Sunday, August 18, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ અને સંવર્ધિત વાસ્તવિકતા વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..
આજના અંકમાં આપણે  પ્રતિકૃતિકરણ (Simulation) વિષે ટુંકમાં ચર્ચા કરીશું..

પ્રતિકૃતિકરણ પૂર્વધારણા અનુસાર વાસ્તવિકતા એ એક ડિજિટલ પ્રતિકૃતિકરણ છે. તકનીકી પ્રગતિઓ જરૂર સ્વયંચાલિત કૃત્રિમ અતિબુદ્ધિ સર્જશે જે વિશ્વને સમજવા માટેનાં બધારે સારાં પ્રતિકૃતિકરણઓ સર્જશે. આ વિચાર એક બીજા વિચાર માટેનું દ્વાર ખોલે છે જેમાં એવૂં માનવામાં આવી રહ્યું છે કે માનવીમાં જ અતિબુદ્ધિ રહેલ છે જે પ્રતિકૃતિઓ બનાવ્યે રાખે છે. પહેલે ધડાકે વાસ્તવિકતા આભાસી છે તે વિચાર તર્કસંગત ન લાગે, પણ આ પૂર્વધારણા દસકાઓનાં વૈજ્ઞાનિક સંશોધનની નિપજ છે, જેને સ્ટીફન હૉકિંગ કે એલન મસ્ક જેવા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો ગંભીરતાપૂર્વક વિચારે છે. [1]
ટેકોપિડીયા પ્રતિકૃતિકરણની વ્યાખ્યા આ મુજબ કરે છે - એવું સંશોધન કે નવી પહેલ જેમાં કોઈ સાચી ઘટનાનું અદ્દલોદલ નિરૂપણ કરાયું હોય. કુદરતની ઘણી ઘટનાઓને ગાણિતિક મોડેલ રૂપે રજૂ કરી શકાય છે. પ્રતિકૃતિકરણની મદદથી કુદરતી રીતે બનતી ઘટનાઓનાં પરિણામોનું અનુકરણ  માહિતી ટેકનોલોજિ તંત્રવ્યવસ્થાઓ દ્વારા શક્ય બને છે. [2]
'પ્રતિકૃતિકરણ'ની એક અન્ય સરળ વ્યાખ્યા મુજબ તે' વાસ્તવિક જીવનમાં બનતી પ્રક્રિયાઓ કે ઘટનાઓ કે તંત્રવ્યવ્સ્થાઓની સમયાનુસાર નકલ રજૂ કરે છે.'[3] પ્રક્રિયા કે તંત્રવ્યવસ્થાની નકલ કરવાથી જે કોઈ પણ ફેરફાર અને તેનાં પરિણામોનો નિયંત્રિત, પુનરાવર્તિત પરિસ્થિતિઓમાં અભ્યાસ શક્ય બને છે...ઉત્પાદનની નવી વ્યવસ્થાઓમાં કે નવી ડિઝાઈન્સ ને બજારમાં લાવવામાં કે નવી પ્રક્રિયાનાં ઘડતરમાં મોટા પાયાનાં ખર્ચાળ રોકાણોની જરૂર પડતી હોવાને કારણે પ્રતિકૃતિકરણનો ઉપયોગ ઘણા ઓછાં ખર્ચ અને સમયમાં આ પ્રકારના ફાયદાઓ કરી આપી શકે છે.
પ્રતિકૃતિકરણનો ઉત્પાદનનાં ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય નાના સ્થાનિક ફેરફારોની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા પર થતી અસરોને સમજી શકવાનો રહ્યો છે. સ્થાનિક સ્તરે થતા ફેરફાર અને તેનાં પરિણામ સમજવાં પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પણ ખુબ સંકુલ સમગ્ર પ્રક્રિયા પર તેની શું અસરો થશે તે કલ્પી શકવું દરેક વખતે સરળ અને શક્ય નથી બની શકતું હોતું. [4]
જેમ કે
નવી ડિઝાઈન લાગુ કરવાથી, નિયમિત ઉત્પાદન શરૂ કરતાં પહેલાં જ મશીનની વહેવારમાં શું કામગીરી બતાવશે તે ANDRITZ AUTOMATION Scada in P&P Balematic with INLINE Simulation toolમાં ચકાસાઈ રહ્યું છે.

