Sunday, April 21, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - એપ્રિલ, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી
વિષે વાત કરી હતી.
લગભગ ૨૦૦૧ની આસપાસ ગાર્ટનર વિશાળકાય માહિતીસામગ્રી વિષે જણાવે છે કે એ એવી માહિતીસામગ્રી છે બહુ વૈવિધ્ય ધરાવે છે, બહુ વિશાળ કદમાં હોવાની સાથે સાથે તે હંમેશાં વધતી રહેતી ગતિથી આવે છે અને વધે છે. 


સરળ ભાષામાં કહીએ તો વિશાળકાય માહિતીસામગ્રી કદમાં બહુ મોટી હોય છે, તેના ખાસ કરીને નવા માહિતી સ્રોતોમાં આવતા માહિતીસામગ્રી સમુચ્ચયો બહુ સંકુલ હોય છે. આ માહિતી સમુચ્ચયો કદમાં એટલા વિશાળ હોય છે કે પરંપરાગત ડેટા પ્રોસેસિંગ સોફ્ટવેરથી તો તેના પર કામ કરી શકવું અશક્ય જ કહી શકાય. પણ આ રાક્ષસી કદની માહિતીસામગ્રી એવી સમસ્યાઓનાં પણ સમાધાન શકય બનાવે છે જે વિષે પહેલાં વિચારી પણ ન શકાતું. [1]
જોકે માહિતીસામગ્રીનાં કદ માત્રથી કશું ન પણ વળે. મહત્ત્વનું એ છે કે એ માહિતીસામગ્રીનો સંસ્થા શી રીતે ઉપયોગ કરવા માગે છે. વિશાળકાય માહિતીનો ઉપયોગ સમસ્યાઓનો એવી બાબતોમાં સૂઝ પડવામાં કરાવો જોઈએ કે જે વધારે અસરકારક નિર્ણય પ્રક્રિયામાં, અને સંસ્થાની વ્યૂહાત્મક વિચારસરણીમાં, ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે.
એ માટે વિશાળકાય માહિતી સામગ્રીના વિશ્લેષકો (Big Data Analytics)  ઉપયોગી નીવડી શકે છે.
વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો બહુ શક્તિશાળી સાધનો અને તકનીકો વડે માહીતીસામગ્રીમાંના પ્રવાહો, વલણો અને અર્થઘટનો વિષે સૂઝ પાડવામાં આગવી રીતે મદદરૂપ બને છે. મોટા ભાગના કિસ્સાઓમાં માહિતીસામગ્રી બહુ વિશાળકાય - અપધ્ધતિસરના અને વીખરાયેલા - માહિતીસામગ્રી સુમુચ્ચયોના સ્વરૂપમાં હોય છે, માહિતીસામગ્રી વિશ્લેષકો તેમને ઉદ્યોગોના અગ્રણીઓ, સંચાલકો અને અન્ય હિતધારકોને બહુ સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ય બનાવી આપવાનું કામ કરે છે. તેમાંથી નિપજતી સૂઝ વ્યાપાર અંગેની વ્યૂહરચના અને આયોજનોનાં ઘડતર, અમલ, સારસંભાળ અને સતત વિકાસમાં મદદરૂપ બને છે.(Bertolucci, 2013a; Zakir et al., 2015). [2]

