Showing posts with label વેબ ગુર્જરી. Show all posts
Showing posts with label વેબ ગુર્જરી. Show all posts

Saturday, March 14, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:

:૨: ૧૯૪૮/૧૯૪૯ની અન્ય ચાર ફિલ્મો
clip_image002
અનિલ બિશ્વાસે લતા મંગેશકર સાથેની પહેલી જ ફિલ્મમાં કરેલા અવનવા પ્રયોગો આપણે આ લેખમાળાના પહેલા લેખમાં ‘અનોખા પ્યાર’માં સાંભળ્યા.

આજે ૧૯૪૮ અને ૧૯૪૯માં તેઓની બીજી ચાર ફિલ્મોનાં ગીતો સાંભળીએ.

ગજરે (૧૯૪૮)
ગીતકાર : ગોપાલ સિંધ ‘નેપાલી’
આ ફિલ્મમાં સુરૈયાના અવાજમાં, તેમણે પોતે જ પર્દા પર ભજવેલાં ગીતો પણ ફિલ્માવાયાં હતાં, જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.અહીં આપણે આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલાં ગીતો સાંભળીશું.
કબ તક કટેગી ઝીંદગી કિનારે કિનારે

 ઘર યહાં બસાને આયે થે
 

પ્રીતમ તેરા મેરા પ્યાર, ગુપ ચુપ ક્યા જાને સંસાર
 

કબ આઓગે બલમા, બરસ બરસ બદલી ભી બીખર ગયી
લતા મંગેશકરનાં સહુથી વધારે લોકપ્રિય રહેલાં અગ્રીમ ગીતોમાંનું એક ગીત



ગર્લ્સ સ્કૂલ (૧૯૪૯)
ગીતકાર : પ્રદીપજી
કુછ શર્માતે હુએ, નયે રસ્તે પે રખા હૈ મેંને કદમ
લતા મંગેશકર પોતાની કારકીર્દી માટે જ જાણે કહી રહ્યાં છે....


તુમ્હીં કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહીં
લતા મંગેશકરનાં થોડાં અઘરાં હોવા છતાં લોકપ્રિય રહેલાં ઘણાં ગીતોમાંનું એક ગીત


ચાર દિનોંકી ચાંદની હૈ - શંકર દાસ ગુપ્તા સાથે


જીત (૧૯૪૯)
ગીતકાર : પ્રેમ ધવન
આ ફિલ્મમાં પણ સુરૈયાનાં ગીત હતાં જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.

હંસ લે ગા લે, ઓ ચાંદ મેરે..
 

મસ્ત પવન હૈ ચંચલ ધારા, મનકી નૈયા ડોલના જાને



લાડલી (૧૯૪૯)
આઘરે કા ઘાઘરો, મંગવા દે રાજા - (આશાલતા સાથે) - ગીતકાર: નઝીમ પાણીપતિ
શાસ્ત્રીય વાદ્યો સાથે લોક ગીતની છાંટ...આશા અને લતા… મંગેશકરો બહેનોનું યુગલ ગીત


ઇન્તઝારી મેં તેરી...આઠ રોઝ કી છુટ્ટી લેકે આજા રે..ગીતકાર: નઝીમ પાણીપતિ
કવ્વાલીની તાન પર મુખડાની શરૂઆત અને પછી લોકગીતની તાલ પર હલકું ફુલકું ગીત


કૈસે કહ દું બજરિયા કે બીચ - ગીતકાર: નઝીમ પાણીપતિ



ગરીબોંકા હિસ્સા ગરીબોંકે દે દો - સાથીઓ સાથે– ગીતકાર: હુડા


તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ - ગીતકાર: બેહઝાદ લખનવી
લતા મંગેશકરની ઓળખ સમું એક ગીત.. પાશ્ચાત્ય વાદ્યોની મધુર સંરચના..


છોટા સા મંદિર બના, જય જય જય પ્રેમદેવતા - (મીના કપૂર સાથે) - ગીતકાર ચંદ્ર શેખર પાંડે


ઝીંદગીકી રોશની ખો ગયી - ગીતકારઃ ચંદ્ર શેખર પાંડે



હવે પછીના ૨૫ એપ્રિલ ૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Saturday, March 7, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૩)

૧૯૩૬થી ૧૯૬૨ સુધીની સફરમાં આપણે અવનવા પ્રકારના સ્વરોજગારકારને , અવનવી ભૂમિકામાં આ પહેલાં ભાગ ૧ અને ભાગ ૨માં મળી ચૂક્યાં. ક્યાંક બાળપણને મજૂરી કરતું જોઇ દિલમાં ચુભન થઇ, તો ક્યાંક એ ઉમરે પણ એની ખુમારી જોઇને દિલમાં ઊંડે ઊંડે ગર્વ પણ થયો.

ભાગ ૩માં આપણે સ્વરોજગારીની દાસ્તાનને આગળ વધારીએ...........

૨૬. ખાલી..ડબ્બા..ખાલી બોટલ લેલે મેરે યાર - નીલ કમલ (૧૯૬૮) | ગાયક : મન્ના ડે | સંગીતકાર : રવિ | ગીતકાર : સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા સામાન્યતઃ બહુ મહત્ત્વની જ રહેતી હોય છે. તેમને ભાગે એકાદ ગીત પણ ફાળવવું જ પડે! પરંતુ તેમનાં આ પાત્રો થકી લોક જીવનની ઝાંખી કરાવવાના અનોખા અભિગમની પણ દાદ તો દેવી જ પડે.


૨૭. મેરા નામ હૈ ચમેલી મૈં હું માલન અલબેલી - રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

બીકાનેરથી એકલી આવેલી માલન ફુલો વેંચવાને બહાને દરોગા બાબુને દરવાજો ખોલી કાઢવા લલચાવે છે


૨૮. ફિરકીવાલી તુ કલ ફિર આના ફિર કભી ન જાના- રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

એ સમયમાં પણ અવનવા, દેખીતી રીતે માત્ર પુરુષ વર્ગ માટે જ આરક્ષિત માની લેવાય તેવા રોજગારમાં પણ સ્ત્રીઓ પોતાનો હિસ્સો તો બનાવીને જ રહેતી


૨૯. બેર લિયો બેર - પૈસા યા પ્યાર (૧૯૬૯) | ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર: રવિ |
મુબઇમાં બોર ખાવા મળે તો કેવી મજા પડે...



૩૦. આયા રે ખિલોનાવાલા ખેલ ખિલોને લે કે આયા રે - બચપન (૧૯૭૦) | ગાયક : મહમ્મદ રફી, હેમલતા અને સુલક્ષણા પંડિત | સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
રમકડાં વેંચવાવાળાનાં મનમાં એની પ્રિયતમાની ડૉળી કોઇ બીજાને ઘરે ગઇ છે, તેનું દર્દ ભર્યું છે, પણ બાળસહજ લાગણીઓ તો તેનાં રમકડાંઓની મજાને યાદ કરીને ઝૂમતાં રહે છે.

આડવાતઃ
મૂળ પણ કરૂણ ભાવની જ ભરેલ ગીત હવે તો માત્ર દુ:ખની યાદોનાં સ્વરૂપે જ રજૂ થયેલ છે. પોતે વેંચતો હતો તે ગુડાગુડ્ડીને પણ પાણીમાં તરાવી દઇને જીવનના એક અધ્યાયનો અંત લાવવાના પ્રયાસની ગલી ગલી એ ગુંજતી દર્દભરી પુકારને વરસાદની ફુહારો પણ મંદ નથી પાડી શકતી, ત્યાં બેઇમાન બહારોંએ પોતાની ઝોળીમાં બે ફૂલ પણ ન નાખવાની નાફરમાની કરી છે. હવે એનાં બાળગ્રાહકોને પણ આ તેના ખિલોનાવાળાની વેદના સ્પર્શે છે.



