Monday, January 12, 2015

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમની 'કચ્છમિત્ર'ની કારકિર્દીને 'સાતત્યપૂર્ણ સર્જનયાત્રા'ના સ્વરૂપમાં પોતાના સ્વાભાવિક્પણાંથી જ સંકોરી છે. એટલે આ સમય દરમિયાન તેમની સામેથી પસાર થયેલા કચ્છના પ્રાણપ્રશ્નોને તેમણે જાગૃત અને નિર્ભીક પત્રકારની જ હેસિયતથી વાચા તો આપી જ છે, પણ મૂળભૂત વિશ્લેષણો,ઉકેલોનાં વિવિધ પાસાંઓની અપેક્ષિત અને અનપેક્ષિત અસરો અંગેનાં તારણો અને મંતવ્યોને પૂર્ણતયા વિધેયાત્મક ભાવથી એક અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટિવંત કચ્છી માડુના લાગણીશીલ અભિગમથી પ્રતિબિંબીત પણ કર્યાં છે. 'તેઓનું આ સર્જન માત્ર પ્રાસંગિક પૂરતું જ સીમિત નથી (રહ્યું), પણ કચ્છને સાચી રીતે ઓળખવા...માટેનું.. ભાથું..તેમાં સમાયેલું છે.'

હાલ પૂરતું, આ સમગ્ર સાગરમાંથી મંથન કરીને શ્રી માણેકલાલ પટેલે ૮+૧ એમ ૯ પુસ્તકોના સ્વરૂપે કરેલ સંપાદન 'કલમ કાંતે કચ્છ' શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે. ગ્રંથ શ્રેણીના પહેલાં પુસ્તક 'માણસવલો કચ્છી માડૂ : કીર્તિ ખત્રી' એ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલા અનેક લોકોએ રજૂ કરેલાં શબ્દચિત્રો છે. કીર્તિભાઇની ક્ચ્છ બહારની થયેલી સફર દરમ્યાન કીર્તિભાઇની એક જિજ્ઞાસુ અને બીજી અભ્યાસુ આંખે જે 'જોયું, જાણ્યું ને લખ્યું' , તે શ્રેણીનાં બીજાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થયેલ છે. જ્યારે કચ્છના પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રશ્નો છ વિષયવાર વહેંચાયેલ પુસ્તકોમાં આવરી લેવાયા છે. આજે આપણે 'કલમ કાંતે કચ્છ' ગ્રંથશ્રેણીના નવમા પુસ્તક "વાહ કચ્છીયતને"નો પરિચય મેળવીશું.

પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી માણેકલાલ પટેલ પુસ્તકનાં થીમ વિષે લખે છે :'અભાવની સંસ્કૃતિની દેન સમી કચ્છીયતને ઉજાગર કરતા અનેક લેખ કીર્તિભાઇએ તેમની સાડા ત્રણ દાયકાની કારકીર્દિ દરમ્યાન સતત લખ્યા છે. આ પુસ્તકમાં કચ્છીયતનાં ઓવારણાંની સાથે સાથે સમયાંતરે કચ્છી નેતાઓ તેમ જ અન્ય સામાજિક શ્રેષ્ઠીઓને અંજલિ આપતી ટૂંકી નોંધ સમા અગ્રલેખો અને લેખોનોયે સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.'