૪.૦ અમલ કરતી ફેક્ટરીનો પહેલો માર્ગ જ પ્રતિકૃતિકરણ છે.[5] સ્માર્ટ ફેક્ટરીનાં અંગ સમાન 3D inspectionનું પ્રતિકૃતિકરણ કરવાથી ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધી શકે છે, તેમ જ  માલ સામાનની જરૂરિયાત-સાંકળનું પ્રોગ્રામિંગ 'સ્માર્ટ' કરી શકાય છે. -
-        કારણકે જ્યારે ઓફલાઈન તપાસનાં કામોને વહેવારમાં વપરાતાં સાધનો અને વાતાવરણનાં પ્રતિકૃતિકરણ કરેલ જોડકામાં જોઈ શકવાને કારણે ઘણાં માપણી અને દેખરેખનાં કામો ટાળી શકાય છે.
-        કારણકે, જ્યારે તપાસણી કાર્યક્રમની પ્રતિકૃતિ બનાવીને અપ્રત્યક્ષ, આભાસી પદ્ધતિઓ સ્વરૂપે ચલાવવાથી  તેમાંની સંભવિત ક્ષતિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથેની અથડામણોને ટાળી શકાય છે.-        કારણકે, ઓફલાઈન પ્રતિકૃતિકરણ મૂળ CAD ફાઈલ્સસાથે કામ કરીને ભૌમિતિક માપન અને સ્વીકાર્ય છૂટ (Geometric dimensioning and tolerancing - GD&T) નું અર્થઘટન સ્વયંસંચાલિતપણે જ કરી શકે છે.
વધારે વિગતે શોધખોળ કરવાથી આ વિષય પરનાં ઘણાં તકનીકી સંશોધનો ઉપલબ્ધ બની શકે છે. સ્વાભાવિકપણે, એ દરેકને વાંચવા માટે ઓળખની ચોક્કસ પદ્ધતિઓ આવશ્યક હોવાથી તેમનો આપણા આ લેખમાં ઉલ્લેખ નથી કરી શકાયો. એક પ્રતિનિધિ સંશોધન પત્રનો ઉલ્લેખ અહીં કરેલ છે, જે એ સંશોધનપત્રોનાં વસ્તુ અને આપણા વિષયને સમજવામાં કંઈક અંશે દિશાસૂચક નીવડશે –
  • An Application of Computer Simulation to Quality Control in Manufacturing - પ્રસ્તુત અભ્યાસ માટે કંપનીએ સંબંધિત ગુણધર્મ માટે એકલ સેમ્પ્લિંગ સાથેની સ્કિપ લૉટ પદ્ધતિ અખત્યાર કરેલ છે. પરિસ્થિતિનાં વિશ્લેષણથી એવું ફલિત થતું હતું કે કોમ્પ્લેક્ષ લૉટ પધ્ધતિ અહીં યોગ્ય બેસતી નહોતી, પણ અનેક- તબક્કાની સંબંધિત ગુણધર્મની સેમ્પ્લિંગ યોજના દરેક તપાસણીમાં લૉટ દીઠ સેમ્પલની સંખ્યા ઘટાડીને તપાસ કરનારની ઉત્પાદકતા વધારી શકે છે. આ પ્રસ્તાવોનાં નિદર્શન માટે કમ્પ્યુટર -રચિત પ્રતિકૃતિકરણ મોડેલ વિકસાવવામાં આવ્યું જે કંપનીમાં હાલમાં ઉપયોગમાં લેવાયેલી વ્યવસ્થાની અને અન્ય કેટલીક સંભવિત વ્યવસ્થાઓની પ્રતિકૃતિ હતી. આ પ્રયોગનાં પરિણામોના આધાર પરથી કંપનીએ લૉટ વચ્ચે 'યુનિફોર્મ સ્કિપ્પીંગ' અનુસારની તપાસ વ્યવસ્થા અને 'મલ્ટિ-સ્ટેજ સંબંધિત ગુણધર્મ સેમ્પ્લિંગ યોજના અપનાવવાનું નક્કી કર્યું.  છ મહિનાના સુધી આ નવી વ્યવસ્થાના અમલ બાદ કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો.
  • Simulation in Quality Management – An Approach to Improve Inspection Planning - અનેક માલસ્માનની વસ્તુઓને આવરીને જૂદાંજૂદાં મશીનો પર કામ થતાં થતા અનેક તબક્કાઓ મળીને ઉત્પાદન પ્રક્રિયા બને છે.  