૩૧. લે લો ચુડીયાં - સાસ ભી કભી બહુ થી (૧૯૭૦) | ગાયક : કિશોર કુમાર અને | સંગીતકાર : રાહુલ દેવ બર્મન
અહીં તો બંગડી વેચવાવાળાને વેશમાં પ્રેમાલાપ છેડી લેવાની તક ઝડપી લેવાઇ છે



૩૨. આંહેં ન ભર ઠંડી – બનફૂલ (૧૯૭૧) | ગાયિકા: લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
ઠંડી ઋતુમાં વાતી ઠંડી જ ઉડાડે જ નહીં પણ ઠંડા નિસાસાને ઉડાડી દે એવી ખૂબી છે ગરમ ચાયની ચુસ્કીની


૩૩. આયા મૈં ચલતા ફિરતા હોટલ - નયા ઝમાના (૧૯૭૧) | ગાયક : મન્ના ડે અને મહેમુદ| સંગીતકાર : સચીન દેવ બર્મન -

લો બોલો, આખી રેસ્તરાં જ ટ્રકમાં ફીટ કરી અને હવે શેરીએ શેરીએ જે માગશો તે મળશે


૩૪.બી એ એમ એ પીએચડી યે ડીપ્લોમા યે ડીગ્રી - બદનામ ફરિશ્તે (૧૯૭૧) | ગાયક : મોહમ્મદ રફી |સંગીતકાર: એન. દત્તા |ગીતકાર : અસદ ભોપલી

લાંબી લાંબી ડીગ્રીઓ મેળવ્યા પછી પણ કામ ન મળે તો પોતાનો હુન્નર કેમ ન વિકસાવવો એ વાતને ગાઇને 'બદનામ ફરિશ્તે' રજૂ કરેછે.


૩૫. અરે ઝીંદગી હૈ ખેલ -સીતા ઔર ગીતા (૧૯૭૨) | ગાયક : મન્નાડે, આશા ભોસલે | સંગીતકાર: રાહુલ દેવ બર્મન

શેરીએ શેરીએ ફરીને ગાઇ વગાડીને થતા નટ બાજાણીયાના ખેલમાં જીવનની ફિલસૂફી પણ વણી લેવાય


૩૬. ય બાબુ લે લો નારીયલ પાની - અપના દેશ (૧૯૭૨) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : રાહુલ દેવ બર્મન

ગલી ગલી નારીયળ પાણીની ફેરીમાં પણ નારીઓએ પણ પોતાનો ફાળો અંકે કરી લીધો છે


૩૭. મેરે સાથ ચલે – કિતાબ (૧૯૭૭) | ગાયક : સપન ચક્રવર્તી | સંગીતકાર: રાહુલ દેવ બર્મન | ગીતકાર : ગુલઝાર

ટ્રેનના ડબ્બામાં ગીતો ગાઇને ગુજરાન ચલાવવું એ પણ "ભીખ માગવાની' મહત્ત્વની કળા ગણાતી.


૩૮. લોગોંકા દિલ જીતના હૈ તો મીઠા મીઠા બોલો - મનપસંદ (૧૯૮૦) | ગાયક : કિશોર કુમાર | સંગીતકાર : રાજેશ રોશન

દાતણ વેંચવાવાળીએ પોતાની જબાન તો સાફ રાખવી પડે..


૩૯. ચણા જોર ગરમ - ક્રાંતિ (૧૯૮૧) - ગાયક : મોહમ્મદ રફી, કિશોરકુમાર, નીતિન મુકેશ, લતા મંગેશકર |સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર : સંતોષ આનંદ
અહીં 'ક્રાંતિ'નો સંદેશ ફેલાવવામાં શેરી ફેરીના વ્યવસાયનો સફળતાથી પ્રયોગ કરાયો છે.



'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ જહેમત લીધી છે. તેમણે મોકલેલાં ગીતોની સાથે આપણે હવે પછીના  ચોથા અંકમાં ૨ મે, ૨૦૧૫ના રોજ મળીશું....................


[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Monday, February 23, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૨ /૪ ǁ દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ


તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે,  'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' વિષે વાત કરી હતી. આજના આ બીજા મણકામાં 'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ'ને તેમના દૃષ્ટિકોણથી જોઇશું.

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ
clip_image002


હિંદી સિને જગતમાં દિલીપ કુમારના જીવન અને સમયની વાત બીજાં આઠ પ્રકરણોમાં આવરી લેવાઈ છે. પુસ્તક પ્રકાશિત થયું ત્યારના કેટલાક સમીક્ષાત્મક લેખોમાં ફરિયાદનો એક સૂર રહ્યો હતો કે એમના બહુચર્ચિત પ્રેમ સંબંધો કે તેમની કેટલીક સીમાચિહ્ન રૂપ ફિલ્મો વિષે વધારે ઊંડાણથી વાત નથે કરી એ આ પુસ્તકની કચાશ અનુભવાય છે. જો કે ઉદયતારા નાયરે તો પુસ્તકના પરિચયાત્મક પ્રકરણમાં જ કહ્યું છે કે દિલીપ કુમારની આ ઉંમરે, અને જીવનના આ તબક્કે, તેમણે ૬૦થી વધારે ફિલ્મો કરી છે અને કદાચ તેનાથી પણ વધારે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. એવી દીર્ઘ કારકિર્દીમાંની ઘણી બાબતોની વાત કરવા વિષે તેમની ચોક્કસ પસંદનો આગ્રહ રાખ્યો જ છે. ખેર, આપણે તો તેમની પસંદ-નાપસંદને સ્વીકારવી જ રહી!

યૂસુફ ખાનને કૅમેરાની સામે કિરદારને કેમ નીભાવવું એ વિષે કોઇ જ કલ્પના પણ નહોતી . એ સ્થિતિમાં બોમ્બે ટૉકીઝના અનુભવો એ સંજોગોની બહુ જ ઉત્તમ દેન કહી શકાય. અશોક કુમારે તેમને શીખવાડ્યું કે 'અમુક પરિસ્થિતિમાં આપણે જેમ ખરેખર વર્તીએ એમ જ કેમેરા સામે પણ કરવું.જો તેને અદાકારીનાં સ્વરૂપમાં ભજવવાની કોશિશ કરીશ, તો તે સાવ વાહિયાત અને અવાસ્તવિક લાગશે.' જેની સાથે તચાહક વર્ગ તાદાત્મ્ય અનુભવી શકે તેવી ફિલ્મના પરદા પરની ભાવનાપ્રધાન ભાવિ ઇમેજને અનુરૂપ નામકરણ પણ દેવીકારાણીએ કર્યું અને અમીય ચક્રવર્તીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' (૧૯૪૪)થી
દિલીપ કુમારની છાયા વિરાટ થતી જશે એવા સંકેત મળ્યા. લાઈટ્સ, કૅમેરા,ઍક્શન / Lights, Camera, Actionની દુનિયામાં આ એમનું પહેલું ડગ હતું.. જો કે એ તબક્કામાં જ દિલીપ કુમારને સમજ પડી ગઈ હતી કે આ કામ એટલું આસાન નહીં રહે, અને માટે જ તેમાં ટકી રહેવા માટે તેમણે પોતાની કેડી જાતે જ કંડારવી પડશે. કલાકારે 'પોતાની સહજ પ્રેરણાને બળવત્તર કરવી પડે છે, કારણ કે વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનું દ્વંદ્વ, કોઇ પણ પરિસ્થિતિને સત્ય અને તર્કથી સમજવાની કોશીશ કરતા દિમાગની પહોંચની બહાર છે.'

