Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts
Showing posts with label પુસ્તક વાંચનની મજાની વહેંચણી. Show all posts

Sunday, August 18, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ અને સંવર્ધિત વાસ્તવિકતા વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે  પ્રતિકૃતિકરણ (Simulation) વિષે ટુંકમાં ચર્ચા કરીશું..

પ્રતિકૃતિકરણ પૂર્વધારણા અનુસાર વાસ્તવિકતા એ એક ડિજિટલ પ્રતિકૃતિકરણ છે. તકનીકી પ્રગતિઓ જરૂર સ્વયંચાલિત કૃત્રિમ અતિબુદ્ધિ સર્જશે જે વિશ્વને સમજવા માટેનાં બધારે સારાં પ્રતિકૃતિકરણઓ સર્જશે. આ વિચાર એક બીજા વિચાર માટેનું દ્વાર ખોલે છે જેમાં એવૂં માનવામાં આવી રહ્યું છે કે માનવીમાં જ અતિબુદ્ધિ રહેલ છે જે પ્રતિકૃતિઓ બનાવ્યે રાખે છે. પહેલે ધડાકે વાસ્તવિકતા આભાસી છે તે વિચાર તર્કસંગત ન લાગે, પણ આ પૂર્વધારણા દસકાઓનાં વૈજ્ઞાનિક સંશોધનની નિપજ છે, જેને સ્ટીફન હૉકિંગ કે એલન મસ્ક જેવા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો ગંભીરતાપૂર્વક વિચારે છે. [1]
ટેકોપિડીયા પ્રતિકૃતિકરણની વ્યાખ્યા આ મુજબ કરે છે - એવું સંશોધન કે નવી પહેલ જેમાં કોઈ સાચી ઘટનાનું અદ્દલોદલ નિરૂપણ કરાયું હોય. કુદરતની ઘણી ઘટનાઓને ગાણિતિક મોડેલ રૂપે રજૂ કરી શકાય છે. પ્રતિકૃતિકરણની મદદથી કુદરતી રીતે બનતી ઘટનાઓનાં પરિણામોનું અનુકરણ  માહિતી ટેકનોલોજિ તંત્રવ્યવસ્થાઓ દ્વારા શક્ય બને છે. [2]
'પ્રતિકૃતિકરણ'ની એક અન્ય સરળ વ્યાખ્યા મુજબ તે' વાસ્તવિક જીવનમાં બનતી પ્રક્રિયાઓ કે ઘટનાઓ કે તંત્રવ્યવ્સ્થાઓની સમયાનુસાર નકલ રજૂ કરે છે.'[3] પ્રક્રિયા કે તંત્રવ્યવસ્થાની નકલ કરવાથી જે કોઈ પણ ફેરફાર અને તેનાં પરિણામોનો નિયંત્રિત, પુનરાવર્તિત પરિસ્થિતિઓમાં અભ્યાસ શક્ય બને છે...ઉત્પાદનની નવી વ્યવસ્થાઓમાં કે નવી ડિઝાઈન્સ ને બજારમાં લાવવામાં કે નવી પ્રક્રિયાનાં ઘડતરમાં મોટા પાયાનાં ખર્ચાળ રોકાણોની જરૂર પડતી હોવાને કારણે પ્રતિકૃતિકરણનો ઉપયોગ ઘણા ઓછાં ખર્ચ અને સમયમાં આ પ્રકારના ફાયદાઓ કરી આપી શકે છે.
પ્રતિકૃતિકરણનો ઉત્પાદનનાં ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય નાના સ્થાનિક ફેરફારોની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા પર થતી અસરોને સમજી શકવાનો રહ્યો છે. સ્થાનિક સ્તરે થતા ફેરફાર અને તેનાં પરિણામ સમજવાં પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પણ ખુબ સંકુલ સમગ્ર પ્રક્રિયા પર તેની શું અસરો થશે તે કલ્પી શકવું દરેક વખતે સરળ અને શક્ય નથી બની શકતું હોતું. [4]
જેમ કે
નવી ડિઝાઈન લાગુ કરવાથી, નિયમિત ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ મશીનની વહેવારમાં શું કામગીરી બતાવશે તે ANDRITZ AUTOMATION Scada in P&P Balematic with INLINE Simulation toolમાં ચકાસાઈ રહ્યું છે.