ગુણવત્તા તપાસનું ક્ષેત્ર ઉત્પાદન પ્રક્રિયાસાથે સંકલન કરીને ઉત્પાદનો આવશ્યકતાપૂર્તિ કરે છે તે જોતાં રહેવાનું છે. ગુણવત્તા, ખર્ચ અને સમય એમ ત્રણ પરિમાણોની એક સાથે થતી અસરોને પરિણામે ઉત્પાદન પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓ અને અલગ અલગ તપાસ પધ્ધતિઓ વચ્ચેની ક્રિયા પ્રક્રિયા ઘણી સંકુલ સ્વરૂપે થતી હોય છે. આ સમગ્ર પારિસ્થિતિક સંજોગોનાં ગતિશીલ સંબંધોને ધ્યાનમાં લઈને તપાસણી માટેની વ્યૂહરચના ગોઠવવાની રહેતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રતિકૃતિકરણ દૃષ્ટિકોણને આ સંશોધન પત્રમાં ચર્ચવામાં આવેલ છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurshipમાંનો, Editorial Staff  નો લેખ, The “Curiosity” Disconnect Between Executives and Employees,  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. સમગ્ર ઈતિહાસમાં જોઈ શકાય છે કે, આગ પેટાવવા માટે ચકમક પથ્થરથી લઈને સ્વ-સંચાલિત કાર સુધીની મોટા ભાગની નવી દિશાઓ કંડારતી શોધો કે નોંધપાત્ર આવિષ્કારોમાં જે એક બાબત સામાન્ય પણે જોવા મળે છે તે એ છે કે આ બધાં જ કુતુહલનું પરિણામ છે.
આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ
  • Improve Process Design at Your Organization - મોરસ્ટ્રીમના પ્રેસિડેન્ટ, વિલિયમ હૅથવે પ્રક્રિયા માટેનાં વર્તમાન સાધનો અને ચપળ પ્રક્રિયાની મદદથી પ્રક્રિયા આલેખનનાં સુધારણા વિષેની ચર્ચા કરે છે.
Jim L. Smithની જુલાઈ, ૨૦૧૯ની Jim’s Gems -
  • Resilience એટલે અવળા સંજોગોને કારણે જે માર પડ્યો હોય તે ખમીને ફરીથી બેઠા થવાની લવચિક ક્ષમતા. ….ફરી બેઠા થવાનો આ ગુણ, કે નુક્સાન વેઠ્યા પછી ફરી ઊભા થવાની શક્તિનો બહુ ઘણો સંબંધ આપણું પોતાનું મૂલ્ય સમજવાની ભાવના સાથે રહે છે. આપણું જીવન આપણા નિયંત્રણમાં છે કે બહારનાં પરિબળોનાં નિયંત્રણમાં છે તે બાબતે આપણો પોતાનો અભિગમ પણ આ વિષયમાં પોતાનો ભાગ ભજવે છે.…ફેર બેઠા થવાની લચીકતા કેળવવામાં ચાર મુખ્ય બાબતો પાયાની ગણી શકાય - એક, બીચારાપણાની ભાવના ટાળો. બીજું,
  • પરિવર્તનનાં સાતત્યને સ્વીકારીને તેને જીવનનું અભિન્ન અંગ ગણી લો, એટલે તેનાથી ભાગી છૂટવાની વૃતિ ન કેળવાય. ત્રીજું, અડચણોને અતિક્રમી નહીં શકાય તેમ ન માનો. ચોથું, સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • Persistence Pays Dividends - મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્યતઃ લોકો કંઈ પણ બદલાવ લાવવા માટે આઠ, કે બહુ બહુ તો દસેક, વાર કોશિશ કરે છે. તે પછી પણ જો ધાર્યો ફેરફાર થતો ન દેખાય તો પછી તેઓ હાથ ઊંચા કરી દે છે !…જે ખાસ વાત મોટા ભાગનાં આ પ્રકારનાં લોકોનાં ધ્યાનમાં નથી આવતી તે એ છે કે સફળતાની ચાવી પોતાના માટે ખરેખર મહત્ત્વનું શું છે તે બરાબર સમજવું અને પછી બધું, પૂરતું, વિચારીને, તે સિધ્ધ કરવા માટેનાં પગલાં લેવાં. આ પગલાં દરેક નિશ્ચિત સમયે અચુક લેવાવાં જ જોઇએ. દેખીતું પરિણામ ન આવતું દેખાય તો પોતાની વ્યૂહરચનામાં આવશ્યક ફેરફારો કરતાં રહીને પ્રયાસો, નિયત સમયે, કરવાનું ચાલુ જ રહેવું જોઈએ.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Thursday, August 15, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - ખુર્શીદ, કાનનદેવી