દેવિકારાણીએ દિલીપ કુમાર તરીકે આપેલી ઓળખની અસરને કારણે જે જોવા કે અભ્યાસ માત્રથી આવડે એ બધું તેમને નવી આકાંક્ષાઓ અને નવા અનુભવો / New Aspirations, New Experiencesના રૂપમાં કૅમેરાની સામે લાગણીઓ, સંભાષણ અને કાલ્પનિક પાત્રોનાં વર્તનની પરિભાષામાં શીખવાનું અને એકઠું કરવાની મોકળાશ મળી. 'જુગનુ'માં તેમનું કામ પૂરૂં થયું ત્યાં સુધી હજી લોકોની નજરે ચડ્યા નહોતા. જ્વાર ભાટા (૧૯૪૪), પ્રતિમા (૧૯૪૫) અને મિલન (૧૯૪૬) એમ ત્રણ ત્રણ ફિલ્મો રજૂ થઇ ચૂકી હતી તો પણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની પગદંડી પર એ ચાલતા જતા હોય ત્યારે લોકો તેમની હાજરીની નોંધ લેતાં નહોતાં. પરંતુ ૧૯૪૭માં જુગનુની સફળતાને કારણે તેમના પોસ્ટરમાં તેમની તસવીરોની તેમનાં કુટુંબીજનો સુદ્ધાંએ નોંધ લીધી.પૃથ્વીરાજ કપૂરની મધ્યસ્થીના કારણે તેમના અબ્બાજાને પણ સ્વીકારી લીધું કે તેમણે કદી પણ કલ્પ્યું ન હોય તેવા કામને (આખરે) તેમના દીકરાએ સ્વીકારી લીધું હતું.

એ પછીના અંગત અને વ્યાવસાયિક જીવનમાંના (Between The Personal And The Professional) અનુભવોમાં તેમણે તેમના પ્રિય એવા ભાઇ અયુબ ખાનના ફેફસાની લાંબી માંદગીને કારણે દેહાંત અને ૨૭ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ તેમનાં અમ્માની 'જીવનની અશાંતિમાંથી ચિરઃ શાંતિ' તરફની વિદાયની પીડા ભોગવવી પડી. આ આઘાત સહન કરીને ભાઇબહેનોને માટે મા અને બાપ બંનેની ભૂમિકા અદા કરવા, તેમણે પોતાની અંદરની પીડાને મક્કમતાથી દબાવવી પડી.

વ્યાવસાયિક ક્ષેત્રે, તેમનો બૉમ્બે ટૉકીઝ સાથેનો કરાર પૂરો થયો એ સમયે સ્ટુડિઓની પદ્ધતિથી કામ કરવાની પ્રથા પણ અસ્ત પામી રહી હતી. કલાકારો અને કસબીઓ હવે સ્વતંત્રપણે કામ કરતા હતા. દિલીપ કુમારે એસ. મુખર્જીના ફિલ્મિસ્તાનના શહીદ (૧૯૪૮)માં કામ કરવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં તેમની સાથે સમજુ અને દેખાવડી સહકલાકાર કામિની કૌશલ (મૂળ નામ ઉમા કશ્યપ) હતાં. કામિની કૌશલ નિર્દેશકની જરૂરિયાત વિષે ખાસ ધ્યાન આપવાની કે બહુ જ લાગણીશીલ પ્રસંગોની આંતરિક સંવેદનશીલતાને ઝીલવા જેવી બાબતોમાં બહુ જ કામયાબ જણાયાં. 'શહીદ'ની સફળતાને પગલે ફિલ્મિસ્તાને દિલીપ કુમાર-કામિની કૌશલની જોડીને લઇને રવિન્દ્રનાથ ઠાકુરની 'નૌકા ડૂબી' પરથી નદિયા કે પાર (૧૯૪૮) અને શબનમ (૧૯૪૯) બનાવી.

છવીસ-સત્તાવીસ વર્ષનો, તેના જેવાં જ પ્રતિભાશાળી અને ભણેલાં સાથીદારોની સંગત પસંદ કરતો યુવાન કામિની કૌશલ તરફ, કદાચ લાગણીથી નહીં તો પણ બૌદ્ધિક સ્તરે પણ ન આકર્ષાય તો જ નવાઇ કહેવાય ! 'એને જો કોઇએ પ્રેમ કહેવો હોય તો ભલે તેમ'. દિલીપ કુમારને એક ખણખોદિયો સવાલ હંમેશાં પુછાતો રહ્યો છે કે ‘બહુ જ આત્મીય પ્રસંગોને પરદા પર ભજવતી વખતે, જો કલાકારો વાસ્તવિક જીવનમાં પણ એકબીજાની લાગણીના ગાઢ પરિચયમાં હોય તો જ લાગણીની ઉત્કટતા સહજ બની શકે – કે એવું જરૂરી નથી?' દિલીપ કુમાર આનો જવાબ 'હા અને ના'માં આપે છે અને એના સંદર્ભમાં મુગલ-એ-આઝમ(૧૯૬૦)માં પોતાના શાહજાદા સલીમ અને અનારકલી તરીકે મધુબાલાના અભિનયને તેઓ ટાંકે છે. આ પ્રસંગનું વિગતે વર્ણન પછીનાં "મધુબાલા / Madhubala " પ્રકરણમાં કરાયું છે.

આ સમય દરમ્યાન જ તેમને મહેબુબ ખાન અને નૌશાદ મિયાંને મળવાનું થયું. આ પરિચય જીવનપર્યંતની અંગત મૈત્રી અને વ્યાવસાયિક સંબંધમાં વિકસી રહ્યો, જેના પરિપાક રૂપે દિલીપ કુમારે મેલા (૧૯૪૮)માં આ જોડીની સાથે કામની શરૂઆત કરી.નીતિન બોઝ જેવા નિર્દેશકો કે દેવિકા રાણી જેવાં વરિષ્ઠ કલાકારો સાથે કામ કરતાં કરતાં જે પાઠ મળ્યા એ વિષે દિલીપ કુમાર નોંધે છે કે કોઇ પણ કલાકાર માટે ફિલ્મની સ્ક્રિપ્ટથી ઉપર ઊઠવું આમ તો મુશ્કેલ ગણી શકાય, પણ જો લેખક, કલાકાર અને નિર્દેશક સારી રીતે એકસૂત્રતાથી કામ કરે તો તેમ કરવું અશક્ય પણ નથી. વળી, કોઇ એક શૉટથી નિર્દેશક ભલે સંતુષ્ટ હોય, પણ તેને કારણે કલાકારે પોતાનું શ્રેષ્ઠ કામ કરવા માટે તેનાથી પણ વધારે મહેનત કરવાનો બાધ ન રાખવો જોઇએ. એ માટે ફરીથી શૉટ લેવો પડે તો તે કલાકારની મુન્સફીના દાયરામાં જરૂરથી આવે.

રીલમાં વ્યક્ત થયેલ અને ખરેખર જીવાયેલ જીવન /Reel Life versus Real Lifeની બહુ જ મધુરી યાદો 'મેલા' ફિલ્મ તાજી કરી મૂકે છે - પહેલી તો એ કે દિલીપ કુમારના પિતાજીએ સિનેમા હૉલમાં બેસીને આ ફિલ્મ જોઇ અને બીજી યાદ તેમની અને નૌશાદની અમીટ મિત્રતા તેમ જ તેમની અને નરગીસની બે વ્યાવસાયિક વ્યક્તિઓ વચ્ચે શકય ન હોય તેવી મિત્રતા. રાજ કપૂર અને નરગીસના સંબંધો તેમના પરદા પરના એક સાથેનાં દશ્યોને અનેરી આભા આપે તે કક્ષાના બની રહ્યા હતા. પણ દિલીપ કુમાર સાથે નરગીસનું કેમેરાની સામેનું સમીકરણ અલગ જ કક્ષાનું બની રહ્યું. તરાના (૧૯૫૧)માં મધુબાલા સાથે પણ એવું જ કંઇ સમીકરણ ગોઠવાઇ શક્યું. 'તરાના'ને દિલીપ કુમાર ઘણી દૃષ્ટિથી તેમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંથી એક યાદગાર ફિલ્મ ગણે છે. ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં હળવી ભૂમિકાઓ કરવાનું પણ તેમને અંગ્રેજ માનસચિકિત્સકે સૂચવ્યું. ડૉક્ટરનું ચોક્કસપણે માનવું હતું કે પોતાના (ગંભીર ભૂમિકાઓના) કામને દિલીપ કુમાર તેમના અર્ધજાગૃત મનમાં ઘરે લઇ જાય છે અને સંવાદો અને દૃશ્યો તેમના મનમાં અનેક વાર ભજવાયા જ કરતાં રહે છે. જો કે દિલીપ કુમાર પોતે એ વાત તરફ સભાન હતા કે ફિલ્મોમાં તેઓ જે કંઇ કરી રહ્યા હતા તે સાવ જ કાલ્પનિક અને તેમની વાસ્તવિક જિંદગીથી, અને પોતાની જાતથી, તદ્દન વિપરીત જ હતું.