૪.૦ અમલ કરતી ફેક્ટરીનો પહેલો માર્ગ જ પ્રતિકૃતિકરણ છે.[5] સ્માર્ટ ફેક્ટરીનાં અંગ સમાન 3D inspectionનું પ્રતિકૃતિકરણ કરવાથી ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધી શકે છે, તેમ જ  માલ સામાનની જરૂરિયાત-સાંકળનું પ્રોગ્રામિંગ 'સ્માર્ટ' કરી શકાય છે. -
-        કારણકે જ્યારે ઓફલાઈન તપાસનાં કામોને વહેવારમાં વપરાતાં સાધનો અને વાતાવરણનાં પ્રતિકૃતિકરણ કરેલ જોડકામાં જોઈ શકવાને કારણે ઘણાં માપણી અને દેખરેખનાં કામો ટાળી શકાય છે.
-        કારણકે, જ્યારે તપાસણી કાર્યક્રમની પ્રતિકૃતિ બનાવીને અપ્રત્યક્ષ, આભાસી પદ્ધતિઓ સ્વરૂપે ચલાવવાથી  તેમાંની સંભવિત ક્ષતિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથેની અથડામણોને ટાળી શકાય છે.-        કારણકે, ઓફલાઈન પ્રતિકૃતિકરણ મૂળ CAD ફાઈલ્સસાથે કામ કરીને ભૌમિતિક માપન અને સ્વીકાર્ય છૂટ (Geometric dimensioning and tolerancing - GD&T) નું અર્થઘટન સ્વયંસંચાલિતપણે જ કરી શકે છે.
વધારે વિગતે શોધખોળ કરવાથી આ વિષય પરનાં ઘણાં તકનીકી સંશોધનો ઉપલબ્ધ બની શકે છે. સ્વાભાવિકપણે, એ દરેકને વાંચવા માટે ઓળખની ચોક્કસ પદ્ધતિઓ આવશ્યક હોવાથી તેમનો આપણા આ લેખમાં ઉલ્લેખ નથી કરી શકાયો. એક પ્રતિનિધિ સંશોધન પત્રનો ઉલ્લેખ અહીં કરેલ છે, જે એ સંશોધનપત્રોનાં વસ્તુ અને આપણા વિષયને સમજવામાં કંઈક અંશે દિશાસૂચક નીવડશે –
  • An Application of Computer Simulation to Quality Control in Manufacturing - પ્રસ્તુત અભ્યાસ માટે કંપનીએ સંબંધિત ગુણધર્મ માટે એકલ સેમ્પ્લિંગ સાથેની સ્કિપ લૉટ પદ્ધતિ અખત્યાર કરેલ છે. પરિસ્થિતિનાં વિશ્લેષણથી એવું ફલિત થતું હતું કે કોમ્પ્લેક્ષ લૉટ પધ્ધતિ અહીં યોગ્ય બેસતી નહોતી, પણ અનેક- તબક્કાની સંબંધિત ગુણધર્મની સેમ્પ્લિંગ યોજના દરેક તપાસણીમાં લૉટ દીઠ સેમ્પલની સંખ્યા ઘટાડીને તપાસ કરનારની ઉત્પાદકતા વધારી શકે છે. આ પ્રસ્તાવોનાં નિદર્શન માટે કમ્પ્યુટર -રચિત પ્રતિકૃતિકરણ મોડેલ વિકસાવવામાં આવ્યું જે કંપનીમાં હાલમાં ઉપયોગમાં લેવાયેલી વ્યવસ્થાની અને અન્ય કેટલીક સંભવિત વ્યવસ્થાઓની પ્રતિકૃતિ હતી. આ પ્રયોગનાં પરિણામોના આધાર પરથી કંપનીએ લૉટ વચ્ચે 'યુનિફોર્મ સ્કિપ્પીંગ' અનુસારની તપાસ વ્યવસ્થા અને 'મલ્ટિ-સ્ટેજ સંબંધિત ગુણધર્મ સેમ્પ્લિંગ યોજના અપનાવવાનું નક્કી કર્યું.  છ મહિનાના સુધી આ નવી વ્યવસ્થાના અમલ બાદ કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો.
  • Simulation in Quality Management – An Approach to Improve Inspection Planning - અનેક માલસ્માનની વસ્તુઓને આવરીને જૂદાંજૂદાં મશીનો પર કામ થતાં થતા અનેક તબક્કાઓ મળીને ઉત્પાદન પ્રક્રિયા બને છે.  ગુણવત્તા તપાસનું ક્ષેત્ર ઉત્પાદન પ્રક્રિયાસાથે સંકલન કરીને ઉત્પાદનો આવશ્યકતાપૂર્તિ કરે છે તે જોતાં રહેવાનું છે. ગુણવત્તા, ખર્ચ અને સમય એમ ત્રણ પરિમાણોની એક સાથે થતી અસરોને પરિણામે ઉત્પાદન પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓ અને અલગ અલગ તપાસ પધ્ધતિઓ વચ્ચેની ક્રિયા પ્રક્રિયા ઘણી સંકુલ સ્વરૂપે થતી હોય છે. આ સમગ્ર પારિસ્થિતિક સંજોગોનાં ગતિશીલ સંબંધોને ધ્યાનમાં લઈને તપાસણી માટેની વ્યૂહરચના ગોઠવવાની રહેતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રતિકૃતિકરણ દૃષ્ટિકોણને આ સંશોધન પત્રમાં ચર્ચવામાં આવેલ છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurshipમાંનો, Editorial Staff  નો લેખ, The “Curiosity” Disconnect Between Executives and Employees,  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. સમગ્ર ઈતિહાસમાં જોઈ શકાય છે કે, આગ પેટાવવા માટે ચકમક પથ્થરથી લઈને સ્વ-સંચાલિત કાર સુધીની મોટા ભાગની નવી દિશાઓ કંડારતી શોધો કે નોંધપાત્ર આવિષ્કારોમાં જે એક બાબત સામાન્ય પણે જોવા મળે છે તે એ છે કે આ બધાં જ કુતુહલનું પરિણામ છે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Improve Process Design at Your Organization - મોરસ્ટ્રીમના પ્રેસિડેન્ટ, વિલિયમ હૅથવે પ્રક્રિયા માટેનાં વર્તમાન સાધનો અને ચપળ પ્રક્રિયાની મદદથી પ્રક્રિયા આલેખનનાં સુધારણા વિષેની ચર્ચા કરે છે.
Jim L. Smithની જુલાઈ, ૨૦૧૯ની Jim’s Gems -
  • Resilience એટલે અવળા સંજોગોને કારણે જે માર પડ્યો હોય તે ખમીને ફરીથી બેઠા થવાની લવચિક ક્ષમતા. ….ફરી બેઠા થવાનો આ ગુણ, કે નુક્સાન વેઠ્યા પછી ફરી ઊભા થવાની શક્તિનો બહુ ઘણો સંબંધ આપણું પોતાનું મૂલ્ય સમજવાની ભાવના સાથે રહે છે. આપણું જીવન આપણા નિયંત્રણમાં છે કે બહારનાં પરિબળોનાં નિયંત્રણમાં છે તે બાબતે આપણો પોતાનો અભિગમ પણ આ વિષયમાં પોતાનો ભાગ ભજવે છે.…ફેર બેઠા થવાની લચીકતા કેળવવામાં ચાર મુખ્ય બાબતો પાયાની ગણી શકાય - એક, બીચારાપણાની ભાવના ટાળો. બીજું,
  • પરિવર્તનનાં સાતત્યને સ્વીકારીને તેને જીવનનું અભિન્ન અંગ ગણી લો, એટલે તેનાથી ભાગી છૂટવાની વૃતિ ન કેળવાય. ત્રીજું, અડચણોને અતિક્રમી નહીં શકાય તેમ ન માનો. ચોથું, સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • Persistence Pays Dividends - મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્યતઃ લોકો કંઈ પણ બદલાવ લાવવા માટે આઠ, કે બહુ બહુ તો દસેક, વાર કોશિશ કરે છે. તે પછી પણ જો ધાર્યો ફેરફાર થતો ન દેખાય તો પછી તેઓ હાથ ઊંચા કરી દે છે !…જે ખાસ વાત મોટા ભાગનાં આ પ્રકારનાં લોકોનાં ધ્યાનમાં નથી આવતી તે એ છે કે સફળતાની ચાવી પોતાના માટે ખરેખર મહત્ત્વનું શું છે તે બરાબર સમજવું અને પછી બધું, પૂરતું, વિચારીને, તે સિધ્ધ કરવા માટેનાં પગલાં લેવાં. આ પગલાં દરેક નિશ્ચિત સમયે અચુક લેવાવાં જ જોઇએ. દેખીતું પરિણામ ન આવતું દેખાય તો પોતાની વ્યૂહરચનામાં આવશ્યક ફેરફારો કરતાં રહીને પ્રયાસો, નિયત સમયે, કરવાનું ચાલુ જ રહેવું જોઈએ.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, December 16, 2018

હિંદી ફિલ્મ જગતના સુવર્ણકાળના પ્રારંભના ૩૫ અવિલાપિત-અલ્પજાણીતાં કલાકારોનાં જીવનપર ફ્લૅશબૅક : इन्हें न भुलाना - હરીશ રઘુવંશી

હિંદી ફિલ્મ સંગીતના ચાહકોની ઘણી પેઢીઓ માટે હિંદી ફિલ્મ સંગીતની કંઈ કેટલીય વાતો, દસ્તાવેજો અને ઘટનાઓની તવારીખના સંન્નિષ્ઠ સંગ્રાહક, સંશોધક અને લેખક તરીકે શ્રી હરીશ રઘુવંશીનું નામ અજાણ્યું નથી. ક્ષતિહિન પૂર્ણતાના તેમના અંગત આગ્રહને પરિણામે તેમની પાસે માહિતીસામગ્રીનો જેટલો ખજાનો છે, તેમાંનો બહુ જ થોડો કહી શકાય એવો ભાગ તેઓએ લેખો / પુસ્તકોમાં ઉતારવાનું મુનાસિબ મન્યું છે. પરંતુ તેઓએ જ્યારે પણ લખ્યું છે ત્યારે તે લેખન શતપ્રતિશત ખરી માહિતી પૂરૂં પાડવાની સાથે સાથે ખૂબજ રસાળ શૈલીમાં રજૂ થયું છે.

શ્રી હરીશ રઘુવંશીની કલમેથી એક એવું નીવડેલું પસ્તક હતું 'ઈન્હેં ના ભુલાના', જે ૨૦૦૩માં પ્રકાશિત થયેલુ, પણ હવે તેની નકલો અપ્રાપ્ય છે. હિંદી ફિલ્મ સંગીતના ચાહકો માટે આનંદના ખબર છે કે શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણીએ ખૂબ ચીવટથી તેનો હિન્દીમાં હવે અનુવાદ કર્યો છે જે સપ્ટેમ્બર, ૨૦૧૮માં इन्हें न भुलाना શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે.

હિંદી ફિલ્મોનો ઈતિહાસને ૧૦૦ની ઉપર બીજાં લગભગ છ વર્ષ પુરાં થવામાં છે. સ્વાભાવિક છે કે આટલાં વર્ષોની સફરમાં હિંદી ફિલ્મ ઉદ્યોગના પરદા પર, અને પરદાની પાછળ,સાથે કંઈ કેટલાંય નામી/ અનામી વ્યક્તિઓએ સમયે સમયે જૂદી જૂદી ભૂમિકાઓ ભજવી છે. જૂજ અપવાદોને બાદ કરતાં મોટા ભાગની આ વ્યક્તિઓએ આ કામ વ્યવસાય કરતાં નીજાનંદ અર્થે કલા ઉપાસનાનાં સ્વરૂપે કર્યું છે. આ પૈકી કેટલાંક નામો એવાં હતાં કે એ સમયે બહુ જાણીતાં થયાં હતાં. પરદા પર નાની કે મોટી ભૂમિકાઓ કરનાર એ દરેક વ્યક્તિની કેટલીક આગવી લાક્ષણિકતાઓ લોકોનાં મન પર ઊંડી અસર કરી જતી. એમાંથી જેમનાં નામ સમયની સાથે લોકોની યાદમાંથી ઓજલ ન થઈ ગયાં હોય એવાં ભાગ્યશાળી નામો તો તો સાવ જૂજ હોય, બાકી તો બધાંની નિયતિ આંખોની સામે દૂર થવાથી યાદમાંથી પણ દૂર થઈ જવાની જ લખાયેલી હોય છે.

इन्हें न भुलानाમાં હરીશભાઈએ એવાં ૩૫ ફિલ્મ કલાકારોનાં જીવનની ફિલ્મના પર્દા પરની અને પર્દા બહારની વિગતોને સામેલ કરી છે જેમનાં યોગદાન ઉલ્લેખનીય હોવા છતાં જેમના વિષે કંઈ ખાસ લખાયું નથી. આ કલાકારોની ફિલ્મ કારકીર્દીની મહત્વની વિગતો રજૂ કરવાની સાથે તેમની જન્મ તરીખ, દેહાવસાન તારીખ, જનમ-અવસાન સ્થળ જેવી માહિતી બહુ જ ચોક્કસપણે રજૂ કરવામાં હરીશભાઈનો ક્ષતિરહિત ચોક્સાઈનો આગ્રહ જોવા મળે છે. જે કલાકારોની સ્મૃતિને તાજી રાખવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરાયો છે તેમની યાદી આ મુજબ છે –
प्रेम अदीब; रुपहले पर्देके रामगोप; मेरे पिया गये रंगूनक़मर जलालाबादी: इक दिलके टुकडे हज़ार हुए
श्याम: रंगीन तबीअतका जामकरण दीवान: चाक्लेटी हीरोभरत व्यास: तुम गगनके चन्द्रमा हो
कन्हैयालाल: मदर इण्डियाका अकेला 'सुखालाल'जयन्त: गब्बर सिंह के पिताखुमार बाराबंकवी: तस्वीर बनाता हूं
मज़्हर खान: पुलिस विभाग से रुपहले पर्दे तक वास्ती: एक याद किसीकी अती रहीपं. नरेन्द्र शर्मा: ज्योति कलश छलके
नूर मुहम्मद: चार्ली पलट तेरा ध्यान किधर हैडी बीलीमोरिया: र्रुपहले सलीमकी सुनहरी सफलताप्रेम धवन: गीत, संगीत और नृत्यकी त्रिवेणी
मास्टर निसार: अब वो मुक़दर नहीं रहा...ई. बीलीमोरिया डोर कीपर से हीरोमास्टर फिदा हसैन बने 'प्रेम शंकर नरसी'
पी. जयराज : ऐतिहासुक पात्रोंके रुपमें इतिहासमें स्थान बनाने वालेनिगार सुल्ताना: पिन अप गर्लमाधुलाल मास्टर: संगीतके नींवके पत्थर परन्तु संयोगो के समक्ष कठपूतली
कृष्णकान्त उर्फ के.के.: चिरवृध्द अभिनेता कुलदीप कौर: क़ातिल नज़रकी कटारवी. बलसारा: सात दशकका स्वर-संसार
रंजन: 'तलवारबाज़ के रुपमें मान्य प्रतिभाशालीनसीम बानो : 'परी-चेहरा'अल्ला रखा अर्थात तबला
महीपाल: फिल्ममें गीत लीखनेवाळे एकमात्र 'राम'लीला मेहता: स्लीवलेस ब्लाउज़ वाला रोल ठुकराने वालीद्वारकादास सम्पत: मूक फिल्मों का गुजराती मान्धाता
नासिर ख़ान: ट्रेजॅडी-किंगका भाई होनेकी ट्रेजेडीशक़ीळा: बाबूजी धीरे चलनामोहनलाल दवे: हिन्दी फिल्मोंकी पटकथा के गुजराती पितामह
याकूब: रहे नाम अल्लाह कादुलारी: साढे पांच दस्गक का फ़िमी सफर


અહીં જે કલાકારોનાં નામ વાંચવા મળે છે તેની સાથે ઓળખ આપતાં વિશેષણમાં તેમની ફિલ્મ જગત કારકીર્દીની નોંધપાત્ર લાક્ષણિકતા પણ જાણવા મળે છે. હરીશભાઈની ગાગરમાં સાગર સમાવી શકવાની ક્ષમતાની આટલી નિશાની જ આખાં પુસ્તકને વાંચવા માટે આપણી ઉત્સુકતા વધારી મૂકવા માટે પૂરતી બની રહે છે. જૂની અને નવી બન્ને પેઢી માટે જે નામ અલ્પપરિચિત હોવાની શકયતા વધારે છે તેવાં કલાકારો વિષે પ્રસ્તુત પુસ્તકમાં કેવી સ-રસ માહિતી પીરસવામાં આવી છે તેની આછેરી ઝલક જોઈએ –

'હિંદી ફિલ્મોમાં 'ખાન'ની બોલબાલાની પરપરામાં મહત્વનું અગ્રિમ સ્થાન ધરાવતા મજ઼હર ખાન (જન્મઃ ૧૮-૧૦-૧૯૦૫ની અભિનય કળા ૧૯ મૂક અને ૫૨ બોલતી ફિલ્મોમાં પ્રસરી છે.મુકેશને પ્રથમ હરોળના ગાયક તરીકે મુકી દેનાર ગીત દિલ જલતા હૈ તો જલને દે જે ફિલ્મમાં હતું એ ફિલ્મ 'પહલી નજ઼ર' (૧૯૪૫)નાં દિગ્દર્શક મજ઼હર ખાન હતા.

- પોરબંદર પાસે રાણાવાવમાં મેમણ કુટુંબમાં ૧૯૧૨માં જન્મેલા નૂર મહમ્મદની હાસ્ય કલાકાર તરીકેની સફળતામાં પોતાના નામ સાથે પોતાના
આદર્શ ચાર્લી ચેપ્લીનનાં નામને અને કામ સાથે ચેપ્લીનની વેશભૂષાને જોડી દેવાની તરકીબ કારગત થઈ હતી તેમ માની શકાય. ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટેના પ્રયાસનાં પહેલે પગથિયે તેમને પૂછવામાં આવ્યું 'ગાતાં આવડશે?' તો તેમનો જવાબ હતો : ગાવું, રોવું, દોડવું, ઝાડ પર ચઢવું, નાચવું વગાડવું, ઝઘડવું, તરવું, કાંપવું, બધું આવડશે.

- હિંદી ફિલ્મોમાં ભાઈઓની જોડીઓમાં સૌથી વરિષ્ઠ ગણી શકાય એવી જોડી ડી.(દિનશા) બિલીમોરિયા અને ઈ.(એડી) બિલીમોરિયા ભાઈઓની જોડી હતી. ડી. બિલીમોરિયાની ખ્યાતિ
૧૯૨૮માં મૂક અને પછી ૧૯૩૫માં બોલતી 'અનારકલી" ફિલ્મોમાં સુલોચના (રુબી માયર્સ) ની અનારકલીની ભૂમિકા સામે સલીમની ભૂમિકાની યાદગાર અદાકારી માટે છે, જેમાં કંઈક ફાળો અનારકલી અને સલીમનાં ઉત્કટ ચૂમ્બન દૃશ્યોનો પણ રહ્યો હશે !. ઈ. બિલીમોરિયા એમના સમયના 'હી-મેન' હતા. રેલ્વેમાં ફાયર્મેન બનવા માટે ઘર છોડ્યું,અને નસીબે નોકરી અપાવી પૂનાનાં સિનેમાગૃહમાં ડોરકીપરની.ત્યાંથી મુંબઈ આવ્યા તો એક દિવસ તેમનો કોટ, બૂટ અને ટોપી ચોરાઈ ગયાં. એ હાલતમાં પ્રોજેક્ટરના વિક્રેતાએ તેમને નોકરીએ રાખ્યા. એક વાર ભાઈ દિનશાને મળવા ગયા હતા, તો મેકઅપ મૅને તેમને દીનશા સમજીને મેકઅપ કરી નાખ્યો, અને ત્યાંથી તેમની ફિલ્મ અભિનયનો 'પંજાબ મેલ' ચાલી નીકળ્યો.

- અહીં રજૂ થયેલં ૩૫ કલાકારોમાંથી આજની તારીખમાં હયાત એવાં એક માત્ર લીલા મહેતાને ૧૯ વર્ષે 'રાણક દેવી'ની ભૂમિકા ભજવવા આમંત્રણ મળ્યું. પણ આવી કિશોરી બે બાળકોની માતા રાણક્દેવીનાં પાત્રમાં નહીં શોભે તેમ જણાતાં તેમને બીજું પાત્ર અપાયું. એ પછીથી રેડીયોનાટકોમાં કામ કરતાં કરતાં તેમણે ગાયન કળા પર પણ વિધિપુરઃસરનું શિક્ષણ લીધું અને સેઠ સગાળશા, ગુણસુન્દરી, સત્યવાન સાવિત્રી, કન્યાદાન જેવી ગુજરતી
ફિલ્મોનાં ગીતો ગાયાં. 'ગુણસુંદરી'માં 'ભાભી તમે થાઓ થોડાં થોડાં વરણાગી' કહી શકે એવી આધુનિક નણંદનું પાત્ર ભજવવા માટે તેમને સ્લીવલેસ બ્લાઉસ પહેરવું પડે તેમ હતું એટલે તે ભૂમિકા તેમણે ન સ્વીકારી. સંજોગોનો યોગાનુયોગ કેવો થતો હોય છે - લીલ મહેતાએ દ્વિઅર્થી સંવાદો માટે ખૂબ ચર્ચાસ્પદ બનેલ, મરાઠી નાટક 'સકારામ બાઈન્ડર'માં એક બહુ 'બોલ્ડ' ભૂમિકા પણ નિભાવી !

જે પેઢીએ આ કલાકારોની ફિલ્મો જોઈએ છે તેમને માટે આ પુસ્તક એ ભૂતકાળની એમ મીઠી સફર બની રહે છે, તો નવી, અને આવનારી, પેઢી માટે હિંદી ફિલ્મ જગતની ભવ્ય ઈમારતના પાયામાં કેવાં કેવાં અવિલાપિત-અલ્પજાણીતાં લોકોનાં યોગદાન રહ્યાં છે તે જાણ કરતા રહેવા માટેનો એક સંવેદનશીલ દસ્તાવેજ બની રહેશે.

સંખ્યાની દૃષ્ટિએ, સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે, પણ એ વિષયનું જે ક્ક્ષાનું અને જે વ્યાપનું દસ્તાવેજી કરણ થવું જોઈએ તે હજૂ આજે પણ નથી થતું. શ્રી હરીશ રગુવંશીનાં 'મુકેશ ગીતકોશ' કે તેમના મિત્ર અને સહધર્મી હરમિંદર સિંહ 'હમરાજ઼'નાં હિંદી ફિલ્મ ગીતકોશ'જેવાં સંશોધનાત્મક પુસ્તકોએ હિંદી ફિલ્મોની ગ્લેમર ઉપરાંત હકીકકત-પરસ્ત માહિતીનાં દસ્તાવેજી કરણ કરવાની પ્રક્રિયાનો પાયો નાખ્યો છે.

આ પ્રકારનાં, અને કક્ષાનાં, પુસ્તકો વધુમાં વધુ લોકો સુધી, લાંબા સમય સુધી પહોંચતાં રહે તે માટે તેનું ડીજિટલાઈઝેન થાય એ બહુ ઈચ્છનીય છે. જોકે એ હાલ પૂરતા તો એટલા આનંદના સમચાર છે કે 'મુકેશ ગીત કોષ'ની નવી આવૃતિ પકાશનાધીન છે. તે ઉપરાંત, હિંદી સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર ૧૦૩ ગુજરાતી ફિલ્મી હસ્તિયોની બહુ રસપ્રદ માહિતી પૂરી પાડતા, 'દિવ્ય ભાસ્કર'માં હિંદી સિનેમા ગુજરાતી મહિમા' શીર્ષક હેઠળ, ૨૦૦૮ થી ૨૦૧૦ દરમ્યાન,પ્રકાશિત થયેલ લેખોનું સંકલન પણ પ્રકાશાનાધીન છે.

હરીશ રઘુવંશીનાં 'મુકેશ ગીત કોશ' ગુજરાતી ફ઼િલ્મ ગીત કોશ'ની ફોટોકૉપી આવૃતિઓ તેમ જ હરમિન્દર સિંહ 'હમરાઝ' સાથે લખાયેલ 'જબ દિલ હી ટૂત ગયા' અને હરમિન્દર સિંહ 'હમરાઝ'નાં હિન્દી ફિલ્મ ગીત કોષના વિવિધ ભાગ મેળવવા માટે આ પુસ્તકનાં પ્રકાશકનો સંપર્ક કરવો રહે છે..


* * *


પુસ્તકની હિંદી આવૃતિ અંગેની માહિતી

સપ્ટેમ્બર, ૨૦૧૮ ║ પૃષ્ઠ ૧૫૫ ║ મૂલ્ય રૂ. ૩૦૦ /-

પ્રકાશક: શ્રીમતી સતિન્દર કૌર, એચ. આઈ. જી. - ૫૪૫, રતન લાલ નગર, કાનપુર ૨૦૮૦૨૨

મો./વ્હૉટ્સઍપ્પ +૯૧ ૯૪૧૫૪૮૫૨૮૧ ઈ-મેલ: hamraaz18@yahoo.com


* * *

પુસ્તકના લેખકોનાં સંપર્ક સૂત્ર:

શ્રી હરીશ રઘુવંશી: harishnr51@gmail.com

શ્રી સુન્દરદાસ વિશનદાસ ગોહરાણી: sundergohrani@yahoo.co.in


* * *

નોંધ : અહીં લીધેલ કલાકારોની તસ્વીરો નેટ પરથી સાભાર લીધેલ છે, તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Wednesday, November 1, 2017

'સાર્થક - જલસો: ૯: ઓક્ટોબર, ૨૦૧૭



'સાર્થક જલસો'એ આજકાલ કરતાં પાંચ દીવાળીઓ જોઈ કાઢી અને હવે તેનો નવમો અંક આપણા હાથમાં છે.
બે પૂંઠા્ની વચ્ચે 'જલસો-૯'નો રસથાળ શું શું વાનગી પીરસે છે તેનો પરિચય કરી લઈએ.
'જલસો-૯'અંકની શરૂઆત જ બે રસપ્રદ લેખોથી થાય છે. પહેલો છે હસમુખ પટેલનો લેખ 'કટોકટીમાં જેલવાસનાં સંભારણાં' અને બીજો લેખ છેમૂળ અંગ્રેજીમાં લખાયેલ રામચંદ્ર ગુહાનો 'લોકશાહી ભારતમાં પહેલી ચૂંટણી'.બન્ને લેખ આમ તો દેશની બહુ દૂરના નહીં એવા ભૂતકાળ પર નજર કરે છે, પણ જૂદા દૃષ્ટિકોણથી.
'કટોકટીમાં જેલવાસનાં સંભારણા'માં હસમુખભાઇએ કટોકટીની બહુચર્ચિત રાજકારણી ચર્ચાઓ કે જેલવાસમાં રખાયેલ ખાસ કટોકટી-રાજકીય-કેદીઓ'સાથે કરવામાં આવેલ વર્તાવના 'રૂંવાડાં ઉભાઃ કરી દે તેવાં' વર્ણનોની કેડી નથી પકડી. આ જેલવાસનાં પ્રસંગોનાં વર્ણનની રજૂઆત માટે તેમણે હાસ્ય રસનું માધ્યમ પસંદ કર્યું છે. ઘટનાનાં વર્ણનો અને રહેવાસીઓની વર્તણૂકની હળવાશમય રજૂઆતની સાથે એ સર્વે જેલવાસીઓની રાજકીય વિચારસરણીની સચોટ રજૂઆત કરવામાં હસમુખભાઈએ કચાશ નથી છોડી. એ જેલવાસ દરમ્યાન, રોચક સંજોગોમાં, હસમુખભાઈનું મંદાબહેન સાથેનાં થયેલ લગ્નનું સંભારણું આપણા માટે 'જલસો-૯'ની એક મધુરી યાદ બની રહે તેમ છે.
'લોકશાહી ભારતની પહેલી ચૂંટણી'માં ૨૧ કે તેથી વધુ વયના ૧૭.૬ કરોડ મતદરોમાં ૮૫ ટકા નિરક્ષર,સંસદની ૫૦૦ અને પ્રાંતીય ધારાસભાઓની બીજી ૪૦૦૦ જેટલી બેઠકો માટે ૨.૨૪,૦૦૦ મતદાન કેન્દ્રો, મતદાર પેટીઓ બનાવવામાં વપરાયેલ ૮,૨૦૦ ટન સ્ટીલ, કે મતદારયાદીઓ છાપવા માટે ૩,૮૦,૦૦૦ રિમ કાગળના વપરાશ જેવી (શુષ્ક) ભૌતિક બાબતો આ ચૂંટણીની કવાયતની 'ગંજાવર સમસ્યા'નાં સ્વરૂપને તાદૃશ કરે છે. તે સાથે તે સમયની વૈશ્વિક સાંદર્ભિક પરિસ્થિતિ, દેશમાં રાજકીય પક્ષોની સ્થિતિ અને મનોદશા, ચૂંટણી પ્રચારનું માહોલ અને પ્રચારની ભાતભાતની પધ્ધતિઓ જેવી જીવંત રજૂઆત આપણી લોકશાહીને પ્રાણવાન બનાવવામાં ચૂંટણીના યોગદાનનું એક મહત્ત્વનું પાસું આપણી સમક્ષ મૂકે છે.
આરતી નાયરનો સવાલ 'શું તમારો ખભો ભરોસાપાત્ર છે?' એ સૌ લોકો માટે છે જેના પર તેમની કોઈ નજદીકની વ્યક્તિ પોતાના પ્રશ્નો બાબતે સમજણ જેવી સૂક્ષ્મ બાબતે ભરોસો રાખીને પોતાની, કહેવાય નહીં અને સહેવાય નહીં એવી, નાજૂક સમસ્યા માટે આધાર રાખતી હોય. તેમાં પણ એ  બાબત જો તે વ્યક્તિ સમલૈંગિક હોવાને લગતી હોય. તો પણ તમારો ખભો એને રાજીખુશીથી ટેકો કરતો રહેશે ખરો?  જો કે આજે હવે દરેક સમજુ સમાજ આસપાસનાં લોકોની વર્તણૂક તેમની અંદર રહેલ જન્મજાત, પ્રાકૃતિક વલણોને કારણે છે એ (ભલે ધીમે ધીમે, પણ) સ્વીકારતો થવા લાગ્યો છે. આને કારણે 'અરસાથી ધરબાયેલી પડી હતી...એ (વાતો) ધીમે ધીમે છતી થઈ રહી છે.
ઝવેરચંદ મેઘાણીની પહેલવહેલી મૌલિક નવલકથા 'પ્રકૃતિ અને વિકૃતિના મુદ્દે મેઘાણીની અહાલેક : 'નિરંજન'  સમલૈગિકતા એ આજના સમયની વાત છે એવું માનનારાં લોકોની સમજના બંધ દરવાજાના તાળાં ખોલી નાખે એવી ચાવીરૂપ છે. 'નિરંજન' ૧૯૩૬માં લખાયેલી છે. અહીં રજૂ કરેલ એ નવલકથાનાં બે પ્રકરણમાં મેઘાણીની વૈચારિક સ્પષ્ટતા અને મૌલિકતા આજે આઠ દાયકા પછી પણ એટલી તાજગીસભર અને પ્રસ્તુત અનુભવાય છે.
'અન્ય અને અન્યાય'માં દીપક સોલિયા આપણા જેવી, આપણા જૂથની, આપણા સરખી જ અભિરુચિઓ ધરાવતી, આપણા ક્લોન સમી - અન્ય - વ્યક્તિ માટેની આપણી સંકુચિતતાને સમજાવવા 'મેટ્રિક્સ' શ્રેણીના વિલન, સ્મિથ,નાં દૃષ્ટાંતને આપણી સમક્ષ રજૂ કરે છે. અન્યનાં અન્યપણાનાં વૈવિધ્યને ન સમજવામાં અને તેમાંથી જન્મતા અસ્વીકારમાં સમસ્યાનું મૂળ રહેલ છે. આ સમસ્યાને 'વ્યાપક હિત'ના વાઘા પહેરાવવાની ભાગેડુવૃતિ પણ નજરે પડતી હોય છે. તો ક્યારેક 'દુનિયામાં જે પરિવર્તન ઈચ્છો છો તે પોતાની જાતથી શરૂ કરો' જેવી માન્યતાનો અમલ  પોતાનાથી શરૂ કરતી ગાંધીજી જેવી વ્યક્તિઓ પણ દૃષ્ટિગોચર થતી રહે છે. દીપક સોલિયાનું કહેવું છે કે અન્યને સમજવાનું અને સ્વીકારવાનું કામ એટલું બધું અઘરું નથી. 'અન્ય'માં જ્યારે આપણને કંઈ અજૂગતું દેખાય, ત્યારે તેની જગ્યાએ આપણી જાતને મૂકવાથી, વાંધાવચકાની તીવ્રતાની માત્રા ઘટી શકે છે. બીજાં પાસેથી જે વર્તનની અપેક્ષા છે તેવું વર્તન આપણે બીજાં સાથે કરીશું તો સમસ્યા અડધી તો થઈ શકે !
બાળપણની નિર્દોષ જણાતી યાદની સાથે સંકળાયેલી લાગણીઓની ઝીણી કસક મોટાં, સમજદાર, યુવાન થયા પછી પણ કેવી તીવ્ર બેચેની જગાવી જાય છે તેનું ધૈવત ત્રિવેદીએ 'મારા ભત્રીજા...મારા ભાઈના લાખેણા વસ્તાર, મને મહુવા લય જાને...'માં કરેલું આત્મકથાનક વર્ણન, આપણાં હૃદયને પણ આળું કરી મૂકે છે.
ભોપાલના પાંચેક મહિનાના મુકામ દરમ્યાન ચેતન પગીના વિવિધ અનુભવોએ 'ગુજરાતી કમ હિંદીભાષી' કેમ કરી મૂક્યાની 'મૈં કે રિયા હૂં' અદામાં રજૂ કરેલી દાસ્તાન  વાંચતાં વાંચતાં આપણે પણ 'ભોપાલ - બૈઠકર જીનેકી ઉત્તમ વ્યવસ્થા'ની લુત્ફ માણવા અધીર બની જઈએ છીએ.
મહેસાણામાં જન્મેલ અને ઉછરેલ મમ્મીના પુત્રી પુનિતાબેન (અરુણ હર્ણે) 'ફીણીને ખીચડી ખાવાની અને દૂધ સબડકા સાથે પીવાનું અને પોળનાં અડી અડીને ઊભેલાં ઘરોની ત્રીજા માળની બારીમાંથી ઘરનાં બાળકોને પોતાને ઘરે રમાડવા લઈ લેતાં પાડોશીઓની અમદાવાદની પોળની મિશ્ર સંસ્કૃતિમાં ઉછર્યાં. આગલી સાંજે વધેલી ખીચડી અને બટાકાના શાકમાંથી રૂપાંતરીત થતી મુગડી માએ રોપેલા સંસ્કારનું પ્રતિક બની. મૂળ મરાઠી પણ અમદાવાદમાં સ્થાયી થયેલ સાસરામાં આઈ (સાસુ) પાસે વધેલી રોટલીના હાથથી કરેલ બારીક ભૂકામાં ડુંગળી, ગાજર, સુતરફેણી જેમ લાંબી કાપેલ કોબી, લીલાં મરચાં વગેરેમાંથી બનતી 'શીપોકુ'ના સ્વરૂપે એ સંસ્કાર ઊગ્યા, ટક્યા અને વિસ્તર્યા છે. 'મુગડી કે શીપોકુ ચાખ્યાં છે કદી?'માં સંસ્કૃતિનાં આવાં આગવાં મિશ્રણ સમાં વ્યક્તિત્વવાળાં લેખિકા સાથે વાચક તરીકે પરિચય કરવાની અને આ બન્ને વાનગીઓને શબ્દાર્થ ચાખવાની તક મળે છે - સાચે સાચ આ વાનગીઓ આસ્વાદ કરવા મળે તેવી ભૂખ પ્રદિપ્ત થવાના વધારાના નફા સાથે. 
'વડોદરાની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ'નું "'આઉટસાઈડર' દ્વારા અંદરનું દર્શન"ને બીરેન કોઠારીની કલમનાં શબ્દ રેખાચિત્ર સ્વરૂપમાં માણવાનો જલસો ખૂબ મજા પડે એવો છે. લેખમાંની વિગતોને ખાસ ધ્યાનપૂર્વક વાંચવાથી તેનો રસ વધારે ઝરશે.
શિક્ષણની મૂળ મુદ્દે શું જરૂરિયાત છે ત્યાંથી શરૂ કરીને  એ શિક્ષણ કેવી રીતે મળે, હાલની પરિસ્થિતિમાં શિક્ષણ એટલે શું રહી ગયું છે જેવા પાયાના મુદ્દાઓની વાત કાર્તિકેય ભટ્ટ 'બંધાયેલા શિક્ષણમાંથી જ્ઞાનની સુવાસ ક્યાંથી પ્રગટે?"માં કરે છે. પછીથી સારા શિક્ષણ માટે શું હોવું જોઈએ એ અંગે ટુંકાણમા અંગુલિનિર્દેશ કરે છે. જેમકે, શિક્ષણ માટેનો આશય જો જ્ઞાનપ્રાપ્તિ હોય તો સારો શિક્ષક જોઈએ, જે 'હું દરેક દિશામાંથી જ્ઞાન મેળવીશ અને મને કોઈનાય પ્રમાણપત્રની જરૂર નથી'એ ભાવનાને સાર્થક કરે. તેઓ આગળ વધતાં નોંધે છે કે આપણે ત્યાં શિક્ષણનું ખાનગીકરણ થયું જ નથી. શું ભણવું?, કેવી રીતે ભણવું ? આ બધું તો આજે પણ સરકાર નક્કી કરે છે; 'કોણ ભણાવશે' એટલું જ માત્ર ખાનગીકરણ થયું છે. એટલે 'શિક્ષણ'ને સારાં મકાનો, સારાં પ્લેસમેન્ટનાં જેવાં આકર્ષક પેકેજીંગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં બ્રાન્ડીગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં કરીને મોઘું એ જ સારૂં એ રણનીતિથી વેંચવાનું શરૂ કરાયું છે. શિક્ષણ સંસ્થા સ્થાપનાર સાહસિકનાં ખીસ્સાં ઊંડાં હોય અને પહોંચ સારી એવી ફેલાયેલી હોય તો તે વિદ્યાર્થી અને શિક્ષક બન્ને પાસેથી ધાર્યું કરવી લઈ શકે છે. શું કરવું જોઇએ એ અંગે બહુ સ્પષ્ટ ખયાલો કાર્તિકેયભાઈએ રજૂ કર્યા છે. આશા કરીએ કે આવી ચર્ચાઓ હવે  જમીન પરનાં 'કેમ કરવું'નાં નક્કર પગલાં સ્વરૂપે આવનારાં વર્ષોમાં અમલ થતી જોવા મળે.
(સારી) નોકરી કે કારકીર્દી જેવા હેતુઓથી શિક્ષણ તરફની દોડ વિદ્યાર્થીઓમાં - અને કેટલેક અંશે માબાપમાં પણ - પરીક્ષામાં સારા ગુણ લાવવાની સ્પર્ધા હવે અનહદ તાણ પેદા કરે છે. પરિણામે, વિદ્યાર્થી ક્યાં તો સ્વીકૃત નીતિરીતિની બહારની પધ્ધતિઓ અપનાવવા તરફ લલચાય છે અથવા તો ઘર છોડી ભાગી જવું કે આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં લઈ બેસે છે. સૂક્ષ્મજીવશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક તરીકેની દીર્ઘકાલીન સેવાઓ આપી ચૂકેલા પીયૂષ એમ પંડ્યા પણ તેમનાં એફ વાય બી એસ સીનાં વર્ષની પ્રિલિમનરી પરીક્ષા સમયે આ તાણમાં તપોભંગ થઇ ચૂક્યા હતા.  એ સ્વાનુભાવનાં વર્ણનથી શરૂ થતા લેખ 'ચોરી તો નહીં કી હૈ'માં લેખક (પરીક્ષાના સંદર્ભમાં) ચોરી અને ગેરરીતિ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખાને સ્પષ્ટ કરે છે. અત્યારે જે પ્રકારનાં પગલાંઓ લેવાતાં જોવા મળે છે તેની સામે ખરેખર કેવાં પગલાં લેવાં જોઇએ તે પણ તેમણે જણાવ્યું છે. તેમણે સૂચવેલાં પગલાઓ લેવાની કેટલી સારી અસર પડી શકે છે તેનું એક સ્વાનુભવનું ઉદાહરણ પણ લેખમાં ટાંકવામાં આવ્યું છે.
ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કામાં વિકાસ પામતો માનવી આધુનિક બને છે? મોડર્ન કે ફોરવર્ડ ગણાવું સારૂં કે 'ડાહ્યા' ગણાવા માટે રીતરસમોને અનુરૂપ થવું સારૂં ? વેપારધંધાના હિસાબો રાખવાનાં કમ્યુટર સાથે ચોપડાપૂજનનાં મૂહુર્તમાં શુકન તરીકે લાલ પૂંઠાવાળો રોજમેળ પણ રાખવો? શહેરી આયોજન જેવા સ્થાપત્યના વિષયના અધ્યાપક ઋત્તુલ જોષીના લેખનું શીર્ષક "'મોડર્ન છતાં ડાહી માતા' અને આધુનિકતાની સામેની લડાઈઓ" આવા અઘરા સવાલોના સરળ જવાબ ખોળવાની દિશામાંના પ્રયાસનું ઉપયુક્ત સૂચક પરવડે છે.લેખના છેલ્લાં વાક્યમાં તેમનો જવાબ પણ બહુ સ્પષ્ટ છેઃ 'મારા પૂર્વજોએ જે કર્યું તે જ, આંખ મીચીને મારે કરવું જરૂરી છે? જો જવાબ 'ના' હોય તો નવો ચીલો ચાતરવા મંડી પડવું જોઈએ.'
'અબ તુમ્હારે હવાલે નમન સાથિયો'માં દીપક સોલિયા 'ડરપોક ગુજરાતીઓને ફોજ સાથે લેવાદેવા નથી', 'ફોજીઓને માનવતા અને કરુણા ન પાલવે', 'દેશની સુરક્ષામાં પૈસાદારોની ભૂમિકા નથી', 'ફોજીનો દુશ્મન એક જ છે: સામેનો ફોજી' જેવી ફોજ, ફોજીઓ અને દેશાભિમાન જેવી બાબતોની ગેરસમજ વિષે થોડી વાતો માંડે છે. અને લેખના અંતમાં બેયોનેટની ધાર જેવા બે તીક્ષ્ણ સવાલ આપણી સમક્ષ મૂકે છે -

૧) જગતનાં તમામ યુદ્ધો અને તમામ શહીદીઓ સરવાળે યુદ્ધનો ઈલાજ શોધવામાં શાસકોને મળેલી નિષ્ફળતાનું પરિણામ ગણી શકાય કે નહીં?
૨) ભારતને ધિક્કારતો એક પાકિસ્તાની, કે પાકિસ્તાનને ધીક્કારતો એક ભારતીય, છેવટે બન્ને દેશો વચ્ચેની તંગદિલી વધારવા બદલ, યુદ્ધની (અને પરિણામે બન્ને દેશોના જવાનોની શહીદીની) સંભાવના વધારવા બદલ, સાવ થોડા જ અંશે ભલે, પણ જવાબદાર ખરો કે નહીં?

'સાર્થક જલસો'ના નિયમિત વાચકો ચંદુભાઈ મહેરિયાની (શબ્દાર્થ તેમ જ ભાવ્યાર્થ) સૂક્ષ્મ વિગતોને જરૂરી હોય એટલા જ શબ્દોમાં કહેવાની તેમની સરળ શૈલીથી પરિચિત છે. 'આ બધી ઘરની ધોરાજી નો''માં ૧૫ જૂન, ૨૦૧૫થી તેમની નિવૃતિ સુધીના 'ધોરાજીમાં બે વર્ષ'ના વસવાટ દરમ્યાન તેમણે જોયેલ જાણેલ અને અનુભવેલ 'ધોરાજીના સ્વર્ગ'નું સર્વગ્રાહી ચિત્રણ તેમણે તેમની આ જ આગવી શૈલીમાં કર્યું છે.
'..તેરા સાથ ના છોડેંગે' એ તુમુલ બૂચ રચિત 'હિમાલયના પહાડોમાં પ્રિય શ્વાનના વિરહ અને મિલનની પ્રેમકથા'છે. વાર્તાના નાયક અનિકેતને  અકસ્માતે જ એ શ્વાન મળી ગયો હતો, પણ અનિકેતના ઉછેરને કારણે રખડુ કૂતરામાંથી તે એટલી હદે શાલીન 'અઝોગ' બની ગયો કે અનિકેતનો પ્રવાસપ્રેમ અને સાહસિકતા પણ તેનામાં ઉતરી આવ્યાં હતાં. સંજોગો અનિકેત અને અઝોગને મનાલી સુધી લઈ જાય છે. અહીં અઝોગ ક્યાંક જતો રહે છે અને છ મહિનાને અંતે બીજે ક્યાંકથી પાછો મળી આવે છે. વાત અને ઘટનાઓ સાવ સાદાં લાગે,પણ લેખકની રજૂઆત તેને પૂરેપૂરી રીતે રસાળ બનવવામાં સફળ રહે છે.
હિંદી ફિલ્મની માર્મિક બાબતોના ચાહકો માટે હરીશભાઈ રઘુવંશીએ તેમના અખૂટ ખજાનામાં 'અભરાઈ પર ચડેલી* ફિલ્મોનું આલ્બમ'ના રૂપમાં સંગ્રહ કરવા લાયક રત્નોનું નજરાણું પેશ કર્યું છે. '*જાહેર થયા પછી ન બનેલી, શરૂ થયા પછી અધૂરી રહેલી, બન્યા પછી રજૂ ન થયેલી કે બદલાયેલા કલાકારો સાથે રજૂ થયેલી' ફિલ્મો વિષેની અસલ જાહેરખબરો જેવી દુર્લભ માહિતી તો અસલ લેખ જોયે જ માણી શકાય. આચમની માટે એક નમૂનો અહીં મૂક્યો છે –

ખૂબ સંઘર્ષ કરીને પોતાને મનગમતા શોખને સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કરી શક્યા એવા દાખલા જૂજ હશે, પણ આજે હવે એ સંઘર્ષનું દસ્તાવેજીકરણ પ્રબળ બનતું થયું છે એ બાબતે કોઈ વિવાદ નહીં હોય. પણ પોતાના શોખને જીવનમાં આગળ જતાં મનોવાંછિતપણે (પૂર્ણસમયના) વ્યવસાય તરીકે ન બનાવી શક્યાં હોય એવાં કેટલાંય લોકોની કહાની તો ગુમનામીમાં જ ખોવાઈ જતી હશે. એવા એક મહેન્દ્રસિંહ પરમારે આ બધાં વતી પોતાની 'ખિલ્લાવાળાં મોજાં અને મારી (નિષ્ફળ) ક્રિકેટ કારકીર્દી'ને ખેલદીલીપૂર્વક રજૂ કરી છે.
જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે કાર્ટૂન-સેલ્ફીના તેમના અનોખા પ્રયોગની ઝલક રજૂ કરી છે -
ઉર્વીશ કોઠારી 'જલસો-૯'માં લેખક - પત્રકાર તરીકે તેમનાં સંશોધન પ્રેમનાં પાસાંને આપણી સમક્ષ રજૂ કરવાના મૂડમાં બરાબર ખીલ્યા છે. આ માટે તેમણે પસંદ કરેલ છે 'ભારતની જાદુગરીમાં શિરમોર ગણાતી "'ઈન્ડિયન રોપ ટ્રિક'નું રહસ્ય". અંગેજોના શાશન કાળથી હિંદુસ્તાનને ગારૂડીની બીન પર નર્તન કરતા નાગ, ગુરુત્વાકર્ષણના નિયમનું ખંડન કરતી ઈન્દિયન રોપ ટ્રિક અને નાગા બાવાઓના દેશની છેક ગઈ સુધી ટકી રહેલી છાપ પશ્ચિમનાં લોકોનાં દિલોદિમાગમાં ઘર કરી ગઈ હતી. પ્રસ્તુત લેખમાં ઉર્વીશભાઈ આ વ્યાપક પ્રસારના ઈતિહાસને આલેખે છે. લેખના અંતમાં તેમણે રહસ્ય પણ છતું કર્યું છે. પણ એ જો અહીં કહી નાખીએ તો જલસો-૯ હવે પછી વાચનાર વાચકની ઉત્કંઠાને ઠેસ પહોંચે ને!
બસ એ રહસ્યોદ્ઘાટન સાથે 'જલસો-૯'ના આ ખેલનો પર્દો પણ પડે છે.
'સાર્થક -જલસો - ૯' નિયમિત લેખકો પાસેથી નવી રજૂઆતની સાથે,  મોટા ભાગના તો પરંપરાગત અર્થમાં લેખક પણ નથી એવાં, નવા લેખકોને પ્રસ્તુત કરવાની રણનીતિનું એક આગળ વધતું સફળ સોપાન છે. એ રણનીતિની સફળતાને કારણે પ્રકાશકો જરુર અભિનંદનને પાત્ર છે.'જલસો'નો મોટા ભાગનો પ્રસાર વાચકોના મોઢામોઢ પ્રચારથી થતો રહ્યો છે. પ્રકાશકોના ખાતામાં એ પણ મહત્ત્વની મુડી જમા થઈ રહી છે. જોકે પ્રયોગાત્મક સ્ટાર્ટ-અપના તબક્કામાંથી હવે નવી કેડી કંડારનાર પૂરેપૂરાં વ્યાવસાયિક ઉપક્રમમાં 'જલસો'ને સાર્થક કરવાનો સમય પણ હવે પાકી ગયો ગણાય. 'જલસો'ના વર્તમાન વાચકો ઉપરાંત દરેક સંભવિત વાચક સુધી તેની (મુદ્રિત કે પછી ડિજિટલ) નકલ વધારે સરળતાથી પહોંચતી થાય એવી શુભેચ્છા પણ પાઠવીએ.
/\/\/\/\/\/\
સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ । www.gujaratibookshelf.com),
અથવા
કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796 ઈ-મેલ : spguj2013@gmail.com  
પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

પાદ નોંધઃ આ લખ્યા સુધી સાર્થક પ્રકાશનની ઉપર જણાવેલી સાઈટ પર 'જલસો-૯'  ઈ-સંસ્કરણમાં ઉપલબ્ધ થયેલ નથી જણાતું.