ખુર્શીદનાં  સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં ખુર્શીદની હાજરી માત્ર એક જ ફિલ્મમાં જોવા મળે છે. પણ, એ એક ફિલ્મમાં સંગીતકાર રામ ગાંગુલીએ વિન્ટેજ એરાની ગીતની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકીની શૈલી જેવાં અંગોનો એટલો બખૂબી ઉપયોગ કર્યો છે કે ખુર્શીદના સ્વરની મોટા ભાગની રેન્જ સાથે આપણને પરિચય થઈ રહે છે.
બન મેં કાલી કોયલ બોલી મેરે મનકી દુનિયા ડોલી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

હમારી ગલી આના, હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ  

અચ્છા નહીં ભગવાન ગરીબોં કો સતાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

આયી દીવાલી દીયોંવાલી ગાયેં સખીયાં ઓ પરદેસી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

પગલે મન તુ રો રો કિસે સુનાએ - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

કાનનદેવીનાં  સૉલો ગીતો
૧૯૪૬માં, કાનન દેવીના ફાળે પણ બે જ ફિલ્મો આવી છે. પરંતુ બન્ને ફિલ્મોના વિષય એકબીજાથી સાવ વિરુદ્ધ છેડાના છે, એટલે બન્ને ફિલ્મોના સંગીતકાર કમલ દાસ ગુપ્તા હોવા છતાં કાનન દેવીના સ્વરને આપણે અલગ અલગ અદાઓમાં સાંભળી શકીએ છીએ.
આજ હુઈ હૈ ભોર સુહાની પહેલી બાર - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

કોઈ ચલે કાંટો પે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનો ઉલ્લેખ નથી.

કલી કિસીકી મુહબ્બતમેં મુરઝાતી હૈ - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

મુઝે સપનેમેં કૌન જગાયે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

મૈં દિલવાલોં કી ઝિંદગી હૂં - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.

અમૃત કે બરસૈયા મોરે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

ચંદા દૂર ગગનમેં બુલાયે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

મોરે જનમ જનમ કે સાથી તુમ હો અપને - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

સાવન કી રાની આયી ઝુલનમેં લિયે ખુશીયાં - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

તેરા ઘર મન મેરા - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા

હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં નસીમ અખ્તર અને પારો દેવીનાં સૉલો ગીતો સાંભળીશું.


Sunday, August 11, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓગસ્ટ, ૨૦૧૯

શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, તે જેટલા જાણીતા ગીતકાર હતા તેટલા જાણીતા કવિ કદાચ ન હતા. તેમનાં ફિલ્મ માટે લખાયેલાં ગીતો કે તેમનાં કાવ્યોમાં ઉત્કટ ભાવની સ્રળ શબ્દોમાં રજૂઆત સુગેય સ્વરૂપે રજૂ થતી રહી તેટલી જ હૃદયસ્પર્શી તેમની કવિતાઓ પણ રહી છે. 

શૈલેન્દ્રને આપણે શૈલેન્દ્ર-હસરતની જોડીનાં કે શંકરજયકિશન-શૈલેન્દ્રહસરત ચતુષ્કોણના એક અવિભાજ્ય અંગ તરીકે વધારે યાદ કરીએ છીએ. તે સાચું પણ છે કે શૈલેન્દ્રનાં મોટા ભાગનાં ગીતો ચતુષ્કોણના ઘેરાવાની અંદર જ રચાયાં છે. તે પછી તેંમણે સૌથી વધારે ગીતો, અનુક્રમે એસ ડી બર્મન અને સલીલ ચૌધરી માટે લખ્યાં છે. પરંતુ આ સિવાય પણ તેમણે બીજા ઘણા 'અન્ય' સંગીતકારો સાથે પણ એવી જ ચાહતથી પોતાની રચનાઓ લખી છે. જેમ કે - બંગાળી ફિલ્મ 'ઈન્દ્રાની (૧૯૫૮)નું એક માત્ર હિંદી ગીત સભી કુછ લુટાકે હુએ હમ તુમ્હારે (ગાયક મોહમ્મદ રફી, સંગીતકાર નચિકેત ઘોષ)