પુસ્તકમાં ૨૨૪ પાનાંઓમાં ૭૭ લેખોમાં વિવિધ પાસાંઓની નોંધ લેવાઇ છે. આ પૈકી ૨૨ લેખો -"ભારતના આર્થિક આયોજનના કચ્છી પ્રણેતા" કે ટી શાહ, "કચ્છના પર્યાવરણના સાચા હામી મ.કુ.હિંમતસિંહજી “, “પત્રકારિત્વ અને સાહિત્યસર્જનમાં સિદ્ધિને શિખરે પહોંચનાર હરીન્દ્ર દવે, ‘વાસવાણી' શૈલીના અનોખા કટારલેખક ડૉ. હરીશ વાસવાણી, “કચ્છીયતને પિછાણનાર અધિકારી” માહેશ્વર શાહુ,(પૂર્વાશ્રમના ભરત ત્રિપાઠી "ખારા" સાહેબ)'માનવતાવાદી સ્વામી' તદ્રૂપાનંદ સરસ્વતીજી, “મારા 'અધા' જયંત ખત્રી”,''કચ્છમિત્ર'ના સ્વપ્નદૃષ્ટા "પ્રવીણચંદ્ર ગાંધી',હરિભાઇ કોઠારી, “કચ્છના હામી, ડૉ. મહિપત મહેતા”, “'પ્રખર વક્તા અને જિંદાદીલ રાજકારણી : ધીરુભાઇ શાહ”, શાકભાજી વેચીને પેટિયું રળતાં રતનબેન સોરઠિયા,ડૉ. મનુભાઇ ભીમરાવ પાંધી, “કચ્છ સંસ્કૃતિના મોભ : દુલેરાય કારાણી”, “પત્રકારિત્વ ક્ષેત્રના પ્રારંભકાળના યોદ્ધા : ફૂલશંકર પટ્ટણી”', “કચ્છીયતના સંન્નિષ્ઠ પૂજારી : રામસિંહજી રાઠોડ”, “જેમની 'ક્લિક'થી તસવીર બોલી ઊઠતી” (એવા ) દિનેશ છત્રાળા, ''મુડ઼્સ માડુ”પ્રાણલાલ શાહ, “કચ્છના મોભી”કાંતિપ્રસાદ અંતાણી, જેમના જવાથી “કચ્છ ક્રિકેટ રાંક બને છે”એવા ડૉ. એમ એમ રાજારામ, “માંડવીના 'જગડુશા”' ગોકુલદાસ ખીમજી મસ્કતવાલા, “ શાહ સોદાગર કલ્યાણજી ધનજી શાહ, “ મૃત્યુના ઓછાયા વચ્ચે જિંદગીની વાત “'કરતા કુંદનલાલ ધોળકિયા, “કચ્છનું ગૌરવ કાન્તિસેન (શ્રોફ) 'કાકા' જેવા - વિવિધ ક્ષ્રેત્રોની વ્યક્તિઓના સંદર્ભમાં લખાયા છે. અહીં એ વ્યક્તિઓનાં કચ્છ માટેના વિશિષ્ટ યોગદાનની વાત કરવાની સાથે તેમનાં વ્યક્તિત્વમાં રહેલાં કચ્છીપણાને પણ બહુ જ સૂક્ષ્મપણે ઉજાગર કરાયેલ છે.

આ સિવાયના બાકી રહેતા લગભગ ૫૪ લેખોમાંથી આપણે કેટલાક લેખોનો ટૂંક પરિચય અહીં કરીશું.