આમ દિલીપ કુમારે એમ જી રામચંદ્રન (એમજીઆર) અભિનિત તમિળ ફિલ્મ મલૈકલ્લન (૧૯૫૪)નાં હિંદી સંસ્કરણ આઝાદ (૧૯૫૫)માં કામ કરવાનું નક્કી કર્યું.આ ફિલ્મમાં મીના કુમારી સાથે કામ કરવાનો અનુભવ પણ બહુ સરસ રહ્યો. 'શબનમ'ની સફળતા બાદ તેમણે પોતાને નવી કારની ભેટ આપી હતી, તો 'આઝાદ' પછી તેમણે મુંબઇમાં પોતાનું ઘર (૪૮, પાલી હિલ) ખરીદ્યું. દિલીપ કુમાર સ્વીકારે છે આ તબક્કે તેમને મધુબાલા પ્રત્યે એક સુંદર સાથી કલાકાર તરીકે આકર્ષણ થયું હતું . એ સમયે અને ઉંમરે એક જીવનસાથીમાં અપેક્ષિત હોય તેવી ઘણી ખૂબીઓ મધુબાલામાં તેમને જોવા મળતી હતી. તેમના આ સંબંધની અફવાને કારણે ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ કરવા ધારેલાં મુગલ-એ-આઝમની ચર્ચા ચોરે ને ચૌટે થઇ હતી. જો કે, જ્યારે મધુબાલાના પિતાની આ સંબંધમાંથી વાણિજ્યિક ફાયદો કાઢવાની દાનત નજરે પડવાને કારણે તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. ફિલ્મ બનવાના એક તબક્કે તો બંને વચ્ચે વાત કરવાના સંબંધ પણ નહોતા રહ્યા. 
અનારકલીને સલીમ સાથે તેની છેલ્લી રાત ગુજારવાની રજા મળી હતી ત્યારે તેમના પ્રેમની પ્રગાઢતાની વચ્ચે આવી પડનાર અંતરના પ્રતિક સમું એક પીછું તેમની વચ્ચે આવીને પડે છે. ફિલ્મનાં આ બહુ જ માર્મિક દૃશ્ય સમયે તો બંને વચ્ચે એકબીજાંને 'કેમ છો?' પૂછવા જેટલા સંબંધો પણ નહોતા રહ્યા. કૅમેરામાં ઝડપાતાં દૃશ્યો અને કલાકારનાં વાસ્તવિક જીવન વચ્ચેનાં અંતરનું આ એક બહુ જ અસાધારણ ઉદાહરણ ગણી શકાય.

દિલીપ કુમાર પોતાના કથાનકમાં મધુબાલા વિષે એક આખું પ્રકરણ ફાળવે છે. સામાન્ય માન્યતાથી વિપરીત, મધુબાલાના પિતા, અતા-ઉલ્લાહ ખાન, આ લગ્નસંબંધના વિરોધી નહોતા. તેમની પોતાની ફિલ્મ પ્રોડક્શનની કંપની હતી. એ સમયનાં બે સહુથી લોકપ્રિય કલાકારો તેમની કારકિર્દીના અંત સુધી તેમની કંપનીમાં બનેલી ફિલ્મોમાં હાથમાં હાથ મેળવીને ગીત ગાતાં રહે એ તેમને જોઇતું હતું. પરંતુ, દિલીપ કુમારની કામ કરવાની એક બહુ ચોક્કસ કાર્યપદ્ધતિ હતી, જેમાં એ પોતાની કંપનીની ફિલ્મ માટે પણ કોઇ જ બાંધછોડ કરે નહીં. મધુબાલાએ સમજાવવા બહુ કોશિશ કરેલ. તેનું માનવું હતું કે આ બધી બાબતો પર તો લગ્ન પછી પણ નિરાંતે વિચારી શકાય. આ સંજોગોમાં એ બંને લગ્ન ન કરે એટલું જ નહીં પણ એ વિષે જરા સરખી પણ ફેરવિચારણા કરવાનો અવકાશ ન રહે એ એક જ ઉકેલ બંને કલાકારો માટે શ્રેષ્ઠ માર્ગ હતો. દિલીપ કુમાર એ બાબતે પણ બહુ સ્પષ્ટ છે કે આ વિચ્છેદે તેમના પર કોઇ અવળો પ્રભાવ નહોતો પાડ્યો. આ પછીથી સાયરા બાનુ સાથે લગ્ન કરવાની ઘડી સુધી ન પરણવાના તેમના નિર્ણયની પાછળ પોતાની નાની બહેનોનાં લગ્ન જેવા પ્રશ્નો માટે ધ્યાન આપવા સિવાય અન્ય કોઈ કારણ નહોતું. તેમના માટે તેમનાં ભાઈ બહેનનાં સુખ અને કલ્યાણ હંમેશાં મુખ્ય રહ્યાં છે. મધુબાલાના પિતાએ તેને બી આર ચોપરાની નવી ફિલ્મ નયા દૌરના આઉટડોર શુટિંગના મુદ્દે કાયદાની લડતમાં ઉલઝાવી નાખી. નયા દૌર આખરે, મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાને લઈને ૧૯૫૭માં થિયેટરોમાં રજૂ થયું. પ્રચાર માધ્યમોમાં એમ ચીતરવામાં આવ્યું કે આની પાછળ દિલીપ કુમારનો દોરી સંચાર હતો, પણ હકીકત તો એ છે કે મધુબાલાના પિતાને પોતાની દીકરી પર હકુમત સાબિત કરવાનું ઝનૂન ચડ્યું હતું; તેમાં, મધુબાલાની કારકિર્દી પર અવળી અસર પડી.

વૈજયંતિમાલા સાથેના વ્યાવસાયિક સંબંધો માટે પણ દેવદાસ, નયા દૌર અને તે પછી/ Devdas, NayaDaur and Beyond જેવાં શીર્ષક હેઠળના પ્રકરણમાં ખાસ સ્થાન ફાળવવામાં આવ્યું છે. વૈજયંતિમાલા સાથે સાત ફિલ્મો પૈકી પહેલી ફિલ્મ, દેવદાસ (૧૯૫૫), માટે હા પાડવામાં દિલીપ કુમાર થોડા દ્વિધામાં હતા. એક બાજુ એક એવું પાત્ર હતું જે પોતાના પ્રેમની નિષ્ફળતાને દારૂના નશામાં ડુબાડીને ભુલાવવા માગે છે, જે યુવા દર્શક વર્ગ પર ખાસી અવળી છાપ પાડી શકે. આમ આ કલાકારની નૈતિક જવાબદારીની ચિંતા હતી. તો બીજી તરફ કે એલ સાયગલ જેવા અભિનેતાએ હાંસિલ કરેલી બુલંદીની સામે પોતાની અભિનયક્ષમતાને ચકાસવાની એક જીવનમાં એક જ વાર આવતી એવી આગવી તક હતી. ફિલ્મ જગતના ઇતિહાસમાં એક અનોખો માપદંડ ઊભો કરી શકાય એવી એ તક હતી.. ખ્યાતનામ સાહિત્યકાર રાજિંદર સિંહ બેદીની કલમે લખાયેલા, ફિલ્મમાંના કેટલાક સંવાદ તો સમયના કેટલાય વાળાઢાળા પછી પણ યાદ કરાય છે. (સંવાદ રજૂ કરવાની આગવી કળા એ દિલીપ કુમારની ખાસ ઓળખ રહી છે. આવા કેટલાય યાદગાર સંવાદો પૈકી પાંચ સંવાદો અહીં રજૂ કરેલ છે.)