૨૦૧૭નાં વર્ષથી આપણે શૈલેન્દ્રનાં 'અન્ય સંગીતકારો' સાથેની લેખમાળા તેમના જન્મના આ ઓગસ્ટ મહિનામાં આપણા'વિસરાતી યાદો..'ના આ મંચ પર કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે, શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો માં આપણે શૈલેન્દ્રના અન્ય સંગીતકારોએ સંગીતબધ્ધ કરેલાં ગીતોનું વિહંગાવલોકન કર્યું. તે પછી આપણે શૈલેન્દ્રએ ચોથા ક્રમે સૌથી વધારે ગીતો જેમની સાથે લખ્યાં એવાં શૈલેન્દ્ર અને રોશનનાં ગીતોને યાદ કર્યાં.

આજના આ અંકમાં આપણે શૈલેન્દ્રનાં હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથેનાં ગીતોને યાદ કરીશું. હેમંત કુમાર સાથે રવિ અને કલ્યાણજી (આણંદજી)ને જોડવા માટેની એક અન્ય કડી છે - હેમંત કુમારે રચેલું 'નાગિન' (૧૯૫૪)નું ગીત - મન ડોલે મેરા તન ડોલે. તે સમયે હેમંત કુમારના સહાયક હોવાથી એ ધુનને સુરમાં બેસાડી હતી રવિએ અને એ ગીતમાં વપરાયેલ 'બીન'ના સ્વરને ક્લેવાયોલિન પર દેહ આપ્યો હતો કલ્યાણજી (આણંદજી) વીરજી શાહે. [1]

શૈલેન્દ્ર અને હેમંત કુમાર

હેમંત કુમાર (મુખર્જી) - જન્મ: ૨૦-૬-૧૯૨૦ – અવસાન: ૨૬-૯-૧૯૫૯ –નીં હિંદી ફિલ્મ જગતની કારકીર્દી ૧૯૪૪ની ફિલ્મ 'ઈરાદા'નાં ગીત, આરામ સે જો રાતેં કાટેં (સંગીતકાર - પંડિત અમરનાથ, ગીતકાર અઝીઝ કશ્મીરી)દ્વારા પાર્શ્વગાયક તરીકે થઈ. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની ફિલ્મ 'આનંદ મઠ' (૧૯૫૨) હતી, અને યોગાનુયોગ પણ કેવો કે 'આનંદ મઠ'નાં મોટા ભાગનાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં.

શૈલેન્દ્ર અને હેમંત કુમારે અનુક્રમે ગીતકાર અને સંગીતકાર તરીકે તે સિવાય બે ફિલ્મો 'ચાંદ' અને 'હમ ભી ઈન્સાન હૈ' (બન્ને ૧૯૫૯) અને એક ગીત (માસૂમ, ૧૯૬૦) તરીકે સાથે કામ કર્યું છે.
આડવાત :
શૈલેન્દ્ર અને હેમંતકુમારનું ગીતકાર અને ગાયક તરીકે પણ આગવું જોડાણ શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ યાદ કિયા દિલ ને કહાં હો તુમ (પતિતા, ૧૯૫૩) અને રૂલાકર ચલ દિયે હસીં બનકર જો આયે થે (બાદશાહ, ૧૯૫૪) તેમ જ આજના અંકમાં અલગથી રજૂ થયેલ ગીતોમાં પણ જોવા મળે છે.)
નૈનોં મેં સાવન,મન મેરે ફાગુન, પલછીન જલે ઔર જલાયે બચપન, યાદ આયે રે - આનંદ મઠ (૧૯૫૨) – ગાયિકા: ગીતા રોય (દત્ત)

પોતાના પિતાને ઘરે વીતેલાં બાળપણથી આજની મઠ સુધીની જીવનયાત્રા પર્દા પર ગીતા બાલી યાદ કરે છે. યાદોમાં વણાયેલી કરૂણાને ઉજાગર કરતા બોલમાં ગીતા દત્ત પ્રાણ ફૂંકે છે.

કૈસે રોકોગે તૂફાન કો - આનંદ મઠ (૧૯૫૨) – ગાયકો: ગીતા રોય (દત્ત), તલત મહમૂદ

પરદા પર, એક તરફ ગીતા બાલી અંગ્રેજ અફસરને આડે પાટે ચડાવતાં આઝાદીની લડતનાં તોફાનને કેમ રોકશો તેવો શ્લેષભર્યો પડકાર ફેંકે છે તો એ જ શબ્દો વડે ભૂતકાળના પ્રેમી, પ્રદીપ કુમાર,ને માનવ સહજ આવેગ કેમ રોકાશે તેવો સવાલ પણ પૂછે છે. જવાબમાં ઝૂંપડાંમાં સંતાયેલ પ્રદીપકુમાર અસંજસ ભર્યો ઉદ્વેગમાં જણાય છે. બન્ને પાત્રોના મનોભાવ ગીતા રોય અને તલત મહમૂદના સ્વરમાં તાદૃશ થાય છે.

આડવાત:
'આનંદ મઠ' પ્રદીપ કુમારની પહેલ વહેલી ફિલ્મ હતી.
કભી આજ, કભી કલ, કભી પરસોં - ચાંદ (૧૯૫૯) – ગાયિકાઓ: લતા મંગેશકર, સુમન કલ્યાણપુર

આ બન્ને ક્વચિત જ સાથે ગાયેલં ગીતોમાંના સૌ પહેલાં યુગલ ગીતમાં હેમંત કુમારે બન્નેની ગાયન શૈલીને જાળવીને પણ એક દ્રુત તાલની કર્ણમધુર નૃત્ય રચના પેશ કરેલ છે.

હાય રે કિસ્મત કા અંધેર હાય રે બનતે દેર લગે ન બિગડતે - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયક: હેમંત કુમાર

વાંસળીના ઉપાડથી શરૂ થતા પૂર્વાલાપમાં માનવ જીવનની હતાશાને ઉજાગર કરયા બાદ હેમંત કુમાર ખુદ એ મનોભાવને આખાં ગીતમાં જૂદા જૂડા સુરોમાં વ્યકત કરે છે.

ઊંચ નીચ કા ભેદ ભુલાકર ગલે મિલો સારે ઈન્સાન - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયક: હેમંત કુમાર

ભજનની ધુનમાં ઢાળવામાં આવેલ આ ગીતમાં શૈલેન્દ્ર સમાજવાદી સમાનતાની વિચારસરણી વળી લે છે.

ફૂલવા બંદ મહેકે દેખો લહેકે ડાલી ડાલી - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયિકાઓ: ગીતા દ્તા, સુમન કલ્યાણપુર

કુદરતનાં સાન્નિધ્યમાં ખુશખુશાલ વિહરતી સખીઓનો ભાવ વર્ણવતા શૈલેન્દ્રના બોલને હેમંત કુમારે અનન્ય માધુર્યમાં સંગીતબદ્ધ કરી આપ્યા છે. બન્ને ગાયિકાઓની સ્વાભાવિક ગાયન શૈલીનો પણ બખુબી ઉપયોગ કરાયો છે.
પ્યાર જતાકે લલચાયે મોરા બાલમા - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયિકા: શમશાદ બેગમ

આ ગીતની સીચ્યુએશન જાણવા માટે આપણી પાસે આ ક્લિપમાં દૃશ્ય ન હોવા છતાં પરાદ પર અને પર્દાની પાછળનાં ગાયિકાઓનો આનંદ તો અછતો નથી જ રહેતો.

નાની તેરી મોરની કો મોર લે ગયે - માસૂમ (૧૯૬૦) – ગાયિકા: રાનુ મુખર્જી

બાળ સુલભ ગીતને અનુરૂપ જ શૈલેન્દ્રના શબ્દો એટલી જ બાળચાપલ્યભરી રજૂઆત કરવા માટે હેમંત કુમારે પોતાના જાદુઇ થેલાંથી તેમની નાની સી દીકરી રાનુ મુખર્જીનો સ્વર પ્રયોજ્યો. આ એક જ ગીત આ ફિલ્મમાં શૈલેન્દ્ર એ લખ્યું છે.

શૈલેન્દ્ર અને રવિ


રવિ (શંકર શર્મા)ને – જન્મ: ૩ માર્ચ, ૧૯૨૬ - અવસાન ૭ માર્ચ, ૨૦૧૨ - હેમંત કુમારે તેમનાં સંગીતબધ્ધ કરેલ ગીત વન્દે માતરમ (આનંદ મઠ, ૧૯૫૨)નાં સહવૃંદમાં ગાયક તરીકે તક આપી તે સાથે અ બન્નેનો હિંદી ફિલ્મ સંગીત જગતમાં સહપ્રવાસ શરૂ થયો. તે પછી, નાગિન (૧૯૫૪) સુધી રવિએ હેમંત કુમારના સહાયક તરીકે કામ કર્યું

શૈલેન્દ્ર અને રવિએ અનુક્રમે ગીતલેખક અને સંગીતકાર તરીકે ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ બધી જ ફિલ્મો રવિની કારકીર્દીની દિશા બદલી નાખનારી ચૌદહવીકા ચાંદ (૧૯૬૦) પહેલાંની ફિલ્મો છે. ચૌદહવી કા ચાંદ પછી રવિએ શકીલ બદાયુની, સાહિર લુધ્યાનવી કે રાજેન્દ્ર કૃષ્ણ સાથે વધારે કામ કર્યું છે.

સાથે કામ કર્યું હોય એવી તેમની પહેલી ફિલ્મ, દિલ્લી કા ઠગ (૧૯૫૮)નાં બે ગીતો - ચલ રે અમીરે ચલ રે ફકીરે (કિશોર કુમાર, સાથીઓ) અને યે રાતેં યે મૌસમ નદી કા કિનારા (કિશોર કુમાર, આશા ભોસલે)- વિષે આપણે શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો માં ચર્ચા કરી હતી, એટલે તે અહીં દોહરાવતાં નથી.

યે કૈસી રાત આયી - દેવર ભાભી (૧૯૫૮) - ગાયિકા આશા ભોસલે

રવિનાં સંગીત વિશ્વમાં આશ અભોસલેનું એક ચોક્કસ સ્થાન રહ્યું છે. ઓ પી નય્યરનાં ગીતોની સામે રવિને રચેલાં આશા ભોસલેનાં ગીતોએ આશા ભોસલે કૌશલ્યને એવું વૈવિધ્ય બક્ષ્યું જે આશા ભોસલેને, લાંબા સમય સુધી, ખુબ સબળ સ્પર્ધાત્મક સ્તરે ટકી રહેવામાં અત્યંત મદદરૂપ બન્યું.

કલ કે ચાંદ આજ કે સપને તુમકો પ્યાર બહુત સા પ્યાર - નઈ રાહેં (૧૯૫૯) – ગાયકો: લતા મંગેશકર, હેમંત કુમાર

સુખી ભવિષ્યના આશાવાદના ભાવને માર્દવ માધુર્યથી રજૂ કરવા માટે પુરુષ પાર્શ્વગાયક તરીકે હેમંત કુમારની પસંદગી ગીતને અનેરી આભા બક્ષે છે.

કલ કે સપને આજ કે સપને - નઈ રાહેં (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

જીવનમાં ધારી આશાઓ ન ફળે ત્યારે મૂળ કલ્પનાને કરૂણ સુરમાં ગાઈને રજુ કરવાનું ચલણ હિંદી ફિલ્મોની એક બહુ ખ્યાત પ્રથા રહી છે. શૈલેન્દ્રએ એક સરખા શબ્દો દ્વારા આવા બે અલગ ભાવને રજૂ કરતાં ઘણાં ગીતો આપણને આપ્યાં છે.


તોસે લાગે નૈના, લાગે નૈના, સૈંયા હો તો સે લાગે નૈના - નઈ રાહેં (૧૯૫૯) - ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે

શાસ્ત્રીય ઢાળમાં ઢાળવા છતાં ગીતનો ભાવ રોમેન્ટીક હોવાથી તે ગાવામાં સરળ રહે તેવી રવિની આગવી હથોટી અહીં સ્પષ્ટ જણાઇ આવે છે.