"પંખી સેવે ઈંડું, કચ્છી સેવે વતન" (પૃ. ૨૭ -૩૦) ૧૭-૧૧-૨૦૧૩
'..લાંબા સમયથી કુદરતી આફતોએ સર્જેલી અનેક પ્રતિકૂળતાઓ અને અભાવો વચ્ચેય સ્વસ્થતાથી અસ્તિત્વ ટકાવી રાખવાની જીવનશૈલી કચ્છી માડુએ વિકસાવી છે એ જ છે એની કચ્છીયત અને એમાંથી જ ઉદ્‍ભવી છે એની ભાતીગળ સંસ્કૃતિ અને એ જ છે એની અસ્મિતા...કચ્છી માડુની સરખામણી ફિનિક્સ પંખીની સાથે થતી રહી છે. આ લખનાર કચ્છીમાડુની તુલના..કાદવવાળી દરિયાઇ ખાડીઓમાં ઊગતા ચેર (મૅન્ગ્રુવ્ઝ /Mangroves )વૃક્ષ સાથે કરે છે... તાજેતરમાં કચ્છી માડુની તુલના કુંજ પક્ષી સાથે થઇ..કુંજ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અને પછી દેશમાં ઊડતી હોય તોયે એનું મન તો (સ્થળાંતર વખતે પાછળ મૂકી દીધેલાં) ઈંડાંમાં જ (શાબ્દિક રીતે)લાગેલું હોય છે.. કુંજની જેમ કચ્છીઓ વતનથી હિજરત-સ્થળાંતર કરીને ભલે ગમે ત્યાં વસતા હોય, પણ માનસિક રીતે વતનને સતત સેવ્યા કરે છે....દર વર્ષે અષાઢી બીજની ઊજવણી નિમિત્તે નવું કચ્છી (ભાષાનું) નાટક પેશ કરવાની પરંપરા ૨૧ વર્ષથી સતત ચાલુ રહી છે..મુંબઇ પછી ભારતનાં જુદાં જુદાં શહેરો અને કચ્છનાં પત્રી, રામપર કે વડાલા જેવાં નાનાં ગામોમાં પણ ક્ચ્છ યુવક સંઘના નેજા હેઠળ ક્ચ્છી ભાષાના પ્રસારના પ્રયોગો થાય છે તે વતનપ્રેમ અને ભાષાપ્રેમનું એક સીમાચિહ્ન છે.'
કચ્છનો શરદોત્સવ: ભાતીગળ સંસ્કૃતિની અનોખી પીછાણ" (પૃ. ૫૮ -૫૯) ૧૭-૧૦-૨૦૦૫
'કચ્છ, જેસલમેર, લડાખ કે તિબેટ, દરેક પ્રદેશ પોતાની એક આગવી પિછાણ - અનોખી સંસ્કૃતિ - ધરાવે છે. એમાં ડોકિયું કરીએ તો સામ્યતા એ નજરે પડે છે કે દરેક પ્રજા કુદરતના એક યા બીજા પ્રકારના જુલમોનો સતત સામનો કરતી રહી છે, એના પ્રભાવ હેઠળ જીવતાં-જીવતાં જ એની ભાતીગળ જીવનશૈલી ઘડાઇ છે, જે આગળ જતાં પરંપરા અને આખરે સંસ્કૃતિના રૂપમાં ઉભરી આવી છે....'
"કાશ્મીરની પાનખરમાં કચ્છની મહેક" (પૃ. ૬૦- ૬૪)
'.. તંગધાર વિસ્તાર ત્રણ બાજુ પાક કબજાગ્રસ્ત ગામોથી ઘેરાયેલો છે, અહીં ૨૦૦૫માં ધરતીકંપે તબાહી સર્જી ત્યારે કાતિલ ઠંડીમાં બરફવર્ષા થાય એ પહેલાં જ એક મહિનાની અંદર ૭૦૦૦ હંગામી નિવાસ ઊભા કરવામાં કચ્છની સંસ્થા નિમિત્ત બની ...’
"જાયકા કચ્છ કા" (પૃ.૭૦ - ૭૪) ૨૭-૫-૨૦૧૨
'રણોત્સવને પગલે બાજરાના રોટલા, ખીચડી, ડુંગળીનું શાક, છાશ અને લસણની તીખી ચટણીવાળું કચ્છી ફૂડ લોકપ્રિય બનવાની સાથે સાથે મેસૂક, ગુલાબપાક, પકવાન, અડદિયા અને મીઠો માવો જેવા મિઠાઇ-ફરસાણ ચોમેર મશહૂર થવા લાગ્યાં છે.. માંડવીની દાબેલીએ તો દેશ વિદેશમાં જમાવટ કરીને ઇતિહાસ સર્જી દીધો છે...ઓછા રોકાણે માત્ર રેંકડીના આધારે (દાબેલીનો) ધંધો શરૂ કરી શકાય છે... એના થકી રોજી રળતા લોકોની સંખ્યા લાખોમાં હશે..'