દેવદાસ પછી આ જોડી બિમલ રોયની જ નવી ફિલ્મ, મધુમતી (૧૯૫૮)માં ફરીથી પેશ થઇ. આ ફિલ્મમાં વૈજયંતિમાલાની અદાકારી દિલીપ કુમારનાં ખાસ વખાણ મેળવી ગયેલ છે. ફિલ્મમાં આમ તો ત્રણ ત્રણ પુનર્જન્મોના પાત્રને કારણે વૈજયંતિમાલાનાં પાત્રને મહત્ત્વ મળે તેમ માનવામાં કંઈ ખોટું નથી, પણ આ આખી વાત ફિલ્મના નાયક (દિલીપ કુમાર)ની આંખેથી રજૂ કરાયેલ છે એટલે દિલીપ કુમારનું પાત્ર પણ ફિલ્મના કેન્દ્રમાં બની રહે છે. વૈજયંતિમાલા કરતાં એક ડગલું આગળ રહેવાની બીજી એક ઘટના પયગામ (૧૯૫૯)ના શૂટિંગ દરમિયાન બની હતી. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સૅટ્સની મુલાકાતે આવવાના હતા. બધાંને એમ હતું કે નહેરુને મુખ્યત્વે તો વૈજયંતિમાલાની નૃત્યકળા જ ખેંચી લાવતી હશે. પણ નહેરુજી એ તો આવતાંની સાથે જ યુસુફને યાદ કરીને દિલીપ કુમારનો છાકો પાડી દીધો હતો. ‘નયા દૌર’ના શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે વૈજયંતિમાલાની ગ્રામીણ યુવતીને આત્મસાત કરી શકવાની આવડતની ખાસ નોંધ લીધી અને તેમના મનમાં રમી રહેલી ગંગા જમુના(૧૯૬૧)ની ભાવિ મુખ્ય નાયિકા માટે તેને નક્કી કરી લીધી.

અહીં સુધી પહોંચીને દિલીપ કુમાર ફરી એક વાર કૌટુંબિક મોરચે/ On The Domestic Front બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ તરફ નજર કરી લે છે. ૫ માર્ચ ૧૯૫૦ના રોજ તેમના પિતાજીનો દેહવિલય થયો. દિલીપ કુમારને આ તબક્કે એ વાતનો સંતોષ રહ્યો છે કે તે પિતાજીની અપેક્ષાઓએ ખરા ઉતરી શક્યા હતા.

ગંગા જમનાનું મહત્ત્વ દિલીપ કુમારની કારકિર્દીનું એક અંગત સીમાચિહ્ન હતું, એટલે ગંગા જમના બનાવવાની સખત મહેનત અને તે પછીની ઘટનાઓ / Travails of Film Making: “Gunga Jumna And After ને બહુ જ વિગતે યાદ કરવામાં આવે તે બહુ સ્વાભાવિક છે. દિલીપ કુમારનું પાત્ર, સમાજમાં તેનો જે કાયદેસરનો હક હતો તે માત્ર તેની ગરીબીને કારણે તેની પાસેથી છીનવાઈ જતાં ડાકુ બની જતા ગંગાનું છે. જે સમાજ કે કાયદો પૈસા અને સત્તાનો પક્ષ લઇને ગરીબ અને અસહાયને અન્યાય કરે છે તેની સામે બગાવત કરતા મોટા ભાઇ અને કાયદાની રખવાળીની જવાબદારી નિભાવતા પોલિસ ઑફિસર નાના ભાઈની લાગણી અને ફરજનો વિરોધાભાસ વાર્તાની કેન્દ્રીય વિચારધારા છે. દિલીપ કુમાર આ પહેલાં પણ 'એન્ટી-હીરો'ની નકારાત્મક છાંયવાળી ભૂમિકાઓ અમર (૧૯૫૪) અને ફુટપાથ (૧૯૫૩)માં ભજવી ચૂક્યા હતા. પરંતુ આ ભૂમિકા એ સમયના સામાજિક જીવનની એક કડવી બાજુને પ્રતિબિંબિત કરતી હતી. ખેર, જીવનમાં નવાઇભર્યા વળાંકો તો આવતા જ રહે છે. દિલીપ કુમારનાં જીવનમાં બહુ મહત્ત્વની ઘટનાઓ સાથે સંકળાવાની હતી તેવી ૧૯૬૭ની ફિલ્મ રામ ઔર શ્યામની શરૂઆતમાં વિવાદનાં વમળ ઊઠ્યાં હતાં. ફિલ્મમાં નાયિકાની ભૂમિકા માટે વરાયેલ વૈજયંતિમાલાને ફિલ્મ નિર્માતા સાથે કોઇ બાબતે મતભેદ પડ્યો, જેને કારણે તેને ફિલ્મમાંથી જ દૂર કરી અને એ પાત્ર વહીદા રહેમાનને ફાળવી દેવામાં આવ્યું. આમ સાત સાત ફિલ્મોમાં સાથે કામ કરવાના સંબંધનો અંત કડવાશના સૂરમાં આવ્યો.

'મને સમજ નથી પડતી કે આ મને મારા વારસામાં મળેલ છે કે મારાં ઉછેરનાં વાતાવારણમાંથી મારામાં ઉતરી આવેલ છે.' એવો વિચાર જાહેર જીવનમાં ઉમદા કાર્યો કરવામાટેની નવી ભૂમિકા / A New Role: Taking Up Noble Causes વિષે દિલીપ કુમારના મનમાં રમ્યા કરે છે. આચાર્ય જે બી કૃપલાણીની સામે વી કે કૃષ્ણ મેનન માટે, ૧૯૬૨ની લોકસભાની ચુંટણીમાં મુંબઈની બેઠક માટે પ્રચારમાં સક્રિય ભાગ લેવાથી માંડીને ૧૯૮૦માં મુંબઇના શેરિફ સુધીની ભૂમિકા કે નેશનલ એસોશિએશન ઑફ બ્લાઇન્ડ(NAB)ના અધ્યક્ષ તરીકે કે સન ૨૦૦૦-૨૦૦૬માં રાજ્યસભાના સભ્ય તરીકેની કામગીરીની વાત બહુ રસપ્રદ રહે છે.

રામ ઔર શ્યામ પછી ફિલ્મક્ષેત્રમાંથી સક્રિય કક્ષાએ નિવૃત્તિ લેવી કે કેમ એ વિમાસણમાં હતા તેવી જ વિમાસણના ત્રિભેટે દિલીપ કુમાર બૈરાગ (૧૯૭૬) બાદ ફરીથી અટવાઈ ગયા હતા. જો કે પહેલી વાર તો સાયરાબાનુની આગ્રહપૂર્વકની સમજાવટથી જ એમણે ફરીથી સ્ક્રિપ્ટ જોઈ તો એમને એમાં ઊંડાણ દેખાયું. ‘બૈરાગ’ પછીના લગભગ પાંચ વર્ષના અર્ધસંન્યાસનું કારણ એ આર કારદારે તેમના પર ઠોકી બેસાડેલ કાયદાકીય વિવાદ હતો. આ લડતના અંત ભાગમાં મનોજ કુમાર તેમની પાસે ક્રાંતિ (૧૯૮૧)નો પ્રસ્તાવ લઇને આવ્યા, જે દિલીપ કુમારની કારકિર્દીની બીજી ઇનિંગ્સ / The Second Inningsનો પ્રારંભ બની રહી.એ પછી સુભાષ ઘઈની વિધાતા (૧૯૮૨) આવી જેમાં તેમણે એન્જીન ડ્રાઇવરના જીવનની વાસ્તવિકતાઓને પરદા પર જીવંત કરી.
clip_image015