કૌન જાને રે બાબા દુનિયામેં પ્રીત પરાયી - જવાની કી બેટી (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે, ગીતા દત્ત

શેરીઓમાં ગવાતાં ગીતો હિંદી ફિલ્મોમાં એ સમયનો એક ખાસ પ્રકાર હતો.રવિ અને શૈલેન્દ્ર બન્નેએ પોતપોતાનાં ક્ષેત્રની સાહજિક નિપુણતાને કામે વળગાડીને એક સફળ ગીતની રચના કરી છે. રવિ અને ગીતા દત્તે સાથે બહુ કામ નથી કર્યું, પરંતુ શેરીમાં ગીત ગાઈને પેટીયું રળતી એક ટુકડીનાં બે મુખ્ય કળાકારોને નૃત્ય્માં સાથ આપનારી નાની બળાના સ્વર માટે ગીતા દત્તનો સ્વર રવિએ પસંદ કર્યો છે.

શૈલેન્દ્ર અને કલ્યાણજી (આણંદજી)


એક જ સંગીતકારના બબ્બે અલગ અલગ સહાયકો સાથે કામ કરવાનો પ્રસંગ બબ્બે કિસ્સાઓમાં બનવાની ઘટના હિંદી ફિલ્મોમાં બહુ ન ચર્ચાઈ હોય એવી બબત કહી શકાય. શૈલેન્દ્રએ એસ ડી બર્મન અને તેમના એક સમયના સહાયકો જય્દેવ અને આર ડી બર્મન સાથે અને પછી હેમંત કુમાર અને તેમના એક સમયના સહાયકો રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથે ગીતની રચના કરી છે. મુખ્ય સંગીતકાર અને તેમના એક સહાયક સાથે પણ ગીતો રચ્યાં હોય એવા શંકર જયકિશન - દત્તા રામ, એસ એન ત્રિપાઠી - ચિત્રગુપ્ત જેવા દાખલા પણ શૈલેન્દ્રના ચોપડે બોલે છે.

જા જા છેડ માન ભી જા - સટ્ટા બાઝાર (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

હિંદી ફિલ્મોના ખ્યાતનામ ગુજરાતી દિગ્દર્શક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાટે શૈલેન્દ્રએ આ એક જ ગીત લખ્યું છે.

આજના અંકના છેલ્લાં બધાં ગીતો મોહમ્મદ રફીએ ગાયેલાં છે, જે આપણા દરેકને મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની પરંપરાની યાદ અપાવે છે. આજના ત્રણ સંગીતકારોમાંથી બે, રવિ અને કલ્યાણજી આણંદજીનાં શૈલેન્દ્રએ લખેલાં મોહમ્મદ રફીનાં ગીતો સાંભળ્યા પછી હેમંત કુમારે રચેલું શૈલેન્દ્રનું મોહમ્મદ રફીનું ગીત તો બાકી ન રખાય !

પ્યારી બોલે બુલબુલ પડોસન બોલે કૌવા - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)

ભારે મસ્તીખોર ગીત ! હેમંત કુમાર પાસેથી આવાં મસ્તીખોર ગીતો બહુ ઓછાં સાંભળવાં મળ્યાં હશે.



શૈલેન્દ્રની અન્ય સંગીતકારો સાથેની સફરમાં આવતાં વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરીથી મળીશું.


[1] 'મન ડોલે..' સાથે જોડાયેલી ખટમીઠી આડવાત

'મન ડોલે..'નાં સર્જન સાથે જોડાયેલી અનેક કહાનીઓ ચર્ચાતી આવી છે. એચ એમ વી દ્વારા રજૂ કરાયેલ રેકોર્ડનાં કવર પર હેમંત કુમારના એ સમયના સહાયક રવિ અને વાદ્ય વાદક કલ્યાણજીને આ ધુન માટે શ્રેય આપે છે. પરંતુ Shyamanuja ના લેખ Who created the classic been music in Man Dole, Mera Tan Dole?.માં આ બાબતે વધારે વિગતે ચર્ચા કરવામાં આવી છે.

એક બીજી સ-રસ આડવાત -

૧૯૫૪નાં વર્ષમાં ક કલ્યાણજીભાઈના પુત્ર દિનેશ શાહનો જન્મ પણ થયો હતો. યુ ટ્યુબ પર ક્લેવાયોલિન પર 'મન ડોલે..'ની ધુનની વિડીયો ક્લિપ આપણને દિનેશભાઇ દ્વારા જ સાંભળવા મળી છે.