'વિશાળકાય માહિતીસામગ્રી' જેવા પારિભાષિક શબ્દપ્રયોગની શરૂઆત થવા પહેલાં ચારેક દાયકા પહેલાં, '૧૯૫૦ના દશકમાં, પણ વ્યાપાર ઉદ્યોગમાં જૂદા જૂદા પ્રકારની ક્ષમતાવાળાં સ્પ્રૅડશીટ્સની મદદથી કાચી માહિતીસામગ્રીને વલણો, પવાહો અને સૂઝલાયક માહિતીમાં રૂપાંતરિત કરાતી હતી. [3] 
'વિશાળકાય માહિતી'નો મુખ્ય ફાયદો તેની ઝડપ અને કાર્યકુશળતા છે. એ વર્ષોમાં એકઠીને  કરેલી માહિતીસામગ્રીને તે સમયના વિશ્લેષકો દ્વારા મંથન કરી અને તેમાંથી હવે પછી લેવાના નિર્ણયને અનુરૂપ કામની માહિતી કાઢો તે ખાસ્સો સમય માગી લેતી પ્રક્રિયા હતી. આજના વિશ્લેષકો એ જ માહિતી અત્યારે જ નિર્ણય લઈને આગળ વધવા માટે કામમાં આવી શકે છે. ઝડપથી કામ કરી શકવાની ક્ષમતા, અને તે રીતે ચપળ રહી શકવાની શક્યતા સંસ્થા માટે એવી અનોખી સ્પર્ધાત્મક સરસાઈ બની રહી શકે છે, જે અન્યથા શકય નથી.
ઉત્પાદન ક્ષેત્રે આ ૪ મુખ્ય બાબતો માટે વિશાળકાય માહિતીસામગ્રી ઉપયોગમાં[4] લેવાય છે:
૧. ઉપાદન પ્રક્રિયાઓમાં સુધારણા કરવામાં
૨. પેદાશોની ગ્રાહકલક્ષી ડીઝાઈન તૈયાર કરવામાં
૩. વધારે સારી ગુણવત્તા પ્રતીતિ
૪. પુરવઠા સાંકળનાં જોખમ સંભાળવાં
આ સિવાય પણ બીજા ઘણા ઉપયોગો હોઈ શકે છે. સમસ્યાનું જેટલું સચોટ નિદાન કરી શકાય અને તેને સંબંધિત જેટલી સચોટ માહિતીસામગ્રી એકઠી કરી શકાય તેટલો વિશાળકાય માહિતીસામગ્રીનો સમસ્યાનાં સમાધાન માટે વધારે સચોટ ઉપયોગ શકય છે.
વધારે ખડતલ વિશ્લેષકો અને માનસચિત્ર જેવાં સાધનોને આવરી લેવાથી આપણી ઉત્પાદન હરોળ કેમ કામ કરે છે અને તેને કેમ ઓછામાં ઓછા અવરોધોવાળી, વધારે કાર્યક્ષમ કરી શકાય તેની ખૂબ ઝીણવટભરી સમજ મેળવવી શકય બને છે. [5]
વ્યૂહાત્મક અને કાર્યરીતિનાં સ્તરે સંસ્થાની પાસે ભરેલ પડેલ માહિતીસામગ્રીનો બહુ નાનો હિસ્સો વધારે સારી સૂઝમાં અને નિર્ણય પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી બની શકે તેવી માહિતીમાં રૂપાંતરીત થતો હોય છે. આમ થવાનાં મુખ્ય કારણમાં એક બાજુ ઉદ્દેશ્યો, લક્ષ્યો, પ્રાથમિકતાઓ અને બીજી બાજુ આઈટી વ્યાવસાયિકો અને તેઓ જેમને મદદ કરવા માગે છે તે જમીની સ્તર પર કામ કરતા જે તે ક્ષેત્રના વ્યાવસાયિકોની કામ કરવાની પધ્ધતિઓમાં રહી જતું અંતર છે. [6]
સંસ્થાનાં વરિષ્ઠ સંચાલન મંડળ સામે બીજો એક પડકાર છે, નીચે દર્શાવેલ આકૃતિ મુજબના, માહિતીસામગ્રીના મંચમાં ઝડપથી થઈ રહેલ ઉત્ક્રાંતિ. . આમ સતત બદલતાં રહેતાં ચિત્રને અનુરૂપ વ્યૂહરચના કેમ ઘડવી?

ડેટા મૅનેજમૅન્ટ એસોશીએશન દ્વરા તૈયાર કરાયેલી નીચેની આકૃતિ માહિતીસામગ્રી સંચાલનનાં પાયાનાં ઘટકોની ઉપર ઝળૂંબી રહેલ સંચાલન ઘટકો બતાવે છે. આ બન્ને યોગ્ય સમયે યોગ્ય રીતે એકબીજાં સાથે આદાનપ્રદાન કરતાં રહે તો ધાર્યાં પરિણામ મળી શકે.


