"Speaking Tree" - બોલતું વૃક્ષ (?) - [http://www.speakingtree.in] પરની આ પૉસ્ટ આ બ્લૉગની વિચારધારાસાથે સુસંગત છે, તેથી કંઇ પણ ટીપ્પણી વગર અહીં મૂકી છે.
ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
Thursday, December 15, 2011
Tuesday, December 13, 2011
gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ
gujarati world: કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ:
'via Blog this'
'via Blog this'
શ્રી ઉર્વીશ કોઠારીએ શ્રી મારિયોને છાજે અને તેમને પૂરેપૂરો ન્યાય આપતી આ પૉસ્ટ કરી છે.
આ જ સંદર્ભમાં શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં [દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી]કરેલ લેખ અત્રે યાદ કરવો જોઇએ. [સંદર્ભઃ આ બ્લૉગ પર જ ૪-૧૨-૨૦૧૧ના રોજ લખેલ આ પૉસ્ટ http://ashokvaishnavliesureshare.blogspot.com/2011/12/blog-post.html
Labels:
I Liked these,
ઉર્વીશ કોઠારી,
કાર્ટુન કળા
Location:
Ahmedabad, Gujarat, India
Saturday, December 10, 2011
નવનીત સમર્પણ, ડીસેમ્બર,૨૦૧૧ ના અંકના ત્રણ લેખવિષે મારા વિચારો
નવનીત સમર્પણ [http://www.bhavans.info/periodical/samarpan.asp]નો હું પાંત્રીસ - ચાલીસ વર્ષથી હું [માત્ર] વાંચક અને [અદમ્ય] ચાહક રહ્યો છું.મને એવું યાદ નથી આવતું કે તેના કોઇપણ અંકમાંનું ઓછામાં ઓછાં એક ઘટક - લેખ કે કાવ્ય કે નવલિકા કે 'અને છેલ્લે'નો એકાદ ટૂચકો- પરનો પ્રતિભાવ કોઇ સાથે share ન કર્યો હોય.
ડીસેમ્બર,૨૦૧૧ ના અંકમાં પણ બધું જ વાંચવાની મજા તો પડી જ, પરંતુ તેમાંના ત્રણ લેખ આ પૉસ્ટમાટેનું પ્રેરકબળ બની રહ્યા.
શ્રી હસમુખ વ્યાસે "ડાયરો" ['શબ્દચર્ચા', પૃ. ૨૨] જમાવતાંવેંત જ આપણને સમજાવી દીધું કે પાંચ સાત ડાહ્યા લોકોના એકઠા થવાના મંચને 'ડાયરો' કહેવાય.મનમાં ને મનમાં આપણેપણ એ પાંચ સાતમાં છીએ તેવું માની લઇએ ત્યાં સુધીમાં તો લેખક સાફ શબ્દોમાં ચોખવટ કરી નાંખે છે કે ન તો આ અર્થઘટન કે ન તો આ વ્યુત્પતિ બરાબર છે. મૂળ "[અ.] દાયર→ દાઇરહ→ દાઇરાહ→ દાહિરા→ડાયરા →ડાયરો [ગુ.]" સાચું ગણાય. જો કે 'ડાયરા' શબ્દની મારી સહુથી પહેલી ઓળખાણ તો બાળપણમાં શ્રીઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના ગામના રાજવીઓને ત્યાં ભરાતા દરબાર તરીકેની છે. તે વખતે ચારણો પોતાનાં પદ્ય દુહાને સ્વરૂપે સંભળાવે, કસુંબાપાણી થાય અને રાજના સમાચારની આપલે થાય. એટલે એ દ્રષ્ટિએ તે એક વર્તુળાકારની બેઠક જરૂર હોય અને તેમાં ડહાપણ, સાંપ્રત સમાજ અને સાહિત્યને સ્થાન પણ રહેતું. તેથી આજના સૌરાષ્ટ્રના લોકસંગીત અને લોકકળાના જાહેર કાર્યક્રમોને 'ડાયરો' કહેવાયા તે પણ સમજ તો પડે. અચરજ માત્ર એ વાતનું રહ્યું કે મૂળ અરબી કુળનો શબ્દ માત્ર સૌરાષ્ટ્રની લોકકળાનાં એક પ્રકારનાં પ્રદર્શન સુધી કઇ રીતે પહોંચ્યો હશે?
તે ઉપરાંત હિન્દીમાં दायरेमें रहेना કે होना તેમ [અંગ્રેજી 'purview'ની સમકક્ષ (equivalent)] વપરાતો શબ્દ दायरा આ શબ્દચર્ચાના દાયરામાં આવે કે નહીં? અને જો આ 'દાયરા' અને સૌરાષ્ટ્રનો 'ડાયરો'એક જ અરબ શબ્દની ઉપજ હોય તો તેમના ઉપયોગમાં આટલું અંતર કેમ હશે? લેખકે રજૂ કરેલ ત્રીજા ઉપયોગમાં આ કડી શોધીએ? તેમણે અરબીના 'દાઇ'નૉ એક અર્થ ધર્મ પ્રચારક [કે ઉદેશક] થાય છે તેમ જણાવીને તે સબબ એકઠા થતા સમુદાયને 'દાયરા' એમ સમૂહવાચક ઓળખાણ મળી તેવી વ્યુત્પતિ સમજાવી છે.
… … … …
શ્રી દિનકરભાઇ જોષીની જીવન પ્રત્યેની સંતુલિત આસક્તિ [કે અનાસક્તિ]ની લાગણીનો માર્મિક ધબકાર "જો આ હોય મારું અંતિમ પ્રવચન"માં [પૃ. ૩૯-૪૯]માં અનુભવી શકાય છે. યોગેશ્વરજીના દેહત્યાગની ઘડીનું તાદ્દશ્ય વર્ણન આપણને પણ જીવનની ક્ષણભંગુરતાની વાસ્તવિકતાની,તેમણે અનુભવી હશે તેટલી જ ઉત્કટતાથી,અનુભૂતિ કરાવી આપે છે. અને તેમ છતાં 'સંસારી' હોવું આવી શારિરીક મૃત્યુ કે માન-અપમાનના માનસિક મૃત્યુ જેવા અનુભવોને 'બધિર' ચેતાતંત્રથી સહન કરી જવા કે 'ક્યાંય ફોટો' ન થઇ જવાના 'સંન્યસ્ત' મર્મમય જીવી જાણવું તેવી શક્તિ કેળવવી તેવો સંદેશ પણ આપણને મળે છે.શ્રી મહેશભાઇ શાહે તેમને ૨-૧૦-૨૦૧૧ના રોજ યોજાયેલાં આ પ્રવચનના પરિચય દરમ્યાન શ્રી જોષીને 'દરેક પાત્રોનાં ઉંડાણ સુધી જઇને તેનો મર્મ' પારખી શકે તેવા 'કવિ'કેમ કહ્યા છે તે કેટલું યથાર્થ છે તે સમજી શકાય છે.
દરેક દુઃખનું ઓસડ દહાડા છે તે આદિકાળનુ કથન આપણે બધા જ જાણીએ છીએ અને તે રીતે [કોઇપણ] યાદ(memory)કે લાગણીની આવરદા ટુંકી હોય છે તે પણ સમજતા હોઇએ છીએ. તેમ છતાં તેમનો "માણસ અમરત્વના અભિશાપને શીદને શોધતો હશે" સવાલ આપણને યુધિષ્ઠીરને યક્ષે પૂછેલા પ્રશ્નની યાદ અપાવડાવે છે.
… … … …
ભારતીય કંઠ્ય શસ્ત્રીય સંગીતમાં અમીરખાં સાહેબ શા માટે મારી [લગબગ એક માત્ર] પસંદ રહ્યા છે તે પણ સમજી કે સમજાવી ન શકું તેટલું પણ મારું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી એમ સ્વિકારવામાં હું જરાપણ શરમાતો નથી, અને તેમ છતાં મારી શ્રવણેન્દ્રીય તેને સ-રસ સાભળી અને મગજનો સંલગ્ન ભાગ તેને સમજી અને માણી જરૂર શકે છે તેમ કહેવામાં હું ખોટું નથી કહી રહ્યો.
શ્રી સરોજ પોપટનો "પં. મહેન્દ્ર ટોકે" લેખ બીજા રસપ્રદ લેખોની જેમ જ વાંચી ગયો હોત, પરંતુ શરૂઆતમાં જ 'ઉસ્તાદ અમીરખાં'ના નામના વજનદાર ઉલ્લેખની સાથે સાથે તેમની 'અદ્વિતિય ગાયકીનો પ્રભાવ ... ફિલ્મ સંગીતમાં પણ.. પાથર્યો હતો' જેવી ટીપ્પણીના ખટકાને કારણે આખો લેખ જીણવટથી વાંચવાનું મન થયું. આગળ જતાં શ્રી મહેન્દ્રા ટોકેએ અમીરખાં સાહેબની ગાયકી પસંદ કરવા પાછળ આપેલ કારણ - "ઘરમાં ચોવીસે કલાક ઉસ્તાદ અમીરખાંની ગાયકી ગૂંજ્યા કરતી.એ ગાયકી એક પ્રકારની અધ્યાત્મ સાધના જેવી છે. તમે ક્યારે સ્વરસમાધિમાં સરકી પડો એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે" - એ હવે તે વ્યક્તિત્વમાં પણ રસ બની ચૂક્યો હતો.
એટલે પછીથી Googleપરની શોધ પરથી તેમની LinkedInની link [http://in.linkedin.com/pub/mahendra-toke/18/71a/388] જોવા મળી એટલે તેમના પરની બે રાગ - ભટિયાર
અને લલિત ની clip
સાંભળી.
મારાં સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે તેમની ગાયકી પર કંઇ ન કહેવામાં શાણપણ છે.
… … … …
પૂર્ણતાના આગ્રહી એક વાચકે દિવાળી અંક વાચતાં પહેલાની પહેલી નજરે જ 'શરદ ઋતુના રાગો -રોગો'માં કેટલીક હકીકત ત્રુટિઓ ગણાવી દીધી છે. જેના જવાબમાં તંત્રીશ્રીએ આ બાબતે તેમનાં [સ્વાભાવિક જ] અજ્ઞાનને દરગુજર કરવાની ક્ષમા અરજી પણ કરી દીધી. જો કે કોઇપણ લેખમાંની આવી ટેકનિકલ ક્ષતિઓમાટે તો લેખક જવાબદાર હોવા જોઇએ.ખરેખર, નવનીત સમર્પણ જેવાં સામયિકના તંત્રી થવું એ કંઇ ખાંડાના ખેલ નથી!
Labels:
'નવનીત સમર્પણ,
I Liked these,
My personal views
Location:
Ahmedabad, Gujarat, India
Sunday, December 4, 2011
દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી - ભાગ - ૨
આની પહેલાંની આ વિષયની પૉસ્ટના સંદર્ભમાં જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને અહીં અલગથી રજૂ કર્યું છે. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.
'કૅચફ્રૅઝઃ સકસેસકા સુપરહિટ ફોર્મ્યૂલા' [‘વિહાર’ - કાના બાટવા]માં હાલમાં જેનું ચલણ વધારે છે તેવી જાહેરાતોની મદદથી એડ્વર્ટાઇઝીંગની દુનિયાની જાની-પહેચાની ઘટનાઓને ખુબ જ રસદાર માહિતિનાં સ્વરૂપમાં રજૂ કરાઇ છે.શ્રી બાંટવાએ અતિ પરિચિત ઉદાહરણોની મદદથી માર્કેટીંગ મૅનૅજમૅન્ટના વર્ગોમાં કે એડ્વર્ટાઇઝીંગ વિશ્વના નવોદિતોને વર્ષોથી શીખવાડાઇ રહેલ 'ટૅગલાઇન'નું મહત્વ લેખની શૈલિ અને વસ્તુમાં બખૂબી વણી લીધું છે. કૅચફ્રૅઝના રાજકારણ, વ્યવસાય અને રોજબરોજનાં જીવનમાં થતા પ્રયોગોના ઉલ્લેખથી લેખ સભર બન્યો છે. બીજી એક વાત, કૅચફ્રૅઝના સમાનાર્થ તરીકે રૂઢપ્રયોગનો પ્રયોગ જામ્યો નહીં!
શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં શ્રી લક્ષ્મણના આમ આદમીની અસામાન્ય બાબતોને ખાસી જીણવટથી આવરી લીધી છે. આ રીતે તેઓ શ્રી લક્ષ્મણની શૈલિ અને ફિલૉસૉફીને તેમ જ વાંચકોની અપેક્ષાએ ખરા ઉતર્યા છે. શ્રી લક્ષ્મણએ 'આપાતકાલ'ના દિવસોમાં TOIમાંની 'You Said It’ની ચોક્કસ જગ્યાને ખાલી રાખીને આગવીરીતથી તેમનો વિરોધ નોંધાવેલ.તેમ છતાં તેમનાં કાર્ટૂનમાં પ્રદર્શીત થવું એ બહુ સન્માનીય ધટના ગણાતી. TOIના અસંખ્ય વાંચકો, 'અસામાન્ય' આર કે લક્ષ્મણના આપના આ 'સામાન્ય’ ચાહક સુધ્ધાં,નો દિવસ 'You Said It' વાચ્યાવગર આખો દિવસ બગાસાં ખાતાં જતો.
"રાજ્યોનું વિભાજનઃ સારા વહીવટની ચાવી" ['તડ ને ફડ']માં શ્રી નગીનદાસ સંઘવીની સુખ્યાત શૈલિથી અતિક્રમીને તેમણે પ્રસ્તુત વિષયની ચર્ચામાંઅન્ય ઉદાહરણોપણ ટાંક્યાં છે.જો કે આ અન્ય ઉદાહરણોનાં પરિણામોમાટેનાં કારણભૂત પરીબળો સમાન હોય તે જરૂરી નથી.
શ્રી અનિલ જોશીએ "એ લોકો બૌધ્ધિક નહીં, હોશીયાર હોય છે.."['કાવ્ય વિશ્વ']માં મીઠાંનાં પાણીમાં પકવેલા કવિતાના કોરડા મારવામાં જરા પણ શરમ નથી ભરી.એકબીજાની પીઠ થાબડીને 'હું સારો, તું સારો'ની [આજના] બૈધિકોની મનોદશાપર સૌમ્ય ભાષામાં આનાથી વધરે તિક્ષ્ણ કટાક્ષ પહેલાં નથી વાચ્યા.
તે જ રીતે વર્ષા[બેન] પાઠકે પણ ખુશામતખોરીસામે સામે બંડ જ પોકાર્યું છે.["પપૂ,ધધુ,સંશિ, ક,ખ .. ઝ,જ્ઞ?"-'આપણી વાત'] વખાણને ચમચાગીરીમા ઢળી જતાં કેમ વાર નથી લાગતી તે આ લેખના વાચકોને સટાસટ સમજાઇ જશે.[મુકેશભાઇ મોદીના પ્રયત્નો એળે તો નહીં જાયને? ( "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!" - 'Small સત્ય')] ખુશામતનાં આ સાધનોનો ત્યાગ તો ગૌતમના ગૃહત્યાગથી પણ વધારે કઠીન પરવડી શકે છે.
"બેંડ - બાજા - બારાત" ['La-ફ્ટર' - વિનય દવે]વાંચતાં વાંચતાં આજનાં લગ્નોપાછળના ખર્ચા અને મહેનત એક આંખમાં હાસ્ય તો બીજી આંખમાં આંસુ લાવી દે છે. આશા રાખીએ કે આ 'વૈભવી' વ્યર્થ ખર્ચાને બદલે પ્રસંગોચિત ઉજવણી દ્વારા આ લેખને સફળતા મળે!
શ્રી મનોજ શુક્લએ ["માતા પ્રત્યેનો પ્રેમઃ આપણા સંસ્કારી હોવાનો પુરાવો" ('ખુલ્લી વાત ખૂલીને')] 'મા'ના પ્રેમથી ભલભલા "પુરૂષો"ને દિલમાંતો રોવડાવ્યા હશે,ભલે સ્ત્રી-ભૃણ બાબતે તે લાગણી બાષ્પીભવન થઇ જતી હોય.
"વ્યાવસાયિક ક્ષેત્રમાટે વર્કફૉર્સ તૈયાર કરતીઃ ટિમલીઝ" ['સ્ટ્રૅટૅજી & સક્સેસ']માં શ્રી પ્રકાશ બિયાણી આ વખતે પહેલી પેઢીના સફળ વ્યવસાય-સાહસિકોની વાત રજૂ કરવાની સાથે સાથે Unemployable youthના બહુ જ સમયોચિત વિષયપર આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. એક તરફ માધ્યમિક શિક્ષણપછીનો તરૂણ અને ઉચ્ચ શિક્ષણ પછીના યુવાનને નોકરીના બજારમાં 'સેલ'માં વેંચાવામાટે લાઇન લગાડવી પડે છે તો બીજી બાજૂ સ્નાતકની પદવીપછીથી ન છૂટકે અનુસ્નાતકની છાપ મરાવવામાટે આવેલા માલથી યુનિવર્સીટીઓ છલકાય છે. આમ જેનાં ઉત્પાદનો બજારની અપેક્ષાએ ઉણાં પડી રહ્યાં છે તે ખનગીકરણ થયેલ શિક્ષણ વ્યવસાય 'સૂર્યોદય' ઉદ્યોગ ગણાય અને તે ગંગામાં હાથ ધોવામાં હાથ ધોવામાટે પણ લાઇન લાગે તે સમજાય છે?
પડોશના "સોફિયાને મળવું ગમશે?"માં ['સાયબર સફર'] શ્રી હિમાંશુ કીકાણીએ 'સોફિયા' જેવી એપ્પલીકેશનની મદદથી આશાનું કિરણ તો કરી આપ્યું છે,પણ લેખના અંતમાં તેમનો 'જો'નો ઉપયોગ ફરીથી ચિંતામાં નાખી દે છે.
'કળશ'ના આ અંકમાટેના વિચારોને લિખિત પ્રતિભાવનું સ્વરૂપ આપવાની પ્રેરણાનું શ્રેય "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!"ને ['Small સત્ય' - મુકેશ મોદી] પણ આપવું જોઇએ.વખાણની જરૂર તેમણે સુપેરે સમજાવી છે તો સાથે સાથે ચાપલુસીની ભેદરેખા પણ દોરી બતાવી છે.માનસશાસ્ત્રનાં 'પ્રશંસા'પર ગ્રંથસ્થ થયેલાં સંશોધનો ઉપરાંત પણ બહુ થોડા લોકોએ પ્રશંસાને, પ્રોત્સાહનનાં માન્ય સાધન તરીકે કે ચમચાગીરીનાં દેખીતાં હથીયાર તરીકે,લલિત કળાના દરજ્જાનું સ્થાન આપ્યું છે. પરંતુ તે જણાય છે તેટલું સરળ કેમ નથી તે આ લેખ વાંચીને સમજાઇ જશે.
પુનરાવર્તનનાં પુનરાવર્તન જેવા સાહિત્યના વિજ્ઞાનના સિધ્ધાંતની શુશ્ક્તા શ્રી મધુ રાય [ઠાકર]ને રસપ્રચુર કરીને માખણની જેમ ગળેથી ઉતારી દેવામાં જરૂર સફળ રહ્યા છે.["ગફલત તે ગફલતને ગફલત છે" - 'નીલે ગગન કે તલે' - મધુ રાય]. મને તો તેમની અંગ્રેજીની ભેળસેળીયા છાંટ વગરની (ગુજરાતી, માત્ર ગુજરાતી અને ગુજરાતી સિવાય કંઇ જ નહીં) ભાષાપણ એટલીજ અસરકારક, આધુનિક અને રમતિયાળ હતી તેવું બરાબર યાદ છે.સીતાફળની બાસુંદીમાં જેમ તેના ઠળીયા કઠે તેમ (મારી દ્રષ્ટિએ) બીનજરૂરી અંગ્રેજી ભાષા વાપરીને તેઓ શું સિધ્ધ કરી રહ્યા છે તે સમજાયું નથી. જો કે શ્રી ચંદ્રકાત બક્ષી પણ ભારેખમ ઉર્દુ શબ્દોનો પ્રયોગથી તેમની અન્યથા આધુનિક, પ્રભાવશાળી શૈલિને (કદાચ) બીનપરંપરાગત સિધ્ધ કરતા હતા તેમ પણ મારૂં માનવું છે.
"બેઇલઆઉટઃ મા, મને કોઠીમાંથી કાઢ!" ['શબદ કીર્તન']માં તો શ્રી પરેશ વ્યાસે આપણાં ‘Bail out’નાં જ્ઞાનને વિના અરજીએ ‘Bail out’ કરી આપ્યું છે.
શ્રી બકુલ દવે "ઘરડા નહીં, પરિપક્વ થઇએ"માં ['અક્ષયપાત્ર'] ઘડપણને બહુ સલુકાઇથી વૃધ્ધત્વમાં નીખારી નાખે છે, તો શ્રી અજય નાયક "મને ઓળખે છે તું?!"માં ['નાવીન્ય'] અહંકારનાં પડળ ચપટીમાં સાફ કરી નાખે છે.આખી જીંદગી નીકળી જાય તો પણ આપણે કોણ છીએ તે યક્ષપ્રશ્નનો જ્વાબ ન મળે તે વિધાન તો આજનાં guided missileની જેમ તેનું નિશાન પાર પાડે છે.