"અનોખી માલધારી સંસ્કૃતિ" (પૃ. ૮૯ -૯૨) ૦૨-૧૨-૨૦૦૯
રણ ઉત્સવ જો કચ્છના પર્યટનનો પ્રાણ હોય તો રણોત્સવનો પ્રાણ બન્ની છે, અને બન્નીનો પ્રાણ એની માલધારી સંસ્કૃતિમાં ધબકે છે. આ વિખ્યાત લોક્સંસ્કૃતિ એના વિશાળ ઘાસિયા મેદાનો અને એની આસપાસ સર્જાયેલા પર્યાવરણની દેન માત્ર છે....માલધારી સંસ્કૃતિનાં અનેક પાસાં છે, ત્યાંની ખાનાબદોશ ભાતીગળ જાતિઓની જીવનશૈલી, એમનો અનોખો પહેરવેશ, ચકિત કરી દે તેવી હસ્તકલા, ગરમ વાતાવરણ સામે રક્ષણ આપતા ભૂંગા, અનોખું સંગીત, માલધારીઓની મહેમાનગતિ અને પોતાના માલ (પશુ) પ્રત્યેનો ભાગ્યે જ જોવા મળે તેવો લગાવ. આવા અનેક પાસાંઓના એકીકરણથી બન્નીની સંસ્કૃતિનો ઉદ્‍ભવ થયો છે....આજે બન્નીની સ્થિતિ બદલાઇ ગઇ છે. એના પર્યાવરણને જફા પહોંચી છે અને તેને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં માલધારીઓના પહેરવેશ , જીવનશૈલી અને સ્વભાવ પણ બદલાય છે. તોયે હજુ માલધારી સંસ્કૃતિનો ધબકાર તો મોજૂદ છે જ...શું આ રહીસહી સંસ્કૃતિ ટકશે ખરી એવો પ્રશ્ન પુછાય છે ત્યારે એમ લાગે છે કે જો આપણે બન્નીના ઘાસિયા મેદાન બચાવી શકીશું તો સંસ્કૃતિ બચવાની શક્યતાઓ વધી જશે...બન્નીની સંસ્કૃતિ અને પરંપરા બચે એ અત્યંત જરૂરી છે.'
"ગુજરાતની તસવીરકલાની સુવર્ણ સફરમાં કચ્છનો દબદબો" (પૃ.૧૨૫ -૧૨૯) ૦૬-૦૩-૨૦૧૧
‘તસવીરકાર વિવેક દેસાઇએ ગુજરાતની સ્વર્ણિમ તસવીરી ઝલક પેશ કરતાં પુસ્તકમાં ગુજરાતની ગરવી તસવીર કલાની અડધા દાયકાની સફરનું અજોડ દસ્તાવેજીકરણ કર્યું છે... ગુજરાતના લોકજીવન, સંસ્કૃતિ અને દરિયા,રણ, નદીની પ્રાકૃતિક વિશિષ્ટતા અને વિવિધ ઉત્સવોની ઝલક પેશ કરતી ૨૩૦ લાજવાબ તસવીરો પૈકી ૪૦ તો એકલા કચ્છની છે...કુલ ૧૪ જેટલા ગુજરાતી તસવીરકારોની કચ્છ વિષયક અદ્‍ભૂત તસવીરોમાં કચ્છના આહીર, ઢેબરિયા રબારી, બન્નીના જત, હરિજન-મેઘવાળ છોકરાં, બાળાઓ અને સ્ત્રીઓ ઉપરાંત લોકજીવનને સ્પર્શતી તસવીરો છે...ખાસ ધ્યાન ખેંચે છે એલ એમ પોમલની સુરખાબનગરની ..(અને).. વિવેક દેસાઇની લૈયારી નદીની તસવીરો...'
