Saturday, March 28, 2015

મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૫૦ના દાયકાનાં ગીતો

૨૪-૧-૨૦૧૫ના રોજ આપણે મુકેશના સ્વરમાં અનિલ બિશ્વાસ દ્વારા સ્વરબદ્ધ કરાયેલાં ૧૯૪૦ના દાયકાના ગીતો સાંભળ્યાં હતાં. તેમના સંગાથની સફર ૧૯૫૦ના દાયકામાં ચલુ જ રહી....

જાઓ સિધારો જાઓ સિધારો ઓ રાધાકે શ્યામ - શમશાદ બેગમ, એસ ડી બાતિશ સાથે - આરઝૂ (૧૯૫૦) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી

એક નૃત્ય નાટિકાની રજૂઆતનું ત્રિપુટી ગીત

ખબર કિસિકો નહીં - મોહમ્મદ રફી, અને જી એમ દુર્રાની સાથે - બેકસૂર (૧૯૫૦) - ગીતકાર - અહેસાન રીઝવી

બધા જ પુરુષ સ્વરનું એક મજાનું કવ્વાલી શૈલી ત્રિપુટી ગીત

જમાનેકા દસ્તુર હૈ યે પુરાના મીટાકર બનાના બનાકર મીટાના - લતા મંગેશકર સાથે - લાજવાબ (૧૯૫૦) - ગીતકાર - પ્રેમધવન

લતા મંગેશકર અને મુકેશનાં બહુ જ યુગલ ગીતો સમગ્ર યુગલ ગીતોમાં ટોચનાં સ્થાન પર રહ્યાં છે. એ ગીતોમાં પણ આ ગીત તો અગ્રેસર છે જ....

અય જાન-એ-જિગર દિલમેં સમાને આ જા - આરામ(૧૯૫૧) - ગીતકાર - રાજેન્દ્ર કૃષ્ણ

પૂર્વાલાપ અને અંતરા વચ્ચે પિયાનોના ઉત્કૃષ્ટ ઉપયોગને કારણે પિયાનોના મહદ્‍ ઉપયોગ સાથેનાં ગીતોમાં પણ પ્રથમ હરોળનું ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન જાળવી રહેલ છે…..

પ્યારકી રાહમેં ભટકનેકા ડર - લતા મંગેશકર સાથે - બડી બહૂ (૧૯૫૧)- ગીતકાર : પી એન રંગીન

બહુ અનોખી લયપર સજ્જ થયેલાં ગીતમાં બંને ગાયકોએ એકદમ સાથેજ ગાવાની અને સાથે ગાતાં છૂટાં પડી જઇ અને ફરીથી સાથે થઇ જવાની શૈલીનો પ્રયોગ કર્ણપ્રિય પણ નીવડ્યો છે.

 કાહે નજરોંમેં કજરા ભરો - લતા મંગેશકર સાથે - બડી બહૂ (૧૯૫૧) - ગીતકાર પ્રેમ ધવન

યુગલ ગીત માટે કંઇક અંશે ઝડપી કહી શકાય એવી લયનો અનોખો પ્રયોગ.


દમ ભરકા થા દૌર ખુશીકા - માન (૧૯૫૪) ગીતકાર સફદર 'આહ'

મુકેશનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોમાં નું એક રત્ન

બાદલોંકી પાલકીમેં આયી બરસાત -લતા મંગેશકર સાથે - જલતી નિશાની (૧૯૫૭)- ગીતકાર કમર જલાલાબાદી

વૉલ્ઝ ધુનનું મુખડામાં બહુ જ અનોખી રીતે મિશ્રણ કરીને નવી જ ભાત પાડતું ગીત

નહીં કિયા તો તૂ ભી કર કે દેખ કિસી પે મર કે દેખ - ચાર દિવાલ ચાર રાહેં (૧૯૫૯) - ગીતકાર સાહિર લુધ્યાનવી

ગીતના પૂર્વાલાપમાં વાજીંત્રો પર જે ધૂન સાંભળવા મળે છે તે સંગીતકાર રવિનાં "ભીખારી ગીતો - તુઝકો રખ્ખે રામ - જેવાં ગીતોની જન્મોત્રી કહી શકાય ....!!??.

સાથી રે, સાથી..રે, સાથી... રે, કદમ કદમ દિલ મિલા રહે હૈં હમ - ચાર દિલ ચાર રાહેં (૧૯૫૯)-- મીના કપુર, મહેન્દ્ર કપુર, મના ડે અને સાથીઓ સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી

સાહિર લુધ્યાનવીની ડાબેરી દેશદાઝને ઉજાગર કરતું શૌર્ય રસ જગાડતું ચતુકોષ્ણીય સમૂહ ગીત. પહેલા અંતરામાં @૧.૪૬ અને ૪.૨૫એ પિયાનો ટુકડાનો કેવો અભિનવ કર્યો છે, તે સાંભાળવાનું ચુકશો નહીં. આ ફિલ્મમાં રાજ કપુર અને શમ્મી કપુરે સાથે કામ કર્યું છે.

ઝીંદગીકા અજબ ફસાના હૈ, રોતે રોતે મુસ્કરાના હૈ - છોટી છોટી બાતેં (૧૯૬૫)- લતા મંગેશકર સાથે - ગીતકાર: શૈલેંદ્ર

હજૂ બહુ ગણી સર્જનાત્મકતા ભરી પડી હોવા છતાં નિષ્ઠુર વાણિજ્યિક સ્પર્ધાને કારણે અનિલ બિશ્વાસની આ છેલ્લી ફિલ્મ હતી. અભિનેતા મોતીલાલની પણ આ આખરી ફિલ્મ હતી.

ઝીંદગી ખ્વાબ થા હમેં ભી પતા, પર હમેં ઝીંદગી સે બહુત પ્યાર થા - છોટી છોટી બાતેં (૧૯૬૫) - ગીતકાર શૈલેન્દ્ર

અનિલ બિશ્વાસમાં કેટલી હજૂ જીવંત સર્જકતા હતી તેનો પુરાવો આ ફિલ્મનાં એક એક ગીતમાં ભર્યો પડ્યો છે... પણ નસીબની બલિહારી પણ અકળ હોય છે.. અલવિદા ..અલવિદા…………….



સાભાર : The Maker of Mukesh: Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ માર્ચ ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Tuesday, March 24, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ ૨૦૧૫


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ મહિનાનાં આપણાં બ્લૉગ સંસ્કરણમાં આપણે ઉત્પાદન સુધારણા (Improving the manufacturing performance)વિષય પરના લેખોની શોધ કરી અને તેમાંથી પસંદ કરેલા લેખો પર નજર કરીશું. આ વિષય પર લેખોની સંખ્યા તો ઘણી જ વધારે રહે તે સ્વાભાવિક જ છે, તેથી આપણે નમૂના રૂપે, થોડા, લેખો અહીં જોઈશું.