પણ ખરા નસીબદાર તો કહેવાવા જોઇએ શ્રી ચેતન ભગત. શ્રી વિનોદ મહેતાની ખુબજ પૂર્વ-પ્રસિધ્ધિનાં ડંકાનિશાનથી સવાર પુસ્તકને 'જરૂર વાચવું'જેવી નવાજીશ પણ પાનાંની પાદનોંધમાં શોધવી પડે, જ્યારે શ્રી ચેતન ભગતની 'રિવોલ્યૂશન ૨૦૨૦'ને મજા ન આવી જેવી ભારેખમ ટીકામાટે શ્રી જયેશ્ભાઇની પૂરી કૉલમ બબ્બે વાર મળે.[ "રિવોલ્યૂશન ૨૦૨૦'ને એક ભ્રમ છે'- ચેતન ભગત" - 'મૂડ ઇન્ડિગો' - જયેશ અધ્યારુ] જો કે ‘Outlook’ નો તો હું તેની શરૂઆતથી જ વાચક છું અને ચેતન ભગતના TOIપરના લેખ/ બ્લૉગ પણ મારામાટે રસપ્રદ વાંચન રહેલ છે, તેમ મારે અત્રે કહેવું તો જોઇએ..
ઇશ્વરની સર્વવ્યાપકતાને "તમે ક્યાં છો અને ક્યાનૂ સરનામું આપો છો"ની મદદથી શ્રી સંજય છેલ કેવી આસાનીથી સમજાવી જાય છે.["ભગવાન ભવનમેં ભીડ હૈ ભારી, સુણો અરજ હમારી" - અંદાઝે બયાં]. આટલા ગહન વિષયને એટલા જ મુશ્કેલ સિધ્ધાંતની સાથે જોડીને એટલી જ સરળતાથી ડૉ. જે.જે.રાવળએ 'જન્મભૂમિ પ્રવાસી'માની તેમની લેખમાળામાં થોડાં અઠવાડીયાં પહેલા સમજાવ્યું છે.
Labels:
My personal views,
દિવ્ય ભાસ્કરનો 'કળશ'
Location:
Ahmedabad, Gujarat, India
Monday, November 28, 2011
૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક - એક અનેરો અનુભવ - ભાગ - ૧
૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક એક અનેરો અનુભવ રહ્યો.
લગભગ દરેક લેખ પોતપોતાનાં ક્ષેત્રમાં તેની પરકાષ્ઠાની કક્ષાએ જણાયો.
સમાન્ય રીતે, દરેક અંકમાં થોડા લેખ આટલા સારા થયા હોય તેમ થતું હોય.એટલે, તે લેખોને આનંદીએ અને અંદરોઅંદર,મિત્રોસાથે કે કુટુંબીજનોસાથે,સક્રિય ઉત્સાહથી ચર્ચાઓ કરીએ એટલે વાત થાય પૂરી.
પરંતુ આ અંકની મજાને કારણે પેદાથયેલાં વિચારવમળ તમારી સાથે પ્રતિભાવનાં સ્વરૂપે પહોંચાડવા માંગું છું.
તમે અને તમારી તંત્રી ટીમ મૅનૅજમૅન્ટની અખબારના - રોજ બ રોજ તેમ જ વરસો વરસ, ફેલાવા અને અન્ય સ્પર્ધામાંનાં અખબારોની સરખામણીમાં બજારનો હિસ્સો જેવી નિતિવિષયક માર્ગદર્શિકાઓ, અખબારની જ અન્ય પૂર્તિઓ તેમ જ અન્ય અખબારોની સમકક્ષ પૂર્તિઓ તેમ જ આ જ પ્રકારનાં અન્ય પ્રકાશનો સાથે સ્પર્ધાત્મક તેમ જ ગુણાત્મક સરખામણી; તમારી પોતાની વ્યક્તિગત તેમ જ તમારી તંત્રી ટીમની તમારી પોતાની સર્જનાત્મક અપેક્ષાના સદર્ભે કામગીરીની તેમ જ આ ક્ષેત્રના માન્ય લોકોદ્વારા ઔપચારિક તેમ જ અનૌપચારિક મુલવણી, સમગ્ર અંક નાં આયોજીત સ્વરુપ તેમ જ આવરી લેવાતી સામગ્રી તેમ જ કોઇ એક લેખના સદર્ભે તમારા વ્યાવસયિક ક્ષેત્રની તેમ જ સાહિત્ય ક્ષેત્રના અન્ય માન્ય લોકોની દ્રષ્ટિમાં તમારૂ સ્થાન જેવા અનેક પરિબળોના પરિપ્રેક્ષ્યને કારણે થતાં દબાણોની હું સારીરીતે કલ્પના કરી શકું છું.
