગભગ ૫૪ લેખોમાંથી આપણે કેટલાક લેખોનો ટૂંક પરિચય અહીં કરીશું.

"પંખી સેવે ઈંડું, કચ્છી સેવે વતન" (પૃ. ૨૭ -૩૦) ૧૭-૧૧-૨૦૧૩
'..લાંબા સમયથી કુદરતી આફતોએ સર્જેલી અનેક પ્રતિકૂળતાઓ અને અભાવો વચ્ચેય સ્વસ્થતાથી અસ્તિત્વ ટકાવી રાખવાની જીવનશૈલી કચ્છી માડુએ વિકસાવી છે એ જ છે એની કચ્છીયત અને એમાંથી જ ઉદ્‍ભવી છે એની ભાતીગળ સંસ્કૃતિ અને એ જ છે એની અસ્મિતા...કચ્છી માડુની સરખામણી ફિનિક્સ પંખીની સાથે થતી રહી છે. આ લખનાર કચ્છીમાડુની તુલના..કાદવવાળી દરિયાઇ ખાડીઓમાં ઊગતા ચેર (મૅન્ગ્રુવ્ઝ /Mangroves )વૃક્ષ સાથે કરે છે... તાજેતરમાં કચ્છી માડુની તુલના કુંજ પક્ષી સાથે થઇ..કુંજ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અને પછી દેશમાં ઊડતી હોય તોયે એનું મન તો (સ્થળાંતર વખતે પાછળ મૂકી દીધેલાં) ઈંડાંમાં જ (શાબ્દિક રીતે)લાગેલું હોય છે.. કુંજની જેમ કચ્છીઓ વતનથી હિજરત-સ્થળાંતર કરીને ભલે ગમે ત્યાં વસતા હોય, પણ માનસિક રીતે વતનને સતત સેવ્યા કરે છે....દર વર્ષે અષાઢી બીજની ઊજવણી નિમિત્તે નવું કચ્છી (ભાષાનું) નાટક પેશ કરવાની પરંપરા ૨૧ વર્ષથી સતત ચાલુ રહી છે..મુંબઇ પછી ભારતનાં જુદાં જુદાં શહેરો અને કચ્છનાં પત્રી, રામપર કે વડાલા જેવાં નાનાં ગામોમાં પણ ક્ચ્છ યુવક સંઘના નેજા હેઠળ ક્ચ્છી ભાષાના પ્રસારના પ્રયોગો થાય છે તે વતનપ્રેમ અને ભાષાપ્રેમનું એક સીમાચિહ્ન છે.'
કચ્છનો શરદોત્સવ: ભાતીગળ સંસ્કૃતિની અનોખી પીછાણ" (પૃ. ૫૮ -૫૯) ૧૭-૧૦-૨૦૦૫
'કચ્છ, જેસલમેર, લડાખ કે તિબેટ, દરેક પ્રદેશ પોતાની એક આગવી પિછાણ - અનોખી સંસ્કૃતિ - ધરાવે છે. એમાં ડોકિયું કરીએ તો સામ્યતા એ નજરે પડે છે કે દરેક પ્રજા કુદરતના એક યા બીજા પ્રકારના જુલમોનો સતત સામનો કરતી રહી છે, એના પ્રભાવ હેઠળ જીવતાં-જીવતાં જ એની ભાતીગળ જીવનશૈલી ઘડાઇ છે, જે આગળ જતાં પરંપરા અને આખરે સંસ્કૃતિના રૂપમાં ઉભરી આવી છે....'
"કાશ્મીરની પાનખરમાં કચ્છની મહેક" (પૃ. ૬૦- ૬૪)
'.. તંગધાર વિસ્તાર ત્રણ બાજુ પાક કબજાગ્રસ્ત ગામોથી ઘેરાયેલો છે, અહીં ૨૦૦૫માં ધરતીકંપે તબાહી સર્જી ત્યારે કાતિલ ઠંડીમાં બરફવર્ષા થાય એ પહેલાં જ એક મહિનાની અંદર ૭૦૦૦ હંગામી નિવાસ ઊભા કરવામાં કચ્છની સંસ્થા નિમિત્ત બની ...’
"જાયકા કચ્છ કા" (પૃ.૭૦ - ૭૪) ૨૭-૫-૨૦૧૨
'રણોત્સવને પગલે બાજરાના રોટલા, ખીચડી, ડુંગળીનું શાક, છાશ અને લસણની તીખી ચટણીવાળું કચ્છી ફૂડ લોકપ્રિય બનવાની સાથે સાથે મેસૂક, ગુલાબપાક, પકવાન, અડદિયા અને મીઠો માવો જેવા મિઠાઇ-ફરસાણ ચોમેર મશહૂર થવા લાગ્યાં છે.. માંડવીની દાબેલીએ તો દેશ વિદેશમાં જમાવટ કરીને ઇતિહાસ સર્જી દીધો છે...ઓછા રોકાણે માત્ર રેંકડીના આધારે (દાબેલીનો) ધંધો શરૂ કરી શકાય છે... એના થકી રોજી રળતા લોકોની સંખ્યા લાખોમાં હશે..'
"અનોખી માલધારી સંસ્કૃતિ" (પૃ. ૮૯ -૯૨) ૦૨-૧૨-૨૦૦૯
રણ ઉત્સવ જો કચ્છના પર્યટનનો પ્રાણ હોય તો રણોત્સવનો પ્રાણ બન્ની છે, અને બન્નીનો પ્રાણ એની માલધારી સંસ્કૃતિમાં ધબકે છે. આ વિખ્યાત લોક્સંસ્કૃતિ એના વિશાળ ઘાસિયા મેદાનો અને એની આસપાસ સર્જાયેલા પર્યાવરણની દેન માત્ર છે....માલધારી સંસ્કૃતિનાં અનેક પાસાં છે, ત્યાંની ખાનાબદોશ ભાતીગળ જાતિઓની જીવનશૈલી, એમનો અનોખો પહેરવેશ, ચકિત કરી દે તેવી હસ્તકલા, ગરમ વાતાવરણ સામે રક્ષણ આપતા ભૂંગા, અનોખું સંગીત, માલધારીઓની મહેમાનગતિ અને પોતાના માલ (પશુ) પ્રત્યેનો ભાગ્યે જ જોવા મળે તેવો લગાવ. આવા અનેક પાસાંઓના એકીકરણથી બન્નીની સંસ્કૃતિનો ઉદ્‍ભવ થયો છે....આજે બન્નીની સ્થિતિ બદલાઇ ગઇ છે. એના પર્યાવરણને જફા પહોંચી છે અને તેને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં માલધારીઓના પહેરવેશ , જીવનશૈલી અને સ્વભાવ પણ બદલાય છે. તોયે હજુ માલધારી સંસ્કૃતિનો ધબકાર તો મોજૂદ છે જ...શું આ રહીસહી સંસ્કૃતિ ટકશે ખરી એવો પ્રશ્ન પુછાય છે ત્યારે એમ લાગે છે કે જો આપણે બન્નીના ઘાસિયા મેદાન બચાવી શકીશું તો સંસ્કૃતિ બચવાની શક્યતાઓ વધી જશે...બન્નીની સંસ્કૃતિ અને પરંપરા બચે એ અત્યંત જરૂરી છે.'
"ગુજરાતની તસવીરકલાની સુવર્ણ સફરમાં કચ્છનો દબદબો" (પૃ.૧૨૫ -૧૨૯) ૦૬-૦૩-૨૦૧૧
‘તસવીરકાર વિવેક દેસાઇએ ગુજરાતની સ્વર્ણિમ તસવીરી ઝલક પેશ કરતાં પુસ્તકમાં ગુજરાતની ગરવી તસવીર કલાની અડધા દાયકાની સફરનું અજોડ દસ્તાવેજીકરણ કર્યું છે... ગુજરાતના લોકજીવન, સંસ્કૃતિ અને દરિયા,રણ, નદીની પ્રાકૃતિક વિશિષ્ટતા અને વિવિધ ઉત્સવોની ઝલક પેશ કરતી ૨૩૦ લાજવાબ તસવીરો પૈકી ૪૦ તો એકલા કચ્છની છે...કુલ ૧૪ જેટલા ગુજરાતી તસવીરકારોની કચ્છ વિષયક અદ્‍ભૂત તસવીરોમાં કચ્છના આહીર, ઢેબરિયા રબારી, બન્નીના જત, હરિજન-મેઘવાળ છોકરાં, બાળાઓ અને સ્ત્રીઓ ઉપરાંત લોકજીવનને સ્પર્શતી તસવીરો છે...ખાસ ધ્યાન ખેંચે છે એલ એમ પોમલની સુરખાબનગરની ..(અને).. વિવેક દેસાઇની લૈયારી નદીની તસવીરો...'
"બાટિક કલાનો અદ્‍ભૂત ખજાનો: જાવા" (પૃ. ૧૫૩ - ૧૫૬) ૦૫-૦૨-૨૦૦૬
ક્ચ્છમાં થાય છે એ રીતે સાદું તેમ જ બ્લૉકથી બાટિક પ્રિન્ટ તો થાય જ છેપણ જેમાં વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તાંબાના નળાકારમાં મીણ નાખીને કલાકારોને કામ કરતા જોઇએ તો આફ્રીન થઇ જવાય છે...ઇતિહાસકારો બાટિકના આરંભ બાબતે ભલે સર્વસંમત તારણ કાઢી ન શકતા હોય પણ બાટિક વિકાસનો ચંદ્ર સોળેકળાએ ખીલ્યો હોય તે માત્ર ઇંડોનેશિયાના જાવા ટાપુમાં જ છે...જેમ અજરખના છાપકામની વિશેષતા ચોક્કસ ખનિજવાળા પાણીને આભારી છે, તેમ બાટિકની વિશેષતા એમાં વપરાતા મીણના પ્રકારને આભારી છે...કચ્છના કારીગરોને જાકાર્તા અને જાવાના બાટિક ઉત્પાદન કેન્દ્રોની મુલાકાતે લઈ જવાય તો કચ્છની બાટિકકલાને નવી દિશા મળશે.'
"હસ્ત-હુન્નર કસબને ઉદ્યોગોનું છોગું" (પ્રુ.૧૬૧ -૧૬૫) ૮-૧-૨૦૧૪
'કચ્છમાં બાંધણી, અજરખ, બાટિક, ધડકીકામ, પેચવર્ક, કબીરાવર્કને સેવામૂટી, રોગાનકામ, હાથવણાત, ઊની નામદા, મશરૂઇલાયચો, જરદોસી કામ, કાપડ અને ચામડા પર ભરતકામ, રંગીન સંઘાડા કામ, માટીકામ, લીંપણકામ, સૂડી-ચપ્પુ, તાળાં અને ખરકી કસબ,લાકડાં પર કોતરકામ, ચાંદીકામ વગેરે... જેવા કેટલા બધા કસબ વિકસ્યા છે...'
"કોઇ તો સાંભળો આ યુવાન ખંડેરોની ચીસ" (પૃ.૧૭૨)
'..ઉનાળાના સમયમાં માંડવી તાલુકાના એક ગ્રામ્ય માર્ગ પરથી પસાર થતાં પ્રથમ વાર ખંડેરનગર જોયું હતું...અમે ગામમાં પ્રવેશ્યા તો છતવિહોણા મકાન,પથ્થરોના ઢગલા વચ્ચે અડીખમ ઊભેલા વીજળીના થાંભલા, કોઇક મકાનની દિવાલમાં પ્લાસ્ટિક પેઇન્ટ, કોઇક દિવાલમાં ઓઇલ પેઇન્ટ તો કોઇક દિવાલો માટીથી લીપેલી..(બધી નિશાનીઓ) માનવસર્જિત ખડેર(છે તેમ બતાવતાં હતાં)..(દસેક વર્ષ પહેલાં) ગામના હરિજનોને કેટલાક માથાભારે તત્ત્વો સામે રક્ષણ આપવામાં સરકારી તંત્રોની નિષ્ફળતાને પરિણામે થયેલ સમૂહ હિજરતની સાક્ષી આ યુવાન ખંડેર પૂરી રહ્યાં હતાં...'
સમગ્ર દૃષ્ટિએ જોઇએ તો પ્રસ્તુત પુસ્તક કચ્છના મિજાજની બાહ્ય જગતને પિછાન કરવામાં સફળ રહે છે એમ કહી શકાય.અને તેમ છતાં 'કચ્છમિત્ર'ના તંત્રીપદેથી નિવૃત્ત થયા બાદ લખાયેલા લેખનું શીર્ષક જ "કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી' એ ક્ચ્છીયતને બહુ જ અતિવાસ્તવની કક્ષાએ પણ એટલી જ સ્વાભાવિકતાથી મૂકી આપે છે



કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  ૨૪ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

Saturday, January 3, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૧)


imageએક સમય હતો જ્યારે સ્વરોજગાર કરતાં લોકો પોતાનો વેપાર પણ કરતાં જાય અને સાથે સાથે કળાત્મક રીતે જાહેરાત પણ કરતાં જાય. કમસે કમ, લગભગ બધા જ ફેરીયા ફેરી કરવા નીકળે ત્યારે જે ટહેલ કરે તેનો આગવો લહેકો કે કોઇને કોઇ એક આગવી ખાસીયત તો હોય જ. ફેરીવાળાઓની ટહેલ તેની, અને તેના થકી તેના વ્યવસાયની, ઓળખ બની જતી, અને મોટે ભાગે તેને એક ચોક્કસ ગ્રાહક વર્ગ પણ આકર્ષી આપતી... મૉલ અને ટીવી પર 'લાઇવ' જાહેરાતના યુગમાં ઉછરેલ આજની પેઢીને આ વાત પ્રાગૈતિહાસિક લાગશે. તેમનાથી પહેલી પેઢીને પણ કદાચ તેમનાં વડીલો પાસેથે આ વાતો સાંભળ્યું હોવાનુ આછું પાતળુ યાદ હશે..

સામાજિક કે લોકજીવનની કોઇ પણ વ્યાપક ઘટનાની જેમ આ પ્રથાનું સહુથી પ્રબળ પ્રતિબિંબ જે તે સમયની ફિલ્મોનાં ગીતોમાં ઝીલાવું એ બહુ જ નૈસર્ગીક ઘટના તો છે જ, પણ તે સાથે સાથે તે આ પ્રણાલિકાની લોકપ્રિયતાનો માપદંડ પણ છે..

આજના આ લેખમાં ગીત ગાતાં ગાતાં વેપાર કરતાં જવાની (કે વેપાર કરતાં કરતાં ગીત ગાતાં જવાની) એ લોકપ્રણાલિકાનાં પ્રતિબિંબોની રજૂઆત ને માણીશું છે. અહીં મૂળ લેખમાં રજૂ થયેલાં ગીતોની સાથે વાચકોએ પણ ખોળી ખોળીને આ વિષયની રજૂઆતને સમૃદ્ધ કરતાં ગીતો પણ સમાવી લીધાં છે.

૧. લે લો ચુડીયાં લે લો - અછૂત કન્યા (૧૯૩૬)| ગાયક સુનીતા દેવી - મુમતાઝ અલી | સંગીતકાર – સરસ્વતીદેવી | ગીતકાર - જે એસ કશ્યપ
નાટકમાં ચુડીયાં વેંચવાવાળાનો પાઠ ભજવાવાનો હોય ત્યારે પ્રેક્ષકોની ભીડમાં ચુડીયાં ખરીદવાવાળીઓ ભીડમાં વધારો કરે…!


૨. કોઇ લે લો .. મૈં મીઠા દૂધ લાઇ - બ્રાંડી કી બોટલ (૧૯૩૯) | સંગીતકાર -દાદા ચંદેકર
ફિલ્મનું નામ બ્રાંડીની બૉટલ અને ગીતમાં કૃષ્ણની શોભાયાત્રામાં ગોપીઓના વેશમાં દૂધનું વેંચવુ ! હા, બૉસના દીકરાને સાજો કરવા એક બોટલ બ્રાંડીની શોધમાં નીકળી પડતા નાયકની દાસ્તાનની કહાણી છે



૩. તેરા ખિલોના ટૂટા બાલક- અનમોલ ઘડી (૧૯૪૬) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - નૌશાદ
ગીતમાં ફીલોસોફી ભારોભાર ભરી છે: ઉપર બેઠેલાના હાથની,કોડી કોડીમાં મળતી, કઠપુતળીઓ છીએ આપણે.
ઉપરવાળાના ખેલમાં મોહમ્મદ રફીનું આ ગીત સહુ પ્રથમ હીટ ગીત તરીકે લખાયું હશે, તે તો નક્કી જ હતું.



૪. લેલો લેલો દો ફૂલ જાની લેલો - જાદૂ (૧૯૫૧) |ગાયક : શમશાદ બેગમ , જોહરાબાઇ અંબાલાવાલી, મોહમ્મદ રફી | સંગીતકાર : નૌશાદ | ગીતકાર : શકીલ બદાયુની

આ ગીત પ્રકારની લોકપ્રિયતા તો જૂઓ - સ્ટેજ શૉ માટેની નૃત્ય નાટિકા માટે પણ વિષય તરીકે પસંદ પામે છે. અને ગીતની સીચ્યુએશન શકીલ બદાયુની જેવા 'ગંભીર' કવિ પાસેથી પણ કેવા હળવા શબ્દોમાં ભાવ રજૂ કરાવડાવે છે !



૫. ચુડીયાં લે લે ગોરી - પાપી (૧૯૫૩) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - એસ. મોહિન્દર
રાજ કપુર જેવો બંગડી વેંચવાવાળો હોય અને ખરીદવા માટે નરગીસ કે મીના કુમારી કે ગીતાબાલી જેવાં દેખાવાનું આકર્ષણ હોય તો પછી માલ તો ચુટકી વગાડતાં જ વેંચાઇ જવો જોઇએ



૬. લે લો જી હમારે ગુબ્બારે - બંદીશ (૧૯૫૫) |ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : હેમંત કુમાર | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન
હવામાં છોડી મૂકેલા ફુગ્ગાઓને ધરતી પરનાં ફુલોને આકાશમાં વીખેરી મૂકેલા તારાઓ સાથે સરખાવી દીધા છે



૭. ઠહર જરા ઓ જાનેવાલે, બાબુ મિસ્ટર ગોરે કાલે, હમ મતવાલે પાલિસવાલે - બુટપોલિસ (૧૯૫૪) |ગાયક : આશા ભોસલે, મધુબાલા ઝવેરી, મન્ના ડે | સંગીતકાર : શંકર જયકિશન
રાજકપુરે તો ક્યારનાં આશા રાખીને બેઠેલાં બાળકોની આંખમાં ભવિષ્યનાં સ્વપ્નાંઓની વ્યથાને વાચા આપી દીધી હતી. સીધી નજરે આ બધી ફિલ્મો રાજ કપુરે ખુદ નિર્દેશીત નહોતી કરી, પણ તેનો આગવો સ્પર્શ છૂપો પણ નથી રહેતો



૮. અંધેરી નગરી ચૌપટ રાજા - અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫) | ગાયક શમશાદ બેગમ | સંગીતકાર: અવિનાશ વ્યાસ | ગીતકાર: ભરત વ્યાસ
અંધારી નગરી હોય અને ચૌપટ રાજા હોય તો ટકે શેર (પુરી)ભાજી અને ટકે શેર ખાજાંની બોલબાલા હોય તેમાં નવાઇ શેની..



૯. ચણા જોર ગરમ બાબુ - નયા અંદાજ (૧૯૫૬) | ગાયક : શમશાદ બેગમ અને કિશોર કુમાર |સંગીતકાર: ઓ પી નય્યર | ગીતકાર જાન્નિસાર અખ્તર
ચણા જોર ગરમ પણ લારીમાં શેરીએ શેરીએ વેંચાતી વસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સાથે ગરમ ગરમ મુંગફળી પણ લારીઓ ભરી ભરીને વેંચાઇ જાય…..

અને ગામે ગામની ખાસ વાનગીઓની લહાણ પણ એક જ ગીતમાં માણવા મળશે
"જિસને ખાયા એક ભી દાના, આયા ઉસકો દિલ લગાના" પરથી જ આજની જાહેરાતોના કૉપીરાઈટરોને "અબકડ" બ્રાંડનાં બનયાન ચડાવી લેવાથી ગુંડાઓનાં ટોળાંને પાડી દઇ પ્રેમિકાનું દિલ જીતી લેવાવાળા આઈડીયા મળતા લાગે છે !



૧૦. આયા રે આયા ભાજીવાલા - તૂફાન ઔર દિયા (૧૯૫૬) | ગાયિકા ગીતા રોય | સંગીતકાર : વસંત દેસાઇ | ગીતકાર: ભરત વ્યાસ
નાનકડો ભાજીવાળો બહુજ ખુમારી અને આવડતથી શાકને ફેરી કરે છે



૧૧. ફુલોંકે હાર લે લો - ઇન્સ્પેક્ટર (૧૯૫૬) | ગાયક અને સંગીતકાર હેમંત કુમાર
અહીં અશોકકુમાર છદ્મવેશમાં ફુલો વેંચે છે



૧૨. સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે, કાહે ગભરાયે.. તેલ માલિશ..ચં....પ્પીઇઇઇ- પ્યાસા (૧૯૫૭) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગીતકાર સાહિત લુધ્યાનવી

ફિલ્મમાં જ્હૉની વૉકરની હાજરીની તકિયા કલામ સાહેદીનું આ ગીત લખવા કે રચવા ગીતકાર કે સંગીતકાર તૈયાર નહોતો એટલો ફિલ્મનો વિષય ગંભીર છે. પણ જ્હૉનૉ વૉકરનાં પાત્રને યથાર્થતા બક્ષવા તેને તેલ માલિશનો વ્યવસાયી બતાવવો એ દિગ્દર્શકની સૂઝની કમાલ તો છે જ. મુંબઇની ચોપાટીની જેટલી આજે ભેળ મશહૂર છે એટલી જ એક જમાનામાં 'તે..લ..માલિશ..ચં..પ્પીઇઇઇ'ની મધુર પુકાર પણ મશહૂર હતી.
નૌકર હો યા માલિક, લીડર હો યા પબ્લીક,
અપને આગે સભી ઝૂકે હૈ, ક્યા રાજા ક્યા સૈનિક
                                                                   માં સાહીર લુધ્યાનવીનાં તળ સામ્યવાદી દિલની ઉંડાઇઓમાં કૂટ કૂટ ભરેલી ભાવનાઓને પણ તેલ માલિશની ચંપીએ હળવી કરીને બહાર નીખરાવી નાખી છે.



નાના નાના રોજગાર કરતાં કરતાં મોટા મોટા આઈડીયાઓ રજૂ કરી નાખતાં ગીતોનો પ્રકાર ફિલ્મી સંગીતમાં એટલી હદે પ્રચલિત હતો કે આપણી પાસે આ વિષય પર ત્રણ પૉસ્ટ થઇ શકે તેટલી સામગ્રી તો છે.
આપ સહુ પણ હવે પછીના લેખ પૂરા થઇ જાય ત્યારે હજૂ પણ જો આવાં ગીત અહીં મૂકવાનાં બાકી રહી ગયાં હોય તો જરૂરથી જાણ કરજો.

ભાગ ૨ માટે ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ મળીશું.

[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

Wednesday, December 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૧૨ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
દર વખતની જેમ આપણે બ્લૉગોત્સવના આ મહિનાના અંકની સફર પણ તિથિઓની યાદમાં લખાયેલ પોસ્ટ્સ વડે કરીશું.

સુક્ષ્મ હાસ્યને પરદા પર આગવું સ્થાન બક્ષનારા કચ્છી માડુ દેવેન વર્માએ બીજી ડીસેમ્બરે તેમના જીવનના ખેલનો પરદો કાયમ માટે પાડી દીધો.

ટીવી ચેનલોનાં માધ્યમ પર તેમને અપાયેલ બે અંજલિઓ -Tribute to Great Actor Deven Verma અને Tribute to Deven Verma - તેમની કારકીર્દીને ન્યાય આપી રહે છે.

Remembering Deven Varma બહુ જ લાગણીથી તેમને હિંદી સિનેમાના બહુ જ અચ્છા કલાકાર અને અનોખા ટીખળી વ્યક્તિ તરીકે તેમને યાદ કરે છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હૃષીકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્ય અને ગુલઝારની ફિલ્મોમાં સ્થૂળ હાસ્યની સામે સૂક્ષ્મ રમૂજને તેમણે પરદા પર ખીલવી. આ ફિલ્મોમાં તેમણે સૂત્રધાર, વિદુષક, નાટક-રચિતા જેવા અનેક પાઠ એક સાથે સફળતાપૂર્વક (અને લોકભાગ્ય શૈલીમાં, પણ) ભજવ્યા હતા.

લોકોને છીછરાપણું શા માટે વધુ આકર્ષે છે? માં દીપક સોલિયા લખે છે કે “દેવેન વર્મા સૂક્ષ્મ અને ગરિમાપૂર્ણ કોમેડીના માણસ હતા. એમણે ૧૯૬૦ના દાયકામાં ફિલ્મજગતમાં પ્રવેશ મેળવ્યો ત્યારે પણ લાઉડ અભિનયની બોલબાલા હતી જ. એ જમાનામાં રાજેન્દ્રનાથ ચટાપટાવાળો ચડ્ડો પહેરીને કોમેડી કરતા અને ટુનટુન સ્થૂળ કાયાથી લોકોને હસાવતાં. ખુદ દેવેન વર્માને પણ જે ત્રણ ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા એમાંના બે તો ‘ચોર કે ઘર ચોર‘ અને ‘ચોરી મેરા કામ’ જેવી એવરેજ ફિલ્મોમાંની એમની પ્રમાણમાં સ્થૂળ કોમેડી માટે મળેલા. આવાં ચીલાચાલુ પાત્રોને પણ દેવેન વર્મા પોતાના સૂક્ષ્મ અભિનયના જોરે જરા ઊંચી કક્ષાએ લઈ જતા. છેવટે એમને બેસ્ટ કોમેડિયન માટેનો જે ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો એ ‘અંગૂર’ માટે હતો. ‘અંગૂર’ એક એવી ફિલ્મ છે કે જે પ્રત્યેક સાચા હિન્દી ફિલ્મરસિકે જોયેલી હોવી જોઈએ (પછી ભલે તેનો જન્મ અંગૂરની રિલીઝ -૧૯૮૩- પછી થયો હોય). શોલે, ગર્મ હવા, પ્યાસા, ગાઈડ અને જાને ભી દો યારોની જેમ ચુપકે ચુપકેગોલમાલ - અંગૂર પણ હિન્દી ફિલ્મજગતની ટોચની સિદ્ધિ ગણાવી શકાય એવી ફિલ્મો છે.”

દેવેન વર્માએ ફિલ્મના પર્દા પર ગાયેલાં અનેક ગીતોમાંથી આપણે આજ ઔર કલ(૧૯૬૩ - રવિ)નું બા અદબ બા મુલાઇઝા તેમના કસબના નમુના સ્વરૂપે માણીશું.

શર્મીલા ટાગોરના ૭૦મા અને આજે ૭૯ વર્ષે પણ સૌષ્ઠવપુર્ણ દેખાતા ધર્મેન્દ્રના જ્ન્મદિવસે બંનેનાં ચાર ચાર અલગ ફિલ્મોનાં અને ચાર ગીતો તેમણે સાથે કરેલી ફિલ્મોનાં ગીતો Happy Birthday, Sharmila Tagore and Dharmendra! માં રજૂ કરાયાં છે.

Ten of my favourite Dharmendra songs માં લેખિકાએ જોઇ હોય તેવી ૧૯૭૦ પહેલાંની ધર્મેન્દ્રની ફિલ્મોમાંથી તેના પર જ ફિલ્માવાયેલાં માત્ર સોલો ગીતો (યુગલ ગીતો નહીં!) રજૂ કરાયાં છે.

Ten of my favourite Geeta Dutt solos અને તેના અનુગામી Ten of my favourite Geeta Dutt duetsની જેમ અનુક્રમે The Unforgettable Geeta Dutt અને Unforgettable Geeta Dutt – Part 2ગીતા દત્તની યાદ તાજા કરે છે. અહીં રજૂઅ થયેલાં ગીતોમાંથી આપણે છબીલી (૧૯૬૦ - સ્નેહલ ભાટકર)નું નુતન સાથેનું યુગલ ગીત યારોં કિસીસે ન કહેના અહીં ખાસ યાદ કરીશું.

Happy Birthday, Dilip Saab દિલિપ કુમારના ૯૨મા જ્ન્મ દિવસની ખુશી મનાવે છે.

The joker and his disguises - Raj Kapoor as innocent and masochist માં રાજ કપૂરનાં અલગ અલગ પાસાઓની બહુ સૂક્ષ્મ છણાવટ કરાઇ છે. આ અવસર પર સંગમ (૧૯૬૪)નાં યે મેરા પ્રેમ પત્ર પઢકરનાં ફિલ્માંકન અને તેની સાથે વણાયેલાં પ્રતિકાર્થ સંદેશાઓની વાત કરતાં ક્રવાની સાથે લેખક એ ગીત માટે પોતાની ખાસ પસંદ પણ નોંધાવી દે છે.

જિયો તો ઐસે જિયો જૈસે સબ કુછ તુમ્હારા હૈ (બહુ બેટી ૧૯૬૫, મોહમ્મદ રફી, રવિ)એ આવાંજ ગીતોના રચયિતા શૈલેન્દ્રની હાદ કરાવી દીધી, જેના પરિપાક સ્વરૂપે My favourite Shailendra songs લખાયો. આ બ્લૉગોત્સવ શ્રેણીએ પણ ડીસેમ્બર ૨૦૧૩માં શૈલેન્દ્રને યાદ કરતા કેટલાક માહિતીપૂર્ણ લેખોની નોંધ લીધી હતી.
અને હવે આપણે અન્ય બ્લૉગ / લેખોની મુલાકાત લઈશું

SoY પરની વર્ષવાર ગીતોની અલગ અલગ પાસાંઓથી પુનઃસમીક્ષા કરતી શ્રેણીમાં Best Songs of 1951 ૧૯૫૧નાં ગીતો પરની લેખમાળાની પૂર્ણાહુતિ થઇ. લેખકની આગવી શૈલી અને વાંચકોની ઊંડાણભરી સક્રિય ચર્ચાએ આ સમગ્ર લેખમાળાને અત્યંત રસપ્રદ બનાવી રાખી છે.

Best songs of 1951: Wrap-Up 4 માં ૧૯૫૧નાં યુગલ ગીતોપર ખાસ ચર્ચા થઇ છે. લેખકે જે ૧૪૪ યાદગાર ગીતો તારવ્યાં હતાં તેમા ૩૮ તો યુગલી ગીતો જ છે. આ બધાં જ ગીતો ફિલ્મ સંગીતનાં સદાબહાર યુગલ ગીતોમાં સ્થાન મેળવવાની ક્ક્ષાનાં છે તે ખાસ મહત્ત્વની ઘટના ગણી શકાય. તરાનાનું તલત મહમૂદ અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સીનેમેં સુલગતે હૈ અરમાં અને આવારાનું મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત દમ ભર જો ઈધર મૂંહ ફેરે સંયુક્ત પણે વિજેતા પદ માટે પસંદ થયાં છે.

Best songs of 1951: Final Wrap-Up 5માં ૧૯૫૧ના વર્ષ માટે શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી વિષે ચર્ચા બહુ જ ઉત્તેજનાપૂર્ણ રહી છે. લેખકે વિશેષણમાટે આંકડાકીય પદ્ધતિઓને પણ કામે લગાડવી પડી છે. સમ્ગ્ર ચર્ચાને અંતે ૧૯૫૧ના શ્રેષ્ઠ સંગીતકારનો તાજ અનિલ બિશ્વાસને ફાળે ગયો છે.

Item songs આપણને મધરરલૅન્ડ સામયિકના ખાસ અંકની "આઈટમ" તરફ દોરી જઇને આ વિષય પરનાં પરંપરાગત ગીતોની યાદ કરાવી આપતા કેટલાક લેખોની મુલાકાત કરાવી આપે છે.

12 must-have Hindi songs for your travel playlist! એ કોઈપણ મુસાફરે પોતાનાં ભાથામાં સાથે રાખવા લાયક ગીતોનું શીરામણ છે.

કેટકેટલા નિયમો કે બાંધણીના પ્રકારો 'પ્રાર્થના'ગીત હેઠળ આવરી શકાય તેવાં ગીતોને લાગુ પડી શકે. આવાં બંધનોમાંથી જે ગીતો રર્વસંમતિને એરણે પસાર થયાં તે Ten memorable prayer songs from Hindi filmsમાં સમાવાયાં છે.

Discussion, Info and Great Pics Related to the Earliest Appearances of Cuckooo (thanks to Mel!)માં હિંદી ફિલ્મનાં એક બહુ નૃત્યકાર, કકુ,ના શરૂઆતના સમયની માહિતી અને ફોટોગ્રાફ્સ માટે મેલના ફ્રેંચમાં લખાયેલા લેખમાં બહુ જ સર્વગ્રાહી સ્વરૂપે રજૂ કરાયેલ છે. પ્રસ્તુત લેખમાં ૧૯૪૩ની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'નાં એક દૃશ્યમાં એક બાલિકાને બતાવાઇ છે અને સવાલ એ પૂછાયો છે કે શું તે કકુ છે? આ છે એ ઈમેજઃ Is this Cuckoo
તે સાથે 'પૃથ્વીવલ્લભ'નું એક બહુ જ યાદગાર ગીત - તૈલપકી નગરીમે ગાના નહીં બજાના નહીં હૈ - યાદ કરીએ

આ મહિને આપણે નવી શોધમાં મળેલા અને જેઓ બહુ નિયમિતપણે ફિલ્મ સંગીત પર ન લખતા હોય એવા કેટલાક એવા મિત્રોના બ્લૉગની મુલાકાત પણ લઇશું.

સંગીતની કેડીએ.. સમયના પેટાળમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યાં... લતા મંગેશકરના કેટલાં યાદગાર, પણ લોકપ્રિયતાની એરણ પર ક્યાં ભૂલાવા લાગેલાં (અને કેટલાંક આજે પણ હજૂ એટલાં જ લોકપ્રિય) ગીતો ની સાથે જ્યુથિકા રૉય અને સુરૈયાનાં એક એક ગીતને કાવ્યમય ભાષામાં યાદ કરાયાં છે.

Old Hindi Songs Collection એ '૫૦થી '૯૦ના દાયકાનાં હિંદી ફિલ્મનાં ગીતોનો બ્લૉગ છે.

શ્રીકાંત તલાગેરીએ બહુ જ મહેનત લઇને 'પાકીઝા'માં જે ગીતો નથી સમાવાયાં તેની યાદી બનાવી છે. ગીતોની શૈલી ફિલ્મનાં ગીતો કરતાં કેટલી જૂદી પડે છે ! બ્લૉગોત્સવના મોહમ્મદ રફી પરના લેખથી સમાપન કરતાં પહેલાં આપણે હજૂ થોડા બીજા લેખોની મુલાકાત લેવાની રહે છે :

આપણા મિત્ર ભગવાન થરવાનીએ બોમ્બે ટુ ગોઆમાં ન સમાવાયેલાં ગીત Tum Meri Jindagi Mein Kuchh ને યાદ કર્યું છે. મૂળે આ ધુન ગુરૂદત્તની રીલીઝ ન થયેલી ૧૯૫૭ની ફિલ્મમાં પહેલી વાર સંગીત આપતી વખતે રાહુલ દેવ બર્મને હેમંત કુમાર અને ગીતા દત્તના યુગલ ગીત માટે વાપરી હતી. '૧૯૪૨- એ લવ સ્ટોરી'નાં કુમાર શાનુએ ગાયેલાં ગીત કુછ ના કહો સાથે પણ આ ધુનમાં સામ્યતા જણાશે ! કુછ ના કહો લતા મંગેશકરના સ્વરમાં પણ રાહુલ દેવ બર્મને ગવડાવ્યું છે.

અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
Mohammed Rafi and Super Star Rajesh Khanna માં રાજેશ ખન્નાની ફિલ્મો માટે જૂદા જૂદા સંગીતકારોએ મોહમ્મદ રફીના સ્વરના કરેલા ઉપયોગની ચર્ચા કરી છે.

ટેલીફોન પરની વાતચીતમાં, ઉષા તિમોથી કહે છે કે મોહમ્મદ રફી અને લતા મંગેશકરની અંટસમાં રોયલ્ટી મૂળ મુદ્દો નહોતો.ખેર, આપણા માટે તો તેમણે અહીં યાદ કરેલાં ગીતો મહત્ત્વનાં છે. ઘણા ટુંકા સમયની કારકીર્દીમાં તેમણે ટોચનાં લગભગ બધાં ગાયકો સાથે કામ કર્યું હતું તેઓ બહુ ગર્વથી કહે છે કે ગાયકીની શૈલીમાં તેમનો આદર્શ લતા મગેશકર કે આશા ભોસલે નહીં, પણ મોહમ્મદ રફી હતા. આપણે તેમનાં સહુ પ્રથમ ગીત - તૂ રાત ખડી થી છત પે કે ચાંદ નીકલા (હિમાલયકી ગોદમેં -૧૯૬૫- કલ્યાણજી આણંદજી)ને અહીં યાદ કરીશું.
ડીસેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)
‘બંદિશ એક, રૂપ અનેક’ – (૪) : મુઝસે પહેલીસી મહોબત મેરે મહેબૂબ ના માંગ
સુરૈયા : સિનેસૃષ્ટિની પહેલી મલિકા-એ- તરન્નૂમ
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૧:
                                                                                                                પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નું વર્ષ આપ સહુને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદમય રહો, જીવનભર યાદગાર રહે તેવી સુફળદાયી ઘટનાઓ આ વર્ષે પણ બનતી રહે તેવી શુભેચ્છાઓ ...

Monday, December 29, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનાં સહુથી પહેલાં પુસ્તક "માણસવલા કચ્છી માડુ: કીર્તિ ખત્રી'માં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને તેમની સાથે સંપર્કમાં આવેલે વ્યક્તિઓના દૃષ્ટિકોણથી જોવા મળ્યાં. તે પછી કચ્છની પ્રાકૃતિક / ભૌગોલિક વિશેષતાઓને લગતા વિષયોનાં વિવિધ પાસાંઓ વિષે આવાં બહુમુખી વ્યક્તિત્વધારી કીર્તિભાઇએ જાતે ભમીને કરેલા અભ્યાસનાં તારણો અને મતવ્યો થકી કચ્છનો આપણે વિગતે પરિચય કર્યો.

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનું બીજાં પુસ્તક "જોયું, જાણ્યું, લખ્યું"નો પરિચય આપણે, આજે, ગ્રંથમાળાના લગભગ અંતમાં, કરી રહ્યાં છીએ.

પુસ્તકશ્રેણીના સંપાદક, માણેકલાલ પટેલ, તેમના સંપાદકીય લેખમાં પુસ્તકના થીમનો પરિચય આ શબ્દોમાં કરાવે છે :
”કીર્તિભાઇએ કચ્છ બહાર ભારત તેમ વિદેશમાં પ્રવાસ કર્યા પછી લેખશ્રેણીઓ લખી છે એ અનોખી છાપ ઊભી કરે તેવી છે. (તત્કાલીન) વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથેના પત્રકાર કાફલામાં સામેલ થઇને કમ્બોડિયા અને ઈસ્લામાબાદના પ્રવાસે તેઓ ગયા હતા ત્યારની કે તે પછી ભારતના ત્રિપુરા, અરૂણાચલ કે મણિપુર જેવા ઇશાની રાજ્યોની પ્રવાસ શ્રેણીઓમાં સ્થળનાં વર્ણન નહીં, પરંતુ પ્રજાની પીડાની અને સમસ્યાઓની વાત, તેમાં ઊંડા ઊતરીને કરી છે. ભારતની એકેએક બોર્ડર અને તેની આસપાસ રહેતા લોકોની પરેશાની અને સમસ્યાઓને વાચા આપી છે”.
'કચ્છમિત્ર'ના તંત્રી તરીકે તેમને કચ્છની બહાર ફરવાનું થયું તે વિષેના દરેક લેખ એક એક અલગ પુસ્તક્નો વિષય બની શકવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ છતાં કીર્તિભાઇએ એ વિપુલ, રસપ્રદ માહિતી અને સમસ્યાઓને એક લેખ સ્વરૂપે જ રજૂ કરેલ છે. આ પુસ્તકમાં સમાવાયેલા ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો પરના લેખો તો તેમણે પોતાના જોખમે અને હિસાબે ખેડેલા પ્રવાસોની ફળશ્રુતિ છે.’

'જોયું, જાણ્યું, લખ્યું'નાં કુલ ૩૪૧ પાનામાં ૬૯ લેખો છે. તેમાંથી કેટલાક લેખો અહીં વિગતે પરિચય માટે પસંદ કરેલા છે.

"અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિનું રોમાંચક પગેરું" (પૃ. ૪૧ -૪૫) - નવેમ્બર, ૨૦૦૦૨.
‘ઇતિહાસકારોના તારણ અનુસાર બૌદ્ધ-હિન્દુ સંસ્કૃતિઓ એક સમયે તિબેટ, સિલોન, બ્રહ્મદેશ, જાવા, બાલી, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને છેક મધ્ય અમેરિકા સુધી વિસ્તરી હતી...હિન્દુ અને બૌદ્ધ ધર્મ..ના ફેલાવાની ..નોંધપાત્ર બાબત એ હતી કે ક્યાંયે ધર્મપરિવર્તન બળજબરી કે બળના પ્રયોગથી નથી થયું કે નથી ક્યારે કોઇ કત્લેઆમ થઇ...અંકોરવાટના અજોડ મંદિરથી માંડીને નાનામાં નાનાં હિન્દુ કે બૌદ્ધ ધર્મસ્થાનોના શિલ્પ-સ્થાપત્યમાં ભારતીય અને પૌર્વાત્ય શૈલીનો સંગમ જોવા મળે છે. એવું જ પ્રજાજીવનમાં પણ ડોકાય છે…. અરે, રાજા નોરોદોમ સિંહાનુકના શાહી રાજમહેલમાં મહિનામાં બે વાર, હિન્દુ વિધિ અનુસાર પૂજન થાય છે. ધોતિયું પહેરેલા 'મહારાજ' રાજમહેલ પરિસરમાં દેખાય એ સામાન્ય ચિત્ર છે...એક સાથી પત્રકારે માહિતી આપી કે થાઇલૅન્ડમાં તો મકાન બાંધકામ શરૂ કરતાં પહેલાં તેની લગોલગ એક ખૂણામાં નાનકડું મંદિર બંધાય છે. જેમાં બુદ્ધ અને બ્રહ્માની મૂર્તિઓ મુકાય છે.. આપણે..(ત્યાં) ખેડબ્રહ્મા કે પુષ્કર સિવાય બીજે ક્યાંય બ્રહ્માના મંદિર વિશે જાણ્યું નથી....લાઓસ, કમ્બોડિયા, થાઇલૅન્ડ બૌદ્ધધર્મી છે, પરંતુ ઇંડોનેશિયા તો ઇસ્લામિક દેશ છે..ઇંડોનેશિયાની સત્તાવાર ભાષા 'બહાસા'...માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના શબ્દોનો મોટી સંખ્યામાં સમાવેશ થયેલો છે...(જેમ કે) ડિફેન્સ વિભાગને આપણે સંરક્ષણ વિભાગ તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઇંડોનેશિયામાં એ 'આયુદ્ધ' નામે પ્રચલિત છે....ધર્મ ઇસ્લામ હોય કે બૌદ્ધ, પણ સંસ્કૃતિ ભારતીય છે...ફ્નોમપેન્હ અને વિયેનશીએનમાં રસ્તાઓ પર ફરીએ તો આપણને એમ જ લાગે છે કે જાણે ત્રિપુરા, મેઘાલય કે આસામના કોઇ વિસ્તારમાં ફરીએ છીએ.'
"લાઓસવાસીઓની હિજરત કચ્છને ભૂલાવે એવી છે !" (પ. ૫૭)
‘વર્ષોથી દુષ્કાળ સહિતની કુદરતી આપત્તિઓની વણજારનો ભોગ બનતાં કચ્છીમાડુએ રોજીરોટીની ખોજમાં હિજરત કરી છે...અત્યારે એની કુલ વસ્તી ૧૪ લાખની છે તો એથી દોઢ-બમણા કચ્છી મુંબઇ, ભારતના અન્ય પ્રદેશો ઉપરાંત વિદેશમાં સ્થાયી થયા છે. આપણે માનીએ છીએ કે આવી હિજરતનો જોટો વિશ્વમાં ક્યાયે જોવા મળે તેમ નથી, પરંતુ લાઓસ આપણાથી આગળ છે...સંભવતઃ લાઓસ એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની કુલ વસ્તીથી વધુ લોકો વિદેશમાં છે...ક્ચ્છીઓની હિજરત કુદરતસર્જિત છે, જ્યારે લાઓસવાસીઓની હિજરત માનવસર્જિત છે.’
"ભોરિંદો-સુરિંદો અને જોડિયા પાવાની રમઝટ !" (પૃ. ૭૪) - ૬-૧-૨૦૦૪
‘ઇસ્લામાબાદના આલીશાન ઝીણા કન્વેન્શન સેન્ટરના..ઑડિટોરિયમમાં સાર્ક શિખર સંમેલન શરૂ થયું એ પહેલાં..એક મોટા પરદા પર સાંસ્કૃતિક કાર્યક્રમનાં વીડિયો ચિત્ર રજૂ થઇ રહ્યાં હતાં, તેમાં સિંધના કલાકાર ભોરિંદો, સુરિંદો તેમજ જોડિયા પાવાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા....ક્ચ્છમાં બન્ની તેમ જ અન્ય વિસ્તારોમાં ભોરિંદોવાદન પ્રખ્યાત છે તેમ જોડિયા પાવા પણ જુદા જુદા કાર્યક્રમોમાં જોવા મળે છે...સુરિંદોના સૂર હવે ભાગ્યે જ સાંભળવા મળે છે.જાણવા મળ્યું કે સુરિંદો તો સિંધમાં આજેય પ્રખ્યાત છે અને વાજિંત્રનું ઉત્પાદન પણ થાય છે. વીડિયોના પરદે એ પણ જોવા મળ્યું.’
પાક નકશામાં જૂનાગઢ” (પૃ.૮૦-૮૧) - ૨૯-૪-૨૦૦૪
‘૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સાર્ક શિખર પરિષદ ઇસ્લામાબાદમાં મળી હતી, ત્યારે મહેમાન પત્રકારોને 'પાકિસ્તાન: બેઝિક ફેક્ટ્સ' શીર્ષક સાથેની એક પુસ્તિકા આયોજકોએ આપી હતી...જેના નીચેના ભાગમાં એક ખાસ ચોકઠામાં સૌરાષ્ટ્રનો નકશો મુકાયો છે. ચોકઠાની ઉપરના 'જૂનાગઢ માણાવદર' શીર્ષક લગાવેલું છે અને જૂનાગઢ જિલ્લાની હદ પાકિસ્તાનની હદ હોય એ રીતે દર્શાવેલી છે....સાર્ક પરિષદને ચાર મહિના વિત્યા પછીયે ભારતે પાકિસ્તાન સમક્ષ આ પ્રશ્ને કોઇ વાંધો નોંધાવ્યો હોય એવું સત્તાવાર જાણવા મળ્યું નથી.’
"સરહદી થાંભલો ફાડીને પીપળો રે ઊગ્યો....વાત જમ્મુ સરહદના રસપ્રદ સ્થળની" (પૃ.૯૭/૯૮) - ૪-૭-૨૦૦૮
‘જમ્મુ-કાશ્મીરની સરહદ પર કેટલાંક સ્થળ બંને દેશમાં લોકપ્રિય છે.... જમ્મુ શહેરથી ચાળીસેક કિ.મી. દૂર પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પર પીપળાને જોઇને...કવિ વેણીભાઇ પુરોહિતની પ્રખ્યાત કાવ્ય રચનાની 'ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો..' પંક્તિ સહેજે યાદ આવી જાય... પણ આ પીપળાની કહાની કંઇ ઔર છે..જમ્મુથી માંડ પાંત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર સૂચેતગઢ નજીક સીમા સુરક્ષા દળની ઓક્ટ્રોય ચોકી આવેલી છે...અહીં જૂના રાજાશાહીના જમાના સરહદી થાંભલા આવેલા છે….(આવા એક થાંભલામાંથી ઊગ્યા પછી તેને આખેઆખો ગળીને વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી ચૂક્યો છે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પીપળો)… જેમ કચ્છરાજે સિરક્રીકના મુખથી છેક લખપત સુધીના કાદવવાળા વિસ્તારમાં થાંભલા બનાવ્યા હતા તેમ અહીં પણ એ જમાનાના થાંભલા મોજૂદ છે.’
સ્ત્રી સમાનતા ને અધિકારમાં ઓમાન ઘણું આગળ છે !”(પૃ. ૧૦૪-૧૦૭) ૧૫-૮-૨૦૧૦
‘...વિશેષ ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ ઇસ્લામિક દેશમાં પુરુષ જેટલા જ સમાન અધિકાર મહિલાઓને આપવામાં આવ્યા છે. પરિણામે યુનિવર્સિટીઓમાં યુવાનો કરતાં યુવતીઓની ટકાવારી વધી ગઇ છે...સિક્કાની બીજી બાજુ એ છે કે મહિલાઓએ તેમને મળેલી તક ઝડપી લીધી અને બે દાયકામાં જ શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું....અખાતના કે આરબ જગતના કોઈ પણ દેશમાં સ્ત્રી અધિકારની આવી આદર્શ સ્થિતિ બીજે ક્યાંયે નહીં હોય...’
અનોખી શક્તિપીઠ ઇમ્ફાલની માતૃબજાર” (પૃ.૧૫૯-૧૬૪) ૨૦-૨-૨૦૧૧
‘ (મણિપુરની રાજધાની) ઇમ્ફાલમાં સવાસો-દોઢસો વર્ષ જૂની..એક મહાબજાર છે, તેમાં ૩૦૦૦ સ્ટોલ છે, અને તેની તમામની માલિકી મણિપુરી ગૃહિણીઓની છે... દુકાનદાર માલિકણ અવસાન પામે તો વારસો પુત્રીને મળે. એ પુત્રી પરિણીત હોવી જોઇએ. સંભવતઃ તેથી આ બજાર 'ઈમા કૈથેલ" એટલે કે માતૃ બજાર નામે પ્રચલિત છે...નાની સાંકડી ગલીઓમાં ભરચક ગીરદીમાં તૈયાર કપડાંથી માંડીને વાસણ જેવી ઘરવખરીની ચીજો અને શાકભાજીથી માંડીને માછલી જેવી ખાદ્યવસ્તુઓના ધૂમ વેપાર સાથે જીવન ધબકતું રહે છે...અંગ્રેજોનું શાસન ભારત પર ભલે બે સદી સુધી રહ્યું હોય પણ મણિપુર પર માત્ર (૧૮૯૧ થી ૧૯૪૭)૫૬ વર્ષ જ અંગ્રેજોનું રાજ રહ્યું..આઝાદીની ચળવળ વખતે કે રાજ્યના જુલમ કે ગેરવહીવટ સામે જંગે ચડવામાં મણિપુરની નારીએ દુકાનો-બજારો બંધ કરીને શેરીઓમાં નીકળી પડવામાં પાછીપાની કરી નથી...એ વાતની નોંધ લેવી કોઇએ કે અહીંની નારી આટલી સક્રિય હોવા છતાં તેનો સમગ્રતયા સમાજ મેઘાલય જેવો માતૃપ્રધાન નથી...(પરંતુ) મેઘાલયમાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હોવા છતાં ત્યાંની નારીએ મણિપુરી સ્ત્રીઓની જેમ સામૂહિક હિત કે સામાજિક ન્યાય માટે ચળવળો ચલાવી નથી...મણિપુરી નારી..નાગરિક અધિકારો માટે કેમ લડતી થઇ એ સવાલનો જવાબ ભૂતકાળની પરંપરા અગર રિવાજમાં રહેલો છે. છેક ૧૮૦૦ના સમયમાં ..રાજ્યના પુખ્તવયના દરેક પુરુષે વર્ષના અમુક દિવસો સુધી વિના વળતરે રાજને સેવાઓ આપવી. ફરજિયાત મફત મજૂરી નામે ઓળખાતી વેઠપ્રથા..ને કારણે ઘરમાંથી પુરુષની લાંબા સમયની ગેરહાજરીએ સ્ત્રીને બહાર નીકળી કુટુંબના ભરણપોષણ ખાતર કમાવાની ફરજ પડી...૧૯૭૫માં - દારૂ, ચરસ-ગાંજો અને અન્ય કેફી પદાર્થોના નશાની નશાબંધી -'નિશાબંદી' નામે ચળવળ રમણીદેવીના નેજા હેઠળ માતૃ બજારની મહિલાઓએ શરૂ કરી..સામાન્ય સ્ત્રીઓ વિસ્તાર વાઇઝ જૂથ બનાવીને રાત્રિ પહેરો ભરવાનું શરૂ કર્યું. જો કોઇ પુરુષ દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર ધાંધલ કરતો દેખાય તો તેની પીટાઇ પણ મહિલાઓ કરતી.પછી દેશી દારૂ વેચનારાનાં પીઠાં પર જઇને જાહેરમાં દારૂ નાશ કરવાનું પગલું લેવાયું. આખરે ૧૯૯૧માં મણિપુરને ડ્રાય સ્ટેટ જાહેર કરાયું...૧૯૮૦..માં સશસ્ત્ર દળોને ખાસ સત્તાઓ આપતો ધારો મણિપુરમાં અમલી બન્યો.. આ ધારા હેઠળ એક સ્થાનિક નેતાને ઉગ્રવાદી હોવાની શંકાઓ પરથી લશ્કરે પકડી લીધો.. પણ મહિલાઓના મોરચાએ તેને છોડાવ્યો..એક કિસ્સામાં અર્ધલશ્કરી દળના જવાને એક સ્ત્રી પર બળાત્કાર કરતાં તેનું અવસાન થયું..આ સમયે રમણીદેવીના નેજા હેઠળ બાર જેટલી મહિલાઓએ આસામ રાયફલના મુખ્યમથક સામે 'નિઃવસ્ત્ર' દેખાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી.. … ભૂગર્ભ ઉગ્રવાદી જૂથો દ્વારા ખંડણીની માગણી કરાય છે ત્યારેય આ મહિલા મશાલચીઓ તેનો વિરોધ કરે છે.. ખૂંચે તેવી બાબત એ છે કે મહિલા અધિકારની રક્ષા માટે તો જાગૃત નથી...અને તેનો એકરાર પણ કરે છે........'
આફ્રિકાના આર્થિક જંગમાં ભારત હજુયે ચીનને મહાત કરી શકે" (પૃ.૨૧૬-૨૨૨) ૧૬-૯-૨૦૧૨
‘વૈશ્વીકરણના યુગમાં ચીનના અતિક્રમણને પગલે ભારત-આફ્રિકી દેશો વચ્ચેના સંબંધો એક નવા અને અનિશ્ચિત મોડ પર આવી ગયા છે. ખાસ તો માળખાંકીય સુવિધાઓનાં બાંધકામના ક્ષેત્રે ચીનની અતિઝડપી પેશકદમીએ અમેરિકન અને યુરોપિયન રાષ્ટ્રોનેય હંફાવી દીધાં છે...આવી સ્પર્ધામાં ખરેખર મરો તો નાના અને મધ્યમ કદના વેપારીઓ તેમ જ વ્યવસાયકારો અને નોકરિયાતોનો છે..હવે તો ભય વ્યક્ત થઇ રહ્યો છે કે રોજી-રોટી માટે 'ઊંધો પ્રવાહ' શરૂ થવાની શક્યતા છે...જો કે ઊર્જા અને ખનિજક્ષેત્રે બધું જ ..ઢસડી જવાના ચીનના ઇરાદા સામે હવે આફ્રિકી દેશોના નેતાઓ પણ લાલબત્તી ધરવા લાગ્યા છે...ઉપરાંત બધાં કામો પર, માત્ર અને માત્ર ચીની શ્રમિકોને જે રોજી આપવા સામેય સ્થાનિક વિરોધ જાગવા માંડ્યો છે...વળી રાજ્યવ્યવસ્થાને સંબંધ છે ત્યાં સુધી લોકશાહીની જાળવણી અને માનવ અધિકાર જેવા ક્ષેત્રો માટે અમેરિકા (પણ જોઇએ છે)...ઇતિહાસ પર નજર કરતાં ભારતનાં મૂળિયાં ઊંડાં જોવા મળે છે...(છેલ્લાં કેટલાંક વર્ષોથી) આફ્રિકાના આર્થિક- સામાજિક વિકાસમાં ..શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી માંડીને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં ભારતની સહાયથી અનેક દેશો સર્વાંગી અને ટકાઉ વિકાસ હાંસલ કરી શકશે...આ પ્રકારના પ્રોજેક્ટોમાં અને તાલીમ કાર્યક્રમોમાં ભારતને ચીન કરતાં વિશેષ લાભ મળે છે એ ભાષાનો છે...બાકી રહી છે પ્રજાની વાત. જે ભારતીઓ વર્ષોથી આફ્રિકામાં સ્થિર થયા છે તેઓ સ્થાનિક લોકો પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરે અને સાથેસાથે રંગભેદ તદ્દન ભૂલી જઇને તેમની સાથે ભળી જાય એ જરૂરી છે....’
"ભુજની મેઘતૃષ્ણા, લંડનની સૂર્યતૃષ્ણા" (પૃ.૨૬૩-૨૬૫)
'જુલાઇ ૨૦૧૩ના અંતિમ સપ્તાહમાં લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવમાં ભગ લેવાનો યોગાનુયોગ મોકો મળ્યો, ત્યારે "કચ્છથી આવ્યા છો, વરસાદ પડ્યો કે કેમ?" આ સવાલ જે પણ ઓળખીતા મળતા હતા એ પૂછતા હતા..વિદેશમાં સ્થાયી થયા પછીયે કચ્છી સમાજ જેમ પોતાના વતનને ભૂલ્યો નથી તેમ પાણીની અછતને ય ભૂલ્યો નથી...વિધિની વિચિત્રતા તો જૂઓ કે આવા મલકનો માડુ બેવતન થઇને જ્યાંવસ્યો છે એ લંડનના લોકોને સૂર્યતૃષ્ણા સતાવે છે.....
નિરોણાની ખરકી સ્વિત્ઝર્લેન્ડની કાઉબેલ બન્નીનું ભરત જર્મનીની કુકુઝ ક્લૉક” (પૃ. ૨૯૩ - ૨૯૮) ૨૨-૯-૨૦૧૩
'રણની અસહ્ય ગરમી કે બર્ફીલી પહાડીઓની કાતિલ ઠંડીએ માનવીને બક્ષેલી સમયની મોકળાશ અનેક કામણગારી કલા-કારીગરીના વિકાસનું નિમિત્ત બની છે....ભરબપોરે શરીર દઝાડતા સૂર્યના તાપને લીધે ભૂંગામાં ભરાઇ રહેવું પડે..એવા સંજોગોમાં..પ્રવૃત્તિના એક ભાગરૂપે સ્ત્રી વર્ગે સોય-દોરાનો સહારો લીધો અને એક વિશિષ્ઠ ભાતીગળ કસબનો ઉદ્‍ભવ કચ્છ અને રાજસ્થાન જેવા રણપ્રદેશમાં થયો....આવું જ થયું હોવાનો અહેસાસ કાંઇક જર્મનીના બર્ફીલા, બ્લેક ફોરેસ્ટ,ના વિસ્તારમાં થયો...શિયાળામાં અહીં ચોમેર બરફની ચાદર અને હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય છવાઇ જાય, જનજીવન ઠૂંઠવાઇ જાય..અહીં પણ થીજી ગયેલા સમયનો સદ્‍ઉપયોગ કરવાના પ્રયાસોની ફળશ્રુતિરૂપે 'કુકુઝ ક્લૉક', યાને 'કોયલ ઘડિયાળ' હાથેથી બનાવવાનો કુટિર ઉદ્યોગ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે...બન્નીનું ભરત અને જર્મનીની કુકુઝ ક્લૉકની ખોજ અસહ્ય ગરમી અને કાતિલ ઠંડીએ બક્ષેલી સમયની મોકળાશને આભારી છે, પણ હસ્તકલાની પંચતીર્થી સમી નિરોણાની ખરકી અને સ્વિત્ઝર્લેન્ડની કાઉ-બેલ એટલે કે ગાયઘંટીની પરંપરા, પશુપાલનના વ્યવસાયના એક સાધનરૂપે, વૈશ્વિક છે.'
કીર્તિભાઇના લખાણોમાં 'ઉદ્દેશની સ્પષ્ટતા, મુદ્દાની તાર્કિકતા, વિશિષ્ટ શૈલી, સંદર્ભો સહિતની રજૂઆત,ખૂબ ઝીણું કાંતીને સમસ્યા કે વિષયના મૂળ સુધી જવાની ખાસિયત અને પંડિતાઇના ભાર વિનાની ભાષાનું પ્રભુત્વ' પ્રસ્તુત પુસ્તકમાં બહુ જ ખીલેલું જોઇ શકાય છે. ભવિષ્યમાં આ પ્રકારના પુસ્તકમાં જો ફોટોગ્રાફ્સ જેવી સામગ્રી પણ સમાવવામાં આવે તો એ પુસ્તક ઘણું વધારે ગ્રાહ્ય પણ બની રહેશે..

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com


વેબ ગુર્જરી પર  ૯ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