5 Ways to Boost Your Line's Performance -- Right Now... જોહ્ન મિલ્સ
૧. પ્રશિક્ષકોને પુરસ્કૃત કરવા. - આપણને જે વર્તણૂક અપેક્ષિત છે, તે પહેલાં સુનિશ્ચિત કરવી. એ પછીથી સંચાલકોને એ સંદર્ભમાં કે શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓનો કાર્યસ્થળે અમલ કરવા માટે પ્રશિક્ષિત કરવા.
૨. નાની નાની નિષ્ફળતાઓને પણ પુરસ્કૃત કરવી. - ઉત્પાદકતા એ એક પ્રક્રિયા છે, એટલે તેની સાથે એ રીતે જ પેશ આવવું જોઈએ.કર્મચારીઓ ટીમ તરીકે ઉત્પાદકતા વધારવા માટેના નાના પ્રયોગો પર કામ કરે તે વાતને પ્રોસ્તાહિત કરવી, એમાં મળતી સફળતાઓ અને નિષ્ફળતાઓ માટે પુરસ્કાર પણ નક્કી કરવા. કાર્ય સ્થળ પર જે કંઈ પણ પ્રયોગાત્મક કામ થશે તે જ લાંબા ગાળાના ફાયદાઓને ટકાવી શકવાની દિશામાં આગળ વધતું એક એક કદમ છે.
3. કાર્યક્ષમતાને પુરસ્કૃત કરવી - બીજી બધી ગણત્રીઓને ભોગે ઉપજ વિષે વળગણ ન કરવું. પુરસ્કારોનું ઘડતર એવી રીતે કરવું કે ઉત્પાદકતા સુધારણાને કારણે બચાવેલા સમયને લોકો 'બચત ખાતાં'ની જેમ સાચવી શકે અને રજાઓ કે માંદગી સમયે તે બચતને વાપરી શકે
૪. ભાગીદારીઓને પુરસ્કૃત કરવી - આમ તો ઉત્પાદન પ્રક્રિયાને સુધારવા કે વધુ સુદૃઢ કરવામાં બહુ લોકોને એકઠાં કરવાં એ દરેક વખતે ફાયદાકારક રહે તે જરૂરી નથી. પરંતુ એવા ઘણા પ્રસંગો આવશે જ્યાં બહારના સલાહકારો, નિષ્ણાતો કે પુરવઠાકારો સાથે ભાગીદારી સમયની માંગ બની રહે.
૫. પરિણામોને પુરસ્કૃત કરવાં - અને છેલ્લે, ધ્યાન તો ખેલના અંત પર જ હોવું જોઇએ. ઉત્પાદકતા -સુધારણા પહેલ શરૂ કરતાં પહેલાં નક્કર, માપી શકાય તેવાં લક્ષ્ય સ્પષ્ટ હોવાં જોઇએ. દરેક યોજનાનાં ઘડતર અને અમલ માટે અગ્રણી ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને પસંદ કરવી અને પરિણામો સિધ્ધ થાય ત્યારે તેમને પુરસ્કૃત કરવી.
Keys to Improving Manufacturing Efficiency
આખાં ઉપક્રમમાં ઉત્પાદનક્ષમતાને સીધી જ રીતે અસર કરે એવા સંકલિત ઉપાયો વડે પુરવઠા સાંકળની દૃષ્ટિગોચરતા, ઉત્પાદનનું સમકાલિકરણ અને કાર્યદક્ષતા પર નિયમન સિધ્ધ શી રીતે કરી શકાય તે આ પૅપરમાં રજૂ કરેલ છે.
A Diagnostic Tree for Improving Production Line Performance - વૉલેસ જૅ. હૉપ્પ, સૈયદ એમ આર ઈરાવાની, બીયીંગ શૌ
ઉત્પાદન તંત્ર વ્યવ્સ્થાની કામગીરી સુધારવાનું કામ મહત્ત્વનું તો ઘણું જ છે, પરંતુ મોટા ભાગે તે અનૌપચારિક પ્રવૃતિ બની રહેતું હોય છે. આવા કામચલાઉ , લાગ્યું તો તીર નહીં તો તુક્કો પ્રકારના પ્રયત્નોને કાર્યદક્ષ અને પધ્ધતિસરની સમીક્ષાઓમાં બદલી નાખવા માટે એક નિદાનાત્મક વૃક્ષ બનાવ્યું છે, જે કામગીરી સુધારણા ઉદ્દેશ્યોને ઉત્તરોત્તર નક્કર ઉપ-ઉદ્દેશ્યોમાં ફેરવીને બહુ જ પ્રછન્ન સુધારણા વ્યૂહરચનામાં પરિણમાવી નાખે છે.ઑપરેશન મૅનેજમૅન્ટનાં સાહિત્યમાંના સિધ્ધાંતોના આધાર પરથી આ વૃક્ષ કોઇ પણ બિન-નિપુણ વ્યક્તિને પણ સુધારાત્મક પ્રવૃત્તિ અને કામગીરી વચ્ચેની કડી સમજાવી આપે છે.તે નિર્ણય પ્રક્રિયાનાં વૃક્ષ અને જરૂરી દસ્તાવેજોને ઇન્ટ્રાનૅટ પર શોધવા માટેનાં સર્ચ એન્જીનસાથે જોડતાં જ્ઞાન આધારિત સંચાલન તંત્ર વ્યવસ્થાનો પાયો નાખવામાં પણ તેનું યોગદાન મહત્ત્વનું બની રહે છે.
Proven Principles for Improving Manufacturing Performance - પૌલ ડેનિસ, ટૉમ નાઈટ
પરિભાષાની ક્લિષ્ટતાની બહાર નીકળીને પુરવાર થયેલ બે માર્ગદર્શક સિધ્ધાંતોની મદદથી કારખાનાંના સંચાલકો બહુ મોટા પાયાની સુધારણાઓ અંકે કરી શકે છે. આ માર્ગદર્શક સિધ્ધાંતો છે - બેન્ચમાર્કીંગ અને માલના જથ્થામાં ઘટાડો તેમ જ લાંબા ઉત્પાદન સમય-ચક્ર જેવા વ્યયની નાબૂદી. કામગીરીના સુધારાઓ નફાકારકતાને ટકાવી રાખે અને સ્પર્ધાત્મક સરસાઇ બનાવી રાખે તે મહત્ત્વનું છે. સંચાલકોએ સુધારણાની કોઇ પણ પ્રવિધિ સૂચવતાં પહેલાં નિદાન કરવું જ જોઇએ.
How big data can improve manufacturing - ઍરિક ઔશીત્ઝ્કી, માર્કસ હૅમર અને અગેશન રાજગૌપાલ
(જ્યારે બહુ બધા આંકડાઓ પેદા થતા હોય [ભલે તેમાંનો મોટો ભાગ ડિજિટલ માધ્યમો પર ન પણ હોય] ત્યારે ઉત્પાદકો અગ્રવર્તી વિશ્લેષકો [advanced analytics]નો ફાયદો ઉઠાવીને પ્રક્રિયાઓની ખામીઓ ઘટાડીને સમય અને નાણાંની બચત કરી શકે છે.)
Jeff Dorman: Improving Performance
જૅફ્ફ ડૉરમૅન અગ્રણીઓ, સંચાલકો અને કર્મચારીઓ તેમજ ટીમની કાર્યક્ષમતાને સંસ્થાકીય સફળતાનાં નિર્ણાયક ઘટક તરીકે તપાસે છે...
Designing performance measures – a structured approach - ઍન્ડી નીલી, હ્યુ રિચર્ડ્સ, જોહન મિલ્સ, કૅન પ્લૅટ્ટ્સ અને માઈક બૌર્ની
(સારી રીતે સંશિધિત કરાયેલ લેખ. લેખમાં આપેલાં કોષ્ટકો પરથી શરૂઆત કરવાથી લેખમાં રજૂ કરાયેલ વસ્તુનો સારો એવો અંદાજ આવી જશે, જેમાંથી આપણી પરિસ્થિતિઓ સાથે સંબંધિત જણાતી પ્રવિધિઓ કે સિધ્ધાંતોની વિગતમાં ઉતરી શકાય.)
Improving Analysis of Key Performance Measures at Four Middle-Sized Manufacturing Companies - શું થઈ ગયું તેના પરથી ધ્યાનને હવે શું કરવું છે તેના પર ખસેડવું - માર્કસ ડૅનીયલસ્સ્ન અને યોહાન હૉલ્ગાર્ડ
આ મહાનિબંધનું પ્રયોજન ત્રણ સંશોધન સવાલોમાંથી ઘડાયેલ છે : તફાવતોની સમજને કારણે કંપનીઓએ તેમના અભિગમ અને વર્તણૂકમાં ફેર શી રીતે કર્યા? તફાવતની સમજનાં પરિણામોને અમલ કરવાની પધ્ધતિ શઈ રીતે અમલ કરવી? અમલની પ્રક્રિયા પર કામ કરતી વખતે કઇ કઇ બાબતો મહત્ત્વની બની રહી શકે છે ?
28 Manufacturing Metrics that Actually Matter (The Ones We Rely On) - માર્ક ડેવીડસન
The MESA (Manufacturing Enterprise Solutions Association) સંસ્થાએ ભૂતકાળમાં ઉત્પાદન ક્ષેત્રને સહુથીઊ વધુ મહત્ત્વનાં સુધારણાઓનાં માપણી કોષ્ટકો નક્કી કરવામાં અને સુધારણા પરિયોજનાઓ અને માપણી કોષ્ટકોનાં ઘટકોના સંબંધ અને તેના સૉફ્ટ્વૅર ઉપાયોને સમજવા માટે સંશોધનઓ કરાવ્યાં છે. આ પૈકી બહુ જ તાજી કોષ્ટક મોજણી અનુસાર, ૨૮ એવાં ઉત્પાદન માપણી કોષ્ટક ખોળી કઢાયાં જે અલગ, પ્રક્રિયા કે સંકર/ બૅચ ઉત્પાદકો દ્વારા સહુથી વધારે વપરાય છે
PERFORMANCE MEASUREMENT
સુધારણાનું પહેલું પગલું માપણી છે. જો કે માપણી એ સાંખ્યિકરણની પ્રક્રિયા જરૂર છે, પણ તેની અસર સક્રિય કાર્યને પ્રોત્સાહિત કરવાની પણ છે……કામગીરીનાં માપને બે મૂળભૂત પ્રકારમાં વહેંચી શકાય: જેને પરિણામો સાથે સંબંધ છે (જેમકે સ્પર્ધાત્મકતા કે નાણાંકીય કામગીરીનાં પરિણામો કે નિપજ) અને જે પરિણામો નક્કી કરવા પર ધ્યાન આપે છે (જેવાં કે ગુણવત્તા, લવચીકતા, સંસાધન વપરાશ અને નવોત્થાન અંગેના નિવેશ [inputs]. કામગીરી માપણીનાં માળખાંકીય તંત્ર પરિણામો અને નિર્ણાયકોની આસપાસ ઘડી શકાય છે તે વિષે અહીં દિશાસૂચન કરાયેલ છે.
Performance Factory – a new approach of performance assessment for the Factory of the Future
અહીં, Performance Factory (PerFact) નામક, માપણી અને આકારણી માટેનાં એક નવાં માળખાં અને તેની વર્તમાન સ્થિતિ રજૂ કરાયેલ છે. તે સાથે Virtual Factory Framework Project (VFF) પણ રજૂ કરાયેલ છે. VFF ‘ભવિષ્યની ફૅકટરી’ (the Factory of the Future) સાથે સુસંગત છે, જેમાં વાસ્તવિક ફેક્ટરીને ટેકો કરવા અને સુધારવા માટે યથાર્થ ફેક્ટરીની કલ્પના મૂર્ત કરવામાં આવે છે. આને કારણે PerFactના અમલ માટે ખરેખરની કામગીરીના વિચારાધીન અંશ કે આયોજનને લગતાં કોઇ ચોક્કસ દૃશ્યની પસંદગી શક્ય પણ બને છે.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ, Innovate on Purpose, ની મુલાકાત લઇશું.અહીં પ્રકાશિત થયેલા લેખો વડે આપણને નવોત્થાનનાં વિવિધ પાસાંઓની રજૂઆતનાં આ બ્લૉગનાં કાર્યક્ષેત્રનો પરિચય થાય છે –
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાનું આયોજન કરાયેલ ‘A Leader’s Roadmap to a Culture of Quality: Building on Forbes Insights-ASQ Leadership Research’નો પહેલો ભાગ, ASQ CEO, Bill Troy આપણી સમક્ષ મંથન અર્થે રજૂ કરે છે. Creating a Customer-Centered Culture: Leadership in Quality, Innovation and Speed પુસ્તકના લેખક રૉય લૉટન સફળ કામગીરીનાં ખૂટતાં, પણ જરૂરી એવાં નિશ્ચિત ઘટકોની રજૂઆત આ શ્રેણીમાં કરવાના છે.અહીં રજૂ થયેલા પહેલા ભાગમાં મુદ્દા #૧ - ગુણવત્તા સંસ્કૃતિનાં ઘડતર માટે દરેક કર્મચારીએ કોઇ પણ વ્યૂહ રચનાનાં ચાર મહત્ત્વનાં પાસાંને તો ધ્યાનમાં લેવાં જ જોઇએ -ની વિગતે છણાવટ કરાયેલ છે. (પૃષ્ઠ 8: Boeing’s Ken Shead).

Julia McIntosh, ASQ communications તેમના February Roundup: Is Quality “Global”?’માં 'ગુણવત્તા વૈશ્વિક સ્તરે' લઇ જવી, કે વૈશ્વિક સ્તરે છે, તે વિષે ASQ’s bloggersનાં મંતવ્યોને રજૂ કરે છે. જો ગુણવત્તા વૈશ્વિક સ્તરે હોય તો ગુણવત્તા વિષેનું જ્ઞાન પણ વૈશ્વિક સ્તરે વહેંચાતું જોવા મળે છે કે કેમ તેની પણ અહીં ચર્ચા કરાઇ છે.

આ માસનું ASQ TVવૃતાંત છે: A New Look at Risk Management.- ISO 9001: 2015 સંસ્કરણમાં જોખમની ભૂમિકા, જોખમનાં મૂળભૂત કારણોની મત્સ્ય-પિંજર આકૃતિ વડે આકારણી. જોખમ વ્યવસ્થાપન સૂત્રની ખોજ જેવી ચર્ચાની સાથે રમકડાંનાં ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાત 'લેગો' તેમનાં જોખમો સાથે કેમ કામ લે છે તે વિષે જાણવા મળે છે -
આ મહિનાનાં ASQ’s Influential Voice છે - અંશુમાન તિવારી.
શ્રી અંશુમાન તિવારી ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયર, ગુણવત્તા કન્સલટન્ટ અને કાપડ થી માંડીને નાણાંકીય સંચાલન જેવાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રોગ્રામ મેનેજર અને ગુણવત્તા નિષ્ણાત તરીકે બેંગલુરુમાં પ્રવૃત્ત છે. તેમના બ્લૉગ Quality—The Unfair Advantageમાં તેઓ ગુણવત્તા વિષય પરની સમીક્ષાઓ, લેખો, સમાચારો, રોજગારીની શક્યતાઓ જેવાં વિવિધ પાસાંઓની ચર્ચા કરતા રહે છે.
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Monday, March 23, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૪ /૪ ǁ સંસ્મરણો

તારીખ ૯ ફેબ્રુઆરી, અને ૨૩ ફેબ્રુઆરી અને ૯ માર્ચ ૨૦૧૫ના પહેલા ત્રણ મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો','દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' અને 'સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન' વિષે વાત કરી હતી. આજના આ ચોથા અને અંતિમ મણકામાં પોતાનાં કથાનકમાં પોતા વીશે જે વાતો કરવાનું તેમણે ટાળ્યું છે તેમાંની કેટલીક બાબતોને તેમનાં સહકલાકારો, મિત્રો અને કુટુંબીજનોની નજરે જાણીશું.



દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સંસ્મરણો
clip_image002

પોતાની વાત કરતી વખતે દિલીપ કુમારે પોતાની સિદ્ધિઓ કે તેમનાં સામાજિક કામોની વિગતો બાબતે ખપ પૂરતી જ વાત કરી છે. એટલે તેમનાં સહકલાકારો, નિર્દેશકો, મિત્રો અને સગાં સંબંધીઓના આ વિભાગમાં તેમનાં અંગત અને વ્યાવસાયિક જીવનનાં પાસાંઓની કેટલીક પૂરક માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો છે.

આપણે અહીં તેમાંથી કેટલાંક સંસ્મરણોના અંશ પર નજર કરીશું. રૈહાન અહમદ - સાયરા બાનુના ભાઇ સુલતાનનો દીકરો
યૂસુફ ચાચા સાથે મુસાફરીએ નીકળવું એટલે મોજમસ્તી તો નક્કી...તેમાં પણ રોડ પરની સફરમાં તો રસ્તે મળતી બધા જ પ્રકારની ખાવાપીવાની વસ્તુ તે ચખાવીને જ રહે.. કોઇ પણ વયના જૂથમાં તેઓ બહુ જ સહેલાઇથી ભળી જઈ શકે. તેમની સાથે પતંગ ઉડાડવાની મજા તો જે નસીબદાર હોય તેને જ મળે..બહુ ઓછાંને ખબર હશે કે યૂસુફ ચાચા બહુ અચ્છા જાદુગર પણ છે અને ભાતભાતની ચાલાકીઓનો તેમની પાસે ખજાનો છે...
શબાના આઝમી
તેમની સહુથી પહેલી તસવીર જે નજર સામે આવે... તે મોભાદાર વ્યક્તિત્વની છે...તેમણે પોતાની અદાકારીમાં સ્થૂળતાનો સહારો ક્યારે પણ લીધો નથી...દિલીપ કુમારે આપણને બતાવ્યું કે સંવાદની નીચે છુપાયેલા ભાવને કેમ વ્યક્ત કરવો, લાગણીની સાથે સીન કેમ ભજવવો, ઓછું બોલીને વધારે કેમ કહી જવું અને બનાવટી સ્વયંસ્ફુરણાને કેમ વાસ્તવિકપણે રજૂ કરવી....
વી. બાલાસાહેબ - ખ્યાતનામ ફિલ્મ સિનેમેટોગ્રાફર, ‘ગંગા જમનાના ફિલ્મકાર
દિલીપ સાહેબ જે રીતે વિચારતા હતા તે રીતે ફિલ્મનાં દૃશ્યો કેમેરામાં ઝડપી લેવાં એ બહુ મોટી સિદ્ધિ થશે તે મને સમજાતું હતું...ટ્રેનની ઝડપ અને દોડતા ઘોડાઓની ઝડપની તેમણે બરાબર ગણતરી કરી હતી... સાહેબે પછી મને સમજાવ્યું કે ટ્રેનના ડબ્બાના દરવાજા નીચે કૅમેરા કેવી રીતે બાંધવો જેથી ટ્રેનને સમાંતરે દોડતા ઘોડાની ખરીઓથી ઉડતી ધૂળનાં દૃશ્યને કેમ ઝીલી લેવાય... દરવાજાના નીચેના ભાગ સાથે મને તેમણે એવી રીતે બાંધી દીધો કે હું કૅમેરા બરાબર ચલાવી શકું અને જે રીતે નક્કી કર્યું હતું તે મુજબ શૉટ લઈ શકું...ગંગાનાં મૃત્યુનું જે દૃશ્ય કૅમેરામાં કંડાર્યું છે તે તો કદી ભૂલાય તેમ નથી... 
 તેઓ દોડીને સ્ટુડિયોનાં થોડાં ચકકર મારવાના હતા.. જેથી સરખી હાંફ ચડી આવે.. પછી એ જેવા સેટ પર આવીને પડે એવો જ મારે એ શૉટ ઝડપી લેવાનો હતો...પહેલી વાર તો તેમની આ કરામત જોવામાં ને જોવામાં હું એ ઘડી ચૂકી ગયો..બીતાં બીતાં મેં તેમને કહ્યું. તેઓ થોડા ગુસ્સે પણ થયા, પણ પછી બીજી વાર આ આખી કવાયત ફરીથી કરી.. અને પહેલાંથી પણ વધારે ઉત્કટતાથી એ દૃશ્ય ભજવાયું અને કૅમેરામાં ઝીલી લેવાયું.
અમિતાભ બચ્ચન
..મારૂં માનવું છે કે શ્રી દિલીપ કુમારનું જે સ્થાન છે, તે સાચું, યોગ્ય અને શ્રેષ્ઠ હતું અને છે... ભારતની સિનેમાનો ઇતિહાસ.. દિલીપ સાહેબ પહેલાંનો અને દિલીપ સાહેબ પછીનો એમ બે ભાગમાં જ વહેંચી શકાશે.
જયા બચ્ચન
તેમના પહેલાંના કોઇ કલાકારે ન કરી શકેલ હોય તેટલી નિપુણતાથી દિલીપ સાહેબે મૌનની વાકપટુતાના પ્રયોગ કર્યા છે.
ચંદ્રશેખર
..(દિલીપ કુમાર) જરૂરતમંદ કલાકારો અને કારીગરો માટે નાણાં એકઠાં કરવા માટે પણ એટલા જ તત્પર રહ્યા છે; પહેલો ચેક તેમનો જ હોય...ફિલ્મ ઇન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટ અને મોટી ઉંમરના અને નિવૃત્ત કલાકારો માટેની વય-નિવૃત્તિ યોજના તેમની પહેલને આભારી છે.
યશ ચોપડા
ઘણા લોકો માને છે તેમ દિલીપ કુમાર મૅથડ એક્ટર નથી. તે સ્વયંસ્ફુરણાપ્રેરિત અભિનેતા છે જે અભિનય કરતી વખતે તેમની અંદરની લાગણીના ભંડારમાંથી ભાવ ખેંચી લાવે છે…નાટકીય દૃશ્યોમાં તો તેઓ અદ્‍ભૂત જ છે…પોતાના કામ અંગે તેઓ બહુ જ સંન્નિષ્ઠ છે; કૅમેરાની સામે તેમની લાગણીઓ એકદમ સ્વાભાવિક હોય છે. એટલે આખરી ‘ટેઇક’માં તેઓ હંમેશાં પોતાને જે શ્રેષ્ઠ લાગે તે જ આપતા હોય છે.
સુભાષ ઘઈ
મારી પાસે તેમને લાયક વિષય હતો..મને સાંભળી લીધા બાદ તેઓ કંઇ બોલ્યા નહીં.. આમ ચાર દિવસ સુધી ચાલ્યું..પછી તેઓ ધીરેથી મુસ્કરાયા અને કહ્યું કે વાર્તામાં દમ છે અને તેઓ તેમાં કામ કરવા વિચારશે..લોકોએ હવે આ સાચું હતું કે કેમ તે વિષે મને સવાલો કરવા માંડ્યા હતા..લોકોના ચહેરા પર તો દેખાતું કે, 'તારી કારકિર્દીનો આ હવે અંત છે'.. તને બહાર ક્યાંક ખૂણામાં બેસાડી અને ફિલ્મનું નિર્દેશન એ પોતાના હાથમાં લઇ લેશે..ફિલ્મ પૂરી થશે ત્યાં સુધી ઘરડોખખ્ખ થઇ ગયો હોઇશ, કેમ કે આમને તો ફિલ્મ પૂરી કરતાં વર્ષો લાગે છે’...વિધાતા (૧૯૮૨) બની હતી ત્યારે તેમણે દૃશ્યોને મારી નજરે જ જોયાં અને એટલી હદે સહકાર આપ્યો કે ફિલ્મ એક મહિનો વહેલી પૂરી કરી શકાઈ...મને ગર્વ છે કે તેમને કેન્દ્રમાં રાખીને મેં વિધાતા, કર્મા અને સૌદાગર બનાવી.
ડૉ. શ્રીકાંત ગોખલે - ચાર દાયકાથી તેમના અંગત ફિઝીશ્યન તેમ જ મિત્ર
મેં હમેશાં તેમનામાં તેમના ચાહકો માટે માન જ જોયું છે...જ્યારે ટ્રાફિક સિગ્નલ પાસે ગાડીના કાચ પાસે મોં દબાવીને ગરીબ છોકરાંઓને ભીખ માગતાં જુએ, ત્યારે તેઓ બહુ ઉદાર હાથે તેમને મદદ કરે..પણ આ બાળકોને એ ખબર નથી હોતી કે તેમની આ નિરાધાર દશાને કારણે તેઓ કેટલા ચિંતિત અને વ્યથિત થઇ આવે છે...
કમલ હાસન
પશ્ચિમના અભિનેતાઓ અને તેમની અભિનયકળાની બારીકીઓને હું દિલીપ કુમારની ફિલ્મો જોયા બાદ વધુ સારી રીતે સમજી શક્યો.માત્ર એક નજર કે મૌનના માધ્યમ દ્વારા કેટલું બધું, કેટલા પ્રભાવથી, કહી જઇ શકાય તે મને બહુ જ સ્પષ્ટપણે જણાઇ આવ્યું.
clip_image006

મુગલ-એ-આઝમના પ્યાર કિયા તો ડરના ક્યા ગીતમાં શાહજાદા સલીમ તરીકે રાજ્ય દરબારમાં કંઇ પણ કહ્યા કે કર્યા વગર તેઓએ દર્શકોનાં મનમાં લાગણીનાં કેટલાં સ્તર ખોતરી કાઢ્યાં હતાં તે યાદ કરીને હું હંમેશાં અભિભૂત થતો રહ્યો છું.
અનિલ કપૂર
મારા પિતા, સુરિંદર કપૂર, મને કહેતા કે દિલીપ કુમાર ફાલતુ ગપસપમાં ક્યારે પણ સમય વેડફતા નથી...તેઓ તેમનો સમય લેખકો અને બૌદ્ધિક સ્તરે આગળ પડતા લોકો સાથે વાત કરવાનું અને અર્થપૂર્ણ વિચારોના આદાનપ્રદાનમાં જ પસાર કરવાનું પસંદ કરે છે... એમની એ વાતો કરવાની અને જી-હજૂરિયાઓની સોબત ટાળવાની તેમની પસંદને કારણે જ કદાચ તેમના ફિલ્મ ઉદ્યોગને બદલે બહારના મિત્રો વધારે છે...
ઋષિ કપૂર
યૂસુફ ચાચા અને પાપા (રાજ કપૂર)એક શાશ્વત ભ્રાતૃ સંબંધે બંધાયેલા હતા, જેને બીજું કોઇ ન તો માની શક્યું કે ન તો તેનો તાગ પામી શક્યું. કલાકાર તરીકે બંને એકબીજાના હરીફ જરૂર હતા, પણ તેમનો આપસી પ્રેમ સગા ભાઇઓ જેટલો ગાઢ હતો... પ્રેમ રોગ (૧૯૮૨)નાં શૂટિંગ વખતે મારે નાઉમ્મિદ પ્રેમીના ભાવ ચહેરા પર લાવવાના હતા. મારા બધા જ પ્રયત્નો છતાં નિર્દેશક રાજ કપૂરને જે જોઇતું હતું તે ધરાર નહોતું કરી શકાતું...અકળાઈને ગુસ્સે થયેલા પાપાએ બૂમ પાડીને કહ્યું,'મારે યૂસુફ જોઇએ છે'...જ્યારે યૂસુફ ચાચા પાકિસ્તાન સરકારે એનાયત કરેલ નિશાન-એ-આઝમના ખિતાબ સ્વીકારવાને કારણે બાળાસાહેબ ઠાકરેના આક્રોશનો સામનો કરી રહ્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં યૂસુફ ચાચાએ કહ્યું હતું કે આજ જેટલી રાજની કમી મેં ક્યારે પણ મહેસૂસ નથી કરી. મારા, કે કોઇ પણ અન્ય કલાકારની, વિરુદ્ધના આવા આંદોલનનો જવાબ આપ્યા વિના બેસી રહેવાવાળાઓમાંનો એ નહોતો..
મનોજ કુમાર
સાથી કલાકારો માટે કોઇ જ જાતના દ્વેષભાવ ન રાખવો અને તેમની સિદ્ધિઓને માન આપવું એ દિલીપ સાહેબની બહુ જ મોટી ખૂબી રહી છે. ક્રાંતિ (૧૯૮૧)નાં શૂટિંગ દરમ્યાન એક ઇન્ટરવ્યુ દરમ્યાન તે ફિલ્મ જગતની આવનારી પેઢીઓને પ્રેરણાની મિસાલ રાજ કપૂર કેમ બની શકે તેમ છે એ સમજાવતા હતા.
લતા મંગેશકર
..યૂસુફ ભાઇએ જ્યારે જાણ્યું કે હું મહારાષ્ટ્રીયન છું એવી મારી સભાનતા મને મારાં હિંદી અને ઉર્દુ ઉચ્ચારોમાં શુદ્ધતા લાવવા માટે જોશ પૂરું પાડે છે, ત્યારે બહુ જ સહજતાથી તેમણે જણાવ્યું હતું કે જે ગાયકોને ઉર્દુ આવડતું ન હોય તે ઉર્દુ શબ્દોના સાચા ઉચ્ચારોમાં હંમેશાં ભૂલ કરવાનાં જ. આને કારણે જે લોકો ગીતમાં ગીતનાં માધુર્યની સાથે તેના શબ્દોની પણ મજા માણવા માગતાં હોય તેમની મજા કીરકીરી થઇ રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે...આમ પહેલી જ મુલાકાતમાં યૂસુફ ભાઇએ, અજાણતાં જ, કોઇ જ ખચકાટ વિના મને આ શીખની મહામૂલી ભેટ આપી દીધી હતી...મુસાફિર (૧૯૪૭)માં સલીલ ચૌધરીએ યૂસુફ ભાઇ સાથે 'લાગી નહીં છૂટે..' એ ગીત ગાવાની તક આપી.

કોઇ જ જાતની કચાશ વિના એ ગીત ગાવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.
રામ મુખર્જી - 'લીડર'ના નિર્દેશક
પોતાના ચાહકો માટે જેટલો પ્રેમ દિલીપ સાહેબને છે તેની તોલે ન તો તેમના સમયના કે ન તો તેમના પછીના સમયના કોઇ કલાકાર આવી શકશે. તેઓ કહે છે :'જ્યારે કોઇ અજાણ્યો હાથ મારો હાથ પકડે છે તેમાં જે સાચી લાગણી મને અનુભવાય છે; તેમાં મારી મહેનતનો સાચો પુરસ્કાર મળ્યાની જે ભાવના અનુભવાય છે તે બીજા કોઇ પુરસ્કારમાં નથી અનુભવાતી..
વીરા રાવ-અગ્રણી સામાજિક કાર્યકર
જ્યારે દિલીપ સાહેબે NABનું અધ્યક્ષ પદ સંભાળ્યું ત્યારે નાણાં ભંડોળ એકઠું કરવું એ અમારી સામે સૌથી મોટો પડકાર હતો....એ બાબતે કોઇ પણ સારા સુઝાવને સ્વીકારી લેવામાં તેમને જરા પણ વાર ન લાગતી... NAB ટ્રેન જેમાં લોકો દિલીપ કુમારની સાથે મુંબઇથી પુના સુધીની સફર કરે એ પરિયોજનાને લાગલગાટ દસ વર્ષ સુધી ચલાવી...એક વાર બ્રેબોર્ન સ્ટેડીયમમાં છોકરાંઓ માટેના એક બહુ મોટા કાર્યક્રમમાં…બધાં જ લોકો ગોગલ્સ પહેરીને આવ્યાં હતાં, એક માત્ર દિલીપ સાહેબ એમ ને એમ આવ્યા હતા.. (સૂર્ય) પ્રકાશથી બચવા તેઓ ગોગલ્સ કેમ નથી પહેરતા એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, 'લોકો સાથે વાત કરતી વખતે મને નજર ચોરાવવાનું પસંદ નથી.'
વહીદા રહેમાન
મારા માટે રહસ્ય જ રહ્યું છે કે કૅમેરા પાછળ આટલી મહેનત કરવા છતાં દિલીપ સાહેબે ફિલ્મના નિર્દેશકની ક્રેડિટ્સમાં પોતાનું નામ કેમ નથી આવવા દીધું...બે બાબતે અફસોસ રહેશે.. દિલીપ સાહેબ સત્યજીત રોયની ફિલ્મમાં અને 'પ્યાસા' (૧૯૫૭)માં કામ ન કરી શક્યા ....
હરીશ સાળવે
God gave His children memory / ઇશ્વરે તેનાં બાળકોને યાદશક્તિ આપી છે
That in life’s garden there might be / જેથી જીવનના બાગમાં
June roses in December…… / ડીસેમ્બરમાં પણ જુનનાં ગુલાબ રહે...
શર્મિલા ટાગોર
પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'ના સાત દાયકા અને તેમની છેલ્લી ફિલ્મનાં ૧૬ વર્ષ પછી પણ દિલીપ કુમાર ફિલ્મના પરદા પરના અભિનયનો આખરી શબ્દ બની રહ્યા છે, જેમની હાજરી અહોભાવ અને માન પેદા કરતી રહે છે.... મોતીલાલ અને અશોક કુમાર જેવા અભિનેતાઓએ ૧૯૪૦ના દાયકામાં અભિનયમાંથી નાટકીયતા દૂર કરવાની શરૂઆત તો કરી જ દીધી હતી, પણ દિલીપ કુમારે તેને સ્વીકૃત ધોરણ તરીકે પ્રસ્થાપિત કર્યું...તેમણે બતાવી આપ્યું કે અવાજ ઊંચો કર્યા સિવાય પણ લોકોને ધ્યાનથી સાંભળતાં કરી શકાય છે...કૅમેરા સામે પીઠ રાખીને માત્ર પોતાના સંવાદ દ્વારા જ ભાવ વ્યક્ત કરવા જેવા નવા પ્રયોગો પણ તેમણે જ કર્યા...અત્યાર સુધી જે સભાન અભિનય જ ગણાતો તેને તેમણે એક બહુસ્તરીય ધાર બક્ષી. ઘણા કલાકારોએ તેમની નકલ કરવાના પ્રયાસ કર્યા છે, અને એમાં મને કશું ખોટું પણ નથી દેખાતું કારણ કે અદાકારીની પાઠશાળામાં તેમની પાસેથી હજી ઘણું શીખવાનું બાકી રહે છે...
વૈજયંતિમાલા
દેવદાસમાં દિલીપ સાહેબ સાથે પહેલવહેલું જે દૃશ્ય ભજવવાનું થયું હતું તેની વાત કરીશ...મારે એક બહુ જ સાદો સંવાદ જ બોલવાનો હતો. નશામાં ધૂત દેવદાસ લડખડાતો મારી સામે આવે ત્યારે ' અબ પીના બંધ કરો, દેવદાસ' એ વાકય તેને કહેવાનું હતું. કૅમેરા દેવદાસની સામે હોય અને ફરતો ફરતો મારી સામે આવે ત્યારે વ્યથિત લાચારી મારા ચહેરા પર દેખાવી જરૂરી હતી.. શૉટની તૈયારી થઇ ચૂકી હતી, પણ દિલીપ કુમાર જ ગાયબ હતા...એક મદદનીશે મને કાનમાં કહ્યું કે તે સ્ટુડિઓની આસપાસ ઝડપથી દોડી રહ્યા છે જેથી ખુબ થાકેલા અને કંતાયેલા ચહેરે સેટ પર દાખલ થાય… તે જ સમયે કૅમેરા શરૂ કરી દેવાની તેમની સૂચના હતી...કૅમેરા શરૂ થતાં જ મારી સામે આવેલા દિલીપ સાહેબના ચહેરા પર જે વાસ્તવિકતા મને જોવા મળી તેનાથી ચકિત થયેલી દશામાં હું માંડ માંડ મારો સંવાદ બોલી શકી... બિમલદાને મારા ચહેરા પર જે લાચારી જોવી હતી, તે સાવ સ્વાભાવિકપણે જ હું વ્યક્ત કરી શકી...

Saturday, March 14, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:

:૨: ૧૯૪૮/૧૯૪૯ની અન્ય ચાર ફિલ્મો
clip_image002
અનિલ બિશ્વાસે લતા મંગેશકર સાથેની પહેલી જ ફિલ્મમાં કરેલા અવનવા પ્રયોગો આપણે આ લેખમાળાના પહેલા લેખમાં ‘અનોખા પ્યાર’માં સાંભળ્યા.

આજે ૧૯૪૮ અને ૧૯૪૯માં તેઓની બીજી ચાર ફિલ્મોનાં ગીતો સાંભળીએ.

ગજરે (૧૯૪૮)
ગીતકાર : ગોપાલ સિંધ ‘નેપાલી’
આ ફિલ્મમાં સુરૈયાના અવાજમાં, તેમણે પોતે જ પર્દા પર ભજવેલાં ગીતો પણ ફિલ્માવાયાં હતાં, જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.અહીં આપણે આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલાં ગીતો સાંભળીશું.
કબ તક કટેગી ઝીંદગી કિનારે કિનારે

 ઘર યહાં બસાને આયે થે
 

પ્રીતમ તેરા મેરા પ્યાર, ગુપ ચુપ ક્યા જાને સંસાર
 

કબ આઓગે બલમા, બરસ બરસ બદલી ભી બીખર ગયી
લતા મંગેશકરનાં સહુથી વધારે લોકપ્રિય રહેલાં અગ્રીમ ગીતોમાંનું એક ગીત



ગર્લ્સ સ્કૂલ (૧૯૪૯)
ગીતકાર : પ્રદીપજી
કુછ શર્માતે હુએ, નયે રસ્તે પે રખા હૈ મેંને કદમ
લતા મંગેશકર પોતાની કારકીર્દી માટે જ જાણે કહી રહ્યાં છે....


તુમ્હીં કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહીં
લતા મંગેશકરનાં થોડાં અઘરાં હોવા છતાં લોકપ્રિય રહેલાં ઘણાં ગીતોમાંનું એક ગીત


ચાર દિનોંકી ચાંદની હૈ - શંકર દાસ ગુપ્તા સાથે


જીત (૧૯૪૯)
ગીતકાર : પ્રેમ ધવન
આ ફિલ્મમાં પણ સુરૈયાનાં ગીત હતાં જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.

હંસ લે ગા લે, ઓ ચાંદ મેરે..
 

મસ્ત પવન હૈ ચંચલ ધારા, મનકી નૈયા ડોલના જાને



લાડલી (૧૯૪૯)
આઘરે કા ઘાઘરો, મંગવા દે રાજા - (આશાલતા સાથે) - ગીતકાર: નઝીમ પાણીપતિ
શાસ્ત્રીય વાદ્યો સાથે લોક ગીતની છાંટ...આશા અને લતા… મંગેશકરો બહેનોનું યુગલ ગીત


ઇન્તઝારી મેં તેરી...આઠ રોઝ કી છુટ્ટી લેકે આજા રે..ગીતકાર: નઝીમ પાણીપતિ
કવ્વાલીની તાન પર મુખડાની શરૂઆત અને પછી લોકગીતની તાલ પર હલકું ફુલકું ગીત


કૈસે કહ દું બજરિયા કે બીચ - ગીતકાર: નઝીમ પાણીપતિ



ગરીબોંકા હિસ્સા ગરીબોંકે દે દો - સાથીઓ સાથે– ગીતકાર: હુડા


તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ - ગીતકાર: બેહઝાદ લખનવી
લતા મંગેશકરની ઓળખ સમું એક ગીત.. પાશ્ચાત્ય વાદ્યોની મધુર સંરચના..


છોટા સા મંદિર બના, જય જય જય પ્રેમદેવતા - (મીના કપૂર સાથે) - ગીતકાર ચંદ્ર શેખર પાંડે


ઝીંદગીકી રોશની ખો ગયી - ગીતકારઃ ચંદ્ર શેખર પાંડે



હવે પછીના ૨૫ એપ્રિલ ૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Monday, March 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૩ /૪ ǁ સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન

-પરિચયકર્તા - અશોક વૈષ્ણવ

તારીખ ૯ ફેબ્રુઆરી અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા બે મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' અને  'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' વિષે વાત કરી હતી. આજના આ ત્રીજા મણકામાં તેમનાં પત્ની સાયરા બાનુ સાથેના જીવનની મધુરી પળોના આપણે પણ ભાગીદાર થઇએ.



દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન
imageimage
મારી જિંદગીની સ્ત્રી / The Woman In My Life, લગ્નનો દિવસ / The Big Day, ઉજવણીઓ / Celebrations Galore, સાયરાની સાર સંભાળ / Taking Care Of Saira અને પતિ-પત્નીની ટીમ / The Husband And Wife Team શીર્ષક હેઠળનાં પાંચ પ્રકરણમાં દિલીપ કુમાર અનુક્રમે લગ્ન માટેનો પ્રસ્તાવ, લગ્ન સમયનું ખુશહાલ વાતાવરણ , લગ્નવિધિઓ , દાંપત્યજીવન અને સાયરા બાનુ સાથે કરેલી ચાર ફિલ્મોની વાત બહુ જ લાગણીથી, વિગતે કરે છે.
દિલીપ કુમારનાં મોટાં બહેનનું સાયરા બાનુનાં મા, નસીમ બાનુ, માટે આમંત્રણ સદાય ખુલ્લું જ રહેતું. એવી એક સાંજની મુલાકાત વખતે તેની શાળાની રજાઓમાંથી બ્રિટનથી આવેલી સાયરા પણ નસીમ બાનુ સાથે ખાન કુટુંબના ઘરે આવેલ. આન જોયા પછી સાયરાના મનમાં દિલીપ કુમાર માટે પ્રેમની આંધી ચડી હતી. કદાચ એટલે જ તેણે શુદ્ધ ઉર્દુ અને પર્શિયન શીખવા માટે ખાસ તાલીમ પણ લીધી હતી. જો કે શરૂઆતના આ તબક્કામાં દિલીપ કુમારે આ લગાવને બહુ મહત્ત્વ નહોતું આપ્યું.
થોડાં લંબાણે પડ્યા પછી ૧૯૬૬માં રજૂ થયેલ દિલ દિયા દર્દ લિયામાં સાયરા બાનુને નાયિકા તરીકે લેવાના પ્રસ્તાવને દિલીપ કુમારે એટલે રોળીટોળી નાખ્યો હતો કે એ તો પોતાથી 'સાવ અડધી ઉમર'ની જ છે.જંગલી (૧૯૬૧)દ્વારા ફિલ્મોને પરદે સફળ પદાર્પણ કર્યા બાદ સાયરા બાનુની આગળ વધી રહેલી કારકિર્દી ફાલવા લાગી અને એ રાજ કપૂર, દેવ આનંદ, સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, જોય મુખર્જી, મનોજ કુમાર જેવા તે સમયના બધા જ પ્રમુખ પુરુષ કલાકારો સાથે કામ કરી ચૂક્યાં હતાં. દિલીપ કુમારની સામે ભૂમિકા કરવા માટે ઘણા પ્રસ્તાવો પણ આવતા રહેતા હતા. એવો એક પ્રસ્તાવ હતો, કાશ્મીરની લોકકથા પર આધારિત પ્રણયકથા પર અધારિત ફિલ્મ હબ્બા ખાતુન માટે. જો કે દિલીપ કુમારે તે ફિલ્મમાંથી ખસી જવાનું નક્કી કર્યું કારણ કે હબ્બા ખાતુનના ખાવિંદ, યૂસુફ ચકના કંઈક અંશે નકારાત્મક પાત્રમાં તે પોતાને બંધબેસતા જોઇ શકતા નહોતા. તેમના વિચારમાં પોતાની આ જોડી માટે એક ચોક્કસ વિષય જરૂર રમતો હતો, પણ સમય ખેંચાતો જવાને કારણે સાયરા બાનુ દિલીપ કુમારથી ચીડાયેલાં હતાં. 'નમ્ર, સભ્ય અને ખાનદાન રીતભાતથી પેશ આવતી સુંદર યુવતી ગુસ્સાથી તંગ થતી જતી વાઘણ બનતી જતી હતી..'
રામ ઔર શ્યામમાં પણ જોડિયા ભાઇઓમાંના ભીરુ ભાઇની સામેની નાયિકા માટે પણ તેમનું નામ સુચવાયું હતું. જો કે ફિલ્મના નિર્માતાને દિલીપ કુમારે અભિપ્રાય આપ્યો હતો કે એ પા ત્રમાટે તો કામણગારી આભાવાળી બિંદાસ લાગતી, શરીરે થોડી ભરેલી, યુવતી શોભે તેમ છે, જ્યારે સાયરા એ માટે થોડી દુબળી અને સરળ, સીધી સાદી દેખાય છે. આમ એ ભૂમિકા માટે આખરે મુમતાઝની પસંદગી કરાઈ.
imageરામ ઔર શ્યામના ઝપાટાબંધ થઇ રહેલા શૂટિંગ દરમ્યાન દિલીપ કુમારને નસીમ બાનુ તરફથી સાયરા બાનુના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું. નસીમ બાનુના ઘરના વિશાળ બાગમાં દાખલ થતાં જ દિલીપ કુમારની નજર 'શ્વાસ અધ્ધર કરી નાખે' એવી સુંદરતાની સ્વામિની સાયરા બાનુ પર અટકી ગઈ. કાલ સુધી પોતાથી સાવ નાની લાગવાને કારણે જેને પોતાની સામે નાયિકા તરીકે સ્વીકારવામાં અચકાટ થતો હતો તે યુવતી ઓચિંતી પૂર્ણ સ્ત્રીત્વને આંબી ગઇ હતી અને નરી આંખોની સામે ઘણી વધારે સુંદર દેખાતી હતી. આશ્ચર્યમાં વિભ્રાંત દિલીપ કુમાર એક ડગલું આગળ વધ્યા અને સાયરાનો હાથ થામી લીધો. સમય થોડી વાર માટે થંભી ગયો. એ પછી દિલીપ કુમારને સમજતાં એક ક્ષણ પણ ન લાગી કે 'નિયતિએ પોતા માટે નક્કી કરી રાખેલ જીવનસાથી આ જ છે, ભલે ને પરદા પર સાથે લેવામાં તે નનૈયો ભણતા રહ્યા હોય.' આ યુવતી પોતાના ખાનદાની મૂળમાં ઊંડે સુધી પાંગરેલી સંપૂર્ણ ભારતીય સ્ત્રી દેખાતી હતી.
'આઝાદ'નાં શૂટિંગ સમયે દિલીપ કુમારનો ભેટો એક જ્યોતિષી સાથે થઇ ગયો હતો. એ જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું હતું કે દિલીપ કુમાર તેમની ચાલીસીમાં પરણશે; તેમની પત્ની તેમનાથી અડધી ઉમરની હશે, ચાંદ જેવી સુંદર એવી એ યુવતી તેમના જ વ્યવસાયમાં કામ કરતી હશે. લગ્ન પછી તરત જ તેના પર દિલીપ કુમારનાં કર્મોની ઘાત રૂપે લાંબી, લગભગ મરણતોલ માંદગીમાં સપડાઇ પડશે. જો કે તે વિષે તેને પોતાને જરા પણ કચવાટ નહીં હોય.' ભવિષ્યવાણીનો પહેલો ભાગ તો સાચો પડ્યો, બીજો ભાગ પણ શું સાચો પડશે?
પણ, આ બધી વાતોને અંતે, મહત્ત્વનું તો એ જ રહ્યું કે દિલીપ કુમારે સાયરા બાનુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી જ દીધો. આ સમાચાર ચારે તરફ જંગલની આગની જેમ ફેલાઈ ચૂક્યા !image
તેમનાં લગ્ન ૧૧ ઑક્ટોબર ૧૯૬૬ના રોજ સંપન્ન થયાં. પહેલા પ્રેમના ઝણઝણાટ પછી પણ લગભગ બે દાયકા સુધી કુંવારા રહેવાનું જ નક્કી કરતા રહ્યા પછી તેમને દાંપત્ય જીવનમાં કદમ રાખતી વખતે ધાસ્તી કે ખટકો હતો ખરો? દિલીપ કુમારનો જવાબ ભારપૂર્વકનો નકાર છે. એમને તો સ્વર્ગીય ચૈનની પ્રશાંત સ્વસ્થતા અને પરમ શાંતિ અનુભવાતી હતી, કારણ કે હવે પોતાનું જ કહી શકાય એવાં સાથે તેતેમની જિંદગી વહેંચી શકવાના હતા.

તેમને નજીકથી ઓળખતાં બધાં જ માટે લગ્નનો આ નિર્ણય અચરજનો વિષય તો હતો જ, પરંતુ તે કોઇ ભૂલ તો નથી કરી રહ્યા ને, એવું તો એક માત્ર નૌશાદ જ એમને સીધે સીધું પૂછી શક્યા હતા. દિલીપ કુમાર તેમની માન્યતામાં બહુ ચોક્કસ હતા કે તેમનો આ નિર્ણય ખાસ્સા એવા આંતરમંથન બાદ લેવાયેલો પુખ્ત નિર્ણય હતો. નિકાહ બહુ જ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. તેમનાં બધાં જ નજીકનાં સગાં અને મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલો. રાજ કપૂરે તો એક ક્ષણના અચકાટ વિના દિલીપ કુમાર લગ્ન કરે તો ભાંખોડિયાં ભરીને તેમના ઘરે આવવાની બાધા પણ પૂરી કરી.

તેમના ભુટાનના હનીમૂન સમયે લાકડાની કેબીનમાં તાપણાંના ધુમાડાથી ગુંગળાવાને કારણે સાયરા બાનુ અચાનક જ બહુ ગંભીરપણે બીમાર પડી ગયાં. પેલા જ્યોતિષીની આગાહી સાવ ખોટી તો નહોતી તેનાં એંધાણ તો નથી દેખાતાં ને!

લગ્ન જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં દિલીપ કુમારનાં કૌટુંબિક વાતાવરણે પણ સાયરા બાનુની તબિયત પર અવળી અસર કરી હતી. એ તણાવને કારણે આંતરડામાં ચાંદાં પડી ગયાં. લંડનની એક સૌથી મોટી ઇસ્પિતાલમાં વિશ્વ પ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટેરો્લૉજિસ્ટની સારવાર હેઠળ તેમને ખસેડવાં પડ્યા. સાયરાની તબિયત ચમત્કારની જેમ સુધરવા લાગી, અને ત્યાં એકાદ મહિનાની સારવાર અને આરામ બાદ તેમણે પૂરબ ઔર પશ્ચિમ માટે શૂટિંગમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. ફિલ્મના નિર્માતા મનોજ કુમારે આ સમય દરમિયાન બહુ જ ધીરજ અને સમજપૂર્વક સાયરા બાનુ સાજાંનરવાં થાય તેની રાહ જોઇ હતી. આ અહેસાનના બદલા સ્વરૂપે દિલીપ કુમારે મનોજ કુમારનાં ક્રાંતિ (૧૯૮૧)માટે વાર્તાનો સાર સાંભળીને જ કામ કરવાની હા પાડી દીધી હતી.

પાછા ફર્યા પછી પતિપત્ની સાયરા બાનુનાં પાલી હિલના ઘરમાં રહેવા ગયાં. સાયરા બાનુને હજી પણ ખાસ સંભાળ અને ખોરાકની જરૂર હતી જે તેમને નસીમ બાનુની નિગરાનીમાં જ મળી શકે તેમ હતું. બહુ થોડા સમયમાં સાયરાએ દિલીપ કુમારની જીવનશૈલી અને ગતિ સાથે તાલમેળ કરી લીધો. 'લાંબા સમયના સુખશાંતિપૂર્ણ રહેતા લગ્નજીવનમાં પણ, દંપતીની બધી જ શુદ્ધ દાનત છતાં, બંને સાથીદારો માટે એકબીજાંને નિભાવવાં એ આસાન કામ નથી.' આ દંપતીને પણ તેમના અનેક વાળાઢાળા આવ્યા છે, પરંતુ બંને વચ્ચે દેખાતા વ્યક્તિત્વોના બાહ્ય તફાવત છતાં, તેઓએ સાથેની પળોને માણી છે. જે છોકરીને પોતાની ટાપટીપ કરવામાં કલાકો જતા તેણે, હવે સાવ જ બદલી જઇને, ગૃહસ્થીની અને દિલીપ કુમારના જીવનની, બાગડોર સંભાળી લીધી હતી. સાયરા બાનુની જન્મજાત સાદગી અને હૃદયની ઋજુતા દિલીપ કુમારને અંતરથી સ્પર્શી રહી છે. પતિ-પત્ની ટીમ / The Husband-Wife Team તરીકે દિલીપ કુમારને પત્નીમાં કડી મહેનત કરવાની અને ત્રુટિરહિત કામ કરવાની અદમ્ય ભાવના દૃષ્ટિગોચર થવા લાગી હતી. અદાકારીને લગતાં સલાહ સૂચન તે સ્વીકારવા તૈયાર રહેતાં અને જે જે દૃશ્યોમાં તેમણે સાથે કામ કરવાનું હતું તેમાં તેમના માર્ગદર્શનને પણ તે બહુ જ સારી રીતે અમલમાં મૂકી શકતાં હતાં. બંને જણાંએ ગોપી (૧૯૭૦), સગીના(૧૯૭૪) જેનું મૂળ બંગાળી સ્વરૂપ સગીના મહાતો ૧૯૭૦માં રજૂ થયું હતું), બૈરાગ (૧૯૭૬) અને દુનિયા (૧૯૮૪) એમ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું.

હવે પછી, ૨૩ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો અંતિમ મણકો 'સંસ્મરણો' વાંચી શકાશે.

Saturday, March 7, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૩)

૧૯૩૬થી ૧૯૬૨ સુધીની સફરમાં આપણે અવનવા પ્રકારના સ્વરોજગારકારને , અવનવી ભૂમિકામાં આ પહેલાં ભાગ ૧ અને ભાગ ૨માં મળી ચૂક્યાં. ક્યાંક બાળપણને મજૂરી કરતું જોઇ દિલમાં ચુભન થઇ, તો ક્યાંક એ ઉમરે પણ એની ખુમારી જોઇને દિલમાં ઊંડે ઊંડે ગર્વ પણ થયો.

ભાગ ૩માં આપણે સ્વરોજગારીની દાસ્તાનને આગળ વધારીએ...........

૨૬. ખાલી..ડબ્બા..ખાલી બોટલ લેલે મેરે યાર - નીલ કમલ (૧૯૬૮) | ગાયક : મન્ના ડે | સંગીતકાર : રવિ | ગીતકાર : સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા સામાન્યતઃ બહુ મહત્ત્વની જ રહેતી હોય છે. તેમને ભાગે એકાદ ગીત પણ ફાળવવું જ પડે! પરંતુ તેમનાં આ પાત્રો થકી લોક જીવનની ઝાંખી કરાવવાના અનોખા અભિગમની પણ દાદ તો દેવી જ પડે.


૨૭. મેરા નામ હૈ ચમેલી મૈં હું માલન અલબેલી - રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

બીકાનેરથી એકલી આવેલી માલન ફુલો વેંચવાને બહાને દરોગા બાબુને દરવાજો ખોલી કાઢવા લલચાવે છે


૨૮. ફિરકીવાલી તુ કલ ફિર આના ફિર કભી ન જાના- રાજા ઔર રંક (૧૯૬૮) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

એ સમયમાં પણ અવનવા, દેખીતી રીતે માત્ર પુરુષ વર્ગ માટે જ આરક્ષિત માની લેવાય તેવા રોજગારમાં પણ સ્ત્રીઓ પોતાનો હિસ્સો તો બનાવીને જ રહેતી


૨૯. બેર લિયો બેર - પૈસા યા પ્યાર (૧૯૬૯) | ગાયિકા : આશા ભોસલે | સંગીતકાર: રવિ |
મુબઇમાં બોર ખાવા મળે તો કેવી મજા પડે...



૩૦. આયા રે ખિલોનાવાલા ખેલ ખિલોને લે કે આયા રે - બચપન (૧૯૭૦) | ગાયક : મહમ્મદ રફી, હેમલતા અને સુલક્ષણા પંડિત | સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર આનંદ બક્ષી
રમકડાં વેંચવાવાળાનાં મનમાં એની પ્રિયતમાની ડૉળી કોઇ બીજાને ઘરે ગઇ છે, તેનું દર્દ ભર્યું છે, પણ બાળસહજ લાગણીઓ તો તેનાં રમકડાંઓની મજાને યાદ કરીને ઝૂમતાં રહે છે.

આડવાતઃ
મૂળ પણ કરૂણ ભાવની જ ભરેલ ગીત હવે તો માત્ર દુ:ખની યાદોનાં સ્વરૂપે જ રજૂ થયેલ છે. પોતે વેંચતો હતો તે ગુડાગુડ્ડીને પણ પાણીમાં તરાવી દઇને જીવનના એક અધ્યાયનો અંત લાવવાના પ્રયાસની ગલી ગલી એ ગુંજતી દર્દભરી પુકારને વરસાદની ફુહારો પણ મંદ નથી પાડી શકતી, ત્યાં બેઇમાન બહારોંએ પોતાની ઝોળીમાં બે ફૂલ પણ ન નાખવાની નાફરમાની કરી છે. હવે એનાં બાળગ્રાહકોને પણ આ તેના ખિલોનાવાળાની વેદના સ્પર્શે છે.



૩૧. લે લો ચુડીયાં - સાસ ભી કભી બહુ થી (૧૯૭૦) | ગાયક : કિશોર કુમાર અને | સંગીતકાર : રાહુલ દેવ બર્મન
અહીં તો બંગડી વેચવાવાળાને વેશમાં પ્રેમાલાપ છેડી લેવાની તક ઝડપી લેવાઇ છે



૩૨. આંહેં ન ભર ઠંડી – બનફૂલ (૧૯૭૧) | ગાયિકા: લતા મંગેશકર | સંગીતકાર : લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
ઠંડી ઋતુમાં વાતી ઠંડી જ ઉડાડે જ નહીં પણ ઠંડા નિસાસાને ઉડાડી દે એવી ખૂબી છે ગરમ ચાયની ચુસ્કીની


૩૩. આયા મૈં ચલતા ફિરતા હોટલ - નયા ઝમાના (૧૯૭૧) | ગાયક : મન્ના ડે અને મહેમુદ| સંગીતકાર : સચીન દેવ બર્મન -

લો બોલો, આખી રેસ્તરાં જ ટ્રકમાં ફીટ કરી અને હવે શેરીએ શેરીએ જે માગશો તે મળશે


૩૪.બી એ એમ એ પીએચડી યે ડીપ્લોમા યે ડીગ્રી - બદનામ ફરિશ્તે (૧૯૭૧) | ગાયક : મોહમ્મદ રફી |સંગીતકાર: એન. દત્તા |ગીતકાર : અસદ ભોપલી

લાંબી લાંબી ડીગ્રીઓ મેળવ્યા પછી પણ કામ ન મળે તો પોતાનો હુન્નર કેમ ન વિકસાવવો એ વાતને ગાઇને 'બદનામ ફરિશ્તે' રજૂ કરેછે.


૩૫. અરે ઝીંદગી હૈ ખેલ -સીતા ઔર ગીતા (૧૯૭૨) | ગાયક : મન્નાડે, આશા ભોસલે | સંગીતકાર: રાહુલ દેવ બર્મન

શેરીએ શેરીએ ફરીને ગાઇ વગાડીને થતા નટ બાજાણીયાના ખેલમાં જીવનની ફિલસૂફી પણ વણી લેવાય


૩૬. ય બાબુ લે લો નારીયલ પાની - અપના દેશ (૧૯૭૨) | ગાયિકા : લતા મંગેશકર | સંગીતકાર : રાહુલ દેવ બર્મન

ગલી ગલી નારીયળ પાણીની ફેરીમાં પણ નારીઓએ પણ પોતાનો ફાળો અંકે કરી લીધો છે


૩૭. મેરે સાથ ચલે – કિતાબ (૧૯૭૭) | ગાયક : સપન ચક્રવર્તી | સંગીતકાર: રાહુલ દેવ બર્મન | ગીતકાર : ગુલઝાર

ટ્રેનના ડબ્બામાં ગીતો ગાઇને ગુજરાન ચલાવવું એ પણ "ભીખ માગવાની' મહત્ત્વની કળા ગણાતી.