 માહિતીસામગ્રીનું ડિજિટલ અર્થતંત્રમાં વ્યૂહાત્મક સ્રોત તરીકે મહત્ત્વ સમજાય તો માહિતીસામગ્રી સંચાલનનાં માળખાંને કામગીરી માપણી સંચાલનના સિધ્ધાંતો, અને સંચાલના ચક્રના તર્ક, મુજબ તેનું વ્યવસ્થાપન  કરી શકાય. અહીં દર્શાવેલ આકૃતિમાં માહિતીસામગ્રી સંચાલનની ડીઝાઈનને લગતાં ત્રણ વર્ગીકરણ - લક્ષ્યો (goals), શક્યકર્તા (enablers), અને પરિણામો (results) દર્શાવેલ છે જે સતત સુધારણા ચક્ર સાથે સાંકળી શકાય છે. [7]


૧. જૂદા જૂદા પ્લાન્ટ્સના કામગીરીનાં કોષ્ટકોના સંબંધ સાંકળવા
૨. ઉત્પાદન માહિતીસામગ્રીનું ભાવિસૂચક મૉડેલ રજૂ કરવું
3. પુરવઠાકારોની સાંકળની કામગીરીને વધારે સારી રીતે સમજવી
૪. ગ્રાહકની સેવાઓ અને મદદ ઝડપથી શક્ય બનાવવી
૫. ઉત્પાદન માહિતીસામગ્રીના આધારે સમયની સાથે સાથે જ સાબદા રહેવાની સુચનાઓ શક્ય બનાવવી
વિશાળકાય માહિતીસામગ્રી અને તેના વિશ્લેષકોની ટેક્નોલોજિ તેમ જ તેના ઉત્પાદન ક્ષેત્રમાં ઉપયોગો વિષે એટલું તારણ બાંધી શકાય કે માહિતીસમગ્રી એકઠી કરતી વખતે જો તેના દ્વારા મેળવવા ધારેલા વાસ્તવિક અને સિધ્ધ કરી શકાય તેવા લક્ષ્યને ધ્યાનમાં રાખવામાં આવે તો તે સંસ્થા માટે સ્પર્ધાત્મક સરસાઈ ઊભી કરવા માટેનું એક પ્રબળ સાધન બની શકે છે.
તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Drucker on Marketing માંનો Josh Steimle નો લેખ Finding Insight in a Digital Sea of Information આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. આપણાં કામની ઘણી બારીકીઓમાં આપણને વિશાળ માહિતીસામગ્રી વિશ્લેષકો નવી જ પ્રકરની સૂઝ પૂરી પાડી રહેલ છે. તેના આધાર પર લેવાઈ રહેલ નિર્ણયો આપણને અવનવાં જોડાણોની દુનિયા સાથે સાંકળી આપે છે, જે દુનિયા વિષેની આપણી દૃષ્ટિને જરૂરથી એક નવી દિશા ખોલી આપશે. ..આજની પેઢી ડિજિટલ યુગમાં જીવી રહેલ છે. આવતી કાલની પેઢી વિશાળ માહિતીસામગ્રીના યુગમાં જીવતી હશે.
[લેખનો સંક્ષિપ્ત અનુવાદ પણ વાંચી શકાશે.]
આપણા આજના અંકમાં ASQ TV પરનાં વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકોવિષે ચર્ચા કરતાં વૃતાંતની નોંધ લઈશું,
  • Big Data - વિશાળકાય માહિતીસામગ્રી, માહિતીસામગ્રી વિશેલ્ષકો અને ભાવિસૂચક મૉડેલીંગ એ ત્રણેય સાધનોનો સંસ્થાઓ અને ગુણવત્તા વ્યાવસાયિકો શી રીતે ઉપયોગ કરી શકે વિષે ચર્ચા કરે છે.
                  વધારાની માહિતી -: The Deal With Big Data
  • New Era of Quality: Big Data and Predictive Analytics - ઈન્ટેલેક્ષ ટેક્નોલોજિસ ઈન્ક. નાં ક્વૉલિટી પ્રેક્ટીસ લીડર , નિકોલ રૅડ્ઝીવીલ વિશાળકાય માહિતીસામગ્રી અને ભાવિસૂચક મોડેલીંગની ચર્ચાની સાથે તેના વડે માનવીય પ્રજ્ઞામાં વધારો કરીને લોકોને પોતાનું કામ કરવામાં કેમ મદદરૂપ બનાવી શકાય તેની વાત કરે છે.

Jim L. Smithની માર્ચ, ૨૦૧૯ની Jim’s Gems પૉસ્ટ::
  • Pursuit of Quality - આડખીલીઓ, સ્વાંગબદલી કે ગેરમાન્યતાઓથી ચેતતાં રહેવું - ઘણી સંસ્થાઓ સુધારણા કાર્યક્રમો પરંપરાગત પધ્ધતિઓ વડે અમલ કરે છે. તેમાંની કેટલીક પધ્ધતિઓ બાવા આદમના જમાનાની પણ હોઈ શકે છે. ઘણી વાર સંસ્થાઓ બહુ ટુંકી નજરે પણ જોતી હોય છે. તો વળી ક્યારેક ગુણવત્તા સુધારણાની જૂની માન્યતાઓને નવા સ્વાંગમાં પણ રજૂ કરાતી જોવા મળે છે. ટૂંકા ગાળાના નફા માટે કરીને કરાતા ખર્ચાના ઘટાડા ગુણવત્તા સુધારણાના માર્ગમાં બહુ મોટી આડશ પરવડે છે. ઘણી વાર ખર્ચમાં ઘટાડાને ઉત્પાદકતામાં સુધારણાનું નામ પણ આપવામાં આવતું હોય છે. લાગતાં વળગતાં દરેકે સમજી લેવું જોઈશે કે સુધારણા કાર્યક્રમો ત્યારે જ સૌથી વધારે અસરકારક નીવડી શકે છે જ્યારે તે બધાંને સમજાય છે અને સ્વીકાર્ય હોય છે. સુધારણા માટે બહુ જ સ્વાભાવિક દેખાતું કારણ પણ લોકોને યથોચિત રીતે વહેંચવા માટે સંચાલકે પહેલાં 'કેમ' અને 'ક્યારે' તે સમજાવવું તે સમજી લેવું આવશ્યક છે. લોકો પરિવર્તનની જરૂરિયાત સ્વીકારી લે તેનાથી આ બાબત ઘણી વધારે ગહન છે.
  • Imagination - થોડી મિનિટ તમારાં મગજને તસ્દી આપી તમારી કલ્પનાશક્તિને વહેતી કરીને જૂઓ કે શું શું દેખાય છે. જે કંઈ તમને દેખાય તે બીજાં સાથે વહેંચો - નક્કર આકાર લે પહેલાંનું એ ભવિષ્ય કેવું છે તે તમારી આંખ સામે તો દેખાતું થયું હશે ને ! હા, તે બદલાઈ શકે છે.. બદલતું રહેવું પણ જોઈએ. દરેક પરિવર્તનને કારણે થોડો ઘણો ડર તો લાગે છે, પરંતુ કલ્પનાશક્તિને કામે લગાડવાથી એ પરિવર્તન સાથેની શક્ય એટલી બધી સંભાવનાઓ કલ્પી શકાય છે, જે ભય ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. અમેરિક્ન લેખક, વિલિયમ આર્થર વૉર્ડનું કહેવું છે કે' જે તમે કલ્પી શકશો તે સિધ્ધ કરી શકશો. જો તમે તેનું સ્વપ્ન સેવી શકશો, તો તમે તે બની શકશો.' જરૂરી એ છે કે તમારી કલ્પનાને વધારે ને વધારે વિગતમાં ઊંડી ઊતરવાની ટેવ પાડો. શરૂઆત જેટલી વહેલી કરશો, સંભાવનાઓ એટલી જ વિશાળ હશે.
  • Say Bye to Negativity - સફળ લોકોએ તેમના નકારાત્મક વિચારોને કેમ આઘા કરી દેવા તે જરૂર શીખી લીધું હોય છે. એ માટે

૧) તમને મુંઝવતા વિચારોને અળગા કરી નાખો.
૨) પોતાને યાદ કરાવતાં રહો કે મોટા ભાગે આપણને જે વાતનો ડર હોય છે તેમ થઈને નથી રહેતું.
૩) ચિતાને માનસ ચિત્ર જોવાની આદત વડે આઘી કરો
૪) નકારાત્મકતાને નકારતાં રહો
૫) તેને સકારાત્મકતાથી ભરો.નકારાકાત્મકને બદલે સકારાત્મક માનસચિત્ર મગજમાં કલ્પો અને તેની પુષ્ટિ કરતાં વિધાનો વિષે જ વિચારો.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, April 14, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૯

હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો : ૧૯૫૬-૧૯૫૭

હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. તેમણે હિંદી અને ઉર્દુ પદ્ય / શાયરીઓનાં પણ પુસ્તકો લખ્યાં છે.


તેમનાં પત્નીની સલાહ માનીને તેમણે પોતાની આવકનું મોટા ભાગનું રોકાણ રીઅલ એસ્ટેટમાં કર્યું અને ભાડાંની આવકનો બીજો સ્થિર સ્રોત ઊભો કરીને તેમનાં કુટુંબને આર્થિક રીતે સુખદાયક પરિસ્થિતિમાં મુકી આપેલ. કદાચ એ જ દૃષ્ટિએ તેમણે શંકર જયકિશન ઉપરાંત અન્ય કેટલાય સંગીતકારો માટે ગીતો લખ્યાં હતાં. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ. ૨૦૧૭માં આપણે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં અને ૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં કેટલાંક ગીતો યાદ કર્યાં હતાં આજના આ અંકમાં આપણે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં ગીતોને યાદ કરીશું. આપણો મુખ્ય આશય હસરત જયપુરીનાં વધારે ને વધારે ગીતોને આવરી લેવાનો હોવાથી પહેલાંનાં વર્ષોમાં આવરી લેવાયેલ સંગીતકાર સાથે આજના અંકનાં વર્ષો દરમ્યાન પણ તેમણે જો ગીતો રચ્યાં હશે તો એવાં ગીતોને પણ આપણે સાંભળીશું.

૧૯૫૬

૧૯૫૬માં હસરત જયપુરીએ શંકર જયકિશન સાથે ૧૯ ગીતો - બસંત બહાર (૧), ચોરી ચોરી (૫), હલાકુ (૩), ન્યુ દિલ્હી (૨), પટરાની (૨), કિસ્મત કા ખેલ (૨), રાજહઠ (૪)- રચ્યાં. તે સામે અન્ય ૬ સંગીતકારો - એસ એન ત્રિપાઠી (દિલ્લી દરબાર, ૪), ચિત્રગુપ્ત (ઈન્સાફ, ૨), રામલાલ (નક઼ાબપોશ,૨), મુકુલ રોય (સૈલાબ,૨) અને વસંત દેસાઈ (તૂફાન ઔર દિયા, ૧)- સાથે ૧૧ ગીતોની રચના કરી. વસંત દેસાઈ સાથે વી. શાંતારામની ૧૯૫૫ની ફિલ્મ ‘જનક જનક પાયલ બાજે’ માં પણ તેમણે કામ કર્યું હતું.

સંગીતકાર: એસ એન ત્રિપાઠી

દિલ્લી દરબાર ફિલ્મમાં એસ એન ત્રિપાઠીના સંગીત નિર્દેશનમાં હસરત જયપુરી સાથે ફિલ્મ સંગીતના તેમના હમસફર શૈલેન્દ્ર મુખ્ય ગીતકાર છે. હસરત જય્પુરીએ લખેલ ગીત 'હો રસિયા મૈં તો શરણ તિહારી' (શમશાદ બેગમ)ની યુ ટ્યુબ પરની લિંક મળતી નથી.

સંગીતકાર: મુકુલ રોય

ફિલ્મ: સૈલાબ

સૈલાબ સંગીતકાર મુકુલ રોયે તેમનાં બહેન ગીતા દત્ત સાથે નિર્માણ કરેલ ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન ગુરુ દત્તે સંભાળ્યું હતું. આ ફિલ્મમાં પણ હસરત જયપુરી સાથે શૈલેન્દ્ર , મજરૂહ સુલ્તાનપુરી અને મધુકર રાજસ્થાની પણ ગીતકારોની ટીમમાં છે.

હાયે રે હાયે….બાજે દિલ કે તાર કરે પુકાર = લક્ષ્મી શંકર

ગીત માટે લક્ષ્મી શંકરની પસંદ શા માટે કરાઈ હશે તે તો જાણમાં નથી, પણ ગીત સાંભળવામાં જરૂર કર્ણપ્રિય બન્યું છે.
જિયરા બાત નહીં માને કિસી કી – ગીતા દત્ત

પ્રેમના વિચારોમાં મગ્ન મુગ્ધાના મનના વિચારોને વાચા આપતું આ ગીત બહુ સંભળવા નથી મળ્યું.

સંગીતકાર: ચિત્રગુપ્ત

ઈન્સાફ નાં પણ હસરત જયપુરીએ લખેલાં ગીતો યુ ટ્યુબ પર નથી મળી શક્યાં

સંગીતકાર: રામલાલ

નક઼ાબપોશ નાં પણ હસરત જયપુરીએ લખેલાં ગીતો યુટ્યુબ પર નથી મળ્યાં.

સંગીતકાર: વસંત દેસાઈ

ફિલ્મ: તૂફાન ઔર દિયા

આ ફિલ્મનાં બીજાં બધાં ગીતો ભરત વ્યાસે લખેલાં છે.

નીગાહેં નીચી કિયે બૈઠે હૈં...સર ઝુકાયે બૈઠે હૈ...તુમ હી જો દિલ મેરા ચુરાયે બૈઠે હો.. દિલ તુમને લિયા હૈ મેરી જાન - શમશાદ બેગમ

ગીત મૂળ્ મુજરા નૃત્ય મિજાજનું છે, પણ સંગીતકારે ધુનની બાંધણી ગરબાની ધુન પર કરી છે અને સાથે સાથે હાર્મોનિયમના ટુકડાઓ વડે મુજરાનો ઉઠાવ પણ આપ્યો છે. ગીતના પ્રારંભમાં હસરત જયપુરીની આગવી શૈલીની છડીદાર સાખી પણ રંગત જમાવવામાં પોતાનો ભાગ ભજવે છે. 

૧૯૫૭

વર્ષ ૧૯૫૭માં હસરત જયપુરીની શંકર જયકિશન સાથે બે ફિલ્મો. બેગુનાહ (૩) અને કઠપુતલી (૨) નાં ૫ ગીતની સામે હસરત જયપુરીએ અન્ય સંગીતકારો -દત્તારામ (અબ દિલ્લી દૂર નહીં ,૪) રોશન (કૉફી હાઉસ, ૧), ઓ પી નય્યર (જોહ્ની વૉકર, ૬), બસંત પ્રકાશ (મહારાની, ૩) અને (નીલોફર, ૩), એન દત્તા (મોહિની, ૨) અને (મિ. એક્ષ ૩) અને વિનોદ (મુમતાઝ મહલ, ૩)- સાથે ૨૫ ગીતો રચ્યાં

સંગીતકાર: દત્તારામ

ફિલ્મ: અબ દિલ્લી દૂર નહીં

'અબ દિલ્લી દૂર નહી' દ્વારા દત્તારામે હિંદી ફિલ્મ સંગીતમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું હતું તે તો બધાંને સુવિદિત જ છે. હસરત જયપુરીએ લખેલાં ૪ ગીતોમાં ચુન ચુન કરતી આયી ચિડીયા (મોહમ્મદ રફી) આજે પણ લોકપ્રિય છે અને જિયો લાલ મેરે તુમ લાખોં બરસ (લતા મંગેશકર, કોરસ) વિવેચકોની પણ ચાહનાની એરણે ખરૂં ઉતર્યું હતું.

લો હર ચીઝ લો ઝમાનેકે લોગો, બહારોંકી હમ તો અદા બેચતે હૈં - આશા ભોસલે, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, કોરસ

ગીતનો પ્રાંરભ હસરત જયપુરી સાખીના બોલ 'ઈધર ભી એક નઝર જાનવાલે' થી કરે છે જે શેરી પર રમકડાં વેંચતાં કિશોર બાળકોના વેપારની સુગેય જાહેરાતમાં ફેરવાઈ જાય છે. ગીતના બોલ કિશોર વયનાં બાળકોની માનસીક સ્થિતિને અનુરૂપ હોવાની સાથે સાથે ખૂબ અર્થપૂર્ણ પણ છે.

આડવાત
ગીતના મુખડાના બોલ જે કિશોર પરદા પર ગાય છે તે અમજદ ખાન છે.
ભેજ છન્ના છન્ન રૂપૈયા , હમ તેરે કહેલાતે હૈ - મોહમ્મદ રફી અને એસ બલબીર

બધાંનું ભલું કરનાર ભગવાન પાસે રૂપિયા ટકાની મદદની અરજ કરતા આ કાકા- ભત્રીજાએ વાતની રજૂઆત ભલે હળવાશથી કરી હોય, પણ તેઓની ખુમારીમાં ક્યાંય પણ કચાશ નથી દેખાવા દીધી.

સંગીતકાર રોશન

ફિલ્મ: કોફી હાઉસ

ફિલ્મના મુખ્ય ગીતકાર તો પ્રેમ ધવન છે, પરંતુ શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ પણ એક એક ગીત લખ્યાં છે.

તોડ દીયા દિલ તુને સાવરિયા - આશા ભોસલે

હસરત જયપુરીનાં આપણે સામાન્યતં જાણીએ છીએ તેવાં ગીતના સરળ શબ્દોનાં ધોરણના, કે '૬૦ના દાયકામાં રોશનની ધુનોની સુગેયતાના, પ્રમાણમાં આ ગીત થોડું 'અઘરૂ" જણાય છે. 

સંગીતકાર: બસંત પ્રકાશ

ફિલ્મ: મહારાણી - ફિલ્મનાં એક સિવાયનાં બધાં ગીતો હસરત જયપુરીએ લખેલાં હોવા છતાં ફરી એક વાર એવી ફિલ્મ છે જેનાં હસરત જયપુરીએ લખેલાં ગીતો યુ ટ્યુબ પર ઉપલબ્ધ નથી જણાતાં.

સંગીતકાર: વિનોદ

ફિલ્મ મુમુતાઝ મહલ

ફિલ્મમાં ૭ ગીતો છે, જે પૈકી એક એક ગીત પંડિત પ્રિતદર્શી અને કૈફી આઝમીએ લખેલ છે, અને બાકીનાં ૫ ગીતો હસરત જયપુરીએ લખ્યાં છે.

મૈં દિલ કા સાઝ બજાતા હૂં ચાહત કે નગમે ગાતા હૂં - તલત મહમૂદ –

તલત મહમૂદના મર્મશીલ સ્વરમાં જાણે સંગીતકાર તરીકે વિનોદના જ અનુભવોને વાચા આપવામાં આવી હોય એવા આ ગીતના બોલ છે.

સંગીતકાર: એન દત્તા

ફિલ્મ: મોહિની

ફિલ્મમાં હસરત જયપુરીએ લખેલાં બે ગીતો છે, જે પૈકી રાત યે બહાર કી તેરે પ્યાર કી (આશા ભોસલે, કોરસ)ની વિડીયો ક્લિપ યુ ટ્યુબ પરથી હ ટાવી દેવાઈ લાગે છે.

નૈનોમેં ઝૂમે હૈ પ્યાર સાંવરિયા - આશા ભોસલે

હસરત જય્પુરીના ગીતોની સાખીથી થતી શરૂઆતનો ઉપયોગ રાજાનું ધ્યાન પોતા તરફ કર્યા બાદ નાયિકા રાજાને પોતાનાં નૃત્ય્ગીતથી રીઝવવા કોશીશ કરે છે.
ફિલ્મ: મિ. એક્ષ 

'૫૦ના દાયકાના બીજા મધ્ય ભાગમાં થ્રીલર પ્રકારની હિંદી ફિલ્મોમાં પણ કેટલીક ભૂમિકાઓ ભજવી હતી. મિ. એક્ષ એવી જ એક ફિલ્મ છે જેમાં અશોક કુમારનું પાત્ર ફિલ્મમાં અદૃષ્ય પણ બની જાય છે. ફિલ્મમાં મજરૂહ સુલ્તાનપુરી, તન્વીર નક્વી, ભરત વ્યાસ જેવા અન્ય ત્રણ ગીતકારોનાં ગીત પણ હતાં, જેમના દરેકના ભાગે એક એક ગીત આવેલ છે. હસરત જયપુરીએ ત્રણ ગીત લખ્યાં છે જે પૈકી બે ગીત આપણે અહીં સાંભળીશું -

મૈં પ્યારકી લૈલા હૂં, પાઓગે ન તુમ ઐસી, યે ચાંદ ભી દીવાના સુરત હૈ મેરી ઐસી - મન્ના ડે, સુધા મલ્હોત્રા

ચાંદ પણ જેનો દીવાનો છે તેવાં પોતાનાં સૌંદર્યનાં આ યુગલ ગીતમાં નાયિકા જાતે જ વખાણ કરવામાં એટલી મગ્ન છે કે પ્રેમીને તો હાજીમાં હા પુરાવવાનો મોકો છેક બીજા અંતરામાં મળે છે. અને તે સમયે પણ બીજા બધાં બધાં દુન્યવી સુખો નીછાવર કરવાની તૈયારી જ તેણે ગાવી પડે છે.
સદકે તેરે ચાલ કે કજ઼રા વજરા ડાલ કે, જાનેવાલી આના કભી યાર કી ગલી - મોહમ્મદ રફી, ગીતા દત્ત

ફિલ્મમાં જોહ્ની વૉકર એક લોંડ્રીવાળાની ભૂમિકા ભજવે છે જે ગ્રાહકોના સુટ પહેરીને રાતે ગીતો ગાવા નીકળી પડે છે. આ ગીત કઈ પરિસ્થિતિમાં ગવાયું હશે તે તો યાદ નથી કે નથી આ ઑડીયો ક્લિપ પરથી કળી શકાતું, પણ તેના અંતરાના વાદ્ય સંગીતમાં હાર્મોનિયમનો ઉપયોગ સામાન્યપણે શેરીમાં ગવાતાં ગીતોમાં કરાતા હાર્મોનિયમના સંગાથ જેવો છે.

સંગીતકાર ઓ પી નય્યર

ફિલ્મ : જોહ્ની વૉકર

આ ફિલ્મનાં બધાં જ ગીત હસરત જયપુરીએ લખેલાં છે. ૧૯૫૭માં ઓ પી નય્યરે એક તરફ 'નયા દૌર' જેવી, તે સમયની સામાજિક-રાજકીય વિચારધારાને પરદા પર રજૂ કરતી, ફિલ્મોમાં લોકોને ઝૂમતાં કરી મૂકે તેવું સંગીત આપ્યું, તો બીજી બાજૂ દેખીતી રીતે સાધારણ કહી શકાય એવી ફિલ્મમાં પણ તેમનાં સંગીતનો જાદૂ એટલો જ અસરકારક હતો. આપણે ફિલ્મનાં છ ગીતો પૈકી ત્રણ ગીતોને આજે અહીં સાંભળીશું.

ઠંડી ઠંડી હવા પૂછે ઉનકા પતા - ગીતા દત્ત, આશા ભોસલે

આ ગીત ફિલ્મમાં શ્યામા અને શીલા વાઝ પર ફિલ્માવાયું છે. આવું જ બીજું યુગલ ગીત - ઝૂકી ઝૂકી પ્યાર કી નઝર દેખે ઉન્હે - પણ ઓ પી નય્યરની ધુનના જાદુની યાદ કરાવે છે.- 
આપણા આ શ્રેણીના દરેક અંકને મોહમ્મદ રફીનાં ગીત સાથે સંપન્ન કરવાની પરંપરાની સાથે આ ફિલ્મનાં બીજાં બે ગીત સાંકળી લઈશું

અય દિલ તુ ન ડર ઈસ જહાન સે - મોહમ્મદ રફી

જોહ્ની વૉકરનાં ગીત જોહ્ની વૉકરની અદાકારીને પૂર્ણપણે બંધ બેસે એવી અદાથી રફી ગાઈ શકતા હતા. આ ગીત તેનૉ એક વધારે નમૂનો છે.
મુંહ પે મત લગા યે ચીઝ હૈ બુરી - મોહમ્મદ રફી, મન્ના ડે

મોહમ્મદ રફી અને મન્ના ડેની જુગલબંધીએ જેમ શાસ્ત્રીય રાગ પર આધારીત ફિલ્મી ગીતોમાં એક અનોખું સ્થાન જમાવ્યું છે તેવું જ અનેરૂં સ્થાન આ જોડીનું હળવાં ગીતોના પ્રકારમાં પણ ખાસ સ્થાન ગણાતું આવ્યું છે..

હસરત જયપુરીની અન્ય સંગીતકારો સાથે ફિલ્મ સંગીત સફર આપણે હજૂ પણ ચાલુ રાખીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.