આ બધી દ્રષ્ટિકોણથી વિચારીએ તો ,કમ સે કમ,તમારા લગભગ બધા જ પ્રકારના વાચકોમાટે 'કળશ'ની આગવી ઓળખ જરૂર થઇ ચૂકી છે.
જો કે હું તમારા કેટલાક લેખકોની સરસ લખાયેલાં ગુજરાતીમાં કારણ વગરનાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાની શૈલી સમજી નથી શક્યો. જ્યાં ગુજરાતી શબ્દનો પ્રયોગ શ્રી ભદ્રંભદ્રની યાદ અપાવે અથવા તો અંગ્રેજી શ્બ્દ કોઇપણ સામાન્ય ગુજરાતીની વાતચીતની ભાષામાં પણ સહજરીતે વપરાતો હોય ત્યાં અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે તે સમજી શકાય અને સ્વિકાર્ય છે. સિવાય કે '૮૦ પછીનીઅડધાંપડધાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને હવે તેમનાં બાળકોસાથે ગુજ્જુગ્રેજીમાં વાત કરે તો જ મૉડર્ન કહેવાવાય એ પેઢીને ધ્યાનમાં રાખીને આ શૈલિ પ્રયોગ કરાતી હોય તો પછી કંઇ કહેવામાટે રહેતું નથી.
'કળશ' તેના વાચકના રસને કેળવી શકે એવાં અન્ય પ્રકાશનો, જેવાં કે ચિત્રલેખા,ની કક્ષાએ પહોંચી ચૂક્યું છે. એટલે 'કળશ' ઇચ્છે તો તે તેના વાચકોને 'સારાં' ગુજરાતીની ટેવ જરૂર પાડી શકે. જો કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવી તેવા બીન-વ્યાવસાયિક ઉદ્દાત આદર્શો સેવવા કે નહીં તે તમારી એડીટોરિયલ ટીમ તેમ જ દિવ્ય ભાસ્કર મૅનૅજમેન્ટનો અબાધિત હક છે, તેથી મારા જેવા વાચકે તે અંગે માત્ર પોતાની લાગણીને વાચા આપી અટકી જવું જોઇએ.
તમને, તમારી તંત્રીગણ ટીમ અને તમારા લેખકોને સાંપ્રત વિષયો, આધુનીક ભાષામાં ઉચ્ચ વ્યાવસાયિક માપદંડથી સજ્જ શૈલિમાં સરસ ગુજરાતી વાંચન, દર અઠવાડીએ પીરસવામાટે અભિનંદન અને અભાર.
આશોક વૈષ્ણવ
P.S.
-- 'કળશ'નાં તંત્રીમંડળને લખેલો પત્ર
--- આ અંકના જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને આ સાથે અલગથી પૉસ્ટ કરીશ. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.
Labels:
I Liked these,
દિવ્ય ભાસ્કરનો 'કળશ'
Location:
Ahmedabad, Gujarat, India
Tuesday, November 15, 2011
'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪: ‘ચિત્રલેખા'
'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪ ને ‘ચિત્રલેખા'ના ઇતિહાસ અને
વિકાસનો સ-રસ અને માહિતિસભર ગ્રંથનાં સ્થાને મુકી પણ શકાય. ને તેમ છતાં ધારીએ તો
એક બેઠકે વાચી પણ જઇ શકાય તેમ છે.