૩૮. લોગોંકા દિલ જીતના હૈ તો મીઠા મીઠા બોલો - મનપસંદ (૧૯૮૦) | ગાયક : કિશોર કુમાર | સંગીતકાર : રાજેશ રોશન

દાતણ વેંચવાવાળીએ પોતાની જબાન તો સાફ રાખવી પડે..


૩૯. ચણા જોર ગરમ - ક્રાંતિ (૧૯૮૧) - ગાયક : મોહમ્મદ રફી, કિશોરકુમાર, નીતિન મુકેશ, લતા મંગેશકર |સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગીતકાર : સંતોષ આનંદ
અહીં 'ક્રાંતિ'નો સંદેશ ફેલાવવામાં શેરી ફેરીના વ્યવસાયનો સફળતાથી પ્રયોગ કરાયો છે.



'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા'ને હજૂ વધારે લહેજતદાર બનાવવામાટે આપણા સાથી શ્રી બીરેનભાઇ કોઠારીએ જહેમત લીધી છે. તેમણે મોકલેલાં ગીતોની સાથે આપણે હવે પછીના  ચોથા અંકમાં ૨ મે, ૨૦૧૫ના રોજ મળીશું....................


[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

વેબ ગુર્જરી પર ૭ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.

Saturday, February 28, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણે જે બ્લૉગના નિયમિત મુલાકાતીઓ છીએ ત્યાં દરેક મહત્વની પૉસ્ટને હિંદી ફિલ્મ જગતની કોઇને કોઇ હસ્તીની તિથિ સાથે સાંકળી લેવાની પ્રથા વિકસી છે, તે દ્વારા આપણને પણ એ હસ્તીઓને યાદ કરતા રહેવાનો લાભ મળતો જ રહે છે.
એ પરંપરા આ મહિનાના સંસ્કરણમાં પણ ચાલુ જ રાખીએઃ
- Kavi Pradeep: The singer of Message Songs - કવિ પ્રદીપજીની આ જન્મશતાબ્દીનું વર્ષ છે. અહીં તેમણે પોતે જ ગાયેલાં ગીતોને યાદ કરાયાં છે.
- Happy Birthday, Waheeda ji માં વહીદા રહેમાન પર ફિલ્માવાયેલાં ગીતો વડે તેમને યાદ કરાયાં છે. આપણે આ ગીતો પૈકી બે ગીતોને અહીં ખાસ યાદ કરીશુ -
  • અને વધારાના ફાયદા સ્વરૂપે તેમનાં શરૂઆતનાં નૂત્ય ગીત - યેરી પૂટ્ટી પૂવાયે (કાલમ મારી પૂચુ, જે તેલુગુમાં રોજુલુ મારાયી તરીકે રજૂ કરાયું હતું) પણ સાંભળીએ. આ ગીત પછીથી બમ્બઈકા બાબુમાં દેખને ભોલા હૈ તરીકે ફિલ્માવાયું છે.
- ૨૧ જાન્યુઆરીના રોજ ગીતાબાલીની પચાસમી તિથિ હતી, તે નિમિત્તે તેમનાં પર ફિલ્માવાયેલાં ગીતોને My Favourite Geeta Bali songsમાં યાદ કરાયાં છે, જે પૈકી યે દિન હૈ ખુશી કે (જબ સે તુમ્હેં દેખા હૈ - ૧૯૬૩- મન્ના ડે અને સુમન કલ્યાણપુર)ની ખાસ નોંધ આપણે પણ અહીં લઇશું.
- મધુબાલાની યાદના My favourite songs of Madhubalaમાંથી આપણે અય ભોલા ભાલા મન (જૂમરૂ - ૧૯૬૧ - કિશોર કુમાર, આશા ભોસલે)ની નોંધ અહીં કરીશું.
- The Masters: Khayyam એ ખય્યામની છ દાયકાની કારકીર્દીની ૫૪ રજૂ થયેલી અને ૧૭ ન રજૂ થયેલી ફિલ્મોનાં ૬૨૬ ગીતોમાંથી તેમનાં ખૂબજ યાદગાર ગીતોને યાદ કરાવી આપે છે.
અને હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના વિવિધ વિષયોની રજૂઆતના લેખોની મુલાકાત કરીશું –
- ઘણા કલાકારોનાંપ્રેરણાસ્ત્રોતની જેમ UttarMegh and Dekh Kabira Roya ની પણ મેઘદૂતમ્ પ્રેરણા રહ્યું છે. 'પૂર્વમેઘમાં અલકા નગરીથી પસાર થતાં દૂત સમા મેઘવાદળ દ્વારા, પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીથી કુબેરના શ્રાપને કારણે વિખૂટા પડેલા યક્ષનાં વિરહ સંદેશનાં તાદૃશ્ય વર્ણનો છે, તો ઉત્તરમેઘમાં વિરહ-ભાવ ફૂટતો રહે છે. મહાન ચિત્રકાર નાના જોશીએ ઉત્તરમેઘનાં ૯ વર્ણનોને ચિત્રમાં કંડારેલ છે. મેરી વિણા તુમ બિન રોયે અને અશ્કોંસે તેરી હમને તસ્વીર બનાઇ હૈ (જે ફિલ્મમાં ઉપરાઉપરી બે સાવજ અલગ અલગ ગીતોને મૂકવાનો એક અનોખો પ્રયોગ પણ છે) કે બૈરન હો ગઇ રૈના જેવાં ગીતો પરથી એમ લાગે કે દેખ કબીરા રોયામાં રાજેન્દ્ર કૃષ્ણને, અને તેમની સાથે ફિલ્મના નિર્દેશક અમીય ચક્રવર્તીને પણ ઉત્તર મેઘમાંથી પ્રેરણા મળી હોય એમ કહી શકાય ખરું...
- Some Favorite (Relatively) Contemporary Versions of Classic Hindi Film Songsમાં જૂનાં ગીતોનાં વર્તમાન સ્વરૂપોને રજૂ કરવાનો પ્રયાસ છે. હૈ અપના દિલ તો આવારા, ચિન ચિન ચૂ, પિયા તૂ અબ તો આ જા જેવાં ગીતોમાં સામાન્ય રીતે આ બ્લૉગ પર રજૂ થતા વિષયોથી આ લેખમાં થોડાં વિસ્તૃત ફલકને આવરી લેવાયું છે.
- Different versions of 'Tum Bhulaye Na Gaye' માં કમલ દાસગુપ્તાએ સ્વર બધ્ધ કરેલ ગીતની ફીરોઝા બેગમના સ્વરમાં જૂદા જૂદા સમયે થયેલી રજૂઆત છે. મૂળ ગીત, તે પછીથી તૈયાર થયેલ સ્વરૂપ અને તેમણે લગભગ ૭૦ વર્ષની ઉમરે ગાયેલ સ્વરૂપ સાંભળતાં પણ મન હજૂ વધારેને વધારે વાર સાંભળવા તરસતું જ રહે છે.
હવે યાર્દચ્છિક શોધખોળનાં કેટલાંક પરિણામો –
- Salil Chudhary - A narrative documentary movie - જગદીશ બેનર્જીએ ફિલ્મ્સ ડિવીઝન માટે કરેલ સલીલ ચૌધરી પરનું દસ્તાવેજી ચિત્ર
- Cinema Cinema - નિર્દેશક શ્રી કૃષ્ણ શાહે બે વર્ષ સુધી, ચારે બાજૂથી ખોળી ખોળીને પુરાણાં દસ્તાવેજોમાંથી એકઠી કરેલ સામગ્રી પરથી તૈયાર કરેલ દસ્તાવેજી ચિત્ર.
આપણા મિત્રોએ મોકલેલાં ગીતોની યાદીમાં આ મહિને સમીર ધોળકિયા તેમ જ ભગવાન થવરાનીએ યાદ કરેલ
                                                                                                                              નોંધ લઇએ.


શ્રી નરેશ માંકડે પંકજ મલ્લિકનાં આ ગીતોને યાદ કર્યાં છેઃ


પંકજ મલ્લિકનીજ વાત નીકળી છે તો સાથે સમીર ધોળકિયાએ મોકલેલ, પંકજ મલ્લિકનાં દીકરી અનુલેખા ગુપ્તા મલ્લિકના સ્વરમાં 'યાત્રિક'નું તૂ ઢુંઢતા હૈ જિસકો અને તેનું મૂળ ગીત તેમ જ   યે રાતેં, યે મૌસમ, યે હંસના, યે હંસાના પણ માણી લઇએ.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
- Mohammad Rafi Timeline - સમયની કેડી પર મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો
- Mohammed Rafi: An Antique voice of showman Raj Kapoor - રાજ કપૂર અને મોહમ્મદ
રફીના ૯૦મા જન્મદિવસના ઉપલક્ષમાં બિમાન બરૂઆ મોહમ્મદ રફીની સર્વતોમુખીતાને બીરદાવતાં યાદ કરે છે કે મુકેશ પછીથી રાજ કપૂર માટે સહુથી વધારે ગીતો મોહમ્મદ રફીએ બરસાત (૧૯૪૯), અંદાઝ (૧૯૪૯), દાસ્તાન (૧૯૫૦), સરગમ (૧૯૫૦), અમ્બર (૧૯૫૨), પાપી (૧૯૫૩), દો ઉસ્તાદ (૧૯૫૯), છલીઆ (૧૦૬૦), નઝરાના (૧૯૬૧), એક દિલ સૌ અફસાને (૧૯૬૩) અને મેરા નામ જોકર (૧૯૭૦)જેવી ફિલ્મોમાં ગાયાં છે.
ફેબ્રુઆરી ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા… (૨)
બંદિશ એક, રૂપ અનેક’ – (૬) "છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે"
ગીતગુર્જરી
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:
                                                                                                                                પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........