તે પછી સુભાષ ઘઈ સાથે તેમણે કર્મા (૧૯૮૬) અને સૌદાગર (૧૯૯૧)માં પણ કામ કર્યું. ‘સૌદાગર’માં રાજ કુમાર સાથે કામ કરવા અંગે એ સમયે ખાસી કાનાફૂસીઓ થઇ હતી! એ જમાનાના 'એન્ગ્રી યંગમેન' અમિતાભ બચ્ચન સાથેની તેમની શક્તિ(૧૯૮૨)ની ભૂમિકાની સરખામણીએ પણ ચર્ચાજગતને ગરમ રાખેલું. મશાલ (૧૯૮૪)માં તેમના નિર્ભીક, સાચા અને આખાબોલા પત્રકાર-તંત્રી, વિનોદ કુમારના પાત્રને તેમણે જે રીતે જીવંત કર્યું હતું તેને દર્શકો અને વિવેચકોએ ખૂબ પસંદ કર્યું હતું. દિલીપ કુમાર યાદ કરે છે કે આ ફિલ્મમાં તેમની પત્નીને બચાવવા માટે રસ્તેથી પસાર થતા ગાડીવાળાઓને કાકલૂદી કરવાનો જે હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો ત્યારે તેમનાં માતાને આવેલા દમના હુમલા વખતે તેમના પિતાજીનો દાકતરને બોલાવવા માટેનો વલોપાત તેમની નજર સામે તરી રહ્યો હતો.




દિલીપ કુમારની ફિલ્મ સફર અહીં વાંચી શકાશે.


હવે પછી, ૯ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો ત્રીજો મણકો 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન'  વાંચી શકાશે.

Monday, February 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૧/૪ ǁ યૂસુફ ખાનના જીવનની અંગત વાતો





-પરિચયકર્તા  - અશોક વૈષ્ણવ
દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869


હિંદી ફિલ્મ જગતના એક બહુ જ ખ્યાત વ્યક્તિત્વ, દિલીપ કુમાર, પર આ પહેલાં બે પુસ્તકો લખાયાં છે -બન્ની રુબેનનું Dilip Kumar: Star Legend of Indian Cinema અને લૉર્ડ મેઘનાદ દેસાઇનુંNehru’s Hero: Dilip Kumar In The Life Of India .

જો કે DILIP KUMAR - THE SUBSTANCE AND THE SHADOW - An Autobiographyપુસ્તક લખાવાનાં બીજ પણ એ વાતમાં જ છે કે દિલીપ કુમાર વિષે જે કંઇ લખાયું છે તેમાં મૂળ વાતના તોડમરોડ કે ગેરમાહિતી વધારે રહ્યાં છે. સરવાળે, હાર્દ સમા યૂસુફ ખાન વિષે તો ખાસ કંઇ જાણવા મળ્યું જ નથી, અને એટલે છાયા સમા, હિંદી ફિલ્મ જગતના સર્વકાલીન મહાન કલાકારો પૈકી બહુ જ અગ્રીમ સ્થાન ધરાવતા, દિલીપ કુમાર વિષે તો કંઇ કેટલીય કપોળકથાઓ જ ઘુમરાયા કરે તે કદાચ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં બહુચર્ચિત, પરદા પર અનેક સ્વરૂપે જોવા મળેલ, પોતાના જીવનકાળમાં જ દંતકથા સમાન બની રહેલા અભિનેતાનું અધિકૃત, દિલની ગહરાઈમાંથી ફૂટી નીકળેલ, ઝકડી રાખે તેવું આત્મકથાનક વૃત્તાંત પ્રકાશિત થાય તો તેના વિષે વધારે વિગતે જાણવાની ઉત્સુકતા થાય જ.

આપણે અહીં ન તો આ પુસ્તકની કે ન તો અભિનેતા દિલીપ કુમારની પરદા પરની કામગીરીની સમીક્ષા કરીશું. આપણે તો આખું પુસ્તક વાંચ્યા બાદ તેમાંથી જે જે વાતો તારવીને નોંધી લેવા જેવી જણાઈ છે તેની અહીં પરિચયાત્મક નોંધ ટપકાવવી છે, જેના વડે ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવર (તે સમયના હિંદુસ્તાનમાં), એક બહુ જ સાલસ, નેક, ખુદાપરસ્ત પઠાણ યુગલ - મોહમ્મદ સરવર ખાન અને આયેશા બીબી-ને જન્મેલ ૧૧ બાળકો પૈકી ચોથા બાળક મોહમ્મદ યૂસુફ ખાનનાં હાર્દ અને તેમાંથી વટવૃક્ષ થયેલ છાયા, દિલીપ કુમારને,તેમની પોતાની નજરથી, સમજવાની કોશિશ કરીશું.

પુસ્તકને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય તેમ છેઃ
  • દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ;
  • સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન, અને
  •  સાથી કલાકારો તેમ જ સગાસંબંધીઓની યાદો.
આપણે આપણી આ પરિચયાત્મક નોંધને આ મુજબ ભાગોમાં વહેંચીને દર અઠવાડિયે એક એક ભાગને માણીશું.આ પરિચયમાં, પુસ્તકમાંનાં પ્રકરણોનાં શીર્ષકો ઘાટા અંગ્રેજી અક્ષરોમાં રાખ્યાં છે.
૦-૦-૦

ફળોના વેપારીના પુત્ર યૂસુફખાનની ભારતીય ફિલ્મ જગતના કિવદંતિ સમાન મહાન અભિનેતા દિલીપ કુમાર સુધીની સફર

image


પુસ્તકના આમુખ/Forewordમાં સાયરા બાનુની કેફિયત દ્વારા દિલીપ કુમારનાં વ્યક્તિત્વનાં કેટલાંક ખાસ પાસાંનો પરિચય થાય છે :
§ દિલીપ કુમાર વાચનના જબરા શોખીન છે. તેમનું વાચન બહુ આયામી છે. પદ્ય સાહિત્ય, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય તેમના ખાસ શોખના વિષય છે.

§ તેમનું વ્યક્તિત્વ પ્રદેશો, ધર્મો અને નાતજાતનું મોહતાજ નથી રહ્યું. કોઈની પણ નબળી બાજુ તો તેમને દેખાતી જ નથી.

§ તેમની બિનસાંપ્રદાયિક માન્યતાઓ તેમના દિલના ઊંડાણમાંથી પેદા થયેલી છે. દરેક ધર્મ, જાત, સમુદાય કે પંથ માટે તેમને એક સરખું માન છે. તેમના બહુ જ નજદીકના મિત્રોમાં પારસીઓ આગવું સ્થાન ધરાવે છે.

§ પોતાના કુટુંબ માટે તેમને બહુ જ લગાવ છે.

§ કુદરત સાથે માણવાનો એક પણ મોકો ચૂકવાનું તેમને બિલકુલ પસંદ નથી.

§ આખું કુટુંબ સાથે હોય અને તેઓ પતંગ ઉડાડતા હોય તે તેમના માટે દૈવી આનંદ છે. જાત જાતના પતંગો અને માંજાઓના ખજાનાની તેઓ તેમના અંગત પોષાકના જેટલી જ માવજત રાખે છે.


દિલીપ કુમારે વર્ણવેલા આ આત્મકથાનકને પુસ્તકના દેહે મૂર્ત કરનારાં ઉદયતારા નાયર બહુ જાણીતાં લેખક અને પત્રકાર તો છે જ, પણ તે સાથે તેઓ દિલીપકુમાર દંપતીનાં બહુ જ લાંબા સમયનાં સારાં મિત્ર પણ છે. સ્વાભાવિક જ છે કે આ પુસ્તક કરવાની તકને તેઓ તેમના પ્રવેશાત્મક સંપાદકીયને A Dream Come True/ સાચું નીવડેલું સ્વપ્ન કહે. દિલીપ કુમારે પોતાની દાસ્તાન કહેવાનું કબૂલ્યા પછી પણ તેમની પાસેથી જ તેમની અંતરંગ બાબતો વિષે વિગતે કઢાવવી એ પડકાર તો લેખિકાની સામે હતો જ, પણ તે સાથે તેમણે જે કંઈ કહ્યું તે બહુ જ શુદ્ધ ઉર્દુમાં કહેવાયું હતું, તેને સ્વાભાવિક પ્રવાહમાં વહેતી અંગ્રેજીમાં રજૂ કરવું તે પણ એટલું જ મુશ્કેલ કામ નીવડ્યું હતું. આ અનુભવમાં તેમને દિલીપ કુમારની એક સાચા વ્યાવસાયિકની લગનથી ફિલ્મ બનાવવાના સંચાલનના કૌશલ્યને અંકે કરવાની પદ્ધતિ તેમ જ ખ્યાતિ પામેલા કળાકારની સામાજિક જવાબદારીઓ અંગેની સભાનતા ખાસ આકર્ષે છે. આન(૧૯૫૨)માં એ પહેલાં મુખ્ય ભૂમિકાઓ ભજવતા પ્રેમનાથને નેગેટિવ ભૂમિકા આપવાની વાતને ફિલ્મની જાહેરાતની મુખ્ય ધરી બનાવવી કે "તેમણે કોઇ બાબતે દેખાડો નથી કર્યો, પછી એ કોઈ માટે માન કે સાથી કલાકાર માટે ની ચિંતા હોય".. કે સ્ક્રિપ્ટનો તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાના કિરદારને બરાબર સમજીને પોતાની આસપાસની ઘટનાઓને એ પાત્રને અનુરૂપ બનાવવા જેવી તેમની માર્મિક ખૂબીઓ વગેરે તેમની વ્યાવસાયિક સજ્જતાને પુસ્તકમાં સારી રીતે રજૂ કરવામાં લેખિકા સફળ રહ્યાં છે.

પહેલાં આઠ પ્રકરણમાં યૂસુફ ખાનના દિલીપ કુમારમાં રૂપાંતરણની ભૂમિકાનું સવિસ્તર વર્ણન કરાયું છે.

એ સમયનાં વિભાજન પહેલાંનાં હિંદુસ્તાનના ઉત્તરપશ્ચિમી સરહદી પ્રાંતના રળીયામણા શહેર , પેશાવરના કિસ્સા ખ્વાની બજારના ઘરમાં યૂસુફખાનના જન્મ /Birthની તારીખ ઇતિહાસને ચોપડે જરૂર નોંધાઈ હશે - ફિલ્મજગતના ભવિષ્યના ધ્રુવતારકની યાદમાં નહીં, પણ તે દિવસે ત્યાંની સોની બજારમાં લાગેલી ભીષણ આગને કારણે. આગ અને તોફાન જેવા ખાસ સંજોગોમાં જન્મેલો દૌહિત્ર અસામાન્ય છે તેવી નાનીની માન્યતાને, તે પછી થોડા જ દિવસોમાં આવી ચડેલા એક ફકીરની, આ બાળક 'બહુ નામના કમાશે અને અપ્રતિમ સિદ્ધિઓ પામવા સર્જાયેલ છે એટલે બૂરી નજરોથી તેને હંમેશાં બચાવતાં રહેજો’, એવી ભવિષ્યવાણીએ પાકું સમર્થન પૂરૂં પાડ્યું હતું. બૂરી નજરથી ઓજલ રાખવાના દાદીના અવનવા અને જડબેસલાક પ્રયત્નોને કારણે બાળક યૂસુફ શાળામાંથી જ એકાંતપ્રિય બનતો ગયો અને તેને સચિત્ર પુસ્તકોની કાલ્પનિક દુનિયા વધારે ગોઠવા લાગી હતી.

કુટુંબનાં સૂત્રધાર માતામહી અને એમનો દૌહિત્ર (The Matriarch and Her Brood) અભિન્ન હતાં. બાળકના ઉછેરના સમયમાં, તેને દુનિયાની બૂરી નજરથી બચાવી રાખવાના એમણે જે પ્રયાસો કર્યા તેની બાળક યૂસુફના કુમળા મન પર જે અસરો થઈ તે દિલીપ કુમારના પ્રબુદ્ધ મનમાંથી તેની કારકીર્દીના શરૂઆતના સમયમાં ભજવેલા કરૂણ પાત્રોમાં ઝલક પામી, જેને કારણે તેમને કારકીર્દીના બહુ જ શરૂના તબક્કામાં જ 'કરૂણાંતિકાના રાજા' (Tragedy King)નું બિરૂદ પણ મળી ચૂક્યું હતું. શાળામાં યૂસુફના અતડાપણાની અસર તેના ઘરમાંના બાળપણના વ્યવહારો પર પડી નહોતી, પણ પરદા પર કરુણ રસને વહાવતા તેમના મન પર જે અસરો પડી તેણે તેમને માનસચિકિત્સકની મદદ લેવા મજબૂર જરૂર કરી દીધા હતા.

યૂસુફના બાળપણની શરારતો અને સાહસો /Escapades and Adventuresને કારણે દિલીપ કુમારની (ફિલ્મોની) વાર્તા કહેવા સમજવાની સૂઝને જરૂર ચેતના મળી હશે. નાનો યૂસુફ દરરોજ પિતાની આંગળી પકડીને શહેરના ચોકમાં જતો અને કોઇને કોઇ મૌલાનાએ માંડેલી વાતને રસપૂર્વક સાંભળતો. વાત સાંભળવાની મજા માણ્યા બાદ ઘરે આવી, પોતાની ફળદ્રુપ કલ્પનાના રંગ તેમાં ઉમેરીને એ વાતોનાં પાત્રોના પાઠ પણ તે હોંશે હોંશે કરતો. વર્ષો બાદ આ અનુભવો દિલીપ કુમારને ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળવાની બેઠકોમાં વાર્તાની ખુબીઓને સમજી લેવામાં બહુ મદદરૂપ થઈ. તેમનાં નાની તેમના જીવનનું પહેલું સેન્સર બૉર્ડ બન્યાં. સગડીના અંગારાની ગરમી માણતાં કુટુંબીજનો ભાત ભાતની વાતોની મજા માણતાં. એ બેઠકોમાં ઘરની સ્ત્રીઓ અને છોકરાંઓ પણ હોય. એટલે જો કોઇ વાત તેમની હાજરીમાં કરવા જેવી ન હોય, તો નાનીનું કડક મનાઈ ફરમાન ફરી વળતું. પોતાના એકાંતના સમયમાં બાળ યૂસુફ તેનાં માબાપને મળવા આવતાં લોકોની સાંભળેલી વાતોની નકલ કરીને પોતાના અભિનયના પ્રયોગો કરીને સમય પસાર કરતો. આ મુલાકાતીઓમાં યૂસુફના પિતા, આગાજી,ના મિત્ર બશવેશ્વરનાથ કપૂરનો દેખાવડો એવો મોટો દીકરો પણ હતો. એ જ, યુવાન દિલીપ કુમારના ભવિષ્યના મિત્ર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર !

થોડા સમય બાદ વિશ્વ યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગ્યાં એટલે ધંધાના વિકાસની નવી તકના એક નવા પ્રકરણની શરૂઆત(Off To Bombay: A New Chapter Begins) કરવા યૂસુફના પિતાજી મુંબઈ ગયા. મુંબઈ તરફની ફ્રંટીઅર મેલની મુસાફરી દરમ્યાન, તેમના ઘણા હિંદુ તેમ જ મુસ્લિમ મિત્રો સ્ટેશને સ્ટેશને તેમના માટે નાસ્તા અને ભાત ભાતનું ખાવાનું લઈને મળવા આવતાં હતાં. જ્યારે ટ્રેન સ્ટેશને ઊભી રહેતી ત્યારે વેચવાવાળાઓ 'હિંદુ ચાય, હિંદુ પાની, મુસ્લિમ ચાય, મુસ્લિમ પાની'ની ટહેલ નાખતા જોવા મળતા. જો કે મુસાફર ખાન કુટુંબ તો આવા કોઇ ફરક વિષે સભાન નહોતું. કિશોર યૂસુફ આવાં હુંફ અને પ્રેમના વાતાવરણમાં ઉછરી રહ્યો હતો. શરમાળ ઘણો, પણ નાખુશ તે બિલ્કુલ નહોતો. હવે (૧૯૩૭માં) તેના માથાના વાળનો ટકલો ન કરી દેવાતો. કાળાં ઘુંઘરાળાં ઝુલ્ફાં તેને ત્યાં આવતી ઔરતો માટે ખાસ આકર્ષણ બની રહેતું. આને કારણે તેનાં અમ્માજી નજર ઉતારવાની વિધિઓમાં જ વ્યસ્ત રહેતાં. આજે ૯૨ વર્ષે પણ, જ્યારે કોઇ મુલાકાતી તેમની તબિયત કે દેખાવ માટે બે સારા શબ્દો કહે કે જે દિવસે તેમના હસ્તાક્ષર માગનારાઓની ભીડ વધારે થઈ હોય કે વધારે પડતાં વખાણ થયાં હોય ત્યારે તેમનાં પત્ની, સાયરા બાનુ, પણ એવાં જ વિધિવિધાનો કરતાં રહે છે !

કિશોરાવસ્થાનાં ઉછેરનાંવર્ષો / The Growing Up Years દરમ્યાન ખાન કુટુંબ મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર, ગિરિ મથક દેવલાલી રહેવા ગયું. અહીં લશ્કરનું થાણું હતું, એટલે યૂસુફને શાળામાં અંગ્રેજોની જેમ અંગ્રેજી વાંચતાંબોલતાં શીખવા મળ્યું.તેને ફુટબૉલમાં પણ એટલી હદે દિલચશ્પી જાગી કે તેને તો મોટા થઈને ફુટબોલના શિરતાજ ખેલાડી બનવું હતું. જો કે તેના પિતાજીની દિલી તમન્ના હતી કે પુત્રના નામની સાથે બ્રિટિશ રાજનો ખિતાબ લાગે. યૂસુફ જ્યારે મુંબઈની ખાલસા કૉલેજમાં ભણવા ગયો ત્યારે તેને રાજ કપૂરની સાથે કૌટુંબિક મિત્રતાની દોર સાંધવાની તક મળી. રાજ ક્પુરને ક્રિકેટનો ગાંડો શોખ હતો. આ મિત્રતા આગળ જતાં એક જ વ્યવસાયમાં પ્રવૃત્ત બે વ્યક્તિ વચ્ચેનાં આત્મીય સંબંધથી આગળ વધીને આપસી ભરોસો અને માન પર આધારિત આગવું બંધન બની રહી. યૂસુફ હવે તેના પિતાજીને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યો હતો, એવામાં નિયતિ કંઇ ક નવું જ નક્કી કરી રહી હતી.

પુનાના અંતર્વિરામે(The Poona Interlude) હવે વીસીમાં પ્રવેશેલા યૂસુફને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તક અને હિંમત આપી. એ પણ જીવનનો બહુ મહત્ત્વનો અનુભવ રહ્યો. એ સમય દરમ્યાન જે થોડી સ્વતંત્રતા ચાખવા મળી તેને કારણે પિતાની આકાંક્ષાઓ પૂરી કરવા અને તેમનો વારસો સ્વીકારી લેવા તે માની જશે કે કેમ તે વિષે પિતાને હવે થોડી શંકા હતી.

સંજોગોએ બદલેલી કરવટોને કારણે ઠાઠમાઠથી રહેવાની કક્ષાએ પહોંચેલ દીકરો મુંબઇ પરત આવ્યો (The Return of The Prodigal). કુટુંબની જે અવર્ણનીય સલામતી અને હુંફ, તેમજ જાણીતા વાતાવરણને તે ઝંખતો હતો તે અહીં તેને પોતાનામાં સમાવી લેવા હાથ ફેલાવી રહ્યું હતું.

મુંબઇ આવ્યા પછી હવે યૂસુફ કોઈક અર્થપૂર્ણ વ્યવસાયની શોધમાં લાગી ગયો. સંજોગવશાત, એક દિવસ તેની મુલાકાત પિતાજીના એક ઓળખીતા ડૉ. મસાણી સાથે થઇ ગઇ. તે પછી, એક પછી બીજી ઘટના બનતી ગઈ અને યૂસુફને પહેલી જ મુલાકાતમાં બોમ્બે ટૉકીઝનાં માલિક અને તે સમયનાં ખૂબ જ ખ્યાતનામ કલાકાર અને ફિલ્મ નિર્માતા દેવિકારાણીએ મહિને રૂપિયા ૧૨૫૦ના પગારથી કામે રાખી લીધો ! યૂસુફના જીવનના આ વળાંક/ The Turning Point પર તેની મુલાકાત અશોક કુમાર સાથે પણ થઈ જે જીવનપર્યંતની મિત્રતામાં પાંગરી રહી.

ફિલ્મ જગતમાં દાખલ થયા પહેલાનાં જીવનની અંતરંગ વાતો કહેતાં આ પ્રકરણો ઉપરાંત પુસ્તકના અંતમાં દિલીપ કુમાર કૌટુંબિક બાબતો / Family Mattersની વાત પણ રજૂ કરે છે, જેમાં તેમણે તેમના જીવનમાં અફસોસજનકઅને જીવનમાંથી ભૂંસી નાખવા જેવી બાબતો વિષે સતત પુછાતા રહેતા સવાલોનો જવાબ આપ્યો છે. આવો એક કિસ્સો છે તેમનાં પરાણે 'ભરાઇ પડવા'નો - આસ્મા રહેમાન સાથેના 'બીજાં લગ્ન'નો. દિલીપ કુમાર તેને કોઈ પણ મનુષ્યનાં જીવનની કાચી ક્ષણમાં થતી કેટલીક ભૂલો પૈકી એક ભૂલ ગણે છે. અંગતપણે બહુ જ ધક્કો લાગ્યા છતાં, પોતાના પતિ માટે અપાર શ્રદ્ધા હોવાને કારણે, સાયરા બાનુએ આ મામલે તેમનો બરાબર સાથ આપ્યો. આ સમયે એક વાત એ પણ ઊછળી હતી કે આ બધું થવા માટે સાયરા બાનુને બાળક ન થવું પણ કારણભૂત હતું. પણ હકીકત એ છે કે ૧૯૭૨માં આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ કેટલીક તબીબી મુશ્કેલીઓને કારણે તેમને મૃત બાળકનો જ્ન્મ થયો હતો.

પોતાનાં ભાઇઓ બહેનો પણ પોતાનાં જીવનમાં ખૂબ જ આગળ વધે અને નામ રોશન કરે તે માટે દિલીપ કુમારે કરેલા પ્રયત્નોની યાદ પણ તેમને લાગણીવશ કરી મૂકે છે. દિલીપ કુમાર બાહુ દુલારથી લત મંગેશકરને ‘નાની બહેન’ કહે છે.લતા મંગેશકરે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સમક્ષ જાહેરમાં અય મેરે વતનકે લોગો ગાયું તેની આગલી સાંજે જ દિલીપ કુમારને ફોન પર અલ્લાહ તેરો નામ સંભળાવ્યું. એ દિલીપ કુમારના જીવનની ધન્ય ઘડી હતી; તેમને ડૂમો ભરાઇ આવ્યો હતો.

૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ આપણે આ પરિચયાત્મક લેખમાળાના બીજા મણકા - દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ-ની વાત કરીશું.