ભારતમાં
અખબાર અને મૅગૅઝિન પ્રકાશનક્ષેત્રે કુટુંબદ્વારા સંચાલનથી શરૂ થયેલ, પણ સમયની માંગ
પ્રમાણે વાણિજ્યિક તેમ જ તંત્રી વિભાગોમાં વ્યાવસાયિક પ્રતિભાને વિકસવામાટેની
પૂરતી તકો આપવી તે પ્રણાલિકા તો જોવા મળે જ છે. જો કે સામાન્ય રીતે અન્ય
પ્રકાશનગૃહો કોઇને કોઇ ઔદ્યોગિકગૃહનો હિસ્સો જ હોય છે.એટલે, ત્યાં ઔદ્યોગિક
સંચાલનની કુનેહનો લાભ પ્રકાશન સંસ્થાને પણ મળી રહે.જ્યારે 'ચિત્રલેખા' ની શરૂઆતની ભાત થોડી અલગ છે. એક વ્યાવસાયિક પ્રથમ જ વાર ઉદ્યોગસાહસિકના સ્વાંગમાં મંચ પર આવ્યા હતા, પ્રકાશનો હજૂ સયંસંચાલનના વેગમાં પહોંચે તે પહેલાં અકાળે ‘મંચ’ છોડી પણ દીધો.તે પછીથી ગૃહિણિમાંથી વ્યવસાય સંચાલન, અને તે પણ મૅગૅઝીન પ્રકાશન જેવું સંકુલ સંચાલન મધુરીબેને સંભાળ્યું,હરકિશનભાઇ જેવા શુભચિંતક વ્યાવસાયિકને એવા કપરા સંજોગોમાં સંસ્થામાં જોડવા માતે પ્રેરિત કરવા એ બધું 'ચિત્રલેખા'ને અન્ય પ્રકાશનોથી સંજોગોના પ્રભાવની બાબતે તેટલાં પૂરતું અલગ પાડી દે છે.
અને તે પછીનો ઇતિહાસ આ પુસ્તિકામાં જીવંત સ્વરૂપે લખાયો છે.
ચિત્રલેખાની
તવારીખના ઉતાર-ચડાવ તૉ હરકિશન મહેતાની નવલકથાનું વાંચન યાદ કરાવી દે.
ચિત્રલેખાના
આજ સુધીની આ સફલયાત્રા માટે તેમની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ યશનું હકદાર છે. જે સંસ્થાને ઉત્તરોત્તર આવું બાહોશ અને નિષ્ઠાવાન નૅત્રુત્વપુરું
પાડે તેવી વ્યક્તિઑ
મળી રહે તે સદ્ભાગ્ય તૉ ખરું જ,પરંતુ દરેક પુરોગામી નેતાની
દુરંદેશીભરી દ્રશ્ટિ
સિવાય આવું ભાગ્ય સદ્ભાગ્ય સુધીની કક્ષાએ પહોંચે નહીં તેમ પણ સ્વિકારવું
જોઇએ.
ચિત્રલેખા
કુટુંબ - ટીમની દરેક વ્યક્તિ
તરફ હું એક વાચક્ની
દ્રષ્ટિથી ખુબ જ અહોભાવ અનુભવું છું.
Labels:
I Liked these,
ચિત્રલેખા,
પરિચય પુસ્તિકા
Saturday, November 12, 2011
BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत
BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत:
'via Blog this'
'via Blog this'
સ્ટીવન સ્પિલબર્ગનાં ટીનટીન પરનું ઍનીમૅશન ચલચિત્ર ભારતમાં, તેની અહીં વધારે લોકચાહનાને કારણે, પહેલાં રજૂ કરાઈ રહ્યું છે તે જેટલી આનંદની વાત છે તેટલી મારે માટે નવાઇની પણ વાત છે.
ટીનટીનનું બંગાળીમાં અને હિન્દીમાં ભાષાંતર પણ થયું છે તે પણ મારામાટે તો 'સમાચાર' જ છે. ભાષાંતર વિશે તેમ જ ટીનટીનની ભારત ની બે સફર [એક વધુ અચરજ!] 'બીબીસી ન્યુઝ'પરના તેમના દિલ્હીના સંવાદદાતા શ્રી સૌતિક બિશ્વાસનો સ-રસ લેખ [http://www.bbc.co.uk/news/15680397] પણ વાંચવા યોગ્ય છે.
ટીનટીનના લેખક ની સંશોધનની મહેનતની વાત આપણા લેખકોએ બોધ લેવાપાત્ર છે.....
Labels:
BBC Hindi,
BBC News,
I Liked these,
Tinting
Location:
Ahmedabad, Gujarat, India
Subscribe to:
Posts (Atom)