"બાટિક કલાનો અદ્‍ભૂત ખજાનો: જાવા" (પૃ. ૧૫૩ - ૧૫૬) ૦૫-૦૨-૨૦૦૬
ક્ચ્છમાં થાય છે એ રીતે સાદું તેમ જ બ્લૉકથી બાટિક પ્રિન્ટ તો થાય જ છેપણ જેમાં વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તાંબાના નળાકારમાં મીણ નાખીને કલાકારોને કામ કરતા જોઇએ તો આફ્રીન થઇ જવાય છે...ઇતિહાસકારો બાટિકના આરંભ બાબતે ભલે સર્વસંમત તારણ કાઢી ન શકતા હોય પણ બાટિક વિકાસનો ચંદ્ર સોળેકળાએ ખીલ્યો હોય તે માત્ર ઇંડોનેશિયાના જાવા ટાપુમાં જ છે...જેમ અજરખના છાપકામની વિશેષતા ચોક્કસ ખનિજવાળા પાણીને આભારી છે, તેમ બાટિકની વિશેષતા એમાં વપરાતા મીણના પ્રકારને આભારી છે...કચ્છના કારીગરોને જાકાર્તા અને જાવાના બાટિક ઉત્પાદન કેન્દ્રોની મુલાકાતે લઈ જવાય તો કચ્છની બાટિકકલાને નવી દિશા મળશે.'
"હસ્ત-હુન્નર કસબને ઉદ્યોગોનું છોગું" (પ્રુ.૧૬૧ -૧૬૫) ૮-૧-૨૦૧૪
'કચ્છમાં બાંધણી, અજરખ, બાટિક, ધડકીકામ, પેચવર્ક, કબીરાવર્કને સેવામૂટી, રોગાનકામ, હાથવણાત, ઊની નામદા, મશરૂઇલાયચો, જરદોસી કામ, કાપડ અને ચામડા પર ભરતકામ, રંગીન સંઘાડા કામ, માટીકામ, લીંપણકામ, સૂડી-ચપ્પુ, તાળાં અને ખરકી કસબ,લાકડાં પર કોતરકામ, ચાંદીકામ વગેરે... જેવા કેટલા બધા કસબ વિકસ્યા છે...'
"કોઇ તો સાંભળો આ યુવાન ખંડેરોની ચીસ" (પૃ.૧૭૨)
'..ઉનાળાના સમયમાં માંડવી તાલુકાના એક ગ્રામ્ય માર્ગ પરથી પસાર થતાં પ્રથમ વાર ખંડેરનગર જોયું હતું...અમે ગામમાં પ્રવેશ્યા તો છતવિહોણા મકાન,પથ્થરોના ઢગલા વચ્ચે અડીખમ ઊભેલા વીજળીના થાંભલા, કોઇક મકાનની દિવાલમાં પ્લાસ્ટિક પેઇન્ટ, કોઇક દિવાલમાં ઓઇલ પેઇન્ટ તો કોઇક દિવાલો માટીથી લીપેલી..(બધી નિશાનીઓ) માનવસર્જિત ખડેર(છે તેમ બતાવતાં હતાં)..(દસેક વર્ષ પહેલાં) ગામના હરિજનોને કેટલાક માથાભારે તત્ત્વો સામે રક્ષણ આપવામાં સરકારી તંત્રોની નિષ્ફળતાને પરિણામે થયેલ સમૂહ હિજરતની સાક્ષી આ યુવાન ખંડેર પૂરી રહ્યાં હતાં...'
સમગ્ર દૃષ્ટિએ જોઇએ તો પ્રસ્તુત પુસ્તક કચ્છના મિજાજની બાહ્ય જગતને પિછાન કરવામાં સફળ રહે છે એમ કહી શકાય.અને તેમ છતાં 'કચ્છમિત્ર'ના તંત્રીપદેથી નિવૃત્ત થયા બાદ લખાયેલા લેખનું શીર્ષક જ "કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી' એ ક્ચ્છીયતને બહુ જ અતિવાસ્તવની કક્ષાએ પણ એટલી જ સ્વાભાવિકતાથી મૂકી આપે છે



કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  ૨૪ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

No comments: